Advertisement
Author: નોબત સમાચાર

નેપાળમાં ભયાનક પૂરથી મૃત્યુનો આંકડો ૫૦૦ ભણી... કાળજુ કંપાવતી તબાહી

હજુ પણ કચરામાંથી નીકળી રહ્યા છે મૃતદેહો... નેપાળ સરકારે બચાવ કામગીરીમાં વિદેશી સહાય નકારીઃ રાહત સામગ્રી સ્વીકારશે

                                                                                                                                                                                                      

કાઠમંડુ તા. ૨૮: નેપાળમાં ભયાનક પૂરથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે, તો તબાહીના કાળજુ કંપાવે તેવા દૃશ્યો પણ સામે આવી રહ્યા છે. નેપાળ સરકારે રાહત-બચાવની કામગીરી માટે વિદેશી મદદનો ઈન્કાર કરી દીધો છે. જો કે, રાહત સામગ્રી સ્વીકારશે, તેવા સંકેતો આપ્યા છે. બીજી તરફ ભૂકંપના અહેવાલોના કારણે ગભરાટ વધ્યો છે. ચીનમાં પણ ચહલપહલ વધી રહેલી જોવા મળે છે.

નેપાળ-ચીન સરહદ નજીક ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં આવેલા ભયાનક પૂરથી ૪૬૯ લોકોના મોત થયા છે અને સેંકડો ગુમ છે. નેપાળ સરકારે ભારત, ચીન સહિતના દેશોની બચાવ ટુકડીઓની મદદ ઠુકરાવી દીધી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની સુરક્ષા એજન્સીઓ રાહત અને બચાવ કામગીરી કરવા સક્ષમ છે. જોકે, આર્થિક સહાય આવકાર્ય છે. ૧,૫૪૫ લોકોને બચાવી લેવાયા છે, જ્યારે ૧પ૦૦ લોકો હજુ ગુમ છે.

નેપાળી અખબારોના અહેવાલ મુજબ, ભારત, ચીન, અમેરિકા, બ્રિટન, જાપાન, દક્ષિણ કોરિયા, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિતના દેશોએ પોતાના રેસ્ક્યૂ કર્મચારીઓ મોકલવા માટે સત્તાવાર વિનંતી કરી હતી. ભારતે પોતાના સેંકડો નાગરિકો ગુમ હોવાથી એનડીઆરએફની ટીમ મોકલવાની પરવાનગી માંગી હતી, જે ફગાવી દેવામાં આવી છે. નેપાળ સરકારે જણાવ્યું કે ૨૦૧૫ના ભૂકંપ દરમિયાન મોટી સંખ્યામાં આવેલી વિદેશી ટીમોના કારણે કોઓર્ડિનેશન અને વ્યવસ્થાપનમાં મુશ્કેલીઓ પડી હતી, તેથી આ નિર્ણય લેવાયો છે. બચાવ કામગીરી માટે ટીમો સ્વીકારવાનો ઇનકાર કરવા છતાં નેપાળ સરકારે આર્થિક અને માનવતાવાદી સહાયનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, નેપાળ ઈચ્છે છે કે વિદેશી નાણાકીય સહાય એક જ તંત્ર દ્વારા પ્રાપ્ત થાય, જ્યારે પુનર્વસન અને પુનઃનિર્માણના તબક્કા દરમિયાન વધુ આંતરરાષ્ટ્રીય સહયોગ માંગવામાં આવશે.

અમેરિકાએ ૫૦૦,૦૦૦ ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી છે અને ડબ્લ્યુએચઓએ ઇમરજન્સી મેડિકલ સપ્લાય મોકલ્યો છે. નેપાળ પોલીસે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન માટે ૪,૩૪૮ જવાનોને તૈનાત કર્યા છે. અત્યાર સુધીમાં ૧,૫૪૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અથવા સારવાર અપાઈ રહી છે. જોકે, હજુ પણ લગભગ ૧પ૦૦ જેટલા લોકો ગુમ છે, જેમાં ૨૮ પોલીસકર્મીઓ પણ સામેલ છે. ગુમ લોકોમાં ૧૭૮ ભારતીયો, ૬૫ અમેરિકનો, ૫૧ મલેશિયાના, ૫૩ યુક્રેનના, ૩૩ બ્રિટિશ અને ૩૫ ઓસ્ટ્રેલિયન નાગરિકો સામેલ છે. આ ઉપરાંત ચીનના ઓછામાં ઓછા ૧૦૦ નાગરિકોનો પણ સંપર્ક થઈ શક્યો નથી. વિદેશી નાગરિકો માટે સરકારે ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

નેપાળના વડા પ્રધાન બાલેન શાહે ગુરુવારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે નુવાકોટ જિલ્લાના બિદુર નગરપાલિકાની મુલાકાત લીધી હતી. દરમિયાન, ચીનના વડા પ્રધાન લી કેકિયાંગે તિબેટના ગૈરોંગ પ્રદેશની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ચીની સૈન્યની એક ખાસ ટીમ રાહત કાર્યમાં રોકાયેલી છે. ભારતે અત્યાર સુધીમાં નેપાળમાં ૪૭.૫ ટન રાહત પુરવઠો મોકલ્યો છે, જેમાં દવાઓ અને ખાદ્ય પેકેટનો સમાવેશ થાય છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કાઠમંડુ અને બેઇજિગમાં ભારતીય દૂતાવાસો સાથે બેઠક યોજી હતી.

બીજી તરફ ચીનમાં પણ ચહલ-પહલ વધી રહી છે. નેપાળ અને ચીને આગામી ત્રણ દિવસમાં હિમાલય ક્ષેત્રમાં બીજા પૂરની ચેતવણી આપી છે. કાટમાળથી નદી બંધ થઈ ગઈ છે, જેના કારણે સરહદની બંને બાજુ તળાવો બન્યા છે અને તેમના પાણીનું સ્તર વધી રહૃાું છે. ચીનના મતે, આશરે ૩ મિલિયન ઘનમીટર પાણી, જે આશરે ૧,૨૦૦ ઓલિમ્પિક સ્વિમિગ પુલ જેટલું છે, આગામી ત્રણ દિવસમાં તળાવમાં પ્રવેશી શકે છે. આનાથી તળાવ ફાટવાનું અને અચાનક પૂર આવવાનું જોખમ વધી ગયું છે.

કાઠમંડુ સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના ક્લાઇમેટ એન્ડ એન્વાયર્નમેન્ટલ રિસ્ક ડિપાર્ટમેન્ટના વડા અને ગુના નિષ્ણાત કિઆંગગોંગ ઝાંગે પણ બીજા પૂરના જોખમ અંગે ચિતા વ્યક્ત કરી હતી. તેમણે કહૃાું હતું કે નેપાળ-ચીન સરહદના ઉપરના ભાગમાં કાટમાળ અવરોધનો અર્થ એ છે કે બીજો પૂર નિકટવર્તી છે. ચીને પણ ચેતવણી જારી કરી છે. ચીને ચેતવણી આપી છે કે આગામી ત્રણ દિવસમાં, સરહદની ચીન બાજુએ કાટમાળ-કડાયેલા તળાવમાં આશરે ૩ મિલિયન ઘન મીટર પાણી પ્રવેશી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh