ફરે એ ચરે.....

ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે, *ફરે એ ચરે, અને બાંધ્યો ભૂખે મરે..* એટલે કે  સફળતા તેને જ મળે કે જે ઘરની બહાર નીકળે, દુનિયામાં અલગ અલગ જગ્યાએ ફરે, અને  પોતાનો સેફટી ઝોન છોડીને મુશ્કેલીઓનો સામનો કરે. આ રીતે જ માણસનું કેરેક્ટર ઘડાય છે,  અને ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તે પાછો પડતો નથી અને જિંદગીમાં સફળતા મેળવે છે.

*ફરે એ ચરે..* એ વાત  આમ તો યુવાનોને ઉદેશીને કહેવામાં આવી છે, પરંતુ તેનો  અમલ યુવાનો કરતાં પણ રાજકારણીઓ વધારે કરે છે, અને એકદમ સફળતાપૂર્વક કરે છે.  બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારનો જ દાખલો લો ને. તેઓ બિહારના મુખ્યમંત્રી હતા, રાજીનામું  આપ્યું, એનડીએ માં જોડાયા અને ૨૪ કલાકમાં ફરીથી બિહારના મુખ્યમંત્રી બની ગયા.

 હવે તો તેને નામે એક રેકોર્ડ બની ગયો છે કે તેઓ બિહારના નવમી વખત મુખ્યમંત્રી  બન્યા. હવે આ નવ વખત મુખ્યમંત્રી બનવા માટે તેને કેટલી વખત એનડીએનો સપોર્ટ હતો,  અને કેટલી વખત યુપીએનો તે તો કદાચ નીતીશકુમારને પોતાને પણ યાદ નહીં હોય... તેઓ  અત્યારે પણ બીઝી છે કે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી પછી કોની સાથે ગઠબંધન કરવું..!

ભૂતકાળમાં લાલુપ્રસાદ યાદવે પણ આ *ફરે એ ચરે..* કહેવતનો ઉપયોગ કરેલો. પરંતુ  તેઓએ ફરવાનો અને ચરવાનો ક્રમ ઉલટાવી નાખેલો. એટલે કે તેઓ પહેલા ઘાસચારો ચર્યા,  ધરાઇ ધરાઈને ચર્યા. પરંતુ પછી  ઘાસચારાનો આફરો ચડ્યો. અને પછી લાલુ યાદવ ચકરાવે  ચડ્યા, પહેલા રાજભવન છોડીને ઘર ભેગા થયા. પછી તો ઘરેથી કોર્ટે, કોર્ટેથી જેલમાં, એક  જેલમાંથી બીજી જેલમાં, હોસ્પિટલમાં વગેરે વગેરે જગ્યાએ ફરવાનું થયું અને સફળતાને બદલે  નામોશી મળી.

ડાર્વિને એક સરસ સિદ્ધાંત આપ્યો છે, ઉત્ક્રાંતિવાદ નો. તેમાં તેણે સરસ રીતે જણાવ્યું છે  કે પૃથ્વી પર જીવનનો વિકાસ કઈ રીતે થયો. અહીં તેણે સાબિત કર્યું છે કે વાનરો એ જ માણસ  જાતના પૂર્વજો છે. મને આ વાત આજ દિવસ સુધી માનવામાં આવતી નહોતી. પરંતુ આજકાલ  રાજકારણમાં જે રીતે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જમ્પ કરવામાં આવે છે, તે જોઈને મને આ વાત  બિલકુલ સાચી લાગે છે.

જોકે કોઈએ અહીં બંધબેસતી પાઘડી પહેરી લેવાની જરૂર નથી. જીવનના દરેક ક્ષેત્રની  જેમ રાજકારણમાં પણ સિદ્ધાંત વાદી રાજકારણીઓ છે, કદાચ બહુમતીમાં છે અને એટલા માટે  જ આજે પણ ભારતમાં લોકશાહી ટકી રહી છે. પરંતુ જે હદે એક પક્ષમાંથી બીજા પક્ષમાં લોંગ  જમ્પ મારવાનું દુષણ વધી રહ્યું છે, તે જોતા લાગે છે કે ભવિષ્યમાં વાનરો પણ રાજકારણીઓની  સલાહ લેવા આવશે.

જોકે બિહારના નિતીશ કુમારે સર્કસના ઝુલા ના કલાકાર ની જેમ એક ઝુલા પર થી  બીજા ઝુલા પર એટલે કે  એક પક્ષમાંથી બીજા પક્ષમાં એટલી બધી વાર જમ્પ લગાવ્યો છે કે તેનો  રેકોર્ડ નજીકના ભવિષ્યમાં પણ તૂટશે નહીં.

આપણે તો આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આ રેકોર્ડ કદી ન તૂટે..!!

વિદાય વેળાએ ઃ વેલેન્ટાઈન ડે ગયો. અને અત્યારે લગ્નની સિઝન પુરબહારમાં ચાલે છે. તો  લગ્ન વિશે હું એટલું જ કહીશ કે,*લગ્ન એટલા માટે પણ કરવા જોઈએ કે, *જેથી ખબર પડે કે,  લગ્ન શા માટે ન કરવા જોઈએ !!*

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લાઈફ બિગિન્સ ૬૦...

કહે છે કે લાઈફ બિગિન્સ ૬૦. કારણ કે ૬૦ વર્ષની ઉંમરે નોકરી કે ધંધામાંથી રિટાયર થઈ  ગયા હોઈએ, સામાજિક જવાબદારીઓ પણ મોટેભાગે પૂરી થઈ ગઈ હોય, નાણાકીય રીતે પણ  સધ્ધર હોઈએ, અને સાથે સાથે જો આપણી તંદુરસ્તી પણ સારી હોય, તો આપણે આપણી મનપસંદ પ્રવૃત્તિ કરી શકીએ. જિંદગી આખી આપણે સામાજિક  કે આર્થિક જવાબદારીઓને  કારણે, અને ખાસ તો સમયના અભાવે જે કોઈ પ્રવૃત્તિઓ, ઈચ્છા હોવા છતાં પણ ન કરી હોય,  તે હવે કરી શકીએ છીએ.

અને અહીં જ માણસ ક્યારેક મોટી ભૂલ કરી બેસે છે. પોતાની મનપસંદ પ્રવૃત્તિ નક્કી કરવા માટે  તે બીજાની સલાહ લે છે. એક નહીં પરંતુ અનેક મિત્રો અને સ્નેહીઓની સલાહ લે છે. સંસ્કૃતમાં  કહ્યું છે કે *તુંડે તુંડે મતિર્ભિન્ના..* એટલે કે દરેક માણસની બુદ્ધિ અલગ અલગ રીતે ચાલે છે.  તેથી જ દરેક માણસ જુદી જુદી પ્રવૃત્તિ કરવાની સલાહ આપે છે, અને સરવાળે રીટાયર થયેલો  માણસ વધુ ગૂંચવાય છે. છેવટે તે માણસ મોટીવેશનલ સ્પીકરના શરણે જાય છે

જો કે, મને મોટીવેશનલ સ્પીકરો બહુ ગમે. સાચો મોટીવેશનલ સ્પીકર તો એ જ કહેવાય કે જે  એકદમ નિરાશ અને નાસીપાસ થયેલા માણસને પણ ઉત્સાહથી ભરી દે. કોઈપણ કારણે  જિંદગીથી હારેલા માણસને પણ નવી જિંદગી જીવવાનો ઉત્સાહ આપે. જિંદગીમાં કંઈક કરી  બતાવવાની પ્રેરણા આપે.

પરંતુ આજકાલ મોટાભાગના મોટીવેશનલ સ્પીકરોને એક જ વાત આવડે છે, કે જે કોઈ તેની  અડફેટે આવે તેનામાં હવા ભરી દેવાની... એટલે કે સામેના માણસમાં કેપેસિટી હોય કે ન હોય,  તેને મોટી મોટી વાતો કરીને છાપરે ચડાવી દેવાનો. પછી જેવું તેનું ભાગ્ય..! સલાહ મેળવનારને  કશો ફાયદો થાય કે ના થાય, પરંતુ સલાહ આપનાર, એટલે કે મોટીવેશનલ સ્પીકરનું નસીબ  તો ચમકી જ જાય છે...!

જો કે આ બધા મોટીવેશનલ સ્પીકરો કરતા તો આપણા પોલિટિશિયન્સ વધારે સારા. તેઓ જાણે  છે કે પોલિટિક્સમાં તો કોઈ પણ ઉંમરે કારકિર્દી બનાવી શકાય છે. એટલે તેઓ બીજાને સલાહ  આપવાને બદલે, પહેલા પોતે જ તેનો અમલ કરે છે, અને બીજાને તે પ્રમાણે કરવાની પ્રેરણા આપે  છે. દા.ત. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને જ યાદ કરોને. સામાન્ય માણસ જે  ઉંમરે આ દુનિયામાંથી જ રિટાયર થઈ જતો હોય, તે ઉંમરે તેઓ ભારતના વડાપ્રધાન બન્યા,  અને સફળતાપૂર્વક દેશનો વહીવટ ચલાવ્યો.

જો બહુ દૂર ન જવું હોય તો આપણા યુવા નેતા રાહુલ ગાંધીનો જ દાખલો લો. વર્ષોથી તેઓ  રાજકારણમાં છે, તેઓ દેશ આખામાં જાણીતા પણ છે, અને સખત મહેનત પણ કરે છે. તેઓ  દેશમાં ઠેઠ દક્ષિણથી ઉત્તર સુધીની, તેમજ પૂર્વથી પશ્ચિમ સુધીની યાત્રાઓ પણ કરે છે. પરંતુ  તેમણે કદી પદનો મોહ નથી રાખ્યો. તેમને આપણા દેશના સૌથી જૂના અને ખમતીધર એવા  કોંગ્રેસ પક્ષનું પ્રમુખપદ મળતું હતું તે પણ તેણે જતું કર્યું.

જો કે પોલિટિશિયન્સની તકલીફ વળી બીજા પ્રકારની હોય છે. જે ઉંમરે પોતે રિટાયર થઈને  નવી પેઢીને તૈયાર કરવાની હોય, આગળ વધવાની પ્રેરણા આપવાની હોય, તે ઉંમરે તેઓ  પોતાની કેરિયર શરૂ કરતા હોય છે અથવા તો જે કોઈ હોદ્દા પર તેઓ બિરાજમાન હોય ત્યાં  જાણે ફેવિકોલ લગાવ્યો હોય તેમ ચીપકીને બેસી જાય છે.

વળી આ પ્રોબ્લેમ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરના દેશોમાં છે. અમેરિકન પ્રેસિડેન્ટ  ૮૦+ છે, અને તેમને ફરીથી ચૂંટાવુ છે. જ્યારે રશિયાના પ્રેસિડેન્ટ પુટિન અને ચીનના પ્રેસિડેન્ટ  જીન પિંગે બંધારણમાં જ એવા સુધારા કર્યા છે કે તેઓ આજીવન સત્તાસ્થાને રહે.

ખરેખર સાચું જ કહ્યું છે કે, "કાગડા બધે જ કાળા હોય.!! "

વિદાય વેળાએઃ બધું જ મેળવી લેવાના આ જમાનામાં આપણે બહુ જ ગુમાવ્યું છે.. પહેલા  અભાવમાં ખુશી હતી, હવે જિંદગીમાં ખુશીનો અભાવ છે..!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હમ નહીં સુધરેંગે....

ઘણાંં વર્ષો પહેલાં એક ફિલ્મ આવેલી, *હમ નહીં સુધરેંગે..*. કોમેડી ફિલ્મ હતી, અને મને કોમેડી ફિલ્મો બહુ જ ગમે. છતાં પણ મેં આ ફિલ્મ નથી જોઈ, કારણ કે આપણી આસપાસ જ એવા કેટલાય જીવતા જાગતા નમુનાઓ મળી આવે છે કે જેઓ જાણ્યે-અજાણ્યે ભૂલો કરતા રહે છે, અરે, એકની એક ભૂલ વારંવાર કરતા રહે છે. અને દરેક ભૂલ પછી એવી રીતે સોરી કહે છે કે જાણે એલાન કરતા હોય કે, *હમ નહીં સુધરેંગે....!!*

અને આ વાત સરકારને પણ એટલી જ લાગુ પડે છે. કદાચ સરકારને તો આ વાત વધુ સારી રીતે લાગુ પડે છે. કારણ કે દર પાંચ વર્ષે ચૂંટણી આવે એટલે દરેક રાજકીય પક્ષ ચૂંટણી જીતવા માટે અનેક વચનો આપે, અને હવે તો ગેરંટી પણ આપે છે. પરંતુ એક વખત ચૂંટણી પતે એટલે બધા જ વચનો અને બધી જ ગેરંટી જાય કચરાપેટીમાં. સરકારી વહીવટ ફરીથી એ જ જૂની બેજવાબદાર રીતે ચાલ્યા કરે. કોઈ સરકારી વહીવટ સુધારવાની વાત કરે તો તરત જ જવાબ મળે કે, *હમ નહીં સુધરેંગે...!!*

જરા યાદ કરો કે આજથી  સવા વર્ષ પહેલા મોરબીનો ઝુલતો પુલ તૂટ્યો, અને લગભગ ૧૩૫ માણસો માર્યા ગયા. એ સાથે જ સરકાર સફાળી જાગી ગઈ, અને સરકારને નરસિંહ મહેતા જેવી આધ્યાત્મિક અનુભૂતિ થઈ કે, *જાગીને જોઉં તો જગત દીસે નહીં...!!*

અને સરકારને પણ આવી આધ્યાત્મિક અનુભૂતિ જ વધારે પસંદ છે. ભૌતિક રૂપે જુઓ તો નજર સામે જ તૂટેલો પૂલ પડ્યો હોય, તેને સપોર્ટ આપતા સ્ટીલના વાયરો કટાઈને તૂટી ગયા હોય, પૂલ રીપેર થયા બાદ તેનું કોઈ સેફટી ચેકિંગ થયું ન હોય અને પૂલ જાહેર જનતા માટે ખુલ્લો મુકાઈ પણ જાય.. સરકારની જવાબદારી શું? કશી નહીં. ૧૨૫ની કેપેસિટી વાળા પુલ પર ૪૦૦થી વધુને પ્રવેશ આપ્યો, જવાબદારી કોની ? ખબર નથી...

આ બધી બેદરકારીના સરવાળા રૃપે પૂલ તૂટ્યો, લગભગ ૧૩૫ માણસો મર્યા, પછી સરકાર એક્શનમાં આવી અને આ દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે એક તપાસ પંચની રચના કરી. સાથે સાથે સેફટીના બીજા પણ જરૃરી પગલા લીધા, જેવા કે અટલબ્રિજના મુલાકાતીઓ પર રિસ્ટ્રીક્શન, બેટ દ્વારકા માં બોટોનું  ચેકિંગ, વગેરે વગેરે.

પરંતુ આ બધું થોડા દિવસ ચાલ્યું. જેવા લોકો મોરબીની દુર્ઘટનાને ભૂલ્યા કે સરકારે પણ તેના બધા જ ચેકિંગ પડતા મુક્યા. લોકોની સલામતી ? એ તો ભગવાન ભરોસે. સરકારે વગર બોલ્યે જાહેર કરી દીધું કે, *હમ નહીં સુધરેંગે...!!*

અને એક વર્ષમાં જ પરિણામ દેખાયું, વડોદરાની હરણી બોટ દુર્ઘટના રૂપે. એ જ બધી જુની બેદરકારી - જુની બોટ, મેન્ટેનન્સનો અભાવ, પાણી અટકાવવા સેલોટેપનો ઉપયોગ, નાસ્તાની લારી ચલાવનારને બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ, સેફટી જેકેટનો અભાવ, વગેરે વગેરે.

કહે છે કે એક હાથે તાળી ન પડે. બધી જ બાબતોમાં સરકારને દોષ દેવાને બદલે આપણે પણ થોડું જવાબદારી પૂર્વક વર્તવું જોઈએ. દાખલા તરીકે બોટ કે બીજા કોઈ પણ વાહનમાં ઓવર કેપેસિટી મુસાફરી ન કરવી, આપણી સલામતી માટે આપણે લાઈફ જેકેટ, હેલ્મેટ, સીટ બેલ્ટ વગેરેનો નિયમિત ઉપયોગ કરવો, વગેરે વગેરે.

કહે છે કે હમણાં ગુજરાતના હાઇકોર્ટના ન્યાયાધીશે પણ નળ સરોવરમાં બોટિંગ લાઇફ સેવિંગ જેકેટ પહેર્યા વગર કરવું પડેલું. સાચી વાત તો એ છે કે સરકારે પણ એવી વ્યવસ્થા કરવી જરૂરી છે કે જ્યાં જાહેર જનતા આવી નાની નાની ફરિયાદ સંકોચ વગર કરી શકે, અને તેનો તાત્કાલિક નિકાલ પણ આવે.

જો આવો સંયુક્ત પ્રયાસ કરવામાં આવશે તો જ આપણે આપણા માથા પર લાગેલું, *હમ નહીં સુધરેંગે..*નું કલંક દૂર કરી શકીશું.

વિદાય વેળાએ ઃ આ દેશમાં બુદ્ધિજીવીઓ બધા જ સિંહ જેવા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એટલી જ છે કે તેમની સિંહ ગર્જનાઓ રણમેદાનમાં નહીં, પરંતુ ટીવીની અર્થહીન ચર્ચાઓમાં જ સાંભળવા મળે છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

થોડું ડોક્ટર વિશે...

મારે ઘણાં ડોક્ટર મિત્રો પણ છે અને તેમને હું વારંવાર મળતો પણ રહું છું, સિવાય કે હું પોતે માંદો હોવ. કારણ કે મને પણ ડોક્ટરની દવાનો, દવાને બદલે આપવામાં આવતા ઈન્જેક્શનનો, જરૂર હોય કે ન હોય તો પણ કરવામાં આવતા અનેક લેબોરેટરી ટેસ્ટનો ડર લાગે છે. અને સૌથી વધુ ડર તો લાગે છે ડોક્ટરના બીલનો.

અને ડોક્ટરના બિલ હોય છે પણ એવા જ. હમણાં નવા વર્ષની શરૂઆતમાં જ અમથાલાલ અમદાવાદીને છાતીમાં દુખાવો થયો અને તેઓ સીધા કાર્ડિયોલોજીસ્ટ પાસે પહોંચ્યા. ડોક્ટરે પૂરું ચેકઅપ કર્યું અને અમથાલાલના બધા મેડિકલ રિપોર્ટ તપાસ્યા અને પછી કહ્યું, 'અમથાલાલ, તમારે અમદાવાદમાં ત્રણ ફ્લેટ છે ને?'

'ત્રણ નહીં ચાર. એક પાલડીમાં, એક આંબાવાડીમાં, એક નવરંગપુરામાં અને એક બોપલમાં..'

'તો ચારમાંથી એક ફ્લેટ વેચી કાઢો. કારણ કે બે દિવસ પછી તમારું બાયપાસ છે...!!' ડોક્ટરે કહ્યું.

સામાન્ય માણસો પણ હવે પોતાની તંદુરસ્તી અંગે સભાન થઈ ગયા છે. આખું વર્ષ આરામ કરનાર આળસુ માણસ પણ શિયાળો આવતા જ મોર્નિંગ વોક શરૂ કરી દે છે, અથવા તો વજન ઘટાડવા જીમમાં જવાનું શરૂ કરી દે છે.

પરંતુ અમારા પાડોશી જટાશંકર આટલું પણ નથી કરી શકતા. તેમને વજન ઘટાડવું છે, તેમને શિયાળાની વાનગીઓ પણ ઝાપટવી છે, પરંતુ કોઈપણ પ્રકારની કસરત નથી કરવી કે વોકિગ નથી કરવું, એટલે તેઓ પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવા ગયા.

ડોક્ટરે તેમની પૂરી વાત સાંભળી અને કહ્યું, 'જટાશંકર, ઘરની આસપાસ લોન ઉપર ચાલવાનું રાખો તો તબિયત સારી રહેશે..'

જટાશંકર કહે, 'સાહેબ તમને સાચું કહું ? મારું આખું ઘર લોન ઉપર જ ચાલે છે..!'

શિયાળામાં વોકિંગ કરવા માટે અમારી સાથે ગ્રુપમાં એક નવા મેમ્બર જોડાયા, ડોક્ટર રાજન. એકદમ સરળ અને સેવાભાવી. નવા આવેલા ડોક્ટર સાહેબનું લાલાએ સ્વાગત કર્યું, એક પ્રશ્નથી, 'ડોક્ટર સાહેબ, એવી કઈ વસ્તુ છે કે જે ફક્ત તમે જ કરી શકો, બીજા કોઈ નહીં..?'

'મારા અક્ષર ફક્ત હું જ વાંચી શકું બીજા કોઈ જ નહીં..' ડોક્ટર સાહેબે હસતા હસતા જવાબ આપ્યો.

'પરંતુ તો પછી તમારી લખેલી દવાની પ્રિસ્ક્રિપ્શન પર મેડિકલ સ્ટોરવાળા દવા કઈ રીતે આપે છે ?' લાલાએ પૂછ્યું.

'થોડુંક અનુભવથી જ્યારે થોડુંક અનુમાનથી..!!'

લાલો ખુશ થઈ ગયો. તેને જોઈતો હતો તેવો જ જવાબ મળ્યો.

કહે છે કે કોમ્પ્યુટરની શોધ ડોક્ટરની આવી વાંચી ન શકાય તેવી પ્રિસ્ક્રિપ્શનના પ્રોબ્લેમ દૂર કરવા માટે જ થઈ છે, અને તેનો લાભ અનાયાસે જ બેંકના કસ્ટમરને પણ મળ્યો છે. હા, બેંકના કસ્ટમરને કોમ્પ્યુટરના કારણે વાંચી ન શકાય તેવી પાસબુકમાંથી છૂટકારો મળ્યો છે..!

વિદાય વેળાએઃ- ડોક્ટરે સલાહ આપી, કે સરકારે ભલે ગિફ્ટ સિટીમાં દારૂબંધી થોડી હળવી કરી, પરંતુ દારૂ પીવામાં આપણે તો પૂરો કંટ્રોલ રાખવાનો. કારણ કે દારૂ તો ધીમું ઝેર છે અને તે માણસને ધીમે ધીમે મારે છે.

લાલાએ તરત જ તેનો જવાબ આપ્યો, ''તો આપણને ક્યાં મરવાની ઉતાવળ છે..?!!''

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વેલકમ ૨૦૨૪....

ઈસુનું વધુ એક વર્ષ પસાર થઈ ગયું. હા, સન ૨૦૨૩ આપણા માટે ઇતિહાસ બની ગયું. ખરેખર તો ૨૦૨૩ નું વર્ષ ઘણી બધી બાબતોમાં આપણા દેશ માટે યાદગાર બની રહ્યું. દા.ત. ભારતનું મિશન ચંદ્રયાન ઐતિહાસિક રીતે સફળ રહ્યું, ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની રહ્યો, ભારતે આર્થિક વિકાસમાં ચીનને પાછળ છોડ્યું, જેના કારણે ભારતનું શેર બજાર ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું, વગેરે વગેરે.

અને ગુજરાતીઓની દૃષ્ટિએ તો આ ૨૦૨૩ નું વર્ષ ખરેખર ઐતિહાસિક અને યાદગાર બની રહ્યું. ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધીના કાયદામાં થોડી છૂટ આપી. બસ એક સામાન્ય ગુજરાતી નાગરિક ખુશ - જાણે કે પોતાને બીજી વખત આઝાદી મળી હોય..!

પરંતુ આ બાબતમાં બહુ હરખાવું નહીં. ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાથી ગુજરાતમાં મૂડી રોકાણ વધશે. એટલે કે દારૂબંધી હળવી કરવાનું આ પગલું ગુજરાતમાં મૂડી ખેંચી લાવવા માટેનું પગલું છે, નહીં કે ગુજરાતી પ્રજાની સુખાકારી વધારવા માટેનું પગલું. જો સરકારનું આ પગલું પ્રજાની સુખાકારી વધારવા માટેનું હોત તો તે પગલું જાહેર કરતી વખતે સરકારે એ જણાવ્યું હોત કે તેનાથી આમ જનતાને શું લાભ થશે, નહીં કે રાજ્યમાં કેટલી નવી મૂડી આવશે.

વર્ષો થયા બધાની એક સામાન્ય ફરિયાદ છે કે ગુજરાતીઓનું અંગ્રેજી કાચું છે. અહીં અંગ્રેજી મીડીયમમાં ભણતા સ્ટુડન્ટ્સને પણ ઘણી સૂચનાઓ ગુજરાતીમાં જ આપવી પડે છે, કારણ કે ઘણીવાર સૂચના આપનાર શિક્ષકને જ અંગ્રેજી આવડતું હોતું નથી. અને તેથી જ અંગ્રેજીમાં સારી રીતે લખી વાંચી શકતો ગુજરાતી, અંગ્રેજીમાં નોન સ્ટોપ બોલી શકતો નથી.

ગુજરાતના વિદ્યાર્થીઓની આ કમજોરી ગુજરાત સરકાર પણ સારી રીતે જાણે છે અને માટે જ વર્ષોથી વિદ્યાર્થીઓના અંગ્રેજીનું સ્તર સુધારવા માટે અનેક પ્રયત્ન કરે છે. દા.ત. વિદ્યાર્થીઓનું અંગ્રેજી સુધરે એ માટે સરકારે સ્કોપ નામે એક કાર્યક્રમ શરૂ કરેલો, જેમાં વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં એક્સપર્ટ બનાવવા માટે ઘણી જગ્યાએ ગુજરાત બહારથી પણ અંગ્રેજીના શિક્ષકોને બોલાવવામાં આવેલા.

પરંતુ થયું બિલકુલ ઉલટું. અંગ્રેજી શિક્ષણનો આ કાર્યક્રમ શરૂ થયાના ૬-૭ મહિનામાં જ બધાને ખબર પડી ગઈ કે કોઈ વિદ્યાર્થી અંગ્રેજીમાં એક્સપોર્ટ થયો નથી, પરંતુ અંગ્રેજી ભણાવવા આવેલા ગુજરાત બહારના એક્સપર્ટ શિક્ષકો, અંગ્રેજી ભૂલીને ગુજરાતીમાં કડકડાટ બોલતા શીખી ગયા છે...!!

પછી તો ગુજરાત સરકારે રાજ્યમાં અંગ્રેજીનું સ્તર ઊંચું લાવવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. આ સમિતિએ દિવ, દમણ ને આબુમાં અસંખ્ય મિટિંગો કરી અને પોતાનો અહેવાલ આપ્યો.

સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું કે, કોઈપણ ગુજરાતીના ગળે બે પેગ વ્હિસ્કીના ઉતરે પછી તે નોન સ્ટોપ ઇંગ્લિશ બોલવા લાગે છે...! માટે એક સામાન્ય ગુજરાતીની આ અદ્ભુત શક્તિનો લાભ લેવા માટે  સરકારે ગુજરાતમાં દારૂબંધી હળવી કરવી જરૂરી છે...

સમિતિના અહેવાલનો અમલ કરવા માટે જ સરકારે તબક્કા વાર દારુબંધી હળવી કરવાનો નિર્ણય કર્યો છે જેની શરૂઆત ગાંધીનગરના ગિફ્ટ સિટીથી કરવામાં આવી છે.

વિદાય વેળાએઃ- નવા વર્ષનું સર્વશ્રેષ્ઠ યોગાસન - પત્ની જ્યારે કશું કહે ત્યારે તમારે બે વખત મોઢું ઉપર -  નીચે કરવાનું. આ આસન કરવાથી તમારું નવું વર્ષ સુખ શાંતિથી પસાર થશે, અને જિંદગીમાં તમને ખુશાલી મળશે.

અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ભૂલથી પણ તમારે મોઢું ડાબે - જમણે નહીં કરવાનું. કારણ કે તમારી આ એક ભૂલ કદાચ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મન કી બાત....

આપણે ભારતવાસીઓ છેલ્લા ૯ - ૧૦ વર્ષ થયા નિયમિતપણે મોદીજીના મનની વાત સાંભળતા આવ્યા છીએ. અને ગુજરાતીઓ તો છેલ્લા ૨૦ - ૨૨ વર્ષ થયા મોદીજીને સાંભળતા રહ્યા છે. પરંતુ આ બધા સમય દરમિયાન આપણા મનની વાત કોણે સાંભળી ? કોઈએ નહીં. આપણા ગુજરાતીઓની વાત કોણે સાંભળી ? કોઈએ નહીં.

જો કે આપણા ગુજરાતીઓની વાત અપવાદરૂપે એક ઉદ્યોગપતિએ - વિજય માલ્યાએ, સાંભળેલી. પૂરી હમદર્દીથી સાંભળેલી. એક નાની અમથી વાત માટે ગુજરાતીઓએ દીવ, દમણ કે ગોવા, કે પછી માઉન્ટ આબુ સુધી લાંબુ થવું પડે છે તે જાણીને તેને ખૂબ જ દુઃખ થયું. તેમાં સમય અને સંપત્તિનો જે બગાડ થાય છે તે જોઈને તેણે ગુજરાતી પ્રજાને મદદરૂપ થવાનું નક્કી કર્યું.

આ માટે તેણે ગુજરાત સરકારને એક સુંદર સૂચન કર્યું, ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવાનું. અને તે માટે જરૂરી બધા જ પ્રકારની મદદ કરવાનું તેણે સાચા દિલથી વચન પણ આપ્યું. પરંતુ વિજય માલ્યાના મનની આ વાત પણ કોઈએ ન સાંભળી. અને નિરાશ થયેલા વિજય માલ્યાએ ભારત છોડી દીધું.

વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિઓને પણ કોઈ સાંભળતું નથી એ જોઈને લોકો વધુ નિરાશ થયા. મારા અનેક મિત્રોએ પણ કોઈ ફરિયાદ કર્યા વગર પોતાની રીતે જ આગળ વધવાનું નક્કી કર્યું. તે માટે સખત મહેનત કરી, જિંદગીમાં સફળ થયા અને જેને જેને મોકો મળ્યો તે બધા ધીમે ધીમે યુરોપ અમેરિકામાં જઈને સેટલ થયા.

પરંતુ પાછળ બાકી રહેલા છ કરોડ ગુજરાતીઓનું શું? લાગે છે કે આ છ કરોડ ગુજરાતીઓના મનની વાત હવે ઈશ્વરે, અને ગુજરાત સરકારે પણ સાંભળી છે. ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરી છે.

સરકાર કહે છે કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી કરવાથી વિકાસ થશે અને વિદેશી મૂડી રોકાણ પણ વધશે. જ્યારે ગુજરાતી પ્રજાને આશા છે કે ભવિષ્યમાં ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં પણ દારૂબંધી હળવી થશે. હશે, પરંતુ આશા અમર છે. અને સામાન્ય પ્રજાજનો ભવિષ્યની આશાના સહારે જ વર્તમાનના અભાવને પણ હસીને સહન કરી લે છે.

ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાની આ સરકારી યોજના જાહેર થતાં જ લોકોમાં એક પ્રકારની જાગૃતિ જોવા મળે છે. ગુજરાતના અનેક શહેરોમાં લોકોએ પોતાની સોસાયટી કે વિસ્તારનું નામ બદલીને ગિફ્ટ સિટી રાખવાની માંગણી કરી છે. તો બીજા અનેક નોકરિયાતોએ ગિફ્ટ સિટીમાં ઓછા પગારે પણ નોકરી કરવાની તૈયારી દેખાડી છે...

જો કે ખરી તકલીફ તો એવા લોકોને પડી છે કે જેઓએ તેના નાના - મોટા કામ માટે વારંવાર ગાંધીનગર જવું પડે છે. હવે આજે જ્યારે તેઓ ગાંધીનગર જવાની વાત કરે છે ત્યારે આખો પરિવાર તેને શંકાની નજરે જુએ છે.

એક વાત તો એવી પણ છે કે વિજય માલ્યાએ સરકારને એવી ઓફર કરી છે કે જો તેને ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂના બિઝનેસમાં લીઝ આપવામાં આવે તો તે ભારતની બધી જ બેંકોનું પોતાનું દેવું એક વર્ષમાં ચૂકવી દેશે..!!

વિદાય વેળાએ ઃ નવા બનેલા કોઈ રોડ કે પુલને કોઈ મહાનુભાવનું નામ આપવાને બદલે, ત્યાં જો તે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર નું નામ અને તેના ફોન નંબર લખેલું બોર્ડ મારવામાં આવે તો ચોક્કસ તે રોડ કે પુલ વધુ મજબૂત બનશે....!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ટ્રાફિક ટ્રાફિક...

હું લગભગ છ મહિના થયા ઓસ્ટ્રેલિયામાં છું. અહીં બધું જ બરાબર છે. સારી રીતે જીવન જીવવા માટેની તમામ આધુનિક સુખ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. અહીં સુખ છે, શાંતિ છે, બધી જ સગવડતાઓ પણ છે, છતાં પણ હું ગુજરાતને ખૂબ જ મિસ કરું છું ખાસ તો અમદાવાદ અને જામનગરના ટ્રાફિકને...!!

અહીં ઓસ્ટ્રેલિયામાં ભરચક ટ્રાફિકવાળા રસ્તે પણ તમને હોર્નના અવાજ સાંભળવા મળશે નહીં. સાચું કહું તો છેલ્લા છ મહિનામાં ફક્ત બે ત્રણ વખત જ મેં વાહનના હોર્નના અવાજ સાંભળ્યા છે. અવાજના પ્રદૂષણને ડામવા ઓસ્ટ્રેલિયન સરકારે ટ્રાફિકના નિયમો ખૂબ જ કડક બનાવેલા છે અને લોકો  જનહિતના આ નિયમોનું સાચા દિલથી પાલન પણ કરે છે.

ટ્રાફિકના આવા જ નિયમોનું પાલન કરવામાં આપણે તો ઘણી બધી આઝાદી ભોગવીએ છીએ. આપણે તો રોંગ સાઈડ વાહન ચલાવવાની છૂટ, આપણા વાહનને ગમે ત્યાં પાર્ક કરવાની છૂટ, રસ્તામાં ટ્રાફિક સિગ્નલ તો ઠીક, પરંતુ કોઈ ટ્રાફિક પોલીસ આવી જાય તો તેને પણ કુદાવીને ભાગી જવાની છુટ.

શહેરના કોઈપણ ટ્રાફિક સિગ્નલ પર જો રેડ લાઈટ હશે, અને જો તમે સહેજ આગળ વધીને લાઈન ક્રોસ કરીને તમારું વાહન ઊભું રાખશો તો તમને રેડલાઇટ ક્રોસ કર્યાનો ઇ-મેમો ઘરબેઠા મળી જશે અને તમારે તેના માટે ભારે રકમનો દંડ ભરવો પડશે.

પરંતુ તે જ સમયે જો કોઈ વાહન ચાલક રોંગ સાઈડથી વાહન પર આવશે, તેણે હેલ્મેટ પણ નહીં પહેરી હોય, તેના ટુ-વ્હીલર પર ત્રણ ત્રણ સવારી બેઠી હશે, છતાં ન એને ટ્રાફિક પોલીસ પકડશે કે ન તેનો ઈ મેમો ફાટશે. આ રોંગ સાઈડ થી આવતા વાહન ચાલકને જ ટ્રાફિક પોલીસ પહેલા જવા દેશે કે જેથી કોઈ ટ્રાફિક જામ સર્જાય નહીં

બસ આ જ તો આપણી સાચી આઝાદી છે. અને તેના માટે જ તો આપણે અંગ્રેજો સામે સ્વતંત્રતાની લાંબી લડ્યા છીએ.

પરંતુ થોડા સમય પહેલા મને આપણી આ આઝાદી ખતરામાં હોય તેવું લાગ્યું. છાપામાં વાંચ્યું કે અમદાવાદ શહેર પોલીસ રોંગ સાઈડથી આવતા વાહન ચાલકોને અટકાવવા માટે *ટાયર કિલર બમ્પર* લગાડી રહી છે. રોંગ સાઈડથી આવતો વાહન ચાલક આ *ટાયર કિલર બમ્પર* પરથી જેવો પસાર થશે કે તેના ટાયર ફાટશે, અથવા તો તેમાં પંચર પડશે....

છાપામાં આ સમાચાર વાંચીને મને થયું કે હવે તો ચોક્કસપણે અમદાવાદના વાહન ચાલકો ડિસિપ્લિનમાં સમજશે. તેઓ ટ્રાફિક પોલીસથી નહીં પણ આ ટાયર કિલર બમ્પરથી તો ચોક્કસ ડરશે. મને એકદમ અફસોસ થયો કે હવે હું અમદાવાદના વાહન ચાલકોની આઝાદી જોઈ શકીશ નહીં.

પરંતુ થોડા સમયમાં જ મારો આ ભ્રમ પણ ભાંગી ગયો. આઝાદ મિજાજના અમદાવાદના વાહન ચાલકોએ આ ટાયર કિલર બમ્પરનો ઈલાજ પણ શોધી કાઢ્યો. તેને લગાડ્યાના એક મહિનામાં જ ઘણાં બધા બમ્પરો બુઠા થઈ ગયા અથવા તો ઉખડીને રોડની એક સાઇડ ફૂટપાથ પર ગોઠવાઈ ગયા અને અમદાવાદી વાહન ચાલકોની આઝાદી અમર રહી.

આ બધું ટ્રાફિકથી ભરચક રસ્તા પર કઈ રીતે થયું? ખબર નથી.. કોણે કર્યું ? ખબર નથી.. હવે આ ટ્રાફિક કિલર બમ્પરોનુ શું થશે ?  ભગવાન જાણે.. !!

વિદાય વેળાએ ઃ ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર,  આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જિંદગીનું ગણિત...

સ્કૂલમાં ભણતા ત્યારે મને ગણિત બહુ ગમતું. અલબત્ત કોઈ રેન્ક લેવા માટે નહિ, પરંતુ ફક્ત પાસ થવા માટે. કારણ કે પરીક્ષા સમયે ભૂમિતિના બે પ્રમેય, બીજગણિતની ચાર ફોર્મ્યુલા અને અંકગણિતમાં બે ને બે ચાર થાય એટલું ગોખી નાખીએ એટલે ગણિતમાં પાસિંગ માર્ક આવી જાય

જો કે, બે ને બે ચાર થાય એટલું સીધું સાદુ ગણિત પણ, અમારા કોઈ ગણિતના સાહેબ નટુને સમજાવી શક્યા નહીં. આમને આમ અમારા બધાનો અભ્યાસ પૂરો થયો અને અમે બધાએ જિંદગીના કુરુક્ષેત્રમાં પગ મૂક્યો. અહીંના ગણિતના નિયમો બધા અલગ હતા. અહીં જિંદગીના કુરુક્ષેત્રમાં આપણા ગણિતના કોઈ નિયમો લાગુ પડતા ન હતા.

ગણિતના દુશ્મન નટુએ પણ જિંદગીના કુરુક્ષેત્રમાં પગ મુક્યો, નટુએ કાપડની એક દુકાન ખોલી. દુકાનમાં બોણીમાં જ આવેલા ગ્રાહકે એક કાપડનો પીસ લીધો, તેના પરની સૂચના વાંચી અને પછી બોલ્યો, *શેઠ આ કાપડ પર તો લખ્યું છે કે ૭૦ % કોટન અને ૪૦% ટેરેલીન. પરંતુ એ તો ૧૧૦ ટકા થાય..!*

નટુએ તેને વેપારી ગણિત સમજાવતા કહ્યું, *સાહેબ એ તો ધોયે ચડી જશે, પછી  ૧૦૦ % થઈ જશે..!!* મને જિંદગીનું વાસ્તવિક ગણિત સમજાઈ ગયું અને ખાતરી થઈ કે નટુ ગમે ત્યારે *બે ને બે ત્રણ થાય* અથવા *બે ને બે પાંચ પણ થાય* તેમ સાબિત કરી શકશે..

પછી તો આ વાસ્તવિક ગણિતના કડવા અનુભવો મને જિંદગીમાં ડગલેને પગલે થવા લાગ્યા. કોરોના કાળમાં સરકારે ચાર વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો. હવે સરકારના આ હુકમનો અમલ કરવા,  એટલે કે કોઈએ ભેગું થવું નહીં એ વાત કહેવા માટે, અમારી સોસાયટીમાં ૮૦ લોકોની મિટિંગ ભરાઈ...!! અને એ મિટિંગમાં એક નમૂનાએ પાછું એવું પણ સૂચન કર્યું કે જો આ હુકમની અમલવારી નહીં થાય તો ફરીથી મિટિંગ બોલાવવામાં આવશે..!!

કોરોનાકાળની વાત નીકળી છે તો મને લોકડાઉન બીજી એક વાત યાદ આવી. લોક ડાઉન માં શ્રીમતીજીએ રોતા રોતા પતિદેવને ફરિયાદ કરી, *આ લોક ડાઉનને કારણે મારી હેસિયત તો એક નોકરાણી જેવી થઈ ગઈ છે.*

પતિદેવ બોલ્યા, *ભાગ્યવાન, વાસણ હું માંજુ, કપડાં હું ધોઉં, કચરા પોતાથી લઈને ઘરના બધા કામ હું કરું, તો તું નોકરાણી કેવી રીતે થઇ જા ?*

શ્રીમતીજીએ જવાબ આપ્યો, *નોકરની પત્ની તો નોકરાણી જ કહેવાય ને..!!*

ગણિતના પાઠ્યપુસ્તકની બહાર પણ એક ગણિત છે, અને જિંદગી શાંતિ થી જીવવા માટે એ ગણિત બધાએ અપનાવવું જ પડે છે. તમે ગણિતના વિષયમાં ભલે એક્સપર્ટ હો, વેપારી હિસાબોની આંટી ઘૂંટી ભલે સારી રીતે સમજી શકતા હો અને ઉકેલી પણ શકતા હો, ભલે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારી સલાહ પ્રમાણે ચાલતા હોય, પરંતુ અનુભવ એમ કહે છે કે, *પત્ની પાસે હિસાબ માંગવો નહીં..!!!*

આમ છતાં પણ પત્ની સામે ચાલીને હિસાબ આપે તો સમજવાનું કે આપણે આપવાના નીકળશે..!!

વિદાય વેળાએ ઃ  શરાબ પીધા પછી સાચું બોલનારને દુનિયા "પીધેલ" કહે છે અને પંચામૃત પિનાર જૂઠું બોલનારને  દુનિયા "ભગત" કહે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શિયાળાની સવારે...

શિયાળો આવે એટલે આળસુ માણસને પણ શુરાતન ચડે, સવારે વહેલા ઊઠવાનું, અને બોડી બનાવવાનું, એટલે કે આવતા એક વર્ષ સુધી તંદુરસ્તી જળવાઈ રહે તે માટે મહેનત કરવાનું. અને બોડી બનાવવા માટેની પ્રથમ શરત છે, કસરત કરવાની.

કસરત કરવા માટે આપણી પાસે બે વિકલ્પો ઉપલબ્ધ છે, એક, આપણા શહેરમાં કોઈપણ જીમમાં જવાનું, ત્યાં નક્કી કરેલ રકમ ભરવાની અને જીમના ઇન્સ્ટ્રક્ટર કહે તે પ્રમાણે કસરત કરવાની -- પરસેવો પડે ત્યાં સુધી સખત કસરત કરવાની. શિયાળો પૂરો થાય ત્યાં સુધીમાં તમારું બોડી બને તેની ગેરંટી.

અને બીજો વિકલ્પ છે આપણી સોસાયટીમાં જ, બિલકુલ સેવાભાવનાથી ચાલતા યોગા ક્લાસમાં પહોંચી જવાનું, અને ત્યાં યોગગુરૂના માર્ગદર્શન પ્રમાણે યોગાસનનો કરવાના. નહિ કોઈ ફી ભરવાની ઝંઝટ કે નહીં પરસેવો પડે ત્યાં સુધી કસરત કરવાની માથાકૂટ. બસ હસતા રમતા યોગાસન કરો અને તંદુરસ્ત રહો.

સોસાયટીમાં નવા નવા આવેલા ભક્તિબેન પણ યોગા ક્લાસમાં પહોંચ્યા, યોગ ગુરુને મળ્યા અને બોલ્યા, *ગુરુજી, મારે વજન ઉતારવું છે, તો શું કરવાનું ?*

ગુરુજીએ ધ્યાનથી તેની સામે જોયું અને પૂછ્યું, *તમારી પાસે કાર છે ?*

*હા.* ભક્તિબેને ગર્વથી જવાબ આપ્યો.

*સ્કુટી ?*

*સ્કુટી પણ છે..*

*અને સાયકલ ?*

*સાયકલ પણ છે...* *અને તમે શું ચલાવો છો ?* ગુરુજી પૂછ્યું.

*જીભ....!!* ખૂબ જ બોલકા એવા ભક્તિબેને બિલકુલ નિર્દોષતાથી કહ્યું.

*તો હવે તમે યોગાસનની સાથે સાથે સાયકલ ચલાવવાનું શરૂ કરી દો...! તમારું વજન ચોક્કસ ઉતરશે..* ગુરુજીએ લાખ રૂપિયાની સલાહ બિલકુલ મફતમાં જ આપી..!!

ભક્તિ બેને આ જ સવાલ તેના મહિલા મંડળની મિટિંગમાં પણ પૂછેલો કે, *મારું વજન બહુ વધી ગયું છે તો મારે શું કરવું ?* તો ત્યાં મિટિંગમાં હાજર તેની બધી જ સખીઓએ એક સૂરમાં જવાબ આપ્યો કે, *... જે ચીજોથી તમારું વજન વધી જતું લાગે એનાથી દૂર જ રહેવું. દા.ત. વજનનો કાંટો, જૂની તસવીરો, વગેરે વગેરે...!!*

આ વજન કાંટો એવી વસ્તુ છે કે જેનાથી દૂર રહેવું જ સારું. હમણાં શિયાળાની શરૂઆતમાં જ એક ભાઈએ વજન કાંટો ખરીદ્યો. અને શ્રીમતીજી રોજ પોતાનું વજન ચેક કરવા લાગ્યા. તેમનું વજન ૬૮ કિલો હતું.

આજે તેણે ચશ્મા પહેરીને વજન ચેક કર્યું તો ૮૮ કિલો દેખાયું. તેનાથી તો રાડ પડી ગઈ, *હે ભગવાન, મારા ચશ્માનું વજન ૨૦ કિલો.. !!!*

જિંદગીમાં સારા મિત્રો નસીબદારને જ મળે છે. મને મળ્યા છે. મેં એકવાર મારા મિત્રોને પૂછ્યું કે, *પેટ ઓછું કરવાનો ઉપાય તો બતાવો.*

તરત જ લાલો બોલ્યો, *તું  છાતી સુધી જ ફોટા પડાવ, તારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જશે.*

ખરેખર જિંદગીમાં આવા મિત્રો જેને નથી મળ્યા, તેનું જીવન વ્યર્થ છે...

વિદાય વેળાએઃ આપણે બધા એક ભ્રમમાં જીવીએ છીએ કે, *આપણે સારા એટલે બધા જ સારા હોય.* આ બહુ જ મોટો ભ્રમ છે. *આપણે સિંહનો શિકાર નથી કરતા એટલે સિંહ પણ આપણો શિકાર નહીં કરે.*  કેટલો મોટો ભ્રમ !!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh