Advertisement
Author: નોબત સમાચાર

સિટી બસમાં મહાનુભાવોની મુસાફરી મહત્ત્વપૂર્ણ... રિયાલિટી ચેક સાથે 'સિસ્ટમ' સુધારણા...

                                                                                                                                                                                                      

જામનગરમાં સ્થાનિક પરિવહન માટે સિટીબસોની સેવા ધીમે ધીમે વિસ્તરી રહી છે. કેટલાક ઓછા જાણીતા થયેલા મહાનુભાવો, જાગૃત નાગરિકો અને પ્રોફેશ્નલો જુદા જુદા રૂટ પર સ્વયં મુસાફરી કરીને કદાચ 'રિયાલિટી ચેક' કરતા હોવાનું તથા કેટલાક પ્રતિષ્ઠિતો ઈંધણ બચાવવાના રાષ્ટ્રીય આહ્વાન તથા પર્યાવરણ જાગૃતિ માટે ઈલેક્ટ્રીક એરકન્ડિશન્ડ સિટીબસમાં રોજીંદો પ્રવાસ કરીને દૃષ્ટાંત બેસાડવાનો પ્રયાસ કરતા હશે,તેમ મનાય છે. ઈરાન-અમેરિકા યુદ્ધ ફરીથી ફાટી નીકળતા ફરીથી ઈધણના કરકસરપૂર્વકના ઉપયોગની દેશને જરૂર છે, ત્યારે ભાજપ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ સહિત જાગૃતિ નાગરિકો સિટીબસનો પ્રવાસ નિયમિત રીતે કરીને જનજાગૃતિ ફેલાવે તે આવકાર્ય પણ છે અને ઈચ્છનિય પણ છે.

બંગલુરૂમાં તો રાજ્ય સરકારના પરિવહન મંત્રીએ પોતે જ મોઢા પર માસ્ક પહેરીને સિટીબસમાં પ્રવાસ કર્યો, તે દૃષ્ટાંત આજે ટોક ઓફ ધ નેશન બન્યું છે. કર્ણાટકના પરિવહન મંત્રી બાપરાથી સુરેશે શનિવારે રાત્રે જ્યારેે સિટીબસમાં મુસાફરી કરી, ત્યારે તેની પાસે ટિકિટના છૂટા પૈસા નહીં હોવાથી કન્ડક્ટરે તેઓને બસમાંથી ઉતારી મૂક્યા હતાં, અને તેઓ પોતાની ઓળખ છૂપાવીને બસમાંથી ઉતરી પણ ગયા હતાં. તે પછી તેેેમણે જ્યાંથી તેઓને ઉતારી મૂકાયા હતાં, તે સ્થળેથી ઓટોરિક્ષામાં મુસાફરી કરી હતી, તો રિક્ષાચાલકે મીટરમાં દર્શાવેલા ભાડા કરતા વધુ ભાડું વસૂલ્યું હતું. મંત્રીએ વધારાનું ભાડું લેવાનું કારણ પૂછ્યું, તો ઓટોચાલકે મીટર બગડી ગયું હોવાનું જણાવી બહાનું કાઢ્યું હતું. આ પ્રવાસ દરમિયાન ડ્રાઈવરે પણ એેક સ્ટોપ પર બસ ઊભી રાખી નહોતી, તે પછી બી.એમ.ટી.સી.- સરકારી બસના ડ્રાઈવર અને કન્ડક્ટર બન્નેને સસ્પેન્ડ કરી દેવાયા હોવાના અહેવાલો દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યા છે, અને મંત્રીની આ 'પોલખોલ' પ્રવૃત્તિને આવકાર મળી રહ્યો છે.

સિટીબસમાંથી ઓળખ આપ્યા વિના ઉતરી ગયેલા પરિવહન મંત્રીએ તે પછી ઓટોચાલકને પોતાની સાચી ઓળખ આપીને કડક ચેતવણી આપી હોવાના કારણે સ્થાનિક રિક્ષાચાલકોમાં ફફડાટ પણ વ્યાપી ગયો હતો.

બેંગ્લુરૂની આ પોલંપોલ દેશમાં બધી જગ્યાએ ચાલી રહી છે, અને જામનગર સહિત જ્યાં જ્યાં સિટીબસો ચાલે છે, તેવા સ્થળે આ પ્રકારના રિયાલિટી ચેક થતા રહે, તે ઈચ્છનિય પણ છે. કર્ણાટકના કોંગ્રેસી પરિવહન મંત્રીએ જ રિયાલિટી ચેક કર્યું તે જ પ્રકારનું રિયાલિટી ચેક ઘણી વખત પ્રેસ-મીડિયાવાળા પણ કરતા હોય છે, પરંતુ માત્ર મંત્રી જ નહીં, શાસક અને વિપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ પણ કરી જ શકે છે. આ પદ્ધતિથી 'સિસ્ટમ'માં સુધારો થઈ શકે છે. શરત માત્ર એટલી જ છે કે આ પ્રકારનું રિયાલિટી ચેક અવિરત અને જુદા જુદા વ્યક્તિઓ દ્વારા થતું રહેવું જોઈએ, અને ઉદ્દેશ્ય પબ્લિસિટી સ્ટંટ નહીં પણ જનજાગૃતિ ફેલાવવાનો હોવો જોઈએ.

બેંગ્લુરૂમાં તો રિયાલિટી કરવા નીકળેલા મંત્રીએ કદાચ કોઈ આસિસ્ટંટ કે સાથીદારને ગૂપચૂપ વીડિયો ઉતારી લેવાની વ્યવસ્થા કરી હશે, તેથી તે ઘટનાના વીડિયો પણ વાયરલ થયા હશે, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ જુદા જુદા વ્યક્તિઓ દ્વારા સતત સમયાંતરે થતી રહે તો 'સિસ્ટમ' સુધરી શકે. આ પ્રકારના રિયાલિટી ચેકમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફીની ગુપ્ત વ્યવસ્થા જ કરવી પડે, અન્યથા જેનું ચેકીંગ કરવાનું હોય, તે ચેતી જાય અને 'પબ્લિસિટી સ્ટંટ'નો મુખ્ય ઉદ્દેશ્ય હોવાની આલોચના પણ થાય, આ પ્રકારના રિયાલિટી ચેક માત્ર સત્તાધારી પક્ષ જ નહીં, વિપક્ષના નેતાઓ પણ કરી શકે છે.

સૌરાષ્ટ્રમાં સિટીબસ સેવાઓમાં ઘણાં બધા સુધારા-વધારા થવા જરૂરી છે. બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મેટ્રો સિટીઝમાં કાંઈક ઠીક ઠીક ચાલે છે, પરંતુ બીઆરટીએસ સિવાયની સિટીબસ સેવાઓને હજુ ઘણાં સુધારા-વધારા અને લોજેસ્ટિક અને પબ્લિક સપોર્ટની જરૂર છે, અને તેની સાચી અને સચોટ માહિતી તથા ફીડબેક આ પ્રકારના રિયાલિટી ચેક સતત અને વાસ્તવિક રીતે નિષ્ઠાપૂર્વક તથા પબ્લિક સર્વિસ સુધારણાની શુદ્ધ ભાવનાથી થતા રહે તો જ મળી રહે છે, બાકી મિટિંગો યોજીને ચર્ચા કરીને તથા દલાતરવાડીઓના જ ફીડબેક માંગીને કાંઈ વળવાનું નથી, તથા સ્થાપિત હિતોના ઈશારે જો નાચતા રહેવાનું હોય તો આ પ્રકારના રિયાલિટી ચેક ખરેખર જ પબ્લિસિટી સ્ટંટ બની શકે છે.

તાજેતરમાં જ જે શહેરોમાં પી.એમ. દ્વારા બસો ફાળવીને ઈછેક્ટ્રીક બસોનો વ્યાપ વધારાયો છે અથવા નવી શરૂ કરાઈ છે, ત્યાં રિયાલિટી ચેકીંગ ઉપરાંત પબ્લિકને સિટીબસો તરફ વાળવા તથા નગરોમાં નિયત કરેલા બસસ્ટોપ પર ટાઈમટેબલ સાથેના બોર્ડ, સર્કલો પર છાપરાવાળા સ્ટેન્ડ, નજીકમાં પાણીની તથા સેનિટેશનની વ્યવસ્થા, સિટીબસોમાં છૂટા પૈસાની માથાકૂટ નિવારવાના ઉપાયો તથા સૌથી વધુ આ બસો અવિરત સેવા આપતી રહે તે જરૂરી છે. જામનગરમાં એક બસ રસ્તા વચ્ચે ખોટકાઈ ગઈ, તો સુરત, ગોંડલ, ઉપલેટા સહિતના શહેરોમાં માર્ગો પર ખાડાઓ કે વરસાદી પાણીના જલભરાવના કારણે ફસાઈ ગઈ હોવાના અહેવાલો પણ માર્ગોની મરામત, જલભરાવની સમસ્યા નિવારવા તથા 'સિસ્ટમ' સુધારવાની જરૂર જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh