Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ભોપલકામાં પાક બાળી નાખ્યાની આશંકા પછી પ્રૌઢની ચાર શખ્સે નિપજાવી હત્યા

દોઢેક વર્ષના મનદુખના કારણે ગાગા ગામમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયું:

                                                                                                                                                                                                      

ખંભાળિયા/ભાટીયા તા.૧૬ : કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામમાં ગઈરાત્રે એક સતવારા પ્રૌઢની ચાર શખ્સે લાકડીઓ ફટકારી કરપીણ હત્યા કરી નાખી છે. મૃતકને પોતાના ખેતરનો પાક આરોપીઓએ દવા છાંટી સળગાવી નાખ્યાની આશંકા ઉભી થઈ હતી તેથી ચાલી રહેલા મનદુખમાં આ હત્યા થઈ છે. જ્યારે ઉકરડા બાબતે દોઢેક વર્ષ પહેલાં થયેલા મનદુખની બાબતે કલ્યાણપુરના ગાગા ગામના વાડી વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક યુવાનની હત્યા થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામમાં વસવાટ કરતા દેવરામભાઈ સોનગરા ત્યાં જ આવેલા રણમલભાઈ જેઠાભાઈ રાઠોડનું ખેતર ભાગમાં વાવતા હતા. તે ખેતરમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

જીરૂનો પાક બે મહિના પહેલાં કોઈ રીતે બળી જતાં નાશ પામ્યો હતો. તે પછી પાકમાં ભોપલકા ગામના જ રમેશ રાઠોડ તથા તેના ભાઈઓએ પાક બળી જવાની દવા છાંટી જીરાનો પાક બાળી નાખ્યાની શંકા દેવરામભાઈને પડતા બંને વચ્ચે મનદુખ ઉભુ થયું હતું.

તે પછી આ બાબતનો ખાર રાખી ગઈકાલે રાત્રે દસ વાગ્યાથી અગિયાર વાગ્યાની વચ્ચે જ્યારે દેવરામભાઈ જ્યારે ભોપલકા ગામના શેઢે કુંંઢ વાડી વિસ્તારમાં રણમલભાઈના ખેતરે શેઢા પાસે હતા ત્યારે ટપુ મનજી રાઠોડ, દામા મનજી રાઠોડ, દેવશી મનજી રાઠોડ, મુકેશ દામા રાઠોડ નામના ચાર શખ્સ લાકડી સાથે રાખી ધસી આવ્યા હતા.

આ શખ્સોએ દેવરામભાઈ પર પ્રાણઘાતક હુમલો કરી માથાના પાછળના ભાગે તથા મ્હોં પર લાકડીઓ ફટકારી હતી. ગંભીર ઈજા પામેલા દેવરામભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. આ બાબતની મૃતકના પુત્ર દામાભાઈ દેવરામભાઈ સોનગરાએ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે ડીવાયએસપી સાગર રાઠોડની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઈ યુ.બી. અખેડ તથા એલસીબી અને એસઓજીની ટીમ ધસી ગઈ છે. પોલીસે ગુન્હો નોંધી ચારેય આરોપીના સગડ દબાવ્યા છે.

હત્યાના બીજા બનાવની વધુ વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગાગા ગામની વાડી વિસ્તારમાં વસવાટ કરતા દેવરાજભાઈ કાનજીભાઈ પરમાર નામના સતવારા યુવાનને દોઢેક વર્ષ પહેલાં ગાગા ગામના વાડી વિસ્તારમાં રહેતા ધરમશી ગોરધનભાઈ પરમાર સાથે ઉકરડા બાબતે મનદુખ થયું હતું. તે પછી ધરમશીના માતા મણીબેનને જે તે વખતે દેવરાજભાઈએ મારી લીધુ હતું. ત્યારથી દેવરાજભાઈ અને ધરમશી વચ્ચે તણખા ઝરતા હતા.

તે દરમિયાન રવિવારની વહેલી સવારે પાંચેક વાગ્યે દેવરાજભાઈ પોતાના ભાઈના મકાન પાસે આવેલા ખેતરે હતા ત્યારે ત્યાં ધસી આવેલા ધરમશીએ જેસીબી મશીનના પાવડા વડે હુમલો કરી દેવરાજભાઈને માર માર્યાે હતો અને વચ્ચે પડનાર તેમના પત્નીને ગાળો ભાંડી હતી. હુમલામાં ગંભીર ઈજા પામેલા દેવરાજભાઈનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ ખીમાભાઈ કાનજીભાઈ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઈન્ચાર્જ પીઆઈ યુ.બી. અખેડે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh