Advertisement
Author: નોબત સમાચાર

મહાકુંભમાં નાસભાગના મુદ્દે સંસદમાં હોબાળોઃ રાજ્યસભામાં વિપક્ષોએ કર્યુ વોક આઉટ

યોગી સરકાર વિરૂદ્ધ વિપક્ષોનો સૂત્રાચ્ચારઃ ગૃહમાં ગુંજ્યા 'જય શ્રીરામ'ના નારા

નવી દિલ્હી તા. ૩: આજે સંસદનું બજેટ સત્ર વિપક્ષના હોબાળા સાથે શરૂ થયું હતું. વિપક્ષોએ મહાકુંભમાં નાસભાગના મુદ્દે હોબાળો શરૂ કર્યા પછી રાજ્યસભામાં વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતાં.

આજે લોકસભામાં પ્રશ્નકાળની કાર્યવાહી હોબાળા સાથે શરૂ થઈ હતી. વિપક્ષ પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ અને મૃત્યુ પર ચર્ચાની માગ કરી હતી. ઘણાં વિપક્ષી સભ્યો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતાં જેના કારણે ગૃહમાં હોબાળો મચી ગયો હતો.

પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ થયા પછી પણ વિપક્ષી સભ્યો ચર્ચાની માંગણી સાથે સુત્રોચ્ચાર રહ્યા હતાં અને નારા લગાવતા લોકસભા સ્પીકર ઓમ બિરલાની સામે પહોંચી ગયા હતાં. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ હંગામો મચાવનારા સાંસદોને કહ્યું, 'શું જનતાએ તમને હંગામો કરવા માટે ચૂંટ્યા છે'.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને પ્રશ્નકાળ ચાલુ રાખવાનો આગ્રહ કરતા કહ્યું કે, 'રાષ્ટ્રપતિએ પણ પોતાના સંબોધનમાં આ અંગે ચર્ચા કરી છે. આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન તમે આ વિષય પર પણ બોલી શકો છો. પ્રશ્નોત્તરીનો સમય સભ્યો માટે મહત્ત્વનો સમય છે. તેને ચાલુ રહેવા દો.'

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, 'હું તમને વિનંતી કરવા માંગું છે કે તમે રાષ્ટ્રપતિના અભિભાષણમાં તે તમામ મુદ્દાઓ અને વિષયો ઊઠાવી શકો છો જે તમે ઊઠાવવા માંગો છો. હું તમને બધાને પૂરતો સમય અને તક આપીશ.'

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે રશિયાનું ડેલિગેશન સંસદની કાર્યવાહી જોવા માટે પહોંચ્યું હતું. રશિયન સ્ટેટ ડુમાના અધ્યક્ષ વ્યાચેસ્લાવ વોલોડિનના નેતૃત્વમાં સંસદીય પ્રતિનિધિમંડળ હાજર રહ્યું હતું.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લઈ શકે છે. પ્રયાગરાજ મહાકુંભ દુર્ઘટનામાં થયેલા મોત મામલે સંસદમાં વિપક્ષી દળો આક્રમક છે.

મહાકુંભમાં નાસભાગમાં થયેલા મૃત્યુ મામલે વિપક્ષે રાજ્યસભમાં પણ હોબાળો મચાવ્યો હતો. થોડીવાર સુધી કાર્યવાહી ચાલ્યા પછી વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષના સાંસદો 'હોશમાં આવો, હોશમાં આવો'ના નારા લગાવવા લાગ્યા, જો કે લોકસભા અધ્યક્ષે પહેલાથી જ ચેતવણી આપી હતી કે પ્રશ્નકાળ દરમિયાન અન્ય કોઈ વિષય ઊઠાવવામાં આવશે નહીં.

સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું, 'વહીવટી તંત્રના ગેરવહીવટને કારણે આ ઘટના બની છે. નજરે જોનાર લોકોનું કહેવું છે કે, નાસભાગમાં હજારો લોકોના મોત થયા હતાં. પરિવારજનોને મૃતદેહો મળી રહ્યા નથી. અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. અમે અહીં નોટીસો આપી છે, પરંતુ તે ફગાવી દેવામાં આવી છે.'

કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે, 'અમે એક કલાક માટે ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે. અમે ફરી પાછા જઈશું અને આ મુદ્દો ઊઠાવીશું. અમને ફોન આવી રહ્યા છે, લોકો રડી રહ્યા છે. તેઓ તેમના પરિવારજનોને મળી શકતા નથી. અમે જાણવા માંગીએ છીએ કે ૩૦ મૃતકોની યાદી કેમ જાહેર કરવામાં આવી નથી. અમારી નોટીસને સતત નકારવામાં આવી રહી છે અને તેનું કારણ પણ ખબર નથી.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh