કલાક્ષેત્રે કારકિર્દી ઘડવી એ સામા પૂરે તરવાનું કમઠાણ છેઃ સંજય ગોરડિયા

તાજેતરમાં રિલિઝ થયેલી પોતાની ફિલ્મ અંગે 'નોબત'ની મુલાકાત દરમિયાન ખુલ્લા મને વાર્તાલાપઃ વિશેષતાઓ વર્ણવીઃ

અભિનય કલાએ પરકાયા પ્રવેશ કરી એવી અભિવ્યક્તિ કરવાનું કાર્ય છે જે દર્શકોનાં માનસપટ પર ઉપસી આવે. જેમ મહાભારતમાં સંજય દિવ્ય દ્રષ્ટિથી ધૃતરાષ્ટ્ર સમક્ષ યુદ્ધનાં બનાવો રજૂ કરતા હતા એમજે-તે પાત્રનાં મનમાં ચાલતા યુદ્ધને દર્શકો સમક્ષ જીવંત કરવાની કળા જેને હસ્તગત હોય એ જ 'સંજય'.

નાટ્ય જગતમાં સંજય ગોરડીયાનું નામ સૌથી લોકપ્રિય કલાકારોની શ્રેણીનાં અગ્રણીઓમાં લેવું પડે. ગુજરાતી હિન્દી ફિલ્મોમાં પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. તેમણે કુલ ૧૦૨ નાટકો નિર્માણ કર્યા છે અને ૪૦ નાટકમાં અભિનય પણ કર્યો છે. જ્યારે કુલ ૧૭ ફિલ્મોમાં કામ કર્યુ છે. તાજેતરમાં જ તેમની નવી ગુજરાતી ફિલ્મ'કમઠાણ' રિલીઝ થઇ છે. જેને પગલે 'નોબત' કાર્યાલયની મુલાકાત લઇ 'નોબત' પરિવારનાં દર્શકભાઇ માધવાણી, દર્પણભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે ફિલ્મ વિશે વાર્તાલાપ કર્યો હતો.આ તકે તેમની સાથે નગરનાં જાણીતા રંગકર્મી તથા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર લલિતભાઇ જોશી અને ઉદ્યોગકાર  ભાવેશભાઇ શેઠ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

'કમઠાણ' એ ગુજરાતી ભાષાનાં સિદ્ધહસ્ત વાર્તાકાર અશ્વિની ભટ્ટની હાસ્ય નવલ ઉપરથી બનાવેલ ફિલ્મ છે. ફિલ્મમાં સંજય ગોરડીયા સાથે મુખ્ય કલાકારોમાં હિતુ કનોડીયા, દર્શન જરીવાલા અને અરવિંદ વૈદ્ય સહિતનાં કલાકારો ઉપરાંત જામનગરનાં રંગકર્મી જયભાઇ વિઠ્ઠલાણીએ પણ ફિલ્મમાં અભિનયનાં ઓજસ પાથર્યા છે.રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ'હેલ્લારો' નાં સર્જકોએ જ આ ફિલ્મ બનાવી છે. દિગ્દર્શક ધ્રુનાદ તથા નિર્માતાઓ આયુષ પટેલ, મિત જાની, પ્રતિક ગુપ્તા, નૃપાલ પટેલ, પિનલ પટેલ, અભિષેક વગેરેએ સાહિત્ય કૃતિને ફિલ્મ તરીકે પ્રસ્તુત કરવાનો પડકાર સુપેરે પાર પાડ્યો છે એમ કહી શકાય.

ફિલ્મમાં એક એવા સમુદાયની વાત છે જે પરંપરાગત રીતે ચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે જેમાં સંજયભાઇ 'રઘલા' નામનાં ચોરનું પાત્ર ભજવે છે જે સંજોગોવશાત પોલીસ ઇન્સ્પેક્ટર (હિતુ કનોડીયા) નાં ઘરમાં જ ખાતર પાડે છે અને પછી જે સર્જાય છે એ જ 'કમઠાણ'

આ ફિલ્મમાં અન્ય ફિલ્મોની જેમ પરંપરાગત હિરો - હિરોઇન નથી પરંતુ ફિલ્મની વાર્તા અને ડાયલોગ જ હિરો - હિરોઇન હોવાનું જણાવી ફિલ્મ દર્શકોને છેલ્લા સિન સુધી સિટ સાથે જકડી રાખશે એવી ઉત્કંઠાપ્રેરક હોવાનો દાવો સંજયભાઇએ કર્યો હતો.

સંજયભાઇએ  નવા ફિલ્મ સર્જકોનાં વિઝનની પ્રશંસા કરી ગુજરાતીમાં પણ સાહિત્ય કૃતિઓ પરથી ફિલ્મોનાં સર્જનને આવકારદાયક અને પ્રેરક ગણાવ્યું હતું.  ફિલ્મો અને નાટકો વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નાટકોથી તેમને આત્મસંતોષ મળે છે.નાટકમાં તમામ કમાન તેમનાં હાથમાં હોવાથી તેમનો કૃતિ પર પૂરતો કંટ્રોલ હોવાથી જેવી કલ્પના કરી હોય એવું જ નિર્માણ શક્ય બને છે. તેમની પ્રતિભા પર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પૂરતી નજર પડી નથી એમકહી શકાય પરંતુ  નાટકોને કારણે તેઓ દર્શકોનાં દિલમાં વસેલા છે એમાં બેમત નથી. ઓટીટીનાં યુગમાં તેમની 'ગોટી સોડા' નામની વેબસિરીઝ પણ ખૂબ લોકપ્રિય થઇ છે જેની ૪ સફળ સિઝન પછી ૫ મી સિઝન આવી રહી છે.અત્યારે તેમનું નાટક ' એક - બે અઢી, ખીચડી કઢી' ધૂમ મચાવી રહ્યું છે. તથા આગામી ફિલ્મમાં 'જમકુડી' માં માનસી પારેખ ગોહિલ સાથે વિરાજ ઘેલાણી નામનાં નવા કલાકારને લોન્ચ કરવા જઇ રહ્યા છે. જેમાં નિર્માતા તરીકે ખ્યાતનામ ગાયક પાર્થિવ ગોહિલ પણ સંકળાયેલા છે.

અભિનય કે નાટ્ય ક્ષેત્રે અથવા ફિલ્મક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાઓને તેઓ કલા ક્ષેત્રે કારકિર્દી બનાવવાને સામા પૂરે તરવાની પ્રવૃત્તિ સમાન ગણાવી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા કે એફ.ટી.આઇ.આઇ. જેવી સંસ્થાઓમાંથી પૂરતી તાલીમ મેળવવાનો અનુરોધ કરે છે. બે ત્રણ મહિનાનાં ડિપ્લોમા કોર્ષને બદલે ઉપરોક્ત સંસ્થાઓમાંથી પૂરો અભ્યાસક્રમ કરવાને તેઓ પ્રાધાન્ય આપી તેને વધુ લાભકારક ગણાવે છે. આ મુદ્દે તેઓ 'અમે તો જંગલમાં લડી લડીને મોટા થયા છીએ' વાક્ય પ્રયોગ કરી પોતાનાં સંઘર્ષને અભિવ્યક્ત કરે છે.

વાર્તાલાપનાં અંતિમ ચરણમાં તેઓ જામનગરનાં નાટ્ય જગતને બિરદાવી વિરલભાઇ રાચ્છ, હેમાંગભાઇ વ્યાસ સહિતનાં રંગકર્મીઓની પ્રતિભાની પ્રશંસા કરી દરેક નગરજનને 'કમઠાણ' અચૂક જોવા અનુરોધ કરે છે. ચોર-પોલીસની આ રસપ્રદ કથા પૈસા વસૂલ મનોરંજન હોવાની તેઓ ગેરેંટી આપે છે.

અંતમાં તેઓ દરેક ક્ષેત્રમાં અમલમાં આવે એવી વાત કરે છે કે 'આપણી શર્તો ઉપર જીવન જીવવાનો સંતોષ જ સૌથી મોટી સફળતા છે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

"કોડ ઝાયગોમા" ટ્રીટમેન્ટ લોકલ એનેેસ્થેસીયાથી સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત કરવામાં આવી

જામનગરના ડો. મેહુલ ખાખરીયાના માધવ ડેન્ટલ ક્લીનીકમાં

જામનગર તા. ૫ઃ જામનગરના દાંતના જાણીતા ડોક્ટર મેહુલ ખાખરીયાના માધવ ડેન્ટલ ક્લીનીકમાં સમગ્ર ગુજરાતમાં લોકલ એનેસ્થેસીયાથી કોડઝાયગોમાની સફળ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી.

આ ટ્રીટમેન્ટ આ૫વા ભારતના સુવિખ્યાત ડેન્ટીસ્ટ મુંબઈના ડો. નિતીન આહુઝા તથા રેડીયોલોજીસ્ટ ડો. જહોનને નોબતની મુલાકાતે ડો. મેહુલ ખાખરીયા લાવ્યા હતાં. આ મુલાકાતમાં કોડ ઝાયગોમા ટ્રીટમેન્ટ અંગે વિસ્તૃત જાણકારી તબીબોએ આપી હતી.

સામાન્ય રીતે ૭૦-૭પ વર્ષથી વધુ વયના લોકોના પેઢા સાવ ઘસાઈ ગયા હોય, દાંત પડી ગયા હોય તેવી વ્યક્તિના મોઢામાં દાંત બેસાડવા (ઈમ્પ્લાન્ટેશન) માટે આ 'કોડ ઝાયગોમા' ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જેમાં ગાલના હાડકામાં સ્ક્રૂ બેસાડી દાંત ફીટ કરવાની જટીલ અને અત્યંત કાળજી સાથેની ટ્રીટમેન્ટ કરી દાંત બેસાડવામાં આવે છે.

લોકલ એનેસ્થેસીયા આપી આ ખાસ ટ્રીટમેન્ટ ડો. મેહુલ ખાખરીયાના ક્લીનીકમાં ડો. નિતીન આહુજા અને ડો. જ્હોને સફળતાપૂર્વક કરી હતી.

લંડન રહેતા મૂળ જામનગરના એનઆરઆઈ ૭૮ વર્ષના ભારતીબેન મહેતાની ટ્રીટમેન્ટ કરી માત્ર બે કલાકમાં તેમને રજા આપી દેવામાં આવી હતી.

'કોડ ઝાયગોમા' ટ્રીટમેન્ટ માટે જે સુવિધાની જરૃર હોય તે તમામ સુવિધા અને અદ્યતન સાધનો ડો. મેહુલ ખાખરીયાના ક્લીનીકમાં ઉપલબ્ધ છે. તેથી હવે દર મહિને મુંબઈથી ડો. આહુજા અને ડો. જ્હોન જામનગર આવશે તેમ જણાવાયું હતું.

ગુજરાતમાં લોકલ એનેસ્થેસીયા સાથે ૭પ પ્લસ દર્દીઓને દાંત બેસાડવાની અન્ય ડોક્ટરોએ ના પાડી દેતા ભારતીબેને જામનગરમાં ડો. ખાખરીયાનું માર્ગદર્શન લીધું હતું. ડો. આહુજા ગુજરાતના અન્ય ડેન્ટીસ્ટોને આ ખાસ ટ્રીટમેન્ટ માટે તાલીમ આપે છે અને અત્યારે સમગ્ર ભારતમાં તેમનું નામ "ઝાયગો મેન" મેન તરીકે સુપ્રસિદ્ધ થઈ ગયું છે.

રેડીયોલોજીસ્ટ ડો. જ્હોન દ્વારા દરદીના દાંત-મોઢાના સીટી સ્કેનની મદદથી ડો. આહુજાને કોડ ઝાયગોમા ટ્રીટમેન્ટ માટે એક્ઝેટ લોકેશન અને ગાલના હાડકાની સ્થિતિ દર્શાવે છે.

હાડકા ઘસાઈ ગયા હોય, ચોગઠું ફીટ ન થતું હોય, જડબાનું કેન્સર હોય, જડબું કાઢી નખાયું હોય, મ્યુકર માઈકોસીસ (બ્લેક ફંગશ) વાળા વ્યક્તિઓને કોડ ઝાયગોમા ટ્રીટમેન્ટથી નવા દાંત બેસાડી આપવામાં આવે છે. આ જટીલ અને ખાસ ટ્રીટમેન્ટનો ખર્ચ યુકે/યુએસએ વિગેરે વિદેશોમાં ૩૦-૩પ લાખનો ખર્ચ થતો હોવાથી ત્યાં ના લોકો ભારતમાં આવે છે. અહીં પ થી પ.પ૦ લાખના ખર્ચમાં આ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે.

ડો. આહુજા ગ્રીસના એથેન્સમાં આ ખાસ ટ્રીટમેન્ટ અંગે લેકચર આપીને ત્યાંથી જામનગર ભારતીબેનની ટ્રીટમેન્ટ માટે ડો. મેહુલ ખાખરીયાના ક્લીનીકમાં આવ્યા હતાં અને સફળતાપૂર્વક આ જટીલ ટ્રીટમેન્ટ કરી હતી.

નોબતની મુલાકાત સમયે તંત્રી પ્રદીપભાઈ માધવાણી, ચેનનભાઈ માધવાણી, દર્શકભાઈ માધવાણીએ મહેમાનોનું સ્વાગત કરી ચર્ચા કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રામસર સાઈટનો દરજ્જો ધરાવતા ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં જોવા મળે છે ૩૦૦ પ્રકારના પંખીઓ

'વર્લ્ડ વેટલેન્ડ ડે' નિમિત્તે ખીજડીયામાં પક્ષી ગણતરી અંગે આર.એફ.ઓ. દક્ષાબેન વઘાસીયા સાથે વાર્તાલાપઃ

જામનગર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય રામસર સાઇટનો દરજ્જો ધરાવે છે. દર વર્ષે અહીં શિયાળામાં પક્ષી ગણતરી કરવામાં આવે છે. ગત ૨૭ અને ૨૮ જાન્યુઆરી દરમ્યાન વાર્ષિક પક્ષી ગણતરી યોજાઇ હતી આ તકે 'નોબત' પરિવારનાં દર્શકભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્યએ ખીજડીયા પક્ષી અભ્યારણ્યની મુલાકાત લઇ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આર.એફ.ઓ.)દક્ષાબેન વઘાસીયા સાથે વાર્તાલાપ કરી સમગ્ર પ્રક્રિયા અંગે જાણકારી મેળવી હતી.

આર.એફ.ઓ.નાં જણાવ્યાનુસાર છેલ્લા દોઢ દાયકાથી દર વર્ષે વાર્ષિક પક્ષી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં આ કામગીરી કરવામાં આવે છે. જેમાં અભ્યારણ્યનાં કર્મચારીઓ, મરીન નેશનલ પાર્ક, વન વિભાગ સહિત ત્રણેય પાંખનાં લોકો અને પક્ષીવિદો સામેલ થતા હોય છે. વર્ષ ૨૦૨૪ માં પ્રથમ વખત રાજ્યકક્ષાએ પક્ષી ગણતરી થઇ રહી છે અર્થાત રાજ્યભરની અગત્યની વેટલેન્ડ સાઇટ પર આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખીજડીયા અભ્યારણ્યમાં ૬.૫ ચો.કિ.મી. વિસ્તારમાં આ વખતે ૧૧ ઝોન બનાવી ઝોન વાઇઝ ટીમ બનાવવામાં આવી હતી જેમાં પ્રત્યેક ટીમમાં સરેરાશ ૫-૬ સભ્ય હતાં. ટીમો દ્વારા ૩ કલાકમાં  મહત્તમ વિસ્તાર આવરી લઇ પક્ષીઓની નોંધણી કરવામાં આવે છે. બે વખત ગણતરી કરી સરેરાશનાં આધારે અડધા પક્ષીઓ ગણનાપાત્ર ઠરે છે એ પદ્ધતિ મુજબ કાર્ય થાય છે.

જે પક્ષી બેઠા હોય એ જ કાઉન્ટ કરવામાં આવે છે. ઉડતા દેખાય એ પક્ષીઓ ફક્ત રીમાર્ક તરીકે નોંધવામાં આવે છે. કોઇ લુપ્ત થતી પ્રજાતિનું પક્ષી જોવા મળે તો તેની અલગ નોંધ કરવામાં આવે છે જેમ કે આ વખતે ઓસ્ટ્રોકેચર નામનું પક્ષી નજરે ચડ્યું હતું જે સામાન્ય રીતે અહી જોવા મળતું નથી.

ડિજીટલ ઇન્ડિયાનાં યુગમાં પક્ષી ગણતરીનાં આંકડાઓ ઇ-બર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવાનાં હોય છે. ગીર ફાઉન્ડેશન- વેટલેન્ડ ઓથોરીટી દ્વારા તેને અધિકૃત કરી અભ્યાસ કરવામાં આવે છે. ઉપલબ્ધ આંકડાઓને આધારે રિસર્ચ પેપર બહાર પાડવામાં આવે છે.

આર.એફ.ઓ. દક્ષાબેનનાં જણાવ્યાનુસાર અભ્યારણ્યમાં પક્ષીઓનાં ચરક વગેરેનાં સેમ્પલ પણ એકત્ર કરવાની કામગીરી પણ થાય છે. ખાસ કરીને વિદેશથી આવેલા યાયાવર પક્ષીઓનાં ચરકનાં સેમ્પવ ખાસ લેવામાં આવે છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. આ કામગીરીથી બર્ડ ફ્લૂ જેવી ભયાનક ચેપી બીમારી ફેલાતી અટકાવી શકાય છે. જો કોઇ સેમ્પલ પોઝિટીવ આવે તો દેશભરનાં પક્ષી અભ્યારણ્ય તાત્કાલિક બંધ કરી દેવામાં આવે છે. વર્ષ ૨૦૨૧ માં રાજસ્થાનમાં બર્ડ ફ્લૂ ડિટેક્ટ થતા પક્ષી અભ્યારણ્યો બંધ કરી દેવામાં આવ્યા હતાં.

ખીજડીયામાં વિવિધ ૬-૭ પ્રકારની ઇકો સિસ્ટમ હોવાથી દરેક પ્રકારનાં પક્ષીઓ અહી આવે છે.કાળી ડોક ઢોંક નામનાં પક્ષીને 'કિંગ ઓફ ખીજડીયા' કહેવામાં આવે છે કારણકે તેને કારણે જ ખીજડીયાને અભ્યારણ્ય તરીકેની માન્યતા મળી છે. ગ્રાસલેન્ડ, વેટલેન્ડ, ફોરેસ્ટ વગેરેમાં રહેતા પક્ષીઓ, શિકારી પક્ષીઓ વગેરે સેંકડો પ્રજાતિનાં પક્ષીઓ અહી જોવા મળે છે. ગત વર્ષની પક્ષી ગણતરીનાં આંકડા પર નજર કરીએ તો ગત વર્ષે અહી પોણા ત્રણસો થી ત્રણસો જેટલી પ્રજાતિનાં કુલ ૧,૩૦,૦૦૦ જેટલા પક્ષીઓ જોવા મળ્યા હતાં. આ વર્ષે પક્ષી ગણતરીનાં આંકડાઓ વધુ સમૃદ્ધ બને એવી આશા છે.

શિયાળામાં અભ્યારણ્યમાં પ્રાકૃતિક શિક્ષણ શિબિરોનું પણ આયોજન થતું રહે છે. જેમાં બે દિવસ અને એક રાતનાં કેમ્પ હોય છે અને શિબિરાર્થીઓ માટે રહેવા - જમવાની તથા ચા-કોફીની નિઃશૂલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે. સ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે આવા કેમ્પ ખૂબજ રસપ્રદ, જ્ઞાનવર્ધક બની રહે છે. દિવાળી વેકેશન પછી ખૂલતા શૈક્ષણિક સત્ર પછી ફેબ્રુઆરી મહિના સુધી લગભગ અઢી મહિના આવા  કેમ્પ યોજાતા રહે છે. જે માટે શૈક્ષણિક સંસ્થાઓ ઓફલાઇન એપ્લિકેશન કરી શકે છે. કેમ્પમાં કેમ્પ ફાયર, ટ્રેકીંગ, આકાશ દર્શન સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.  ૩૧ જાન્યુઆરીએ આ મોસમનો છેલ્લો કેમ્પ સંપન્ન થયો હતો.

જાગૃતિ વધે અને પ્રવાસનને વેગ મળે એ માટેના પ્રયાસ

આર.એફ.ઓ. દક્ષાબેન વઘાસીયા જેતપુર પાસેનાં ખારચીયા ગામનાં વતની છે. તેઓ વર્ષ ૨૦૧૫ થી ખીજડીયામાં સેવારત છે. વર્ષ ૨૦૦૭ માં વન વિભાગમાં પ્રથમ વખત આવેલ મહિલાઓની ભરતી વખતે જ તેઓ જોડાયા હતા અને ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટર સહિતનાં પદો પર સેવાઓ આપી, વિભાગીય પરીક્ષાઓમાં ઉતિર્ણ થઇ તથા બઢતી મેળવી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પદે પહોંચ્યા છે. દક્ષાબેન અભ્યારણ્યને અનુલક્ષીને ટુરીઝમક્ષેત્રે વધુ વિકાસ થાય એ માટે આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસીઓ માટે રોકાણની સુવિધાઓ  સહિતનાં નવા આયામો ઉમેરાય એ માટે સંબંધિત વિભાગને દરખાસ્ત કરી હોવાનું જણાવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખીજડીયા ગામનાં વિકાસ માટે પણ કાર્યરત હોવા નું તેઓ જણાવે છે તથા નાના - મોટા વિકાસકાર્યો કરી તથા સ્થાનિકોને તાલીમઆપી ગાઇડ તરીકે રોજગારી મેળવવાની તક પૂરી પાડવામાં આવે છે. જામનગર ભાગ્યશાળી છે કે અહી આટલી પ્રાકૃતિક વૈવિધ્યતાને લીધે દરેક પ્રકારનાં પક્ષીઓ આવે છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય પ્રત્યે વધુમાં વધુ લોકજાગૃતિ આવે અને જિજ્ઞાસા થાય અને વધુમાં વધુ પ્રવાસીઓ અહીં આવે એ માટે ડિપાર્ટમેન્ટ પ્રતિબદ્ધ હોવાનાં દાવા સાથે નાગરિકોને પણ દર વર્ષે એક વખત તો અચૂક અહી મુલાકાત લેવા અનુરોધ કરે છે.

ખ્યાતનામ સંશોધક-વૈજ્ઞાનિક ડો. જે. આર. રાઓલ સાથે સંવાદઃ 'તેજસ'વી ભારત યુદ્ધ વિમાનોમાં આત્મનિર્ભર બનવા તરફ

આઁસમા કો ફતેહ કરના હૈ, અબ હમે અપને દમ પે ઉડના હૈ

ભારત  હવે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનાં સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે રાફેલ જેવા યુદ્ધ વિમાનો આયાત કરવાની સાથે જ ભારત સ્વદેશી ફાઇટર પ્લેન બનાવવા પ્રતિબદ્ધ છે ત્યારે આ વિષય સંલગ્ન સંશોધનોમાં જેમનું નોંધપાત્ર પ્રદાન છે અને વિશ્વનાં ટોચનાં સંશોધક - વૈજ્ઞાનિકમાં જેમની ગણના થાય છે એવા ડો. જે. આર. રાઓલ તાજેતરમાં 'નોબત' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં આ તકે તેમની સાથે તેમનાં સ્નેહીજન પ્રદિપભાઇ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (એન.એ.એલ) માં દિર્ધકાલીન સેવા પછી નિવૃત્ત થયેલા જે. આર. રાઓલે 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી તથા 'નોબત' પરિવારના દર્શકભાઇ માધવાણી અને પત્રકાર આદિત્ય સાથે એર ડિફેન્સ ક્ષેત્રે ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અને ભવિષ્યની સંભાવનાઓ વિશે સંવાદ કર્યો હતો.

માણસાનાં વતની ડો. જીતેન્દ્ર આર. રાઓલ હાલ બેંગ્લોરમાં વસવાટ કરે છે. કેનેડામાં પીએચ.ડી. થયા પછી તેઓ નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝમાં સેવારત રહ્યા હતાં. વિમાન સંલગ્ન સમસ્યાઓનાં નિરાકરણ અને શોધખોળ માટે તેમણે વૈશ્વિક સ્તરે સંશોધનો કર્યા છે. તેમની ૮ બુક પ્રકાશિત થઇ છે તથા તેઓનાં માર્ગદર્શન હેઠળ ૧૧ સંશોધકો પી.એચ.ડી. થયા છે.

વિશ્વની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વિશ્વનાં ટોચનાં ૨% રીસર્ચરની યાદીમાં તેમનું નામ વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૧ માં એમ કુલ બે વખત સામેલ થયું છે જે સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. તેઓ જણાવે છે કે પ્લેનની ટેકનોલોજી ખૂબ જટીલ છે અને તેનાં સંશોધનો ખૂબ લાંબાગાળાનાં હોય છે. એટલે જ આજે પણ ભારત પાસે એક પણ 'મેડ ઇન ઇન્ડિયા' પેસેન્જર વિમાન નથી. ખૂબ સંશોધનો અને પ્રયોગો પછી સ્વદેશી યુદ્ધ વિમાન તેજસ બનાવવામાં ભારતને સફળતા મળી છે. જે સિલસિલો આગળ પણ ચાલે એ માટે એર ડિફેન્સ ક્ષેત્રે  બજેટમાં પણ વધારો થાય  અને સંશોધનલક્ષી કામગીરીને વેગ મળે એ જરૂરી છે. સરકારે આવા સંશોધનો માટે ફંડની જોગવાઇઓ હવે બદલી નાંખી છે. પહેલ ા સંશોધન માટે નિશ્વિત બજેટ સરકાર ફાળવતી હતી હવે સંશોધકને માત્ર વેતન ચૂકવાય છે બાકીનો ફંડ સંશોધકે જાતે વિવિધ પ્રયાસો વડે એકત્ર કરવાનો રહે છે.

દોઢસોથી વધુ રિસર્ચ પેપર રજૂ કરી ચૂકેલ ડો.જે.આર.રાઓલે 'ઇમ્પ્રિન્ટ' નામનાં ડાયાબિટીસને લગતા સંશોધનમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. જેમાં એક એવું ડિવાઇસ વિકસાવવામાં આવ્યું છે જે દર્દીનાં સુગરનું મોનિટરીંગ કરે અને જરૂર જણાય ત્યારે નાની પિન વડે ઓટોમેટીક ઇન્સ્યુલીન બોડીમાં  ઇન્જેક્ટ કરી દે છે.

તેમણે ભારતમાં એરોસ્પેસ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાનાં સંશોધન થતા હોવાનું જણાવી ડી.આર.ડી.ઓ. નાં ઘણાં પ્રોજેક્ટમાં પણ યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.

ભારતમાં ફિલ્મી કલાકારો, ધર્મગુરૂઓ તથા રાજકારણીઓને જ મહદ્અંશે યુવા વર્ગ રોલ મોડલ માનતો હોવાથી વિજ્ઞાન કે રિસર્ચ ક્ષેત્રે ખૂબ ઓછી પ્રતિભાઓ આપણને મળે છે. ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરવા પહેલા એ માટેનું વાતાવરણ નિર્માણ કરવું પડશે. ઘણી વખત વૈજ્ઞાનિકો અને ઇજનેરો લોપ્રોફાઇલ રહેતા હોવાથી તેમની સિદ્ધિઓ સામાન્ય જન સમુદાયથી અજાણી રહી જાય છે ત્યારે આ મુદ્દે બંને પક્ષે જાગૃતિ વધે તો યુવા વર્ગ માટે નવા આદર્શો સ્થાપિત કરી શકાય. આ કાર્યમાં તેમણે મીડિયાની ભૂમિકાને મહત્ત્વની ગણાવી હતી.

સંવાદનાં અતિમ તબક્કામાં તેમણે ભારતમાં એન.એ.એલ. તથા ડી.આર.ડી.ઓ., ઇસરો સહિતની વૈજ્ઞાનિક સંસ્થાઓ સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી હોવાનું જણાવી ભારત નજીકનાં ભવિષ્યમાં જ સ્વદેશી વિમાનોનાં નિર્માણમાં સફળતા મેળવી આત્મનિર્ભરતાની ઉડાન ભરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બાદનપરની 'કેકટસ ક્રાંતિ' દેશના સીમાડાઓ વટાવશે... વેલડન

હાથલાનો ઓપેન્સિયા નામનો થોર વિશ્વમાં ૩૦૦ જેટલી પ્રજાતિઓ ધરાવે છે, જેમાંથી ફાયબસ ઈન્ડિકા ખૂબજ ઉપયોગી છેઃ

આજે વિશ્વ જ્યારે હવાના પ્રદૂષણથી હાંફી રહ્યું છે ત્યારે જીવસૃષ્ટિને શુદ્ધ વાતાવરણ આપવા કૃષિક્ષેત્ર જ સર્વોત્તમ વિમકલ્પ રહ્યો છે. જામનગર ૫ાસેના બાદનપર ગામ આવા જ એક હરિયાળા સંશોધન અને ઉછેરનું કેન્દ્ર બન્યું છે. જેને આપણે 'કેકટસ ક્રાંતિ' જ કહી શકીએ.

કેકટસના ઉછેર અને સંશોધનમાં વીસ વર્ષથી વધુ સમયથી અથાગ મહેનત કરનાર ડો. વસરામ બોડા જણાવે છે કે, વિશ્વમાં ર૦૦૦ જેટલી કેકટસની વિવિધ પ્રજાતિઓ છે. તેમણે બાદનપરમાં ૪પ૦ જેટલી પ્રજાતિઓના કેકટસનો ઉછેર કર્યો છે.

બહોળા અનુભવને આધારે ડો. બોડા જણાવે છે કે, કેકટસ ઉછેર માટે ર૪ કલાકમાં દસેક ડીગ્રી જેટલા તાપમાનનો તફાવત મળી શકે તો કેકટસ જલદી ઉછરે છે. આ કારણને લીધે જ રણવિસ્તાર, દરિયાકાંઠાની બિનઉપજાઉ જમીન જેમ કે રાજસ્થાન, કચ્છ, ગુજરાતનો દરિયાકાંઠો વગેરે સ્થળો કેકટસ ઉછેર માટે આદર્શ ગણી શકાય.

કેકટસ ઓપેન્સિયા (હાથલા) નો થોર વિશ્વમાં ૩૦૦ જેટલી પ્રજાતિઓ ધરાવે છે. જેમાંથી ઓપેન્સિયા ફાયકસ ઈન્ડિકા નામનો હાથલિયો થોર સમગ્ર વિશ્વ માટે ખૂબ ઉપયોગી છે. ફૂડ એન્ડ બેવરેજીસ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો જામ, જેલી કેન્ડી, જ્યુસ, મેક્સીકન ડીસ, સલાડ, વાઈન વગેરે પણ આ થોરમાંથી બને છે. કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીમાં સ્કીન કેર પ્રોડક્ટ્સમાં પણ કેકટસનો ઉપયોગ થાય છે. જેમ કે, મોરક્કો દેશમાં થોરના બીજમાંથી એન્ટી એજીંગ ઓઈલ બનાવવામાં આવે છે. ઔષધિય ગુણોમાં જોઈએ તો, હાથલાના લાલ ફળ એનીમિયા (રક્ત કમજોરી) ની બીમારીમાં રામબાણ ઈલાજ છે. સ્થૂળતા અને બ્લડશુગરના દર્દીઓ માટે કેકટસના ઔષધિય ગુણો ઉપયોગી માનવામાં આવ્યા છે.

બાયોએનર્જીની વાત કરીએ તો વિશ્વના ત્રીસ દેશો બાયોગેસ, બાયોઈથેનોલ ઉપરાંત ઈલેક્ટ્રીસિટી પણ કેકટસમાંથી જનરેટ કરી રહ્યા છે. સોલાર એનર્જીના પ્રોજેક્ટ સાથે સોલાર પેનલોની નીચેના ભાગમાં ખાલી જમીનમાં કેકટસનું વાવેતર કરી બાયોએનર્જીનો સ્ત્રોત પણ સાથે-સાથે મેળવી શકાય.

આમ, વિવિધ ગુણોના ભંડાર સમાન આ રંગબેરંગી કેકટસની અવનવી દુનિયા સંશોધકોની આતૂરતાથી રાહ જોઈને બેઠી છે. ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, કૃષિપ્રેમીઓ આવા કેકટસ ઉછેર કેન્દ્રની મુલાકાત લઈ આ માનવઉપયોગી વનસ્પતિના ઉછેર અને જતન માટે જાગૃત બને તો એક નવી જ હરિયાળી દુનિયાની ભેટ આગામી પેઢીઓને મળશે.

કેકટસ અંગે કેટલાક સૂચનો

કૃષિ યુનિવર્સિટીઓમાં અદૃશ્ય રહેલો કેકટસ ઉછેરનો વિષય અભ્યાસક્રમમાં ઉમેરવાની તાતી જરૂરિયાત

ધરતીપુત્રો પણ શેઢાના સીમાડા કેકટસથી સુરક્ષિત કરી શકે અને કેકટસની ખેતીથી પણ મબલખ કમાણી કરી શકે. ઈલેક્ટ્રીક કરંટવાળી વાડના ખર્ચ અને ખતરાથી બચી શકાય

પાણીની અછતવાળી, પોષક તત્ત્વો રહિત તથા બિનઉપજાવ એવી જમીનમાં કેકટસની ખેતી કરવા સરકાર દ્વારા માર્ગદર્શન અને સહાયતાની આવશ્યક્તા.

કેકટસના રોપ અને બીજના સંગ્રહની 'સીડબેંક'ની સ્થાપના પણ સમયની માંગ

પશુહત્યાને રોકવાના પ્રયાસરૂપે કેકટસની વિશેષ પ્રજાતિમાંથી લેધર બનાવવાનો સફળ પ્રયોગ મેક્સિકોમાં થઈ ચૂક્યો છે. હાલમાં ચેન્નાઈમાં પણ આ અંગે સંશોધન ચાલી રહ્યું છે.

બ્યુટી પ્રોડક્ટ્સ સહિત ફૂડ એન્ડ બેવરેજીસ એટલે કે, જામ, જેલીથી માંડીને વાઈન સહિતની પ્રોડક્ટ્સ કેકટસમાંથી બને છે. પશુચારા માટે પણ કેકટસની અમુક પ્રજાતિ ખૂબ પૌષ્ટિક છે.

બાદનપરમાં કેકટસ ઉછેરનો ભેખ ધરનાર ડો. વસરામ બોડાએ કેવડિયામાં દસ એકરમાં પથરાયેલા કેકટસ પાર્ક કે જ્યાં ૪પ૦ જેટલી પ્રજાતિઓ ઉછેરવામાં આવી છે. ત્યાં ખૂબ સક્રિયપણે માર્ગદૃશન પૂરૃં પાડ્યું છે. ઉપરોક્ત ઈન્દ્રોડા, ડાંગ જિલ્લાના વધઈ, રીવરફ્રન્ટ, દ્વારકામાં નાગેશ્વર વગેરે જગ્યાએ પણ કેકટસ ઉછેરની પહેલ કરાવી છે. ભારતની સ્થાનિક નામાંકિત ખાનગી કંપનીઓ તેમજ ઈજિપ્ત જેવા દેશો પણ 'કેકટસ ક્રાંતિ'ના આ અભિગમને પોષવા અને વિક્સાવવા તેમનું માર્ગદર્શન લઈ રહ્યા છે.

કેકટસનું વાવેતર ડેઝર્ટીફિકેશન એટલે કે, રણને આગળ વધતું અટકાવે છે, કારણ કે તેમાં જમીનના ધોવાણને રોકવાના ગુણો છે.

ડો. વસરામ બોડા-કારકિર્દી પરિચય

વર્ષ ર૦૦પ માં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રાપ્ત થયેલ કૃષિ સંશોધન એવોર્ડ વિજેતા ડો. વસરામ પી. બોડાએ વર્ષ ૧૯૭પ માં વેટરનરી, ૧૯૭૬-૭૭ ના વર્ષમાં આણંદમાં વેટરનરી કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ પર હતાં. ૧૯૭૭ થી ર૦૦૦ ના વર્ષ સુધી ગુજરાત ડેરી વિકાસ નિગમમાં વેટરનરી ડોક્ટરથી લઈ જનરલ મેનેજર સુધીની ફરજ બજાવી હતી. વર્ષ ર૦૦૦ માં વીઆરએસ લીધું હતું.

વીઆરએસ પછી જમીન લઈ વીસેક વર્ષ જેટલા સમયથી તેઓ ફ્લોરી કલ્ચર (બાગાયતી) ખેતી કરી રહ્યા છે. ખેતીની સાથે-સાથે તેઓ કૃષિમંત્રીના સલાહકાર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. છેલ્લા વીસેક વર્ષથી તેઓ કેકટસ ઉછેર અંગે ઊંડુ અધ્યયન અને ઉછેર કરી રહ્યા છે.

 આનો સંપૂર્ણ વિડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો

https://youtu.be/vp9YE2qcXL0

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વૈદિકકાળથી શરૂ થયેલા સોમયાગ યજ્ઞનું ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક મહત્વઃ પ.પૂ.શ્રી વ્રજોત્સવ મહોદય

લાલ પરિવાર દ્વારા આયોજીત મહાસોમયાગના દિવ્ય આયોજન અંગે 'નોબત' સાથે મહોદયનો સંવાદઃ

સોમયજ્ઞ સર્વ પ્રથમ, સકામ અને સર્વનું કલ્યાણ કરતો ધર્મોત્સવ છે ઃ પ.પૂ.ગો.વ્રજોત્સવજી મહોદય છોટીકાશી' કહેવાતા જામનગરમાં સેવાભાવી એચ.જે.લાલા (બાબુભાઇ લાલ) પરિવાર દ્વારા  શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયાગ તથા શ્રી વિષ્ણુ ગોપાલ મહાયાગનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.  ઇંદોરનાં પદ્મશ્રી - પદ્મભૂષણ પૂ.ગો.શ્રી ગોકુલોત્સવજી મહારાજ ૧૪૫ મો સોમયજ્ઞ કરાવી રહ્યા છે. તેમની સાથે સોમયજ્ઞ સમ્રાટ પૂ. પા. ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મહોદય તથા પૂ.પા.ગો.ચિ. શ્રી ઉમંગરાયજી બાવા પણ યજ્ઞ કાર્યમાં સંલગ્ન છે.

લાલ પરિવારનાં અશોકભાઇ લાલ તથા જીતુભાઇ લાલ સહપરિવાર આ ધર્મકાર્મનું યજમાન પદ શોભાવી રહ્યા છે. તેમજ નોંધણી કરાવ્યા મુજબ શહેરનાં અનેક ધર્મપ્રેમીઓ પણ આ ધર્મોત્સવમાં સામેલ થવાનું સૌભાગ્ય મેળવી પુણ્યલાભ મેળવી રહ્યા છે. યજ્ઞ દરમ્યાન પૂ.પા.ગો.શ્રી વ્રજોત્સવજી મહોદય દ્વારા 'નોબત' સાથેનાં સંવાદમાં આ ધર્મોત્સવનું મહાત્મય વર્ણવવામાં આવ્યું હતું.

સોમયાગ એ સર્વપ્રથમ યજ્ઞ છે અર્થાત વૈદિક કાળથી ઋષિ પરંપરાથી થતો આવ્યો છે. જેમાં ઋતુ અનુસાર વિવિધ પ્રકારની ઔષધિઓનાં ઉપયોગ સાથે ગૌવંશનાં દૂધ વગેરેનો ઉપયોગ મુખ્ય હોય ધાર્મિક - આધ્યાત્મિક મહત્વની સાથે જ વાતાવરણ શુદ્ધીમાં પણ આ યજ્ઞ મહત્વની ભૂમિકા ભજવે છે. વર્તમાનમાં વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે સોમયજ્ઞનું ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક મહત્વ પણ છે એમ કહી શકાય.

પ્રાચીન કાળમાં રાજાઓ ઋષિઆજ્ઞાથી દાસભાવે સોમયજ્ઞ કરાવતા હતા અને વર્તમાનમાં સમૃદ્ધ લોકો ધર્માચાર્યોનાં માર્ગદર્શનમાં આ સત્કર્મ કરે છે જે સદીઓની પરંપરાને ઉજાગર કરે છે. ઉલ્લેખનીય છે કે સોમયજ્ઞમાં પણ શ્રી વિરાટ વાજપેય બૃહસ્પત સોમયાગ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેની સાક્ષીમાં જ શ્રી વિષ્ણુ ગોપાલ મહાયાગ કરવાથી વિષ્ણુ ગોપાલ મહાયાગનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. નગરમાં એચ.જે.લાલ પરીવાર દ્વારા આ ધર્મોત્સવને પગલે હજારો નગરજનોને પુણ્યલાભ પ્રાપ્ત થઇ રહ્યો છે એ માટે તેમણે લાલ પરીવારની ધર્મનિષ્ઠાને બિરદાવી હતી.

સંવાદનાં અંતિમ ચરણમાં તેમણે પ્રવર્ગ્યનાં દર્શન તથા યજ્ઞ પ્રદક્ષિણાનું મહત્વ સમજાવી તપ, દાન, ધર્મ અને સત્કર્મ કરતા રહેવાનો સંદેશ સર્વે વૈષ્ણવોને આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરનું ગૌરવઃ ફોરમ વિપાણીએ ફેશન ડિઝાઇનીંગ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મેળવી સિધ્ધિ

લિબાસો કો નએ આયામ દેતી હૂં, મૈં ફેશન કો હુન્નર કા નામ દેતી હૂં

માણસનાં વ્યક્તિત્વનો સૌથી પ્રથમ પરિચય તેનાં પહેરવેશ ઉપરથી થતો હોય છે. એટલે જ ફેશન વર્લ્ડનો કારોબાર અબજો રૂપિયાનો છે કારણકે ફેશન એટલે ટ્રેન્ડ બની ગયેલો પ્રયોગ. તમારા પહેરવેશથી લોકો પ્રભાવિત થાય  તો જ એ ફેશન બને. મોટાભાગના લોકો ફેશન ફોલો કરતા હોય છે (મહદ્અંશે ફિલ્મ સ્ટારોનાં પહેરવેશ જોઇને) પરંતુ અમુક લોકો પોતાનું પેશન ફોલો કરે છે એ પોતાનાં ક્ષેત્રમાં ફેશન બનાવે છે. જામનગરની ફોરમ જીજ્ઞેશભાઈ વિપાણીએ ફેશન ડિઝાઈનીંગ ક્ષેત્રે નગરને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. ત્યારે ફોરમે તેનાં પિતા જીજ્ઞેશભાઇ તથા માતા તેજલબેન સાથે 'નોબત' ની મુલાકાત લઇ 'નોબત' પરિવારનાં દર્શકભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે પોતાની સફળતા અંગે સંવાદ કર્યો હતો.

દેશની રાજધાની દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં વર્લ્ડ ડિઝાઇનીંગ ફોરમ દ્વારા નેશનલ ડિઝાઇનર્સ એવોર્ડ સિઝન-૬, ૨૦૨૩ નું આયોજન થયું હતું. જેમાં ભારતનાં દરેક રાજ્યમાંથી પસંદગીનાં ફેશન ડિઝાઇનરોએ ભાગ લીધો હતો.જેમાં ગુજરાતની ટીમનાં ૧૦ ફેશન ડિઝાઈનર પૈકી જામનગરમાંથી એકમાત્ર ફોરમની પસંદગી થઇ હતી. જેમાં માતાજીની પછેડી થીમવાળા ડ્રેસની કૃતિઓએ ગુજરાતની ટીમને 'બેસ્ટ ટ્રેડીશ્નલ ગારમેન્ટ ઓફ ધ યર' નો ખિતાબ અપાવ્યો હતો અને આ સિધ્ધિમાં ફોરમનો સિંહફાળો રહ્યો હતો.

ફોરમે આ થીમ પર ડિઝાઇન કરવા માટે ભારે શોધખોળ અને પ્રયોગ પછી સુરતથી એક કાપડ પસંદ કર્યું હતું. એ પછી માતાજીની પછેડી થીમને અનુલક્ષીને પોતાના કુળદેવી શ્રી સિંધવૈય સિકોતર માતાજીની સૌથી પ્રાચીન છબિને શોધી તે મુજબ પોતાનાં હાથે ૪૮ કલાક પેઇન્ટીંગ કરી માતાજીનાં સ્વરૂપને ડ્રેસમાં સાકાર કરવામાં આવ્યું હતું.

વિવિધ ખ્યાતનામ મોડેલોએ ફોરમ દ્વારા ડિઝાઇન કરેલ ડ્રેસમાં રેમ્પ વોક કરી વાહવાહી સાથે ગુજરાતની ટીમને સિધ્ધિ અપાવવાનું કાર્ય કર્યુ હતું. આ કાર્યક્રમમાં ખ્યાતનામ ફેશન ડિઝાઇનરો ઉપરાંત બોલીવુડનાં કલાકારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે ફોરમની કલાને બિરદાવી હતી.

ફોરમનાં પિતા જીજ્ઞેશભાઇ બેડી બંદર રોડ પર પટેલ કોલોની નં. ૬ પાસે વિજેશ ડિપાર્ટમેન્ટલ સ્ટોરનું સંચાલન કરે છે. જ્યારે માતા તેજલબેન ગૃહિણી હોવાની સાથે જ સ્ટોર સંચાલનમાં પણ સહભાગી બને છે. ફોરમનાં પિતા જીજ્ઞેશભાઇ ડિઝાઇનીંગની આગવી સૂઝ ધરાવે છે. ફોરમનાં અભ્યાસ વિશે વાત કરીએ તો તેણીએ નગરની શ્રી સત્યસાંઇ તથા સેન્ટ આન્સ સ્કૂલ અને એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો છે. બી.કોમ.ની સમાંતર જ તેણીએ આઇ.એન.આઇ.એફ.ડી. ની ડિગ્રી મેળવી ફેશન ડિઝાઈનીંગમાં કારકિર્દી તરફ આગેકૂચ કરી. ડબલ ગ્રેજ્યુએટ ફોરમનું સપનુ છે કે તે જામનગરમાં જ પોતાનું ફેશન ડિઝાઇનીંગ ઇન્સ્ટીટ્યૂટ શરૂ કરે. તેણીનાં માતા-પિતાએ અભ્યાસથી લઇ કારકિર્દીમાં હંમેશાં ફોરમની લાગણીને માન આપી તેને મનગમતા પગલા લેવા દીધા છે અને ફોરમ એ પગલાઓ થકી મંઝીલો પામતી ગઇ છે ત્યારે ફોરમ પોતાનું ઇન્સ્ટિટયૂટ શરૂ કરી નવી મંઝીલ પણ મેળવી લેશે એવો તેણીને વિશ્વાસ છે. આ વિશ્વાસ સાચો પડે એવી શુભેચ્છા સાથે વિરમીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કર્મ, ભક્તિ અને જ્ઞાનનું નિરૃપણ કરનાર શ્રીમદ્ ભગવદ્ ગીતાજીની જયંતી

૨૩ ડિસેમ્બર, શનિવારના સર્વને મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી છે. તે દિવસે કુરૃક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણએ ગીતા જ્ઞાન આપ્યું હતું, આથી આ અગિયારસને 'ગીતા જયંતી' કહેવાય છે. જયંતી મહાપુરૃષોની, ધર્મગુરૃઓની અને અવતારોની ઉજવાતી હોય છે. વિશ્વમાં ક્યાંય પણ કોઈ ગ્રંથની જયંતી ઉજવવામાં આવતી નથી પરંતુ સમગ્ર વિશ્વમાં ગીતાજી એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઉજવાય છે.

ગીતા જયંતી આપણને એ પાવન ઉપદેશની યાદ અપાવે છે કે જે શ્રીકૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો. ગીતાના ઉપદેશ માત્ર ઉપદેશ જ નથી, પણ જીવન કેવી રીતે જીવવું તે આપણ ને શીખવે છે. કુરૃક્ષેત્રના મેદાનમાં અર્જુને જ્યારે કુટુંબીજનો, ગુરૃઓને જોઈને તેમની સામે યુદ્ધ કરવાની ના પાડી હતી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું, આત્મા-પરમાત્માથી લઈને ધર્મ કર્મથી જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું. ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. આ ઉપદેશ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને પોતાના વિરાટ સ્વરૃપના દર્શન કરાવીને જીવનની વાસ્તવિકતાથી સાક્ષાત્કાર કરાવ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની રહી છે.

ગીતામાં કુલ ૧૮ અધ્યાયો અને ૭૦૦ શ્લોક છે. અનુષ્ટુપ છંદમાં ગીતાના શ્લોકની રચના થયેલી છે. મહર્ષિ વેદ વ્યાસે ગીતા નામ આપ્યું છે. જ્ઞાન, કર્મ, શ્રદ્ધા, સંયમ, નવપ્રકારની ભક્તિ, કાળકર્મ, જીવન, માયા, ઈશ્વર પ્રકૃતિ, જીવનને બંધન અને મોક્ષ કેવી રીતે થાય છે તેના પર પ્રતિપાદન કરાયું છે. આશરે પાંચ હજાર બસ્સો વર્ષ પહેલા ગીતાનું સર્જન થયેલું છે. દુનિયાભરમાં વસતા હિન્દુઓના ધર્મમાં આ ગ્રંથ રહેલો છે. લગભગ ૧૫૦થી વધુ ભાષાઓમાં રચાયેલા આ ગ્રંથમાં જ્ઞાન, ભક્તિ, કર્મને જરૃરી એવા તમામ વિષયો અંગે જણાવેલું છે. સાંપ્રત સમયમાં માણસ જયારે નિષ્ક્રિય બની જાય ત્યારે તેને ગીતાના વાચનથી આધાર મળી જાય છે.

ડિસેમ્બર માસને ઈસ્કોન ટ્રસ્ટ દ્વારા ભગવદ્ ગીતા મેરેથોન તરીકે ઉજવવામાં આવે છે. આ અંગે માહિતી આપતા ઈસ્કોન મંદિરના પ્રમુખ મુરલીધરદાસ જણાવે છે કે, જામનગર અને દ્વારકા જિલ્લાના શહેર અને ગામોમાં ગીતાજીનું વિતરણ કરવામાં આવશે. ગયા વર્ષે ડિસે. માસમાં ગીતાના ૧૦૦૦૦ પુસ્તકોનું વિતરણ કરાયું હતું. આ વર્ષ તેનાથી વધુ પુસ્તકના વિતરણની આશા છે. લગભગ ૧૦૦થી વધુ ભક્તો આ વિતરણ યાત્રામાં જોડાયા છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, આજના માતા-પિતા પોતાના સંતાનોની બધી જરૃરિયાત પૂરી કરે છે. બધી જ સગવડતા આપે છે પરંતુ ગીતાજી આપવાનું ભૂલી જાય છે. બાળકોને શિક્ષણની સાથે સાથે ગીતાનું જ્ઞાન પણ આવશ્યક છે. ગીતાજી આધ્યાત્મિક જ્ઞાન છે. જીવનમાં ભણતરની જરૃર છે, સમાજને ભણેલા વ્યક્તિની જરૃર છે તેમજ જીવનમાં સાચા જ્ઞાનની પણ જરૃર છે. ઈસ્કોન મંદિરના યુવાનો આ જ્ઞાન ફેલાવે છે. ખરાબ આદતથી દૂર કરીને સાચા જીવન તરફ વાળવા પ્રયત્ન કરે છે. આજના શિક્ષકોએ પણ આધ્યાત્મિક જ્ઞાન તરફ વિદ્યાર્થીઓને વાળવા જોઈએ.

આજના યુવાનોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી ગયું છે ત્યારે પ્રભુજી કહે છે કે, ચિંતાનું કારણ અજ્ઞાનતા છે. આજના યુવાનો શરીરને, સુંદરતાને મહત્ત્વ આપે છે. વાસ્તવિકતા શરીર નહીં, આત્મા છે. આત્માને સાત કરશું ત્યારે જ ચિંતામુક્ત થઈ શકશું. એ માટે આધ્યાત્મિક જ્ઞાન, ગીતાજી ઉપયોગી છે. આજના યુવાનોને જીવન શું છે તે ખબર જ નથી, ભણતરને માત્ર આર્થિક સાધન માને છે, પણ ખરેખર ભણતર સાથે ધર્મનું જ્ઞાન હોવું જોઈએ, ભણતર સાથે જીવનનું લક્ષ્ય હોવું જોઈએ, ધર્મ ન હોય તો માનવી પશુ સમાન છે. જીવન તો દરેક જીવને મળે છે પણ માનવ જીવનનો ખાસ હેતુ છે અને તે છે આધ્યાત્મિક જ્ઞાન મેળવવું, સમજવું અને આચરણ કરવું.

જામનગર ઇસ્કોન મંદિરમાં સ્થાપિત ભગવાનની પ્રતિમા અંગે તેઓ જણાવે છે કે મૂર્તિ પાંચ રીતે હોય છે. ધાતુની, પથ્થરની, માટીની, ચિત્રની અને મનની... ભગવાનની મૂર્તિ ગમે તે પ્રકારની હોય પરંતુ ભગવાન તેમાં બિરાજમાન હોય જ છે. હાલમાં મંદિરમાં ચિત્રના કટઆઉટના વિગ્રહ છે.

ગીતાજી વિશે જણાવતા કહે છે કે, જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે, તો જે મનુષ્યો ભગવદ્ ગીતાના અમૃતનું પાન કરે છે તેના માટે તો કહેવું જ શું? ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે, જે સ્વયં ભગવાન કૃષ્ણના મુખેથી રચાયેલી છે. ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ જ નથી. સાથે સાથે મનોવૈજ્ઞાનિક ગ્રંથ પણ છે. ગીતા મનુષ્ંયના મનનું વિશ્લેષણ કરીને મુંઝવણોને દૂર કરે છે, જીવનથી કે પછી કર્મથી વિમુખ થઈ ગયેલા પથિકને ગીતા જ નાવિક બનીને કિનારે પહોંચાડે છે. જીવનકર્મ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ ગીતા જ આપે છે. હતાશાના અંધકારમાંથી મનુષ્યને મંગલમય જીવનનો શુભારંભ કરવાની પ્રેરણા ગીતામાંથી મળે છે.

ગીતા આધ્યાત્મિક ગ્રંથ હોવાની સાથે સાથે એક વ્યવહારુ ગ્રંથ પણ છે. તે મનનું વિજ્ઞાન છે. મનની દરેક મુંઝવણનો ઉકેલ ગીતામાંથી મળે છે. ગીતાનો આધ્યાત્મિક મર્મ એ છે કે સંસાર પણ એક સંગ્રામ છે, જેમાં આપણે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરીએ છીએ, ભગવદ્ ગીતા દરેક મનુષ્યને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. આવા મહાન ગ્રંથ ગીતાની જયંતીની ઉજવણી માટે ઈસ્કોન મંદિર તરફથી સર્વે ભક્તોને ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે. હરે ક્રિષ્ણે...

દીપા સોની, જામનગર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh