તંત્રી લેખ
ગઈકાલે ભારતે ઉપરા ઉપર બીજી ટી-૨૦ ક્રિકેટ મેચ જીતી લીધા પછી પાંચ ટી-૨૦ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ ૨-૦થી આગળ હોવાથી ક્રિકેટ રસીયાઓ તથા દેશપ્રેમીઓને ન્યુઝીલેન્ડ સામે વન-ડે શ્રેણીમાં થયેલ હારની કળ વળી ગઈ હશે. અને આગામી ટી-૨૦ વર્લ્ડકપ માટે આ મેચનો વિજય જો શ્રેણી વિજયમાં બદલાઈ જાય, તો તે "ટોનિક"નું કામ કરશે. ખાસ કરીને સૂર્યકુમાર યાદવનું ફોર્મ પાછુું આવ્યું અને ઈશાન કિશન તથા શિવમ્ દુબેની ફટકાબાજી પછી ટીમ ઈન્ડિયા જૂસ્સામાં હશે.
બીજી તરફ આગામી વર્લ્ડકપની બુનિયાદ મજબૂત બનાવવામાં આ શ્રેણીમાં ખેલાડીઓ પર થતા પ્રયોગો સફળ થતા ટીમ મેનેજમેન્ટ, સિલેકટરો અને બીસીસીઆઈ પણ ખુશ હશે.
ખેલ જગતમાં જેમ ક્રિકેટની ચર્ચા સૌથી વધુ થતી હોય છે, તેવી જ રીતે રાજનીતિમાં સૌથી વધુ ચર્ચા વિવાદાસ્પદ નિવેદનો, આંતરિક ડખ્ખા, ટાંટિયાખેંચ અને સત્તાની સાઠમારીની સૌથી વધુ ચર્ચા થતી હોય છે, તો બીજી તરફ પરસ્પર તીખા-તમતમતા નિવેદનો આપતા રાજનેતાઓ વચ્ચે પણ એક પ્રકારની ગોઠવણ હોય છે. સામાન્ય જનતા પણ હવે સમજી ગઈ કે વાકચાતુર્ય અને ડ્રામેટિકલ ગોકિરાં કરતા રહેતા નેતાઓ એકબીજાના હિતો અને એજન્ડાઓને આગળ વધારતા હોય છે. નેતાગણની સ્વાર્થી ગૂપ્ત મિલીભગતને રાજકીય એખલાસ અને ખેલદિલી ભરી રાજનીતિના રૂડાં-રૂપાળા આભૂષણો પહેરાવી દેવાતા હોય છે.
આપણે વસંત પંચમીની ઉજવણી કરી અને હવે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નગરોમાં ઠેર-ઠેર વિશેષ પ્રકારની સાફસફાઈ થઈ રહી છે, અને જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ આન-બાન-શાાનથી પ્રજાસત્તાક પર્વ ઉજવવાનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. વસંત પંચમીની ઉજવણીના ભાગરૂપે માતા સરસ્વતીનું પૂજન થાય છે અને પ્રજાસત્તાક પર્વે ભારતમાતાનો જયઘોષ થાય છે.
આપણાં દેશમાં માતૃભક્તિ અને નારીશક્તિ પ્રત્યેનો આદર અને પરંપરાગત સંસ્કૃતિના મૂળમાં વસુધૈવ કુટુંબકમ્ ની ઉત્કૃષ્ટ અને ઉદાર ભાવના છે, તે આ ઉજવણીઓથી પૂરવાર થાય છે આપણો દેશ વિવિધતામાં એકતાનું વિશ્વવિખ્યાત દૃષ્ટાંત છે અને આપણાં દેશમાં દંભ ફરેબ અને ભેદભાવને કોઈ સ્થાન નથી, તે આપણાં બંધારણમાંજ પ્રતિબિંબિત થાય છે.
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના પૂજનની સાથે સાથે વિદ્યા આપનારા ગુરૂજનોનું પણ સન્માન કરવામાં આવે છે.
શિક્ષકો, પ્રાધ્યાપકો અને સનાતન સંસ્કૃતિ મુજબનો ધર્મ-સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતા હોય, તેઓ તેઓના ગુરૂજનો પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરે છે. અને વસંત પંચમી તથા ગુરૂ પૂર્ણિમાના દિવસે આ તમામ ગુરૂજનોનું સન્માન કરીને તેના આશીર્વાદ મેળવવામાં આવતા હોય છે.
આ પ્રકારની સર્વસમાવેશી સંસ્કૃતિ ધરાવતા આપણાં દેશમાં જ્યારે જ્યારે સંતો-ધર્મગુરૂઓની અવગણના, અપમાન કે અનાદર થાય છે, ત્યારે ત્યારે સમગ્ર સંત સમાજ એકજૂથ થઈ જાય છે. ખાસ કરીને રાજસત્તા સાથે કોઈપણ કારણે મતભેદો થાય કે સંઘર્ષ જેવી સ્થિતિ ઊભી થાય છે, ત્યારે ત્યારે જનભાવનાઓ હંમેશાં સત્ય, નિષ્ઠા અને આપણી પરંપરાગત સંસ્કૃતિ તથા આદર્શોની સાથે રહેતી હોય છે.
ટૂંકમાં, આપણા દેશની જનતા એટલી પૂખ્ત અને સમજદાર છે કે તેને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને સ્થિતિને સમજતા સારી રીતે આવડે છે.
દૃષ્ટાંત તરીકે ગયા રવિવારે તા. ૧૮મી જાન્યુઆરીના દિવસે સવારે મૌની અમાવસ્યા હતી અને માઘમેળો ચાલી રહ્યો હતો, તે સમયે સ્વામી અવિમૂક્તેશ્વરાનંદજી અને ત્યાંના તંત્ર વચ્ચે વિવાદ થયો હતો.
આ વિવાદ અંગે જ્યોતિર્મઠના શંકરાચાર્ય અંગે દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સહિતના સંત-મહંતોએ જે પ્રતિક્રિયાઓ આપી છે, તે જોતા યોગી સરકાર ઘેરાઈ રહી હોય, તેમ જણાય છે. તો આ મુદ્દે ઉત્તરપ્રદેશની સરકારમાં જ આંતરિક વિરોધાભાસ હોય, તેવો આભાસ પણ લોકોને થઈ રહ્યો છે.
દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ નાગપુરની ધર્મસભામાં આ પ્રકરણનો ઉલ્લેખ કર્યો, તો વૃંદાવનના સંત સમાજે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવડાવવાની માંગ ઉઠાવી. શંકરાચાર્યની સાથે સાધુ સંતોના કેટલાક સંગઠનોએ હરિદ્વારમાં ધરણાં કર્યા, તો અખાડાના અધ્યક્ષે તંત્ર માફી માંગે, તેવી માંગણી ઉઠાવી છે. આ ઉપરાંત યોગગુરૂ બાબા રામદેવ, મહામંડલેશ્વર રામદાસ મહારાજ, સ્વામી અતુલ કૃષ્ણદાસ મહારાજ, સંત ફલાહારી બાબા વિગેરે પણ વિવિધ પ્રત્યાઘાતો આપ્યા છે, કેટલાક પ્રખ્યાત કથાવાચકોએ પણ આ મુદ્દે પ્રત્યાઘાતો આપ્યા છે. આ બધા પ્રત્યાઘાતોનું તારણ એવું જ નીકળે છે કે જે કાંઈ બન્યુ છે, તે દૂર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છનિય હતું અને હવે આ વિવાદનો સન્માનજનક અને સર્વસ્વીકૃત અંત લાવવાની જવાબદારી ઉત્તરપ્રદેશ સરકાર તથા સંત સમાજે ઉઠાવવી જોઈએ., અને જગદગુરૂ શંકરાચાર્ય ધરણાં છોડે, અને બધાનું માન-સન્માન જળવાઈ રહે તેવો ઉકેલ કાઢવો જોઈએ.
એક તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહે છે કે, સંત અને સન્યાસી માટે ધર્મ અને રાષ્ટ્રથી કોઈ મોટું હોતું નથી, પરંતુ કેટલાક "કપટી" લોકો સનાતન ધર્મને નબળો પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે, તો ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદજી ત્રિવેણી સંગમમાં ગંગા સ્નાન કરીને વિવાદનો અંત લાવે તેવી વાત કરી રહ્યા છે, તેથી એવું કહી શકાય કે યોગી સરકારમાં જ સ્વામી અવિમૂક્તેશ્વરાનંદજી મહારાજના મુદ્દે મત-મતાંતરો છે, અથવા આ પ્રકારના નિવેદનો કરીને યોગી સરકાર ચાલાકી પૂર્વક દૂધ અને દહીંમાં પગ રાખવાનો પ્રયાસ કરી રહી હોઈ શકે છે...અખિલેશ યાદવે શંકરાચાર્યના અપમાનને તમામ સનાતનીઓનું અપમાન ગણાવ્યું, ત્યારે કેટલાક નેતાઓએ તેને તેમની સરકારનો ભૂતકાળ યાદ કરાવ્યો. આ બધા વચ્ચે યોગી સરકાર આ મુદ્દે બેકફૂટ પર આવેલી જણાય છે.
તાજા અહેવાલો મુજબ શંકરાચાર્ય સ્વામી અવિમૂક્તેશ્વરાનંદજીની ધરણાં દરમ્યાન તબિયત બગડી છે. આ વિવાદે જોર પકડતા અને સંતો-મહંતો-ધર્માચાર્યોના પ્રત્યાઘાતો આવ્યા પછી ઉભય પક્ષે બાંધછોડ કરીને અને જેની ભૂલ હોય, તેમણે ભૂલ સ્વીકારીને અથવા સમગ્ર વિવાદનો સર્વસ્વીકૃત હલ શોધવા મધ્યસ્થી કરીને ઉકેલ લાવવો જોઈએ, તેવા અભિપ્રાયો પણ આવી રહ્યા છે. આ વિવાદ સમાવવા સત્તારૂઢ યોગી સરકારે પહેલ કરીને વધુ સંનિષ્ઠ પ્રયાસો કરવા પડે તેમ છે,અને ઉભય પક્ષે કાનૂની તથા અદાલતી કાર્યવાહીના સંદર્ભે થતા કથિત નિવેદનો અટકાવીને સંતો અને સત્તા વચ્ચેનો સંભવિત સંઘર્ષ ટાળવો જોઈએ, તેવા જનપ્રતિભાવો પણ સંભળાઈ રહ્યા છે, અને એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે આપણી સંસ્કૃતિ અને દેશભક્તિને જોડતા પર્વોની ઉજવણી સમયે આ પ્રકારના વિવાદો ટાળીને રાજધર્મ તથા નાગરિક ધર્મ બજાવવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં આમઆદમી પાર્ટી દ્વારા એસઆઈઆરની પ્રક્રિયામાં ગરબડને લઈને કલેકટરને આવેદનપત્ર અપાઈ રહ્યું છે, તો કોંગ્રેસે શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદજીના અપમાનના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. ભાજપ દ્વારા કોઈ ને કોઈ જાહેર કાર્યક્રમો તો યોજાતા જ રહે છે, પરંતુ શહેર-તાલુકા-જિલ્લા ભાજપમાં પણ કાંઈક આંતરિક હિલચાલ થઈ રહી હોય તેમ જણાય છે. જિલ્લા અને રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીમાં ગુજરાતના તંત્રો વ્યસ્ત છે, તો દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, અને રાબેતા મુજબની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે. આ ઘટનાક્રમો વચ્ચે યુરોપિયન ચીફ ગેસ્ટના આગમનના સંદર્ભે પણ તડામાર તૈયારીઓ વિશેષ સ્વરૂપે ચાલી રહી છે, જે ધ્યાનાકર્ષક છે.
એવું કહેવાય છે કે યુરોપના દેશોએ એકજૂથતા બતાવતા ટ્રમ્પ ઢીલાઢફ પડી ગયા અને ગ્રીનલેન્ડ પર આક્રમણ નહીં કરવાનું જાહેર કર્યું, અને ગ્રીનલેન્ડની તરફેણ કરનારા યુરોપના દેશો પર પહેલી ફેબ્રુઆરીથી ઝીંકેલો જંગી ટેરિફ પણ અટકાવી દીધો છે. આ સાથે ટ્રમ્પે ભારત સાથે પણ મહત્ત્વપૂર્ણ ટ્રેડ ડીલના સંકેતો આપ્યા છે, જેને ભારતના કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે આવકાર્યા છે, તેથી ભારતના બિઝનેસ સેકટરમાં એક અકળાવનારું કુતૂહલ અને આશંકાઓ સાથેનો આશાવાદ પણ જાગ્યો છે.
ટ્રમ્પના માત્ર ટેરિફ જ નહીં, પરંતુ શાંતિના પુરસ્કારનું સપનું, વેનેઝુએલાના રાષ્ટ્રપતિની તેમના પત્ની સાથે ધરપકડ (અથવા અપહરણ) અને ગ્રીનલેન્ડને લઈને ધાકધમકીભરી ભાષાશૈલી પછી સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે ટ્રમ્પ ઈચ્છે છે શું ? ટ્રમ્પે પોતાને જ તાનાશાહ જેવા ગણાવ્યા, તેનો મતલબ શું ?
વેનેઝુએલાને નિયંત્રણમાં લઈને ત્યાંના તેલક્ષેત્ર (કુદરતી ક્રૂડના ભંડારો) પર કબ્જો જમાવવો અને ક્રૂડ ઉત્પાદક દેશોને સામ, દામ, દંડ, ભેદ અજમાવીને પણ પોતાના (અમેરિકાના) ઈશારે નચાવવાના ટ્રમ્પના પ્રયાસોએ પૂરવાર કર્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેલનો ખેલ કરી રહ્યા છે અને તેલ (ક્રૂડ) ના ભંડારો પર વર્ચસ્વ જમાવીને તથા દુનિયાના વ્યાપારને ટેરિફનું શસ્ત્ર ઉગામીને અમેરિકાના અર્થતંત્રને વધુ મજબૂત કરવા તથા અમેરિકન ટ્રેડ વધારવામાં ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી રહ્યા હોય, તેવો આભાસ પણ થાય છે.
જે વ્યક્તિ પોતાને શાંતિના નોબેલ પારિતોષિકના હક્કદાર જાહેર કરે અને જ્યારે આ સન્માન ન મળે, ત્યારે તેઓ એવું કહે કે તેઓને હવે શાંતિમાં રસ નથી. તે પછી ઈરાન પર હૂમલાની તૈયારીઓ કરાવે, ગ્રીનલેન્ડ પર કબ્જો કરવા શક્તિ પ્રદર્શનની વાતો કરે અને બીજા દેશોના સાર્વભૌમત્વની અવગણના કરે તથા મન ફાવે તેવી ધમકીઓ આપતા રહે, તેના પર કોઈને ય વિશ્વાસ ન રહે, તે સ્વાભાવિક છે અને આ પ્રકારનું તદૃન બે જવાબદાર વલણ તથા વિચિત્ર વર્તન પછી મિત્રો તથા મિત્રદેશો પણ દૂર ભાગે, તેમાં કાંઈ નવું નથી. પરંતુ ટ્રમ્પની આ ચતુરાઈ અને અલગ જ પ્રકારની વિદેશનીતિ પછી એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે એક નોબેલ વિજેતા મહિલાએ પોતાનો નોબેલનો શાંતિ પુરસ્કાર બક્ષીસ આપવાની વાત કર્યા પછી હવે ટ્રમ્પ શાંતિ પુરસ્કાર નહીં પરંતુ વિશ્વમાં અંધાધૂંધી, અવિશ્વાસ તથા અનિશ્ચિતતાનો નકલી પુરસ્કાર લેવાને લાયક બની રહ્યા છે.
અત્યારે નકલી યુગમાં કદાચ વિદેશનીતિઓમાં પણ નકલ થવા લાગી છે અને વિશ્વ અનેક ગ્રુપોમાં વહેચાવા લાગ્યું છે. ત્યારે એવો સવાલ ફરીથી ઉઠવા લાગ્યો છે કે ક્યાંક વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ તો ધકેલાઈ રહ્યું નથી ને ?
યુએઈમાં રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષિય વાટાઘાટો આજથી શરૂ થઈ છે, તેથી આવતીકાલ સુધીમાં તેના સકારાત્મક પરિણામો આવે અને યુદ્ધ વિરામ થાય, તેવા આશાસ્પદ સાથે આશંકાઓ પણ ઊભી થવા લાગી છે. આમ છતાં આખી દુનિયા રશિયા-યુક્રેનનું યુદ્ધ થંભી જાય, તેવું ઈચ્છે જ છે, કારણ કે ટ્રમ્પે આ યુદ્ધના નામે જ ટેરિફાતંક સાથે દુનિયામાં ઉથલપાથલ મચાવી દીધી છે.
આજે ટ્રમ્પના ટેરિફની સાથે તેની ગ્રીનલેન્ડ પર આધિપત્ય જમાવવાની તેની ઘેલછાની ચર્ચા વચ્ચે અમેરિકાના પરંપરાગત હરિફ (હવે દુશ્મન) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડેન્માર્કની પણ ટીકા કરી અને આ પ્રકરણમાં પોતાને કોઈ રસ નહીં હોવાનું કહીને સૌને અચંબિત કરી દીધા છે. રશિયાએ આવું કરીને યુરોપના દેશોને અને ખાસ કરીને નાટોના મેમ્બર્સને ચોંકાવી દીધા છે, તેમાં પણ પુતિને ગ્રીનલેન્ડનું જે મૂલ્ય દર્શાવ્યું તે ઘણું જ સૂચક છે.
બીજી તરફ દાવોસમાં ટ્રમ્પે બોર્ડ ઓફ પીસની જાહેરાત કર્યા પછી ટ્રમ્પે હાંકેલી ડંફાસોને પણ ગંભીરતાથી વિચારવી જ પડે તેમ છે. હમાસ વિરોધી કદમ ઉઠાવવા તથા ઈઝરાયેલને પ્રોટેકટ કરવા ટ્રમ્પની આ ચાલબાજીમાં પાકિસ્તાન તો સપડાયુ જ છે, પરંતુ કેટલાક અન્ય દેશોની સ્થિતિ પણ કફોડી જ થવાની છે.
ગાઝા શાંતિ બોર્ડ અથવા બોર્ડ ઓફ પીસને યુનો હેઠળની યુએનએસસીને સાઈડલાઈન કરવાની ટ્રમ્પની તરકીબમાં પણ નાણાભંડોળ એકઠું કરવાની ચાલબાજી પછી ટ્રમ્પ હવે વિશ્વના સૌથી ધૂની અને અવિશ્વસનિય નેતા બની ગયા છે.
ગાઝા શાંતિ સ્થાપનાના પ્રયાસો પાછળ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ નહીં, પણ પરિવાર ફર્સ્ટની ગૂપ્ત એન ભ્રષ્ટ પરંતુ આયોજનપૂર્વકની ચાલાકીભરી રણનીતિ હોવાની પણ ચર્ચા થવા લાગી છે, અને ગાઝાપટ્ટીમાં દરિયાકિનારે કરોડો ડોલરના ખર્ચે પ્રોજેકટ સનરાઈઝર અંતર્ગત વોટરફ્રન્ટ એક્ટિવિટી ઊભી કરવાના જેરેડ કુશ્નરને ફાયદો કરાવવા આ આખી કવાયત વિશ્વ શાંતિના નામે ટ્રમ્પ કરી રહ્યા હોવાની ગુસપુસ પણ વૈશ્વિક વર્તુળોમાં થઈ રહી છે, અને જેરેડ કુશ્નર ટ્રમ્પના જમાઈરાજા હોવાથી "પરિવાર ફર્સ્ટ"ના કટાક્ષો પણ થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં ખોડીયાર કોલોનીનો દિગ્જામ સર્કલ સુધીનો રસ્તો સિક્સ લાઈન થવાનો છે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થશે, તેવો દાવો કરાયો છે, જો જે પ્રકારે દાવો કરવામાં આવી રહ્યો છે, તેવી જ સુવિધાઓ સાથે જો ગુણવત્તા સભર નવીનીકરણ, આધુનિકરણ અને વિસ્તૃતિકરણ થશે, તો કદાચ ટ્રાફિક સમસ્યા હળવી પણ થાય, પરંતુ તે પહેલા ઘણાં પાસાઓનો વિચાર પણ કરવો પડે તેમ છે.
જો કે, આ પ્રકારના ડેવલપમેન્ટની જરૂર છે જ, અને એવું ઈચ્છિયે આ જ પ્રકારના આયોજનો થતા રહે, પરંતુ લોકો એવું કહે છે કે નવા આયોજનોનો અમલ કરતા પહેલા પહેલાના અધુરા કે લટકી પડેલા કામો પૂરા કરવા જોઈએ અથવા નવા કામોની સાથે સાથે અગાઉના કામો પણ સંપન્ન થાય, તેની દરકાર કરવી જોઈએ., અન્યથા આ પ્રકારના આયોજનો અને તેની પબ્લિસિટી માત્ર સ્ટંટ જેવા જ લાગે અને તંત્રો તથા શાસકોની નિયત અથવા તો આવડત પર નગરજનોને આશંકા ઉપજે, તે સ્વાભાવિક છે.
જામનગરની ફરતે જે વર્તમાન રીંગરોડ છે, તેના વિસ્તૃતિકરણને વર્ષો લાગી ગયા, છતાં હજુ પણ કામ અધુરૃં જ છે. કામની શરૂઆત થયા પછી કેટલાક સ્થળે રોડની બંને તરફના કાયમી અને હંગામી પ્રકારના દબાણો દૂર કરાયા અને તે પછી જુદા જુદા વિકાસ કામો માટે ખોદકામો થતા રહ્યા અને ફરી ડામર પાથરીને સડકો બનાવાતી રહી, પરંતુ તે રીંગરોડનું કામ ચાલતુ જ રહ્યું...ચાલતુ જ રહ્યું અને હજુ પણ ચાલી જ રહ્યું છે...
જામનગર જેવી સ્થિતિ હાલારના અન્ય શહેરોની પણ છે...ખંભાળીયાની ઘી નદીની ગાંડી વેલ એટલી જીદ્દી છે કે તેને ત્રિપલ એન્જિનની સરકાર કે પછી ત્રિપલ એન્જિનની ભ્રષ્ટાચારની જમાત પણ હટાવી શકી નથી. ખંભાળીયામાં ઈમારતો વધી છે પરંતુ ઈન્ફ્રાસ્ટ્રકચર વધ્યું નથી, અદ્યતન એપાર્ટમેન્ટો તથા આધુનિક સુવિધાઓ સાથેના રહેણાંક વિસ્તારો વધ્યા છે, પરંતુ તેને સંબંધિત માળખાકિય સુવિધાઓ વધી રહી નથી. સંચાર અને ઈનટરનેટ આધારિત ડિજિટલ સેવાઓ વિકસી રહી છે, પરંતુ નગરની મોટા ભાગની બેંકીંગ અને ટપાલ સેવાઓને લઈને અવાર નવાર ફરિયાદો ઉઠતી જ રહે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો તેને વર્ષો વીતી ગયા, પરંતુ આ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં જિલ્લા મથક જેવી સુવિધાઓ તો ઠીક, એક નિયોજીત નગર જેવી સુવિધાઓ પણ પૂરેપૂરી વિકસી શકી નથી. નગરમાંથી સરકારી કચેરીઓ બહાર ખસેડાઈ અને ગીચ શહેરમાંથી સરકારી બાબુઓ પોતે હવા-ઉજાસવાળા ખુલ્લા સંકુલો બનાવીને ત્યાં કચેરીઓ લઈ ગયા, પરંતુ મૂળ ખંભાળીયાને એવુંને એવું જ છોડી દીધું. આ જિલ્લો નવો બન્યો ત્યારે જિલ્લાનું મુખ્ય મથક ખંભાળીયા રાખવું કે દ્વારકા રાખવું તેની ખેંચતાણ થઈ હતી, હજુ પણ સચિવાલયના કેટલાક વિભાગો કદાચ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નામ મુજબ દ્વારકાને પાટનગર માનીને કયાંક ગફલત કરતા હોય, તેવા અહેવાલો એ સૂચવે છે કે સરકારમાં કેવું લોલંલોલ ચાલે છે...
દેવભૂમિ દ્વારકા જિલ્લો થયો અને તેનું પાટનગર (હેડ કવાર્ટર) જામ-ખંભાળીયા રહેશે, તેવું જાહેર થયા પછી ખંભાળીયામાં તમામ જિલ્લા કચેરીઓ તબક્કાવાર કાર્યરત થવી જોઈતી હતી. પરંતુ વર્ષો વિત્યા પછી પણ હજુ ઘણી કચેરીઓ કાં તો જામનગરથી ચલાવાઈ રહી છે, અથવા તો હજુ બંને જિલ્લાઓ વચ્ચે તંત્રો અટવાયા કરે છે. દૃષ્ટાંત તરીકે હજુ ખંભાળીયામાં ગ્રાહક સુરક્ષાની જિલ્લાકક્ષાની કચેરી કે લેબર કોર્ટ પણ હજુ મળી નથી, તેથી એવો વ્યંગ પણ થઈ રહ્યો છે કે ખંભાળીયાને જિલ્લાનું મથક ભલે બનાવાયુ હોય, પરંતુ જિલ્લા મથક જેવું ગણીને તેનો વિકાસ થયો નથી. એવી આલોચના પણ સંભળાઈ કે ત્રિપલ એન્જિનની સરકારે શ્રમિકો અને ગરીબોની સુવિધાઓ માટે ગ્રાહક સુરક્ષા કે લેબર કોર્ટની માંગણીઓ કે રજૂઆતો સાંભળતી નથી, જ્યારે મોટા માથાઓ કે મોટી કંપનીઓની અનુકૂળતા માટે મેગા વિકાસ પ્રોજેકટો ઊભા કરવામાં કોઈએ "રજૂઆત" પણ કરવી પડતી નથી !
યાત્રાધામ દ્વારકા વિશ્વ વિખ્યાત યાત્રાનું ધામ હોવાથી દ્વારકા મંડળના ધાર્મિક પર્યટન સ્થળોનો વિકાસ થાય છે, પરંતુ એ જ તાલુકાઓ ગામડાઓની મૂળભૂત જરૂરિયાતો પણ સંતોષાતી નહીં હોવાની રાવ પણ ઉઠતી રહે છે. હાલારની અન્ય નગરપાલિકાઓમાં પણ આવી જ સ્થિતિ છે, એટલે જ કહી શકાય કે... "કહાની હર શહર કી...કહાની હર ગાંવ કી"
ગઈકાલે જ ખંભાળીયાની નગરપાલિકાના વોર્ડોની નવરચનાના સમાચાર આવ્યા હતા, અને નવા સીમાંકન મુજબ વર્ગીકરણ પણ જાહેર થયું હતું, ખંભાળીયાની નગરપાલિકાનો કાગળ પર તો ગ્રેડ વધી ગયો, પરંતુ એ નો એ જ સ્ટાફ અને એ ની એ જ સુવિધાઓથી કામ ગબડાવાઈ રહ્યું હોય, તો એ પ્રકારના અપગ્રેડેશનનો શું ફાયદો ? એ પ્રકારના પ્રશ્નો ઉઠે એ સ્વાભાવિક જ છે ને ?
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેટલાક વિસ્તારોને કાનૂની કાર્યવાહી માટે જિલ્લા કક્ષાની સુવિધાઓ ખંભાળીયા હતી, તે બરાબર હતું, પરંતુ તેને દ્વારકા ખસેડાઈ, તે પણ અણઆવડતનું જ દૃષ્ટાંત જ છે ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વખતે પ્રજાસત્તાક પર્વે દેશની રાજધાની દિલ્હીમાં થનારી ઉજવણી દરમ્યાન ધ્વજવંદન અને પરેડના કાર્યક્રમોમાં યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ વોન ડેર લેયેન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા વિદેશી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવાના છે. તેઓ પ્રજાસત્તાક દિનના આગળના દિવસે જ ભારતમાં આવી જવાના છે અને ત્રણેક દિવસ ભારતમાં રોકાવાના છે. આ પ્રવાસ ટ્રમ્પના ટેરિફાતંક સામે પ્રતિકાર કરવાની રણનીતિ ઘડવા અને યુરોપના દેશો સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ ગણાય છે, અને આ દરમ્યાન લેવાનારા નિર્ણયો, વાટાઘાટો અને થનારા કરારો પણ દૂરગામી અને વૈશ્વિક પ્રભાવ પાડનારા હશે, તેવા વૈશ્વિક ચર્ચાના તારણો નીકળી રહ્યા છે. જો કે, ફ્રાન્સે ગાઝા શાંતિબોર્ડમાં જોડાવાનો ઈન્કાર કરીને ટ્રમ્પને માપમાં રહેવાની શિખામણ આપ્યા પછી પણ અમેરિકાના રાષ્ટ્રપતિએ કેનેડાને પણ અમેરિકાનું ગણાવ્યું છે. અત્યારે ટ્રમ્પનું મુખ ગ્રીનલેન્ડ તરફ છે અને ગ્રીનલેન્ડને હડપવા તેની ખૂલ્લેઆમ દાદાગીરી સામે વિશ્વના કેટલાક દેશો એકજૂથ થઈને અવાજ ઉઠાવી શકે છે. જો કે, આ મુદ્દે રશિયાએ "નરોવા, કુંજરોવા" જેવી નીતિ અપનાવી લેતા હવે ગ્રીનલેન્ડ મુદ્દે એશિયા અને યુરોપના દેશોના વલણ પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. ટ્રમ્પના તાજેતરના નિવેદનો જોતા તે હવે "શાંતિદૂત" બનવા માંગતા નથી, અને વેનેઝુએલા અને ગ્રીનલેન્ડ જેવા દેશો હડપી લઈને અથવા ત્યાં અમેરિકાની કઠપૂતલી સરકારો બેસાડીને ટ્રમ્પ સામ્રાજ્યવાદી તથા વિસ્તારવાદી રણનીતિ તરફ આગળ વધી રહ્યા છે, તે જોતાં એક વધુ લોકતાંત્રિક તાનાશાહીનું સ્વરૂપ તેઓ ધારણ કરી રહ્યા હોય, તેમ જણાય છે. રશિયા સાથેની મિત્રતાના કારણે ટ્રમ્પ ભારતના "જાની દુશ્મન" બની ગયા હોય, તેવા કદમ પણ ઉઠાવી રહ્યા હોવાથી હવે ભારત માટે પણ બિનજરૂરી પરંપરા જાળવી રાખીને વર્તમાન ગુંચવાયેલી વૈશ્વિક રાજનીતિમાં હાલ તુરંત ટેરિફાતંક સાથે લડવા માટે કોઈ મજબૂત વિકલ્પ, ખાસ કરીને આર્થિક અને વ્યાપારિક (ઈકોનોમિ એન્ડ ટ્રેડ) માટે શોધવો પડે તેમ છે. તેવામાં ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપના દેશો અને અમેરિકા (ટ્રમ્પ) વચ્ચેના પ્રવર્તમાન મતભેદોના કારણે દોડવું હતુ ને ઢાળ મળ્યો છે, જેનો ભારતે મહત્તમ ફાયદો ઉઠાવવો જોઈએ, તેવો અભિપ્રાય વૈશ્વિક અને આર્થિક પ્રવાહોના રાજનૈતિક અને કુટનૈતિક ગ્લોબલ વિશ્લેષકોના તારણો પણ સામે આવી રહ્યા છે. તેવા સમયે આ યુરોપિયન અતિથિઓનો ત્રણ દિવસનો ભારત પ્રવાસ ઘણો જ મહત્ત્વપૂર્ણ મનાય છે.
આ સંદર્ભે નેશનલ-ઈન્ટરનેશનલ મીડિયામાં એક અલગ જ ચર્ચા ચાલી રહી છે. જેમાં ટ્રમ્પના ટેરિફ સામે ભારત-ચીન-રશિયા-(બંને) કોરિયા વગેરે દેશો એકજૂથ રચે તેવી સંભાવના, બ્રિક્સના દેશો દ્વારા અમેરિકન ડોલરની સામે એક મજબૂત વૈશ્વિક ચલણ અમલી બનાવવાની દિશામાં આગેકદમ, વૈકલ્પિક માર્કેટોની શોધ અને ખાસ કરીને ટેરિફાતંક ને કાઉન્ટર કરવા એક વૈશ્વિક સમજૂતિ કરવાના વિકલ્પો ચર્ચાઈ રહ્યા છે, અને તેમાં જ ડબલ્યુઈએફ અર્થાત વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં કરાયેલી એક જાહેરાતને ટાંકવામાં આવી રહી છે.
યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની એન્યુલ મિટિંગ (એજીએમ)માં જણાવ્યું હતું કે ભારત અને ઈ.યુ. એક ઐતિહાસિક વ્યાપાર કરવા જઈ રહ્યા છે, અને આ ડીલ થઈ જશે તો યુરોપ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજાર (ઈન્ડિયન માર્કેટ) સાથે જોડાઈ જશે.
વૈશ્વિક વિશ્લેષકો આ ટ્રેડ ડીલને ટ્રમ્પના ટેરિફાતંકનો તોડ કાઢવા ઉપરાંત મહાસત્તા સામે એક આર્થિક તાકાત ઊભી કરવાનો પ્રયાસ માની રહ્યા છે. ભારત અને ઈ.યુ. વચ્ચેની આ ફ્રી ટ્રેડડીલ થાય તો ભારતીય બજાર સાથે યુરોપના દેશોના બજારો પરસ્પર જોડાઈ જાય, અને દુનિયાના કુલ જીડીપીનો ૨૫ ટકા હિસ્સો બની જાય.
આ ફ્રી ટ્રેડ ડીલ બંને માર્કેટો (ભારત અને યુરોપના દેશોની બજારો) માટે ગેમ ચેન્જર પૂરવાર થઈ શકે છે. એજીએમમાં ઉર્સુલા વોન ડેર લેયેને "અમે ફ્રી ટ્રેડ સમજૂતિની ખૂબ નજીક છીએ અને થોડું કામ બાકી છે" તેવા શબ્દપ્રયોગો કર્યા હોવાથી એવું જણાય છે કે હજુ ક્યાંક ને ક્યાંક કોઈ મુદ્દે સંપૂર્ણ સહમતિ સધાઈ નહીં હોય, આ કારણે કદાચ આ ઘોષણાની પુષ્ટિ હાલ તુરંત નહીં થાય, પરંતુ "મધર ઓફ ઓલ ડીલ્સ" ગણાવાતી આ સમજૂતિની જાહેરાત કદાચ પ્રજાસત્તાક પર્વે કોઈ સંયુક્ત કાર્યક્રમ કે પ્રેસ કોન્ફરન્સમાં થઈ શકે છે.
આ "મધર ઓફ ઓલ ડીલ્સ" થઈ જશે તો તે ટ્રમ્પ માટે ઝટકા સમાન હશે. ઈ.યુ.ની પ્રેસિડેન્ટે પોતાના ભાષણમાં કહ્યું હતું કે યુરોપે ઊર્જા, સંરક્ષણ, ડિજિટલ સેકટર અને રો-મટિરિયલ્સના સેકટર્સમાં ઝડપી કદમ ઉઠાવ્યા છે અને હવે તેને કાયમી ફેરફાર (પરમેનેન્ટ ચેઈન્જ)માં બદલાવાનો સમય આવી ગયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ, ટેકનોલોજી સ્પર્ધા, ઊર્જા સુરક્ષા જેવા મુદ્દાઓ પણ ઈ.યુ.ની પ્રાયોરિટી છે. આ પ્રસ્તાવ (ટ્રેડ ડીલ) બંને પક્ષે ગાઢ સહયોગને મજબૂત અને સક્ષમ બનાવશે અને ઈન્ડિયન કંપનીઓને ઈ.યુ.ના સિક્યોરિટી એકશન ફોર યુરોપ કાર્યક્રમ સાથે પણ જોડાશે.
અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે પુરોગામી મનમોહન સરકારે પણ વર્ષ ૨૦૦૪ની ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેની રણનૈતિક ભાગીદારીને આગળ વધારી હતી અને હવે બાજપેયી-મનમોહન સરકારોની યુરોપીય વિદેશ નીતિ તથા વ્યાપાર નીતિને એક નવું સ્વરૂપ મળવા જઈ રહ્યું છે. જો આ ટ્રેડ ડીલ થઈ જશે, તો ભારત અને યુરોપના ૨૦૦ કરોડ લોકોનું એક સહિયારું માર્કેટ ઊભું થશે. જો ભારત અને યુરોપ સિવાયના અન્ય જે દેશો ટેરિફાતંકથી પીડિત છે, તેઓ પણ આ માર્કેટમાં જોડાઈ જશે, તો અમેરિકન ડોલરના વિકલ્પે વૈશ્વિક ચલણ અસરકારક રીતે પરસ્પર નાણાકીય વ્યવહારોનું માધ્યમ બનશે, તો તે મહાસત્તા માટે પડકારરૂપ હશે.
જો કે, ટ્રમ્પની પણ આ હિલચાલ તથા બદલી રહેલા સમીકરણો પર નજર હશે, અને તેઓ પલટીબાજ તરીકે પણ પ્રચલીત થયા છે, ત્યારે આ "મધર ઓફ ઓલ ડીલ્સ" પછી તેઓ કૂણાં પણ પડી શકે છે.
આ તરફ ટ્રમ્પની ટેરિફ નીતિ સામે ભારતના રાજકીય પક્ષો પણ પ્રત્યાઘાતો આપતા હોય છે. અમેરિકા સાથે ટ્રેડ ડીલ અટકી પડયા પછી વિપક્ષી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તડાપીટ બોલાવી રહ્યા છે. જુલાઈમાં જ્યારે ૨૬ ટકા ટેરિફની મુદ્દત પૂરી થતી હતી, ત્યારે પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પિયુષ ગોયલ ગમે તે કહે, મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ સામે ઝુકી જશે. તે પછી જ્યારે ટ્રમ્પે ૫૦ ટકા ટેરિફ કર્યો અને યુરોપને પણ ભારત પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવા અનુરોધ કર્યો હતો, ત્યારે પણ મોદી સરકારની વિદેશનીતિ તથા વ્યાપારનીતિ સામે સવાલો ઉઠ્યા હતા.
વૈશ્વિક રાજકીય વર્તુળો અને ડિપ્લોમેટ્સના વર્તુળો તથા પ્રેસ-મીડિયામાં યુરોપિયન દેશો અને ભારત વચ્ચેની પ્રસ્તાવિત ટ્રેડ ડીલ અંગે મત-મતાંતરો પ્રવર્તે અને આ ટ્રેડ ડીલને એક સમજદારીપૂર્વકનું જોખમ પણ ગણાવાઈ રહ્યું છે. જોઈએ, શું થાય છે તે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે આપણાં નગર કે જિલ્લામાં માર્ગો પર ખાડાઓ કે તૂટેલા જોખમી પુલોની ફરિયાદો કરતા રહીએ છીએ અને તદ્વિષયક ચર્ચાઓ પણ થતી રહે છે, પરંતુ આ સમસ્યાઓથી રાજ્યનું પાટનગર કે દેશની રાજધાનીના આજુબાજુના વિસ્તારો પણ બાકાત નથી અને અમદાવાદમાં પડતા ભુવાઓ (ઊંડા ખાડાઓ) તો દેશભરમાં કૂખ્યાત છે.
શનિવારે દેશની રાજધાની દિલ્હીથી ચાલીસેક કિલોમીટર દૂર આવેલા ગ્રેટર નોઈડામાં એક આશાસ્પદ સોફટવેર એન્જિનિયરનું એક નિર્માણાધિન ઈમારતના બેસમેન્ટમાં ઊંડા ખાડામાં તેમની કાર પડી જતા મૃત્યુ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં સ્થાનિક તંત્રોની લાપરવાહી અને બચાવની કામગીરી હાથ ધરવાના આક્ષેપો થયા પછી આ મુદ્દો ગરમાયો હતો અને તેના પડઘા ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી દેશની રાજધાની દિલ્હી સુધી પડયા હતા. ગ્રેટર નોઈડા દેશની રાજધાની દિલ્હીથી નજીક છે, પરંતુ તુ ઉત્તરપ્રદેશનું શહેર છે અને યુ.પી.-દિલ્હી બોર્ડર નજીક આવેલું છે. આ કારણે આ દુર્ઘટનાની ગુંજ બંને રાજધાનીઓમાં સંભળાયા પછી તેની ચર્ચા ત્રણ દિવસથી પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયામાં પણ થઈ રહી છે, અને જવબાદાર તંત્રો પર માછલાં ધોવાઈ રહ્યા છે. આ પ્રકારની દેશભરમાં બનેલી તાજેતરની અન્ય ઘટનાઓ તથા બિલ્ડરો-કોન્ટ્રાકટરો-તંત્રો અને શાસકો-પ્રશાસકોની ભ્રષ્ટ મીલીભગતની આશંકા તથા ઉગ્ર જનાક્રોશને પડઘાવતી આ ચર્ચાઓ આજે દેશવ્યાપી ચિંતાનું કારણ પણ બની હતી.
હકીકતે ગ્રેટર નોઈડાના સેકટર-૧૫૦ પાસે એક બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું, તેની નજીક પાણીથી ભરેલો ઊંડો ખાડો હતો. ગુરૂગ્રામથી પરત ફરી રહેલા એક સોફટવેર એન્જિનિયર ગાઢ ધુમ્મસ વચ્ચે આ ખાડામાં કાર સાથે ખાબક્યા હતા અને તે પછી બચાવ કામગીરી શરૂ થઈ હતી., આ કવાયત છતાં એ આશાસ્પદ સોફટવેર એન્જિનિયરનો જીવ બચાવી શકાયો નહીં, અને પાંચેક કલાક પછી તેને બહાર કઢાયો ત્યારે તેનું નિધન થઈ ચૂક્યું હતું. સ્થાનિકોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ સર્વિસ રોડ પર રિફલેકટર નહોતા અને ખાડાને કોર્ડન કરીને ઢાંકવામાં આવ્યો નહોતો કે ચેતવણીના રિફલેકટર્સ સાથેના બોર્ડ મુકાયા નહોતા. પોલીસે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સામે એફઆઈઆર ફાડી હતી. તે પછી જનાક્રોશ સાથે વિરોધ-પ્રદર્શન પણ થયુું હતું.
એવું કહેવાય છે કે નોઈડાના તંત્રે લાપરવાહીના દોષિત ઠરાવીને એક જુનિયર એન્જિનિયરને નોકરીમાંથી બરખાસ્ત કર્યો હતો અને હવે તપાસ ચાલી રહી છે, તથા એસ.આઈ.ટી.ની રચના થઈ છે, તો તંત્રો જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે.
આ તરફ હાલાર અને સૌરાષ્ટ્ર સહિતના ઘણાં સ્થળે પણ કોઈને કોઈ કારણે માર્ગ અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો અવાર-નવાર આવતા હોય છે, તેથી ગ્રેટર નોઈડાની આ ઘટનાનું દૃષ્ટાંત એ દર્શાવે છે કે દેશની રાજધાનીની નજીક જ જો આ પ્રકારની લાપરવાહીથી લોકોના જીવ જતા હોય તો દેશના દૂર-સુદૂરના અને સરહદી, દુર્ગમ કે પહાડી વિસ્તારોની કેવી દશા થતી હશે ?
આપણાં જામનગરની જ વાત કરીએ તો કોરોનાકાળ પહેલાના સમયથી નગરમાં કોઈને કોઈ વિકાસના કામે નાનું મોટું ખોદકામ થતું જ રહે છે. અને ખોદકામ જે વિકાસના કામે નાનું મોટું ખોદકામ થતું જ રહે છે અને તે ખોદકામ જે વિકાસના કામ કે સુવિધાઓની સુધારણા કે વિસ્તૃતિકરણ માટે થયું હોય, તે વિકાસકામ સંપન્ન થઈ જાય, તે પછી એ ખોદકામ સમથળ કરીને તેના પુનઃ પાકી સડક બનાવવામાં ઘણો લાંબો સમય વ્યતીત થતો હોય છે., આ કારણે ઉબડ-ખાબડ રીતે બૂરાયેલા ખાડાઓમાં નાખેલી અણીયાળી કાંકરીઓ કે મગરની પીઠ જેવી સપાટીના કારણે વાહનચાલકો સહિત તમામ લોકો પરેશાન થતા રહે છે. અને ઘણી વખત નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે.
કેટલાક સ્થળે જુદા-જુદા કામે બે-ત્રણ વખત સડકો ખોદાયા અને બુરાયા પછી તેના પરથી પસાર થવું પડકારરૂપ બની જતું હોય છે, અને તેમાં પણ ચોમાસા પછી પણ માવઠાનો વરસાદ પડતા થયેલા તે સમયના કાદવ-કીચડ પછી હવે તો તે સુકાઈ જતા ખેડાયેલા ખેતર જેવા માર્ગો થઈ જાય છે, જેના પરથી ચાલવું કે વાહન ચલાવવું પણ ઘણું જ મુશ્કેલ હોય છે, આ તમામ સમસ્યાઓ જાણતા સંબંધિત તંત્રોએ કામો ચાલતા હોય ત્યારે પણ લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે, અને કામ પૂરૃં થયા પછી સારી સડકોનું પુનઃ નિર્માણ થાય, તેની તકેદારી રાખવી જ જોઈએ, પછી ભલે તે શેરી-ગલીના માર્ગો હોય, શહેરના આંતરિક માર્ગો હોય, રીંગ રોડ હોય કે પછી ધોરીમાર્ગો હોય...
રાજ્યમાં અત્યારે પાલિકા-મહાપાલિકાઓ, પંચાયતો, રાજ્ય સરકાર અને કેન્દ્રમાં ભાજપનું શાસન હોય, ત્રિપલ એન્જિનની સરકાર હોવાનું ગૌરવ લેવામાં આવી રહ્યું છે, ત્યારે આ અવસરનો પ્રજાલક્ષી ઉપયોગ કરીને લોકોપયોગી કામો ગુણવત્તાસભર અને સમયોચિત રીતે સંપન્ન થાય, લોકોને નડતરરૂપ બને નહીં, તેવી રીતે કામો થાય અને લોટ, પાણીને લાકડાના બદલે મજબૂત માળખાકિય સુવિધાઓ ઊભી થાય, તેવો અભિગમ રાખવો જોઈએ, તેના બદલે ભ્રષ્ટ નેતાઓ, કોન્ટ્રાકટરો અને સંબંધિત અધિકારીઓના નકલી ત્રિપલ એન્જિનો ધમધમવા લાગ્યા હોય અને નબળા વિકાસકામો કરીને ખાનીગી તિજોરીઓ ભરવાના કારસા રચાયા હોય ત્યારે લોકોને મૂળ ત્રિપલ એન્જિનો પર આ ડુપ્લીકેટ ત્રિપલ એન્જિનો ભારે તો પડી રહ્યા નથી ને ? તેવો સવાલ ઉઠે એ સ્વાભાવિક છે.
ત્રિપલ એન્જિનોની સરકાર ધરાવતા ભારતીય જનતા પક્ષને આજે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા છે, અને હવે નીતિન નબિન લાંબી ઈનિંગ રમવાના છે, ત્યારે તેમની પણ ટોપ પ્રાયોરિટી સંગઠનના આંતરિક ખટરાગના ખાડાઓ બુરવા તથા નકલી ત્રિપલ એન્જિનને અંકુશમાં રાખીને સરકારોને "માપ"માં રાખવાની જ હશે, અને એ પ્રાયોરિટી જ તેમના માટે પડકારરૂપ બની શકે છે.
વિકાસના કામો થતા હોય, ત્યારે લોકોને પણ થોડી અગવડ પડે અને રોજીંદા જીવનને અસર થાય, તે સ્વાભાવિક છે, અને તેમાં સહયોગ આપવો તે એક નાગરિક તરીકે આપણી બધાની પણ મૂળભૂત ફરજ છે, પરંતુ જ્યારે કામો શરૂ થવામાં વિલંબ થાય, ચાલી રહેલા કામો મંથન (ધીમી) ગતિથી ચાલે અને એ કામો દરમ્યાન લોકોને વધારે પડતી હાડમારી ભોગવવી પડતી હોય અને ફિલ્ડ પર કામ કરતા પેટા કોન્ટ્રાકટરો અને તેના કર્મચારીઓનો જનતા સાથેનો વ્યવહાર યોગ્ય ન હોય, તો તેને નકલી ત્રિપલ એન્જિનની જ બલિહારી માનવી પડે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ટીમ ઈન્ડિયાએ વન-ડે મેચ તો હારી, પણ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ વન-ડે મેચોની શ્રેણી તો ગુમાવી...જો કે, હાર જીત તો ચાલ્યા કરે, ફાઈટ સારી આપી, વિરાટ કોહલીની સદી કાબિલે દાદ હતી, તેવા શબ્દપ્રયોગો સાથે ભારતીય ફેન્સ મન મનાવતા જોવા મળ્યા. કાંઈક એવું જ અન્ય ક્ષેત્રોમાં પણ થઈ રહ્યું છે, અને કેટલાક લોકો પોતાના પરાજય અને પડતીનું પણ મહિમાગાન કરતા જોવા મળી રહ્યા છે.
ગુજરાતીમાં તમાચો પોતાને જ મારીને પોતાનો જ ગાલ લાલ રાખવાની કહેવતની જેમ જ કેટલાક લોકો આત્મશ્લાધા અર્થાત પોતાની જ પ્રશંસા (કરાવવા)માં માહીર હોય છે અને પોતાની પ્રશંસા કરાવતા કરાવતા પોતે ફેલાવેલા ભ્રમના પોતે જ ભોગ બની જતા હોય છે, અને પોતાનું ધાર્યું થાય નહીં, ત્યારે "છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે" તેવું કહીને પોતાની જાતને જ છેતરવાનો પ્રયાસ કરતા હોય છે. આ પ્રકારની શખ્સિયતો આપણા ગામડાઓના ગોંદરે તથા શહેરોના મિનારાઓથી લઈને વોશિંગ્ટનના વ્હાઈટ હાઉસ સુધી મળી શકે છે અને હમણાંથી તેની વ્યાપક ચર્ચાઓ પણ ગામડાથી ગ્લોબલ સુધી વ્યાપક રીતે થઈ રહી છે.
જામનગર નજીક ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું મોટા ભાગનું કામ પૂરૃં થઈ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ પહેલા તેનું ઉદ્ઘાટન કરી શકે છે, તેવી વાતો વહેતી થઈ છે. જામનગર નજીક આવેલી રિલાયન્સ, નયારા, એસ્સાર જેવી જાયન્ટ કંપનીઓ, જામનગરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ, બ્રાસ-બાંધણી અને બાંધકામ-ઉદ્યોગના ક્ષેત્રે જામનગરની ખ્યાતિ તથા રજવાડી નગર જામનગરની વ્યૂહાત્મક અગત્યતાના કારણે જામનગરનું નામ વૈશ્વિક કક્ષાએ ચમકવા લાગ્યું છે, તે ખરૃં, પરંતુ એ જ જામનગરને મચ્છરથી મૂક્ત, રખડતા ઢોર તથા આવારા કૂતરાઓથી મૂક્તિ અને ફૂટપાથો-માર્ગો પરના દબાણોથી મૂક્ત નહીં કરાય, તો અન્ય સિદ્ધિઓની સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી સ્થિતિ ઊભી નહીં થાય ?
જ્યાં સુધી નગરની ગંદકી, ગટર અને પ્રાથમિક સુવિધાઓને લઈને ઉઠતી ફરિયાદોનું કાયમી ધોરણે નિવારણ થાય નહીં, ત્યાં સુધી વિશાળ વિકાસ સંકુલો, ફલાય ઓવર બ્રિજો કે ઝળહળતા રિવર ફ્રન્ટોનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ગામડાના માર્ગો તથા નગરના આંતરિક માર્ગોની દૂર્દશા સંપૂર્ણપણે દૂર થાય નહીં, ત્યાં સુધી વિકાસના માચડાઓ ખડકીને વિકાસની હરણફાળ ભરી હોવાની ડંફાસો મારવાનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ગરીબી, મોંઘવારી, બેરોજગારીની સમસ્યાઓ ઉકેલાય નહીં, ત્યાં સુધી ઔદ્યોગિક વિકાસ કે આર્થિક સદ્ધરતાના બણગા ફૂંકવાનો કોઈ મતલબ નથી, એ પ્રકારના પોલિટિકલ ડાયલોગ્સ આપણે બધા આઝાદી પછી આજ પર્યંત સાંભળતા આવ્યા છીએ, પણ કોઈ ફરક પડ્યો છે ખરો ?
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ કાંઈક એવું જ બની રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટેરિફ તથા રોજેરોજ ચિત્ર-વિચિત્ર નિવેદનો, જાહેરાતો અને હરકતો કરીને ભલે હાસ્યાસ્પદ બની રહ્યા હોય, પરંતુ તેની પાસે વિશ્વના સૌથી જૂના લોકતાંત્રિક સદ્ધર મહાસત્તા ગણાતા દેશની સત્તા છે અને એટલે જ વિશ્વના દેશો અત્યારે તેની ઉટપટાંગ વાતોને ગંભીરતાથી લેતા નથી, પરંતુ જ્યારે અન્ય દેશોના સાર્વભૌમત્વ કે આત્મસન્માનની દૃષ્ટિએ જોખમ જણાય, ત્યારે ઘેરા પ્રત્યાઘાતો પણ પડતા હોય છે. ઈરાન સામે ઉગામેલું યુદ્ધનું શસ્ત્ર ટ્રમ્પે જ્યારે મ્યાન કરવું પડયું, ત્યારે તેમણે કરેલો બચાવ પોતાના ગાલે જ તમાચો મારીને ચહેરો લાલ રાખવા જેવો જ છે ને ? હકીકતે ખાડીના ત્રણ-ચાર દેશોના પ્રેસરમાં આવીને ટ્રમ્પે ઈરાન સામે ઉગામેલું શસ્ત્ર મ્યાન કરવું પડયું હોવાના વૈશ્વિક વિશ્લેષકોના તારણોમાં પણ દમ છે અને ટ્રમ્પ આપણે કદાચ માનીએ છીએ એવા ચક્રમવૃત્તિના પણ નથી, માત્ર તેમણે વલણ જ બદલ્યું છે, તેવી દલીલો કરનારા પણ મોજુદ છે...!
જો કે, ટ્રમ્પે પોતાના પગ પર કૂહાડો માર્યો હતો અને યુરોપ તથા નાટો અંગે પણ હાંસી ઉડાવતા નિવેદનો કર્યા હતા, પરંતુ ગ્રીનલેન્ડના મુદ્દે જ્યારે યુરોપના દેશો એકજૂથ થઈ ગયા, તે પછી ટ્રમ્પ ઢીલા પડયા હોય તેમ જણાય છે, તેથી જો બાકીનું વિશ્વ એકજૂથ થઈ જાય, તો ટ્રમ્પને પણ મિયાઉં...મિયાઉં..કરતી મીંદડી બની જવું પડે, તે હકીકત યુરોપની એકજૂથતાએ પૂરવાર કરી દીધી છે, ઈરાનના મુદ્દે યુદ્ધના બણગાં ફૂક્યા પછી મજબૂરીમાં ઢીલા પડી ગયેલા ટ્રમ્પે "છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે" જેવા કેટલાક હાસ્યાસ્પદ નિવેદનો કર્યા હતા. હવે ટ્રમ્પે ભારતને વિશ્વકક્ષાની શાંતિ સમિતિમાં સામેલ કરવાનો દાવ અજમાવ્યો, તેની પાછળ પણ યુએઈ સાથે ભારતનો ઘરોબો છે. આજે જ યુએઈના રાષ્ટ્રપતિ ભારતમાં છે, તે સૂચક છે.
જયારે બેફામ નિવેદનબાજી થતી હોય ત્યારે ટ્રમ્પ જેવા આપણાં દેશના કેટલાક મોટા નેતાઓની આ પ્રકારની સમાન બણગાંબાજી યાદ આવી જાય, અને ક્યારેક ધાર્યું થયું ન હોય, ચૂંટણીમાં હાર-જીત થઈ હોય કે પછી કોઈએ ચેલેન્જ ફેંકી હોય, પરંતુ તે ઝીલી શકાય તેમ ન હોય, ત્યારે થતા કેટલાક ટ્રમ્પ ટાઈપ નિવેદનો પણ યાદ આવી જાય...
દૃષ્ટાંત તરીકે મહારાષ્ટ્રના એક નેતાએ પોતાના પરાજયને પણ ગરિમામય ગણાવીને પ્રતિસ્પર્ધી પક્ષો પર પ્રહારો કર્યા, ત્યારે પણ "છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે" તેવી કહેવત યાદ આવી જાય. મધ્યપ્રદેશના કોઈ ધારાસભ્યે મહિલાઓ અંગે આપેલા બેજવાબદાર નિવેદન પછી અને જનાક્રોશ ઊભો થયા પછી તેઓની સ્થાનિક નેતાગીરીની ચૂપકીદી હોય કે મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર પર પ્રહારો હોય, આ તમામ ઘટનાક્રમો પણ પોતાના ગાલે તમાચો મારીને પણ ગાલ લાલ રાખવાના પ્રયાસો જેવા જ જણાય છે.
ગુજરાતમાં પણ બિનપરંપરાગત ઉર્જા ક્ષેત્રે મળેલી સિદ્ધિઓના ગુણગાન ગવાઈ રહ્યા છે, અને ખેતી તથા ઘરવપરાશ માટે પૂરતો વીજપૂરવઠો અપાઈ રહ્યો હોવાના દાવાઓ છતાં તદ્વિષયક ફરિયાદો ઉઠતી જ રહી છે, ત્યારે સરપ્લસ પ્રોડકશન કે ઉર્જા વિકાસના ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી છે. ખરૃં ને ?
જામનગર શહેર માટે સારા સમાચાર આવ્યા અને ૧૩૫૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કોઈ લોજિસ્ટિક પ્લાન વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં જામ્યુકોએ રજૂ કર્યો છે, જેમાં ડબલ રીંગરોડ, માઈક્રો ડિલિવરી હબ અને લોજિસ્ટિક પાર્કો તથા રાજય સરકાર દ્વારા નગરને ૯૦૦ જેટલા ઈલેકટ્રીક વાહનોની ફાળવણીની જોગવાઈ હોવાનું જોરશોરથી ચર્ચાયું અને ગુણગાન ગવાયા, પરંતુ પછી ખબર પડી કે આ પ્લાન તો વર્ષ ૨૦૪૭ સુધીનો છે, તેથી કેટલાક લોકોએ કટાક્ષ કર્યો કે પહેલા નગરની મૂળભૂત અને કાયમી સમસ્યાઓ તો દૂર કરો, કારણ કે ન જાણ્યુ જાનકીનાથે, સવારે શું થવાનું છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મહારાષ્ટ્રમાં ઝળહળતા વિજય પછી ભારતીય જનતા પક્ષ હવે ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ફરીથી જવલંત વિજય મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે એ નક્કી છે, પરંતુ ગુજરાતમાં મહાનગરપાલિકાઓ સહિતના શહેરી તથા પંચાયતી વિસ્તારોમાં ઘણાં સ્થળે જનતાની નારાજગી અને અસંતોષના કારણે ઊભી થયેલી એન્ટી ઈન્કમ્બન્સી તથા કોંગ્રેસની મજબૂત તૈયારીઓ ઉપરાંત આમઆદમી પાર્ટીનું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પૂરી તાકાતથી લડી લેવાનું વલણ ભાજપ સામે પડકારો ઊભા કરશે તે પણ નકકી છે.
આ એન્ટી ઈન્કમ્બન્સી અને વિપક્ષોનો પડકાર ઝીલવા ભાજપ દ્વારા સંગઠનની વ્યૂહરચના તો ઘડાઈ જ ગઈ હશે, પરંતુ હવે કદાચ રાજ્ય સરકારના આ વખતે રજૂ થનારા બજેટમાં પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે કોઈ નવતર યોજનાઓ, પ્રોજેકટો અને ફંડ-ફાળવણી તો થશે જ, તેની સાથે સાથે મતદારોને લલચાવવા કોઈ "રેવડી" વહેંચવાની યોજના પણ અમલમાં મૂકાઈ શકે છે. બજેટમાં જ આ પ્રકારની જોગવાઈઓ થઈ જાય, પછી બરાબર ચૂંટણી નજીક આવે તેવા સમયે જ લોભામણી યોજનાઓ અમલી બનાવીને બિહારની જેમ ચોક્કસ મતદારોને રીઝવવા કે આકર્ષવાના પ્રયાસો થઈ શકે છે, કારણ કે બજેટમાં જોગવાઈ થઈ હોય, તેવી યોજનાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગવા લાગે તેવા સમયે પરંતુ ચૂંટણીની તારીખો જાહેર થાય, અને આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં ચાલાકીપૂર્વક અમલમાં મૂકીને મતદારોની નારાજગી દૂર કરવાનું સરળ બની જતુ હોય છે.
આ વખતે ઐતિહાસિક ઘટના એ બનવાની છે કે પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્ર સરકારનું બજેટ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે, જેથી કદાચ શેરબજાર પણ રવિવારે ચાલુ રહેશે. આ કારણે કેન્દ્રીય બજેટની સીધી અસરો દેશ-દુનિયાના શેરમાર્કેટમાં પણ તે જ દિવસે પણ થઈ શકે છે. કારણ કે, આપણા શેરમાર્કેટના રિએક્શન મોટા ભાગે બીજા દિવસ સુધી વિશ્વના શેરમાર્કેટોમાં આવતા હોય છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રીય બજેટ રજૂ થયા પછી રાજ્યોના બજેટો પણ તબક્કાવાર રજૂ થશે, કારણ કે ઘણી કેન્દ્રીય યોજનાઓની અસરો રાજ્યોના બજેટ પર પડતી હોય છે, તો ઘણી યોજનાઓ રાજ્યો અને કેન્દ્ર સરકારોની સંયુક્ત હોય છે. કેન્દ્રીય બજેટ અને રાજ્યોના અંદાજપત્રોમાં જીએસટી કાઉન્સીલ રચાયા પછી હવે કરવેરાની વધઘટનું એટલું બધું મહત્ત્વ રહ્યું નથી, તેમ છતાં વેટ અને મહેસુલ ક્ષેત્ર સહિત કેટલાક રાજ્યોના કરવેરા તથા કેન્દ્રના પેટ્રોલ, ડીઝલ વગેરે પરના જેટલા કરવેરા જીએસટી અંતર્ગત આવરી લેવાયા નથી, તેમાં થતા ફેરફારોની અસર રાજ્યોમાં બજેટ પર થતી હોય છે.
ગઈકાલે જ જાહેર થયું છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૧૬મી ફેબ્રુઆરીથી શરૃ થશે, અને ૨૫મી માર્ચ સુધી ચાલશે. સત્રના પ્રારંભે પરંપરાગત રીતે વિધાનસભામાં રાજ્યપાલનું અભિભાષણ થશે. તે પછી તે જ સમગગાળામાં સત્ર દરમ્યાન વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પણ થશે. કુલ ૨૩ દિવસ સુધી ચાલનારા આ સત્ર દરમ્યાન ૨૬ બેઠકો યોજાશે. આ દરમ્યાન રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ સહિતના સાત જેટલા નવા વિધેયકો રજૂ કરી શકે છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ધારાસભ્યો રાજ્યમાં કાયદો-વ્યવસ્થા, ખેડૂતોના પ્રશ્નો તથા કેટલાક કૌભાંડો તથા મનરેગાના બદલાયેલા નામ તથા યુસીસીના મુદ્દે ચર્ચા માંગશે અને ગૃહમાં હોબાળો સર્જાશે, તેવા અનુમાનો પણ થઈ રહ્યા છે.
આ વર્ષે બજેટનું કદ ગયા વર્ષ કરતા ૧૫ ટકા જેટલું વધારીને અંદાજે ચાર લાખ કરોડ જેટલું થઈ શકે છે. રાજ્યના આર્થિક ક્ષેત્ર તથા બજારક્ષેત્રના જાણકારોના મંતવ્યો મુજબ આ વખતે રાજ્ય સરકાર કદાચ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે કોઈ નવી યોજના જાહેર કરે કે લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી જમા થતી કેટલીક યોજનાકીય સહાયમાં વધારો કરે, તેવી સંભાવનાઓ પણ છે.
સચિવાલયમાં ચર્ચાતી સંભાવનાઓ મુજબ રાજ્ય સરકાર આ વખતે મહિલાઓ તથા ખેડૂત-ખેતમજુરો, અસંગઠિત ક્ષેત્રો તથા રાજ્યના કર્મચારીઓ માટે પણ કેટલીક નાની જાહેરાતો બજેટમાં કરી શકે છે અને એટલા માટે જ ૧૫ ટકાથી વધુનો વધારો બજેટના કદમાં થઈ શકે છે.
આ વખતે બજેટ સત્રની તારીખો અને સમયગાળો નક્કી કરવાની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય સરકારની કેબિનેટમાં વર્તમાન બજેટ, ખર્ચ અને નવી યોજનાઓ અંગે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હોવાના પણ અહેવાલો છે. એવું કહેવાય છે કે ઈન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષણ-આરોગ્ય ઉપરાંત કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ ખેડૂતોને વળતર અને ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે પણ વિસ્તૃત સમીક્ષા સાથે ચર્ચા-પરામર્શ થયો હોય અને તે બજેટમાં સ્ટ્રીટ વેન્ડર્સની સમસ્યાઓ, રખડતા ઢોર-આવારા કૂતરાઓ પર અંકુશ તથા ગ્રામ્ય-શહેરી માર્ગોના નવીનીકરણ અને વિસ્તૃતિકરણની જરૃર પર ભાર મૂકાયો હોય, તેવી મજબૂત સંભાવનાઓ છે અને તમામ કવાયતનો પ્રભાવ અને અસરો રાજ્યના બજેટ પર પડશે, તે નકકી જણાય છે.
વર્ષ ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષના ગુજરાતના ગત બજેટમાં નવા કરવેરા નખાયા નહોતા પરંતુ ૧૪૮ કરોડ રૃપિયાની કર રાહત જાહેર કરાઈ હતી, તે ઉપરાંત વિકસિત ગુજરાત કોષની સ્થાપનાની જાહેરાત કરાઈ હતી. રાજ્યના ૧૫ જિલ્લાઓના ૩૩૮ ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૃા. ૨૦૦ કરોડ ફાળવાયા હતા. હવે આ વર્ષે ગુજરાત સરકાર તરફથી નાણામંત્રી કનુભાઈ દેસાઈના બજેટમાં કેવી જોગવાઈઓ હશે અને કેટલી નવી યોજનાઓ જાહેર થશે, તેની અટકળો થઈ રહી છે.
રાજ્ય સરકાર રાજ્યના ગરીબમાં ગરીબથી લઈને તમામ વર્ગો, તમામ વયજૂથના નાગરિકો, તમામ વિસ્તારો તથા સામાન્ય જનતાથી લઈને તટસ્થ તજજ્ઞો સહિતના મંતવ્યો-અભિપ્રાયો મેળવીને તમામ સમસ્યાઓ ઘટાડનારૃં અને ખોબલે ખોબલે મતો આપીને પ્રચંડ બહુમતી આપનાર રાજ્યની જનતાની અપેક્ષાઓ સંતોષનારું બજેટ તૈયાર કરશે, તેવી અપેક્ષા રાખીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મકરસંક્રાંતિ પછી ધીમે ધીમે ઠંડી ઘટવા લાગે છે, અને દિવસ થોડો મોટો થતો જતો હોય છે. જાન્યુઆરી મહિનો નવા ઈસ્વીસનના પ્રારંભે આવતો હોવાથી આ મહિનો ૨૧મી સદીના ૨૬મા વર્ષનો પ્રથમ મહિનો ગણાય, અને ૨૧મી સદીના ૨૫ વર્ષ પૂરા થયેલા ગણાય. ૨૧મી સદીનું આ બીજું ક્વાર્ટર (ત્રિમાસિક ગાળો) પણ શરૂ થયું ગણાય. આ ક્વાર્ટરના પ્રારંભે જ કાંઈ ઘટનાક્રમો બની રહ્યા છે, તે પૈકી કેટલાક ઘટનાક્રમો અકલ્પનિય, અણધાર્યા, આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ છે.
આજે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પછી તેની મત ગણતરી થઈ રહી છે, અને લીડ તથા પરિણામો જાહેર થઈ રહ્યા છે તેમાં સૌથી વધુ મુંબઈ મહાનગરપાલિકા, બોમ્બે કોર્પોરેશન અથવા બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી) પર સૌની નજર મંડાયેલી છે. ગઈકાલે બી.એમ.સી.ની ચૂંટણીઓના એકઝીટ પોલમાં કેટલાક અનુમાનો ત્રિશંકુ સ્થિતિ દર્શાવતા હતા, જ્યારે કેટલાક એકઝીટ પોલ્સમાં ભાજપ-શિવસેના (શિંદે)ના ગઠબંધનનો પરચમ લહેરાશે તેવા તારણો બતાવાયા હતા. તે પછી આજે જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. આ પરિણામો આવ્યા પછી વિવિધ રાજકીય પક્ષો તેનું મનોમંથન કરશે. અને મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પછી મહારાષ્ટ્રની સ્થાનિક રાજનીતિ તથા રાષ્ટ્રીય રાજનીતિ ઉપરાંત પડોશી રાજ્યો ગુજરાત અને કર્ણાટકની ભાવિ રાજનીતિ પર પણ પરોક્ષ અસરો પડી શકે છે.
વર્ષ ૧૯૯૬થી બી.એમ.સી.ની સત્તા કાં તો શિવસેના પાસે હતી અથવા તો બીએમસી-ભાજપ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડયા પછી શિવસેનાએ સત્તામાં મુખ્ય ભાગીદારી કરી હતી. હવે સમીકરણો બદલાયા છે અને શિવસેનાના બે ફાડિયા થયા પછી ઠાકરે બ્રધર્સ એક તરફ છે, અને બીજી તરફ શિવસેના (શિંદે) નું ગઠબંધન છે. ગઈકાલથી જ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ચૂંટણી પ્રક્રિયાની ગરબડ અંગે ગંભીર આક્ષેપો કરી રહ્યા હતા અને ચૂંટણીપંચ તેનો જવાબ આપી રહ્યું હતું. હવે આજે પરિણામો આવ્યા પછીના વિપક્ષોના સંગઠીત પ્રત્યાઘાતો આવશે, તે નક્કી છે.
આજે પ્રારંભથી જ બીએમસી ઉપરાંત મોટાભાગની મહાનગરપાલિકાઓમાં પણ ભાજપ-શિંદેની મહાયુતિનો પરચમ લહેરાયા પછી સંજય રાઉત, ઠાકરે બ્રધર્સ અને કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી પ્રક્રિયા અંગે આક્ષેપો ફરીથી દોહરાવીને બીએમસીના કમિશનર પરિણામો પહેલા જ મહાયુતિઓને મળવા ગયા હોવાના કથિત આક્ષેપો કરીને આચાર સંહિતાનો ઉલાળીયો કરાયો હોવાના નિવેદનો કર્યા હતા.
આજે પ્રારંભમાં બીએમસીમાં ભાજપ-શિંદે ગઠબંધન અને મહાવિકાસ અઘાડી પૈકીના ઠાકરે બંધુઓ સાથેના ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર જણાતી હતી પરંતુ બપોર થતાં થતાં ચિત્ર બદલાવા લાગ્યું હતું
આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે, અને પરિણામો પછી મહારાષ્ટ્રની તર્જ પર અન્ય રાજયોમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાશે, તેમ જણાઈ રહ્યું છે.
આજે મધ્યાન્હમાં આવેલા વલણો (પરિણામોની લીડ) મુજબ નાગપુરમાં ભાજપની પ્રચંડ જીત, નાસિક-ઠાણેમાં ભાજપના ગઠબંધનો તો નવી મુંબઈ, મીરા ભાઈદરમાં કાંટે કી ટક્કર, લાતૂર માલેગાંવ, જલગાંવમાં વિપક્ષી ગઠબંધનની લીડ જોવા મળી રહી છે, તો મુંબઈ (બીએમસી)માં દાયકાઓ પછી શિવસેના (ઠાકરે) ના વળતા પાણી થતાં જોવા મળી રહ્યા છે. આ વખતે મહાવિકાસ અઘાડી અને મહાયુતિ બંને ગઠબંધનોના રાજકીય પક્ષોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાંચ જેટલા અલગ-અલગ ગઠબંધનો બનાવ્યા હતા. અને જુદી જુદી મહાનગરપાલિકાઓમાં અલગ-અલગ ગઠબંધને ચૂંટણી લડી હતી.
ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આવી રહી છે, અને ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે, તેમ જણાઈ રહ્યું છે.
આજે મહારાષ્ટ્રમાં આવી રહેલા વલણો જોતાં મહારાષ્ટ્રમાં ભાષાવાદ તથા ભેદભાવની રાજનીતિને ત્યાંની જનતાએ નકારી છે અને ગુજરાતીઓ તથા ઉત્તર ભારતીયોનો વિરોધ કરવાનું ઠાકરે બ્રધર્સને ભારે પડી ગયું હોય તેમ જણાય છે. બીજી તરફ કોંગ્રેસ, ઠાકરે બ્રધર્સ, એનસીપી (શરદ પવાર) વગેરેએ જુદા જુદા ગઠબંધનો રચીને ચૂંટણી લડતા તેનો ફાયદો પણ ભાજપ-શિંદેના ગઠબંધનને મળ્યો હોય તેમ જણાય છે. આ ચૂંટણીઓમાં કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ જ મુદ્દાઓ પર લડાશે કે નવા મુદ્દાઓ ઉમેરાશે તે જોવું રહ્યું.
સ્થાનિક રાજનીતિ ઉપરાંત રાષ્ટ્રીય રાજનીતિમાં પણ હલચલ મચી છે. સુપ્રિમકોર્ટે ગઈકાલે મમતા બેનર્જીની સરકારને નોટિસ ફટકાર્યા પછી ત્યાંનુ ભાજપ ગેલમાં છે, તો કર્ણાટકમાં કોંગ્રેસ આંતરિક વિખવાદોથી ઉપર ઉઠીને એકજૂથ થવાની દિશામાં આગળ વધી રહેલી જણાય છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન જાળવી રાખશે કે "એકલા ચલો રે" ની નીતિ અપનાવશે, તેની ચર્ચા મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી ફરીથી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ તામિલનાડૂ, કેરલ અને તેલંગાણા સહિતના દક્ષિણ ભારતમાં પોતાની હાજરી નોંધાવવા ભરચક્ક પ્રયાસો કરી રહેલી ભારતીય જનતા પાર્ટી ફરીથી ત્યાં ગઠબંધનમાં સ્થાનિક પક્ષોને સામેલ કરવાની રણનીતિ અપનાવી રહેલી જણાય છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી વધુ ચર્ચા ટ્રમ્પના રોજે રોજના નિર્ણયો તથા ટેરિફ અને યુદ્ધ નીતિ તથા વિદેશનીતિની થઈ રહી છે. અમેરિકા પર પણ હવે ચીન જેવી સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી નીતિ અપનાવવાનો આરોપ લાગી રહ્યો છે. ઈરાને સામૂહિક ફાંસી માટેનો નિર્ણય મોકૂફ રાખ્યા પછી ટ્રમ્પ ઢીલા પડી ગયા અને ઈરાનને ચેતવણી આપીને હાલ સુધી હૂમલો કરવાનું માંડી વાળ્યું હોવાના અહેવાલો છતાં ટ્રમ્પનો કાંઈ ભરોસો નહીં, તેવા પ્રત્યાઘાતો સાથે તેની આલોચના થઈ રહી છે. ઈરાન સાથે આંખો બતાવ્યા પછી ટ્રમ્પે ઢીલું વલણ અપનાવ્યુ તેની પાછળ અમેરિકાના મિત્ર દેશો ગણાતા કેટલાક ખાડીના રાષ્ટ્રો તથા યુએઈ, કતાર વગેરે પણ અમેરિકાની વિરૂદ્ધમાં જઈ રહ્યા હોવાનું કારણ પણ જણાવાઈ રહ્યું છે.
ભારતે હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે, તો અમેરિકાએ તદૃન તાજા નિર્ણયમાં વિઝાનીતિમાં ફેરફાર કર્યો છે. આજે જ પાકિસ્તાનને ઝટકો લાગે, તેવો ટ્રમ્પનો નિર્ણય પણ ચર્ચાના આકડે ચડયો છે.
જામનગર અને હાલારમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હલચલ થવા લાગી છે અને ભાજપ, કોંગ્રેસ તથા આમઆદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ તથા કાર્યકરો પ્રદેશ હાઈકમાન્ડના નિર્દેશોની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાય છે.
આમ, વર્ષ ૨૦૨૬ના પ્રારંભે જ સ્થાનિક કક્ષાથી માંડીને પ્રદેશ, દેશ અને દુનિયામાં જે ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે, જે સંઘર્ષમય તથા અસાધારણ છે, અને તેમાંથી જ શાંતિ અને સ્થિરતાનો કોઈ માર્ગ નીકળશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે મકરસંક્રાંતિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ ગયું. જામનગર સહિત ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વે હર્ષોલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા અને પતંગ રસિયાઓએ પતંગો ઉડાડવાની મજા માણી. જો કે, પતંગની દોરીથી ગળુ કપાઈ જતા કેટલાક લોકોનો જીવ ગયો, તો કેટલાક પંખીઓ પણ ઘાયલ થયા. સતત અપાતી વોર્નિંગ, તંત્રોની ગાઈડલાઈન્સ અને પ્રેસ-મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી અપાતી ચેતવણીઓ છતાં આ પ્રકારની ઘટનાઓ તદ્દન અટકતી નથી, તે દુર્ભાગ્યપૂર્ણ છે, અને આત્મ ચિંતનનો વિષય છે.
કેટલાક સ્થળે વીજ કરંટ તો કોઈ સ્થળે છત પરથી પડી જવાની ઘટનાઓ બની. કેટલાક સ્થળે પતંગ ઉડાડવા, કાપવા કે દેકારો કરવાના કારણે તકરારો પણ થઈ. નાની-મોટી તકરારો કેટલાક સ્થળે મારામારી અને જૂથ અથડામણમાં ફેરવાઈ ગઈ અને હત્યાના બનાવો પણ બન્યા. આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ આપણી મૂળભૂત સંસ્કૃતિને અનુરૂપ નથી. આપણે પરસ્પર સ્નેહ, પ્રેમ, આદર અને સહનશીલતા રાખીને તહેવારો ઉજવતા રહેવા જોઈએ, ખરૃં ને ?
આજે પણ વાસી મકરસંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. મકરસંક્રાંતિ પર્વ સાત ધાનનો "ખીચડો" આપણાં પ્રદેશની પરંપરાગત વિશેષતા છે, અને તેને પાછળ ઋતુગત પોષણનો કોઈ સાયન્ટિફિક દૃષ્ટિકોણ પણ હોઈ શકે છે. હજુ પણ પતંગ ઉડાડતી વખતે સાવધાન રહેવાની અપીલો કરવામાં આવી રહી છે.
જો કે, ગઈકાલે ભારતના ક્રિકેટ રસિયાઓની મકરસંક્રાંતિ તો મોજભરી રહી હશે, પરંતુ રાજકોટના મેદાનમાં જે રીતે ન્યુઝીલેન્ડની ટીમ સાથે ભારતીય ટીમ હારી ગઈ, તે ઘણું જ નિરાશાજનક હતું...રોહિત શર્મા અને કોહલી, ગીલ સહિતના બેટધરોને ન્યુઝીલેન્ડના બોલરોએ એવા તો નિયંત્રણમાં રાખ્યા હતા કે એક સમયે એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા સાવ સસ્તામાં આઉટ થઈ જશે, પરંતુ કે.એલ.રાહુલે સદી ફટકારતા ભારતીય ટીમ કાંઈક સન્માનજનક સ્કોર પર પહોંચી હતી. જો કે, ભારતીય બોલરોની નિષ્ફળતાના કારણે ટીમ ઈન્ડિયા શરમજનક રીતે હારી ગઈ અને કે.એલ.રાહુલની સદી એળે ગઈ.
રમત-ગમત હોય કે રાજકારણ હોય, તેમાં હાર-જીત તો ચાલ્યા કરે, પરંતુ જ્યારે ક્રિકેટ જેવી રમતમાં કેટલીક વખત "લક" પણ કામ કરતા હોય તેવું લાગે. રાજકોટની ગઈકાલની રમતમાં નસીબ કદાચ ન્યુઝીલેન્ડની તરફેણમાં હતું, તેવું પણ ઘણાં ક્રિકેટ રસિયાઓ કહે છે, તેની સામે ઘણાં દુભાયેલા કે નિરાશ થયેલા ક્રિકેટ રસિયાઓ એવું પણ કહે છે કે એ તો બધી મન મનાવવાની વાતો છે, બાકી ભારતીય ટીમના કહેવાતા દિગ્ગજો કાગળ પર દોરેલા સિંહ જેવા જ પૂરવાર થયા છે. પહેલી વન-ડે માંડ માંડ જીત્યા, તેમાં પણ કે.એલ.રાહુલે છેલ્લે સુધી ચતુરાઈ પૂર્વક રમીને ભારતને જીત અપાવી હતી, તો ગઈકાલની મેચમાં પણ કે.એલ.રાહુલ સિવાયના મોટાભાગના બેટધરો તદ્દન નિષ્ફળ ગયા, તેથી કહી શકાય કે પહેલી બંને મેચો ન્યુઝીલેન્ડ અને કે.એલ.રાહુલ વચ્ચેની જ સ્પર્ધા હોય, તેવું ચિત્ર ઉપસ્યું છે.
જો કે, ટીમ ઈન્ડિયા પાસે હજુ શાખ બચાવવાની તક છે. ૧૮મી જાન્યુઆરીના દિવસે ત્રીજી વન-ડે ફાયનલ જેવી હશે, અને તેમાં ભારતીય ટીમ નહીં જીતે, તો વર્તમાન ટીમના ઘણાં ચહેરાઓ બદલી જશે, તે નક્કી છે. ક્રિકેટ રસિયાઓ રાજકોટની મેચમાં ભારતના ટોચના બેટધરો અને બોલરો નિષ્ફળ રહ્યા અને જેની "હોમ-પીચ" હતી, તેમણે પણ નિરાશ કર્યા હોવાની ચર્ચાઓ કરી રહ્યા છે. પરંતુ બધા દિવસો સરખા નથી હોતા તેવું કહીને ઘણાં ક્રિકેટ રસિયાઓ ત્રીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાના નિષ્ફળ ગયેલા બેટધરો, બોલરો અને ઓલરાઉન્ડરો "કમાલ" કરી બતાવશે, તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
જો કે, તટસ્થ રીતે ક્રિકેટની રમતને નિહાળતા વિશ્લેષકો ગઈકાલે જે રીતે બે ખેલાડીઓએ સદી ફટકારી અને બંને ટીમોના ખેલાડીઓએ જે રીતે સુંદર ફિલ્ડીંગ કરીને પોતાની ટીમ માટે પોતાની તમામ તાકાત અજમાવી દીધી, તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.
જો કે, રાજકોટમાં આ વખતે ખંઢેરી સ્ટેડિયમ કદાચ હાઉસફૂલ થયું નહીં, તેનું કારણ મકરસંક્રાંતિના શુભ દિને યોજાયેલા કેટલાક શુભ પ્રસંગો અને પરંપરાગત રીતે ધાર્મિક સ્થળો પર થતી ઉજવણીઓ વગેરે હોઈ શકે. મકરસંક્રાંતિનું પર્વ સૌરાષ્ટ્રમાં પૂર્વ-નિર્ધારિત અને પૂર્વ આયોજિત હોય છે અને તેની રાહ ઘણાં લોકો લાંબા સમયથી જોતા હોય છે. તેથી સ્ટેડિયમ પૂરેપૂરૃં ભરાયુ નહીં હોવા છતાં પ્રેક્ષકોની સંખ્યા સારી હતી. એવું કહેવાય છે. જો કે, ભારતની બોલીંગ નિષ્ફળ ગયા પછી ધીમે ધીમે પ્રેક્ષકો ત્યાંથી નીકળવા લાગ્યા હતા અને પતંગોત્સવમાં જોડાવા લાગ્યા હતા. તો ઘણાં ક્રિકેટ રસિયા પતંગ પ્રેમીઓએ છત પર જ પતંગ ઉડાડતા ઉડાડતા ક્રિકેટ મેચનું જિવંત પ્રસારણ નિહાળી શકાય, તેવી વ્યવસ્થા કરીને બંને પ્રકારની મોજ માણી હતી.
જામનગર સહિત હાલારમાં પણ મકરસંક્રાંતિનું પર્વ ધામધૂમથી ઉજવાયુ અને પતંગ ઉડાડતા ઉડાડતા વન-ડે મેચની મોબાઈલ સેલફોન પર આવતા જિવંત પ્રસારણનો ઓડિયો ચાલુ રાખીને તેની મોજ માણી, ત્યારે ભૂતકાળમાં રેડિયો પર અપાતી રનીંગ કોમેન્ટ્રીની યાદ પણ તાજી થઈ ગઈ હતી.
બીજી તરફ સરકારી 'પતંગોત્સવો'ના અહેવાલો પણ અગ્રીમ હરોળમાં રહ્યા હતા. કાઈટ ફેસ્ટિવલનું પહેલેથી વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતુ અને તે પછી મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓએ ગઈકાલે જ જ્યાં જ્યાં પતંગો ઉડાડયા, ત્યાં ત્યાં મીડિયાવાળા પહોંચ્યા હતા, અને "બાઈટ" લીધી હતી. તેવી જ રીતે સેલિબ્રિટીઝ તથા સામાન્ય જનતાના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.
ગઈકાલે નભમાં પતંગો અને વાતાવરણમાં કર્ણપ્રિય ગીત-સંગીતથી છવાયા હતા, તો "કાપ્યો છે" ના હર્ષનાદો સાથે પતંગ ઉડાડવાની તંદુરસ્ત સ્પર્ધાઓ પણ થઈ હતી. લોકોએ પરંપરાગત જીંજરા, બોર, ચિક્કી, શેરડી, મમરાના લાડવા, તલસાંકરી વગેરેની જહેમત માણી હતી, તો આ જ પ્રકારે ચીજવસ્તુઓનું દાન કરીને તથા મંદિરોમાં ધરાવીને પુણ્ય પણ કમાયુ હતું. ગૌશાળા-પાંજરાપોળમાં ગાયોને લાડુ અને ધાસચારો ખવડાવાયા હતા, તો સેવાભાવી સંસ્થાઓ તથા તંત્ર દ્વારા ઘાયલ પંખીઓને સારવાર માટે કરાયેલી વ્યવસ્થાઓ પણ ખૂબ જ ઉપયોગી બની હતી. કેટલાક સ્થળે ગરીબ પરિવારોને પતંગ-ફીરકી તથા ખાણીપીણીની ચીજવસ્તુઓનું વિતરણ પણ થયું હતું. કેટલાક સ્થળે રક્તદાન કેમ્પ, વિવિધ રોગ નિદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, લેબોરેટરી કેમ્પ વગેરે પણ યોજાયા હતા. તેથી એવું કહી શકાય કે ખેલ, પતંગ અને સેવાકાર્યોનો જાણે ત્રિવેણી સંગમ રચાયો હતો !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં ફરી એક વખત પાટીદાર આંદોલનની ચર્ચા છેડાઈ ગઈ છે, અને આ કારણે, હાલમાં ભાજપના ધારાસભ્ય અને વર્ષ ૨૦૧૫માં આ અનામત આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલે પણ પ્રતિક્રિયા આપતા રાજયમાં પાટીદાર સમાજને પછાતવર્ગમાં સમાવવાનો એક દાયકાથી વધુ જુનો મુદ્દો ફરીથી છંછેડાયો છે, અને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવી રહેલી ચૂંટણીઓ પર પણ અસર પડી શકે છે. કદાચ, આ મુદ્દો ફરીથી સપાટી પર આવવાનું કારણ પણ "રાજકીય" જ હોઈ શકે છે. એક પાટીદાર ઉદ્યોગપતિએ આ મુદ્દો કદાચ સામાજિક દૃષ્ટિએ ઉઠાવ્યો હોય કે પછી અજાણતામાં પોતાનો દૃષ્ટિકોણ ઉઠાવી દીધો હોય તો પણ રાજકારણીઓની જમાત હવે આ મુદ્દો વધુ ને વધુ ચગાવશે, તે પણ હકીકત છે !
આ મુદ્દો છેડાયા પછી એક વધુ એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે વિવિધ કારણે કેટલાક સમાજોની શહેરો તરફ વધતી દોટના કારણે ગામડાઓમાં તે સમાજોની ઘટી રહેલી વસતિની ચિંતાઓ પણ હવે સપાટી પર આવવા લાગી છે, અને તેના કારણે રાજ્યની તથા દેશની જ્ઞાતિ-જાતિ આધારિત વસતિ ગણતરીનો મુદ્દો પણ ફરીથી વેગ પકડવા લાગ્યો છે.
હકીકતે ગુજરાતમાં પંચાલ સમાજ બીજું સંતાન લાવનાર એટલે કે જે દંપતીને ત્યાં બીજા સંતાનનો જન્મ થાય, તેવા દંપતીને રૂ।. ૨૫ હજાર આપવાની જાહેરાતના અહેવાલો પછી રાજ્યમાં પંચાલ સમાજની ઘટી રહેલી વસતિની વાત કરી હતી. એ પછી હાલના ભાજપના ધારાસભ્ય અને વર્ષ ૨૦૧૫માં પાટીદાર આંદોલન ચલાવીને આનંદીબેન પટેલની સરકારને હચમચાવી નાખનાર યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે પાટીદારોને ગામડાઓને ધબકતા રાખવા અને ગામડાઓનું અસ્તિત્વ બચાવવા પર ભાર મુકતુ નિવેદન તો કર્યું પણ સાથે સાથે તેમણે શહેરોમાં રહેતા પાટીદારોને તેમનું ચૂંટણીકાર્ડ ગામડાઓનું જ રાખવાની અપીલ કરી હોવાના અહેવાલો પછી એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. અને ગામડાઓમાં પાટીદાર સમાજની વસતિ પણ ઘટી રહી હોવાનો મુદ્દો છેડાઈ ગયો છે.
મીડિયા અહેવાલો મુજબ રાજ્યના સામાજિક માળખામાં થતા ફેરફારો તથા જ્ઞાતિ-સમાજ આધારિત જનસંખ્યાના મુદ્દે પાટીદાર અને પંચાલ સમાજની ચિંતાઓની સરખામણી તથા બંને દૃષ્ટિકોણ વચ્ચેના તફાવતની ચર્ચામાંથી શહેરીકરણના કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા હોવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે, અને તેના કારણે ગામડાઓમાં ઝડપથી બદલાઈ રહેલા સામાજિક સમિકરણો તથા તેના આર્થિક અને પારિવારિક અસરોની ગહન ચર્ચા અને સામાજિક અને ગ્રામ્ય કક્ષાએ મનોમંથન શરૂ થઈ ગયું છે. હાર્દિક પટેલને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ તેમણે કહ્યું કે આજે આપણે શહેરો તરફ દોટ મૂકી રહ્યા છીએ, તેથી ગામડાઓમાં સમાજની વસતિ ઓછી થઈ રહી છે, જે આવનારા સમય માટે જોખમના સંકેતો છે. અમદાવાદ કે અમેરિકામાં સ્થાયી થનાર પાટીદાર પરિવારોને તથા તેઓના સંતાનોના ચૂંટણીકાર્ડ ગામડાઓના જ રાખવાની અપીલ કરવામાં આવી છે. આજે આ સામાન્ય લાગતી વાત દસ વર્ષ પછી ગામડાઓની સ્થિતિ બદલાશે, ત્યારે આ વાતની ગંભીરતા સમજાશે, તેમ જણાવીને ગામડાઓના અસ્તિત્વને ટકાવી રાખવા ગામડાઓમાં જ સામાજિક પ્રસંગો તથા સમૂહ લગ્નો યોજવાની અપીલ પણ કરવામાં આવી હતી.
આ મુદ્દો ચર્ચાની એરણે ચડતા વિશ્લેષકોના તારણો મુજબ પંચાલ સમાજ અને પાટીદાર સમાજની વસતિ ઘટાડાની આ ચિંતા સમાન જણાય છે. પરંતુ બંને ચિંતાઓમાં મૂળભૂત તફાવત છે. અને તેના સંદર્ભે જ પાટીદાર આંદોલન અને તેની ફલશ્રુતિઓ અંગે પણ ચર્ચા થઈ રહી છે. હાર્દિક પટેલનું મંતવ્ય એવું છે કે પાટીદાર આંદોલનના કારણે જ બિન અનામત વર્ગોને પણ ૧૦ ટકા અનામત મળી છે અને અન્ય રાહતો તથા પ્રોત્સાહનો પણ મળ્યા છે., તેથી અનામત વિરોધી આંદોલનના મુદ્દાને આગળ ધરીને પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ નિષ્ફળ જવાનો છે, વગેરે...વગેરે...
હકીકતે પંચાલ સમાજની ચિંતા એવી છે કે એક જ સંતાન રાખવાનો ટ્રેન્ડ પંચાલ સમાજમાં વધી રહ્યો હોવાથી વસતિ ઘટી રહી છે, તેથી વસતિ વધારવા, સમતુલન જાળવવા અને અસ્તિત્વ ટકાવી રાખવા દંપતીઓને બીજુ સંતાન લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, જયારે પાટીદાર અનામત, ઈડબલ્યુસી અથવા આર્થિક પછાત બિન અનામત વર્ગો માટે ૧૦ ટકા અનામત અને વર્તમાન સમયમાં શહેરીકરણ વધતા ગામડાઓમાં ઘટી રહેલી પાટીદાર સમાજની વસતિનો ઉલ્લેખ કરીને ગામડાઓ ભાંગી રહ્યા હોવાની થઈ રહેલી તર્કબદ્ધ દલીલો વચ્ચે મૂળભૂત તફાવત છે. પંચાલ સમાજમાં તો સમાજની ઘટી રહેલી વસતિની ચિંતા જ હોય તેમ જણાય છે, પરંતુ ગામડાઓ ભાંગી રહ્યા હોવાના તર્ક પાછળ કદાચ બહુહેતુક દૃષ્ટિકોણ હોઈ શકે છે, તેવા તારણો વિશ્લેષકો કાઢી રહ્યા છે.
એ હકીકત છે કે ગામડાઓ ભાંગી રહ્યા છે અને દેશનું અર્થકારણ ગામડાઓ પર વધુ નિર્ભર હોવાથી ગામડાઓ બચાવવા માટે શહેરો તરફ દોટ ઘટાડવાના અસકારક ઉપાયો કરવા જોઈએ, પરંતુ ગામડાઓમાંથી શહેરો તરફ કોઈ એક સમાજ કે સમુદાય નહીં, પરંતુ તમામ સમાજો-સમુદાયોના પરિવારો દોટ મૂકી રહ્યા છે, અને તે અટકાવવાના પ્રયાસોમાં ગ્રામ્યકક્ષાએ ભૌતિક, શૈક્ષણિક અને માળખાકિય સુવિધાઓ વિકસાવવા તથા તમામ સમાજોમાં જનજાગૃતિ ફેલાવવી જેવા ઉપાયો કરવા જ જોઈએ, અને પંચાલ સમાજની જેમ મંથન તમામ સમાજોમાં થાય, અને ગામડાઓમાંથી શહેરો તરફની દોટ ઘટે તેમાં કાંઈ ખોટું નથી, પરંતુ ગામડાઓમાં જ ચૂંટણીકાર્ડ રાખવાની અપીલને ટાંકીને આ મુદ્દે બહુહેતુક દૃષ્ટિકોણ હોવાની વાતને પણ સમર્થન મળી રહ્યું છે.
તટસ્થ વિશ્લેષકોના મંતવ્ય મુજબ પંચાલ સમાજ અને પાટીદાર સમાજની ચિંતા તથા ગામડાઓ ભાંગતા અટકાવવાની જરૂરિયાત હોવાની તમામ ચિંતાઓ વાજબી છે, અને ગામડાઓમાં જ ચૂંટણીકાર્ડ રાખવાની અપીલ થતી હોય અને તેથી ગામડાઓનું મહત્ત્વ જળવાઈ રહેતું હોય, તેમાં કાંઈ ખોટું નથી, પરંતુ આ ચિંતાની પાછળ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની આવી રહેલી ચૂંટણીઓનું ગણિત પણ હોઈ શકે છે, તેથી જ કહે છે કે "કહીં પે નિગાહેં...કહીં પે નિશાના..."
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વખતે કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીને રવિવારે રજૂ થવાનું છે, અને તે પછી બે તબક્કામાં બજેટ સત્રનો આરંભ થશે. પહેલા સત્રમાં વૈધાનિક અને સંવૈધાનિક પ્રક્રિયાઓ પૂરી કરીને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરશે, અને સંલગ્ન ટૂંકી ચર્ચા થશે અને તે પછી બીજા તબક્કામાં બજેટ પર વિસ્તૃત ચર્ચા થશે. આ દરમ્યાન વિપક્ષો દ્વારા એસઆઈઆર, બાંગલાદેશ, ટ્રમ્પ ટેરિફ સહિતના મુદ્દાઓ તો ઉઠાવાશે જ, પરંતુ હવે તેમાં એક મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉમેરાઈ શકે છે.
હકીકતે સુપ્રિમકોર્ટે પોકસોના કાયદાનો દુરૂપયોગ થતો અટકાવવાના ઉપાયો પર વિચાર કરવાના નિર્દેશો કેન્દ્ર સરકારને આપ્યા હતા. એક સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે એડવાઈઝ અથવા ભલામણના સ્વરૂપમાં આપેલા આ નિર્દેશો પછી કેન્દ્ર સરકારે આ દિશામાં વિચારવું પડે તેમ જ છે અને આ મુદ્દે તત્કાળ ચર્ચા કરી સંસદ સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કરવો જ પડે તેવા સંજોગો ઊભા થઈ ગયા છે. એક કેસના ચૂકાદાની નકલ કેન્દ્રીય કાયદા સચિવને આપવાનો નિર્દેશ જ્યારે સુપ્રિમકોર્ટે કર્યો હોય, ત્યારે આ મુદ્દાની ગંભીરતા વધી જાય છે, અને આ પ્રકારના સંવેદનશીલ મુદ્દે સિક્કાની બંને બાજુ જોવી પડે તેમ હોવાથી સંસદમાં પણ આ અંગે વિસ્તૃત અને તર્કબદ્ધ તંદુરસ્ત ચર્ચા થાય અને સર્વસંમત નિર્ણય લેેવાય તે પણ એટલું જ જરૂરી છે.
આપણાં દેશમાં શારીરિક શોષણ અને વિકૃત હરકતોથી બાળકોને બચાવવા "પોસ્કો" નામનો કાયદો બનાવાયો છે. જેનું ફૂલફોર્મ "પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એકટ-૨૦૧૨" થાય છે. આ કાયદો યુપીએ સરકારના શાસનમાં ઘડાયો હતો અને તે સમયે પણ આ કાયદાને લઈને સંવેદનશીલતા અને ગંભીરતાથી વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.
સુપ્રિમકોર્ટમાં પોસ્કોના એક કિસ્સામાં અલ્હાબાદ હાઈકોર્ટે જામીન અરજીની સુનાવણી દરમ્યાન આપેલા પીડિતાની ઉંમરનો મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરાવવાના નિર્દેશો તથા સંલગ્ન સૂચનાઓને હાઈકોર્ટના સત્તાક્ષેત્ર (અધિકારક્ષેત્ર)થી આગળ વધીને આપી હોવાનું ઠરાવી રદબાતલ કર્યા હતા, પરંતુ તેની સાથે સાથે સુપ્રિમકોર્ટે પોસ્કો અધિનિયમના વધતા જતા દુરૂપયોગ અંગે લાલબત્તી ધરીને કેન્દ્ર સરકારને આ મુદ્દે વિચારવાની તથા "રોમિયો-જુલિયેટ ક્લોઝ" લાવવાની દિશામાં વિચારણા કરવાના જે નિર્દેશો આપ્યા છે, તે પછી આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બન્યો છે.
સુપ્રિમકોર્ટે કહ્યું છે કે પોકસોનો કાયદો બાળકોની સુરક્ષા માટે એક પવિત્ર અને સારા ઈરાદાની ફલશ્રુતિ છે, પરંતુ ઘણાં કિસ્સાઓમાં આ કાયદાનો હથિયાર તરીકે દુરૂપયોગ થાય છે, જે યોગ્ય નથી. અદાલતે કહ્યું છે કે ટીનેજર્સ (કિશોરો) વચ્ચે પરસ્પર સંપૂર્ણ સંમતિથી સંબંધો બંધાયા હોય, પરંતુ તેમાં પરિવારજનો સહમત ન હોય, ત્યારે તેને બાળકોનું જાતિય શોષણ કે શારીરિક સતામણી ગણીને પોસ્કો જેવા અત્યંત કડક કાયદા હેઠળ કાર્યવાહી કે ફરિયાદ કરવી યોગ્ય નથી. આ રીતે પવિત્ર કાયદાનો દુરૂપયોગ થતો હોવાથી આવા કિસ્સામાં રાહત આપવા માટે સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને રોમિયો-જુલિયેટ ક્લોઝ લાવવાની હિમાયત કરી છે. અદાલતે કહ્યું છે કે આ સારા ઉદ્દેશ્ય સાથેના અત્યંત પવિત્ર કાયદાનો ઘણી વખત બદલો લેવા માટે કે અંગત દુશ્મનાવટ કાઢવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તે યોગ્ય નથી.
અદાલતે કહ્યું છે કે જો રોમિયો-જુલિયેટ ક્લોઝ ઉમેરવામાં આવશે, તો પ્રેમ પાંગર્યા પછી પરસ્પર સહમતિથી બંધાયેલા સંબંધો પછી પોસ્કોમાં ફરતા તરૂણોને કાયદાકીય કઠોરતાથી બચાવી શકાશે. અને પવિત્ર કાયદાનો મલિન ઈરાદાથી થતો દુરૂપયોગ અટકાવી શકાશે. આ ફેંસલો લેતા પહેલા પીઠે એવું અવલોકન પણ કર્યું હતું કે દેશભરમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જ્યાં યુવતીની ઉંમર ઇરાદાપૂર્વક ૧૮ વર્ષથી ઓછી હોવાનું દેખાડીને પોસ્કોની કલમો હેઠળ કડક કાર્યવાહી કરવાની યુક્તિ અજમાવાઈ હોય.
અદાલતે કહ્યું છે કે એક તરફ એવા લાચાર બાળકો હોય છે, જેઓને વાસ્તવમાં પોકસો જેવા કાયદાના રક્ષણની જરૂર તો હોય છે, પરંતુ તેઓ ડર, ગરીબી, સામાજિક કલંક જેવા કારણે ન્યાય વ્યવસ્થા સુધી પહોંચી શકતા નથી, પરંતુ બીજી તરફ કેટલાક પહોંચેલા લોકો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સંસાધનોના દમ પર આ કડક કાયદાનો પોતાના ફાયદા માટે દુરૂપયોગ કરતા હોય છે. આવું થતુ અટકાવવા રોમિયો-જુલિયેટ ક્લોઝની ભલામણ કરતા અદાલતે વિશ્વના અનેક દેશોમાં આ ક્લોઝ અમલમાં છે, તેમ ભારતમાં પણ આ જોગવાઈ કરવા કેન્દ્ર સરકારને જે સૂચન કર્યું છે, તે જોતા હવે આ મુદ્દે દડો કેન્દ્ર સરકારના મેદાનમાં છે, અને જો કેન્દ્ર સરકાર આ ભલામણ પ્રત્યે તત્કાળ ધ્યાન નહીં આપે, તો વિરોધપક્ષો આ મુદ્દો હાથોહાથ ઉપાડી લેશે, તે નક્કી છે.
હવે સવાલ એ થાય છે કે કોઈ ફિલ્મના નામ જેવો રોમિયો-જુલિયેટ ક્લોઝ હકીકતે છે શું ? આ વિધિના ઘણાં દેશોમાં અમલમાં મૂકાયેલી એવી કાયદાકીય જોગવાઈ છે, જેમાં કિશોરવયે પરસ્પર સંમતિથી બનેલા સંબંધોને પોકસો જેવા જાતિય અપરાધોની શ્રેણીથી અલગ રાખે છે. ઉંમરના થોડા-ઘણાં તફાવતના કારણે પોકસો જેવા અત્યંત કડક કાયદામાં મલિન ઈરાદાથી કે બિનજરૂરી રીતે કિશોરોને ધકેલાતા અટકાવવા આ પ્રકારની જોગવાઈ જાતિય અપરાધોના સંદર્ભે ઘણાં દેશોએ કાનૂની રીતે કરી છે., જેને અનુસરવા સુપ્રિમકોર્ટે કરેલું સૂચન રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
જો કે, દેશમાં કેટલીક અદાલતોએ પોતાની વિવેકબુદ્ધિની સત્તા હેઠળ આ પ્રકારના કેસોમાં ઉદારતા બતાવી હોવાના પ્રતિભાવો પણ સામે આવ્યા છે. કેટલીક સુનાવણીઓમાં આ મુદ્દો ચર્ચાયો છે, તો કેટલાક કિસ્સાઓમાં ૧૮ વર્ષના છોકરા સાથે ૧૭ વર્ષની છોકરીના પોતાની પરસ્પર સંમતિથી સ્થપાયેલા સંબંધોના મુદ્દે અતિરિક્ત ઉદાર વલણ અપનાવાયુ હોવાના પણ કેટલાક દૃષ્ટાંતો ચર્ચાતા હોય છે. પરંતુ સુપ્રિમકોર્ટે પોસ્કો કાયદામાં જ સંશોધન કરીને કેટલાક અન્ય દેશોમાં અમલી બનેલા રોમિયો-જુલિયેટ ક્લોઝ ઉમેરવાનું જે સૂચન કર્યું છે, તે અંગે હવે કેન્દ્ર સરકાર, વિપક્ષો અને સમાજ તથા સંસ્થાઓ કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મકરસંક્રાંતિ નજીક આવી રહી છે અને માર્કેટમાં પતંગ, દોરી, ખાણીપીણીની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો નીકળી રહ્યા છે. સિઝનલ ફળો, જીંજરા અને ગોળમાંથી બનતી તલસાંકરી, પુસ્તાપાક, તલ-મમરાના લાડુ, રેવડી, ગુબીજ, ખજુરપાક, દારિયાપાક સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિના દિવસે સાતધાનનો ખીચડો બનાવવાનો પણ રિવાજ છે. શિયાળાની ઋતુમાં કોઈપણ ઉજવણીમાં ભજીયાપાર્ટી અને ગાંઠિયા-જલેબીની મહેફિલો તો સૌરાષ્ટ્રમાં યોજાતી જ હોય છે ને ?
મકરસંક્રાંતિ એટલે પતંગોત્સવનો તહેવાર...હવે તો સરકારો પણ પતંગોત્સવો ઉજવવા લાગી છે અને પતંગોત્સવને હવે ગ્લોબલ ઈવેન્ટ બનાવી દીધો હોવાથી તંત્રો પણ પતંગોત્સવો માટે ઘણાં જ એક્ટિવ રહેતા હોય છે. તાલુકા કક્ષાથી રાષ્ટ્રીય કક્ષા સુધી કાઈટ ફેસ્ટિવલના આયોજનો માટે સ્પેશિયલ બેઠકો યોજાતી જ રહે છે, પરંતુ તેની સાથે સાથે દર વર્ષે નવા નવા આયામો જોડાતા રહે છે. હવે તો પતંગોત્સવો પણ અન્ય પ્રોડકટો તથા વિષયોના માર્કેટીંગનું માધ્યમ પણ બન્યા છે. પતંગોત્સવ એ રોજગારીની વિપુલ તકો પણ ઊભી કરી છે. અને ઘણાં સામાન્ય અને ગરીબ પરિવારોને પતંગોત્સવોના કારણે આર્થિક ઉત્તેજન પણ મળ્યું છે, તેનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી.
બીજી તરફ મકરસંક્રાંતિના તહેવારોમાં પશુ-પંખીઓ માટે જ નહીં, આપણાં બધા માટે પણ પતંગની દોરથી ઈજાગ્રસ્ત થવાનો ખતરો મંડરાતો રહેતો હોય છે, અને ઘણાં બાઈક સવારો કે સાયકલ સવારોએ પતંગની દોરથી ગળુ કપાઈ જતાં જીવ ગુમાવ્યો હોય, તેવા પણ દૃષ્ટાંતો છે. તે ઉપરાંત ઊંંચાઈ પર ઊભીને પતંગ ઉડાડતા ઉડાડતા કે કોઈ ની "કટી પતંગ" મેળવવા જતા ઊંચાઈએથી પડી જવાથી પણ ઘણાં લોકો ઈજાગ્રસ્ત થાય છે, અને જીવનું પણ જોખમ રહે છે. આ તમામ જોખમો હોવાથી પતંગ ઉડાડવા જ ન જોઈએ, તેવું તો કહેવું તો યોગ્ય જ નથી, પરંતુ આ પ્રકારની ઘટનાઓ બનતી જ અટકાવવા જરૂરી જાગૃતિ રાખવા લોકોને સાવચેત અને પ્રશિક્ષિત તો કરી જ શકીએ છીએ ને ?
થોડા સમયથી કેટલાક સ્થળે પોલીસતંત્ર દ્વારા દ્વીચક્રી વાહનોમાં દોર વિરોધી તારની રીંગ લગાવવાની પહેલ કરી છે, જેને સ્ટ્રીંગ પ્રોટેક્ટર પણ કહે છે, તે ઉપરાંત બાઈકર્સને ગળામાં દોર રક્ષક બેલ્ટ પણ બાંધવામાં આવી રહ્યા છે. આ એક યોગ્ય પહેલ છે અને આ કારણે લોકોમાં જાગૃતિ પણ આવી રહી છે. મકરસંક્રાંતિના પર્વે પગપાળા નીકળતી વખતે પણ આ પ્રકારના સેઈફગાર્ડનો ઉપયોગ કરવામાં આવે, તે ઈચ્છનિય છે. બીજી તરફ સૌથી વધુ જવાબદારી પતંગ ઉડાડનારાઓની પણ ગણાય કારણ કે કોઈને પણ ઈજા ન પહોંચે તેવી રીતે પતંગ ઉડાડવાની જાગૃતિ રાખવાની માનવીય ફરજ તો બજાવવી જ જોઈએ ને ?
આ તો થઈ માનવની એટલે કે આપણાં સૌના રક્ષણની વાત...પરંતુ પતંગની દોરીથી ઘણી વખત સડક પર જતા પશુઓને પણ હાનિ કે ઈજા પહોંચતી હોય છે, તે અંગે પણ સ્વયં પતંગબાજો જ વધુ જવાબદાર ગણાય., આ જોખમોને હળવાશથી લેવાના બદલે એવી રીતે વિચારવુ જોઈએ કે જો પતંગની દોરીથી આપણું કોઈ સ્વજન કે આપણા પાલતુ પશુઓને ઈજા થાય, ત્યારે આપણે કેવી રીતે વિચારીએ ? કેવી રીતે "રિએકટ" કરીએ અને તેવા સમયે આપણને સૌથી વધુ કેવી લાગણી જન્મે, તેની કલ્પના કરીએ તો પણ પતંગ ઉડાડતી વખતે આપણે આ પ્રકારની સાવચેતી તો જરૂર રાખીએ જ...
હવે કરીએ ગગન વિહાર કરતા કે વૃક્ષોની આજુબાજુ કલરવ કરતા નિર્દોષ માસુમ પંખીડાઓની વાત... પંખીઓ જ સૌથી વધુ પતંગબાજીની દોરનો ભોગ બનતા હોય છે, અને દર વર્ષે આ અંગે તંત્રો, સમાજ અને સંગઠનો (એનજીઓઝ) દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરતા હોય છે. અ વર્ષે પણ આ જ પ્રકારે કરૂણા અભિયાન, વિશેષ ટીમો તથા સારવાર કેન્દ્રોની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ પંખીઓને ઓછામાં ઓછું નુકસાન પહોંચે, તેવી સાવધાની રાખીએ છીએ ખરા ?
જો કે, જાહેરનામાઓ અને ગાઈડલાઈન્સ બહાર પડે છે, તંત્રો પરિપત્રો કાઢે છે, અને પંખીઓના ગગન વિહારના સમયે પતંગ નહીં ઉડાડવાની ચોક્કસ ટાઈમટેબલ સાથેની સૂચનાઓ પણ અપાતી હોય છે, પરંતુ શું આપણે તેનું ચૂસ્ત પાલન કરવા તૈયાર છીએ ખરા ? આપણે આપણી જાત (આત્મા)ને જ આ સવાલનો જવાબ પુછવાની જરૂર છે. જે કોઈપણ વ્યક્તિ દિલ પર હાથ રાખીને કહી શકે કે તે આ પ્રકારની સાવચેતી રાખે છે, અને તેમના પરિવાર, મિત્રોને પણ પંખીઓને નુકસાન ન થાય, તેનું ધ્યાન રાખવા સમજાવે છે, તે જ સાચો જીવદયાપ્રેમી ગણાય...ખરૃં ને ?
પતંગબાજી પણ હવે સસ્તી રહી નથી. સામાન્ય પતંગ અને દોરનો એક પરિવારનો જ ખર્ચ બાળક દીઠ સેંકડો અને પરિવાર દીઠ હજારોમાં પહોંચે તેવા ભાવો છે અને તેની સાથે ગીત-સંગીત, ખાણી-પીણી તથા ટેરેસ પર જ લંચ-ડીનર કે મહેફીલ કરવાનો તોતીંગ ખર્ચ તો હવે ગરીબો કે નિમ્ન મધ્યમવર્ગોના પરિવારોને પોષાય તેમ જ નથી. આમ, છતાં ઉછી ઉધારાના નાણાં મેળવીને પણ જયારે આ પરિવારો મકરસંક્રાંતિ ઉજવતા હોય છે, ત્યારે થોડી દયા ભાવના, જીવદયા અને સાવધાની રાખીને કોઈપણ જીવ કે માનવીને ઈજા પહોંચે જ નહીં, તેટલું તો આપણે બધા કરી જ શકીએ ને ?
એવું પણ નથી કે આપણે પતંગોત્સવ ઉજવીએ જ નહીં કે મોજ-મજા કરીએ જ નહીં, પરંતુ શક્ય તેટલી વધુ સતર્કતા, પરસ્પર સહયોગ અને સાંમજસ્ય દાખવીને થોડી જાગૃતિ રાખીએ અને માત્ર આદર્શ વાતોના વડા કરીને કે જાહેરનામા-ગાઈડલાઈન્સ જાહેર કરીને તથા ઉપદેશ આપીને નહીં, પરંતુ આપણાંથી જ જરૂરી જાગૃતિની શરૂઆત કરવી જોઈએ, અન્યથા આપણા જેવા દંભી કોઈ નહીં હોય...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત સરકાર લીગલ સેક્ટરમાં ધરખમ ફેરફારો કરવા જઈ રહી છે અને રેવન્યૂના હાલના ૧૬ કાયદાઓને નાબૂદ કરીને તેના સ્થાને માત્ર એક જ કાયદો લાવવાની તૈયારીમાં હોવાના અહેવાલો આજે ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે. રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયા અત્યંત જટિલ છે અને તેના કારણે જ સંખ્યાબંધ વિવાદો ઊભા થાય છે અને કૌભાંડકારોને પણ આ કારણે છટકબારીઓ મળી જાય છે. આ કારણે રાજ્ય સરકાર જમીન મહેસુલને સંબંધિત કાયદાઓમાં સુધારા-વધારા સાથે એકીકરણ કરીને માત્ર એક "ગુજરાત જમીન વહીવટ કાયદો" લાવવાની તૈયારીમાં હોવાના અહેવાલો પછી આ મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે.
હકીકતે આ પ્રકારની વિચારણા હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયથી જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ વર્ષ ૨૦૧૨ પછી અધૂરી રહી ગઈ હતી, તેથી જ આ પ્રક્રિયા કદાચ ઉપરના નિર્દેશો હેઠળ પુનઃ શરૂ થઈ રહી હોવાની ચર્ચા છે. એવા અહેવાલો છે કે આ માટે રાજ્ય સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટી નિમી હતી. જેના અહેવાલો (રિપોર્ટ) આવી ગયા પછી શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ રહી હોવાનું પણ કહેવાય છે.
આ નવા સૂચિત કાયદામાં લેન્ડ રેવન્યૂ કોડ-૧૮૭૯થી લઈને લેન્ડ ગ્રેબિંગ એકટ-૨૦૨૦ સુધીના તમામ કાયદાઓને સમાવીને ૧૬ કાયદાઓનું વિલીનીકરણ કરાશે. જેમાં ગુજરાત ટેનેન્સી એકટ-૧૯૪૮, સૌરાષ્ટ્ર ઘરખેડ વટહૂકમ-૧૯૪૯, મામલતદાર કોર્ટ એકટ-૧૯૦૬, સ્ટેમ્પ એકટ-૧૯૫૮ સહિતના વિવિધ સમયગાળામાં ઘડાયેલા અને અમલમાં મૂકાયેલા કાનૂનો તથા ઓર્ડિનન્સનો સમાવેશ થાય છે. તદુપરાંત ધ ગુજરાત એગ્રિકલ્ચરલ લેન્ડસ-એકટ-૧૯૬૧ અને ડિસ્ટર્બ્ડ એરિયાઝ એકટ-૧૯૯૧ ને પણ આ નવા કાયદામાં સમાવી લેવાશે, તેમ જણાય છે.
એવું કહેવાય છે કે ઉચ્ચસ્તરિય કમિટીને ગુજરાતના જમીન-મહેસુલના કાયદાઓ સંદર્ભે વિવિધ સમયે આપેલા ચૂકાદાઓનું અર્થઘટન, બિલ્ડર એસોસિએશન, વકીલ મંડળો, જમીન-મહેસુલ સાથે સંકળાયેલા હિતધારકો વગેરેની વખતોવખતની રજૂઆતો, સૂચનો તથા ફીડબેકને પણ ધ્યાને લેવાનું જણાવાયુ છે. આ ઉપરાંત વર્તમાન યુગને અનુરૂપ ડિજિટલ પ્રક્રિયાને પણ પ્રમાણભૂત કરાશે.
આ પ્રસ્તાવને ગુજરાત વિધાનસભામાં પસાર કરાવીને તેને રાજ્યપાલ મારફત રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલવામાં આવશે, તે પછી જ નવો કાયદો અમલી બનશે, જો કે, નવા કાયદાના અમલીકરણના ફાયદા અને ગેરફાયદાઓની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે, અને પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિવિધ પ્રત્યાઘાતો પણ સામે આવવા લાગ્યા છે. આ કાયદો અમલી બન્યા પછી પણ તેમાં સુધારા-વધારાને અવકાશ રહેશે, તેવા મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નવો કાયદો અમલમાં મૂકાશે તો તે પછી જમીન સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે લોકોને ગાંધીનગર સુધી હડિયાપટ્ટી નહીં કરવી પડે અને સ્થાનિક કક્ષાએથી જ નિવારણ થઈ જતા નાગરિકોનો ખર્ચ, સમય અને શ્રમ બચશે, તો તંત્ર પરનુ ભારણ પણ હળવું થશે. વિવિધ કાયદાઓના સ્પષ્ટ અર્થઘટનો થવાની કાનૂની ગૂંચવણો ઘટી જશે અને જમીન-મિલકતના અધિકારો વિષે બહુ સ્પષ્ટતા અને માર્ગદર્શન ઉપલબ્ધ થશે. કાનૂની છટકબારીઓ બંધ થતાં જમીન માફિયાઓ પર અંકુશ આવશે. કેટલાક સંજોગોમાં પોતાની જ જમીનમાં કરેલા ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવાની તક પણ મળશે.
તે ઉપરાંત પ્રક્રિયાત્મક પારદર્શકતા અને ઝડપમાં પણ વધારો થશે, અને જમીનના રેકર્ડસ તથા મ્યુટેશનની પ્રક્રિયા વેગીલી બનશે, જેથી જમીન સંબંધિત વર્ષો જૂના કેસો તથા અદાલતી કાર્યવાહીઓમાં તબક્કાવાર ઘટાડો થતા કાર્યબોજ ઘટશે, તેવી પણ સરકારને આશા છે.
આ ચર્ચા શરૂ જ થઈ છે, અને મુખ્ય રાજકીય પક્ષો તથા કાનૂનીક્ષેત્રના નિષ્ણાતો સૂચિત કાયદાનો તલસ્પર્શી અભ્યાસ કરીને પ્રતિભાવો આપશે, પરંતુ પ્રાથમિક પ્રત્યાઘાતો દરમ્યાન જ કેટલાક જાણકાર લોકો તથા લીગલ સેકટરના અભ્યાસુઓના પ્રારંભિક મંતવ્યો મુજબ ૧૬ કાયદાઓને વિલીન કરીને માત્ર એક કાયદો લાવવાનું આ કદમ એટલું બધું સરળ પણ નહીં હોય, આ કદમ ઉઠાવ્યા પછી તેના અમલીકરણ સામે ઘણાં બધા પડકારો ઊભા થઈ શકે છે, અને આ જટિલ પ્રક્રિયાના અમલીકરણમાં અણધાર્યા અવરોધો પણ આવી શકે છે. ખાસ કરીને ખેડૂતો, જમીન માલિકો, બિલ્ડર્સ લોબી, વકીલ મંડળો, બ્રોકર્સ અને અન્ય સંલગ્ન સંગઠનો દ્વારા જરૂરી સુધારા-વધારા તથા સૂચનો અને અભિપ્રાયો રજૂ થઈ શકે છે, અને એ કારણે વિધાનસભામાં પણ વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.
જો કે, આ પ્રસ્તાવ હજૂ વિચારણા હેઠળ છે અને આખરી ઓપ અપાય જાય ત્યાં સુધી જો સરકાર અને તેના દ્વારા નિમાયેલી સમિતિ તમામ હિતધારકોના મંતવ્યો, પ્રશ્નો, સૂચનો, રજૂઆતો અને સંભવિત આશંકાઓને ધ્યાને લઈને તેનું સંપૂર્ણ સમાધાન કરીને તેને આખરી ઓપ આપશે, અને તેમાં વિરોધ પક્ષો તથા લિગલ સેકટરના નિષ્ણાતોને પણ વિશ્વાસમાં લેશે, તો એક જ કાયદો સર્વસ્વીકૃત પણ બની શકે છે, અને તે સમગ્ર દેશ માટે મોડેલ પણ બની શકે છે. આમ પણ જમીનના કાયદાઓની જટિલ પ્રક્રિયાઓથી ખરેખર મૂક્તિ મળતી હોય તો તેમાં ગુજરાત જેવા રાજયમાં સર્વ સંમતિ પણ સધાઈ શકે છે, બસ, સરકારે સૌને સાથે લઈને ચાલવું જોઈશે અને આદરપૂર્વક પહેલ કરવી પડશે.
જો નવો કાયદો બને તો તેમાં ગેરકાયદે બાંધકામો હટાવાયા પછી કે પછી ગેરકાનૂની કબજો ખાલી કરાવાયા પછી સરકારી, અર્ધસરકારી કે ખાનગી માલિકીની ખુલ્લી થયેલી જમીનો પર પુનઃ ગેરકાયદે બાંધકામો ખડકવામાં આવે કે ફરીથી ગેરકાનૂની કબજો જમાવવાનો પ્રયાસ થાય તો તેને ખૂબ જ ગંભીર ગૂન્હો ગણીને આ પ્રકારની હરકત કે પ્રયાસ કરનારને આકરો દંડ, જેલની સજા થાય અને તેની સંપત્તિ જપ્ત કરીને તેને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે અને કોઈપણ સરકારી યોજનાઓનો લાભ અને મંજુરીઓ ચોક્કસ સમયગાળામાં લઈ શકે નહીં, તેવા પ્રબંધો કરવાની પણ જરૂર જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આઝાદ ભારતમાં બંધારણીય અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ વધુને વધુ સુદૃઢ થતી જાય છે, તેનું કારણ આપણાં દેશની સર્વસમાવેશી અને વસુધૈવ કુટુંબકમ્ની પરંપરાગત પ્રાચીન સંસ્કૃતિ છે, અને આપણાં દેશની વિધેયિકા, ન્યાયતંત્ર અને સંસદના ત્રિવેણી સંગમમાં હવે પ્રેસ-મીડિયા-જનભાવનાઓની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, તેવામાં તાજેતરમાં કેટલીક હાઈકોર્ટો તથા દેશની સર્વોચ્ચ અદાલતે કેટલાક સિમાચિન્હરૃપી દૂરગામી અસરો પાડતા ચૂકાદાઓ અથવા અવલોકનો આપ્યા છે, જેની સમાજ, સરકાર અને સામાન્ય જનતા પર સીધી અસરો પડવાની છે.
સુપ્રિમકોર્ટે એક તાજા ફેંસલામાં જણાવ્યું છે કે જનરલ કેટેગરી કોઈ જાતિ માટે અનામત નથી, પરંતુ મેરિટ પર આધારિત છે. જો અનામત શ્રેણીનો કોઈ ઉમેદવાર જનરલ કટ ઓફ થી વધુ માર્કસ મેળવે, તો તેને જનરલ સીટમાં જ જગ્યા મળશે. રાજસ્થાન હાઈકોર્ટે આપેલા એક ચૂકાદા સંદર્ભે સુપ્રિમકોર્ટે આ ફેંસલો સંભળાવ્યો હતો, જેની અસર આખા દેશમાં થવાની છે. અદાલતે બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૧૬ને ટાંકીને સમાનતાના અધિકારનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ફેંસલો દૂરગામી અસરો ઊભી કરવાનો છે.
એક ફેંસલો એવો પણ આવ્યો છે કે એક વખત નોકરીની પરીક્ષા આધારિત અનામતનો લાભ લઈ લીધો હોય, તે પછી તેને સામાન્ય કેટેગરીનો ફાયદો મળી શકે નહીં. આમ, સુપ્રિમકોર્ટમાં થતા અવલોકનો તથા લેવાતા નિર્ણયો સમાજ, સરકાર અને સામાન્ય જનતાને સીધી અસર કરતા હોય છે.
સાર્વજનિક હેતુઓ માટે થતા જમીન સંપાદનના વળતરમાં કોઈપણ કારણે વિલંબ થાય તો વળતરની રકમ પર વ્યાજ મેળવવાનો જમીન માલિકને અધિકાર છે, પરંતુ જમીનના બદલામાં નોકરી આપવાનો કે કોઈ સમાધાન હેઠળ જમીન માલિકને જમીન પરત આપવાની જોગવાઈ નથી, તે પ્રકારનો જે ફેંસલો સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો, તેની પણ દેશવ્યાપી અસરો થઈ છે અને કેટલાક વર્તમાન કિસ્સાઓમાં પણ તેનો સંદર્ભ અપાઈ રહ્યો છે.
સબરીમાલા મંદિરમાં દ્વારપાળ દેવતાઓની મૂર્તિઓ તથા શ્રીકોવિલના દરવાજાઓ પર ચડાવાયેલું સોનુ ચોરાઈ જવાના કેસમાં એસઆઈટીએ દેવસ્વોમ બોર્ડના બે પૂર્વ પ્રમુખો સહિત ૧૦ની ધરપકડ કર્યા પછી કેરળ હાઈકોર્ટે કરેલી એક ટિપ્પણી હટાવવા સુપ્રિમ કોર્ટમાં બોર્ડના સભ્યે કરેલી અરજી ફગાવી દેતા અદાલતે કડક ટિપ્પણી કરી હતી કે "તમે ભગવાનને પણ છોડયા નથી..." આ સુનાવણી તથા અદાલતની ટિપ્પણીઓની પણ દેશવ્યાપી અસરો પડવાની છે.
હાલાર સહિત રાજ્ય અને સમગ્ર દેશમાં આવરા કૂતરાઓની સમસ્યા વધુને વધુ વકરી રહી છે, અને હવે તે રખડતા ઢોર જેટલી જ ગંભીર બની ગઈ છે, શાળાએ જતા નાના બાળકો, સ્કૂલવેન કે રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘર તરફ જતા હોય, તેની પાછળ પડતા કૂતરાઓ, દ્વિચક્રી વાહનો પાછળ દોડીને બચકા ભરવાના પ્રયાસો કરતા રખડૂ કૂતરાઓ, જાહેર માર્ગો પર ટ્રાફિકની વચ્ચોવચ્ચ દોડાદોડી કરીને અકસ્માતો નોતરતા શ્વાનો અને ગામડું હોય કે શહેર, ગમે તેને ગમે ત્યારે કરડી લેતા કૂતરાઓની સમસ્યા હવે સડકથી સુપ્રિમકોર્ટ સુધી પહોંચી છે. અને હવે તો આ મુદ્દે સંસદમાં કોઈ કડક કાયદો ઘડીને આ ગંભીર અને જીવલેણ ગણાતી સમસ્યા અટકાવવાની (વ્યંગાત્મક?) જરૃર પણ જણાવાઈ રહી છે.
શેરી-ગલીઓમાં રખડૂ આવારા કૂતરાઓના મુદ્દે સુપ્રિમકોર્ટમાં એક અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે એવી ટિપ્પણી કરી હતી કે કોઈપણ વ્યક્તિ કૂતરું કરડવાના "મૂડ" માં છે કે નહીં તે નક્કી કરી શકે નહીં. સાયકલ કે દ્વિચક્રી વાહન પર જતા લોકોને કૂતરા પીછો કરે ત્યારે તે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. તમામ શેરી-ગલી-માર્ગો અને ધોરીમાર્ગો શ્વાનમૂક્ત (કૂતરાઓ વિહોણા) હોવા જોઈએ, તેવી દલીલનું સમર્થન કરતા અદાલતે કહ્યું હતું કે આવી સ્થિતિ સુનિશ્ચિત કરવા તંત્રોએ કવાયત કરવી જ પડશે.
પશુ અધિકાર ગૃપના વકીલ કપીલ સિબ્બલે જ્યારે એવી દલીલ કરી કે તેઓ યુનિવર્સિટીમાં હતા, ત્યારે ત્યાં ઘણાં બધા કૂતરાઓ હતા, પરંતુ એક પણ કૂતરું તેમને ક્યારેય કરડયું નથી, તો સુપ્રિમકોર્ટે કપિલ સિબ્બલની માહિતી આઉટડેટેડ ગણાવીને કહ્યું હતું કે નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટીમાં કૂતરા કરડવાના ઘણાંબધા બનાવો નોંધાયા છે. એક તબક્કે અદાલતે હળવા સ્વરે એવો કટાક્ષ પણ કર્યો કે શું કૂતરાઓ કરડે નહીં, તે માટે કૂતરાઓનું કાઉન્સિલીંગ થઈ શકે ખરૃં ?
આખી સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે મહત્ત્વપૂર્ણ અવલોકનો તથા ટિપ્પણીઓ કરી હતી. અદાલતે સ્કૂલો, હોસ્પિટલો, કોલેજો, કોર્ટ પરિસર, સરકારી સંકુલો, રસ્તાઓ સહિત જાહેર સ્થળોને કૂતરામુક્ત રાખવાની જરૃર જણાવી પશુપ્રેમીઓને કૂતરાઓ માટે નિયત આશ્રયસ્થળો (શેલ્ટર હોમ્સ)માં જ શ્વાનોને ભોજન આપવાની સલાહ આપી હતી. અદાલતે કહ્યું હતું કે શ્વાનોને ઠાર કરી દેવા કે હટાવી દેવાનું કોઈ કહી રહ્યું નથી. માત્ર તેઓથી સામાન્ય જનતાને થતી પરેશાનીઓ તથા ગંભીર અકસ્માતોની સંભાવના ખતમ કરવાની વૈકલ્પિક વ્યવસ્થાઓ જ સૂચવાઈ રહી છે.
ઘરમાં પશુને રાખવાના મુદ્દે પણ રસપ્રદ દલીલબાજી થઈ હતી. ઘરમાં શ્વાન રાખવાના મુદ્દે એવી દલીલ થઈ કે પોતાના ઘરમાં કયુ પશુ રાખવું તે નાગરિકોના વિવેક પર નિર્ભર કરે છે, તો અદાલતે કહ્યું કે ગેટેડ કોમ્યુનિટીમાં કૂતરાઓને ફરવા દેવા કે નહીં, તે અંગે ૯૦ ટકા રહેવાસીઓ અસહમત હોય અને માત્ર ૧૦ ટકા જ સહમત હોય, ત્યારે શું કરશો ? કાલે કોઈ કહેશેે કે મારે દૂધ માટે ભેંસ શેરીમાં બાંધવી છે તો તેને બાંધવા દેશો ?
સુપ્રિમકોર્ટમાં ચાલી રહેલી આ સુનાવણી સામાન્ય જનતાને સીધી સ્પર્શે છે, તેથી ગઈકાલથી જ આ મુદ્દો "ટોક ઓફ ધ નેશન" બન્યો છે.
રખડતા ઢોર, આવારા કૂતરા તથા બિસ્માર આંતરિક શહેરી માર્ગોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ પણ અવાર-નવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્ય સરકારની ઝાટકણી કાઢતી રહે છે, પરંતુ સમગ્ર રાજય અને દેશમાં પણ આ જ નાની ગણાવાતી સમસ્યાઓ હવે વિકરાળ સ્વરૃપ લેવા લાગી છે, અને તેના પડઘા સુપ્રિમકોર્ટ સુધી પડયા છે, ત્યારે હવે સમગ્ર દેશની રાજયસરકારો તથા કેન્દ્ર સરકાર સાથે મળીને તથા રાજનીતિથી ઉપર ઉઠીને રખડતા ઢોર અને આવારા કરડતા કૂતરાઓની સમસ્યાનો કોઈ કાયમી અને નક્કર ઉકેલ અમલમાં મૂકે, તેવું જનતા ઈચ્છી રહી છે, પણ...?!?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે સવારે ઉઠતા જ દિલ્હીમાં મધ્યરાત્રિથી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશના અહેવાલો લોકોએ સાંભળ્યા. આ દબાણ હટાવ ઝુંબેશ હાઈકોર્ટના આદેશથી ચાલી રહી હોવાનું કહેવાય છે અને રાત્રે હોબાળો થતાં પોલીસ એકશન પણ લેવાયુ હતું. આ પ્રકારના અહેવાલો આવે ત્યારે સવાલ એ ઉઠે કે વર્ષો કે દાયકાઓથી આ પ્રકારના ગેરકાયદે બાંધકામો થવા જ કેમ દીધા ? ગેરકાયદે, કામચલાઉ દબાણ કે બાંધકામો થતા હોય ત્યારે જ અટકાવી દેવાની કોઈ કાર્યવાહી કેમ નહીં થતી હોય ? શું હાલમાં પણ નવા ગેરકાયદે બાંધકામો થતા જ અટકાવવાની કોઈ ચોક્કસ સિસ્ટમ આપણાં દેશમાં મોજુદ છે ખરી ? અત્યારે પણ ઠેર-ઠેર નવા ગેરકાયદે માળખા કે બાંધકામો ઊભા થઈ રહ્યા હોવાની બાબત ઓપન સિક્રેટ છે, ત્યારે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ થતી જ અટકાવવાનું કોઈ મિકેનિઝમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સરકાર પાસે મોજુદ છે ખરૃં ?
આયોજનપૂર્વક દબાણો કરનારા લોકો પહેલા નાનુ સરખુ કાચુ માળખું ઊભું કરે અને પછી ધીમે ધીમે ત્યાં ઈંટો-પથ્થરો ગોઠવીને કાચુ ચણતર કામ કરે, ઝુંપડા જેવા માળખા ઊભા કરે કે છાપરાં ઊભા કરે, અને થોડા વર્ષો પછી ત્યાં પાકુ બાંધકામ થઈ જાય, આ દાયકાઓથી ચાલતી મોડસ ઓપરેન્ડીથી તમામ તંત્રો અને નેતાઓ પૂરેપૂરી રીતે વાકેફ જ છે, પરંતુ આ સમસ્યાના મૂળમાં જ "બોટમ ટુ ટોપ" ભ્રષ્ટાચાર, હપ્તા પદ્ધતિ, સગાવાદ, ભાઈ-ભતીજાવાદ અને લાપરવાહી જેવા પરીબળો તો જવાબદાર છે જ, પરંતુ પ્રવર્તમાન સમયમાં આ સમસ્યાને તદ્ન ડામી શકાતી નથી, તેની પાછળ ચૂંટણીનું રાજકારણ, મતબેંક અને જમીન માફિયાઓ તથા શાસન-પ્રશાસન વચ્ચેની સાઠગાંઠ પણ જવાબદાર છે, અને તે "ખુલ્લુ રહસ્ય" છે.
દબાણો કરનારાઓ પૈકી ઘણાં ગરીબ લોકો પરિવારને કાચી-પાકી છત મળી રહે, તે માટે નાનું સરખુ ઝુંપડુ કે છાપરૃં ઊભું કરતા હોય છે, ઘણાં બેરોજગાર લોકો પેટીયુ રળવા (રોજગારી મેળવવા) નાનકડી કેબીન, રેંકડી કે થડો (ગલ્લો) લગાવીને કે પાથરણું પાથરીને પરચૂરણ ધંધો-વ્યવસાય કરવાના પ્રયાસો કરતા હોય છે. આ પ્રકારના મજબૂર લોકોના દબાણો હટાવતા પહેલા સંવેદનશીલતાથી તેઓને વૈકલ્પિક વ્યવસ્થાઓ દ્વારા રાહત આપવાની માંગણી પણ હંમેશાં ઉઠતી હોય છે, અને જે પાર્ટીઓ વિપક્ષમાં હોય, તે આ મજબૂર વર્ગ માટે અવાજ પણ ઉઠાવતા હોય છે.
જો કે, સિક્કાની બીજી બાજુ પણ છે. જાહેર વ્યવસ્થાઓ અવરોધાઈ જાય, ટ્રાફિકમાં સતત અવરોધ ઊભો થાય, લોકોને પગે ચાલતા નીકળવામાં પણ તકલીફ થાય, કોઈની લાગણીઓ દુભાતી હોય કે નિયમ-કાયદાઓનું ઉલ્લંઘન થતું હોય કે પછી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાતી હોય, તેવા સંજોગોમાં લાચારી કે મજબૂરીના મુદ્દાનું રક્ષણ મળતું નથી, અને આ પાતળી ભેદરેખાના કારણે જ ઘણી વખત ઘર્ષણો સર્જાતા હોય છે અને ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે. તાજેતરમાં જ સુપ્રિમકોર્ટે પણ કાંઈક એવું ઠરાવ્યું હતું કે જયારે કોઈ નાગરિકતાના અધિકારો જોખમાતા હોય, ત્યાં બંધારણીય રક્ષણની મર્યાદા આવી જતી હોય છે. અદાલતોના ચૂકાદાઓનું અર્થઘટન જુદી જુદી રીતે થતુ હોય છે, પરંતુ આ સંવેદનશીલ મુદ્દે ઉભય પક્ષોએ પરસ્પરને સમજવા અને સામૂહિક હિતોને પ્રાધાન્ય આપવાની જરૂર છે, ખરૃં ને ?
છેલ્લા કેટલાક વર્ષોથી ઘણાં યાત્રાધામો, દરિયાકાંઠાઓ, નદીકાંઠાઓ તથા ધોરીમાર્ગો પર ખડકાયેલા દબાણો હટાવાઈ રહ્યા છે, તેમ છતાં આ સમસ્યા નેસ્તનાબૂદ થઈ રહી નથી, કારણ કે દબાણો હટાવાયા પછી ફરીથી તે જ સ્થળે ફરીથી દબાણો થઈ જાય કે એક સ્થળેથી દબાણો હટાવ્યા પછી બીજી જગ્યાએ તેવા જ કે તેથી પણ વધુ નવા દબાણો ખડકાઈ જતા હોય છે, તેથી જ ઘણાં લોકો કહે છે કે માત્ર દબાણ હટાવ ઝુંબેશની સાથે સાથે "દબાણ અટકાવ ઝુંબેશ" પણ ચલાવવી જોઈએ, નહીંતર પૂર્ણ સરવાણી ધરાવતા કૂવામાંથી સતત પાણી ઉલેચવા છતાં કૂવો ખાલી થતો હોતો નથી, તેવી જ રીતે દબાણોની સમસ્યા પણ ક્યારેય ઘટવાની નથી, અને એકશન, રિએક્શન, પ્રોટેકશન અને ટેન્શનની આ સાયકલ ચાલતી જ રહેવાની છે.
જામનગરના બર્ધનચોકની સમસ્યા ઘણાં વર્ષોથી યથાવત રહી છે, તે પ્રકારના દૃષ્ટાંતો કદાચ દરેક નગરો અને મહાનગરોમાં મોજુદ હશે. આ સમસ્યા નિવારવા સ્ટ્રીટ વેન્ડર્સ માટે કેટલાક કદમ ઉઠાવાયા, કેટલાક શહેરોમાં વૈકલ્પિક જગ્યાઓ ફાળવાઈ, ક્યાંક આ પ્રયોગ અંશતઃ સફળ થયો, તો ક્ેટલાક સ્થળે ફિયાસ્કો થયો. આ સમસ્યા ઘણી જ વ્યાપક અને મુદ્દો સંવેદનશીલ છે, તેથી રાજ્યવ્યાપી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી ઘડીને સરકારે સામાજિક સમર્થન તથા જનસહયોગ મેળવીને કોઈ એવો રસ્તો કાઢવો જોઈએ, જેથી, ગરીબ-નિમ્ન મધ્યમવર્ગીય પરિવારોની રોજીરોટી પણ ઝુંટવાઈ ન જાય અને આ કામચલાઉ, હંગામી કે સ્થળાંતરિત થતી રહેતી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ પણ લાવી શકાય.
બર્ધનચોક જેવી રાજ્યવ્યાપી સમસ્યાઓ માટે અલગ, મોડસ ઓપરેન્ડીથી ધીમે ધીમે દબાણ વધારતા દબાણ માફિયાઓ માટે અલગ અને લેન્ડ ગ્રેબીંગ કે સરકારી કે અન્ય લોકોની ખાનગી જમીનમાં દબાણો કરીને મોટા મોટા બાંધકામો કે સંકુલો, ફાર્મહાઉસ, ગોડાઉનો વગેરે બનાવી લેનારા જમીન માફિયાઓ માટે અલગ પોલિસી ઘડાવી જોઈએ અને તેમાં રાજ્ય સરકારના પંચાયત, શહેરી વિકાસ, મહેસુલ, ગૃહવિભાગ (પોલીસતંત્ર) સહિતના સંલગ્ન તમામ વિભાગોને સામેલ રાખીને સમસ્યાઓ નિવારવાના પ્રયાસો નહીં, પણ કડક અમલવારી કરવી જોઈએ. નગરથી નેશન સુધીની આ સમસ્યાને સળગતી રાખીને રાજકીય રોટલા શેકવાની માનસિકતાના આક્ષેપોમાં દમ હોય તો કહી શકાય કે હમામ મેં સબ નંગે હૈ...જાગો....જનતા...જાગો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, અને રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં પી.એમ. મોદી આવવાના છે, તેથી સૌરાષ્ટ્રનું તંત્ર ઊંધા માથે તૈયારીઓમાં પડી જશે, તો બીજી તરફ ભાજપના નેતાઓ-કાર્યકરો વડાપ્રધાનના કાર્યક્રમો માટે હડિયાપટ્ટી કરવા લાગ્યા છે. બીજી તરફ આવી રહેલા તહેવારો તથા રાજકોટ, સોમનાથ વગેરે સ્થળે વડાપ્રધાનના કાર્યક્રમોના સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ. ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને તાલુકા મેજિસ્ટ્રેટો દ્વારા વિવિધ પ્રકારના જાહેરનામાઓ પ્રસિદ્ધ થવા લાગ્યા છે.
આ ઉપરાંત મહાનગરોની આંતરિક વ્યવસ્થાઓ, સાફસફાઈ કે ટ્રાફિક વ્યવસ્થાને લઈને મ્યુનિસિપલ કમિશનરો તથા પોલીસ કમિશનરો દ્વારા પણ વિવિધ પ્રકારના જાહેરનામા પ્રસિદ્ધ થતા હોય છે.
હકીકતે આ પ્રકારના મોટા ભાગના જાહેરનામા દાંત વગરના વાઘ જેવા પૂરવાર થઈ રહ્યા છે અને માત્ર કાગળ પર જ રહી જતા હોય છે, કારણ કે આ જાહેરનામાઓ પછી તેનો ચૂસ્ત અમલ પણ થાય, તે માટે કાં તો સંબંધિત તંત્રો દરકાર જ કરતા હોતા નથી, અથવા તો જાહેરનામાનો અમલ કયો વિભાગ કરે છે, તે નક્કી જ હોતું નથી, અથવા તો લોકોની જાણમાં (પબ્લિક ડોમેઈનમાં) નથી હોતું. ઘણાં જાહેરનામાઓની અમલવારીમાં તો એક થી વધુ સરકારી વિભાગો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કોર્પોરેશનો કે બોર્ડ-નિગમોના તંત્રો સંકળાયેલા હોય છે, તેથી જાહેરનામાનો અમલ કોઈ પણ વિભાગ દ્વારા યોગ્ય રીતે થતો જ નથી, અથવા જવાબદારીની ફેંકાફેંકી થતી હોય છે, ઘણી વખત સંયુક્ત જવાબદારી કોઈની નહીં, તેવો ઘાટ સર્જાતો હોય છે, અને તેના પરિણામો ઘણી વખત અવ્યવસ્થા, અંધાધૂંધી કે અનિચ્છનિય બનાવો પણ બનતા હોય છે. આ કારણે "જાજી સુયાણી વેંતર બગાડે"ની કહેવત જેવી ગંભીર સ્થિતિ પણ ઊભી થઈ જતી હોય છે, અને તેની જવાબદારી ઉઠાવવા કોઈપણ તૈયાર થતું હોતું નથી.
દૃષ્ટાંત તરીકે જામ-ખંભાળીયામાં ચાઈનીઝ દોરીએ એક બાળકના જીવ પર જોખમ ઊભું કરી દીધુ એન લોહીલુહાણ હાલતમાં માસુમ બાળકને ગળામાં ટાંકા લેવા પડયા, તે દુર્ઘટનાએ પૂરવાર કર્યું છે કે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું બેધડક અને ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. સરકારે ચાઈનીઝ દોરી-તુક્કલ પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં આવી દુઃખદ ઘટનાઓ બની રહી હોય તો તે જાહેરનામાઓની કોણ કેટલી પરવાહ કરે છે, અને કેટલો અમલ થાય છે, તેની વાસ્તવિકતા જ ઉજાગર કરે છે ને ?
હકીકતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પણ ચાઈનીઝ માંઝા, તુક્કલ અને કાચથી માંઝેલી દોરીનો પતંગ ઉડાડવા માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે, અને ગુજરાત સરકારે આદેશો તથા જિલ્લા તંત્રોએ જાહેરનામાઓ પ્રસિદ્ધ કર્યા છે, તેમ છતાં આવી દુર્ધટનાઓ બને તો તે માટે જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન અસ્થાને નથી.
હાલારના બંને જિલ્લાઓમાં પણ જુદા જુદા સમયે અવારનવાર ઘણાં જાહેરનામા, આદેશો અને ગાઈડલાઈન્સ પ્રસિદ્ધ થાય છે, પરંતુ તેનો કેવો અને કેટલો અમલ થાય છે, તે ઓપન સિક્રેટ છે. જો ચૂસ્ત અમલ કરવાની વ્યવસ્થા જ ન હોય, વ્યવસ્થા હોય તો તેનો અમલ કરવાની પરવાહ કે ઈચ્છાશક્તિ ન હોય અને માત્ર કાગળ પર જુની ફાઈલમાંથી કોપી-પેસ્ટ કરીને અને તારીખ સમય વગેરે બદલીને જાહેરનામાઓ કે હૂકમો પ્રસિદ્ધ થતા હોય તો તેનો કોઈ મતલબ ખરો ? આ તો જનતા સાથે છેતરપિંડી જ ગણાય ને ? આ જાહેરનામા જવાબદારીમાંથી છટકી જવાના ઓજાર જ માત્ર બની રહ્યા છે ને ?
ભાજપના જ પર્યાવરણવાદી અને જીવદયાની સંસ્થા સાથે સંકળાયેલા મેનકા ગાંધીએ તો ગ્રીન ફટાકડા, જેવું કાંઈ હોતુ નથી, તેમ જણાવી તહેવારો તથા ઉજવણીઓ દરમ્યાન ફટાકડા ફોડનારાઓને દેશદ્રોહી ગણાવીને ફટાકડા ફોડવા પર મુકાતા પ્રતિબંધની અમલવારી સામે સવાલો ઉઠાવ્યા છે. તેવી જ રીતે ટોપ ટુ બોટમ જાહેરનામાઓના થતા ભંગ સામે કાનૂની કાર્યવાહી તથા સજા આપવાની કે દંડ કરવાની પ્રક્રિયા પણ પુનઃ સમીક્ષા માંગતી હોવાની માંગણી ઉઠી રહી છે. જાહેરનામાઓ પ્રસિદ્ધ કરીને છુટી જતા તંત્રોને પણ જાહેરનામાનો ભંગ થવાના કિસ્સા વધવા લાગે, ત્યારે જવાબદાર ગણીને અમલીકરણ તંત્રો સામે શિક્ષાત્મક પગલા લેવાની જોગવાઈ થવી જોઈએ, તેવી માંગ ઉઠી રહી છે.
રાજકોટમાં વડાપ્રધાન આવવાના હોવાથી ત્યાં જે રીતે તંત્રોના જાહેરનામાઓ, આદેશો અને સૂચનાઓનો ચૂસ્ત અમલ થઈ રહ્યો છે, તેવી જ રીતે જિલ્લા તંત્રો દ્વારા વાર-તહેવાર કે વિવિધ કારણોસર જાહેર થતા જાહેરનામાઓ-આદેશોનો ચૂસ્ત અમલ કાયમી ધોરણે થવો જોઈએ. વીવીઆઈપી વિઝીટ વખતે જ જાહેરનામાઓનો ચૂસ્ત અમલ થાય, અને સામાન્ય સંજોગોમાં રૂટિનમાં જાહેર કરાતા હૂકમો કે નોટિફિકેશન્સનો અમલ યોગ્ય રીતે ન થાય કે બિલકુલ થાય જ નહીં, તો તેને પણ વીઆઈપી કલ્ચર જ ગણવું પડે ને ? માત્ર લાલ લાઈટો ગાડીઓ પરથી હટાવ્યે કાંઈ નહીં વળે, નેતાઓ-તંત્રોએ સ્વમૂલ્યાંકન કરીને માનસિકતા પણ બદલવી જ પડશે.
વિરોધપક્ષોએ પણ જાહેરનામાઓનો અમલ ચૂસ્તપણે થાય, તે માટે તંત્રોને ઢંઢોળવા પણ જોઈએ. જામનગરમાં કોંગ્રેસે કેટલાક વિસ્તારોમાં ઘેર-ઘેર ફરીને કેટલીક પ્રશ્નાવલી સાથેનું ફોર્મ ભરાવીને જનસંપર્ક અભિયાન આદર્યું હોવાના અહેવાલો આવ્યા હતા. આ ૧૪ મુદ ઉપરાંત જાહેરનામાઓની અમલવારીનો પ્રશ્ન તેમાં ઉમેરીને જનમત મેળવી શકાય તેમ છે. ફોર્મ્સ છપાઈ જ ગયા હોય તો પણ મૌખિક રીતે મકરસંક્રાંતિ પર લોકોના ગળા કપાઈ જાય, તેવી સામગ્રીનો ઉપયોગ કરીને જાહેર માર્ગો કે શેરી, ગલીઓમાં પતંગ ઉડાડવાના બદલે ખુલ્લા મેદાનો કે ઊંચી ઈમારતોની ટેરેસ પરથી કોઈને નુકસાન ન થાય, તેવી રીતે પતંગ ઉડાડવાની જાગૃતિ પણ ફેલાવી શકાય તેમ છે, અને ચાઈનીઝ તુક્કલ અને દોરીઓ કેવી રીતે ઘાતક છે, તેના સંદેશ પહોંચાડી શકાય તેમ છે. યે ટાઈમ ભી હૈ, ઔર દસ્તૂર ભી હૈ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ડિસેમ્બર-૨૦૨૪માં ભલે બહુ ઠંડી પડી ન હોય, પરંતુ નવા વર્ષે ઠંડી વધી રહી છે અને વર્ષ ૨૦૨૫ના પહેલા અઠવાડિયામાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતો ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જના કારણે ઋતુચક્ર બદલી રહ્યું હોવાના તારણો કાઢી રહ્યા છે અને હવામાન નિષ્ણાતો માવઠાઓ, ઠંડી-ગરમીના ટાઈમટેબલમાં બદલાવ અને રણપ્રદેશોમાં પૂર આવી જાય તેવો વરસાદ થવાના ઘટનાક્રમોના કારણો આપી રહ્યા છે, ત્યારે કંડલા તથા રાજકોટમાં ૧૦ ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન આવી જતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આ કારણે કેટલાક સ્થળે સ્કૂલોના ટાઈમટેબલ બદલાઈ રહ્યા છે, તો શેરી-ગલી-મહોલ્લાથી લઈને ધોરીમાર્ગો સુધી લોકો તાપણાંઓ તાપી રહેલા જોવા મળી રહ્યા છે. હાલાર, સૌરાષ્ટ્ર સહિત દેશમાં શિયાળો જમાવટ કરી રહ્યો છે.
એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ ગાઢ ધૂમ્મસની સમસ્યાએ પરિવહન અને જનજીવનને ઘણું જ પ્રભાવિત કર્યું છે. એક તરફ બંગાળની ખાડીમાં સાઈકોલોનિક સર્ક્યુલેશન ઊભું થતા પાંચેક દિવસ સુધી દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ ઉત્તર ભારતમાં સાત દિવસ સુધી સવાર-સાંજ ગાઢ ધૂમ્મસ તથા રાજસ્થાન સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કડકડતી ઠંડીની આગાહી સાથે શીત લહેરની વોર્નિંગ આપવામાં આવી છે.
એક તરફ આપણે ત્યાં શિયાળો શરૂ થયો છે, અને ઠંડી વધી રહી છે, તો બીજી તરફ દેશના જુદા જુદા વિસ્તારોમાં મિશ્રઋતુની અનુભૂતિ થઈ રહી છે, તેમ જ વરસાદ પડવાની આગાહીઓ થઈ રહી છે, તેમાં વિશ્વનું રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે, અને ડામાડોળ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં અચાનક બદલાવ આવ્યો છે અને હવે યુએનએસસીની તાકીદની બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે.
અમેરિકાની સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ઉઠાવી લઈને તેને બંદીવાન બનાવ્યા છે, અને ન્યૂયોર્કની અદાલતમાં રજૂ કરીને તેના પર ખટલો ચલાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, તો બીજી તરફ સીરિયાના આતંકવાદી સ્થળો પર બ્રિટન અને ફ્રાન્સે સહિયારૂ આક્રમણ કર્યું છે. એવું કહેવાય છે કે સીરિયા અને ઈરાકમાં આઈએસઆઈએસના હજારો આતંકવાદીઓ રહે છે. અમેરિકાના વેનેઝુએલા પર કરાયેલા હૂમલાઓમાં કેટલાક લોકો માર્યા ગયા હોવાના અહેવાલો વચ્ચે ઘણાં દેશોએ અમેરિકાને વેનેઝુએલાના ઘટનાક્રમોમાં આંતરરાષ્ટ્રીય નિયમો-કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવી જોરદાર વિરોધ નોંધાવ્યો છે, તો કોલંબિયા, બ્રાઝીલ મક્સિકો વગેરે દેશો પર પણ અમેરિકા આક્રમણ કરી શકે છે, તેવી સંભાવનાઓના કારણે વૈશ્વિક અજંપા સાથે અનિશ્ચિતતાઓ પ્રવર્તિ રહી છે. યુનોની સલામતિ સમિતિની બેઠક (યુએનસી)ની બેઠકમાં અમેરિકા કે ટ્રમ્પ સામે કડક વલણ લેવાની કેટલી ત્રેવડ છે એન આ સમિતિનું ટ્રમ્પ માનશે ખરા ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
વૈશ્વિક પ્રવાહો સૌરાષ્ટ્ર સુધી પડઘાયા છે અને વિદેશોમાં ભારતીય રાજદૂત તરીકે કામ કરી ચૂકેલા સુજોય ચિનોપને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ભારતની બિનજૂથવાદી નીતિ તથા અમેરિકા અને રશિયા, ઈરાન અને સાઉદી અરેબિયા, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન, રશિયા અને યુક્રેન જેવા પરસ્પર ટકરાતા દેશો સાથે બંને તરફ કૂટનૈતિક સંબંધો જાળવવામાં ભારત સફળ રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વશાંતિ જાળવવા ભારત પરસ્પર સહયોગ અને વ્યાપાર વધારવાની નીતિ અપનાવી રહ્યું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્યાપારને હથિયાર બનાવીને અસહયોગ તથા મનસ્વી રણનીતિ અપનાવી રહ્યા છે, તેવા તારણો કાઢતા કેટલાક વિશ્લેષકો ટ્રમ્પની આ હકીકતને "દાદાગીરી" તથા "એક મહાસત્તાને ન છાજે તેવું શરમજનક વલણ" ગણાવી રહ્યા છે. શાંતિનો નોબેલ પુરસ્કાર મેળવવાના હક્કદાર હોવાનો દાવો કરતા ટ્રમ્પ પોતે જ વિશ્વમાં અશાંતિ, અરાજકતા અને અનિશ્ચિતતાઓ ફેલાવી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
ઘણાં લોકો એવું કહે છે કે જો વેનેઝુએલા પર અમેરિકાનું આધિપત્ય વધે, તો તેમાં ભારતને આડકતરો ફાયદો થશે. કેટલાક પ્રતિબંધો હટી જતા વેેનેઝુએલામાં ભારતની પાર્ટનરશીપ ધરાવતા, ઓએનજીસીના પ્રોજ્ેક્ટો પુનઃ શરૂ થશે અને ત્યાંથી સસ્તુ ક્રૂડ પણ ભારતને મળી રહેશે, જેથી ભારત રશિયા અને અમેરિકા વચ્ચેનું કુટનૈતિક તથા વ્યાપારિક સમતુલન બેસાડી શકશે. બીજી તરફ ભારત સામે બિનજૂથવાદી તટસ્થ પરંપરાગત નીતિને અનુસરવાનો પડકાર પણ રહેશે. આ મુદ્દે વૈશ્વિક ચર્ચાઓ વચ્ચે વેનેઝુએલાના ઘટનાક્રમ અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી છે, તેવા અહેવાલો પણ આવ્યા છે. ભારતે સત્તાવાર રીતે એક સમતોલ અને મર્યાદિત નિવેદન આપ્યું છે, જેને ઘણાં લોકો ભારતની બિનજૂથવાદી નીતિને અનુરૂપ ગણાવે છે, તો કેટલાક વિશ્લેષકો તેને સંયમિત પ્રતિક્રિયા ગણાવે છે.
વોશિંગ્ટનથી એક અહેવાલ એવો આવ્યો છે જે ભારત અને ભારતીયોનું ધ્યાન ખેંચે તેવો છે. અમેરિકાએ એક એવી યાદી જાહેર કરી છે, જેમાં બાંગલાદેશ અને પાકિસ્તાનનું નામ છે, પણ ભારતનું નામ નથી. અમેરિકામાં વસવાટ કરતા એશિયન વસાહતીઓમાં ભારતીયો બીજા ક્રમે હોવાનું કહેવાય છે. તાજેતરમાં ટ્રમ્પે વેલ્ફેર સ્કીમનો લાભ લેતા વિશ્વના ૧૨૦ જેટલા દેશોની યાદી જાહેર કરી છે, ઈમિગ્રન્ટ વેલ્ફેર રેસિપિય રેટ્સ બાય ઓરિજિનના મથાળા હેઠળ એક યાદી જાહેર કરાઈ છે. આ યાદી ઈમિગ્રન્ટ્સના જન્મનું સ્થળ (દેશ) અને ઈમિગ્રન્સ દ્વારા મેળવવામાં આવતી સહાયનું આંકડાકીય વર્ણન છે. અમેરિકાના વેેલ્ફેર સ્કીમની સહાય મેળવતા ૧૨૦ દેશોમાં ભારતનું નામ નહીં હોવાના અહેવાલોએ બધાનું ધ્યાન પણ ખેંચ્યું છે. આ ચાર્ટ મુજબ બાંગલાદેશના ૫૪.૮ ટકા અને પાકિસ્તાનના ૪૦.૨ ટકા, ચીનના ૩૨.૯ ટકા અને નેપાળના ૩૪.૮ ટકા વસાહતીઓને અમેરકિાની સરકારી સહાય મળે છે, સૌથી વધુ ભૂતાનના વસાહતીઓને ૮૧.૪ ટકા સહાય મળે છે, પરંતુ આ યાદીમાં ભારતનું નામ જ નથી.
ટ્યૂ રિસર્ચ સેન્ટરને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ અમેરિકામાં જે એશિયન વસાહતીઓ છે, તેમાં બીજા ક્રમે ભારતીયો વસાહતીઓ ૨૧ ટકા છે, પરંતુ ભારતીયો અમેરિકાની વેલ્ફેર એઈડ (કલ્યાણ સહાય) મેળવતા નથી.
બે વર્ષ પહેલાના આંકડાઓ મુજબ અમેરિકામાં રહેતા એશિયનો પૈકી ભારતીય મૂળના લોકોની આવકની સરખામણી કરીને એવા તારણો નીકળી રહ્યા છે કે ભારતમાંથી આવીને અમેરિકામાં વસેલા ભારતીયો કરતા અમેરિકામાં જ જન્મેલા ભારતીય મૂળના નાગરિકોની આવક વધુ છે. આ તારણો ભારતીયોની ક્ષમતા અને ડિગ્નીટીને પણ ઉજાગર કરે છે.
અત્યારે કડકડતી ઠંડી સાથે શિયાળો જમાવટ કરવા જઈ રહ્યો છે, ત્યારે ટ્રમ્પ ફેઈમ વૈશ્વિક પ્રવાહો વૈશ્વિક ગરમાટો ઊભો કરી રહ્યો છે. સર્વત્ર એક જ પ્રશ્ન છે કે, "હવે ટ્રમ્પ શું કરશે ?"
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સિયાસતમાં પણ સિદ્ધાંતો અને સચ્ચાઈનો રણકાર હોય છે, પરંતુ હવે શબ્દોની સટાસટી તથા સનસનાટી ભર્યા શબ્દપ્રયોગોની આંધીમાં સિદ્ધાંતો અને સત્યને ઉડાડી દેવાના ષડયંત્રો રચાઈ રહ્યાં હોય અને સુંવાળા શબ્દોની માયાજાળમાં જનતાને ભ્રમિત કરવામાં આવી રહી હોય તેમ જણાય છે. સોહામણા શબ્દોની અદ્ભુત ગુંથણી ચોક્કસ એજન્ડા અને વાકચાતુર્યથી સિયાસતદારો સંવેદનાઓ અને સૌજન્યતા સાથે ખિલવાડ કરીને પોતપોતાની રાજકીય ખીચડી પકવવાના પ્રયાસો કરી રહ્યાં હોય તેમ જણાય છે.
શાસકપક્ષો કેન્દ્ર અને રાજ્યોમાં વાયદાઓ વહેંચી રહ્યાં છે અને જનતાને રૂડા-રૂપાળા વચનો આપી રહ્યાં છે, તો વિરોધપક્ષો શાસકોનો વિરોધ કરી રહ્યાં છે. લોકતંત્રની આ જ ખૂબી છે કે, શાસકપક્ષે હંમેશાં જવાબો આપવા પડે છે અને વિપક્ષો સવાલોની ઝડી વરસાવી શકે છે. આપણા દેશનું બંધારણ ઘડાયુ ત્યારે કદાચ તંદુરસ્ત અને સરકારાત્મક રાજનીતિની અપેક્ષા રખાઈ હશે તથા ચોક્કસ સીમાઓ તથા સચ્ચાઈના સિદ્ધાંતોની અપેક્ષા રખાઈ હશે, પરંતુ હવે તો શાસનમાં હોય કે વિપક્ષમાં હોય, સિયાસતદારો (રાજનેતાઓ) ની ભાષા, હરકતો અને નિવેદનો એવા થવા લાગ્યા છે કે, બંધારણના ઘડવૈયાઓની આત્મા પણ દુભાતી હશે. આમાં કોઈના વખાણ કરવા જેવા નથી, કારણ કે, રાજનીતિ કે યે હમામ મેં સબ નંગે હી તો હૈ...!
નેતાઓ, સેલેબ્રિટીઝ અને વિવિધ ક્ષેત્રના દિગ્ગજોના ચિત્ર-વિચિત્ર અને વિવાદાસ્પદ નિવેદનોમાં ઉલઝન અને ઉચાટ હોય છે, તો ઘણી વખત ઘમંડ અને ઉન્માદ પણ હોય છે....
ગયા મહિને થયેલી હરાજી દરમિયાન બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાહરૂખખાનએ રૂ।. ૯.ર૦ કરોડમાં ખરીદ્યા પછી શાહરૂખાનની વિરૂદ્ધમાં તથા તરફેણમાં જે નિવેદનો આવી રહ્યાં હતા, તેના શબ્દપ્રયોગો, ભાષા અને હાવભાવો જોતા એવું જણાય છે કે, "જંગ ઔર પ્યાર મેં સબકુછ જાયઝ હૈ" ની કહેવતમાં હવે એવું કાંઈક ઉમેરવું જોઈએ, જે નફફટ નિવેદનબાજી કરતા લોકોની હરકતોને "જસ્ટીફાઈ" કરે...!
હરિયાણાના એક રાજકીય પક્ષ ઈન્ડિયન નેશનલ લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ અજય ચૌહાણના એક નિવેદને તો બે દિવસથી દેશભરમાં હલચલ મચાવી દીધી છે અને આ નિવેદનની તરફણે અને વિરોધમાં પણ તીખા તમતમતા નિવેદનો આવી રહ્યાં છે, અને સનસનાટીભર્યા શબ્દો સાથે અવનવી કોમેન્ટો થઈ રહી છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલાક દેશોમાં જેને ઝેડ આંદોલનો થયા છે અને બાંગ્લાદેશ, નેપાળ જેવા ભારતના પડોશી દેશોમાં ચૂંટાયેલી સરકારોના નેતાઓને રસ્તાઓ પર દોડાવી દોડાવીને જનતાએ વિરોધ વ્યક્ત કર્યા પછી રાજીનામા આપવા પડ્યા છે, અને બાંગ્લાદેશના વડાપ્રધાને તો દેશ છોડીને ભાગવું પડ્યું છે અને ભારતમાં આશ્રય લેવો પડ્યો છે. જનતાની આ તાકાતની વાત કરતા કરતા આઈએનએલડીના પ્રમુખ અજય ચૌટાલાએ એવું નિવેદન કર્યુ કે, તેના ઘેરા પડઘા દેશભરમાં પડ્યા છે અને ઘણાં લોકો એવો કટાક્ષ કરવા લાગ્યા છે કે, બંધારણના ઘડવૈયાઓએ લોકતંત્રમાં જરૂર પડ્યે હિંસક અને અરાજકતા ફેલાવવાનો અધિકાર પણ આપવાની જરૂર હતી...!
અજય ચૌટાલાએ મહેન્દ્રગઢમાં એક યુવા યોદ્ધા સંમેલનમાં એવું કથિત નિવેદન કર્યુ હતું કે, "શાસકોને ગાદી પરથી ખેંચી લાવો અને માર્ગો પર દોડાવી દોડાવીને મારો..."
તેમણે કોંગ્રેસને વર્તમાન શાસકોની "બી" ટીમ બતાવીને આકરી ટીકાઓ કરી હતી.
ભાષણબાજી ઉપરાંત ચૌટાલાએ "એક્સ" પર પણ કાંઈક આવી જ કોમેન્ટો કરી હતી. ભાષણો તથા કોમેન્ટોનું તારણ કાઢીને ચૌટાલા પર ચોતરફ ટીકાઓની ઝડી પણ વરસી રહી છે અને હરિયાણાના ભાજપ તથા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ચૌટાલાને દર્પણ દેખાડી રહ્યાં છે.
અજય ચૌટાલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, બાંગ્લાદેશ અને નેપાળમાં યુવાઓએ સડકો પર ઉતરીને શાસકો સામે બંડ પોકાર્યુ હતું અને વિશાળ માર્ગો પર આંદોલન કરીને નેતાઓ પર જીવલેણ હૂમલાઓ કર્યા હતાં, તેવી જ રીતે આપણે પણ શાસકોને દેશ છોડવા મજબૂર કરવા પડશે, જે રીતે બાંગ્લાદેશમાં થયું, તેવું જ હવે ભારતમાં કરવું પડશે, વિગેરે...!!
આ નિવેદનમાં જેટલું તથ્ય હોય, તેટલું ખરૂ, પરંતુ શબ્દપ્રયોગો અને ધમકીની ભાષા ભારત જેવા પુખ્ત લોકતાંત્રિક દેશ માટે તો ચાલે જ નહીં, તેમ જણાવીને આ નિવેદનનો વિરોધ પણ કદાચ એવી જ ભાષામાં થવા લાગ્યો હોય, તો તેને પણ જસ્ટીફાય કરી શકાય નહીં.
જો કે, ભાજપના ફાયરબ્રાન્ડ પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ શાણપણભરી ભાષામાં પ્રત્યાઘાત આપ્યો અને કહ્યું કે, અજય ચૌટલાનું આ નિવેદન ભારતના બંધારણ અને લોકશાહીને અનુરૂપ નથી. આ પ્રકારના નિવેદનો કરતા પરિવારોને ભારતની લોકશાહીમાં શ્રદ્ધા નથી... વિરોધ કરવાની પણ એક મર્યાદા હોય છે, પરંતુ ભારતની સિયાસત હવે કદાચ આવા "નિયંત્રણો" ઈચ્છતી જ નથી, તેમ જણાય છે.
શાહરૂખખાન સામે વિરોધનો વંટોળિયો ફૂંકાયો અને તેમાં રાજનીતિ સાથે નહીં જોડાયેલા પ્રભાવશાળી લોકો અને સંગઠનો - સંસ્થાઓ જોડાયા, તે પછી બીસીસીઆઈએ નિર્દેશો આ૫તા હવે બાંગ્લાદેશનો ખેલાડી આઈપીએલમાં નહીં રમી શકે તેવા સંકેતો શું સૂચવે છે...?
આ પ્રકારની સિયાસતમાં "ચીત્ત ભી મેરી ઔર પટ ભી મેરી" જેવો વ્યૂહ પણ અપનાવાતો હશે અને આ પ્રકારના વિવાદો પાછળ કદાચ કોઈ મોટું કદમ ઉઠાવવાની તૈયારી હોય કે કોઈક નિષ્ફળતા છૂપાવવાનો પ્રયાસ પણ હોય, જે હોય તે ખરૃં, પરંતુ શબ્દોની આ સટાસટીએ સિયાસતને શિયાળામાં પણ ગરમ તો કરી જ દીધી છે ને...?
મધ્યપ્રદેશની ભાજપ સરકારે દુષિત પાણીથી માત્ર ચાર લોકોનો જ જીવ ગયો હોવાનું એફિડેવિટ કરીને સેલ્ફ ગોલ કર્યો, તો ઉત્તરાખંડમાં મોટા ગજાના નેતાએ બિહારમાં વીસ-પચીસ હજારમાં છોકરીઓ (વેંચાતી) મળતી હોવાનું નિવેદન કરીને સેલ્ફગોલ કરી લીધો છે. ઉમા ભારતીએ પણ દુષિત પાણીના મુદ્દે નિવેદન કર્યુ, અને તેના પ્રત્યાઘાતો સેલ્ફગોલ જેવા જ આવ્યા. રાહુલ ગાંધીએ વોટચોરીનો મુદ્દો ગજવ્યો અને કર્ણાટકમાં ઈવીએમ અંગે કોંગ્રેસે સર્વે કરાવ્યો, તો તેના પરિણામો સેલ્ફગોલ જેવા જ આવ્યા હોવાની મીડિયામાં ચર્ચા થઈ. બાંગ્લાદેશ સાથે સંબંધોના મુદ્દે પાકિસ્તાનનું નિવેદન જ સેલ્ફગોલ જેવું બની જાય, તેવો ભારતે પ્રત્યાઘાત આપ્યો... ઈરાનમાં સુપ્રિમલીડર આયાતુલ્લાહા અલી ખોમૈનીના નિવેદનો એટલા બધા સેલ્ફગોલ જેવા બની ગયા કે, ત્યાંની જનતા સડકો પર ઉતરીને વિરોધ પ્રદર્શનો કરી રહી છે. કપિલ શર્માએ પોતાના કોઈ કાર્યક્રમના સંદર્ભે કરેલા શબ્દપ્રયોગોથી સેલ્ફગોલ થઈ ગયો.
ટૂંકમાં, રાજનીતિમાં શબ્દોની રમત, આક્રમક શૈલી, સટાસટી, સનસનાટી ફેલાવતા કે આક્ષેપો કરતા નિવેદનો ઘણી વખત પ્રતિસ્પર્ધા કે સામેના પક્ષને ક્રિકેટની ભાષામાં 'ક્લીનબોલ્ડ' કરી દેતા હોય છે, તો ઘણી વખત ફૂટબોલની ભાષામાં "સેલ્ફગોલ" પણ બની જતા હોય છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વર્ષ ર૦રપ નું વર્ષ પૂરૃં થયું અને વર્ષ ર૦ર૬ નો પ્રારંભ, તેના સંદર્ભે જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને વિવિધ દેશોમાં જુદી જુદી રીતે ઉજવણી પણ થઈ છે. નવા વર્ષને વધાવવા લોકતાંત્રિક દેશોમાં પણ ભિન્ન-ભિન્ન પદ્ધતિથી કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, અને કોઈપણ ઉજવણીની કોઈ ચોક્કસ પૃષ્ઠભૂમિ પણ હોય છે. ઘણાં દેશોમાં દિવાળી પણ ઉજવાય છે અને નાતાન પણ ઉજવાય છે, તો વિચારધારાઓ વચ્ચેના ટકરાવ અને મૂળભૂત રીતે રાજનૈતિક ઉદ્દેશ્યથી ઊભા થતા અથવા કરાતા વિવાદો પણ ચર્ચાની કોરાણે ચડતા હોય છે. આમ છતાં આપણી મૂળભૂત પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ અને સચવાઈ રહી છે, તે પણ હકીકત છે.
નવા વર્ષે કેટલાક દેશોના વડાઓએ કરેલા નિવેદનો તથા અપનાવાયેલા વલણોની ચર્ચા પણ થવી જ જોઈએ. ચીનના સરમુખત્યાર બની બેઠેલા રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમના દેશવાસીઓને ઉદ્દેશીને રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું અને તેમાં જે કાંઈ કહ્યું, તેનાથી તાઈવાન તમતમી ઊઠ્યું હશે અને ભારતના ભવાં ખેંચાયા હશે, કારણ કે નવા વર્ષની સ્વાભાવિક રીતે અપાતી શુભકામનાઓ સાથે સકારાત્મક, શાંતિ અને સુલેહનો સંદેશ આપવાના બદલે જીનપિંગે ઘમંડ, પડકાર અને સામ્રાજ્યવાદી માનસિક્તા પ્રગટ કરી છે અને તેના આ પ્રવચનના કારણે તેના (ચીનના) ખોળે બેઠેલા વિદ્રોહી બાંગલાદેશને પણ ઝટકો લાગવો જોઈતો હતો. આ પ્રવચન ગઈકાલથી ગ્લોબલ ચર્ચાનો વિષય બન્યો છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કરેલા આ સંબોધનમાં કહ્યું છે કે, તાઈવાનનું ચીનમાં એકીકરણ કોઈ અટકાવી શકે તેમ નથી. તાઈવાન જલ સંધિની બન્ને બાજુએ રહેનારા ચીનના લોકોને રાહત અને બંધુત્વના અતૂટ બંધનથી જોડાયેલા છે અને તેઓનું જોડાણ અમારી માતૃભૂમિની મહેચ્છા છે, તેથી તાઈવાનને ચીનમાં સામેલ થતું કોઈ રોકી શકે તેમ નથી.
એક તરફ શી જિનપિંગ આ પ્રકારની ફાંકેબાજી કરી રહ્યા છે, તો બીજી તરફ ચીનની સેના તાઈવાન નજીક યુદ્ધવિમાનો, જહાજો અને ડ્રોન્સ સાથે જબરદસ્ત યુદ્વાભ્યાસ કરી રહી છે. એવું કહેવાય છે કે, છેલ્લા ચાર વર્ષનો આ સૌથી વ્યાપક અને મોટો યુદ્ધાભ્યાસ છે. ચીન એક વર્ષમાં બબ્બે વખત યુદ્ધાભ્યાસ કરીને શક્તિ પ્રદર્શન કરતુંહોય છે. આવું આ પહેલા પણ ચીન પાંચ-છ વખત કરી ચૂક્યું છે.
ચીનના રાષ્ટ્રપતિનો આ રાષ્ટ્રજોગ સંદેશ તાઈવાન સામે એક ચેલેન્જ પણ છે અને તાકીદ પણ છે. ચીનના રાષ્ટ્રપતિની આ ભાષા નવા વર્ષના સંદેશમાં વપરાઈ છે, તે ઘણું જ સૂચક છે અને તેમાંથી જ સામ્રાજ્યવાદી માનસિક્તા અથવા ચીનની પરંપરાગત પોલિસીની ગંધ આવે છે. આ સંદેશના સમાચારો વહેતા થયા પછી તાઈવાન તમતમી ઊઠ્યું હશે, અને તેના પ્રત્યાઘાતો કદાચ અમેરિકામાં પણ પડઘાશે, તે નક્કી મનાય છે.
તિબ્બેટની જેમ જ ભારતને પણ ચીને ગર્ભિત ચેલેન્જ કરી હોય અને અરૂણાચલનું નામ લીધા વગર તાઈવાનની સાથે જ સૂચિત મહત્ત્વાકાંક્ષી ડેમનો ઉલ્લેખ કરીને જિનપિંગે ભારત-બાંગલાદેશની ચિંતાઓને ફગાવી દઈને એક કાંકરે અનેક પંખી માર્યા હોય તેમ જણાય છે.
આપણે જેને બ્રહ્મપુત્રા નદી તરીકે ઓળખીએ છીએ, તેને ચીનમાં ત્સાંગ વો તરીકે ઓળખવામાં આવે છે. આ નદી પર બંધાનારા વિવાદાસ્પદ ડેમનો ઉલ્લેખ કરતા જિનપિંગે કહ્યું કે વિશ્વનો આ સૌથી મોટો બંધ (ડેમ) પણ બનીને જ રહેશે. તેમણે કહ્યું કે, આ ૧૭૦ અબજ ડોલરનો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ છે, જે કોઈપણ કાળે અટકી શકે તેમ નથી, અને નિર્માણ પામીને જ રહેશે.
આ સંદેશ ભારત માટે તો જીવન-મરણનો સવાલ છે, અને સીધો સંકળાયેલો અરૂણાચલનો મુદ્દો પણ તેમાં સમાવી લેવામાં આવ્યો હોય તેમ જણાય છે. ચીને અરૂણાચલની નજીકમાં બ્રહ્મપુત્રા નદી પર ડેમ બાંધવાનો જે મેગા પ્રોજેક્ટ હાથ ધરવાના જે સંકેતો આપ્યા છે, તે ભારત અને બાંગલાદેશ માટે ખતરાની ઘંટડી નહીં, પરંતુ ઝળુંબતા જોખમનો ઘંટનાદ છે, અને તેને કોઈપણ દૃષ્ટિએ તદ્ન હળવાશથી લઈ શકાય તેમ નથી.
ભારતની અરૂણાચલ સરહદો બંધાનારો આ સૂચિત ડેમ ભારત અને બાંગલાદેશને મળતો બ્રહ્મપુત્રા પાણીનો વિપુલ જળરાશિ અટકાવી દેશે અને તે કારણે ભારત અને બાંગલાદેશએ બન્ને દેશોની ડેમોગ્રાફી તો બદલી જ જશે, પરંતુ ખેતી, રોજગાર અને જનજીવનને જબરદસ્ત ફટકો પડશે. એટલું જ નહીં, આર્થિક, વ્યાપારિક અને વિકાસ પ્રક્રિયાની દૃષ્ટિએ પણ બન્ને દેશોને વ્યાપાક માઠી અસર પહોંચાડશે.
જો બ્રહ્મપુત્રા નદી પર સૂચિત બંધ બંધાઈ જાય, તો ભારતના પૂર્વિય પ્રદેશો અને બાંગલાદેશમાં તારાજી સર્જાવાની એવી એક ચાવી ચીન પાસે હશે, જે ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડીને ભારત અને બાંગલાદેશને નુક્સાન પહોંચાડી શકે છે. ખાસ કરીને પૂર્વોત્તર ભારત પર જળપ્રલયનો ખતરો કાયમી ધોરણે ઝળુંબતો રહેશે.
જો ચીન સૂચિત ડેમમાંથી જાણી જોઈને કોઈ ચોક્કસ અને વ્યુહાત્મકઢબે પાણી છોડે, તો તેથી આવેલા પ્રચંડ પૂરથી ભારત અને બાંગલાદેશમાં ધોવાણ થઈ જાય તથા વિનાશ વેરાય, તે ઉપરાંત આ મુદ્દો એક પ્રેસર ટેકનિક કે બ્લેક મેઈલીંગનું હથિયાર પણ બની જાય, તેથી ભારતે આ મુદ્દે ફૂંકી ફૂંકીને કદમ માંડવા જેવું છે. અમેરિકાના બદલેલા વલણ પછી એક તરફ જિનપિંગ અને પુતિન ચીન-રશિયા-ઈન્ડિયાનું ગઠબંધન રચીને મહાસત્તાને પડકારવાના અભરખા રાખતા હોય અને બીજી તરફ જિનપિંગ અરૂણાચલ પાસે બ્રહ્મપુત્રા નદી પર (ભારતના પ્રચંડ વિરોધ છતાં) ડેમ બાંધવાનો હૂકાર ભરતા હોય, તો વર્ષ ૧૯૬૦ ના દાયકાના અનુભવોને મમળાવીને ભારતે ચીનનો જરાય ભરોસો કરવો જ નહીં જોઈએ, તેવો જનમત પણ યથાર્થ છે.
વૈશ્વિક આંકલન સંસ્થા ફોર્બસ ઈન્ડોર્નેટે જાહેર કરેલા અહેવાલ મુજબ ચીન ગમે ત્યારે તાઈવાન પર હુમલો કરી શકે છે, અને તેની જાણ અમેરિકાને પણ હોવાથી તાઈવાનને ટ્રમ્પ હવા ભરી રહ્યા છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ઈઝરાયલ-હમાસની શાંતિ સમજુતિ માત્ર કાગળ પર છે અને અમેરિકા ગાઝા પર કબજો જમાવવા તત્પર છે.
આ રિપોર્ટમાં એવી સંભાવના પણ વ્યક્ત થઈ છે કે, પાકિસ્તાનની પ્રજા મોંઘવારી અને અરાજક્તાની સ્થિતિથી ત્રસ્ત છે, અને શાહબાઝ સરકાર પ્રજાનું ધ્યાન બીજી બાજુ વાળવા કોઈપણ બહાને ભારત સાથે યુદ્ધ છેડી શકે છે. આ રિપોર્ટમાં ચીન અને પાકિસ્તાનને ભારત સાથે સાંકળીને જે ગર્ભિત ઉલ્લેખો કર્યા છે, તે ચિંતાજનક છે. આ રિપોર્ટમાં વેનેઝુએલા, રશિયા-યુક્રેન સુદાન, યુગાન્ડા, ઈઝરાયલ-હમાઝ તથા ચીન-અમેરિકા વચ્ચેનું કોલ્ડવોર વગેરેને સાંકળીને ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ પણ જણાવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વર્ષ ર૦રપ પૂરૃં થયું અને તેમાં જે તકલીફો પડી હોય, આફતો આવી હોય, વિનાશ વેરાયો હોય કે ભૂલો થઈ હોય, તે ભૂલીને આગળ વધીએ અને નવા વર્ષમાં કાંઈક નવું કરીએ... નવા સોપાનો સર કરીએ... સપનાઓ સાકાર કરીએ અને ભૂતકાળની ભૂલોમાંથી શીખીને તથા અનુભવોના આધારે આપણી જિંદગી સુધારીએ, સંબંધો સુધારીએ અને સારા સંબંધોને વધુ મજબૂત કરીએ. 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર 'નોબત'ના પ્રિયા વાચકો, એડવર્ટાઈઝર્સ, વિતરકો, પત્રકારો, પ્રતિનિધિઓ તથા 'નોબત'ના સ્પશિયલ મીડિયાના વિવિધ પ્રકલ્પો સાથે સંકળાયેલા ફોલોઅર્સ તથા શુભેચ્છકોને નવા વર્ષની ખૂબ કામનાઓ પાઠવીએ...
એવું નથી કે વિતેલા વર્ષમાં બધું જ હાનિકારક અને નાકારાત્મક જ હતું. આપણે, આપણાં પરિવારે, સમાજે અને સરકારે જે સિદ્ધિઓ હાંસલ કરી હોય, પ્રગતિ કરી હોય, સત્કાર્યો કર્યા હોય, તેને સ્મરીને તથા મમળાવીને તે દિશામાં જ આગળ વધીએ. ગયા વર્ષે જે ગુમાવ્યું હોય, તે પુનઃ મેળવવાનો પ્રયાસ કરીએ અને જે મળ્યું નથી, તે આશા અને પ્રામાણિક રસ્તે મેળવવાનો પ્રયાસ કરીએ. બીત ગઈ સો બાત ગઈ... દુઃખદભરી યાદો ભૂલી જઈને નવા વર્ષે નવી કેડી કંડારીને તેને ધોરીમાર્ગ બનાવવાનો પ્રયાસ કરીએ, અને ગણગણીએ...
નયે સાલ મેં લિખેંગે હમ મિલકર નઈ કહાની,
હમ હિન્દુસ્તાની... હમ હિન્દુસ્તાની
આજથી યુપીઆઈ અને પાનકાર્ડ સંબંધિત નવા નિયમો અમલી બન્યા છે. પી.એમ. કિસાન યોજના માટે નિયત ઓળખપત્ર ફરજિયાત બનાવાયું છે, પરંતુ જે રાજ્યોમાં હજુ ઓળખપત્રો આપવાનું શરૂ થયું ન હોય ત્યાં હાલતુરત રજિસ્ટ્રેશનની છૂટ અપાઈ છે અને જંગલી પશુઓના કારણે ખેતીનો પાક બરબાદ થાય, અને તેની તત્કાળ જાણ કરવામાં આવે, તો તેની સહાયની પણ યોજના અમલમાં મૂકાઈ રહી હોય તો તેથી ખેડૂતોને રાહત થવાની છે. કર્મચારીઓ અને પેન્શનરોમાં આઠમા પગાર પંચને લને કુતૂહલ હતું, તો નવા વર્ષથી વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર પણ વધુ રાહતોની ઉમ્મીદ રાખી રહ્યું હતું, પરંતુ તે માટે હવે ફેબ્રુઆરીમાં કેન્દ્રનું બજેટ આવે, તેની રાહ જોવી પડશે, તેમ જણાય છે.
આ ઉપરાંત આજથી ક્રેડિટ કાર્ડના નિયમો, ઈન્કમટેક્સના નવા રિટર્ન ફોર્મ્સ તથા અન્ય પ્રક્રિયાત્મક ફેરફારો પણ થવા જઈ રહ્યા છે.
આજથી પાઈપલાઈન ગેસ (પીએનજી) ના ભાવોમાં ઘટાડો થયો છે, અને ઘરેલુ એલપીજીમાં ઘટાડાની ઉમ્મીદ પણ લોકોને હતી, પરંતુ તે યથાવત્ રહ્યા છે, જો કે કોમર્શિયલ એલપીજીમાં આજથી રૂ।. ૧૧૧ નો વધારો ઝીંકી દેવાયો છે.
આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટના નિયમો પણ વધુ ચૂસ્ત અને સખ્ત બનશે, તેવી ધારણા પહેલીથી જ હતી. આજથી પાનકાર્ડ અને આધાર કાર્ડ લિન્ક કરેલા નહીં હોય, તેઓને નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલી પડી શકે છે. તે ઉપરાંત વર્ષ ૧૯૬૧ ના કાયદાના સ્થાને નવો આવકવેરા કાયદો પણ આજથી લાગુ થવાની પૂરેપૂરી સંભાવના છે. આજથી બેન્કીંગ સેક્ટરના ક્રેડિટ સ્કોર, ટેક્સ વગેરેમાં બદલાવ થયા છે, કાર મોંઘી થઈ છે, નવી એમએએસ યોજના લાગુ થઈ છે.
ગુજરાત સરકારે નવા વર્ષના પહેલા જ દિવસથી લાગુ થાય તેવી રીતે કેટલાક આઈપીએસ તથા આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપવાના આદેશ પણ કર્યા છે. કુલ ૧૯ ઉચ્ચ અધિકારીઓને બઢતી મળી છે. તે ઉપરાંત બીજા ૩પ જેટલા ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને સિલેક્શન ગ્રેડ અથવા જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી મળી છે. આમ આ અધિકારી વર્ગ માટે નવું વર્ષ ખુશી લઈને આવ્યું છે, તેમ કહી શકાય, જો કે એક તરફ અધિકારીઓને પ્રમોશન અપાયા, તો બીજી તરફ હજારો પોલીસ કર્મીઓનો પગાર ગ્રાન્ટના અભાવે અટવાયો હોવાના અહેવાલો હતાં!
બીજી તરફ ગુજરાતની જનતા પર પણ નવા વર્ષના પ્રારંભે જ એસ.ટી. બસ ભાડામાં વધારાનો બોજ નંખાયો છે. થોડા મહિના પહેલા જ એસ.ટી.ના ભાડામાં ૧૦ ટકાનો વધારો કરાયો હતો, અને ગત્ મધ્ય રાત્રિથી જ (વર્ષ ર૦ર૬ ના પ્રારંભે જ) ફરીથી એસ.ટી.ના બસભાડામાં ત્રણ ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. તે પહેલા રેલવે તંત્રે પણ રેલવેના કેટલાક ભાડામાં વધારો કરવાની વાત કરી હતી, જો કે નવ કિલોમીટર સુધી કોઈ વધારો લાગુ નહીં પડે, અર્થાત બસનો રૂટ જ્યાંથી શરૂ થાય તે બસસ્ટેન્ડ કે બસડેપો અથવા બસસ્ટોપથી ૯ કિલોમીટરના અંતર સુધી આ ત્રણ ટકાનો વધારો લાગુ નહીં પડે તેવા અહેવાલો હતાં, પરંતુ ગેસમાં રાહત આપીને પબ્લિક પરિવહનના ભાડાઓમાં વર્ષના પ્રારંભે જ વધારો ઝીંકી દેવાતા લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
બીજી તરફ ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓ, યુનિવર્સિટીઓ, શાળા-કોલેજો તથા ખાનગી કોચીંગ ક્લાસો વિગેરે માટે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન મેન્ટલ હેલ્થ પોલિસીના સંદર્ભે આપવામાં આવી હોય તેમ જણાય છે.
વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ અટકાવવા રાજ્ય સરકારે તમામ પ્રકારની શૈક્ષણિક અને તાલીમી સંસ્થાઓને સાંકળીને આ ગાઈડલાઈન્સ જાહેર કરી હોવાનો દાવો કરાયો છે. કોલેજ અને યુનિવર્સિટીઓમાં દર ૧૦૦ વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછો એક ક્વોલિફાયડ કાઉન્સિલર રાખવો પડશે, અને તેથી ઓછી સંખ્યા હોય તો બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે સંકલન કરીને ફરજિયાત વૈકલ્પિક રેફરલ વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. જ્યારે જ્યારે સિલેબસ. બદલે, અભ્યાસક્રમ કે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થાય ત્યારે પૂરેપૂરી માહિતી અને માર્ગદર્શન પૂરા પાડવાની વ્યવસ્થાઓ અચૂક કરવી પડશે. બિનશૈક્ષણિક-સ્ટાફ સહિત તમામ શિક્ષકોને વર્ષમાં કમ-સે-કમ બે વખત માનસિક સ્વાસ્થ્યના લક્ષણોની ઓળખ કરવા માટે તાલીમ આપવી પડશે.
ખાનગી ટ્યુશન-કોચીંગ ક્લાસીસ માટે પણ અત્યંત કડક નિયમો બનાવાયા છે, અને મંજુરી વિના જ ધમધમતા કોચીંગ ક્લાસો પર સકંજો કસાવાનો છે.
શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો-યુનિવર્સિટીઓને આત્મહત્યા નિવારણ માટે તત્કાળ રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવા, અને તેને સંલગ્ન માળખું ઊભું કરીને તેને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા, રેગિંગ, જાતીય સતામણી, દાદાગીરી, બ્લેકમેઈલીંગ, ગુંડાગર્દી કે કોઈપણ પ્રકારના ભેદભાવ અંગે ગુપ્ત ફરિયાદ કરવાની ચૂસ્ત વ્યવસ્થા ઊભી કરીને તત્કાળ એક્સન લેવાની વ્યવસ્થા ઊભી કરવા, હોસ્ટેલો, છાત્રાલયોમાં સુરક્ષા-સલામતી વધારવા, આત્મહત્યાનું માધ્યમ બનતા સીલીંગ ફેન, બાલ્કનીઓ વગેરેના સંદર્ભે વોચીંગ, નિયમન અને નિયંત્રણની વ્યવસ્થાઓ કરવા સૂચવાયુ હોવાના અહેવાલો છે.
ગુજરાતમાં પહેલેથી જ સહકાર ક્ષેત્ર મજબૂત છે. હવે આ માળખું વિસ્તારવા રાજ્ય સરકારે નવી ૯ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોનો મંજુરી આપી દેતા ખેડૂતોને નવા વર્ષથી સરળ ધિરાણ, ઘરઆંગણે બેન્કીંગ સુવિધા અને નજીકના સ્થળેથી જ નાના-મોટા નાણાકીય અને બેન્કીંગ કામકાજ સંપન્ન કરવાની સુવિધા મળશે, તેવો દાવો કરાયો છે.
આજથી જે ફેરફારો થઈ રહ્યા છે કે, નવી સુવિધાઓ ઊભી થઈ રહી છે, તે ઉપરાંત કેટલાક નવા નિયમો તથા ભાડાવધારાનો બોજ જનતા પર પડવા જઈ રહ્યો છે, અને કેટલીક બાબતોમાં રાહત પણ મળવા જઈ રહી છે, તેના ભલે મિશ્ર પ્રતિભાવો પડી રહ્યા હોય, પરંતુ નવા વર્ષમાં પડકારોને પહોંચી વળીને તથા સાથે મળીને પરિવાર, સમાજ અને દેશને નવી ઊંચાઈએ લઈ જવા તથા સપના સાકાર કરવાની મહત્ત્વાકાંક્ષી ઉમ્મીદો સાથે નવા વર્ષને વધાવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે દિવાળી ઉપર તથા નાણાકીય વર્ષ પૂરૂ થાય ત્યારે માર્ચ એન્ડીંગમાં વાર્ષિક સરવૈયુ કાઢતા હોઈએ છીએ અને આગામી વર્ષના આયોજનો પણ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ માટે 'સરવૈયુ' એવો શબ્દ વપરાતો હોય છે, પરંતુ હકીકતે સંસ્થાઓ, સરકારો અને સંગઠનો દ્વારા પણ 'સરવૈયા' નીકળતા હોય છે. ભલે, તેને જુદાજુદા નામે ઓળખતા હોઈએ, પરંતુ હકીકતે આપણે બધા કોઈને કોઈ રીતે પૂરા થયેલા વર્ષમાં શું મેળવ્યું અને ક્યા ક્યા કાર્યો કે આયોજનો બાકી રહી ગયા, તેનો વિચાર તો કરતા જ હોઈએ છીએ ને?
છેલ્લા એક અઠવાડિયાથી પ્રેસ-મીડિયામાં ફ્લેશ બેકના ઢગલાબંધ વિવરણો આવી રહ્યા છે, અને ગુજરાત રાજ્ય, દેશ અને દુનિયાના તમામ નેગેટીવ-પોઝિટિવ અને હૃદયદ્વાવક તથા મનોરંજક, પ્રસન્નતાદાયક ઘટનાક્રમોની તસ્વીરો, દૃશ્યો સાથેની સ્ટોરીઓ આપણે વાચી કે નિહાળી રહ્યા છીએ, અને દેશ-દુનિયાએ આખા વર્ષમાં શું મેળવ્યું, શું ગુમાવ્યુ અને કઈ કઈ સિદ્ધિઓ મેળવી તેમ જ કઈ કઈ ભૂલોકરી તેની પણ ચર્ચાઓ પણ થઈ રહી છે.
આખંુ વર્ષ સડકથી સંસદ સુધી વિવિધ વિષયો ચર્ચાતા રહ્યા. શેરબજારમાં ઉતાર-ચઢાવ થતા રહ્યા, દુનિયામાં ક્યારેય ન વિચાર્યું હોય, તેવા ઘટનાક્રમો સર્જાતા રહ્યા. કુદરતનો કોપ અને મહેરબાનીનો સંગમ રચાતો રહ્યો, છતાં જિંદગી આગળ વધતી જ રહી.
વર્ષના પ્રારંભે બીજા મહિનામાં જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ફેંકાઈ ગઈ અને ભાજપને જનાદેશ મળ્યો, તો સંસદમાં વકફના મુદ્દે વિવાદ વકર્યો, તે પછી દિલ્હી હાઈકોર્ટના એક જજને ત્યાં આગ લાગતા ત્યાંથી મળેલી કરોડોની બળેલી ચલણી નોટોનો વિવાદ વકર્યો. તહવ્વુર રાણાનું અમેરિકાથી ભારતને પ્રત્યાર્પણ થયું. અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની શરૂઆત કર્યા પછી દુનિયામાં હલચલ મચી ગઈ. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ સમજુતિ રદ્ કરી દીધી.
સૌથી વધુ ચર્ચામાં ઓપરેશન સિંદૂર રહ્યું, તો પહલગામ આતંકી હુમલાની વિશ્વવયાપી આલોચના થઈ. ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ ગુજરાત અને દેશને હચમચાવી દીધો. સીજેઆઈએ કહ્યું કે, આપણાં દેશમાં સંસદનહીં, પણ બંધારણ સર્વોપરિ છે. અયોધ્યાના રામમંદિરના પહેલા માળે રામદરબારની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અમદાવાદની પ્લેન દુર્ઘટનાએ તો હાહાકાર જ મચાવી દીધો હતો. જુલાઈમાં રંગમતી-નાગમતીનું પાણી પ્રદૂષિત હોવાનું બહાર આવ્યા પછી તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડના રાજીનામાની ચર્ચા ચાલી. સંસદના ચોમાસું સત્રમાં માત્ર ૩૭ ટકા જ કામ થયું. કેટલાક ક્રિકેટરોએ વિવિધ પ્રકારની નિવૃત્તિ જાહેર કરી. દેશભરમાં ભારે વરસાદ, વાવાઝોડા, લેન્ડ સ્લાઈડ અને ભારે પૂરે તારાજી મચાવી, તો કેટલાક ખેતઉત્પાદનોએ રેકોર્ડ તોડ્યા. રાવલમાં ૧૦ મોટા માથા કોંગ્રેસમાં જોડાઈ જતા નગરપાલિકામાં ઉલટફેર થયો. હાલારમાં વિવિધ રાજકીય ઘટનાક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યું.
ભારતે દોડતી ટ્રેનમાંથી મિસાઈલનું પરીક્ષણ કર્યું, તો એશિયાકપમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું. બીજી તરફ સપ્ટેમ્બર મહિનાથી કોંગ્રેસે આદરેલું 'વોટચોર... ગાદી છોડ' આંદોલન સતત ચર્ચામાં રહ્યું. જૂનાગઢમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું, જેમાં ખડગે, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ તેજાબી ભાષણો કર્યા. 'વનતારા'ને સુપ્રિમ કોર્ટની રચેલી એસઆઈટીની તપાસ પછી ક્લીનચીટ મળી. દિવાળીના ઉત્સવો ઉમંગભેર ઉજવાયા અને નાતાલના તહેવારોમાં પણ યાત્રા-પ્રવાસન સ્થળોમાં મોટી સંખ્યામાં યાત્રિકો-પ્રવાસીઓ ઉમટ્યા. છેલ્લ બે-ત્રણ મહિનાના ઘટનાક્રમો તો આપણાં બધાની સ્મૃતિમાં જ છે, જે પૈકી સર્વાધિક ચર્ચા એસઆઈઆર, બિહારની ચૂંટણી તથા મુંબઈ મનપા (બીએમસી) ની આવી રહેલી ચૂંટણીઓની થઈ રહી છે, અને જામનગરમાં હિંસક બનવા જઈ રહેલી સ્થાનિક રાજનીતિ તથા બાંગલાદેશમાં ખાલિદા ઝિયાના નિધન પછી ત્યાંની સરકાર બદલતી રાજનીતિની થઈ રહી છે.
બરાબર એક વર્ષ પહેલા જ્યારે ર૦ર૪ ના ફ્લેશ બેકની ચર્ચા થઈ રહી હતી, તે સમયે ચર્ચાયેલા કેટલાક મુદ્દાઓ વર્ષ ર૦રપ માં પણ યથાવત્ જ રહ્યા હોય તેમ જણાય છે. ઘણાં પ્રશ્નો હજુ અણઉકેલ છે. સંસદમાં શોરબકોર, દેકારા અને હોબાળાઓ વચ્ચે જનતાની સમસ્યાઓ દબાઈ જવાની વોહી રફ્તાર ચાલુ જ રહી હતી, જો કે એ દરમિયાન કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા અને કાયદાઓ પણ ઘડાયા. વર્ષ ર૦ર૪ કરતા પણ વધુ કુદરતી આફતો અને દુર્ઘટનાઓમાં એકંદરે હજારો લોકોના જીવ ગયા. વર્ષ ર૦ર૪ ના અંતે 'નકલી'ઓની ભરમાર ચર્ચાઈ હતી અને કેટલાક ષડ્યંત્રોની ચર્ચા પણ થઈ હતી, જયારે વર્ષ ર૦રપ માં તો ટોપ ટુ બોટમ કૌભાંડોની ભરમાર જ જોવા મળી હતી. દિલ્હીમાં થયેલા આતંકી વિસ્ફોટ પછી પકડાયેલા ષડ્યંત્રો તથા જાસૂસોના અહેવાલો પણ ખાસ્સા ચર્ચામાં આવ્યા હતાં.
વર્ષ ર૦ર૪ કરતા પણ વધુ ટ્રમ્પ વર્ષ ર૦રપ માં ચર્ચામાં રહેલા, અને તેની કેટલીક હરકતોએ સૌને ચોંકાવ્યા, તો પાકિસ્તાનમાં સર્વેસર્વા સીડીએફ બની ગયેલા મુનિર સાથે ટ્રમ્પની બનાવટી ઘનિષ્ઠતાની ચર્ચાઓ પણ થતી રહી. ટૂંકમાં વિવાદાસ્પદ અને જીવલેણ ઘટનાઓમાં કેટલીક રાષ્ટ્રીય અને વૈશ્વિક સિદ્ધિઓ, માનવીય પ્રવૃત્તિઓ, લોક-કલ્યાણ અને જીવસૃષ્ટિના કલ્યાણ માટે થયેલા વિવિધ સંશોધનો તથા ઉપ્લબ્ધિઓની સાફલ્યગાથાઓ જાણે દબાઈ જ ગઈ હતી. આપણે ભૂતકાળની નિષ્ફળતાઓ અને ભૂલોમાંથી કાંઈક નવું શીખીને આગળ વધીએ અને મળેલી સિદ્ધિઓ-ઉપલબ્ધિઓથી ફૂલાઈ જવાના બદલે વધુ ઉજળા ભવિષ્ય તરફ આગળ વધવાનો પ્રયાસ કરીએ, તો જ આપણે વિતેલા વર્ષની યાદોની સાચી ફલશ્રુતિ મેળવી ગણાશે.
આજે ભારતમાં મધ્યરાત્રિના વર્ષ ર૦ર૬ ના વધામણા થશે, અને થર્ટી ફર્સ્ટની ધમાકેદાર ઉજવણી પણ થશે. આ તહેવાર હવે મોજમસ્તીનો બની રહ્યો છે, પરંતુ ભગવાન ઈસુ ખ્રિસ્તની સ્મૃતિમાં દેવળોમાં કેટલાક કાર્યક્રમો નાતાલના અંતે યોજાતા હોય છે, જો કે ભારતમાં મધ્યરાત્રિ હશે, ત્યારે ઘણાં દેશોમાં કલાકો પહેલા નવું વર્ષ શરૂ થઈ ગયું હશે. દૃષ્ટાંત તરીકે આજે બપોરથી ભારતીય સમય મુજબ મધ્યરાત્રિ પહેલા જ ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત અઢી ડઝન જેટલા દેશોમાં નવું વર્ષ શરૂ થઈ ગયું હશે. આનું કારણ પૃથ્વીની સૂર્ય-પ્રદક્ષિણાની સાથે સાથે પોતાની ધરી પર ગોળ ગોળ ફરવાથી થતા રાત-દિવસને સાંકળીને નક્કી થયેલું ટાઈમઝોન છે. આવો, વિતેલા વર્ષની વિદાય વેળાએ હકારાત્મક અભિગમ અને સકારાત્મક ઉમ્મીદો સાથે આગળ વધીએ અને વર્ષ ર૦રપ ને બાય... બાય કરીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે ત્યાં ગુજરાતીમાં એક પ્રચલિત કહેવત છે કે બકરુ કાઢતા ઊંટડુ પેઠું...કાંઈક તેવા જ ઘટનાક્રમો દેશ-દુનિયામાં સર્જાઈ રહ્યા છે, અને તેમાં સૌથી વધુ ચર્ચિત તથા તાજો ઘટનાક્રમ બાંગલાદેશનો છે. આપણાં પડોશી દેશમાં યુવા આંદોલન પછી ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો અને તેણીએ ભારતમાં રાજ્યાશ્રય લીધો. વર્ષ ૧૯૭૧માં બાંગલાદેશની આઝાદી માટે ભારતે હસ્તક્ષેપ કરતા યુદ્ધ થયું, જેમાં પાકિસ્તાન ભૂંડી રીતે હાર્યું અને ભારતે દરિયાદિલી દાખવીને બાંગલાદેશના શરણે આવેલા હજારો સૈનિકોને છોડી મૂક્યા, તે પછી બાંગલાદેશ એક સ્વતંત્ર દેશ ઘોષિત થયો, જેને ધીમે ધીમે દુનિયાના દેશોએ માન્યતા આપી.
તે સમયે બાંગલાદેશની આઝાદી માટે લડનાર ત્યાંના જનનાયક બની ચૂકેલા શેખ મુજીબુર રહેમાને રાષ્ટ્રનું સુકાન સંભાળ્યું અને આઝાદ બાંગલાદેશ પાકિસ્તાનથી સદંતર અલગ થઈ ગયું, પરંતુ બાંગલાદેશને આઝાદી પચી નહીં, અને આંતરયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ, લોકતંત્ર ખતરામાં પડ્યું. શેખ મુજીબુર રહેમાનની ૧૫મી ઓગષ્ટ ૧૯૭૫ના દિવસે તેમના ઘરમાં જ સૈન્ય વિદ્રોહીઓએ હત્યા કરી નાખી, અને તેના ઘરમાં હાજર તમામ સભ્યોને રહેંસી નાખ્યા, પરંતુ તે સમયે શેખ મુજીબુર રહેમાનની હસીના અને રેહાના નામની બે દીકરીઓ બર્લિન ગઈ હોવાથી બચી ગઈ અને તે સમયે બંને બહેનોને ભારતે રાજ્યાશ્રય આપ્યો હતો.
શેખ હસીનાએ ભારતમાં રહીને જ તેના પિતા શેખ મુજીબુર રહેમાને સ્થાપેલી અવામીલીગ નામની રાજકીય પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું. શેખ મુજીબુરની હત્યા તે સમયના બાંગલાદેશના સેના પ્રમુખ ઝિયાઉર રહેમાને કરાવી હોવાના આક્ષેપો થયા. તે પછી જીયાઉર રહેમાન જ બાંગલાદેશના રાષ્ટ્રપતિ બની ગયા હતા.
ગુજરાતીમાં કહેવત છે કે વાવો તેવું લણો, હાથના કર્યા હૈયે વાગવા, જેવું કરો તેવું પામો... તેની જેમ ૩૦મી મે ૧૯૮૧ના દિવસે રાષ્ટ્રપતિ જનરલ ઝિયાઉર રહેમાનની પણ ચિત્તગૌગની સૈન્ય વિદ્રોહમાં હત્યા થઈ ગઈ. તે પછી તેમના પત્ની, જેઓ રાજનીતિમાં નહોતા અને માત્ર ગૃહિણી હતા, તેમણે પતિનો વારસો સંભાળીને ઝિયાઉર રહેમાને સ્થાપેલી બાંગલાદેશ નેશનાલીસ્ટ પાર્ટી (બીએનપી)નું નેતૃત્વ સંભાળ્યું, તે પછી એક અલગ જ લોકતાંત્રિક સ્થિતિ ઊભી થઈ, અને ચૂંટણીઓમાં બે બેગમોની ફાઈટ શરૂ થઈ ગઈ.
બાંગલાદેશમાં "બેગમ"નો સન્માન સૂચક અર્થ થાય છે અને બે મુખ્ય રાજકીય પક્ષોનું નેતૃત્વ કરતી બે બેગમો વચ્ચે રાજકીય સ્પર્ધાની સાથે સાથે દુશ્મનાવટ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. બંને પરિવારો એકબીજા પર પોતાની પાર્ટીના સ્થાપકોની હત્યાના આરોપો મુકતા રહ્યા અને ચૂંટણીઓમાં બાંગલાદેશની જનતાએ જનાદેશ આપ્યો હોવાના દાવા સાથે દાયકાઓ સુધી બાંગલાદેશ પર વારાફરતી શાસન કર્યું. અને ચૂંટણીઓ જીતીને બંને બેગમોએ વર્ષ ૧૯૯૦થી ૨૦૨૪ સુધી શાસન સંભાળ્યું.
જનરલ ઝિયાઉરની હત્યા પછી બાંગલાદેશના સેના પ્રમુખ વર્ષ ૧૯૭૮માં ઝિયાઉર રહેમાનની હત્યા પછી કાવાદાવા કરીને અને વર્ષ ૧૯૮૨માં સૈન્ય વિદ્રોહ કરીને તે સમયની રાષ્ટ્રપતિ અબ્દુલ સત્તારની સરકારને બરખાસ્ત કરીને માર્શલ લો લગાડી દીધો હતો અને હુસૈન મુહમ્મદ ઈર્શાદે વિપક્ષના નેતાઓને જેલમાં પૂરીને પોતે સરમુખત્યાર બની ગયો હતો. જો કે, વૈશ્વિક દબાવ પછી વર્ષ ૧૯૮૩માં "જાતીય પાર્ટી" નામનો પક્ષ સ્થપાયો, તે સમયે શેખ હસીના અને ખાલિદા ઝિયાએ હાથ મિલાવ્યા અને ઈર્શાદ સામે આંદોલન કર્યું. વર્ષ ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી થયેલા આંદોલન પછી સરમુખત્યાર બનેલા રાષ્ટ્રપતિ ઈર્શાદે રાજીનામું આપી દીધું, પરંતુ તે પછી બંને બેગમો વચ્ચે ફરીથી સીધી સ્પર્ધા શરૂ થઈ ગઈ, અને વર્ષ ૧૯૯૧ની ચૂંટણીઓમાં ખાલિદા જિયાને જનાદેશ મળ્યો તેથી તેઓ બાંગલાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બની ગયા હતા.
ખાલિદા જિયાના પાંચ વર્ષના શાસન થી વિમૂખ થયેલી બાંગલાદેશની જનતાએ તે પછીની ચૂંટણીમાં શેખ હસીનાને જનાદેશ આપતા શેખ હસીના બાંગલાદેશના બીજા મહિલા વડાપ્રધાન બન્યા અને તે પછી વર્ષ ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીઓ જીતીને લગભગ બે દાયકા સુધી બાંગલાદેશના વડાપ્રધાન રહ્યા અને વર્ષ ૨૦૨૪માં જેનઝેડ જેવા વિદ્યાર્થી આંદોલન પછી શેખ હસીનાએ દેશ છોડીને ફરીથી ભારતમાં રાજ્યાશ્રય લીધો છે. બીજી તરફ ચૂંટણીઓમાં ગરબડ કરીને શેખ હસીના સતત સામાન્ય ચૂંટણીઓ જીતતા રહ્યા હોવાના આક્ષેપો પણ થયા, બંને બેગમો તથા તેની પાર્ટીઓ વચ્ચે રાજકીય ફાઈટ ચાલતી રહી અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થતા રહ્યા, પરંતુ બંને બેગમો વચ્ચે ૧૯૯૦ના દાયકાથી અત્યાર સુધીની રાજકીય સ્પર્ધા દુશ્મનાવટમાં બદલી જાય, તેવા ઘણાં ઘટનાક્રમો પણ બન્યા હતા.
બન્યુ હતું એવું કે, વર્ષ ૨૦૦૧થી વર્ષ ૨૦૦૬ સુધી ફરીથી ખાલિદા જિયા સત્તામાં હતા, ત્યારે વર્ષ ૨૦૦૪માં શેખ હસીના પર થયેલા હિચકારા હૂમલામાં ઘણાં લોકોના જીવ ગયા, પણ શેખ હસીના બચી ગયા હતા. આ હૂમલો ખાલિદા જિયાના દીકરા તારીક રહેમાને કરાવ્યો હોવાનો આક્ષેપ શેખ હસીનાએ લગાવ્યો હતો. તે પછીની ચૂંટણી જીતીને વર્ષ ૨૦૦૬માં શેખ હસીના વડાપ્રધાન બન્યા પછી જેલમાં જવાના ડરથી ખાલિદા જિયાના પુત્ર તારીક રહેમાન વર્ષ ૨૦૦૮થી લંડન ભાગી ગયા હતા અને છેક તાજેતરમાં વચગાળાની સરકારના શાસનમાં પોતે સુરક્ષિત રહેશે, તેવું જણાતા તેઓ સ્વદેશ પરત ફર્યા, અને આગામી ફેબ્રુઆરીની ચૂંટણીઓમાં તેમની માતાની સ્થપાયેલી પાર્ટી બીએનપી જીતશે અને તારીક રહેમાન બાંગલાદેશનું શાસન સંભાળશે, તેવી અટકળો પણ થવા લાગી હતી, અને તે મુજબનો તખ્તો ગોઠવાઈ રહ્યો હતો.
આ દરમ્યાન લાંબા સમયથી બીમાર રહેલા ખાલિદા ઝિયાનું ગઈકાલે નિધન થઈ ગયું છે. વચગાળાની સરકારનું નેતૃત્વ કરતા નોબેલ વિજેતા મહમદ યુનુસના શાસનમાં હિન્દુઓ સહિત લઘુમતિઓ પર અત્યાચાર વધ્યા હોવાની બૂમરાણ તથા કટ્ટરવાદીઓ બેકાબૂ થયા હોવાના આક્ષેપો વચ્ચે તારીક રહેમાને બાંગલાદેશ સૌ કોઈનું છે એન બધાને સાથે લઈને ચાલવાની વાત કરી છે, બીજી તરફ શેખ હસીનાની પાર્ટી પર વચગાળાની સરકારે પ્રતિબંધ મુક્યો છે તથા ત્યાંની ટ્રિબ્યુનલો શેખ હસીનાને નરસંહારના કોઈ કેસમાં દોષિત ઠરાવીને ફાંસીની સજા જાહેર કરી છે, જેની સામે શેખ હસીનાએ વકીલ મારફત અપીલ કરી છે. શેખ હસીનાની પાર્ટી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાયો છે, તેની સામે પણ અવામી લીગે કાનૂની ઉપાયો કર્યા છે, તેથી નવા સમીકરણો રચાઈ રહ્યા છે.
પડોશી દેશમાં બે બેગમોના શાસનનો યુગ હવે ખતમ થઈ રહેલો જણાય છે. બાંગલાદેશમાં શેખ હસીના બેગમ અને ખાલિદા જિયા બેગમના સંઘર્ષ પછી હવે નવા સમીકરણો રચાઈ રહ્યા છે. ૮૦ વર્ષિય ખાલિદા ઝિયાના નિધન પછી સહાનુભૂતિની લ્હેર દોડે, અને તારીક રહેમાનને ચૂંટણીઓમાં ફતેહ હાંસિલ થઈ જાય, તો પણ તે પછીની સ્થિતિની અત્યારે કલ્પના કરવી અઘરી છે. એક તરફ શેખ હસીનાને શરણ આપનાર ભારત સાથે તારીક રહેમાનની વંશપરંપરાગત નફરત અને બીજી તરફ ખાડે ગયેલા બાંગલાદેશને ફરીથી બેઠુ કરવા તથા ત્યાંની લઘુમતીઓને વિધિવત પુનઃ સ્થાપિત કરવા માટે કટ્ટરપંથી પરિબળો પર અંકુશ લાવવાનો પડકાર પણ રહેવાનો છે. ખાલિદા જિયાના નિધન પછી બદલાયેલા સમીકરણો ભારત માટે કેવા રહેશે અને તારીક રહેમાનને જનાદેશ મળશે, તો તેઓ કેવું વલણ લેશે, તેની આજે વ્યાપક ચર્ચા થઈ રહી છે. બાંગલાદેશમાં લોકતાંત્રિક સત્તા પરિવર્તન સાથે શાંતિ સ્થપાશે કે હજુ વધુ બગાવત થશે, તેવા સવાલો ઊઠી રહ્યા છે, જોઈએ, શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શનિવારે દિલ્હીના કોટલા માર્ગ પર હલચલ વધી ગઈ હતી અને હવાઈ પ્રદુષણની આબોહવા વચ્ચે ગરમાગરમ રાજકીય માહોલે ઉષ્ણતા જન્માવી હતી. આ માર્ગ પર આવેલા કોંગ્રેસના નવા હેડક્વાર્ટરમાં કોંગ્રેસ વર્કીંગ કમિટી (કોંગ્રેસ કાર્ય સમિતિ)ની બેઠક યોજાઈ અને તેમાં કોંગ્રેસે લીધેલા એક નિર્ણયના પડઘા સડકોથી લઈને કેન્દ્રીય સચિવાલય અને શાસક એનડીએના વર્તુળોમાં પણ પડ્યા હતા. કેન્દ્ર સરકારના તાજેતરના એક કદમથી માત્ર કોંગ્રેસ કે વિપક્ષો જ નહીં, પણ કદાચ એનડીએના કેટલાક સાથીદાર પક્ષો તથા સંગઠનોમાં પણ થોડા ઘણા અંશે નારાજગી હોવાનું કહેવાય છે. રાહુલ ગાંધી તો ત્યાં સુધી આક્ષેપ કરે છે કે આ નિર્ણય વડાપ્રધાને મનસ્વી રીતે લીધો છે, તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કહે છે કે કોઈની સલાહ લીધા વિના, વિપક્ષોને વિશ્વાસમાં લીધા અને લાંબુ વિચાર્યા વગર કેન્દ્ર સરકારે મનરેગા યોજના બંધ કરીને અથવા તેનું નામ બદલીને "વીબી-જી.રામ.જી." કર્યું છે, તે તદૃન અયોગ્ય છે અને જનવિરોધી છે. આ પગલું ઉઠાવીને કેન્દ્ર સરકારે પગ પર કુહાડો માર્યો છે અને જેવી રીતે ભૂતકાળમાં ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવ્યા હતા, તેમ મનરેગાને સ્થાને નવી સ્કીમ લાવવાનો નિર્ણય તથા તેને સંલગ્ન કાયદો પણ મોદી સરકારે પાછો ખેંચવો જ પડશે, કારણ કે આ મુદ્દે કોંગ્રેસ હવે દેશવ્યાપી આંદોલન કરવા જઈ રહી છે.
કોંગ્રેસ તા. પાંચમી જાન્યુઆરી-૨૦૨૬થી દેશવ્યાપી "મનરેગા બચાવો" આંદોલન શરૂ કરવાની છે. આ જાહેરાત કરતા ખડગેએ કહ્યું છે કે આ નિર્ણય પાર્ટીએ સર્વસંમતિથી લીધો છે. મનરેગાને કમજોર કરવાના આ પ્રયાસને પૂરી તાકાતથી નિષ્ફળ બનાવાશે અને સડકથી સંસદ સુધી પાર્ટી સંઘર્ષ કરશે. બંધારણે આપેલા કામ કરવાના અધિકારને મોદી સરકારે છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે. આ યોજના સોનિયા ગાંધી અને સ્વ. મનમોહનસિંહની દીર્ઘદૃષ્ટિનું પરિણામ હતુ અને "કેગ" સહિતની ઘણી એજન્સીઓએ એ યોજનાના પ્રભાવ તથા ફલશ્રુતિને સ્વીકારી હતી.
કોંગી નેતા રાહુલ ગાંધીએ પણ પોતાના ચિરપરિચિત અંદાજમાં દોહરાવ્યું કે આ ફેંસલો (મનરેગાનું નામ અને સ્વરૂપ બદલવાનો નિર્ણય) સીધો પીએમઓમાંથી લેવાયો છે. તેમણે ત્યાં સુધી દાવો કર્યો કે આ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિભાગના મંત્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી નથી. આ આપણાં દેશના "સંઘીય ઢાંચા" પર હૂમલો છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોનું ફંડ તથા નિર્ણય લેવાનો રાજ્યોનો અધિકાર છીનવી રહી છે, અને સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. મનરેગા એક અધિકાર કેન્દ્રીત વિકાસ મોડલ હતુ, જેને વડાપ્રધાને ખતમ કરી દીધું. અને નોટબંધીની જેમ જ અચાનક નિર્ણય લાદી દેવાયો, હકીકતે આ કદમ ગરીબોનો હક્ક છીનવીને મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે લેવાયો છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે તમામ વિપક્ષો એકજૂથ હોવાનો દાવો પણ કર્યો હતો.
કોંગ્રેસના ૧૪૧મા સ્થાપનાદિન ઉજવણીની ચર્ચા દરમ્યાન કોંગ્રેસની આ પાવરફૂલ કમિટીમાં સંકલ્પ લેવાયો છે, ત્યારે તેને હવે દેશવ્યાપી કેટલું સમર્થન મળે છે અને તેના સામે સત્તાધારી પક્ષો કેવું વલણ અપનાવે છે, તે તો નવા કેલેન્ડર વર્ષ (૨૦૨૬)માં જ ખબર પડશે, પરંતુ અત્યારે તો કોંગ્રેસની આ મક્કમ ઘોષણાએ એનડીએમાં અજંપો તો જગાવી જ દીધો છે, અને સત્તાધારી ગઠબંધનની અંદર જ આ મુદ્દે મતભેદો કે ખેંચતાણ હશે, તો તે આજે નહીં તો કાલે, બહાર આવવાના જ છે, અને તેના પર "મનરેગા બચાવો અભિયાન"ની સફળતાનો આધાર પણ રહેવાનો છે, કારણ કે ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી નથી તેથી નાયડૂ-નીતિશ સિવાયના અન્ય પક્ષો કે સંગઠનો પણ "પ્રેસર" લાવી શકે છે.
ભાજપના આઈટી વિભાગના વડા અમિત માલવીયાએ સોનિયા ગાંધીના એક આર્ટિકલને ટાંકીને કહ્યું હતું કે મનરેગા એટલે રોજગાર ગેરંટી કાનૂનને ખતમ કરાયો નથી, પરંતુ રિપેર કરાયો છે. મનરેગાની જગ્યાએ આવેલો વિકસિત ભારત (વી.બી.)-ગેરંટી રોજગાર એવમ્ આજીવિકા મિશન-ગ્રામિણ (જી.રામ.જી.) સંસદે પસાર કર્યો છે, અને રાષ્ટ્રપતિએ માન્ય કર્યો છે. આ અધિનિયમ સંપૂર્ણપણે બંધારણીય કદમ છે અને તેમાં રોજગારીના દિવસો સવાયા કરાયા છે. માલવીયાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી કટાક્ષ પણ કર્યો કે સોનિયા ગાંધીનો લેખ આંકડાઓને નેવે મૂકીને રાજનૈતિક કલ્પનાઓની ઉડાન જેવો જણાય છે.
માલવીયાએ કહ્યું કે મનરેગાની પરિકલ્પના અને સંચાલન એક રાષ્ટ્રીય સલાહકાર સમિતિ દ્વારા થતું હતું, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જનપ્રતિનિધિઓનો અભાવ હતો. એક સુપર પાવર પર્સનાલિટીને તો "સુપર કેબિનેટ સચિવ" કહીને મજાક પણ તે સમયે ઉડાવાતી હતી.
જો કે, ગુજરાતમાં તો મનરેગાના નામ બદલવાનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે, અને કેન્દ્ર સરકારના વિરોધમાં ઠેર-ઠેર દેખાવો થઈ જ રહ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા. રાજ્યના જિલ્લા મથકો પર પણ ઘણાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. ગુજરાતમાં મનરેગા યોજનામાં કથિત ભ્રષ્ટાચારના આંદોલનો પછી હવે મનરેગા બચાવ આંદોલનમાં જોડાઈ જવા હાઈકમાન્ડે આદેશ કર્યો છે, અને પાંચમી જાન્યુઆરીથી ગુજરાતમાં પણ રાજ્યવ્યાપી આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.
કોંગ્રેસે ભાજપ દ્વારા થતા વીબી-જી.રામ.જી. અધિનિયમના બચાવની દલીલોને ફગાવી દીધી છે. ભાજપે મનરેગાની જગ્યાએ અમલી બનાવાયેલી નવી યોજનાઓમાં કામના દિવસો ૧૦૦થી વધારીને ૧૨૫ કરાયા, નવી યોજનામાં ડીબીટી (શ્રમિકોના ખાતામાં સીધા નાણા જમા થાય તેવી પદ્ધતિ) થી ચૂકવણી, પારદર્શકતા વગેરે દલીલો કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર નામ બદલવાના મુદ્દે રાજનીતિ રચી રહી છે, જ્યારે સરકારનો ઉદૃેશ્ય માત્ર ગ્રામિણોના સશક્તિકરણનો છે.
કોંગ્રેસ અને ભાજપના આક્ષેપો, દાવાઓ અને સ્પષ્ટતાઓ જનતાની સામે જ છે, હવે પ્રજાએ જ નક્કી કરવાનું છે કે કોણ સાચુ છે અને કોણ જૂઠાણા ફેલાવી રહ્યું છે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ટી-૨૦ મેચમાં ત્રીજો મુકાબલો જીતીને શ્રેણીમાં ભારતીય મહિલા ટીમે પાંચ મેચોની શ્રેણીમાં ૩-૦થી લીડ મેળવી, અને બીજા અર્થમાં આ શ્રેણી જીતી લીધી. શ્રીલંકાની ટીમે આપેલો ૧૧૩ રનનો લક્ષ્યાંક ભારતીય મહિલા ટીમે ૧૩.૨ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. શેફાલી વર્માએ ૪૨ બોલમાં અણનમ ૭૯ રન બનાવ્યા, તો ભારતીય ફાસ્ટ બોલર રેણુકાસિંહ ઠાકુરે શ્રીલંકાની ચાર વિકેટ અને સ્પિનર દિપ્તી શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી.
સામાન્ય રીતે જયારે ભારતીય ક્રિકેટની આંતરરાષ્ટ્રીય મેચો પુરૂષ ખેલાડીઓની ટીમો જીતે, ત્યારે તેની વ્યાપક ચર્ચાઓ થતી જ હોય છે, અને પ્રેસ-મીડિયામાં ગ્રીમ હરોળમાં તેના સમાચારોને સ્થાન મળતું હોય છે તથા ક્રિકેટ રસીયાઓમાં તેની ચર્ચાઓ પણ વધુ થતી હોય છે, પરંતુ મહિલા ટીમો આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરે કે શ્રેણી જીતે ત્યારે તેની યોગ્ય નોંધ લેવાતી નહોતી, પરંતુ હવે તેવું નથી, હવે તો નારી શક્તિની સિદ્ધિઓને પણ સન્માન અપાઈ રહ્યું છે અને ખેલકૂદ ક્ષેત્રે પણ મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, અને તે સારા સંકેતો છે.
દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મહિલાલક્ષી ઘણી યોજનાઓ ચાલી રહી છે. દૃષ્ટાંત તરીકે બાળકીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સમૃદ્ધિ યોજના, ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર અને ઉધમ યોજના, ગુજરાતની મહિલા અને બાલવિકાસ તથા કલ્યાણ યોજનાઓ, કન્યા છાત્રાલયો, કન્યા સુમંગલા યોજના, સાતફેરા સમૂહલગ્ન યોજના, કેન્દ્રની નમોશ્રી યોજના, મહિલા સાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાયની યોજના, શિક્ષણ પ્રોત્સાહક યોજનાઓ, સગર્ભા અને ધાત્રી મહિલાઓ માટેની યોજનાઓ, મહિલા સ્વાવલંબી યોજનાઓ, પ્રધાનમંત્રી મહિલા વંદના યોજના, સખી યોજના, સખીમંડળો, ન્યુ સ્વર્ણીમ યોજના, ગુજરાત નમોશ્રી યોજના, પી.એમ., મહિલા શક્તિ યોજના વગેરે સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે, અને ઘણી યોજનાઓ મહિલાઓ માટે ફળદાયી પણ બની રહી છે.
જો કે, અન્ય સરકારી યોજનાઓની જેમ જ મહિલાલક્ષી યોજનાઓમાં પણ ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ઘણી ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે, જેમાં ઘણી વખત તટસ્થ તપાસ કરીને દોષિતોને દંડવામાં આવે છે, તો ઘણી વખત આ પ્રકારના કૌભાંડોને છાવરવામાં પણ આવતા હોય છે. તાજેતરમાં ઘણી સરકારી યોજનાઓમાં ગરબડ-ગોટાળા અને કરોડોના કૌભાંડો બહાર આવ્યા પછી મહિલાલક્ષી યોજનાઓમાં પણ છુપા વ્યાપક કૌભાંડો તો થતા નહીં હોય ને ? તેવી આશંકાઓ જાગે, તે સ્વાભાવિક છે અને હવે તે દિશામાં જાગૃત નાગરિકો અને પ્રેસ મીડિયાનું સંશોધન વધુ ઘેરૃં બનશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.
મહિલાઓને જનપ્રતિનિધિત્વમાં અનામત મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ અને કાયદા પણ ઘડાયા, પરંતુ મહિલા અનામતની બેઠકો પર પંચાયતો, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા પછી તમામ મહિલાઓ, મહિલા ધારાસભ્ય કે સંસદસભ્યોની જેમ સ્વતંત્ર રીતે કામ કરી શકતી હોતી નથી અને તેણીની સત્તાઓનો ઉપયોગ તેના પતિ, પિતા, ભાઈ કે અન્ય પુરૂષ પરિવારજન કરતા હોય છે, તે ઓપન સિક્રેટ છે, અને તેથી જ આ રીતે પરોક્ષ રીતે પોતાની ચૂંટાયેલી પત્નીની સરપંચની સત્તા ભોગવતા પતિઓને કટાક્ષમાં એસ.પી. (સરપંચ પતિ) કહેવામાં આવે છે... કમભાગ્યે હજુ પણ સમાજમાં એવો વર્ગ મોજુદ છે, જે મહિલાઓને જાહેરજીવન, ખેલકૂદ, કે બિઝનેસમાં સિદ્ધિઓ મળે, તેને સાખી શકતો નથી !
એવા અહેવાલો પણ આવ્યા છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એક મહત્ત્વકાંક્ષી યોજના ઘડી રહ્યું છે, અને આ સુચિત યોજના હેઠળ દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક સરકારી ગર્લ્સ હોસ્ટેલ ખોલવામાં આવશે. આ યોજના માટે કેન્દ્ર સરકાર આજે અને આવતીકાલે રાજ્ય સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે અને રાજયોની સંમતિ તથા જરૂરી જમીન તથા ફંડની ફાળવણી અંગે પણ વાતચિત થશે. માત્ર વિદ્યાર્થીઓ (કન્યાઓ) માટે દેશભરમાં ૭૦૦થી વધુ હોસ્ટેલો ખોલવાનો પ્લાન છે અને આગામી કેન્દ્રીય બજેટમાં તેની ઘોષણા થાય, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે.
નવી શિક્ષણ નીતિ હેઠળ આ પ્રકારની વ્યવસ્થાઓ થાય, તે આવકારદાયક છે, પરંતુ આ પ્રકારના પ્રસ્તાવો સામેના પડકારો પણ ઓછા નથી, સૌથી વધુ પડકારરૂપ વુમન હોસ્ટેલ્સની સુરક્ષા તથા વિદ્યાર્થીની બહેનોની સલામતિની ચાકચોબંધ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાનો છે અને બીજો પડકાર આ માટે ફંડીંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચરની નાણાકીય જોગવાઈ પછી પણ તેના કાયમી વ્યવસ્થાપન અને નિભાવ-રખરખાવનો છે. માત્ર સંકુલો ઊભા કરી દેવાથી કે સ્ટાફની થોડી-ઘણી નિમણૂકો કરી દેવાથી આ પ્રકારની હોસ્ટેલો ચલાવી નહીં શકાય, પરંતુ તેમાં સંવેદનશીલ અને જવાબદાર સંચાલનની પણ જરૂર પડવાની છે, કારણ કે, ગર્લ્સ હોસ્ટેલો કે વિમેન હોસ્ટેલોમાં રહેતી અને ભણતી વિદ્યાર્થિનીઓ કે નોકરીયાત બહેનો તદૃન નિર્ભય અને સુરક્ષિત રહીને અભ્યાસ અને નોકરી કરી શકે, તેવું વાતાવરણ ઊભુ કરવાની જવાબદારી પણ સરકાર અને તાબાના સરકારી તંત્રોની જ રહેવાની છે. આ પડકાર ઉપાડી લઈને જો વિદ્યાર્થિનીઓ તથા નોકરિયાત સીંગલ બહેનો માટે હોસ્ટેલ્સની વ્યાપક અને સુરક્ષિત વ્યવસ્થાઓ સફળતાપૂર્વક ઊભી કરાશે, તો તે નારીશક્તિ માટે પ્રેરણાદાયી અને દેશ માટે એક ક્રાંતિકારી કદમ હશે પણ.....?
મહિલાઓ પર થતા અત્યાચારો, દૂષ્કર્મો અને નાની નાની બાળકીઓ સાથે થતા વિકૃત અત્યાચારોનું દૂષ્કર્મોની માનસિકતા પણ ઝડપથી પનપી રહી છે અને ભણેલા-ગણેલા અને સીઈઓ કે ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ જેવા યુવાનો દ્વારા છાકટા થઈને ગેંગરેપ કે દૂષ્કર્મો કરવાની ઘટનાઓ પણ વધી રહી છે, તેથી એવુ કહી શકાય કે આપણે પ્રચારલક્ષી નહીં, વાસ્તવલક્ષી બનવાની વધુ જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
થોડા સમય પહેલા પી.એમ.ના આયુષ્માન કાર્ડની હેલ્થ સ્કીમમાં જામનગર સહિત ગુજરાતમાં કૌભાંડો પકડાયા અને કૌભાંડિયાઓ સામે કાનૂની કાર્યવાહી થઈ હતી. તે પહેલા કેન્દ્ર સરકારની તે સમયની મનરેગા યોજનામાં વ્યાપક કૌભાંડોની રાવ ઉઠી હતી અને તેમાં પણ તપાસ યોજાયા પછી કાનૂની કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે. હવે 'કેગ'ના રિપોર્ટમાં કેન્દ્ર સરકારની કૌશલ્ય યોજનામાં કૌભાંડના અહેવાલો આવ્યા છે, તેથી કેન્દ્રીય યોજનાઓમાં કચાશના કારણે કૌભાંડોની ભરમાર હોવાની ચર્ચા આજે ટોક ઓફ ધ નેશન બની રહી છે.
યુવાવર્ગને રોજગારીની વિપુલ તકો મળશે, તેવા દાવા સાથે વર્ષ-૨૦૧૫માં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરાઈ હતી, જેને ટૂંકમાં પી.એમ.કે.યુ.વાય. તરીકે ઓળખવામાં આવે છે. યુવાવર્ગને ઉદ્યોગ અને વ્યવસાય સંબંધિત ટૂંકાગાળાની તથા લાંબાગાળાની તાલીમ પૂરી પાડીને તેઓને સન્માનજનક રોજગારી પ્રાપ્ત થાય, તેવા હેતુથી શરૂ થયેલી આ યોજના હેઠળ નિઃશુલ્ક શિક્ષણ-પ્રશિક્ષણ-તાલીમ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારો આપવામાં આવે છે. આ યોજનામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનો યુવાવર્ગ, મહિલાવર્ગ અને એસ.સી., એસ.ટી., ઓબીસી વર્ગોને વિશેષ લક્ષ્યમાં રાખીને ત્રણ વર્ષના અકસ્માત વિમા ઉપરાંત સ્કીલ લોનની જોગવાઈઓ પણ કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી આ યોજનાનો વર્ષ ૨૦૨૨ સુધીમાં ૪૦ કરોડથી વધુ યુવાવર્ગે લાભ લીધો હોવાના અહેવાલો હતા અને ટેલિકોમ કંપનીઓ, ખાનગી કંપનીઓ તથા કેટલાક જાહેર સાહસોમાં યુવાવર્ગને નોકરી મળી હોવાના તથા આ તાલીમ મેળવ્યા પછી કેટલાક યુવાનોએ સ્ટાર્ટ-અપમાં ઝંપલાવ્યું હોવાના દૃષ્ટાંતો સાથે ઘણાં લાભાર્થીઓએ પોતીકો વ્યવસાય શરૂ કરીને રોજગારી મેળવ્યા ઉપરાંત આર્થિક પ્રગતિ કરી હોવાના સાફલ્યગાથાઓ પણ ગજવવામાં આવી રહી હતી, પરંતુ 'કેગ'ના રિપોર્ટે આ દાવાઓની પોલ ખોલી નાખી છે અને તેમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
લોકસભામાં રજૂ થયેલા 'કેગ'ના રિપોર્ટની વિસ્તૃત વિગતો જેમ જેમ બહાર આવતી જાય છે, તેમ તેમ કેટલીક કેન્દ્રીય યોજનાઓમાં રહેલી "કચાશ"ના કારણે ચાલી રહેલા કૌભાંડોનો પર્દાફાશ થતો જાય છે. આ જ પ્રકારના કેગના એક રિપોર્ટમાં પી.એમ. કૌશલ વિકાસ યોજનાના કૌભાંડનો ઘટસ્ફોટ પણ થયો છે.
પીએમકેવીવાય યોજના તરીકે ઓળખાતી આ યોજનાના કેગના રિપોર્ટ મુજબ સંખ્યાબંધ લાભાર્થીઓની મુળભૂત વિગતો જ બોગસ નીકળી છે. અને બેંકખાતા, ઈ-મેઈલ આઈડી, મોબાઈલ નંબર સહિતની મહત્ત્વપૂર્ણ વિગતો જ કાં તો અધુરી બતાવાઈ છે, અથવા તો તદ્દન ખોટી બતાવાઈ છે.
કન્ટ્રોલર એન્ડ એડિટર જનરલ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ અનેક લાભાર્થીઓ માટે એક જ તસ્વીર, કે એડ્રેસ અપાયા છે. ઘણાં ટ્રેનિંગ સેન્ટરો પર તાળા લટકતા હોવા છતાં તેના પ્રોગ્રેસ રિપોર્ટ બતાવાયા છે. વાસ્તવમાં ચાલતા હોય તેવા કેન્દ્રોના ૩૪ લાખથી વધુ ઉમેદવારોને પેમેન્ટ જ મળ્યું નથી. ગયા વર્ષના રિપોર્ટ મુજબ ૯૫ લાખમાંથી ૬૧લાખ જેટલા પ્રમાણિત ઉમેદવારોને જ યોજનાકીય સહાય મળી છે. ઘણાં લાભાર્થીઓના બેંક એકાઉન્ટ તો છે, પરંતુ નંબર ખોટા છે.
વર્ષ ૨૦૧૫-૧૬માં આ યોજના માટે પ્રથમ તબક્કામાં ૧૫૦૦ કરોડનું બજેટ ફાળવાયુ હતું. અને ૨૪લાખના લક્ષ્યાંક સામે લગભગ ૨૦લાખ યુવાનોને આ તાલીમ અપાઈ હતી.
બીજા તબક્કામાં કેન્દ્ર અને રાજ્યકક્ષાએ લાગુ કરાયેલી આ યોજના હેઠળ ૧૨હજાર કરોડનું બજેટ ફાળવાયુ હતું, જેમાં ૨૫ટકા હિસ્સો રાજ્ય સરકારોનો હતો, અને એક કરોડથી વધુ યુવાવર્ગોને કૌશલ્યવર્ધનની તાલીમ અપાઈ હોવાનો દાવો કરાયો હતો. કોરોનાકાળ પછી વર્ષ ૨૦૨૧-૨૨માં ત્રીજા તબક્કામાં ૯૪૯ કરોડનું બજેટ રખાયુ હતું.
કેગના રિપોર્ટ મુજબ સ્કિલ ઈન્ડિયા પોર્ટલ પર નોંધાયેલા બેંક એકાઉન્ટ્સના નામોના કોલમમાં 'નલ' કે 'ઝીરો' લખાયું હોય કે તે ખાના ખાલી જ રખાયા હોય તો તેમાં ગરબડની આશંકા જાગે છે. કેટલાક બેંક ખાતાના નંબરો એકથી વધુ લાભાર્થીઓ માટે નોંધાયા હતા. તો કેટલાક નંબરો તો માત્ર સિમ્બોલિક હોય તેમ બધા એકડા અથવા એકથી નવ સુધીના આંકડા લખીને કોલમ ભરી દેવાયા હતા.
કેગના રિપોર્ટ મુજબ વધુ ગરબડ જોવા મળી હોય તેવા રાજયોમાં ઉત્તરપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર મોખરે છે. ઘણાં સેન્ટરો યોગ્યતા નહીં ધરાવતા હોવા છતાં તેને કાગળ પર "શ્રેષ્ઠ"નો દરજ્જો આપી દેવાયો હતો. સૌથી વધુ આશ્ચર્યજનક તથ્ય તો એ બહાર આવ્યું છે કે એક જ અધિકારી એક જ દિવસે આ યોજના સંદર્ભે આંધ્રપ્રદેશ, બિહાર અને ગુજરાતના અનેક કેન્દ્રોની સ્વયં મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હોવાનો રેકર્ડ પર દર્શાવાયુ હતું.
રિપોર્ટનો સંદર્ભ આપીને આવી રહેલા અહેવાલો મુજબ રેકર્ડ પર દર્શાવેલા ૩૬ટકાથી વધુ ઈ-મેઈલ આઈડી જ બોગસ નીકળ્યા હતા. ઈ-મેઈલ પર પત્ર વ્યવહાર કરતા માત્ર ચાર ટકા લાભાર્થીઓએ જ પ્રતિક્રિયા આપી હતી. અહેવાલ મુજબ હવે સુધારાત્મક પગલાં લેવાયા છે અને કે.વાય.સી., ક્યૂ આર કોડ, અને ડિજિટલ પ્રમાણપત્ર જેવી "સિસ્ટમ" લાગુ કરાયા પછી "બોગસ" ખાતાઓ બંધ થયા છે અને ખોટા લાભાર્થીઓ બતાવીને કૌભાંડો કરનાર સંસ્થાઓ અને સેન્ટરોના સંચાલકો પાસેથી વસુલાત સહિતની કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જો કે, "અબ પછતાને સે ક્યા ફાયદા, જબ ચિડિયા ચુભ ગઈ ખેત..."ની કહેવત મુજબ આ બધી ઢાંક પીછોડો કરવાની કવાયત હોય તેમ જણાય છે.
પી.એમ. જેવા શબ્દો સાથે જોડીને શરૂ કરાયેલી અન્ય કેટલીક કેન્દ્રીય યોજનાઓમાં પણ વ્યાપક કચાશ રહેલી છે અને કૌભાંડો બહાર આવી રહ્યા છે, ત્યારે "કેગ"ના આ રિપોર્ટને "દર્પણ" ગણીને સરકારે હવે અરીસો નહીં પણ સ્વયં આત્મમંથન તથા ઊંડી તપાસ કરીને મળતીયાઓના હિતોને એકબાજુ રાખીને પારદર્શક સિસ્ટમો અમલી બનાવવી જોઈએ તેવો જનમત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા બે અઠવાડિયાથી દેશમાં અરવલ્લીની પહાડીઓના મુદ્દાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી હતી અને સડકથી સુપ્રિમ સુધી અને દિલ્હીથી ગુજરાત સુધી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. રાજસ્થાનથી શરૂ થયેલું જન-આંદોલન દેશની રાજધાની સુધી પ્રસરી જાય, તેવા સંકેતો મળી રહ્યા હતા, અને આપણે ગઈકાલે આ મુદ્દે નોબતના છેલ્લા પાને વિશેષ અહેવાલમાં પણ જનતાની અવાજને વાચા આપીને આ મહત્ત્વપૂર્ણ વિષયનું હાર્દ સમજાવ્યુ હતું.
અરવલ્લીના આ મુદ્દે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હોવાનું જણાવી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સરકારના બચાવમાં ઉતરી આવ્યા હતા, અને સમગ્ર મુદ્દો જ બેબુનિયાદ હોવા તથા બિનજરૂરી રીતે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો હોવાના નિવેદનો પણ આવવા લાગ્યા હતા. આ મુદ્દો સુપ્રિમકોર્ટના એક કથિત ચૂકાદા પછી પ્રકાશમાં આવ્યો હતો, અને આ મુદ્દે વિવાદ વધ્યા પછી કોંગ્રેસે પણ આ વિવાદમાં કૂદાવ્યું હતું., અને મોદી સરકારને અણીયાળા સવાલો કર્યા હતા. કેન્દ્રીયમંત્રી ભૂપેન્દ્ર યાદવના ખુલાસાઓને જ ટાંકીને કોંગ્રેસે કહ્યું હતું કે સાચી હકીકત અલગ જ છે, અને સરકાર કાંઈક અલગ જ વાત કરી રહી છે.
હકીકતે ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લીની પહાડીઓને વર્ષ ૨૦૦૨થી જે વ્યાખ્યા હેઠળ સંરક્ષણ પ્રાપ્ત હતું, તે વ્યાખ્યા અંગે સુપ્રિમકોર્ટની સૂચનાથી રચાયેલી સમિતિના રિપોર્ટના આધારે રાજસ્થાનની જેમ અરવલ્લીની ૧૦૦ મીટરથી ઊંચી પહાડીઓને પહાડ ગણીને તેથી ઓછી ઊંચાઈની પાહડીઓના ખનનને છૂટ મળી શકે તેમ હતી. આ અંગે સુપ્રિમકોર્ટે ૨૦મી નવેમ્બર-૨૦૨૫ના આપેલા ચૂકાદા મુજબ નવી લીઝ પર હંગામી સ્ટે આવી ગયો હતો, અને તે પછી કાનૂની કાર્યવાહીની સાથે સાથે ન્યુઝ ચેનલો તથા અખબારોમાં આ મુદ્દો વધુને વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. આ વિવાદમાં ગુજરાતથી દિલ્હી સુધીના રાજ્યો, પર્યાવરણ પ્રેમીઓ, રાજયો અને કેન્દ્ર સરકારોના વન અને પર્યાવરણ વિભાગો તથા એનજીઓઝ સામેલ છે અને સડકથી સંસદ તથા સુપ્રિમકોર્ટ સુધી આ મુદ્દો પડઘાયા પછી હવે આ વિવાદનો સુખદ અંત આવી જશેે તેમ જણાય છે.
આ મુદ્દે જ્યારે વિવાદ ઘણો જ વકર્યો હતો, ત્યારે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સામે આવ્યા અને જણાવ્યું કે હકીકતે સુપ્રિમકોર્ટે ગ્રીન અરવલ્લી પ્રોજેકટને મંજુરી આપી છે, એન વૈજ્ઞાનિકોને અરવલ્લીનો સંપૂર્ણ નકશો એન સુરક્ષા પ્લાન તૈયાર કરવાની સૂચના આપી છે. જ્યાં સુધી વૈજ્ઞાનિકોનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ખનન શરૂ થઈ શકે જ નહીં. તેમણે કહ્યું કે અરવલ્લીની પહાડીઓનો ૯૦ ટકા હિસ્સો તદૃન સુરક્ષીત છે, અને માત્ર ૦.૧૯ ટકા વિસ્તાર જ પ્રભાવિત થઈ શકે છે. તેની સામે કોંગ્રેસે કહ્યું હતું કે એ હિસ્સો પણ હજારો કિલોમીટરનો થશે. ખનનના કારણે પહાડો ગાયબ થતા રહેશે તથા પર્યાવરણનું નિકંદન નીકળતુ રહેશે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ હતી, અને તે પછી રાજસ્થાનથી ઉઠેલો આંદોલનનો સૂર ગુજરાતથી દિલ્હી સુધી પડઘાયો હતો.
આ ચળવળ શરૂ થયા પછી ડબલ એન્જિનની સરકારો ભીંસમાં મુકાઈ ગઈ હતી, કારણ કે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર છે, જ્યારે રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે, એટલું જ નહીં, અત્યારે તો હરિયાણા અને દિલ્હીમાં પણ ભાજપની જ સરકારો છે અને હવાઈ પ્રદુષણના કારણે રાજધાની દિલ્હીની ઘેરી બનેલી સમસ્યાના કારણે ત્યાંની સરકાર બેકફૂટ પર છે. કેન્દ્ર સરકાર અને દિલ્હીની રાજ્ય સરકાર તથા એમસીડીના સંકલિત ક્ષેત્રોમાં ફેલાયેલી પ્રદુષણની સમસ્યા વચ્ચે અરવલ્લીનો વિવાદ વકરીને જનાક્રોશમાં બદલવા લાગતા મોદી સરકાર પાસે પરોઠના પગલા ભરવા સિવાય કોઈ બીજો વિકલ્પ પણ રહ્યો નહોતો.
અંતે...કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી સંપૂર્ણ અરવલ્લી પર્વતમાળાનું અવૈદ્ય ખનન અટકાવવા તથા તેના સંરક્ષણના નિર્દેશો આપવા પડ્યા છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે સંબંધિત તમામ રાજય સરકારો દ્વારા અરવલ્લીની પર્વતમાળાના વિસ્તારોમાં માઈનીંગ (ખનન) માટે લીઝ પર આપવા સામે પણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી પર્વતમાળા માટે રહેશે, આ પ્રતિબંધનો ઉદૃેશ્ય ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળાની અખંડિતતા તથા પર્યાવરણનું રક્ષણ કરવાનો બતાવાયો છે. આ ઉપરાંત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશનને પણ અરવલ્લી પહાડીઓ સંબંધિત કેટલીક સંશોધનાત્મક તથા પ્રક્રિયાત્મક જવાબદારીઓ સોંપી છે. ખેર, દેર આયે દૂરસ્ત આયે...
જો કે, પહેલેથી અપાયેલી લીઝની મુદ્દત પૂરી થતા સુધી ખનન ચાલુ રહેશે, પરંતુ હવે લોલંલોલ નહીં ચાલે અને કડક નિયમોનું પાલન કરવું પડશે, તથા સુપ્રિમકોર્ટે ફરમાવેલા નિયમોનું પાલન કરવું પડશે, તેવું જાહેર થયું છે.
અરવલ્લી પર્વતમાળાના આ પ્રકરણ પછી આખા દેશનું ધ્યાન દેશભરમાં આવેલા નાના-મોટા પર્વતો-પહાડીઓમાં કે તેની આજુબાજુ ચાલતા ખનન તરફ ખેંચાયુ છે અને મોટા ભાગે ગેરકાયદે ધમધમતા ખનીજ-ખોદકામો સામે હવે જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપરાંત રાજકીય પક્ષો તથા તદ્વિષયક ક્ષેત્રિય એનજીઓઝ પણ અવાજ ઉઠાવશે, તેમ જણાય છે.સંકેતો એવા મળી રહ્યા છે કે દેશભરમાં ચોતરફ ચાલી રહેલા માઈનીંગ અને ખનીજોની હેરાફેરી પર હવે સૌ કોઈની બાજ નજર રહેવાની છે, અને લોકો પોતપોતાના વિસ્તારોમાં પહાડી ક્ષેત્રો કે વન વિસ્તારોમાં અવૈદ્ય ખનન થતું હશે, તો તેના વીડિયો-ફોટો ઉતારીને તંત્રોને રજૂઆતો કરશે અને આ પ્રકારના પૂરાવા સોશ્યલ મીડિયા અને મીડિયાના માધ્યમથી વાયરલ થશે, ત્યારે "મિલીભગત"થી ચાલતા ગેરકાયદે ખનનનો પર્દાફાશ થશે. આવું થશે તો અરવલ્લી પહાડીઓના પ્રકરણના ટ્રેલર પછી આખા દેશમાં ધમધમતી આ ગેરકાયદે પ્રવૃત્તિઓની સંપૂર્ણ ફિલ્મ બહાર આવશે. આ પર્દાફાશ થયા પછી તે પણ સડકોથી સંસદ અને સુપ્રિમ સુધી પડઘાઈ શકે છે. તેથી આ પ્રકારના ખનન જે ગેરકાયદે ચાલતા હોય, તો તેની સામે તંત્રોએ તથા નેતાઓએ પણ જાગૃત થઈ જવું પડે તેમ છે. આપણા હાલારમાં બરડો, કોયલો, ગોપ વગેરે ડુંગરો તથા નાની-મોટી પહાડીઓ પણ સુરક્ષિત રહે અને સંલગ્ન વનવિસ્તારોમાં ગેરકાનૂની ખનન કે વૃક્ષ છેદન ન થાય, તે માટે હવે સ્થાનિક તંત્રો અને નેતાગણ વિશેષ લક્ષ્ય આપશે, તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશભરમાં અત્યારે નાતાલના તહેવારોની ધૂમધામ જોવા મળી રહી છે અને નાતાલના મિનિ વેકેશનમાં ઘણાં લોકો હરવા-ફરવા નીકળવાના છે. ટૂર પેકેજો જાહેર થઈ ગયા છે અને એકાદ-બે દિવસથી લઈને આઠ-દસ દિવસ સુધી પ્રવાસ-પર્યટનના પ્લાનીંગ ઘડાઈ રહ્યા છે. ઘણાં ધાર્મિક પ્રસંગો પણ આ સમયગાળા દરમ્યાન જ યોજાનાર હોવાથી રિલિજિયસ ટુરિઝમ, ઈકો-ટુરિઝમ અને સ્ટડી ટુરિઝમનો નવો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે.
ગુજરાતમાં હજુ કડકડતી ઠંડીનો પ્રકોપ શરૂ થયો નથી અને શિયાળાની પ્રારંભિક ઠંડીના ખુશનુમા અને આહ્લાદક વાતાવરણમાં પ્રવાસને અનુકૂળ શિડ્યુલ સરળતાથી નક્કી થઈ રહ્યું છે, જે ગુજરાતીઓએ આપણાં ગરવા ગુજરાતના જ જોવા, જાણવા અને માણવાલાયક પ્રવાસન સ્થળોની હજુ સુધી મુલાકાત લીધી નહોતી, તેવા હમવતનીઓએ હવે ગુજરાતમાં જ પ્રવાસ કરવાની શરૂઆત કરી હોય, તેમ દક્ષિણ-ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકો દ્વારકા-બેટ દ્વારકાથી સોમનાથ, ઊના-તુલસીશ્યામ, મૂળ દ્વારકા, દીવ, ભાવનગર, ગિફટ સિટી, અમદાવાદ, જામનગર, વીરપુર, સાવરકુંડલા, કચ્છમાં ધોળાવીરા, સફેદ રણ, સહિતના હરવા-ફરવાના સ્થળો સાથે યાત્રાધામોને સાંકળીને પ્રવાસે નીકળી રહ્યા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, નર્મદા તટે આવેલા પાવનધામો, ચાંપાનેર, અંબાજી, શામળાજી, શ્રીનાથજી, અમદાવાદ અને કચ્છના પ્રવાસન સ્થળોને સાંકળીને ટુર પ્રોગ્રામ બનાવી રહ્યા છે. ટિકિટો, હોટલો અને વાહનો બુક થઈ ગયા છે, અને બસ હવે બે-ત્રણ દિવસમાં પ્રવાસનો આનંદ માણવા નીકળી પડવાની રાહ જોવાઈ રહી છે.
નાતાલનું મિનિ વેકેશન પૂરૃં થતાં જ થર્ટી ફર્સ્ટની ઉજવણી થશે, ઈસ્વીસન મુજબ ૩૧મી ડિસેમ્બરની મધ્યરાત્રિના બારના ટકોરે વર્ષ-૨૦૨૫ પુરૃં થશે અને વર્ષ ૨૦૨૬ના આગમનના વધામણાં થશે. આપણો દેશ સહિયારી સંસ્કૃતિ અને સાર્વજનિક ઉત્સવોનો ચાહક હોવાથી આપણાં દેશમાં પણ નાતાલના વીક-એન્ડમાં થર્ટી ફર્સ્ટની જોરદાર ઉજવણી થવાની છે.
આપણાં દેશમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે અને અનેક ભાષાઓ, બોલઓ, પરંપરાઓ, આસ્થાઓ અને ભિન્ન ભિન્ન જીવનશૈલી હોવા છતાં આપણો દેશ એક તાંતણે બંધાયેલો છે, તેની પાછળ આપણાં દેશની સર્વસમાવેશી મૂળભૂત પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન રહેલું છે અને આ જ ભાવનાને આપણાં બંધારણે પીઠબળ આપ્યું છે, અને તેથી જ આપણાં બંધારણની વિશ્વનું સૌથી વિસ્તૃત, લિખિત અને શ્રેષ્ઠ બંધારણીય વ્યવસ્થાઓ ધરાવે છે.
આ શ્રેષ્ઠ અને સર્વ-સમાવેશી સંવિધાનના સંદર્ભે દેશના સર્વોચ્ચ ન્યાયાધિશ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ એક કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન કહ્યું છે કે આપણાં દેશનું સંવિધાન એ માત્ર પથ્થર પર કોતરેલા સ્મારક જેવું નથી, પરંતુ એક બ્લ્યુ પ્રિન્ટ છે, જેનું સર્વોચ્ચ અદાલત અર્થઘટન કરે છે, સંસ્થાઓ તેને સ્ટ્રક્ચર (માળખુ) આપે છે, અને તેને અનુસરવામાં આવે છે, વગેરે...
સીજેઆઈ સુર્યકાંતે વકીલોને ઉદ્બોધન કરતા "કેસ મેકર" અને "નેશન એક્ટ"નો તફાવત સમજાવ્યો હતો, અને એક એવો વિષય આપ્યો છે, જેના પર દેશવ્યાપી ચર્ચાઓ શરૂ થઈ છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂરી થતાં જ જાન્યુઆરી મહિનો બેસી જશે અને આપણાં દેશને પ્રજાસત્તાક જાહેર કરાયો, તે ૨૬મી જાન્યુઆરીના રિપબ્લિક ડેની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ જશે. આ દિવસે વર્ષ ૧૯૫૦માં ભારતમાં લિખિત બંધારણનો અમલ શરૂ થયો હતો અને આટલું વિસ્તૃત બંધારણ ઘડાયુ, તેનું કારણ એ પણ છે કે આઝાદીકાળના તથા સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય ભાગ લેનારા આપણાં દેશના રાષ્ટ્રીય નેતાઓમાં પ્રથમ હરોળમાં જ ઘણાં વકીલો (ધારાશાસ્ત્રીઓ) હતા. ડ્રાફટ કમિટીના અધ્યક્ષ ડો. બાબા સાહેબ આંબેડકર તો વિદ્વાન વકીલ હતા જ, પરંતુ દ.આફ્રિકાથી વકીલાતની શરૂઆત કરનાર મોહનદાસ કરમચંદ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોતીલાલ નહેરૂ, જવાહરલાલ નહેરૂ, બાલગંગાધર તિલક, લાલા લજપતરાય, ચિતરંજનદાસ, આસફ અલી, બિપિનચંદ્ર પાલ, સૈફુદિન, વી.જે. પટેલ, તેજબહાદુર સાપ્રન, ગોપાલ ક્રિષ્ણ ગોખલે, દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, સુરેન્દ્રનાથ બેનર્જી, ડો. રાજેન્દ્ર પ્રસાદ, ગયાપ્રસાદ સિંહ, વ્રજકિશોર પ્રસાદ, રામદયાલુ સિન્હા, પરમેશ્વરલાલ, વિંધ્યાસિની પ્રસાદ, ભૂલાભાઈ દેસાઈ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, એચ.જે.મેહતા, ઝવેરચંદ મેઘાણી, રાજગોપાલાચારી સહિતના સંખ્યાબંધ વકીલોએ સ્વાતંત્ર્ય ચળવળ અને આઝાદીકાળમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આથી એવું પણ કહી શકાય કે આપણું બંધારણ શ્રેષ્ઠ અને સર્વસ્વીકૃત એટલા માટે પણ બન્યુ હતું કે તેમાં આપણી સહિયારી સંસ્કૃતિનો સર્વ સમાવેશી સિદ્ધાંત આપણા દેશના જ ખ્યાતનામ વકીલો અને વડીલોએ દીર્ઘ દૃષ્ટિથી કર્યો હતો.
સીજેઆઈએ પણ દેશના વકીલોને અનુરોધ કર્યો છે કે માત્ર કેસ નિર્માતા નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતા બનો, સંવિધાન માત્ર પથ્થર પર કોતરેલું સ્મારક નથી, પરંતુ એવી બ્લૂ પ્રિન્ટ છે, જે આપણાં દેશ માટે પથદર્શક બને છે. વકીલોનો ઉદૃેશ્ય માત્ર કેસ જીતવા, કલાકોનો ટ્રેક રાખવા અને કાનૂની પ્રક્રિયામાં નિપુણતા જેટલો મર્યાદિત નહીં રહેતા સ્વાતંત્ર્ય ચળવળ અને આઝાદ ભારતના ઘડતર સુધી પોતાનું સર્વસ્વ અર્પણ કરીને યોગદાન આપનારા વકીલોની જેમ રાષ્ટ્ર નિર્માતા બનવાનો હોવો જોઈએ, તે પ્રકારનો સીજેઆઈનો અનુરોધ ઘણો જ સૂચક છે અને પ્રોફેશન કરતા દેશ ઉપર છે, તેવી ટકોર પણ કરે છે.
સીજેઆઈનું આ નિવેદન જે પ્લેટફોર્મ પરથી અને જે સંદર્ભે આવ્યું છે, તે પણ મહત્ત્વપૂર્ણ છે. તેઓએ "ભારત જેવા રાષ્ટ્રમાં વકીલોની ભૂમિકા, તેનો ઈતિહાસ અને વર્તમાન" (પ્રેઝન્ટ) જેવો વિષય તરતો મૂક્યો છે, અને તેના પર કદાચ વિવિધ રાજ્યોની બાર કાઉન્સીલો, દેશની બાર કાઉન્સીલ, હાઈકોર્ટો અને સુપ્રિમકોર્ટોના બાર એસોસિએશનોથી લઈને જિલ્લા-તાલુકા અને શહેરોના બાર એસોસિએશનો સુધીના વિવિધ સ્તરે ચર્ચાઓ થશે, અને આ વિષય દેશના સર્વોચ્ચ ન્યાયાધિશો(સીજેઆઈએ) આપ્યો હોય, તો તેમાં તમામ કક્ષાના જસ્ટિસો-ચીફ જસ્ટિસો અને સરકારના કાયદા વિભાગો પણ જોડાશે, તેવી અપેક્ષા રાખવામાં આવતી હોય, તો તેનો પ્રતિસાદ પણ મળવો જ જોઈએ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે આશ્ચર્ય થાય તેવી કુદરતી ઘટનાઓ બનવા લાગી છે. સાઉદી અરેબિયા કે ખાડીના અરબ દેશોમાં અને રણપ્રદેશોમાં ભારે વરસાદને કારણે પૂર આવે, હિમવર્ષા થાય અને વરસાદના કારણે ક્રિકેટની મેચો અરબ દેશોમાં રમાતી હોય તો ત્યાં અટકાવવી પડે, તેવી ઘટનાઓ કુદરતી આબોહવામાં થઈ રહેલા વ્યાપક ફેરફારો દર્શાવે છે, રણપ્રદેશોમાં, જ્યાં કાયમી પાણીની તંગી રહેતી હોય ત્યાં વરસાદ પડે, તેથી ખુશી થાય, પરંતુ એકંદરે પલટાતા હવામાનની આ સ્થિતિ ચિંતાજનક ગણાય. અને આ "કલાઈમેટ ચેઈન્જ"ને ગ્લોબલ વોર્મિંગ સાથે સાંકળીને વિશ્વભરના હવામાન શાસ્ત્રીઓ ચિંતા પણ વ્યકત કરતા રહેતા હોય છે.
કલાઈમેટ ચેઈન્જનો વિષય કાંઈ નવો નથી. અને ગ્લોબલ વોર્મીંગની ચર્ચાઓ તથ છેલ્લા કેટલાક દાયકાઓથી થતી જ રહી છે, પરંતુ વૈશ્વિક સંકલન, સહમતિ અને સાચા મનથી સહયોગના અભાવે આ સમસ્યાઓ ઘટવાના બદલે વધુ ને વધુ વકરી રહી છે. ઉ.સાઉદી અરેબિયાના તાબુક નામના પ્રદેશમાં બરફવર્ષા થઈ અને હિમાલયના બરફાચ્છાહિત શિખરો જેવા દૃશ્યો ત્યાં જોવા મળ્યા હતા. તાપમાન માયનસમાં ચાલ્યું ગયુ.
બીજી તરફ દ.એશિયાના વધુ વરસાદ ધરાવતા દેશોમાં રેકર્ડબ્રેક ગરમી તથા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય, ત્યારે આ બદલાવથી હવામાન શાસ્ત્રીઓ જ નહીં, પરંતુ મોટા ભાગના દેશોની સરકારોને પણ ચિંતા થાય, તે સ્વાભાવિક છે, પરંતુ દુર્ભાગ્યે ટ્રમ્પ ફેઈમ તઘલખો હવે પેરિસ સમજૂતિથી દૂર ભાગી રહ્યા હોવાથી વિચિત્ર સ્થિતિ સર્જવા લાગી છે.
આ અહેવાલો વચ્ચે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી રિપોર્ટે એવું જાહેર કર્યું છે કે જો ભારતમાં આવી જ સ્થિતિ રહેશે, તો દેશને ૧૦૦ ટકા શુદ્ધ હવા મેળવવામાં ૧૮૮ વર્ષ લાગી જશે, જ્યારે ચીન આ લક્ષ્ય માત્ર ૨૫ વર્ષમાં પ્રાપ્ત કરી લેશે. દુનિયામાં સર્વાધિક પ્રદુષિત શહેરો ધરાવતા આપણા દેશમાં વધી રહેલુ હવાઈ પ્રદુષણ આપણી જ આવતી પેઢીઓની ઘોર ખોદશે. તેવા શબ્દપ્રયોગો પછી પણ આપણે કે આપણી સરકારો આ મુદ્દે જોઈએ તેટલા ગંભીર નથી, પરંતુ હવે "જાગ્યા ત્યારથી સવાર" ની નીતિ અપનાવીને પ્રદુષણો ઘટાડવાના સહિયારા પ્રયાસો કરવા અત્યંત જરૂરી છે. અને તેના સંદર્ભે સર્વપ્રથમ રાજનૈતિક સર્વસંમતિ તથા તે પછી જનચેતના જગાવી પડે તેમ છે. ડબલ્યુસીઆરના રિપોર્ટ મુજબ જો વર્ષ ૨૦૨૩માં દેશમાં માત્ર વાયુપ્રદુષણે જ ૧૭ લાખ જેટલા દેશવાસીઓનો ભોગ લીધો હોય, તો તે ખતરનાક સ્થિતિ જ ગણાય ને ?
હમણાંથી અરવલ્લીના પહાડીઓની સુરક્ષાને લઈને દેશવ્યાપી ચર્ચાઓ ચાલી રહી છે, અને તેમાં ન્યુઝ ચેનલો, અખબારો, સુપ્રિમકોર્ટનો તદ્વિષયક ચુકાદો અને સોશ્યલ મીડિયાથી લઈને કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ આ અંગે કરેલા ચિત્ર-વિચિત્ર નિવેદનોની ટિકા-ટિપ્પણીઓ સાથેના વિશ્લેષણો થઈ રહ્યા છે. સરકાર આ પ્રકારના અહેવાલોને ભ્રમ ગણાવે છે, ત્યારે રાજસ્થાનમાં આ મુદ્દે જનઆંદોલન શરૂ થઈ ગયા છે. આપણે પર્યાવરણનું જતન કરવાની વાતો કરીએ અને વનાચ્છાદિત કુદરતી પહાડીઓનું નિકંદન કાઢવાની તરકીબો અપનાવતા રહીએ તો તે એક પ્રકારનો દંભ જ ગણાય ને ? આપણે ટૂંકા ગાળાના ફાયદા માટે પથ્થરો, ખનિજ કે લાકડુ મેળવવા આ પ્રકારની હરકતો કરીએ છીએ, ત્યારે એ ભૂલી જઈએ છીએ કે આ ટૂંકા ગાળાના ફાયદા પછી આપણે એ લાંબા ગાળાના મોટા નુકસાનને નોતરી રહ્યા છીએ, જે આપણી આવનારી પેઢીનું નિકંદન કાઢી નાખશે, અથવા માયકાંગલી અને લાચાર બનાવી દેશે.
ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લીની પહાડીઓ આપણા દેશની કરોડરજ્જૂ જેવી ભૌગોલિક સ્થિતિ ધરાવે છે અને જો કરોડરજ્જૂ જ નબળી પડી જશે તો આપણો દેશ દુબળો પડી જશે અને વાંકો વળી જશે, એટલું જ નહીં, જ્ઞાનતંતુઓ સમાન આ પહાડીઓના જંગલો, નદી-નાળા, ઝરણાઓ, પ્રાણીસૃષ્ટિ અને કુદરતી સૌંદર્યો પણ નાશ પામશે, જેથી આપણો દેશ અપાહીજ (દિવ્યાંગ) બની જશે, તેનો કોઈ વિચાર "ખોદણીયા" સ્વાર્થી પરિબળો કરતા જ નહીં હોય, પરંતુ જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ તો જાગૃત રહેવું જ જોઈએ ને ? જો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ લે ભાગુ "ખોદણીયા" લોકોની જાળમાં ફસાઈ જશે, તો જનતાની પડખે કોણ ઊભું રહેશે, અને ખાસ કરીનેે આપણા કુદરતી રીતે સમૃદ્ધ દેશની હાલત શું થશે ? તે કોઈએ વિચાર્યું છે ખરૂ ?
ગુજરાતમાં પણ આ વર્ષે લાંબા ચોમાસા પછી માવઠાઓ થતા રહ્યા અને તેના કારણે ખેતીવાડી બરબાદ થતી રહી. રાજ્ય સરકારે મોટું મન રાખીને માવઠાથી થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કર્યું હોવાનો દાવો કર્યો અને કેટલીક સહાયની રકમ ડીબીટી ની સિસ્ટમ મુજબ ખેડૂતોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી, પરંતુ ખેડૂતોનું દેવુ બાકી હોવાના બહાને કેટલીક બેંકોએ આ સરકારી લાભોની રકમ ખેડૂતોને મળતી અટકાવી, ત્યારે કેટલાક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ રજૂઆત કરતા સરકારી તંત્રી લીડબેેંક મારફત તમામ બેંકોને આદેશ કર્યો કે સરકારી સહાયની આ રકમ બેંકો અટકાવી જ નહીં શકે. અને ચૂકવણુ કરી દેવું પડશે, હવે, તંત્રે આપેલી આ સૂચનાનો "યશ" લેવાની હોડ લાગી હોય, તેમ જણાય છે.ં
હજુ પણ આપણા રાજ્યમાં શિયાળાની અનુભૂતિ થઈ રહી નહીં હોવાથી તેના કારણોની છણાવટ થઈ રહી છે અને તેમાં "અર્બન હિટ આઈલેન્ડ" ની સ્થિતિને જવાબદાર ગણાવાઈ રહી છે, ત્યારે આપણે પ્રદુષણ અને પર્યાવરણના મુદ્દે વધુ જાગૃત બનીને સિમેન્ટના જંગલો તથા વિકાસના માચડાઓના કારણે ઉત્પન્ન થતી વધારે પડતી ગરમીને કાઉન્ટર કરવાના ઉપાયો પણ કરવા જ પડે તેમ છે. આ સ્થિતિ ગામડાઓના ભોગે થઈ રહેલા અનિચ્છનિય શહેરી વિકાસમાંથી ઊભી થતી સમસ્યાઓ તરફ અંગૂલી નિર્દેશ કરે છે. આપણે પ્રામાણિકતા પણ દેખાડવી પડે તેમ છે, કારણ કે, જ્યારે માર્કેટીંગ યાર્ડોમાં મબલખ જણસોની હરાજીના અહેવાલ આવે, ત્યારે ઘણા લોકો (કદાચ કટાક્ષમાં) એવું કહેતા પણ સંભળાતા હોય છે કે મહત્તમ ખેતીપાક બરબાદ થઈ જવા છતાં રેકોર્ડ તૂટતા હોય તો તે "મહેરબાની" જ કહેવાય ને ?
એવા અહેવાલો પણ આવ્યા છે કે ખાતરની તંગી, દેવાના ડુંગર, રવિપાકની સમસ્યાઓ વગેરે મુદ્દે આગામી બારમી જાન્યુઆરીના દિવસે કિસાનસંઘ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જબરદસ્ત આંદોલન કરશે અને તેમાં રાજ્યમાંથી હજારો ખેડૂતો એકઠા થશે. કિસાનસંઘ ખેડૂતોની દુઃખદાયી સ્થિતિ વર્ણવે છે, જ્યારે રાજ્ય સરકાર કૃષિ સહાય પેકેજના કારણે ખેડૂતો ખુશ હોવાનો દાવો કરી રહી છે, ત્યારે કેટલાક ચતુર વિશ્લેષકો એવું તારણ કાઢે છે કે ખેડૂતોના મુદ્દે "ચીત્ત ભી મેરી પટ ભી મેરી..." ની રણનીતિ અપનાવાઈ રહી છે, અને વિપક્ષો નિવેદનો કરતા રહે છે, જ્યારે શાસક પક્ષ "એક પાત્રિય અભિનય"માં માહિર છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સંસદનું શિયાળુ સત્ર સંપન્ન થઈ ગયું અને મનરેગાનું સ્થાન "વીબી-જી રામ જી" નામના નવા અધિનિયમે લીધુ છે અંડર-૧૯ એશિયાકપની ફાયનલ મેચ રમાઈ ગઈ છે, અને તેમાં પાકિસ્તાનની ટીમ સામે ભારતીય ટીમ હારી ગઈ છે અને દશેરાના દિવસે જ ઘોડુ દોડે નહીં, તેમ વૈભવ સૂર્યવંશી ફાયનલમાં જ ફેઈલ ગયો છે. આ બધી હેડલાઈન વચ્ચે આજે સર્વાધિક ચર્ચા મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આવેલા પરિણામોની થઈ રહી છે. પંજાબમાં જેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના સુપડાં સાફ થઈ ગયા હતા, તેના કરતા પણ ભૂંડી રીતે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરાજય થતા સુપડા સાફ થઈ ગયા છે. અને મહાયુતિને પ્રચંડ જનાદેશ સાંપડયો છે.
જો કે, મનરેગાને હટાવીને લાગુ કરાયેલા વીબી જી-રામ-જી અધિનિયમમાં વધુ રોજગાર ગેરંટી હોવાનો દાવો સત્તાધારી પક્ષો કરી રહ્યા છે, જ્યારે વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ મોદી સરકાર પર ટીકાની ઝડી વરસાવી રહ્યા છે, ત્યારે સાચુ કોણ અને ખોટું કોણ, તેનો નિર્ણય હવે દેશની જનતાએ જ કરવો પડે તેમ છે. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવુ એ ગાંધીજીની હત્યા કરવામાં આવ્યા જેવું જ છે. ગાંધી અને નહેરૂને રેકર્ડમાંથી ભૂંસી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. તે પહેલા સોનિયા ગાંધીએ પણ કહ્યું હતું કે સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવ્યું છે. હવે કોને, ક્યાં, કેટલો રોજગાર મળશે, તે દિલ્હીમાં બેઠા બેઠા મોદી સરકાર નક્કી કરશે. નવા બિલમાં વર્ષે ૧૨૫ દિવસના રોજગારની ગેરંટી સહિતના અનેક પ્રશ્નો સામાન્ય જનતામાં પણ ઉઠી રહ્યા છે, જેના જવાબો મળવાના બાકી છે.
રાજનીતિ હોય કે રમતનું મેદાન હોય, હાર-જીત તો ચાલ્યા જ કરવાની છે, પરંતુ મહત્ત્વનું એ છે કે આ બંને ક્ષેત્રે ખેલદિલીની ભાવના હોય, રાજનીતિના ખેલ અટપટા હોય છે, તેવી જ રીતે ખેલજગતનું રાજકારણ પણ કાંઈક અલગ જ હોય છે. અંડર-૧૯ની ટી-૨૦ ટૂર્નામેન્ટ રમાઈ ગઈ અને તેની ફાયનલમાં ભારતીય ટીમ હારી ગઈ, તો બીજી તરફ ટી-૨૦ના વર્લ્ડકપ માટે ભારતીય ટીમની કરાયેલી પસંદગી પણ ચર્ચાઓના કેન્દ્રમાં છે, તથા અનેક ટીકા-ટિપ્પણીઓ થઈ રહી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામો પછી હવે ટૂંક સમયમાં આવી રહેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોવાથી તેના સંદર્ભે પણ અલગથી ચોકઠાં ગોઠવાઈ રહ્યા છે.
મહાષ્ટ્રમાં મ્યુનિસિપલ કાઉન્સિલો અને પંચાયતો માટે શનિવારે મતદાન થયું હતું, જેમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ અને ઉદ્ધવ ઠાકરે-કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીના ગઠબંધન મહાવિકાસ અઘાડી વચ્ચે ફાઈટ હતી. મહાયુતિમાં શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર) પણ સામેલ હતા. પરિણામો આવ્યા પછી એ પણ પૂરવાર થયું કે શિંદે અને અજીત પવારના પક્ષોને અસલ મૂળ પ્રાદેશિક પક્ષોની માન્યતાને જનતાની મ્હોર પણ લાગી ગઈ છે.
મીડિયા અહેવાલો મુજબ મહારાષ્ટ્રમાં મ્યુનિ. કાઉન્સિલો-પંચાયતોની ચૂંટણીમાં આવેલા પરિણામોના આંકડાઓ જોતા ભાજપનું વર્ચસ્વ વધ્યું છે, તો શિંદેની શિવસેના પણ મજબૂત બની ગઈ છે. અજીત પવારની એનસીપીએ પણ પોતાનો જનાધાર પૂરવાર કર્યો છે.
બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સૌથી વધુ બેેઠકો કોંગ્રેસને મળી છે., જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના તથા શરદ પવારની એનસીપી તો સીંગલ ડિજિટમાં જ સંકોચાઈ ગઈ છે. અરૂણાચલ પ્રદેશમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપને વધુ બેઠકો મળી છે.
આ પરિણામો જોતા એક મોટા રાજ્ય જેવડું બજેટ અને દેશની આર્થિક રાજધાની સમા મુંબઈને સમાવતા બૃહદ મુંબઈ મ્યુનિ. કોર્પોરેશન (બીએમસી) ની આવી રહેલી ચૂંટણીઓમાં તમામ રાજકીય સમીકરણો બદલાઈ જશે તે નક્કી છે. આ પરિણામો પછી શિવસેના (યુબીટી) ના નેતા સંજય રાઉતે આ ચૂંટણીમાં નાણાની કોથળીઓ ખુલ્લી મુકાઈ હતી, તેવા આક્ષેપો કર્યા, તો ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર પ્રહારો કર્યા. જો કે, કોંગ્રેસ હવે "એકલા ચલો રે" ની નીતિ અપનાવી રહી હોવાથી "અઘાડી" નું અસ્તિત્વ જ હવે જોખમમાં મુકાઈ ગયું છે.
અરૂણાચલ પ્રદેશ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જોતા એવો નિષ્કર્ષ પણ કાઢી શકાય કે, સામાન્ય રીતે રાજ્યમાં જેનું શાસન હોય, તે પક્ષ કે ગઠબંધનનો હાથ ઊંચો રહેતો હોય છે, પરંતુ દરેક વખતે તેવું થતુ હોતુ નથી. ભૂતકાળમાં ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં પાટીદાર આંદોલનની અસર હેઠળ પંચાયત-પાલિકાઓમાં ભાજપને જબરદસ્ત પછડાટ પડી જ હતી ને ?
જો કે, અત્યારે ભાજપ યુગ હોય તેમ મોટાભાગના રાજયોમાં ભાજપ કે ભાજપના સમર્થનવાળી સરકારો છે, જયારે અડધા ડઝનથી વધુ કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્ર સરકારના શાસન હેઠળ આવે છે. દિલ્હીમાં પણ ભાજપની ત્રિપલ એન્જિનની સરકાર છે, પરંતુ પ્રદુષણના મુદ્દે ત્રણેય એન્જિનો ફેઈલ ગયા હોવાના કટાક્ષો થઈ રહ્યા છે...ભાજપની મતપેટીઓ (ઈવીએમ) જ છલકાઈ રહ્યા છે, તેવું નથી, ભારતીય જનતા પક્ષની તિજોરીમાં પણ સખાવતોની સરવાણી વહેતી થતા છલકાવા લાગી હોવાના અહેવાલો છે. મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણીપંચમાં રજીસ્ટર્ડ ૧૯ ટ્રસ્ટોમાંથી ૧૩ ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને કેટલું દાન આપ્યું છે તેની વિગતો ચૂંટણીપંચને આપી હતી. તે મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં આગળના વર્ષ કરતા ૨૦૦ ટકાથી વધુ દાન રાજકીય પક્ષોને મળ્યું છે, અને તેમાં પણ સર્વાધિક સખાવત ભાજપને મળી છે. કોઈપણ રીતે ભાજપનો પરચમ લહેરાઈ રહ્યો હોય, ત્યારે હવે ભાજપની જવાબદારી પણ વધી જાય છે. અને પ્રજાની અપેક્ષાઓ સંતોષાય નહીં, તો ગમે ત્યારે ગાદીએથી ઉતારી પણ શકે છે, તે કેજરીવાલના કિસ્સામાંથી ફલિત થાય છે... અત્યારે તો જો જીતા વોહી સિકંદર...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત ગુજરાતના ઘણાં મતદારો એસઆઈઆર કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા પછી જાહેર કરાયેલી ચૂંટણીપંચની ડ્રાફટ મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં, અને પોતાના પરિવારજનો પૈકી પણ કોઈનું નામ ઉડી ગયું નથી ને ? તે જોવા ચૂંટણીપંચની સંબંધિત વેબસાઈટો અને એપ્સ ખંગાળી રહ્યા છે, અને તેથી વેબસાઈટ પર લોડ વધી ગયો હોવાથી થોડા સમય પછી પ્રયાસ કરવાની ઈન્સ્ટ્રકશન આવી રહી હોવાની તથા ડ્રાફટ યાદીઓની પીડીએફ ફાઈલો સરળતાથી ડાઉનલોડ થઈ નહીં રહી હોવાની તથા તદ્વિષયક ઓનલાઈન પ્રક્રિયામાં સામાન્ય મતદારોને મુશ્કેલી પડી રહી હોવાની રાવ પણ ઉઠી રહી હતી, અને તેના સંબંધે મતદારો પરસ્પર કે આ કામગીરીના જાણકારોને ફોન કરીને માર્ગદર્શન માંગી રહેલા પણ જોવા મળ્યા હતા. આ પ્રકારની તાલાવેલી મતદારોમાં આવેલી જાગૃતિ પણ દર્શાવે છે.
આ સ્થિતિ ઊભી થવાનું કારણ એે છે કે ગઈકાલે જામનગર જિલ્લાના ચૂંટણીતંત્ર સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓના તંત્રોએ એસઆઈઆરનો પ્રથમ તબક્કો સંપન્ન કરીને સુધારેલી મતદાર યાદીઓની ડ્રાફટ યાદી (પ્રાથમિક મતદાર યાદી) ઓનલાઈન વેબસાઈટ પર મૂકી દીધી હોવાનું જાહેર કર્યું હતું અને મતદારો તેનું નિરીક્ષણ કરીને જો પોતાનું નામ મતદાર યાદીમાં ન હોય, તો નિયત કરેલા ફોર્મમાં આધાર-પુરાવા સાથે ઈઆરઓ સમક્ષ દાવો રજૂ કરવાનો રહેશે, તેમ જણાવાયુ હતું, અને આ પ્રક્રિયા માટે એક મહિનાનો સમય મળશે, તેવું જણાવી ચૂંટણીપંચના વેબ એડ્રેસ તથા સંબંધિત એપ્સ વગેરેની માહિતી પણ જાહેર કરાઈ હતી. એ પછી માત્ર મતદારો જ નહીં, પરંતુ રાજકીય પક્ષોની ટીમો પણ ડ્રાફટ યાદી ખંગોળવા લાગી છે, અને જે નામો હટાવાયા છે, તે પૈકી જેના આધાર-પુરાવા સાથેના ફોર્મ્સ મળશે, તથા અન્ય રજૂઆતો વગેરે થશે, તો તેના પર નિયમાનુસાર કાર્યવાહી કર્યા પછી સુધારા, વધારા, ઘટાડા કે ઉમેરા કરીને તે પછી જ ફાયનલ મતદાર યાદી જાહેર કરાશે, તેથી આ પ્રક્રિયામાં ખોટી ઉતાવળ કરવાની જરૂર નથી, પરંતુ જેઓના નામ આ પ્રાથમિક મતદાર યાદીમાં સમાવાયા જ ન હોય, તેઓએ પોતાના બીએલઓ તરફથી નોટિસ મળ્યેથી અથવા સામેથી સંપર્ક કરીને જરૂરી ફોર્મ્સ ભરાવી દેવા અને જરૂરી આધારો રજૂ કરવાની પ્રક્રિયા પણ લોકતાંત્રિક સંસ્થાઓ અને રાજનૈતિક પક્ષો-સંગઠનો-મતદારોને મદદરૂપ થશે, તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે, જેના નામ કે ડેટા મેચ થયા નહીં હોય કે અન્ય ટેકનિકલ કારણોસર હટાવાયા હશે, તો તેની નોટિસ પણ ચૂંટણીપંચ દ્વારા સંબંધિત મતદારોને અપાશે, તેથી તે અંગે બીએલઓને પણ હજુ મોટી કવાયત કરવી પડે તેમ છે, અને સંપર્ક નંબરો કે કોઈ પણ માધ્યમથી કોન્ટેક્ટ કરીને એક પણ યોગ્ય મતદાર મતદાર યાદીમાં ચડાવવાથી વંચિત રહી ન જાય, તેની તકેદારી પણ બીએલઓથી લઈને ઈઆરઓ સુધી તથા ચૂંટણીપંચની હાઈ-ઓથોરિટીઝે આપવી જ પડશે, સામૂહિક કવાયતનો કોઈ જ અર્થ નહીં રહે અને આક્ષેપો-આશંકાઓનો દોર શરૂ થઈ જશે.
ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા પછી પ્રવર્તમાન-મતદાર યાદીમાંથી કમી કરાવેલા (મતદાર યાદીમાંથી હટાવાયેલા) ૭૩.૭૩ લાખ નામો પૈકી મૃત્યુ પામેલા અને કાયમી સ્થળાંતર કરી ચૂકેલા મતદારો સિવાયના જે નામો હટાવાયા હોય, તેમાં ડેટા મેચ થતો ન હોય કે સર્વેક્ષણ સમયે મળી આવ્યા ન હોય, તેમજ જેઓના નામો વર્ષ-૨૦૦૨-૦૩ની મતદાર યાદીમાં ન હોય, અથવા ચોક્કસ વયજૂથના મતદારોના માતા-પિતાના નામો વર્ષ ૨૦૦૨-૦૩ની મતદાર યાદીમાં મળી આવ્યા નહીં હોય, કે મેચ થતા નહીં હોય, તેવા મતદારોને બીએલઓઝ તરફથી કે તંત્ર તરફથી નોટિસ પાઠવીને જાણ કરાશે, તેવું જાહેર કરાયું હતું, અને તે પછી આ પ્રકારના મતદારો ઉપરાંત મતદાનનો અધિકાર મળવાપાત્ર વયજૂથના નવા મતદારોના નામો ચડાવવાના રહી ગયા હોય, તે તમામના જરૂરી ફોર્મ ભરાવીને તથા જરૂરી આધાર-પુરાવા મેળવીને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થાય, ત્યાં સુધીનું ખૂબ જ જવાબદારીવાળુ ભગીરથ કામ ચૂંટણીપંચે પણ સંપન્ન કરવાનું છે, અને તેમાં ચૂંટણીતંત્રે સૌ કોઈના સહયોગની અપેક્ષા પણ વ્યક્ત કરી છે.
જામનગર જિલ્લામાં પણ પહેલાની મતદાર યાદીમાં ૧.૭૭ લાખ જેટલા મતદારોના નામો ડ્રાફટ યાદીમાં નહીં હોય, અને તેમાં જેઓના નામો રહી ગયા છે, અને મતદાર તરીકે હક્કદાર છે, તેઓ તા. ૧૮ જાન્યુઆરી સુધીમાં વાંધા અરજી કે હક્કદાવા ઓનલાઈન અથવા ઓફલાઈન રજૂ કરી શકશે, તેમ જાહેર થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૨ની મતદાર યાદીમાં નામ ન મળ્યા હોય કે નામોમાં ફરક વગેરે ટેકનિકલ કારણોસર જે મતદારોના નામ આ પ્રાથમિક યાદીમાં નહીં હોય, તેઓને નોટિસો બજાવશે.
આ પ્રકારના ૧,૨૯,૧૨૮ જિલ્લાના મતદારોને નોટિસો પાઠવ્યા પછી પણ તેઓનો સંપર્ક કરીને તથા એસઆઈઆર પ્રક્રિયાના પ્રથમ તબક્કાની જેમ જ સમયાંતરે વિસ્તારવાર, બૂથવાર અને બીએલઓના વિભાગવાર કેમ્પો યોજીને આધાર-પુરાવા સાથે નિયત ફોર્મ્સ ભરાવવાની વ્યવસ્થા પણ ચૂંટણીતંત્રે કરવી પડશે. આ માટે વ્યાપક જન સહયોગની પણ જરૂર પડશે. કોઈપણ યોગ્ય મતદારનું નામ હટી ન જાય, તેવા "ક્લિન" આખરી મતદાર યાદી જાહેર થાય અને કોઈ ગરબડ નહીં થાય તેવી અપેક્ષા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસને સિંગલ ડિજિટમાં બેઠકો મળી, ત્યારે દેશભરમાં તેની જેઓએ હાંસી ઉડાવી હતી અને વ્યંગબાણો છોડ્યા હતા, તે નેતાઓ અત્યારે સુનમુન થઈ ગયા હોય તેમ લાગે છે, કારણ કે પંજાબની પ્રજાએ પૂરવાર કરી દીધું છે કે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો અને ખાસ કરીને ભાજપની પંજાબમાં જગ્યા જ નથી. પંજાબમાં ૩૪૬ ઝોનમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને માત્ર ૭ બેઠક જ મળી છે, જે કુલ ઝોનની સંખ્યાની દૃષ્ટિએ માત્ર બે ટકા જ થાય છે !
અહેવાલો મુજબ પંજાબ જિલ્લા પરિષદોની ચૂંટણીઓમાં ૩૪૮ ઝોનમાંથી ૨૧૮ ઝોન પર આમઆદમી પાર્ટીનો ઝાડુ ફરી વળ્યો છે, તો ૬૨ ઝોનમાં કોંગ્રેસનો પંજો પડ્યો છે. પંજાબમાં વર્ષો સુધી શાસન કરનાર શિરોમણી અકાલીદળને પણ માત્ર ૪૬ બેઠકો મળી છે. પંજાબની જિલ્લા પરિષદો પૈકી ૧૦માં અપક્ષો જીત્યા છે, જ્યારે ભાજપ અપક્ષોમાંથી પણ પાછળ ધકેલાઈને ૭ ઝોનમાં સમેટાયું છે, જ્યારે ૩ ઝોનમાં બસપા જીતી છે. ૨૨ ઝોનમાં તો આમઆદમી પાર્ટીનો નિર્વિરોધ વિજય થયો છે. આ પરિણામો ભાજપ માટે તો શરમજનક છે જ, પરંતુ કોંગ્રેસ માટે પણ ચિંતનનો વિષય છે, કારણ કે એક સમયે પંજાબમાં ટોપ ટુ બોટમ કોંગ્રેસનું શાસન હતુ, અને આજે રાજ્યનો બીજા નંબરનો વિજય મેળવવા છતાં આમઆદમી પાર્ટીથી કોંગ્રેસ ઘણી જ પાછળ રહી ગઈ છે.
ટકાવારીની દૃષ્ટિએ બેઠકોની સંખ્યા મુજબ આમઆદમી પાર્ટીને જિલ્લા પરિષદોમાં ૬૩ ટકા અને પંચાયત સમિતિઓમાં ૫૪ ટકા બેઠકો મળી છે. પંજાબમાં આમઆદમી પાર્ટીએ વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા છે, તેમ પણ કહી શકાય. પંચાયત સમિતિઓમાં પણ આમઆદમી પાર્ટીનો દબદબો રહ્યો છે. પંચાયત સમિતિઓ ૧૫૩ છે, જેના ૨૮૩૮ વિભાગો (ઝોન)માંથી આપને ૧૫૩૧, કોંગ્રેસને ૬૧૨ વિભાગ, શિરોમણી અકાલીદળને ૪૪૫ વિભાગ, ભાજપને ૭૩ વિભાગ અને અન્ય પક્ષો તથા અપક્ષોને ૧૪૪ વિભાગોમાં વિજય મળ્યો છે. આ પરિણામોએ પંજાબના વર્તમાન વિપક્ષોને ઝટકો આપ્યો છે, તે ભાજપને તો ધોઈ જ નાખ્યું હોય, તેવો જનાદેશ આપ્યો છે.
આ પરિણામો પછી દિલ્હીમાં પછડાટ ખાઈ ચુકેલા "આપ"ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને કળ વળી ગઈ હોય, એ તો સ્વાભાવિક જ છે, પરંતુ ચિરપરિચિત અંદાજના તેજતર્રાર નેતા પણ પુનઃ પ્રગટવા લાગ્યા છે.
આ રિઝલ્ટ આવ્યા પછી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પત્રકાર પરિષદમાં રણટંકાર કર્યો છે. તેમણે દાવો કર્યો કે પંજાબમાં સંપૂર્ણ ગ્રામ્ય ક્ષેત્રમાં સ્વીપ કર્યું છે. કેજરીવાલે આ પ્રચંડ વિજયના કારણો પણ વર્ણવ્યા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પીઠ પણ થાબડી. તેમણે "નશા વિરોધી યુદ્ધ" અભિયાનના આંકડા આપી તેની ફલશ્રુતિઓ પણ વર્ણવી.
કેજરીવાલે પંજાબમાં બનેલા અદ્યતન માર્ગો, ખેડૂતોને આઠ કલાક વીજળી, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સુધારણાઓ વગેરેના આંકડાઓ આપીને પંજાબની જનતાએ "આપ"ને અપનાવીને ભાજપ-કોંગ્રેસને ઠુકરાવી દીધી હોવાનો દાવો પણ કર્યો. માન-કેજરીવાલની આ પ્રેસ કોન્ફરન્સ જોઈને બિહાર ચૂંટણીમાં વિજય પછી ભાજપના નેતાઓનો ઉન્માદ અને તે સમયની પ્રેસ કોન્ફરન્સો પણ યાદ આવી ગઈ. બિહારમાં કોંગ્રેસની જે દશા થઈ હતી, તેવી જ દશા પંજાબમાં ભાજપની થઈ છે, તેથી જ કહેવાય છે ને કે કાચના ઘરમાં રહેનારે પથ્થરો ફેંકવા ન જોઈએ. એક ગુજરાતી કવિએ પણ એક કવિતામાં ખરતા પાનને જોઈને હસતી કળીઓને ઉદ્દેશીને લખ્યું હતું કે, "મુજ બીતી તુજ બીતસે...ધીરી બાપુડિયા !"
જો કે, પંજાબમાં જ્યારે શિરોમણી અકાલીદળ અને ભાજપનું ગઠબંધન હતું અને રાજ્ય તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એ ગઠબંધનની બોલબાલા હતી, ત્યારે પણ ત્યાં (પંજાબમાં) ભાજપની ભૂમિકા નાનાભાઈ જેવી જ હતી અને ગઠબંધનનું નેતૃત્વ શિરોમણી અકાલીદળ જ મોટાભાગે કરતુ રહ્યું હતું, તો બીજી તરફ પંજાબમાં દાયકાઓ સુધી ટોપ ટુ બોટમ સત્તામાં રહેલી કોંગ્રેસની સરકાર પણ કેપ્ટન અમરિન્દસિંહ સુધી ચાલી હતી. તેથી પંજાબમાં આમઆદમી પાર્ટીનો વિકલ્પ કોંગ્રેસ જ બની શકે તેમ છે, કારણ કે ભાજપ અને અકાલીદળનું ગઠબંધન તૂટી ગયું છે, તેથી આમઆદમી પાર્ટીએ પણ વધારે પડતા આત્મવિશ્વાસમાં રહેવાની ભૂલ કરવા જેવી નથી.
જો કે, પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા લોકસભાની ચૂંટણીઓમાં વોટીંગ પેટર્ન એકસમાન જ રહેશે, તેવું કોઈ ગેરંટીથી કહી શકે તેમ નથી અને ઘણી વખત આ ત્રણેય સ્તરે અલગ-અલગ પાર્ટીઓ અથવા ગઠબંધનોનું શાસન રહ્યું હોય, તો ઈતિહાસ પણ આપણાં દેશમાં ઘણાં રાજ્યોમાં છે, તેથી બીજા ક્રમે રહેલી કોંગ્રેસને અંડર એસ્ટિમેટ કરવાના બદલે તેનું મુખ્ય વિપક્ષ તરીકે સન્માન કરવું, એ લોકતાંત્રિક કર્તવ્ય પણ છે અને રાજકીય શાણપણ પણ ગણાય, રાઈટ ?
આ પ્રકારના અભિપ્રાયો એટલા માટે વ્યક્ત થઈ રહ્યા છે કે ગઈકાલે પંજાબની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આમઆદમી પાર્ટીને ઝળહળતી સફળતા મળ્યા પછી વિજય સરઘસો નીકળ્યા, તે સમયે ગોળીબાર થયો, હિંસક ટકરાવ થયો અને કેટલાક લોકોને ઈજા પહોંચી. મીડિયા અહેવાલો મુજબ બીજા ક્રમે રહી હોવા છતાં ઘણી પાછળ રહી ગયેલી કોંગ્રેસ પરાજય પચાવી શકી નહીં હોવાના આક્ષેપો થયા, તો અન્ય અહેવાલો મુજબ "આપ" અને "કોંગ્રેસ" ના કાર્યકરો પરસ્પર ટકરાતા અથડામણ થઈ હતી. આ પ્રકારની અથડામણો તથા આમઆદમી પાર્ટીએ ઈન્ડિયા ગઠબંધનમાં રહેવા અંગે બદલેલા વલણના કારણે થઈ રહી હોવાની પણ ચર્ચા છે. અત્યારે તો પંજાબમાં "આપ"નો પરચમ લ્હેરાયો છે, તે નક્કર વાસ્તવિકતા છે, અને આ વિજયની અસર ગુજરાતના કાર્યકરો પર પણ થવાની જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગાઢ ધૂમ્મસના કારણે ગઈકાલે ભારત-દ. આફ્રિકા વચ્ચેની ટી-ર૦ ક્રિકેટ મેચ રદ્ કરવી પડી અને મેદાન પર મોજુદ હજારો પ્રેક્ષકો સહિત કરોડો ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હશે, પરંતુ આ મેચ પડતી મૂકવાનું કારણ તથા તેની બુનિયાદમાં હવાઈ પ્રદૂષણ કારણભૂત હતું, તેની ચર્ચા ઓછી થઈ રહી છે. ખરેખર તો દેશની રાજધાની દિલ્હીમાં જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું હોય અને વ્યાપક હવાઈ પ્રદૂષણ હવે દિલ્હી, પંજાબ, હરિયાણાથી આગળ વધીને પડોશના રાજ્યોમાં ફેલાઈ રહ્યું હોય તો તે ગંભીર ચિંતાની વાત જ ગણાય.
ગઈકાલે સમીસાંજે શરૂ થનારી લખનૌની ક્રિકેટ મેચ મોડી રાત સુધી શરૂ થઈ નહીં, અને અમ્પાયરોએ છ-છ વખત નિરીક્ષણ કર્યા પછી મેચ પડતી મૂકવાનો અંતિમ નિર્ણય લેવો પડ્યો હોય તો તે ખેલકૂદથી લઈને હવાઈ શુદ્ધતા, પર્યાવરણ અને જાહેર આરોગ્યને લઈને પણ ખૂબ જ ચિંતાજનક ગણાય, અને તેને કેજ્યુલી (હળવાશથી) અવગણી શકાય નહીં. ઉત્તર ભારતના રાજ્યોમાં ધૂમ્મસની કુદરતી સમસ્યા તથા હવાઈ પ્રદૂષણ જેવા કૃત્રિમ કારણોથી ઊભી થતી સમસ્યાઓ વચ્ચેની પાતળી ભેદરેખા સમજવી પડે તેમ છે. એક દૃષ્ટિએ હાલના ધૂમ્મસની મહત્તમ સમસ્યા માનવસર્જિત જ હોય છે, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય.
જો કે, ધૂમ્મસના કારણે આ પહેલા પણ ક્રિકેટ મેચમાં ખલેલ પહોંચી હોય તેવી ઘટનાઓ બની છે, અને છેલ્લે કદાચ મધર્મશાળામાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ અટકી પડી હતી, પરંતુ થોડા સમયના અવરોધ પછી મેચ શરૂ થઈ શકી હતી અને તેનું પરિણામ પણ આવ્યું હતું, જ્યારે ગઈકાલે એટલું ગાઢ ધૂમ્મસ છવાયું હતું કે છેવટે મેચ જ રદ્ કરવી પડી, અને તે કારણે જ ધૂમ્મસના કુદરતી અને કૃત્રિમ કારણો તથા તેના નિવારણની જરૂર, લોકોની લાપરવાહી, તંત્રોના તિક્કડમ્ અને રાજનેતાઓની રાજરમતની પણ ચર્ચા થવા લાગી છે, અને તે બધાના મૂળમાં હવાઈ પ્રદૂષણ છે અને હવાઈ પ્રદૂષણના મૂળમાં રહેલા કારણોમાં મહત્તમ જેની ચર્ચા થાય છે તે ખેતરોમાં સામૂહિક રીતે સળગાવી નંખાતી પરાલીને સૌથી મોટું કારણ માનવામાં આવે છે.
ગઈકાલે લખનૌમાં હાર્દિક પંડ્યા માસ્ક પહેરેલો જોવા મળ્યો, તેવી જ રીતે વર્ષ ર૦૧૭ માં ભારત-શ્રીલંકા વચ્ચેની ટેસ્ટમેચના બીજા દિવસે શ્રીલંકાના ખેલાડીઓ ફિલ્ડીંગ કરતી વખતે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતાં. તેનું કારણ પ્રદૂષણ જ હતું. તે સમયે તો શ્રીલંકાના કેટલાક ખેલાડીઓને શ્વાસ લેવામાં પડી રહેલી તકલીફના કારણે ઉલટી થતા લગભગ અડધો કલાક સુધી રમત અટકાવી પડી હતી. તે પછી વર્ષ ર૦ર૩ માં પણ દિલ્હીમાં વર્લ્ડકપની શ્રીલંકા-બાંગલાદેશની પ્રેક્ટીસ મેચો કેન્સલ થઈ હતી. તે ઉપરાંત મેચોના સ્થળાંતર પણ થયા હતાં. ભારત-વેસ્ટઈન્ડિઝ ટેસ્ટ મેચ એક મહિનો વહેલી રમવી પડી હોય કે ભારત-દ. આફ્રિકા વચ્ચેની ટેસ્ટમેચ દિલ્હીના બદલે ગૌહાટીમાં રમાડવી પડી હોય, તે ફેરફારોના મૂળમાં દિલ્હીનું પ્રદૂષણ જ જવાબદાર હતું.
આજે પણ એર ક્વોલિટી ઈન્ડેક્ષ ૧૯૯ બતાવતો હોવાથી લખનૌમાં હવાઈ પ્રદૂષણનું સ્તર ગંભીર કેટેગરીમાં આવે છે. યુ.પી.ના શહેરોમાં આજની સ્થિતિમાં સવારે એક્યુઆઈની માત્રા ર૧૪ થી ૪૦૧ વચ્ચે હતી તથા પીએમ-ર.પ અને પીએમ-૧૦ નું સ્તર ઘણું જ ઊંચુ હતું. આવી સ્થિતિમાં એન-૯પ માસ્ક પહેરવા તથા ઘરના બારી-દરવાજા બંધ રાખવાની એડવાઈઝરી અપાતી હોય, તેવામાં ખુલ્લા મેદાનમાં ક્રિકેટ કેવી રીતે રમી શકાય? ઘણાં લોકોએ પ્રશ્ન ઊઠાવ્યો છે કે બીસીસીઆઈ ટાઈમ-ટેબલ નક્કી કરતી વખતે આ બધા સિઝનલ સેક્ટર ધ્યાને નહીંં લેતી હોય? અત્યારે ઉત્તરપ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં ભાજપની સરકાર છે, અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર છે, ત્યારે હવાઈ પ્રદૂષણના નિયંત્રણ માટે સંકલિત કદમ કેમ ઊઠાવાઈ રહ્યા નથી? દિલ્હીમાં ભૂતકાળમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી, ત્યારે કેજરીવાલ હવાઈ પ્રદૂષણ માટે પંજાબના ખેડૂતોને પરાલી રોકવા તે સમયની પંજાબની કોંગ્રેસ સરકાર કાંઈ કરી રહી નહીં હોવાના સવાલો ઊઠાવતા હતાં, જ્યારે આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યારે ત્યાંના મુખ્યમંત્રી ભગતસિંહ માન કેમ કાંઈ કરી રહ્યા નથી? તેવા સવાલો ઊઠે તે સ્વાભાવિક છે.
હવે દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે દિલ્હીની ભાજપ સરકાર પર તડાપીટ બોલાવી છે, અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ચમચીઓથી થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીની ભાજપ સરકારને ઉદ્દેશીને કટાક્ષમય રીતે 'પ્રદૂષણના સંદર્ભે 'પોલ્યુશન તુઝે જાના હોગા'ની નારેબાજી કરી હતી.
આમ આદમી પાર્ટીએ દિલ્હીના પ્રદૂષણ સામે નિદ્રાધીન દિલ્હીની રેખા ગુપ્તા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં અને એક્યુઆઈ કેન્દ્રોમાં ગરબડ-ગોટાળા ચાલી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતાં. સૌરભ ભારદ્વાજે સણસણતો સવાલ કર્યો હતો કે રાજ્યમંત્રી મનજિંદરસિંહ સિરસા કૃત્રિમ વરસાદ કરાવવાના હતાં, તેનું શું થયું?
દિલ્હી સરકાર હવાઈ પ્રદૂષણ નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ ગઈ હોવાથી હવાઈ પ્રદૂષણના ઊંચા સૂચકાંકોને નીચા દેખાડીને જનતા અને અદાલતો સાથે પણ દગાબાજી કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ તેમણે કર્યા છે.
ભારદ્વાજે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ હવાઈ પ્રદૂષણને લઈને કહ્યું છે કે, દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો હોવાના દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ હકીકતે હવાઈ પ્રદૂષણ સાયલન્ટ કીલર બનીને નરસંહાર કરી રહ્યું છે, અને સરકાર આંકડાઓ સાથે રમત રમી રહી છે.
હકીકતે હવાઈ પ્રદૂષણની દિલ્હીની સરકારને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટીની સરકારે પરસ્પર દોષારોપણ કરીને જનતા સાથે રમત રમી રહી છે. સત્તાધારી પાર્ટી બદલાઈ જાય છે, ત્યારે સૂર બદલાઈ જાય છે. લખનૌમાં હવાઈ પ્રદુષણે એક ક્રિકેટ મેચ રદ્ કરાવી તો ઘણી બધી ચર્ચા થઈ, જ્યારે દિલ્હીના હવાઈ પ્રદુષણની કાયમી સમસ્યા નિવારવા પાર્ટીલાઈન તથા વોટબેંકની રાજનીતિ, વાહવાહી કરાવવાની આદત અને લીંબડજશ ખાટવાની માનસિક્તા છોડીને તમામ પક્ષો સહિયારા પ્રયાસો કરે, તે જ સમયની માંગ છે, અને જનતાની અપેક્ષા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે દેશના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસીઓ સડક પર ઉતરીને ગાંધીજીના પોસ્ટરો સાથે મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવા અને આગામી તા. ૨૮મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપનાદિને તમામ ગામડાઓ, શહેરો તથા તાલુકા મથકો પર ગાંધીજીની તસ્વીરો સાથે મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવા કોંગ્રેસ હાઈ કમાન્ડે સૂચના આપી છે. આ વિરોધ કેન્દ્ર સરકારે મનરેગા યોજના નાબૂદ કરી તેના વિરોધમાં થઈ રહ્યો છે, અને વધુ પ્રબળતાથી મનરેગાના સ્થાને રજૂ થયેલી નવી યોજનાના નામકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મનરેગા અને નવી યોજનામાં ઓફિશયલ લાંબા નામોના શોર્ટફોર્મમાં થતા ઉચ્ચારણોનો આ વિવાદ દર્શાવે છે કે આપણાં દેશની રાજનીતિની દશા અને દિશા બદલાઈ રહી છે અને શાસન-પ્રશાસન તથા રાજનીતિના કેન્દ્રમાં હવે દેશનો નાગરિક નહીં પણ રાજનૈતિક નફા-નુકસાનની ગણતરીઓ સાથેનું મતલક્ષી ગણિત આવી ગયું છે.
હકીકતે મનરેગાનું ફૂલફોર્મ અથવા આખું નામ "મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ" થતું હતું, જે વર્ષ ૨૦૦૫માં સાંસદે પસાર કર્યો હતો, અને આ મહત્ત્વાકાંક્ષી યોજના ગ્રામીણ સ્તરે ગરીબ લોકોને વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી આપવાની ગેરંટી આપવા માટે લાગુ કરાઈ હતી અને તે "મનરેગા" તરીકે પ્રચલીત હતી.
મોદી સરકારે આ યોજના સામે પ્રારંભમાં વાંધા-વચકા કાઢયા હતા, પરંતુ કેટલાક સુધારા-વધારા સાથે આ યોજના ચાલુ રહી હતી. આમ છતાં આ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર તથા પર્યાપ્ત રોજગાર ગેરંટી તથા તેની ફલશ્રૃતિઓ નહીં હોવાના કારણે તેમાં ધરમૂળથી ફેરફાર કરાશે તેવા દાવાઓ થતા રહ્યા હતા અને વાર્ષિક રોજગારીના દિવસો વધારવાની જરૂર, રાજ્ય સરકારોની આ યોજનાઓમાં સક્રિય સામેલગીરી તથા પેમેન્ટની પારદર્શક તથા સાપ્તાહિક પદ્ધતિ અંગે ચર્ચાઓ થતી રહેતી હતી, રજૂઆતો થઈ હતી અને માંગણીઓ પણ ઉઠી રહી હતી. આ કારણે મોદી સરકારે મનરેગા યોજના નાબૂદ કરીને તેના સ્થાને નવી વધુ પારદર્શક અને લાભાકારી યોજના અમલમાં મૂકવાના દાવા સાથે નવા નામકરણ સાથે ગઈકાલે એક નવું બીલ સંસદમાં રજૂ કર્યું હતું.
આ બીલની સામે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જબરદસ્ત વાંધો ઉઠાવ્યો છે, આ વાંધો મૂળ યોજના કે નવી યોજનામાં સામેલ રાખેલી જોગવાઈઓ કે અન્ય સુધારા-વધારા સામે ઓછો અને નવા નામ કરણ સામે વધુ ઉઠાવાઈ રહ્યો હોવાનો દાવો એક તરફ થઈ રહ્યો છે, તો બીજી તરફ ભાજપના નેતૃત્વની એનડીએ સરકાર મહાત્મા ગાંધીની વિરોધી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ સડકો પર ઉતરી રહી છે, જ્યારે કોંગ્રેસમાં પાર્ટીલાઈનથી અલગ મંતવ્યો વ્યક્ત કરતા રહેતા તથા વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને કરતા રહેતા શશિ થરૂરના સૂર પણ આ મુદ્દે બદલાયા હોવાનું જણાય છે, કારણ કે તેમણે આ વખતે કોંગ્રેસના "વિરોધનો વિરોધ" નથી કર્યો, પણ તરફેણ કરી હોય તેમ જણાય છે.
મીડિયા અહેવાલો મુજબ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આને બંધારણના આર્ટિકલ-૩૪૮નું ઉલ્લંઘન બતાવીને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે મનરેગાની જગ્યાએ જે નવી યોજનાનું બીલ રજૂ કર્યું છે, તેના (લાંબા) નામનું શોર્ટફોર્મ અંગ્રેજી તથા હિન્દી બંને ભાષાનું સંયોજન કરીને "જી રામ જી" જેવું કર્યું ત્યારે બાળપણનું ગીત યાદ આવી ગયું હતું, જેના શબ્દો હતા, "રામ કા નામ બદનામ ના કરો..."
વાસ્તવમાં મોદી સરકારના કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે લોકસભામાં જે "વિકસિત ભારત-ગેંરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ)-૨૦૨૫" બીલ રજૂ કર્યું હતું, તેમાં વર્ષ ૨૦૦૫ના રદ કરાયેલી મનરેગા એકટ હેઠળની "મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ" ના સ્થાને નવી યોજનાની જોગવાઈ હતી. આ નવા બીલ મુજબ રોજગાર ગેરન્ટી, પેમેન્ટ પદ્ધતિ તથા અન્ય સુધારા-વધારા સાથે નવી યોજના "વિકસિત ભારત-ગેંરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન" લાગુ થશે, તેવો દાવો કેન્દ્ર સરકારે રજૂ કર્યો હતો, પરંતુ તેનું શોર્ટફોર્મનું નામ "વીબી-જી રામજી" રખાયુ છે, તેનો જબરદસ્ત વિરોધ ઉઠયો છે. પ્રિયંકા ગાંધીએ પણ મોદી સરકાર સામે આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે "ગાંધીજી અમારા ગાંધી પરિવારના નથી, પરંતુ પરિવાર જેવા જ છે, અને આખા દેશની પણ એવી જ લાગણી છે, જેના નામથી ચાલતી મનરેગા યોજના બંધ કરીને મોદી સરકાર ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવા જઈ રહી છે."
ભાજપ તરફી લોકોનું કહેવું છે કે ગાંધીજીના અંતિમ શબ્દો પણ "હે રામ" હતા અને તેઓ રામરાજયની કલ્પના કરતા હતા, પરંતુ કોઈ યોજનાના ટૂંકા નામમાં રામનું નામ આવી જાય, તો પણ વાંધો ઉઠાવાઈ રહ્યો છે, આ પહેલાના "મનરેગા" યોજનાથી પ્રચલીત નામમાં મહાત્મા ગાંધીનું નામ ઉચ્ચારમાં આવતુ જ નહોતું, અને આખુ નામ પ્રચલીત જ નહોતુ, પરંતુ હવે મહાત્મા ગાંધીના નામે રાજનીતિ રમાઈ રહી છે. ભાજપે મહાત્મા ગાંધીનું મહાત્મય વધારવા ક્યા ક્યા પગલા લીધા અને કેટલા નવા નામ કરણોમાં ગાંધીજીને સામેલ કરાયા, તેના વિવરણો પણ અપાઈ રહ્યા છે, પરંતુ પબ્લિક નક્કી કરશે કે કૌન સચ્ચા ઔર કૌન જૂઠા ?
આ વાદ-વિવાદ વચ્ચે બાર રાજ્યોમાં એસાઆઈઆરનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે, અને મોદી સરકારે સંસદમાં કેટલાક જૂના કાયદા રદ કરાવી નાખ્યા છે અને કેટલાક નવા બીલો પસાર કરાવી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ સડકથી સંસદ સુધી મોદી સરકાર પર તડાપીટ બોલાવી રહી છે....મેરા ભારત મહાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નાતાલના તહેવારો આવી રહ્યા છે અને નાતાલના વેકેશનમાં પણ યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, હર્ષદ માતાજી, શિવરાજપુર, ઓખા મઢી સહિતના દર્શનીય અને પર્યટન સ્થળો પર ભાવિકોની ભારે ભીડ થવાની સંભાવના છે, ત્યારે તંત્રોએ પણ સુરક્ષા, સલામતિ, ટ્રાફિક, નફાખોરી, તત્કાળ સારવાર, જરૂર પડયે તત્કાળ રાહત-બચાવ યાત્રિકોના નિવાસ-ભોજન તથા પરિવહન અને તદ્વિષયક તમામ વ્યવસ્થાઓ ચૂસ્ત દૂરસ્ત કરવી પડશે.
યાત્રાધામોમાં દર્શનની વ્યવસ્થામાં ટ્રસ્ટીમંડળ અથવા સમિતિ, પૂજારીવર્ગ, સ્થાનિક પોલીસ તથા સંલગ્ન સુરક્ષાદળોનું લોકલ વ્યવસ્થાતંત્ર સાથે સારૃં સંકલન હોવું જ જોઈએ, એટલું જ નહીં, ભૂતકાળના સ્થાનિક અનુભવો તથા અન્ય યાત્રાસ્થળોના અનુભવોને સાંકળીને ફૂલપ્રૂફ એવો પ્લાન બનાવવો જોઈએ. જેથી યાત્રિકોને પણ તકલીફ ન પડે. અને સુરક્ષા, સલામતિ અને વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે, તથા સ્થાનિક પરિવહન, અલ્પાહાર કે સેવા-પૂજાની સામગ્રીમાં નફાખોરી ન થાય, તેના પર ધ્યાન આપવું પડે તેમ છે, અને કેટલાક સ્થળે આ પ્રકારની બાબતોમાં સંકુલમાં જ સ્થાપિત ઈજારાશાહી ખતમ કરવી જોઈએ. આ તમામ મુદ્દાઓમાં ક્યાંય પણ કચાશ રહી જશે તો નાતાલના તહેવારો દરમ્યાન વ્યવસ્થાઓ જાળવી રાખવી મુશ્કેલ બની જવાની છે.
યાત્રાધામોમાં ત્રણ પ્રકારના પ્રવાસીઓ આવતા હોય છે. ખૂબ જ ધનવાન લોકો તો પહેલેથી જ મોંઘી હોટલો બૂક કરાવી લેતા હોય છે, અને પોતાની ગાડીઓ કે અદ્યતન ટેકસીઓની વ્યવસ્થા કરી લેતા હોય છે. બીજા ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારો કાં તો પોતાની ગાડીમાં, અથવા ટ્રેન કે બસ દ્વારા આવતા હોય છે. આ વર્ગોના મોટા ભાગના દર્શનાર્થીઓ પેકેજ ટૂરમાં આવતા હોય છે, જેની તમામ વ્યવસ્થાઓ ટ્રાવેલ્સ સંચાલકો કરતા હોય છે. ત્રીજા પ્રકારના નિમ્ન મધ્યમવર્ગીય તથા ગરીબ લોકો પણ દર્શનાર્થે કે પ્રવાસ-પર્યટન માટે આવતા હોય છે. જે પૈકી એક વર્ગ એવો પણ હોય છે કે જેઓ માનતા ઉતારવા કે પછી અન્ય ભાવનાત્મક અને આર્થિક કારણોસર પદયાત્રાઓ કરીને પણ આવતા હોય છે. આ તમામ પ્રવાસીઓનો ધ્યેય દર્શન કરીને હરવા-ફરવાનો હોય છે. જો કે, કેટલાક સમૂહો માત્ર દર્શનાર્થે જ આવતા હોય છે, જ્યારે કેટલાક સહેલાણીઓ માટે આનંદદાયક પ્રવાસ-પર્યટન, હરવું-ફરવું અને નવું નવું જાણવાનો મુખ્ય ઉદૃેશ્ય હોય છે. તંત્રોએ આ તમામ પ્રકારના પ્રવાસીઓ માટે સમાન ઘોરણે તમામ વ્યવસ્થાઓ કરવી જોઈએ, વ્યવસ્થાપકોએ સમાન ભાવે દર્શન-સેવા વગેરે કરાવવા જોઈએ અને દર્શનાર્થીઓમાં અમીર-ગરીબનો ભેદભાવ નહીં જ હોવો જોઈએ, પરંતુ બધી જગ્યાએ કાયમ માટે એવું થતું હોતું નથી, અને કેટલાક સ્થળે તો એનાથી વિપરીત માનસિકતાથી યાત્રિકો-પ્રવાસીઓને વિધિવત રીતે "લૂંટવા"માં આવતા હોય છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને ? આ સ્થિતિ માત્ર હાલાર, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ નથી, પરંતુ દેશવ્યાપી છે. અને તેનું નિવારણ વ્યવસ્થાઓ સંભાળતા તંત્રના અધિકારીઓ, ટ્રસ્ટો, સંસ્થાઓ અને વિવિધ મંદિર-ધાર્મિક સ્થળોની સમિતિઓ કે પ્રાધિકરણોએ કરવાનું હોય છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે.હવે તો "પૈસા ફેંકો, તમાશા દેખો" જેવો ઘાટ સર્જાયો છે. અને ભાવનાઓ-શ્રદ્ધા અને આસ્થાને નાણાકીય ત્રાજવે માપવામાં આવતી હોય, તેવું જણાય છે. પ્રવાસ-પર્યટન ક્ષેત્રે તથા દર્શનીય સ્થળોમાં પણ વીઆઈપી કલ્ચરની જ બોલબાલા છે.
મંદિરોમાં વીઆઈપી કલ્ચર એટલું વ્યાપક અને ભયાનક બન્યું છે કે તેના પડઘા સડકથી સંસદ સુધી તો પડતા જ હતા, પરંતુ હવે આ મુદ્દો છેક સુપ્રિમકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે, અને દેશની સર્વોચ્ચ અદાલતે તો ત્યાં સુધી કહી દીધું છે કે ભગવાનને પણ આરામ કરવા નથી દેતા, તે તો શોષણ જ કહેવાય. સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી ધનવાનો માટે કેટલાક મંદિરોમાં અલગ (વીઆઈપી) વ્યવસ્થા કરવામાં આવે છે, તેને લઈને કરી હતી અને તે કોઈ એક ચોક્કસ મંદિરની સૂનાવણી માટે જ હતી, પરંતુ તેની દૂરગામી અને દેશવ્યાપી અસરો થવાની છે અને રાષ્ટ્રવ્યાપી પડઘા પણ પડયા છે.
સુપ્રિમકોર્ટે કહ્યું કે રૂપિયા લઈને ધનવાન લોકો માટે વિશેષ દર્શનીય વ્યવસ્થા આપવી કે સુવિધા આપવી, એ અયોગ્ય છે. એક મંદિર સમિતિના મેનેજમેન્ટે કરેલ અરજી પર સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે આ સવાલો ઉઠાવ્યા હતા.
જે મંદિરની સુનાવણી થઈ રહી હતી, તે મંદિરમાં બપોરે મંદિર બંધ થયા પછી પણ વિશેષ પૂજા-પાઠ-દર્શન વગેરે થતા હોય છે અને સૌથી વધુ રકમ અપાય, તેને ખાસ પૂજા કરાવાય છે, તેવી ફરિયાદ સાથે મંદિરના બદલી નખાયેલા સમયપત્રક અંગે પણ સવાલો ઉઠાવાયા હતા, સીજેઆઈ સહિતની બેન્ચે મોટી રકમ આપનારાઓને વિશેષ પૂજા કરાવાય, તેને અયોગ્ય ગણાવી હતી.
આ મુદ્દે કડક ટિપ્પણીઓ કર્યા પછી સર્વોચ્ચ અદાલતે યુપી સરકાર તથા સંબંધિત પાવરેડ કમિટીને નોટિસ ફટકારીને જવાબ પણ માંગ્યો છે.
આ સુનાવણીનો સારાંશ એ નીકળે છે કે સેંકડો-હજારો કિલોમીટર દૂરથી દર્શનાર્થે આવતા સામાન્ય દર્શનાર્થીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહે, અને ધનિકો, સામાન્ય નેતાઓ, ઉદ્યોગપતિઓ, મોટા અફસરો કે અન્ય પોતાને વીઆઈપી માનતા લોકોને વીઆઈપી ટ્રિટમેન્ટ આપીને દર્શનની અલગ વ્યવસ્થા કરી અપાય, તે કદાચ જેના દર્શન કરાવાય છે, તે ઈશ્વરને પણ નહીં ગમતું હોય, જેની એક-એક ક્ષણ કિંમતી હોય અને દેશસેવા કે પબ્લિક સર્વિસ માટે સમર્પિત હોય, અથવા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના સંતો-મહંતો હોય, તેવા અપવાદો સિવાય તંત્રો, વ્યવસ્થાપકો તથા સમિતિઓ, ટ્રસ્ટોએ સામાન્ય દર્શનાર્થીઓની વધુ ચિંતા કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ક્રિકેટ રસીયાઓ માટે ગઈકાલે સુપર સન-ડે હતો, કારણ કે અન્ડર-૧૯ની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને પછાડી, તો ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને વન-ડે મેચમાં હરાવ્યું. આ બંને જીત માત્ર સાધારણ વિજય નહોતો, પરંતુ બંને મેચોની કેટલીક વિશેષતાઓ હતી.
સિયાસતના સમરણાગણમાં પણ ગઈકાલે સુપર સન્ડે જ હતો. દિલ્હીના રામલીલા મેદામાં રવિવારે રાહુલ ગાંધીએ રણકાર કર્યો અને મોદી સરકારને પડકાર કર્યો. રાહુલ ગાંધીએ આરએસએસના વડા ભાગવતની પણ ટીકા કરી અને મોદી-શાહ બંધારણને ખતમ કરી નાખશે, તેમ જણાવીને એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસે દેશને આઝાદી અપાવી, ત્યારે પી.એમ. મોદીનો જન્મ પણ થયો નહોતો. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના ડીએનએમાં સરચાઈ છે, જયારે તેમના (ભાજપના !) ડીએનએમાં વોટ ચોરી છે. વિવિધ રાજ્યના આંકડાઓ સાથે રાહુલ ગાંધીએ વોટ ચોરીના ફરીથી ગંભીર આક્ષેપો કર્યા અને ચૂંટણી કમિશનર ભાજપ સાથે મળીને કામ કરી રહ્યું હોવાના આક્ષેપો પણ દોહરાવ્યા.
પ્રિયંકા ગાંધીએ પણ વડાપ્રધાન પર જનતાના દુઃખમાં સહભાગી નહીં થવાના આક્ષેપો લગાવીને રૂપિયો ગગડી રહ્યો હોવાનો કટાક્ષ પણ કર્યો, તો બીજી તરફ ખડગેએ કેન્દ્ર સરકાર ગરીબો પ્રત્યે બેદરકાર હોવાનો આક્ષેપ લગાવીને દગાબાજ લોકોને સત્તા પરથી હટાવવા હાંકલ કરી હતી. રામલીલા મેદાન પરથી કોંગ્રેસે જે "વોટ ચોર-ગાદી છોડ" ના નારા સાથે જે વિશાળ રેલી યોજી હતી, તેના પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ હવે એકલા હાથે ભાજપના નેતૃત્વમાં સત્તા ભોગવી રહેલી સરકાર સામે તથા એનડીએ ગઠબંધન સાથે ચૂંટણીઓ લડશે, અને કોંગ્રેસના ભોગે અન્ય પક્ષો કે શાસક પક્ષને ફાયદો થાય, તેવી મૂર્ખામી નહીં કરે.
એક તરફ સિયાસતના મેદાનમાં સટાસટી બોલી રહી હતી, તો બીજી તરફ અન્ડર-૧૯ની ભારતીય ક્રિકેટ ટીમનો પાકિસ્તાનની ટીમ સામે ભવ્ય વિજય અને તે પછી રાત્રે દ.આફ્રિકાની ક્રિકેટ ટીમ સામે ભારતીય ક્રિકેટ ટીમનો જબરદસ્ત વિજય માત્ર ક્રિકેટ રસિયાઓ જ નહીં, પરંતુ તમામ ભારતીયો માટે ખુશી અને ગૌરવનો પ્રતીક હતો, અને દેશભરમાં તથા જ્યાં જ્યાં ભારતીયો વસવાટ કરી રહ્યા છે, ત્યાં ત્યાં "મેરા ભારત મહાન" તથા "જય હો" ના નારાઓ ગુંજી રહ્યા હતા.
રવિવાર તો રસ-રોમાંચ અને રંગીલો રહ્યો હતો, તો ગયા અઠવાડિયાનો અંત (વીક-એન્ડ અથવા શનિ-રવિ) અદ્ભુત હતા. વન્ડરફૂલ વીક-એન્ડમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણાની લંબાવાયેલી મુદ્દતમાં ચૂંટણીતંત્ર દોડતું રહ્યું હતું, તો રાજ્ય અને કેન્દ્ર સરકારોના ક્ષેત્રોમાં આ વીક-એન્ડમાં ભારે હલચલ જોવા મળી હતી, અને કેટલીક વન્ડરફૂલ ભવિષ્યવાણીઓ, આગાહીઓ, અનુમાનો અને અટકળોએ રહસ્યમય સસ્પેન્સ પણ ઊભું કરી દીધુ હતું અને તેના અધારે જ આજે નવા અઠવાડિયાના પ્રારંભે જે કાંઈ બની રહ્યું છે તે આપણી સામે જ છે, અને ટૂંક સમયમાં કાંઈક નવાજૂની થવાની છે, અને કડાકા-ભડાકા થવાના હોય, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.
રમત-ગમત હોય કે રાજનીતિ હોય, તેમાં હાર-જીત તો ચાલ્યા જ કરતી હોય છે, પરંતુ ગઈકાલે ક્રિકેટની બંને મેચોમાં જે રીતે ભારતીય ટીમો જીતી છે અને વિરોધી ટીમોનો તોતીંગ પરાજય થયો છે, તે જોતાં એવું કહી શકાય કે આ બંને વિજય અસાધારણ હતા અને પ્રતિસ્પર્ધી ટીમોને જે રીતે પછાડી હતી, તેમાં ખેલદિલી તથા વિજિગીષા (જીતવાની ઝંખના) તો હતી જ, પરંતુ તે ઉપરાંત પણ એક અલગ જ પ્રકારનું ઝનૂન ઝળકી રહ્યું હતુ, જેમાંથી જુસ્સેદાર દેશભાવના છલકાતી દેખાઈ હતી.
આ વીક-એન્ડમાં ફૂટબોલના ખ્યાતનામ ખેલાડીનું ભારતભ્રમણ પણ ચર્ચામાં રહ્યું. કોલકાતાના કોલાહલ અને બંગાળમાં બબાલ થયા પછી હૈદરાબાદ અને મુંબઈની તેની મુલાકાત દરમ્યાન તંત્રો વિશેષ તકેદારી રાખતા જોવા મળ્યા, તો સેલિબ્રિટીઝ તથા સંબંધિત રાજ્યોની સરકારોના વરિષ્ઠો પણ જોડાયા. આમ, વીક-એન્ડ આ વિવાદાસ્પદ પણ રહ્યું અને વન્ડરફૂલ પણ રહ્યું તેમ કહી શકાય.
આ વીક-એન્ડમાં જ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિમણૂકે બધાને ચોંકાવી દીધા છે, તો બીજી તરફ ૧૯ ડિસેમ્બરે દેશના વડાપ્રધાન જ બદલાઈ જશે, તેવી વહેતી થયેલી વાતોને ભ્રમ ગણાવીને ભાજપે ફગાવી દીધી, અને તેની પાછળ જે ફરી એપસ્ટેઈન ફાઈલ્સના કરેલા ઉલ્લેખોને પણ નકારી દેવામાં આવ્યા છે. આ ઘટનાક્રમથી વન્ડરફૂલ વીક-એન્ડમાં એક ઘેરા સસ્પેન્સનો ઉદ્ભવ થયો છે, જેની ચર્ચાઓ ટોક ઓફ ધ નેશન બની છે, અને હવે ૧૯મી ડિસેમ્બરે કાંઈ થવાનું છે કે કેમ ? તેની જ રાહ જોવાની રહી, અને આ ખરેખર એક ભ્રમ જ છે કે પછી તેમાં તથ્ય છે, તે માટે તો ઈન્તેજાર જ કરવો પડશે.
આ તરફ કોંગ્રેસમાં પાર્ટીના અધ્યક્ષ પરિવારવાદ હેઠળ મોટા ભાગે નહેરૂ ગાંધીના પરિવારોમાંથી જ આવે છે, તે જ ભાજપે હવે ભાજપના એક વરિષ્ઠ નેતાના પુત્રને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા પછી સવાલ પૂછાઈ રહ્યો છે કે હવે પરિવારવાદ કયાં ગયો ?
છે....ને....વન્ડરફૂલ વીક-એન્ડ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કવિવર રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતાનો મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો, તે કવિતાના શબ્દો છે...
તારી જો હાક સુણીને કોઈ ના આવે રે,
તો એકલો જા ને રે...એકલો જા ને રે...
આ કવિતાની પ્રત્યેક પંક્તિમાં એક મજબૂત સંદેશ છૂપાયેલો છે. અને જ્યારે બધા લોકો મોઢું ફેરવી જાય કે વિપરીત સંજોગો ઊભા થાય ત્યારે, એકલા જ આગળ વધવાની પ્રેરણા અપાઈ રહી છે. આવી જ એક કવિતા ગોળમેજી પરિષદમાં લંડન જતા ગાંધીજી માટે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીએ "છેલ્લો કટોરો" શીર્ષકથી લખી હતી.
ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખેલી કવિતાના શબ્દો છે...
છેલ્લો કટોરો ઝેરનો, પી જજો બાપુ !
સાગર પીનારા, અંજલિ નવ ઢોળજો બાપુ !
અણખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન મારૃં,
ધૂર્તો-દગાબાજો થકી પડિયું પનારૃં,
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સુનારૂ,
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !
આ બંને કવિતાઓનો સંદર્ભ હાલના રાજકીય રંગમંચના ઘટનાક્રમોને આબેહૂબ લાગુ પડે છે. વર્ષ ૨૦૨૪માં ભાજપને પહેલાની બે લોકસભાની ચૂંટણીઓ કરતા ઓછી બેઠકો મળી હોવા છતાં એનડીએ ગઠબંધનની સરકારનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સરકાર પછીના દસ વર્ષ પછીની સ્થિતિમાં નવા નામકરણ સાથે વિપક્ષોનું "ઈન્ડિયા" ગઠબંધન રચાયું છે, જે હાલનું મજબૂત વિપક્ષી ગઠબંધન ગણાય છે.
વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતાપક્ષની પીછેહઠ પછી પણ સાથીદાર પક્ષોના ટેકાથી મોદી સરકાર ચાલી રહી છે, ત્યારે વિપક્ષો માટે એકજૂથ થઈને ભાજપને વધુ પડકાર આપવાની તક હતી, પરંતુ કેટલાક રાજ્યોમાં ભાજપને જનાદેશ મળ્યો, તો અન્ય કેટલાક રાજ્યોની વિધાનસભાઓમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકારોના સથવારે ભાજપે ડેમેજ કંટ્રોલ કરી લીધુ છે અને કેટલાક રાજ્યોમાં, ઉભયપક્ષે તોડફોડ પછી સત્તા પરિવર્તનો થયા છે, તો બીજી તરફ કોંગ્રેસ બદલાયેલી રાજકીય સ્થિતિનો લાભ લઈ શકી નથી. છેલ્લે બિહારમાં તો વિપક્ષોના સુપડા સાફ થઈ ગયા, અને નીતિશકુમારના નેતૃત્વમાં ત્યાં ફરીથી એનડીએની સરકર તોતીંગ બહુમતીથી રચાઈ, અને કોંગ્રેસને સિંગલ ડિજિટમાં બેઠકો મળી, તે પછી હવે કોંગ્રેસે કદાચ "એકલો જા ને રે..."કવિતાની જેમ એકલા જ ચૂંટણીઓના મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હોય અને છેલ્લો ઝેરનો કટોરો પી લેવાની ગાંધીબાપુને ઉદૃેશીને લખાયેલી કવિતા મુજબ ધૂર્ત અને ધોખેબાજો સાથે લડવા માટે કાંઈક અલગ જ રણનીતિ ઘડીને કોંગ્રેસે મક્કમતાથી એકલા હાથે રાજકીય પડકારો ઝીલવાનું નક્કી કર્યું હોય, તેવા સંકેતો મળી રહ્યા છે, અને કોંગ્રેસે દિલ્હીમાં એસઆઈઆર વિરોધી રેલીમાં અન્ય પક્ષોને બોલાવ્યા જ નથી.
બિહાર અને તે પહેલાની ચૂંટણીઓના અનુભવે એ સમજાયું છે કે જો કોંગ્રેસે એકલા હાથે ચૂંટણીઓ લડી હોત તો અત્યારે જે બેઠકો મળી રહી છે, તેના કરતા તો વધુ બેઠકો મળી જ હોત. કોંગ્રેસ જો એકલા હાથે ચૂંટણી લડે, તો સૌથી જૂની અને સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન રચાયેલી કોંગ્રેસ પાર્ટીના કમિટેડ મતો વહેંચાઈ ન જાય, અને સાથીદાર પક્ષોના વિરોધી જનમતનો ભોગ પણ કોંગ્રેસને બનવું ન પડે...
વિપક્ષોના ગઠબંધનમાં કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ હોવા છતાં બેઠકોની વહેંંચણી સમયે ઓછી બેઠકો મળે, તેમાં પણ કોંગ્રેસના કમિટેડ મતો તથા ભાજપ-એનડીએ વિરોધી જનમત રહેતો હોય, તેવી બેઠકો સાથીદાર પક્ષોને ફાળે જાય, ચૂંટણી પ્રચાર દરમ્યાન પ્રાદેશિક પક્ષોનો પ્રચાર પણ કોંગ્રેસે કરવો પડે, ત્યારે પ્રાદેશિક પક્ષો શાસિત રાજ્યોમાં ત્યાંની એન્ટી ઈન્કમ્બન્સીનો ભોગ કોંગ્રેસને પણ બનવું પડે, અને સૌથી વધુ મહત્ત્વનું એ પણ છે કે ગઠબંધન ધર્મ નિભાવીને કોંગ્રેસને ફાળે આવેલી બેઠકો પર સાથીદાર પક્ષોના કાર્યકરોએ કોંગ્રેસનો પ્રચાર કરવો જોઈએ અને પ્રાદેશિક પક્ષોના કમિટેડ મતો કોંગ્રેસને ટ્રાન્સફર થવા જોઈએ, તેવું થવાના બદલે મતો વહેંચાઈ (કે વેચાઈ) જાય, તેથી એકંદરે હવે ગઠબંધન રચીને ચૂંટણી લડવી, એ કોંગ્રેસ માટે ખોટનો સોદો બની રહ્યું હોવાના તારણો આંતરિક સર્વે તથા તટસ્થ વિશ્લેષકો દ્વારા નીકળી રહ્યા હોવાનું કહેવાય છે.
બીજી તરફ કોંગ્રેસના કમિટેડ મતો ગઠબંધનના સાથીદાર પક્ષોને ટ્રાન્સફર થતા ગઠબંધનના અન્ય પક્ષો મજબૂત બનતા જાય, અને કોંગ્રેસ નબળી પડતી જાય, તેવો ઘાટ સર્જાતા કોંગ્રેસ પણ "આપ" ની જેમ "એકલો જા ને રે..."ની નીતિ અપનાવવા જઈ રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. કેટલાક ચોક્કસ વિસ્તારો કે બેઠકો પર ગઠબંધનમાં રહીને લડવાથી કોંગ્રેસને ફાયદો પણ થઈ શકે, પરંતુ એકંદરે કોંગ્રેસના ભોગે અન્ય પક્ષો વધુ શક્તિશાળી બનતા જાય, અને કોંગ્રેસ દિવસે દિવસે નબળી પડતી જાય, તેના કરતા કોંગ્રેસ મોટેભાગે એકલા હાથે ચૂંટણી લડે, તો સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટીની શાખ પણ જળવાઈ રહે અને ભાજપ-એનડીએ સામેની એન્ટી ઈન્કમ્બન્સીનો મહત્તમ ફાયદો કોંગ્રેસને મળી શકે, તેવું ગણિત મંડાયું હોય તેમ જણાય છે.
કોંગ્રેસમાં ભૂતકાળમાં પણ ઘણી વખત પડકારો ઊભા થયા હતા અને ભાગલા પડતા રહ્યા હતા. અત્યારે ભાજપ, શિવસેના, સમાજવાદી, સામ્યવાદી અને ડાબેરી પક્ષો, મુસ્લિમ લીગ, ઓવૈસીની પાર્ટી જેવા કેટલાક રાજકીય પક્ષો સિવાયના મોટા ભાગના રાજકીય પક્ષો ભૂતકાળમાં વિખરાયેલી કોંગ્રેસમાંથી જ સ્થપાયા છે. વર્ષ ૧૯૬૯, ૧૯૭૫, ૧૯૮૯, ૧૯૯૫ અને ૧૯૯૯માં કોંગ્રેસને ઝટકો આપીને ઘણાં કદાવર નેતાઓએ કાં તો અન્ય રાજકીય પક્ષ બનાવ્યો, અથવા તો અન્ય પક્ષમાં પક્ષાંતર કર્યું, અને જે તે સમયે કોંગ્રેસ નબળી પડી ગઈ. કેટલીક વખત તો કોંગ્રેસના અસ્તિત્વનો સવાલ ઊભો થાય, તેવા ઘટનાક્રમો પણ સર્જાયા, પરંતુ ધીમે ધીમે આપબળે લડીને કોંગ્રેસ પુનઃ ઊભી થતી રહી. એકવીસમી સદીના પ્રારંભે કેન્દ્રમાંથી ભાજપના નેતૃત્વમાં રચાયેલી એનડીએની સરકારને હટાવવા કોંગ્રેસે યુપીએ ગઠબંધનનું નેતૃત્વ કર્યું અને દસ વર્ષ શાસન પણ કર્યું, પરંતુ તે પછી મોદી યુગ આવ્યો અને છેલ્લા દાયકામાં કોંગ્રેસ ધીમે ધીમે ઘસાતી જ રહી, જ્યારે યુપીએના સાથીદાર પક્ષોનું જોર વધતું રહ્યું. એકવીસમી સદીના પ્રારંભે કોંગ્રેસ પાસે જે રાજ્યો હતા, તે પણ ધીમે ધીમે સરકવા લાગ્યા. તેથી બિહારની ચૂંટણી પછી કોંગ્રેસે હવે "એકલા હાથે" તમામ ચૂંટણીઓ લડવાનો નિર્ણય લીધો હોય, તો તે સાચી દિશાનું કદમ હોવાના પ્રતિભાવો અને અભિપ્રાયો સામે આવી રહ્યા છે.
બીજી તરફ ભાજપ અને એનડીએને અંકુશમાં રાખવા કે મહાત કરવા એકજૂથ થવું પડે, તો પણ ગઠબંધનોમાં જોડાવાના બદલે પ્રદેશવાર તથા બેઠકવાર વિચારણા કરીને બેઠકોની વહેંચણી કરી શકાય, તેવો વિકલ્પ પણ ખુલ્લો રહે છે. ટૂંકમાં આ પ્રયોગ ટૂંકા ગાળા કે એકાદ ચૂંટણી પૂરતો મર્યાદિત નહીં, પણ લાંબા ગાળા માટે કરવો જોઈએ, તેવું તારણ નીકળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સંસદમાં એસઆઈઆરને લઈને બંને ગૃહોમાં લાંબી ચર્ચાઓ ચાલી અને કોંગ્રેસે સત્તાધારી પક્ષો અને ખાસ કરીને ભાજપ પર વોટચોરીના આક્ષેપો લગાવ્યા, ચૂંટણીપંચ પર આક્ષેપો કર્યા અને વોટ ચોર, ગાદી છોડની નારેબાજી સડકથી સંસદ સંકુલ સુધી ગુંજી. બીજી તરફ બિહાર પછી ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં એસઆઈઆરની કામગીરીનો પ્રથમ તબક્કાનો સમયગાળો ચૂંટણીપંચે વધારવો જ પડ્યો, અને થોડા દિવસો પહેલા અહીંથી જે સશંક અનુમાન કરાયું હતું, તે યથાર્થ ઠર્યું.
"નોબત"ના તા. ૧-૧૨-૨૫ના અખબારમાં તંત્રીલેખના માધ્યમથી અનુમાન કરાયું હતું કે બીએલઓ દ્વારા ઘેર ઘેર ફોર્મ્સ પહોંચાડીને યોગ્ય વિગતો લખાવીને પરત એકત્ર કરવા માટે એક મહિનાનો સમયગાળો પૂરો નહીં પડે, અને આ મુદ્દત ચૂંટણીપંચે વધારવી જ પડશે, અને ચૂંટણીપંચે આ મુદ્દત પુનઃ એક અઠવાડિયા સુધી લંબાવવી પડી છે, આ મુદ્દત વધાર્યા પછી પણ ફૂલપ્રૂફ મતદારયાદી તો તૈયાર નહીં જ થાય, અને એક વખત પ્રાથમિક (ડ્રાફટ) મતદારયાદી પ્રસિદ્ધ થશે, તે પછી તેને સુધારવા અને વાંધા-સૂચનો પૂરાવા મેળવ્યા પછી પણ ફાયનલ મતદારયાદી તૈયાર કરવા સુધીની પ્રક્રિયા માટે હજુ પણ સમયગાળો પૂરો નહીં પડે, તેવી આશંકા રહે છે.
ગઈકાલે સમાચાર આવ્યા હતા કે ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડૂ, છત્તીસગઢ અને આંદામાન નિકોબારમાં ચૂંટણીપંચે એસઆઈઆરની પ્રક્રિયાની મુદ્દત લંબાવી દીધી છે. આ કારણે ગુજરાતમાં એસઆઈઆરના ફોર્મ્સ ભરવાની છેલ્લી તારીખ ૧૪ ડિસેમ્બર થઈ ગઈ છે, અને ડ્રાફટ મતદારયાદી એટલે કે પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવાની તારીખ પણ ૧૬ ડિસેમ્બરથી લંબાવીને ૧૯મી ડિસેમ્બર કરવામાં આવી છે. આ જાહેરાત થયા પછી પણ વાંધા-સૂચનો તથા ચૂંટણીપંચની નોટિસ મળ્યેથી જરૂરી આધાર-પૂરાવા રજૂ કરવાની તક મળશે અને તે પછી નિયત કરેલા તથા વખતોવખત સુધરતા રહેતા ટાઈમટેબલ મુજબ આખરી મતદારયાદીઓ પ્રસિદ્ધ થવાની છે.
સંસદમાં એસઆઈઆરનો મુદ્દો દરરોજ ઉછળી રહ્યો છે, તો કેટલાક રાજયોમાં પણ એસઆઈઆરના મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે જ એસઆઈઆરનું ફોર્મ નહીં ભર્યું હોવાના ગઈકાલે આવેલા અહેવાલોના અનુસંધાને રાજનીતિ ગરમ થઈ ગઈ છે અને તેણીએ વેલણ લઈને તૈયાર રહેવા જેવી કોઈ વાત કરી હોવાના અહેવાલોએ પણ વિવાદ જગાવ્યો છે, તો બીજી તરફ ગુજરાતમાં પણ આ મુદ્દે રાજનીતિ ગરમાઈ રહી છે, અને કોંગ્રેસે રાજયમાં કેટલી વોટ ચોરી થઈ છે, તેના આંકડાઓને ટાંકીને ચૂંટણીપંચ તથા સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા પછી હલચલ મચી ગઈ છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ગઈકાલની પ્રેસ-કોન્ફરન્સના પડઘા પણ દેશની રાજધાની સુધી પડ્યા હશે. આ પત્રકાર પરિષદમાં ચાવડાએ એવો દાવો કર્યો હતો કે ગુજરાતમાં ૧૪ ટકા જેટલી વોટ ચોરી થઈ છે.
રાજ્યમાં ૫.૦૮ કરોડથી વધુ મતદારો મતદારયાદીમાં હતા, તેમાંથી મૃત્યુ પામેલા, સ્થળાંતર કરી અન્યત્ર ચાલ્યા ગયેલા, ડુપ્લીકેટ અને મળી નહીં આવતા કુલ ૭૪ લાખથી વધુ મતદારોના નામ હટાવાયા હોય, તો એમ કહી શકાય કે ગુજરાતની મતદારયાદીઓના દૃષ્ટિકોણથી ૧૪.૬૧ ટકા મતોની અત્યાર સુધી ચોરી થતી હશે. જે નામો હટાવાયા છે, તેના નામે તાજેતરની ચૂંટણીઓમાં મતદાન કરાયું હતું કે કેમ ? અને કરાયું હોય તો કોણે કર્યું હતું, તેની તપાસ તો થવી જ જોઈએ, પરંતુ નિયમાનુસાર જો કોર્ટ કેસ થયો ન હોય કે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ ન થઈ હોય તો નિયત સમય મર્યાદા પછી ચૂંટણી પ્રક્રિયાના વીડિયો ફૂટેજ, સીસીટીવી ફૂટેજ, વગેરેનો નાશ કરી દેવાતો હોવાથી આ પ્રકારની તપાસ સંભવ બનતી નહીં હોવાની ચર્ચા પણ થઈ રહી છે. તો ભાજપ એવું કહે છે કે માત્ર પ્રેસ-મીડિયા સમક્ષ નિવેદનો અને પ્રેઝન્ટેશનો રજૂ કરવાના બદલે પહેલા ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરવા અને જરૂર પડયે અદાલતના દ્વાર ખખડાવવાની હિંમત કેમ થતી નથી ? જો આક્ષેપો સાચા જ હોય તો બંધારણીય અને ન્યાયિક વ્યવસ્થાઓનો માર્ગ અપનાવવાના બદલે ગૃહમાં હોબાળા કરવા તથા પ્રેસ-મીડિયામાં ગોકીરૃં કરવાની તરકીબોને જનતા ઓળખી ગઈ છે વગેરે...
આ આંકડાઓને જ મુદ્દો બનાવીને અમિત ચાવડાએ એવો સણસણતો આક્ષેપ કર્યો છે કે વર્ષ ૨૦૦૨ થી અત્યાર સુધીમાં જેટલી ચૂંટણીઓ થઈ છે, તેમાં ભાજપે ૧૪ ટકા થી વધુ "વોટ ચોરી" કરી છે. તેમણે એસઆઈઆરની અણઘડ કાર્યવાહી તથા અંધાધૂંધ દબાણયુક્ત આદેશો દ્વારા માનસિક તાણ અને પ્રેશરના કારણે ૯ જેટલા બીએલઓએ જીવ ગુમાવ્યો હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ચૂંટણીપંચ પોતાની ભૂલો પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
બીજી તરફ ચૂંટણીપંચે દાવો કર્યો હતો કે ૧૧મી ડિસેમ્બર સુધીમાં રાજ્યના ૨૭ જિલ્લાઓમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલની મતદારયાદીમાંથી અવસાન પામેલા ૧૮ લાખથી વધુ મતદારો, ૩.૩૭ લાખથી વધુ રિપીટેડ મતદારો અને કાયમી ધોરણે સ્થળાંતર થયેલા ૪૦.૪૪ લાખ સહિત ૭૪લાખ મતદારો અંગે ચૂંટણીપંચ નિયમાનુસાર પ્રક્રિયા હાથ ધરશે, તેમ જાહેર થયું છે.
આ આંકડાઓ જોતાં પ્રશ્ન એ ઉઠે છે કે કાયમી સ્થળાંતર થયેલા મતદારોના નામો તેઓના નવા સરનામે ઉમેરાયા છે ખરા ? જે નામો રિપીટેડ એટલે કે બ જગ્યાએ નોંધાયેલા હોય, તે ચૂંટણીપંચની જ સિસ્ટમની ગંભીર ક્ષતિ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. નોકરી-ધંધાના કારણે ગામ-શહેર કે જિલ્લો બદલીને અન્યત્ર રહેવા ગયેલા મતદારોને જ્યારે કોઈ ચૂંટણી આવે ત્યારે નવા સ્થળે ઉમેરવાનું ફોર્મ ભરતી વેળાએ જ તેના જૂના સરનામાની વિગતો મતદારે દર્શાવી હોવા છતાં, જૂની જગ્યાએથી જેઓના (સિસ્ટમની કાયમી ખામીના કારણે) નામ કમી થયા નહોતા, તેવા રિપીટેડ ઉમેદવારોના નામ હટાવાયા હોય તો તેમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ પણ સર્જાયો છે, હવે એસઆઈઆર પ્રક્રિયા સંપન્ન થયા પછી પણ સ્થળાંતર થયેલા ૪૦ લાખથી વધુ મતદારો નવા સ્થળે મતદાર તરીકે ઉમેરાયા છે કે નહીં, તેની તપાસ કોણ કરશે ? તેવો સવાલ અસ્થાને નથી...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નગરમાં ઝળહળાટ, દેશમાં ઉલ્લાસ, 'રામરાજ્ય'ની પરિકલ્પના સાકાર થશે ?
ગઈકાલે છોટી કાશી ગણાતું રજવાડીનગર જામનગર રાત્રિના સમયે વધુ ઝળહળી ઉઠયું હતું અને દીપોત્સવી પર્વ પછી ફરીથી દિવાળીની ઉજવણી શરૂ થઈ રહી હોય, તેમ રંગોળીઓ દોરવામાં આવી હતી, નગરના મ્યુઝિયમમાં એક હજાર દિવળાઓ પ્રજજવલીત થયા હતા, જેથી "દીપોત્સવી" પર્વ જેવો માહોલ સર્જાયો હતો. રંગબેરંગી રોશની, રૂપાળી રંગોળીઓ અને દીપોત્સવ નો ત્રિવેણી સંગમ થતા લાખેણું લાખોટા તળાવ ઘણું જ આકર્ષક, મનમોહક અને સોહામણું લાગી રહ્યું હતું.
જામનગરમાં કરોડોના ખર્ચે નિર્માણ થયેલો ફલાય ઓવરબ્રિજ તાજેતરમાં જ ખુલ્લો મુકાયો છે, અને તેમાં અંગ્રેજોને હંફાવનાર રાણી લક્ષ્મીબાઈની ઘોડેશ્વાર સ્વરૂપની તલવાર ધારણ કરેલી પ્રતિમાની ફરતે થયેલા સુશોભન અને તેને ફરતે નવનિર્મિત ફલાય ઓવરબ્રિજને રંગબેરંગી રોશનીથી ઝળહળતો કરાયો છે, તેની સાથે નયનરમ્ય કલરફૂલ ફૂવારાઓનો સંગમ તથા અદ્ભુત દૃશ્યો સર્જાય છે. આ સ્થળે રોશનીનો ઝગમગાટ કાંઈક અલગ જ ભાત પાડી રહ્યો હતો, અને દિવાળીના પર્વે થતા સુશોભન અને રોશની જેવા જ આબેહૂબ દૃશ્યો ખડા થયા હતા.
આ ઉપરાંત જામનગરમાં ઠેર ઠેર સુશોભનો તથા રંગબેરંગી અદ્ભુત અને આકર્ષક રોશનીના ઝળહળાટથી ઐતિહાસિક અને પ્રવર્તમાન સમયમાં વ્યૂહાત્મક તથા વિકાસની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવું જામનગર કાંઈક અલગ જ ભાત પાડતું જણાતુ હતું. અનેક સ્થળોએ વિશેષ રંગોળીઓ દોરવામાં આવી હતી અને તેની ફરતે દિવડાઓ ગોઠવીને સુંદર કલાત્મક દૃશ્યો ઊભા કરાયા હતા. કલેકટરની કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી જેવા સરકારી કાર્યાલયો પણ ઝળહળી રહ્યા હતા અને જિલ્લા સેવા સદનો ઉપરાંત લાલબંગલા સર્કલ, કેટલાક મંદિરો તથા નગરના મુખ્ય સંકુલોમાં સુશોભન, અને કલરફૂલ લાઈટીંગ સાથે દિવડાઓ પ્રગટાવાયા હતા અને રંગોળીઓ દોરવામાં આવી હતી.
આ ઝળહળાટ જોઈને કોઈને પણ સવાલ ઉઠે કે ફરીથી દિવાળી આવી ગઈ કે શું ? આવી રીતે આખું નગર કેમ સુશોભિત અને ઝગમગતું કરાયું છે ? તો તેનો જવાબ પણ એવો મળ્યો કે, હા, જામનગરમાં આ વર્ષે ફરીથી દિવાળી ઉજવાઈ રહી છે, અને જામનગરમાં ગઈકાલે 'ઈન્ટેન્જિબલ દિવાળી'ની ઉજવણી થઈ હતી અને તેના સંદર્ભે આજે સવારે પણ ટાઉનહોલમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
હકીકતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે સંકળાયેલી સંસ્થા યુનેસ્કોની આ વર્ષે દિલ્હીના લાલ કિલ્લામાં યોજાયેલી બેઠક દરમ્યાન દિવાળીના તહેવારને "અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત" માં સામેલ કરવાની જાહેરાત થઈ, તેના સંદર્ભે થઈ રહેલી દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે જામનગરમાં પણ ગઈકાલે આ ઉજવણી થઈ હતી, અને એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આપણાં દેશના આ તહેવારને મળેલા ગૌરવના વધામણાં થયા હતા. યૂનેસ્કોએ ભારતના ગૌરવભર્યા સાંસ્કૃતિક વારસા તરીકે દિવાળીના તહેવારનો સ્વીકાર કર્યો હતો, તેને વિશ્વભરમાં વસવાટ કરતા ભારતીયો દ્વારા પણ આવકાર અપાઈ રહ્યો છે, અને તદ્ વિષયક પ્રશંસાત્મક પ્રતિભાવો આવી રહ્યા છે.
હકીકતે યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્ર સંઘને સંલગ્ન સંસ્થા છે, જેનું ફૂલફોર્મ "યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન" છે, એટલે કે "સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન" તેવો તજુરમો કરી શકાય.
યુનેસ્કો વિશ્વના દેશોમાં શિક્ષણ, સાંસ્કૃતિક અને વિજ્ઞાનના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગને વિસ્તારવા અને પ્રોત્સાહિત આપવાનું કામ કરે છે. યુનેસ્કોનું મુખ્ય મથક ફ્રાન્સના પેરિસમાં છે. યુનેસ્કોના પ્રમુખપદે વર્ષ-૨૦૧૭થી સેવા આપતા મહિલા અગ્રણી ઓડ્રે અકોલેના સ્થાને નવેમ્બર-૨૦૨૫માં ચૂંટાયેલા ખાલિદ અલ એનાની હવે કાર્યભાર સંભાળવાના છે, તેવા સમયે ભારતને મળેલું આ ગૌરવ આપણાં દેશના તહેવારોની વૈશ્વિક ઓળખ પણ પ્રસ્થાપિત કરે છે. યુનેસ્કોમાં ૧૯૪ દેશ સામેલ છે, અને બીજા ૧૨ દેશો સહયોગી છે. એટલે કે લગભગ આખી દુનિયામાં સકારાત્મક અને સર્વવ્યાપી દૃષ્ટિએ કાર્યરત આ સંસ્થા ઘણી જ મહત્ત્વપૂર્ણ છે, આ સંસ્થાના પ્રમુખને મહાનિર્દેશક કહેવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવાના ઉદૃેશ્યથી ૧૬ નવેમ્બર ૧૯૪૫ના દિવસે થઈ હતી, અને ભારત આઝાદી પહેલાથી જ વર્ષ-૧૯૪૬થી આ સંસ્થાનું સભ્ય છે. આ વૈશ્વિક સંસ્થાએ આપણાં દેશના હવે સાર્વજનિક તહેવાર જેવા બની ચૂકેલા ફેસ્ટિવલને "અમૂર્ત સાંસ્કૃતિક વારસો" જાહેર કર્યો છે, જેની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. દિવાળીના પર્વે વનવાસ પછી "રામરાજ્ય" ની અયોધ્યામાં પુનઃ સ્થાપનાનો ઈતિહાસ છે.
આ દેશવ્યાપી ઉજવણી હતી, અને આપણે તેની ઉજવણી દિવાળી અને રાષ્ટ્રીય પર્વની જેમ જ જામનગર સહિત હાલારમાં ભલે કરી હોય, પરંતુ આ ઝળહળાટ પાછળ છુપાયેલી કેટલીક કડવી વાસ્તવિકતાઓને પણ સ્વીકારવી પડે અને દેશના પ્રત્યેક નાગરિકના જીવનમાં આ જ પ્રકારનો ઝળહળાટ આવે, સામાન્ય જનતાના જીવનમાં રોનક આવે અને હવાઈ સિદ્ધિઓના ગુબ્બારાના ગ્લેમરમાં ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ વિસરાઈ ન જાય, તેનું ધ્યાન રાખીએ. દિવાળીના તહેવારને મળેલા વૈશ્વિક ગૌરવને આવકારીએ અને દિવાળીના પર્વે સ્થપાયેલા "રામ રાજ્ય"ની પરિકલ્પનાને સાર્થક કરવા માટે આશાવાદી બનીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ટી-૨૦ ક્રિકેટ મેચમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ૧૦૧ રને જીતી અને દ.આફ્રિકાની ટીમ માત્ર ૭૪ રનમાં જ સમેટાઈ ગઈ. આમ, પહેલી જ મેચ હારીને દક્ષિણ આફ્રિકાની ટીમ થોડી બેકફૂટ પર આવી ગઈ, અને ઈન્ડિયાનો જુસ્સો વધ્યો. દ.આફ્રિકાની ટીમ પૂરી ૧૩ ઓવર પણ રમી શકી નહીં, અને ભારતના બોલરો સામે દ. આફ્રિકાએ ઘૂંટણીયા ટેકવી દીધા હોય,તેમ જણાયુ. ક્રિકેટના ટી-૨૦ મેચની જેમ જ રાજકીય પીચ પર પણ રસાકસીભરી રાજરમત રમાઈ રહી છે અને રોમાંચક રાજકીય ખેલ જામશે, તેમ જણાય છે.
સંસદમાં પણ વંદે માતરમ્ના વિષય પર ઐતિહાસિક ચર્ચા થઈ અને એસઆઈઆરના મુદ્દે પણ ગરમાગરમ ચર્ચા થશે, આ ચર્ચાઓ દરમ્યાન ટ્રેઝરી બેન્ચ અને ઓપોઝીશન (શાસક પક્ષો અને વિપક્ષો) વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપોની ફટકાબાજી થઈ, ચોકા અને છક્કા ફટકારાયા, બાઉન્સર અને પેસ બોલીંગ પણ થઈ અને સ્પીન તથા મીડિયમ પેસર બોલરની જેમ દ્વિઅર્થી તથા વ્યંગાત્મક વકતવ્યો પણ થયા, ગુગલી પણ ફેંકાઈ અને શોર્ટપીચ બોલીંગની જેમ તીખા-તમતમતા નિવેદનો પણ થયા. છેલ્લી ત્રણ સદીના ઈતિહાસથી લઈને રામાયણ-મહાભારત કાળ અને તેથીયે પ્રાચીનકાળના ઉલ્લેખો થયા. એકંદરે આ બધી ચર્ચાઓ સાર્થક નિવડી, નિરર્થક હતી કે કેટલાક અંશે ઉપયોગી અને કેટલાક અંશે ફાલતૂ હતી, તેનું તારણ કાઢવાનું મહત્ત્વપૂર્ણ કામ દેશની શાણી અને લોકતાંત્રિક ઢબે પરિપક્વ થઈ ચૂકેલી જનતા પર છોડીએ, પરંતુ આ ચર્ચાઓ દરમ્યાન પણ "ઘૂંટણીએ" પડી જવાના વ્યંગાત્મક સંકેતો પણ અપાયા, અને કટાક્ષો પણ થયા.આ પ્રકારની ચર્ચાઓ દરમ્યાન દેશની ગરીબી, બેરોજગારી, મોંઘવારી જેવી સમસ્યાઓથી લઈને બેલેટ પેપરથી ચૂંટણીઓમાં થતા બૂથ કેપ્ચરીંગ થી લઈને ઈવીએમ અને એસઆઈઆર સુધીના ઉલ્લેખો કરીને રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા અને પરસ્પર "ચીર હરણ" કરતા હોય, તેવા તથ્યો વર્ણવીને પૂરવાર કર્યું કેે "હમામ મેં સબ નંગે હૈ..."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે માતરમ્ના મુદ્દે મુસ્લિમ લીગ સામે ઘૂંટણીએ પડવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો, તો વિવિધ ચર્ચાઓ દરમ્યાન સંસદમાં રાહુલ ગાંધીએ "વોટચોરી"નો મુદ્દો ઉઠાવ્યો, અને નિશાંત દુબેએ ભૂતકાળની વોટચોરી વર્ણવી...તો ગુજરાતમાં કાંઈક અલગ જ દૃશ્યો સર્જાયા.
જેવી રીતે દ.આફ્રિકાની ટીમે ટીમ ઈન્ડિયા સામે ઘુંટણીયા ટેકવી દીધા, અને રાજકીય ખેલની વાતોમાં પણ ઘુંટણીયે પડવાનો મતલબ નીકળતો હોય, તેવા વ્યંગબાણો છૂટ્યા હતા, તેવી જ રીતે ગુજરાતની મુલાકાતે "આપ"ના અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર ઈન્ડિગો એરલાઈન્સ સામે ઘુંટણીયે પડી ગઈ હોવાનો આક્ષેપ કર્યો...
જેવી રીતે અમદાવાદમાં વિરાટ ખેલ સંકુલ ઊભું કરીને તથા મોટેરા સ્ટેડિયમને વધુ મોટું કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવીને ગુજરાતને ગ્લોબલ ઓલિમ્પિક તથા કોમનવેલ્થ ખેલો માટે તૈયાર કર્યું, તેવી જ રીતે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ પણ આગામી ચૂંટણીઓ માટે ગુજરાતની ભૂમિ પસંદ કરી લીધી હોય તેમ જણાય છે. કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રીયકક્ષાનું અધિવેશન યોજ્યું અને યાત્રાઓ કાઢી, તો આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતમાં શ્રેણીબદ્ધ પ્રવાસો, કાર્યક્રમો અને સભાઓ યોજવાની શરૂઆત કરી દીધી છે. અરવિંદ કેજરીવાલના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે અને જિલ્લા-તાલુકા અને ગ્રામ્યકક્ષા સુધી આમઆદમી પાર્ટીનું નેટવર્ક ગોઠવાઈ રહ્યું છે, તેથી હવે રાજકીય ક્ષેત્રના ટી-૨૦, વન-ડે અને છેલ્લે ટેસ્ટમેચ એટલે કે પંચાયત, પાલિકા, મહાપાલિકાની ચૂંટણીઓ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને વર્ષ ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીઓ માટેની રાજકીય પીચ પણ તૈયાર કરવામાં આવી રહી હોય તેમ જણાય છે.
અરવિંદ કેજરીવાલે રાજકોટની મુલાકાત દરમ્યાન ગુજરાતની ભાજપની સરકારને તાનાશાહીનું જિવંત ઉદાહરણ ગણાવી છે. ગોવા અગ્નિકાંડના દોષિતો દેશ છોડીને ભાગી ગયા, અને ખેડૂતો સાથે અન્યાય થાય છે, તેવા આક્ષેપો ઉપરાંત કેજરીવાલે પેપરલીક, દારૂબંધી, ડ્રગ્સ વગેરે મુદ્દાઓ ઉઠાવીને એવો વિચિત્ર આક્ષેપ પણ કર્યો કે ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સાઠગાંઠ છે, અને બંને સાથે મળીને શાસન ચલાવી રહ્યા છે !
કેજરીવાલે આક્ષેપબાજી અને બળાપો કાઢયા પછી એવો દાવો પણ કર્યો છે કે વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીને બહુમત મળશે. કેજરીવાલની આ મુલાકાત દરમ્યાન ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા વગેરે સ્થાનિક નેતાઓના નિવેદનો પણ ઘણાં જ સૂચક છે.
હવે કોણ કોના ઘુંટણીએ પડયું છે, કોની-કોની વચ્ચે મિલીભગત છે અને આગામી ચૂંટણીઓ કોણ જીતશે, તેનો નિર્ણય અંતે તો ગુજરાતની જનતા જ કરશે ને ? યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ...
એટલું ચોક્કસ છે કે આવતા વર્ષે થનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અને તે પછી વર્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ભાજપ તદૃન સરળતાથી જીતી શકે તેમ જણાતુ નથી, જ્યારે આપ અને કોંગ્રેસ માટે પણ કપરાં ચઢાણ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના એક રિસર્ચ પેપરને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ દેશના જીડીપી ગ્રોથમાં ગુજરાત ટોપ-ફાઈવમાં આવ્યું છે. ગુજરાતનો દેેશના જીડીપીમાં હિસ્સો વર્ષ-૨૦૨૦-૨૧માં ૭.૫ ટકા હતો, જે વર્ષ ૨૦૨૦-૨૧માં ૮ ટકા અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૮.૧ ટકા થયો છે. મહારાષ્ટ્રનો દેશના જીડીપીમાં વર્ષ ૨૦૧૦-૧૧માં ૧૫.૨ ટકા હિસ્સો હતો, તે વર્ષ ૨૦૨૩-૨૪માં ઘટીને ૧૩.૧ ટકા થયો છે. આ રિસર્ચ પેપરમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોનું દેશના જીડીપીમાં અવ્વલ યોગદાન રહ્યું હોવાના તારણો કઢાયા છે. અને બંને રાજ્યોને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે.
ભારત આઝાદ થયા પછી ભાષા આધારિત રાજ્યોની વર્ષ ૧૯૫૬માં રચના થઈ, તે સમયે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો નહોતા, પરંતુ મરાઠી અને ગુજરાતી ભાષા બોલતા નાના નાના રાજ્યોનો સમૂહ બૃહદ મુંબઈ રાજ્યમાં સમાવાયો હતો. રાજાશાહીના સમયના નાના મોટા રાજ્યોના વિલીનીકરણ પછી દેશમાં જ્યારે ભાષા આધારિત રાજ્યો રચાયા, ત્યારે બૃહદ મુંબઈમાં મુખ્યત્વે બોલાતી મરાઠી અને ગુજરાતી ભાષા આધારિત રાજ્યોની કોઈ કારણે રચના થઈ નહીં, પરંતુ તે પછી મહાગુજરાત આંદોલન તથા બીજી તરફ મરાઠી ભાષા બોલતા રાજ્યની રચના માટે પણ જન ચળવળો શરૂ થઈ, તે પછી અંતે વર્ષ ૧૯૬૦ના દિવસે બૃહદ મુંબઈ રાજ્ય (બોમ્બે સ્ટેટ)માંથી બે રાજ્યોની રચના થઈ, જેમાંથી એક રાજ્ય ગુજરાત અને બીજું રાજ્ય હતું મહારાષ્ટ્ર...
આ બંને રાજયોની રચના સમયે દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ ગુજરાતમાં રહેશે કે મહારાષ્ટ્રમાં, તે અંગે પણ ખેંચતાણ થઈ હતી એન છેવટે મુંબઈ મહારાષ્ટ્રમાં રહ્યું હતું. જ્યારે પશ્ચિમ રેલવેના મુખ્ય મથક સહિતના કેટલાક રાજ્યકક્ષાના એકમો અને સંસ્થાનો ગુજરાતને ફાળવવાની વાત થઈ હતી, જેમાંથી મોટા ભાગે તે પછી અમલ થયો નહોતો, જેથી એ એક અલગ વિવાદનો વિષય બન્યો હતો.
દેશની આર્થિક રાજધાની મુંબઈ મહારાષ્ટ્રમાં હોવાથી દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન સર્વાધિક રહે, તે સ્વાભાવિક છે, પરંતુ ગુજરાત પણ દેશના વિકાસમાં પહેલેથી જ સહભાગી રહ્યું છે, અને પ્રવર્તમાનકાળમાં ટોચના ઉદ્યોગપતિઓ તથા બિઝનેસમેનોમાં ઘણાં ગુજરાતીઓ છે. મુંબઈ તથા મહારાષ્ટ્રમાં રહેતા મૂળ ગુજરાતના વતનીઓ પણ ત્યાંના વ્યાપાર ઉદ્યોગમાં સહભાગી છે. ગુજરાતીઓ બિઝનેસ-ઈન્ડસ્ટ્રીઝમાં પાવરધા અને પાવરફૂલ ગણાતા હોવાથી બંને રાજ્યોમાં ગુજરાતીઓની બોલબાલા જળવાઈ રહી છે, અને બંને રાજ્યો દેશની જીડીપી અગ્રતાક્રમે સહભાગી બનતા આવ્યા છે, અને ગ્લોબલ બિઝનેસ તથા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં પણ અવ્વલ રહ્યા છે.
મહારાષ્ટ્ર માથાદીઠ આવકમાં હંમેશાં ગુજરાતથી આગળ રહ્યું છે, અને બંને રાજ્યો છુટા પડયા અથવા બંને રાજ્યોની રચના થઈ, તે વર્ષ ૧૯૬૦થી વર્ષ ૨૦૧૦-૧૧ સુધી હંમેશાં મહારાષ્ટ્રની માથાદીઠ આવક ગુજરાત કરતા વધુ રહી હતી, પરંતુ છેલ્લા એક દાયકામાં ભારતે આ મામલે પણ મહારાષ્ટ્રને પાછળ છોડી દીધું છે, અને ગુજરાત માથાદીઠ આવકમાં દેશમાં ટોપ-ફાઈવમાં આવ્યું હોવાનો દાવો કરાયો છે.
અહેવાલો અનુસાર ગુજરાતે ઈકોનોમિ સેકટરમાં નવો માઈલસ્ટોન પાર કર્યા છે, અને રાજ્યની માથાદીઠ આવક (ઈન્કમ પર હેડ) રૂ. ત્રણ લાખને વટાવી ગઈ છે. દેશના તમામ રાજ્યોમાં ગુજરાત ત્રણ લાખ નવસો સતાવન રૂપિયાની માથાદીઠ આવક સાથે દેશના ટોપ-ફાઈવમાં પહોંચ્યું છે. તાજેતરના ડેટા અનુસાર વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૨૪.૬૨ લાખ કરોડના ઘરેલુ ઉત્પાદન (જીએસડીપી) સાથે દેશના ટોપ-ફાઈવ રાજ્યોમાં ગુજરાત પહોંચ્યું છે અને મહારાષ્ટ્રને માથાદીઠ આવકમાં પાછળ છોડયું છે.
વિવિધ માપદંડો મુજબ થતા રિસર્ચમાં કેટલાક ક્ષેત્રે ગુજરાત અવ્વલ રહ્યું છે. વર્ષ ૨૦૧૨-૧૩થી વર્ષ ૨૦૨૩-૨૪ના સમયગાળામાં હાંસલ કરેલો ૮.૪૨ ટકાનો ગ્રોથ રેઈટ રૂા ૧૦ લાખ કરોડથી વધુની ઈકોનોમિ ધરાવતા રાજ્યોમાં સૌથી વધુ છે. આ માપદંડોમાં ગુજરાતે કર્ણાટક અને તમિલનાડુને પાછળ છોડીને હાઈ જમ્પ લગાવ્યો છે. ગુજરાતમાં સ્ટ્રોંગ ઈન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર, ઈન્વેસ્ટર ફ્રેન્ડલી સિસ્ટમ અને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રકચર તથા કાર્યક્ષમ અને પ્રો-પબ્લિક તથા પ્રો-બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ પોલિસીના કારણે ગુજરાતે ઈકોનોમિના ક્ષેત્રે હાઈ જમ્પ લગાવ્યો હોવાના તારણો પણ કાઢવામાં આવી રહ્યા છે.
આ નોંધપાત્ર સિદ્ધિ છે અને ગુજરાત માટે ગૌરવરૂપ છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં માથાદીઠ આવક વધુ હોય અને બંને રાજ્યો ભલે દેશની ઈકોનોમિમાં અવ્વલ હિસ્સો આપનાર ટોપ-ફાઈવ રાજ્યોમાં સ્થાન પામ્યા હોય, તો પણ બંને રાજ્યોની જનતાની મૂળભૂત જરૂરિયાતો હજુ પૂરેપૂરી સંતોષી શકાઈ નથી અને નાની નાની જણાતી સમસ્યાઓ પણ હલ થઈ શકી નથી. બંને રાજયોમાં શિક્ષણ, આરોગ્ય, પોષણની અપૂરતી વ્યવસ્થાઓ, ગરીબી, સ્થાનિક બેરોજગારીની સમસ્યાઓ છે. બંને રાજયોમાં શહેરી વિકાસની તુલનામાં ગ્રામ્ય વિકાસ ઘણો જ ઓછો છે. ટૂંકમાં જે માથાદીઠ આવક વધી રહી છે, તેમાં ધનિકો વધુ ધનવાન બની રહ્યા છે, અને ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો નથી, તે કડવી વાસ્તવિકતા છે.
આ બંને રાજ્યો વચ્ચે ઘણી સમાનતા હોવા છતાં પ્રવર્તમાન રાજકીય વિરોધાભાષને કારણે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ભાષાવાદ ફરીથી પનપી રહ્યો છે. તાજેતરમાં એક ગુજરાતી પરિવારને કાર ઓવરટેઈકના સામાન્ય મુદ્દે મરાઠા પરિવાર સાથે નાનકડી તકરાર થઈ અને ગુજરાતી પરિવારને જે-તે સમયે માફી મંગાવ્યા પછી ફરિયાદ થતા આ મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ પ્રકારની ઘટનાઓ દેશની એકતા અને અખંડિતતા માટે ખતરારૂપ ગણાય.
ભાષાના આધારે ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે થયેલા આંદોલનો સમયે મુદ્દા આધારિત લડત કેન્દ્ર સરકાર સામે હતી, પરંતુ ગુજરાતીઓ અને મરાઠાઓ વચ્ચે નફરત ફેલાય, તેવી ભાવના નહોતી, પરંતુ અત્યારે જે કાંઈ બની રહ્યું છે તે બંને રાજ્યોના સહ-અસ્તિત્વ અને શાંતીમય સૌજન્ય તથા સૌહાર્દ માટે ઘાતક બની શકે તેમ છે, તેથી આ મુદ્દે તમામ રાજકીય પક્ષોની રાષ્ટ્રીય નેતાગીરીને ગંભીર ચિંતન કરીને હસ્તક્ષેપ કરવો પડે તેમ છે.
મહારાષ્ટ્રનો આર્થિક ગ્રોથ ઘટી રહ્યો હોય, તો તેની પાછળ કદાચ છેલ્લા બે દાયકાથી ચાલી રહેલી રાજકીય ઉઠાપટક જવાબદાર (કાંઈક અંશે) હોઈ શકે, પરંતુ ગુજરાતમાં તો ત્રણ દાયકાથી ભાજપની જ સરકાર છે ને ? સમસ્યાઓ ઉકેલો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં ગોપલ ઈટાલિયા પર જુતુ ફેંકાયુ, અને તેમણે વિધિવત ફરિયાદ ન કરી., જૂતુ ફેંકનારના પૂર્વ-ઈતિહાસની વાતો થઈ, અને તેમણે કયા કારણે આવું કર્યું તેની કરેલી ચોખવટ પણ ચર્ચાના ચાકડે ચડી. આ આખા ઘટનાક્રમનો રાજકીય ફાયદો એકંદરે કોને થશે અને આ પ્રકારની ઘટનાઓ શું પ્રિ-પ્લાનેડ હોય છે કે વ્યક્તિગત ઉશ્કેરાટ કે સંતોષનો ઉભરો હોય છે, તેની ચર્ચાઓ પણ થઈ, પરંતુ અંતે આ પ્રકારની ઘટનાઓ સ્વીકૃતી નથી, તેવા અભિપ્રાયો સાથે પ્રકરણ વાઈન્ડ અપ કરવાની રાબેતા મુજબ કોશિશ થઈ.
બીજી ઘટના જોઈએ, ભાજપના આખાબોલા સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ કોઈનું નામ કે સંદર્ભ જણાવ્યા વિના એવો આક્ષેપ કરી દીધો કે સનસનાટી મચી ગઈ.
તંત્રના અધિકારીઓ પર નાના-મોટા વિકાસકાર્યોમાં તપાસ માંગી, તેને સોશ્યલ મીડિયામાં મૂકી અને પ્રચાર-પ્રસિદ્ધિ કર્યા પછી તેની પાસેથી લાખો રૂપિયાનો તોડ નો આમઆદમી પાર્ટી પર આક્ષેપ મુકતા મુકતા મનસુખભાઈ વસાવાએ કેટલાક દૃષ્ટાંતો આપ્યા, પણ નામ, સંદર્ભ વિના...
એવું કહેવાય છે કે આ વાત કરતા કરતા મનસુખભાઈ આ પ્રકારના ષડયંત્રો તમામ પક્ષોના કેટલાક નેતાઓ કરી રહ્યા હોવાનું કહેતા પોતાની જ પાર્ટી માટે સેલ્ફ ગોલ કરી લીધો હતો, અને પૂરવાર કર્યું હતું કે હમામ મેં સબ નંગે હૈ...!
ત્રીજું દૃષ્ટાંત જોઈએ તો, એક કાર્યક્રમમાં ભાજપ અને વિપક્ષની સેલિબ્રિટિઝ બહેનોએ એક સાથે નૃત્ય કર્યું, અને તેના રાજકીય પ્રત્યાઘાતો પણ પડવા લાગ્યા હતા.
બન્યું હતું એવું કે ભાજપના સાંસદ નવીન જીંદાલને ત્યાં લગ્ન પ્રસંગમાં ભાજપના કંગના રનૌત, તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા અને એનસીપી (શરદજૂથ) ના સુપ્રિયા સુલે એક સાથે એક જ સ્ટેજ પર ડાન્સ કરતા હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. એવું કહેવાય છે કે આ વીડિયો કોઈ કાર્યક્રમ માટે રિહર્સલનો છે, પરંતુ તેમાં રાજનીતિની વાસ્તવિકતા પણ પ્રગટે છે, રાજનેતાઓ ભલે સડકથી સંસદ સુધી સટાસટી બોલાવતા રહેતા હોય, પરંતુ વ્યક્તિગત રીતે તેઓ એકબીજા પ્રત્યે આદર રાખતા હોય છે, અને રાજકીય ખેલદિલીનો પરિચય આપતા હોય છે.
આ પ્રકારે જ એક અન્ય "રાજકીય ખેલદિલી"નો પ્રસંગ ગઈકાલથી જ ચર્ચામાં છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ૩૬નો આંકડો છે, પરંતુ ઘણાં પ્રતિસ્પર્ધી નેતાઓના પરસ્પર મજાક-મસ્તીના સંબંધો પણ હોય છે. સંસદમાં ૬ઠ્ઠી ડિસેમ્બરે ગરમાગરમ આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા પ્રતિસ્પર્ધી નેતાઓ ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
આ પ્રસંગે આવેલા કેન્દ્રીયમંત્રી કિરેન રિજિજૂ અને લોકસભામાં વિપક્ષના નેતાએ જ્યારે એકબીજાને જોયા કે તરત જ સસ્મિત હસ્તધૂનન કર્યું અને એકબીજાની મજાક-મસ્તી પણ કરી અને હળવાશથી વાતો કરી. ભાજપ પર હંમેશાં આગબબૂલા રહેતા કોંગી નેતા ઉદિત રાજની હાજરીમાં બનેલી આ ઘટનાનું પણ તાજ્જુબ સાથે "રાજકીય ખેલદિલી" ગણાવાઈ રહી છે.
તે પહેલા પાંચમી ડિસેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભોજન સમારંભમાં વિપક્ષના સાંસદ શશિ થરૂરને આમંત્રણ અપાયું હતું, જેને શાસક પક્ષની "ખેલદિલી" ગણાવાઈ હતી, તો બીજી તરફ કોંગ્રેસના અન્ય દિગ્ગજોને આમંત્રણ નહીં મળ્યું હોવાથી એક અલગ જ વિવાદ શરૂ થઈ ગયો હતો. પવન ખેડાએ આને રાજરમત ઠરાવી હતી, તો થરૂરે પણ વિપક્ષના દિગ્ગજોને આમંત્રણ અપાયું નહીં હોવાને અયોગ્ય ઠરાવ્યું હતું, પરંતુ પોતે હાજરી પણ આપી હતી, તેથી આને પણ રાજરમત જ ગણાવાઈ હતી.
ઈન્ડિગોના મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર અને ઈન્ડિગો વચ્ચેના "મેચ ફિક્સીંગ"નું પરિણામ ગણાવ્યું હતું, ત્યારે કેટલાક લોકોએ આ મુદ્દે પ્રત્યાઘાતો આપવાના ટાઈમીંગને લઈને સવાલો ઉઠાવતા કહ્યું હતું કે રાજકીય પક્ષો વચ્ચે પણ આ મુદ્દે "મેચ ફિકસીંગ" જ છે !
ગુજરાતના પ્રવાસે આવેલા "આપ"ના અરવિંદ કેજરીવાલે રાજકોટમાં રણકાર કર્યો અને ભાજપના શાસન પર પ્રહારો કર્યા, તો ગોપાલ ઈટાલિયા પર જૂતુ ફેંકવાની જામનગરની ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી. આ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાઠગાંઠ હોવાની કેજરીવાલે જે વાત કરી, તે ઘણી જ સૂચક છે., અને રાજનીતિમાં કાંઈપણ અશક્ય નથી, તેના તરફ પણ ઈશારો કરે છે. ખુદ કેજરીવાલે અન્ના આંદોલન પછી પાર્ટી રચી અને પહેલી વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કોંગ્રેસનો ટેકો લીધો હતો, તેને યાદ કરાવીને કોંગ્રેસના અંતરંગ વર્તુળોમાં પણ એવી ચર્ચા છે કે કેજરીવાલ કદાચ રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાને સુરક્ષિત કરવાના ચક્કરમાં છે !
કેન્દ્રીય કક્ષાએ અનેક વિવાદો તથા અદાલતી કાર્યવાહીથી ઘેરાયેલા કેજરીવાલ હવે ગુજરાતમાંથી ભાજપ સામે પડકાર ઊભો કરવાની મહેનત કરી રહ્યા છે, તેવા મહત્તમ પ્રત્યાઘાતો વચ્ચે કેટલાક લોકો એવું પણ કહે છે કે હકીકતે પોલિટિકલ બ્લેક મેઈલીંગ હેઠળ કેજરીવાલ ભાજપના ઈશારે જ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓમાં તોડફોડ કરી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ કે કોઈ રાજ્યોમાં ચૂંટાયેલા નેતાઓ પક્ષાંતર કરે, ત્યારે તેને ખરીદ-વેચાણ ગણવામાં આવતું હોય, તો ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો પછી હવે કોંગ્રેસના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા નેતાઓના પક્ષાંતરને શું કહેશો ? તેવા સવાલો ઉઠતા હોય, તો તેને અવગણી શકાય તેમ નથી.
ટૂંકમાં કેજરીવાલની ભાજપ અને કોંગ્રેસની વિરૂદ્ધમાં ચાલી રહેલી આક્ષેપબાજીને વિશ્લેષકો ભિન્ન ભિન્ન રીતે મુલવી રહ્યા છે, અને વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે.
હકીકતમાં રાજનેતાઓ જાહેરમાં ભલે પરસ્પર આક્રમક -આલોચક દેખાતા હોય, પરંતુ તેઓ વ્યક્તિગત રીતે દુશ્મનાવટ રાખતા નથી, અને રાજનીતિમાં રાગદ્વેશ નહીં રાખતા હોવાનો દાવો કરાય છે. તેવી જ રીતે કલાકારો જયારે સ્ટેજ પર પરફોર્મન્સ કરે ત્યારે તેમાં રાજકીય કંકાસ આડે આવતો નથી. જો કે, આ ખાસ પ્રકારની "ખેલદિલી" હકીકતે આ જ નેતાઓ માટે પરસ્પર ઝઘડતા, કયારેક મારામારી કરતા કે જીવ ગુમાવતા જિલ્લા-ગ્રામ્યકક્ષાના નેતાઓ તથા કાર્યકરો સાથે "ખિલવાડ" જ ગણાય, કારણ કે રાજનીતિના ક્ષેત્રે "હમામ મેં સબ નંગે હૈ..."ની કહેવત લાગુ પડતી હોવાની અવધારણા પણ અગવણવા જેવી તો નથી જ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સંસદ ગુંજી રહી છે અને રાજયોમાં પણ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આવતા વર્ષે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનારી છે, તો મહારાષ્ટ્રમાં બીએમસી એટલે કે એક નાનકડા રાજ્ય જેટલું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકા અથવા મુંબઈના કોર્પોરેશનની ચૂંટણી થવાની છે, જેને મરાઠી તથા હિન્દી ભાષામાં અલગ નામથી અળખવામાં આવે છે. ઓફિશ્યલી બૃહદ મુંબઈ કોર્પોરેશનને ટૂંકમાં બીએમસી કહેવાય છે. આ ચૂંટણી સાથે શિવસેનાના બે ફાડિયા, એનસીપીના બે ફાડિયા, કોંગ્રેસ અને ભાજપનું મુખ્યત્વે ભવિષ્ય જોડાયેલું છે.
આવી જ રીતે કેટલાક રાજ્યોમાં વિવિધ કારણે ખાલી પડેલી વિધાનસભાઓ, વિધાન પરિષદો તથા લોકસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણી, સમયાંતરે ખાલી થતી રહેતી રાજયસભાની બેઠકો પર નિયત સમયે કરવી પડતી ચૂંટણીઓ અને પંચાયતથી પાર્લામેન્ટ સુધીના જનપ્રતિનિધિઓ તથા રાજકીય પક્ષોની આંતરિક ચૂંટણીઓ વગેરેના કારણે પણ આગામી વર્ષે, તે પછી વર્ષ-૨૦૨૭માં અને છેલ્લે વર્ષ-૨૦૨૯માં ચૂંટણીઓનો સીલસીલો ચાલતો રહેવાનો છે. તેથી ક્રિકેટની ભાષામાં એવું કહી શકાય કે પહેલા લીગ મેચો, પછી સેમી ફાયનલો અને છેલ્લે ફાયનલ મેચ રમાવાની છે. આ પોલિટિકલ ફાયનલને ધ્યાને રાખીને મોદી-શાહની જોડીને મહાત કરવા વિપક્ષો દ્વારા ગુજરાતથી જ શરૂઆત કરીને લીગ મેચોમાં વિજય મેળવીને પછી સેમિ ફાયનલોમાં વિવિધ રાજ્યોમાં ભાજપ-એનડીએને પછડાટ આપીને છેલ્લે લોકસભામાં સત્તા-પરિવર્તનની રણનીતિ અપનાવવા રહી હોય તેમ જણાય છે.
આ રણનીતિ હવે સિક્રેટ રહી નથી, કારણ કે કોંગ્રેસે ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન યોજ્યું. રાષ્ટ્રીયકક્ષાના નેતાઓએ વારંવાર ગુજરાતની મુલાકાત લીધી. રાહુલ ગાંધીના આંટાફેરા વધ્યા અને સંગઠનાત્મક ફેરફારો પછી ચારણી ફેરવીને કેટલાક નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ હટાવાયા. આગામી વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈને કોંગ્રેસે ગુજરાતમાં થોડા મહિનાઓ પહેલા સક્રિયતા વધારી, કેટલીક યાત્રાઓ કાઢી તથા વિવિધ મુદ્દે કેન્દ્ર-રાજય સરકારની સામેના વિરોધ પ્રદર્શનો વધુ તેજાબી અને પ્રભાવી બન્યા. કોંગ્રેસ વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી અને તે પહેલા આગામી વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝળહળતી સફળતા મેળવીને સત્તા પ્રાપ્ત કરશે, તેવો રણકાર પણ કરાયો.
બીજી તરફ દિલ્હીમાં સત્તા ગુમાવ્યા પછી આમઆદમી પાર્ટીએ પણ હવે ગુજરાત પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હોય તેમ જણાય છે. પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન સાથે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આંટાફેરા વધાર્યા અને કેટલાક સ્થળે તેના જાહેર કાર્યક્રમોમાં લોકમેદની પણ નોંધપાત્ર રહી, તો રાજ્યના નેતાઓ પણ બે-ત્રણ મહિનાથી એકદમ સક્રિય થઈ ગયા છે. આમઆદમી પાર્ટીને પેટા ચૂંટણીમાં વિસાવદરમાં વિજય મળ્યો, અને તેમાં પણ ગોપાલ ઈટાલિયા જેવા યુવાનેતા ધારાસભ્ય બન્યા, તેથી જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત ગુજરાત વિધાનસભામાં "આપ" ના ધારાસભ્યોની મોજુદગી પણ "આપ" માટે ટોનિક બની ગઈ છે., અને હવે આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતમાં વધુ પગપેસારો કરીને ભાજપ-કોંગ્રેસ સામે બ્યુગલ ફૂંકવાની તૈયારી કરી લીધી હોય તેમ જણાય છે.
જામનગરમાં કોંગી કોર્પોરેટરનું રાજીનામું તથા રાજ્યકક્ષાએ કેટલાક નેતાઓનો અસંતોષનો અવાજ જોતા હવે કોંગ્રેસે પણ ગુજરાતમાં સંગઠનાત્મક ક્રાંતિ લાવવાની જરૂર વિશ્લેષકો જણાવી રહ્યા છે, તો બીજી તરફ બિહારની ચૂંટણીના પરાજય પછી કોંગ્રેસમાં આવેલી હતાશાનો રાજકીય ફાયદો લઈને આમઆદમી પાર્ટી રાજ્યો અને રાષ્ટ્રીયકક્ષાએ દ્વિતીય વિકલ્પ બનવાની તૈયારી કરી રહી હોય તેમ જણાય છે. અને તેના એંધાણ હાલાર અને ગુજરાતમાં બની રહેલા તાજા રાજકીય ઘટનાક્રમો પછી સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યા છે. આ સંજોગોમાં જો રાષ્ટ્રીયકક્ષાએ ભાજપ-એનડીએને પડકારવું હોય તો કોંગ્રેસે પણ આંતરિક મતભેદોને કિનારે રાખીને મોટા લક્ષ્ય સાથે આગળ વધવું પડશે, આ માટે જિલ્લાઓ તથા રાજ્ય કક્ષાએ એકના એક ચહેરાઓને વિવિધ હોદ્દાઓ પર ફેરવ્યા રાખવાના બદલ સાહસભર્યો નિર્ણય લઈને ધરમૂળથી ફેરફારો કરવા પડશે. કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ પણ ગુજરાતને જ્યારે રાષ્ટ્રીય રાજનીતિનું બુનિયાદી મેદાન બનાવવાનું નક્કી કર્યું હોય અને આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતમાં જોર વધાર્યું હોય ત્યારે મૂળ મેદાન અને પીચને પારખીને જ ટીમનું સિલેકશન કરવું પડશે, અને ત્રિપાંખીયા જંગમાં અવ્વલ રહેવાનું લક્ષ્ય રાખવું પડશે.
બીજી તરફ આમઆદમી પાર્ટીએ વિકલ્પ બનવાના બદલે "અવ્વલ" બનવા માટે કોઈ ગૂપ્ત રણનીતિ ઘડી હોય અને તેમાં ભાજપના શાસન સામેની એન્ટિ ઈન્કમ્બન્સીનો લાભ કોંગ્રેસના બદલે "આપ" ને વધુ મળે, તેવી ચાલ અપનાવી હોય, તથા તેના ભાગરૂપે કોંગ્રેસના કાંગરા ખેરવીને કોંગી દિગ્ગજો તથા સ્થાનિક નેતાઓને "આપ"માં લઈ જવાની વ્યૂહરચના ગોઠવી હોય, તો તેમાં સાવધાનીપૂર્વક આગળ વધવુ પડે તેમ છે, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના કમિટેડ મતદારો તથા વર્તમાન શાસન સામેની એન્ટિ-ઈન્કમ્બન્સીના કારણે કોંગ્રેસ તરફી જનતાનો સંભવિત ઝોક અવગણવા જેવો નથી. ટૂંકમાં, કોંગ્રેસને અંડર એસ્ટિમેટ કરવાની ભૂલ ભારે પડી શકે છે, અને સપના રોળાઈ શકે છે. દાયકાઓના ભાજપના શાસન પછી જો ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છતી હશે, તો તેની શરૂઆત આવતા વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓથી જ થવાની છે, અને બીએમસીની ચૂંટણીની પરોક્ષ અસરો ગુજરાતમાં અને બીએમસીની ચૂંટણીઓમાં ગુજરાતી મતદારોની ભૂમિકા પરસ્પર સંકળાયેલી હોવાથી આ બાબતે ગુજરાત અને મહારાષ્ટ્રથી જ દિલ્હી ગાદી મેળવવાની જાળ બીછાવાઈ રહી હોય તેવા તારણો પણ કાઢી શકાય છે.
ટૂંકમાં ગુજરાત એક વખત ફરીથી રાષ્ટ્રીય રાજનીતિનું એ.પી. સેન્ટર બનવા જઈ રહ્યું છે, અને તેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં આમઆદમી પાર્ટી ત્રીજા મજબૂત પરિબળ તરીકે ઝંપલાવવાની તૈયારી કરી રહી છે, તેથી ગુજરાત દેશની પોલિટિકલ લેબ બનવા જઈ રહ્યું છે, તેમ કહી શકાય.
આ પહેલા વર્ષ ૧૯૭૪-૭૫ના સમયગાળામાં કોંગ્રેસ જ્યારે દેશભરમાં શક્તિશાળી હતી અને લગભગ તમામ રાજ્યોમાં કોંગ્રેસની સરકારો સત્તામાં હતી, ત્યારે તે સમયના વિપક્ષોએ ગુજરાતમાં "જનતા મોરચા" નો કરેલો પ્રયોગ સફળ રહ્યો અને તે જ ફોર્મ્યુલા પર તે સમયે, કટોકટી પછી જનતા પાર્ટી રચીને વિપક્ષોએ કોંગ્રેસને હરાવીને સત્તા પ્રાપ્ત કરી હતી. તે સમયથી જ ગુજરાત પોલિટિકલ લેબ બન્યું છે. આવતા વર્ષે પંચાયતો-પાલિકા-મહાપાલિકાની ચૂંટણીઓની લીગ મેચો પછી વર્ષ ૨૦૨૭ની સેમિફાયનલ મેચમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાશે, તે નક્કી છે. જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્ર જાણે બદલાઈ ગયું હોય તેમ શિયાળો, ઉનાળો અને ચોમાસાની સમય સારણીમાં બદલાવ આવી રહ્યો છે અને વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે. ગરમી વધી રહી છે અને શિયાળો ટૂંકો થઈ રહ્યો હોય તેમ જણાય છે. જે વિસ્તારમાં વરસાદની તંગી રહેતી હતી, ત્યાં વરસાદનું પ્રમાણ વધી ગયું હોય અને જ્યાં અતિવૃષ્ટિ થતી રહેતી હોય તેવા પ્રદેશોમાં દુષ્કાળ પડતા હોય, તેવા બદલાવ પર્યાવરણ, પૃથ્વી અને સમગ્ર જીવસૃષ્ટિ પર આડી અસરો ઊભી કરી રહ્યા છે અને માનવજિવન તથા પ્રાકૃતિક પરિસ્થિતિઓ પર વિપરીત અસરોના કારણે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે.
એક પર્યાવરણ અને પ્રકૃતિના ક્ષેત્રે કાર્યરત સંસ્થા કલાઈમેટ સેન્ટ્રલના રિપોર્ટ મુજબ ગ્લોબલ વોર્મિંગ તથા કલાઈમેટ ચેઈન્જના કારણે દરિયાઈ સ્તર ઝડપથી વધશે, જે સમગ્ર વિશ્વને અસર કરશે. પૃથ્વીનું વાતાવરણ બદલી રહ્યું છે અને દરિયાની જળસપાટી ધીમે ધીમે વધી રહી છે, જેના કારણે દુનિયાના દરિયાકાંઠે વસેલા અને ઝડપભેર વિસ્તરી રહેલા મોટા મોટા શહેરોમાં દરિયાઈ પૂરની સમસ્યા ઊભી કરશે. આ રિપોર્ટ મુજબ ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જના કારણે તથા ગ્લેશિયરો પીગળવાથી વધી રહેલી દરિયાઈ જળસપાટી થોડા દાયકાઓ પછી દરિયાકાંઠાના ઘણાં બધા વિસ્તારોને ડૂબાડી શકે છે, એટલું જ નહીં, ભારતના મુંબઈ અને કોલકાતા સહિત ઘણાં શહેરોમાં દરિયાઈ પાણી ઘૂસી જતાં ભારે તબાહી સર્જાઈ શકે છે.
આપણે નાનપણથી શિખતા આવ્યા છીએ કે પૃથ્વીનો મોટો ભાગ ખારા જળનો દરિયો ધરાવે છે, જ્યારે જે જમીન છે, તેમાં વસ્તી વધારાના કારણે જે પ્રાકૃતિક અસમતુલન ઊભું થઈ રહ્યું છે, અને ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રાકૃતિક સ્વરૂપ બદલી રહી છે, તે ખતરનાક બની શકે છે. આ માટે જો સમયોચિત સતર્કતા નહીં આવે તો પૃથ્વી પર પ્રલય અથવા કયામતની જે સંભાવનાઓ પ્રાચીન શાસ્ત્રો અને વર્તમાન માન્યતાઓમાં વર્ણવવામાં આવે છે, તેવી સ્થિતિ વહેલી ઊભી થઈ શકે છે.
એ રિપોર્ટ મુજબ તો પૃથ્વી પરના મોટા મોટા શહેરોની ગણતરી કરીને દરિયાઈ સપાટી વધવાથી વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતના નવી મુંબઈ તથા વિકસિત કોલકાતા જળમગ્ન થઈ શકે છે, તેવી શક્યતાઓ ગણાવાઈ રહી છે, અને સાડાત્રણ કરોડથી ચાર કરોડ લોકો ડૂબી જાય, તેવી સંભાવના જણાવાઈ રહી હતી, પરંતું પ્રવર્તમાન સ્થિતિ તથા ઋતુચક્રમાં રહેલા બદલાવ મુજબ તો દરિયાકાંઠાના ઘણાં બધા વિસ્તારો જળમગ્ન થઈ શકે છે અને ડૂબી જનાર લોકોની સંખ્યા ઘણી વધુ સંભવી શકે છે. આ ઝડપી શહેરીકરણ તથા આર્થિક વિકાસની સિક્કાની બીજી બાજુ છે, જેની સામે અત્યારે સરકારે તથા વૈશ્વિક સંગઠનો તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ જણાય છે.
આ અમેરિકન સંસ્થા ઉપરાંત નાસાના એક અન્ય રિપોર્ટ મુજબ તો થોડા દાયકાઓ પછી જ ભારતમાં જ મુંબઈ-કોલકાતા જેવા દરિયાકાંઠે આડેધડ વિકસેલા મહાનગરોના ત્રણ-ચાર કરોડ લોકોનું તત્કાળ સ્થળાંતર કરવું પડશે. શટલ રડાર ટોપોગ્રાફી મિશન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ દરિયાઈ સ્તર વધવાથી એક મોટી માનવતાવાદી કટોકટી ઊભી થશે, જે વિકાસના માચડાઓને હડપ કરી જશે, અને અનેક શહેરોની સુરત જ બદલાઈ જશે, અને કેટલાક વિસ્તારો તો જળમગ્ન થઈ જશે.
આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે દ્વારકાનો દરિયો થોડો-થોડો વધી રહ્યો છે, મતલબ કે થોડા દાયકાઓ પહેલા હતો ત્યાંથી દરિયો ધીમે-ધીમે જમીનને ડૂબાડી રહ્યો છે. દરિયાની જળસપાટી ભલે મીલિમીટર કે સેન્ટિમીટરના માપથી વધી રહી હોય, પરંતુ તેને તદૃન અવગણી શકાય તેમ નથી.
ઉક્ત રિપોર્ટ મુજબ ગુજરાતના પણ કેટલાક દરિયાઈ વિસ્તારો પર કેટલાક દાયકાઓ પછી ડૂબી જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે, એ રિપોર્ટમાં સુરત શહેર પણ ભયંકર દુર્ઘટનાઓનો સામનો કરી શકે છે, તેવો ઉલ્લેખ છે.
તદુપરાંત ઓડિશાના પારાદીપ અને ઘંટેશ્વર જેવા દરિયાકાંઠાના વિસ્તારોના લાખો લોકો દરિયાઈ પૂરનો ભોગ બનશે અને કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જશે, તેવો ઉલ્લેખ પણ એ રિપોર્ટમાં થયો હતો. વર્ષ ૨૦૧૮માં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવેલા પૂરના કારણે દોઢ કરોડ લોકો પ્રભાવિત થયા હતા, તે પછી પ્રતિવર્ષ થતા રહેતા સ્ટડીના આધારે એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૫૦ સુધીમાં દરિયાકાંઠે સમુદ્રની જળસપાટીમાં થનારા વધારાના કારણે એશિયા પેસિફિક વિસ્તારના ૭ સહિત વિશ્વના ૧૦ દેશો સૌથી વધુ પ્રભાવિત થશે. આ મુદ્દો હવે ગ્લોબલ ચિંતાનો વિષય બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને તંદુરસ્તીની સાથે સ્વાસ્થ્યની સતર્કતા રાખવાની મોસમ પણ શરૃ થઈ ગઈ છે. આ ઠંડીની મોસમમાં પણ રાજધાની દિલ્હીમાં અલગ જ અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ દિલ્હીમાં વધતા પ્રદુષણને લઈને સુપ્રિમકોર્ટે રાજ્ય-કેન્દ્ર સરકારોનો કાન આમળ્યો હતો, અને દેશના શહેરોમાં વધી રહેલા પ્રદુષણની ચર્ચાઓ જોર પકડ્યું હતું તો બીજી તરફ સંસદના શોરબકોર અને રાજકીય હાકલા-પડકારાના કારણે પણ રાજનીતિ ગરમાઈ છે.
દિલ્હીમાં ભાજપને જંગી જીત આપીને કેજરીવાલની આમઆદમી પાર્ટીને નકાર્યા પછી દિલ્હીની જનતાનો મોહ ભંગ થયો હોય તેમ, એક પેટા ચૂંટણીનું રિઝલ્ટ આજે "ટોક ઓફ ધ કેપિટલ" બન્યું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પેટા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીના ત્રણ નગરસેવકો ચૂંટાયા છે. આમઆદમી પાર્ટીએ એવો દાવો કર્યો છે કે ભાજપની ભ્રામક પ્રચાર-પદ્ધતિ તથા બિનબુનિયાદ આક્ષેપબાજીના કારણે વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપને જનાદેશ આપનાર દિલ્હીની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જનતા આમઆદમી પાર્ટીની સત્તામાં પુનઃ વાપસી ઈચ્છે છે.
આમઆદમી પાર્ટીએ દાવો કર્યો છે કે આ પેટા ચૂંટણીમાં 'આપ'ના વડા અરવિંદ કેજરીવાલ દ્વારા પસંદ કરાયેલા અને સમર્પિત એવા જનતાની વચ્ચે કામ કરતા આમઆદમી પાર્ટીના નગરસેવકો દિલ્હીની જનતાએ સ્વીકાર્યા છે.
એમસીડી (દિલ્હી મહાનગરપાલિકા)ની પેટા ચૂંટણી મોટા ફેરફારોના સંકેત આપે છે, અને થોડા સમયમાં જ ભાજપના શાસનનો અસલી ચહેરો સામે આવી જતા જનતાનો મોહભંગ થયો છે. દિલ્હીની જનતાની ચેતના વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પ્રામાણિકતાના ચાર સ્તંભો પર ટકેલી આમઆદમી પાર્ટીમાં જ રહેલી છે, તે દિલ્હીની જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેને રાજકીય ઘોંઘાટ નહીં પરંતુ સકારાત્મક રાજનીતિ ઈચ્છે છે. આમઆદમી પાર્ટીએ એવો દાવો કર્યો છે કે દિલ્હીનું હૃદય હજુ આમઆદમી પાર્ટી સાથે જ ધબકે છે.
હકીકતે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી પ્રથમ વખત એમસીડીના ૧૨ વોર્ડની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને ૭ બેઠકો મળી, પરંતુ ભાજપનો ગઢ ગણાતી બે બેઠકો ભાજપે ગુમાવી, તો સંગમવિહારની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી. આમઆદમી પાર્ટી જે ત્રણ બેઠકો પર જીતી છે, તે ત્રણ બેઠકો પર "આપ"ના જ નગરસેવકો હતા, અને આમઆદમી પાર્ટીએ પ્રતિષ્ઠિત ચાંદનીચોકની બેઠક ગુમાવી હોવાથી ભાજપ અને કોંગ્રેસ આમઆદમી પાર્ટીને આ ચૂંટણી જોરદાર વિજય મળ્યો હોવાના દાવાઓને નકારી રહી છે, અને કોંગ્રેસનો જનાદેશ વધ્યો છે, તેવો દાવો થઈ રહ્યો છે.
જો કે, આ પેટાચૂંટણી પછી ભાજપને ધારી સફળતા તો નથી જ મળી, પરંતુ થોડો રકાસ પણ થયો હોવાથી ભાજપને આત્મમંથન કરવા જેવું છે, જ્યારે કોંગ્રેસ બીજા ક્રમે રહી છે, તેમ છતાં ભાજપ નબળુ પડતા તેનો વધુ ફાયદો કોંગ્રેસને થશે, તેવા તારણો પણ વિશ્લેષકો કાઢી રહ્યા છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદગી થયા પછી એમસીડીમાંથી રાજીનામું આપનાર રેખા ગૂપ્તાએ પોતે ખાલી કરેલી બેઠક "શાલીમાર બાગ" પર ભાજપના ઉમેદવારને ૧૦ હજારથી વધુ મતોની જંગી લીડથી વિજય અપાવીને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા જાળવી રાખી છે. ભાજપની પાસે ૧૨ માંથી એમસીડીની જે પેટાચૂંટણી થઈ તે પૈકીની ૯ બેઠકો હતી, જેમાંથી બે બેઠકો ગુમાવી છે, અને આ જનાદેશ રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ ભાજપની ઘટી રહેલી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાનો પૂરાવો છે, તેવા તારણો પણ નીકળી રહ્યા હોવાથી અત્યારે કોંગ્રેસ અને આપ ગેલમાં છે, જ્યારે ભાજપ ૯ માંથી ૭ બેઠકો પર થયેલા વિજયની ઉજવણી કરી રહ્યું છે !
આ તરફ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૃના મુદ્દે રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી કરેલી કોમેન્ટનો શિક્ષણમંત્રીએ આપેલો જવાબ પણ ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે ગુજરાતમાં જનાક્રોશ યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રાજ્ય (ગુજરાત)માં વધતા ગેરકાનૂની શરાબના કારણે અસુરક્ષાની સ્થિતિ વકરી છે. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની એ ધરતી છે જયાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે, જામનગરના ધારાસભ્ય અને ગુજરાતના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ રાહુલ ગાંધીની આ કોમેન્ટના જવાબમાં 'એકસ' પર લખ્યું છે કે ગુજરાતમાં મહિલાઓ વિરોધી અપરાધોની ટકાવારી માત્ર ૧.૪૮ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૪ ટકાના અડધાથી પણ ઓછી છે. માતાઓ-બહેનોની સુરક્ષાના મામલે ગુજરાત દેશમાં નંબર વન હતું અને હજુ પણ રહેશે. યાદ રાખજો, વર્ષ ૨૦૨૭ની ચૂંટણીઓમાં (ગુજરાત વિધાનસભા)માં કોંગ્રેસ સિંગલ ડિજિટના આંકડામાં જ સમેટાઈ જશે.
દિલ્હી અને ગુજરાતમાં જુદા જુદા વિષયો પર થતા રાજકીય નિવેદનો તથા આક્ષેપો-પ્રતિઆક્ષેપોને તટસ્થ દૃષ્ટિએ મુલવીને જનતાનો મૂડ પારખવો હોય તો, તે માટે આગામી વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતની ચૂંટણીઓના પરિણામોની રાહ જોવી પડે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
થોડા સમય પહેલા ભારતના અર્થતંત્રને લઈને ઘણાં જ પ્રોસ્તાહક અને પોઝિટીવ અહેવાલો આવ્યા હતા અને ભારત વિશ્વની ઈકોનોમિકમાં ચોથા સ્થાનથી આગળ વધીને ત્રીજા સ્થાન તરફ ગતિશીલ છે અથવા ટોપ ફાઈવમાં મજબૂતીથી સ્થાન મેળવ્યું છે, તેવા અહેવાલો આવ્યા છે, તો ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજા સ્થાને પહોંચી ગયું હોવાનો દાવો પણ થયો હતો, અને પીપીપી અથવા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના આધારે આ દાવાઓને પુષ્ટિ આપવામાં આવી હોય તેમ જણાતુ હતું. જો કે, જીડીપીની દૃષ્ટિએ ભારત ચોથા સ્થાને હતું, અને ટોપ ફાઈવમાં હતું, તેનો જોરશોરથી પ્રચાર-પ્રસાર પણ થયો હતો.
જો કે, ઈન્ટરનેશનલ મની મોનીટરી ફંડ (આઈએમએફ) ના વર્ષ ૨૦૨૫-૨૬ના દ્વિતીય ક્વાર્ટરના આંકડા પ્રસિદ્ધ થયા તેમાં, પણ ૮.૨ ટકાના દરે જીડીપી વધ્યો હતો, જે ગત વર્ષે ત્રિમાસિક ગાળામાં ૫.૬ ટકા હતો, અને તેને ટાંકીને ભારતની વિકસતી અર્થવ્યવસ્થાનો દાવો ભારત સરકારે કર્યો હતો. ભારતે તેનું કુલ ઘરેલુ ઉત્પાદન-જેડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન ૭.૩ ટ્રિલિયન ડોલર હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ આઈએમએફના તાજેતરના રિપોર્ટમાં 'સી' રેટિંગ આપ્યું હોવાથી ભારતની ઈકોનોમી તથા જીડીપીના માપદંડોને લઈને એક રાષ્ટ્રીય કક્ષાની ચર્ચા છેડાઈ ગઈ છે, અને વિપક્ષોને ભારત સરકારના દાવાઓ સામે જ સવાલો ઉઠાવતા એક પ્રકારે વૈશ્વિક ફજેતી થાય, તેવો પડકાર પણ સરકાર સામે ઊભો થયો છે.
આ મુદ્દો સૌથી પહેલા દેશના પૂર્વ નાણામંત્રી અને કોંગી નેતા પી. ચિદમ્બરમે ઉઠાવ્યો હતો, અને મોદી સરકારને પ્રશ્ન પૂછયો હતો કે આઈએમએફ દ્વારા વાર્ષિક સમીક્ષામાં ભારતના નેશનલ એકાઉન્ટન્ટ અને 'સી' ગ્રેડમાં કેમ રાખ્યા છે ?
કોંગ્રેસ નેતા જયરામ રમેશના પ્રત્યાઘાત મુજબ દેશમાં ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન વધ્યનું નથી કે ઈન્વેસ્ટમેન્ટમાં ખાસ પ્રોગ્રેસ જણાતી નથી, તેથી એવું કહી શકાય કે જીડીપી દર સસ્ટેનેબલ નથી, તો મહિલા કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત કહે છે કે "આઈએમએફના રિપોર્ટ મુજબ ભારતના નેશનલ એકાઉન્ટસ અને મોંઘવારીના ફિગર્સમાં લોકોની ખર્ચ કરવાની ક્ષમતા કે અનૌપચારિક ક્ષેત્ર જેવી ઈન્પોર્ટન્ટ પેટર્ન પ્રતિબંધિત થતી નથી. ગત વર્ષે પણ ભારતને આઈએમએફ દ્વારા 'સી' ગ્રેડ જ અપાયો હતો, તેથી થતાં દાવાઓ મુજબ જો ભારતની ઈકોનોમીએ જમ્પ માર્યો હોય તો તેની અસર આઈએમએફના રિપોર્ટમાં પ્રતિબંધિત થતી જ ન હોય, તો એવું કહી શકાય કે હકીકતમાં કાંઈ બદલાયું જ નથી."
આઈએમએફ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ભારત અંગેના એકાદ અઠવાડિયા પહેલાના રિપોર્ટનો ઊંડો અભ્યાસ કર્યા પછી કેટલાક પ્રખર અર્થશાસ્ત્રીઓ તથા વિશ્લેષકોએ પણ મિશ્ર પ્રત્યાઘાતો આપ્યા છે. કેટલાક તજજ્ઞોના જણાવ્યા અનુસાર આઈએમએફના તારણો તેની પાસે ઉપલબ્ધ ડેટા મુજબ જ હોય છે, અને જે ડેટા મળે, તેનું ચાર શ્રેણીમાં વર્ગીકરણ કરીને તારણો કાઢવામાં આવતા હોય છે. આ ચાર શ્રેણીમાં ડેટાની ઉપલબ્ધીની સ્થિતિ દર્શાવીને ગ્રેડ અપાતા હોય છે, તેથી ગ્રેડ ઈકોનોમીની વાસ્તવિકતા નહીં, પરંતુ ડેટાની ઉપલબ્ધી દર્શાવે છે.
અહેવાલો મુજબ વિવિધ દેશો દ્વારા અપાતા ડેટા જો પૂરેપૂરા મળ્યા હોય, તો તેને "એ" ગ્રેડમાં મુકવામાં આવે છે, પરંતુ સંપૂર્ણ અને સર્વાંગી સમીક્ષા કરવા માટે પૂરતો ડેટા હોય તો પણ થોડી-ઘણી ખામી હોવાથી તેને "બી" ગ્રેડ મળે છે. જો ડેટાની ખામીઓ સમીક્ષાની પ્રક્રિયાને આંશિક રીતે પ્રભાવિત કરે તેવી હોય ત્યારે તેને "સી" ગ્રેડ મળે છે, જયારે ડેટાની ખામી કે અનુપલબ્ધિ આખી સમસ્યાની પૂરેપૂરી પ્રક્રિયાને જ પ્રભાવિત કરે તેમ હોય, ત્યારે તેને "ડી" ગ્રેડ આપવામાં આવે છે. ભારત અંગેના રિપોર્ટ મુજબ ઉપલબ્ધ ડેટામાં નેશનલ એકાઉન્ટ્સના ફિગર્સની ફ્રિકવન્સી પણ ઉપલબ્ધ છે તથા બારિક માહિતી (માઈક્રો ઈન્ફર્મેશન) પણ પૂરી પાડવામાં આવી છે, પરંતુ કેટલીક પદ્ધતિલક્ષી ખામીઓના કારણે સંપૂર્ણ અને સર્વાંગી સમીક્ષામાં બાધા ઊભી થાય છે આ કારણે ભારતને "સી" ગ્રેડ મળ્યો હોવાના અંતિમ તારણો નીકળી રહ્યા છે.
વિશ્વસનિય આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસિઝ તથા પ્રતિષ્ઠિત અખબારોમાં પણ ભારતને મળેલ "સી" ગ્રેડ પ્રક્રિયાત્મક ખામીઓ તથા ડેટા ઉપલબ્ધી પદ્ધતિલક્ષી ક્ષતિઓના કારણે "સી" ગ્રેડ મળ્યો હોય તો તેને ટેકનિકલ કે સિસ્ટોમેટિક એરર ગણી શકાય કે કેમ ? તે અંગેની અલગથી ચર્ચા થઈ રહી છે.
ભારતના ડેટાની ત્રુટિઓની ચર્ચા પણ થઈ રહી છે. ભારત સરકાર વર્ષ ૨૦૧૧-૧૨ ને આાધારવર્ષ ગણે છે, તે પણ પ્રાસંગિક જણાતુ નથી, તથા ભારત પીપીઆઈ (પ્રોડયુસર પ્રાઈસ ઈન્ડેકસ)ના સ્થાને જથ્થાબંધ ભાવાંક એટલે કે હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસનો ઉપયોગ કરે છે, તેથી ડેટામાં જણાતી ખામીઓના કારણે ભારતને "સી" ગ્રેડ અપાયો હોઈ શકે છે. સિસ્ટોમેટિક ફાયનાન્સિયલ ઈન્ટર કનેકટેડનેસ તથા એનબીએફસી અંગે ખૂબ જ મર્યાદીત ડેટા ઉપલબ્ધ હોવાનો આ જ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે, તે પણ ભારતને "સી" ગ્રેડ મળ્યો હોવાના મહત્ત્વપૂર્ણ કારણો પૈકીનું એક હોઈ શકે છે.
ભારતીય જનતાપક્ષના નેતાઓ અને પ્રવક્તાઓ તો આ પ્રકારની ચર્ચાને જ નિરર્થક ગણાવે છે. અને આઈએમએફની કાર્યપદ્ધતિ અંગે કેટલાક લોકોને પૂરી સમજ જ પડતી નહીં હોવાનું જણાવીને આ મુદ્દે થતી આલોચના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની ઈકોનોમિની થતી પ્રગતિકૂચ પર કોઈપણ કારણ વિના આશંકાઓ ઊભી કરતી હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે, જ્યારે વિપક્ષના નેતાઓ તેનો પ્રતિકાર કરતા કહી રહ્યા છે કે, ફરેબી આંકડાની માયાજાળ ઊભી કરીને દેશને ગૂમરાહ કરાઈ રહ્યો છે, ભાજપ આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ કહ્યું છે કે કોંગ્રેસે સત્તા છોડી, ત્યારે ભારત "ફ્રેઝાઈલ ફાઈવ ઈકોનોમી" માંથી એક હતી. વર્ષ ૨૦૧૩માં મોર્ગન સ્ટેનબીએ બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, તૂર્કી, દ.આફ્રિકા અને ભારતને ફ્રેઝાઈલી ફાઈવ ઈકોનોમી ગણાવી હતી, જેનો અર્થ "ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પર અવલંબિત અસુરક્ષિત અર્થવ્યવસ્થાઓ" એવો કરાયો હતો, અને તે પછી અન્ય દેશોનો ઉમેરો થયો હતો.
માલવિયેના દાવા મુજબ આજે ભારત ફ્રેઝાઈલ ફાઈવ ઈકોનોમીમાંથી તો બહાર નીકળી જ ગયું છે, પરંતુ વિશ્વની ટોપ ફાઈવ ઈકોનોમીમાં હાઈજમ્પ માર્યો છે, તે હકીકત કોંગ્રેસ પચાવી શકતી નથી અને પૂર્વ નાણામંત્રી જુઠાણું ફેલાવીને દેશની જનતાને ગૂમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દેશના અર્થશાસ્ત્રીઓ તથા તટસ્થ વિચારકોના સંખ્યાબંધ પ્રત્યાઘાતોનું તારણ એવું નીકળે છે કે વર્ષ ૨૦૧૧-૧૨ના આંકડા જે-તે સમયની સરકારોના જ છે. નોટબંધી વખતે પણ ત્રણ લાખ જેટલી રજિસ્ટર્ડ કંપનીઓને શેલ કંપની ગણાવીને બંધ કરી દેવાઈ હતી. સર્વિસ સેકટરમાં ૩૫ ટકા કંપનીઓ કાર્યરત જણાઈ નહોતી, તેથી તેના ડેટામાં કચાશ ગણાય. જ્યારે બેરોજગારીનો દર વધી રહ્યો હોય અને વાસ્તવિક વસતિ ગણતરી ન થઈ હોય ત્યારે મહામારી પછીની સ્થિતિમાં વિવિધ આંકડાઓ પર સવાલ ઉઠે એ સ્વાભાવિક છે. ઘી વાયર ને ટાંકીને કહેવાયું છે કે જીડીપીની ગણતરી કરવાની પદ્ધતિની ત્રુટિઓના કારણે ભારતનો ઝડપથી વિકસતા અર્થતંત્ર ના દાવાને ઝાંખપ લાગે છે, જે ચંદ્રમાના ડાઘ જેવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દેશ-દુનિયામાં ગીતા જયંતીની ઉજવણી થઈ રહી હતી અને કુરૂક્ષેત્રના મેદાનમાં પોતાના જ પિતરાઈ ભાઈઓ, ગુરૂજનો તથા સગા-સંબંધીઓને સામા પક્ષે યુદ્ધ લડવા ઉભેલા જોઈને કન્ફ્યુઝડ થયેલા અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો, તેને શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે આપણે પણ સાંભળીએ છીએ અને મમળાવીએ છીએ, ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને હિંમત આપતા જે કાંઈ કહ્યું છે, તેમાંથી જ જીવનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નોનો જવાબ મળી જાય છે, અને સમસ્યાઓનું સમાધાન મળી જાય છે, બસ...પ્રત્યેક શબ્દનો ગૂઢાર્થ સમજવો પડે...
ગલકાલથી જ સંસદનું શિયાળુ સત્ર અને બિહારમાં નવી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. બિહાર વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથવિધિ થઈ રહ્યો હતો, ત્યારે સંસદમાં એસઆઈઆરના મુદ્દે હોબાળો થઈ રહ્યો હતો. તે પછી ગઈકાલે લોકસભા આખો દિવસ ચાલી શકી નહીં, જ્યારે રાજ્યસભામાં વિપક્ષો દ્વારા સરકાર પર તડાપીટ બોલતી રહી અને બપોર સુધી ગૃહમાં કામકાજ થઈ શક્યું નહી, અને તે પછી વિપક્ષોએ વોક આઉટ કર્યો હતો. જો કે, લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે મણિપૂરમાં જીએસટીનો કાયદો, તમાકુ, પાન-મસાલા પર નવો ટેક્સ અને સેન્ટ્રલ એકસાઈઝ (અમેડમેન્ટ) બિલ-૨૦૨૫-એમ ત્રણ બિલ પસાર કરાવી લીધા હતા અને આ અંગે ટૂંકી ચર્ચા પણ થઈ હતી.
એક તરફ એસઆઈઆર, બીએલઓના મૃત્યુ સહિતના વિવિધ મુદ્દે વિપક્ષો આક્રમક મૂડમાં હતા, તો બીજી તરફ બિહારની વિધાનસભામાં તોતીંગ બહુમતિ મેળવ્યા પછી એનડીએ જુસ્સામાં હતું. વડાપ્રધાને સ્વયં ચિંટિયો ભરીને વિપક્ષોને પરાજય પચતો નહીં હોવાનું કહી ડ્રામા નહીં, પણ ડિલિવર પર ધ્યાન આપવાનું કહ્યું, તો વિપક્ષ તરફથી પ્રિયંકા ગાંધીએ આક્રમક શૈલિમાં જવાબ આપ્યો કે દિલ્હીમાં હવાનું પ્રદુષણ અને એસઆઈઆરના મુદ્દા સંસદમાં ઉઠાવવા એ ડ્રામેબાજી નથી, પરંતુ આ પ્રકારના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા જ થવા ન દેવી એ ડ્રામા છે. વિપક્ષો સાંસદમાં લોકલક્ષી ઘણાં પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. બીએલઓની આત્મહત્યા અને દિલ્હીમાં થયેલા આતંકી હૂમલા પછી રાષ્ટ્રીય સુરક્ષાની ચર્ચા એ કાંઈ ડ્રામા નથી, હકીકતે ડ્રામા તો સંસદમાં લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા જ થતી અટકાવવાના પ્રયાસોને જ ગણી શકાય. દિલ્હીમાં પ્રદુષણનો મુદ્દો સરકાર માટે શરમજનક છે, જો સરકારે આ તમામ સીધા લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા જ કરવા દેવા માંગતી ન હોય, તો ગૃહ કેવી રીતે ચાલે ?
રાજયસભામાં પણ કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ઘનખડના રાજીનામા પછી ગૃહને તેની વિદાયની તક પણ મળી નહી, તેવી ટકોર કરતા ભાજપના સાંસદો આગબબૂલા થઈ ગયા હતા અને કોંગ્રેસને પોતાનો ભૂતકાળ યાદ કરાવવા લાગ્યા હતા. ગૃહની અંદર અને બહાર આ પ્રકારની આક્ષેપબાજી વચ્ચે એવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા હતા કે સરકારને દોડવું હતું અને ઢાળ મળી ગયો છે, તો વિપક્ષોને પણ "સર" અને "સાહેબ"ના મુદ્દાઓનો આધાર મળી ગયો છે, આ બધા વચ્ચે સામાન્ય જનતા ક્યાં છેે ?
અખિલેશ યાદવે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રામા વાળા નિવેદન પર તીખા પ્રહારો કરતા કહ્યું કે લગ્નગાળામાં એસઆઈઆરની પ્રક્રિયા કરવા પાછળ પણ ષડ્યંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી, તો કેટલાક વિપક્ષી સાંસદોએ વડાપ્રધાન મોદી પર જ ડ્રામેબાજીના વ્યક્તિગત આક્ષેપો કર્યા, જેના જવાબમાં સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષ પાસે બીજા મોઈ મુદ્દા જ નથી, અને કોઈપણ ચર્ચા માટે સરકાર ક્યારેય ઈન્કાર કરતી નથી, પરંતુ ગૃહના અધ્યક્ષના રૂલીંગને સાંસદોએ માન આપવું જોઈએ. વિપક્ષો એસઆઈઆરના મુદ્દે સરકાર ભાગી રહી હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે, જ્યારે સરકાર વિપક્ષોને ઉપહાસ કરી રહી હોવાના આક્ષેપો વચ્ચે આજે પણ બંને ગૃહોમાં જે કાંઈ થઈ રહ્યું છે તે આપણી સામે જ છે.
એક તરફ વિપક્ષો એસઆઈઆરના મુદ્દે વ્યાપક ચર્ચા માંગી રહ્યા છે, તો બીજી તરફ ગૃહમાં "વંદે માતરમ્" ના મુદ્દે ૧૦ કલાકની ચર્ચા કરવાની મંજુરી મળી ગઈ હોવાના અહેવાલો પછી એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ તરફ ગુજરાતમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં રાજ્યપાલના નિવાસસ્થાનને ગવર્નર હાઉસ કે રાજભવન કહેવાતું હતુ, તેને કેન્દ્રની મંજુરીથી "લોકભવન" નામ રાખ્યું એન તેની સત્તાવાર જાહેરાત થઈ, તે પછી તેના સંદર્ભે પણ ચર્ચા થઈ રહી છે. રાજ્યપાલે કહ્યું કે જનતા સર્વોપરિ છે અને માત્ર બંધારણીય જવાબદારીઓ સુધી જ મર્યાદિત નહીં રહેતા સમાજ કલ્યાણ તથા લોકોની સમસ્યાઓ-અપેક્ષા સાથે જિવંત રીતે જોડાય તે જરૂરી છે, તેઓએ ગુજરાતના લોકભવન દ્વારા પ્રાકૃતિક ખેતીના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ઉલ્લેખ કરીને વિવિધ વિષયો પર રાજ્યના રાજભવન (લોકભવન)ની છેલ્લા કેટલાક વર્ષોથી લોકલક્ષી ભૂમિકા વર્ણવી હતી.
બીજી તરફ રાષ્ટ્રીયકક્ષાએ એવી ચર્ચા થઈ રહી છે કે, રાજ્યપાલે બંધારણીય જવાબદારીઓના બદલે રાજકીય રંગે રંગાઈ રહ્યા હોય તો તે ઠીક નથી. માત્ર કેન્દ્રના એજન્ટની જેમ કામ કરતા રાજ્યપાલોએ બિજજરૂરી ઢબે રચનાત્મક અને પ્રાકૃતિક કૃષિ અભિયાનો જેવા લોકલક્ષી અભિયાન ચલાવવાનું ગુજરાતના રાજ્યપાલ પાસેથી શિખવા જેવું છેે. આ પ્રકારના પ્રતિભાવો જ હકારાત્મક અને પ્રોત્સાહિત કરનારા પણ ગણી શકાય, અને ગર્ભિત ક્ષણ પણ ગણી શકાય.?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એસઆઈઆરમાં ફોર્મ્સ ભરવાની મુદ્દત એક અઠવાડિયું લંબાવાઈ છે, પરંતુ સમજવા જેવી વાત એ છે કે જે આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે, તે માત્ર ફોર્મ વિતરણની ટકાવારી દર્શાવાઈ રહી છે, અને હજુ પૂરેપૂરા ફોર્ર્મ્સ પહોંચાડી શકાયા નથી, ત્યારે માત્ર આઠ દિવસમાં પૂરેપૂરા ફોર્મ્સ વેરીફિકેશન સાથે ભરાઈ જ જશે તેવું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી, હકીકતે અત્યારે જે આંકડા ફોર્મ વિતરણના જાહેર કરાયા છે તે ફોર્મ્સ પહોંચાડી દેવાના જણાય છે. ફોર્મ્સ ભરીને પાછા આવી ગયા હોય તે રિસિવીંગની ટકાવારી તથા તેની "સિસ્ટમ" માં ડેટા એન્ટ્રી કેટલી થઈ છે, તેની વાસ્તવિક ટકાવારીના આધારે જ આ સંપૂર્ણ કાર્યવાહીનો પ્રથમ તબક્કો પૂરો થયો ગણાય, તેથી ખરેખર એક અઠવાડિયું નહીં, પરંતુ એક મહિના માટે આ મુદ્દત વધારાય, તો પણ માંડ લક્ષિત પ્રથમ તબક્કો પૂર્ણ થાય તેમ હોવાના તારણો આ પ્રકારની કામગીરીના અનુભવીઓ કાઢી રહ્યા છે, અને તે પછી વાંધા-સૂચનો તથા નોટિસ પીરિયડ પણ એક મહિનાની મર્યાદામાં પૂરો નહીં થાય, કારણ કે અત્યારે જે રીતે ફોર્મ ભરાઈ રહ્યા છે તે જોતાં ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી મોટી સંખ્યામાં અન્યત્ર રહેવા ગયેલા, કામચલાઉ સ્થળાંતર ગયેલા, લગ્ન પછી સાસરે ગયેલી દીકરીઓ, અભ્યાર્થીઓ ને કામ-ધંધા-નોકરી-મજુરી માટે અન્યત્ર ગયેલા મતદારો, તંત્રની ભૂલથી ખોટા સરનામે ચૂંટણીકાર્ડ નીકળ્યા હોય તેવા વગર વાંકે હેરાન થતા મતદારો, ભાડેથી રહેતા હોય અને વર્તમાન મતદારયાદી તૈયાર થયા પછી અન્યત્ર રહેવા ગયેલા મતદારો, કોઈ કારણે નામ-સરનામા અપડેટ કર્યા પછી નામ-સરનામું બદલી ગયું હોય, તેવા મતદાર યાદી તૈયર પછી પરણેલી દીકરીઓ, જેનું સાસરિયામાં ગયા બાદ સરનેમ-નામ-સરનામું બદલી જતું હોય છે અને પિતાની જગ્યાએ પતિનું નામ લાગી જતું હોય છે, તેવા તાજેતરના કિસ્સાઓ, આપણે ત્યાં નામની પાછળ ભાઈ, લાલ, કુમાર, રાય જેવા શબ્દો લગાડાય છે, તેમાં મામુલી ફેરફાર હોઈ વર્ષ ૨૦૦૨-૦૩ની મતદાર યાદી સાથે સુસંગત ન હોય અને 'સિસ્ટમ' કાઢી નાખતી હોય, તેવા ઘણાં બધા મતદારો પોતાના નામ ડ્રાફટ યાદીમાં નહીં મળે, ત્યારે વાંધો લેવાના જ છે અને રાજકીય પક્ષો પણ આ વખતે ડ્રાફટ યાદી બિલોરી કાચ લઈને જોવા બેસવાના છે, (જે જરૂરી પણ છે). તો બીજી તરફ પોતપોતાના મતવિસ્તારોમાં જનપ્રતિનિધિઓ પણ ડ્રાફટ યાદીમાં મતદારોના નામ ન હોય, તો તેની કમ્પલેઈન કરવા માટે ગલી-મહોલ્લા-વોર્ડ અને ગામ વાર સહાય કેન્દ્રો, હેલ્થ સેન્ટરો ઊભા કરવાની તૈયારીમાં હોવાના સંકેતો પણ મળી રહ્યા છે, જેથી પાછળથી હોબાળા થાય, આક્રોશ થાય અને બીએલઓની વિટંબણાઓ વધે તેના કરતા અત્યારે જ આ તમામ સંભાવનાઓ ઉકેલીને જ ડ્રાફટ યાદી બહાર પડે, તે માટે કમ-સે-કમ ચાર અઠવાડિયાની પ્રથમ તબક્કાની મુદ્દત જ વધારી દેવી જોઈએ, તેવો અભિપ્રાય આ પ્રકારની કામગીરીના અનુભવી તથા રાજકીય ક્ષેત્રના નિષ્ણાતો, અનુભવીઓ અને વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે, જે અવગણવા જેવો નથી જણાતો.
ચૂંટણીપંચે બીએલઓના પ્રોત્સાહક ભથ્થામાં વધારો કરીને સારૃં કામ કર્યું છે, આ વખતે જે વર્કલોડ છે, તે અભૂતપૂર્વ છે અને વસતિ, વિસ્તાર તથા મતદારોની સંખ્યામાં થયેલ વધારા ઉપરાંત ઓનલાઈન એન્ટ્રી-ડેટા કલેકશનની કામગીરીને જોતા તો બીએલઓ ડબલ પગાર તથા તેના મદદનીશો દોઢા પગારના હક્કદાર હોવાની ટકોર પણ સંભળાવા લાગી છે.
જો કે, કેટલાક બીએલઓએ ઉત્કૃષ્ટ કામ કર્યું છે, અને તેને બીરદાવાઈ રહ્યા છે, પરંતુ દરરોજ કોઈને કોઈ બીએલઓ કામના ભારણ કે ડિપ્રેશનમાં બીમાર પડી જતાં હોવા કે આત્મહત્યા અથવા તેવો પ્રયાસ કરવાની બની રહેલી ઘટનાઓને પણ અવગણી શકાય તેમ નથી, અને એ દૃષ્ટિએ પણ પ્રથમ તબક્કો ચાર અઠવાડિયા માટે લંબાવવામાં ચૂંટણીપંચને કોઈ વાંધો તો નહીં જ હોય...
જો કે, ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે અને ૧૨ પૈકી કેટલાક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓની સંભાવનાઓ હોય, તો તેને સુસંગત રહીને આ કામગીરી આટોપી લેવી પડે તેમ હોવાની તર્કબદ્ધ દલીલો પણ છે, પરંતુ કોઈના જીવના જોખમે અને મતદારોના અધિકારો છીનવાઈ જવાથી લેશમાત્ર પણ સંભાવના રહી જાય, તેવી રીતે ઉતાવળ કરવાના બદલે યોજાનારી ચૂંટણીઓ જરૂર પડયે થોડી ઘણી પાછળ ઠેલીને પણ આ એસઆઈઆરની કામગીરી એક પણ યોગ્ય મતદાર વંચિત ન રહી જાય, તેવી રીતે જ સંપન્ન થવી જોઈએ.
આ માટે મુદ્દત લંબાવવી પડે તો લંબાવ્યા કરવી જોઈએ, કારણ કે આપણાં દેશમાં તો સંસદની મુદ્દત પણ એક વર્ષ માટે લંબાવી શકાઈ હોવાના બંધારણીય દૃષ્ટાંતો છે, તેથી રાજકીય એન્ગલ નહીં પણ બંધારણીય એન્ગલથી મતદારોના હિતમાં જ નિર્ણયો લેવાય તે જરૂરી છે, અને એ પ્રકારની સ્થાપિત સત્તાઓ તો ચૂંટણીપંચ પાસે હશે જ ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હમણાંથી કેન્દ્રીય તપાસ એજન્સીઓ જામનગર સુધી પહોંચીને જુદી જુદી તપાસ હેઠળ દરોડા પાડી રહી હોવાથી જામનગર નેશનલ મીડિયામાં પણ ગુંજતું રહે છે અને જામનગરમાં તો આ પ્રકારના દરોડા ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. દોઢેક દાયકા પહેલા ઈન્કમટેક્સ અને વેચાણવેરા ખાતાની ટીમોના દરોડા ચર્ચાસ્પદ બન્યા હતા, અને હવે જીએસટી તથા આઈટીના દરોડા પડેે છે, પરંતુ જ્યારે સીબીઆઈ, ઈડી, એનઆઈએ કે વિજિલિન્સની ટીમોના આંટાફેરા વધી જાય, ત્યારે તે ચર્ચાનો વિષય બને તે સ્વાભાવિક પણ છે.
અત્યારે બીજો સૌથી વધુ ચર્ચાનો વિષય રાજ્ય અને દેશમાં ચાલી રહેલ એસઆઈઆરની ઝુંબેશ દરમ્યાન કેટલાક બીએલઓના થયેલા મૃત્યુ તથા આ કાર્યવાહી કરતા કરતા મહેસાણામાં થયેલા બીએલઓના મૃત્યુનો મુદ્દો ઉઠાવીને સવાલો ઉઠી રહ્યા છે, તથા કોંગ્રેસે આ મુદ્દે રાજ્યવ્યાપી વિરોધ કરવાનો વ્યૂહ અપનાવ્યો હોય તેમ જણાય છે. સંસદસભ્ય પ્રતાપગઢીના પ્રહારો તથા ડો.મનિષ દોશીના આક્ષેપો પછી રાજ્યમાં જ નહીં, સમગ્ર દેશમાં એસઆઈઆરની સમગ્ર પ્રક્રિયા સામે જનાક્રોશ પણ વધી રહ્યો હોય તેમ જણાય છે. આ કામગીરી જીવલેણ બની રહી હોવાનો પ્રતાપગઢીનો આક્ષેપ ઘણો જ સૂચક છે.
રાજ્ય સરકાર તરફથી દલીલો કરતા પ્રવક્તાઓ તથા ભાજપના નેતાઓ આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણીપંચના હસ્તક છે, અને તેમાં રાજ્ય સરકારની કોઈ પ્રત્યક્ષ ભૂમિકા જ હોતી નથી, તેમ જણાવી મોટાભાગે હાથ ઊંચા કરી રહ્યા છે, તો ચૂંટણીપંચ તરફથી કાર્યરત રાજ્ય સરકારના જ અધિકારી-કર્મચારીઓ દ્વારા બીએલઓની મદદ માટે કરાયેલી વિશેષ નિમણૂકો તથા કામના ભારણની વહેચણી સહિતની વ્યવસ્થાઓની માહિતી આપીને આ રાષ્ટ્રીય કામગીરીમાં સૌ કોઈનો સહયોગ માંગવામાં આવી રહ્યો છે અને રાજયમાં અત્યાર સુધીમાં થયેલી કામગીરીના આંકડા પણ રજૂ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં પાંચેક કરોડ મતદારોને એસઆઈઆર ફોર્મ્સ પહોંચાડીને કેટલા ટકા ડિજિટલાઈઝેશનની કામગીરી સંપન્ન થઈ છે, તેની વિગતો ચૂંટણીપંચ તરફથી જાહેર કરવામાં આવી રહી છે. ગઈકાલના અહેવાલો મુજબ અત્યાર સુધીમાં મતદારયાદીઓ પૈકીના ૧૩ લાખથી વધુ મૃતક મતદારોના નામો હટાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, તે ઉપરાંત ૧૬ લાખથી વધુ મતદારોએ સ્થળાંતર કર્યું હોવાનું બહાર આવ્યું છે, તથા અઢી લાખ જેટલા મતદારો તેના સરનામે મળી આવ્યા જ નહોતા.
અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જે મળી આવ્યા નથી કે સ્થળાંતર કરીને અન્યત્ર ચાલ્યા ગયા છે, તેઓનું શું થશે ? શું તેઓની શોધખોળ કરીને કે અન્યત્ર ગયા હોય, ત્યાંના બીએલઓ સાથે કે અન્ય રાજ્યના ચૂંટણીતંત્રો સાથે સંકલન કરીને ત્યાં નામ ઉમેરવાની કોઈ પ્રક્રિયા કરવાની હોય, તો તે માટે આ મુદ્દત પર્યાપ્ત છે ખરી ? જો આાવી કોઈ પ્રક્રિયા વિચારાઈ જ ન હોય કે પછી યોગ્ય રીતે અમલ ન થાય તો એ પ્રકારના મતદારોના નામ કોઈ પણ સ્થળે નહીં ઉમેરાતા તેઓ મતદાનના અધિકારોથી વંચિત તો રહી નહીં જાય ને ? તે અંગે લોકોના મનમાં ઉઠી રહેલા સવાલોનો ચૂંટણીપંચે જવાબ આપવો જ પડે તેમ છે, અને સ્પષ્ટ ભાષામાં લોકભોગ્ય ઢબે લોકોને ગળે ઉતરે તેવી રીતે વાસ્તવિકતા જાહેર કરવી જોઈએ.
ચૂંટણીપંચના આંકાડાઓ જોઈએ તો ટોપ ટેન ડિજિટાઈઝેશન કરનારા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રનો માત્ર જુનાગઢ જિલ્લો જ છે, અને મધ્ય ઉ.ગુજરાતના જિલ્લાઓ અગ્રેસર છે૪ ટોપ ટેન જિલ્લાઓમાં ૭૯ થી ૮૯ ટકા વચ્ચે મતદારયાદીઓની એસઆઈઆર પ્રક્રિયા હેઠળ ડિજિટાઈઝેશન થઈ ગયું છે, પરંતુ બાકીના જિલ્લાઓ પૈકી ધીમી કામગીરી કેટલા જિલ્લાઓમાં થાય છે અને તેના કારણો શું ? તેના તારણો કાઢીને જરૂરી સુધારા-વધારા કરવા જોઈએ.
બીજી દૃષ્ટિએ જોઈએ તો ડાંગ જિલ્લો વસતિની દૃષ્ટિએ નાનો હોવાથી ત્યાં ૮૯ ટકાથી વધુ ડિજિટાઈઝેશન થઈ ગયું હોય, અને તે અગ્રસ્થાને હોય, તે સ્વાભાવિક છે, પરંતુ કેટલાક મોટા જિલ્લાઓ પણ ટોપ ટેનમાં છે, તે જોતા પાછળ રહી ગયેલા જિલ્લાઓમાં કામગીરી સુધારવા અને વધારવા દૈનિક સમીક્ષા થવી જરૂરી છે. બધા જિલ્લાઓ વસતિ, વિસ્તાર, વ્યવસાય અને ભૌગોલિક તથા સુવિધાઓની દૃષ્ટિએ ભિન્ન-ભિન્ન હોવાથી એક લાકડે ઢોરને હાંકવાની જેમ એક સરખા ધારાધોરણો કે કર્મચારીઓની સંખ્યા રાખવાની પદ્ધતિ અપનાવાઈ રહી હોય તો તે ભૂલ ભરેલી છે અને આ તમામ પાસાઓ ધ્યાને રાખીને જ બીએલઓ તથા તેના મદદનીશોની ફાળવણી થવી જોઈએ., બીજી તરફ પ.બંગાળમાં મમતા બેનર્જીએ ઉઠાવેલા સવાલો પણ દેશમાં પડઘાઈ રહ્યા છે.
રાજકીય પક્ષોએ ચૂંટણીની કામગીરી કરતા કરતા મૃત્યુ પામ્યા હોય, અકસ્માતનો ભોગ બન્યા હોય કે બીમાર પડી ગયા હોય તો તેને અથવા તેના પરિવારોને સહાય, મૃતક કર્મચારીઓના પરિવાર પૈકી એકને નોકરી અને સારવાર-અંતિમક્રિયાનો ખર્ચ આપવાની માંગણી પણ ઉઠાવી છે, બીજી તરફ સર્વર ડાઉન થવા, નેટવર્ક નહીં મળવું કે મોબાઈલ ફોન રિચાર્જીંગ જેવા મુદ્દાઓ માટે રાજ્ય સરકાર આ રાષ્ટ્રીય કામગીરીની કચાશ નો દોષ ચૂંટણીપંચ પર ઢોળીનેે ઊંચા હાથ કરી શકે નહી, તેવા પ્રત્યાઘાતો ખોટા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણાં દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ ખતમ થઈ ગઈ છે, બંધારણીય સંસ્થાઓ હાઈજેક થઈ રહી છે અને જનવિરોધી નિર્ણયો લેવાઈ રહ્યા છે, એટલું જ નહીં, કેટલાક મુદ્દે વિપક્ષો તો ઠીક, સાથીદારપક્ષો કે સત્તા પર રહેલી પાર્ટીના નેતાઓને પણ વિશ્વાસમાં લેવામાં આવતા નથી, તે પ્રકારના આક્ષેપો કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં શાસન ચલાવી રહેલા નેતાઓ તથા પ્રાદેશિક હોદ્દેદારો પર થતા રહે છે અને રાજકીય પક્ષો તીખા-તમતમતા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરતા રહે છે, તેમ છતાં કેટલીક વખત રાજનેતાઓ પાર્ટીલાઈનથી અલગ પ્રકારના નિવેદનો કરતા હોય છે, અને આઝાદી પછી આ સીલસીલો સતત ચાલતો રહ્યો છે, જ્યારે દુશ્મન દેશો સામેની લડત હોય, કે આતંકવાદ કે દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે પ્રહાર હોય, ત્યારે આ પ્રકારની એકજૂથતા પણ હંમેશાં આપણાં દેશે દેખાડી છે, અને તે જ આપણી તથા આપણાં લોકતંત્રની તાકાત છે. ઓપરેશન સિંદૂર પછી વિદેશોમાં ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોએ વિદેશમાં જે રીતે આપણાં દેશની ગરિમામય છબિ રજૂ કરી અને પાકિસ્તાનના પ્રપંચોને ખુલ્લા પાડયા, તેની પ્રશંસા પણ થઈ હતી અને પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને જે રીતે દેશભાવના દેખાડાઈ, તેથી પ્રત્યેક ભારતીયની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી.ં
જો કે, હમણાંથી પાર્ટીલાઈનથી અલગ થઈને અપાતા કેટલાક નિવેદનોના સૂચિતાર્થો કાંઈક અલગ જ પ્રકારના જણાઈ રહ્યા છે, અને "કહીં પે નિગાહેં, કહીં પે નિશાના" જેવા વ્યૂહાત્મક અથવા આંતરિક અસંતોષ કે બળાપો કાઢવા માટેના પ્રયાસો જેવા જણાય છે., અને ખાસ કરીને ભારતીય જનતા પક્ષમાં ચાલતા આંતરિક ઘુંઘવાટ આ રીતે પ્રગટી રહ્યો હોય તેમ જણાય છે, જ્યારે કેટલાક નિવેદનો એવા હોય છે, જે પછેડીમાં પાંચશેરી વિંટીને ઘા કરવા જેવા હોય છે, તો કેટલાક નિવેદનો અડધા ભરેલા અને અડધા ખાલી ગ્લાસ જેવા દૃષ્ટિભેદથી પણ મુલવી શકાય તેવા "વચલા" અથવા ડબલ ઢોલકી જેવા હોય છે.
આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની ઉજવણીના ભાગરૂપે વડોદરાથી એકતા માર્ચ નીકળવાની છે. આ એકતા માર્ચમાં જોડાવા થોડા દિવસો પહેલા જ વડોદરાના ભાજપના સંસદસભ્ય ડો.હેમાંગ જોશીએ કોંગી નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને આમંત્રણ આપ્યું હોવાના અહેવાલોએ ઘણી ચર્ચા જગાવી હતી. કેટલાક વિશ્લેષકોએ આ રીતે ડો. જોશીએ પોતાનો આંતરિક બળાપો ઠાલવીને પરોક્ષ અસંતોષ વ્યક્ત કર્યો હોવાનો અંદાજ લગાવ્યો, તો કેટલાક વિશ્લેષકોએ આને વિપક્ષના નેતાને સરદાર પટેલની ૧૫૦મી જયંતીની ઉજવણીમાં પાર્ટીલાઈનથી ઉપર ઉઠવાની શુદ્ધ બુદ્ધિની અપીલ ગણાવી. હકીકતે વડોદરા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કથિત ગજગ્રાહના કારણે ડો. હેમાંગ જોશીના આ પત્ર ચર્ચાના ચાકડે ચડયો હોવાના તારણો નીકળ્યા.
ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કર્યા પછી રાજ્યના પોલીસતંત્રે તેનો જવાબ આપ્યો અને આ વિવાદ વધુ વકર્યો. હવે તો નેતાઓના નિવેદનો પોલીસના પટ્ટા ઉતરાવવાથી પેન્ટ સુધી પહોંચી ગયા છે અને આ નિવેદનબાજીમાં ભાજપના નેતાઓએ ભૂતકાળમાં અન્ય મુદ્દે પોલીસતંત્ર માટે આપેલા આ જ પ્રકારના નિવેદનો તથા ભદૃા શબ્દપ્રયોગોના દૃષ્ટાંતો પણ ઉમેરાયા છે, ત્યારે દારૂ-ડ્રગ્સની બદી અને તેનાથી યુવાવર્ગની થતી બરબાદીનો મુદ્દો હાંસીયામાં ધકેલાઈ ગયો છે, એટલું જ નહીં, ભાજપના કેટલાક નેતાઓએ પણ પોલીસતંત્ર અથવા કાયદો-વ્યવસ્થાના મુદ્દે એવા નિવેદનો કર્યા, જેને પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને જિજ્ઞેશ મેવાણીના મૂળ મુદ્દાને સમર્થન આપનારા પણ ગણાવાયા, તેથી ક્ષોભજનક સ્થિતિ પણ ઊભી થઈ ગઈ છે.
સુરતના ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વમંત્રી કુમાર કાનાણીએ સુરતના એક બ્રિજ નીચે ચાલતા ગોરખધંધા તરફ અંગૂલી નિર્દેશ કર્યો.
નાયબ મુખ્યમંત્રી તથા રાજ્યના ગૃહમંત્રીના કાર્યક્ષેત્રમાં જ કાયદો-વ્યવસ્થા તથા દારૂ-ડ્રગ્સની બદી અંગે જિજ્ઞેશ મેવાણી જેવા જ થયેલા નિવેદનોએ એક તરફ રાજ્યની વાસ્તવિકતા ખુલ્લી પાડી, તો બીજી તરફ ભાજપના નવા-જુના નેતાઓ વચ્ચેનો સંભવિત ખટરાગ પણ બહાર આવ્યો. એવી અટકળો પણ થઈ છે કે પૂર્વમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી વચ્ચે બધું બરાબર નથી, અને તેથી જ પાર્ટી માટે બૂમરેંગ પૂરવાર થાય, તેવા નિવેદનો અપાઈ રહ્યા છે. એટલું જ નહીં, સુરતના બ્રિજ નીચે તત્કાળ "સાફસુફી" થઈ જતાં ડેમેજ કંટ્રોલનો પ્રયાસ પણ બહાર આવ્યો હતો, તો પાર્ટીમાં "સાફસુફી"ની જરૂર હોવાની વાતો પણ થવા લાગી !
કોંગી નેતા પરેશ ધાનાણીએ તો ત્યાં સુધી કહી દીધું કે ડ્રગ્સ-દારૂના માફિયાઓ સામે ગુજરાતમાં જન આંદોલન વેગ પકડી રહ્યું છે, અને રાજકીય ઈશારે નાચનારા અને બંધારણના (ખોટા) સોગંદ લેનારાઓની જોવા જેવી થશે. !
કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ભરતભાઈ સોલંકીએ કરેલું એક નિવેદન પણ ચર્ચામાં છે, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કહે, તે કરી બતાવે છે, તેવું અર્થઘટન કાઢવામાં આવી રહ્યું છે. તેમણે બુદ્ધિમત્તાની વાત કર્યા પછી તેના ભિન્ન ભિન્ન સૂચિતાર્થો નીકળી રહ્યા છે.
કોંગ્રેસમાં પણ કર્ણાટકના શિવકુમાર એપિસોડ પછી હવે એક અન્ય દિગ્ગજ નેતાએ કોંગ્રેસનું નેતૃત્વ પ્રિયંકા ગાંધીને સોંપવાની હિમાયત કરતા એવી ચર્ચા થઈ રહી છે કે આ નિવેદન ખડગેને ખસેડવા માટે અપાયું હશે કે રાહુલ ગાંઘીની ક્ષમતા પર પ્રહાર હશે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ગ્લાસગોમાં ગુજરાત માટે ગૌરવભરી ક્ષણ આવી હતી, જ્યારે કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે અમદાવાદમાં આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો.
ગઈકાલનો દિવસ ઐતિહાસિક હતો અને આગામી ઓલિમ્પિક ગેઈમ્સ માટે પણ ભારતને ચાન્સ મળે, તે દિશામાં કૂચ થઈ છે. કોમનવેલ્થ ગેઈમ્સ અમદાવાદમાં યોજવાની જાહેરાત ગુજરાત માટે ગૌરવ અને દેશનો દબદબો વધારનારી હતી, સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેઈમ્સની એસેમ્બલીમાં અંતિમ સત્તાવાર નિર્ણય લેવાયો, તેથી ભારતના સંવિધાન દિવસે જ યોગાનુયોગ લેવાયો, તેને શુભ સંકેત અને ગરિમામય સંયોગ ગણાવાઈ રહ્યો છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું પ્રતિનિધિ મંડળ ગ્લાસગો ગયું છે. અને ગુજરાતને ગ્લોબલ મલ્ટી સ્પોર્ટસ હબ બનાવવાના દ્વાર ખુલી ગયું તેવો આ નિર્ણય લેવાયા પછી ગુજરાતીઓનો "હર્ષ" આસમાને પહોંચ્યો છે અને દેશની ગરિમા વધી છે, તેથી એકંદરે દેશભરમાંથી આ નિર્ણયને આવકારતા પ્રતિભાવો પણ ગઈકાલથી જ આવી રહ્યા છે.
ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી.ઉષા, બોકસર જૈસ્મીન લામ્બોરિયા સહિતની હસ્તીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણયને આવકારતા કહ્યું હતું કે યુવાશક્તિના સશક્તિકરણ, ખેલ જગતને પ્રોત્સાહન અને દેશની સર્વક્ષેત્રિય પ્રતિભા વધારવાના આ ઉદૃેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રકચર અને વૈશ્વિક ક્ષમતા સાથે આપણે આ ગૌરવપ્રદ ક્ષણને આવકારીએ. વડાપ્રધાને પણ આ ઈવેન્ટને લઈને તત્પરતા વ્યક્ત કરી છે.
કોમનવેલ્થ ગેઈમ્સને મીની ઓલિમ્પિક ગેઈમ્સ પણ ગણવામાં આવે છે, અને ગુજરાતના અમદાવાદમાં આ માટે પ્રવર્તમાન સુવિધાઓ ઊભી થશે, તેથી આ મેગા આયોજનથી સ્થાનિક રોજગારી, ઈન્ફ્રાસ્ટ્રકચર, વિકાસ તથા ટુરિઝમ ડેવલપમેન્ટ સહિતના મહત્ત્વપૂર્ણ પૂરક ફાયદાઓ પણ મળવાના છે.
ક્રિકેટની કેટલીક મહત્ત્વપૂર્ણ મેચો ક્ષમતા, સુવિધાઓ તથા પરિવહનની દૃષ્ટિએ અને મોટું સ્ટેડિયમ હોવાથી અમદાવાદને મળે, તેની સામે અદેખાઈ કરતા અન્ય રાજ્યોના કેટલાક રાજનેતાઓએ પણ કોમનવેલ્થના આયોજનમાં ગુજરાત અને દેશની પડખે ઊભું રહેવું પડશે.
આ સ્પર્ધાઓ અમદાવાદમાં યોજાતા ટુરિઝમ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને એમ્પ્લોયમેન્ટનું ટ્રિપલ બુસ્ટર મળશે અને હજારો કરોડના ઈન્વેસ્ટમેન્ટ સાથે ગ્લોબલ મેપમાં અમદાવાદ અને ગુજરાતનું ગૌરવવંતુ સ્થાન મળશે. બસ, ધ્યાન એટલું રાખવાનું કે જામનગરના ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા પછી ત્યાં જે પ્રકારની ગંદી અને લાપરવાહી પૂર્ણ હરકતો થઈ છે, તેવું કોમનવેલ્થના ડેસ્ટિનેશન પર તો હરગીઝ ન જ થવું જોઈએ.
ગુજરાતને કોમનવેલ્થ ગેઈમ્સની યજમાની તો મળી ગઈ પરંતુ આ કારણે માત્ર ગુજરાત સરકાર કે તેના તંત્રો જ નહીં, પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગુજરાતીઓ તથા ખાસ કરીને અમદાવાદના રહીશોની જવાબદારી ઘણી જ વધી જવાની છે. આ તકને ઓલિમ્પિકના અવસરમાં બદલવા માટે સૌ કોઈએ સમર્પિત થવું જ પડશે. ગંદકી કરવાની, ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરવાની તથા છીછરી હરકતો કરવાની આદતો ધરાવતા લોકોને અંકુશમાં રાખવા પડશે તથા તમામ વ્યવસ્થાઓને અનેકગણી સુદૃઢ અને સક્ષમ બનાવવી પડશે.
કોમનવેલ્થ સ્પોર્ટસ ફેડરેશન દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે આ વખતે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેઈમ્સમાં એથ્લેટિક્સ, સ્વિમીંગ, બાઉલ્સ, તમામ પેરા સ્પોર્ટસ સહિત વેઈટ લિફટીંગ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક, બોક્સિંગ, નેટબોલ અને ટેબલટેનિસ સહિત કુલ ૧૫ થી ૧૭ સ્પોર્ટસનો સમાવેશ થશે.
આ ગેઈમ્સ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવ-અમદાવાદમાં રમાશે, અને વિશ્વના સૌથી મોટા ગણાતા સ્ટેડિયમ ઉપરાંત આ કોમ્પ્લેક્ષમાં અત્યાધુનિક ફૂટબોલ સ્ટેડિયમ, બે વિશાળ ઈન્ડોર એરેના, હાઈટેક એક્વેટિક્સ સેન્ટર અને તમામ પ્રકારની પૂરક અદ્યતન વ્યવસ્થાઓ તથા સુખ-સુવિધાઓ તથા આવાસ, નિવાસ, પરિવહન અને પ્રેકટિસની સગવડો પણ ઊભી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ આવકારદાયક છે અને આપણાં ગરવા ગુજરાત માટે એક સુવર્ણ અવસર છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે, તે જ અમદાવાદ ભયંકર ટ્રાફિકજામ માટે પણ જાણીતું છે. આ મહાનગરની આંતરિક ટ્રાફિક વ્યવસ્થા અંગે અવાર-નવાર હાઈએલર્ટ તથા સરકારી કાર્યાલયો સુધી પડઘા પડયા છે. અમદાવાદમાં રખડતા ઢોર, ટ્રાફિક નિયમોના ભંગ તથા માર્ગો પર પડતા ભુવાઓ (ઊંડા ખાડાઓ) અંગે રાજ્યની હાઈકોર્ટે પણ અવાર-નવાર એે.એમ.સી. તથા રાજય સરકારના તંત્રોને તતડાવ્યા છે, અને કેટલીક વખત તો વડી અદાલતે સુઓમોટો સુનાવણી કરીને કોર્પોરેશન તથા રાજ્ય સરકારના તંત્રોને તથા ઉચ્ચ અધિકારીઓના ખુલાસાઓ પણ માંગ્યા છે.
જો કે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તથા વિકસિત કરાઈ રહેલા સંકુલો, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવ અને તેમાં સમાવિષ્ટ ન.મો. સ્ટેડિયમ સહિતના ખેલસંકુલોમાં સમસ્યાઓ તથા ગીચતા અને ટ્રાફિકજામની ઉણપો પ્રમાણમાં ઓછી હશે, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની આટલી બધી ગેઈમ્સ અને પ્રવૃત્તિઓ થવાની હોય, ત્યાં બહારથી પણ બહોળી સંખ્યામાં લોકો તથા પ્રવાસીઓ, ખેલાડીઓ, સંલગ્ન અધિકારી-કર્મચારીઓ અને પૂરક વ્યાવસાયિકો તો આખા અમદાવાદમાં ફેલાઈ જવાના છે, તેથી અત્યારના અમદાવાદને પાંચ વર્ષમાં ઘણું જ બદલવું પડશે. આપણી પાસે વર્ષ ૨૦૧૦માં દિલ્હીમાં કોમનવેલ્થ સ્પર્ધાઓ યોજયાનો અનુભવ પણ છે અને તે સમયની સરખામણીમાં ટેકનોલોજી, સંચાર વ્યવસ્થાઓ અને ઈન્ફ્રાસ્ટ્રકચર પણ ઘણું જ એડવાન્સ તથા આધુનિક બની ગયું છે, તેમ છતાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર માટે તો આ મોટો પડકાર જ છે અને તેમાં જો થોડી ઘણી પણ કચાશ રહી જાય, તો આ જ ગૌરવ આપણા દેશ માટે બૂમરેંગ પણ પૂરવાર થઈ શકે તેમ છે, તેથી આગામી પાંચ વર્ષમાં તમામ પ્રકારની સંભાવનાઓને સાંકળીને આ ભગીરથ પડકાર ઝીલવાની તૈયારી કરવી પડે તેમ છે. આ પાંચ વર્ષના સમયગાળામાં જ ગુજરાત વિધાનસભાની વર્ષ-૨૦૨૭માં ચૂંટણીઓ થવાની છે, જયારે વર્ષ ૨૦૨૯માં લોકસભાની ચૂંટણીઓ પણ આવશે, અને સરકારો બદલાશે, પરંતુ આ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના આયોજનમાં કોઈ ખામી ન રહી જાય, તે માટે રાજકીય એકજૂથતા બતાવીને રાષ્ટ્રીય ગૌરવ માટે રાષ્ટ્રીય પર્વો જેવી જ અખંડિત તાકાત પણ બતાવવી પડશે, અને તે જવાબદારી આપણી બધાની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લો મૂકાયા પછી ટ્રાફિક નિયમન નહીં, પણ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા અને એકાદ અકસ્માત પણ થયો, તે પુલના નિર્માણમાં રહી ગયેલી ત્રુટિઓ અને અધરૂપ ઉપરાંત નગરજનોની કુતૂહલપ્રવૃત્તિ તથા કેટલાક પરિબળોની અયોગ્ય તથા અનિચ્છનિય હરકતોનો પણ પર્દાફાશ કરે છે. મુખ્યમંત્રી બ્રિજ ખુલ્લો મૂકીને ગયા, તેની પ્રથમ બે રાત્રિ દરમ્યાન રંગીન રોશનીનો નજારો માણવા તથા લાંબા સમયથી નિર્માણધિન બ્રિજ કેવો બન્યો છે, તે નિહાળવા એટલા બધા લોકો ઉમટી પડયા હતા કે ટ્રાફિક જામ નિવારવા માટે ટ્રાફિક પોલીસને તથા તંત્રના નાકે દમ આવી ગયો , તો બીજી રાત્રિએ કેટલાક સ્થળે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવા દૃશ્યો જોવા મળ્યા, અને એકંદરે નગરના નજરાણા જેવા આ બ્રિજની સ્વચ્છતા, સુરક્ષા તથા ટ્રાફિક તથા કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ જરૂરી એવા "ત્રીજા નેત્ર"ની વ્યવસ્થા જ હજુ થઈ નથી, તે જાણીને લોકોને તાજ્જુબ થયું. બ્રિજમાંથી ઉતરતા ઢાળીયા પાસે વળાંક પાસે વધુ ચોકસાઈ માટે વધુ ડિવાઈડરની જરૂર જણાવાઈ, તો બ્રિજ પર આવતા વળાંકો અંગે સતર્કતા રાખવાની જરૂર તથા તદ્વિષયક વધુ સાઈનીંગ બોર્ડની ચર્ચા પણ થઈ.
આપણે આપણું તદ્ન નવું મકાન આપણું પોતાનું બનાવ્યું હોય અને વાસ્તુ કરીને રહેવા જઈએ કે તરત ત્યાં દીવાલો પર થુંકીએ કે હોલ-બેડરૂમ કે ગમે ત્યાં કચરો ફેંકીએ ખરા ?...ન જ ફેંકીએ, પરંતુ નવા નકોર બ્રિજ પર આ પ્રકારની હરકતો થઈ, તેને બેશરમ અથવા નિર્લજ્જ તથા એક જવાબદાર નાગરિક તરીકે તદૃન અયોગ્ય હરકતો જ કહી શકાય...જાહેર મિલકતો પબ્લિક મનીમાંથી જ બને છે અને આપણે ભરેલા ટેકસમાંથી જ વિકાસના સંકુલો તથા માળખાકીય મિલકતો બને છે, તેવો દાવો તો આપણે હંમેશાં કરતા હોઈએ છીએ, પરંતુ આ પ્રકારની પબ્લિક પ્રોપર્ટી અથવા જનસુવિધાઓ તદૃન નવનિર્માણ પામી હોય, ત્યાં જ તેને ગંદી, ગોબરી કરવા લાગીએ, તો આપણને તંત્રની ટિકા કરવાનો કે હક્કો માંગવાનો અધિકાર ખરો ?...જરા વિચારો... દિલ પર હાથ રાખીને અંતરઆત્માને પૂછો...!
કલેકટર-એસ.પી.-મ્યુનિસિપલ કમિશનર સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉદઘાટન પછી આ બ્રિજની સ્થિતિ નિહાળવા આંટો માર્યો હશે. નગરના કેટલાક શ્રેષ્ઠીઓ તથા પ્રેસ-મીડિયા, લબ્ધ-પ્રતિષ્ઠિત લોકો દ્વારા વિવિધ પ્રતિભાવો વ્યક્ત થયા, કેટલાક ઉપયોગી સૂચનો પણ થયા, તો કેટલીક બાબતે આલોચના પણ થઈ, પરંતુ કોઈના તરફ એક આંગળી ચિંધીએ, ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી તરફ હોય, અને અંગૂઠો, "ડબલ ઢોલકી" વગાડતો હોય, તેમ તદૃન વચ્ચે જ હોય છે, તે ભૂલવું ન જોઈએ !
આટલા લાંબા સમયથી બ્રિજનું નિર્માણ થતું હોવા છતાં જો મૂળભૂત જરૂરિયાતો અથવા ટ્રાફિક નિયમનની પૂરતી વ્યવસ્થાઓ કે સીસીટીવી કેમેરાઝ ગોઠવી શકાયા ન હોય, તો તે આ બ્રિજની ડિઝાઈન કરનારાઓથી લઈને એન્જિનિયરો, કોન્ટ્રાકટરો, તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા ઘણી વખત નગરમાં ઊંચો કોલર રાખીને સીનસપાટા કરતા રહેતા કેટલાક નેતાઓ, નાની-નાની બાબતોમાં પ્રેસનોટના ઢગલા કરતા રહેતા કેટલાક નિવેદનીયા "જાગૃત જનસેવકો", મહાપાલિકાના પદાધિકારીઓ અને લોકોએ ચૂંટેલા નગરસેવકો તથા જનપ્રતિનિધિઓ સહિત આપણી બધાની ભાગે પડતી જવાબદારી ગણાય, અને સહિયારી ખામી જ ગણાય, ખરૃં ને ?
આજે સવારે જ સમાચાર આવ્યા છે કે આ નવાનકોર બ્રિજમાં આગ લાગતા ફાયરબ્રિગેડને દોડવું પડ્યું હતું, અને શોટસર્કિટ થતાં વાયર બળ્યું હોવાનું સામે આવ્યુું હતું, મહાનગરપાલિકાનું તંત્ર હોય કે જિલ્લાનું વહીવટી તંત્ર હોય, કોન્ટ્રાક્ટરોનું તંત્ર હોય કે લોકતંત્રના પહેરેદારો દાવો કરતા રહેતા કેટલાક બોલકા લોકો હોય, કોઈનાય બહુ વખાણ કરવા જેવા નથી,...બ્રિજના ઉદઘાટન પછી પહેલા બે દિવસના અનુભવે જ સામે આવેલી વાસ્તવિકતાઓ માટે જવાબદાર કોણ ? તે પ્રશ્નનો જવાબ આત્મચિંતન કરીને સ્વયં જ શોધવો પડે તેમ છે.
નગરના નજરાણાં સમા બનેલા ફલાય ઓવરબ્રિજના સુશોભન, લાઈટીંગ અને ઝગહળાટ નમૂનેદાર છે અને સુંદર દૃશ્યો જોવા મળી રહ્યા છે, તે હકીકત છે, પરંતુ તેની પાછળ મૂળભૂત જરૂરિયાતો, વ્યવસ્થાઓ અને "તિસરી આંખ", તથા ટ્રાફિક નિયમન જેવી તકેદારીઓમાં કચાશ રહી ગઈ, તે ક્ષમ્ય નથી...
આ ફલાય ઓવરબ્રિજના પ્રથમ બે દિવસના અનુભવે એવું કહી શકાય કે અડધો પાણીનો ગ્લાસ ઘણાંને અડધો ભરેલો દેખાય, તો ઘણાંને અડધો ખાલી દેખાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ બ્રિજ અંગે ટિકા-ટિપ્પણી થાય, વાસ્તવિક ભૂલો પ્રત્યે અંગૂલી નિર્દેશ થાય કે ઉયોગી સૂચનો થાય, તે આવકાર્ય પણ છે અને જરૂરી પણ છે, પરંતુ કેટલાક સૂફિયાણી સલાહો આપતા પરિબળો ડાહી ડાહી વાતો કરતા રહેતા હોય અને પોતે જ આ બ્રિજના લોકાર્પણની પહેલી રાત્રે શું કર્યું તે ભૂલી જતા હોય, તો એવું કહી શકાય કે આ પ્રકારના લોકો હાથી જેવા હોય છે, જેના ખાવા (ચાવવા)ના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા હોય છે...!!!
ખેર, હવે ઝડપથી રેલવેની જમીનનું હસ્તાંતરણ થઈ જાય, અને અંબર ચોકડી પાસે નવા સ્લેબ જલદી બની જાય, સમગ્ર બ્રિજને આવરી લેતા સીસીટીવી કેમેરા ઝડપથી ફિટ થઈ જાય, અને વચગાળામાં ડ્રોન કેમેરાથી નિરીક્ષણનો વિકલ્પ વિચારાય, બ્રિજની ઉપર તથા બંને છેડે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો-વ્યવસ્થા જાળવવાની રાઉન્ડ-ધ-કલોક વ્યવસ્થા ઉપરાંત અભ્યાસ કરીને ટ્રાફિક વધુ રહેતો હોય ત્યારે વિશેષ વ્યવસ્થાઓ થાય, ટ્રાફિકના સમયે બ્રિજ પર બિનજરૂરી રીતે વાહનો ઊભા રાખીને ટ્રાફિક જામ કરતા, બ્રિજ પર ગમે ત્યાં પાન-મસાલાની પિચકારી મારતા, કચરો ફેંકતા કે અયોગ્ય હરકતો કરતા પરિબળો દંડાય અને જરૂર પડ્યે તેવા રીઢા તત્ત્વોને કાયદાનું ભાન કરાવવા, તે અત્યંત જરૂરી છે...નગરને નવલું નજરાણું મળ્યુ છે, તેને જાળવીએ, અને આપણે પણ સુધરીએ અને બીજાને પણ સાચો માર્ગ બતાવીએ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
થોડા દિવસો પહેલા દેશમાં ૨૯ જૂના કાયદાઓ રદ કરીને નવા શ્રમ કાયદા લાગુ કરાયા છે અને તેના કારણે ૪૦ કરોડ જેટલા કામદારોને સામાજિક સુરક્ષા મળશે, તેવો દાવો કરાયો છે. તે પહેલા મોદી સરકારે ઘણાં બિનજરૂરી કાયદાઓ નાબૂદ કર્યા છે. બ્રિટિશ સલ્તનતના શાસનકાળમાં ઘડાયેલા આઈપીસી, સીઆરપીસી તથા એવિડેન્સ એક્ટની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ-૨૦૨૩), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ-૨૦૨૩) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ-૨૦૨૩) લાગુ કર્યા હતા, અને ગૂન્હો, સજા, દંડ, પ્રક્રિયા અને કલમોમાં ફેરફાર કરીને વર્તમાન યુગને અનુરૂપ કાયદાઓ ઘડવાની તાર્કિક દલીલો સાથે સંસદમાં લાંબી ચર્ચાઓ પણ આ સંદર્ભે થઈ હતી.
આપણાં દેશમાં વર્ષ ૧૯૩૦ થી ૧૯૫૦ વચ્ચે બ્રિટિશ શાસન દરમ્યાન શ્રમ કાયદાઓ ઘડાયા હતા, જેમાં વર્તમાન સમયની જરૂરિયાતો, શ્રમના પ્રકારો તથા શ્રમિકોના હિતો પ્રતિબિંબિત થતા નહોતા. જૂના કાયદાઓમાં ફિક્સ પગાર, ગિગ વર્કર્સ, માઈગ્રેશન ઓફ લેબર્સ અને પ્લેટફોર્મ વર્કર્સ કે લેબર્સ કોન્ટ્રાક્ટ્સ જેવા મુદ્દાઓ નહોતા. આ પ્રકારના શબ્દપ્રયોગો પણ જૂના કાયદાઓમાં જોવા મળતા નહોતા. તેથી જૂના ૨૯ કાયદાઓ હટાવીને શ્રમિકોના હિતોને સાંકળીને નવા કાયદા અમલ બનાવાયા હોવાનો દાવો કરાયો છે, અને ગિગ વર્ક, પ્લેટફોર્મ વર્ક, એગ્રીગેટર્સની વ્યાખ્યાઓ નિયત કરીને નવી શ્રમ સંહિતામાં ફિક્સ્ડ પગારથી કામ કરતા કામદારો, ટર્મ કર્મચારીઓને પણ કાયમી કર્મચારીઓની જેમ જ સમાન ધોરણે રજા, પગાર, મેડિકલ સહાય અને સામાજિક સુરક્ષાનો અધિકાર મળશે અને પાંચ વર્ષ પછી જ ગ્રેચ્યુઈટીનો અધિકાર મળશે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો, પ્લાન્ટેશન, ડિજિટલ મીડિયા, ઈલે. મીડિયા, પત્રકારો, ડબિંગ કલાકારો, સ્ટંટ કલાકારો, ખાણ કામદારો, જોખમી ઉદ્યોગો, ટેક્ષ્ટાઈલ, આઈ.ટી., આઈ.ટી.એસ કામદારો, પોર્ટસ અને એક્સપોર્ટસ ક્ષેત્રના કામદારો તથા કર્મચારીઓને પણ નવા કાયદાઓ હેઠળ આવરી લેવાયા હોવાનો પણ દાવો કરાયો છે.
આ કાયદાઓના સુદૃઢ અમલ તથા શ્રમિકો-કામદારો-કર્મચારીઓના હિતોના રક્ષણ માટે પ્રવર્તમાન કાનૂની વ્યવસ્થાઓ ઉપરાંત બે સભ્યોની નવી ઔદ્યોગિક ટ્રિબ્યુનલની વ્યવસ્થા કરાશે, તથા જ્યાં ૯૫૦૦ થી વધુ કામદારો હોય, ત્યાં સલામતિ સમિતિઓ ફરજિયાત કરાશે. સરકારે દાવાઓ તો ઘણાં કર્યા છે, પરંતુ હવે "નિવડે વખાણ થાય..."ની કહેવત મુજબ જસ્ટ વેઈટ એન્ડ વોચ...
આ જ રીતે કેન્દ્ર સરકારે હવે સાયબર ક્રાઈમના ક્ષેત્રે પણ વધુ કડક અને નવા કાયદાઓ ઘડવાની જરૂર છે. ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન બેન્કીંગના ઘણાં ફાયદા છે અને ટ્રાન્સપરન્ટ વ્યવહારોના કારણે બ્લેકમની પ્રોડકશન તથા ગેરકાનૂની નાણાકીય વ્યવહારો પર અંકુશ આવે છે, એ ખરૃં, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે... ગુજરાત સહિત દેશમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ દિન-પ્રતિદિન ઝડપભેર વધી રહી છે, અને ગુજરાત તેમાં પણ નંબર વન હોવાનુું સામે આવ્યું છે.
તાજેતરના અહેવાલો મુજબ ગુજરાતમાં દર કલાકે સાયબરની ૨૧ ફરિયાદો એવરેજ નોંધાય છે. છેલ્લા નવ મહિનામાં જ ગુજરાતીઓ સાથે રૂ. ૧૦૧૧ કરોડની ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના સાયબર ક્રાઈમ ૩૦ ટકા જેટલો વધ્યો હોવાના તારણો નીકળ્યા છે. નાણાકીય રોકાણમાં લોભામણી લાલચો આપીને સૌથી વધુ છેતરપિંડી થાય છે, ગુજરાતમાં નવ હજારથી વધુ લોકો તો લલચામણી જાહેરાતોમાં લોભાઈને જ રૂ. ૪૦૦ કરોડ જેટલી રકમ ગુમાવી બેઠા છે. ઓટીઝ, કાર્ડ ફ્રોડ અને ખોટી ઓળખાણ આપીને છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે. માત્ર ખોટી ઓળખ આપીને જ ગઠિયા ઠગોએ ૨૭ હજારથી વધુ લોકો સાથે ઠગાઈ કરીને રૂ. ૧૩૭ કરોડ જેવી માતબર રકમ ખંખેરી છે. આમ, ગુજરાતમાં સાયબર ઠગો માટે મોકળું મેદાન મળી ગયું હોવાની ટિકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે.
ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં એવરેજ દરરોજ ૧૫૫ ફરિયાદો નોંધાતી હતી, એટલે કે પ્રતિ કલાક ૬ ફરિયાદો થતી હતી, જે ચાલુ વર્ષે વધીને પ્રતિ કલાક ૨૧ એટલે કે ેદરરોજની ૫૨૦ જેટલી ફરિયાદો નોંધાઈ છે.
છેલ્લા પાંચ વર્ષમાં નાગરિકોએ કુલ ૩૩૮૭ કરોડ રૂપિયા ગુજરાતીઓએ ગુમાવ્યા હોય, તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે હવે "હાઈટેક" નવા કાયદાઓ પણ ઘડવા જ પડે તેમ છે., કારણ કે વર્તમાન યુગને અનુરૂપ ઘડાયેલા નવા કાયદાઓમાં પણ દરરોજ અપડેટ થતી ઈન્ટરનેટ આધારિત બેંન્કીંગ અને ડિજિટલ સિસ્ટમોને અનુરૂપ નવા કાયદા અને તાલીમબદ્ધ અલાયદી પોલિસીંગ વ્યવસ્થા પણ ઊભી કરવી અથવા વિસ્તારવી જરૂર છે.
જો કે, ગુજરાતમાં સાયબર સેલ આ પ્રકારના ગૂન્હાઓને પકડવા નિષ્ઠાપૂર્વક કાર્યરત છે અને જરૂર મુજબનું આધુનિકરણ પણ થાય છે, પરંતુ સાયબર ક્રાઈમના નવા સ્વરૂપો તથા આંતરરાષ્ટ્રીય વ્યાપને જોતાં સતત અદ્યતન તાલીમ સાથે વર્કફોર્સને કાનૂની પીઠબળ પણ જરૂરી છે, અને સાયબર ઠગોમાં કાનૂનનો ડર પ્રવેશે તેવા નવા કાયદા ઘડવા અત્યંત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે રજવાડીનગર જામનગરના આંગણે નોબત-નગારાનો નાદ ગુંજી રહ્યો છે, અને નગરમાં ખુશીનો માહોલ છે. એક તરફ મંગલ પ્રસંગો, સગાઈ, લગ્ન સમારંભોની ધૂમ મચી છે, તો બીજી તરફ નગરમાં રૂ. સવા બસો કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલા ફલાય ઓવરબ્રિજના લોકાર્પણની સાથે સાથે અન્ય વિકાસ પ્રોજેકટોના લોકાર્પણો તથા ખાતમુહૂર્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર આવ્યા છે, જેને નગરજનો આવકારે છે...
ગઈકાલથી પ્રેસ-મીડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના એક માનવીય અભિગમની ભરપૂર પ્રશંસા થઈ રહી છે અને એક પરિવારના લગ્ન પ્રસંગમાં અડચણ ન આવે, તે માટે મુખ્યમંત્રીએ આજના લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમો-પ્રસંગો યોજાનાર સમારંભનું સ્થળ ટાઉનહોલથી બદલીને ધન્વન્તરિ મંદિરના ઓડિટોરિયમમાં કરાવ્યું તેની ચો તરફ ચર્ચા થઈ રહી છે અને તેમાં રાજ્ય સરકારનું માહિતી ખાતું કેવી રીતે નિમિત્ત બન્યું હતું, તેની પણ ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની રહી છે. એકંદરે "અંત ભલા તો સબ ભલા..." મુજબ જેને ત્યાં લગ્ન પ્રસંગ હતો, તે પરિવારે પણ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે, અને સૌ સારા વાના થયા છે.
આમ તો મુખ્યમંત્રી ૨૦મી નવેમ્બરે ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકવા અને અન્ય વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણો કરવા માટે જામનગર આવવાના હતા. અને તેના સંદર્ભે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજાનાર હતો, પરંતુ મુખ્યમંત્રીને બિહારમાં નીતિશકુમારની શપથવિધિમાં જવાનું થતાં કાર્યક્રમની તારીખ બદલી, અને તેની અસર પહેલેથી નિર્ધારિત એક પરિવારના લગ્ન પ્રસંગ પર થાય તેમ હતી, તે જોતાં વહીવટીતંત્રે પણ સ્વયં જાગૃત રહીને "આમ જનતાને" પ્રાયોરિટી આપીને જરૂરી ફેરફાર કરવા જોઈએ, અને જાહેર કાર્યક્રમોમાં ફેરફાર થાય ત્યારે સ્થળ પસંદગી, રૂટ અને અન્ય સંલગ્ન તમામ બાબતોની તલસ્પર્શી પુનઃ સમીક્ષા કરીને સ્થાનિક કક્ષાએથી જ જરૂરી ફેરફાર "સામાન્ય જનતા"ને કેન્દ્રમાં રાખીને જ કરવા જોઈએ. ખેર, દેર આયે...દૂરસ્ત આયે... ભવિષ્યમાં ધ્યાન રાખવા જેવું ખરૃં !
આજે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હસ્તકના કુલ મળીને ૬૨૨ કરોડથી વધુના ૬૯ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા પછી મુખ્યમંત્રીએ કરેલા સંબોધન તથા આ વિકાસકામોના કારણે લોકોની સુખ-સુવિધામાં થનારા સુધારા-વધારા અંગે પણ આજે નગરચર્ચા થઈ રહી છે, અને ભિન્ન-ભિન્ન મંતવ્યો વ્યકત થઈ રહ્યા છે. કેટલાક કોંગી મહિલા અગ્રણીઓના ઘર પાસે વિશેષ બંદોબસ્ત તથા કથિત નજરકેદની પણ ચર્ચા છે.
આજે મુખ્યમંત્રી નગરની મુલાકાતે આવ્યા, ત્યારે જામનગર અને હાલારની કેટલીક સમસ્યાઓ, જરૂરિયાતો અને પ્રાણપ્રશ્નો અંગે સ્થાનિક નેતાગીરી અને તંત્રો સાથે ચર્ચા-પરામર્શ થયો જ હશે, તો મુખ્યમંત્રીએ સ્થાનિક તંત્રોને કોઈ સૂચનાઓ તથા સ્થાનિક નેતાગીરીને સલાહ-માર્ગદર્શન કે દિશાનિર્દેશો પણ આપ્યા હશે, તો કેટલાક મુદ્દે સ્પોટ ડિસિશન લેવાયા હશે. તે પૈકી જિલ્લાની જનતા તથા નગરજનોને સ્પર્શતા હોય કે હાલારને સંબંધિત કોઈ મુદ્દે પ્રગતિ થઈ હોય, તો તે પબ્લિક ડોમેનમાં આવે તે જરૂરી છે. કારણ કે આ વખતે મુખ્યમંત્રીની જામનગરની મુલાકાત સમયે કેટલાક મુદ્દે રાજ્ય સરકારના સહયોગ અથવા હસ્તક્ષેપની આશા રાખીને રજવાડી નગરની રાંકડી રૈયત બેઠી હતી....!
આપણે શનિવારે "નોબત"ના તંત્રી લેખમાં પણ અહીં આ પ્રકારના સ્પોટ ડિસિશનની તક હોવાની વાત કરી હતી, જેમાં મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા થી લઈને રાજ્યકક્ષા સુધીની કેટલીક સમસ્યાઓ, જરૂરિયાતો લોકોની માંગણીઓ તથા નવા ઉદ્ભવેલા પ્રશ્નો તરફ અંગૂલી નિર્દેશ કર્યો જ હતો, અને તેના સંદર્ભે મુખ્યમંત્રીની મુલાકાત દરમ્યાન સ્થાનિક નેતાગીરીએ રજૂઆતો કે ચર્ચા કરી જ હશે, તો તેની ફલશ્રુતિ શું નીકળી તેની જાણ પણ જનતાને થવી જ જોઈએ ને ?
આજે જ સમાચાર આવ્યા છે કે કોઈ ખેડૂતે ડુંગળીના ભાવો તળીયે બેસી જતા પોતાના ખેતરમાં વાવેલા ૧૧ વીઘાના ડુંગળીના ઊભા પાક પર રોટાવેટર ફેરવી દીધુ છે. જે ખેડૂતોએ ડુંગળી માર્કેટીંગ યાર્ડ સુધી પહોંચાડી, તેને ટ્રાન્સ્પોર્ટેશનની રકમ પણ ન મળે, તેટલા ઓછા ભાવ આવી રહ્યા હોવાથી ખેડૂતો સરકારના સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે. ડુંગળીની આયાત-નિકાસની પોલિસી બદલવાના લાંબા ગાળાના ઉપાય ઉપરાંત અત્યારે જે ખેડૂતોની માર્કેટમાં ડુંગળી આવી જ રહી છે, તેને પોષણક્ષમ ભાવો મળી રહે, તેવા તત્કાળ કદમ ઉઠાવવા જરૂરી છે. આ અંગે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સહકારીક્ષેત્રના દિગ્ગજો તથા ધારાસભ્યો તથા સંસદસભ્યો સાથે ચર્ચા કરીને મુખ્યમંત્રી સ્વયં તાકીદનો નિર્ણય લેશે, તેવી આશા રૈયત રાખી રહી છે.
માર્કેટીંગ યાર્ડો-ખેડૂતો પાસેથી ડાયરેકટ ખરીદી કરીને ખૂબ ઓછા ભાવે મેળવેલી ડુંગળી સામાન્ય ગ્રાહક સુધી છુુટક વેચાણમાં પહોંચે, ત્યારે તેના અનેકગણા ભાવો થઈ જતા હોય છે. આ રીતે ખેડૂતોનું શોષણ થાય અને સામાન્ય જનતા સુધી પહોંચતા પહોંચતા તેનો ભાવ અનેકગણો વધી જતો હોવાથી તે મુદ્દે પણ ગાંધીનગર પરત ગયા પછી મુખ્યમંત્રી કોઈ એકશન લેવડાવશે, તેવી અપેક્ષા પણ લોકો રાખી રહ્યા છે.
ખેત-ઉત્પાદનોની ખેડૂતો પાસેથી ખરીદી કર્યા પછીના તેના ટ્રાન્સ્પોર્ટેશન, બગાડ અને નુકસાન વગેરે ઉમેરીને થતી એકંદરે પડતર કિંમત થી પણ અનેકગણા ભાવો જથ્થાબંધ કે છૂટક વેચાણ થતું હોય, તો એ તગડી નફાખોરી અટકાવવા કોઈ મિકેનિઝમ જ કાર્યરત નથી. અથવા મોજુદ નથી, તે નક્કર હકીકત ધ્યાને લેવી પડે તેમ છે.
રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા હાલારમાં ગ્રામ્ય વિસ્તારો સહિતના વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ સહિતની શૈક્ષણિક વ્યવસ્થાઓ ચકાસી રહ્યા છે, ત્યારે તેઓના ધ્યાને પ્રવર્તમાન એસઆઈઆરની ચૂંટણીપંચની કામગીરી કરતા બીએલઓને પડતી કેટલીક તકલીફો પણ આવી હશે. આ તકલીફોનું સમાધાન થાય અને કોઈ એવો રસ્તો નીકળે, કે જેથી બીએલઓની સમસ્યાઓનું નિવારણ પણ થાય અને ચૂંટણીપંચની રાષ્ટ્રીયકક્ષાની આ કામગીરી પણ સમયમર્યાદામાં સંપન્ન થાય. આ માટે ચૂંટણીતંત્ર સાથે સંકલન કરીને ઝડપી પ્રયાસો થવા અત્યંત જરૂરી છે.
ટૂંકમાં, મુખ્યમંત્રીની જામનગરની મુલાકાત અને તેઓ દ્વારા લોકાર્પિત કે ખાતમુહૂર્ત કરાયેલા વિકાસકામો નગર અને હાલારની જનતાની સુખ-સુવિધામાં વધારો કરે, રૈયતને રાહત થાય તેવા નિર્ણયો લેવાય અને ચૂંટણીપંચની રાષ્ટ્રીય કામગીરીમાં પૂરેપૂરો જનસહયોગ મળે, તથા મતદાન અને બીએલઓની સમસ્યાઓ હળવી થાય, તેવા નિર્ણયો ચૂંટણીપંચ તરફથી પણ લેવાય, તેવી આશા રાખીએ, અને મુખ્યમંત્રીના આગમનને યાદગાર બનાવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે આવવાના છે અને શહેરના ફલાય ઓવરબ્રિજને ખૂલ્લો મુક્યા પછી તેનું નિરીક્ષણ કરીને ધન્વન્તરિ ઓડિટોરિયમમાં ભાષણ કરશે અને રૂ. ૨૨૫ કરોડથી વધુ ખર્ચે નિર્મિત ઓવરબ્રિજ ઉપરાંત મહાનગરપાલિકાના રૂ. ૩૬ કરોડના કામો તથા જી.જી.હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પંચાયત તથા અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ મળીને કુલ રૂ. ૬૨૨ કરોડથી વધુના કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરશે, તેવું જાહેર થતા જ નગરમાં તંત્રોની દોડધામ વધી છે, અને જિલ્લા ઉચ્ચ અધિકારીઓની ટીમે ફલાય ઓવરબ્રિજ તથા મુખ્યમંત્રીના નિર્ધારિત રૂટનું નિરીક્ષણ કર્યું, તેથી પાક્કું થઈ ગયું છે કે હવે સોમવારે ફલાય ઓવરબ્રિજ તો ખૂલ્લો મૂકાઈ જ જશે.
આ પહેલા તા. ૨૦મી નવેમ્બરે મુખ્યમંત્રી આવનાર હોવાથી શહેરમાં "નિશ્ચિત" માર્ગો તથા વિસ્તારો એકદમ સ્વચ્છ અને સુઘડ થઈ ગયા, નિયમિત ચાર-પાંચ દિવસ રોડની બંને તરફ દવાનો છંટકાવ થઈ ગયો, ઉકરડા-ઉભરાતા કચરા કન્ટેનરો હટાવી લેવાયા, રખડતા ઢોરની કાયમી અવર-જવર તથા સંકુલો પર થતા ઢોર-કૂતરાના અડીંગા બંધ થઈ ગયા અને ચોતરફ રંગરોગાન થવા લાગ્યું હતું.
મુખ્યમંત્રીને બિહાર જવાનું થતાં તા. ર૦નો કાર્યક્રમ મોકૂફ રહ્યા પછી એકાદ-બે દિવસ તેમાં ઓટ આવી ગઈ હતી, પરંતુ મુખ્યમંત્રી સોમવારે આવવાના છે, તે જાહેર થતાં જ ફરીથી એવી જ કવાયત શરૂ થઈ ગઈ છે., આથી લોકો કહે છે કે મુખ્યમંત્રી અવાર-નવાર આવતા હોય તો કેવું સારૃં ? કેટલાક માર્ગોની નિયમિત સફાઈ તો થતી રહે !
કેટલાક લોકો એવું માને છે કે મુખ્યમંત્રીએ તંત્ર અને સિક્યોરિટી દ્વારા નક્કી કરેલા રૂટ સિવાયના અન્ય કેટલાક વિસ્તારોની પણ નગરમાં (ભાજપના નેતાઓ કે તંત્રને અગાઉથી ભનક પણ ન આવે, તેવી રીતે "નાયક" ફિલ્મની જેમ) અચાનક મુલાકાત લેવી જોઈએ, જેથી રૂડું રૂપાળું દેખાડાતું હોય, તે સિવાયનું સ્લમ એરિયા સહિતનું જામનગર વાસ્તવમાં કેવું છે, તે સિક્કાની બીજી બાજુ પણ જોવા મળે !!
જો કે, આ પ્રકારના "પ્રોટોકોલ"થી મુખ્યમંત્રી પણ અજાણ્યા નથી, તેઓએ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતા, ત્યારે તે સમયે વીઆઈપી કે વીવીઆઈપી આવતા હશે, ત્યારે આવું જ નાટક કરવું પડ્યું હશે, તેથી તેઓને આ બધી ખબર હોઈ શકે છે, પરંતુ હવે મુખ્યમંત્રી તરીકે "રાજધર્મ" બજાવીને અને આઉટ ઓફ બોક્સ તથા પ્રોટોકોલ તોડીને તેઓ દૃષ્ટાંત બેસાડે, તો જામનગરના નગરજનોને તે ગમશે, અને જામનગરની જનતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હકીકતે "પોતાના" લાગશે !
જામનગરની મહાનગરપાલિકાથી લઈને રાજ્યકક્ષા તથા રાષ્ટ્રીયકક્ષા સુધીની ઘણી કાયમી સમસ્યાઓ વણ ઉકેલી છે., અને ઘણી માંગણીઓ પડતર છે, જેના વિષે સ્થાનિક તમામ નેતાઓ અને તંત્રના વર્તમાન ઉચ્ચ અધિકારીઓ પૂરેપૂરા માહિતગાર છે, તેથી મુખ્યમંત્રીની મુલાકાત સમયે ઔપચારિક મિટિંગો ઉપરાંત અનૌપચારિક રીતે થતી રહેતી ચર્ચા દરમ્યાન પણ મુખ્યમંત્રી તથા રાજ્યકક્ષાના અધિકારીઓના કાને વાત નાખીને કેટલાક "સ્પોટ ડિસિશન" લેવાય, તેવો પ્રયત્ન કરાશે, તો તંત્રો માટે સુગમ બનશે અને સ્થાનિક નેતાગીરીને પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નજીકમાં આવી રહેલી ચૂંટણીની દૃષ્ટિએ રાજકીય રીતે પણ ઉપયોગી બનશે. તથા હાલારની ઘણી બધી સમસ્યાઓ તથા લોકોની માંગણીઓ, રજૂઆતોની ચર્ચા રાજ્યની સર્વોચ્ચ સત્તા સાથે કરવાની આ તક જિલ્લાતંત્ર અને જિલ્લાના "ટોપ ટુ બોટમ" ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઝડપી લેશે, તો લોકોને ગમશે અને એકંદરે લોકતંત્રની મૂળભૂત વિભાવના સાકાર થશે...
આમ, તો જામનગરમાં ઘણી સમસ્યાઓ તો ઘર જ કરી ગઈ છે, અને હવે કેટલીક નવી સમસ્યાઓ ઉમેરાઈ ગઈ છે, પરંતુ તાજેતરમાં નિર્માણ થયેલા ફલાય ઓવરબ્રિજ સહિતના વિકાસકામો તથા ભૂગર્ભ ગટર, પાણી પૂરવઠો, ગેસ-વીજળીની પાઈપલાઈનો વગેરે માટે થયેલા ખોદકામો પછી નગરના મોટા ભાગના આંતરિક માર્ગો, શેરી-મહોલ્લાઓ તથા સોસાયટી વિસ્તારની સડકોની હાલત ખરાબ થઈ ગઈ છે અને હજુ પણ કેટલાક ખોદકામો ચાલી રહ્યા છે. મહાનગરપાલિકામાં દાયકાઓ સુધી શાસન હોવા છતાં વર્તમાન શાસકપક્ષની નેતાગીરી હજુ સુધી શહેરનો રીંગરોડ પણ અદ્યતન અને પૂરેપૂરો ઉપયોગમાં લઈ શકાય, તેવો લાંબો-પહોળો અને મજબૂત બનાવી શકી નથી.
જામનગર તથા તેને જોડતા હાલારના માર્ગોની ટ્રાફિક વ્યવસ્થામાં પણ ધરમૂળથી ફેરફારો થવા જરૂરી છે., નગરને જોડતા માર્ગો પર અકસ્માતો વધી ગયા છે. જામનગરથી ખંભાળીયાના માર્ગો જાયન્ટ કંપનીઓ હોવાથી દરરોજ સવાર-સાંજ ભયંકર ટ્રાફિક જામ થતો હોવાથી સિક્કાના પાટિયાથી આરાધના ધામ સુધી ફલાય ઓવરબ્રિજના તાકીદે નિર્માણની જરૂર હોય, તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે હિંમતભર્યો જનલક્ષી નિર્ણય ઝડપથી લેવો જ પડે તેમ છે., નગરમાં સાફ-સફાઈ, સ્વચ્છ-સુઘડ શૌચાલયો અને જાહેર મૂતરડીઓની સંખ્યા વધારવી, રખડૂ ઢોર એન આવારા શ્વાનની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવો વગેરે અનેક સમસ્યાઓ છે, જેમાં રાજ્ય સરકારની પણ મહત્ત્વની ભૂમિકા છે અથવા હસ્તક્ષેપની જરૂર છે. ખાસ તો રાજકીય ઈચ્છાશક્તિની ઉણપ હટાવવી પડે તેમ છે.
દૃષ્ટાંત તરીકે જામનગરના વોર્ડ નં. ૧થી૪માં પ્રારંભમાં ડહોળુ અને પછી ટૂંકા સમય માટે જ પીવાનું પાણી આવતું હોય અને વોર્ડનં. ૬માં સોસાયટી, ટાઉનશીપમાં એકાંતરા અડધી રાતે પાણી અપાતું હોય, તો તેને મહાનગરપાલિકાની "શરમ" જ ગણવી પડે, અને અબજો રૂપિયાના વિકાસના પ્રોજેક્ટો ઊભા કરવા છતાં જો રૈયતને શુદ્ધ પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં ટાઈમસર મળતું ન હોય, તો તેને સુશાસન કેવી રીતે ગણી શકાય ? પ્રજાની નાડને પારખવી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેની વિરૂદ્ધ નિવેદનો કર્યા હતા અને "મંડાની" કહીને મજાક ઉડાવી હતી, તે ભારતીય મૂળના ન્યૂયોર્કના મેયર તરીકે "વટ થી" ચૂંટાયેલા જોહરાન મમદાણીને આજ મુલાકાત આપી રહ્યા છે, ટ્રમ્પ ક્યારે કોની તરફેણ કરે છે, કોનો વિરોધકરે છે અને કયારે વલણ ફેરવે છે અને પોતાનું જ બોલ્યું ફેરવી તોળે છે, તે નક્કી જ હોતુ નથી, પરંતુ ભારત અને વડાપ્રધાન મોદીને સાંકળીને ઓપરેશન સિંદૂર દરમ્યાન યુદ્ધ વિરામને લઈને તેનો દાવો એવો ને એવો જ રહ્યો છે અને ફરીથી એક વખત તેમણે આ જ પ્રકારનું નિવેદન વિદેશની ધરતી પરથી એક આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમ્યાન આપ્યું છે અને એક વધારાનો ચોંકાવનારો દાવો પણ કર્યો છે, જે આજે ગ્લોબલ ટોકનો વિષય બન્યો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમ્યાન જ નાનકડુ યદ્ધ થયું હતું તે અટકાવ્યાનો ૬૦ થી વધુ વખત દાવો કરનાર ટ્રમ્પે ફરી એ જ રેકર્ડ વગાડી, પરંતુ તેમણે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો સાથે તેમની ક્યા શબ્દોમાં વાતચીત થઈ હતી, તેનું ડીટેઈલમાં વર્ણન કરતા તેમનું નવું નિવેદન વિશ્વભરના પ્રેસ મીડિયામાં તો ચર્ચાનો વિષય બન્યું જ છે, પરંતુ ભારતના રાજકીય વર્તુળોમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ટ્રમ્પના આ દાવાને ભારતના વિદેશ મંત્રાલયે અવાર નવાર ફગાવ્યા છતાં તેઓ આવું જ રટણ કરતા રહેતા હોવાથી ઘણાં લોકો વડાપ્રધાન મોદી આ અંગે સ્પષ્ટપણે રદીયો કેમ આપી દેતા નથી, તેવા સવાલો ઉઠાવી રહ્યા છે.
"અમેરિકા-સાઉદી નિવેશ મંચ" માં બોલતા વૈશ્વિક કક્ષાના કાર્યક્રમમાં કહ્યું હતું કે પરમાણુ હથિયારો ધરાવતા બે દેશ (ભારત અને પાકિસ્તાન) ને તેમણે ૩૫૦ ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી પછી મોદીએ પોતે તેમને યુદ્ધ અટકાવવાની જાણ કરી હતી. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એ યુદ્ધ અટકાવવા બદલ આભાર માનતો ફોન કર્યો હોવાનો દાવો પણ કર્યો હતો.
આમ તો ટ્રમ્પ અનેક વખત આ પ્રકારની વાતો કરતા રહ્યા છે અને ભારત તરફથી તેમના દાવાઓને ફગાવાઈ રહ્યા છે, પરંતુ આ વખતે તેમણે વધુ સ્પષ્ટતાથી અને થયેલી વાતચીતોનું શબ્દશઃ વર્ણન કરતા હવે જો સ્વયં વડાપ્રધાન સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પના આ દાવાઓને નહીં નકારે, તો લોકોમાં વધુ આશંકાઓ ઉઠશે અને બિહારમાં વધુ વિફરેલા વિપક્ષો આ મુદ્દાને સરળતાથી નહીં છોડે, તે નક્કી છે.
એક તરફ આ વિવાદ વૈશ્વિક કક્ષાએ વધુ ગરમાયો છે, તો બીજી તરફ ભારતે અમેરિકા પાસેથી જરૂરિયાતના ૧૦ ટકા એલપીજી ખરીદવાનો કરાર કર્યા પછી સવા આઠસો કરોડ રૂપિયાના શસ્ત્રો ખરીદવાની ડીલ કરી છે, જેમાં ૧૦૦ જવેલિન મિસાઈલ્સ, એક ફલાય બાય-ટુ-બાય રાઉન્ડ, ૨૫ કમાન્ડ લોન્ચ યુનિટ, ટ્રેનિંગ એડ્સ, સ્પેરપાર્ટસ, સિમ્યુલેશન રાઉન્ડ તથા ફૂલ લાઈફ સાયકલ સપોર્ટ વગેરે યુદ્ધ સામગ્રીનો સમાવેશ થાય છે. આમ એક તરફ યુદ્ધ નહીં થવાની વાતો કરતું અમેરિકા શસ્ત્રોની ડીલ કરતી વખતે "અહિંસક" સિદ્ધાંતો કેમ વિચારતું નહીં હોય ? જો કે, શસ્ત્રો લડાઈ માટે નહીં, પણ રક્ષણ માટે વસાવાતા હોય છે, તે હકીકત છે, પરંતુ કોઈના દબાણમાં આવીને જે અંડરપ્રેશર શસ્ત્રોની ખરીદી કે વેચાણ થતું હોય તો વિશ્વના સૌથી વધુ લોકતાંત્રિક દેશો ગણાતા ભારત અને અમેરિકા માટે તો યોગ્ય નથી જ !
જો કે, ટ્રમ્પ હવે ઘર આંગણે વધુ ને વધુ ઘેરાઈ રહ્યા છે. તાજેતરના અમેરિકાના તંત્રના નિર્ણયો તથા રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનો વચ્ચે પણ ઘણો જ વિરોધાભાસ જોવા મળે છે, અને ઓપરેશન સિંદૂરના સંઘર્ષમાં પાકિસ્તાનનો વિજય થયો હતો અથવા પાકિસ્તાનનો હાથ ઊંચો રહ્યો હતો, તેવા અમેરિકન રિપોર્ટો તથા તેની વ્યાપક પ્રસિદ્ધિ પછી આપણાં દેશમાં પણ "કૌન સચ્ચા, કૌન જુઠા !" જેવા સવાલો ઉઠવા લાગ્યા છે, ત્યારે ભારતની છબિ ઝાંખી પડતી અટકાવવાના હેતુથી પણ હવે ચુપકીદી તૂટવી જ જોઈએ, તેવા અભિપ્રાયો ખોટા નથી જણાતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે બિહારમાં નીતિશકુમારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને પ્રચંડ બહુમતી સાથે એનડીએની સરકારે ફરીથી સત્તા સંભાળી. બિહારની આ શપથવિધિની સીધી અસર જામનગરમાં થઈ અને હાલારનું રાજકારણ ગરમાયું, તે મુદ્દો હાલારમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે બિહારમાં એનડીએમાં સત્તાની ખેંચતાણ તથા મહાગઠબંધનમાં તિરાડની અસર મહારાષ્ટ્રની રાજનીતિ પર થઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. તો બીજી તરફ લાલુપ્રસાદ યાદવના પરિવારમાં ચાલી રહેલ તકરાર પછી તેજસ્વી યાદવના મિત્ર સંજય યાદવ સામે આરજેડીમાં જ વધી રહેલા વિરોધની અસર હરિયાણા સુધી થઈ, અને આ તમામ ઘટનાક્રમોના પડઘા દેશની રાજધાની દિલ્હીમાં પડ્યા, તે જોતાં એવું કહી શકાય કે પાડાના વાંકે પખાલીને ડામ, કહીંપે નિગાહે, કહીંપે નિશાના તથા ખાય ભીમ અને ભોગવે મામા શકૂનિ જેવી તળપદી કહેવતો આ જુદા જુદા પરંતુ પરસ્પર સંકળાયેલા રાજનૈતિક ઘટનાક્રમોને આબેહૂબ લાગુ પડે છે !
છેલ્લા એક અઠવાડિયાથી જામનગરમાં નિર્માણ થયેલા ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે તા. ૨૦મી નવેમ્બરે થવાનું હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને સરકારી વાજિંત્રો ઉપરાંત કેટલાક લાડકવાયા સાજીંદાઓ પણ આ લોકાર્પણને સાંકડીને વખાણવાણી વહાવી રહ્યા હતા. તેવામાં જાહેર થયું કે આજે જ બિહારમાં નીતિશકુમાર ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રીની શપથ લેનાર હોવાથી તેમાં હાજરી આપવા આપણાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પટણા ગયા હોવાથી આજે જામનગરમાં ફલાઈ ઓવર બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે અને હવે નવી તારીખ મળે ત્યાં સુધી રાહ જોવી પડશે. આ કારણે નગરજનો નિરાશ થયા, અને વિપક્ષી નેતાઓ વિહ્વળ થયા, તેથી બિહારની શપથવિધિના નેગેટિવ પડઘા જામનગરમાં પડયા છે અને આ મુદ્દે હાલારની રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો છે.
આ ફલાય ઓવર બ્રિજ બની રહ્યો હતો, ત્યારે ઘણાં લાંબા સમય સુધી જામનગરની જનતાએ જુદા જુદા માર્ગો વારંવાર બંધ રહેતા હોવાથી ઘણી તકલીફો વેઠી હતી, અને હવે જ્યારે આ બ્રિજના લોકાર્પણનો સમય આવ્યો, ત્યારે મુખ્યમંત્રી રાજ્યની બહારના પ્રવાસે ચાલ્યા ગયા, તેથી નગરજનોમાં નિરાશા વ્યાપે, તે સ્વાભાવિક છે. બીજી તરફ એક લોકતાંત્રિક સરકારની શપથવિધિમાં જામનગર સહિત સમગ્ર ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરવા જ મુખ્યમંત્રી ગયા છે, તેવા તર્ક સાથે મન મનાવવામાં આવી રહ્યું છે, અને માર્મિક એવી ટકોર પણ થઈ રહી છે, કે આ વિલંબના કારણે આ ફલાય ઓવર બ્રિજના નાના-મોટા કામો તથા નીચેના સર્વિસ રોડ તથા સૂચિત પાર્કિંગ સ્થળો, ફૂડઝોન, પબ્લિક સર્વિસ સેન્ટર્સ વગેરેના કામો કરવાનો ટાઈમ મળી ગયો છે, જેથી જે થયું તે ઠીક જ થયું છે !
બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દાને હાથોહાથ લીધો છે અને જાહેર કર્યું છે કે વર્ષ-૨૦૨૧થી હાલારની જનતા હાલાકી ભોગવી રહી છે અને જામનગરના નગરજનો તકલીફો વેઠી રહ્યા છે, છતાં કેટલાક નિર્માણ થઈ ગયેલા વિકાસના કામો માત્ર લોકાર્પણના વાંકે લટકતા રહે, તેની સામે આક્રોશ ઠાલવ્યો છે. કોગ્રેસે જામનગરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ તાત્કાલિક કરવાની માંગણી ઉઠાવીને જાહેર કર્યું છે કે જો હવે વધુ વિલંબ થશે તો તા. ૩૦મી નવેમ્બરે જામનગરની જનતા સ્વયં કોંગ્રેસના નેતૃત્વમાં આ બ્રિજને ખૂલ્લો મુકી દેશે !
શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવીને જનતાની વેદના વ્યક્ત કરી છે, ત્યારે હવે જોઈએ, મુખ્યમંત્રીને ટાઈમ મળે છે કે પછી તેઓ વર્ચ્યુલી ઈ-લોકાર્પણ કરવાનો વિકલ્પ અપનાવે છે !
બીજી તરફ એવી ટકોર પણ થઈ રહી છે કે જનતાના હાથે લોકાર્પણ જ કરાવવું હોય તો વિપક્ષે સરકારને ૧૦ દિવસનો સમય શા માટે આપ્યો ? એટલા સમયમાં તો રાજ્ય સરકાર અને મનપાના શાસકો લોકાર્પણની આમ પણ ગોઠવણ કરી જ લેવાના હોય ને ? જો આ રીતે લોકાર્પણ કરવું જ હોય તો રાહ થોડી જોવાની હોય ? બે દિવસની નોટીસમાં પણ આવું થઈ જ શકે ને ?
ટૂંકમાં ઘણી વખત ઘણું બધું એવું હોય છે, જે સામે દેખાય તેવું હોતું નથી. જો મુખ્યમંત્રી આવી શકે તેમ ન હોય, તો પ્રભારી મંત્રી તથા સ્થાનિક રાજ્યમંત્રીના હસ્તે પણ લોકાર્પણ થઈ જ શકતું હોત ?
જો કે, લોકલ કે પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ કરવાનો વિકલ્પ વિચારાયો હોત તો નગરમાં જે રીતે ઠેર-ઠેર સાફ-સફાઈ થઈ, કેટલાક માર્ગો રાતોરાત અદ્યતન બની ગયા, ખાડા-ચીરોડા બુરાઈ ગયા અને છેલ્લા અઠવાડિયાથી જાહેર માર્ગો પર દવા છંટકાવ થઈ રહ્યો છે, તે થઈ રહ્યો ન હોત, તેથી આ વિલંબની સાઈડ ઈફેક્ટના ફાયદા પણ હોવાનો કટાક્ષ પણ થઈ રહ્યો છે.
બિહારની નવી સરકારની શપથવિધિથી વડાપ્રધાન અને એનડીએના સાથીદાર પક્ષોના નેતાઓ હાજરી આપે, તે સ્વાભાવિક છે, પરંતુ પબ્લિકમની ખર્ચીને સરકારી વિમાનો-હેલિકોપ્ટરોમાં ડઝનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ તેના કાફલા સાથે હાજરી આપવા જાય, તેમાં કરોડો રૂપિયા ખર્ચાય અને જામનગરની જેમ સંબંધિત તમામ રાજ્યોમાં પ્રજાલક્ષી કાર્યો તથા વિકાસકામોને પણ માઠી અસર પહોંચતી હોય છે, તેથી આ અંગે કોઈ આચારસંહિતા ઘડવી જોઈએ, કારણ કે વિપક્ષની સરકારો છે, ત્યાં પણ ઘણી વખત શપથવિધિમાં બીજા રાજ્યોના નેતાઓ કે મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હોવાના દાખલા છે. શું આ પ્રજાના પૈસે શક્તિ પ્રદર્શન નથી ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે સામાન્ય તાવ, શરદી, દુઃખાવો કે નાની-મોટી તકલીફ હોય તો પહેલા દેશી ઓસડિયા કરતા હતા અને કેટલીક રસોડામાં ઉપલબ્ધ ચીજ-વસ્તુઓનો ઔષધિ તરીકે ઉપયોગ કરતા તો ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ વનસ્પતિ કે બાહ્ય ઉપચારો કરી લેતા હતા. હવે આરોગ્ય અને તબીબી સેવાઓનો સરકારી અને ખાનગીક્ષેત્રે વ્યાપ વધી રહ્યે છે ત્યારે આપણે હવે વિવિધ પ્રકારની તબીબી વ્યવસ્થાઓનો લાભ લેતા થયા છીએ અને એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ પણ કરતા થયા છીએ, અને એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, એક્યુપ્રેશર, એક્યુપંકચર, સુજોક થેેરાપી, ફિઝીયોથેરાપી વગેરે વિવિધ પ્રકારની સારવાર પદ્ધતિઓ અપનાવતા હોઈએ છીએ, અને કોઈપણ પ્રકારની સારવાર તબીબ, વૈદ્ય કે આર.એમ.પી. જેવા માન્ય તથા વિશ્વસનિય નિષ્ણાતોના નિદાન-સારવાર પછી જ થાય, તે ઈચ્છનિય પણ હોય છે.
જો કે, હવે ગ્રામ્ય વિસ્તારો સુધી મેડિકલ સ્ટોર્સ ઉપલબ્ધ બન્યા છે, તથા આપણે આપણાં ઘરોમાં પણ ફર્સ્ટ-એઈડ બોક્સ વસાવીને જુદી-જુદી પ્રકારની પ્રાથમિક સારવારની ચીજવસ્તુઓ રાખતા થયા છીએ, તે સારી વાત છે અને ઈમરજન્સી કે દૂર્ગમ વિસ્તારોમાં મોડી રાત્રે કે વિપરીત અનિવાર્ય સંજોગોમાં તાકીદે વચગાળાની સારવાર તરીકે કેટલીક દવાઓ, ટેબ્લેટ્સ, કફસિરપ વગેરેનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.
જો કે, ધીમે ધીમે આપણે નાની મોટી તકલીફો માટે ડાયરેકટ આડેધડ એન્ટિબાયોટિક દવાઓ લેવા લાગ્યા અને તેના કારણે આ પ્રકારની દવાઓથી આપણું શરીર ટેવાઈ જવા લાગ્યું હોવાથી હવે આપણા દેશના મહત્તમ લોકોને એન્ટિબાયોટિક દવાઓ અસર કરતી નહીં હોવાનો એક ચોંકાવનારો સર્વે રિપોર્ટ સામે આવ્યો છે, અને આ રિપોર્ટ નેશનલ અને ગ્લોબલ મીડિયામાં ચર્ચા તથા ચિંતાનો વિષય પણ બન્યો છે.
તબીબી ક્ષેત્રના પ્રતિષ્ઠિત અને વિશ્વસનિય ગણાતા જર્નલ "ધ લેન્સેટ"માં ઈક્લિનિકલ મેડિસિનના તાજેતરના એક સર્વે રિપોર્ટે આપણા દેશમાં ખળભળાટ મચાવ્યો છે. અને હિન્દી-અંગ્રેજી ન્યુઝ ચેનલો પછી હવે પ્રાદેશિક ભાષાઓમાં પણ આ અંગેની ચર્ચા અખબારી તથા મીડિયાના માધ્યમથી થવા લાગી છે, તથા સોશ્યલ મીડિયામાં પણ કોમેન્ટો પોસ્ટ થવા લાગી છે.
આ રિપોર્ટ મુજબ ભારતના ૮૩ ટકા દર્દીઓ "મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ્સ" નો શિકાર બન્યા છે, જેને તબીબી ભાષામાં ટૂંકમાં એમ.ડી.આર.ઓ. કહેવામાં આવે છે.
આ તબીબી ભાષાને સરળ ભાષામાં કન્વર્ટ કરીએ તો તેવું કહી શકાય કે દેશના ૮૦ ટકાથી વધુ લોકો પર હવે એન્ટિબાયોટિક દવાઓની અસર થવાનું સદંતર બંધ થઈ ગયું છે અને ૩ થી ૫ ટકા દર્દીઓ આ સ્થિતિની બોર્ડર પર છે. એલ.આઈ.જી. હોસ્પિટલના સ્ટડીના આધારે આ ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે, અને સેંકડો દર્દીઓના ડેટાના આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો હોવાનો દાવો પણ કરાયો છે.
તાજેતરમાં એન્ટિ માઈક્રોબાયલ સ્ટેવર્ડશીપ વિક ઉજવાયું, અને તેમાં ચાર દેશોના ડેટા આધારિત તારણો રજૂ થયા હતા, અને એવું તારણ નીકળ્યું હતું કે નિયમિત રીતે એન્ટિબાયોટિક દવાઓ લેતા દર્દીઓમાં દવાઓ પ્રત્યેની પ્રતિકારક શક્તિ વધી ગઈ છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, અથવા ખતમ થઈ રહી છે. આ પ્રકારના સૌથી વધુ દર્દીઓ ભારતમાં જણાયા છે. ટકાવારીની દૃષ્ટિએ ભારતમાં એમ.ડી.આર.ઓ.થી પીડિત દર્દીઓની ટકાવારી ૮૩ ટકા, ઈટાલીમાં ૩૧.૫ ટકા, અમેરિકામાં ૨૦.૧ ટકા અને નેધરલેન્ડમાં ૧૦.૮ ટકા છે. આથી એવું કહી શકાય કે ભારતમાં ૮૦ ટકાથી વધુ લોકો મેડિસનપ્રૂફ બની ગયા છેે, અથવા દવા-પ્રતિરોધક બેકટેરિયાનો શિકાર બની ગયા છે, અને આ સ્થિતિ હવે હોસ્પિટલોમાંથી ઘેર-ઘેર પહોંચવા લાગી છે.
નિષ્ણાતોના અભિપ્રાયોનું તારણ કાઢીએ તો આ એક ગંભીર સ્થિતિ છે, જેની પાછળ દવાઓનો આડેધડ ઉપયોગ, દરેક વખતે મેડિકલ સ્ટોર્સમાથી ડાયરેક્ટ એન્ટિબાયોટિકલ દવાઓ ખરીદીને તબીબી સલાહ લીધા વગર બારોબાર ઉપયોગ કરવાની વધી રહેલી માનસિકતા, તબીબોએ સૂચવેલો એન્ટિબાયોટિક દવાઓનો કોર્ષ અધુરો જ છોડી દેવાની વધી રહેલી માનસિકતા, સેલ્ફ-મેડિક્શન અથવા ગુગલગુરૂ કે એ.આઈ.ના માધ્યમથી વિવિધ દવાઓની માહિતી મેળવીને તબીબી સલાહ લીધા વિના સ્વયંને ડોક્ટર માનીને પોતે હાઈ-ડોઝની દવાઓ લેવી કે પરિવારજન કે અન્યોને લેવડાવવી, વગેરે અયોગ્ય આદતો અથવા "ટાઈમ" ના અભાવે આડેધડ એન્ટિબાયોટિક દવાઓના સેવનના કારણે શરીરની અંદરના બેકટેરિયાઝ એટલા મજબૂત બની ગયા છે કે તે હવે એન્ટિબાયોટિક દવાઓ સામે લડતા શીખી ગયા છે અને આ કારણે આપણાં દેશની ૮૦ ટકાથી વધુ વસતિ એમ.ડી.આર.ઓ.માંથી પીડિત ગણાવાઈ રહી છે.
જેમ જેમ આપણું શરીર સામાન્ય એન્ટિબાયોટિક દવાઓથી ટેવાઈ જાય, તેમ તેમ તે દવાઓ બિનઅસરકારક બનતી જાય એને ડોક્ટરોએ ગંભીર તો ઠીક, સામાન્ય બીમારીઓ માટે પણ નાછૂટકે હાઈ-પાવર દવાઓ આપવી પડે, જેથી તેની આડઅસરોમાંથી નવી બીમારીઓ ઊભી થાય અને સારવારનો ખર્ચ પણ વધતો જાય.
જો કે, આ રિપોર્ટની સેમ્પલસાઈઝ અને પ્રસ્તૂતિકરણ અંગે એક અલગ જ પ્રકારની ચર્ચા થઈ રહી છે, અને બાહ્ય ઉપચારો તથા એન્ટિબાયોટિક એલોપેથિક દવાઓના વિકલ્પો પર ધ્યાન વધારવાની જરૂર જણાવાઈ રહી છે, તો ડિસ્કલેયર સાથે ઉક્ત રિપોર્ટને રજૂ કરીને કેટલાક નિષ્ણાતો વિવિધ તર્કો આપી રહ્યા છે, પરંતુ એકંદરે સમગ્ર વિશ્વમાં અત્યારે એમ.ડી.આર.ઓ.નો વ્યાપ વધી રહ્યો છે, તે નક્કર હકીકત પણ સ્વીકારાઈ રહી છે, અને તેના સંદર્ભે ભારતીઓએ ચેતવા જેવું પણ છે.
મેડિકલ તબીબીક્ષેત્રની જેમ જ અત્યારે ઈન્ટરનેટ યુગમાં અપરાધો પણ હાઈ-ટેક થવા લાગ્યા છે. રીઢા અને ખંધા ગૂન્હેગારોને હવે આપણી વર્તમાન કાયદો-વ્યવસ્થા જાળવવાની સિસ્ટમ પચવા લાગી છે, અને કાયદાનો ડર રહ્યો જ ન હોય, તેમ ગૂન્હાખોરી વધવા લાગી છે. મલ્ટિડ્રગ રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ્સની જેમ જ હવે ગૂન્હાખોરીના ક્ષેત્રે પણ કાયદાનો ડર ઘટી રહ્યો છે. જેવી રીતે દવાઓના આડેધડ ઉપયોગ તથા યોગ્ય રીતે સારવારના અભાવે આ પ્રકારની સ્થિતિ વધી જાય, અને શરીર દવાઓ માંથી ટેવાઈ જાય, તેવી જ રીતે ગૂન્હાખોરી વિરોધી વર્તમાન સિસ્ટમથી ગૂનાખોરો ટેવાઈ રહ્યા છે, અને તેની સામે પહેલા હાઈ-ટેક ઉપચારો કરીને યુગને અનુરૂપ નવા અને નક્કર વિકલ્પો શોધવા જ પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર સહિત રાજ્યમાં અત્યારે ચૂંટણીપંચ દ્વારા એસ.આઈ.આર. એટલે કે સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન-વિશેષ સઘન પુનઃ નિરીક્ષણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેને મતદારયાદી સઘન સુધારણા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે બૂથ લેવલ ઓફિસર એટલે કે બી.એલ.ઓ. ઘેર-ઘેર ફરીને નિયત કરેલા ફોર્મ્સ ભરાવી રહ્યા છે. આ પ્રક્રિયામાં કેટલાક વિસ્તારોમાં ઢીલી કામગીરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં બી.એલ.ઓ. ડોર-ટુ-ડોર ફોર્મ્સ પહોંચાડયા પછી તેને એકત્રિત કરવા પહોંચ્યા નથી, અથવા તો ફોર્મ્સ ભરવાનું માર્ગદર્શન આપી રહ્યા નથી, તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે. આ પ્રક્રિયા માત્ર યોગ્ય મતદારોની ઓળખ કરવા અને મૃત્યુ પામેલા અથવા ખોટા મતદારોના નામો વર્તમાન મતદારયાદીમાંથી હટાવવા માટે થઈ રહી હોવાથી ફોર્મ્સ ભરવામાં થતી નાની-મોટી ક્ષતિઓ કે ખાલી જગ્યા મતદારોએ રાખી હોય, ત્યાં જરૂરી સુધારા-વધારા કરાવી લેવાની બી.એલ.ઓ.ની મૂળભૂત ફરજ છે, અને મોટાભાગના બી.એલ.ઓ. પ્રેકટીકલ અને વોટર ફ્રેન્ડલી અભિગમ અપનાવીને આ પ્રક્રિયા સંપન્ન કરી પણ રહ્યા છે, પરંતુ જેમ જેમ અનુભવ થતો જાય, તેમ તેમ નવી નવી સમસ્યાઓ ઊભી થતી જાય છે, જેનો નિવેડો લાવવા તથા આ પ્રક્રિયા દરમ્યાન વર્ષ-૨૦૦૨ની યાદીમાંથી તે સમયે નોંધાયેલા નામોની ચકાસણી પ્રેકટીકલ બનીને બી.એલ.ઓ. દ્વારા થવી જોઈએ અને ગુજરાતીમાં કાના-માત્રા કે નામોની પાછળ લાગતા દાસ, લાલ, ભાઈ, બહેન, બેન, કુમાર વગેરે શબ્દોને લઈને કે કકા બારખડી કે વ્યાકરણની ક્ષતિઓ બતાવીેને ગૂંચવણ ઊભી કરવાના બદલે વોટર આઈડી કાર્ડમાં દેખાતી વ્યક્તિનું જ નામ વર્ષ-૨૦૦૨ની યાદીમાં છે કે નહીં, તેની ચકાસણી વ્યવહારૂ ઢબે કરીને તથા આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્ેશ્ય ધ્યાને રાખીને જ તમામ પ્રક્રિયા થાય, તો જ આ પ્રક્રિયા વધુ સરળ અને યોગ્ય બનશે તેમ જણાય છે. આ અંગે ચૂંટણીતંત્રે પણ બી.એલ.ઓ. ને સ્પષ્ટ સૂચનાઓ આપવી જ પડે તેમ છે. કારણ કે તે પ્રકારની ઉલઝનમાં પડવાથી આપણા શહેર-જિલ્લા કે રાજ્યમાં આ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂરી જ નહીં થાય. આ પ્રક્રિયાનો મૂળ ઉદ્ેશ્ય જાળવી રાખીને તથા બિનજરૂરી ક્રોસ ચેકીંગ ટાળીને (નિવારીને) વ્યવહારૂ અભિગમ અપનાવવાની જરૂર હોવાના અભિગમ અપનાવવાની જરૂર હોવાના અભિપ્રાયો તથા સૂચનો આ પ્રક્રિયાના જાણકાર વર્તુળો તથા આ પ્રકારની કામગીરી ભૂતકાળમાં કરી ચૂકેલા વરિષ્ઠ અનુભવીઓ દ્વારા વ્યક્ત થઈ રહ્યા છે. આ પ્રક્રિયામાં જેટલી ગૂંચવણો ઊભી થશે, તેટલો વિલંબ થશે અને આશંકાઓ વધશે, તે હકીકત છે.
જામનગરમાં આ પ્રક્રિયામાં મદદરૂપ થવા તથા કામગીરી બરાબર ચાલે છે કે નહીં, તેની ચકાસણી કરવામાં રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે, તે સારી વાત છે, અને મુખ્ય રાજકીય રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો આ પ્રક્રિયામાં રસ લઈ રહ્યા છે, તેથી ઘણાં સ્થળે બી.એલ.ઓ.ની કામગીરી સરળ પણ બની રહી છે, અને આ જટિલ વિકટ અને લાંબી પ્રક્રિયામાં તેઓને પડતી મુશ્કેલીઓ પણ તંત્રો સુધી પહોંચી રહી છે. આ રાષ્ટ્રીય લોકતાંત્રિક કામગીરીમાં વ્યાપક જનસહયોગ પણ જરૂરી છે એન તંત્રો વ્યવહારૂ અભિગમ તથા પ્રો-પબ્લિક વલણ દાખવતું રહે, તે પણ એટલું જ જરૂરી છે.
કોંગ્રેસે તો આ અંગે કલેકટરને તથા જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું હોવાના પણ અહેવાલો છે. કેટલાક મતદારો સુધી હજુ ફોર્મ પહોંચ્યા નથી, અને પહોંચ્યા છે તો કલેકટ કરવાનું શરૂ થયું નથી, અને ફોર્મ ભરાયા પછી કેટલાક સ્થળે વ્યવહાર અભિગમ દાખવવાના બદલે બેન્કિંગ સિસ્ટમમાં ચેક ક્લિયરન્સની પ્રક્રિયાની જેમ ચિકાસ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ ઉઠી છે, તો શનિ-રવિમાં બૂથમાં કેટલાક સ્થળે અનિવાર્ય કારણોસર બી.એલ.ઓ. રજા પર હોય, તો તેના વિકલ્પે કોઈ વ્યવસ્થા થઈ નહીં હોવાની ફરિયાદો ઉઠી રહી છે, તો કેટલાક લોકલ સ્થળાંતરિત થયેલા લોકોના જૂના સરનામેથી કે ફોન નંબર પર સંપર્ક કરીને હાલ નગરમાં જ અન્ય સ્થળે રહેતા હોય, તો તેને પહોંચાડવાની તકેદારી રખાતી નહીં હોવાની પણ રાવ ઉઠી રહી છે. કોંગ્રેસે તો આ પ્રક્રિયામાં ગરબડ થતી હોવાનું જણાવી હજારો મતદારોના નામો મતદારયાદીમાંથી જ નીકળી જશે, તેવી દશેહત વ્યક્ત કરી હોવાથી ચૂંટણીતંત્રે "સબ સલામત"ની રેકર્ડ વગાડવાના બદલે જરૂરી કદમ ઉઠાવવા જોઈએ, અને વોર્ડ, ઓફિસો, સોસાયટીઓ, તથા કલેકટર, પ્રાંત, મામલતદાર કચેરીમાં રાઉન્ડ ધ ક્લોક વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી જોઈએ.
બીજી તરફ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એવો દાવો કરી રહ્યા છે કે યોગ્ય મતદારોના નામ તો મતદારયાદીમાંથી નહીં જ હટે. ફોર્મ્સ ભરાઈ ગયા પછી પણ મતદારોને તેનું નામ નીકળી ગયું હોય કે ભૂલ રહી ગઈ હોય, તો તે સુધારવાની તક મળવાની હોવાનો દાવો પણ તંત્ર કરી રહ્યું છે. કલેકટર કહે છે કે મુશ્કેલી હોય ત્યાં સંબંધિત તંત્રના જાહેર કરાયેલા ફોન નંબરો પર સંપર્ક કરો, પરંતુ જ્યાં ભણેલા-ગણેલાને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે, અને કેટલાક બી.એલ.ઓ. પણ આ પ્રક્રિયાને પૂરેપૂરી સમજ્યા હોય તેમ જણાતું નથી અને બિનજરૂરી ક્રોસચેકીંગ કે ચિકાસ કરી રહ્યા હોય તો તંત્રે વ્યવહારૂ બનવું પણ એટલું જ જરૂરી છે.
આ પ્રક્રિયામાં જિલ્લા અને પ્રાન્તકક્ષાનું ચૂટણીતંત્ર ખૂબ જ સક્રિય છે અને માત્ર એસ.એમ.એસ. થતા જ પ્રાંત ઓફિસરે બી.એલ.ઓ.ને સૂચનાઓ આપીને મતદારોને મદદરૂપ થવાના દૃષ્ટાંતો પણ છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કેટલીક સમસ્યાઓ છે અને તેના નિવારણ માટે ચૂંટણીતંત્રે તમામ વિકલ્પો વિચારવા પડે તેમ છે. આ આખી પ્રક્રિયાનો મૂળ ઉદેશ્ય તો યોગ્ય મતદારોના નામની ખરાઈ થઈ જાય, મતદારો વંચિત ન રહી જાય, અને મૃત્યુ પામેલા, કાયમી ધોરણે સ્થળાંતરિત થઈને અન્યત્ર ગયેલા અને ખોટી રીતે નોંધાયેલા અયોગ્ય મતદારોના નામો હટી જાય તેવો હોય, વ્યવહારૂ અને વોટર ફ્રેન્ડલી અભિગમ ગ્રાઉન્ડ લેવલ સુધી અત્યંત જરૂરી છે, આ સૂચનો માત્ર જામનગર જ નહીં, સમગ્ર રાજ્ય માટે પણ ઉપયોગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક તરફ ભારતમાં બેરોજગારીનો દર ઘટીને ૫.૨ ટકા થઈ જતા ભારતની ઈકોનોમી વિશ્વમાં ત્રીજું સ્થાન લેવાની તૈયારીમાં હોવાનો જોરશોરથી પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, તો બીજી તરફ ભારતમાં સ્થાનિક અને વૈશ્વિક પ્રવાહોની બેવડી અસરોના કારણે અનિશ્ચિતતાઓનો માહોલ ઊભો થઈ રહ્યો હોવાની ચર્ચા પણ થઈ રહી છે. લગભગ બે કરોડ ભારતીય નોકરીઓ જોખમમાં હોવાનો અભિપ્રાય આજે ટોક ઓફ ધ નેશન અને ગ્લોબલ ટેન્શનનું માધ્યમ બન્યો છે. વિશ્વ ક્ષેત્રોના તજજ્ઞો તથા ખાસ કરીને અર્થતંત્રના નિષ્ણાતોના તારણો જોતાં વિરોધાભાસી દાવાઓના કારણે એક એવી ગૂંચ ઊભી થઈ રહી છે, તેના અર્થઘટનો ગંભીર છે અને અનુમાનો પણ અણધાર્યા પરિણામોની આશંકા ઊભી કરે છે.
મીડિયામાં થતી ડિબેટીંગ અને અખબારી આલમમાં થતી ચર્ચાઓ મુજબ આપણો દેશ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી ઈકોનોમી બનવા જઈ રહી છે, કારણ કે અન્ય ટોપ ફાઈવ ઈકોનોમી દેશો પૈકીના ચાર દેશોમાં રોજગારી ઘટી રહી છે અને બેરોજગારી વધી રહી છે, જયારે તેનાથી વિપરીત ભારતમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો છે. ભારતની ગ્રામીણ રોજગારીમાં ક્રમશઃ વૃદ્ધિ થઈ રહી હોવાથી ભારતમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, અર્થશાસ્ત્રીઓ ભારતને ચેતવણી પણ આપી રહ્યા છે અને દેશની અર્થનીતિ ઘડનારાઓ નહીં ચેતે તો ભારતમાં આર્થિક સંકટોની આંધી ઉઠી શકે છે., એટલું જ નહીં, ગંભીર પરિણામો પણ આવી શકે છે. ભારતમાં નોકરીઓ પર ઝળુંબી રહેલું જોખમ માત્ર આર્થિક મંદીના કારણે નહીં આવે, પરંતુ તેની પાછળ યોગ્ય નીતિમાં તથા બદલી રહેલી ટેકનોલોજી પણ જવાબદાર હોઈ શકે છે, તે પ્રકારના અભિપ્રાયો આપીને લાલબત્તી દર્શાવી રહ્યા છે.
એમ.આઈ.એમ.ના સ્થાપક અને પ્રખર ઈકોનોમિસ્ટ સહિતના તજજ્ઞો એ.આઈ. તરફ તથ અંગૂલી નિર્દેશ કરી રહ્યા છે. કેટલીક કંપનીઓ ખર્ચ ઘટાડવા તો ઠીક, પરંતુ નવીનીકરણ અને આધુનિકરણ માટે પણ અસાધારણ કદમ ઉઠાવી રહી છે. અને યુગને અનુરૂપ તથા સ્પર્ધાના જમાનામાં કાર્યક્ષમતા અને ઝડપ વધારવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય, તે સ્વાભાવિક પણ છે., પરંતુ કેટલાક ક્ષેત્રોમાં તો આઈ.ટી. અને કોમ્પ્યુટરાઈઝેશન તથા ઈન્ટરનેટ બેઈઝ સિસ્ટમના કારણે કેટલાક સેકટર્સમાં પરંપરાગત મધ્યમવર્ગોની નોકરીઓનું સ્થાન હવે ગિગ જોબ્સ લઈ રહી છે.
ઈકોનોમી અને વૈશ્વિક પ્રવાહોના જાણકારોના અભિપ્રાયોનું તારણ એવું નીકળે છે કે આગામી બે-ચાર વર્ષમાં તો ભારતની વર્કફોર્સ ગિગ અર્થતંત્રમાં પરિવર્તીત થઈ જશે, અને અત્યારે જેવી રીતે ડિલિવર બોયઝ, ફૂડ અને કોમોડિટી ડિલિવરીની જેમ અન્ય ઘણાં ક્ષેત્રો ધીમે ધીમે કામચલાઉ અથવા અસુરક્ષિત કાર્યબળમાં બદલતા જશે, અને તેની વ્યાપક અસરો તમામ પ્રકારના વ્યવસાયો પર પણ થશે.
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ફાયદાઓ પણ ઘણાં છે અને સિસ્ટોમેટિક, ટ્રાન્સપરન્ટ તથા એક્યુરેટ પરિણામો માટે એ.આઈ. ખૂબ જ ઉપયોગી પૂરવાર થઈ રહ્યું હોવાની જોરદાર દલીલો પણ થતી રહે છે, તો બીજી તરફ સંવેદના અને માનવીય લાગણીઓ વિહોણા મશીનીયા એડમિનિસ્ટ્રેશન કે પ્રોડક્શન સામે સવાલો પણ ઉઠી શકે છે.
ભારતનું અર્થતંત્ર ઘરઆંગણાના દેવાના બોજમાં દબાઈ રહ્યું હોવાનો અભિપ્રાય પણ અવગણવા જેવો નથી. જો હોમલોન સિવાયના દેવાની ગણતરી કરવામાં આવે, તો તે આવકના ૩૦થી ૩૫ ટકાની વચ્ચે અંદાજી શકાય, અને આ દેવું વૈશ્વિક સરખામણીમાં સામાન્ય ગણી શકાય નહીં. આ સ્થિતિ માટે ટ્રમ્પ ટેરિફનું પ્રેશર પણ જવાબદાર ગણાય, અને જો ભારત પરથી ટ્રમ્પ ટેરિફ નહીં હટે અથવા નહીં ઘટે તો લગભગ બે કરોડ જેટલા ભારતીયો ગ્લોબલ કક્ષાએ બેરોજગાર થઈ જશે, એટલે કે તેઓ નોકરી ગુમાવશે, જેનો બોજ ભારતીય અર્થતંત્ર તથા રોજગારીક્ષેત્ર પર પડી શકે છે.
આ તમામા પ્રકારના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિશ્લેષણો વચ્ચે ગૂગલનો મેગા પ્રોજેક્ટ ભારતમાં આવી રહ્યો હોવાના તથા ગૂગલ આગામી પાંચ વર્ષમાં ૧૫ બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરશે, તેવું જાહેર થયું છે. વિશાખાપટ્ટનમમાં એક ગીગાવોટ ડેટા સેન્ટર કેમ્પસના ડેવલપમેન્ટ થતા યુ.એસ.ની બહાર ગૂગલનું આ સૌથી મોટું એ.આઈ. હબ બનશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે. આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં એરટેલ અને અદાણી કોનેએકસની કથિત પાર્ટનરશીપની ફલશ્રુતિઓ અંગે પણ અલગથી અનુમાનો અને અંદાજો થઈ રહ્યા છે. ભારતી એરટેલના મેનેજીંગ ડિરેક્ટરે તો આ પાર્ટનરશીપને ભારતના ડિજિટલ ભવિષ્યની બુનિયાદ જેવું એક સમયોચિત નિર્ણાયક કદમ ગણાવ્યું, તો વડાપ્રધાને નવું એ.આઈ. હબ ટેકનોલોજીના લોકશાહીકરણમાં એક શક્તિશાળી બળ ગણાવીને શાસનવ્યવસ્થાને એ.આઈ. સાથે સાંકળીને ભારત ગ્લોબલ ટેકનોલોજીકલ લીડર બનવા જઈ રહ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
આમ, એક તરફ ઊંચા ઊંચા સપના દેખાડાઈ રહ્યા છે, અને બીજી તરફ એ.આઈ.ને લઈને વોર્નિંગ પણ અપાઈ રહી છે, ત્યારે ભારત ત્રીજી ઈકોનોમી બને ત્યારે ખરી, પરંતુ અત્યારે તો "વેઈટ અને વોચ"ની પોલિસી અપનાવીને તેલ અને તેલની ધાર જોઈ, ને જ નિર્ણયો લેવા પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આદિવાસી વર્ગો જેને ભગવાન માને છે, તે બિરસા મુંડાની ૧૫૦મી જયંતી નિમિત્તે આજે ગુજરાતના ડેડિયાપાડામાં વડાપ્રધાનના હસ્તે ૯૭૦૦ કરોડથી વધુ રૃપિયાના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે, અને જિલ્લે જિલ્લે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે, અને ગઈકાલે બિહારની ચૂંટણીના પરિણામો પછી ત્યાં સરકાર રચવાની હલચલ તેજ બની રહી છે, તેવામાં જમ્મુ-કાશ્મીરના નૌગામમાં પ્રચંડ વિસ્ફોટમાં કેટલાક જવાનોના જીવ ગયા અને કેટલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલોએ સવારથી જ ચિંતા જગાવી હતી. જો કે, આ વિસ્ફોટ અકસ્માતે થયો કે કોઈ ષડ્યંત્ર હતું, તે અંગે સવારે કાંઈ સ્પષ્ટ થયું નહોતું. પોલીસ મથકમાં થયેલો ધમાકો અને સંલગ્ન તપાસના ધમધમાટ વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે અહીં જપ્ત કરાયેલા કેટલાક વિસ્ફોટકોની ચકાસણી થઈ રહી હતી. દિલ્હીના વિસ્ફોટની તપાસ કરતી એક ટીમ અહીં પહોંચી હોવાના અહેવાલો પણ આવ્યા હતા. જેથી કન્ફ્યુઝન પણ ઊભું થયું હતું.
તે પછી એવા અહેવાલો આવ્યા હતા કે શ્રીનગરના નૌગામ પોલીસ મથકમાં એમોનિયમ નાઈટ્ર્ેટનું પરીક્ષણ થઈ રહ્યું હતું, ત્યારે આ ધમાકો થયો હતો. દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જમ્મુ-કાશ્મીરનું કનેક્શન બહાર આવ્યા પછી ધરપકડ કરાયેલા કેટલાક આતંકવાદીઓની આ પોલીસ મથકમાં પુછપરછ કરવામાં આવી રહી હતી. આ પોલીસ મથકમાં જ આતંકવાદી મોડયુલની તપાસ માટે જરૃરી પુછપરછ અને જપ્ત કરાયેલા હથિયારો, વિસ્ફોટકના પરીક્ષણ માટે થતો હોવાથી એવી શંકા સેવાઈ જ રહી હતી, કે આ વિસ્ફોટ વિસ્ફોટકોના પરીક્ષણ દરમ્યાન જ થયો હોવો જોઈએ, આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે આ ધમાકો પરીક્ષણ દરમ્યાન થયેલી એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના હોવાની પુષ્ટિ કરતા સ્થિતિ સ્પષ્ટ થઈ હતી.
આ અંગે વિસ્તૃત જાણકારી મળ્યા પછી સ્થિતિ સ્પષ્ટ થઈ હતી અને નૌગામના ધમાકામાં શહીદ થયેલા જવાનોને સહાનુભૂતિપૂર્વક અંજલિ અર્પણ કરાઈ હતી. આ તમામ ઘટનાક્રમોના પડઘા દેશની રાજધાનીમાં પડયા છે. પરીક્ષણ દરમ્યાન પણ આ પ્રકારનો ધમાકો થાય, અને જવાનો શહીદ થઈ જાય, તેવી દુર્ધટનાને હળવાશથી લેવાશે નહીં, તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
આ અહેવાલો વચ્ચે ગુજરાત એ.ટી.એસ.દ્વારા પંજાબનો એક ફરાર આરોપી દબોચી લેવાયો હોવાના અહેવાલ પણ આવ્યા હતા અને આ ભાગેડુ આરોપી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું. આ પહેલા તાજેતરમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક તબીબ સહિત ત્રણ શખ્સોને ઝડપ્યા પછી તેઓ ખતરનાક ઝેર બનાવીને મંદિરોના પ્રસાદમાં ભેળવવાનું કાવતરૃં ઘડી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું, અને તેના થોડા દિવસોમાં દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, તે યોગાનુયોગ છે, કે આ ઘટનાક્રમો વચ્ચો કોઈ કનેક્શન છે, તે તપાસનો વિષય છે. તેવામાં આ ભાગેડુ આરોપી ઝડપાયા પછી તેના આતંકવાદી કનેક્શનની તપાસ ઉપરાંત આ આરોપીની પુછપરછના આધારે વધુ શખ્સો દબોચાશે અને આતંકવાદી ષડયંત્રોના સંદર્ભે વધુ એક ઘટસ્ફોટ થશે, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે.
બીજી તરફ અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની જરૃર પણ જણાવાઈ રહી છે. ખાસ કરીને ઉપરાછાપરી મોટા મોટા ષડયંત્રો પકડાઈ રહ્યા હોવાથી હવે માત્ર બોમ્બ ધડાકા કે ફાયરીંગ જ નહીં, પરંતુ પ્રસાદ, ખોરાક કે પાણીમાં ઝેરી પદાર્થો ભેળવવા જેવા ખતરનાક અખતરાઓ પણ થવા લાગ્યા હોવાનું બહાર આવ્યું છે. આ કારણે હવે મોટા ધર્મસ્થળો, મોટા ભોજન સમારંભો, સદાવ્રતો, અને પ્રસાદ વિતરણ કે અલ્પાહાર, ઠંડાપીણાના સામૂહિક વિતરણ સમયે પણ સંબંધિત લોકોએ સતર્ક રહેવું પડે તેમ છે.
ઘણાં લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે આપણાં દેશમાં આ શું થઈ રહ્યું છે ? શું ચિદમ્બરમ્ ફેઈમ બે પ્રકારના આતંકીઓ એકબીજા સાથે મળીને આપણાં દેશને બરબાદ કરવાના કાવતરા ઘડી રહ્યા છે ? શું આઈ.એસ.આઈ.એ હવે સરહદપારથી આતંકીઓ મોકલવા ઉપરાંત ભારતમાં જ ગદ્દારોની ફોજ ઊભી કરાવીને પરોક્ષ યુદ્ધની નવી મોડસ ઓપરેન્ડી અમલમાં મૂકી છે ? જો એવું જ હોય તો આપણી કેન્દ્રીય એજન્સીઓ તેને અટકાવવામાં પૂરેપૂરી સક્ષમ નથી ? યે ક્યા હો રહા હૈ ?
કેટલાક લોકો પરોક્ષ રીતે એવી ટીકા કરી રહ્યા છે કે દેશમાં બોમ્બ ધડાકા થતા હોય ત્યારે વિદેશ પ્રવાસો કરવા યોગ્ય નથી અને ઉત્સવો ઉજવવા કે કોઈ ચૂંટણીના વિજયોત્સવોના આયોજનો પણ નિવારવા જોઈએ. બીજી તરફ આ પ્રકારની ટીકા સામે તાર્કિક જવાબો પણ અપાઈ રહ્યા છે, આ ટીકા-ટિપ્પણીઓ વચ્ચે જનતામાંથી અવાજ ઊઠી રહ્યો છે, કે "યે ક્યા હો રહા હૈ?"
જો કે, ગુજરાતના આજના દેવમોગરાના લોકસંસ્કૃતિના તહેવાર તથા જનજાતિય ગૌરવ દિવસ અને ભગવાન બિરલા મુંડાની ૧૫૦મી જયંતીને આ વાદ-વિવાદ અને ટીકા-ટિપ્પણીઓ સાથે સાંકળવામાં આવી રહી નથી અને અંગ્રેજો સામે ઝઝુમનાર આદિજાતિ સ્વાતંત્ર્યસેનાનીઓને આજે બિરદાવાઈ રહ્યા છે, તેને સાંકળીને આક્ષેપો-પ્રતિઆપેક્ષો થઈ રહ્યા નથી, તે સાચી વાત છે.
આજે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના દિને તમામ દેશવાસીઓને ઉદ્દેશીને જે સંદેશ અપાઈ રહ્યો છે અને બીજી તરફ દેશ પર આતંકવાદના મંડરાઈ રહેલા નવતર ખતરાઓને લઈને એલર્ટ અપાઈ રહ્યા છે, ત્યારે આતંક અને અન્યાય સામે એકજૂથ થઈને પહેલેથી ચાલતા રહેલા સંઘર્ષને આગળ વધારીએ અને તેનાથી રાજનીતિને દૂર રાખીએ, એ જ દેશહિતમાં ગણાશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે વહેલી સવારથી બિહારમાં તો રાજકીય ચહલપહલ તેજ થઈ જ ગઈ હતી, પરંતુ રાજધાની દિલ્હીમાં પણ રાષ્ટ્રીયકક્ષાના મુખ્ય રાજકીય પક્ષોમાં પણ હલચલ વધી ગઈ હતી. બિહાર વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી જેમ જેમ આગળ વધી રહી હતી, તેમ તેમ લોકોની ઉત્કંઠા અને કુતૂહલ પણ વધી રહ્યા હતા. બે દાયકાથી મુખ્યમંત્રીપદ સંભાળી રહેલા નીતિશકુમાર માટે આ લિટમસ ટેસ્ટ હતો અને આરપારની લડાઈ હતી. તો તેજસ્વી યાદવ માટે તેની રાજકીય કારકીર્દિની અગ્નિપરીક્ષા હતી. બિહારની ચૂંટણીના બહુ કોણીય મુકાબલો હતો પરંતુ મુખ્ય ફાઈટ એનડીએઅ ને મહાગઠબંધન વચ્ચે હતી., અને ભારતીય જનતા પક્ષ, જે.ડી.યુ.ની સામે આર.જે.ડી. અને કોંગ્રેસની પ્રતિષ્ઠાનો સવાલ પણ હતો. બિહારની ૨૪૩ સભ્યોની વિધાનસભામાં સાદી બહુમતી માટે ૧૨૨ બેઠકોની જરૂર હતી, પરંતુ મતદારોએ દોઢીથી વધુ બેઠકો આપી દીધી છે.
એકઝીટ પોલના તારણો એન.ડી.એ.ની તરફેણમાં આવ્યા હતા પરંતુ મહાગઠબંધન અને ખાસ કરીને તેજસ્વી યાદવે તે ફગાવી દીધા હતા તથા હરિયાણાની જેમ બિહારમાં પણ એકઝીટ પોલ્સ ઉલટા પૂરવાર થશે તથા તેજસ્વી યાદવના નેતૃત્વમાં જ સરકાર રચાશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે સાંજે તેજસ્વી યાદવે તો મહાગઠબંધનની બેઠક પણ બોલાવી લીધી હતી, પરંતુ આજે પરિણામોમાં સુપડા સાફ થતાં જણાયા હતા.
બિહાર વિધાનસભાની ચૂંટણીની રાષ્ટ્રીય રાજનીતિમાં પણ વ્યાપક અસરો થવાની છે, અને આગામી બે-ત્રણ વર્ષમાં આવનારી અન્ય રાજ્યોની ચૂંટણીઓ પર પણ તેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો થવાની છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જયાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા વર્ષે થનાર છે, ત્યાં પણ આ પરિણામોની અસરો થવાની સંભાવના હોવાથી પણ આજના પરિણામોની દૂરગામી અસરો થશે, તથા તેના સુચિતાર્થોનું વિશ્લેષણ પણ થશે, એટલું જ નહીં, ચૂંટણી પ્રક્રિયા તથા એસ.આઈ.આર.ના મુદ્દા પણ રાષ્ટ્રીયકક્ષાએ ગુંજતા રહેવાના છે.
આજે સવારે જ્યારે પહેલા પોષ્ટલ મતો ગણાતા હતા, ત્યારે પ્રારંભમાં મહાગઠબંધનની સરસાઈ હતી, પરંતુ પછી કાંટે કી ટક્કર હતી. તે પછી રાઉન્ડવાર મતગણતરી શરૂ થયા પછી ચિત્ર ધીમે ધીમે બદલવા લાગ્યું હતું, અને મહાગઠબંધનમાં તેજસ્વી યાદવની આરજેડીની સર્વાધિક બેઠકો પર સરસાઈ હતી, જ્યાએ એનડીએ ગઠબંધનમાં ભાજપ અને જેડીયુ અગ્રેસર જણાતા હતા. બિહારમાં કોંગ્રેસનો પહેલેથી જ નબળો દેખાવ રહ્યો હતો, જ્યારે ગઠબંધનોના સાથીદાર અન્ય પક્ષોના પરિણામો પર પણ સૌ કોઈની નજર મંડાયેલી હતી. એનડીએને મળેલા પ્રચંડ જનાદેશના કારણો અને તારણોની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
પક્ષવાર જોઈએ તો શરૂઆતથી જ પ્રથમ ત્રણ (ટોપ થ્રી) માં ભાજપ, જેડીયુ અને આરજેડીનો સમાવેશ થતો જણાયો હતો. મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય તથા પ્રાદેશિક પક્ષોમાં તેજસ્વીના સમર્થક મતદારો અથવા આરજેડીના મતો ટ્રાન્સફર થયા નહીં હોવાનું તારણ પણ નીકળી રહ્યું છે તો ઘણાં વિશ્લેષકો કોંગ્રેસે એકલા હાથે લડવાની જરૂર હતી તેવું માને છે, જ્યારે કેટલાક વિશ્લેષકોના અભિપ્રાય મુજબ આરજેડીએ એકલા હાથે ચૂંટણી લડી હોત તો પણ કાંઈક સારૃં પરિણામ આરજેડીને મળ્યું હોત.
આ ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમત મળ્યો, પરંતુ જેડીયુને પાછળ રાખીને ભાજપની તોતીંગ બહુમતી થાય, તેવા ગૂપ્ત કથિત મનસુબા ઘણાં નેતાઓના હતા, તે સાકાર થયા નથી. અને જેડીયુનો હાથ ઊંચો રહ્યો છે. બીજી તરફ એનડીએમાં તમામ પક્ષોના સમર્થકોના મતો એકબીજાને ટ્રાન્સફર થયા, પરંતુ મહાગઠબંધનમાં તે પ્રકારે મતો ટ્રાન્સફર નહીં થવાના તારણો નીકળી રહ્યા છે. જે હોય તે ખરૃં, પરંતુ હવે તો જો જીતા વોહી સિકંદર...!!
મહાગઠબંધનના નેતાઓ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણીતંત્રને લઈને પહેલેથી જ સવાલો ઉઠાવી રહ્યા હતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તો ઘણાં સમયથી "વોટચોરી" નો મુદ્દો ઉઠાવી રહ્યા હતા, ત્યારે હવે બિહાર વિધાનસભાની ચૂંટણી પછી વિપક્ષી ગઠબંધનનું આવું જ મંતવ્ય રહેશે, તે સ્વાભાવિક હતું અને ચૂંટણીપંચ પર થતા આક્ષેપો તથા ચૂંટણીપંચ દ્વારા અપાતા જવાબોનું પિષ્ટપિંજણ પણ થતું રહેશે, જો કે, એકઝીટ પોલ્સમાં પણ એનડીએના આટલા પ્રચંડ બહુમતની સંભાવના દર્શાવાઈ નહોતી.
હવે આ પરિણામોની રાષ્ટ્રીય રાજનીતિ પર ઘેરી અસર થશે, અને ખાસ કરીને કોંગ્રેસે આત્મમંથન કરવું પડે તેમ છે. જો આ રીતે રકાસ જ થતો રહેશે તો કોંગ્રેસ માટે હવે પછીની ચૂંટણીઓ માટે વધુ મોટા પડકાર ઊભા થશે. કોંગ્રેસે જો પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવાના બદલે એકલા હાથે ચૂંટણી લડે, તો પણ આ વખતે આવી છે તેના કરતા ઘણી વધુ બેઠકો આવી શકે છે. બિહારની જનતાએ પૂનરાવર્તનનો આદેશ આપ્યો હોવાથી હવે આગામી પાંચ વર્ષ માટે નીતિશકુમાર જ બિહારના મુખ્યમંત્રી રહેશે કે પછી તેઓને રાષ્ટ્રીય રાજનીતિમાં ખસેડીને (અથવા હાંસીયામાં ધકેલીને) બિહારને કોઈ નવો ચહેરો મળે છે, તે જોવાનું રહેશે. મહાગઠબંધન જો ૨૪૩ માંથી ૫૦ મા જ સમેટાઈ ગયું હોય તો તેના સંદર્ભે ઊંડા વિશ્લેષણો તથા મંથનની જરૂર છે, બીજી તરફ વિપક્ષો દ્વારા સતત ઉઠાવાઈ રહેલા ચૂંટણી પ્રક્રિયા તથા વોટચોરીને સંબંધિત સવાલોનો ટ્રાન્સપરન્ટ સંતોષજનક જવાબ પણ આપવો જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યું અને તે પછી વારંવાર કમોસમી વરસાદ પડતો રહ્યો, જેના કારણે જામનગર અને હાલાર સહિત સમગ્ર રાજ્યોમાં નગરો-મહાનગરોના આંતરિક માર્ગો, જિલ્લા-રાજ્યના ધોરીમાર્ગો, ગ્રામ્ય માર્ગો અને નેશનલ હાઈ-વેમાં પણ ઠેર ઠેર ખાડા પડી ગયા, તે અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં પોલાણવાળી જમીન પર બનેલી સડકોમાં ભૂવા (ઊંડા ખાડા) પડી ગયા. આ સ્થિતિમાં કેટલાક અન્ય વિકાસકામો તથા બાંધકામો અને મૂળભૂત જરૂરિયાતના ચાલી રહેલા કામો પણ અટવાઈ પડ્યા હતા. અવરિત વરસાદને કારણે જામનગર પણ ખાડાનગર બની ગયું અને ભૂગર્ભ ગટર તથા ફ્લાયઓવર બ્રિજના ચાલી રહેલા કામોના કારણે છેલ્લા પાંચ-છ મહિનાથી જુદા જુદા સ્થળે થતા ખોદકામોના કારણે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ ગઈ અને નગરજનો પરેશાન થતા રહ્યા હતા.
હાલારમાં યાત્રાધામ દ્વારકા અને સંલગ્ન યાત્રા-પ્રવાસધામોમાં પણ માર્ગોની દૂર્દશા થઈ અને નગરોના આંતરિક માર્ગો તૂટી-ફૂટી ગયા છે, ત્યારે હવે કમોસમી વરસાદ બંધ થયો છે અને શિયાળો શરૂ થયો છે, ત્યારે તમામ માર્ગોના નવીનીકરણની જરૂર છે. માત્ર થીંગડા મારીને નહીં ચાલે, પરંતુ પાક્કા માર્ગો બનાવવા પડે તેમ છે. આંકડાઓ જાહેર કરીને આયોજનોની પબ્લિસિટી કરીને જ નહીં ચાલે, પરંતુ જમીન પર વાસ્તવિક કામો પણ થવા અત્યંત જરૂરી છે.
શિયાળાની ઋતુમાં બાંધકામો માટે અનુકૂળ વાતાવરણ હોવાથી યાત્રાધામ દ્વારકા, હર્ષદ, બેટ દ્વારકા, વૈષ્ણવ સંપ્રદાયના બેઠકજીઓ, ગોપ, ભાણવડ, હાથલા, કાલાવડ, જામજોધપુર, સીદસર, કેશોદ, બેરાજા, આસોટા, રાણ, ગોરીંજા, જોડીયા, ખીજડીયા, ખીમરાણા, ફલ્લા, શીંગડા વગેરે આસ્થા અને પ્રવાસનને સંયુક્ત રીતે જોડતા અનેક માર્ગોની તત્કાળ મરામત કરવી જરૂરી છે, જ્યારે હાલારની તમામ નગરપાલિકાઓ તથા જામનગર મહાનગરપાલિકાના તમામ આંતરિક માર્ગો, શેરી-ગલીઓ અને સોસાયટી વિસ્તારોમાં માર્ગોને થયેલા નુકસાનનો ડીપ સર્વે કરીને તત્કાળ તેની પ્રાથમિક મરામત ઉપરાંત જરૂરી પ્રક્રિયા તત્કાળ સંપન્ન કરીને પાક્કા માર્ગો ફરીથી બની જાય, તેવું નવીનીકરણ તથા વિસ્તૃતિકરણ તત્કાળ કરવું જોઈએ.
દેવભૂમિ દ્વારકા જિલ્લો જાહેર થયો, અને ખંભાળીયા તેનું મુખ્યમથક બનાવાયું, પરંતુ ખંભાળીયાની ખાડાનગરી તરીકેની છાપ ભૂંસાઈ શકી નથી. એકાદ વર્ષથી મંજુર થયેલું ઓવરબ્રિજનું કામ અટવાઈ જવું, રિવરફ્રન્ટનું કામ ગાંધીનગરના સચિવાલયમાં ગોટે ચડી જવું, વર્ષો સુધી ભૂગર્ભ ગટરના કામો ટીંગાતા રહેવા અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા પછી પણ નગરમાં ઠેર-ઠેર માર્ગો પર ગંદા પાણી વહેતા રહેવા જેવા પ્રશ્નો આજે પણ એવાને એવા જ છે. આ સ્થિતિમાં કમોસમી વરસાદે દુષ્કાળમાં અધિક માસની જેમ આ સમસ્યાઓને વધુ વકરાવી દીધી છે. આ કારણે ભૂતકાળમાં પ્રવર્તમાન શાસકોની વાહવાહી કરતા ઘણાં લોકો પણ હવે ટીકાકાર બની ગયા છે !
હાલારની અન્ય નગરપાલિકાઓમાંથી પણ આ જ પ્રકારની રાવ ઉઠી રહે છે. ઓખા નગરપાલિકામાં તો સુરજકરાડી, આરંભડા, બેટ દ્વારકા, ઓખા સહિતના વિસ્તારો સમાવિષ્ટ હોવાથી ત્યાંની સ્થિતિ "ઓખો જગથી નોખો" જેવી છે, જ્યારે યાત્રાધામ દ્વારકા અને નાગેશ્વરને સંલગ્ન માર્ગો-ધોરીમાર્ગોની સ્થિતિ પણ ચોમાસા પછી નવીનીકરણ માંગે છે. દ્વારકા નગરપાલિકાએ નગરના આંતરિક માર્ગો તથા નગરમાંથી પસાર થતા ધોરીમાર્ગ માટે પ્રશાસનિક અને રાજકીય સંકલન બેસાડીને તત્કાળ કેટલીક તૂટેલી-ફૂટેલી સડકોની તત્કાળ મરામત હાથ ધરવી જ પડે તેમ છે.
રાવલ નગરપાલિકામાં તો શાસકીય અને પ્રશાસનિક અસ્થિરતાની કાયમી સમસ્યા રહી છે અને તેના કારણે જ મૂળ નગરની બજારની એકમાત્ર જાહેર મૂતરડી પણ બંધ કરાયા પછી પુનઃ શરૂ થઈ શકી નથી. રાવલમાં કોઈપણ એક પેનલનું શાસન સતત રહેતું નથી એન ચીફ ઓફિસરો પણ સતત બદલતા રહે છે, તેથી લોકોને નાના નાના દાખલા કઢાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ જ પ્રકારે સલાયા, ભાણવડ, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ વગેરે નગરપાલિકાઓ તથા ભાટીયા, લાલપુર, ભાડથર, વાડીનાર જેવા મોટા ગ્રામ્ય મથકોમાં માર્ગોની હાલત પણ કાંઈક એવી જ છે.
ચોમાસા અને કમોસમી વરસાદ દરમ્યાન પણ રાજ્યમાં કેટલાક સ્થળે મરામતના અનિવાર્ય પ્રકારના કામો, ડાયવર્ઝન અને થીંગડા મારવાના કામો થયા, પરંતુ અવાર-નવાર કમોસમી વરસાદ થતો રહ્યો હોવાથી ફરી ધોવાતા રહ્યા. હવે જ્યારે વાતાવરણ ચોખ્ખું થયું છે, ત્યારે વાતોના વડા કરવાના બદલે જવાબદારીની ફેંકાફેંકી કરવાની મનોવૃત્તિ ત્યાગીને શાસકો, પ્રશાસકોએ ઝડપભેર માર્ગોનું પુનઃ ઉચ્ચ ગુણવત્તા સાથે નવીનીકરણ અને જરૂર હોય ત્યાં વિસ્તૃતિકરણ કરવું જ જોઈએ, ખરૃં ને ?
જામનગરમાં કમોસમી વરસાદથી ઠેર-ઠેર પડેલા ખાડા અને ચીરોડાઓમાં થીગડાં મારવાનું બંધ કરીને હવે પાક્કા અને પહોળા માર્ગો માટે નવેસરથી નિર્માણ થાય તથા વિસ્તૃતિકરણ થાય, તે જરૂરી છે. ફ્લાય ઓવર બ્રિજ અને તેના સર્વિસ રોડના કામોની સાથે સાથે લાંબા ચોમાસા અને કમોસમી વરસાદના કારણે બિસ્માર થયેલા શેરી-ગલીઓ-સોસાયટીઓ સહિતના માર્ગોનું તત્કાળ નવીનીકરણ અને આધુનિકરણ થવું જરૂરી છે. આ કાર્યવાહી દરમ્યાન સંબંધિત સડકો કેટલા વર્ષ પહેલા બની છે, તેની હિસ્ટ્રીને અનુરૂપ આયોજનો થવા જોઈએ.
જો કે, જામનગરમાં સ્ટેન્ડિંગ કમિટીએ કેટલાક આંતરિક માર્ગોની મરામતના કામોને મંજુરી આપી છે, અને કેટલાક સી.સી.રોડના કામો બહાલ કરાયા છે, જેમાં હાપા, ઢીંચડા સહિત મહાનગરની ચોતરફ વિસ્તરેલી કેટલીક સોસાયટીઓને પણ આવરી લેવામાં આવી છે. તે પૈકી રવિપાર્ક અને તિરૂપતિ સોસાયટીના મુખ્ય માર્ગોમાં સી.સી.રોડ બનાવવાનો સમાવેશ કરાયો છે, પરંતુ શેરીઓ તથા પેટા ભાગોનો ઉલ્લેખ નથી અને મંજુર કરાયેલી રકમ પણ પર્યાપ્ત જણાતી નથી. જો કે, પ્રશાસકિય મર્યાદાઓના કારણે કદાચ ટૂકડે-ટૂકડે મંજુરીઓ અપાતી હોઈ શકે છે, તેથી નગરજનો માત્ર ગુણવત્તાયુક્ત અને ઝડપી કામો સાકાર થાય, તેવું જ ઈચ્છે છે. લોકોને "ટપ ટપ" થી નહીં, રોટલાથી મતલબ છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વર્ષ-૨૦૧૮નો એ ગોઝારો દિવસ અમને બધાને કારમો આઘાત આપી ગયો હતો. જ્યારે માધવાણી પરિવાર સહિત સૌનો લાડકવાયો રોનક યુવાનવયે વૈકુંઠયાત્રાએ નીકળી ગયો હતો.
રોનક સાંધ્ય દૈનિક "નોબત"ના કોમ્પ્યુટર વિભાગમાં અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ સાથે સંકળાયેલી બાબતોમાં પારંગત હતો અને 'નોબત' ને સોશ્યલ મીડિયા, ઈ-પેપર તથા વેબસાઈટના માધ્યમથી સાત સમંદર પાર પહોંચાડયું હતું. અખબારનું આકર્ષક પ્રિન્ટીંગ, લે-આઉટ અને યુગને અનુરૂપ અપડેટ કરતા રહીને રોનકે 'નોબત' ને વધુ આકર્ષક બનાવ્યું હતું.
રોનક સ્ટાફ તથા પરિવાર સાથે એટલો હળીમળી ગયો હતો કે આજે પણ તેની ખોટ સૌ કોઈને વર્તાય છે. હરહંમેશ હસતો ચહેરો, મળતાવડો સ્વભાવ, વિવેકપૂર્ણ વાણી અને વિનયી વ્યવહારના કારણે રોનકનું વ્યક્તિત્વ કાંઈક અલગ જ ભાત પાડતું હતું.
નોબત પરિવાર અને માધવાણી પરિવારનો આંખોનો તારો અને સૌ કોઈનો પ્યારો રોનક વર્ષ-૨૦૧૮ની ૧૨મી નવેમ્બરે જ્યારે અનંતયાત્રાએ નીકળી ગયો, ત્યારે નગર નિમાણું થઈ ગયું, હાલાર હિબકે ચડ્યું હતું, મિત્રમંડળમાં માતમ છવાયો હતો, 'નોબત' ભવનમાંથી રોનક ઉડી ગઈ હતી અને સર્વત્ર શોક છવાઈ ગયો હતો. એ વસમી વિદાય અમારા માટે કઠુરાઘાત સમાન હતી. રોનક વૈકુંઠવાસી થયો, તે દિવસે લાભપાંચમનું પાવન પર્વ હતું.
રોનકે 'મેઘધનુ' જેવા વાર્ષિક ત્રિદિવસીય કાર્યક્રમો યોજીને લોક-સાહિત્ય, ગીત-સંગીત અને પત્રકારિત્વનો અનોખો ત્રિવેણી સંગમ સર્જ્યો હતો, જેથી પ્રતિવર્ષ નોબતની વર્ષગાંઠની ઉજવણી વધુ શાનદાર બની હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓના માધ્યમથી નગરના નવોદિતોને પણ પરફોર્મન્સનું પ્લેટફોર્મ મળ્યું હતું. રોનક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સદૈવ અગ્રેસર રહેતો હતો અને યુવાવર્ગમાં ખૂબજ લોકપ્રિય બન્યો હતો.
રોનકની "આઉટ ઓફ ધ બોક્સ" એક્ટિવિટીઝમાં સમગ્ર માધવાણી પરિવાર અને નોબત પરિવારનો સક્રિય સહયોગ મળ્યો હતો. અને ગત વર્ષે જ પહેલી નવેમ્બરે વૈકુંઠવાસી થયેલા પિતા કિરણભાઈ માધવાણીનું પ્રોત્સાહન અને પથદર્શન મળતું રહ્યું હતું. રોનક તેમના માતા જ્યોતિબેન માધવાણીની સામાજિક અને મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં પણ સહભાગી થતો હતો અને સંતાનોના ઉછેર-પરિવારની જવાબદારીઓ તથા નોબતની રોજીંદી કામગીરી ઉપરાંત સેવાપ્રવૃત્તિઓ તથા બિઝનેસ એક્ટિવિટીઝ પણ સફળતાપૂર્વક કરતો હોવાથી હંમેશાં પ્રવૃત્તિમય રહેતો હતો. આ કારણે આજે પણ નોબત ભવનના ખૂણે ખૂણે રોનકની અનુભૂતિ થઈ રહી છે.
આજે રોનક ભલે સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેના સત્કાર્યોની સુવાસ અને સંસ્મરણો-સ્મૃતિઓના સ્વરૂપમાં રોનક આજે પણ આપણાં સૌના દિલો-દિમાગમાં છવાયેલો જ છે અને આપણી વચ્ચે જ હોય, તેવી અનુભૂતિ થાય છે. માત્ર ૪૦ વર્ષની યુવાવયે કાયમી વિદાય લઈ લેનાર રોનકની કદાચ ઈશ્વરને પણ જરૂર પડી હશે. આપણે કુદરતની ઘટમાળ પાસે લાચાર છીએ અને જન્મ-મૃત્યુ આપણાં હાથમાં નથી, તે વાસ્તવિકતા સ્વીકારીને આજે રોનકની પુણ્યતિથિ નિમિત્તે આપણે સૌ અશ્રુભીની આંખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પીએ...
જામનગર - માધવાણી પરિવાર
તા. ૧૨-૧૧-૨૦૨૫ - નોબત પરિવાર
આજે આખો દેશ હાઈ એલર્ટ પર છે અને દિલ્હીમાં થયેલા ઘાતક જીવલેણ કાર વિસ્ફોટ પછી દેશના હૃદયસમી રાજધાનીમાં બોદી સુરક્ષા વ્યવસ્થાઓ તથા ગુપ્તચર સંસ્થાઓની નાકામિયાબીની ચર્ચા પણ થવા લાગી છે, એટલું જ નહીં, ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક તબીબ સહિત પ્રારંભમાં ત્રણ શખ્સોને હથિયારો-વિસ્ફોટકો સાથે દબોચી લીધા પછી જમ્મુ-કાશમીર પોલીસે હરિયાણા પોલીસની મદદથી વિસ્ફોટકના જંગી જથ્થા તથા હથિયારો વગેરે સાથે ત્રણેક તબીબો સહિત કેટલાક લોકોને દબોચી લીધા હોવા છતાં આ પ્રચંડ ધડાકો દેશની રાજધાનીમાં થયો હોય, તો કેન્દ્રની એજન્સી, દિલ્હી પોલીસ અને ગૃહમંત્રાલયથી અંતગત કાર્યરત સુરક્ષા એજન્સીઓની કચાશ, ઢીલાશ કે ઓવર-કોન્ફીડેન્સ અથવા લાપરવાહી પણ દર્શાવે છે. આ તમામ ઘટનાક્રમોને પુલવામા હૂમલા અને તે પછીના ઘટનાક્રમો સાથે જોડીને કડીઓ મેળવવામાં આવી રહી છે, તેવું જાહેર કરાયું છે. ખેર, જે હોય તે ખરૃં, પરંતુ નાપાક પડોશી દેશ પાકિસ્તાને આઈએસએસ સહિતની આતંકી સંસ્થાઓ સાથે મળીને જો ભારતને નિશાન બનાવ્યું હોય, અને સરહદ પારથી આતંકીઓ ઘૂસાડવાના બદલે ભારતમાં જ કટ્ટરવાદી બ્રેઈનવોશ કરીને સ્થાનિક આતંકવાદીઓ ઊભા કરવાની રણનીતિ અપનાવી હોય, તો તે વધુ ખતરનાક અને ચિંતાજનક બની શકે છે. અહેવાલો મુજબ જૈસ-એ-મહોમ્મદનું જ આ ષડયંત્ર હોવાની પૂરેપૂરી શક્યતા છે.
છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી ષડયંત્રો સામે જે ઝુંબેશ ચાલી રહી હતી અને ગુજરાત એ.ટી.એસ. પછી જમ્મુ-કાશમીર પોલીસ અને હરિયાણા પોલીસ દ્વારા કેટલાક શખ્સોને જંગી વિસ્ફોટકો, હથિયારો સાથે ઝડપીને આતંકીઓની મેલી મુરાદ નિષ્ફળ બનાવ્યા પછી અંતે ડો. ઉંમર નામના શખ્સે આ સુસાઈડ એટેક કર્યો હોઈ શકે છે, અથવા તે વિસ્ફોટકની હેરાફેરી કરી રહ્યો હોય, તેવા તર્કો અને આશંકાઓ સાથે ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલી તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ જોડાઈ ગઈ છે અને જુદા જુદા એંગલોથી ચાલી રહેલી તપાસ પછી આજે બપોરે સત્તાવાર અને બિન સત્તાવાર રીતે જે કાંઈ જાહેર થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. આ લખાય છે ત્યાં સુધીમાં શંકાસ્પદ ડો. ઉંમરના પરિવારજનોની પુછપરછ થઈ રહી હોવાનું બહાર આવ્યું છે.
આ વિસ્ફોટ લાલ કિલ્લા નજીક અને દિલ્હી હાઈકોર્ટ સમા ચાંદનીચોકના માર્ગે કરવા પાછળ પણ સમજી-વિચારીને ઘડાયેલું ષડયંત્ર હોઈ શકે છે. આ ઘટનાના હૃદયદ્રાવક દૃષ્યો ઘટનાની તીવ્રતા અને કરૂણતા તો દર્શાવતા જ હતા, સાથે સાથે આ પ્રકારના કાવતરાં રચનારાઓની ઘાતકી અને કટ્ટર મનોવૃત્તિ પ્રત્યે ફિટકાર વરસાવનારી પણ હતી.
આ વિસ્ફોટ પાછળ જૈશ-એ-મહોમ્મદનો હાથ હોય અને ફરિદાબાદ જેવી મોડસ ઓપરેન્ડી અપનાવાઈ હોય, તેવા પ્રથમ દૃષ્ટિએ નીકળેલા તારણો પછી સતત વિવિધ એંગલથી તપાસ સાથે ઠેર-ઠેર દરોડા પડી રહ્યા છે. આ આતંકી હૂમલા જેવી મોડસ ઓપરેન્ડી આધુનિક ટેકનોલોજી અને હાઈટેક નવતર પદ્ધતિથી એજ્યુકેટેડ આતંકીઓની તૈયાર થયેલી એક આંતરરાષ્ટ્રીય સાંકળ (નેટવર્ક) તરફ પણ અૂંગલી નિર્દેશ કરે છે. એટલું જ નહીં, બિહારની વિધાનસભા માટે બીજા તબક્કાના મતદાનના આગલા દિવસે જ થયેલા દિલ્હીનો ધમાકો ટાઈમીંગ અને પોલિટિકલ દૃષ્ટિએ પણ ચર્ચાસ્પદ બન્યો છે, આ એંગલથી પણ એજન્સીઓ તપાસ કરશે, પરંતુ મેડિકલ લાઈનમાં ઉચ્ચ અભ્યાસ કરેલા આતંકીઓનું જુદા જુદા રાજ્યોમાં એક નવું જ નેટવર્ક ઊભું થયું હોય, તો તે વધુ ભયાવહ અને ખતરનાક બની શકે છે.
દિલ્હીની આ ઘટના પછી યુ.એ.પી.એ. અંતર્ગત કેસ દાખલ કરાયો હોય અને કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે સવારે લીધેલી ઉચ્ચસ્તરીય બેઠક પછી દેશવ્યાપી હાઈએલર્ટની સ્થિતિ વચ્ચે કાંઈક નવાજૂનીના સંકેતો મળી રહ્યા હોય ત્યારે એ પણ નોંધનીય છે કે આતંકવાદીઓએ હવે જે નવી પદ્ધતિઓ અપનાવી છે તેની સામે લડવા કેન્દ્રીય એજન્સીઓએ વધુ સતર્ક અને સંકલિત થવું પડશે. ફરિદાબાદ મોડ્યુલની પણ પહેલેથી જ ચર્ચા થઈ રહી હતી. પુલવામાના રહીશ અને ડોક્ટર ઉંમર ગની ઘણાં સમયથી ફરાર હતો અને તેમણે આ વિસ્ફોટ કર્યો હોવાની સંભાવના પર આજે સવારથી જ તપાસ કેન્દ્રીત થઈ હતી અને આઠથી અગિયારના મૃત્યુ તથા કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સાથે દેશભરમાં સતર્કતા અને દિલ્હીમાં ભયનો માહોલ ફેલાયો હતો, તે પછી સત્તાવાર રીતે જે કાંઈ કહેવામાં આવી રહ્યું છે તે આપણી સામે જ છે.
આ લખાય છે ત્યારે કેન્દ્રીયમંત્રી અમિતભાઈ શાહની મિટિંગ ચાલી રહી છે અને તે પછી જ સત્તાવાર રીતે સરકાર વિગતવાર જાણકારી દેશના લોકો સમક્ષ મુકશે, તેમ જણાય છે.
દિલ્હીમાં વિસ્ફોટ પછી યાત્રાધામ દ્વારકા એન અંબાજી, સોમનાથ સહિત ગુજરાતના યાત્રાધામોમાં પણ સુરક્ષા વ્યવસ્થાઓ વધુ સઘન બનાવી દેવામાં આવી રહી છે. એન કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો ત્વરીત કદમ ઉઠાવીને તેનું રિપોર્ટીંગ ઉચ્ચકક્ષાએ કરવાની સૂચનાઓ જો રાષ્ટ્રીયકક્ષાએથી અપાઈ રહી હોય, તો તે હૂમલાની ગંભીરતા દર્શાવે છે.
આપણે ત્યાં આતંકવાદી ઘટનાઓ ભલે ભૂતકાળની સરખામણીમાં ઓછી-વત્તી થઈ હોય કે બંધ થઈ હોય અથવા સીમિત થઈ ગઈ હોય, તો પણ તેનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ સાવધાનીપૂર્વક થવો જરૂરી છે, અને દેશમાં સંપૂર્ણપણે આ પ્રકારની ઘટનાઓ અટકી જ ગઈ છે કે બંધ થઈ ગઈ છે, તેવો દાવો કરવામાં આવે કે પછી આતંકી ઘટનાઓ ફરી શરૂ થઈ ગઈ છે કે વધી ગઈ છે, તે પ્રકારના નિવેદનો ચૂંટણી ટાણે થાય, તે પણ તેને સાંકળીને આતંકવાદીઓ "ચેલેન્જ" ઊભી કરવા કે લોકતાંત્રિક પ્રક્રિયા પર અસર પાડવા પ્રેરાતા હોય છે તેથી આ સંવેદનશીલ મુદ્દે રાજનેતાઓએ પણ "સંવેદનશીલ" રહીને સાવધાનીપૂર્વક નિવેદનબાજી કરવી જોઈએ, તેવા તટસ્થ પ્રતિભાવો પણ અવગણવા જેવા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કુદરત જ્યારે મહેર કરે છે, ત્યારે જીવસૃષ્ટિ અને સંસાર સોહામણા લાગે છે, પરંતુ જ્યારે એ જ કુદરત જ્યારે કહેર કરે ત્યારે બિહામણા પણ લાગે છે. લોખંડમાંથી તલવાર પણ બને છે અને ઓજાર પણ બને છે. બંદુક, દારૂગોળો અને હથિયારો રક્ષણનું કામ પણ કરે છે અને ખોટા હાથમાં હોય, ત્યારે વિનાશક પણ બની જાય છે, તેવી જ રીતે વિદ્યા પણ જો યોગ્ય રીતે વપરાય, તો તે જીવનને ઉપયોગી અને હેતુલક્ષી પૂરવાર થાય છે, પરંતુ તે જ વિદ્યા એટલે કે કૌશલ્ય, ડિગ્રી કે જ્ઞાન જ્યારે ખોટા માર્ગે વપરાય, ત્યારે તે વિનાશક અને વિકૃત બની જાય છે અને પોતાને તથા સમાજને પણ નુકસાન પહોંચાડે છે. આ જ રીતે એમબીબીએસ કરેલા લોકો જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવે, ત્યારે એવું પ્રતિત થાય છે કે માનવ કલ્યાણ માટે કરાવાતા તબીબી અભ્યાસ પણ હવે ખતરનાક બનવા લાગ્યા છે.
ગુજરાત એટીએસ દ્વારા કેન્દ્રીય એજન્સીએ સાથે મળીને ચલાવાયેલા અભિયાનમાં આપણાં શાંતિપ્રિય ગણાતા વ્યાપારિક છાપ ધરાવતા ગુજરાતમાંથી ૩૫ વર્ષના ડોક્ટર સહિત ત્રણ કથિત આતંકીઓને ઝડપી લીધા હોવાના જ્યારે અહેવાલો આવ્યા, ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હશે, એવું પણ બહાર આવ્યું કે આ ત્રણેય શખ્સો અમદાવાદ, દિલ્હી અને લખનૌ વગેરે સ્થળે આતંકી હૂમલાની તૈયારી કરી રહ્યા હતા, અને સૌથી ચોંકાવનારી વાત એ બહાર આવી હતી કે ડોક્ટરનું ભણેલો એક શખ્સ સાઈનાઈડથી પણ ખતરનાક ઝેર રાયઝિન બનાવી રહ્યો હતો. હવે આ ઝેરનો તે કેવી રીતે ઉપયોગ કરવાનો હતો, તે તપાસ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે.
આ પ્રકારના અહેવાલો સુત્રોને ટાંકીને અથવા અન્ય માધ્યમો દ્વારા આવતા હોય છે, પરંતુ આ પ્રકારના અહેવાલો જ્યારે જ્યારે આવે, ત્યારે ત્યારે એક પ્રકારની સનસનાટી ફેલાઈ જતી હોય છે, અને જ્યારે આ અંગે સત્તાવાર રીતે જાહેરાત થતી હોય કે માહિતી અપાતી હોય છે, ત્યારે જ લોકોને થોડી રાહત થતી હોય છે, અને વાસ્તવિક તથ્યો જાણવા મળતા હોય છે, હવે આ ત્રણ શખ્સોની તપાસ પછી શું બહાર આવે છે અને કેવા કદમ ઉઠાવાય છે, તે જોવું રહ્યું...
એ.ટી.એસ.ની કાર્યવાહીને આવકારવી જોઈએ, અને સાથે સાથે આ પ્રકારની હિંસક અને ઘાતક માનસિકતા આપણાં રાજ્ય અને દેશમાં પનપી રહી હોય, તો તેના મૂળમાં જઈને તેને અટકાવવી જ પડે અને આ પ્રકારના પરિબળોને ઝેર કરવા જોઈએ, એ ખરૃં પરંતુ આપણાં રાજ્યમાં વધી રહેલી વિવિધ પ્રકારની ગુનાખોરીની ચિંતા પણ કરવી જ પડે તેમ છે. છોટા ઉદેપુરના બોડેલીમાં બુટલેગરની ગાડીનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યા પછી અકસ્માત થયો અને બૂટલેગર નાસી છૂટ્યો તથા કારમાં ભરેલો શરાબનો જથ્થો લૂંટાઈ ગયો, તે પ્રકારના અહેવાલો શું સૂચવે છે ?
જો કે, પાછળથી પોલીસે એકાદ બૂટલેગરને દબોચી લીધો અને અન્ય ફરાર શખ્સોની શોધખોળ આદરી, પરંતુ આ પ્રકારે દારૂની બેફામ અને બેરોકટોક હેરાફેરી થતી રહેતી હશે, તેવું પણ તારણ નીકળી શકે છે. અને દારૂબંધી ધરાવતા રાજ્યમાં દારૂની હેરાફેરીનો આ આઈસબર્ગની ટોચ જેવી આ ઘટનાઓ સપાટીની નીચેથી થઈ રહેલી વિરાટ હેરાફેરી તરફ પણ અૂંગલી નિર્દેશ કરે છે. આ પ્રકારે કોઈ જંગી જથ્થો પકડાય, ત્યારે ભલે લાપરવાહી થાય અને ગૃહમંત્રી પોતાની અને પોલીસતંત્રની પીઠ થાબડતા હોય, પરંતુ જ્યારે બૂટલેગરો હાથતાળી આપીને નાસી છૂટે, દારૂનો જંગી જથ્થો લૂંટાઈ જાય કે મોટો જથ્થો પકડાયા પછી પણ તેની હેરાફેરી કરનારા પરિબળોને વર્ષો સુધી કોઈ સજા જ થતી હોય તો આ બધી કવાયતનો અર્થ શું ? તેવા સવાલો સ્વાભાવિક રીતે જ ઉઠે ને ?
રાજ્યમાં ગુનાખોરી વધી રહી હોય અને નાગરિકો માટે ફરિયાદો નોંધાવવાની પ્રક્રિયા જ દુષ્કર થઈ ગઈ હોય કે પછી ગુંડાગીરી, દાદાગીરી, લુખ્ખાગીરી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરનારાઓને કાનૂનનો ડર જ લાગતો ન હોય, તેવી ઘટનાઓની સમીક્ષા કરીને રાજ્યના ગૃહવિભાગે ગુનાખોરી સામે પરિણામલક્ષી પ્રિવેન્ટીવ કદમ ઉઠાવવા જ પડે તેમ છે.
બીજી તરફ ગુજરાત સુધી પહોંચેલા આતંકી ઓછાયાને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ગણાવીને અવગણી શકાય નહીં, કે તેને કોઈપણ દૃષ્ટિએ જસ્ટીફાય પણ કરી શકાય નહીં, કારણ કે વર્ષ ૨૦૦૮માં અમદાવાદ અને સુરતમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકી હૂમલાઓમાં 'સિમી'માંથી ઈન્ડિયન મુઝાહિદિન નામક સંગઠનનો હાથ હોવાનું બહાર આવ્યું હતું, તે સમયે દેશભરમાં આતંકી ઘટનાક્રમોમાં સેંકડો નિર્દોષ લોકોના જીવ ગયા હતા અને આ તમામ વિવિધ આતંકી સંગઠનોનું પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને/અથવા પાક. સ્થિત આતંકી સંગઠનો કે આતંકી આકાઓ સાથે સંકળાયેલું હતું. ગુજરાતમાં પકડાયેલા આ ત્રણેય શખ્સો અંગે ઉંડી તપાસ થશે, ત્યારે તેની વાસ્તવિકતા બહાર આવશે અને ન્યાયની દેવડી તેને સજા કરશે અને ન્યાય કરશે, પરંતુ જ્યારે લોકલ ગુનાખોરી વકરી રહી હોય ત્યારે આતંકી પરિબળોને પોતાનો ખતરનાક ઉદૃેશ્ય પાર પાડવા માટે સ્થાયી પ્લેટફોર્મ મળી જતું હોય છે, અને તેની આડમાં દેશવિરોધી તત્ત્વોને પનપવાની તક મળતી હોય છે, હવે ફરીથી ગુજરાતમાં "બીનવારસુ ચીજવસ્તુને અડકવું નહીં." તેવી ચેતવણીઓ આપવી જ ન પડે, તે માટે આતંકી કાવતરાઓને ઝડપી પાડવાની સાથે સાથે સ્થાનિક ગુંડાગીરી અને ગુનાખોરી પર વધુ મજબૂત સકંજો કસવાની જરૂર પણ જણાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજ્ય સરકારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેના નુકસાન સામે ખેડૂતોને સહાય આપવા માટે રૂા. દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ ઘોષણામાં જંગી રકમની રાહત આપવામાં હેકટર દીઠ રૂા. ૨૨ હજાર સુધીની સહાય મહત્તમ બે હેકટર દીઠ અપાશે, તેવું જાહેર થયું હોવાથી "નામ બડે ઔર દર્શન છોટે" ની ઉક્તિ યાદ આવી જાય છે. તેવો કટાક્ષ પણ થઈ રહ્યો છે.
આ ઉક્તિ હકીકતે કહેવત નથી, પરંતુ "અલબેલા" ફિલ્મની એક પંક્તિ છે, જેનો ઉપયોગ કટાક્ષ કરવા માટે થતો રહ્યો છે અને મોટા ભાગે રાજનેતાઓ, રાજકીયપક્ષો, પ્રશાસકો કે સરકારો દ્વારા મોટા મોટા વાયદાઓ કર્યા પછી તેને નહીં અનુસરવાના કારણે વ્યંગ માટે થતો રહ્યો છે. રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે, તેને સહાય પેકેજ તો ઠીક, પરંતુ રાહત પેકેજ પણ કહી શકાય તેમ નથી., પરંતુ રાજ્યભરમાંથી ભાજપના નેતાઓ તથા તેના સમર્થકો આ પેકેજને આજથી જ આવકારવા લાગશે અને સરકારની વાહવાહી કરવા લાગશે, તે પહેલેથી જ નક્કી હતું, તેવી આલોચના પણ થવા લાગી છે.
જો કે, રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને કુલ રૂા. ૯૮૧૫ કરોડનું નુકસાન થયું હોવાના પ્રાથમિક અંદાજો છતાં કોઈ પણ ખેડૂત આ રાહત પેકેજથી વંચિત ન રહી જાય, તે માટે આ માતબર પેકેજ જાહેર કર્યું હોવાનો દાવો કર્યો છે, અને સહાય મેળવવા માટે ખેડૂતે પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તે પણ જણાવ્યું છે. તેમણે આવતીકાલથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી માટે પણ રૂા. ૧૫ હજાર કરોડથી વધુ મૂલ્યની રકમ ફાળવાશે, તેવો અંદાજ પણ જાહેર કર્યો છે., અને આ કારણે ખેડૂતોને કમોસમી વરસાદ સામે પૂરતી મદદ મળી રહેશે અને રવિપાક માટે પણ ખેડૂતોને આ સહાયથી ટેકો મળી રહેશે, જેમાં કિસાન સમૃદ્ધિ યોજનાનો હપ્તો પણ સહાયભૂત થશે, તેવી પણ દલીલ થઈ રહી છે.
આ સહાય પેકેજ એસ.ડી.આર.એફ.ના નિયમોને અવગણીને ખાસ કિસ્સા તરીકે સરકારે જાહેર કર્યું છે, અને આ પેકેજથી ખરેખર જરૂર છે તેવા લાખો ખેડૂતોને સમયસરનો ટેકો મળી રહેશે, અને સતત વરસતો કમોસમી વરસાદ થંભી ગયા પછી ખરીફ પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરવા હજારો અધિકારી-કર્મચારીઓ તથા મંત્રીઓ, મુખ્યમંત્રીઓ સહિતના નેતાઓ ફિલ્ડમાં ઉતર્યા હોવાનું જણાવી સ્વયં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશ્યલ મીડિયા દ્વારા આ રાહત પેકેજને સૌથી વધુ મોટું પેકેજ ગણાવ્યું છે. જીતુભાઈ વાઘાણીએ પણ કહ્યું કે એસ.ડી.આર.એફ.ના નિયમો મુજબ રૂા. ૬૫૦૦ની સહાય મળવાપાત્ર હોવા છતાં રાજ્ય સરકારે તેનાથી ત્રણગણી મર્યાદા નક્કી કરીને ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ ડાયરેક્ટ જમા કરાવવાનો નિર્ણય લીધો છે, જે ખેડૂતોના હિતમાં છે. રાજ્યની ૪૨ લાખ હેકટર ખેતીની જમીનમાં કમોસમી વરસાદથી ખરીફ પાકોને નુકસાન થયા પછી રાજ્ય સરકારે આ ખેડૂતલક્ષી નિર્ણય લીધો હોવાનો દાવો પણ કરાયો છે.
આ સહાય પેકેજને આવકારતા પ્રત્યાઘાતો પણ આવવા લાગ્યા છે અને સમગ્ર પેકેજનો ઊંડો અભ્યાસ કર્યા પછી આજે વધુ પ્રત્યાઘાતો સામે આવશે, પરંતુ ઘણાં લોકો આ પેકેજને નામ બડે ઔર દર્શન છોટે જેવું પણ ગણાવવા લાગ્યા છે.
અમરેલી ભાજપમાંથી જ આ મુદ્દે અસંતોષના સૂર ઉઠયા છે, જેથી ભાજપમાં ભડકો થયો હોવાના અહેવાલો વહેતા થયા છે.
ચિતલકર, લતા માંગેશકરના કંઠે ગવાયેલું અને રાર્જિંદર કૃષ્ણે લખેલું દાયકાઓ પહેલાનું ફિલ્મીગીત આજે પણ ઘણાં લોકો વિવિધ સંદર્ભમાં ટાંકતા હોય છે અને તેની જુદી જુદી પંક્તિઓનો જુદા જુદા સંદર્ભે ઉપયોગ કરતા હોય છે. આ ગીતની શરૂઆતથી જ એવી રીતે થાય છે કે આ ગીત વ્યંગગીત હોવાનું પૂરવાર થાય છે. "ભોલી સુરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન છોટે" થી શરૂ થયેલા ગીતની જુદી જુદી પંક્તિઓમાં જુદા જુદા કટાક્ષો થયા છે, જે ફેશન તથા જીવનશૈલી પર વ્યંગ કરે છે, પરંતુ તેમાંથી એક-બે પંક્તિઓ બહુલક્ષી કટાક્ષ કરે છે, જેમાં "ઉજલે કપડે, દિલ હૈ મૈલા, રંગ-રંગીલી દુસરે ટુકડે, પર ઘરમેં હૈ કડકી છાઈ" વગેરે કટાક્ષોનો વિવિધ અન્ય સંદર્ભો માટે પણ ઉપયોગ થતો રહ્યો છે. અહીં "ભોલી સુરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન છોટે" ની પંક્તિ ટાંકીને કટાક્ષ થઈ રહ્યો હોય તે બંધ બેસતો જણાય. જો કે, બીજી તરફ આ જંગી રાહત પેકેજ હેઠળ વાસ્તવિક સહાય, ટેકાના ભાવે ખરીદી તથા કિસાન સમૃદ્ધિ યોજનાના સંયોજન થકી ખેડૂતોને હકીકતે નોંધાપાત્ર રાહત થશે કે કેમ ? તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અન્ય પ્રાદેશિક નેતાઓ રાજ્ય સરકારના આ સહાય પેકેજને માત્ર રાહતનું પડીકું ગણાવીને એવી ટીકા કરી રહ્યા છે કે સરકારે ખેડૂતોના દેવા માફીની કોઈ જાહેરાત કરી નથી અને લિમિટેડ રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને છેતર્યા છે. રાજ્ય સરકારના રાહત પેકેજ સામે વિપક્ષને બોલવા જેવું કાંઈ જ નહીં હોવાથી હવે દેવા માફીનું રટણ કરવામાં આવી રહ્યું હોવાના પ્રતિપ્રહારો સરકારની તરફેણ કરતા વર્તુળો દ્વારા થવા લાગતા હવે આ મુદ્દો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી ગુંજવાનો છે, તે નક્કી છે.
રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું તે પહેલા કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સાથે સોમનાથથી દ્વારકાની ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થઈ ગઈ હતી. અને વિસાવદરમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં કોંગી અગ્રણીઓ વિક્રમભાઈ માડમ, પાલભાઈ આંબલીયા, લલિતભાઈ કગથરા, જે.પી.માલવીયા, લાલજીભાઈ દેસાઈ સહિતના દિગ્ગજોએ જે તેજાબી પ્રવચનો કર્યા અને આ યાત્રામાં ખેડૂતોના જે પ્રતિભાવ જોવા મળ્યા, તે જોતાં આ મુદ્દો હવે લાંબા સમય સુધી ગુંજશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બિહારમાં વિધાનસભાની ચૂંટણીનું ગઈકાલે થયેલું બમ્પર મતદાન ૬૪ ટકાને ઓળંગી ગયું અને કેટલાક મતવિસ્તારમાં થયેલા બમ્પર મતદાને કેટલાક સંકેતો આપી દીધા છે. આચારસંહિતા હોવાથી અત્યારે એકઝીટ પોલ કે કોના તરફ હવા છે, તેની ચોક્કસ ડેટા કે અનુમાનો સાથેની ચર્ચા તો થઈ રહી નથી, પરંતુ ઉભય પક્ષે કરેલા ભવ્ય વિજયના દાવા છતાં જનતાને શું જનાદેશ આપ્યો છે, તેની ખબર તો બીજા તબક્કાના મતદાન પછી ૧૪મી નવેમ્બરે મત ગણતરી સમયે જ પડશે, પરંતુ રેકર્ડબ્રેક ઐતિહાસિક મતદાને ચર્ચા જરૂર જગાવી છે.
ઘણાં લોકો આ બમ્પર મતદાનને પરિવર્તનની હવા ગણાવી રહ્યા છે, તો ઘણાં લોકો આ મતદાનને પૂનરાવર્તનનો જનાદેશ ગણાવી રહ્યા છે. ઘણાં લોકો એવું માની રહ્યા છે કે બિહારમાં એન્ટી ઈન્કમ્બન્સીની હવા છે, તો ઘણાં વિવેચકો આ બમ્પર મતદાનને પ્રો-ઈન્કમ્બન્સી એટલે કે નીતિશકુમાર સરકારની લોકપ્રિયતા ગણાવી રહ્યા છે. આ વખતે વર્ષ ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીથી ૧૦ ટકા જેટલું વધુ મતદાન થયું છે, તેનું વિશ્લેષણ થઈ રહ્યું છે. ઘણાં લોકો કહે છે કે "તેજસ્વી" સિતારાનો ઉદય થશે અને આગામી મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જ હશે, અને નીતિશકુમારના વળતા પાણી થશે. જ્યારે ઘણાં લોકો કહે છે કે એનડીએ ને જનાદેશ મળશે જેથી નીતિશકુમાર જ ફરીથી મુખ્યમંત્રી બનશે. આ બધા વિશ્લેષણો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ તબક્કામાં ૧૨૧ બેઠકોમાં થયેલા બમ્પર મતદાનને એનડીએના વિજયનો સંકેત ગણાવ્યો છે, તો ઈન્ડિયા ગઠબંધને જણાવ્યું છે કે તેઓ તો બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં કાર્યકરો નિરાશ થઈ ન જાય, તે માટે જુસ્સો વધારી રહ્યા છે, બાકી આ વખતે એનડીએની હાર નક્કી છે. બીજી તરફ બિહારમાં આ વખતે પ્રો-ઈન્કમ્બન્સી એનડીએ તરફી હવા વહી રહી હોવાના જોરદાર દાવાઓ પણ થઈ રહ્યા છે. કેટલાક તટસ્થ વિશ્લેષકો અત્યારે ભરેલા નાળિયેર જેવી સ્થિતિ ગણાવીને બીજા તબક્કાના મતદાનની રાહ જોવાનું મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે, તો ઘણાં એવા વિવેચકો પણ છે કે જેઓ ત્રિપાંખીયા જંગની હવા નીકળી ગઈ હોવા છતાં હંગ એસેમ્બલી એટલે કે ત્રિશંકૂ વિધાનસભાની સ્થિતિ ઊભી થશે, તેવા અનુમાનો કરી રહ્યા છે. ડેટાબેઈઝ મીડિયા વિશ્લેષણો દરમ્યાન જંગી મતદાન થયું હોય, ત્યાં ભાજપ અથવા એનડીએની સરકાર રચાઈ હોય અને કેટલાક રાજ્યોમાં તો સતત પૂનરાવર્તન થયું હોવાના દૃષ્ટાંતો પણ અપાઈ રહ્યા છે. બમ્પર મતદાન પછી ગુજરાત, રાજસ્થાન, બિહાર, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ભાજપ અથવા એનડીએને જનતાએ પુનઃ જનાદેશ આપ્યો હોવાના દૃષ્ટાંતો પણ અપાઈ રહ્યા છે. ઘણાં લોકો નીતિશ સરકારે મહિલાઓના ખાતામાં રૂ. દસ હજાર જમા કરાવાયા, તેને પણ સાંકળી રહ્યા છે. અને ચૂંટણી પહેલા છેલ્લી ઘડીએ આ પ્રકારની હરકતને આચારસંહિતાનો ભંગ ગણાવાઈ રહ્યો છે.
આ પ્રથમ તબક્કાના મતદાનમાં બંને મુખ્ય ગઠબંધનો તથા અન્ય પક્ષોના જે દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે, તેઓ હવે બીજા તબક્કા માટે છૂટથી પ્રચારમાં નીકળશે, જેથી બીજા તબક્કામાં કદાચ પ્રથમ તબક્કા કરતાં પણ વધુ મતદાન થશે, તેવી સંભાવનાઓ અંગે પણ ભિન્ન-ભિન્ન અનુમાનો થઈ રહ્યા છે.
ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ થઈ છે. આ પહેલા વર્ષ ૨૦૦૨-૦૩માં સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચલાવાઈ હતી. તેના આધારે વર્ગીકરણ કરીને નક્કી કરાયેલા માપદંડો મુજબ વર્ષ ૨૦૦૨-૦૩ની મતદાર યાદીમાં નામ હશે તેવા મહત્તમ મતદારોને કાંઈ આધાર-પુરાવા નહીં આપવા પડે. પરંતુ વર્ગીકરણ મુજબ ક્યા-ક્યા મતદારોને ક્યા આધારો અથવા દસ્તાવેજો આપવા પડશે, તેની સમજ ઘેર-ઘેર ફરીને બી.એલ.ઓ.ની ફોજ આપી રહી છે. આ જ પ્રકારે બિહારમાં પણ એસ.આઈ.આર. થયું હતું અને તે પછી આ પ્રથમ ચૂંટણી છે, તેથી તેના અનુભવે ભવિષ્યમાં પ્રક્રિયાત્મક સુધારા-વધારા પણ થઈ શકે છે, ત્યારે પ્રથમ તબક્કાના મતદાન ટાણે જ થયેલા વોટ ચોરીના આક્ષેપો અને બ્રાઝીલીયન વોટરના પ્રકરણમાં સંબંધિત બ્રાઝીલીયન યુવતીએ આપેલું કથિત નિવેદન અથવા પ્રત્યાઘાતો આજે ટોક ઓફ ધ નેશન બન્યા છે, તો બીજી તરફ સામાન્ય રીતે જંગી મતદાન થાય ત્યારે લોકો પરિવર્તન ઈચ્છતા હોય છે, તેમ જણાવીને બિહારમાં નીતિશ સરકાર ભૂંડી રીતે હારશે અને ઈન્ડિયા ગઠબંધનનો જયજયકાર થશે, તેવો જોરદાર દાવો થઈ રહ્યો છે.
બીજી તરફ એનડીએ પણ બમ્પર વિજયનો દાવો કરી રહ્યા છે, અને ઈન્ડિયા ગઠબંધનને પરાજયની ગંધ આવી ગઈ હોવાથી વોટ ચોરી, એસઆઈઆર અને બોગસ મતદાનની બહાનાબાજી થઈ રહી હોવાના પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે બિહારની જનતામાં મતદાન માટે જોવા મળતો જુસ્સો પણ ઘણો જ સૂચક છે.
પ્રિયંકા ગાંધી કહે છે કે જે લોકો પેપરલીક તો અટકાવી શકતા નથી અને સ્થાનિક યુવાનોને રોજગારી પણ મળી રહી નથી, ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને દેશના ગૃહમંત્રી લોકોને એરપોર્ટના સપના દેખાડી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ નીતિશકુમાર સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું છે કે દેશમાં હવે ટૂંક સમયમાં જયારે ઈન્ડિયા ગઠબંધનની સરકાર રચાવાની છે, ત્યારે નાલંદા જેવી વિશ્વકક્ષાની બહેતર (શ્રેષ્ઠ) યુનિવર્સિટી બિહારમાં ખોલવામાં આવશે. લાલુ યાદવે તવામાં રોટલી ફેરવતા રહેવી જોઈએ, તેવું જે નિવેદન કર્યું હતું, તેના જવાબમાં એવી ટિખળભરી ટકોર થઈ રહી છે કે વર્ષો સુધી જેલની રોટલીઓ તોડી (ફેરવી) હોય, તે વયોવૃદ્ધ નેતા આ પ્રકારની વાત કરી રહ્યા છે, પરંતુ ઘાસ કોણ ખાઈ ગયું હતું, તેની વાત કરતા નથી. તો ઈન્ડિયા ગઠબંધનવાળા કહે છે કે એનડીએમાં પણ ક્યાં બધા દૂધે ધોયેલા છે? હવે બીજા તબક્કાના મતદાનનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની તારીખ અને સંલગ્ન વિગતો જાહેર કરી, પરંતુ કમોસમી વરસાદ સામે વળતરની કોઈ જાહેરાત ગઈકાલે થઈ નહીં, તેથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. અને તે સંદર્ભે જ કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં અઠવાડિયા સુધી ખેડૂત આક્રોશયાત્રાની જાહેરાત કરી છે. આજથી સ્કૂલો અને આવતીકાલથી કોલેજો ફરીથી ધમધમશે, અને દિવાળી વેકેશન માણીને સ્ટુડન્ટ્સ પુનઃ અભ્યાસમાં જોડાશે. આજે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને સવારથી કેટલાક વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ જોતાં બિહારમાં આશ્ચર્યજનક જનાદેશ મળશે, તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે, આ તમામ ઘટનાક્રમો વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો વચ્ચે ચોથી ટી-૨૦ મેચ પર ક્રિકેટ રસીયાઓની નજર મંડાયેલી છે. જો કે, આજથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ એક નવું "અભિયાન" શરૂ થયું તેની ચર્ચા વધુ થઈ રહી છે.
આજથી વેકેશન પછીનો શાળાઓનો માહોલ સ્વાભાવિક રીતે જ એકાદ-બે દિવસ માટે હળવાશભર્યો રહે તથા પરસ્પર શુભેચ્છાઓ પાઠવીને નવા સત્રના પ્રારંભનો ઉલ્લાસ જોવા મળે. તે પછી સ્ટુડન્ટ્સ અભ્યાસ, ટ્યુશન અને હોમવર્કના રોજીંદા શિડ્યુલમાં ગોઠવાઈ જશે અને શિક્ષણકાર્ય ધમધમવા લાગશે. જામનગર સહિત આજથી રાજયમાં પુનઃ ધમધમતી થયેલી સ્કૂલોમાં કિલ્લોલ સાંભળવા મળ્યો અને વેકેશનમાં સુના પડેલા શિક્ષણ સંકુલો ફરીથી ગુંજી ઉઠયા છે, ત્યારે એક સર્વેના રિપોર્ટે રાજ્યમાં થોડી ચિંતા પણ જગાવી છે, અને લોકલ-નેશનલ-ઈન્ટરનેશનલ કક્ષાના વિવિધ સમાચારોની આંધી વચ્ચે પણ આ રિપોર્ટની ચર્ચા પણ થવા લાગી છે. આ અહેવાલ (રિપોર્ટ) સરકારી બેઈઝ પર આધારિત હોવાથી તેને ઉપજાવી કાઢેલો કે રાજકીય હેતુઓ સાથેનું જૂઠ્ઠાણું ગણાવીને ફગાવી શકાય તેમ પણ નથી, અને આ રિપોર્ટને મુદ્દો બનાવીને વિપક્ષો સરકારને ઘેરી શકે છે, તો રાજ્યના શિક્ષણક્ષેત્રના તટસ્થ વિશ્લેષકોના મંતવ્ય મુજબ આ રિપોર્ટને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે જો ગુણવત્તા સુધારણાના કદમ ઉઠાવવાનું શરૂ કર્યું હોય તો તેમાં વિપક્ષોએ સહયોગી બનવું જોઈએ. જે હોય તે ખરૃં, પરંતુ ગઈકાલથી ચર્ચામાં અને પ્રેસ-મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી રહેલો "પરખ" સર્વેના અહેવાલે આપણાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની પોલ તો ખોલી જ નાંખી છે !
પ્રેસ મીડિયાના અહેવાલો તથા વિશ્લેષકો-જાણકારોના તારણો મુજબ કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય સર્વેક્ષણ-૨૦૨૪નો રિપોર્ટ ગુજરાત રાજ્ય માટે આંચકા સમાન અને ચિંતાજનક છે. જો કે, આ સંદર્ભે જ રાજ્યકક્ષાએથી વિશેષ અભિયાન ચલાવીને આ કચાશ દૂર કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત "પરફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ" એટલે કે પ્રદર્શન મૂલ્યાંકન, સમીક્ષા અને સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું વિશ્લેષણ કરવાના હેતુથી કરેલા સર્વેને શોર્ટફોર્મસ્ માં "પરખ" કહેવામાં આવે છે, જેમાં રાષ્ટ્રવ્યાપી સર્વે કરીને વિદ્યાર્થીઓના શિક્ષણનું મૂલ્યાંકન કરાયું હતું અને તેના તારણો જાહેર કરાયા હતા. આ સર્વેક્ષણના આધારે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન અને કૌશલ્ય તથા ગુણવત્તા અંગે વ્યાપક અને તટસ્થ ડેટા ઉપલબ્ધ કરાવીને તેમાં રહેલી કચાશ દૂર કરવાની નવી યોજનાઓ અમલી બનાવવા તથા પ્રદેશવાર જરૂરી ગુણવત્તા સુધારણા કરવાનો ઉદૃેશ્ય જણાવાયો છે, અને તેના સંદર્ભે ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા તથા તેમાં સુધારણાની ચર્ચા થઈ રહી છે.
"પરખ" ને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ વર્ષ ૨૦૨૪ના સર્વેના તારણો દર્શાવે છે કે ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓ સરળતાથી વાંચી પણ નથી શકતા, તેથી લેખન અને ગણન (દાખલા ગણવા વગેરેમાં) પણ પારંગત થઈ શકતા નથી. રાજ્યના સરકારી શિક્ષણમાં આમુલ સુધારણા તથા તગડી ફી લઈને ટ્યુશન કરાવતા ક્લાસીસ તથા ખાનગી સ્કૂલોના સંચાલકોને સાંકળીને રાજ્યમાં વ્યાપક જાગૃતિ ફેલાવવાના સૂચનો પણ આ સંદર્ભે થઈ રહ્યા છે. રાજયમાં શૈક્ષણિક વિકાસનો ઢોલ પીટતા રહેતા શાસકપક્ષના નેતાઓએ આ રિપોર્ટનો ઉંડો અભ્યાસ કરવો જોઈએ.
જો કે, આ રિપોર્ટના સંદર્ભે રાજ્ય સરકારે અનુસંધાન લીધું અને રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થી ભાઈ-બહેનોના વાચન, લેખન અને ગહન માટે ધોરણ ૩ થી ૮ (ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ) એક વિશેષ ઝુંબેશ હાથ ધરી હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકારની ઝુંબેશ ચલાવવી પડે, તે જ રાજ્યની બોદી શિક્ષણ પદ્ધતિ તથા પોકળ દાવાઓની પોલંપોલ ઉજાગર કરે છે. ખેર, જે હોય તે ખરૃં, દેર આયે દૂરસ્ત આયે...પણ...હવે ગુણવત્તા સુધારણાની આ વિશેષ ઝુંબેશમાં ક્યાંય પણ કચાશ ન રહેવી જોઈએ...
એવું કહેવાય છે કે આજથી એક અઠવાડિયા સુધી રાજ્યના ધો. ૩ થી ૮ના લગભગ ૪૦ લાખ જેટલા બાળકોને માત્ર વાચન-લેખન અને ગણન કરાવીને વિશેષ મૂલ્યાંકન હાથ ધરાશે. આ માટે શિક્ષણ વિભાગે જિલ્લા તંત્રોને ગાઈડલાઈન મોકલી છે, અને સી.આર.સી.-બી.આર.સી.ને મોનીટરીંગ કરવાની તાકીદ કરી છે. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ અભિયાન હેઠળ જી.સી.ઈ.આર.ટીના અધિકારીઓ સ્કૂલોની રેન્ડમ ચકાસણી પણ કરવાના છે, ત્યારે આ નવું અભિયાન અદ્યતન કરાયેલો નવો ગુણોત્સવ હકીકતે સફળ થાય અને વિદ્યાર્થી ભાઈ-બહેનોની શૈક્ષણિક તથા ગાણિતિક ગુણવત્તા હકીકતે સુધરે તેવું ઈચ્છીએ.
અત્યારે એક અઠવાડિયાનું અભિયાન ચલાવ્યા પછી તેનું સતત અનુસરણ કરીને ત્રણેક મહિના પછી એટલે કે ફેબ્રુઆરી-૨૦૨૬માં ફરીથી ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓનું આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન થશે. અને તે સમયે બાળકો અપેક્ષિત વાચન, લેખન અને ગણિત ગણવામાં કમજોર ગણાશે, તો તેની જવાબદારી નક્કી કરીને "જવાબદારો" સામે કદમ ઉઠાવાશે. તેવું પણ જાહેર થયું છે. તેથી આ જવાબદારોમાં માત્ર શિક્ષકો જ નહીં, પરંતુ આચાર્ય, તાલુકા-જિલ્લા કક્ષાના જવાબદાર અધિકારી-કર્મચારીઓ તથા બી.આર.સી.-સી.આર.સી. પણ સામેલ હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરના વોર્ડ નં.૬ ના રબડીરાજના મુદ્દે રસ્તાઓની દુર્દશા અને કમોસમી વરસાદ પછી ગંદકીના ખાબોચીયામાં બેસીને વિરોધ પ્રદર્શીત કરવાની કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ગઈકાલે પહેલ કરી અને કાદવ-કીચડથી ખરડાયેલા કપડા સાથે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર સુપ્રત કર્યું, તથા જો સમસ્યાનો તાકીદે ઉકેલ નહીં આવે, તો મેયરની ચેમ્બરનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલનની ચિમકી આપી, તે પછી નગરના આ વોર્ડના કાયમી સમસ્યાગ્રસ્ત રહેતા નગરજનોને આશા જાગી છે કે શાસકપક્ષની ઉપેક્ષાનો ભોગ બનતા રહેતા આ વિસ્તારની વેદનાને કમ-સે-કમ વાચા તો મળી !
જે વોર્ડે વિપક્ષને અવસરો આપ્યા અને સામા પ્રવાહે ચાલીને જે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જનાદેશ આપ્યો, તે પક્ષોની પ્રાથમિક ફરજ પણ છે અને ચૂંટણીમાં મતદાન સંપન્ન થયા પછી સત્તાસ્થાને આવેલા પદાધિકારીઓની પણ જવાબદારી છે કે આ વિસ્તારના લોકોની સમસ્યાઓ હલ કરે, પરંતુ માત્ર નિવેદનબાજી અને આક્ષેપો, પ્રતિઆક્ષેપો કરતી રહેતી નેતાગીરીની વચ્ચે ખાનગીમાં ઈલૂ ઈલૂ ચાલતુ હોવાથી જે આશંકાઓ જાગી રહી હતી, તેને વિરામ આપીને શાસક અને વિપક્ષના નગરસેવકોએ સાથે મળીને આ વિસ્તારની કમનસીબ જનતાને ન્યાય આપવો જોઈએ, તેવા જન-પ્રતિભાવોમાં દમ જણાય છે.
કોંગ્રેસે વોર્ડ નં. ૬માં જ્યાં ધરણાં કર્યા તે ડિફેન્સ કોલોની, એરફોર્સ ગેઈટથી વાયુનગરનો દેશની સુરક્ષા માટે તૈનાત વાયુસેનાના મથકથી નજીકનો વિસ્તાર જ ગંદકીથી ખદબદતો હોય, ત્યારે આ વોર્ડમાં વિસ્તરેલી સંખ્યાબંધ સોસાયટીઓ, ટાઉનશીપો અને એપાર્ટમેન્ટોમાં વસવાટ કરતા હજારો નગરજનોની દશા કેવી હશે, તેની કલ્પના કંપાવનારી છે.
કોંગ્રેસના ધરણાં પછી અખબારો મીડિયામાં પડઘા પડતા એ ચોક્કસ સ્થળે ભલે તત્કાળ કામ હાથ ધરાયું હોય, પરંતુ અન્યત્ર આ વોર્ડમાં હજુ પણ ઘણાં સ્થળે ગંદકી છે અને રીંગરોડ સહિતના માર્ગો તો તદૃન બિસ્માર જ છે !
નગરના સોસાયટી વિસ્તારોમાં ઠેર-ઠેર તૂટેલા-ફૂટેલા માર્ગો અને તેમાં ભરાયેલા કાદવ-કીચડ અને કમોસમી વરસાદના પાણીમાં ઉત્પન્ન થતા જીવ-જંતુ અને મચ્છરોના કારણે જાહેર આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક પરિવહન અને પગપાળા અવર-જવરમાં પણ આ ગંદા ખાબોચિયાઓના કારણે અવરોધ ઊભો થઈ રહ્યો છે.
જામ્યુકોના તંત્ર અને પદાધિકારીઓ માટે વોર્ડ નં. ૬ કેમ અણમાનીતો હશે, તે જ આ વોર્ડના નગરજનોને સમજાતું નથી. કોર્પોરેશનની ચૂંટણીમાં થતા મતદાનના અંદાજોનો માપદંડ હોય, તો એ પણ વિચારવું જોઈએ કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં આ જ વોર્ડની જનતા કોને ખોબલે ખોબલે મતો આપે છે., જો કે, લોકતંત્રમાં ચૂંટણી પછી આ પ્રકારના અંદાજો કે આંકડાઓને ભૂલી જઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સમાન ધોરણે "જનસેવા" કરવી જોઈએ અને એવું જ વર્તમાન શાસકો પ્રશાસકો પણ માનતા હશે, તેવી અવધારણા જૂઠી ન ઠરે, તે માટે હવે વોર્ડ નં. ૬ના તમામ વિસ્તારો માટે ઝડપભેર કદમ ઉઠાવશે અને રોડ-રસ્તા-સ્ટ્રીટ લાઈટ-ગટર-પાણી અને સફાઈ-સ્વચ્છતાને લગતી સમસ્યાઓ હળવી થશે તેવી આશા રાખીએ, અને માત્ર વોર્ડ નં. ૬ જ નહીં, સમગ્ર નગરના તમામ નગરજનો તથા ચોતરફ વિસ્તરેલા વિસ્તારો સહિત આખા મહાનગરની જનતાની મૂળભૂત જરૂરિયાતોને અવરોધતી સમસ્યાઓ દૂર થવી જોઈએ., તેવું ઈચ્છીએ.
વોર્ડ નં. ૬માં આવેલા રવિપાર્ક ટાઉનશીપમાં તો મુખ્યમાર્ગ અને શેરી ગલીના માર્ગો એટલી હદે બિસ્માર થઈ ગયા છે કે તેમાં ભરાયેલા વરસાદી પાણી અને કચરા-ગંદકીના કારણે અહીં વસવાટ કરતા પરિવારોના જામનગરના જ અન્ય વિસ્તારોમાં રહેતા તેના સગા-સંબંધીઓએ દિવાળી જેવા તહેવારોમાં મળવા આવવાનું પણ ટાળવું પડે તેવી સ્થિતિ હતી. આ ટાઉનશીપની સ્થાપનાને દોઢ દાયકો થવા આવ્યો હોવાથી અને ભૂગર્ભ ગટર, પાણી, ગેસની પાઈપલાઈનો વગેરે માટે વારંવાર ખોદકામ થયા પછી તેને સમતળ કરવામાં લાપરવાહી રખાઈ હોવાથી આમ પણ આંતરિક તમામ માર્ગો બિસ્માર થઈ ગયા હતા અને તેમાં ભારે વરસાદે વધારો કર્યો, અને હવે કમોસમી વરસાદ પછી તો આ ટાઉનશીપમાં રહેવું દુષ્કર થઈ ગયું છે, ત્યારે હવે એ ટાઉનશીપમાં અગ્રતાના ધોરણે મુખ્યમાર્ગ અને શેરી-ગલીઓના પેટા માર્ગોનું મજબૂત નવીનીકરણ થાય. અને તેની સાથે સાથે વરસાદી પાણીના ઝડપથી નિકાલ કરવાની વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને ત્યારે વરસાદમાં પણ જળભરાવ ન થાય, તેવી વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે ત્યાં રહેતા સેંકડો પરિવારો વોટર ટેક્સ સહિતના તમામ કરવેરા ભરે છે અને તમામ વિકાસકાર્યોમાં જામ્યુકોને સહયોગી બનતા રહ્યા છે. ત્યારે હવે આ દુર્દશામાંથી મૂક્તિની ઈચ્છા તો રાખે જ ને ?
આ જ પ્રકારની સમસ્યાઓ આ વિસ્તારના તિરૂપતિ વિસ્તારની ડઝનેક સોસાયટીઓ, યાદવનગર, નિલકંઠ તથા અન્ય નવી સોસાયટીઓમાં પણ છે. આ તમામ સમસ્યાઓ તરફ પક્ષ-વિપક્ષનું ધ્યાન પણ દોરવામાં આવતું રહ્યું છે. હવે જ્યારે કોંગ્રેસના નેતાઓએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું છે, ત્યારે વોર્ડ નં. ૬માંથી ચૂંટાયેલા અન્ય જનપ્રતિનિધિઓ પણ અવાજ ઉઠાવશે અને વોર્ડ નં. ૬ સહિત નગરના તમામ વોર્ડની જનતાની સમસ્યાઓ ઉકેલાશે, તો જ આગામી જામ્યુકોની ચૂંટણીમાં જનાદેશ મળશે તે ભૂલવું ન જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર આપવાના મુદ્દે રાજ્ય સરકાર દ્વિધા (વિમાસણ)માં હોય તેમ જણાય છે. મુખ્યમંત્રી પોતે નુકસાનનું નિરીક્ષણ કરવા નીકળ્યા અને જુદા જુદા મંત્રીઓને ખેતીને માવઠાથી થયેલા નુકસાનના અંદાજો કાઢવા મોકલ્યા, તે દરમ્યાન પણ વરસાદ ઘણાં સ્થળે વરસ્યો હતો, અને એક વખત થયેલા સર્વે અથવા અંદાજોને ફરીથી ચકાસવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ, તો બીજી તરફ આ વખતે માવઠું જાણે ફરીથી ચોમાસુ બની ગયું હોય તેમ જામ્યુ અને સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો, એટલું જ નહીં, કેટલાક જિલ્લાઓમાં તો ધોધમાર વરસાદ પડ્યો અને ત્યાં ખેતીનો ઊભો પાક અને મગફળી વગેરેના પાથરા કે કાલરા પલળી જતાં, થોડું ઘણું નુકસાન નહીં પરંતુ તમામ ખેતી ઉત્પાદન જ બરબાદ થઈ ગયું. આ કારણે હવે સર્વે અને રિસર્વે કરવામાં સમય બગાડવાના બદલે તમામ ખેડૂતોને સહાય આપવાની માંગણી માત્ર વિપક્ષો જ નહીં, પરંતુ શાસક પક્ષમાંથી પણ જોરદાર રીતે ઉઠવા લાગ્યા પછી હવે રાજ્ય સરકારે કોઈ ને કોઈ ચોક્કસ નિર્ણય તો લેવો જ પડે તેમ છે.
જો કે, રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાનનું વળતર આપવાના રાહત પેકેજની તૈયારી બતાવી અને ઝડપભેર રાહત પૂરી પાડીને જે પાક બરબાદ થયો છે, તે હટાવીને રવિપાકની તૈયારી ખેડૂતો કરી શકે, તે માટે સહાયની રકમ તેઓના હાથમાં ઝડપથી આવી શકે, તેવી તૈયારીઓ પ્રશાસન કરી રહ્યું હોવાના સંકેતો પણ મળ્યા, પરંતુ તમામ ખેતી જ બરબાદ થઈ ગઈ હોય, ત્યારે સર્વે કરવાના ખર્ચા કરવાના બદલે તમામ ખેડૂતોને લમસમ સહાય આપવાની જે માંગણી ઉઠી, તે પછી ગઈકાલે રાજ્ય સરકાર અનિર્ણાયક કે મુંઝવણભરી સ્થિતિમાં મુકાઈ ગઈ હોય, તેવા સંકેતો મળી રહ્યા હતા. વારંવાર સર્વેક્ષણોને અર્થહિન ગણાવીને વિપક્ષના નેતાઓ તો તમામ ખેડૂતો તત્કાળ સહાય પૂરી પાડવાની માંગણી કરી જ રહ્યા હતા, તેવામાં દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેક સહિતના ભાજપના જ કેટલાક નેતાઓએ પણ આ જ પ્રકારના મંતવ્યો વ્યક્ત કર્યા, તે પછી રાજય સરકાર પણ પુનઃવિચારણા કરી રહી હોય તેમ જણાતું હતું. રાજ્ય સરકાર કોઈ રાહત પેકેજ જાહેર કરે તે પહેલા જ સૌરાષ્ટ્રમાંથી શરૂ થયેલો વિરોધ રાજ્યવ્યાપી બની ગયો છે. અને હવે તો શાસકપક્ષના દિગ્ગજો પણ આ મુદ્દે ખુલીને પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે. પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ તો મુખ્યમંત્રીને એક પત્ર લખીને ખેડૂતોને દેવાદારના બદલે દેવામૂક્ત કરવાના ઉપાયો સૂચવ્યા છે અને વિકાસના (માચડા સમા) કેટલાક પ્રોજેક્ટો સ્થગિત કરીને પણ ખેડૂતોની પડખે (હકીકતે) ઊભા રહેવાની સલાહ આપી છે. કુમાર કાનાણીએ કહ્યું છે કે ખેડૂતોની આર્થિક બરબાદી, ગંભીર સમસ્યાઓ ઊભી કરશે અને જો ખેડૂતો ખેતી જ કરતા બંધ થઈ જશે, તો તે સમગ્ર માનવજીવન માટે હાનિકર્તા નિવડશે. વગેરે.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરષ્ટ્ર-કચ્છ માટે અલગ-અલગ કૃષિ સહાય પેકેજો જાહેર થાય અને જ્યાં સૌથી વધુ નુકસાન થયું છે, તેવા સૌરાષ્ટ્રના હાલાર સહિતના જિલ્લાઓને વધુ સહાય મળે, તેવી માંગણી પણ ઊઠી રહી છે, કારણ કે માવઠાથી દ. ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છને સર્વાધિક નુકસાન થયું છે, અથવા સંપૂર્ણ ખેતી તબાહ થઈ ગઈ છે, તેમ કહી શકાય.
માવઠાથી થયેલા નુકસાનના ડિજિટલ સહિતના સર્વેની પદ્ધતિ સાથે રાજ્યવ્યાપી વિરોધવંટોળ ઉઠ્યો છે અને કેટલાક સ્થળે તો ભાજપના ધારાસભ્યોને ખેડૂતોના આક્રોશનો જાહેર કાર્યક્રમોમાં જ સામનો કરવો પડયો હતો, તે જોતાં રાજ્ય સરકાર માટે ખેડૂતોને સંતોષકારક રાહત પેકેજ કઈ રીતે અને કેટલા પ્રમાણમાં આપવું અને કયા માપદંડો રાખવા, તેનો પડકાર ઊભો થયો છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્ય સરકાર અને તંત્રો દ્વારા થઈ રહેલી ગોળ-ગોળ વાતો અને વિરોધાભાસી પ્રત્યાઘાતો-નિવદેનો જોતા ખરેખર રાજ્ય સરકાર આ મુદ્દે મુંઝવણ અનુભવી રહી હોય તેમ જણાય છે. આ અંગે કેન્દ્રીય નેતૃત્વ પણ બિહારના ચૂંટણીપંચમાં વ્યસ્ત હોવાથી રાજ્ય સરકારે સ્વયં કોઈ નિર્ણય લેવો પડે તેમ છે. જો કે, જે જંગી નુકસાન થયું છે, તે જોતાં મોટું રાહત પેકેજ જાહેર કરવું પડે અને તેમાં કેન્દ્રીય સહયોગ અનિવાર્ય બને, પરંતુ ચૂંટણીની વ્યસ્તતાના કારણે કેન્દ્રીય નેતૃત્વ કદાચ આ મુદ્દે ધ્યાન આપી શકતું ન હોય, તેવું પણ બની શકે છે. કેટલાક કૃષિક્ષેત્રના વિશ્લેષકો ખેતીના નુકસાનનું સર્વે કર્યા વિના જ સહાય ચૂકવવાની જગ્યાએ જેને સર્વાધિક નુકસાન થયું હોય કે જેની ખેતી તદ્ન તબાહ જ થઈ ગઈ હોય, તેને મહત્તમ વળતર આપવા અને પ્રક્રિયામાં સમય જાય તેમ હોય તો ટોકનની જેમ લમસમ કાર્યકારી સહાય તત્કાળ ચૂકવીને તેને સર્વે પછી મળવાપાત્ર સહાય સાથે સરભર કરવાનો વચલો રસ્તો કાઢવાની એડવાઈઝ પણ આપી રહ્યા છે.
એવું મનાય છે કે રાજ્ય સરકાર હાલ તુરંત કોઈ લમસમ રાહત તત્કાળ ચૂકવીને કેન્દ્રના સહયોગથી નેતા દ્વારા જ જાહેર થાય, તેવો તખ્તો ગોઠવાય રહ્યો છે. ઘણાં લોકો આ જાહેરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ સાથે સાંકળી રહ્યા છે, તો કેટલાક લોકો આ પ્રકારની જાહેરાત કેન્દ્રીય કૃષિમંત્રી કરશે, તેવું પણ માને છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના કૃષિમંત્રી આ મુદ્દે રાજ્ય સરકાર તરફથી આજે કોઈ તો સંકેતો આપશે તેવું મનાતું હતું, અને આજે આ મુદ્દે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. જગતના તાતને તબાહ થતો અટકાવવા હવે સરકાર કેટલી ઝડપથી ખેડૂતોના હાથમાં રોકડ સહાય મૂકે છે, તે જોવું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દેવોની દેવદિવાળી તરીકે ઓળખાતો તહેવાર હતો અને દેવઉઠી એકાદશી હતી. દ્વારકાના જગતમંદિર સહિત યાત્રાધામો તથા ઠેર-ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો યોજાયા હતા અને શેરડીના સાઠા સાથે તુલસીજી અને ભગવાન શાલીગ્રામનું ઘેર-ઘેર પૂજન થયું હતું. રંગોળીઓ દોરાઈ હતી, ફટાકડા ફૂટ્યા હતા અને કથા-કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. ઊના નજીકના જંગલમાં આવેલા યાત્રાધામ તુલસીશ્યામના મંદિરે તો આ પ્રસંગ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે, અને માતા તુલસીના મહિમાનું ગાન થાય છે. તુલસીજીનું ધાર્મિક-આધ્યાત્મિક મહત્ત્વ તો છે જ, પરંતુ સ્વાસ્થ્ય અને પર્યાવરણની દૃષ્ટિએ પણ તુલસી છોડનું અલગ જ મહત્ત્વ છે, તેના ઉલ્લેખ સાથે આ દિવસે જન જાગૃતિ પણ ફેલાવાતી હોય છે.
ગઈકાલે ધાર્મિક સાંસ્કૃતિક ઉપરાંત ભારત માટે ક્રિક્ેટક્ષેત્રે પણ સુપર સન્ડે હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ ક્રિકેટ મેચ જીતીને ભારતે શ્રેણીમાં બરાબરી કરી લીધી, તો ભારતની મહિલા ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડકપ પોતાના નામે કરી લીધો. ગઈકાલે નવી મુંબઈમાં રમાયેલી આ રસાકસીભરી ફાયનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દ.આફ્રિકાની ટીમને ૫૨ રને હરાવીને જે શાનદાર સિદ્ધિ હાંસલ કરી, તેથી પુરવાર થઈ ગયું કે આપણાં દેશમાં વાસ્તવમાં મહિલાઓ પુરૂષ સમોવડી છે અને દરેક ક્ષેત્રમાં પુરૂષોના ખભેખભા મિલાવીને સંઘર્ષ પણ કરી શકે છે અને સફળતા પણ મેળવી શકે છે. ગઈકાલની મહિલા વર્લ્ડકપની જીત માત્ર ભારતીય મહિલાઓની નહીં પરંતુ દુનિયાભરની મહિલાઓ માટે ગૌરવનો દિવસ હતો, કારણ કે વિશ્વની બે શ્રેષ્ઠ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને બહેનોએ પૂરવાર કરી દીધું હતું કે "હમ કીસી સે કમ નહીં..."
ભારતમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રે પહેલેથી જ અગ્રેસર રહી છે અને ધર્મ-આધ્યાત્મકતા, શિક્ષણ અને શાસન, પ્રશાસનથી માંડીને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ફેઈમ યુદ્ધની રણભૂમિ સુધી મહિલાઓએ હંમેશાં સાહસ, હિંમત, આવડત, બુદ્ધિ-કૌશલ્ય, વીરતા અને જ્ઞાનનો પરિચય આપ્યો છે. આપણે ત્યાં કહેવત પણ છે કે દરેક સફળ પુરૂષની સફળતામાં મહિલાઓનો હાથ (સહયોગ) હોય છે. આપણે કસ્તુરબા ગાંધી, મણીબેન પટેલ, લલિતાદેવી શાસ્ત્રી જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓના દૃષ્ટાંતો તથા ઋષિકાળથી લઈને રાજા-રજવાડાઓના કેટલાક દૃષ્ટાંતો પણ આપતા હોઈએ છીએ. એવી જ રીતે સફળ થયેલી સ્ત્રીઓને પણ પરિવારમાંથી જ પુરૂષોનું પ્રોત્સાહન મળતું હોય છે., જેથી ભારતમાં સ્ત્રી-પુરૂષને એક રથના બે પૈડાં પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના દૃષ્ટાંતો પતિ-પત્નીના અપાય છે, પરંતુ ઘણાં સફળ પુરૂષોની સફળતામાં માતા, બહેન, પુત્રી કે અન્ય મહિલા પરિવારજનનું યોગદાન અથવા ત્યાગ પણ હોય છે, જેનું દૃષ્ટાંત સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ છે, જેઓએ પિતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. આપણાં દેશમાં નારીશક્તિને માતા તરીકે પૂજવામાં આવે છે, અને ભગવાનના વિવિધ સ્વરૂપો સાથે પણ માતૃસ્વરૂપ જોડાયેલા છે. આપણે ત્યાં શ્રી લક્ષ્મી-નારાયણ, શ્રીરામ-સીતા, શિવ-પાર્વતી વગેરેનો મહિમા એ જ દર્શાવે છે કે નારીશક્તિનું સમાન માહત્મય છે.
ગઈકાલે મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ઝળહળતો વિજય થયો અને બીજી તરફ તુલસી વિવાહનો પ્રસંગ હતો, તે પણ અદ્ભુત સંગમ હતો. તુલસી માતાના શાલીગ્રામ ભગવાન (શ્યામ) સાથે લગ્નની જે કથા છે, તે પણ આપણાં દેશમાં ધાર્મિક માન્યતાઓ અને સાયન્ટિફિક તથા પર્યાવરણીય સંદર્ભોને પરસ્પર પરોક્ષ રીતે સાંકળતી હોય તેવું લાગે. ટૂંકમાં ભારતમાં મહિલાઓને પહેેલેથી જ ઉત્કૃષ્ટ દરજ્જો મળેલો છે.ં
આપણો દેશ પુરૂષપ્રધાન છે, અને મહિલાઓને તુચ્છ ગણે છે અથવા માત્ર ગૃહિણી ગણીને મહિલાઓને અન્ય ક્ષેત્રે અવગણવામાં આવે છે, તેવી માન્યતાઓ હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. એ પ્રકારની અપવાદરૂપ પરંતુ અનિચ્છનિય સ્થિતિ આજે દૂર થવા લાગી છે., તે આપણાં જ દેશના વિવિધ સેક્ટર્સમાં મહિલાઓની કામીયાબીઓ તથા સિદ્ધિઓએ પૂરવાર કર્યું છે. ભારતીય સેનામાં પણ મહિલા વિંગનું વિસ્તૃતિકરણ હોય, ખેલ જગત અને ઓલમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓની સફળતાઓ હોય કે અંતરિક્ષની ઉડાન હોય, આપણાં દેશની મહિલાઓ દરેક ક્ષેત્રે ઝળહળતી સફળતાઓ અને સિદ્ધિઓ મેળવી રહી છે, મેડલ્સ જીતી રહી છે, વર્લ્ડકપો મેળવી રહી છે, અને તમામ ક્ષેત્રે સફળ થવા છતાં જમીન સાથે જોડાયેલી રહી છે, જે દેશ-દુનિયા માટે પથદર્શક ગરિમામય વાસ્તવિકતા છે. ઘણી સફળ અને સર્વોચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી મહિલાઓ પોતાનો ઘરસંસાર પણ સારી રીતે સંભાળી રહી છે અને ગૃહસ્થી સાચવી રહી છે, તે પણ આપણાં દેશની પરિવાર સિસ્ટમ અને સંસ્કારોનું જ પરિણામ છે ને ?
આ વખતે મહિલા વર્લ્ડકપ વિજેતા ટીમને વર્ષ ૨૦૨૨ કરતા ચાર ગણું ઈનામ અપાયું અને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોને પણ ટોકન ઈનામ અપાયું, તે સારી વાત છે, અને તેની આ ટીમો હક્કદાર પણ છે. બી.સી.સી.આઈ. જેવી ધનાઢય સંસ્થા પણ ખેલાડીઓને વિશેષ પુરસ્કારો આપે, તેમાં કાંઈ ખોટું નથી, પરંતુ દરેક રમત-ગમત સ્પર્ધાઓ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટો તથા એશિયાડ, કોમનવેલ્થ અને ઓલમ્પિક જેવા આયોજનો દરમ્યાન વિવિધ મેડલ્સ મેળવનાર તથા તમામ સ્પર્ધકોને આવી જ રીતે પ્રોત્સાહિત કરવા માટે કોઈ અલાયદી સિસ્ટમ કે મિકેનિઝમ ઊભું કરવાની જરૂર છે. અત્યારે જુદી જુદી રમતો તથા સ્પર્ધાઓ માટે અલગ-અલગ ફેડરેશનો તથા સ્થાપિત અને ખાનગી સંસ્થાઓ અસ્તિત્વમાં છે જ...જરૂર છે માત્ર સંગઠનની તથા આ તમામ ખેલ સંસ્થાઓને પક્ષીય રાજનીતિથી દૂર રાખવાની...પરંતુ તેવું થઈ શકે ખરૃં ?
મહિલા વર્લ્ડકપની ફાયનલમાં ભારતીય ટીમના વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગી નેતા રાહુલ ગાંધીએ જે શબ્દોમાં અભિનંદન આપ્યા છે, અને "એક્સ" પર જે પોસ્ટ મૂકી છે, તે જોતાં આપણાં દેશના સર્વોચ્ચ નેતૃત્વ તરફથી સમગ્ર મહિલા ખેલજગતને સમાન ધોરણે સુવિધાઓ, ફંડીંગ અને પુરસ્કારો મળશે, તેવી આશા જાગી છે.
ગઈકાલે દેવદિવાળીના તહેવારના ફટાકડા તો ફૂટતા જ હતા, પરંતુ મહિલા વર્લ્ડકપમાં વિજય મળતા જ મોડી રાતે તેની ઉજવણી પણ હાલાર સહિત્ ઠેર-ઠેર થઈ. ક્રિકેટ વર્લ્ડકપ મેળવીને ભારતની નારીશક્તિએ ઈતિહાસ રચ્યો છે, અને તે આ માટે દિવસ રાત મહેનત કરી છે, તેવી જ મહેનત બીજા નંબરે રહેલી દ.આફ્રિકાની ટીમની બહેનોએ પણ ઉજવણી કરી જ હશે...ટીમ વુમન ક્રિકેટ ઓફ ઈન્ડિયાને ઈતિહાસ રચવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારે હૃદયે ભાવભરી શ્રદ્ધાંજલિ...
જામનગરના વિવિધ ક્ષેત્રોમાં દીર્ઘકાલિન સેવાઓ આ૫નાર કુશાગ્ર અગ્રણી અને "નોબત"ની કરોડરજ્જુ સમા વડીલ સ્વ. કિરણભાઈ માધવાણીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. પહેલી નવેમ્બર-૨૦૨૪ના દિવસે તેઓ વૈકુંઠયાત્રાએ નીકળી ગયા.ત્યારે માધવાણી પરિવાર અને નોબત પરિવાર તથા તેઓના બહોળા મિત્રમંડળને કારમો આઘાત લાગ્યો હતો અને પત્રકાર જગતમાં, બેંકીંગ ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર, લોહાણા સમાજ સહિત સૌ કોઈને આંચકો લાગ્યો હતો. અને શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વિક્રમ સંવતની તિથિ અનુસાર તેઓએ દીપોત્સવી પર્વે અનંતયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું.
સ્વ. કિરણભાઈ પાંચ દાયકાથી "નોબત"ના અડીખમ સ્તંભ તો હતા જ, પરંતુ તેઓ સામાજિક સેવાઓ તથા વિવિધ ક્ષેત્રોમાં પણ સતત કાર્યશીલ રહેતા હતા. જામનગરની અગ્રગણ્ય સહકારી બેંક-નવાનગર બેંકના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અને લોહાણા મહાજનના ઉપપ્રમુખ તરીકે તેઓએ વર્ષો સુધી આપેેલી સેવાઓની સુવાસ આજે પણ પ્રસરી રહી છે. તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન ૧૦૦થી વધુ વખત રક્તદાન કર્યું હતું. તેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણાં જરૂરતમંદ લોકોને રોજગારી અપાવી હતી અને સામાન્ય ગરીબ લોકોને સંકટના સમયે મદદ કરી હતી. તેઓએ તેઓના પુત્ર સ્વ. રોનક તથા નોબત પરિવારનું પથદર્શન કરીને "મેઘધનુ" સહિતના કાર્યક્રમો, નવરાત્રિના આયોજનો વગેરેમાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું. તેઓ દાયકાઓથી બ્લડ ડોનેશન પ્રવૃત્તિના પ્રણેતા અને પછીથી થેલેસેમિયા પરીક્ષણના હિમાયતી રહ્યા હતા.
તેઓ બે દાયકાથી વધુ સમય માટે જામનગર લોહાણા મહાજનના ઉપપ્રમુખ રહ્યા, અને તે દરમ્યાન પંચેશ્વર ટાવર પાસેની લોહાણા મહાજનવાડીનું નવનિર્માણ, વિવિધ ઉત્સવો, જલારામ જયંતીના કાર્યક્રમો તથા રઘુવંશી સમાજના કલ્યાણ, ઉત્કર્ષ અને શૈક્ષણિક-આર્થિક વિકાસ માટે તેઓનું યોગદાન અવિસ્મરણીય રહેશે. તે ઉપરાંત તેઓના જીવનસંગિની જ્યોતિબેન માધવાણીની મહિલા ઉત્કર્ષ અને સામાજિક સેવાઓની પ્રવૃત્તિઓ પણ તેઓના પથદર્શક અને પ્રેરક રહ્યા હતા.
આઝાદી પછીના પહેલા દાયકામાં જ રાજ્યના પ્રથમ સાંધ્ય દૈનિક "નોબત" ની પ્રારંભિક યાત્રા જયારે પડકારોનો સામનો કરી રહી હતી, ત્યારે સ્વ. રતિલાલભાઈ માધવાણીની સાથે ખભેખભા મિલાવીને જ્યારે સમગ્ર પરિવારે સફળ સંઘર્ષ કર્યો હતો, તે સમયે કિરણભાઈ અખબાર વિતરણ, ફોટોગ્રાફી, બ્લોક બનાવવા, ટ્રેડલ મશીનના જમાનામાં બીબા ગોઠવવાથી લઈને માર્કેટીંગ, એડવર્ટાઈઝીંગ અને એકાઉન્ટીંગ, પ્રૂફ રિડીંગ સુધીનું કામ સંભાળતા હતા.
કિરણભાઈ પિતાના પગલે પગલે ચાલીને નખશીખ ઈમાનદાર, નિડર અને સ્પષ્ટવક્તા હતા. વિઘ્નસંતોષીઓ દ્વારા "નોબત" માંજ તેઓના પર સ્ટેબીંગ થયું, તે પછી તેઓએ જે દૃઢ મનોબળનો પરિચય આપ્યો અને જીવનના અંતિમ સમયની થોડા સમયની બીમારી સાથે પણ તેઓ ઝઝુમ્યા, તે તેઓનું પોલાદી મનોબળ અને પ્રબળ આત્મબળ દર્શાવે છે. સ્પષ્ટ વક્તા હોવા છતાં તેઓ અંદરથી મૃદુ અને ઘણાં જ સંવેદનશીલ, દયાળુ અને નરમદિલ હતા. આ કારણે જ તેઓનો બહોળો મિત્રવર્ગ આજે એક વર્ષ વિત્યા પછી પણ તેઓની વસમી વિદાયથી બહાર આવ્યો નથી. તેઓની વિદાયથી પરિવાર અને સમાજને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. નોબતના ખૂણે ખૂણે આજે પણ અમને બધાને સ્વ. કિરણભાઈની અનુભૂતિ થઈ રહી છે.
માધવાણી પરિવાર અને નોબત પરિવાર ઉપરાંત સમાજ, બેંકીંગ ક્ષેત્ર, લોહાણા મહાજન તથા વિવિધ ક્ષેત્રો માટે કિરણભાઈની વિદાય આઘાતજનક નિવડી હતી, પરંતુ ઈશ્વરની ઘટમાળ સામે પામર માનવીનું કાંઈ ચાલતું નથી. તેઓની સ્મૃતિઓ અને સત્કાર્યોની સુવાસના સ્વરૂપે તેઓ હંમેશાં આપણી વચ્ચે જ રહેવાના છે. ઠાકોરજી સ્વ. કિરણભાઈના આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે આંખમાં આંસુ અને હૃદયના વલોપાત સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ...
જયશ્રી કૃષ્ણ
જામનગર, તા. ૧-૧૧-૨૦૨૫
- માધવાણી પરિવાર - નોબત પરિવાર
આજે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતીએ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી જ કેવડિયાના એકતાનગરમાં પહોંચ્યા છે અને ગઈકાલે રૂ. ૧૨૧૯ કરોડથી વધુ રકમના વિકાસ ર્પ્રોજેકટોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યા છે. આજે સવારથી પ્રજાસત્તાક દિન ફેઈમ વિવિધ ઝાંખીઓ સાથે એકતા પરેડ યોજાયા પછી શ્રેણીબદ્ધ કાર્યક્રમો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગરમાં દેશના સર્વોચ્ચ નેતૃત્વની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યા છે.
આજ થી દોઢ સદી પહેલા આ મહામાનવનો જન્મ ગુજરાતમાં થયો હતો, અને બ્રિટિશ સલ્તનત સામે લગભગ બે સદી સુધી ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામ પછી મળેલી આઝાદી તોઓએ ભારતમાં રાજા-રજવાડા-કબીલાઓને ભારતમાં સામેલ કરીને એક અને અખંડ ભારતનું સ્વાતંત્ર્ય સેનાનીઓનું સપનું સાકાર કર્યું હતું. તેથી આજે રાષ્ટ્રીય એકતા દિવસ પણ મનાવાઈ રહ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી પણ ઉજવાઈ રહી છે, ત્યારે આપણે સૌ આ અખંડ ભારતના રચિયાતા અને દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ.
આજે એકતાનગરમાં ભારતીય વાયુસેનાના કરતબો, બીએસએફ દ્વારા ડોગ શો, સ્કૂલ બેન્ડ, બ્રાસ બેન્ડ, ઘોડા, ઊંટ અને શ્વાન દળોનું નિદર્શન, ડેર ડેવિલ રાઈડર્સ શો, મહિલાઓના માર્શલ આર્ટ સાથે પરેડ યોજાઈ અને વિવિધ સુરક્ષાદળો, અર્ધસૈન્ય દળો અને સેનાની પાંખો દ્વારા રજૂ થયેલા દેશભક્તિથી તરબતર અને ભારતની તાકાત દર્શાવતા વિવિધાસભર કાર્યક્રમોએ ગરિમામય આકર્ષણ જમાવ્યું હતું. અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-કવનને અદ્ભુત રીતે રજૂ કરતા નાટક "લોહપુરૂષ"ની પ્રસ્તૂતિએ સૌને ગદ્ગદીત કરી દીધા હતા. દેશના વિવિધ રાજ્યોની વિવિધતાઓ, વિકાસ, સંસ્કૃતિ અને ઈતિહાસ વગેરેને સાંકળતુ એકઝીબિશન પણ અહીં ૧૫ દિવસ સુધી ખુલ્લું રહેશે. તેવું જાહેર કરાયું હતું. આ કાર્યક્રમોનું જિંવંત પ્રસારણ પણ રાજ્ય અને દેશભરમાં તથા મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિદેશોમાં વસવાટ કરતા ભારતીયોએ નિહાળ્યું હતું.
આજે વિવિધ પ્રકારના પડકારો અને કુદરતના બદલતા ઘટનાક્રમો વચ્ચે ભારતીયોએ સ્વાતંત્ર્ય ચળવળ સમયે હતી તેવી દેશભાવના સાથે ફરીથી એકજૂથ થઈ જવાની જરૂર છે, અને આઝાદી મળ્યા પછી પ્રારંભમાં ઉઠ્યા હતા તેવા ફરીથી ઉઠી રહેલા કેટલાક વાદ-વિવાદોને બાજુ પર મૂકીને નવા પડકારો સામે ટકી રહેવા એકજૂથ થવું પડે તેમ છે. ભાષાવાદ, જાતિવાદ, પ્રદેશવાદ, વર્ગવિગ્રહ, ધર્મ-સંપ્રદાય કે અન્ય ભાવનાત્મક વિવાદોને ટાળીને પરસ્પર સન્માન અને સદ્ભાવ સાથે સહ-અસ્તિત્વ ટકાવી રાખવા મથવું પડે તેમ છે. નફરતના સ્થાને પ્રેમ અને વિવાદના સ્થાને સંવાદ સાધવાની કવાયત હવે વધારવી જ પડે તેમ છે. લોકતંત્રને વધુ મજબૂત કરીને ભારતને એક અને અખંડ રાખવા ફરીથી સરદાર પટેલની વ્યૂહાત્મક રણનીતિ અપનાવવી પડે તેમ છે.
બંધારણને સર્વોપરી ગણીને તથા સત્તા, શક્તિ અને સંખ્યાલક્ષી લોકતાંત્રિક પ્રવૃત્તિઓમાં સહભાવ, સૌજન્યતા અને સંયમની જરૂર છે. ઘમંડ અને ગાલી-ગલોચની ભાષાના સ્થાને તાર્કિત અને તથ્યપૂર્ણ પ્રસ્તૂતિ સાથે પ્રશંસા કે ટીકાઓ અથવા સહમતિ અને અસહમતિના અધિકારોનો ઉપયોગ કરવો જરૂરી છે. લોકતંત્રમાં સત્તાનો ઘમંડ સ્વીકાર્ય પણ નથી અને સારા પરિણામો પણ લાવતો હોતો નથી, તેવી જ રીતે બંધારણે આપેલી અભિવ્યક્તિની આઝાદીનો દુરૂપયોગ કે સભ્યતા અને સુરૂચિનો ભંગ કરે તેવી હરકતો પણ સ્વીકાર્ય ગણાતી નથી. ચૂંટણી પ્રચાર સમયે તો સંયમ અને સૌજન્યતા સૌથી વધુ જરૂરી હોય છે, કારણ કે ભારતની ૭૫ વર્ષ ઓળંગી ગયેલી આઝાદી પછી દેશની જનતા હવે એટલું તો શિખી જ ગઈ છે કે ક્યારે, કોને, કેટલો જનાદેશ આપવો, ક્યારે અને કોને સત્તાના સિંહાસને બેસાડવા અને ક્યારે અને કોને સત્તા પરથી ફેંકી દેવા...
અત્યારે એક તરફ ટ્રમ્પ ટેરિફનો આતંક વધી રહ્યો છે, તો બીજી તરફ પડોશી આતંકવાદી દેશની હરકતો બદલતી નથી. ભારતની ફરતે ચીન, બાંગલાદેશ અને પાકિસ્તાન જેવા દેશો ઘેરાબંધી કરી રહ્યા છે, તો હવે અમેરિકા (ટ્રમ્પ) પણ આડુ ફાટ્યું છે. રશિયા જુનુ મિત્ર છે, એ ખરૃં, પરંતુ તેની ક્ષમતા અને ભૂમિકા પણ હવે વૈશ્વિક પ્રવાહો, યુક્રેન યુદ્ધ અને અમેરિકા સાથેના ઠંડા યુદ્ધના કારણે ડગમગી રહી છે, આ સંજોગોમાં આપણે હવે એક અને અતૂટ જ રહેવું પડે તેમ છે. ભારત આઝાદ થયા પછી અવરિત પ્રગતિ કરતું રહ્યું, તબક્કાવાર સ્વાવલંબી બનતું રહ્યું, વિકસતું રહ્યું, સમૃદ્ધ બનતું ગયું અને આજે વિશ્વની ટોપ ફાઈવ ઈકોનોમીમાં પહોંચ્યું છે, ત્યારે ભારતથી આગળની હાલની મહાસત્તાઓ અમેરિકા, ચીન વગેરેને તે ગમતું નહીં હોય, તેથી તેઓ પણ હવે ભારત સામે એકજૂથ થઈ રહ્યા છે અને ટ્રમ્પ-જીનપીંગે હાથ મિલાવ્યા છે, તેથી ભારતે હવે ચેતવા જેવું છે.
સ્વાતંત્ર્યની ચળવળ સમયે ગાંધીજીએ માત્ર રાજકીય નહીં, પરંતુ આર્થિક આઝાદીની વાત પણ કરી હતી. ભારત આઝાદ ભલે થયું, પરંતુ હવે આબાદ કરવાનો પડકાર છે, તેવો સંદેશ પણ અપાયો હતો, ગાંધીજીની સ્વદેશીની ચળવળ આગળ વધારવાના બદલે આપણે ધીમે-ધીમે "મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઈંગ્લિશ્તાની" જેવી ફિલ્મી પંક્તિઓમાં પડઘાતી આઝાદી પછીના દાયકાઓની સ્થિતિ મુજબ વિદેશી વસ્તુઓ અપનાવતા થઈ ગયા, તેના કારણે જ આજે આપણે ટ્રમ્પ જેવા તરંગી તિક્કડબાજના ટેરિફ સામે ઝઝુમવુ પડી રહ્યું છે અને ચીન જેવા દગાબાજ પડોશી દેશ સાથે પણ મોટા પાયે વ્યાપાર કરીને ત્યાંથી ઘણી વસ્તુઓની આયાત કરવી પડી રહી છે.
નહેરૂ, સરદાર પટેલ અને ગાંધીજી જેવા મહાપુરૂષો આઝાદી પછી તબક્કાવાર પહેલા પ્રેરણાના પાત્રો હતા તે ધીમે ધીમે રાજકીય પ્રચારના માધ્યમો બની ગયા અને ચૂંટણીઓ જીતવા માટેના ઓજારની જેમ તેઓનો ઉપયોગ થવા લાગ્યો, તે આપણી કમનસીબી જ છે ને ? સરદાર વલ્લભભાઈ પટેલ ને કોટિ કોટિ વંદન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
માવઠાના માર થી જેવી રીતે ઘણાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને ખેતીપાકને નુકસાન થયું, અને ખેડૂતોએ સરકાર તરફ મીટ માંડી, તેવી જ રીતે ટ્રમ્પના ટેરિફનો માર ભારત સહિત દુનિયાના ઘણાં દેશો સહન કરી રહ્યા છે, ત્યારે ધૂની-તરંગી અને અવિશ્વસનિય બની ગયેલા ટ્રમ્પની તિક્કડમબાજી પણ સતત ચાલી રહી છે. ટ્રમ્પે ચીન તરફ નરમ વલણ દેખાડયા પછી હવે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે, અને તેના કરતાંયે વધુ મહત્ત્વનું એ છે કે ટ્રમ્પે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થવાના સંકેતો પણ આપ્યા છે. તેમણે કહ્યું છે કે "મોદી હેન્ડસમ અને જબરદસ્ત ઈન્સાન છે." તેઓ ઘણાં જ ટફ છે. અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે. તેમણે એમ પણ કહ્યું કે, "ભારત અને પાકિસ્તાનની વાત કરવા માંગતા હોવ તો હું ભારત સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યો છું. !"
એવા અહેવાલો પણ છે કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ ન કરે પણ ઘટાડો કરવા સંમત થાય તો અમેરિકા ટેરિફ ૧૬ ટકા કરવા તૈયાર છે.
આ અહેવાલો પછી ભારતના વ્યાપાર ઉદ્યોગ અને આર્થિક ક્ષેત્રે ભલે પોઝિટીવ પ્રત્યાઘાતો પડયા હોય કે પછી મીડિયામાં પી.એમ.મોદીની પ્રશંસા થતી રહે, પરંતુ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ રાહુલ ગાંધીનું મંતવ્ય કાંઈક અલગ જ છે અને મીડિયા અહેવાલો મુજબ રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદી અમેરિકા (ટ્રમ્પ)થી ડરે છે.
રાહુલ ગાંધીની સોશ્યલ મીડિયાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશ-વિદેશમાં સતત અપમાન કરી રહ્યા છે, જેનું તાજું દૃષ્ટાંત દક્ષિણ કોરિયાનું છે. ટ્રમ્પે ફરીથી કહ્યું છે કે, તેમણે ટ્રેડનો ઉપયોગ કરીને ઓપરેશન સિંદૂર અટકાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે સાત વિમાનો તોડી પડાયા હતા.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા હોય તેમ લખ્યું કે તેઓ (મોદી) ડરે નહીં, અને ટ્રમ્પને જવાબ આપવાની હિંમત બતાવે.
એક ચૂંટણી પ્રચારમાં પણ રાહુલ ગાંધીએ પડકાર ફેંકયો કે બિહારની ચૂંટણી પ્રચાર દરમ્યાન મોદી કહી બતાવે કે "ટ્રમ્પ જુઠ્ઠું બોલી રહ્યા છે".
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે આવી હિંમત મોદી દાખવી શકે તેમ જ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિએ વારંવાર કહ્યું કે તેમણે ભારત-પાક. વચ્ચે ઓપરેશન સિંદૂર અટકાવ્યું, પરંતુ નરેન્દ્ર મોદી તે અંગે કાંઈ પણ કહેતા નથી. મોદીજીએ એક વખત પણ એવું નથી કહ્યું કે ટ્રમ્પ આડી-અવળી (ખોટી) વાતો કરી રહ્યા છે.
બીજી તરફ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને ટ્રેડ ડીલ અંગેના સંકેતો આપ્યા, તથા ટેરિફમાં ઘટાડો થશે, તેવી આશા જાગી છે, તેના અહેવાલો ખૂબજ ઝડપથી અને વ્યાપક રીતે પ્રચલિત અને પ્રસારિત થઈ રહ્યા છે, પરંતુ એ જ સમયે ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન અને તેના સેનાધ્યક્ષ મુનિરના પણ વખાણ કર્યા હતા., તેની ચર્ચા ઓછી થઈ રહી છે, કારણ કે હવે ટ્રમ્પની "ડબલ ઢોલકી" ને તથા ટ્રમ્પ ટેરિફ વોર તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના પડઘા બિહારના ચૂંટણી પ્રચારમાં પડવા લાગ્યા હોવાથી આ મુદ્દો અત્યારે તો પૂર્ણપણે રાજકીય જ બની ગયો છે, અને કોણ સાચુ અને કોણ જુઠ્ઠું એ પણ જનતા જાણે જ છે ને ?
જો કે, મત માટે નાચવાના કટાક્ષનો મદ્દો એટલો બધો ગરમાયો છે કે લાલઘૂમ થયેલા ભાજપના નેતાઓ પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર તીખા પ્રહારો કરી રહ્યા છે. અમિત શાહે તો ત્યાં સુધી કહી દીધું કે સોનીયા ગાંધી રાહુલને વડાપ્રધાન બનાવવા માંગે છે, અને લાલુ યાદવ તેના દીકરા (તેજસ્વી)ને બિહારના મુખ્યમંત્રી બનાવવા માંગે છે. પરંતુ દિલ્હીમાં નરેન્દ્ર મોદી છે અને બિહારમાં નિતીશકુમાર છે, તેથી હાલમાં કોઈ જગ્યા ખાલી નથી !
ચૂંટણીના પ્રચાર દરમ્યાન ઘણાં જુઠ્ઠાણા ચાલતા હોય છે, જ્યારે ઘણાં કડવા સત્યો પણ બહાર આવી જતા હોય છે. આ તરફ વર્ષ ૨૦૨૬ની ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે આ વખતે યુરોપિયન કમિશનના પ્રમુખ યુર્સલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયા કોસ્ટાને ભારત સરકારે આમંત્રિત કર્યા હોવાના અહેવાલો જોતા, તેને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપારિક સંબંધો વધતા ટ્રમ્પના ટેરિફ એટેકનો સામનો કરવા તરફનું વ્યૂહાત્મક કદમ ગણાવાઈ રહ્યું છે. આ માટે નક્કી કરાયેલા એજન્ડામાં મૂક્ત વ્યાપાર (એફ.ટી.એ.) ઉપરાંત રક્ષાક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ ડીલની સંભાવના જણાવાઈ રહી છે. તો બીજી તરફ ચૂંટણી સભાઓમાં રાહુલ ગાંધી જે સટાસટી બોલાવી રહ્યા છે, તેના કેન્દ્રસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હોય છે... જોઈએ, બિહારની જનતાનો જનાદેશ શું આવે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે સામાન્ય રીતે સ્કૂલોમાં વિદ્યાર્થીઓના મૂખેથી તેના શિક્ષક માટે "સર" જેવો શબ્દ સાંભળતા હોઈએ છીએ, તેવી જ રીતે કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓ માટે જુનિયર અધિકારીઓ તથા સ્ટાફ પણ આ માનવાચક શબ્દનો ઉપયોગ કરતા હોય છે., પરંતુ જ્યારે અંગ્રેજીના "સર" શબ્દોના "એસઆઈઆર" આલ્ફાબેટને અલગ અલગ કરીને તેના ફૂલ ફોર્મ્સ કરીએ, તો અંગ્રેજીમાં તેના ભિન્ન ભિન્ન ઉચ્ચાર અને ભિન્ન ભિન્ન અર્થ થતા હોય છે., તેમાંથી ચૂંટણીપંચના તાજેતરના એક અભિવાદનના "સર" એટલે કે એસઆઈઆરની હમણાંથી સર્વાધિક ચર્ચા થઈ રહી છે.
આમ તો, એસઆઈઆર ગુજરાતમાં ઘણાં સમયથી પ્રચલિત એક મેગા પ્રોજેક્ટનું પણ નામ છે જે હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી પ્રચલિત છે. આ મેગા પ્રોજેકટનું ફૂલફોર્મ સ્પેશિયલ "ઈન્વેસ્ટમેન્ટ રિજિયન" છે, જેમાં ચોક્કસ વિસ્તારોના વિકાસ માટે ઈન્વેસ્ટરોને આકર્ષવાનો કોન્સેપ્ટ હતો. ગુજરાતનું ઘોલેરાસર તેનું દૃષ્ટાંત છે.
એસ.આઈ.આર., એટલે કે "સર" ના કોન્સેપ્ટને સાકાર કરવા માટે ગુજરાત વિધાનસભામાં સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ એકટ-૨૦૦૯ પસાર કરાયો હતો, જેમાં ઔદ્યોગિક અને માળખાકીય ક્ષેત્રોમાં મૂડીરોકાણના દ્વાર ખૂલ્યા હતા અને તે માટે લિગલ ફ્રેમવર્ક, ઉદ્ેશ્ય, ગવર્નન્સ વગેરેની વિસ્તૃત જોગવાઈ કરાઈ હતી, અને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ સિટી વિકસાવવાના અને દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરની જેમ ઔદ્યોગિક-માળખાકીય વિકાસ કરવાની વિપુલ તકો અપાઈ હતી.
નાણા ક્ષેત્રે એસઆઈઆરનું ફૂલફોર્મ સ્ટ્રક્ચર્ડ ઈન્વેસ્ટમેન્ટ રિવ્યુનો અર્થ મૂડીરોકાણની સમીક્ષાને સંબંધિત છે. આ કોન્સેપ્ટ હેઠળ ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનો ડિટેઈલ રિવ્યુ થાય છે., અને તેના આધારે નીતિઓ (પોલીસી) નક્કી થાય છે.
અંતરીક્ષ તકનીકોના સંદર્ભમાં એસઆઈઆર અથવા "સર"નું ફૂલફોર્મ સેટેલાઈટ ઈન્ફારેડ થાય છે. જે સેટેલાઈટમાં એનર્જીનું સંબંધિત રિમોટ સેન્સીંગ સિસ્ટમ છે. એવી જ રીતે સાયન્સ ક્ષેત્રે સ્ટાન્ડરડાઈઝ્ડ ઈન્સિડન્સ રેસિયો, સ્ટાન્ડરડાઈઝ ઈન્ફેકશન રેસિયો, સ્પેસબોર્ન ઈમેજીંગ રડાર વગેરે માટે "સર" અથવા એસઆઈઆર વપરાય છે. બિઝનેસ સેકટરમાં પણ સેલ્ફ-ઈન્સ્યોર્ડ રેટેન્શન, સપ્લાયર ઈન્વોયસ રિકવેસ્ટ, સેલ્ફ ઈન્વેસ્ટીંગ રિપોર્ટ વિગેરે શબ્દો પ્રચલીત છે. તે ઉપરાંત વિવિધ સંદર્ભોમાં સમરી ઈન્ફર્મેશન રિટર્ન, સ્કોલર ઈન રેસિડેન્સ વગેરે માટે એસઆઈઆર (સર) નો સંક્ષિપ્ત શબ્દપ્રયોગ થાય છે.
આપણે અહીં વાત કરવી છે, તે એ એસઆઈઆરની છે, જે આજે દેશભરમાં ચર્ચાનો વિષય છે અને આ મુદ્દો બિહારના રાજકીય ગલીયારાઓથી લઈને સુપ્રિમકોર્ટ સુધી પડઘાયો હતો.
ચૂંટણપંચે બિહારમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન કરાવ્યા પછી ઘણો હોબાળો થયો હતો. અને વિપક્ષોએ એનડીએ પર આક્ષેપો લગાવ્યા હતા, અને ચૂંટણીપંચને પણ ઘેર્યું હતું. તે પછી ત્યાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રક્રિયા સંપન્ન થઈ હતી અને હવે ચૂંટણીપંચે આ જ પ્રકારની પ્રક્રિયા દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવાનું નક્કી કર્યું છે, જેના ઘેરા પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે.
ગઈકાલે ચૂંટણીપંચે યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની મતદાર યાદીનું એસઆઈઆર કરવામાં આવશે. બીજા તબક્કામાં જે ૧૨ રાજ્યોનો સમાવેશ કરાયો છે, તેમાં ગુજરાત પણ છે. અને આ પ્રક્રિયા ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બરે હંગામી મતદારયાદી, આઠમી જાન્યુઆરી-૨૦૨૬ સુધી સુધારા-વધારા અને સાતમી ફેબ્રુઆરીના દિવસે અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરી શકાશે. આ પ્રક્રિયા દરમ્યાન મતદારયાદીમાંથી મૃતકો તથા કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામો તો રદ કરાશે જ, સાથે સાથે મતદાનની પાત્રતા ધરાવતા મતદારોનો ઉમેરો, તથા નાગરિકતા ચકાસવા માટે ડોર-ટૂ-ડોર ચકાસણી થવાની છે. આ અંગે જે પ્રક્રિયા બિહારમાં થઈ છે, તેવી રીતે તમામ પ્રક્રિયા સંપન્ન થશે, તેમ લાગે છે.
આમ તો મધ્યરાત્રીથી બીજો તબક્કો શરૃ થઈ જતા તંત્રો આજથી જ નવ રાજ્યો અને ત્રણ રાજ્યોમાં એસઆઈઆરના કામે લાગી ગયા છે., અને પ્રાથમિક તૈયારીઓ કરી રહ્યા હોવાના અહેવાલો જોતા ચૂંટણીપંચ આ મુદ્દે ખૂબ જ ગંભીર હોવાનું પ્રતિત થાય છે.
કોંગ્રેસે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એસઆઈઆરના મુદ્દે જે સવાલો ઉઠાવ્યા છે તે જોતા આ મુદ્દો હવે રાજકીય ક્ષેત્રે પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. અને તંત્રોમાં પણ આ કપરી કામગીરીને સંપન્ન કરવાની દોડધામ થઈ રહી છે, ત્યારે મતદારોએ પણ પોતાનું નામ મતદારયાદીમાંની નીકળી જાય નહીં તે માટે જાગૃત રહેવું પડશે. આ ચકાસણી માટે ક્યા-ક્યા દસ્તાવેજો માન્ય રહેશે, તેની આગોતરી જાણકારી મેળવીને બીએલઓની મુલાકાત સમયે તે દસ્તાવેજો તૈયાર પણ રાખવા પડશે.
ચૂંટણીપંચ કે સરકાર તરફથી જ્યારે જયારે ડોર-ટૂ-ડોર મુલાકાત લઈને કોઈ પણ પ્રક્રિયાની જાહેરાત થાય છે, ત્યારે ત્યારે ઘણાં સ્થળે ડોર-ટૂ-ડોર મુલાકાત લેવાના બદલે શેરી-મહોલ્લા કે સોસાયટીના એકાદ સ્થળે ખુરશી ટેબલ ગોઠવીને બીએલઓ દ્વારા આ પ્રક્રિયા થતી હોય છે, તેથી પુરતો પ્રચાર થયો ન હોય, લોકોને ખબર જ ન હોય કે સમય-તારીખમાં પહોંચી શકાય તેમ ન હોય, તેવા લોકો આ પ્રક્રિયાથી જ વંચિત રહી જતા હોય છે, તેથી ઓસઆઈઆર જેવા મુદ્દે વાસ્તવમાં ઘેર-ઘેર ફરીને અને ઘર બંધ હોય તો ફરીથી મુલાકાત લેવા કે ઘરની આજુબાજુમાંથી માહિતી મેળવીને અથવા ફોન નંબર દ્વારા જે-તે વ્યક્તિનો સંપર્ક કરવો અત્યંત જરૃરી છે, કારણ કે આવું થશે તો જ સ્થળાંતરિત કે મૃતકોના નામ કમી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વર્ષે ચોમાસુ તો લાંબુ ચાલ્યુ જ હતું અને હવે માવઠાનો માર પડી રહ્યો છે. છેલ્લા બે-ચાર દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસી રહેલા વરસાદના કારણે હવે નવી સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. આ સંકટના સમયે દેશના કેટલાક વિસ્તારોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ૨૧મો હપ્તો હજુ સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા નહીં થયો હોવાથી લગભગ દસેક કરોડ ખેડૂતો તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હોવાના પણ અહેવાલો છે. આ હપ્તો દિવાળી પહેલા જ તમામ લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા થઈ જવો જોઈતો હતો, પરંતુ હવે મોદી સરકાર બાકીના ખેડૂતોના ખાતામાં નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આ હપ્તો જમા કરાવી શકે છે. કેન્દ્રીય કૃષિમંત્રીએ રાજ્ય સરકારોને ઈ-કેવાયસી, આધાર સીડીંગ અને અન્ય પ્રક્રિયા પૂરી કરીને ચકાસાયેલી ખેડૂત લાભાર્થીઓની યાદી સત્વરે કેન્દ્રને મોકલી આપવા જે અપીલ કરી છે, તે દર્શાવે છે કે કેન્દ્ર અને રાજયો વચ્ચે આ યોજનાના સંદર્ભે જોઈએ તેવો તાલમેળ નથી અથવા આ મુદ્દે પણ રાજનીતિ રમાઈ રહી છે. કેટલાક વિવેચકો કેટલાક રાજ્યોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિનો રૂા. બે હજારનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવવા થયેલા વિલંબને બિહારની ચૂંટણીમાં થનારા પ્રથમ તબક્કાના મતદાન સાથે પણ સાંકળે છે, જ્યારે કેટલાક વિવેચકો આને પ્રક્રિયાત્મક વિલંબ અને કેટલાક રાજયોમાં તંત્રોની લાપરવાહી અથવા અસહયોગ પણ ગણાવે છે.
પડ્યા પર લાત લાગે તેવી રીતે હવે રાજ્યમાં માવઠાનો માર પડી રહ્યો છે. આજે પણ સવારથી જ હાલાર સહિત રાજયમાં ઠેર ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે, અને હવામાન ખાતાએ જુદા જુદા એલર્ટ આપ્યા છે. ગઈ રાત્રે પણ જામનગર સહિત અનેક સ્થળે વારસાદ પડતા રસ્તાઓ પર પાણી નીકળ્યા અને ખેતરોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો ચિંતા ઊભી કરનારા છે. કેટલાક ધાર્મિક-સામાજિક પ્રસંગો તથા ભાગવત સપ્તાહના આયોજનોમાં પણ કમોસમી વરસાદના કારણે વિક્ષેપ સર્જાયો હોવાના અહેવાલો જોતાં દિવાળીના તહેવારો પછી આવેલી આ કુદરતી આફતે જનજીવન પર માઠી અસર તો કરી જ છે, પરંતુ, આ કારણે જગતના તાત ધરતીપુત્રોને પડનારો આર્થિક ફટકો પણ ચિંતાજનક છે અને જેને જેને હકીકતે ભારે નુકસાન થયું હોય, તેઓને તત્કાળ સહાયની જરૂર છે.
માવઠાનો માર પડ્યો અને ખેડૂતોની માઠી દશાની સ્થિતિ પછી રાજ્ય સરકાર પણ સફાળી જાગી છે. જામનગર જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરના ભયસૂચક સિગ્નલો લગાવાયા અને વારસાદી ઝાપટાંના કારણે વાતાવરણમાં ઠંડક અને લોકોમાં ઉચાટ પ્રસર્યા છે. આજે સવારથી ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા પવન અને ઘટાટોપ વાદળોથી છવાયેલા વાતાવરણ વચ્ચે ૩૦મી ઓક્ટોબર સુધી વરસાવદની નવી આગાહી થતાં માત્ર ખેડૂતો નહીં, તમામ લોકો વિમાસણમાં મુકાયા છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે, જેથી તાજેતરમાં દરિયામાં એક બોટ ડૂબી જતાં આઠ લોકોનું મહામુસીબતે કરાયેલા રેસ્કયૂ જેવી દુર્ઘટનાને નિવારી શકાય.
જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે આ મુદ્દે તત્કાળ સિનિયર અને સંબંધિત મંત્રીઓની બેઠક યોજીને અડધો ડઝન જેટલા રાજ્ય સરકારના મંત્રીઓને જુદા જુદા જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચના આપ્યા પછી આજે જિલ્લે-જિલ્લે બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને વિપક્ષના નેતાઓ સહિતના જનપ્રતિનિધિઓ પણ પોતપોતાના વિસ્તારોની સ્થિતિનું આલંકન કરીને તંત્રો સમક્ષ રજૂ કરી રહ્યા છે. પ્રાથમિક તબક્કે જ્યાં જરૂર જણાય ત્યાં લોકોને તત્કાળ મદદ-રાહત-બચાવની કામગીરી અને તે પછી તબક્કાવાર સર્વે કરીને ખેડૂતોને થયેલા ખેતીપાકના નુકસાન સંદર્ભે ઝડપભેર સહાય ચૂકવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આગામી ૪૮ કલાકમાં રાજ્ય સરકાર ખેડૂતોના હિતાથે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરશે, તેવા સંકેતો પણ અપાઈ રહ્યા છે. બીજી તરફ કમોસમી વરસાદથી ફેલાઈ રહેલા સિઝનલ રોગચાળા સંદર્ભે ઝડપભેર પગલાં લેવા તથા સફાઈ-સ્વચ્છતાના શ્રેણીબદ્ધ કદમ તત્કાળ ઉઠાવવાના નિર્દેશો પણ અપાઈ રહ્યા છે.
માવઠાને કારણે ઠેર-ઠેર વીજપુરવઠો પણ ખોરવાયો છે, અને સંખ્યાબંધ ફીડરમાં માવઠાના કારણે ટ્રાન્સફોર્મર્સ ડેમેજ થતા અને કેટલાક સ્થળે થાંભલાઓ પડી જતા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રિથી અંધારપટ છવાયો છે. તે ઉપરાંત વીજ કરંટથી લોકોનો જીવ ગયો હોવાના દુઃખદાયી અહેવાલો પણ આવ્યા છે. વીજતંત્રની ટીમો પુરવઠો પૂર્વવત કરવા કામે લાગી ગઈ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ ભાજપ સરકાર પર કોંગ્રેસે તડાપીટ બોલાવી છે અને સૌરાષ્ટ્રમાં વર્તમાન વિકટ સ્થિતિમાં સરકાર નિષ્ક્રિય હોવાના આક્ષેપો કરાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે ભાજપના નેતાઓ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતા હતા, પરંતુ કમોસમી વરસાદના કારણે પાયમાલ થયેલા ધરતીપુત્રો માટ રાજય સરકાર જરાયે ચિંતિત જણાતી નથી. તેમણેે સત્વરે રાહત પેકેજ જાહેર કરવા અને દેવામાફીની જાહેરાત નહીં થાય તો કોંગ્રેસ ગામે ગામ ઉગ્ર આંદોલનો કરશે, તેવી ચિમકી પણ રાજ્ય સરકારને આપી છે. તેમણે ભૂપેન્દ્ર પટેલ સરકારને રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર ગણાવીને ધગધગતા શાબ્દિક પ્રહારો કર્યા હતા, તો કેટલાક કોંગી નેતાઓએ તો બિહારની ચૂંટણી પછી ગુજરાતના મુખ્યમંત્રી પણ બદલાઈ જશે, તેવી ભવિષ્યવાણી કરી દીધી છે !
ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળે, તે માટે એપીએમસીમાં ગ્રેડર રાખવાના મુદ્દે પણ ભાજપ પર પ્રહારો થઈ રહ્યા છે અને ડિજિટલ બોર્ડ પર માહિતી દર્શાવાતી નહીં હોવાના આક્ષેપો સાથે રાજ્યના એપીએમસી પર ભાજપના મળતિયાઓએ ગોડાઉનો પર કબ્જો જમાવી દેવાયો હોવાના સણસણતા પ્રહારો થઈ રહ્યા છે, અને તેની સામે આને વિપક્ષની હતાશા ગણાવતા પ્રતિપ્રહારો થઈ રહ્યા છે, ત્યારે સહકારીક્ષેત્રે પણ રાજકારણ ગરમાયુ છે. આ પ્રકારના પ્રહારો કરાવનાર ભાજપના જ પરિબળો હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.
આ તમામા ઘટનાક્રમો વચ્ચે જયારે ખેડૂતો માવઠાના મારથી પીડિત છે, ત્યારે રાજનીતિ ઉપર ઉઠીને શાસકપક્ષ અને વિપક્ષો પ્રોપાગન્ડા બંધ કરીને હકીકતમાં ખેડૂતોની વચ્ચે જઈને તેઓને મદદરૂપ થાય, તે જરૂરી હોવાના તટસ્થ પ્રતિભાવો પડી રહ્યા છે.
એક વર્ગ એવો પણ છે કે જેને વરસાદી પ્રકોપથી માલ-મિલકત, દુકાનો-ઘરવખરી કે રોજગારીના સાધનોને નુકસાન થયું હોય અને માંડ માંડ ગુજરાન ચલાવતા આ પ્રકારના લોકોને પણ સરકારે ખેતીના નુકસાનની જેમ જ સર્વે કરાવીને સહાયભૂત થવું જોઈએ, તેવી જનમાંગણીને પણ વિપક્ષોનું સમર્થન મળશે, તેવી આશા પણ વ્યક્ત થઈ રહી છે. જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દિવાળીના તહેવારોમાં લાભપાંચમ વીતી ગઈ, પરંતુ હજુ દેવદિવાળી-તુલસીવિવાહ સુધીનો સમયગાળો તથા દિવાળી વેકેશનનો સંયોગ હોવાથી હજુ પણ યાત્રા-પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓની નોંધપાત્ર અવર-જવર રહેવાની છે, અને બીજી તરફ કારતક મહિનામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ સહિતના ધાર્મિક અને પારંપારિક પ્રસંગો-કાર્યક્રમોની શ્રૃંખલા પણ ચાલી રહી હોવાથી હજી પણ માહોલ ધમધમતો જ રહેવાનો છે.
નવું વર્ષ શરૂ થયું અને લાભપાંચમ સુધી રજાઓ ભોગવ્યા પછી બજારો અને માર્કેટીંગ યાર્ડો પુનઃ ધમધમવા લાગ્યા. મીની વેકેશન માણીને વ્યાપારી વર્ગ તથા ઔદ્યોગિક ક્ષેત્રના કેટલાક લોકો પાછા પોતપોતાના કામે લાગ્યા.
જામનગરમાં પણ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો તથા શ્રીમદ્ ભાગવત સપ્તાહોના કારણે હજુ પણ એકાદશી અને દેવદિવાળી સુધી ધમધમાટ રહેવાનો છે, અને તેમાં પણ શરૂસેક્શન રોડ પર ચાલી રહેલી જિગ્નેશ દાદાની કથાએ અનોખું આકર્ષણ જમાવ્યું છે, અને ત્યાં દરરોજ હજારો લોકો ઉમટી રહ્યા છે.
નવા વર્ષ, નવી આશા, નવો ઉમંગ અને નવા સપના સાકાર કરવાની ઊર્જા આ પ્રકારના મંગલમય આયોજનોમાંથી પણ મળતી હોય છે. બીજી તરફ ખેતીવાડીની મહત્ત્વપૂર્ણ સિઝન પણ શરૂ થતી હોય છે, જેમાં ખરીફ પાકો લણીને તેનું વેંચાણ કરવા માટે ખેડૂતો માર્કેટ સુધી પહોંચતા હોય છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેલ બગાડ્યો છે, પરંતુ એકંદરે આ વર્ષ કૃષિક્ષેત્રે કાંઈક આશાવાદી ચિત્ર પણ ઊભું થયું છે, જેમાં ખેડૂતોની માંગણી મુજબ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની મર્યાદા વધારવામાં આવે, તો તે ખેડૂતો માટે નવા વર્ષનું બોનસ ગણાશે, જો કે આ માટે નવેસરથી મિકેનિઝમ કે પ્રક્રિયા કરવી પડે, તો પણ આપણી અદ્યતન બનેલી 'સિસ્ટમ' તે માટે સક્ષમ છે. બસ, વારંવાર સર્વ ડાઉન થવા ન જોઈએ કે પછી તેવા પ્રકારની બહાનાબાજી કરીને સરકારી કામો માટે લોકોને ધક્કા ખવડાવવાની માનસિક્તા નિરંકુશ બને નહિં, તેનો ખ્યાલ સરકારે રાખવો જરૂરી છે!!
ગુજરાત એકંદરે સમૃદ્ધ રાજ્ય ગણાય છે, અને ગુજરાતીઓ કોઈપણ ક્ષેત્રે મેગા આયોજનો કરીને તેને સફળ પણ કરતા હોય છે, અને ધાર્મિક, સામાજિક અને હેલ્થ સેક્ટર પાછળ એકસાથે જંગી ખર્ચવાળા આયોજનો પણ થતા હોય છે. આમ છતાં રાજ્યમાં બાળકોના આરોગ્ય ક્ષેત્રના એક ચિંતાજનક સમાચારે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.
કેન્દ્રના સ્ટેટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન વિભાગ દ્વારા એક સ્ટડીના જે તારણો જાહેર કરાયા છે, તે ચોંકાવનારા છે. 'ચિલ્ડ્રન ઈન ઈન્ડિયા'ના વર્ષ ર૦રપ ના રિપોર્ટમાં વર્ષ ર૦૧૬ થી વર્ષ ર૦ર૩ સુધીના આરોગ્ય, શિક્ષણ, પોષણ વિગેરેના આંકડાઓની સમીક્ષા કરીને જે તારણો નીકળ્યા, તેમાં ગુજરાતના બાળકોમાં મધૂપ્રમેહ માટે વધુ પડતા સંવેદનશીલ હોવાનું જણાવાયું છે.
આ તારણો મુજબ એ સમયગાળામાં ૧૦ થી ૧૯ વર્ષના વયજુથના લગભગ ત્રણ ટકા જેટલા બાળકો ડાયાબિટીસથી પીડાતા હતાં, જે આંકડો દેશના ડાયાબિટીસથી પીડાતા બાળકોની તે સમયની ૦.૬ ટકાનો સરેરાશ કરતા લગભગ પાંચ ગણો વધુ હતો.
આ વયજુથમાં પ્રિ-ડાયાબિટિક બાળકોની કેટેગરીમાં ગુજરાતના ર૦.૯ ટકા બાળકો હતાં, અને લગભગ એટલા જ એટલે કે ર૦.૮ ટકા પાંચથી નવ વર્ષની વયજુથના બાળકો પણ બોર્ડર પર હોય તેવા પ્રિ-ડાયાબિટિક જણાયા હતાં. આ ચોંકાવનારા આકંડાઓ જાહેર થયા પછી રાજ્યમાં ડાયાબિટીસના દર્દીઓના અંદાજ અને બાળકોમાં આ બીમારી વધવાના કારણોની ચર્ચા થાય, તે જરૂરી પણ છે અને સ્વાભાવિક પણ છે.
માત્ર ડાયાબિટીસ જ નહીં, અન્ય કેટલાક પરીક્ષણો પણ ચોંકાવનારા હતાં. ગુજરાતના બાળકોમાં ૬.૪ ટકા હાઈરટેન્શન, ૪.૪ બાળકોને હાઈ કોલેસ્ટ્રોલ, ૧૭.૪ ટકા બાળકોને હાઈ ટ્રાયગ્લિસરાઈડ્ઝ અને રપ.૪ ટકા બાળકોને હાઈ એચડીએસ જેવી જે સ્વાસ્થ્ય માટે જોખમી સ્થિતિ જણાઈ હતી, તે હૃદયરોગના દરવાજા ખખડાવનારી અને ચિંતાજનક જણાઈ હતી.
આ રિપોર્ટ વ્યાપક પરામર્શ, સંકલન, પરીક્ષણો તથા તેના તારણોના પરિણામોના આધારે હવે જ્યારે જાહેર થયો છે, ત્યારે રાજ્યમાં બાળકોના સ્વાસ્થ્ય માટે શાળા બાળ આરોગ્ય તપાસણી અને સારવારના કાર્યક્રમો ઉપરાંત બાળ આરોગ્યના જતન માટે માતા-પિતા-વાલીઓ અને બાળકો માટે અલગ-અલગ જનજાગૃતિ કાર્યક્રમો તથા હેલ્થવર્કસ અને ખાસ કરીને ગ્રાસરૂટ પર કામ કરતા આરોગ્ય કર્મચારીઓ-તબીબો-નર્સીંગ સ્ટાફ વિગેરે માટે વિશેષ તાલીમ આપતા વર્કશોપ પણ યોજવા પડે અથવા તેની ગતિ અને સંખ્યા તથા સંવેદનશીલતા વધારવાની જરૂર છે.
નવા વર્ષે જ્યારે વડીલો આશીર્વાદ આપે, કે પછી ભક્તો ભગવાનને પ્રાર્થના કરે ત્યારે પોતાના, પરિવાર અને સમાજના અને ઘણાં લોકો વિશ્વના કલ્યાણ અને સૌના સારા સ્વાસ્થ્ય, દીઘાર્યુષ્ય તથા સુખ-સમૃદ્ધિની કામના વ્યક્ત થતી હોય છે, ત્યારે આ વર્ષે નૂતન વર્ષે આપણે બધા સાથે મળીને બાળ-સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણ તથા બાળમજૂરીની નાબુદી માટે સહિયારા પ્રયાસો કરીએ તે જરૂરી છે. બધી જ બાબતે માત્ર સરકાર અને તેના તંત્રો પર જ આધાર રાખવાના બદલે આપણે સ્વયં તથા સમાજો-સંસ્થાઓ પણ આ અંગે જાગૃત અને સહયોગી બને, તે અત્યંત જરૂરી છે, અને તેમા ખાસ કરીને ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને માતૃ-બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરતા વિભાગો તથા સંસ્થાઓનું 'વાસ્તવિક' યોગદાન અને સંકલન થવું અત્યંત જરૂરી છે.
માત્ર બાળકો જ નહીં, તમામ વયુથના ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઈપરટેન્શન જેવી 'કાયમી' બીમારીઓ વકરવા પાછળ અનિયમિત ભોજન, જંકફૂડનો અતિરેક, વ્યાયામ-શ્રમનો અભાવ, બેઠાડું જીવન, આઉટડોર શારીરિક રમત-ગમતની સંસ્કૃતિમાં ઘટાડો, મોબાઈલ સેલફોનમાં ઓનલાઈન ગેઈમ કે અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ પાછળ ગાંડપણ અને અંતર્મુખી બની રહેલું બાળપણ વિગેરે વધુને વધુ ખતરનાક બની રહેલા પરિબળો છે, અને જો અત્યારથી જ નહીં ચેતી જઈએ, તો આપણી આગામી પેઢી માયકાંગલી, બીમારીગ્રસ્ત અને લાચાર બની જશે, તેથી જાગ્યા ત્યારથી સવાર...
આમ તો માત્ર ગુજરાત જ નહી, દેશભરમાં બાળઆરોગ્ય, બાળપોષણ, બાળશિક્ષણ, બાળ સુરક્ષા અને બાળગુનાખોરીની સમસ્યા વધુને વધુ વકરી રહી છે. તેથી આ મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોએ માત્ર પ્રચાર કરવાના બદલે સંવેદનશીલ ઢબે વધુ પ્રયાસો કરીને આ ગંભીર મુદ્દાઓ માટે પ્રયાસો કરવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે આપણે દિવાળી ધામધૂમથી ઉજવી. રાતભર રોશની, ખાણીપીણી અને હરવા-ફરવાના આયોજનો થયા, તો ફટાકડા પણ ફૂટ્યા. આનંદોત્સવ ઉજવાયો. અયોધ્યામાં દિવાળીની ઉજવણી કાંઈક અલગજ આકર્ષણ સાથે ઉજવાઈ. દેશ-દુનિયામાં ઉજાસ અને ઉમંગના પર્વને મનભરીને ઉજવવામાં આવ્યું.
વિક્રમ સંવતમાં આ વખતે આસો વદ અમાવસ્યા બે ભાગમાં વહેંચાયેલી હોવાથી આજે ખાલી દિવસ છે, જેજે તળપદી ભાષામાં "ધોકો" કહેવામાં આવે છે. આવતીકાલે સંવત ૨૦૮૨નો પ્રારંભ થશે. આજે જે ખાલી દિવસ અથવા ધોકો છે, તે પ્રકારે ઘણી વખત જુદી જુદી વિક્રમ સંવતની તિથિઓ વચ્ચે ખાલી દિવસ આવતો હોય છે, જે ક્યા કારણે આવે છે, અને તેની પાછળનું ગણિત કેવું હોય છે, તે જાણવું પણ રસપ્રદ બની રહ્યું છે.
ઈસ્વીસન પહેલા ૫૭ વર્ષ અગાઉ વિક્રમ સંવતની શરૂઆત રાજા વિક્રમાદિત્યે કરાવી હતી. વિક્રમ સંવતમાં તિથિઓનો ક્ષય અથવા તિથિઓની વૃદ્ધિ અવાર-નવાર આવે છે, જેથી ઘણી વખત એકજ તિથિ બે દિવસ વચ્ચે વહેંચાઈ જાય છે. આ જ કારણે આ વર્ષે વિક્રમ સંવત ૨૦૮૧ની આસો વદ અમાસ બે તારીખો વચ્ચે વહેંચાયેલી છે., અને ૨૦મી ઓક્ટોબરે દિવાળી પછી આજે પણ સાંજ સુધી અમાસ છે, અને તે પછી વર્ષ ૨૦૮૨ બેસતું હોવાથી આવતીકાલે નૂતનવર્ષ ઉજવાશે. અને આજે વચ્ચેના ખાલી દિવસે પણ ધાર્મિક આયોજનો સહિતના વિશેષ દિવસોની ઉજવણી થઈ રહી છે, તેનું મહાત્મય પણ ઘણું જ મહત્ત્વપૂર્ણ અને કાંઈક અલગ જ છે.
ચંદ્ર અને સૂર્યની પરિક્રમા પર આધારિત જુદા જુદા કેલેન્ડરો વચ્ચે તાલમેલ બેસાડવા વિક્રમ સંવતમાં તિથિક્ષય અને તિથિવૃદ્ધિ થતા હોય છે. જાણકારોના જણાવ્યા મુજબ ચંદ્ર પર આધારિત એક મહિનામાં ૨૯.૫ દિવસો હોય છે, જ્યારે સૂર્ય પર આધારિત કેલેન્ડર મુજબ વર્ષના ૩૬૫ દિવસો હોય છે. આથી દર મહિને આ તફાવતને સરભર કરવા માટે ગણતરી થતી હોય છે, અને તે મુજબ સમયાંતરે તિથિક્ષય અથવા તિથિવૃદ્ધિ થતી હોય છે. યોગાનુયોગ સંવત ૨૦૮૧ના અંતિમ દિવસે જ તિથિવૃદ્ધિ થતા આ વર્ષે દિવાળી અને નૂતનવર્ષની વચ્ચે "ધોકો" આવ્યો છે અને આવતીકાલે જ નૂતનવર્ષની ઉજવણી થવાની છે.
ચંદ્રના ૧૨ ચક્કર લગભગ ૩૫૪ દિવસોમાં થાય છે, જ્યારે સૂર્યના ૧૨ ચક્કર અંદાજે ૩૬૫ દિવસે સંપન્ન થતા હોય છે, તેથી અંદાજે ૧૧ દિવસોનો તફાવત સરભર કરવા તિથિક્ષય અને તિથિવૃદ્ધિનો આધાર લેવો પડતો હોય છે. ચંદ્ર આધારિત હિન્દુ કેલેન્ડરને સૂર્ય આધારિત કેલેન્ડર સાથે સમયોજિત કરવા માટે કેલેન્ડરમાં તિથિક્ષય અથવા તિથિવૃદ્ધિ કરીને બંને કેલેન્ડરને સંરેખિત રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.
તિથિ નક્કી કરવા માટે ભારતીય પંચાંગ અનુસાર ઈસ્વીસનની તારીખની જેમ હિન્દુ કેેલેન્ડરમાં તિથિ બદલતી હોતી નથી. સૂર્ય અને ચંદ્રની અલગ-અલગ ગતિ અને જુદા જુદા પથ હોવાથી તિથિ અને તારીખનું નિર્ધારણ અલગ-અલગ રીતે થાય છે, અને બીજા દિવસે કોઈપણ સમય સુધી ચાલુ રહે છે. ટૂંકમાં તારીખ જે રીતે રાત્રે ૧૨ વાગ્યે બદલી જાય છે, તેવી રીતે તિથિ બદલતી હોતી નથી.
ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ પછી શરૂ થયેલા ઈસ્વીસન અનુસાર અત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં વહીવટ ચાલે છેે, પરંતુ તે શાસકીય, નાણાકીય અને વ્યવહારિક સમાનતા અને સંયોજન જાળવવા માટે હોય છે, જ્યારે ભારતમાં વિક્રમ સંવત મુજબ કારતક સુદ એકમથી આસો વદ અમાસ સુધીના વર્ષને પારંપારિક, સાંસ્કૃતિક અને વ્યવહારિક દૃષ્ટિએ એક વર્ષ માનવામાં આવે છે, જો કે, મૂળ હિન્દુ સંસ્કૃતિમાં યુગાબ્દની દૃષ્ટિએ અલગ મહિનાઓ વચ્ચેનું વર્ષ ગણાય છે, જ્યારે ઈસ્વીસન ૭૮માં શરૂ થયેલા શકસંવત મુજબ કેટલાક દેશોમાં વ્યવહારો ચાલે છે. આ તમામ ભૌગોલિક અને પંચાંગની ગણતરીઓના કારણે જ તિથિક્ષય, તિથિવૃદ્ધિ અને અધિક મહિનો આવે છે, અને આ વિષય ઘણો જ ગહન, ગાણિતિક અને અટપટો લાગે છતાં, તે ઘણો જ મહત્ત્વપૂર્ણ અને પારંપારિક છે.
આપણાં જ્યોતિશ શાસ્ત્રમાં ઘણુંજ ઊંડુ ગણિત તથા ગ્રહોની ગતિ, સૂર્ય ચંદ્રના ભ્રમણ અને ઋતુચક્રની માઈક્રોમેથ્સ ગણતરીઓ આધારિત ભવિષ્ય લખવાની પદ્ધતિઓ શિખવવામાં આવે છે, અને ગ્રહોની ભ્રમણગતિ તથા સ્થાનના આધારે સુત્રો અને દાખલા ગણીને જુદા જુદા તારણો કાઢવામાં આવતા હોય છે.
એકાદશી, વાગબારસ અથવા વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ધોકો, લાભ પાંચમ અને છઠ્ઠનું પર્વ મળીને એક અઠવાડિયા જેટલું લાંબુ હોવાથી તથા તેમાં શિક્ષણક્ષેત્રે તથા ન્યાયક્ષેત્રે વેકેશનોનું સંયોજન થતા આ વર્ષે દિવાળીનું પર્વ લોકો પૂરેપૂરા સમયનો ઉપયોગ કરીને મનભરીને માણી રહ્યા છે, તેવા સમયે અગ્નિશામક તંત્રો, હેલ્થ સેક્ટર, સેનીટેશન, સ્ટ્રીટલાઈટ, ટ્રાફિક નિયમન, કાયદો-વ્યવસ્થા અને યાત્રાધામો તથા પ્રવાસ પર્યટન સ્થળોમાં જરૂરી મૂળભૂત વ્યવસ્થાઓ જાળવતા પાણી પુરવઠો, વીજ પુરવઠો, આવશ્યક પુરવઠો જાળવી રાખવાની વ્યવસ્થાઓ જાળવવા માટે રજાઓનો ત્યાગ કરીને કાર્યરત રહેતા અધિકારી-કર્મચારીઓ, સ્વયંસેવકો તથા સરહદે બાહ્ય અને ગામડાઓ, શહેરોમાં આંતરિક સુરક્ષા જાળવવા કાર્યરત તૈનાત જવાનો અને ઈન્ટરનેટના અદ્યતન ઓનલાઈન વ્યવસ્થાઓ જાળવતા તમામ લોકોને બિરદાવવા જોઈએ.
આજે ધોકો છે, અને આવતીકાલે નૂતનવર્ષ પછી ભાઈબીજથી લાભપાંચમ સુધી વેકેશનનો માહોલ રહેવાનો છે, અને હવે તો છઠ્ઠ માતાજીના તહેવારની ઉજવણી પણ દેશવ્યાપી બની છે. યુ.પી. અને બિહારમાં છઠ્ઠના પર્વનું વિશેષ મહત્ત્વ છે અને ઉત્તર ભારતના રાજ્યોમાં આ તહેવાર ધામધૂમથી મનાવાય છે. અને સૌરાષ્ટ્ર સહિત હવે વિશ્વભરમાં રઘુવંશી પરિવારો દ્વારા કારતક સુદ સાતમના દિવસે જલારામ જયંતી ધામધૂમથી ઉજવાય છે. જામનગર સહિત જલારામ જયંતીની ઉજવણી માટે તૈયારીઓ આજથી શરૂ થઈ ગઈ છે. "નોબત" પરિવાર આ તમામ તહેવારોની શુભકામનાઓ સૌ કોઈને પાઠવે છે.
ગુજરાતીમાં એક કહેવત પ્રચલિત છે કે, "નવી ઘોડી, નવો દાવ..." ગુજરાતમાં રાજકીય ક્ષેત્રેથી એવા સંકેતો મળી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મહત્તમ ફેરફારો કર્યા પછી હવે નવા પ્રદેશ ભાજપ પ્રમુખ પોતાની ટીમ બનાવશે અને પ્રદેશ ભાજપમાં નવા હોદ્દેદારો તથા કારોબારી નિમાશે. આ નવા પ્રાદેશિક માળખામાં હાલારમાંથી કોને મહત્ત્વનો હોદ્દો અપાશે, અને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયેલા મંત્રીઓના કારણે ઊભી થયેલી નારાજગી દૂર કરવા રાજ્યભરના ભાજપના માળખામાં કેવા ફેરફારો થશે તેની ઉત્કંઠા વધી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે દિપાવલી છે, અને સંવત ૨૦૮૧નો છેલ્લો દિવસ છે. આમ, તો આજે બપોર પછી આસો વદ અમાસ જ રહેશે તેથી વિક્રમ સંવતનો અંતે આ વર્ષે બે દિવસો છે, તેમાંથી આજે દિવાળી ઉજવાઈ રહી છે અને આવતીકાલે 'અવકાશ' રહેશે, જેને આપણે ગામઠી ભાષામાં 'ધોકો' કહીએ છીએ. તા. ૨૨મી ઓક્ટોબરે નૂતનવર્ષ ઉજવાશે એટલે કે કારતક સુદ એકમથી વિક્રમ સંવત ૨૦૮૨ શરૂ થશે. આજે ઘેર-ઘેર રંગોળીઓ દોરાઈ છે, આતશબાજી થઈ રહી છે. વેપારીઓ ચોપડા પૂજન કરી રહ્યા છે. મીઠાઈઓની આપ-લે થઈ રહી છે. લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં રોનક છે, મંદિરોમાં વિશેષ દર્શનો થઈ રહ્યા છે અને અન્નકોટ મનોરથો સહિતના વિશેષ મનોરથો, સેવા-પૂજા-મહાપ્રસાદના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં કેટલાક સમાજોમાં આજે બાળકોની "હાટડી" ભરવાનો રિવાજ પણ પ્રચલીત છે. મોટા ભાગે રઘુવંશી વ્યાપારી સમાજના લોકો સંતાનોના નામની "હાટડી" ભરે છે, અને ભગવાન સમક્ષ મીઠાઈ-ફરસાણ, ફ્રૂટ-ડ્રાયફ્રૂટ અને વિવિધ પ્રકારની વાનગીઓ ધરીને અને દીપમાળા પ્રગટાવીને વિશેષ સેવા-પૂજા કરે છે, તે પછી પ્રસાદ લોકોને વહેંચીને સામૂહિક રીતે ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. આવી જ રીતે જુદા જુદા સમાજોમાં વિવિધાસભર પરંપરાઓ અને રિવાજો મુજબ દિવાળીનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે અને દીપાવલી પર્વની શુભકામનાઓ પણ અપાઈ રહી છે. ઘરો શણગારાયા છે, આજે રાત્રે ઠેર-ઠેર દીપમાળાઓ, રોશની અને સુશોભન-શણગાર સાથેનો અનોખો ઝગમગાટ અદ્ભુત દૃશ્યો ઊભા કરશે. અયોધ્યામાં તો લાખો દીવડાઓની વિક્રમસર્જક રોશની આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે અને આજે દીપાવલીના દિવસે ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકની ઉજવણી પણ અયોધ્યાની રામ જન્મભૂમિ સહિત દેશ-વિદેશમાં થઈ રહી છે.
ગુજરાતના યાત્રાધામો રોશની સુશોભનથી ઝળહળી રહ્યા છે અને યાત્રિકો-પ્રવાસીઓનો પ્રવાહ પણ વધી રહ્યો છે, જ્યારે હરવા-ફરવાના સ્થળો તથા ઐતિહાસિક અને હેરિટેજ સાઈટ્સ પર પણ પર્યટકો વધી રહ્યા છે, જામનગરમાં નવીનીકરણ પછીનો ભુજીયો કોઠો, તળાવની પાળ, રણજીતસાગર સાઈટ, નગરના બાગ-બગીચા તથા અન્ય તમામ હરવા-ફરવાના સ્થળો, મંદિરો, ધાર્મિક સ્થળો તથા હોટલ-રેસ્ટોરન્ટો-ભોજનાલયો-ડાઈનીંગ હોલમાં ભીડ ઉમટવા લાગી છે. જામનગરમાં તો બે-ત્રણ દિવસથી ઘણાં રેસ્ટોરન્ટો, ડાઈનીંગ હોલ અને હોટલ્સની "ઓનલાઈન" તથા "હોમ ડીલીવરી"ની સેવાઓ કામચલાઉ રીતે બંધ કરવી પડી હતી, કારણ કે એટલા બધા ઓર્ડર આવ્યા હતા કે પહોંચી શકાય તેવું નહોતું. બીજી તરફ મોટી હોટલો, રિસોર્ટસ, ટ્રાવેલ્સ તથા નાના-મોટા વાહનોમાં એડવાન્સ બુકીંગ પણ છેલ્લા એક અઠવાડીયામાં વધી જતાં ઘણાં સ્થળો હાઉસફૂલ થઈ ગયા છે. દિવાળીના તહેવારોમાં દેશ-વિદેશના પ્રવાસ-પર્યટન અને પારિવારિક તથા સામાજિક પ્રવાસો વધ્યા છે અને ટૂર પેકેજોના માધ્યમથી ઘણાં બધા લોકો પ્રવાસ-પર્યટન માટે અન્ય રાજયો કે દેશોમાં પણ પહોંચ્યા છે.
જામ-ખંભાળીયની ડમ્પીંગ સાઈટ સળગી, તેથી જે ચિંતા સર્જાઈ, તેના પરથી તમામ હરવા-ફરવાના સ્થળો, મંદિરો, બાગ-બગીચા, હોટેલ-રિસોર્ટસ, ધાર્મિક-સામાજિક સ્થળો, વાહન મથકો, પાર્કિંગ સ્થળો, દર્શનીય-ઐતિહાસિક કે હેરિટેજ સ્થળો, રેલવે-બસ વિમાનમથકો સહિત જ્યાં જ્યાં લોકોની ભીડ થતી હોય, તેવા તમામ સ્થળો પર વિશેષ સાવધાની રાખવાની ચેતવણી પણ અપાઈ રહી છે. અને લોકોને ફટાકડા ફોડીને આતશબાજી કરતી વખતે તથા દીપમાળાઓ કે દર્શન-પૂજન-સામૂહિક આરતી વગેરે કરતી વખતે વિશેષ સાવચેતી રાખવાની સલાહ અપાઈ રહી છે.
દ્વારકામાં જગતમંદિરનો ઝળહળાટ અને નગરીમાં ધમધમાટ દુનિયાભરમાં વિવિધ આધુનિક માધ્યમોથી પ્રસરી રહ્યો છે. અગિયારસથી લાભપાંચમ સુધી જગતમંદિરમાં વિવિધ પ્રકારના વિશેષ દર્શન થઈ રહ્યા છે અને થવાના છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ હુંડી લખી હતી અને તે શામળીયા શેઠે અથવા શામળશાએ સ્વીકારી હતી, તેની સ્મૃતિઓને પણ આવરી લેવામાં આવી રહી છે. સુદર્શન બ્રિજના આકર્ષણ સાથે ભગવાન દ્વારકાધીશના નિવાસસ્થાન મનાતા બેટ દ્વારકા ઉપરાંત લોકો દ્વારકા સંકુલના બીચ શિવરાજપુર, ઓખામઢી અને નાગેશ્વર તથા હર્ષદ માતાજી, જલારામ મંદિર સહિતના દ્વારકામંડળના સ્થાનિક મંદિરોમાં પણ ઉમટી રહ્યા છે.
આપણા દેશના વિવિધ પ્રદેશોમાં વિવિધ તહેવારો-પ્રસંગો અને પરંપરાઓ પ્રચલીત છે, જે હવે પ્રદેશ-ભાષા-જ્ઞાતિ-જાતિ-સમાજના સિમાડા તોડીને સાર્વજનિક થઈ ગયા છે. ગુજરાતના ગરબા આખી દુનિયામાં પ્રસર્યા છે તો મહારાષ્ટ્રનો ગણેશોત્સવ પણ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં પ્રચલીત થયો છે., દિવાળી પછી લાભપાંચમ સુધીમાં નૂતનવર્ષ, ભાઈબીજ અને તે પછી દેવદિવાળીના તહેવારો તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સદીઓથી ઉજવાતા હતા, પરંતુ હવે દિવાળી પછી ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઉજવાતું છઠ્ઠનું પર્વ પણ આપણે ત્યાં ઘણું જ પ્રચલીત થયું છે. છઠ્ઠના બીજા દિવસે કારતક સુદ સાતમના દિવસે જલારામબાપાની કર્મભૂમિ વીરપુર તથા જામનગર-હાલાર સહિત દેશ-દુનિયામાં ઠેર ઠેર જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થાય છે, અને રઘુવંશી પરિવારોના સમૂહ ભોજનના કાર્યક્રમો પણ ઘણાં સ્થળે યોજાય છે. જલારામ જયંતી પણ હવે વૈશ્વિક બની છે. આમ, વિવિધતામાં એકતાના સુત્રને સાર્થક કરતી આ ઉજવણીઓ વિશ્વવ્યાપી બની છે, તેમાં અદ્યતન ટેકનોલોજી, ઈન્ટરનેટ, સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયાનું આધુનિકરણ, ઈલેકટ્રોનિક મીડિયાનું કવરેજ, મુખ્ય સ્થળોના સુધરેલા માર્ગો, પરિવહન બુકીંગ અને ટ્રાન્સ્પોર્ટેશનની વધેલી સુવિધાઓ, રોડ-રેલવે-હવાઈ પરિવહનની સુધરી રહેલી અને વિસ્તૃત બની રહેલી સગવડો તથા લોકોમાં પ્રવાસ, પર્યટન અને ધર્મ-ભક્તિ સાથે આનંદ-મોજ-મસ્તીના સંયોજન સાથે આયોજનપૂર્વકના ક્ષમતા મુજબના ટૂર પેકેજોના વિકલ્પો સાથે ગ્રુપ બનાવીને ફરવા જવાની મનોવૃત્તિ પણ કારણભૂત છે.
બીજી ટર્મમાં ચૂંટાયા પછી વિવાદાસ્પદ બનેલા ટ્રમ્પની સામે આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો હોય તેમ લાખો લોકો સડક પર ઉતર્યા હોય કે દિલ્હીમાં જંતરમંતર પર દેશના પેન્શનરોના દેખાવો થયા હોય, અધકચરા યુદ્ધ વિરામોના કારણે ઈઝરાયલ-ગાઝા-હમાસ જેવા ધૂંધવાતા ભારેલા અગ્નિ હોય કે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંઘર્ષ, ચીન-અમેરિકા ટ્રેડ વોર અને રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે પછી પાકિસ્તાન સહિતના દેશોમાં આંતરિક ગ્રહ યુદ્ધ ફાટી નીકળ્યા હોય, આ વખતે અનેક પ્રકારના આરોહ-અવરોહ અથવા ઉતાર-ચઢાવ છતાં આપણો દેશ વિચલીત થયો નથી, તે આપણાં દેશની જનતાની તાકાત છે.
હવે વિક્રમ સંવત ૨૦૮૨ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે નવા વર્ષે દુનિયામાં તૂંડ મિજાજી, તાનાશાહી અને સરમુખત્યારશાહી ધરાવતી શાસનવ્યવસ્થાઓ પર અંકુશ આવે, અથવા નષ્ટ થાય, સુખ-શાંતિ અને સહ-અસ્તિત્વના સિદ્ધાંત સાથે વિશ્વશાંતિ સ્થપાય અને વિશ્વકલ્યાણને કેન્દ્રમાં રાખીને દુનિયાના બધા દેશો પરસ્પર સહયોગી બનીને આગળ વધે તેવી આશા રાખીએ અને નવું વર્ષ આખી દુનિયા માટે મંગળમય, શાંતિમય અને વિકાસ તથા કલ્યાણમય બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરીએ.
'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો, ઈ-પેપરના વાચકો, વીડિયો સમાચારના દર્શકો, નોબતની વિવિધ સોશ્યલ મીડિયા એક્ટિવિટીઝના ફોલોઅર્સ, મોબાઈલ ફોન-વ્હોટ્સએપ બ્રેકીંગ ન્યુઝના ગ્રુપના સભ્યો, ગ્રાહકો, વિજ્ઞાપનદાતાઓ, વિતરકો, પ્રતિનિધિઓ, પત્રકારો, શુભેચ્છકો સહિત સૌ કોઈને દિવાળીની શુભકામનાઓ પાઠવે છે, અને નવું વર્ષ સુખ-શાંતિ-સમૃદ્ધિ સારૃં સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય આપનારૃં નિવડે, તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ વ્યક્ત કરે છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ધનતેરસ છે. ભગવાન ધન્વન્તરિનો પ્રાગટ્ય દિવસ છે. અને આજે ઘનલક્ષ્મી માતાજીનું પૂજન પણ થાય છે. આજે લોકો શુકનવંતી ખરીદી કરે છે અને શુભકાર્યો કરે છે. સોનાના આસમાને પહોંચેલા ભાવોના કારણે સોનાની ખરીદી કરવી જેની પહોંચની બહાર હોય, તેવા લોકો આજે ટોકન પૂરતી ખરીદી કરીને કે ચાંદીના આભુષણોની ખરીદી કરી રહ્યા છે., અને આજે ધન્વન્તરિ જયંતી નિમિત્તે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિના પ્રચાર-પ્રસાર સહિત સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે.
બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળને ખાતાઓની ફાળવણી પછી આજથી પોત-પોતાના કાર્યભાર સંભાળી રહ્યા છે અને દિવાળીના તહેવારોમાં પોત-પોતાના મત વિસ્તારો તથા વતનના ગામોમાં પહોંચશે, ત્યારે તેઓને લોકો આવકારશે. જે નવા મંત્રીઓ બન્યા છે, તેઓના નિવાસસ્થાનો, વતન અને કાર્યસ્થળો પર ધમધમાટ વધ્યો છે, જ્યારે સ્વાભાવિક રીતે જ જેઓને ભૂપેન્દ્ર પટેલની સરકારમાંથી પડતા મુકાયા છે, ત્યાં ભીડભાડ અને લોકોની ચહલ-પહલ ઓછી થઈ જશે. જો કે, તેઓ ધારાસભ્ય તરીકે પોતાની સેવાઓ ચાલુ જ રાખશે, પરંતુ મંત્રીપદે હોય તેવો દબદબો નહીં રહે.
આ વખતે મંત્રીમંડળમાં કેટલાક એવા મંત્રીઓ છે, જેઓ હાલમાં કાયમી ધોરણે જુદા જિલ્લા કે શહેરમાં નિવાસસ્થાન ધરાવે છે, અને તેઓ જ્યાંથી ચૂંટાયા છે તે મતક્ષેત્ર અલગ જિલ્લામાં છે અને/અથવા વતન જુદા જિલ્લામાં છે. જો કે, મંત્રીપદ મળ્યા પછી તો ગાંધીનગરમાં મંત્રીઓનો ફાળવાતા બંગલાઓમાં રહીને જનસેવા કરવાની હોવાથી તેઓનો લાભ તેમના કાયમી નિવાસસ્થાનના શહેર/ગામ, વતનનો જિલ્લો અને પોતાના મતક્ષેત્ર સહિત સમગ્ર રાજ્યને મળશે. બીજી દૃષ્ટિએ જોઈએ તો આ પ્રકારની વ્યૂહરચના અથવા માપદંડ "ચાણક્ય નીતિ" હેઠળ પણ ગોઠવાઈ હોઈ શકે છે. જે હોય તે ખરૃં, મંત્રી તો આખા રાજ્યના હોય, અને આખા રાજ્યનું પ્રતિનિધિત્વ જ કરવું પડે, તે પણ હકીકત છે.
જામનગર શહેરના ધારાસભ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના વિશ્વસનીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક એન પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે, હાલારને બે કેબિનેટકક્ષાના મંત્રી સામે એક રાજ્યકક્ષાના મંત્રી મળ્યા છે અને રાજકોટને તો કોઈ મંત્રીપદ મળ્યું નથી, તેથી આ વખતે કાંઈક અલગ જ દૃષ્ટિકોણ અને રણનીતિથી હાઈકમાન્ડે મંત્રીમંડળની પસંદગી કરી હોય તેમ જણાય છે. એક હકીકત છે કે આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઈટાલીયા વિસાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી જીતી ગયા તે પછી દર વખતે ખોબલે ખોબલે ભાજપને મતો આપતા મતદારોના બદલાતા મિજાજને પારખીને આ વખતે સૌરાષ્ટ્રને વધુ પ્રતિનિધિત્વ મળ્યું છે અને નવા મંત્રીઓની પસંદગીમાં મતવિસ્તારવાર તથા મેરિટને ધ્યાને લઈને જ માપદંડો નક્કી કરાયા હોય તેમ જણાય છે. ટૂંકમાં એક જ લાકડે ધણ વાળવાની માનસિકતાના સ્થાને ઊંડુ મનોમંથન તથા બદલતી જનભાવનાઓની પણ નોંધ લેવાઈ હોય તેમ લાગે છે.
દિવાળી ટાણે ભારતમાં ઉત્સવનો માહોલ છવાયો છે, અને વહેલા પગાર અને ખાનગી ક્ષેત્રે પણ અપાઈ રહેલા પ્રોત્સાહનો છતાં હજુ એકંદરે બજારોમાં અત્યાર સુધી જોઈએ તેવી રોનક જોવા મળતી નહોતી, પરંતુ આજથી બજારો ધમધમશે, પ્રવાસન સ્થળોમાં ચહલ-પહલ વધશે અને યાત્રાધામોમાં ભીડ વધવા લાગશે, તેથી તંત્રો પણ તેની તૈયારીઓમાં વ્યસ્ત બની રહ્યા છે, જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોમાં વૈશ્વિક શાંતિભંગ અને કેટલાક દેશોમાં ગ્રહયુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે રશિયા-યુક્રેન ઉપરાંત નવા યુદ્ધો શરૂ થવા લાગ્યા છે, તેની ચિંતા વધી છે.
જો કે,જગત જમાદારની ભૂમિકાના ચિત્રવિચિત્ર હરકતો કરતા રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાક સહિત સાત-આઠ યુદ્ધો સમાપ્ત કરી દેવાયા હોવાનો દાવો કરતા રહે છે. અને હવે અફઘાનિસ્તાન-પાકિસ્તાનનું પૂર્ણકક્ષાનું યુદ્ધ સમાપ્ત કરવાનું સરળ હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.
જામનગર જિલ્લાને રાજયના પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું, પરંતુ વન, પર્યાવરણ અને ખાસ કરીને પ્રવાસન મંત્રી તરીકે એકંદરે સારૃં કામ કરતા ખંભાળીયાના ધારાસભ્ય અને ભાણવડના વતની મૂળુભાઈ બેરાને પડતા મુકાયા અને દ્વારકા જિલ્લાને કોઈ વૈકલ્પિક પ્રતિનિધિત્વ પણ મળ્યું નહીં. જ્ઞાતિ-જાતિની દૃષ્ટિએ કચ્છ જિલ્લાને પ્રતિનિધિત્વ આપીને ભલે સમીકરણ સરભર કરી દેવાયું હોય, પરંતુ દ્વારકા જિલ્લાનું પ્રતિનિધિત્વ ખુંચવાઈ જતા થોડી નારાજગી જોવા મળી રહી છે.. બીજી તરફ પડોશના જિલ્લા પોરબંદરને કેન્દ્ર સરકાર પછી હવે રાજ્ય સરકારમાં પણ કેબિનેટ કક્ષાનું મંત્રીમંડળ મળતા એકંદરે ઘેડ-બરડા-બારાડી-હાલારના સંયુક્ત ક્ષેત્રનું પ્રતિનિધિત્વ વધ્યું છે, તેવા તારણો પણ ખોટાં નથી.
દિવાળીના તહેવારોમાં જ બદલાયેલી રાજ્ય સરકાર હવે વધુ ગતિશીલતાથી કામ કરશે અને અધુરા કામો ઝડપથી પૂરા થશે, તેવી આશા લોકો રાખી રહ્યા છે. હવે, જામનગરનો ફ્લાય ઓવર બ્રિજ પણ દિવાળી પછી ટૂંક સમયમાં ખુલ્લો મૂકી દેવાશે, તેવી હૈયાધારણા પણ અપાવા લાગી છે !!
અફઘાનિસ્તાને "વટ"થી ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં પાકિસ્તાન સાથે રમવાની ના પાડી દીધી, તે પછી ભારતીય ટીમે પણ હવે પછી કોઈપણ પ્રકારની ક્રિકેટ મેચ કે અન્ય રમતો પાકિસ્તાન સાથે રમવી જોઈએ નહીં, તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુદ્ધ વિરામ છતાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હૂમલો કર્યો અને તેમાં કેટલાક ક્રિકેટરો પણ માર્યા ગયા, તે પછીનો ઘટનાક્રમ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મોટું યુદ્ધ ફાટી નીકળશે, તેવા સંકેતો પછી હવે ટ્રમ્પ આ સંભવિત ભીષણ યુદ્ધ કેવી રીતે અટકાવી શકે છે તે જોવાનું રહ્યું...
રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર રિવાબા જાડેજાને આવકારીએ અને આજથી દિવાળીના તહેવારોની ઉજવણીએ વેગ પકડ્યો છે અને ધનતેરસ ઉજવાઈ રહી છે, ત્યારે "નોબત" પરિવાર અને માધવાણી પરિવાર પ્રિય વાચકો તથા નોબતની ઈન્ટરનેટ સાથે સંલગ્ન સેવાઓ સાથે સંકળાયેલા ફોલોઅર્સ સહિત સૌ કોઈને ધનતેરસની શુભકામનાઓ પાઠવે છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે રાજ્યસભાનું નવુ મંત્રીમંડળ રચાયુ, પરંતુ એ પહેલા ઘેરૃં સસ્પેન્સ રહ્યું, ગઈકાલે રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવા મંત્રીમંડળની યાદી સોંપવા જવાના હતા, પરંતુ તેના બદલે આજે સવારે ગયા અને તે પછી શપથવિધિ સમારંભ યોજાયો, અને નવા-જૂના ચહેરાઓ અંગે છેલ્લા બે-ત્રણ દિવસથી ઉઠી રહેલા સવાલોના જવાબ પણ મળી ગયા, પરંતુ આ ફેરફારો ભાજપ હાઈકમાન્ડે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં અપનાવેલી નવી રણનીતિ મુજબ છે, કે પછી ભૂપેન્દ્ર સરકાર સામેની એન્ટી ઈન્કમ્બન્સી, રાજ્યમાં આમઆદમી પાર્ટીનો વધી રહેલો પ્રભાવ, કોંગ્રેસની વધી રહેલી સક્રિયતા છે કે પછી ટોપ ટુ બોટમ વ્યાપેલા ભ્રષ્ટાચારના કારણે જનતામાં ઘટી રહેલી લોકપ્રિયતાના ગૂપ્ત ફીડબેક પછી "હાઈકમાન્ડે" આ નિર્ણય લીધો છે., તેની ચર્ચા થઈ રહી છે.
આ પહેલા આ પ્રકારના ફેરફારો ભાજપ શાસિત રાજયોમાં થયા, ત્યારે મોટેભાગે આગળની રાત્રે જ તે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવાના હોય, તેને જાણ કરાતી અને આગળની રાત સુધીમાં ફોન આવતા હતા. તેવું આ વખતે થયું નથી, તેથી આજે સવારે મહાત્મા મંદિરમાં મંચ પર ગોઠવાયેલી ખુરશીઓની સંખ્યાના આધારે પ્રેસ-મીડિયાના મિત્રોએ પણ અટકળો કરવી પડી રહી હતી. જો કે, આજે સવારથી ફોન-કોલ્સ આવવા લાગ્યા પછી ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું.
બીજી તરફ અંદાજો, અટકળો અને અફવાઓની આંધી વચ્ચે વિપક્ષી નેતાઓ આ ફેરબદલ અંગે કટાક્ષ કરી રહ્યા હતા, અને ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર, પ્રજા પ્રત્યેની વિમુખતા, ભાજપમાં આંતરિક જૂથવાદ અને અસંતોષ અને એક હથ્થુ (દ્રિહથ્થુ) નેતૃત્વના દુષ્પ્રભાવથી ગ્રસ્ત શાસન-પ્રશાસન વ્યવસ્થાઓ અંગે પ્રહારો કરી રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા ગાંધીનગર આવ્યા અને અમિત શાહનો ગુજરાતનો પ્રવાસ રદ કરીને બિહારના પ્રવાસ નક્કી કરાયો, તે અંગે પણ વિવિધ પ્રકારની અટકળો થઈ રહી છે. આજના ઘટનાક્રમ પરથી એટલું તો ફલિત થાય જ છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને તથા વિરાટ કદની બની ગયેલી સત્તાધારી પાર્ટીમાં ઉકળતો અસંતોષ ખાળવા માટે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અને જે અટકળો થઈ રહી હતી, તેમાં કેટલાક અંશે તથ્ય હતું, તેવું પણ ચર્ચાય છે.
કેટલાક મંત્રીઓના વ્યક્તિગત રાજીનામાઓ સ્વીકારાયા નહીં તેથી તેઓની પુનઃ શપથવિધિ થઈ નથી.
કેટલાક વિશ્લેષકો ચારેક દાયકા પહેલા જયારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા હતા અને કોંગ્રેસે ૧૪૯ બેઠકો મેળવી હતી., તેથી વિપક્ષનું જોર વિધાનસભામાં ઘટી ગયું હતું, તે પછી સોલંકી સરકાર સામે તબક્કાવાર અસંતોષ ઊભો થયો હતો, જેના કારણે કોંગ્રેસમાં જ અભૂતપૂર્વ જૂથવાદ સર્જાયો હતો, તેને યાદ કરીને હાલમાં ભાજપ અને તેની રાજય સરકારની સ્થિતિ લગભગ એવી જ હોવાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક વિશ્લેષકો ૧૮૨ની વિધાનસભામાં ૧૬૦થી વધુ ધારાસભ્યો ધરાવતી પાર્ટીમાં નવા ચહેરાઓને સ્થાન મળે અને અનુભવી વરિષ્ઠોનો લાભ પણ મળે, તે માટે મધ્યાંતરે થયેલા આ ફેરફારને યોગ્ય પણ ગણાવી રહ્યા છે.
હાલારમાં આ ફેરફારોની શું અસરો થશે, હાલારના બે કેબિનેટ મંત્રીઓ રિપિટ થશે કે બદલાશે ? હાલારમાં અને સૌરાષ્ટ્રમાંથી નવા મંત્રીઓ કોણ હશે ? હાલારને પુનઃ પ્રતિનિધિત્વ કેબિનેટમાં મળશે કે કેમ ? તે પ્રકારના પ્રશ્નોનો જવાબ પણ આજે મળી ગયો છે, અને જે નામો ચર્ચાઈ રહ્યા હતા, તેના સંદર્ભે જે કુતૂહલ હતું તેનો જવાબ પણ મળી ગયો છે. જામનગર શહેરમાંથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની અને ભાજપના મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
નવા મંત્રીમંડળમાં પ્રાદેશિક, જ્ઞાતિ, જાતિ, સમાજ, વિવિધ વયજૂથના સમતુલન સાથે તથા શૈક્ષણિક લાયકાત તથા નવા ચહેરાઓ સાથે અનુભવી વરિષ્ઠ ધારાસભ્યોનું સંયોજન કરાયું હોવા છતાં કેટલીક કસર કે ચૂક રહી ગઈ હોય અને કાચુ કપાઈ ગયું હોય તેમ જણાય છે, તો બીજી તરફ પ્રદેશ ભાજપમાં નવી ટીમ માટે પણ કેટલાક દિગ્ગજોને સમાવાશે, તેવી ચર્ચા છે; જોઈએ હવે શું થાય છે તે...
હાલારમાંથી રાઘવજીભાઈ અને મૂળુભાઈ પડતા મુકાયા, પરંતુ તેની સામે રિવાબા જાડેજાને મંત્રીમંડળમાં સમાવાતા નગરના કાર્યકર્તાઓ તથા નેતાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
નવા મંત્રીમંડળમાં બહુચર્ચિત શંકર ચૌધરી અને જયેશ રાદડિયાના નામો નહીં આવતા અને હાલાર સહિતના સૌરાષ્ટ્રમાં કેટલીક ચોક્કસ કોમ્યુનિટીને પ્રતિનિધિત્વ નહીં મળતા તેથી ભાજપને નુકસાન થશે, તેવા અભિપ્રાયો પછી હવે સંગઠનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કોને-કોને-, ક્યુ-ક્યુ પદ આપશે તેના પર સૌની નજર રહેવાની છે.
બીજી તરફ નવા મંત્રીમંડળ પાસેથી પ્રજા કેવી કેવી આશાઓ રાખી રહી છે, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે અને રાજ્યની જનતાને દરરોજ હવે લાઈનોમાં ઊભવું ન પડે, સરકારી કચેરીઓના રોજીંદા ધક્કા ખાવા ન પડે, યુવાવર્ગને સરળતાથી અને પારદર્શક ઢબે રોજગારી મળી રહે, રાજ્યમાં ટોપ ટુ બોટમ વ્યાપેલા ભ્રષ્ટાચારમાં અંકુશ આવે, વિકાસના વિશાળ માચડાઓની આડમાં છેવાડાના વિસ્તારો સુધીની મૂળભૂત સુવિધાઓ તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનતાને માળખાકીય સગવડો વાસ્તવામાં મળી રહે, એવું રાજ્યની જનતા ઈચ્છે છે. હકીકતમાં શાસન અને પ્રશાસન દ્વારા પારદર્શક તથા ભ્રષ્ટાચારથી મૂક્ત વહીવટ તત્કાળ થઈ જશે, અને સુશાસન સ્થપાઈ જશે, તેવી અપેક્ષા તો વધારે પડતી ગણાય તેમ છે, પરંતુ ગરીબ-મધ્યમવર્ગોની વેદના, યુવાવર્ગનો અજંપો તથા પંચાયત-પાલિકા-મહાપાલિકાઓથી લઈને બોર્ડ નિગમો તથા રાજ્ય-કેન્દ્ર સરકારને સંબંધિત કામો તથા યોજનાકીય લાભો માટે "ધક્કા અને લાઈનો મૂક્ત પારદર્શક" વ્યવસ્થાઓ ઊભી થાય, તેવી પણ લોકોની અપેક્ષા છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફારો કેમ કરવા પડ્યા, તેવો સવાલ ઉઠાવતા કેટલાક ચોક્કસ ભ્રષ્ટ મંત્રીઓના જાહેર થયેલા કારનામા ઉપરાંત પણ વ્યાપક ભ્રષ્ટાચારના કારણે રાજ્યમાં ઘટેલી ભાજપની લોકપ્રિયતા અને એન્ટી-ઈન્ક્યલન્સીને કારણભૂત ગણાવીને કહ્યું હતું કે આ બધા સવાલોનો જવાબ મુખ્યમંત્રીએ આપવો જોઈએ.
ગુજરાતના મંત્રીમંડળમાં ફરીથી એક વખત નાયબ મુખ્યમંત્રીની પોષ્ટ પૂનર્જિવિત થઈ અને હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા તે અપેક્ષિત જ હતું. ઘણી વખત આ હોદ્દો માનભેર ગાઈડલાઈન કરવા માટે પણ ભૂતકાળમાં વિવિધ સરકારોએ આપ્યો હતો, તો કેટલીક સરકારોએ નાયબ મુખ્યમંત્રીને "વજનદાર" ખાતાઓ ફાળવીને તેઓને હકીકતમાં નેક્સ્ટ-ટૂ સી.એમ.નું બહુમાન આપ્યું હતું. હવે હર્ષ સંઘવીનું મંત્રીમંડળમાં ટેકનિકલી તો કદ વધ્યું છે, પરંતુ ખાતા ફાળવણી પછીની સ્થિતિમાં નવા મંત્રીમંડળમાં કોને કેટલું મહત્ત્વ આપ્યું, તેની ચર્ચા પણ ચાલવાની છે, કેટલાક વિશ્લેષકો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ યાદ કરી રહ્યા છે !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દિવાળીના તહેવારો નજીક આવતા જ બજારોમાં રોનક આવી ગઈ. બજારોમાં ખરીદી કરવા ઉમટેલા લોકોની ભીડ જામવા લાગી. ગૃહિણીઓએ ઘરની સાફસફાઈ કરીને દિવાળીને ઉમંગભેર આવકારવાની તૈયારીઓ કરી. રમા એકાદશીથી જ દરરોજ અલગ-અલગ રંગોળીઓ કરવામાં માટેની ડિઝાઈનો આજથી જ તૈયાર થવા લાગી છે.
વેકેશન પડતા જ બહાર હરવા ફરવા જવા માટે ટૂર પેકેજ પસંદ કરીને લોકો પ્રવાસે નીકળ્યા, તો વાહનો, બસ-રેલવે અને ફલાઈટ્સના બુકિંગ થવા લાગ્યા, અને ગામડાઓમાં આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ મુજબ ઉમંગભેર દિવાળીના તહેવારો ઉજવવાની તૈયારીઓ પણ થવા લાગી.
જામનગર મહાનગરપાલિકા પણ આગામી દિવાળીના તહેવારોના સંદર્ભે નગરમાં સાફસફાઈ, સ્ટ્રીટ લાઈટ, માર્ગો તથા હરવા-ફરવાના સ્થળો અને બાગ-ગીચાઓની સફાઈ અને તેના ટાઈમીંગના સંદર્ભે જરૂરી આયોજનો કરી જ રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ દિવાળીના તહેવારોમાં એટીએમસીની સિટીબસોમાં લોકો માટે જે નિઃશુલ્ક વ્યવસ્થાઓ કરી છે, તેવી જ રીતે જામનગરની મહાનગરપાલિકા પણ નગરજનો તથા જામનગરમાં ખરીદી માટે તથા હરવા-ફરવા આવતા લોકો માટે ત્રણ-ચાર દિવસો માટે આવી વ્યવસ્થા કરી શકે છે. આમ પણ સિટીબસોના કોન્ટ્રાક્ટની શરતો મુજબ નિયત કરેલી રકમ તો પબ્લિક મનીમાંથી ચુકવાય જ છે, ત્યારે તહેવારો ટાણે આ તમામ સિટીબસો લોકોને ઉપયોગી બને તો તેમાં ખોટું શું છે ?
આપણા નગરમાં સિટીબસોનું ચલણ ઓછું છે, તેવી પાછળના કારણો અલગ છે, પરંતુ જો સિટીબસોનું નિયત ચુકવણું કોન્ટ્રાક્ટરને કરવું જ પડતું હોય અને બસો ખાલી દોડતી હોય તો વાર-તહેવારે ફ્રી સેવા આપીને તથા રાષ્ટ્રીય પર્વો અને વિશેષ દિવસો હોય ત્યારે પણ નિઃશુલ્ક સેવા આપીને આ સેવાને લોકપ્રિય બનાવી શકાય તેમ છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જો આ પ્રકારના નિર્ણયો લેવાતા હોય તો જામનગરમાં તો આ દિશામાં વિચારીને આ દિવાળીના તહેવારોથી જ તેનો અમલ કરી શકાય તેમ છે.
આ ઉપરાંત મોટા શહેરો તથા યાત્રાધામોમાં સ્થાનિક પરિવહન, રિક્ષા, ટેકસી, ખાણીપીણી, ભોજન અને નિવાસની સગવડોમાં નફાખોરી (ઉઘાડી લૂંટ) ન થાય, તે માટે રાજ્યકક્ષાએથી, જિલ્લા તંત્રો દ્વારા તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કડક અભિગમ અપનાવાય અને તહેવારોમાં પણ સતત ચેકીંગ કરીને ઉઘાડી લૂંટ કરતા પરિબળો સામે કડકમાં કડક કદમ ઉઠાવાય તે પણ એટલું જ જરૂરી છે. તહેવારો ટાણે પ્રો-પબ્લિક અભિગમ અપનાવીને તમામ વ્યવસ્થાઓ ગોઠવાય અને ગરીબ-મધ્યમવર્ગોને કેન્દ્રમાં રાખીને જરૂરી પ્રબંધો તથા નિયમનો-નિયંત્રણોની અમલવારી ચૂસ્તપણે થાય, તે અત્યંત જરૂરી છે. તહેવારો દરમ્યાન ટ્રાફિક નિયમન, ભાવ બાંધણા, ચેકીંગ અને વ્યવસ્થાપન થવાની સાથે સાથે નાના વ્યાવસાયિકો-ધંધાર્થીઓની રોજીરોટી પર વિપરીત અસર ન પડે કે રોજગારી છીનવાઈ ન જાય, તેનું બેલેન્સ પણ જાળવવું જ પડે. ટૂંકમાં 'સર્વજન હિતાય, સર્વજન સુખાય' નો મંત્ર કેન્દ્રમાં રાખીને પ્રામાણિકપણે તથા પારદર્શક ઢબે તમામ વ્યવસ્થાઓ થવી જોઈએ, એટલું જ નહીં, રાજકીય કે અન્ય બાબતોની કોઈપણ વિપરીત અસર તહેવારોની ઉજવણી પર પડે નહીં, શાંતિ-સૌહાર્દ જળવાઈ રહે અને લોકો મૂક્તમને નિડરતાથી તહેવારોની મજા માણી શકે, તેવા પ્રબંધો થવા જોઈએ, અને કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાઓ અને સાર્વત્રિક શાંતિ જળવાઈ રહેવા જોઈએ.
આવતીકાલે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલ સાથે વિસ્તરણ થવાનું છે અને અટકળોનું બજાર ગરમ છે, ત્યારે ભાજપવાળા સંગઠનમાં પણ ધરખમ ફેરફારો કરે, તેવી સંભાવનાઓ છે, અને આજે રાજધાની ગાંધીનગરમાં રાજકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. ભલે મંત્રીમંડળ ધરમૂળથી બદલાઈ જાય કે શાસકપક્ષમાં ઉલટફેર થાય, પરંતુ આ દરમ્યાન દિવાળીના તહેવારોમાં પબ્લિકને તકલીફ પડે નહીં અને આ ઉલટફેરની તંત્રો પર અસર પડે નહીં, તેની કાળજી પણ રાખવી પડે તેમ છે.
શાળા-કોલેજોમાં વેકેશન ઉપરાંત વચ્ચેના બે દિવસોની જાહેર રજા સાથે આઠ-દસ દિવસોનુું સરકારી કર્મચારીઓને પણ વેકેશન મળ્યું છે, તેથી પ્રવાસધામો-યાત્રાધામોમાં વધનારી સંભવિત ભીડને ધ્યાને લઈને તંત્રોએ આ વર્ષે વિશેષ તૈયારીઓ કરવી પડે તેમ છે, અને ખાસ કરીને દોડધામ, નફાખોરી, ટ્રાફિક વ્યવસ્થા, કાયદો-વ્યવસ્થા અને પરિવહન, સેનિટેશન, પાણી, વીજ પુરવઠો અને સાફ-સફાઈને લઈને વ્યાપક પ્રબંધો કરવા પડે તેમ હોય, રાજધાનીમાં કોઈપણ ગતિવિધિ થતી હોય, સ્થાનિક કક્ષાએ તેની વિપરીત અસરો પડે નહીં, તે જોવું પડશે.
દર વર્ષે એસ.ટી. નિગમ અને રેલવે તંત્ર દ્વારા દિવાળીના તહેવારોને સાંકળીને જે વધારાની બસો અને ટ્રેનો દોડાવે છે, તેમાં નોંધપાત્ર વધારો કરવો પડે તેમ છે, કારણ કે હવે ગુજરાતમાં લોકલની સાથે સાથે અન્ય રાજ્યો તથા દેશોમાંથી પણ બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ વધવા લાગ્યા છે અને તેના કારણે જ પબ્લિક પરિવહન પૂરૃં પડતું નહીં હોવાથી ખૂબજ ધસારો હોય ત્યારે ખાનગી પરિવહનના ક્ષેત્રે નફાખોરી તથા ઉઘાડી લૂંટ થવા ઉપરાંત અસલામત અને જોખમી રીતે પ્રવાસ કરવા લોકો મજબૂર બનતા હોય છે, અને કેટલાક સ્થળે તો બસ કે ટ્રેનની ઉપર બેસીને અને ઠસોઠસ ભરેલા વાહનોમાં, ઊભા ઊભા કે લટકતા લટકતા મુસાફરી કરવી પડતી હોય છે, જેથી જાહેર આરોગ્ય તથા જીવન પર જોખમ ઊભું થતુું હોય છે. તે ઉપરાંત ધક્કામૂક્કી, ભાગદોડ કે તદ્વિષયક તકરારો ગમખ્વાર બની જાય, તેવી સ્થિતિ નિવારવા માટે પણ પૂરતા પ્રબંધો થવા જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હમણાંથી કેટલીક ઘટનાઓ એવી બની રહી છે, જે લોકતાંત્રિક વ્યવસ્થાઓ અને સુખ-શાંતિભર્યા સહજીવન તથા સૌહાર્દ માટે ચિંતાજનક ગણાય, રાજકીય ક્ષેત્રે તો આદર્શો, મૂલ્યો અને મર્યાદાઓનો હ્રાસ થતો જોવા મળી જ રહ્યો છે, પરંતુ હવે તો સામાજિક, પારિવારિક અને ન્યાયિક ક્ષેત્રે પણ નીતિમત્તા, વિવેક અને સહનશીલતાનું સ્થાન અનૈતિકતા, સ્વાર્થ, અવિવેક, આક્રમકતા અને શોર્ટમાઈન્ડેડ એકશન-રિએક્શન લઈ રહ્યા હોય, તેવું જણાય છે, અને હવે તો અદાલતોમાં પણ કેટલીક અનિચ્છનિય અને નિંદાપાત્ર ઘટનાઓ બનવા લાગી છે, અને કાયદો-વ્યવસ્થાની જાળવણી અને ન્યાયપ્રણાલિત ક્ષેત્રોના એક જ સિક્કાની બે બાજુ જેવા પોલીસતંત્ર અને વકીલ સમુદાયો વચ્ચે થતાં ગજગ્રાહ ઊભો થવાના બનાવો પણ જોવા મળી રહ્યા છે. આટલું અધુરૃં હોય, તેમ અદાલતોમાં ન્યાયવિંદોના અપમાનની ઘટનાઓ પણ વધવા લાગી છે, જે શાસન, પ્રશાસન, બાર અને અદાલતો માટે ચિંતાનો વિષય છે.
થોડા દિવસો પહેલા દેશની સર્વોચ્ચ અદાલતમાં સીજેઆઈ તરફ જૂતુ ફેંકવાનો પ્રયાસ થયો, તેને લઈને આજે પણ ચર્ચા થઈ રહી છે, અને દસેક વર્ષ પહેલા બનેલી એક આ જ પ્રકારની ઘટના પછી અદાલતની અવગણના કે અપમાન કરવાની હરકત સામે અદાલતની સત્તાઓનો ઉપયોગ કરવાની તે સમયે જરૂર જણાવાઈ હતી અને અભિપ્રાયો અપાયા હતા, તેનો સંદર્ભ આપીને હાલની ઘટનાના સંદર્ભે કાર્યવાહી થવી જોઈએ, તેવી ન્યાયક્ષેત્રે ચાલતી ચર્ચાના સંદર્ભે સીજેઆઈએ મોટું મન રાખીને જણાવ્યું હતું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, અને મારા માટે તે "ભૂલાયેલો અધ્યાય" છે.
જો કે, અદાલતોમાં જજો સામે જૂતા ફેંકવાની ઘટનાને હળવાશમાં ન લેવી જોઈએ, તેવું માનનારો પણ એક વર્ગ છે, અને હવે અમદાવાદમાં જજ સામે જૂતુ ફેંકવાની ઘટના પછી આ પ્રકારના અભિપ્રાયને બળ મળ્યું છે. જો કે, અમદાવાદની ઘટના રાજ્યના ન્યાયક્ષેત્રમાં "ટોક ઓફ ધ સ્ટેટ" બન્યો છે, અને તેના પડઘા દિલ્હી સુધી પડયા છે. બીજી તરફ અમદાવાદની જિલ્લા અદાલતમાં જજ તરફ જૂતુ ફેંકવાની ઘટના પાછળનું મુળભૂત કારણ આપણી "સિસ્ટમ" સામે પણ સવાલો ઊભા કરે છે.
આ જૂતુ ફેંકનાર ફરિયાદી ત્રણેક દાયકાથી મારામારી અને ઘાતક હથિયાર સાથે હૂમલો કરવાના કેસમાં કાનૂની જંગ લડી રહ્યો હતો અને અંતે "પૂરાવાના અભાવે" આરોપીઓ નિર્દોષ છુટી જતા આક્રોશ અને હતાશામાં ફરિયાદીએ આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
ફરિયાદીની આ હરકત કોઈપણ રીતે યોગ્ય ગણી શકાય નહીં, અને આક્રોશ કે હતાશાની પ્રક્રિયા કરીને, ફરિયાદી પોતે પણ ક્રિમીનલ જેવું કોઈ વર્તન કરે, તે સ્વીકૃત પણ ગણાય નહીં, પરંતુ ત્રણ-ત્રણ દાયકા સુધી કેસ ચાલતો રહે, દલીલો અને અપીલો થતી રહે અને છેવટે પૂરાવાના અભાવે આરોપીઓ નિર્દોષ છુટી જાય, ત્યારે તેમાં જજ નહીં પણ "સિસ્ટમ" દોષિત છે, તે સમજવું પડે તેમ છે.
હકીકતે આ કેસમાં જજ પર બબ્બે જૂતા ફેંકનાર ફરિયાદીએ મેટ્રોપોલિટન કોર્ટમાં લગભગ ૨૦ વર્ષે આપેલા ચુકાદામાં આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા પછી સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી અને ત્યાં આઠ વર્ષે આવેલા ચુકાદામાં સેસન્સ કોર્ટે અપીલ નામંજુર કરીને આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવવાના નીચલી અદાલતના ચુકાદાને બહાલ કર્યો હતો, તે પછી ફરિયાદીએ આ હરકત કરી હતી.
આ પ્રકરણ પરથી એ ચર્ચા પણ થવા લાગી છે કે આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છુટી જતા હોય, તેવા કેસોની ટકાવારી વધી રહી હોય અતે તેમાં જવાબદાર કોઈ જ ન ઠરતું હોય, તો આ મુદ્દે શાસકો-પ્રશાસકો અને ન્યાયતંત્ર દ્વારા કોઈ નક્કર મિકેનિઝમ ઊભું કરીને સાચા અર્થમાં "ન્યાય" મળતો થાય, તે દિશામાં વિચારવું જ પડે તેમ છે.
બીજી તરફ અદાલતોમાં સુરક્ષા વ્યવસ્થાઓના મુદ્દે પણ હવે વિચારવું જ પડે તેમ છે. અદાલતોમાં જો જજો સામે જ જૂતા ફેંકાવા લાગશે, તો ન્યાયક્ષેત્રનો માહોલ બગડશે તેવી જ રીતે અમદાવાદની ઉક્ત ઘટનાના ફરિયાદીની જેમ જો લોકોનો ન્યાયતંત્રમાંથી જ વિશ્વાસ ઉઠી જશે કે પછી ન્યાયવિદ્દો તરફ આક્રોશ વ્યક્ત થશે, તો ન્યાયની વિભાવના જ કમજોર પડી જશે. લોકોને એ સમજાવવાની પણ જરૂર છે કે અદાલતોમાં અપાતા ચૂકાદાઓ આધાર-પૂરાવા અને દલીલો પર આધારિત હોય છે અને જે કેસમાં પૂરતા પૂરાવા જ મળતા ન હોય તો કાં તો ફરિયાદ ખોટી હોય, અથવા તપાસ યોગ્ય રીતે થઈ ન હોય કે પછી "સિસ્ટમ" ના કારણે કેસ કાચો હોય છે, તેથી તેમાં જજો કે વકીલો સામે નારાજગી કે આક્રોશ વ્યક્ત કરવો યોગ્ય નથી, અને સમગ્ર "સિસ્ટમ"ને ધરમૂળથી સુધારવાની જરૂર છે. કારણ કે હવે તો "સિસ્ટમ" નો વિવાદ ન્યાયક્ષેત્રના સંકુલો સુધી પહોંચી ગયો છે.
ગુજરાત હાઈકોર્ટની "સિસ્ટમ" સામે સવાલો ઉઠાવીને સમગ્ર સંકુલમાં ખૂણે ખૂણે વ્યૂહાત્મક સ્થળે સીસીટીવી કેમેરા લગાવવાનો હુકમ કર્યા પછી જસ્ટિસ સંદીપ ભટ્ટની સંભવિત બદલી સામે વકીલોએ દિવસો સુધી કામકાજ થી દૂર રહીને વિરોધ દર્શાવ્યો હતો, અને તે સમયે મામલો ઠંડો પડી ગયો હતો, પરંતુ તાજા સમાચારો મુજબ હાઈકોર્ટના જે બે જજોની બદલી અન્ય રાજ્યોમાં થઈ છે, તેમાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટ પણ સામેલ છે. આને કહેવાય "સત્તા સામે શાણપણ નકામુ...સિસ્ટમ સામે સૌ લાચાર"!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દિવાળીના તહેવારોમાં લોકો એકબીજાને મીઠાઈ અને ભેટ સોગાદો આપતા હોય છે. દશેરાના દિવસથી મીઠાઈઓ પહોંચાડવાની પ્રથા શરૂ થઈ જાય છે, પરંતુ ખાસ કરીને દિવાળી તથા નૂતન વર્ષના પ્રથમ દિવસે પરસ્પર શુભેચ્છાઓ પાઠવવાની સાથે સાથે મેવા-મીઠાઈ અને ભેટ સોગાદો આપવાની આપણી પ્રાચીન પરંપરા એક પ્રકારનો શિષ્ટાચાર ગણાય છે, પરંતુ આજના યુગમાં શિષ્ટાચારની આડમાં ભ્રષ્ટાચાર પણ આચરાતો હોય છે, અને કાયમ કામ પડતું હોય તેવા સરકારી તંત્રો, અધિકારીઓ અને કર્મચારીઓ જ નહીં, પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વગદાર નેતાઓ તથા એજન્ટો-દલાલો અને પર્સનલ આસિસ્ટંટો સુધી આ શિષ્ટાચાર પહોંચતો હોય છે, અને તેનાથી પ્રેસ-મીડિયા પણ કદાચ બાકાત નથી.
શિષ્ટાચાર અને ભ્રષ્ટાચાર વચ્ચે પાતળી ભેદરેખા છે. જો દિવાળી ટાણે અપાતી મીઠાઈ, ભેટ સોગાદ કે રોકડિયા બક્ષીસો, ભેટ કૂપન્સ, ટૂર પેકેજો અથવા એકોમોડેશનની વિશેષ વ્યવસ્થાઓ કરી આપ્યા પછી તેના બદલામાં આખું વર્ષ "મીઠી નજર" રાખવાની અપેક્ષા રાખવામાં આવતી હોય તો તેને કોઈપણ એંગલથી શિષ્ટાચાર ગણી જ શકાય નહીં, અને એ પ્રકારના ભ્રષ્ટાચારનું જ સ્વરૂપ ગણાય. બીજી તરફ આ પ્રકારની કોઈ પણ અપેક્ષા વિના ટ્રાન્સપરન્ટ ઢબે અને સમાન ધોરણે લોકો પરસ્પર મીઠાઈઓ કે ભેટ સોગાદ આપે, તો તે શિષ્ટાચાર ગણાય, પરંતુ આ ભેદરેખા ઘણી જ પાતળી હોય છે, તેથી ઘણી વખત ભૂંડા ભ્રષ્ટાચારમાં પણ શિષ્ટાચાર દેખાતો હોય છે, જ્યારે ઘણી વખત અણિશુદ્ધ શિષ્ટાચાર સાથે પરસ્પર થતા આ પ્રકારના વ્યવહારોને પણ આશંકાની નજરે જોવામાં આવતા હોય છે. આ પ્રકારના "શિષ્ટાચારો" કોની કોની વચ્ચે, ક્યા ક્યા પ્રસંગે અને કેવા સ્વરૂપમાં તથા કેટલા પ્રમાણમાં થતા હોય છે, તેના પરથી શિષ્ટાચારની આડમાં પનપતા ભ્રષ્ટાચારને પિછાણવાના પ્રયાસો થતા હોય છે.
દિવાળીના દિવસોમાં પ્રાચીન સંસ્કૃતિના શિષ્ટાચારની આડમાં સરકારી કચેરીઓમાં થતા ખુલ્લેઆમ ભ્રષ્ટાચારને ઓળખવા માટે આ વખતે ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોએ વિશેષ પ્રબંધો કર્યા હોવાના અહેવાલો સરકારી તંત્રોમાં "ટોક ઓફ ધ સ્ટેટ" બન્યા છે.
એસીબીએ આ વખતે તમામ સરકારી કચેરીઓમાં ખાનગી વોચર્સ ગોઠવ્યા છે. દિવાળીના તહેવારોમાં કંપનીઓ, કોર્પોરેટ ગ્રુપો, સ્થાપિત હિતો ધરાવતા લોકો સરકારી બાબુઓને મોંઘી ગિફટ આપવા આવતા હોય છે, તેના પર આ ખાનગી વોચર્સ બાજ નજર રાખશે, અને સરકારી નિયમોનો ભંગ થતો જણાય કે શિષ્ટાચારના સ્વરૂપમાં ભ્રષ્ટાચાર પનપતો હશે, તો તેની નોંધ લેવાશે, તેવું જાહેર કરાયું છે.
જો કે, દિવાળી પહેલા જ જામનગરમાં કેટલાક વિસ્તારમાં રોડ પર ધંધો-વ્યવસાય કરવા દેવા માટે રૂ. ૧૪ હજારની નિયત ફી ઉપરાંત "સાહેબની સહી" માટે તગડી રકમ લેવાઈ હોય, તો તેની ઉંડી તપાસ થવી જ જોઈએ ને ?
ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો આ છેલ્લા ૧૪ દિવસમાં લાંચીયા આઠ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને દબોચી લીધા પછી તહેવારો દરમ્યાન ખાનગી વોચર્સ ગોઠવ્યા હોવાથી સરકારી તંત્રોમાં ફફડાટ ફેલાય એ સ્વાભાવિક છે.
માત્ર રાજ્ય સરકારની કચેરીઓ જ નહીં, પણ તમામ સરકારી, અર્ધસરકારી, બોર્ડ, નિગમો અને રાજયના જાહેર સાહસો સહિતના તમામ પબ્લિક સર્વન્ટ્સને આવરી લેવાયા હશે અને અધિકારીઓ જ નહીં, પરંતુ પદાધિકારીઓ વગેરે પર પણ એસીબી નજર રાખશે, તેવું ઈચ્છીએ. રાજયમાં આર.ટી.ઓના અમદાવાદના એક મહિલાકર્મી આવાસ યોજના સાથે સંકળાયેલા અરવલ્લીના આઉટસોર્સ કર્મચારી તથા ગ્રામસેવક, નડિયાદમાં એક એ.એસ.આઈ., નવસારીના એક કોન્સ્ટેબલ, તથા ખેરગામના એક કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓ સામે લાંચરૂશ્વતનો કેસ નોંધાયા પછી તેને પુરવાર કરવા પૂરતા અને સંનિષ્ઠ પ્રયાસો થશે, તેવું પણ ઈચ્છીએ. એટલું જ નહીં, માત્ર દિવાળી ટાણે નહીં, પરંતુ આખું વર્ષ રેન્ડમલી ખાનગી વોચર્સ ગોઠવવા અને વાડ જ ચીભડા ગળે, તેવું પણ બને નહીં, તે જોવું પડે તેમ છે, કારણ કે તાકાતવાળા પરિબળો તથા લોભ-લાલચ કે કોઈપણ રીતે બ્લેકમેઈલીંગ જેવી તરકીબો અજમાવીને ખાનગી વોચર્સ જ ભ્રષ્ટ તરકીબોનું માધ્યમ ન બની જાય, તે પણ જોવું પડે ને ?
ખાનગી વોચર્સની વ્યવસ્થા ઉપરાંત હવે તો "તીસરી આંખ" એટલે કે સીસીટીવી કેમેરા નેટવર્કન્ું નિરીક્ષણ કરવાની છૂટ એન્ટી કરપ્શન બ્યુરોને અપાય અને, તમામ સરકારી બાબુઓ ઉપરાંત પદાધિકારીઓને પણ સીસીટીવી ના દાયરામાં સાંકળી લેવામાં આવે, તો પણ કરપ્શનના કરતૂતોના ઈલે. પુરાવા સાંપડી શકે છે, અને શાકભાજીની માર્કેટની જેમ કેટલાક કામો માટે ભાવતાલ કરતા કે અન્ડરટેબલ લાંચ સ્વીકારતા અધિકારી-પદાધિકારીઓ પર અંકુશ આવે.
હવે કરપ્શનના સ્વરૂપો બદલ્યા છે, પ્રત્યક્ષ લાંચ રૂશ્વતના બદલે પરોક્ષ નવતર પદ્ધતિઓથી લાંચ રૂશ્વતની રકમની ચૂકવણી મિલકત, હવાલો, ટૂર પેકેજ, હાઉસરેન્ટ કે સરકારી બાબુઓના સંતાનો કે પરિવારના નામે થઈ હોય, જેનું પ્રત્યક્ષ ઉદાહરણ બિહારના લાલુપ્રસાદ યાદવ પર ચાલી રહેલા લેન્ડ ફોર જોબના કેસનું છે. આ કેસનો ફેંસલો આવે ત્યારે ખરો, પરંતુ સરકારી નોકરી આપવાના બદલામાં રોકડના બદલે જમીન કે માલ-મિલકત, વાહન, મોંઘી હોસ્પિટાલિટી કે વીઆઈપી સગવડોના સ્વરૂપમાં પણ આપી શકાતી હોય છે.
એસીબીનું આ રાજ્યવ્યાપી કદમ કેટલું સફળ થાય છે, અને અસરકારક બને છે, તે જોવું રહ્યું, કારણ કે જો આ માત્ર ક્રેડિટ ("હર્ષ") મેળવવા માટે કે યશ મેળવવા માટેનો પ્રોપાગન્ડા હશે તો સૂરસૂરીયું પણ થઈ શકે. આની ખરાઈ કરવા જિલ્લે-જિલ્લે દિવાળી પછી માહિતી અધિકાર હેઠળ જાગૃત લોકો કે વિપક્ષ દ્વારા માહિતી માંગવામાં આવે, તેવી પ્રબળ સંભાવના છે..!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બોટાદમાં બબાલ પછી હડદડમાં હોબાળો સર્જાયો અને "કડદા"ના કકળાટમાં પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા, અને તેમાં આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ તથા સ્થાનિક નહીં, સમગ્ર ગુજરાતમાંથી પડેલા પ્રત્યાઘાતો જોતા આ મુદ્દો હવે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો, તે પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે, અને ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદ એપીએમસીમાં ફરીથી આજે હરાજી શરૂ. થઈ ગઈ હોવાના અહેવાલો છે.
હકીકતે બોટાદ જિલ્લાના કોટન યાર્ડમાં ત્યાંની કડદાપ્રથાના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા, જેમાં ખેડૂત અગ્રણીઓ તથા સ્થાનિક આગેવાનો જોડાયા હતા. એકાદ-બે દિવસ પહેલા આમઆદમી પાર્ટીના ખેડૂત નેતાએ બોટાદ કોટન યાર્ડમાં કોટનના (કપાસના) મુદ્દે યાર્ડમાં ચાલી રહેલા ખેડૂતો અને વ્યાપારીઓના વિવાદ, હરાજી પછી કપાસના ટ્રાન્સપોર્ટેશનની જવાબદારીનો મુદ્દો અને કડદાના મુદ્દે બેઠક યોજ્યા પછી ઘરણાં કરીને વિરોધ દર્શાવ્યો હતો., અને પોલીસે નેતાની અડધી રાત્રે અટક કરીને પછી તેના નિવાસસ્થાને છોડો મુક્યા હતા, તે પછી બોટાદ જિલ્લામાં વાતાવરણ તંગ બનતા પોલીસ બંદોબસ્ત વધુ ચૂસ્ત કરાયો હોવાના અહેવાલો હતા.
આટલે સુધી તો બધું ઠીક જણાતું હતું અને ખેડૂતો-વ્યાપારીઓ અને તંત્રો વચ્ચે વાટાઘાટો દ્વારા વિવાદ ઉકેલાઈ શકે તેવું લાગતું હતું., પરંતુ ગઈકાલે બોટાદના હડદડ ગામે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ અને તેની મંજુરી નહીં લીધી હોવાનું જણાવીને થયેલી પોલીસ કાર્યવાહી પછી હડદડમાં હોબાળો સર્જાયો હતો, અને હિંસક સ્વરૂ.પ ધારણ કરી લીધું હતું. પોલીસ પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ પછી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ટીયર ગેસ છોડીને લાઠીચાર્જ કર્યો હતો અને કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. બીજી તરફ આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓએ પણ સમગ્ર ઘટનાક્રમ સામે આક્રોશ ઠાલવ્યો હતો.
બીજી તરફ બોટાદ જવા નીકળેલા આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને પોલીસતંત્રે આગળ જવા ન દીધા અને ધરણાં પર બેસી જતાં પોલીસે તેની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી. ઈશુદાન ગઢવીએ કહ્યું કે અમે આતંકવાદી થોડા છીએ ? ભાજપની સરકાર ખેડૂત વિરોધી છે અને અમે ખેડૂતોને ન્યાય અપાવીને જ રહેશું, વિગેરે પ્રકારના આમઆદમી પાર્ટીના નેતાઓના નિવેદનો પણ આવ્યા હતા. આ તરફ આ આંદોલન સાથે પહેલેથી જોડાયેલા અને ખેડૂત નેતા રાજુ કરપડાએ તો પોલીસની ગાડીઓ હડદડ આવી, તે પહેલાં કેટલાક મોઢા પર રૂ.માલ બાંધેલા લોકો ટોળામાં ભળી ગયા અને તેઓએ જ પોલીસ પર પથ્થરો ફેંક્યા હોવાનો આરોપ લગાવ્યો. તે પછી પોલીસે સ્થિતિ કાબુમાં લીધી. પરંતુ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહી અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો. આ ઘટનાના આજે રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને જે કાંઈ બની રહ્યું છે, તે જોતાં આ મુદ્દો છેક બિહારની વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પણ એક મુદ્દો બનશે, તેમ જણાય છે.
આ મુદ્દે "આપ" સાથે છેડો ફાડી ચૂકેલા ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આ મુદ્દે ઉગ્ર પ્રત્યાઘાતો આપતા ત્યાં સુધી કહ્યુું કે આ બધા પ્રશ્નો અત્યારે ઊભા કરનાર વર્ગ જ્યારે ચૂંટણી આવે, ત્યારે ભાજપને શા માટે ખોબલા ભરીને મતો આપે છે ? એક વખત ભાજપને સત્તામાંથી ઉખેડીને ફેંકી દેવામાં આવશે, તો બધા પ્રશ્નો ઉકેલાઈ જશે, તેમણે ખેડૂતોના આ આંદોલનને સમર્થન પણ જાહેર કર્યું છે.
કડદા આંદોલનને લઈને ખેડૂત નેતાઓના બદલે ખેડૂતોનું શોષણ કરે છે, તેવા લોકોની ધરપકડ કરવી જોઈએ, તેમણે કહ્યું હતું કે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોનું શોષણ કરતા કડદાકાંડ માટે શાસકો અને તેના સમર્થકો જવાબદાર છે. યાર્ડના સત્તાધીશોએ ખેડૂતો તરફી વલણ દાખવવું જોઈએ...હરાજી થયા પછી તથ ખેડૂતોનું શોષણ કરવાના કારસા રચાતા હોય ત્યારે ખેડૂતોએ હવે જાગૃત થવું જ પડશે. હળવદની ઘટના બની તે પહેલા જ ઉમેશ મકવાણાએ આ પ્રકારના નિવેદનો મીડિયામાં કર્યા હતા, અને હળવદના ઘટનાક્રમ પછી આજે જે રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તે જોતાં સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો એકજૂથ થઈને રાજ્યવ્યાપી અવાજ ઉઠાવશે, તેવા સંકેતો, ગઈકાલે મળ્યા હતા. પણ એ ઉલ્લેખનિય છે કે જૂન મહિનામાં ઉમેશ મકવાણાએ આમઆદમી પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા પછી આમઆદમી પાર્ટીમાં પણ પછાતવર્ગોની ઉપેક્ષા થતી હોવાના આક્ષેપો કર્યા હતા., તે પછી તેમને પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવાના અહેવાલો આવ્યા હતા, તે સમયે તેઓ ભાજપમાં જોડાઈ જશે, તેવી વાતો વહેતી થઈ હતી, પરંતુ તે પછી બોટાદ અને હડદડના તાજા ઘટનાક્રમો પછી તેમણે મીડિયા સમક્ષ કરેલા નિવેદનો જોતા તેઓ ભાજપમાં તો નહીં જ જોડાય, પરંતુ તેઓ ખેડૂતોના મુદ્દે પોતાની ભાવિ રાજકીય કારકિર્દીની દિશા નક્કી કરશે, તેમ જણાય છે. જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...!
આમઆદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ પણ આ મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા હતા. ખેડૂતોના આંદોલનને તોડી પાડવા ષડયંત્ર રચાયું હોવાની વાત કરી હતી. જો ખેડૂતો સાથે ભળી જઈને કોઈ શંકાસ્પદ શખ્સોએ આ કૃત્ય કર્યું હોય તો તેમાં સ્થાનિક તંત્રો પણ સંડોવાયેલા હોઈ શકે છે, તેવી સમગ્ર ઘટનાક્રમની ન્યાયિક તપાસ થાય અને તેમાં સ્થાનિક તંત્રોની ભૂમિકાની પણ તટસ્થ તપાસ ન્યાયિક દેખરેખ હેઠળ થાય, તે જરૂ.રી હોવાનો જનમત પણ ઘડાઈ રહ્યો છે. તે પછી આજે પાટનગર ગાંધીનગરમાં શું નિર્ણયો લેવાય છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ નોબેલ પુરસ્કાર મેળવવાના હવાતિયાં નિષ્ફળ ગયા અંતે આ સન્માન નોર્વેજિયન નોબેલ કમિટીએ વેેનેઝુએલામાં વિપક્ષના નેતા અને ગાંધીવિચારોથી પ્રભાવિત મનાતા મહિલા નેતા મારિયા કોરિના માચાડોને આપવાની જાહેરાત કરી તે પછી ટ્રમ્પ અને વ્હાઈટ હાઉસે જે પ્રત્યાઘાતો આપ્યા તે આપણી સામે જ છે. ટ્રમ્પને આ વર્ષે શાંતિ નોબેલ પ્રાઈઝ મળ્યું નહીં, અને માદુરો સરકાર સામે લડત આપીને તાનાશાહી સામે લોકતાંત્રિક વ્યવસ્થા માટે શાંતિપૂર્વક અનેક પ્રકારના કષ્ટો વેઠીને ઝઝુમનાર મારિયાને મળ્યું તેના કરતાં પણ વધુ ટ્રમ્પની નારાજગી ભૂતકાળમાં બરાક ઓબામાને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું, તેની સામે હોય, તેમ જણાય છે. અવાર નવાર ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધો અટકાવવાનો દાવો કરીને નોબેલ પીસપ્રાઈઝનો દાવો કરતા ટ્રમ્પ ભલે શરમજનક સ્થિતિમાં મુકાયા હોય, છતાં તેમના નિવેદનો તો હજુ પણ દુનિયાને વિસ્મયમાં મૂકી દેનારા અસાધારણ જ હોય છે.
ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથેની સૂચિત મુલાકાત કેન્સલ કરી નાંખી હોવાના નિવેદનમાં પલટી મારી પરંતુ ચીન પર ૧૦૦ ટકા ટેરિફની જાહેરાત કરી, તેથી આ બંને શક્તિશાળી દેશો વચ્ચે કોલ્ડવોરની શરૂઆત થઈ ગઈ હોવાના અહેવાલો જોતાં વૈશ્વિક આર્થિક અને રાજનૈતિક ઉથલ-પાથલો માટે જવાબદાર કોણ ? બેશરમ કોણ ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
આ તરફ પોતાનું એક સોશ્યલ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જતાં ગિન્નાયેલા સમાજવાદી નેતા અખિલેશ યાદવે આ માટે મોદી સરકારને જવાબદાર ગણાવીને મેટા સામે નારાજગી વ્યક્ત હોવાના અહેવાલોએ પણ અલગ જ પ્રકારની ચર્ચા શરૂ કરી છે.
ગઈકાલે વિદેશમંત્રી એસ.જયશંકરે અફઘાનિસ્તાનની તાલીબાન સરકારના ભારતની મુલાકાતે આવેલા વિદેશમંત્રી અમીરખાન મુત્તાકી સાથે બંધ બારણે વાટાઘાટો કરી અને તે પછી તેમણે તાજમહેલ તથા યુ.પી.માં દેવબંધની મુલાકાતનો કાર્યક્રમ જાહેર કર્યો તે પછી સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉલ-રહેમાન-બર્કે તેનો વિરોધ કર્યો છે, અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ પર શાબ્દિક પ્રહારો કર્યા, તે ઘણાં જ સૂચક, હકીકતલક્ષી અને પ્રવર્તમાન પ્રવાહોમાં સુસંગત જણાય છે., એટલું જ નહીં, "ગરજે ગધેડાને...." વાળી કહેવત ની યાદ અપાવી જાય છે.
બર્કે સોશ્યલ મીડિયાના માધ્યમથી સવાલ ઉઠાવ્યો છે કે, સંભલના પૂર્વ સાંસદ ડો.શફીકૂર રહેમાને તાલિબાન સરકારની પ્રશંસા કરી હતી, ત્યારે યોગીએ કહ્યું હતું કે ડો. શફીકુર રહેમાનને શરમ આવવી જોઈએ, હવે જ્યારે એ જ તાલીબાની સરકારના મૈત્રી દેવબંદના આગ્રામાં તાજમહલની મુલાકાત લેશે, ત્યારે યોગી સરકાર કોની સામે એફઆરઆઈ નોંધશે ? કોને શરમ આવવી જોઈએ ?
ગુજરાતમાં પણ અલગ જ પ્રકારની ચર્ચા ચાલે છે, મીઠાપુર વિસ્તારમાં કાર્યરત ખંડણીખોર અને અપહરણ જેવા સિન્ડિકેટ ક્રાઈમ કરતી મહાદેવ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધીને રિમાન્ડ મેળવાયા હોય કે લૂંટનો પ્લાન બનાવતી પાંચ સભ્યોની લૂંટારૂ ટોળકીને ઝડપી લેવાની કાર્યવાહી હોય, તે માટે એલસીબીની પીઠ થાબડવી પડે, તો બીજી તરફ આ પ્રકારની ગુન્હાખોરી તરફ જો યુવાનો વળવા લાગ્યા હોય અને સિન્ડિકેટ ક્રાઈમમાં છાપેલા કાટલા જેવા ગુન્હેગારો જોડાવા લાગ્યા હોય તો તે કોના માટે શરમજનક ગણાય ?
આ પ્રકારની ગુન્હાખોરી તથા સિન્ડિકેટ ક્રાઈમમાં વ્યાપ વધવા પાછળ બેરોજગારી જવાબદાર છે, સોશ્યલ મીડિયાની નેગેટિવ અસરો જવાબદાર છે કે પછી શોર્ટકટથી ધનવાન બની જવાની ઘેલછા જવાબદાર છે, તેનું સંશોધન કરીને બુનિયાદી કારણો પર જ પ્રહાર કરીને લોકો ગુન્હાખોરી તરફ ધકેલાતા અટકાવવા જોઈએ, તેમ નથી લાગતું ? આ પ્રકારની વધતી જતી ગુન્હાખોરી માટે રાજકીય અને સામાજિક નબળી નેતાગીરી, શાસનની નીતિઓ તથા પ્રશાસનની પોકળતા જવાબદાર ન ગણાય ? અવારનવાર ઝડપાયા પછી પણ કેટલાક રીઢા ગુન્હેગારોને જરાયે શરમ જ આવતી ન હોય તો તેની પાછળ જવાબદાર કોણ ? તે સમાજ અને સમુદાયોએ પણ વિચારવું પડે તેમ છે.
હાલારમાં એક તરફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે કાર્યવાહી થઈ રહી છે, તો બીજી તરફ ઓર્ગોનાઈઝ્ડ એન્ક્રોચમેન્ટ સામે તંત્રો આંખ આડા કાન કરતા હોવાથી જામનગરમાં કેટલીક સોસાયટીના રહીશોએ ઘંટરાવ કરવો પડી રહ્યો છે. જામનગરની ચોતરફ વિકસેલી સોસાયટીઓ-ટાઉનશીપો તથા એપાર્ટમેન્ટ-ટેનામેન્ટની વસાહતોમાં પણ સાર્વજનિક પ્લોટ્સ અને સાર્વજનિક સ્થળો પર થતા ગેરકાયદે કૃત્યો, દબાણો અને માર્ગો-ફૂટપાથો પર કામચલાઉ ગેરકાયદે કબજાઓ સામે સંબંધિત તંત્રો, જનપ્રતિનિધિઓ, શાસકો-પ્રશાસકો હકીકતમાં કડક અભિગમ દાખવે, તે અત્યંત જરૂરી છે. આ કાયદો-વ્યવસ્થાને સંબંધિત જણાતી બાબતોના મૂળમાં જઈને સામાજિક અને સૌહાર્દપૂર્ણ ઢબે જનજાગૃતિની પણ અત્યંત આવશ્યકતા છે. જો બેરોજગારી અને સંગતદોષ જેવી સમસ્યાઓનું નિવારણ થશે, તો ગુન્હાખોરી ઘણી જ ઘટી જશે.
ગુજરાતમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દૂરદર્શી નેતૃત્વ માટે ૧.૧૧ લાખથી વધુ પોષ્ટકાર્ડ લખાયા હોવાની ચર્ચા સોશ્યલ મીડિયામાં જોરશોરથી થઈ રહી છે, તેની સાથે-સાથે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓએ ગુજરાતની મહિલાઓને ઉદૃેશીને એવી જાહેરાત કરી હતી કે, રાજ્યની કોઈપણ બહેન (મહિલા) ને મુશ્કેલી હોય કે મદદની જરૂર હોય, તો એક પોષ્ટકાર્ડ લખે, કારણ કે ગાંધીનગરમાં તેનો ભાઈ બેઠો છે, તેની પણ ચર્ચા થઈ રહી છે. મહિલા સુરક્ષા અને મહિલા કલ્યાણ માટે રાજ્ય-ક્ેન્દ્ર સરકારોએ ઉઠાવેલા અન્ય પગલાંને સાંકળીને પણ ગોબેલ્સ સિસ્ટમથી પ્રચાર થઈ રહ્યો છે.
બીજી તરફ 'ટેરિફાતંક' અને ભારત વિરોધી તથા ખુલ્લેઆમ પાકિસ્તાન તરફી વલણો અપનાવનાર તૂંડમિજાજી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની વિવિધ મુદ્દે વાતચીત થઈ હોવાના અહેવાલો આવ્યા પછી આજે વહેલી સવારે એવા અહેવાલો પણ આવ્યા કે ટ્રમ્પ પ્રશાસને યૂ-ટર્ન લઈને હાલ તુરત જેનેરિક દવાઓ પરનો ટેરિફ મુલતવી રાખ્યો છે. આ કારણે ફાર્મા પ્રોડકશન્સની મોટા પાયે અમેરિકામાં નિકાસ કરતા ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને રાહત પહોંચી છે. અને અમેરિકામાં આયાત થતી દવાઓમાં ૪૭% દવાઓ ભારતથી આવતી હોવાથી તેના પરથી ટેરિફ હટી જતા અમેરિકાની જનતાને પણ ફાયદો થશે. કારણ કે ટ્રમ્પનો ટેરિફ પહેલી ઓક્ટોબરથી લાગુ થનાર હતો, તે નિર્ણય પાછો ખેંચાયો ન હોત તો અમેરિકામાં જીવનજરૂરી મેડિસિન્સના ભાવો ભડકે બળ્યા હોત, કારણ કે આ મેડિસિન્સ તત્કાળ સ્થાનિક ધોરણે પૂરી પાડી શકાય, તેવું ઉત્પાદન અમેરિકામાં જ કરવું અસંભવ છે અને અન્ય કોઈ સસ્તો વિકલ્પ પણ અમેરિકા પાસે નથી, તેથી મજબૂરીમાં ટ્રમ્પે આ નિર્ણય લેવો પડયો હોવાની ચર્ચા પણ થઈ રહી છે, અને ટ્રમ્પના આ નિર્ણયને બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત સાથે જોડીને યશ લેવાની ચેષ્ટા થઈ રહી હોય, તે ખરૃં. પણ હાલ તુરંત તો ભારતીય ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝને રાહત થઈ જ છે, તે હકીકત છે, શરત એટલી જ કે ટ્રમ્પ ફરીથી યુ-ટર્ન લઈને નિર્ણય ફેરવી ન નાંખે !
કેટલાક રાજકીય વિશ્લેષકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે આ રાહતને "અંકે" કરવા ક્યાંક ભાજપ બ્રિગેડ દેશવ્યાપી પોષ્ટકાર્ડ ઝુંબેશ ન આદરે !
જ્યારે પોષ્ટકાર્ડ ઝુંબેશની ચર્ચા થઈ રહી છે, ત્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી શરૂ થયેલી એક પોષ્ટકાર્ડ ઝુંબેશની પણ નોંધ લેવી જ પડે, અને મહિલા સુરક્ષાના મુદ્દે પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બહેનોને પોષ્ટકાર્ડ લખીને જરૂર પડયે મદદ માંગવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પણ યાદ કરવી પડે, કારણ કે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને જામનગરના ગામડાઓમાંથી આ ઝુંબેશ શરૂ થઈ છે અને "દેશી દુષણ"ના દુષ્પ્રભાવોને લઈને ચાલી રહેલી આ પોષ્ટકાર્ડ ઝુંબેશે સમગ્ર રાજ્ય અને દેશનું ધ્યાન ખેંચ્યું છે.
જામનગરના ગામડાઓમાંથી ઉદ્ભવેલી આ ઝુંબેશ યોગાનુયોગ ગાંધી જયંતીની ઉજવણી તથા નશાબંધી સપ્તાહના ટાણે જ શરૂ થઈ છે, અને તેની પાછળ દેશી દારૂના દૈત્યના કારણે એક નિર્દોષ ખેડૂતનો જીવ ગયો હોવાથી ગુજરાતની "કડક" દારૂબંધી સામે પણ સ્વાભાવિક રીતે જ સવાલો ઉઠી રહ્યા છે.
બન્યું એવું કે ધૂતારપુર-કાલાવડ રોડ પર થોડા દિવસો પહેલા બે બાઈક અથડાઈ પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જનાર વ્યક્તિ નશાની હાલતમાં હોવાનું સંબંધિત વિસ્તારના ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે અને પંદરેક ગામોના લોકોએ દેશી દારૂના દુષણને લઈને મુખ્યમંત્રીને પોષ્ટકાર્ડ લખવાની ઝુંબેશ ચાલી રહી હોય તો તે રાજ્યની દારૂબંધીની નીતિને અનુરૂપ અને નશાબંધી વિભાગો માટે શરમજનક ગણાય.
દશેરાના દિવસે સર્જાયેલી આ દુર્ઘટનામાં બે વ્યક્તિનો ભોગ લેવાયો, તેમાંથી એક નશામાં ધૂત હોવાની આશંકા સાથે પ્રગટેલી દેશી દારૂના દુુષણ સામે આક્રોશની જ્વાળાએ હવે રાજ્ય અને દેશની નેતાગીરીનું પણ ધ્યાન ખેંચ્યું છે, ત્યારે આ મુદ્દો "પોષ્ટકાર્ડ" ઝુંબેશના કોન્સેપ્ટના માધ્યમથી વડાપ્રધાન સુધી પહોંચશે અને ગુજરાતના મુખ્યમંત્રીનું કાર્યાલય જામનગરના ગ્રામ્યજનોની સામૂહિક પોષ્ટકાર્ડ ઝુંબેશને ગંભીરતાથી નોંધ લેશે તેવું ઈચ્છીએ, આ તમામ પોષ્ટકાર્ડ ટેબલ-ટુ-ટેબલ કચરા નિકાલ ઝુંબેશમાં ડસ્ટબીન્સમાં ન ફેંકાઈ જાય અને તે બધામાં ઈન્વર્ડ નંબર પડે, તેવી ઈચ્છા રાખતા જાગૃત નાગરિકો કેટલા પોસ્ટકાર્ડ આવ્યા, તે અંગે રાઈટ ઓફ ઈન્ફર્મેશન એકટ હેઠળ માહિતી માંગશે, તેવા સંકેતો તથા જો દસ દિવસમાં હજારો પોષ્ટકાર્ડ લખ્યા પછી પણ નક્કર કદમ નહીં ઉઠાવાય તો જરૂર પડયે સત્યાગ્રહ, આશ્ચર્યજનક કાર્યક્રમો અને દેશી દારૂના અડ્ડાઓ અને ફેકટરીઓ ઉપરાંત તેના છાપેલા કાટલા જેવા વિતરકો (વેચાણ કેન્દ્રો અને દેશી દારૂ વેચતા લોકોના ઘરો સહિત) ને ત્યાં જનતા રેડ પાડવા સહિતના આંદોલનોની અપાયેલી ચેતવણી જોતા જામનગરના ગામડાઓમાંથી ઉઠેલી જનજાગૃતિની આ જ્વાળા રાજ્યવ્યાપી બન્યા પછી ગુજરાતની જેમ "દારૂબંધી" ધરાવતા બિહાર સુધી પણ પહોંચી શકે છે, અને ત્યાં ચૂંટણીના પ્રચારનો મુખ્ય મુદ્દો પણ બની શકે છે, તેથી એનડીએના નેતાઓએ પાણી પહેલા પાળ બાંધવી જોઈએ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફને સનેપાત ઉપડ્યો હોય, તેવા નિવેદનો કરતા બન્ને દેશો વચ્ચેની તંગદિલીમાં વધારો થયો છે. તેમણે કહ્યું છે કે, બિહારની ચૂંટણીના કારણે ભારત સરકાર માહોલ બગાડી રહી છે અને શાસક રાજકીય પક્ષો ચાલ રમી રહ્યા છે. તેમણે ભારત સાથે ફરીથી યુદ્ધ થવાની સંભાવના સાથે એવું પણ કહ્યું કે, જો યુદ્ધ થાય, તો પાકિસ્તાન પહેલા કરતા પણ વધુ સારા પરિણામો લાવશે. ખ્વાજા આસિફે એક વિચિત્ર નિવેદનમાં કહ્યું હતું કે, ભારત ઔરંગઝેબના શાસનકાળમાં જ સંપૂર્ણપણે એક અને અતૂટ રાષ્ટ્ર હતું, તે સિવાય ઈતિહાસમાં ક્યારેય ભારત સંપૂર્ણ એક રાષ્ટ્ર રહ્યું નથી!
હકીકતે ખ્વાજા આસિફના આ પ્રકારના બેબુનિયાદ, બેહુદા અને તર્ક-તથ્ય વગરના નિવેદનો પાછળ ડર અને હતાશા ડોકાય છે. ભારતના સેનાધ્યક્ષે તાજેતરમાં ચિમકી આપી હતી કે જો પાકિસ્તાન સીમાપાર આતંકવાદની હરકતો તથા પાકિસ્તાનની ધરતી પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે, તો ભૂગોળમાંથી ભૂસાઈ જશે. હવે ભારત ઓપરેશન સિંદૂર જેવો સંયમ નહીં રાખે.
ભારતના વાયુદળના વડાએ પણ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના કેટલા યુદ્ધવિમાનો તોડી પાડ્યા હતાં, તેની ચોખવટ કરીને પાકિસ્તાનને 'માપ'માં રહેવાનો પરોક્ષ નિર્દેશ કર્યો હતો, તે પછી ફફડતા પાકિસ્તાનના રક્ષામંત્રીને આ પ્રકારનો સનેપાત ઉપડ્યો હોવાના કટાક્ષો થઈ રહ્યા છે, અને બીજી તરફ અમેરિકા દ્વારા શસ્ત્રસહાયની જાહેરાત થયા પછી પાકિસ્તાનને અંડર એસ્ટીમેન્ટ કરવાના બદલે હકીકતે પૂરતી તૈયારી રાખવી જોઈએ, તેવા અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.
અમેરિકાના ધૂની રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળનું એક વર્ષ પૂરૃં થઈ ગયા પછી તેની તમામ રીતિનીતિઓ તથા ટેરિફાતંક પછી દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે, અને ટ્રમ્પ પરિવારના અંગત હિતો માટે અમેરિકાની સમગ્ર સિસ્ટમ કામે લગાડી દેવાઈ હોવાની ટીકા હવે અમેરિકામાં જ થવા લાગી છે, તથા ટ્રમ્પની લોકપ્રિયતાનો આંક ઘટી રહ્યો છે, ત્યારે દુનિયાના દેશો પણ હવે ચેતી ગયા છે, અને અમેરિકાના પ્રભાવ અને ડોલરની દાદાગીરી સામે વિકલ્પો શોધી રહ્યા છે, ત્યારે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનને એઅઈએમ-૧ર૦ એડવાન્સ્ડ મીડિયમ રેન્જ એર-ટુ-એર મિસાઈલ્સ ફાળવવાની વાત કરીને અમેરિકાએ પાકિસ્તાનની કોણીએ ગોળ ચોંટાડ્યો છે, અને વર્ષ ર૦૩૦ સુધીમાં આ મિસાઈલ્સ આપવાની વાત થઈ રહી હોય, તો ત્યાં સુધીમાં તો કદાચ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પણ નહીં હોય, અને અમેરિકા પણ ટ્રમ્પની નીતિઓના કારણે વેરવિખેર થઈ ગયું હશે!
બીજી તરફ એ પણ હકીકત છે કે ચૂંટણીઓમાં પાકિસ્તાન વિરોધી માહોલનો ઉલ્લેખ પણ ઉભયપક્ષે થતો રહ્યો છે, અને તેના રાજકીય ફાયદા મેળવવાનો પ્રયાસ પણ થતો રહ્યો છે. આ કારણે જ પાકિસ્તાનના રક્ષામંત્રી હાલમાં ભારત-પાક. તંગદિલીને બિહારની ચૂંટણી સાથે સાંકળી રહ્યા છે, જેનો જવાબ એવી રીતે અપાઈ રહ્યો છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે આઝાદી પછી સતત તંગદિલી ચાલી રહી છે, અને ભારતમાં કોઈને કોઈ રાજ્યમાં કોઈને કોઈ પ્રકારની ચૂંટણીઓ તો ચાલતી જ રહેતી હોય છે, તેથી ભારત-પાક. વચ્ચેની તંગદિલીને ચૂંટણીઓ સાથે સાંકળાવી જોઈએ નહીં.
હકીકતે ચૂંટણીના પ્રચારમાં ક્યા ક્યા મુદ્દાઓ ચલાવવામાં આવે છે, અને મતબેંકને મજબૂત બનાવવા કેવા કેવા નૂસ્ખા અજમાવવામાં આવતા હોય છે, તે ઓપન સિક્રેટ જ છે ને?
પાકિસ્તાનના રક્ષામંત્રી વાસ્તવમાં બુદ્ધિનું વરવું પ્રદર્શન કરી રહ્યા છે, તેઓ એ ભૂલી ગયા છે કે પાકિસ્તાન પણ વર્ષ ૧૯૪૭ સુધી તો અખંડ ભારતનો હિસ્સો જ હતું, અને આઝાદી પછી ભારતમાં તો હંમેશાં લોકતાંત્રિક સરકારો જ રહી, પરંતુ પાકિસ્તાનમાં અનેક વખત પ્રત્યક્ષ સૈન્ય શાસન રહ્યું છે, અને ચૂંટાયેલી સરકારો પણ માયકાંગલી અને આતંકવાદીઓ, આઈએસઆઈ અને આતંકીઓના ઈશારે નાચતી ત્યાંની સેનાના પ્રભાવ હેઠળ જ રહી છે. પાકિસ્તાનના અણુ વૈજ્ઞાનિકોએ પરમાણુ ટેકનોલોજી વેંચી, સૈન્ય અને આઈએસઆઈ એ દેશની પથારી ફેરવી નાખી તથા તેના ઈશારે નાચતી સરકારોએ ચીનને ઉદ્યોગો, ખાણો અને ખનિજસંપત્તિ વેંચી નાંખી. ભારતની જે જમીન પર પાકિસ્તાનનો અનધિકૃત કબજો છે, તે પીઓકે તથા સ્વતંત્રતાની લડત લડી રહેલા બલુચિસ્તાનની જમીન પણ પાકિસ્તાને જાણે ભાડાપટ્ટે આપી દીધી હોય તેમ ચીન પછી હવે અમેરિકાની કંપનીઓ દ્વારા પ્રોજેક્ટો સ્થપાઈ રહ્યા છે, જે આ પાયમાલ થયેલા દેશની કંગાળિયાત દર્શાવે છે.
કેનેડાના વડાપ્રધાને ટ્રમ્પે ભારત-પાક. યુદ્ધ અટકાવ્યું હોવાની વાત કરી હોય કે ભારતે ગાઝા શાંતિ પ્રસ્તાવને ટેકો આપીને ટ્રમ્પનું સમર્થન કર્યું હોય કે પછી ટેરિફાતંક પછી પણ ભારતે સંયમ જાળવ્યો હોય, તે બધું વૈશ્વિક રાજનીતિ તથા કુટનીતિનો જ ભાગ છે. હકીકતે અમેરિકા સામે અફઘાન મુદ્દે ભારત, પાકિસ્તાન, રશિયા, ચીન, ઈરાન તથા મધ્ય એશિયાના દેશોએ એકજુથ થઈને પ્રબળ વિરોધ નોંધાવતા ટ્રમ્પની પણ હવા નીકળી ગઈ છે!
અફમાનિસ્તાનમાં કોઈપણ વિદેશી સૈન્ય સુવિધાઓ કે માનવબળનો વિરોધ કરતા આ દેશોએ ટ્રમ્પની બગરામ એરબેઝ અમેરિકાને પરત કરવા તથા અફઘાનિસ્તાનમાં ફરીથી અમેરિકા દળોને તૈનાત કરવાની સામ્રાજ્યવાદી મેલી મુરાદ સાથેની ચાલબાજીને આ દેશોએ ઉંધી વાળી દીધી છે. વિરોધ કરનારા દેશોમાં પાકિસ્તાન પણ સામેલ હોવાથી ટ્રમ્પની પણ ફજેતી થઈ ગઈ છે, અને તેના 'આઈ લવ પાકિસ્તાન'ના નિવેદનને સાંકળીને વિવિધ કટાક્ષો અને કોમેન્ટો પણ થઈ રહી છે, અને કાર્ટુનિસ્ટોને ટ્રમ્પને લઈને કાર્ટુનો ચિતરવાનો મોકો પણ મળી ગયો છે.
સામાનય જનમત એવો છે કે દેશના જવાનોએ શહીદી વ્હોરીને સિદ્ધિઓ મેળવી હોય, કે સૈન્ય દ્વારા બહાદુરીભર્યા ઓપરેશનો ચલાવાયા હોય તો તેનો ઉલ્લેખ કરીને તરફેણ કે વિરોધ સાથે નિવેદનો કરીને કે સેના સામે સવાલો ઊઠાવીને ચૂંટણીઓમાં લાભ મેળવવાનો પ્રયાસ થતો હોય તો તે નિંદનીય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને શાળાઓમાં વેકેશનની સાથે સરકારી કચેરીઓમાં વચ્ચેની રજાઓ જાહેર કરાતા અઠવાડિયા જેવુું વેકેશન પડવાનું છે, ત્યારે હવે બજારોમાં રોનક જોવા મળશે અને લોકો શોપીંગ, ખાણીપીણી અને હરવા-ફરવા માટે ઉમટી પડશે તથા ટૂર-ટ્રાવેલ્સ-હોટલોમાં બુકીંગ ઝડપભેર થવા લાગશે, તેવી આશા સેવવામાં આવી રહી છે., અને રેલવે તથા એસ.ટી. કોર્પોરેશન પણ પૂરતા પ્રમાણમાં વધારાની ટ્રેનો તથા બસો દોડાવાશે, તેવી આશા પણ લોકો રાખી રહ્યા છે. ખાણીપીણી, ચીજ-વસ્તુઓ, ખાનગી ટ્રાવેલ્સ તથા સ્થાનિક પરિવહનના ભાડા અને હોટલ-નિવાસમાં નફાઓની કે ઉઘાડી લૂંટ થાય નહીં, તે માટે સંબંધિત તંત્રો માત્ર કાગળ પર આદેશો કરીને નહીં, પરંતુ સતત ચેકીંગ કરતા રહીને ચૂસ્ત અમલ કરાવશે, તેવા કડક પ્રબંધો રાજ્યસ્તરેથી ગામડાઓ સુધી થાય, તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે.
આ વખતે સતત વરસાદ પડવાથી સાતમ-આઠમના તહેવારો સમયે લારી-ગલ્લા-પાથરણાંવાળાઓ સહિતના સિઝનલ ધંધો કરીને ગુજરાન ચલાવતા ઘણાં પરિવારોને નુકસાન થયું હતું. અથવા ધાર્યા મુજબની આવક થઈ નહોતી. આ પ્રકારના છુટક વ્યવસાયકો દિવાળીના તહેવારોમાં એ નુકસાન સરભર કરવા પ્રયાસો કરે, તે સ્વાભાવિક છે. બીજી તરફ દિવાળીના તહેવારોમાં સ્થાનિક પરિવહન તથા પગપાળા ચાલીને ખરીદી કરવા ગામડાઓમાંથી પણ લોકો શહેરમાં ઉમટી પડતા હોય છે, તેથી ટ્રાફિક નિયમન, પાર્કિંગ, અને ફૂટપાથો પર છુટક વ્યવસાયકારો તથા દુકાનદારો દ્વારા કામચલાઉ દબાણ થતું અટકાવવા અને આડેધડ પાર્કિંગ થતું રોકવા માટે પણ તંત્રોએ આ વખતે થોડો વધુ બંદોબસ્ત કરવો પડે તેમ છે, તેની સાથે સાથે ગરીબ વ્યવસાયિકોનો ધંધો-વ્યવસાય પણ અવરોધાય નહીં, તે માટે ટ્રાફિક અને જાહેર વ્યવસ્થાઓને નડે નહીં, તેવી રીતે વૈકલ્પિક સ્પોટ પણ નક્કી કરી દેવા જોઈએ. તે ઉપરાંત શહેરોમાં પૂરતા પ્રમાણમાં વોશરૂમ (જાહેર મુતરડી અને શૌચાલયો) અને ખાસ કરીને મહિલાઓ માટે યુરીનલ્સની તહેવારો દરમ્યાન જરૂર પડે તેમ હોય, કામચલાઉ ધોરણે ઠેર-ઠેર જેન્ટ્સ-લેેડીઝ યુરીનલ્સ અને શૌચાલયોની વ્યવસ્થા પણ સ્થાનિક તંત્રો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કરવી જ જોઈએ, પરંતુ કમનસીબે એવું થતું નથી, કારણ કે "જવાબદારો" પણ તે સમયે દિવાળી ઉજવવામાં વ્યસ્ત હોય છે, અથવા પ્રવાસ-પર્યટન માટે બહાર નીકળી જતા હોય છે.
યોગાનુયોગ સુપ્રિમકોર્ટે ગઈકાલે જ આપેલા એક ચૂકાદામાં રોડ-રસ્તા અને ફૂટપાથો પર ચાલતા રાહદારીઓની સુરક્ષાને સાંકળતો એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. તમામ રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને સુપ્રિમકોર્ટે આપેલા વ્યાપક આદેશમાં આમ તો ટ્રાફિક નિયમન અને હેલ્મેટ સહિતના ઘણાં મુદ્દાઓને આવરી લેવાયા છે, પરંતે ફૂટપાથો અને માર્ગો પર પગપાળા જતા રાહદારીઓ અને દિવ્યાંગોની સુરક્ષા સહિતના નિયમ-કાયદાઓના કડક અમલ ઉપરાંત વધુ કડક કાયદાઓ ઘડવાનો આદેશ પણ સુપ્રિમકોર્ટે આપ્યો છે. જો કે, આ માટે સુપ્રિમકોર્ટે રાજ્યને ૬ મહિનાની મુદ્દત આપી છે., પરંતુ આ ચુકાદો લક્ષ્યમાં લઈને વર્તમાન નિયમો-કાયદાઓનો કડક અમલ તો થઈ જ શકે ને ?
આ ચૂકાદામાં સુપ્રિમકોર્ટે પગે ચાલતા રાહદારીઓ અને દિવ્યાંગોને સાંકળીને ભારપૂર્વક સૂચનાઓ આપી છે અને આંખો આંજી દેતી હેડલાઈટ્સ, મોડીફાઈડ લાઈટો, નેશનલ હાઈ-વે સિવાયના રાજ્યોના માર્ગોની ડિઝાઈન, કન્સ્ટ્રકશન, નિભાવ, જાળવણી, અનધિકૃત રીતે ફૂટપાથો પર દબાણ, દુકાનના બોર્ડ કે સ્ટેન્ડ, માલસામગ્રી રાખવા કે પાથરણા-રેકડી રાખવા, પાર્કિંગ કરવા, વાહનોની ગતિમર્યાદા, હુટરો, રાહદારી ક્રોસીંગ, અનધિકૃત સ્ટોલ લાઈટ્સ સહિતની અનેક બાબતોને સંબંધિત કડકમાં કડક કાયદો ઘડવા અને વર્તમાન નિયમ-કાયદાઓનો કડક અમલ કરાવવા અતે તેમાં અદ્યતન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાની ટકોરો સહિતની ટિપ્પણીઓ સાથે જે ચૂકાદો આપ્યો છે, તેનો સંદર્ભ લઈને આગામી તહેવારોમાં તેનો ચૂસ્ત અમલ થાય, તે ઈચ્છનીય પણ છે અને અનિવાર્ય પણ છે, કારણ કે પગપાળા ચાલતા રાહદારીઓને રોડ ક્રોસીંગ માટે પણ થોડા થોડા સમયે ટ્રાફિક નિયમન કરીને નિયત સ્થળેથી વ્યવસ્થા કરવી પણ અત્યંત જરૂરી છે, જે હાલમાં આપણાં શહેરોમાં થતી નથી.
લોકો એવો વ્યંગ પણ કરી રહ્યા છે કે એ.સી. ગાડીઓમાં ફરતા "જનસેવકો" તથા સરકારી વાહનોમાં બેસીને "જનસેવા" કરતા સરકારી બાબુઓને નગરમાં પગપાળા ચાલતા રાહદારીઓ કે દિવ્યાંગોની તકલીફ ક્યાંથી સમજાય ?
ફૂટપાથો પર માત્ર ગરીબ-નાના છુટકીયા વ્યવસાયિકો જ દબાણ કરે છે, તેવું નથી, પરંતુ તેના કરતા પણ વધુ દબાણ તો કેટલાક મોટા મોટા દુકાનદારો, શોપીંગ મોલ વાળા, મોટા રેસ્ટોરન્ટ તથા ખાણી-પીણીનો ધમધોકાર ધંધો કરતા માલેતુજાર અને વગદાર મોટા માથાઓ અને તેના સંબંધીઓ તથા તંત્રોના "માનિતાઓ" કે "કમાઉ" હપ્તાદાતાઓ દ્વારા કરવામાં આવતું હોય છે, જે એક "ઓપન સિક્રેટ" જ છે ને ? આ દુષણ સર્વવ્યાપી, સર્વપ્રિય અને સર્વવિદિત છે. ટૂંકમાં, કોઈના વખાણ કરવા જેવા નથી !
જો કે, સુપ્રિમકોર્ટના જજો દ્વારા સુનાવણીઓ દરમ્યાન થતી કોમેન્ટો પણ ઘણી જ મહત્ત્વપૂર્ણ હોય છે. અને જે તે કેસના સંદર્ભે થતી ટિપ્પણીઓની વ્યાપક નોંધ લેવાતી હોય છે, પરંતુ સોશ્યલ મીડિયાના યુગમાં જજોની ટિપ્પણીઓને અલગ રંગ આપી દેવાતો હોવાથી એ સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસે અન્ય જજોને મૌખિક ટિપ્પણીઓ પર અંકુશ રાખવાનું કહેવું પડી રહ્યું છે. બીજી તરફ જજોની મૌખિક ટિપ્પણીઓ જો કોઈ ચોક્કસ વ્યક્તિ, તંત્રો કે પક્ષકારને ચોક્કસ પ્રકારની સૂચના કે આદેશના સ્વરૂપ ન હોય, અને વ્યક્તિગત અથવા જાહેર અભિપ્રાય, મંતવ્ય કે પ્રતિભાવના સ્વરૂપમાં હોય, તો તેના વિચારોનું અલગ અને "અનુકૂળ" અર્થઘટન કરવું યોગ્ય નથી, પરંતુ લગભગ નિરંકુશ સોશ્યલ મીડિયામાં કોમેન્ટો થવા લાગે, ત્યારે સર્વોચ્ચ ન્યાયદેવીએ પણ બોલવું પડે કે, "ગામના મોેઢે ગરણું ન બંધાય."
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રમ્પના ટેરિફના કારણે સંબંધો ભલે વણસેલા હોય, પરંતુ ભારતમાં એક અમેરિકન કંપનીએ જંગી મૂળી રોકાણ કરવાની જાહેરાત કર્યા પછી એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું આ ભારત અને અમેરિકા સરકારો વચ્ચેની બેકડોર ગૂપ્ત ડીલનું પરિણામ હશે કે અમેરિકન ઉદ્યોગપતિની ભારત પર વિશ્વસનિયતા અને હિંમતના કારણે આ જાહેરાત થઈ હશે ?
બીજી તરફ એક ઈન્ડિયન કંપની દ્વારા અમેરિકામાં "લાઈ-ફાઈ" નેટવર્ક સ્થાપિત કરાયું હોવાના અહેવાલોએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે આપણે "વાઈ-ફાઈ" નેટવર્કથી પરિચિત છીએ પણ "લાઈ-ફાઈ" ટેકનોલોજીની બહુ ચર્ચા થતી નથી. ભારતની એક કંપનીએ આ અંગ્રેજી પેટન્ટ અને અમેરિકન કંપની સાથે આ ભારતીય કંપનીએ પાર્ટનરશીપ કરીને "લાઈ-ફાઈ" નેટવર્ક અમેરિકામાં લોન્ચ કર્યું છે, જેને ભારતની સિદ્ધિ તથા ભારતીય અદ્યતન ટેકનોલોજી સેકટરનું ગૌરવ ગણાવાઈ રહ્યું છે.
આ બંને ટેકનોલોજીના ડિફરન્સ વિશે પણ લોકોને કુતૂહલ જાગ્યું છે અને તે અંગે સરળ ભાષામાં સમજ પણ અપાઈ રહી છે. વાઈ-ફાઈ ઈન્ટરનેટમાં રેડિયો ફ્રિકવન્સીનો ઉપયોગ કરીને ડેટા ટ્રાન્સફર થાય છે, જ્યારે લાઈ-ફાઈમાં લાઈટ એટલે કે પ્રકાશ આધારિત ઈન્ટરનેટ ડેટા ટ્રાન્સફર થાય છે. વાઈ-ફાઈ વ્યાપક છે, જ્યારે લાઈ-ફાઈ લિમિટેડ છે, તો બીજી તરફ ઝડપી વાઈ-ફાઈ કરતા પણ લાઈ-ફાઈ વધુ ઝડપી છે. ટૂંકમાં કૃત્રિમ પ્રકાશની પહોંચ સુધી જ આ ઈન્ટરનેટ કામ કરી શકે છે, તેથી શાળા-કોલેજો, હોસ્પિટલો, ઓફિસ સંકુલો, એરપોર્ટ તથા પ્રતિબંધાત્મક વિસ્તારો ધરાવતા સ્થળોમાં આ ઈન્ટરનેટ વધુ ઝડપી સેવાઓ આપી શકે છે. જો કે, આ નવી ટેકનોલોજી આધારિત લિમિટેડ ઈન્ટરનેટ સેવા લાઈ-ફાઈ હજુ વાઈ-ફાઈનો વિકલ્પ બની શકે તેમ નથી. પરંતુ ઝડપી હોવાથી ઘણાં લિમિટેડ વિસ્તારોને આવરી લઈને વાઈ-ફાઈ પરનું ભારણ ઘટાડી શકે તેમ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ બંને ઈન્ટરનેટ ટેકનોલોજી ઝડપી છે, પરંતુ એક ની ઝડપ કરતા બીજાની ઝડપ વધુ છે, પરંતુ તેનો વ્યાપ ઓછો છે. બંનેનું મહત્ત્વ અલગ-અલગ છે, અને ઉપયોગી છે.
અત્યારે લોકોની લાઈફ સ્ટાઈલ હાઈ-ફાઈ બની રહી છે. જૂના જમાનામાં જે કામમાં કલાકો લાગી જતા હતા, તે હવે થોડી સેકન્ડોમાં જ થવા લાગ્યું છે, અને ઈન્ટરનેટની ઝડપના પરિમાણો ઝડપભેર બદલી રહ્યા છે. તેથી મર્યાદિત સંકુલોમાં વાઈ-ફાઈથી પણ ઝડપી આ ઈન્ટરનેટ સર્વિસ ઘણાં લોકોની હાઈ-ફાઈ લાઈફ સ્ટાઈલમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ હોવાની તાર્કિક ચર્ચા પણ થઈ રહી છે.
"લાઈ-ફાઈ" નામકરણ લાઈટ આધારિત ઈન્ટરનેટ ટેકનોલોજી હોવાથી થયું હશે, તથા વાઈ-ફાઈ, હાઈ-ફાઈ પછી હવે લાઈ-ફાઈ શબ્દિકરણ પણ પ્રચલીત બની રહ્યું છે, પરંતુ "લાઈ-ફાઈ" શબ્દોનો રાજનીતિના ક્ષેત્રમાં પણ જે રીતે વ્યંગાત્મક ઉપયોગ થવાનો છે, તે વાઈ-ફાઈ કરતા પણ અનેકગણો ઝડપી હશે, તેવું કટાક્ષમાં કહી શકાય, કારણકે ગઈકાલે ચૂંટણીપંચે બિહારની ચૂંટણી તથા કેટલાક રાજ્યોની ખાલી પડેલી કેટલીક વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખો જાહેર કરી છે, અને તેનો જોરદાર પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે.
બિહારની ચૂંટણીને હાઈ-ફાઈ ઈલેકશન પણ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આ ચૂંટણી પહેલા જ એસઆઈઆર નો મુદ્દો ઉછળ્યો હતો અને જબરદસ્ત વિવાદ થયો હતો. મતદાર યાદી સુધારણાનો આ મુદ્દો સુપ્રિમકોર્ટ સુધી પડઘાયો હતો, તેથી આ ચૂંટણીનું મહત્ત્વ ઘણું જ વધી જાય છે.
બીજી તરફ ચૂંટણીપંચે આ વખતે ૧૭ જેટલા સુધારાઓ ચૂંટણી પ્રક્રિયાને સાંકળીને જાહેર કર્યા છે, તે પણ દૂરગામી બનવાના છે, કારણ કે આ સુધારાઓ ભવિષ્યમાં દેશવ્યાપી બનવાના છે. આ સુધારાઓ ચૂંટણીઓને વધુ ટ્રાન્સપરન્ટ અને સુવિધાજનક બનાવવા માટે અમલી બનાવાયા હોવાનો ચૂંટણીપંચ દાવો કરી રહ્યું છે. અને તે સંદર્ભે રાજકીય પક્ષો પણ અભ્યાસ કરીને પર્યાપ્ત પ્રતિભાવો આપશે, તેવું લાગે છે.
આ હાઈ-ફાઈ ચૂંટણીમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા પણ વધશે. વાયદાઓ-વચનોની લ્હાણી થશે. દાવા પ્રતિદાવા, કાવાદાવા, આક્ષેપો-પ્રતિઆક્ષેપો, નિવેદનબાજી, સુત્રોચ્ચારો, રેલીઓ અને ભાષણો, જાહેરસભાઓ ઉપરાંત પ્રિન્ટ, ઈલેકટ્રોનિક અને સોશ્યલ મીડિયામાં પણ આ "લાઈ-ફાઈ" પ્રચાર થવાનો કટાક્ષ થઈ રહ્યો છે. અહીં "લાઈ-ફાઈ" શબ્દોમાં "લાઈટ" નહીં પણ "લાઈ" એટલે કે જુઠાણાના અર્થમાં કટાક્ષ કરાયો છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હાઈ-પ્રોફાઈલ ચૂંટણીમાં લાઈ-ફાઈ પ્રોપગન્ડા એટલે કે જુઠ્ઠાણા અને જુમલાઓ આધારિત રાજકીય પ્રચાર ખૂબ જ વ્યાપક રીતે થવાનો છે, જેની ઝડપ વાઈ-ફાઈ કરતાં પણ વધુ હશે, અને વાયરલેસ નેટવર્કીંગને પણ પાછળ છોડી દેશે !
આ તરફ ગુજરાત ભાજપમાં હાઈ-પ્રોફાઈલ ડ્રામા શરૂ થઈ ગયો છે, પ્રદેશ પ્રમુખ પદે ઓબીસી નેતાને સ્થાપિત કર્યા પછી સી.આર.પટેલે ગોઠવેલું પ્રદેશ ભાજપનું માળખુ બદલાય અને વિશ્વકર્મા પ્રદેશ ભાજપની ઈમારતનું નવેસરથી નિર્માણ કરે છે કે પછી ઈમારતના મોરા (આગળના ભાગ)નું કલરકામ કરીને કામ ચલાવે છે, તે જોવાનું રહે છે. હાલના વડાપ્રધાન જ્યારે પહેલી વખત મુખ્યમંત્રી બન્યા, તે તારીખને સાંકળીને કોઈ સેવાકીય અઠવાડિયા-પખવાડિયા ઉજવાય, તે સારી વાત છે, પરંતુ વિપક્ષના નેતાઓ તથા વ્યંગકારો એવો વ્યંગ પણ કરી રહ્યા છે કે હવે ""પહેલું" ભાષણ કર્યું હોય કે પહેલી વખત મતદાન કર્યું હોય, તેવા નેતાઓને સાંકળીને પણ વ્યાપક પ્રચાર-પ્રસાર કરવો જોઈએ, કારણ કે જનતાને બધું જ જાણવાનો અધિકાર છે જ ને ?!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
"ઉટો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો" નો યુવાનોને સંદેશ આપનાર સ્વામી વિવેકાનંદ હોય કે જેની એક હાકલ પર આખો દેશ બ્રિટિશ સલ્તનત સામે સત્યાગ્રહમાં જોડાઈ જતો હતો અને સામી છાતીએ અહિંસક આંદોલનો કરતો હતો અને જુલ્મી શાસકોના નિર્દય સૈનિકો કે સુરક્ષા જવાનોનો અમાનુષી અત્યાચાર સહન કરતો હતો, તે દેશને કોઈપણ આંતરિક કે બાહ્ય પરિબળો દબાવી જાય, ડરાવી જાય કે ગેરમાર્ગે દોરી જાય એ વાતમાં માલ નથી. આપણા દેશની પરિપક્વ લોકશાહીના સમજદાર મતદારોએ ઘણી વખત પોતાનો પરચો રાજ્યની વિધાનસભાઓ અને દેશની લોકસભામાં પણ બતાવ્યો છે અને તોતીંગ બહુમતી અને બધી રીતે શક્તિશાળી રાજકીય પક્ષોને પણ ઘરભેગા કરી દેવાની તાકાત બતાવી છે. ફિલગુડ ફેકટર અને ઈન્ડિયા શાઈનીંગ જેવા સૂત્રો તથા કોન્સેપ્ટ સાથે વર્ષ ૨૦૦૪માં પુનઃ જનાદેશ મેળવવા મેદાનમાં ઉતરેલી વાજપેયી સરકાર બે દાયકા પહેલાનો તથા તાજેતરમાં દિલ્હીની કેજરીવાલ સરકારના ૨૧મી સદીના તાજા ઉદાહરણો છે.
હવે બિહારની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા પછી આખો દેશ અને રાજકીય પક્ષો ચૂંટણીના ચક્રવાતથી ઘેરાઈ જશે અને ચૂંટણીપંચે પણ બિહારની વિધાનસભાની ચૂંટણી છઠ્ઠ પર્વની જેમ ઉજવવાની હાકલ કર્યા પછી બિહારની જનતા પણ બિહારની વિધાનસભાની ચૂંટણીના પવનવેગી પ્રચાર અને રેલીઓ, સભાઓ, ભાષણબાજીની આતશબાજી આક્ષેપો-પ્રતિઆક્ષેપોની મિસાઈલ તથા ગુલબાંગોના વિમાનોની "મોજમસ્તી" માણતી જોવા મળશે. તો દેશની જનતા બિહારની ચૂંટણીના પ્રચાર પછી ત્યાંના મતદારો કેવો જનાદેશ આપશે તેની કુતૂહલતાપૂર્વક રાહ જોશે.
પ્રિન્ટ મીડિયામાં તો બિહારની ચૂંટણીનું કવરેજ ઘણું વધવા જ લાગ્યું છે અને ઈલેકટ્રોનિક મીડિયા, ટી.વી.ચેનલોમાં ગરમાગરમ ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ હવે તો સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ અદ્યતન પ્રકારનો જ પ્રચાર શરૂ થયો છે, જે બહુ નિયંત્રિત કે અંકુશિત નહીં હોવાથી ચૂંટણીપંચ માટે પણ સોશ્યલ મીડિયાના પ્રચારનું નિયમન કરવું અઘરૃં પડી શકે છે., તે ઉપરાંત ઈન્ટરનેટ યુગમાં બ્લોગ, વેબસાઈટ્સ અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ચૂંટણી પ્રચારમાં વધી રહેલો ઉપયોગ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે એક હાથવગો વિકલ્પ બનશે, જ્યાર ચૂંટણીપંચ માટે આ વિકલ્પ પર દેખરેખ રાખવી પણ પડકારરૂપ બનવાની છે !
એક તરફ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ભારત સહિત વિશ્વના ઘણાં દેશોમાં વધી રહ્યો છે. તો બીજી તરફ તેના ફાયદા અને ગેરફાયદા અંગે પણ ગ્લોબલ ચર્ચા શરૂ થઈ ગઈ છે. એ.આઈ.ના જોખમો પણ ઘણાં છે અને ફાયદા પણ ઘણાં છે, તેથી તદ્વિષયક નિષ્ણાતો, તજજ્ઞો અને વિચારકો તથા વિશ્લેષકો ભિન્ન ભિન્ન અભિપ્રાયો વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ સરકારો અને બ્યુરોક્રેટ્સમાં પણ આ મુદ્દે કન્ફયુઝન જોવા મળી રહ્યું છે.
ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના કારણે જંગી સંખ્યામાં લોકો બેકાર થઈ જશે અને શિક્ષિત બેરોજગારોનો ડુંગર ખડકાઈ જશે, મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ છીનવાઈ જશે, તેવો ભય અથવા આશંકા સામે, એ.આઈ.થી રોજગારી ઘટશે નહીં, પરંતુ વધશે અને યુવાવર્ગને આગળ વધવાની નવી દિશા મળશે અને શિક્ષિત રોજગારીનું પ્રમાણ એટલું વધી જશે કે તેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય, તે પ્રકારની દલીલો પણ થઈ રહી છે, અને તેને તાર્કિક ઢબે પણ સમજાવાઈ રહ્યું છે.
આ પ્રકારની અસમંજસ વચ્ચે વિશ્વ બેંકના દક્ષિણ એશિયાના ચીફ ઈકોનોમિસ્ટ ફ્રાન્ઝિસ્કા ઓહસોર્જે એવો દાવો કર્યો છે કે ભારતને કૃત્રિમ બુદ્ધિમતા અથવા આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સથી આર્થિક ક્ષેત્રે ઘણો લાભ થવાનો છે. ભારતને એ.આઈ.ના કારણે વ્યાપક ખાનગી રોકાણનો ફાયદો થઈ શકે છે. ભારત એ.આઈ.નો લાભ ઉઠાવવા માટે સક્ષમ છે, અને સારી સ્થિતિમાં છે. ભારતના લોકો પણ એ.આઈ.ને ઝડપભેર સ્વીકારવા લાગ્યા છે. આ ક્ષેત્રે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ અસાધારણ રીતે વધી રહ્યું છે. જો કે, તેમણે ભયસ્થાનો તરફ અંગૂલિ નિર્દેશ કરતા કહ્યું કે મેક્રો-ઈકોનોમિકલ ફિગર્સ ચેઈન્જ બદલવા માટે આ પ્રગતિ પર્યાપ્ત રહેશે કે નહીં, તે કહેવું ઘણું જ મુશ્કેલ છે.
બીજી તરફ તેમણે કહ્યું કે તે મુજબ ભારતનો એ.આઈ. રેડીનેસ ઈન્ડેક્સ લગભગ વિકસિત દેશોની સમકક્ષ પહોંચ્યો છે, બીપીઓ સેકટરમાં ચેટ જીપીટી શરૂ થયા પછી નોકરીની તકો વધી છે અને એ.આઈ. કૌશલ્યવાન યુવાવર્ગની પોસ્ટીંગ કુલ પોસ્ટીંગના ૧૨ ટકા સુધી પહોંચી ગયો છે. ચેટ જીટીપી શરૂ થયા પછી કોમ્પ્યુટર સર્વિસિઝનું એક્સપોર્ટ ૩૦ ટકા વધ્યું છે. હજુ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટની ગતિ આ ક્ષેત્રે ધીમી જણાય છે, પરંતુ અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતમાં રોકાણવૃદ્ધિ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય સરખામણીમાં થોડી નબળી દેખાતી ભારતની એફડીઆઈ મજબૂતીથી વધી રહી હોવાના ફ્રાન્ઝિસ્કા દાવામાં કેટલો દમ છે, તે હવે ખબર પડશે, પરંતુ સોશ્યલ મીડિયા અને એ.આઈ. લાભદાયી છે કે હાનિકર્તા, કે અનિવાર્ય પ્રકારનું રિસ્ક ? તે સવાલોનો જવાબ શોધવો પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
નવરાત્રિ પૂરી થવા છતાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે ઠંડકની અનુભૂતિ થાય, બપોરે ગરમી થાય અને બપોર પછી વરસાદનું ઝાપટું પડે, તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. ભારતમાં જે ઋતુચક્ર પલટાઈ રહ્યું છે, તે જોતાં ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જની સ્મસ્યા ધીમે ધીમે કેટલી વ્યાપક બનતી જાય છે, તેના પર પણ લક્ષ્ય કેન્દ્રીત થવા લાગ્યું છે.
દેશમાં કલાઈમેટ ચેઈન્જથી વાતાવરણ બદલાઈ રહ્યું છે, તેવી જ રીતે રાજકીય માહોલ પણ પલટાઈ રહ્યો છે. જેવી રીતે ઋતુચક્રમાં બદલાવ થયા પછી માહોલ પલટાઈ રહ્યો છે, તેવી જ રીતે દેશ અને દુનિયામાં માનવીઓ અને શાસકો પણ પલટી મારી રહ્યા છે. પલટીમારોનો જાણે જમાનો આવ્યો હોય તેમ પલટી મારવાની જાણે સ્પર્ધા હોય તેવી રીતે વિવિધ દેશોના સર્વોચ્ચ કક્ષાના લીડર્સ પણ હવે બોલીને ફરી જતા અને અવાર નવાર વલણ બદલતા જોવા મળી રહ્યા છે. ટ્રમ્પની ચિમકી પછી હમાસે બંધકોને છોડવાની તૈયારી બતાવી અને ઈઝરાયલ કેદીઓને છોડશે, તેને પી.એમ. મોદીએ આવકાર આપીને ટ્રમ્પના વખાણ કર્યા હોવાના અહેવાલો શું સૂચવે છે ?
જ્યારે પલટીમારોની સ્પર્ધાની વાત આવે, ત્યારે રાજયકક્ષાએ કોઈપણ કારણે પક્ષપલટો કરતા નેતાઓની હાલત કેવી થાય છે, તેના નવા અને જૂના ઘણાં દૃષ્ટાંતો જોવા મળશે. દેશના એક રાજ્યમાં તો મુખ્યમંત્રી પદ પર ચીપકી રહેવા માટે અવાર નવાર પક્ષપલટો કર્યા પછી "પલટીરામ", "પલટુબાબુ" અને "પલટુબાજ" જેવા વિશેષણોથી કોને નવાજવામાં આવે છે, તે ઓપન સિક્રેટ જ છે ને ?
અત્યારે બિહારની ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે સમગ્ર દેશની રાજનીતિ બિહાર કેન્દ્રીત થઈ ગઈ હોવા છતાં અત્યારે ગુજરાતમાં રાજકીય ચહલપહલ રહસ્યમય રીતે વધી રહી છે. કેન્દ્રીય નેતાગીરીના ગુજરાતમાં પ્રવાસો વધી રહ્યા છે, અને કોંગ્રેસ, ભાજપ અને આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીયકક્ષાના નેતાઓ ગુજરાતમાં ઠેર-ઠેર તબક્કાવાર જે કાર્યક્રમો યોજી રહ્યા છે, તે જોતાં એવું લાગે છે કે ગુજરાતમાં વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામવાનો છે. ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ ચૂંટાયા (નિમાયા) પછી જગદીશભાઈ પંચાલની જવાબદારી તમામ ચૂંટણીઓ જીતવા માટે પંચાલે વિશ્વકર્મા ફેઈમ કૌશલ્ય અને પરિશ્રમ બતાવવા પડશે.
વિશ્વકક્ષાએ યૂ-ટર્નનું અદ્ભુત કૌશલ્ય ધરાવતા અને નિવેદનોમાં પલટૂમાર બની ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પલટીબાજો પર ભારે પડી રહ્યા છે, પરંતુ ટ્રમ્પને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે ગાઝા શાંતિ પ્રસ્તાવના મુદ્દે યૂ-ટર્ન લઈને ઝટકો આપ્યો હોવાથી એવું લાગે છે કે વિશ્વકક્ષાએ પણ પલટૂબાજોની સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.
હકીકતે શાહબાઝ ઘરઆંગણે ઘેરાઈ ગયા છે. પેલેસ્ટાઈન અને ઈઝરાયલના મુદ્દે ટ્રમ્પની ટ્રેપમાં ફસાઈ ગયા છે, તે ઉપરાંત ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં બોલાવીને જે રીતે એકાદ કલાક શાહબાઝ અને મુનિરને એક રૂમમાં રાહ જોવડાવી (પૂરી દીધા) તે પછી તે બંનેને સમજાઈ ગયું હશે કે તેમની ઔકાત શું છે, ટ્રમ્પ માટે તેઓ માત્ર પ્યાદા જ છે. પીઓકે અને બલુચિસ્તાનમાં વિદ્રોહ પછી પાકિસ્તાનમાં સરકાર વિરોધી આગ જે રીતે ફેલાઈ રહી છે, તેના કારણે શાહબાઝે કદાચ પલટી મારી હશે, પરંતુ હવે તેની સ્થિતિ જોતાં "ધોબીનો કૂતરો, નહીં ઘરનો નહીં ઘાટનો" તેવી કહેવત યાદ આવી જાય છે.
પલટીમારો, જુમલેબાજો અને બહુરૂપિયાઓ એકલા આપણાં દેશમાં જ છે તેવું નથી, હવે તો આ પ્રકારની કાબેલિયતો જ રાજનીતિમાં સફળ થવાના શ્રેષ્ઠ માપદંડો હોય તેમ ટચુકડા દેશોથી માંડીને ટ્રમ્પ સલ્તનત સુધી આ પ્રકારની "શ્રેષ્ઠ" કાબેલિયતો ઝળકવા લાગી છે.
શાહબાઝની સંતાકૂકડી હજુ ચાલી જ રહી હતી અને ડેમેજ કંટ્રોલના પ્રયાસો થઈ રહ્યા હતા, ત્યાં ભારતના સેનાધ્યક્ષે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે પાકિસ્તાનને પોતાની ભૂગોળ જાળવી રાખવી હોય તો તેની ધરતી પરથી આતંકવાદને ખતમ કરવો પડશે. બીજી તરફ ભારતીય વાયુદળના વડાએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના યુદ્ધ વિમાનો તોડી પડાયા હોવાનું જણાવીને બળતામાં ઘી હોમ્યું છે. કચ્છમાંથી રાજનાથસિંહે પણ પાકિસ્તાનને લલકાર્યું હતું અને પીઓકેમાં સરકાર વિરોધી ચળવળ ઘણી આક્રમક બની છે, તે બધા ઘટનાક્રમોને એક સાથે સાંકળવામાં આવે, તો સ્પષ્ટ જણાય છે કે ટૂંક સમયમાં હવે કાંઈક મોટું થવાનું છે., અસાધારણ પ્રકારની નવાજુની થવાની છે.
આ તરફ રાહુલ ગાંધીએ પણ "વોટ ચોર, ગાદી છોડ" ના આંદોલનને વ્યાપક બનાવ્યું છે અને તેના સંદર્ભે જામનગરમાં પણ સહી ઝુંબેશો શરૂ થઈ ગઈ છે, આ ઝુંબેશ ઉપરાંત ગુજરાતમાં અચાનક કોંગ્રેસ જે રીતે અત્યંત સક્રિય થઈ ગઈ છે, તે જોતાં એવું લાગે છે કે કોંગ્રેસ હવે "મિનારા" અને "ઝરૂખા" તોડવાના બદલે સીધા જ હોમ ગ્રાઉન્ડની બુનિયાદ (ગુજરાત)માં પાયા હચમચાવવાની જ રણનીતિ અપનાવી હોય તેમ જણાય છે. બીજી તરફ જે પલટીબાજો હવે ગુંગળામણ અનુભવી રહ્યા હશે, તેના માટે ઘરવાપસીનો નવો દરવાજો પણ ખુલી ગયો છે. આગામી બે વર્ષ દેશની રાજનીતિ ગુજરાત કેન્દ્રીત રહેશે કે તેે પહેલા જ કોઈ મોટી રાજનૈતિક ઉથલપાથલ થઈ જશે, તે અંગે તો કદાચ મોટા ભવિષ્યવેતાઓ પણ ગોટે ચડી જાય તેવું છે. ટૂંકમાં કાંઈક મોટું તો થવાનું છે જ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે રાવણ દહન થયું અને અસત્ય પર સત્યના વિજયનો જયજયકાર થયો. જો કે, કોઈ સ્થળે અતિશય ભારે વરસાદના કારણે રાવણ દહન એક દિવસ પાછળ ઠેલવું પડ્યું, તો બીજી કોઈ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડતા ધરાશાયી થઈ ગયેલા રાવણના પૂતળાનું દહન કરવું પડ્યું. આ એક અસાધારણ ઘટનાક્રમ ગણાય, જે ભાગ્યે જ બનતો હોય છે. સામાન્ય રીતે દશેરા સમયે ચોમાસુ પૂરૃં થઈ ગયુ હોય છે, પરંતુ આ વર્ષે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.
બીજી તરફ વિવિધકક્ષાએ દુનિયાના ઘણાં દેશો પર જંગી ટેરિફ લાદીને રાવણવૃત્તિ અટ્ટહાસ્ય કરી રહી છે. અને સીતા હરણની જેમ દુનિયાભરની અર્થનીતિનું અપહરણ કરીને રાવણ ફેઈમ શક્તિશાળી અજ્ઞાની મહાસત્તા અહંકારના આકાશમાં ઉડી રહી છે, ત્યારે તેની ગોદમાં બેઠેલા આતંકી વિચારધારાના સ્વરૂપમાં પનપી રહેલા પાક. ફેઈમ પરિબળો પણ નાપાક હરકતો કરી રહ્યા છે. આ આધુનિક રાવણવૃત્તિને હણવા માટે પણ કોઈ ગૂપચૂપ વ્યૂહરચના ગોઠવાઈ ગઈ હોય, તેવું આર્થિક ક્ષેત્રે ચાલી રહેલા કેટલાક આંતરપ્રવાહો જોતાં જણાય છે.
એવા અહેવાલો આવ્યા છે કે ભારતીય રિઝર્વ બેંકે રૂપિયાને વધુ આંતરરાષ્ટ્રીય બનાવવા શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યા છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને નેપાળ, શ્રીલંકા અને ભૂટાનના વિદેશી નાગરિકોને સરહદ પાર વેપાર વ્યવહારો માટે રૂપિયાના ચલણમાં ધિરાણ આપવાની મંજૂરી આપી છે.
રૂપિયાનું વૈશ્વિકરણ કરીને વધુ સ્વિકૃત અને મજબૂત બનાવવા માટે ટ્રાન્સપરન્ટ સંદર્ભ દર સ્થાપિત કરવાના હેતુથી સ્પેશ્યલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ લેન્સનો વ્યાપ વધારીને તથા કોર્પોરેટ બોન્ડ અને વાણિજિયક કાગળો-દસ્તાવેજોમાં ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ કરવાના કદમ પણ રિઝર્વ બેંકે ઉઠાવ્યા છે.
ઈન્ડોનેશિયન રૂપિયા અને યુએઈના દિરહામ સહિતના ચાર ચલણોને ભારતના રૂપિયાને સાંકળીને સંદર્ભ દર માળખુ મજબૂત બનાવ્યા પછી અન્ય કેટલાક દેશોના ચલણોને સમાવીને દર નિર્ધારણ માટે અન્ય દેશોના સહયોગથી ડોલર પરની નિર્ભરતા ઘટાડીને રૂપિયાના ચલણને આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે વધુ સ્વીકૃત અને અસરકારક બનાવવાના આ ઉદૃેશ્યથી આ કદમ ઉઠાવાઈ રહ્યા હોય તેમ લાગે છે.
રિઝર્વ બેંકે ધિરાણ ખર્ચ ઘટાડીને ધિરાણ પ્રવાહ વધારવા, ધિરાણ સંદર્ભે સંભવિત જોખમો ઘટાડવા અને બિન નાણાકીય ક્ષેત્રોને પણ આવરી લેવાના કદમ ઉઠાવાઈ રહ્યા હોવાનો દાવો પણ કરાયો છે. આરબીઆઈ એવા કદમ ઉઠાવી રહી છે કે નિયમ પાલન પણ ચૂસ્તપણે થાય અને તેના કારણે આર્થિક વિકાસમાં અવરોધો પણ આવે નહીં.
એનબીએફસી દ્વારા માળખાકિય ધિરાણનો ખર્ચ ઘટાડવાના કદમ ઉઠાવાયા છે. મર્યાદીત સક્રિય આંતરરાષ્ટ્રીય વ્યવહારોને કારણે બેન્ચમાર્કનો સંદર્ભ હજુ પણ પાઈપલાઈનમાં છે, પરંતુ આરબીઆઈના આ કદમની સાથે સાથે ચાઈના દ્વારા પણ તેના ચલણનો આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં વ્યાપ વધારાયો હોવાના અહેવાલોને સાંકળીને એવું જણાય છે કે ભારત, ચીન, રશિયા, ઈન્ડોનેશિયા, યુએઈ જેવા દેશો પરસ્પર આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં પરસ્પર અમેરિકન ડોલરનો પ્રભાવ ઘટાડવાની કોઈ વ્યૂહરચના ગોઠવી રહ્યા હોય.
ચાઈના દ્વારા પણ અમેરિકન ડોલર પર નિર્ભરતા ઘટાડવા ચૂપચાપ કદમ ઉઠાવાઈ રહ્યા છે, અને તેનું પ્રમાણ કેટલાક આંકડાઓમાંથી મળે છે. સ્વીફ્ટ ડેટાને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ ચાઈનાએ વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં થતા પેમેન્ટમાં બે વર્ષમાં દોઢ ટકાનો વધારો કર્યો છે. ચાઈનાનો ઈન્ટરનેશનલ પેમેન્ટમાં બે વર્ષ પહેલા યુઆનનો હિસ્સો માત્ર બે ટકા હતો, તે હવે સાડાત્રણ ટકા થઈ ગયો છે. આમ, ચાઈના પણ ચૂપચાપ ટ્રમ્પ ફેઈમ "ટેરિફાતંક" નો સામનો કરવા અને ડોલર પર નિર્ભરતા ઘટાડવા ગંભીરતાપૂર્વક આગળ વધી રહ્યું હોવાનું ફલિત થાય છે. ચીનના આ કદમોથી વૈશ્વિક વ્યવહારોમાં મોટી હલચલ ઊભી થઈ શકે છે.
અહેવાલો મુજબ ચાલુ વર્ષના અંત સુધીમાં ચાઈનાના કુલ ઈન્ટરનેશનલ ટ્રેડના ૨૯ ટકા રેનમિન્બીમાં સેટલ થશે, જે ચાઈનાના કુદ વિદેશ વ્યાપારના એક-તૃતીયાંશ હિસ્સો છે. યુઆન ચલણ વેશ્વિક ચલણમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને ભારત પણ રૂપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે આગળ વધારશે અને જો દુનિયાના દેશો અમેરિકન ડોલર સિવાયના ચલણોમાં પરસ્પર વ્યવહારોનો વ્યાપ વધારશે, તો અમેરિકન ડોલરને ફટકો પડી શકે છે., પરંતુ અત્યારે જે રીતે તમામ આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ તથા વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રોની નિર્ભરતા અમેરિકન ડોલર પર જ નિર્ભર છે, તેથી અમેરિકન ડોલરનો પ્રભાવ એક અનિવાર્ય દૂષણ છે, જેથી તત્કાળ તો તેમાંથી મૂક્તિ મળે તેમ લાગતું નથી, પરંતુ જો ભારત, ચીન, રશિયા અને બ્રિક્સના દેશો તથા અમેરિકા વિરોધી (ટ્રમ્પ વિરોધી) દેશો એકજૂથ થઈને પરસ્પરનો વ્યાપાર વધારે અને એક-બીજાના ચલણમાં વ્યવહારો વધારે તો અટ્ટહાસ્ય કરી રહેલા ટ્રમ્પની હેકડી બંધ પણ થઈ શકે છે.
રાવણને મારવા માટે શ્રીરામે તેની ડુટી (નાભિ) પર બાણ છોડ્યું હતુ, તેવી રીતે ટ્રમ્પની નાભિ (ડુટી) અમેરિકન ડોલર છે અને તેના પર જો આ તમામ શક્તિશાળી દેશો બિન-ડોલર (અમેરિકન ડોલરને બદલે પરસ્પરના ચલણોમાં) વ્યવહારો કરે તો બેલગામ 'ટેરિફાતંક' પર અંકુશ જરૂર આવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ગાંધી જયંતી છે અને લાલબહાદુર શાસ્ત્રીની જયંતી પણ છે. તેની સાથે દશેરા હોવાથી આજે ગરિમામય ત્રિવેણી સંગમ પણ યોજાય છે. ગાંધીજીએ અંગ્રેજો સામે સત્યાગ્રહ કરીને બે સદીથી ચાલતા આઝાદીના આંદોલનને સફળ બનાવીને દેશને આઝાદી અપાવી, તો પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ઓપરેશન જિબ્રાલ્ટર દ્વારા કાશ્મીરના મુદ્દે ભારત સરકાર સામે વિદ્રોહ કરાવનાર પાકિસ્તાનને તેની ઔકાત દેખાડી દીધી અને ભારતીય સેનાએ ૧૭ દિવસના યુદ્ધમાં પાકિસ્તાનને ઘૂંટણીયે પાડી દીધું હતું. તે સમયે સોવિયેટ યુનિયનના હસ્તક્ષેપથી યુદ્ધવિરામ થયું હતું, જેને તાશ્કંદ ઘોષણા તરીકે ઓળખવામાં આવે છે. દશેરાનું પ્રાચીનકાળથી જે મહાત્મય છે, તે આજે પણ પ્રસ્તુત છે. આ ત્રિવેણી સંગમનો મુખ્ય પ્રવાહ અસત્ય પર સત્ય અને આસૂરીવૃત્તિ પર દૈવીવૃત્તિના વિજયના સ્વરૂપમાં આજે પણ એટલો જ સુસંગત અને પ્રસ્તુત છે. આજે જ્યારે અસત્ય અને આસૂરીવૃત્તિનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં વહી રહ્યો છે, ત્યારે ભગવાન શ્રીરામ, ગાંધીજી અને શાસ્ત્રીજીને અનુસરીને તેને અટકાવવાના સહિયારા અને સાચુકલા, પરંતુ બિનરાજકીય પ્રયાસો થવા અત્યંત જરૂરી છે. આજે રાષ્ટ્રનિર્માણ, રાષ્ટ્રભક્તિ તથા રાષ્ટ્રપ્રેમની જેવાતો થઈ રહી છે, તેમાં ગાંધીજીની સત્ય નિષ્ઠા, શાસ્ત્રીની સાહસિક મક્કમતા અને સૌથી વધુ ભગવાન શ્રીરામ જેવી ધૈર્યપૂર્ણ શુરવીરતા અને વ્યુહાત્મક રણનીતિનું સંયોજન થવું અત્યંત જરૂરી છે.
ગાંધીજીએ બ્રિટિશરોને હંફાવવા અને આપણા જ કાચા માલમાંથી વિદેશમાં થયેલા ઉત્પાદનોને અનેકગણા ભાવે ભારતમાં જ વેંચવાની તે સમયની શોષણનીતિ સામે ગાંધીજીએ 'સ્વદેશી' ચળવળને પ્રજ્જવલિત કરી અને વિદેશી ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો હતો. 'રેંટિયો' સ્વદેશી ચળવળનું એવું ઓજાર બની ગયું હતું કે બ્રિટિશ ઉત્પાદકો સામે પડકાર ઊભો થઈ ગયો હતો, એ જ પ્રકારની સ્વદેશી ચળવળ આપણા દેશમાં ફરીથી શરૂ થઈ રહી છે, અને આજે ગાંધી જયંતીના દિવસે સ્વદેશી ચળવળને યાદ કરીને સ્વીકારવું જ પડે કે દીર્ઘદૃષ્ટા ગાંધીજીના શાંત પ્રતિકારોની રણનીતિ આજે પણ દેશવાસીઓને ઘણી જ ઉપયોગી બની રહી છે.
ગાંધીજીએ અંગ્રેજો સામે સહિનય કાનૂન ભંગનું આંદોલન છેડ્યું હતું, અને અંગ્રેજોની આર્થિક દાદાગીરીને પડકારી હતી, તેવી જ રીતે આજે ટ્રમ્પટેરિફની દાદાગીરી સામે એકજુથ થઈને લડવું પડે તેમ છે. તે સમયે તો આખો દેશ નિમક પરના કરવેરાના વિરોધમાં સવિનય કાનૂન ભંગ કરવા દરિયાકાંઠે ઉમટી પડ્યો હતો, તેવી જ રીતે આજે ટ્રમ્પટેરિફનો સામનો પણ સાથે મળીને કરવો જ પડે તેમ છે, અને ગાંધીજીની જેમ નમ્રતાપૂર્વક તમામ દેશવાસીઓને સાથે લઈને ચાલવું પડે તેમ છે. આજની આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ વિગેરે ઝુંબેશોની બુનિયાદ પણ ગાંધીજી પ્રેરિત સ્વદેશી ચળવળમાંથી જ રચાઈ છે ને? આથી ગાંધીજીની દીર્ઘદૃષ્ટિ કેટલી વ્યાપક હતી, તે પણ પૂરવાર થાય છે.
વામન છતાં વિરાટ લાલબહાદુર શાસ્ત્રીજીની મજબૂત નિર્ણયશક્તિ, સાદગી અને પ્રામાણિક્તાને દૃઢતાપૂર્વક અનુસરવાની જરૂર છે. પાકિસ્તાનને પાઠ ભણાવનાર શાસ્ત્રીજી કદાચ જે પરિબળોના ષડ્યંત્રોનો ભોગ બન્યા હતાં, તેવા પરિબળોથી ચેતવાની પણ જરૂરી છે.
ગાંધીજી પણ જેના આદર્શો અપનાવીને જીવન જીવ્યા, તે ભગવાન શ્રીરામ પાસેથી તો રાજનીતિ, ધૈર્ય, સમજદારી, ત્યાગ, તપશ્ચર્યા, મર્યાદા, શૂરવીરતા, નિર્ણયશક્તિ અને સૌને સાથે રાખીને ચાલવા તથા સમાજના છેલ્લામાં છેલ્લી હરોળમાં ગણાતા વ્યક્તિ કે સમાજ પર ભરોસો મૂકવા જેવા પ્રજાલક્ષી અભિગમો માત્ર આજના નેતાઓએ જ નહીં, આપણે બધાએ શીખવાની જરૂર છે.
આજથી જ વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચેની ક્રિકેટ ટેસ્ટમેચની શ્રેણીનો પણ પ્રારંભ થયો છે, તે પણ એક સંયોગ છે, કારણ કે ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતીને આવી, તે પછી ટ્રોફી લઈને ભાગી ગયેલા પાકિસ્તાનના ગૃહમંત્રી અને પીસીબીના અધ્યક્ષે માફી માંગવી પડી છે. વર્ષ ૧૯૬પ થી પ્રત્યક્ષ યુદ્ધોમાં હારતું રહેલું પાકિસ્તાન ઈન્દિરા ગાંધીના સમયગાળામાં બે ભાગમાં વહેંચાઈ ગયું અને બાંગલાદેશ સ્વતંત્ર દેશ બન્યો, તે પછી આતંકવાદીઓ મારફત પરોક્ષ યુદ્ધ લડી રહેલા નાપાક પડોશી દેશની હરકતો એવીને એવી જ રહી છે. હવે પીઓકેમાં પાકિસ્તાન સામે અને ખાસ કરીને પાક.ની નાપાક સેના સામે વિદ્રોહ થઈ રહ્યો છે, તે જોતા એવું લાગે છે કે હવે 'રાવણવધ' કરી નાંખવાનો સમય આવી ગયો છે. જરૂર છે, શાસ્ત્રીફેઈમ મજબૂત નિર્ણય શક્તિ, ગાંધીજી જેવી દીર્ઘદૃષ્ટિ અને ભગવાન શ્રીરામ જેવી નિપુણતાની...
આજે દેશમાં શસ્ત્રપૂજનો થઈ રહ્યા છે, ઘણં મંગલકાર્યો-શુભકાર્યો થઈ રહ્યા છે, સાંજે રાવણદહ્નના કાર્યક્રમો પણ યોજાનાર છે. દેશમાં આનંદનો માહોલ છે. સૌરાષ્ટ્રમાં ગાંઠિયા-જલેબીની મહેફીલો થઈ રહી છે. ગુજરાત સહિત દેશમાં મીઠાઈઓ વહેંચાઈ રહી છે, અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ શતાબ્દી ઉજવી રહ્યો છે. આજથી જ ક્રિકેટ ટેસ્ટ મેચ શરૂ થઈ છે. તેથી આજે દશેરાના દિવસે વૈવિધ્યસભર મસ્ત માહોલ સર્જાયો છે, ત્યારે પ્રિય વાચકો, ગ્રાહકો, વિજ્ઞાપનદાતાઓ સહિત સૌ કોઈને વિજ્યાદશમીની શુભકામનાઓ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નવરાત્રિ પૂરી થવા આવી, છતાં હજુ વરસાદ પડી રહ્યો હોવાથી એક તરફ ગરબા ઘુમતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડી રહ્યો છે, અને ખેડૂતવર્ગ પણ ગુંચવણમાં મુકાયો છે, તો બીજી તરફ સિઝનલ બીમારીઓ પણ હજુ વધે, તેવો ખતરો મંડરાઈ રહ્યો છે. જામનગરમાં પરોઢીયેથી ધીમી ધારે વરસાદ વરસ્યો તો આજે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર થયું છે. આ વખતે મોસમના બદલતા મિજાજના કારણે હવામાન ખાતુ સ્વયં પણ ગોટે ચડયુું હોય તેમ જણાય છે, અને ચોમાસુ પૂરૃં થયું કે લંબાયુ છે, કે પછી હવે પડી રહ્યો છે તે વરસાદને કમોસમી વરસાદ ગણવો, એ અંગે સામાન્ય જનતામાં દ્વિધા પ્રવર્તી રહી છે.
બીજી તરફ ગુજરાતમાં કેટલાક ગરબા સંચાલકો પણ દ્વિધામાં જણાય છે. એક તરફ વરસાદનું વિઘ્ન આવવા છતાં ગરબા ચાલુ રાખવાની કવાયત કરતી રહેવી પડે, તેવું દબાણ છે તો બીજી તરફ ગરબા યોજી જ ન શકાય તો એડવાન્સમાં વેચેલા પાસના નાણા રિફંડ કરવા કે નહીં, તેની પણ દ્વિધા ઊભી થતી હશે. ઘણાં ગરબા સંચાલકો પાસ વેચતી વખતે જ ફૂદડી વાળી શરત રાખતા હોય છે કે કોઈ પણ કારણે ગરબા બંધ રહે, તો પાસના નાણા રિફંડેબલ નથી. રાજયના જુદા જુદા જિલ્લાઓમાં ગરબા આયોજકોની જુદી જુદી સિસ્ટમ હોવાથી આ અંગે કોઈ યુનિફોર્મ (સમાન) નિયમો, નિયમનો કે ધારાધોરણો નથી.
માતાજીની આરાધના, અનુષ્ઠાન અને નૃત્યભક્તિનું આ પર્વ હવે તે ઉપરાંત મનોરંજન, મોજમજા તથા અદ્યતન સાધન-સામગ્રી સાથે ગીત-સંગીત-નૃત્ય અને પરફોર્મન્સનું માધ્યમ બન્યું છે, જેમાં ફિલ્મી પરિબળોની સામેલગીરી પછી આ પર્વ યુવાવર્ગ માટે આકર્ષક અને અનિવાર્ય જેવું જ બની ગયું છે.
આ કારણે નવરાત્રિના પર્વે માર્કેટીંગ અને પ્રચાર-પ્રસારનું મહત્ત્વ પણ વધ્યું છે અને ગરબામાં વિવિધતાની સાથે સાથે સ્થાનિક મહાનુભાવો, જનપ્રતિનિધિઓ અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિના કારણે સ્પર્ધાત્મક પરીબળો પણ ઉમેરાયા છે, તેમાં પણ ફિલ્મ-ટેલિવિઝન-રંગભૂમિના કલાકારો, ક્રિકેટરો, વિવિધ ક્ષેત્રે મેડલ્સ કે બહુમાન મેળવેલા લોકો, લોક-સાહિત્યના કલાકારો અને અન્ય સેલેબ્રિટીઝની કોમર્શિયલ ઉપસ્થિતિના કારણે મોંઘાદાટ પાસ અથવા ટિકિટ ખરીદીને પણ લોકો રાસ-ગરબાઓ જોવા કે રમવા માટે પડાપડી કરતા હોય છે. આ કારણે નવરાત્રિ પણ હવે મોંઘી થઈ ગઈ હોવાની ચર્ચાઓ પણ થતી રહે છે. જો કે, ઘણી ગરબીઓમાં તદૃન નજીવા ચાર્જ હોય છે અને નિઃશુલ્ક હોય છે, પરંતુ ગરીબ-નિમ્ન મધ્યમ વર્ગીય લોકો સિવાય કોઈ જતું નહીં હોવાથી ઘણાં આયોજનોમાં કાગડા ઉડતા હોવાના પ્રતિભાવો પણ સામે આવતા હોય છે. પરંપરાગત શેરી-મહોલ્લા-સોસાયટીઓમાં થતી ગરબીઓમાં પણ રાસ-ગરબા થતા હોય છે, પરંતુ અદ્યતન રાસ-ગરબા પ્રત્યેનું આકર્ષણ તથા વૈવિધ્યતા ઉપરાંત યુવાધન હિલોળે ચડે, તેવા ગીત-સંગીત અને સ્પર્ધાત્મક પ્રસ્તુતિ (પ્રેઝન્ટેશન) લોકોને આકર્ષે છે, તેથી કેટલાક પરિવારો આયોજનપૂર્વક પહેલેથી બચત કરીને કે ઉછી-પાછીના નાણાનો મેળ કરીને પણ મોંઘા પાસ ખરીદતા હોવાનું કહેવાય છે.
કેટલાક શહેરોમાં પાંચ હજારથી બાર હજાર સુધીના દરે ગરબીના પાસ વેચાતા હોવાથી ગુજરાતના કેટલાક શહેરોમાં જીએસટીના નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં, તેની ચકાસણી કરવા જીએસટીની ટીમો ત્રાટકી છે, અને ગરબાના આયોજકો દ્વારા વસુલાતી પાસ કે ટિકિટની રકમ પર ૧૮% જીએસટીનું પાલન થાય છે કે કેમ ? તેની ચકાસણી થઈ રહી છે. નવરાત્રિ દરમ્યાન કોમર્શિયલ ધોરણે ગરબાના આયોજન દરમ્યાન ગરબાના સ્થળે આયોજકો તરફથી કે તેની સંમતિથી ખાદ્ય-સામગ્રી-પાણી-પીણાં અને અન્ય વસ્તુઓ ગરબા સંકુલની અંદર જ વેચવામાં આવતા હોય તો તેના સંદર્ભે પણ નિયમો-ધારાધોરણોનું પાલન થઈ રહ્યું છે કે કેમ ? તેની ચકાસણી થઈ રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
ગરબાના આયોજકોનું નિયત કરેલું ટર્નઓવર ચકાસીને રજીસ્ટ્રેશન થયું છે કે નહીં, તેની ચકાસણી પણ થઈ રહી છે. આ ટીમો દ્વારા એ પ્રકારની ચકાસણી પણ થઈ રહી છે કે આયોજકોએ પાસના દર કેટલા રાખ્યા છે, મેદાનની ક્ષમતા મુજબનું ટર્ન ઓવર બતાવ્યું છે કે કેમ ? પુરૂષ-સ્ત્રીના પ્રવેશના દરો સમાન છે કે અલગ-અલગ છે અને જાહેર કરેલા દરો જ વસુલવાયા છે કે કેમ ? તે પ્રકારની ચકાસણી થઈ રહી હોવાનું કહેવાય છે.
આ ચકાસણીને લઈને ટીકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે. એવો કટાક્ષ કરવામાં આવી રહ્યો છે કે નવરાત્રિ પૂરી થવા આવી ત્યારે ચકાસણીના નાટકો કરવાની શું જરૂર પડી ? શું જીએસટીના ક્ષેત્રે પણ હપ્તા પદ્ધતિ ચાલે છે ? વરસાદ પડયા પછી ઘણાં ગરબા બંધ થઈ ગયા પછી જ આ ચકાસણી કરવા પાછળ કોઈ રહસ્ય છે ? જો ચકાસણી કરવી જ હતી તો નવરાત્રિના પ્રારંભથી જ આ તપાસ સાર્વત્રિક રીતે કેમ ચાલુ ન રહી ? તેવા સવાલો ઉઠી રહ્યા છે અને કટાક્ષ થઈ રહ્યો છે કે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બીજી ઓક્ટોબર-ર૦ર૪ થી ભારત સરકારે સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) શરૂ કર્યું હતું, અને વર્ષ ર૦૧૪ થી વર્ષ ર૦૧૯ સુધીમાં ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાનું લક્ષ્ય રખાયું હતું, અને તે પછી પ્રવાહી અને ઘનકચરાના નિકાલની નક્કર વ્યવસ્થા કરીને ઉકરડા તથા ગંદકી નાબૂદ કરવાનો બીજો તબક્કો નક્કી કરાયો હતો, પ્રથમ તબક્કાને ઓડીએફ તથા બીજા પંચવર્ષિય તબક્કાને ઓડીએફ પ્લસનું નામ અપાયું હતું.
આ અભિયાનો હેઠળ ભારતના ગામડાઓને ઓડીએફ એટલે કે ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરી દેવાની ઝુંબેશ ચલાવીને ઘેર-ઘેર શૌચાલયો બનાવાયા, મહિલાઓને શૌચક્રિયા માટે ગામડાઓમાં રાત પડવાની રાહ જોવી પડતી હતી અને મહિલા સુરક્ષા પર પણ સતત ખતરો ઝળુંબી રહ્યો હતો. ભારત સરકારે ગામેગામ કરોડો શૌચાલયો બનાવીને પ્રત્યેક ઘરમાં કે નજીકમાં શૌચાલયની સુવિધા આપવાની યોજનાઓ ચલાવી અને શૌચાલયો બન્યા પણ ખરા, પરંતુ તેમાં ઘણાં સ્થળેથી ગરબડ, ગોલમાલ કે ભ્રષ્ટાચાર થઈ હોવાની ફરિયાદો પણ આવી, પરંતુ એકંદરે ઓડીએફ જાહેર થયેલા નામોમાં મહિલાઓને ઘરઆંગણે સુરક્ષિત શૌચક્રિયાની સુવિધા મળી હોવાના દાવાઓ કરાયા.
ખુલ્લામાં શૌચક્રિયા કરવા પર કેટલાક અંકુશો પણ મૂકાયા અને ખુલ્લામાં શૌચક્રિયા સાથે સામાજિક સેવા કરવાની સજા તથ દંડ વસૂલ કરવાના પ્રયોગો પણ થયા.
એ પછી બીજા તબક્કામાં પ્રવાહી અને ઘનકચરાના નિકાલ માટે ડોર-ટુ-ડોર કચરા કલેક્શન તથા સ્વચ્છતાના સાધનો પૂરા પાડવાની ઝુંબેશો ચાલી અને ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત મેટ્રોપોલિટન સિટીઝમાં તો આ પ્રકારની સુવિધાઓ પહેલેથી જ હોવાથી ત્યાં શેરી-ગલી-મહોલ્લાઓમાં સ્વચ્છતા તથા ગટર વ્યવસ્થાઓ પર ભાર મૂકાયો હતો. આમ છતાં જે સ્થિતિ છે, તે આપણી સામે જ છે ને?
વાસ્તવમાં આ પ્રકારના અભિયાનોની સફળતાઓ અને સુવિધાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા પર વધુ ભાર મૂકાતો રહ્યો છે, અને પબ્લિકનો એક મોટો હિસ્સો હજુ પણ જાહેરમાં લઘુશંકા અને ગુરૂશંકા અંગે જોઈએ તેટલો જાગૃત નથી, તેથી દસ વર્ષથી ચાલતા સ્વચ્છતા અભિયાનોના ધાર્યા પરિણામો આવ્યા હોય તેમ જણાતું નથી.
હવેના તબક્કામાં સ્વચ્છતા ઉપરાંત જળશક્તિ, જળસંચય, જળબચત અને સ્વચ્છ પેચજળના અભિયાનો ચાલવાના છે, ત્યારે શહેરી વિસ્તારો સહિત સમગ્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાં પહેલા મૂળભૂત વ્યવસ્થાઓને વધુ વ્યાપક અને મજબૂત કરવાની જરૂર છે.
મોટા શહેરોમાં ઘણાં જાહેર સ્થળોમાં પુરુષો માટે તો ચોરે-ચૌટે અને મોટા સંકુલોમાં જાહેર યુરિનલ્સ એટલે કે મૂતરડીઓ તો છે જ, પરંતુ મહિલાઓ માટે એ પ્રકારના નિઃશુલ્ક જાહેર યુરિનલ્સ જ નથી. આથી હવે 'ઓડીએફ'ના અભિયાનની જેમ જ સરકારે મહિલાઓ માટે યુરિનલ્સની પણ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવવી જોઈએ. કેટલાક સ્થળે પે એન્ડ યુઝ શૌચાલયો હોય છે અને ત્યાં માત્ર લઘુશંકા માટે મહિલાઓ જાય, તો પણ પૂરેપૂરી ચાર્જની રકમ વસૂલવામાં આવે તો તે ગરીબ-નિમ્ન-મધ્યમવર્ગિય મહિલાઓને પોષાય નહી, તે પણ સ્વાભાવિક છે.
જેવી રીતે એસ.ટી. ડેપોમાં લઘુશંકા-ગુરૂશંકા જેવી શૌચક્રિયાઓ માટે ચાર્જ હટાવી લઈને તદ્ન નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવાનો કોન્સેપ્ટ સ્વીકારાયો છે, તેવી જ રીતે તમામ સ્થળે સુલભ શૌચાલયોમાં મહિલાઓની શૌચક્રિયાની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે, તો જ નેતાગીરીના મહિલા સુરક્ષાના દાવાઓમાં દમ છે, તેમ માની શકાય, અન્યથા આ પ્રકારના દાવાઓને ડંફાસો કે જુમલાઓ ગણાવીને તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર વિપક્ષો પણ કરી શકે છે, તે પણ હકીકત જ છે ને?
હાલમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા જાહેર શૌચાલયો-યુરિનલ્સની જે વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે, તેમાં પણ કેટલી દુર્ગંધ મારતી ગંદકી ખદબદતી હોય છે, તે આપણે જાણીએ જ છીએ. તેથી આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવાની સાથે સાથે તેની કાયમી નિયમિત સ્વચ્છતાની વ્યવસ્થા પણ કરવી જ પડે, અન્યથા આ પ્રકારની પબ્લિક સેનિટેશનની વ્યવસ્થાઓ જ બીમારીઓ ફેલાવવાનું માધ્યમ બની જતી હોય છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે જાહેર શૌચાલયો, યુરિનલ્સ ઊભા કરવા સરળ છે, પરંતુ તેને કાયમ માટે સ્વચ્છ અને સુઘડ રાખવા, એ પડકારરૂપ કામ હોય છે, અને તેમાં પૂરેપૂરો જનસહયોગ પણ જરૂરી હોય છે.
જો આટલી મૂળભૂત અને જાહેર આરોગ્ય, મહિલા સુરક્ષા તથા સામાજિક સભ્યતાને સાંકળતી સુવિધાઓ પણ વ્યવસ્થિત રીતે આપી શકાતી ન હોય, તો રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા મિશનોનો કોઈ ફાયદો ખરો? વાર-તહેવારે કે કેટલાક અઠવાડિયા-પખવાડિયાની ઉજવણીઓ કરીને અને તેમાં હાથમાં સાવરણા લઈને ફોટા પડાવવાથી સ્વચ્છતા આવી જવાની નથી, પરંતુ સ્વચ્છતાના સંસ્કાર જનમાનસમાં પૂરેપૂરા આવી જાય, તેવા પ્રયાસો પણ જરૂરી છે.
આશા રાખીએ કે મહિલા સુરક્ષાની રેકર્ડ વગાડતા રહેતા નેતાઓ અને સરકારી બાબુઓ પબ્લિક લેડીઝ યુરિનલ્સ ઠેર-ઠેર ઊભા કરવાની વ્યાપક ઝુંબેશ પણ ચલાવશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશમાં જાણે અત્યારથી જ દિવાળી ઉજવાઈ રહી હોય તેમ ગઈકાલે રાતભર ક્રિકેટ ટી-૨૦ના એશિયા કપમાં ભારતીય ટીમની જીતનો જુસ્સેદાર દેશવ્યાપી જશ્ન મનાવાયો, ફટાકડા ફૂટ્યા, આતશબાજીઓ થઈ, મીઠાઈઓ વહેંચાઈ અને મેટ્રોસિટીઝ સહિત ઠેર-ઠેર વિજયોત્સવ મનાવવા મહેફિલો જામી, એશિયા કપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની તેનો સ્વાભાવિક ઉત્સાહ હોય જ, પરંતુ ગઈરાતની ઉજવણી કાંઈક અલગ જ હતી. ગઈકાલે જે ઉજવણી થઈ, તે એશિયા કપના ફાઈનલના વિજય કરતાં અનેકગણી વધુ જુસ્સા સાથે અને ગૌરવ સાથે થઈ હતી, કારણકે તેમાં દેશભાવનાઓ જોડાઈ ગઈ હતી. ભારતે પાકિસ્તાનની ટીમને પાંચ વિકેટે હરાવી દીધી, તેનો તે ઉન્માદભર્યો ઉત્સાહ હતો. આ વિજયના કારણે ક્રિકેટ ટીમની તો વાહવાહી થઈ જ રહી છે, પરંતુ ઓપરેશન સિંદૂરમાં ભારતના વિજયની સીધી અસર પણ આ ઉજવણી પર પડી રહી હતી અને પાકિસ્તાનને હરાવવા ની ખૂશી ગઈકાલે પરાકાષ્ટાએ પહોંચી ગઈ હતી, અને આ સ્વાભાવિક જનપ્રતિક્રિયા હતી.
આમ, તો ભારત-પાકિસ્તાનની ટીમો સામસામે હોય ત્યારે અલગ જ પ્રકારનો જુસ્સો બંને દેશોના ખેલાડીઓ ટીમો તથા જનતામાં જોવા મળતો હોય છે, પરંતુ ગઈકાલેે ચાર દાયકા પછી પણ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવવાની ખુશી કાંઈક અલગ જ જણાતી હતી અને આ ખુશીમાં તમામ ભારતીયોની દેશભાવના પણ સ્પષ્ટપણે ઉભરાઈ રહેલી જોવા મળી રહી છે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથેના મોટાભાગના સંબંધો કાપી નાખ્યા હોવા છતાં ક્રિકેટની મેચો રમવા અંગે પ્રશ્નો ઉઠતા આપણાં દેશમાંથી જ વિરોધના સૂર પણ ઉઠ્યા હતા અને આ માટે બીસીસીઆઈને મંજુરી આપવા બદલ સરકારની ટીકા પણ થઈ હતી, જેની સામે એવી દલીલો પણ થઈ હતી કે એવું કરવાથી પાકિસ્તાનની ટીમને જ ફાયદો થશે અને ભારત નહીં રમે તો પાક.ને મળેલા મફતના પોઈન્ટના આધારે જ તે ચેમ્પિયન પણ બની શકે છે. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય નિયમ-કાયદા તથા આઈસીસીના વૈશ્વિક ટાઈમટેબલોને અનુસરવું પણ ફરજિયાત હોવાથી આ કારણે નિર્ણય લેવો પડે તો તેમાં કાંઈ ખોટું નથી. ઓપરેશન સિંદૂર માં ઘોર પરાજય છતાં હજુ પણ તૂંડમિજાજી ટ્રમ્પના ભરોસે હેકડી મારી રહેલા તથા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને વિજયી પરાક્રમો કર્યા હોવાની મનઘડંત ડંફાસો મારી રહેલી પાકિસ્તાનની નેતાગીરીને ક્રિકેટના મેદાનમાં પણ તમતમતો તમાચો પડ્યો હોવાના જે જુસ્સાભર્યા પ્રતિભાવો આવી રહ્યા છે, તે ગરિમામય છે. વડાપ્રધાને પણ ગઈકાલે થયેલા વિજયને ઓપરેશન વિજય સાથે સાંકળીને ટીમને અભિનંદન આપ્યા અને કહ્યું કે "અહીં પણ ભારત જીત્યું !"
ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, અને કોઈપણ રમતમાં હાર-જીત તો થયા જ કરતી હોય છે. કોઈપણ ફાઈનલ સ્પર્ધા કે મેચમાં કોઈપણ એક ટીમનો વિજય અને બીજી ટીમનો પરાજય નક્કી જ હોય છે. ઘણી વખત અસાધારણ સંજોગોમાં બંને ટીમ સમાન ગણવી પડતી હોય છે, પરંતુ રમતના કે જંગના મેદાનમાં પોતાની તમામ તાકાત રેડી દેવી એ ખેલાડીઓ અને જવાનોનું પરમ કર્તવ્ય હોય છે. તેથી ગઈકાલની ફાઈનલ મેચમાં બંને ટીમોના પ્રત્યેક ખેલાડીએ પોતાની ક્ષમતા મુજબ તમામ તાકાત કામે લગાડી દીધી હતી, તેની નોંધ પણ લેવી જ પડે. પાકિસ્તાનની ટીમ એક સમયે તો જીતી જશે, તેવું લાગ્યું હતું પણ ભારતીય ટીમ સામે પ્રતિસ્પર્ધી ટીમ વામણી પૂરવાર થઈ હતી.
આમ પણ જે ટીમ જીતે તેની વાહવાહી થાય અને જે ટીમ હારે તેને "હાર-જીત તો ચાલ્યા કરે, પણ ફાઈટ તો આપી ને ?" તેવા પ્રકારનું આશ્વાસન અપાતું જ હોય છે. જો ગઈકાલની મેચમાં ઉલટું પરિણામ આવ્યું હોત તો આપણે પણ કદાચ એ આશ્વાસનવાળી ફિલોસોફી જ અપનાવતા હોત ને ?
એક હકીકત એ પણ છે કે ટીમ ઈન્ડિયા કોઈપણ ખેલના મેદાનમાં પૂરેપૂરી ક્ષમતા ઉપરાંત પૂરેપૂરી ખેલદિલીની ભાવનાથી મેદાનમાં ઉતરતી હોય છે, પરંતુ ગઈકાલે એશિયા કપમાં પહેલી બે ટી-૨૦ મેચોમાં પાકિસ્તાનની ટીમના ખેલાડીઓની હરકતોમાં ક્યાંય ખેલદિલી નહોતી અને તેમાંથી જ આ નાપાક દેશની ઉદ્ધતાઈ, આડોડાઈ અને હલકાઈ પણ પ્રગટતી હતી. આ કારણે સુકા ભેગું લીલું બળે, તેમ ભારતના ખેલાડીઓ સામે પણ આંગળી ચિંધવામાં આવી, પરંતુ પાક.ના ખેલાડીઓની હરકતો તથા પાક.ની નેતાગીરીની હળાહળ જૂઠી વાહિયાત અને બેબુનિયાદ ડંફાસોએ પણ પૂરવાર કરી દીધું કે આ નપાવટ અને નમાલો દેશ બરબાદ થઈ જશે, પણ કયારેય સુધરશે નહીં...
એક હકીકત એ પણ છે કે બીસીસીઆઈ સ્વતંત્ર બોડી છે, અને તેના તરફથી આંતરરાષ્ટ્રીય મેચો રમવા જતી ભારતીય ટીમની મહેનતથી આ પ્રકારનો વિજય મળ્યો હોય ત્યારે તેને રાજકીય રીતે "અંકે" કરવાના પ્રયાસો થાય તો પણ તે યોગ્ય નથી.
ફાઈનલમાં વિજય પછીના પ્રેઝન્ટેશનમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રીના હાથે ભારતીય ટીમે ટ્રોફી નહીં સ્વીકારીને પાકિસ્તાનના આતંકવાદને પ્રોત્સાહિત કરવા તથા ઓપરેશન સિંદૂરના સંદર્ભે બંને દેશો વચ્ચે કથળેલા સંબંધોને અનુરૂપ સાંકેતિક વિરોધ દર્શાવ્યો તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને ભિન્ન ભિન્ન અભિપ્રાયો વ્યકત થઈ રહ્યા છે, પરંતુ પાક.ના ગૃહમંત્રી માટે તો આ સ્થિતિ ક્ષોભજનક અને શરમજનક જ નિવડી હતી., અને એ કહેવત યાદ આવી ગઈ હતી કે, "ચોરની માં કોઠીમાં મોઢું ઘાલીને રડે !"
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે જે ટી-૨૦ મેચ રમાઈ, તેમાં કોઈ પણ ટીમ હારે કે જીતે, તો તેની ફાઈનલ મુકાબલા પર કોઈ અસર થવાની નહોતી, કારણ કે ભારત અને પાકિસ્તાનની ટીમો પહેલેથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે અને રવિવારે ખરાખરીનો જંગ જામશે, અને તેમાં અત્યારે ટીમ ઈન્ડિયા મજબૂત જણાય છે, આમ ફોર્માલિટી પૂરતી ગઈકાલની મેચ પણ અત્યંત રોમાંચક બની ગઈ અને "ટાઈ" થતાં સુપર ઓવર રમાઈ, જેમાં ટીમ ઈન્ડિયા જીતી ગઈ. આ મેચમાં એશિયા કપમાંથી બહાર થઈ ગયેલી શ્રીલંકાની ટીમે પણ ભારતીય બોલરોને ધોઈ નાખ્યા અને ૨૦૦ થી વધુ રનનો જંગી જુમલો પણ ચેઈઝ કર્યો. તે જોતાં એવું કહી શકાય કે ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, અને તેમાં કોઈપણ ટીમે અતિ આત્મવિશ્વાસમાં રહેવા જેવું નથી.
એવી જ રીતે રાજનીતિમાં પણ કોઈએ હવામાં ઉડવા જેવું નથી. આપણા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્યોની ચૂંટણીઓના માધ્યમથી ઘણી વખત મતદારોએ મજબૂત જણાતી સરકારોને ઘરભેગી કરી દીધી છે અને ઐતિહાસિક જનાદેશો આપ્યા છે. અત્યારે તો રાષ્ટ્રીય કક્ષાએ બિહારની ચૂંટણી અને ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ટી-૨૦ ક્રિકેટ જેવી જ રસાકસી આ ચૂંટણીઓમાં થશે તેમ લાગે છે.
આપણા હાલારમાં પણ આગામી વર્ષ સુધીમાં થનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના ચોગઠાં ગોઠવાઈ રહ્યા હોય તેમ રાજકીય પક્ષો વધુ સક્રિય થઈ ગયા છે અને નેતાઓના પબ્લિક વચ્ચે જવાના કાર્યક્રમો વધી ગયા છે. હાલારમાં કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીની સક્રિયતા વધી ગઈ છે અને વિવિધ કક્ષાએ લોકોના પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે. રોજીંદી બેઠકોમાં પણ હોદ્દાની રૂએ ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરી વધી રહી છે. બીજી તરફ વિવિધ લોકપ્રશ્નોના મુદ્દે ધરણાં, રેલીઓ, વિરોધ-પ્રદર્શનો તથા આવેદનપત્રો આપવા જેવી લોકલક્ષી પ્રવૃત્તિઓમાં પણ ક્રમશઃ વધારો થઈ રહ્યો હોય તેમ જણાય છે. બીજી તરફ શાસકપક્ષ પણ કાર્યકરોમાં જુસ્સો વધારવાના પ્રયાસો કરી રહેલો જણાય છે. પરંતુ આંતરિક ટાંટીયાખેંચ તથા વાયરલ થતી દિગ્ગજ નેતાઓ અને ભાજપના ચૂંટાયેલા નેતાઓ વચ્ચેની ઓડિયોક્લિપો તથા કેટલાક કાર્યકર્તાઓ તથા નેતાઓની ખુલ્લેેઆમ પરસ્પર આક્ષેપબાજી જોતાં ભાજપમાં આંતરકલહની સમસ્યા નિવારવા રાજ્યના મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો થાય, તથા પ્રદેશ ભાજપના માળખામાં પણ ધરમૂળથી ફેરફારો થાય તેવા સંકેતો જોતા વિપક્ષો માટે ત્રણ દાયકા જૂની સત્તાને પડકારવાની તકો વધુને વધુ મજબૂત થતી જાય છે.
હાલારમાં કોંગ્રેસ વધુ સક્રિય થઈ ગઈ હોય તેમ વિવિધ મુદ્દે રોજીંદા કોઈને કોઈ આશ્ચર્યજનક કાર્યક્રમો, રેલીઓ, દેખાવો, વિરોધ પ્રદર્શનો વગેરે યોજાઈ રહ્યા છે. હાલારના બંને જિલ્લામાં સક્રિય થયેલા વિપક્ષોની હલચલ જોતાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.
જામનગરમાં તો મહાનગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટરો સહિત કોંગ્રેસે શહેરમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલાઓની "ઉકરડા વિઝિટ" યોજીને દલા તરવાડીની વાર્તા મુજબ "સ્વચ્છતાનો એવોર્ડ" લેવા રાજયના પાટનગર ગાંધીનગર પહોંચેલા શાસકપક્ષના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. તેમાં પણ પાલતુ બીલાડાઓને શાસકો દૂધ પીવડાવતા હોવાના આક્ષેપો સાથે "ઉકરડા વિઝિટ"ની જે તસ્વીરો પ્રસ્તૂત કરી છે, તેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, અને લોકોમાં પણ એવી ચર્ચા છે કે આ પાલતુ બીલાડાઓ કોણ ? આપણાં મહાનગરને કોઈપણ એવોર્ડ મળે, તો તે નગરનું ગૌરવ ગણાય, પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા ઉકરડા અને ગંદકી માટે જવાબદાર હોય, તેને કોણ છાવરે છે ? કરોડોના ખર્ચે ગટરવ્યવસ્થાના નિર્માણ પછી પણ ગટરો છલકાઈ જતી હોય ત્યારે બીલાડા ફેઈમ ભ્રષ્ટાચારની આશંકા જાગે, તે પણ સ્વાભાવિક જ છે ને ?
ખેડૂતોને નિયમિત વીજ પુરવઠા માટે રેલીઓ કાઢવી પડે, ગંદકી હટાવવા માટે ઉકરડા વિઝિટોના કાર્યક્રમો યોજવા પડે, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ કે માળખાકીય સુવિધાઓના પ્રશ્ને લોકોને સડકો પર ઉતરીને દેખાવો કરવા પડે, ત્યારે શાસન-પ્રશાસન સામે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. ભલે, મેગા પ્રોજેક્ટો મંજૂર થાય કે વિકાસના વિરાટકાય માચડાઓ ખડકાય, પરંતુ જ્યાં સુધી લોકોના મૂળભૂત પ્રશ્નો ન ઉકેલાય, ત્યાં સુધી બધું નકામું જ છે ને ?
દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસે પણ ખંભાળીયામાં ટેકાના ભાવે જણસોની ખરીદીમાં લોલમલોલ, વીજ પુરવઠાની અનિયમિતતા, ઓનલાઈન રજીસ્ટ્રેશનની ટેકનિકલ ખામીઓ, તથા ખાનગી કંપનીઓને સંબંધિત પ્રશ્નો અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવીને સરકારને ઢંઢોળી છે.
રાજયમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યા છે અને જુદા જુદા નામકરણ કરીને કચરો વાળવાના નાટકો કરવામાં આવે ત્યારે જામનગરમાં ઉકરડા વિઝિટ પછી સ્થાનિક જાગૃત નેતાગીરી દ્વારા ધ્યાન ખેંચવામાં આવ્યું છે કે એનજીટીએ રાજકોટ મહાનગરપાલિકાને સાડા બાવીસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, તેમાંથી બોધપાઠ લઈને વેસ્ટ ટુ એનર્જીના બંધ પડેલા પ્લાન્ટને લઈને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો જામ્યુકો પણ દંડાઈ શકે છે.
લોકો નગરમાં નિર્માણ થયેલા વિકાસકામો તથા અન્ય જાયન્ટ (મલાઈદાર ?) ડેવલપમેન્ટ પ્રોજેક્ટોની સાથે સાથે લોકોની મૂળભૂત સુવિધાઓ, જન આરોગ્ય, જાહેર સ્વચ્છતાને લઈને પણ પારદર્શક લોકલક્ષી અભિગમ રાખે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એશિયા કપમાં પાકિસ્તાને બાંગલાદેશને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે, ભારત-શ્રીલંકા વચ્ચેની આજની ટી-૨૦ મેચ ઔપચારિકતા જેવી હશે, કારણ કે ભારત ફાઈનલમાં પહોંચી ગયું છે, તેથી ફાઈનલ મુકબલામાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક રસાકસી જોવા મળશે. તેમ જણાય છે. બીજી તરફ બીસીસીઆઈએ પાકિસ્તાનના ખેલાડીઓ સામે આઈસીસીમાં ફરિયાદ નોંધાવી હતી અને પીસીબીએ સૂર્યકુમાર યાદવ વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી, તેની સુનાવણી પછી આઈસીસીના નિર્ણય પર સૌ કોઈની નજર મંડાયેલી હોવાથી બહાર પણ એક અલગ જ જંગ રમાઈ રહ્યો હોય, તેવું લાગે છે. એશિયા કપની આ ટૂર્નામેન્ટ પર ભારત-પાકિસ્તાન વચ્ચે કથળેલા સંબંધોની છાપ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓની મેદાન પરની હરકતો તથા લાઈવ મેચ દરમ્યાન વિવાદાસ્પદ શબ્દપ્રયોગો તથા હાવભાવ જોતાં પાકિસ્તાનની પ્રકૃતિ જ હવે ગુનાખોર અને આતંકવાદી માનસિકતાવાળી થઈ ગઈ હોવાનું પૂરવાર થાય છે. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદ પર પ્રહાર કરતી વખતે આ કારણે જ કદાચ એવું સ્પષ્ટપણે જાહેર કરી દીધું હતું કે હવે ભારત આતંકવાદીઓ અને તેને પોષણ આપતી પાક.ની સિસ્ટમ વચ્ચે કોઈ ભેદભાવ નહીં રાખે. પાકિસ્તાનની સિસ્ટમમાં ત્યાંની સરકાર, આઈએસઆઈ, આતંકવાદી સંગઠનો અને ખાસ કરીને ત્યાંની સેના સામેલ છે, જે ભારત વિરોધી કાવતરાં કરતી રહે છે.
અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હૂમલો કરનાર ઓસામા બિન લાદેનને વર્ષો સુધી સુરક્ષિત રીતે છુપાવી રાખનાર પાકિસ્તાનના વડાપ્રધાનને હવે અત્યારના અમેરિકાના રાષ્ટ્રપતિ "મહાન નેતા" બતાવે છે અને ફરીથી શાહબાજ શરીફ સાથે પાકિસ્તાનના સેનાધ્યક્ષ મુનિરની પણ મૂક્તકંઠે પ્રશંસા કરે છે, તે જોઈને દુનિયા દંગ રહી ગઈ છે. અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયા કરતાયે ભારત પર વધુ ખફા હોય, તેવી આશંકાઓ જાગે તેવા નિર્ણયો ફટાફટ લઈ રહ્યા છે અને ભારતના દુશ્મનોને ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યા છે, તે જોતાં અમેરિકાના હિતો પર ટ્રમ્પની પર્સનલ ભાવનાઓ કે ધંધાકીય લાલચ ભારે પડી રહી હોય તેમ જણાય છે. એવું કહેવાય છે કે બિટકોઈન્સના વૈશ્વિક "ધંધા" અથવા ગોરખધંધામાં ટ્રમ્પના પરિવાર સાથે મુનિરની પાર્ટનરશીપ હોવાથી ટ્રમ્પ પાકિસ્તાનની ગોદમાં બેસી ગયા છે !!
આ તરફ ભારત સરકારની પાકિસ્તાનને લઈને વિદેશીનીતિ તથા અમેરિકા સાથે પણ વણસેલા સંબંધો પાછળ મોદી-ટ્રમ્પની અંગત દોસ્તી અથવા "મીઠી" દુશ્મની અંગે પણ ટિકા-ટિપ્પણીઓ થઈ રહી છે. એક તરફ લોહી અને પાણી એક સાથે વહી ન શકે, તેમ કહીને પાકિસ્તાન સાથેના કેટલાક સંબંધો કાપી નાખવા, સિંધુ જળ સમજૂતિ રદ્દ કરવી અને વેપાર-વ્યવહારો બંધ કરી દેવા, અને બીજી તરફ પાક.ની નાપાક, નિર્લજ્જ અને નપાવટ હરકતો કરતા ખેલાડીઓ ધરાવતી ક્રિકેટ ટીમ સાથે ક્રિકેટ રમવું, એ વિરોધાભાસી નીતિ-રીતિની પણ આલોચના થઈ રહી છે. તેની સામે પાકિસ્તાનનો બહિષ્કાર કરીને ભારતીય ટીમ એશિયા કપમાં પાકિસ્તાન સામે રમી જ ન હોત, તો પાક.ની ટીમ લડયા વિના જ જીતી જાય અને એશિયાકપ ખુંચવી લેત, તેવી દલીલ પણ થઈ રહી છે, જો કે, ફાઈનલ હજુ બાકી છે !
એશિયાકપની ટૂર્નામેન્ટમાં જેવી રીતે ફાઈનલ ટી-૨૦ ક્રિકેટમેચ રમવાની બાકી છે તેવી જ રીતે ઓપરેશન સિંદૂર પણ હજુ પૂરૃં થયેલું ઘોષિત કરાયું નથી, તેથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ, આતંકીઓ તથા તેને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવાની ભારતીય સેનાની ફાઈનલ પણ હજુ બાકી છે, તેવો હુંકાર પણ ભારત તરફથી કરાઈ રહ્યો છે. એવું કહેવાય છે કે આ અધુરા ઉદૃેશ્ય ઉપરાંત પીઓકે પાછું મેળવવાના ઉદૃેશ્ય સાથે જ સીડીએસનો કાર્યકાળ લંબાવાયો છે.
જો કે, ભારતે પરંપરાગત બિનજૂથવાદી વિદેશનીતિ આઝાદી પછી સતત જાળવી રાખી હતી, પરંતુ ભારતને ટ્રમ્પ સાથેની પહેલી ટર્મની દોસ્તી આજે ભારે પડી રહી છે અને બીજી તરફ બાંગલાદેશ પણ ભારત સામે આંખો દેખાડવા લાગ્યું છે, તેથી ભારત ચારે બાજુથી ઘેરાઈ રહ્યું હોય તેમ જણાય છે.
બાંગલાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ન્યૂયોર્કથી મોદી સરકાર પર જે રીતે પ્રહારો કર્યા અને યુનોમાં ભાષણ દરમ્યાન ભારત સામે ઝેર ઓક્યું, તે જોતા ભારત આઝાદ થયું, ત્યારે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન હતા, તેવી જ સ્થિતિ ઉત્પન્ન થઈ રહેલી જણાય છે.
એવો વિચાર પણ વ્યક્ત થઈ રહ્યો છે કે શાહબાઝ અને મુનિરની જાહેરમાં તરફદારી કરીને તથા ભારે ટેરિફ ઉપરાંત એચ-૧ની ફી વધારીને જે રીતે ટ્રમ્પ વર્તી રહ્યા છે, તે જોતાં ભારતે હિંમતપૂર્વક ટ્રમ્પનો જ બહિષ્કાર કરી દેવો જોઈએ, અને આઝાદી પછીના ભારતે જાળવી રાખેલી બિનજૂથવાદી વિદેશનીતિનો પરચો આપી દેવો જોઈએ. આવું ભૂતકાળમાં ઈંદિરા ગાંધી અને અટલબિહારી વાજપેયીએ કર્યું જ હતું ને ?
અત્યારે જ્યારે આપણો દેશ ચોતરફથી દુશ્મનો તથા હિતશત્રુઓથી ઘેરાઈ રહ્યો છે ત્યારે દેશમાં જ "આઈ લવ મહંમદ" કે "આઈ લવ મહાદેવ" જેવા વિવાદો કે ભાષાવાદ, પ્રદેશવાદ, જ્ઞાતિવાદ, કોમવાદ કે પછાત-બિનપછાત જેવા મુદ્દે અંદરો-અંદર લડવાના બદલે દુશ્મનો તથા આંતરિક-બાહ્ય હિતશત્રુઓની સામે એકજૂથ થવાની જરૂર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તથા રાજકીય પક્ષો તથા જાહેર જીવનમાં રહેલા તમામ લોકોએ સત્તા પ્રાપ્ત કરવા, વર્ચસ્વ વધારવા કે વ્યક્તિગત સંસ્થાકીય લાભો, મતો મેળવવા માટે દેશને નુકસાન થાય કે દુશ્મનો ફાવી જાય, તેવી રાજનીતિ ન કરવી જોઈએ. ખાસ કરીને કેન્દ્ર સરકારે પણ પક્ષીય રાજનીતિથી ઉપર ઉઠીને રાજ્ય સરકારો સાથે મળીને દુશ્મનોના દાંત ખાટા કરવા દેશને તૈયાર કરવો જોઈએ, અને કહેવું જોઈએ કે, "જસ્ટ વેઈટ એન્ડ વોચ...ફાઈનલ હજુ બાકી છે" !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
લદાખમાં નેપાળના જેન-ઝેડ જેવું આંદોલન ફાટી નીકળ્યું, અને ચારોક લોકોના જીવ ગયા, સંખ્યાબંધ ઘાયલ થયા, તોડફોડ અને આગજની થઈ. દુકાનો-વાહનો તથા ભાજપના સ્થાનિક કાર્યાલયને સળગાવાયા, સુરક્ષા જવાનો પર પથ્થરમારો થયો અને શાંતિપ્રિય ગણાતું આ ક્ષેત્ર અશાંતિ તથા હિંસાની આગમાં હોમાયું, તેનું જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન પુછાઈ રહ્યો છે. આ કેન્દ્રશાસિત પ્રદેશ સીધો કેન્દ્ર સરકારના શાસન હેઠળ આવતો હોવાથી કેન્દ્રના ગૃહમંત્રાલય અને મોદી સરકાર પર તડાપીટ બોલી રહી છે, તો બીજી તરફ આ પ્રકારની નેપાળ જેવી હિંસા ફેલાવવા પાછળ રાજકીય બદઈરાદો ધરાવતા પરિબળો શાંત આંદોલનમાં ઘુસી ગયા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
લદાખની આ હિંસક ઘટના પછી એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે બાંગલાદેશ અને નેપાળની જેમ શું આપણાં દેશમાં પણ જનરેશન ઝેડ પ્રકારના હિંસક આંદોલનનો પ્રારંભ થઈ ગયો છે ? લદાખથી લાગેલી આગ દેશવ્યાપી બને, તે પહેલાં જ પાણી પહેલા પાળ બાંધવા તથા જો કોઈ તોફાની પરિબળો શાંતિ ડહોળવા ઈચ્છતા હોય તો તેને ખુલ્લા પાડવા તથા જો લદાખના લોકોની માંગણીઓમાં તથ્ય હોય તો તેની ગંભીરતાથી વિચારણા કરીને રોજગારી તથા નાગરિક હક્કો અને રિઝર્વેશન જેવા મુદ્દે તત્કાળ નિર્ણય લેવાના સૂચનો થઈ રહ્યા છે. આ આંદોલન ચલાવતા ઉપવાસી નેતાએ પોતાના ભાષણમાં નેપાળના જેન-ઝેડ આંદોલનનો ઉલ્લેખ કર્યા પછી આ તોફાનો ફાટી નીકળ્યા હોવાના પ્રતિઆક્ષેપો થયા પછી તે ઉપવાસી નેતાએ શાંતિની અપીલ કરીને ઉપવાસ આંદોલન સમાપ્ત કર્યું હોવાના અહેવાલો વહેતા થયા પછી હવે પૂર્વઘોષિત ૬ઠ્ઠી ઓકટોબરની હાઈલેવલ બેઠકો પછી આ મુદ્દે મોદી સરકારને પરોઠના પગલા ભરવા પડશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
હકીકતે લદાખને કેન્દ્રશાસિત પ્રદેશના બદલે રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે સોનમ વાંગચૂકે ઉપવાસ આંદોલન આદર્યું હતું. તેની ટ્રાયબલ રિઝર્વેશનની ટકાવારી, મહિલા અનામત, સ્થાનિક ભાષાઓને વિધિવત માન્યતા જેવી માંગણીઓ કેન્દ્રની એચ.પી.સી.ના માધ્યમથી પાઈપલાઈનમાં હતી, અને અમલવારી પણ શરૂ થઈ ગઈ હતી, તેવા સમયે વાંગચૂકે કરેલી કેટલીક ટિપ્પણીઓના કારણે હિંસક તોફાનો ફાટી નીકળ્યા હોવાનો દાવો કેન્દ્રીય સત્તાધીશો કરી રહ્યા છે, જ્યારે વાંગચૂક હિંસક તોફાનો માટે પોતે જવાબદાર નહીં હોવાનું જણાવી રહ્યા છે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક નિવેદન જાહેર કરીને વાંગચૂક પર આરોપ લગાવ્યો હતો કે વાંગચુકે આરબ સ્પ્રિંગ અને જેન-ઝેડનો ઉલ્લેખ કરીને ટોળાંઓને ઉશ્કેર્યા પછી આઈસીની ઓફિસ સળગાવીને પોલીસના વાહનો ફૂંક્યા, તથા ૩૦ થી ૩૬ સુરક્ષા જવાનોને ઘાયલ કરી દીધા પછી ના છૂટકે પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો. ગઈકાલે સાંજે ચાર વાગ્યાથી સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો થયો હોવા છતાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ હોવાથી જ પ્રતિબંધાત્મક આદેશો તથા વધારાના સુરક્ષાદળો ઉતારવા પડ્યા છે.
લદાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો આપવા માટે લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન અને અનેક રાઉન્ડની વાતચીત છતાં નિવેડો નહીં આવતા આંદોલનનું આ કલાઈમેક્સ હોય તેમ જણાય છે.
સોનમ વાંગચૂકે પણ હિંસક ઘટનાઓ માટે ચિંતા દર્શાવી અને યુવાવર્ગની બેરોજગારી તથા સ્થાનિક મુદ્દાઓનો ઉલ્લેખ પણ કર્યો. નેશનલ કોન્ફરન્સના નેતા શેખ બશીર અહેમદે કલમ-૩૭૦ હટાવ્યા પછી લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા પ્રત્યેની લદાખના લોકોની નારાજગીને કારણભૂત ગણાવીને હિંસક તોફાનોને દુભાગ્યપૂર્ણ ગણાવ્યા.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પ્રત્યાઘાતો આપતા સોશ્યલ મીડિયામાં પોષ્ટ મૂકીને લદાખને રાજ્યનો દરજ્જો આપવાનો કોઈ વાયદો કરાયો નહોતો અને વર્ષ ૨૦૧૯માં લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો ત્યારે ત્યાં ઉજવણીઓ પણ થઈ હતી, પરંતુ હવે તેઓને (કેન્દ્રની) દગાબાજીનો અહેસાસ થાય છે. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાના વાયદાનો પણ પૂરેપૂરો અમલ થયો નથી. જો કે, તેમણે લોકતાંત્રિક, શાંતિપૂર્ણ અને જવાબદારીપૂર્વક માંગણીઓ રજૂ કરવા પર ભાર મૂક્યો છે.
ગુજરાતની રાજધાની ગાંધીનગર નજીક આવેલા દહેગામ તાલુકાના બહિયાલમાં ગઈ રાત્રે ગરબીના મંડપ પર પથ્થરમારો થયો, દુકાનોમાં તોડફોડ અને લૂંટફાટ થઈ તો વાહનોને સળગાવાયા પછી આજે ત્યાં શાંતિ છે અને સ્થિતિ કાબૂમાં છે, પરંતુ નાનકડી તકરારે ભયંકર હિંસક સ્વરૂપ પકડી લીધું તેમાંથી શાંતિપ્રિય ગણાતા વિસ્તારોમાં હિંસા ભડકાવવાનો તણખો ક્યાંથી મુકાય છે અને કોઈપણ ઘટના કેવી રીતે ઝડપભેર હિંસક તથા જોખમી બની જાય છે, તે લદાખ અને ગાંધીનગરના આ ઘટનાક્રમો પરથી પૂરવાર થાય છે. લદાખમાં પણ શાંતિપૂર્ણ ચાલી રહેલા આંદોલનને હિંસક બનાવવામાં વાયરલ થયેલા કેટલાક નિવેદનોને કારણભૂત માનવામાં આવી રહ્યા છે, જ્યારે ગુજરાતના ગાંધીનગરના નાના સરખા ગામડામાં પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી વાયરલ થયેલી કોઈ પોષ્ટને જવાબદાર ગણવામાં આવી રહી છે. જો કે, ગાંધીનગર પંથકના આંદોલનને જેન-ઝેડ સાથે કોઈ સંબંધ નથી. તે નક્કર હકીકત છે.
જો કે, હાલમાં આ તમામ બાબતો તપાસનો વિષય છે અને બંને સ્થળે સ્થિતિ કાબુ હેઠળ છે, પરંતુ અત્યારે ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના યુગમાં કોઈપણ નિવેદન, શબ્દપ્રયોગ કે કોમેન્ટો કે વીડિયો સોશ્યલ મીડિયામાં પોષ્ટ કરતી વખતે ખૂબ સાવધાન રહેવું પડે તેમ છે. ઘણી વખત દુષિત ભાવનાથી કે ઈરાદાપૂર્વક નહીં, પરંતુ અજાણતા કે મજાકમાં કોઈ પોષ્ટ થઈ જાય, તો તે વિસ્ફોટક બની જતી હોય છે. અને તેવા દૃષ્ટાંતો પણ છે. બીજી તરફ રાજ્ય અને ક્ેન્દ્ર સરકારોએ યુવાવર્ગ સહિત જનતામાં પ્રવર્તતી નારાજગી, અસંતોષ કે અજંપાને નજરઅંદાજ કરવા જેવો નથી, કારણ કે આવી અવગણનામાંથી હવે જેન-ઝેડ જેવા આંદોલનો ફેલાવાની શક્યતાઓ વધી ગઈ હોય તેમ લાગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના રાષ્ટ્રપતિની ટ્રેડ પોલિસી જોતા તેઓ પાક્કા વેપારી હોય, તેમ ચલાવી રહ્યા છે, અને હવે તો સાયન્સ, ટેકનોલોજી અને મેડિકલના ક્ષેત્રોમાં પણ ચંચૂપાત કરવા લાગ્યા છે. શાંતિના ક્ષેત્રે નોબલ પારિતોષિકના પોતે હક્કદાર હોવાનું જણાવીને ટ્રમ્પ ભારત-પાકિસ્તાન સહિતના સાત-સાત યુદ્ધો રોકવાનો દાવો કરી રહ્યા છે, અને હવે તેમણે તબીબી ક્ષેત્રેના પોતે નિષ્ણાત હોય, તેવી ભાષામાં સગર્ભા મહિલાઓ માટે એસિટામિનોફેન/ટાઈલેનોલની વિપરીત અસરોને લઈને જે નિવેદન આપ્યું છે, તે પછી નવો વિવાદ ઊભો થયો છે.
આપણે ત્યાં આ તત્ત્વો ધરાવતી દવા પેરાસિટામોલ તરીકે પ્રચલિત છે, અને તેના સંદર્ભે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ગર્ભવતી મહિલા દ્વારા ટાઈલેનોલના અતિરિકત સેવનથી બાળકોમાં ઓરિઝમનો ખતરો વધી જાય છે. ટ્રમ્પની આ નવી હેલ્થકેર નીતિએ સૌને ચોંકાવી દીધા છે, એટલું જ નહીં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો ટાઈલેનોલને લઈને જે દાવાઓ કર્યા છે, તેને વિધિવત રીતે સ્પષ્ટ શબ્દોમાં રદીયો પણ આપ્યો છે.
ટ્રમ્પે યુનોમાં ભાષણ કરતી વખતે જે કાંઈ કહ્યું તેના વૈશ્વિક પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને ભારત અને ચીન પર યુક્રેન સામે યુદ્ધ લડવા ફંડીંગનો નવો આરોપ લગાવીને ટ્રમ્પે ભારતની વિરૃદ્ધમાં ઝેર ઓક્યું છે, તે જોતા એવા કટાક્ષો થઈ રહ્યા છે કે આવી "દોસ્તી" શું કામની ? ટ્રમ્પના દોસ્ત કેમ કાંઈ બોલતા નથી ?
ટ્રમ્પની આ હરકતો કવિ દલપતરામે વર્ષો પહેલા રચેલી એક કાવ્ય રચનામાં આબેહૂબ વર્ણવાયા છે.
"અંધેરી નગરીને ગંડૂ રાજા" વાળી આખી કવિતા જેમણે ધ્યાનથી વાંચી હશે, તેને તો આ કથાની ખબર જ હશે. એક નગરમાં મીઠાઈ અને શાકભાજી એક સમાન ભાવે વેચાતા હતા અને તે રાજ્યમાં આ જ પ્રકારની વિચિત્ર સ્થિતિ હતી તે નિહાળી તે નગરની મૂલાકાતે આવેલા ગુરૃ પોતાના શિષ્યો સાથે નગર છોડીને ચાલ્યા જાય છે, પરંતુ એક શિષ્યને અહીં ખાજા (મીઠાઈ-પકવાન)પણ શાકભાજીના ભાવે મળતા હોવાથી તે એ રાજ્યમાં રોકાઈ જાય છે, ત્યારે ગુરૃ ચેતવે છે કે આ પ્રકારના શાસનમાં રહેવું એ ખતરનાક છે. પરંતુ શિષ્ય માનતો નથી, અને તે પછી તેનું દુષ્પરિણામ જીવ ગુમાવીને ભોગવવું પડે છે.
કવિ દલપતરામની આ કાવ્ય રચના તથા ભારતેન્દુ હરિચન્દ્રે લખેલા "અંધેરી નગરી, ચોપટ રાજા" નામના વ્યંગાત્મક નાટકમાં જે કાલ્પનિક પાત્રો છે, તેને શબ્દચિત્રો, સંવાદો તથા કલાકારોના માધ્યમથી જિવંત બનાવીને એટલી લોકપ્રિય રીતે રજૂ કરાયો છે કે, આજે પણ આ કાવ્ય અને નાટક રંગભૂમિ પર પણ ભજવાય છે અને કવિ દલપતરામનું આ કાવ્ય શાળા-કોલેજોમાં સરકારી પાઠ્યપુસ્તકોમાં પણ સમાવાયું છે.
આ નાટ્ય પદ્યરચનાની આગવી સ્ટોરી જોઈએ તો ગંડુ રાજાના રાજ્યમાં બધી જ ચીજવસ્તુઓ એક જ ભાવે વેચાતી હતી, અને ત્યાં રોકાયેલો શિષ્ય ખાઈ-પીને તગડો થઈ ગયો હતો. બીજી તરફ નગરશેઠને ત્યાં ચોરી કરવા ગયેલા ચાર ચોર દીવાલ કુદવા જતાં, દીવાલ પડી જતાં તેમાં જ દબાઈને મરી ગયા, તો પછી ગંડુરાજાની સમક્ષ ચોરની માતા (ડોશી) એ ફરિયાદ કરતા ગંડુરાજાએ શેઠ (સમૃદ્ધ વેપારી)ને શુળીએ ચઢાવવાની સજા ફરમાવી તો શેઠે કહ્યું કે દીવાલ નબળી ચણનાર કડિયાનો વાંક છે. કડિયાએ ગાળીયું કરનાર મજુરનો વાંકા કાઢ્યો. ગંડુરાજાએ તેને પકડી લેવા આદેશ કર્યો તે પછી ગાળીયું કરનાર મજુરે પાણીનો વાંક કાઢી પખાલી (પાણી રેડનાર સાથીદાર) જવાબદાર હોવાનું કહ્યું તો પખાલીએ તે સમયે ત્યાંથી પસાર થનાર મુલ્લા તરફ ધ્યાન જતા પાણી વધુ રેડાઈ ગયું હોવાની દલીલ કરી, ગંડૂરાજાએ એ મુલ્લાને પકડીને શુળીએ ચઢાવવા આદેશ કર્યો, પરંતુ મુલ્લા એટલા પાતળા (દુબળા) હતા કે શુળીના જાડા પાંખીયામાં ચડે તેમ નહીં હોવાથી સૈનિકોએ ગંડુરાજાને હકીકત જણાવી. તે ભૂપે (રાજાએ) ખીજાઈને આદેશ આપી દીધો કે દલીલબાજી ન કરો, નગરમાં જે જાડો માણસ હોય, તેને શુળીએ ચઢાવી દ્યો.
સૈનિકોએ નગરમાં ખાઈ-પીને તગડા બનેલા એ શિષ્યને પકડીને રજૂ કર્યો.
અહીં સુધીની સ્ટોરી કદાચ ટ્રમ્પ જેવા પ્રવર્તમાન શાસકોને ઘણી જ મળતી આવે છે, પરંતુ તે પછીની સ્ટોરી પણ તૂંડ મિજાજી તાનાશાહોએ લક્ષ્યમાં લેવા જેવી છે.
ગંડુરાજા પાસે થોડા દિવસની મુદ્દત માંગીને શિષ્ય બાજુના ગામમાં જઈને ગુરૃને બચાવી લેવા આજીજી કરે છે. ગંડુરાજા જેવા મૂર્ખ શાસક સામે ગુરૃજી તેના જેવી જ યુક્તિ વાપરે છે. અને શિષ્ય સાથે જઈને ગંડુરાજાને કહે છે કે "અત્યારે એવા ચોઘડીયા છે કે અત્યારે જ શુળીએ ચડે, તેને પ્રભુના વિમાન લેવા આવે, તેજી શિષ્યને બદલે મને શુળીએ ચડાવો, તો શિષ્ય કહે છે કે મારે સ્વર્ગમાં જવું છે, મને જ શુળીએ ચડાવો".
આ ચડસાચડસી સાંભળીને મૂર્ખ ગંડુરાજા પોતાને સ્વર્ગમાં જવાનો "ચાન્સ" છે, એવું માનીને પોતે જ શુળીએ ચડી જાય છે. અને ગુરૃ-શિષ્યને દેશવટો આપીને પાંચ ગાઉ દૂર મોકલી દ્યે છે.
આ નાટકનો પૂર્વાર્ધ અત્યારે વિશ્વમાં ટ્રમ્પફેઈમ શાસકો તરફ અુંગલી નિર્દેશ કરે છે, અને ઉત્તરાર્ધ આ પ્રકારના તઘલખી તાનાશાહોનો અંજામ કેવો આવી શકે છે, તે જણાવે છે. દોઢ સદી પહેલા લખાયેલું હિન્દી નાટક અને ગુજરાતી કાવ્ય આજે પણ કેટલું પ્રસ્તુત છે !
એક ગુજરાતી કહેવત છે કે "જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી", હવે ટ્રમ્પે ટ્રેડ પોલિસીને જ શાસનનું મુખ્ય ઓજાર બનાવ્યું છે, ત્યારે હવે અમેરિકાની પ્રજાએ તેનો ભોગ બનવું પડશે, તવી ચેતવણીઓ અમેરિકાના જ ઘણાં લોકો આપી રહ્યા છે, જાણીતા અર્થશાસ્ત્રીઓ, અમેરિકન સાંસદો તથા વૈશ્વિક પ્રવાહોના નિષ્ણાતો ટ્રમ્પની નીતિ, તેમના બદલાતા રહેતા વલણો તથા આડેધડ નિર્ણયોના કારણે અમેરિકા તો બરબાદ થશે જ, પરંતુ આખી દુનિયામાં ઉથલપાથલ મચાવશે, તેવો મત વ્યક્ત કરી રહ્યા હોય ત્યારે દલપતરામના ગંડુરાજા જ યાદ આવી જાય ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કેટલાક સ્થળે પહેલા નોરતે જ વરસાદ પડ્યો, એટલું જ નહીં, વરસાદી પાણી ભરાઈ જતા પ્રથમ નોરતે ગરબે ન ઘુમી શકાયું , તેથી ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી, તો આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે, જો કે, દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે, જ્યારે હાલાર સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે છૂટો છવાયો વરસાદ પડ્યા પછી આજે પણ વાદળછાયુ વાતાવરણ છે, તેથી ખેતર-વાડીઓમાં ચિંતાજનક ચહલપહલ વધી રહી છે.
મેઘાવી માહોલની જેમ જ રાજકીય માહોલ પણ રાજ્ય અને દેશમાં છવાયો છે. હવે બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે અને તારીખો જાહેર થતાં જ આચારસંહિતા લાગુ પડી જાય, તે પહેલાં જ રાજ્ય-ક્ેન્દ્ર સરકારો દ્વારા બિહારમાં વિકાસ અને લોક-કલ્યાણના કામો ના લોકાર્પણો-ભૂમિપૂજન યોજીને ચૂંટણીલક્ષી ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો અને કેટલીક નવી યોજનાઓ તથા પ્રોજેકટોની જાહેરાત પણ કરી. કેટલીક માંગણીઓ તથા રજૂઆતો મુજબના લાભો આપવાની જાહેરાતો કરીને પગારદાર નોકરિયાત વર્ગો તથા ખેત મજુરો-કામદારોને ખુશ કરવાનો પણ પ્રયાસ કર્યો. બીજી તરફ એનડીએ માટે રહસ્યમય બની ગયેલા ચિરાગની ચહલપહલ પછી પ્રશાંત-પપ્પુની પિપુડી પણ જોરશોરથી વાગવા લાગી હોવાથી બિહારમાં હવે રાજકીય ઘમાસાણ વધુ તીવ્ર બનશે એ નક્કી છે.
આ તરફ ગુજરાતમાં પણ રાજકીય ચહલપહલ વધી ગઈ હોય તેમ જણાય છે. વિસાવદરમાં ભાજપને ઝટકો લાગ્યા પછી આમઆદમી પાર્ટીને હાઈકમાન્ડ ગંભીરતાથી લઈ રહ્યું હોય તેમ લાગે છે, જ્યારે કોંગ્રેસે જુનાગઢથી કરેલો રણટંકાર પણ ભાજપે અવગણ્યો નથી. ગુજરાતથી જ રાષ્ટ્રીયકક્ષાના સત્તાપરિવર્તનમાં વર્ષ ૨૦૨૭થી મંડાણ કરવાના વિપક્ષી ગઠબંધનના કોઈ ગુપ્ત રોડમેપની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે, તેથી જ કદાચ ભારતીય જનતા પક્ષનું હાઈકમાન્ડ પણ સતર્ક થઈ ગયું હોય, તેમ ચૂંટણીના ચાણક્ય મનાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને ગુજરાતની રાજકીય વ્યૂહરચના ગોઠવવાનું કામ સોંપાયુ હોય, તેવા સ્પષ્ટ સંકેતો પણ હવે મળવા લાગ્યા છે, કારણ કે અમિતભાઈ શાહે સરકારી કાર્યક્રમોના પ્રવાસો દરમ્યાન રાજકીય ગોઠવણો તથા જમીની "સેન્સ" મેળવવા માટે શ્રેણીબદ્ધ મિટિંગો ઉપરાંત વ્યક્તિગત મુલાકાતો કરવાનું પણ શરૂ કર્યું છે.
તાજું દૃષ્ટાંત તેઓની રાજકોટની મુલાકાતનું છે. રાજકોટની મુલાકાતે આમ તો અમિતભાઈ શાહ સહકાર ક્ષેત્રના કાર્યક્રમ માટે આવ્યા હતા, પરંતુ તેના નિયત કરેલા કાર્યક્રમમાં ફેરફાર કરીને સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીને સાથે રાખીને સરકીટ હાઉસમાં જે રીતે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા-પરામર્શ કર્યો, તે જોતા અમિતભાઈ શાહને ભાજપના પ્રાદેશિક માળખામાં ચાલી રહેલા સખળ-ડખળને સમાપ્ત કરીને ભાજપના સંગઠન તથા સરકાર વચ્ચે તાલમેલ બેસાડીને આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે સાથે મળીને કામે લાગી જવા તૈયાર કરવાનું કામ હાઈકમાન્ડે સોંપ્યું હોય, તેમ જણાય છે.
અત્યારે તો ગુજરાતમાં મહાનગરપાલિકાઓ તથા મોટા ભાગની જિલ્લા પંચાયતોમાં ભાજપનો દબદબો છે, પરંતુ ભાજપમાં વધેલા જૂથવાદ, ટાંટિયાખેંચ અને ખૂલ્લેઆમ આંતરિક આક્ષેપોના કારણે આગામી ચૂંટણીમાં ભાજપને ભારે રાજકીય નુકસાન થાય અને વર્ષ ૨૦૧૫ના સમયગાળામાં થયું હતું તેમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વળતા પાણી થાય, તેવી સ્થિતિ ઊભી થઈ જતાં ડેમેજ કંટ્રોલ કરીને સંગઠન તથા રાજય સરકારમાં જરૂર પડ્યે ધરમૂળથી ફેરફાર કરીને પણ પૂર્વવત સ્થિતિ જળવાય, તે માટે ભાજપના ચાણક્ય દ્વારા ચહલપહલ શરૂ થઈ ગઈ હોવાના તારણો પણ રાજકીય પંડિતો કાઢી રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપને ઢગલાબંધ મતો આપતા મતદારો પણ કંટાળી ગયા છે અને જનતા નિરાશા અનુભવી રહી છે, તેથી આ વખતે સત્તા હાથમાંથી સરકી જાય, તે પહેલાં ભાજપના હાઈકમાન્ડે થીગડ થાગડ કરવા માટે સોંપેલા "ઝઘડે મિટાઓ...સત્તા બચાઓ" જેવા મિશનમાં અમિતભાઈ કેટલા સફળ નિવડે છે, તે જોવું રહ્યું...
અમિતભાઈએ અચાનક જ કોઈપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ સંખ્યાબંધ સ્થાનિક નેતાઓ-કાર્યકર્તાઓને વ્યક્તિગત રીતે મળ્યા અને તેમાં પણ હાંસિયામાં ધકેલાઈ ગયેલા ભાજપના સિનિયર અને જૂના નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે પણ ગૂફતેગો કરી, તે જોતાં અમિતભાઈને ગુજરાતની મુલાકાતના પ્રારંભેજ જે ફિડબેક મળ્યા હશે, તેમાં ભાજપના અસંતુષ્ટ તથા નારાજ જૂના કાર્યકર્તાઓ-નેતાઓને સાથે લેવા અને નિરાશ થઈ ગયેલી જનતાને રિઝવવા માટેના ઉપયોગી સૂચનો પણ થયા જ હશે. ટૂંકમાં, ત્રણ દાયકાની એન્ટિ-ઈન્કમ્બન્સી તથા ધગધગતો અસંતોષના કારણે આગામી સમયમાં ભાજપને પરોઢના પગલાં ભરવા પડી શકે છે, તેવો અહેસાસ ઉચ્ચ નેતાગીરીને થઈ ગયો હોય તેમ જણાય છે.
આ વખતે કેન્દ્રીય-સહકાર મંત્રી તરીકે અમિતભાઈના સહકાર-કૃષિક્ષેત્રના કાર્યક્રમોની સાથે સાથે તેઓ પ્રદેશ ભાજપના કષ્ટભંજક તરીકે પણ કામ કરી રહ્યા હતા, તે જોતાં કદાચ પ્રદેશ ભાજપ તથા રાજ્ય સરકારમાં ટૂંક સમયમાં નવાજૂની થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અમિતભાઈએ કેટલાક નેતાઓ-કાર્યકર્તાઓ સાથે વ્યક્તિગત ધોરણે પરામર્શ કર્યો તથા સુસ્ત અને રાજકોટમાં કેટલીક બંધબારણે ચર્ચા કરી, તે પછી ગુજરાતની મંત્રીમંડળ તથા પ્રદેશ ભાજપમાં પણ અજંપો જોવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે દશેરા પછી કે દિવાળી પછી ગુજરાતના મંત્રીમંડળ તથા પ્રદેશ ભાજપમાં જબરદસ્ત ફેરફારો તોળાઈ રહ્યા છે, અને "કામરાજ" યોજનાની યાદ અપાવે, તેવી નવાજૂની થવાની જ છે, તેવી મજબૂત અટકળો થઈ રહી છે. જોઈએ, હવે આ બધું દિવાળી પહેલા થાય છે કે પછી...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી નવલાં નોરતાની શરૂઆત થઈ છે ત્યારે પ્રિય વાંચકો-ફોલોઅર્સ સહિત સૌ કોઈને નવરાત્રિની શુભકામનાઓ...
ગઈકાલે વડાપ્રધાન જ્યારે રાષ્ટ્રજોગુ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે લોકોમાં એ ઉત્કંઠા હતી કે ક્યાંક નોટબંધી, લોકડાઉન, કોવિડ પોલિસી સમયે કરી હતી તેવી કોઈ પ્રતિબંધાત્મક ઘોષણા તો નહીં થાય ને ? જીએસટીમાં ઘટાડા પછી તેના સંદર્ભે કોઈ મોટો ફેરફાર તો નહીં થાય ને ? શું હવે પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવાના સંકેતો મળવાના છે ? તેવા પ્રશ્નો ઉઠ્યા હતા, પરંતુ વડાપ્રધાને ગઈકાલે સાંજે જીએસટી બચત ઉત્સવ, આત્મનિર્ભર ભારત અને ખાસ કરીને "સ્વદેશી"ની ભાવનાનો ઉલ્લેખ કરીને નવા જીએસટી રિફોર્મ્સથી કેવા કેવા ફાયદા થશે, તેનો ઉલ્લેખ કર્યો હતો.
બીજી તરફ ગઈકાલે જામનગરમાં વિપક્ષ દ્વારા મહાનગરપાલિકાના શાસકો અને પ્રશાસકો પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા અને આ વર્ષે શ્રાવણી મેળામાં જામનગર મહાનગરપાલિકાને રૂ. બેે કરોડથી વધુની આવક થઈ હોવાનો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો, પરંતુ એટલી રકમ તો મનપાની તિજોરીમાં જમા થઈ જ નથી, તેના પુરાવા વિપક્ષ પાસે હોવાનો દાવો કરવામાં આવ્યો, તે મુદ્દો પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
ગઈકાલે જામનગર મહાનગરપાલિકા સામે કોંગ્રેસે વિરોધનું બ્યુંગલ ફૂંક્યા પછી શાસક-પ્રશાસક વર્તુળમાં હલચલ મચી હતી, તે પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે ને ?
હકીકતે ગઈકાલે જ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ મેળાના ભ્રષ્ટાચારના મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે કદમ ઉઠાવવાની તથા મનપાની તિજોરીને નુકસાન પહોંચાડનાર ગમે તેટલો ઉચ્ચ અધિકારી હોય તો પણ તેને ડીસમીસ કરવા તથા ફોજદારી રાહે ફરિયાદ નોંધાવવાની જે માંગણી કરી હતી, તેના સંદર્ભે આજે શું થાય છે, તેના પર સૌ કોઈની નજર હતી. ખુદ મનપા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડના શ્રાવણી મેળામાં ૨ કરોડ ૭ લાખની આવક થઈ હોવાનું જાહેર થવા છતાં મનપાની તિજોરીમાં ૧ કરોડ ૬૬ લાખ જ કેમ જમા થયા ? તે પ્રશ્ને સવાલ-જવાબ થઈ રહ્યા છે.
બીજી તરફ ગઈકાલે વડાપ્રધાને રાષ્ટ્રજોગું સંબોધન કર્યું, ત્યારે નગરમાં તથા કદાચ દેશવ્યાપી એ ચર્ચા પણ થઈ જ ગઈ હશે કે વડાપ્રધાને આ પહેલા ક્યા-ક્યા મુદ્દે સમગ્ર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, અને તે પછી શું થયું હતું. અત્યારે વડાપ્રધાન તરીકે ત્રીજી ટર્મ ચાલી રહી છે, અને આ દરમ્યાન નરેન્દ્રભાઈએ ડઝનેક રાષ્ટ્રજોગ વિશેષ સંબોધનો કર્યા હશે. (આમાં "મન કી બાત"નો સમાવેશ થતો નથી).
વર્ષ-૨૦૧૬ની આઠમી નવેમ્બરની રાત્રે આઠેક વાગ્યે જ્યારે વડાપ્રધાને રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની તે સમયની ચલણી નોટો રદ કરી, તે વિવાદાસ્પદ ઘોષણાની સૌથી વધુ ચર્ચા થતી રહી છે.
તે પછી ભારતના સ્પેસ વૈજ્ઞાનિકોએ જ્યારે અંતરિક્ષમાં એન્ટી-સેટેલાઈટ પરીક્ષણ કર્યું ત્યારે તેના સંદર્ભે મિશન શક્તિના વિષય પર રાષ્ટ્રને સંબોધન કરીને વડાપ્રધાને ઈસરો અને સ્પેસ વૈજ્ઞાનિકોને બીરદાવ્યા હતા. અમેરિકા, રશિયા, અને ચીન પછી આ પ્રકારની ઉપલબ્ધિ મેળવનાર ભારત ચોથો દેશ બન્યો હતો. વર્ષ ૨૦૧૯ની ૮મી ઓગષ્ટે જમ્મુ-કાશમીરમાંથી કલમ-૩૭૦ હટાવાઈ, તે પછી સંબોધન કર્યું હતું.
તે પછી ૨૪મી માર્ચ ૨૦૨૦ના દિવસે લોકડાઉનની જાહેરાત સમયે વડાપ્રધાને રાષ્ટ્રજોગનું પ્રવચન કર્યું હતું. તે પછી સમગ્ર કોવિડના સમયગાળા દરમ્યાન વડાપ્રધાને વર્ષ ૨૦૨૦ની ૭મી જૂને જુદા જુદા સંદર્ભે રાષ્ટ્રજોગ પ્રવચનો કર્યા હતા, જેમાં આર્થિક પેકેજ, લોકડાઉનમાં ક્રમશઃ છૂટ અને કોરોના વેક્સિનેશન ડ્રાઈવનો સમાવેશ થતો હતો.
કોરોના કાળ પછી મોદી સરકારને જ્યારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પ્રચંડ વિરોધ અને ખેડૂત આંદોલન પછી પાછા લેવા પડ્યા, તેની જાહેરાત પણ વર્ષ ૨૦૧૧ની ૧૯મી નવેમ્બરે રાષ્ટ્રજોગુ પ્રવચન કરીને વડાપ્રધાને કરી હતી. છેલ્લે ઓપરેશન સિંદૂર અંગે ૧૨મી મે ૨૦૨૫ના રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતુ, અને હવે ગઈકાલે જીએસટી રિફોર્મ્સના સંદર્ભે દેશવાસીઓને સંબોધ્યા પછી તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
જો વડાપ્રધાનના તમામ રાષ્ટ્રજોગ સંબોધનોનું વિશ્લેષણ કરવામાં આવે તો, વડાપ્રધાને જ્યારે જ્યારે રાષ્ટ્રજોગ પ્રવચનો કર્યા છે, ત્યારે ત્યારે દેશ કોઈને કોઈ મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમોમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેની અસાધારણ અને અભૂતપૂર્વ અસરો પડી હતી, જેની હંમેશાં નેગેટિવ-પોઝિટિવ ચર્ચાઓ થતી રહી છે.
આ તરફ કોંગ્રેસ પ્રમુખ ખડગેએ આલોચના કરતા કહ્યું છે કે મોદી સરકારે ગબ્બરસિંહ ટેક્સ દ્વારા ૮ વર્ષમાં રૂ. ૫૫ લાખ કરોડથી વધુની વસુલાત કરી છે !
આજે જીએસટી બચત ઉત્સવ પણ ઉજવાઈ રહ્યો છે અને નવરાત્રિનો પ્રથમ દિવસ પણ છે. એશિયા કપમાં પાકિસ્તાન સામે બીજી ટી-૨૦ મેચના વિજયની ઉજવણી પણ થઈ રહી છે, તો બીજી તરફ જામનગર સહિત રાજ્યભરમાં નવરાત્રિ ઉત્સવની ઉજવણી પણ થઈ રહી છે. આ માહોલ વચ્ચે વરસાદની આગાહીઓએ થોડી ચિંતા પણ જગાવી છે. જો કે, મોટા ગરબીમંડળોએ તો "વોટરપ્રૂફ" વ્યવસ્થાઓ કરી હશે, પરંતુ નાની નાની શેરી ગલીની ગરબીઓની મજા મેઘરાજા ન બગાડે, અને માત્ર અમી છંટકાવથી આશીર્વાદ વરસાવે, તેવું ઈચ્છીએ અને નવરાત્રિ એ ધાર્મિક સમૂહનૃત્યનું સાંસ્કૃતિક મહાપર્વ છે, પાવન પર્વ છે, તે લક્ષ્યમાં રાખીને ઉલ્લાસ અને સંપ-સૂલેહ-શાંતિ સાથે ઉજવણી કરીએ...
નવદૂર્ગા માતા કી જય....અંબે ભવાની માત કી જય...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવનગરની મુલાકાત અને સંલગ્ન કાર્યક્રમો તથા જામનગર સહિત કેટલાક જિલ્લાઓના વિકાસ પ્રોજેકટોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિત ભાવનગર જિલ્લાના વિકાસકામો માટે કરોડો રૂપિયાના લોકસુવિધાના કામોની ભેટ આપવાના છે, તેવો જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આજે ભાવનગરની ધરતી પરથી વડાપ્રધાને જે કાંઈ કહ્યું છે અને જે નવા વિકાસ લોકકલ્યાણના કામોની જાહેરાત થઈ રહી છે, એ પછી રાજ્યમાં ફરીથી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. વડાપ્રધાનની ગુજરાતની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે રાજ્યમાં એક તરફ ભારતીય જનતા પક્ષમાં આંતરિક સખળ-ડખળ ચાલી રહી છે, અને બીજી તરફ કોંગ્રેસના જુનાગઢના રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમો તથા રાહુલ ગાંધીની મુલાકાત પછી રાજ્યમાં કોંગ્રેસની સક્રિયતા વધી રહી છે. રાજ્યમાં આમઆદમી પાર્ટી પણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને નવેસરથી સોગઠી મારવાની તૈયારી કરી રહી છે, તે જોતાં એવું જણાય છે કે ટૂંક સમયમાં ગુજરાતમાં કાંઈક નવાજૂની થવા જઈ રહી છે.
થોડા સમય પહેલા એવી વાતો વહેતી થઈ હતી કે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિની સાથે સાથે ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ જશે અને તે સમયે અત્યારે રાજ્ય સરકારના મંત્રીમંડળના કેટલાક સભ્યોને સંગઠનમાં મોકલાશે અને સંગઠનમાંથી કેટલાક ધારાસભ્યોને રાજ્યના મંત્રીમંડળમાં સમાવાશે. અત્યારે મુખ્યમંત્રી માટે "મજબૂરી" બનેલા બે-ત્રણ વિવાદાસ્પદ અને નબળી કામગીરી કરનારા મંત્રીઓનું મંત્રીપદ છીનવાય જાય અને તેવો હાંસિયામાં ધકેલાઈ જાય, તેવી શક્યતાઓ પણ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.
હાલારને સંબંધ છે, ત્યાં સુધી અત્યારે બે કેબિનેટ કક્ષાના મંત્રીઓ મંત્રીમંડળમાં છે, તેથી "નવાજૂની"નો પ્રભાવ હાલારને બહુ નહીં થાય. પરંતુ જો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા તે પછીની વિધાનસભાની ચૂંટણીઓના ગણિત અને સમિકરણોને ધ્યાને રાખીને કદાચ કોઈ ફેરફાર થાય, તો રાજ્ય સરકારના કોઈ "ઉપયોગી" મંત્રીને સંગઠનમાં મોકલીને તેના સ્થાને નવા સમિકરણો મુજબ તથા નવા માપદંડોને ધ્યાને રાખીને મંત્રીમંડળમાં કોઈ સરપ્રાઈઝ્ડ સિલેકશન પણ થઈ શકે છે. આ બધી અટકળો સાથે મંત્રીમંડળમાં કાપકૂપ અને વિસ્તરણ તથા પ્રદેશ કક્ષા તથા જિલ્લા કક્ષાએ સંગઠનમાં પણ ધરમૂળ ફેરફારની ચર્ચા પણ થવા લાગી છે.
ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ જતા ઘણાં નેતાઓની કારકિર્દી પૂરી થઈ ગઈ છે, તો કેટલાક નેતાઓ ગૂંગળામણ અનુભવી રહ્યા હશે, જયારે પક્ષાંતર કરીને ભાજપમાં ગયેલા કેટલાક નેતાઓ બળાપો કાઢી રહ્યા છે, જ્યારે કેટલાક નેતાઓ બળવો કરવાના મૂડમાં ભાજપને સમાંતર કાર્યક્રમો દ્વારા હાઈકમાન્ડને ચેતવી રહ્યા હોય તેમ જણાય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ જુનાગઢ જિલ્લા ભાજપમાં વધુ જોવા મળી રહી છે, તેવા સમયે કોંગ્રેસે રાષ્ટ્રીય કક્ષાનું સંમેલન તથા પ્રચારાત્મક અને સંગઠનાત્મક કાર્યક્રમો પણ જુનાગઢમાં યોજાયા, તે યોગાનુયોગ છે કે આયોજનપૂર્વકની કોંગ્રસની વ્યૂહરચના છે, તેની ચર્ચા પણ ટોક ઓફ ધ સ્ટેટ બની ગઈ છે.
આ ઉપરાંત ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓના પ્રવાસો વધી રહ્યા હોવાથી વર્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રીય કક્ષાની ધ્યાન ખેંચતી ચૂંટણી બની રહેશે તે નક્કી છે.
આજે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, તેમાંથી ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટા કડાકા-ભડાકા થશે, તેવા સંકેતો મળી રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ પાટીદાર આંદોલનમાંથી નેતા બનીને કોંગ્રેસના પ્રાદેશિક કાર્યવાહક પ્રમુખનો હોદ્દો મેળવ્યો અને તે પછી ભાજપમાં સામેલ થઈને ધારાસભ્ય બનેલા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશ્યલ મીડિયામાં જે પોસ્ટ મૂકી છે, તે બળાપો છે કે બગાવત છે ? તેવા સવાલો સાથે ગુજરાતની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે.
"અમે શાંત છીએ, સંત નહીં, મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, કેમ કે, આ શરૂઆત છે, અંત નહી...."
આ શબ્દપ્રયોગ કરીને હાર્દિક પટેલનો ઈશારો કોના તરફ છે ? તેની સાથે રાજકીય પંડિતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના પ્રવાસને સાંકળી રહ્યા છે, તથા હાર્દિક પટેલની સોશ્યલ મીડિયાની કથિત પોસ્ટના ટાઈમીંગને સાંકળીને હાર્દિક પટેલે ભાજપમાં ગયા પછી તેના આક્રમક તેવર અંકુશમાં રાખ્યા હતા, તે હવે બગાવતી બની રહ્યા હોવાની અટકળો પણ થઈ રહી છે. આ પહેલા પોતાના મતક્ષેત્રમાં વિકાસના કામો તથા તંત્રના અસહયોગને લઈને ઉપવાસ પર ઉતરવાની ચિમકી પણ રાજય સરકારને આપી હતી. શું ભાજપના અસંતુષ્ટ નેતાઓની નેતાગીરી લઈને હાર્દિક પટેલ કોઈ કડાકા-ભડાકા કરશે કે ફૂગ્ગો ફૂટી જશે ? તે માટે જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશ્યલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-૧ અને ટેટ-૨ની પરીક્ષાઓ ૧૨ ઓક્ટોબરે લેવામાં આવશે, તેવી જાહેરાત થઈ હતી. તે પછી ટાટની પરીક્ષાઓ સંદર્ભે પણ શિક્ષણ વિભાગે જાહેરાત કરી હોવાની ચર્ચા વચ્ચે શિક્ષકોની સંખ્યાબંધ જગ્યાઓ ખાલી હોવા સાથે ભરતી પસંદગી પછી પણ ખૂલ્લેઆમ ભ્રષ્ટાચારની રાવ ઉઠી રહી છે અને નિયુક્ત થયેલા શિક્ષકો પાસે "ફૂલ નહીં તો ફૂલની પાંખડી" આપવાનું કહેવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આવું થતું હોય તો તે ગંભીર ગણી શકાય અને એ અંગે સરકાર તથા કેળવણીક્ષેત્રે કાર્યરત લબ્ધપ્રતિષ્ઠિત સંસ્થાઓએ પણ યોગ્ય તપાસ કરીને જરૂરી કદમ ઉઠાવવા જોઈએ, તેવા જનપ્રતિભાવો અવગણવા જેવા નથી.
પહેલા તો શિક્ષકોના પગારમાંથી ૨૦ ટકા કાપી લેેવામાં આવતા હોવાની ફરિયાદો હતી, પરંતુ અદ્યતન ચૂકવણી પદ્ધતિએ તથા શિક્ષકોને બેન્ક એકાઉન્ટ્સમાં પગાર ડાયરેક્ટ જમા કરાવવાની પદ્ધતિઓ અમલી બન્યા પછી પણ અન્ડર ટેબલ ચોક્કસ રકમ અથવા ટકાવારી વસુલ થતી હોવાની ફરિયાદો પણ ઉઠતી હતી.
જો કે, આવી ફરિયાદોના કોઈ ચોક્કસ આધાર-પૂરાવા કે ઓનપેપર ગરબડ જોવા મળતી નહીં હોવાથી પૂરાવાના અભાવે જે રીતે આરોપીઓ નિર્દોષ છુટી જાય, તેવી જ રીતે આધાર-પૂરાવાના અભાવે હોશિયારીપૂર્વક થતા પડદા પાછળના ભ્રષ્ટાચારને ડામી શકાતો નહોતો અને આ પ્રકારની ફરિયાદો કોઈપણ આધાર વગર સાચી માની લેવાનું પણ ન્યાય સંગત કે યોગ્ય ગણાય તેમ નહોતું.
હવે એક નવી ફરિયાદ ઉઠી છે, જે ગંભીર ગણાય. એવું કહેવાય છે કે હવે નિયુક્ત થયેલા શિક્ષણ સહાયકો જ્યારે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હાજર થવા જાય, ત્યારે તેની પાસે (ફરજિયાત) ડોનેશન અથવા દાનની ચોક્કસ રકમ માંગવામાં આવે છે., અને તેવું નહીં કરનાર શિક્ષણ સહાયકો (શિક્ષકો)ને સંચાલકો કે ટ્રસ્ટના અસહયોગનો સામનો કરવો પડે છે.
ઘણી બધી ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો સરકારની ગ્રાન્ટથી ચાલે છે., અને આ પ્રકારની ગ્રાન્ટ-ઈન-એઈડ સ્કૂલોમાં રાજ્યમાં ૨૭ હજાર જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. આ સ્થિતિમાં તબક્કાવાર સુધારો કરવા રાજય સરકારે ટાટ-૧ અને ટાટ-૨ પરીક્ષા પાસ કરેલા ક્વોલિફાઈડ ઉમેદવારોની શિક્ષણ સહાયક તરીકે પસંદગી કરીને તેની વિવિધ ગ્રાન્ટેડ શાળાઓને ફાળવણી કરી હતી.
રાજય સરકારે પ્રથમ તબક્કામાં ૭૫૦૦ જગ્યાઓ માટે શિક્ષણ સહાયકોની પસંદગી કરીને ફાળવણી તો કરી દીધી, પરંતુ આ શિક્ષણ સહાયકો ફાળવણી મુજબની માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓમાં હાજર થવા જાય, ત્યારે ત્યાંના આચાર્ય કે સંચાલકો દ્વારા સંસ્થાને "ફૂલ નહીં તો ફૂલની પાંખડી" આપવાનું કહેવામાં (અથવા દબાણ કરવામાં) આવતું હોવાની એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેને એક નવી જ પ્રકારનું ભ્રષ્ટાચારનું સ્વરૂપ જ ગણી શકાય ને ?
સંસ્થાને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનું કહીને પોતાની શૈક્ષણિક સંસ્થામાં નોકરી આપવા બદલ નાણાં (લાંચ) માંગવામાં આવે, તો તેને કોઈપણ સંજોગોમાં હળવાશથી લઈ શકાય નહીં.
પહેલા ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓ જ સરકારના નીતિ-નિયમો અને ગાઈડલાઈન્સ મુજબ ખાલી પડતી જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરતી હતી, પરંતુ હવે સરકારે શિક્ષકોની સામૂહિક ભરતીનો અભિગમ અપનાવીને શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોની ભરતી કરવાના અધિકારો સરકાર હસ્તક લીધા છે, પરંતુ તે પછી પણ ઘણી સંસ્થાઓ પરોક્ષ રીતે ભ્રષ્ટાચાર આચરી રહી હોવાની બૂમ ઉઠતી રહેતી હતી, પરંતુ "પૂરાવાના અભાવે" અસરકારક પગલા લેવાતા નહીં હોવાથી નવી પ્રક્રિયા પણ ટ્રાન્સપરન્ટ કે પ્રામાણિક પૂરવાર થઈ નહીં હોવાના તારણો નીકળી રહ્યા છે.
જો કે, હવે આ પ્રકારની ભ્રષ્ટ પ્રક્રિયાનો ઓડિયો-વીડિયો ઉતારીને (રેકોર્ડિંગ કરીને) પૂરક પૂરાવા ઊભા કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે, અને છોટા ઉદેપુરમાં આ પ્રકારે ફરિયાદ કરાયા પછી તેના રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.
છોટા ઉદેપુરમાં તો ત્યાંની નગરપાલિકા સંચાલિત એક હાઈસ્કૂલમાં ૯ નવનિયુક્ત શિક્ષણ સહાયકોએ આ પ્રકારની ભ્રષ્ટાચારની ફરિયાદ ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી અને છેક ડીજીપી સુધી રજૂઆતો કરી હોવાનો કિસ્સો બહાર આવ્યા પછી ખૂલ્લેઆમ થતા છૂપા ભ્રષ્ટાચારની ચર્ચાએ જોર પડક્યું છે, આ શિક્ષણ સહાયકો ગઈકાલે રાજ્યની રાજધાનીમાં પહોંચ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શિક્ષકો પાસેથી નાણા માંગવામાં આવ્યા હોવાનું મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું છે અને એવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે જો આ ચોક્કસ ગ્રાન્ટ-ઈન એઈડ સંસ્થાને નોકરી માટે નાણા નહીં અપાય તો ખોટા આક્ષેપો કરીને ગુન્હામાં ફસાવીને સસ્પેન્ડ કરી દેવાની ધમકી પણ અપાઈ રહી છે.
જો કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની કચેરીમાં જ આ પ્રકારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનું દબાણ કરીને ધાકધમકી અપાતી હોય અને અનૈતિક તથા ખંડણીખોરી જેવી માનસિકતા રખાતી હોય તો રાજયની કોમળ પરંતુ કઠોર સરકાર આ પ્રકારના મુદ્દે કેમ ગંભીર નથી ? તેવા સવાલો ઉઠે એ પણ સ્વાભાવિક છે, યુવા કાર્યકર યુવરાજસિંહેે પણ આ મુદ્દે શિક્ષકોને સાથે રાખીને પત્રકાર પરિષદ યોજ્યા પછી આ મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે અને રાજ્યના શિક્ષણ વિભાગ પર માછલાં ધોવાઈ રહ્યા છે. આ પ્રકારે "ટ્રાન્સપરન્ટ કરપ્શન" ના કિસ્સાઓ રાજ્યમાં જ્યાં જ્યાં બન્યા હોય, ત્યાં ત્યાં ઊંડી તપાસ કરીને કડક કદમ ઉઠાવવા જ જોઈએ, તેવો જનમત અવગણવો ભારે પડી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચોમાસુ વિદાઈ લઈ રહ્યું છે અને કેટલાક સ્થળે સૌરાષ્ટ્રમાં ધૂમ્મસ છવાયું હોવાના અહેવાલો પછી ઋતુચક્ર ફરી રહ્યું હોવાથી તેની જનજીવન પર રાબેતા મુજબની અસરો પડી રહી છે, તો બીજી તરફ દિગ્ગજ કોંગી નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા હોવાથી તેની સીધી અસરો રાજ્યની રાજનીતિ પર પણ પડી રહી છે. આ તરફ જામનગર સહિત રાજ્યમાં ચોમાસા પછી તૂટેલા-ફૂટેલા માર્ગોને લઈને બૂમરાણ મચી છે અને લોકો હવે આ મુદ્દે સડક પર ઉતરવા લાગ્યા છે.
રાજ્યના મોટા ભાગના ધોરીમાર્ગો, રાજય-જિલ્લાના મુખ્ય માર્ગો તથા ગ્રામ્ય માર્ગો જ નહીં, પરંતુ શહેર-ગામડાઓના આંતરિક માર્ગોમાં પડેલા મોટા ખાડાઓ અને તેમાં ભરાયેલા ચોમાસાના પાણીથી સર્જાયેલી ગંદકી પરિવહન ઉપરાંત જાહેર આરોગ્ય પર પણ ગંભીર ખતરો ઊભો કરી રહ્યા છે, ત્યારે આ સડકો પર પ્રવાસ કરવો કે અવર-જવર કરવાને લોકો "જોખમયાત્રા" ગણાવી રહ્યા છે, જયારે રાજકીય ક્ષેત્રે નીકળતી વિવિધ યાત્રાઓ સાથે "જોખમયાત્રા" નો ઉલ્લેખ કરીને કટાક્ષો પણ થઈ રહ્યા છે, અને નિંભર તંત્રો અને સૂસ્ત શાસકો સામે અનેક સ્થળે પ્રચંડ જનાક્રોશ પણ જોવા મળી રહ્યો છે, અને જાગૃતિયાત્રાઓ પણ નીકળી રહી છે.
રાજકોટમાં બે જીવ લેનાર ગમખ્વાર અકસ્માત થયો, તે પહેલા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા કેટલાક વિસ્તારોમાં જાહેર માર્ગોમાં પડેલા ખાડાઓમાં સુઈ જઈને જયારે લોકોએ ચક્કાજામ સર્જી દેતા હડિયાપટ્ટી થઈ ગઈ હતી, અને પોલીસને પણ પરસેવો વળી ગયો હોવાના અહેવાલો જોતા લોકોમાં કેટલી હદે નારાજગી હશે, તેની કલ્પના થઈ શકે છે. એક સર્વે મુજબ રાજકોટ શહેરમાં ૧૮૦૦ ચોરસમીટરથી વધુ ખાડા પડયા હોવાના તારણો કાઢવામાં આવ્યા છે. તેનો કોઈ સર્વે થયો હોવાનું તો જાપમાં નથી, પરંતુ નગરનો કોઈપણ માર્ગ ખાડા વિહોણો નહીં હોય, તેવા તારણો કાઢી શકાય છે. કેટલાક મુખ્ય માર્ગો પર થાગડ-થીગડ કરાયું છે, પરંતુ હજુ પણ આંતરિક માર્ગો તથા શેરી-મહોલ્લાઓને સાંકળતી સડકો ચારણી જેવી જ છે. સોસાયટી વિસ્તારોની દૂર્દશા એવી થઈ ગઈ છે કે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક રહીશો પણ આવેદનપત્રો લઈને કચેરીઓના આંટાફેરા કરી રહ્યા હોવા છતાં કોઈ દાદ દેતું નહીં હોવાની સાર્વત્રિક અને સર્વસમાન ફરિયાદો રાબેતા મુજબ પડઘાતી રહે છે. યાત્રાધામ દ્વારકા હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્યમથક ખંભાળીયા હોય કે વિવિધ નગરપાલિકાઓના વિસ્તારો હોય, હાલારમાં હાલવું-ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે, ત્યાં બીજી તરફ રાજકીય યાત્રાઓની મોસમ પણ હવે ચોતરફ ખીલી ઉઠી છે. આવી યાત્રાઓના આયોજકો કે તેમાં જોડાતા લોકોને પણ આ જોખમી ખાડાઓ તથા ગંધાતા પાણીના ખાબોચીયાઓ નડતા જ હશે, પણ કરે શું ? "જોખમયાત્રા"ઓ દ્વારા પણ મતોત્પાદક ખેતીની જમીન તૈયાર થતી જ હશે ને ?
જોખમયાત્રાઓની જેમ જ દેશમાં "જુમલાયાત્રાઓ"નો ધમધમાટ પણ વધ્યો છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી વાયદાઓની વણઝાર છુટી છે અને વચનોનો વરસાદ થઈ રહ્યો છે. બિહારના ચર્ચિત અને દિગ્ગજ નેતા લાલુપ્રસાદ યાદવે "જુમલાદિન"નો ઉલ્લેખ કર્યા પછી ચૂંટણીલક્ષી રાજકીય પક્ષની યાત્રાઓને લોકો પણ હવે જુમલાયાત્રાઓ કહીને કટાક્ષ કરવા લાગ્યા છે.
રાહુલ ગાંધી જુનાગઢમાં ચાલી રહેલી કોંગ્રેસની શિબિરમાં આવ્યા હતા, અને છેલ્લા છ મહિનામાં કદાચ છઠ્ઠી વખત આવ્યા છે, તે ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તથા કોંગ્રેસની સર્વોચ્ચ ટીમે પણ ગુજરાતમાં સભાઓ ગજવી હતી, તે જોતાં ભાજપના ત્રણ દાયકાના ગુજરાતના શાસનને હરાવીને આગામી વિધાનસભાની વર્ષ ૨૦૨૭ની ચૂંટણીમાં સત્તાપ્રેરિતનું સપનું સાકાર કરવા કોંગ્રેસનું હાઈકમાન્ડ અને ગાંધી પરિવાર ગંભીર હોય તેમ જણાય છે. બીજી તરફ અસંતોષના ઉકળતા ચરૂ અને ટાંટિયા ખેંચની વધતી જતી સમસ્યાના કારણે ભાજપને આ વખતે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના મજબૂત પ્રતિકારનો સામનો કરવો પડશે, તે નક્કી જણાય છે.
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે દેશવ્યાપી કાર્યક્રમો યોજાયા હતા. વિદેશ પ્રવાસો પછી હવે વડાપ્રધાને દેશના વિવિધ રાજ્યોના પ્રવાસો શરૂ કર્યા છે અને મોટા મોટા વિકાસ પ્રોજ્ેક્ટોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ઉપરાંત નવી યોજનાઓની ઘોષણાઓ થઈ રહી છે, ત્યારે ૨૦મી સપ્ટેમ્બરના તેઓના ભાવનગરના સૂચિત પ્રવાસની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એવું કહેવાય છે કે ગુજરાત એસ.ટી. નિગમના વિવિધ ડેપોની કુલ ૧૩૦૦ બસો વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવાઈ છે, જેમાં જામનગર ડિવિઝનની પણ ૭૦ જેટલી બસો ફાળવાશે, જેથી કેટલાક રોજીંદા રૂટો કપાઈ જશે અને એસ.ટી.ના સંચાલકોએ કહેવું પડશે કે, "યાત્રીઓ કૃપયા ધ્યાન દે....થોડે રૂટ કી બસેં દો દિન કે લિયે બંધ હૈ....અસુવિધા કે લિયે ખેદ હૈ...!"
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મેઘરાજાએ વિરામ લીધો અને ચોમાસુ વિદાય લેવા લાગ્યું , પરંતુ હજુ પણ છુટા છવાયા વરસાદની છુટી છવાઈ આગાહીઓ થતી રહે છે અને નવરાત્રિમાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે, તેવી ચર્ચા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત મધ્યરાત્રિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, અને વડાપ્રધાને તેનો આભાર માન્યો, સાથે સાથે યુક્રેન યુદ્ધ સહિતના મુદ્દે ચર્ચા થઈ, તે મુદ્દો આજે સવારથી "ગ્લોબલ ટોક" નો વિષય બન્યો છે, તો બીજી તરફ મોન્ટુ પટેલના મહાકૌભાંડની "અંદરની" વાતો પણ ચર્ચાવા લાગતા ભાજપ સામે તડાપીટ બોલી રહી છે, અને તેના પ્રત્યુત્તરો પણ અપાઈ રહ્યા છે. આ મહાકૌભાંડ પછી શાસન, પ્રશાસન, સિસ્ટમ ઉપરાંત રાજકીય પક્ષોમાં ચાલતા લોલંલોલની પોલ પણ ખુલી ગઈ છે. મહા કૌભાંડો કરીને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા, લલિત મોદી, નિરવ મોદી, મેહુલ ચોક્સી અને હવે મોન્ટુ પટેલ પણ જો "ફરાર" થઈ ગયા હોય તો એવું કહી શકાય કે દાળમાં કાળુ નહીં, પણ આખી દાળ જ કાળી છે, એવું કહેવાય છે કે પીસીઆઈ એટલે કે ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષપદેથી હકાલપટ્ટી કરાયા પછી મોન્ટુ પટેલની પરિવાર સાથે કેનેડા ભાગી જવાની તૈયારી હતી અને કરોડો રૂપિયા હવાલાથી તેના કોઈ મિત્ર પ્રોફેસરને મોકલી પણ દીધા હતા. વૈભવી જીવન જીવતા ૩૫ વર્ષીય મોન્ટુ પટેલને ક્યા ક્યા મોટા માથાઓ સાથે સંબંધો હતા, કોની સાથે ધરોબો હતો અને કોની કોની સાથે "સેટીંગ" હતું, ક્યા દિગ્ગજોની મહેરબાનીથી તે આગળ વધ્યો અને કાળા કરતૂતોમાં તેના સાગરિતો કોણ કોણ હતા, તેની ચર્ચા આજે 'ટોક ઓફ ધ નેશન' બની છે. મોન્ટુ પટેલે ફાર્મસી કોલેજોને આડેધડ માન્યતાઓ આપીને કોલેજ દીઠ તગડી રકમ ભેગી કરી લીધી, તથા તેના પત્નીએ બીજાના નામે લાખો રૂપિયા લઈને પરીક્ષાઓ આપી હોય, તો તે ગંભીર ગુન્હાઓ છે. હવે તેની સામે સીબીઆઈની તપાસ ચાલી રહી છે, અને દરોડા પડી રહ્યા છે, ત્યારે ભ્રષ્ટાચાર સામે કડક વલણ રાખવાનો યશ લેતા શાસકપક્ષના નેતાઓ આ આખા કૌભાંડો વર્ષો સુધી ચાલ્યા, ત્યાં સુધી ક્યાં હતા અને ભાજપ તરફથી આ પહેલા તેની સામે કોઈ કદમ કેમ ન ઉઠાવાયા ? તેવા સવાલો પણ પુછાઈ રહ્યા છે. સોશ્યલ મીડિયામાં પણ આ મુદ્દે ભાજપ પર તડાપીટ બોલી રહી છે.
મોન્ટુ પટેલ વિરૂદ્ધ તપાસ એજન્સીને મજબૂત પૂરાવા મળ્યા છે અને તે પોતે ફરાર હોવાનું કહેવાય છે, ત્યારે આ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે, કેટલાક લોકો એવું પણ કહે છે કે હજુ તપાસ ચાલી રહી હોય, ત્યારે આરોપીને અપરાધી ગણાવી દેવો યોગ્ય નથી, તો ઘણાં લોકો ભાજપમાં ભળી ગયેલા ભ્રષ્ટાચારીઓના કારણે પાર્ટી તથા સરકાર બદનામ થતા હોવાનું કહે છે. વિપક્ષો વ્યંગ કરી રહ્યા છે કે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય, તેવા ઘણાં નેતાઓ ભાજપના ઉચ્ચ સ્થાનો પર બિરાજમાન હોય ત્યારે મોન્ટુ પટેલ સામેની કાર્યવાહી કદાચ આંતરિક ખેંચતાણનું પરિણામ પણ હોઈ શકે છે. રાજ્યમાં મીડિયામાં તથા સોશ્યલ મીડિયામાં થતી કોમેન્ટો વચ્ચે કોંગ્રેસે પણ તીખો પ્રત્યાઘાત આપ્યો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ મોન્ટુ પટેલ ભાજપ સાથે સીધા સંકળાયેલા હોવાનું જણાવી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. કેન્દ્રમાં ભાજપના ૧૧ વર્ષના શાસન દરમ્યાન વિવિધ કાઉન્સીલોમાં લૂંટનો કારોબાર ચાલે છે. અને આ કાઉન્સીલો મંજુરીઓ તથા રિન્યુઅલના નામે નાણા ઉઘરાવે છે, આ માટેના જુદા જુદા પ્રાઈસલિસ્ટ (ભાવપત્રકો) છે. તેવા આક્ષેપો સાથે મનિષ દોશીએ સણસણતો સવાલ પૂછ્યો છે કે સ્ટેટ ફાર્મસી કાઉન્સીલમાં ચાલતી ગરબડ અંગે સરકાર મૌન કેમ છે ?
તેમણે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે ગુજરાતમાં ૮૪ માંથી ૮૧ ફાર્મસીની કોલેજો પ્રાઈવેટ સેક્ટરની છે. આ ખાનગી કોલેજોના સંચાલકોને ફી ના નામે મોટા પેકેજ અપાય છે, જે દિલ્હીમાં બેઠેલા ભાજપના આકાઓ (મોટા માથાઓ)ના ઈશારે ચાલે છે.
બીજી તરફ એવું પણ કહેવાય છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીનું તેમનું નોમિનેશન અટકાવાયા પછી તેમને કાઉન્સીલના સભ્યપદેથી દૂર કરાયા અને ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનો હવાલો વાઈસ પ્રેસિડેન્ટને સોંપાયો, પરંતુ તેને હોદ્દા પરથી દૂર કરાયા છે કે નહીં, તે ગઈકાલે સાંજ સુધી સ્પષ્ટ નહોતું થયું.
રાજ્ય-કેન્દ્ર સરકારો અને ભાજપ-એનડીએના વર્તુળો કોંગ્રેસ દરેક મુદ્દે રાજનીતિ કરતી હોવાના આક્ષેપ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી અભિગમનો દાવો કરી રહ્યા છે અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ જ દરોડા પાડીને તપાસ કરી રહી છે, તેમ જણાવી રાજ્ય અને કેન્દ્ર સરકારો ભ્રષ્ટાચાર કરનાર કોઈપણ ચમરબંધી હોય, તો તેની સામે પણ કડક કદમ ઉઠાવવાનો અભિગમ ધરાવે છે, તેવા દાવાઓ પણ થઈ રહ્યા છે.
આજે ગુજરાતના વતની અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોઈ, તેઓને દેશ-દુનિયામાંથી અભિનંદન અપાઈ રહ્યા છે અને આ પ્રસંગને સાંકળીને ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર ઉપરાંત પક્ષ-ગઠબંધન દ્વારા પણ ગાંધી જયંતી સુધી વિવિધ સેવાકાર્યો દ્વારા ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણે પણ દેશના વડાપ્રધાનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ, અને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન વધુ વેગીલું બને અને તેના વાસ્તવિક પરિણામો મળે તેવું ઈચ્છીએ...
જામનગર સહિત હાલારમાં વડાપ્રધાનના જન્મદિનથી ગાંધી જયંતી સુધીના સેવાકાર્યોનો પ્રારંભ પહેલેથી જ થઈ ગયો છે અને ઠેર-ઠેર રક્તદાન કેમ્પો, શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવનાર લોકોના સન્માન, સરકારી કામોને સાંકળીને વિવિધ કેમ્પો, નવી યોજનાઓનો પ્રારંભ તથા સ્વચ્છતા અભિયાન વગેરેનો ધમધમાટ ચાલી રહ્યો છે, અને આજે પ્રેસ-મીડિયા-સોશ્યલ મીડિયા ઉપરાંત ટ્રેડિશ્નલ મીડિયા દ્વારા પણ વડાપ્રધાનને જન્મદિનના અભિનંદન અપાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે, અને નવરાત્રિની તૈયારીઓ પણ થવા લાગી છે. ખેલૈયાઓ રાસ-ગરબાની પ્રેકટિસ કરી રહ્યા છે, જ્યારે આયોજકો વેન્યૂ, મ્યુઝિક-લાઈટીંગ સિસ્ટમ્સ તથા મંડપની વ્યવસ્થાઓ માટે દોડધામ કરવા લાગ્યા છે. તે પછી દિવાળીના તહેવારોની શ્રેણી આવશે. દીપોત્સવીને તહેવારો ટાણે જ કેટલીક ચીજવસ્તુઓ મોંઘી થાય જથ્થાબંધ ફુગાવો વધ્યો હોવાની ચર્ચાએ ચિંતા પણ જગાવી છે.
કેટલીક ખાદ્ય ચીજો સહિતના પ્રોડક્ટ્સના ભાવોમાં થયેલા વધારાની સીધી અસર ફુગાવા પર પડી હોય તેમ જણાય છે, તો બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને તો આપણાં દેશમાં મોંઘવારીનો દર નક્કી કરવાની પ્રક્રિયા અને માપદંડો સામે જ સવાલો ઉઠાવ્યા છે.
જો કે, પ્રથમ ક્વાર્ટરમાં ભારતની ઈકોનોમિ ૭.૮ ટકાના ગ્રોથ સાથે આગળ વધીને છેલ્લા પાંચ ક્વાર્ટર્સની ટોચે પહોંચી છે, તો બીજી તરફ મોંઘવારીના દરમાં વધારો અને ફુગાવા પર તેની અસરોના કારણે જે સ્થિતિ ઊભી થવા જઈ રહી છે, તેથી કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે અને રઘુરામ રાજનના અભિપ્રાયમાં પડઘાયા હોય તેમ જણાય છે.
રઘુરામ રાજને કહ્યું છે કે આપણાં દેશનો મજબૂત ગ્રોથ આવકારદાયક હોવા છતાં આ આંકડાઓનો ઊંડો અભ્યાસ કરીને ગ્રોથ વધવાના કારણો પણ જાણવા જોઈએ., આભાસી ચિત્ર તથા વાસ્તવિકતા વચ્ચેનો ભેદ સમજાવવા માંગતા હોય તેમ રઘુરામ રાજને કહ્યું કે ભારતના ઈકોનોમિ ગ્રોથ છતાં બે પ્રકારની ચિંતા છે. તેમણે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટમાં મંદી અને રોજગારીના સર્જનમાં ઘટાડાનો ઉલ્લેખ કરીને કહ્યું કે દેશના સ્ટેનેબલ વિકાસમાં પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ આવશ્યક છે. જ્યારે દેશના વિકાસનો લાભ સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે વ્યાપક રોજગારીનું સર્જન થવું પણ જરૃરી છે.
ભારતમાં મોંઘવારીની ગણતરી યોગ્ય રીતે થતી નહીં હોવાથી વાસ્તવિક ઈકોનોમિકલ ગ્રોથની ખબર પડતી નથી, તેવા સર્વસામાન્ય અભિપ્રાયના સંદર્ભે રઘુરામ રાજને પણ સવાલ ઉઠાવ્યો કે શું આપણે મોંઘવારીને યોગ્ય ઢબે ગણી રહ્યા છીએ ખરા ?
રઘુરામ રાજને દેશમાં સરકારી રોકાણ વધી રહ્યું છે અને ખાનગી રોકાણ ઘટી રહ્યું છે, તેથી છેલ્લા એક દાયકાથી (મોદી સરકારના સમયગાળામાં) આ ચિંતાજનક વિષય બન્યો છે, અને તેના પર વધુ લક્ષ્ય આપવાની જરૃર છે, તેવો અભિપ્રાય વ્યક્ત કરતા આ મુદ્દાને દરેક ઈકોનોમિસ્ટ (અર્થશાસ્ત્રી) માટે હેડેક (માથાના દુઃખાવા સમાન) ગણાવ્યો છે, જે ઘણું જ સૂચક તથ્ય છે.
આપણાં દેશમાં લાંબા ગાળાના ટકાઉ વિકાસની સાથે અવરિત વપરાશ તથા રોજગારી સર્જનનો સંબંધ સમજાવતા રઘુરામ રાજને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માંગ વધે અને તેથી ઈકોનોમિને પ્રોત્સાહન મળે તે માટે આ તમામ પાસાઓ પર વધુ લક્ષ્ય આપવું અત્યંત જરૃરી છે.
કેટલીક કંપનીઓમાં કર્મચારીઓની થતી છટણીનો ઉલ્લેખ કરીને તેમણે ટકોર કરી કે આપણી ઈકોનોમિ દ્વારા ઉત્તમ રોજગારી (નોકરીઓ)નું સર્જન થવું જોઈએ, તે જરૃરિયાત મુજબ થતું નથી.
એક તરફ ભારત સાથે ટેરિફ અંગે વાટાઘાટો કરવા ટ્રમ્પે એક પ્રતિનિધિમંડળ ભારત તરફ રવાના કર્યું હોવાના અહેવાલો છે, અને બીજી તરફ ટ્રમ્પે ચીન સાથે પણ વાતચીતની પહેલના સંકેતો આપ્યા છે, પરંતુ ટ્રમ્પ સરકારના મંત્રીઓ જે ભાષામાં વિચારો વ્યક્ત કરે છે, અને દરરોજ કોઈને કોઈ નવી ઘોષણા કરીને યુ-ટર્ન લઈ રહેલા ટ્રમ્પના વલણો બદલાતા રહે છે. તે જોતાં હજુ કોઈ પણ આશા રાખવી કે અટકળો કરવી, તે થોડું વહેલું ગણાય. આમ પણ હવે ભારતે વલણ સ્પષ્ટ કરી દીધા પછી ટ્રેડ ડીલનો દડો હવે ટ્રમ્પના મેદાનમાં છે.
રઘુરામ રાજનનો ટ્રમ્પના ટેરિફ અંગેનો અભિપ્રાય થોડો જુદો પડે છે. તેમના તારણો મુજબ ટ્રમ્પ ટેરિફની અસરો ભારત પર મર્યાદિત જ રહેવાની છે. આ ઈફેક્ટ વિવિધ માલ-સામાન પર અલગ-અલગ હશે, એટલે કે એકસરખી નહીં હોય. તેમણે આંકડાઓ સાથે સમજાવ્યું કે ભારતની અમેરિકામાં થતી તમામ નિકાસ સંપૂર્ણપણે બંધ થઈ જાય, તો પણ ભારતનો લગભગ ૪૦ અબજ ડોલર એટલે કે જીડીપીના એક ટકા જેટલું જ નુકસાન થાય તેમ છે. અમેરિકા સાથે લોબિંગની વેપારીઓ તથા કંપનીઓને એડવાઈઝ આપતા તેમણે ટ્રમ્પ ટેરિફ થોડા મહિનાઓ સુધી રહે, તો પણ જીડીપી પર ૦.૨ ટકાથી ૦.૪ ટકા સુધી જ અસર થશે; તેવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. જોઈએ, ટ્રમ્પ ભારતના મુદ્દે યુ-ટર્ન લ્યે છે કે પછી વધુ આક્રમક બને છે, શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે એશિયાકપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને કચડી નાંખ્યુ અને લીગ મેચમાં સાત વિકેટે શાનદાર વિજય મેળવ્યો, એટલું જ નહીં, ટોસ જીતીને બેટીંગ પસંદ કરનાર પ્રતિસ્પર્ધી ટીમને માત્ર ૧૨૭ રનમાં આઉટ કરીને ભારતીય બોલરોએ દમખમ દેખાડ્યો, તે આ ટુર્નામેન્ટની આગામી મેચો માટે પણ મોમેન્ટ વધારશે, તે નક્કી છે.
જો કે, આ ટી-ર૦ ક્રિકેટ મેચ ઘણાં જ વિવાદો સાથે વિપરીત જનભાવનાઓને અવગણીને રમાયો, એટલું જ નહીં, જો કેન્દ્ર સરકારે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ન્યુટ્રલ સ્થળે રમવાની મંજૂરી ન આપી હોત તો કદાચ વર્તમાન ક્રિકેટ ટીમનો કોઈપણ ખેલાડી આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમવા રાજી ન હોત તો અને દેશમાં પણ એક મોટો વર્ગ પાકિસ્તાન સાથે કોઈપણ સંબંધ રાખ્યા ન હોય, ત્યારે ખેલકૂદમાં પ્રતિસ્પર્ધી બનીને તેની સાથે ક્રિકેટ રમવાની વિરૂદ્ધમાં હતો. આપણાં દેશની ધનાઢ્ય બીસીસીઆઈએ તો આ મેચ રમવાના નિર્ણય લેવાનું ઠીકરૃં કેન્દ્ર સરકાર પર ફોડી દીધુ, પરંતુ બીસીસીઆઈ અને આઈસીસીમાં નિર્ણાયક પરિબળો કોણ-કોણ છે અને તેનો પ્રવર્તમાન સરકાર સાથે ક્યો સંબંધ છે, તે ઓપન સિક્રેટ જ છે ને...?
ગઈકાલની મેચની વાત કરીએ તો સલમાનની ટીમ સૂર્યાની ટીમ સામે ક્યાંય ટકી શકી નહીં, અને પહેલેથી જ આ મેચ એકતરફી રહી. ઓપરેશન સિંદૂર પછીની પાકિસ્તાન સાથેની પ્રથમ મેચમાં પાકિસ્તાનની ટીમ ભૂંડી રીતે હારી ગઈ અને ભારતીય ટીમે ખેલના મેદાનમાં પણ પાકિસ્તાનને રગદોળી નાંખ્યો, તેનું ગૌરવ પણ લેવામાં આવી રહ્યું છે...!
જો કે, ભારતીય ટીમે પ્રતિસ્પર્ધા ટીમને સસ્તામાં નિપટાવીને માત્ર ૧પ ઓવર અને પાંચ બોલમાં જ ૧૩૧ રન ઝૂડી નાંખ્યા અને ટાર્ગેટ હાંસલ કરી લીધો, તે બદલ ભારતીય ક્રિકેટ ટીમ ધન્યવાદને પાત્ર છે, અને તેઓની કાબેલિયતને બીરદાવી જ જોઈએ, ગઈકાલની મેચમાં ભારતીય ટીમમાં તમામ ખેલાડીઓમાં પણ એક અલગ જ પ્રકારનો જુસ્સો જોવા મળ્યો હતો, જેમાં યુદ્ધના મેદાનમાં દેશ માટે ઝઝુમતા જવામર્દો જેવી જીતવાની તાલાવેલી પણ જોવા મળી હતી.
બીજી તરફ લોહી અને પાણી એકસાથે વહી ન શકે અને જે દેશ આતંકવાદીઓને આપણાં દેશમાં મોકલીને નિર્ર્દોેષોના લોહી વહાવતો હોય, એટલું જ નહીં, ઓપરેશન સિંદૂર પછી પણ ભારતે નષ્ટ કરેલા આતંકી સંકુલોને ફરીથી ધમધમતા કરવા કરોડો રૂપિયા ફાળવતો હોય, તે નાપાક, નાલાયક અને નપાવટ દેશ સાથે ક્રિકેટ શા માટે રમવું જોઈએ...? તેવી જનભાવનાઓના કારણે બીસીસીઆઈ તથા કેન્દ્ર સામે પ્રચંડ આક્રોશ પણ પડધાઈ રહ્યો હતો.
એશિયા કપનું ટાઈમટેબલ જાહેર થયું ત્યારથી જ પાકિસ્તાન સામે એકાદ ટુર્નામેન્ટમાં નહીં રમીને પાકિસ્તાનનો બહિષ્કાર કરવાની માંગણી પ્રવર્તી રહી હતી અને ભારતીય ક્રિકેટના દિગ્ગજો, રાજકીય, સામાજિક અને ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રોની હસ્તીઓ જ નહીં, સામાન્ય જનતા તથા પ્રેસ મીડિયાના ક્ષેત્રોમાંથી પણ આ જ પ્રકારની જનભાવનાઓ પ્રગટી રહી હતી. વિપક્ષના ઘણાં દિગ્ગજ નેતાઓએ પણ પાકિસ્તાન સાથે ટી-ર૦ ક્રિકેટ મેચ રમવાનો જબરદસ્ત વિરોધ કર્યો હતો.
બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમે આદેશાનુસાર મેચ રમતી વખતે હસ્તધૂનન નહીં કરીને જે વિરોધ દર્શાવ્યો હોવાની ચર્ચા છે, તેમાંથી જ પાક. વિરોધી ભારતીય જનભાવનાઓ પણ પડધાઈ રહી છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચમાં વિજય મેળવ્યા પછી પહેલગામ હુમલાને વખોડીને ગઈકાલની શાનદાર જીત ભારતીય સેનાના સમર્પિત કરી, તે ભાવનાત્મક ક્ષણો હતી. તેમણે કહ્યું કે, તેઓ પહલગામ આતંકી હૂમલાના પિડીતો સાથે ઊભા છે, અને તેઓની સાથે જ છે. આ વિજયને ભારતીય સેનાને સમર્પિત કરીએ છીએ, જેઓ તેઓની પ્રેરણા છે. બીજી તરફ પાકિસ્તાન ટીમના કેપ્ટનમાં પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન કેમેરાની સામે ઊભા રહીને પ્રશ્નોના જવાબ આપવાની હિંમત પણ રહી નહીં હોય, તેથી તેઓએ પ્રેઝન્ટેશન એવોઈડ કર્યુ હોવાની ચર્ચા જોતા ઓપરેશન સિંદૂરની અસરો સ્પષ્ટ દેખાતી હતી અને ભારતીય ટીમના વિજયની ગૌરવગાથા ગવાઈ રહી હતી.
આ તરફ બીસીસીઆઈ તથા કેન્દ્ર સરકારને પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમવા મજબૂર કેમ થવું પડ્યું અને જનભાવનાઓ તથા કડક ટિકા-ટિપ્પણીઓ છતાં તટસ્થ દેશમાં દુશ્મન દેશ પાકિસ્તાન સાથે ક્રિકેટ કેમ રમવું પડ્યું, તેની એક અલગથી ચર્ચા પણ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બીસીસીઆઈ તથા કેન્દ્ર સરકાર પણ એક સમયે તો આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે જ નહીં રમીને ક્રિકેટના નિયમો મુજબ પાકિસ્તાનને ભલે વધુ પોઈન્ટ મળી જાય અને ભારતીય ટીમ પાછળ રહી જાય, તો પણ પહલગામ હુમલાના દોષિતોના દેશની ટીમ સાથે કોઈપણ સંબંધ નહીં રાખવાના વિચાર સાથે સહમત હતી, પરંતુ આગામી ઓલિમ્પિક્સમાં જ્યારે ક્રિકેટનો સમાવેશ કરાયો છે, અને આગામી સમયમાં કોમનવેલ ગેમ્સ સાથે ઓલિમ્પિક્સ ભારતમાં રમાય, તેવી ભારત દાવેદારી કરી રહ્યું છે, ત્યારે જો આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ભારત આંતરરાષ્ટ્રીય ખેલજગતના નિયમોનો ભંગ કરે, તો ઓલિમ્પિકની દાવેદારી પણ જતી કરવી પડે, અને જે સપનું સાકાર કરવા અત્યાર સુધીમાં અબજો રૂપિયાના આયોજનો તથા પ્રોજેક્ટો હાથ ધરાયા છે, તે દેશવાસીઓનું સપનું રોળાય જાય તેમ હોવાથી ખૂબ જ કડવાશ સાથે અને ના છૂટકે કમને આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમવું પડ્યું છે, વિગેરે....!
જે હોય તે ખરૃં, પરંતુ પહલગામ જેવા ક્રૂર આતંકી હુમલામાં જેના સ્વજનોની ઘાતકી હત્યા થઈ છે, તે પરિવારજનોને આ પ્રકારની દલીલો સરળતાથી ગળે ઉતરે નહીં, તે સ્વાભાવિક છે, આપણે બધા તેઓની સાથે જ છીએ, તે સરકાર કન્વીન્સ કરાવી શકશે...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરીને સત્તારૂઢ થયેલી ડબલ એન્જિનની સરકારોના શાસનમાં ગુંડાગીરી વધુને વધુ વકરી રહી છે, ગરીબી અને ભૂખમરો વધે છે અને ટોપ ટુ બોટમ ભ્રષ્ટાચારના ભોરીંગે ભયંકર ભરડો લીધો છે, તેવા આક્ષેપો વિપક્ષો તો કરતા જ રહ્યા છે, પરંતુ હવે તો ભાજપના જ કેટલાક દિગ્ગજ નેતાઓ પણ ભ્રષ્ટાચારના મુદ્દે સરકાર પર તડાપીટ બોલાવી રહ્યા હોય, ત્યારે લોકો સ્વાભાવિક રીતે જ વિચારે કે આગ લાગી હોય ત્યાં ધૂમાડો તો દેખાય જ ને ?
આ વર્ષે આપણા રાજ્યમાં મેઘરાજાની મહેર થઈ છે, પરંતુ ભારે વરસાદના કારણે ભારે પૂર આવતા ઘણાં સ્થળે વ્યાપક તારાજી ફેલાઈ ગઈ છે, અને તેમાં પણ ગ્રામ્યમાર્ગોથી લઈને એક્સ્પ્રેસ હાઈવેઝ સુધીના માર્ગો તો એટલા તૂટી-ફૂટી ગયા છે કે વાહનો ચલાવવા મૂશ્કેલ અને મોંઘા થઈ ગયા છે, એટલું જ નહીં, ઠેર-ઠેર નાના-મોટા અકસ્માતો થતા ટ્રાફિક જામની સમસ્યા પણ એટલી જ વકરી રહી છે. ખાડામાં પાણી ભરાતા સર્જાયેલા ગંદા પાણીના ખાબોચિયામાં મચ્છરો ઉત્પન્ન થઈને બીમારીઓ ફેલાવી રહ્યા છે. ચોમાસાની વચ્ચે કેટલાક ખાડાઓ બુરવા આધુનિક ટેકનોલોજી ધરાવતા મશીનોના ઉપયોગનો પ્રયોગ પણ નિષ્ફળ ગયો છે અને હવે માર્ગ-મરામતના કામોમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાના જ આક્ષેપો થવા લાગ્યા છે, તેમાં તથ્ય જણાય છે.
ગુજરાત અત્યારે ભ્રષ્ટાચારમૂક્ત નહીં, પણ ભ્રષ્ટાચારયુક્ત થઈ રહ્યું છે અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ભ્રષ્ટાચારથી મૂક્ત ગુજરાતનો કરેલો વાયદો પોકળ પૂરવાર થયો છે, તેનો પુરાવો ભાજપના જ એક દિગ્ગજ નેતાએ ભરપૂર ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કરતા સનસનાટી મચી ગઈ છે અને ભાજપ સરકાર ઘરઆંગણે જ ઘેરાઈ રહી હોવાથી પાર્ટીના પ્રાદેશિક અને રાષ્ટ્રીયકક્ષાના નેતાઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે. ભાજપના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ ત્યાં સુધી બળાપો કાઢયો છે કે રોડ રસ્તાના કામોમાં એક રૂપિયામાંથી માત્ર ૩૦ પૈસાનું જ કામ થાય છે અને ૭૦ પૈસાનો ભ્રષ્ટાચાર થાય છે. આવા ભ્રષ્ટ રાજકારણીઓ સાથે કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે થઈ રહ્યું છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે ઘડિયાળના કાંટા ઊંધા ફરી રહ્યા છે અને રૂપિયે ૭૦ પૈસાની ખાયકી (ભ્રષ્ટાચાર) થઈ જાય છે. બિસ્માર માર્ગોને કારણે હવે લોકો લાંબા અંતરનો પ્રવાસ કરવા માટે પૂનઃ રેલવે તરફ વળી રહ્યા છે. આ પ્રકારની આક્ષેપબાજી પાછળ અમરેલી ભાજપનું સખડડખળ અને સ્થાનિક રાજકારણ જવાબદાર હોવાની દલીલ થઈ રહી છે, પરંતુ કાછડિયાએ જે આક્ષેપો કર્યા છે, તેમાં વજુદ તો છે જ અને તેના સંદર્ભે રાજ્યની પટેલ સરકાર તત્કાળ કદમ નહીં ઉઠાવે તો ભ્રષ્ટાચારની આ સરકીટ બોટમથી છેક ટોપ સુધી પહોંચે છે, તેવું પૂરવાર થશે અને જનવિશ્વાસ વધુ ઘટી જશે, તેવું નથી લાગતું ?
જો કે, "હમામ મેં સબ નંગે હૈ" જેવી જ સ્થિતિ આપણાં દેશમાં છે અને લગભગ તમામ રાજકીય પક્ષોમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે. તે ઓપન સિક્રેટ છે. કેટલાક રાજકીય પક્ષોમાં તો ચૂંટણી લડવાની ઉમેદવારી કરવા માટેની ટિકિટો પણ અદૃશ્ય સોદાબાજી કરીને વેચાતી હોય છે, તે બધા જાણે જ છે ને ?
ગઈકાલે સુપ્રિમકોર્ટમાં જાગૃત એડવોકેટે અરજી કરીને રાજકીય પક્ષોની કાર્ય-પદ્ધતિ અંગે કડક નિયમો બનાવવાની માંગણી કરી અને તેના અનુસંધાને સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચને નોટીસ ફટકારી છે, તે જોતાં એવું લાગે છે કે કદાચ હવે રાજકીય પક્ષોમાં થોડી સાફસુફી, નિતિમત્તા અને જનલક્ષી સુધારાઓ થશે. જો કે, કાયદા ગમે તેટલા બને, બધા રાજકીય પક્ષો આ મુદ્દે એકસમાન વલણ ધરાવતા હોવાથી તેનો અમલ પણ સંપૂર્ણપણે રાજકીય પક્ષોની ઈચ્છાશક્તિ પર જ રહેવાનો છે.
એડવોકેટ ઉપાધ્યાયે માત્ર ભ્રષ્ટાચાર જ નહીં, પરંતુ જાતિવાદ, સાંપ્રદાયિકતા, મનીલોન્ડરીંગ એન ગૂન્હાખોરીને સાંકળીને કડક નિયમો બનવવા અને તેનો ચૂસ્ત અમલ શાસકપક્ષો અને વિપક્ષો તથા અપક્ષો પણ કરે તે પ્રકારની માંગણી કરી હોય તો તેને વ્યાપક જનસમર્થન પણ મળવાનું છે, તેથી રાજકીય પક્ષો આ મુદ્દાને "હોતી હૈ, ચલતી હૈ"ની જેમ ચલાવી નહીં શકે.
આ અરજીમાં એવો ઘટસ્ફોટ પણ કરાયો છે કે વીસ ટકા લઈને કાળાનાણાં ને સફેદ નાણામાં રૂપાંતરિત કરતો એક રાજકીય પક્ષ પકડાયા પછી આ પ્રવૃત્તિ કેટલી વ્યાપક છે, તેની ગૂપ્ત તપાસ પણ થઈ રહી છે. એવો પર્દાફાશ થયો છે કે કેટલાક રાજકીય પક્ષો ગૂન્હાખોરો અને દાણચોરોને પ્રોટેક્ટ કરવા માટે નાણાં (લાંચ કે ભેટ !) લઈને તેઓને પોતાના પક્ષમાં વિવિધ હોદ્દાઓ પણ નિયુક્ત પણ કરે છે.
હવે સુપ્રિમકોર્ટે ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકાર પાસેથી એક મહિનામાં જવાબ માંગ્યો છે, તેથી આ મુદ્દો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રચારનો મુદ્દો બનશે, તો નક્કી છે. બિહારમાં સ્થિતિ એવી છે કે ત્યાં છેલ્લા બે દાયકાથી રાજ્ય સરકારે કરેલા ભ્રષ્ટાચાર દરમ્યાન મુખ્યમંત્રી નિતિશકુમાર જ રહ્યા હતા અને કોંગ્રેસ, જેડીયુ, આરજેડી, એલજેપી સહિતના તમામ પક્ષો તેની સત્તામાં ભાગીદાર હતા. તેથી એમ કહી શકાય ને કે "હમામ મેં સબ નંગે હૈ... બેશરમ હૈ..."
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વોટ ચોરીના મુદ્દે રાહુલ ગાંધીએ રાયબરેલીથી ફરીથી ભારતીય જનતાપક્ષ મતોની ચોરી કરીને સત્તા મેળવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો અને તેના સંદર્ભે કહ્યું કે વોટ ચોરીનો હાઈડ્રોજન બોમ્બ આવવાનો છે, અને તે પછી બધું જ સાફ થઈ જશે !
બીજી તરફ શાસક પક્ષોના નેતાઓ રાહુલ ગાંધી પર પાર્ટ ટાઈમ પોલિટિક્સનો આક્ષેપ લગાવી રહ્યા હતા. આ આક્ષેપો પર મહોર લગાવવી હોય તેમ સીઆરપીએફના વીવીઆઈપી સુરક્ષાની જવાબદારી સંભાળતા ઉચ્ચ અધિકારીએ એક લેટર બોમ્બ ફોડ્યો છે. મીડિયા અહેવાલો મુજબ રાહુલ ગાંધીને સરકરી સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે, પરંતુ સુરક્ષા ટીમ દ્વારા નક્કી કરવામાં આવતા પ્રોટોકોલ્સ અથવા સુરક્ષાના ધારા-ધોરણોનું પાલન તેઓ કરી રહ્યા નથી. રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સિક્યોરિટી આપેલ હોવાથી તેઓએ નિયત ધારા-ધોરણો અને પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ, જે કરી રહ્યા નથી. એવો આક્ષેપ કરાયો છે કે સુરક્ષા ટીમને નિયમાનુસાર જાણ કર્યા વગર ૬ વખત વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા.
અત્રે એ ઉલ્લેખનિય છે કે બિહારમાં વોટ ચોરીનો મુદ્દો ચગાવીને રાહુલ ગાંધીએ એનડીએ સામે જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો અને મતદાર અધિકાર યાત્રા પણ કાઢી હતી, જેને વ્યાપક જનસમર્થન મળ્યું હોવાના દાવા પણ કરાયા હતા, પરંતુ રાહુલ ગાંધી તે પછી અચાનક જ વિદેશ પ્રવાસે જતા રહ્યા હતા અને આ રીતે પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરવા સામે એનડીએના નેતાઓ રાહુલ ગાંધી પર વ્યંગ કરી રહ્યા હતા. તે ચર્ચાને સીઆરપીએફ તરફથી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ઉદૃેશીને લખાયેલા કથિત પત્ર પછી નવો જ ટ્વીસ્ટ આવ્યો છે અને વિદેશયાત્રામાંથી પરત ફરીને તરત જ સક્રિય થઈ ગયેલા રાહુલ ગાંધી વધુ આક્રમક થઈ ગયા હોય તેમ જણાય છે. ખાસ કરીને તેજસ્વી યાદવ સાથે મળીને બિહારમાં એનડીએને પછાડવાની દિશામાં તેઓ યોજનાબદ્ધ રીતે આગળ વધી રહ્યા હોય તેમ જણાય છે.
રાહુલ ગાંધીએ બિહારમાં મતદાર અધિકારયાત્રા કાઢી અને તેને સારો એવો પ્રતિસાદ મળ્યા પછી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષના ગઠબંધનમાં કોંગ્રેસની કમ-સે-કમ ૬૦ બેઠકો ફાળવવામાં આવે, તેવી ઈચ્છા વ્યક્ત થયા પછી આરજેડીમાં હલચલ છે. આરજેડી કોંગ્રેસને વધુમાં વધુ ૫૦ બેઠકો ફાળવવા માંગે છે, તેથી ખેંચતાણ ઊભી થતા બિહાર એનડીએના પ્રાદેશિક નેતાઓ ગેલમાં આવી ગયા હતા, પરંતુ વિપક્ષી ગઠબંધનના વર્તુળોએ સંકેતો આપ્યા છે કે કોંગ્રેસ-આરજેડી વચ્ચે વચલો માર્ગ શોધવાના પ્રયાસો સફળ થવા જઈ રહ્યા છે. હકીકતે બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ અને સાથીદાર પક્ષોને ફટકો આપવા રચાયેલું વિપક્ષી ગઠબંધન મજબૂત બની રહ્યું છે. કોંગ્રેસ ગત ચૂંટણીમાં ૭૦ બેઠકો પર લડી હતી, તે લક્ષ્યમાં રાખવા કોંગ્રેસ જણાવી રહી છે, જ્યારે આરજેડી તથા સાથીદાર અન્ય પક્ષો ગત ચૂંટણીમાં વિવિધ પક્ષોએ જીતેલી બેઠકો તથા તેની ટકાવારી લક્ષ્યમાં લઈને બેઠકોની વહેંચણી કરવાનો આગ્રહ રાખી રહ્યા છે, જોઈએ હવે શું થાય છે તે...
આ તરફ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે એ જૂનાગઢમાં એક તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તે સમયે તેમણે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને નિશાન બનાવ્યા હતા અને (કોઈનું નામ લીધા વિના) કહ્યું હતું કે "એ" બંને લોકતંત્રને બચાવવા ઈચ્છતા નથી. કોંગ્રેસની મુખ્ય ચિંતા બંધારણ અને લોકતંત્રને બચાવવાની છે. લોકતંત્રમાં ચૂંટણી લડવી એ સામાન્ય બાબત છે, ગુજરાતની ભૂમિએ ગાંધીજી અને સરદાર પટેલ જેવા નેતાઓ આપ્યા, તેના કારણે જ આજે દેશ સ્વતંત્ર અને એકજૂથ છે.
હકીકતે જૂનાગઢમાં ૧૦મી સપ્ટેમ્બરથી શરૂ. થયેલી ૧૦ દિવસીય તાલીમ શિબિરના ઉદ્ઘાટન દરમ્યાન ખડગેએ જે કાંઈ કહ્યું, તે ગુજરાત કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોમાં નવો જુસ્સો ભરવાનો પ્રયાસ જણાતો હતો. આ શિબિરમાં સમાપન સમયે રાહુલ ગાંધી પણ સંબોધન કરશે, તેવા એંધાણ મળતા જ કોંગ્રેસના કાર્યકરોમાં પોત્સાહક પ્રતિભાવો મળવા લાગ્યા હતા. આ તાલીમ શિબિર દરમ્યાન ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખો તથા શહેર પ્રમુખોને વર્ષ-૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રકારની તાલીમ અપાઈ રહી હોવાનું જણાવાઈ રહ્યું છે, જે કોંગ્રેસની ગુજરાતમાં આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસની સતર્કતા અને સક્રિયતા જણાવે છે. જૂનાગઢનું સંમેલન વર્ષ-૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીનો રોડ-મેપ તૈયાર કરશે, તેમ જણાય છે.
ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પણ વોટ ચોરી જેવો જ આક્ષેપ લગાવાયો છે. એવું કહેવાય છે કે આ આક્ષેપ તૃણમુલ-કોંગ્રેસના સાંસદે લગાવ્યો છે અને કહ્યું છે કે વોટ ચોરી અને વોટ ખરીદી કરીને એનડીએ ચૂંટણીઓમાં વિજય મેળવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરનાર વિપક્ષી સાંસદો પાછળ રૂ.ા. ૧૫ થી ૨૦ કરોડનો ખર્ચ થયો હોવાનો અને આ રીતે વોટ ખરીદીનો આક્ષેપ થયા પછી તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એન.ડી.એ ના નેતાઓ અને પ્રવક્તાઓ આ આક્ષેપો તદૃન બિનપાયેદાર અને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે. હાઈડ્રોજન બોમ્બ અંગે શાસક જૂથ કહે છે કે પાકિસ્તાનપ્રેમી નેતાઓને તો બોમ્બની ભાષા જ આવડેે ને ?
આ તમામ ઘટનાક્રમોનો સારાંશ એ નીકળે છે કે લેટર બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બ પછી હવે ક્યા પ્રકારનો નવો બોમ્બ રાજકીય ક્ષેત્રને હચમચાવી નાખશે અને તે બોમ્બ કોના તરફથી ફેંકાશે, તે જોવાનું રસપ્રદ રહેશે; અત્યારે એનડીએના વર્તુળો એવો જોરદાર પ્રત્યુત્તર પાઠવી રહ્યા છે, જે કદાચ બૂમરેંગ પણ પૂરવાર થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થયા પછી હવે પિતૃતર્પણ અને શ્રાદ્ધ તથા ઠેર ઠેર ભાગવત સપ્તાહના ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. ગણોશોત્સવ અને ઈદે મિલાદ ઉજવાયા પછી હવે લોકો નવરાત્રિની ઉજવણી માટે થનગની રહ્યા છે. નવરાત્રિમાં આધુનિક રાસ-ગરબા માટે અત્યારથી તાલીમવર્ગો શરૂ થઈ રહ્યા છે અને સામૂહિક નૃત્યના સૌથી લાંબા અને લોકપ્રિય નવરાત્રિ ઉત્સવના સંદર્ભે પણ એક મોટું માર્કેટ ઊભું થઈ ગયું છે તથા વ્યાપાર અને રોજગારનું માધ્યમ પણ બન્યું છે.
આ વર્ષે ચોમાસુ પણ તહેવારોને બહુ નડ્યું નહીં, અને તબક્કાવાર વરસાદ વરસતો હોવાથી ધંધા-રોજગારને બહુ વિપરિત અસર થઈ નહીં હોય, પરંતુ જ્યાં જ્યાં અતિવૃષ્ટિ થઈ છે કે નદીઓમાં પૂર આવ્યા છે, ત્યાં જનજીવન અને ધંધા-વ્યાપારને પણ માઠી અસર પહોંચી છે તથા કેટલાક ખેતરો જળબંબાકાર થઈ જતાં પાક ધોવાઈ ગયો છે અથવા વાવેતર બરબાદ થયું છે, ત્યાં સર્વેક્ષણ કરીને રાજ્ય સરકાર રાહત આપશે, ગયા વર્ષે થયેલા સર્વે પછી ગયા વર્ષની સહાય પણ હજુ કેટલાક વિસ્તારોમાં ચુકવાઈ નહીં હોવાની રાવ પણ ઉઠતી રહી છે, તેથી સર્વેક્ષણ ઝડપથી થાય અને તે પછી સહાય, વળતર કે રાહત પણ સમયોચિત ધોરણે ચુકવાઈ જાય, તે અત્યંત જરૂરી છે.
જો કે, હાલારમાં મહત્તમ વિસ્તારોમાં જરૂર મુજબનો સમયસર વરસાદ થતો રહ્યો હોવાથી મોલાત પર કાચુ સોનુ વરસ્યુ હોવાની ખુશી વ્યક્ત કરતા પ્રતિભાવો પણ સંભળાઈ રહ્યા છે, જ્યારે જળાશયો ભરાઈ ગયા અને કેટલાક જાયન્ટ ડેમો તો બબ્બે વખત ઓવરફ્લો થયા હોવાના અહેવાલોએ સાર્વત્રિક ખુશીનો માહોલ ઊભો કરી દીધો છે. જામનગર સહિતના મહાનગરો અને ખંભાળીયા સહિતના નગરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં આગામી વર્ષે પીવાના પાણીની તંગી નહીં પડે, તેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો હોવાના તારણો પણ નીકળી રહ્યા છે, અને આ તમામ જળાશયો પૂરક સિંચાઈની સુવિધા પણ આપશે, જેથી ખરીફ પાક ઉપરાંત આગામી રવિસિઝનમાં પણ સારા શિયાળુ પાકની આશા ઊભી થઈ છે. બીજી તરફ કેટલાક સ્થળે પૂરગ્રસ્ત પરિસ્થિતિએ નુકસાન પણ કર્યું હોવાથી સરકાર સમયસર મદદ કરશે, તેવી આશા પણ સેવાઈ રહી છે.
ચોમાસુ એકંદરે સારૂ રહ્યું અને ખેતી-સિંચાઈની દૃષ્ટિએ પણ અત્યારે સંતોષજનક સ્થિતિ દેખાય છે, પરંતુ આ જ વરસાદી માહોલમાં કેટલીક સાઈડ-ઈફેક્ટ પણ લક્ષ્ય ખેંચી રહી છે. વરસાદમાં માર્ગો તૂટી-ફૂટી ગયા હોવાથી રાજ્યના મુખ્યમંત્રીએ માર્ગોની વચગાળાની મરામત કરીને વાહન-વ્યવહાર સરળતાથી ચાલતો રહે તેવી વ્યવસ્થા કરાવી હતી, પરંતુ આધુનિક મશીનોથી ખાડા બુર્યા પછી ફરીથી વરસાદ થતા જ તે થીગડા ખુલી ગયા અને વધુ મોટા ખાડાઓ પડી ગયા હોવાથી લોકોમાં નારાજગી વધી છે. આ રીતે એક જ વરસાદમાં મરામત કરેલા માર્ગોના પોપડાં ફરી ઉખડી જાય, મોટા ખાડા પડી જાય અને પૂલોમાં સળીયા દેખાતા હોય તો તે "વચગાળાના ભ્રષ્ટાચાર"ને ઉજાગર કરે છે અને તેની પણ ઊંડી તપાસ થવી જોઈએ, તેવી જનભાવનાઓને પણ સરકારે ધ્યાને લેવી પડે તેમ છે.
જામનગરમાં તો કોંગ્રેસે ખાડાનગરની કેક કાપી, નગરમાં ફેલાયેલા ગંદવાડના કારણે મંદવાડ વધ્યો હોવાના આક્ષેપો થયા, નગરના માર્ગો પર પડેલા ખાડાઓ બૂરીને જન્મદિવસ ઉજવ્યો, તેના અહેવાલો વ્યાપક રીતે વહેતા કરાયા, તેમ છતાં આજે જે સ્થિતિ છે, તે આપણી સામે જ છે અને આ ખાડાખડબાના કાયમી ઉકેલ માટે હવે શિયાળા સુધી રાહ જ જોવી પડશે તેમ જણાય છે.
હાલારની હાલાકી અને સૌરાષ્ટ્રની સમસ્યાઓ છેક વિધાનસભા સુધી પડઘાયા છે અને તેના સંદર્ભે વિધાનસભા સંકુલ સુધી વિપક્ષોએ અવાજ ઉઠાવ્યો છે, તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા માર્ગોની મરામત, લોકોને રાહત અને પૂરગ્રસ્તોની મદદ માટે લેવાયેલા પગલાની વિગતો પણ અપાઈ રહી છે. આ બંને તરફના પ્રચાર-પ્રસાર વચ્ચે જનતાએ એ નક્કી કરવું પડે તેમ છે કે હકીકતે તંત્રો જનલક્ષી અને સમયોચિત કદમ ઉઠાવી રહ્યા છે કે કેમ ?
કોંગ્રેસે દ્વારકામાં જનસભા કરી અને તેમાં એન્ક્રોચમેન્ટ, લારી-ગલ્લા-પાથરણાવાળાના પ્રશ્નો તથા ભાજપ સંચાલિત નગરપાલિકા પર પ્રહારો કર્યા, તે પછી યાત્રાધામોમાં માળખાકીય સુવિધાઓની દૂર્દશા અને તંત્રોના તિક્કડમની ચર્ચા છેલ્લા ત્રણ-ચાર દિવસથી જોરશોરથી થઈ રહી છે.
જામનગરમાં તો રોડ પર પડેલા અમુક ખાડાઓમાં થીગડાં મરાયા, અને તે માટે ખાડાઓમાં નાખેલી કાંકરી (કપચી) તથા રેતીને કચરાની ગાડીમાં નાંખીને "વજન વધારવા"ના કથિત કારરસાનો વીડિયો વાયરલ થયો હોવાના અહેવાલો પછી જામ્યુકોના સંબંધિત વિભાગમાં હલચલ મચી ગઈ હોવાની વાતો પણ વહેતી થઈ હતી. આ પ્રકારના ભ્રષ્ટાચારની અંદર પણ ભ્રષ્ટાચાર અને ચોરનો ભાઈ ઘંટીચોર જેવા કટાક્ષો પણ પડઘાવા લાગ્યા છે.
ઘણાં પુલો પર પડેલા ખાડાઓ તથા હાઈ-વે તથા અન્ય મોટા માર્ગો પર આવેલા બ્રિજની મરામત માટે કરાયેલા ડાઈવર્ઝનોના માર્ગે પણ મસમોટા ખાડાઓ પડી જતા લોકોને પડતી હાલાકી ઉપરાંત વાહનોને નુકસાન તથા ઈંધણની બરબાદી જેવી પૂરક સમસ્યાઓ પણ ઉભી થઈ રહી છે, પરંતુ તંત્રો-શાસકોનું રૃંવાડું પણ ફરકતું નથી.
જામનગર કે હાલાર જ નહીં, રોડ પર ખાડાઓની મરામત, અને ડાયવર્ઝનની બદહાલીની સમસ્યા રાજ્યવ્યાપી છે અને રાજ્ય સરકાર હવે વચગાળાના ભ્રષ્ટાચારની તકો ઊભી કરતા થીગડા મારવાના બદલે તમામ માર્ગોનું મજબૂત નવીનીકરણ અને મજબૂતિકરણ કરે તે અત્યંત જરૂરી છે.
આશા રાખીએ કે નગર અને હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસા પછી જ્યારે પણ તમામ નુકસાન પામેલા માર્ગો-પૂલો-પૂલીયાઓની મરામત સાથે આધુનિકરણ થાય ત્યારે પૂર્ણ કક્ષાનો ભ્રષ્ટાચાર પણ નહીં થાય અને ભારે વરસાદ સામે ટકી રહે તેવા માર્ગોનું નિર્માણ થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ભારતને લઈને ટ્રમ્પના તેવર નરમ પડ્યા હોવાની ચર્ચા છે, જ્યારે ગઈકાલે દેશ-દુનિયાનું ધ્યાન ખેંચાય, તેવા બે ઘટનાક્રમો બન્યા હતા. એક ઘટનાક્રમમાં પડોશી દેશ નેપાળના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને જનતાના વિદ્રોહ પછી રાજીનામું આપવું પડયું અને બીજા ઘટનાક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લોકતાંત્રિક ઢબે અને બેલેટપેપર દ્વારા મતદાન કરીને સંપન્ન થઈ. આ બંને ઘટનાક્રમો દર્શાવે છે કે નેપાળમાં લગભગ દરવર્ષે સત્તાપલટો થતો રહ્યો અને જે અસ્થિરતા અને અંજપો ઊભો થયો, તે યુવાક્રાન્તિ અથવા વિદ્રોહમાં પરિણમ્યો, જ્યારે ભારતની તંદુરસ્ત લોકતાંત્રિક વ્યવસ્થા હેઠળ જ્યારે જ્યાર સત્તાપરિવર્તનો થયા, ત્યારે ત્યારે તંદુરસ્ત લોકતાંત્રિક વ્યવસ્થાઓ હેઠળ જ થયા. નેપાળમાં લોકશાહી હોવા છતાં ત્યાં રાજકીય અસ્થિરતા રહી અને ત્રણ-ચાર દિગ્ગજ-રાષ્ટ્રીય નેતાઓ વારાફરતી સત્તા ભોગવતા રહ્યા અને અપ્રાકૃતિક અથવા સગવડિયા ગઠબંધનો કરતા રહ્યા, રાજાશાહીને દેશવટો આપીને નેપાળમાં લોકતંત્ર સ્થપાયું ખરૃં, પણ જળવાયું હોય, તેમ જણાતુ નથી, જ્યારે બીજી તરફ ભારતમાં અનેક પડકારો વચ્ચે પણ ભારતમાં તંદુરસ્ત લોકતંત્ર જળવાઈ રહ્યું છે, તેમાંથી નેપાળ, શ્રીલંકા, બાંગલાદેશ, અફઘાનિસ્તાન જેવા દેશના વડાપ્રધાનો કે રાષ્ટ્રપતિઓને દેશ છોડીને ભાગવું પડ્યું હતું.
આમ તો દુનિયામાં જનવિદ્રોહ કે આંતરિક ખટપટના કારણે દેશના સર્વોચ્ચ શાસકોએ પોતાનો જ દેશ અચાનક છોડવો પડ્યો હોય કે સરમુખત્યારોએ પોતાના જ દેશમાં છુપાઈને રહેવું પડ્યું હોય, ફાંસીએ લટકવું પડ્યું હોય કે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય, તેવા સંખ્યાબંધ દૃષ્ટાંતો છે, પરંતુ ભારત આઝાદ અને પ્રજાસત્તાક થયું તે પછી દુનિયાના વિવિધ દેશોના દિગ્ગજ નેતાઓ, સર્વોચ્ચ શાસકો કે તાનાશાહોએ સત્તા છોડવી પડી હોય, અને ભાગવું પડ્યું હોય તેના દૃષ્ટાંતો જોતા આપણે પણ ગફલતમાં રહેવા જેવું નથી અને તાનાશાહીના લક્ષણો સામે સાવધ રહેવા જેવું છે, ખરૃં ને ?
જ્યારે જ્યારે ક્રૂરતાપૂર્વક વર્તન રાખતા શાસકો કે સરમુખત્યારો-તાનાશાહો પરાકાષ્ટા ઓળંગે છે, ત્યારે ત્યારે જનતા જાગે છે અને કોઈને કોઈ માધ્યમથી વિરોધ વ્યક્ત કરે છે, તેની સામે દમન થાય કે ડરામણું વાતાવરણ ઊભું કરીને કે સામ, દામ, દંડ, ભેદની નીતિનો અનૈતિક ઉપયોગ કરીને વિરોધીઓને પજવી પજવીને ખતમ કરવાના પ્રયાસો થાય, ત્યારે પ્રચંડ જનવિદ્રોહ કેવી બુરી દશા કરે છે, તેનો પડોશી દેશો શ્રીલંકા, બાંગલાદેશ અને હવે નેપાળના દૃષ્ટાંતો પરથી બોધપાઠ લેવો પડે તેમ છે. આપણો દેશ પ્રજાસત્તાક થયો, તે પછી દલાઈ લામાએ તિબેટ છોડીને ભારતમાં આશ્રય લેવો પડ્યો, તેની પાછળ ચીન જવાબદાર હતું, તેવી સંભાવનાઓ આપણાં અન્ય પડોશી દેશોના આ પ્રકારના ઘટનાક્રમોના મૂળમાં પણ હોઈ શકે, તેવી સંભાવનાઓ નકારી શકાય નહીં.
તાકાતવર તાનાશાહોની પણ કેવી બુરી દશા થાય છે, તે ઈરાકના તાનાશાહ સદામ હુશેન અને લીબિયાના શાસક ગદૃાફીના દૃષ્ટાંતો પરથી ફલિત થાય છે. ઈજિપ્તના રાજવી મોહમ્મદઅલીએ પણ જનક્રાંતિના કારણે વર્ષ-૧૯૫૨માં સ્વિત્ઝરલેન્ડમાં ભાગી જવું પડ્યું હતું.
જનક્રાંતિ, સૈન્યવિદ્રોહ કે ગૃહયુદ્ધોના કારણે દેશના સર્વોચ્ચ શાસકોએ દેશ છોડીને ભાગવુ પડ્યું હોય તેની યાદી ઘણી લાંબી છે, પરંતુ ઝાંઝીબારના ગુલતાને વર્ષ ૧૯૬૪માં જનક્રાંતિ પછી આર્જેન્ટિનાના મહિલા રાષ્ટ્રપતિ સામે સૈન્ય વિદ્રોહ પછી તેઓને નજરકેદ કરાયા, અને ત્યાંથી થોડા વર્ષો પછી તેઓ ભાગી ગયા, તે દૃષ્ટાંતો મુખ્યત્વે ચર્ચાય છે. અફઘાનિસ્તાનમાંથી તો જુદા જુદા સમયે બે રાષ્ટ્ર પ્રમુખોએ જુદા જુદા કારણે દેશ છોડીને ભાગવું પડ્યું હોવાનો ઈતિહાસ છે.
ઈથોપિયાના મેંગિત્સુ હેલિયમે બબ્બેે દાયકા સુધી શાસન કર્યું, અને દેશમાં નરસંહાર થતો રહ્યો, પરંતુ અંતે ૧૯૯૧માં દેશ છોડીને ભાગવુ પડ્યું, તેવો જ ઈતિહાસ ઈક્વાડોરના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્ગે જમીલ માહોદનો છે. તાજેતરના વર્ષોમાં વર્ષ ૨૦૨૨માં જનક્રાંતિ પછી શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડીને સેનાના હેલિકોપ્ટરમાં ભાગી જવું પડ્યું, તો સિરિયાના ઘાતકી તાનાશાહને ગયા વર્ષે જ દેશ છોડીને રશિયા ભાગવું પડ્યું. શેખ હસીનાનો તાજો જ દાખલો છે, જેને વિદ્રોહ પછી ભારતમાં આશ્રય લેવો પડ્યો છે., આ બધા દૃષ્ટાંતો એવા છે કે જે પ્રવર્તમાન શાસકો, તાનાશાહો અને સરમુખત્યારો જ નહીં, પરંતુ નેપાળના વડાપ્રધાનની જેમ લોકતંત્રના ઓઠા હેઠળ મનઘડંત રીતે શાસન કરતા હોય, તેવા શાસકો માટે પણ બોધપાઠરૂપ અને ચેતવા જેવા છે.
પાકિસ્તાન જેવા કેટલાક દેશોમાં તો રિમોટ કંટ્રોલથી સેના, જાસૂસી એજન્સીઓ કે પછી આતંકવાદીઓનું શાસન ચાલતું હોય છે, આ પ્રકારના દેશોમાં પણ શાસકોનો અંજામ ઘણો જ ખરાબ રીતે આવ્યો હોવાનો વર્તમાન ઈતિહાસ આપણી સામે જ છે. પાકિસ્તાનના જે સેનાધ્યક્ષોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા હસ્તગત કરીને મનસ્વી રીતે શાસન કર્યુું અને જે ચૂંટાયેલી સરકારોના વડાપ્રધાનોએ આઈ.એસ.આઈ. અને સૈન્યના ઈશારે નાચીને, અને આતંકવાદને પોષણ આપીને પોતાના સત્તાકાળ દરમ્યાન સરમુખત્યારશાહી વલણ અપનાવ્યું, તે બધાની અંતે બુરી હાલત થઈ ગઈ હતી, તે દુનિયાના દેશોના પ્રવર્તમાન લોકતાંત્રિક દેશોના વડાઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.
નેપાળમાં હાલતુરત તો ત્યાંની સેનાએ નિયંત્રણ સંભાળી લીધું છે અને વચગાળાની સરકારની વાતો ચાલી રહી છે. બાંગલાદેશમાં પણ ત્યાંની સેનાએ હસ્તક્ષેપ કરીને વચગાળાની સરકાર રચી છે. પાકિસ્તાનના સેનાધ્યક્ષને ટ્રમ્પ ડાયરેક્ટ બોલાવીને પાક.ના વડાપ્રધાનને સાઈડલાઈન કરે છે. મ્યાનમારમાં પણ દેશ સેનાના હવાલે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની પૃષ્ઠભૂમિ પણ સૈન્ય સાથે સંકળાયેલી છે, તેથી ક્યાંક એવું તો નથી ને કે અમેરિકા નાના-નાના દેશોમાં ઉથલ-પાથલ કરીને ત્યાંના સેનાધ્યક્ષોના માધ્યમથી પોતાનો ઉલ્ટુ સીધા કરવાના કાવતરાં કરી રહ્યું હોય ? નેપાળના જેન-ઝેડ આંદોલનના પ્રણેતા કોણ છે ? તેના જવાબો શોધવા પડે તેમ છે, પરંતુ બિલાડીના ગળે ડંકો બાંધે કોણ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નેપાળમાં સોશ્યલ મીડિયાનો પ્રતિબંધ હટાવ્યા છતાં રાજાશાહીની માંગણી સાથે આંદોલન ચાલુ છે. ભારતમાં પણ રાજાશાહીના સમયમાં જનતાને રૈયત કહેવામાં આવતી હતી અને રૈયત પ્રત્યેની રાજાની ફરજો "રાજધર્મ" ગણવામાં આવતો હતો. પ્રાચીન કાળમાં પણ આપણાં દેશમાં નાનામાં નાના નાગરિકના અભિપ્રાયને કેટલું મહત્ત્વ આપવામાં આવતું હતું, તે આપણાં રામાયણ, મહાભારત સહિતના ઘણાં ગ્રન્થોમાં લખાયેલું છે. આપણે ત્યાં એક લોકગીત ઘણું જ પ્રચલીત છે...જેના "જાગ રે માલણ જાગ.."થી શરૂ થયેલા શબ્દપ્રયોગો કર્ણપ્રિય લાગે છે, અને તેનો શબ્દાર્થ, ભાવાર્થ અને ગુઢાર્થ વિવિધાસભર સંદેશ પણ આપે છે.
આપણો દેશ આઝાદ થયો, તે પછી દેશના તમામ નાગરિકોને સમાન અધિકારો, સમાન બંધારણ, સમાન ન્યાયતંત્ર, સમાન શાસન-પ્રશાસન અને સમાન સુખ-સુવિધાઓ મળ્યા હોવાના દાવાઓ થતા રહ્યા હોવા છતાં દેશમાંથી અનેક અસમાનતાઓ ગઈ નથી, અને કેટલીક અસમાનતાઓ તો કદાચ વધુ પનપી રહી છે. આપણે એટલે કે રૈયતે આ અસમાનતાઓના બુનિયાદી કારણો શોધી કાઢીને તેને ખતમ કરવા પડશે, અને આઝાદીના લડવૈયાઓએ જે પ્રકારની સમાનતાઓના સપનાં જોયા હતા, તે જ દેશદાઝ અને વિભાવનાઓ સાથેની વાસ્તવિક સમાનતાઓ મેળવવા આપણે સ્વયં ઝઝુમવુ પડશે, અને તે માટે રાજકીય, સામાજિક અને તમામ દૃષ્ટિએ તટસ્થતાથી વિચારવું જ પડશે. લોકતંત્રમાં જ્યારે જ્યારે રૈયત રિસાઈ જાય છે, ત્યારે મજબૂતમાં મજબૂત સત્તાઓ પણ પલટાઈ જતી હોય છે અને ઊંડા મૂળિયા ધરાવતી શક્તિઓને પણ હરાવીને પાઠ ભણાવતી હોય છે, જેના ઘણાં દૃષ્ટાંતો આપણાં દેશમાં પંચાયતોથી લઈને પાર્લામેન્ટ અને ગામ, તાલુકા, જિલ્લા, રાજ્યથી કેન્દ્ર સુધીના સ્વતંત્રતા પછીના ઈતિહાસમાં જોવા મળે છે. જે પાળની વર્તમાન સ્થિતિ પણ જનતાની તાકાત જ દર્શાવે છે ને ?
જેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણે ગીતાજીમાં "યદા યદા હી ધર્મસ્ય, લ્ગાનિર્ભવતિ ભારત" વાળા શ્લોકમાં કહ્યું છે કે જ્યારે જ્યાર ધરતી પર ધર્મની હાનિ થાય છે અને અધર્મનો વ્યાપ વધે છે, ત્યારે ત્યારે ધર્મના પૂનઃસ્થાપન અને અધર્મનો નાશ કરવા માટે, સાધુઓ એટલે કે સારા લોકોના રક્ષણ અને અસૂરો-દુર્જનોના નાશ માટે તેઓ પ્રત્યેક યુગમાં પૃથ્વી પર અવતરે છે, તેવી જ રીતે જ્યારે જ્યારે શાસકો-પ્રશાસકો રાજધર્મની અવગણના કરીને મનસ્વી બની જાય છે, ત્યારે ત્યારે ભેરૂ (ભાઈ) ની જેમ નિઃસ્વાર્થે સમર્પિત ભાવથી ગાંધીજી, જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે જેવા નિઃસ્વાર્થ મહાનુભાવો રૈયતની પડખે આવીને ઘમંડી શાસકોને પડકારે છે, અને તેમાંથી જ ક્રાન્તિ સર્જાય છે. જો કે, એ માટે રૈયતને જગાડવા આ પ્રકારના રૂપાંતરિત ગીતો ગાઈને રૈયતના અંતરાત્મા ને ઝંઝોળવો પડતો હોય છે. અને ગાવું પડતું હોય છે કે "જાગ રે રૈયત જાગ...જાગ રે રૈયત જાગ...".
લોકતંત્રમાં જે જનતા સરકાર કે શાસકોને ચૂંટે છે, તે જ જનતા જ વિપક્ષને પણ ચૂંટે છે, શાસકપક્ષો અને વિપક્ષોની સહિયારી જનલક્ષી જવાબદારીઓ હોય છે, અને જ્યારે જ્યારે શાસકપક્ષ કે તેના તંત્રો લાપરવાહી દાખવે, જનવિરોધી નિર્ણયો કરે કે રાજધર્મનું પાલન ન કરે ત્યારે ત્યારે વિપક્ષે ભેરૂ થઈને લોકોની પડખે ઊભું રહેવું જોઈએ અને ડ્રામેબાજી કે પબ્લિસિટી સ્ટંટ નહીં, પરંતુ હકીકતમાં રૈયતની વેદનાની વાચા બનીને અવાજ ઉઠાવવો જોઈએ, ખરૃં ને ?
આપણાં રાજ્યમાં આ વર્ષે ઠેર-ઠેર ભારે વરસાદ થયો, તે પછી એક તરફ તો પીવના પાણીની સમસ્યા ઊભી નહીં થાય અને વર્ષ સારૃં જશે, તેવી આશા ઊભી થઈ છે, તો બીજી તરફ જેના ખેતરો વરસાદી પાણીમાં ડૂબી ગયા હોય કે નુકસાન થયું હોય, તેઓને સમયોચિત સરકારી સહાય મળશે કે કેમ ? તે અંગે આશંકાઓ પણ ઊભી થઈ છે, તે ઉપરાંત વરસાદ પછી તદૃન તૂટી-ફૂટી ગયેલા ગ્રામ્ય, શહેરી અને ધોરીમાર્ગોએ ભયંકર ભ્રષ્ટાચાર પણ ઉજાગર કર્યો છે, અને પ્રિ-મોન્સુન કામગીરીની પણ પોલ ખોલી નાખી છે.
સરકારી તંત્રો અને શાસકોના પ્રવક્તાઓ રાહત-બચાવ, સર્વેક્ષણ, સહાય અને રાહત પેકેજની તૈયારી હોવાનો આભાસ ઊભો કરી રહ્યા છે, ત્યારે વિપક્ષો આ જ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે, અને શાસકોને જગાડવી અવનવી ઢબે રજૂઆતો થઈ રહી છે. આંદોલનો, વિરોધ-પ્રદર્શનો, દેખાવો અને સત્યાગ્રહોના આયોજનો, સુત્રોચ્ચારો, નારેબાજી અને રેલીઓ કાઢીને આવેદનપત્રો અપાઈ રહ્યા છે.
આ તરફ બે ત્રણ દિવસથી વિવિધ મુદ્દે જામનગરના લાલબંગલા સર્કલમાં દેખાવો, વિરોધ-પ્રદર્શનો, ધરણાં વગેરેના કારણે ધમધમાટ જોવા મળી રહ્યો છે, અને વરસતા વરસાદ વચ્ચે પણ સુત્રોચ્ચારો, તાળાબંધી અને આશ્ચર્યજનક કાર્યક્રમો યોજીને ધ્યાનપૂર્વક ચળવળો થઈ રહી છે, જેથી જામનગર તરફ સમગ્ર રાજ્યનું ધ્યાન દોરાયું હોય તેમ જણાય છે, અને છેક વિધાનસભા સુધી તેના પડઘા પડી રહ્યા છે.
દૃષ્ટાંત તરીકે જામનગરના માર્ગો પર પડેલા ખાડાઓ-ગંદકી, ઉકરડા અને તદ્વિષયક છૂપા ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષે ઢોલ-નગારા, ઝાલર, શંખનાદ, ઘંટારવ સાથે "જાગ રે મેયર જાગ...જાગ રે મેયર જાગ...જાગ રે, નગરની જનતા જગાડે...જાગ રે મેયર જાગ..." જેવા ગીતો ગાઈને બંધ ચેમ્બર સામે ધરણાં કર્યા, અને આવેદનપત્રના માધ્યમથી જનતાની વેદના વ્યકત કરી હતી, જે તિવ્ર જનક્રોશની પ્રસ્તુતિ જ હતી.
વિપક્ષે ભાજપ સરકાર પર "૪૦ ટકા કમિશન...જનતાનું શોષણ" જેવા સુત્રોચ્ચારો કરીને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને જામનગર મહાનગરપાલિકાના શાસકો અને પ્રશાસકો (તંત્ર) દ્વારા કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
કોંગ્રેસે કહ્યું કે જામનગર ગંદવાડનગર અને ખાડાનગર બન્યું છે, તેથી રોગચાળો અને ગંદવાડ ફેલાયો છે. ઘેર ઘેર મેલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓના ખાટલા છે, ત્યારે કુંભકર્ણ જેવ ઊંઘમાં પોઢેલા મનપાના શાસકોને જગાડવા આ પ્રકારે વિરોધ વ્યક્ત કરવો પડી રહ્યો છે. કોંગ્રેસે ખાડાનગરના નામની કેક કાપીને તથા ખાડાઓ પર પાટાપીંડી કરીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. બીજી તરફ ભાજપ મહિલા મોરચાએ લાલબંગલા સર્કલમાં કરેલા વિરોધ પ્રદર્શનમાં દિગ્ગજ મહિલા નેતાઓ જોડાઈ હતી, અને બેનર, પોસ્ટર, સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસ અને આર.જે.ડી. સામે ધરણાં કર્યા હતા, તથા રાહુલ ગાંધીના નામ સાથે સુત્રો પોકાર્યા હતા.
આ મહિલા અગ્રણીઓ પી.એમ.ના માતાના વિષે બિહારમાં વિપક્ષોના મંચ પરથી અભદ્ર ટિપ્પણી સામે વિરોધ-પ્રદર્શન કરી રહી હોવાનું જણાવાયું હતું.
એક તરફ કોંગ્રેસનું આંદોલન તથા બીજી તરફ ભાજપના મહિલા મોરચાના વિરોધ-પ્રદર્શનો નિહાળીને સામાન્ય જનતા પણ વિચારી રહી હશે કે યે ક્યા હો રહા હૈ...? કિસ કે લીયે હો રહા હૈ...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર અને હાલાર સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને બંગાળની ખાડી પરની સિસ્ટમનો ડિપ્રેશનમાં ફેરવાઈને રસ્તો બદલતા સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ આજથી ત્રણ દિવસ દરમ્યાન પડી શકે છે, તેવી આગાહીઓ થઈ છે, તો બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં સતત અતિવૃષ્ટિ અને પૂર પછી જળપ્રલયના દૃશ્યો સર્જાયા છે અને લેન્ડ સ્લાઈડ તથા વાદળ ફાટવાના કારણે તબાહી મચી ગઈ છે.
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર પણ આજથી શરૂ થયું છે, અને આજે પ્રશ્નોત્તરીકાળ પછી વિધાનસભામાં દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પહેલેથી જાહેર કરાયો હતો. આ ટૂંકા સત્ર દરમ્યાન રાજ્ય સરકાર કેટલાક વિધેયકો રજૂ કરશે. આ દરમ્યાન વિપક્ષો પણ કેટલાક મુદ્દાઓ ઉઠાવશે તેથી સત્ર હંગામેદાર બનશે, તેમ જણાય છે. વિધાનસભાના ગલીયારાઓ સુધી જામજોધપુરના ધારાસભ્યની પદયાત્રા પડઘાઈ છે અને પોલીસે મામલતદાર કચેરીને તાળાબંધી કરવા દીધી નહીં અને કાર્યકરોની અટકાયત કરી, તે પછી આમઆદમી પાર્ટી દ્વારા આ મુદ્દો રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ જોરશોરથી ઉઠાવશે, તે નક્કી છે.
ગઈ રાતે દસેક વાગ્યાના સુમારે શરૂ થયેલું ચંદ્રગ્રહણ મધ્યરાત્રિ પછી દોઢેક વાગ્યા સુધી ચાલ્યું અને પરોઢીયે તેનો સુતક કાળ સમાપ્ત થયો. દેશભરમાં જ્યાં વાદળછવાયુ વાતાવરણ હતું, તે સિવાય આ ચંદ્રગ્રહણ (બ્લડમૂન) નો નજારો લોકોએ નિહાળ્યો અને દેશભરમાં ન્યુઝ ચેનલોના માધ્યમથી આ નજારો જોવા મળ્યો, જેથી કેટલીક તસવીરો આજે અખબારોમાં પણ પ્રસિદ્ધ થઈ છે. બીજી તરફ અનંત ચતૂર્થી સાથે ગણેશોત્સવ ધામધૂમથી સંપન્ન થયો, અને કર્ણાટક સહિત કેટલાક સ્થળે કેટલીક દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની, તે સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવ અને ઈદેમિલાદના તહેવારો ખૂબજ ધામધૂમથી સંપન્ન થયા અને ઘણાં સ્થળે કોમી એકતા અને ભાઈચારાના પ્રેરક દૃશ્યો પણ ખડા થયા.
ગણેશોત્સવ પછી હવે શ્રાદ્ધના દિવસો શરૂ થયા છે અને જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી પરંપરાઓ અને રીતિ-રિવાજો મુજબ શ્રાદ્ધકારો દ્વારા માતૃ-પિતૃ તર્પણ સાથે જીવદયા, દાનપુણ્ય અને માનવતાલક્ષી સેવાકાર્યો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રાજકીય ક્ષેત્રે પણ નવી હલચલ અને અટકળો જોતા થોડા દિવસોમાં કાંઈકને કાંઈક નવાજૂની થશે, તેમ મનાઈ રહ્યું છે.
ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક રાષ્ટ્રીય કક્ષાએ નવા ભાજપ પ્રમુખની પાછળ અટવાઈ ગઈ હોય તેમ જણાય છે. જ્યારે ગુજરાતમાં નવા પ્રદેશ ભાજપ પ્રમુખની સંભવિત નિયુક્તિની સાથે સાથે પ્રદેશ ભાજપની આખેઆખી ટીમ બદલાઈ જાય, તેવી અટકળો થઈ રહી છે, એટલું જ નહીં, ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ મોટા ઉલટફેર થનાર હોવાની અટકળો ગઈકાલથી જ ચાલી રહી છે. કેટલાક રાજ્યોમાં ભાજપે આખેઆખું મંત્રીમંડળ બદલવા સફળ પ્રયોગો કર્યા હોવાથી તથા ગુજરાતમાં આનંદીબેન પટેલ પછી સ્વ. વિજયભાઈ રૂપાણી અને તેઓના પુરોગામી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની અચાનક નિમણૂક થઈ હતી, તેને ધ્યાને લઈને મંત્રીમંડળનું સ્વરૂપ જ બદલાઈ જશે, તેવી અટકળોની આંધી ઉઠતા એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં વર્ષ - ૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વર્તમાન ભાજપ સરકાર સામેની એન્ટી ઈન્ક્મ્બન્સી દૂર કરીને નવો જનલક્ષી આભાસ ઊભો કરવાની રણનીતિ ભાજપનું હાઈકમાન્ડ અપનાવશે, તેવું પણ જણાય છે. જોઈએ, હવે શું થાય છે...
આ તરફ આમઆદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના વધુ વર્ચસ્વવાળા કેટલાક વિસ્તારોમાં નવેસરથી પાર્ટીનું માળખુ ઊભું કરવાના પ્રયાસો શરૂ કર્યા છે, તો કોંગ્રેસ પણ વોટ ચોરીના મુદ્દે "વોટ ચોર, ગાદી છોડ" ના સુત્રો ગજવવાની સાથે સાથે ભાજપના અસંતુષ્ટ દિગ્ગજ તેનાઓ તથા ભાજપમાં ગયા પછી હાંસિયામાં ધકેલાવેલા જૂના પીઢ કોંગ્રેસી નેતાઓને હવા આપીને ભાજપ સામે નવો પડકાર ઊભો કરી રહી છે, તે જોતા ભાજપ માટે રાજ્યમાં વર્ષ-૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે છે, તેવી પ્રચંડ બહુમતી મેળવવી અઘરી થઈ જશે, તેમ જણાય છે.
વિપક્ષના કેટલાક નેતાઓ જ નહીં, પરંતુ ભાજપમાં રહેલા અસંતુષ્ટો પણ એવો આશાવાદ સેવી રહ્યા હશે કે આ વખતે ભાજપના વળતા પાણી થશે અને ત્રણેક દાયકાથી ગુજરાતમાં સ્થપાયેલું ભારતીય જનતા પક્ષનું શાસન સમાપ્ત થશે, જ્યારે કેટલાક વિશ્લેષકો પણ એવું તારણ કાઢવા લાગ્યા છે કે વર્ષ-૨૦૨૭માં કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી જોરદાર ટક્કર આપશે અને ગુજરાત વિધાનસભામાં ભાજપને સાદી બહુમતી મેળવવાના પણ ફાંફા પડી જશે. આ આશાવાદી હાંસી ઉડાવતા ભાજપના નેતા-પ્રવક્તાઓ તેને "મુંગેરીલાલ કે હસીન સપને" ગણાવે ત્યારે તટસ્થ રાજકીય પંડિતો એવી સલાહ આપે છે કે ભાજપે વર્ષ-૨૦૨૭ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં અતિશય આત્મવિશ્વાસમાં રહેવા જેવું નથી. અંતિમ નિર્ણય મતદારોએ કરવાનો છે, જોઈએ હવે શું થાય છે તે...
આ વર્ષે થયેલા ભારે વરસાદ અને ઠેર-ઠેર થયેલા જલભરાવના કારણે ઊભી થયેલી હાલાકીઓના કારણે માત્ર ગ્રામ્ય વિસ્તારો નહીં, પણ હવે શહેરીજનોનો શાસન પ્રશાસન પ્રત્યેનો જનાક્રોશ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં શાસક પક્ષોને નડવાનો છે, અને ગુજરાતમાં તો નગરો-મહાનગરોમાં "મિત્રો" ની મદદ કરવા માટે આડેધડ અપાયેલી મંજુરીઓથી ખડકાયેલા બાંધકામોએ ઘણાં સ્થળે કુદરતી જલપ્રવાહો અટકાવ્યા છે અને નદી-તળાવ-ઝરણાંઓના પ્રવાહો બદલાઈ જાય કે નવા બાંધકામો તણાઈ જાય અથવા ઘરો જળમગ્ન થઈ જાય, તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેની નારાજગી પણ ચૂંટણીઓમાં પડઘાશે, તેમ મનાય છે, જોઈએ...હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે પાંચમી સપ્ટેમ્બરે દેશભરમાં શિક્ષક દિનની વિવિધાસભર ઉજવણી થઈ. રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન થયું. શાળા-કોલેજોમાં સ્પર્ધાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. જામનગરમાં બે શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કેબિનેટમંત્રીના હસ્તે થયું, તેવી જ રીતે રાજ્યના અન્ય જિલ્લાઓમાં તથા રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાએ પણ હાલાર સહિત દેશભરના શ્રેષ્ઠ શિક્ષકોને બીરદાવાયા, દર વર્ષે થતી આ ઉજવણી શિક્ષકો એટલે કે ગુરૂજનો, અધ્યાપકો, પ્રાધ્યાપકો તથા ટ્યુટરોનું નવી પેઢીના ઘડતરમાં યોગદાન પણ ઉજાગર કરે છે.
નગરો-મહાનગરો અને ગામેગામથી શિક્ષક દિનની ઉજવણીના અહેવાલો આવી રહ્યા છે અને ઠેર-ઠેર શ્રેષ્ઠ શિક્ષકોએ શિક્ષણ અને વિશેષ કેળવણીના ક્ષેત્રે કરેલી વિવિધ કામગીરીઓ તથા જહેમતની સાફલ્યગાથાઓ પ્રેસ-મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી વર્ણવાઈ રહી છે. ગઈકાલે જે જે શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું છે, તેઓએ કરેલી વિશિષ્ટ શિક્ષણસેવાના આજે પણ ગુણગાન ગવાઈ રહ્યા છે. આ શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન ખરેખર આપણી સેવા, સંસ્કૃતિ અન્યોને મદદરૂપ થવાની માનવીય ભાવનાઓનું પ્રત્યક્ષ પ્રમાણ જ છે ને ?
એક તરફ દેશભરમાં શિક્ષક દિન ઉજવાઈ રહ્યો હતો ત્યારે ગુજરાતના પાટનગરમાં હલચલ મચી હતી. સત્યાગ્રહ છાવણીમાં શિક્ષક થવા ઈચ્છતા ઉમેદવારો ભેગા થયા હતા, અને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. શિક્ષક થવા ઈચ્છતા યુવાનો સુત્રોચ્ચાર કરી રહ્યા હતા અને રાજ્યના શિક્ષણમંત્રી તથા ભાજપ સરકારની વિરૂદ્ધમાં તીખા તમતમતા પ્રહારો સાથે નારેબાજી કરી રહ્યા હતા. આ દૃશ્યો શિક્ષક દિનની ઉજવણીના ઝળહળાટમાં કલંકરૂપ જણાતા હતા, તે પ્રકારના અહેવાલો વહેતા થયા, ત્યારે શિક્ષક દિને જ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ અને ખુટતી સુવિધાઓ અંગે ગહન ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી. ટેટ-ટાટ પાસ કરેલા ઉમેદવારોએ આ અંગે સરકારને વિસ્તૃત રજૂઆતો કરી હોવાનું પણ બહાર આવ્યું હતું.
શિક્ષક દિને જ રાજયમાં પ્રાથમિક અને માધ્યમિક-ઉ.માધ્યમિકમાં ૧૦ હજારથી વધુ શિક્ષકોની તત્કાળ ભરતી કરવાની માંગણી ઉઠી છે. હજારો ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માંગણી સાથે જો આંદોલન કરવું પડી રહ્યું હોય તો તે કલંકરૂપ જ ગણાય ને ?
શિક્ષક બનીને શિક્ષણક્ષેત્રે સેવા આપવા માટે ઉમેદવારો કાયમી શિક્ષકોની તત્કાળ ભરતી કરવાની માંગણી કરી રહ્યા હતા. એક તરફ શિક્ષક બનવા માંગતા ઉમેદવારો ખાલી જગ્યાઓ ભરવાની માંગણી સાથે સાથે શિક્ષણનું ખાનગીકરણ અને વ્યાપારીકરણ કરવા સામે પ્રચંડ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા અને પોસ્ટર્સ-પ્લેકાર્ડઝ સાથે નારેબાજી કરી રહ્યા હતા. તે જ સમયે રાજધાની સહિત રાજ્યભરમાં શિક્ષક દિનની ઉજવણી દરમ્યાન રાજ્યની શિક્ષણ વ્યવસ્થાઓની વાહવાહી પણ થઈ રહી હતી, તો બીજું આંદોલન શિક્ષકોને કાયમી કરવા સહિતની માંગણીઓને લઈને સમાંતર રીતે પહેલેથી ચાલતુ રહ્યું છે. સત્યાગ્રહ છાવણીમાં એક સાથે બબ્બે માંગણીઓ સાથે ચળવળો ચાલી રહી હોય તો તે સ્થિતિ રાજ્યની શાસન વ્યવસ્થા માટે શરમજનક ગણાય. અલાયદી ઢબે થઈ રહેલા અન્ય આંદોલનમાં ચિત્ર, સંગીત, કોમ્પ્યુટર, વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂકો કરવાની માંગણી કરતા આંદોલનકારીઓ સાથે બોટાદના ધારાસભ્ય સમર્થન આપતા જોવા મળ્યા તો બીજી માંગણીઓના સમર્થનમાં વડગામના ધારાસભ્ય જોવા મળ્યા. આ રીતે ભાજપ સરકાર સામે ચાલી રહેલા આ આંદોલનોને વિપક્ષના નેતાઓનું સમર્થન મળી રહેલું હતું , પરંતુ આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ-અલગ છાવણીમાં હોવા છતાં બંનેનો ઉદૃેશ્ય રાજ્યની ભાજપ સરકારનો વિરોધ કરવાનો જ હતો, તેથી અન્ય રાજ્ય સરકાર માટે આ સ્થિતિ પડકારરૂપ ગણાય.
આ તરફ રાજ્યના શિક્ષણમંત્રી કૂબેર ડીંડોરે પણ મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હોય, તેમ જણાતુ હતું. શિક્ષકોની ભરતીમાં થતા વિલંબના વિવિધ કારણો વર્ણવતા તેમણે કહ્યું કે શિક્ષકોની ભરતીની પ્રક્રિયા તો ટ્રાન્સપરન્ટ ઢબે થતી રહે છે, પરંતુ કેટલાક કોર્ટ કેસો તથા ન્યાયિક પ્રક્રિયાના કારણે ઘણી વખત મોડું થતું હોય છે, તો ઘણી વખત સમગ્ર પ્રક્રિયા દોહરાવવી પડતી હોય છે.
ડીંડોરે વેઈટીંગ લિસ્ટ અને તમામ ઉમેદવારોને પુરતો સમય આપવાના મુદ્દાઓનો ઉલ્લેખ કરીને યોગ્ય ઉમેદવારોને મેરીટ મુજબ તકો મળી રહેશે તેવી ખાતરી ઉચ્ચારી. તેમણે કચ્છનો ઉલ્લેખ કરીને ટેટ અને ટાટની નવી પરીક્ષાઓના ભાવિ આયોજન અંગે પણ સંકેતો આપ્યા હતા.
જો કે, આ બંને પ્રકારની કથિત ચળવળો અંગે ભિન્ન ભિન્ન પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે. શિક્ષકોનું આંદોલન શિક્ષક દિને જ રાજયની રાજધાનીની સત્યાગ્રહ છાવણીમાં શરૂ થાય અને તેમાં અલગ-અલગ ઉદૃેશ્યો સાથેના પ્રવાહો જોવા મળતા હોય, ત્યારે સરકારે સંવેદનશીલતાથી આ મુદ્દે ખુલ્લા મને આંદોલનકારીઓ સાથે વાતચીત કરીને યોગ્ય નિર્ણયો લઈને સમયમર્યાદામાં તેને અમલમાં મુકવા જોઈએ. આંદોલનકારીઓએ પણ મૂળ મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર સાથે ખુલ્લા મને વાતચીત કરીને એકજૂથ થઈને મુદ્દાસર રજૂઆતો કરવી જોઈએ. આ આંદોલનો રાજનૈતિક અખાડો ન બની જાય, અને એવી ખેંચાતાણીની આડમાં મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાની સંભવિત ચાલાકી કામ ન કરી જાય, તેનું ધ્યાન રાખવું પડે તેમ છે.
એક તરફ નબળા શિક્ષણને લઈને સવાલો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ માર્ગો પર પડેલા ખાડાઓને લઈને જામનગર જિલ્લામાં ધારાસભ્ય હેમંત ખવાની પદયાત્રાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. જામનગર સહિત સમગ્ર હાલારના આંતરિક, એપ્રોચ અને ધોરીમાર્ગોમાં ખાડા પડી ગયા છે, તો ખંભાળીયા નગરપાલિકાનો વિસ્તાર જ નહીં, પરંતુ ખંભાળીયા એરિયા વિકાસ ઓથોરિટી (ખાડા) માં પણ ખાડા પડ્યા હોવાની બૂમ ઉઠી છે. શિક્ષણ સહિતની માળખાકિય સુવિધાઓ ખાડે ગઈ છે, તેથી જનાક્રોશ વધી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અંતે કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીની વર્ષો જુની માંગણી સ્વીકારવી પડી અને સામાન્ય લોકોની જરૂરિયાતોની વસ્તુઓ પર જીએસટી ઘટાડવો પડયો. તેવો દાવો કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના કટાક્ષ મુજબ જીએસટી કાઉન્સીલનું સ્વરૂપ તો સર્વપક્ષીય છે અને તેને ઓટોનોમી અપાઈ હોવાની વાતો થાય છે, પરંતુ હકીકતે તો દિવાળી પહેલા જ જીએસટીમાં ધરખમ ઘટાડો થશે, તેવા સંકેતો ખુદ વડાપ્રધાને સ્વયં લાલકિલ્લા પરથી કરેલા સંબોધન દરમ્યાન આપી દીધા હતા, તેથી જીએસટી કાઉન્સીલ માત્ર ઔપચારિકતા જ રહી ગઈ છે અને વાસ્તવિક નિર્ણયો તો કેન્દ્ર સરકાર જ કરતી હોવાનું ફલિત થાય છે.
કોંગ્રેસના બેબાક નેતા જયરામ રમેશે કહ્યું કે કેન્દ્ર સરકારે વર્ષો સુધી રાહુલ ગાંધીની સલાહને અવગણી, અંતે એનડીએની સરકારે જ એ સલાહ સ્વીકારવી પડી, પરંતુ મનસ્વી રીતે સરકારે જીએસટી કાઉન્સીલની સત્તાઓ મર્યાદીત કરી દીધી હોય, તેવું લાગે છે.
કોંગ્રેસે એવો દાવો પણ કર્યો છે કે કોંગ્રેસ જીએસટી ૨.૦ની માંગણી લાંબા સમયથી કરી રહી હતી, અને સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા રોજ-બરોજના માલ-સામાન પર જીએસટી ઘટાડી શકાય અને કેટેગરી સંબંધિત વિવાદોમાં ઘટાડો, કરચોરી પર અંકુશ આવે અને આઉટપુટ કરતા ઈનપુટ પર વધારે પડતા વસુલાતા કરવેરા નાબૂદ થાય. એવી માંગણી પણ કરવામાં આવી હતી કે એમએસએમઈ પર નિયમોનો બોજ ઘટાડવા અને જીએસટી નો વ્યાપ વધારવો જોઈએ, આ માંગણીઓની એનડીએ સરકારે ધરાર અવગણના કરી હતી.
સોશ્યલ મીડિયાના માધ્યમથી સાંસદ જયરામ રમેશે એવો દાવો પણ કર્યો કે જીએસટી ૧.૦માં ઘણી ખામીઓ હોવાની રજૂઆતો કોંગ્રેસે વર્ષ ૨૦૧૭થી જ શરૂ કરી હતી પરંતુ સરકારે તેના તરફ દુર્લક્ષ્ય સેવ્યું અને હવે એજ મોદી સરકારે ઝુકવું પડ્યું છેે. તે સમયે જીએસટી ૧.૦ ને સરળ અને જનલક્ષી ગણાવ્યા પછી વાહવાહી લૂંટી પરંતુ તે અવરોધક બન્યો અને હવે જીએસટી ૨.૦નો કોન્સેન્ટ સ્વીકારવો પડ્યો છે, પરંતુ હજુ સુધી જીએસટી ૨.૦ની વિભાવના પૂરેપૂરી સ્વીકૃત થઈ નથી, કારણ કે પ્રોડક્શન ફેકટરને પ્રોત્સાહન અને એમએસએમઈ પરનો બોજો ઘટાડવાની દિશામાં નક્કર પ્રગતિ થશે જ, તેવી સંભાવનાઓ અંગે આશંકાઓ છે. કોંગ્રેસે એવો કટાક્ષ પણ કર્યો છે કે ઘણાં વર્ષોથી કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી જીએસટી ૧.૦ને ગબ્બરસિંહ ટેક્સ ગણાવીને તેમાં વ્યાપક ઘટાડાની માંગણી કરતા રહ્યા હતા, પરંતુ મોદી સરકારે તેના પ્રત્યે દુર્લક્ષ સેવ્યુ, અને હવે શાન ઠેકાણે આવી ગઈ છે, ઠીક છે, દેર આયે દૂરસ્ત આયે...
સોશ્યલ મીડિયામાં કોંગ્રેસના નેતાઓ તથા ખાસ કરીને રાહુલ ગાંધીના તદ્વિષયક જૂની કેટલીક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે, અને તેના પર શાબ્દિક પ્રહારો અને પ્રતિપ્રહારોની જાણે આંધી ઉઠી છે.
દેશના પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરે કહ્યુું કે મોદી સરકારને ભૂલ સુધારતા ૮ વર્ષ લાગ્યા અને યૂ-ટર્ન લેવો પડ્યો.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી વધુ સરળ થઈ ગયુ હોવાની વાત કરીને કેન્દ્ર-રાજ્ય સરકારોની બનેલી જીએસટી કાઉન્સીલ બે જ સ્ટેજ રાખ્યા હોવાનો નિર્ણય લીધો તેનો ફાયદો સીધો સામાન્ય જનતાને થશે અને નવરાત્રિ તથા ધનતેરસની રોનક વધશે, તેવું મંતવ્ય વ્યક્ત કર્યું છે. અને મીડિયાના મિત્રો નવા સુધારાઓને જીએસટી ૨.૦ ગણાવી રહ્યા છે, તેથી પનીરથી લઈને સાબુ શેમ્પુ સુધીની અનેક ચીજો સસ્તી થઈ જશે, દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તેમાં પણ કટાક્ષ કર્યો કે કોંગ્રેસ તો બાળકોને ઉપયોગી સાયકલ પર ૧૭ ટકા અને ચોકલેટ પર ૨૧ ટકા ટેકસ લેતી હતી વગેરે...
મોદી સરકાર આ રિફોર્મ્સથી ગરીબ, મધ્યમ વર્ગ, યુવા વર્ગ, ખેડૂતો સહિત સૌને ફાયદો થશે. અને લોકોનું જીવનધોરણ સુધરશે, તેવો દાવો કરી રહી છે, ત્યારે કોંગ્રેસ કહે છે કે સો ચૂહા માર કે બિલ્લી હજ કો ચલી !
જે હોય તે ખરૃં, જીએસટી કાઉન્સીલ સ્વતંત્ર છે અને તેમાં એનડીએ, ઈન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષો તથા અન્ય વિપક્ષો, સંચાલિત રાજય સરકારોનું પણ પ્રતિનિધિત્વ છે, ત્યારે જીએસટીમાં આ ફેરફારથી માત્ર મિત્રોને બદલે હવે સામાન્ય જનતાને પણ વાસ્તવમાં ફાયદો પહોંચે તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જૂના જમાનામાં ગામડાઓમાં લોકોને રાજાઓનો સંદેશ પહોંચાડવા માટે ઢોલ વગાડીને ચોરે-ચૌટે ફરીને ઘોષણાઓ કરાતી કે આદેશો અપાતા, જેને સૌરાષ્ટ્રની ભાતીગળ ભાષામાં સાદ પાડવો, તેવું કહે છે. આ સાદ સાંભળવા લોકો ઘરની બહાર નીકળીને ઠેર-ઠેર એકઠા થઈ જતા અને તે પછી તેની વ્યાપક ચર્ચાઓ સાથે અમલ પણ કરવામાં આવતો. આજે પણ ઘણાં ગામોમાં આ પ્રકારની પ્રથા અમલમાં છે, અને ગ્રામ પંચાયતો, સંસ્થાઓ કે ખાનગી કાર્યક્રમો-પ્રસંગોના આયોજકો તરફથી આ પ્રકારે "સાદ" પાડવામાં આવે છે, અને તેના દ્વારા સૂચના, ચેતવણી, આમંત્રણ કે જરૂરી સલાહ સાથે ઘણી વખત સ્થાનિક નિર્દેશો પણ અપાતા હોય છે.
એ... સાદ સાંભળજો જેવા શબ્દો વાપરીને મોટા સાદે આ પ્રકારની સૂચના એક ચોકમાં આપીને ઢોલી બીજા ચોકમાં ઢોલ વગાડતો વગાડતો જાય અને ત્યાં આ "સાદ" દોહરાવે, તે પછી ત્રીજા ચોકમાં જાય અને આખા ગામમાં તબક્કાવાર "સાદ" પાડે...
મધ્યપ્રદેશના ગામડાઓમાં આજે પણ આ પ્રથા ઘણાં સ્થળે મોજુદ છે અને કેટલાક ગામોમાં તાજેતરમાં પાડેલો "સાદ" ટોક ઓફ ધ નેશન બન્યો છે. કેટલાક અખબારોમાં આ વ્યંગાત્મક અહેવાલો પ્રસિદ્ધ તથ થયા છે, અને મીડિયા તથા સોશ્યલ મીડિયામાં આ અહેવાલોને સાંકળીને ત્યાંની ભાજપ સરકાર અને કથિત રીતે ભાજપના સ્થાનિક નેતાગીરી પર ચોરીના આરોપો લગાવીને કટાક્ષમય આક્રોશ પણ વ્યક્ત થઈ રહ્યા છે. આ ઘટનાક્રમ રમુજ કે મજાક નહીં, પરંતુ ભ્રષ્ટાચારના ભયાનક ભરડાની ગવાહી પૂરે છે.
મધ્યપ્રદેશના રીવા જિલ્લાના બે ગામોમાં આવી રીતે સાદ પડયો કે, "સાંભળો...સાંભળો...સાંભળો...આપણી પંચાયત અને પડોશની પંચાયત (ગામ) ના અમૃત સરોવર બંધ (ચેકડેમ) સહિત ખેત તલાવડી અને અન્ય નાના મોટા તળાવો સતત ચોરાઈ રહ્યા છે, હવે આપણે તળાવોની તપાસ કરવી પડશે.."
અન્ય એક ગામમાં સાદ પડયો કે "આપણાં ગામમાં રૂ. ૨૫ લાખ જેટલા ખર્ચે એક તળાવ ચોરાયું છે, જેનો પત્તો કે માહિતી આપનારને એક લાખનું ઈનામ અપાશે..."
હકીકતે રીવા જિલ્લાના ચાકઘાટમાં એક આરટીઆઈ કાર્યકરે માહિતી અધિકાર હેઠળ માંગેલી માહિતી મુજબ ગામમાં કઠૌલી વિસ્તારમાં રૂ. ૨૪.૯૪ લાખના ખર્ચે અમૃત સરોવર યોજના અંતર્ગત એક તળાવ સરકારી રેકર્ડ મુજબ જે સર્વે નંબર પર બનાવાયુ હોવાનું જણાવ્યું હતું, ત્યાં કોઈ તળાવ હતું જ નહીં !
એવો પર્દાફાશ થયો કે હકીકતે અન્ય નજીકની ખાનગી જમીન પર સરપંચે નાનું એવું નાળુ અવરોધીને પાળો બાંધી દીધો હતો અને તેને તળાવ ગણાવીને રૂ. ૨૪.૯૪ લાખની માતબર રકમ સરકારી ખજાનામાંથી ઉપાડી લીધી હતી.
વાત આટલેથી અટકી નહીં, આ પ્રકારનો પર્દાફાશ થયા પછી એ સરપંચે પોતાની ખાનગી જમીનનો નાનો સરખો હિસ્સો સરકારને દાનમાં આપીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો, પરંતુ "અબ પછતાને સે ક્યા ફાયદા...જબ ચીડિયા ચુભ ગઈ ખેત..."
આ મામલો એટલો ઉછળ્યો કે પોલીસ ફરિયાદ થઈ અને કલેકટરે તપાસના આદેશ આપ્યા. પોલીસના ચોપડે તળાવ ચોરાયું હોય, તેવી પ્રથમ ફરિયાદ હોવાથી કઈ કલમ લગાડવી તેની મુંઝવણ થઈ હશે, પરંતુ ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મેળવીને ગેરરીતિની ફરિયાદ નોંધાઈ. આ મામલો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સુધી પહોંચ્યો અને છેક દિલ્હી સુધી પડઘાયો. એવું કહેવાય છે કે તળાવચોરનો આક્ષેપ લાગ્યો છે તે સરપંચ ભાજપના રાયપુર મંડલના ઉપપ્રમુખ પણ છે !
આ મુદ્દે રાજ્યવ્યાપી ચર્ચાઓ થઈ અને અન્ય કેટલાક ગામડાઓમાં માત્ર કાગળ પર બનેલા તવાળો, ચેકડેમો અને ગ્રામ્યમાર્ગો પણ "ગાયબ" થઈ ગયા હોવાની આશંકાઓ ઉઠવા લાગી છે.
પૂર્વા મનીરામ પંચાયતમાં થયેલા આ કારનામા પછી અમિલિધા પંચાયતના ક્ષેત્રમાં પણ બે નાની ખેત-તલાવડી ગાયબ થઈ હોવાની ફરિયાદ સ્થાનિકોએ વ્યંગાત્મક શબ્દપ્રયોગ કરીને નોંધાવ્યા પછી હવે મધ્યપ્રદેશમાં ગામે ગામ આ પ્રકારની ચોરી પકડવા આરટીઆઈ હેઠળ માહિતી માંગવાની ઝુંબેશ (કદાચ વિપક્ષ) ચલાવશે, તેવી વાતો પણ વહેતી થઈ છે.
જો કે, સંબંધિત ગામોના સરપંચ અને અન્ય અગ્રણીઓએ એવો બચાવ પણ કર્યો છે કે હકીકતે તળાવ બનાવાયુ હતું, પરંતુ વર્ષ ૨૦૨૩માં બનાવાયેલું આ તળાવ સુકાઈ ગયુ હતું, એક પાળો (ચેકડેમ) ભારે વરસાદમાં આવેલ પૂર ના કારણે તૂટી ગયો હતો, વગેરે....
જે હોય તે ખરૃં, આ અંગે ઉંડી તપાસ થયા પછી વાસ્તવિકતા બહાર આવશે. પરંતુ આ પ્રકારની વિચિત્ર ચોરીની ફરિયાદો આપણા દેશમાં વ્યાપક ભ્રષ્ટાચારના ભયાનક ભરડાને ઉજાગર કરે છે અને "ત્રિપલ એન્જિન" ધરાવતા શાસનની ટોપ ટુ બોટમ પોલ પણ ખોલે છે.
આ અહેવાલો તથા તેની ચર્ચાઓ જોરશોરથી થયા પછી હાલાર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કોઈ તળાવ, ચેકડેમ, માર્ગો, બ્રિજ કે આખેઆખી સરકારી ઈમારતો તો "ચોરાઈ" ગઈ નથી ને ? તેની ચળવળ પણ વિપક્ષો સહિત જાગૃત નાગરિકો તથા આરટીઆઈ એક્ટિવિટીઓ દ્વારા શરૂ થઈ શકે છે, અને તેવું નહીં થાય તો એ પણ પૂરવાર થઈ જશે "લંગડા ઘોડા" કોણ છે ?
વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાટી બનવાની લ્હાયમાં ભાજપમાં ભ્રષ્ટાચારીઓની વ્યાપક ભરતીતો પ્રાથમિક અને સક્રિય સભ્ય પદે થઈ ગઈ નથી ને ? તેનું સંશોધન કરવાના આદેશો કદાચ "ઉપરથી છૂટે" તો નવાઈ જેવું નહીં હોય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક નાની સરખી ચિનગારી ભીષણ આગ લગાવી શકે છે, તેવી જ રીતે એક નાની સરખી ચિપ સમગ્ર વિશ્વને બદલી શકે છે, અત્યારે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ યુગમાં સેમિકન્ડકટરનું મહત્ત્વ વધ્યું છે અને ભારતે માઈક્રો પ્રોસેસર ચિપના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. બીજી તરફ બિહારની ચૂંટણીના પ્રચારની આંધીમાં નાનો સરખો શબ્દપ્રયોગ પણ પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષ માટે પ્રચારનું ઓજાર કેવી રીતે બની જાય છે, તે પણ આપણી સામે જ છે. કોઈ પણ નાનામાં નાની વ્યક્તિ, સંગઠન કે ચીજ-વસ્તુને અન્ડર એસ્ટિમેન્ટ ન કરવી જોઈએ, તે મરાઠા આંદોલન સામે ફડણવીસ સરકારે ઝુકવુ પડ્યું, તેના પરથી પૂરવાર થાય છે.
ખાસ કરીને ચૂંટણી ટાણે ચૂંટણી સભાઓમાં પ્રતિપક્ષો પર પ્રહાર કરતી વખતે એ ખ્યાલ રાખવો પડે કે એવા કોઈ શબ્દો ન વપરાઈ જાય, જેથી વિવાદ ઊભો થઈ જાય અને એ જ પ્રહારો બૂમરેંગ પૂરવાર ન થઈ જાય. અત્યારે મીડિયા અને સોશ્યલ મીડિયામાં કોની ગાળ મોટી અને કોની ગાળ નાની, તેની વધુ ચર્ચા થઈ રહી છે, અને જનતાને સ્પર્શતા મૂળ મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. જો કે, ચૂંટણી જ નહીં, કોઈપણ જાહેર મંચ પરથી કે કોઈપણ રીતે ગાળાગાળી કે અસભ્ય કે અનૈતિક શબ્દપ્રયોગોને સ્થાન જ ન હોઈ શકે, અને તેનું ધ્યાન રાખવા શાસક અને વિપક્ષના સર્વોચ્ચ નેતાઓએ પોતાના પક્ષના કાર્યકરો-નેતાઓને તાલીમબદ્ધ કરવા જોઈએ. જો કે, આ બાબતમાં કોઈના વખાણ કરવા જેવા નથી, હમામ મેં સબ નંગે હૈ...
હમણાંથી નાની-મોટી આગ દર્ઘટનાઓના અહેવાલો અવાર-નવાર આવતા હોય છે, અને તેમાં મોટું નુકસાન થતું હોય છે અને મહામુલી માનવજિંદગીઓ પણ હોમાઈ જતી હોય છે, આ તમામ આગ-દુર્ઘટનાઓ પૈકી મોટાભાગે નાની સરખી ચિનગારી, સુક્ષ્મ શોટ-સરકીટ કે બેકાળજી અથવા લાપરવાહી જવાબદાર હોય છે. નાની ચિનગારીમાંથી મહાભયાનક વિનાશ નોતરતી ભીષણ આગ લાગી હોય તેના ઘણાં દૃષ્ટાંતો આપણી સામે આવતા રેહતા હોય છે, તેથી આગ લાગ્યા પછી બુઝાવવાની અત્યંત મુશ્કેલ હોવાથી આગ લાગતી જ અટકે, તે માટે ખૂબ જ ઝીણવટપૂર્વકની કાળજી તથા પૂર્વ આયોજિત સુરક્ષા વ્યવસ્થાઓ વિસ્તારવાની તથા વધુ સઘન બનાવવાની જરૂર છે.
સિક્કાની બીજી બાજુ જોઈએ તો કેટલીક સુક્ષ્મ ચીજવસ્તુઓ ઘણી જ મોટી ક્રાન્તિ લાવી શકે છે. એક નાનકડું બીજ જેવી રીતે વિરાટકાય વૃક્ષ ઉગાડી શકે છે, અનાજના એક નાના બીજમાંથી હજારો દાણાં ઉગે છે અને ટીપે ટીપે પડતો વરસાદ મોટા મોટા જળાશયો ભરી શકે છે, તેવી જ રીતે નાની નાની ચીજવસ્તુઓ ઘણી જ હકારાત્મક અને નકારાત્મક અસરો ઊભી કરી શકતી હોય છે.
એક કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય, આ પ્રકારની પોઝિટીવ ફલશ્રુતિઓની સાથે એ જ કહેવતમાં કહેવાયુ છે કે ઢીકે ઢીકે શ્વાસ જાય, એટલે કે ઢીકા-પાટુના વધુ પડતા માર થી માણસનો જીવ પણ જઈ શકે છે, જે નકારાત્મક પરિણામ દર્શાવે છે.
ચંદીગઢમાં સ્થપાયેલા સેમિ કન્ડકટર લેબ દ્વારા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના સહયોગથી ભારતની સર્વપ્રથમ ૩૨-બિટ માઈક્રો પ્રોસેસર ચિપ તૈયાર કરવામાં આવી છે. ઈસરો દ્વારા આ ચિપને સત્તાવાર રીતે વિક્રમ-૩૨૦૧ નામ આપ્યું છે. આ સેમિ કન્ડકટર ચિપ કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, રાઉટર, કાર, સેટેલાઈટ, લેપટોપ સહિતની ડિજિટલ ડિવાઈસીસમાં બ્રેઈન (મગજ) નું કામ કરે છે. આ તમામ અદ્યતન અને પ્રવર્તમાન એ.આઈ. તથા ઈન્ટરનેટ યુગના ડિવાઈસીસની તાકાત આ નાની સરખી ચિપ જ હોય છે. આ ચિપનું નિર્માણ કરીને ભારત આ પ્રકારની ચિપ્સનું પ્રોડક્શન વધારીને તેમાં પણ આત્મનિર્ભર થવા જઈ રહ્યું હોવાનો દાવો કરાયો છે.
આ ચિપનું પ્રેઝન્ટેશન દિલ્હીમાં આયોજિત સેમિકોન ઈન્ડિયા-૨૦૨૫ની કોન્ફરન્સમાં રજૂ થયું ત્યારે સેમિ કન્ડકટર ક્ષેત્રે કાર્યરત વિધિના ૫૦ દેશોના નિષ્ણાતો ઉપસ્થિત હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સેમિ કન્ડકટર મિશનમાં બીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યુ છે અને આ પોલિસી શોર્ટ ટર્મની નથી, પરંતુ દીર્ધકાલીન છે. આ દાવાઓ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કરાયા છે.
આ સેમિ કન્ડકટરનો ઉપયોગ કોમ્પ્યુટર, મોબાઈલફોન વિગેરેમાં તો થશે જ, પરંતુ પાવર મેનેજમેન્ટ, મેમરી, બેસબેન્ડ, એપ્લિકેશન, પ્રોસેસર, ઓટો સેકટર, ઈલેકટ્રીક વ્હીકલ, બેટરી મેનેજમેન્ટ, ઈન્ફોટેન્મેન્ટ, ટેલિકોમ, એડીએએસ સેન્સર્સ, માઈક્રો કન્ટ્રોલર્સ, ડિફેન્સ, એરોસ્પેસ, અંતરિક્ષ, ફાઈવ-જી, ઈન્ડસ્ટ્રીયલ, સેન્સર નોડ્સ આર એફ સ્વીચ વગેરે અનેક સેકટરમાં થઈ શકશે, તેવો દાવો કરાયો છે. જોઈએ, હવે શું થાય છે તે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે એસસીઓ એટલે કે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સમિટ દરમ્યાન યોજાયેલી ઔપચારિક, વિપક્ષીય અને તમામ સભ્ય દેશોની બેઠકો તથા અન્ય પ્રવૃત્તિઓ, હાવભાવ અને ફોટોસેશન વગેરેનું વિશ્લેષણ કરીને ભારત તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવથી સંયુક્ત ઘોષણાપત્રમાં આતંકવાદનો વિરોધ થયો, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ એકલા પડી ગયા અને વડાપ્રધાને પાકિસ્તાનના વડાપ્રધાનની હાજરીમાં પહલગામ હૂમલાને ટાંકીને કરેલા શાબ્દિક પ્રહારોની જ ચર્ચા થતી રહી હતી અને મોદી-પુતિન-જીનપીંગની નજીકતાના કારણે ટ્રમ્પ તમતમી ઉઠ્યા હોવાના અહેવાલો પણ આવ્યા હતા.
જો કે, ચીનના સીઈપીસી એટલે કે ચાયના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના મુદ્દે ભારતે વિરોધ કર્યો નહીં, તેથી ભારત પણ આ મુદ્દે એકલું પડી ગયું હોવાના તારણો પણ કાઢવામાં આવી રહ્યા છે. આમ, સિલેકટિવ, અલગ-અલગ મુદ્દે બંને દેશોને એસસીઓના તમામ દેશોનું સમર્થન મળ્યું નહોતું. આ ઉપરાંત એસસીઓના ઘટનાક્રમોનો ઉલ્લેખ કરીને કેટલાક વિપક્ષી નેતાઓ પણ તૂટી પડ્યા છે અને મોદી સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસે શાંઘાઈમાં ચીન સામે ભારત ઝુકી ગયું હોવાનો અભિપ્રાય વ્યક્ત કરતા મોદી સરકારની વિદેશનીતિ સદંતર નિષ્ફળ ગઈ હોવાના પ્રત્યાઘાતો આપ્યા છે.
ચીનનો પ્રવાસ પુરો કરીને વડાપ્રધાન સ્વદેશ પરત ફરી રહ્યા હતાી, તે જ સમયે ભારતમાં સમગ્ર મુલાકાતને લઈને મિશ્ર પ્રત્યાઘાતો આવવા લાગ્યા હતા. એનડીએના નેતાઓ આ મુલાકાતને સફળ ગણાવીને ટ્રમ્પને ટેરિફનો તમતમતો જવાબ મળી ગયો હોવાના દાવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુણગાન ગાઈ રહ્યા હતા, તે જ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તથા પ્રવક્તાઓ આકરી ટીકા કરી રહ્યા હતા. આ કારણે લોકોમાં કનફ્યુઝન પણ ઊભું થયું છે. ભારતનો દબદબો વધે, આપણી કેન્દ્ર સરકારની કૂટનીતિ સફળ થાય, તેથી પ્રત્યેક ભારતીયોની છાતી ગજ ગજ ફૂલે, પરંતુ કેટલીક કડવી વાસ્તવિકતાઓ પણ સ્વીકારવી જ પડે ને ?
દૃષ્ટાંત તરીકે કોંગ્રેસના તજતર્રાર અને આખાબોલા દિગ્ગજ નેતા જયરામ રમેશે સોશ્યલ મીડિયાના માધ્યમથી જે વિસ્તૃત પ્રત્યાઘાતો આપ્યા, તે પણ ગઈકાલથી જ ટોક ઓફ ધ નેશન બન્યા છે. તેમણે લખ્યું છે કે ચીન પર આતંકવાદના મુદ્દે બેવડા ધોરણો રાખવાના આરોપો મુકતા રહેતા વડાપ્રધાન મોદીએ હવે ભારત અને ચીન બંને દેશો આતંકવાદના શિકાર હોવાનું કહ્યું હોય તો તે કહેવાતા હાથી (ભારત) ડ્રેગન (ચીન) સમક્ષ ઝુક્યું હોવાનું તારણ ન નીકળી શકે ?
તેમણે આકરા શબ્દપ્રયોગ કરીને લખ્યું કે ઓપરેશન સિંદૂર દરમ્યાન મોદી જીનપીંગ સાથેની વાતચીતમાં ચીન-પાકિસ્તાનની જુગલબંધી અંગે એક શબ્દ પણ બોલ્યા નહીં, અને આ હકીકત સેનાના અધિકારીઓ દ્વારા જ જાહેર કરવામાં આવી હતી. શું એ રાષ્ટ્ર વિરોધી વલણ ન કહી શકાય ?
અહીંથી જ નહીં અટકતા જયરામ રમેશે મોદી પર પ્રહારો કરતા કહ્યું છે કે "સ્વયં ઘોષિત ૫૬ ઈંચની છાતી વાળા નેતા (મોદી) હવે પૂરેપૂરા ખુલ્લા પડી ગયા છે. વર્ષ-૨૦૨૦ ના જૂન મહિનામાં પણ તેઓએ ચીનને ક્લીનચીટ આપીને રાષ્ટ્રીય હિતો સાથે બાંધછોડ કરી, તે એક દગાબાજી જ હતી. હવે તિયાનજીનમાં ૩૧ ઓગષ્ટ-૨૦૨૫નો દિવસ કાર્યરતપૂર્ણ અહંકાર માટે "બદનામીના દિવસ" તરીકે યાદ રહેશે."
હકીકતમાં એસસીઓમાં ચીન, ભારત, રશિયા, નેપાળ, માલદીવ, ઈજિપ્ત, તાજિકિસ્તાન, બેલારૂસ ઉપરાંત અન્ય આમંત્રિત દેશોના વડાઓએ પણ ભાગ લીધો હતો અને તે દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમામ વૈશ્વિક નેતાઓ સાથેની ઉષ્માભરી મુલાકાત અને વાટાઘાટોની ચર્ચા થઈ રહી હતી, જેનો કોંગ્રેસના નેતાએ આ રીતે આકરી ટીકા કરી હતી. તે ઉપરાંત અન્ય કેટલાક નેતાઓએ પણ મોદીનીતિની આલોચના કરી હતી, જેનો ભાજપ તથા એનડીએના નેતાઓએ જોરદાર જવાબ આપ્યો હતો. તટસ્થ નિરીક્ષકોનું માનવું એવું છે કે દેશના હિતમાં ભારતની વાહવાહી થાય, તે વૅૈશ્વિક રાજનીતિની દૃષ્ટિએ આપણાં દેશ માટે ફાયદાકારક હોય શકે, પરંતુ વ્યક્તિગત વાહવાહી કે વ્યક્તિગત વિરોધવાણી દુશ્મનોને પણ લાભ કરાવી શકે છે, તે ભૂલવું ન જોઈએ.
આ પ્રકારના તટસ્થ અભિપ્રાયો એટલા માટે આવ્યા કે અમેરિકાના નવારાએ કરેલા લવારા દરમ્યાન રશિયા સાથે ક્રૂડ ઓઈલના વેપલાનો ફાયદો ચોક્કસ ઉચ્ચ જ્ઞાતિના ભારતીયોને મળી રહ્યો હોવાનું જે અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેને કોંગ્રેસના એક દિગ્ગજ નેતાએ સમર્થન આપીને જે કાંઈ કહ્યું, તેના કારણે નવો જ વિવાદ ઊભો થઈ ગયો છે, એટલું જ નહીં, આ પ્રકારના વિવાદોનો ગેરફાયદો દુશ્મનો ઉઠાવી રહ્યા હોવાના અભિપ્રાયો બિનરાજકીય અને ન્યુટ્રલ વિશ્લેષકો દ્વારા પણ વ્યક્ત થયા છે.
બીજી તરફ અમેરિકાની ટ્રમ્પ સરકારના સલાહકાર પિટર નવારોના કેટલાક મનઘડંત આક્ષેપોનો ભારતે જે સત્તાવાર જવાબ આપ્યો છે, તેને સર્વક્ષેત્રિય સમર્થન મળી રહ્યું છે. નવારોને જવાબ આપતા ભારતે ચોખ્ખા ચણક શબ્દોમાં જણાવાયું છે કે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવામાં ભારતે કોઈપણ વૈશ્વિક નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. ભારતની ઉર્જાનીતિએ ગ્લોબલ માર્કેટની સ્થિરતા તથા ભાવો પર અંકુશ રાખવામાં મદદ કરી છે. યુક્રેન યુદ્ધ પછી રશિયન ઓઈલની ખરીદી વધી હોવા છતાં ભારતે કોઈ નફાખોરી કરી નથી. યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પહેલા થી જ ભારત વિશ્વનો ચોથો પેટ્રોલિયમ પ્રોડક્શન એક્સપોર્ટ કરનારો દેશ રહ્યો છે., અને તે સમયે જે નફો હતો, તેટલો જ નફો જળવાઈ રહ્યો હોવાથી નફાખોરીનો આરોપ મનઘડંત બેબુનિયાદ અને ગેરમાર્ગે દોરનારો છે.
કેટલાક વિશ્લેષકો એવી ટીકા કરી રહ્યા છે કે ટ્રમ્પ અને નવારો પાયાવિહોણી અને અસ્પષ્ટ, અસત્ય અને ઉટપટાંગ વાતો કરી રહ્યા છે., જ્યારે કેટલાક ગ્લોબલ મીડિયાના વિશ્લેષણો અમેરિકા તરફી તારણો પણ કાઢી રહ્યા છે.
વિશ્વમાં અંધાધૂંધી અને અનિશ્ચિતતાઓના માહોલ વચ્ચે જામનગર, ગુજરાત સહિત દેશમાં ઠેર-ઠેર ઉજવાઈ રહેલા ગણેશોત્સવ તથા આવી રહેલી ઈદની ઉજવણી દરમ્યાન સદ્ભાવ અને શાંતિ જળવાઈ રહે, તેનું ધ્યાન રાખવું પડે તેમ છે અને કેટલાક છમકલાં થયા પછી સરકાર સમાજ અને....આયોજકોએ સતર્ક થઈ જવું પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ફરીથી વરસાદની નવી આગાહી થવા લાગી છે અને નવા એલર્ટ જાહેર થયા છે, આવતીકાલથી થનારા કેટલાક ફેરફારોની દૂરગામી અસરો થવાની છે, અને કુદરતી માહોલની સાથે સાથે રાજ્યનો રાજકીય માહોલ પણ કરવટો બદલી રહ્યો હોય, તેમ જણાય છે, કારણ કે પ્રદેશ કોંગ્રેસ, એનએસયુઆઈ, યુવક કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ રાજ્યમાં એકદમ સક્રિય થઈ ગયા છે અને રાષ્ટ્રીય કોંગ્રેસના નકશાકદમ પર રાજ્યોમાં પણ વોટચોરીના ગંભીર આક્ષેપો અને સુત્રોચ્ચારો સાથે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો જોરશોરથી શરૂ કરી દીધા છે.
અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વોટર અધિકાર જનસભાનું ગઈકાલે આયોજન થયું, અને આ પ્રકારના કાર્યક્રમ રાજ્યના તમામ જિલ્લાઓમાં શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે આ આક્રમક દેખાવો, સુત્રોચ્ચારો તથા સત્યાગ્રહોએ રાજ્યના લોકોનું ધ્યાન તો ખેંચ્યું જ છે, પરંતુ તેની દેશવ્યાપી અસરો પણ દેખાવા લાગી છે. કોંગીનેતાઓએ એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં પણ ભારતીય જનતા પક્ષે "વોટચોરી"નું મોડલ ઊભું કર્યું છે.
કોંગ્રેસ રાજ્યમાં વોટચોર, ગાદી છોડના નારાઓ લગાવીને ગગન ગજવી રહી છે. કોંગ્રેસ નેતાઓએ આ બેનર હેઠળ શરૂ કરેલી ચળવળના ભાગરૂપે રેલીઓ, પ્રદર્શનો, કૂચ, સત્યાગ્રહ અને મતાધિકાર જાગૃતિ યાત્રાઓ યોજાઈ રહી છે.
કોંગ્રેસના સાંસદ ગેનીબેને તો ભાજપ પર ગંભીર આક્ષેપો કરીને કહ્યું હતું કે ભાજપે ગુજરાતમાં વોટચોરીનું મોડલ ઊભું કર્યું છે, અને વર્ષ-૨૦૧૭ની ચૂંટણી સમયે સાડા સાત હજાર જેટલા બોગસ મતદારો સામે કોઈ પગલા લેવાયા નહોતા, અમિત ચાવડાએ કહ્યું કે કોઈ કેન્દ્રીય મંત્રીના મતક્ષેત્રમાં જો બોગસ વોટર્સનું લિસ્ટ મળી આવે તો તે શરમજનક બાબત ગણાય, તેમણે ઘોષણા કરી કે રાજ્યના તમામ મતક્ષેત્રોમાંથી બોગસ વોટર્સ શોધી કાઢવા કોંગ્રેસ અલાયદું આંદોલન કરશે., આ ઉપરાંત ગુજરાતમાં બેરોજગારી તથા દેશમાં મોંઘવારી સહિતના મુદ્દે પણ પ્રદેશ કોંગ્રેસના વિવિધ ઘટકો તમામ જિલ્લાઓમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપશે, તેવું પણ જાહેર કરાયું છે.
બીજી તરફ ભારતીય જનતાપક્ષ દ્વારા ઈન્ડિયા ગઠબંધન પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે, તો વિશ્લેષકો "ચોરનો ભાઈ ઘંટી ચોર" ની કહેવત મુજબ પ્રવર્તમાન સમયમાં લગભગ તમામ રાજકીય પક્ષોમાં કોઈ મોટો તફાવત નથી, તેમ જણાવીને ભાજપ સામે ઊભા થઈ રહેલા આંતરિક અને બાહ્ય પડકારો જોતા ગમે ત્યારે કાંઈપણ થઈ શકે છે અને પોલિટિકલ સુનામી આવી શકે છે, તેવા મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે, જે રાજ્યમાં કરવટ બદલી રહેલી રાજનીતિના સંકેતો આપી રહ્યા છે. કોઈએ હાલમાં ગુજરાતમાં ૬૨લાખ જેટલા બોગસ મતદારો હોવાના આક્ષેપો કર્યા પછી ગુજરાતમાં પણ બિહાર ફેઈમ રાજકીય હલચલ થવા લાગી હોય, તેમ જણાય છે.
અત્યારે એસઆરઆઈના મુદ્દે બિહારથી ઉઠેલા વિરોધનો વંટોળીયો આખા દેશ પર છવાઈ ગયો છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસનું આંદોલનનું આ નવું મોડલ વધુ તેજ ગતિથી આગળ વધશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે.
કોંગ્રેસે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા મેગા પ્રોગ્રામના જે સંકેતો આપ્યા છે, તેની પાછળ પોલિટિકલ સરપ્રાઈઝનું ફેકટર પણ કામ કરી રહ્યું હોય, તેમ જણાય છે. કોંગ્રેસના એક દિગ્ગજ નેતાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે વોટચોરી પુરવાર થઈ ગયા પછી વડાપ્રધાને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ.
અત્યારે "ગુજરાત મોડલ"ની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. ગુજરાતનું વિકાસ મોડલ લઈને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બન્યા, તે પછી "ગુજરાત મોડલ"ની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે., કોંગ્રેસે ભાજપ પર ગુજરાતમાં વોટચોરીનું મોડલ ઊભું કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યા પછી વળતા પ્રહારમાં ભાજપ તરફથી કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નહીં હોવાથી જુઠ્ઠાણાના આંદોલનનું નવું ગુજરાત મોડલ પ્રસ્તુત કર્યું હોવાના પ્રતિઆક્ષેપો લગાવાઈ રહ્યા છે. તેવા સમયે આમઆદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ સામે ગુજરાતમાં ત્રીજો મોરચો ખોલવા માટે એક અલગ જ પ્રકારના ગુજરાત મોડલને રજૂ કરવાની તૈયારી કરી રહી છે. "ગુજરાત મોડલ" અત્યારે દેશવ્યાપી રાજનીતિ અને મુખ્ય સ્પર્ધક રાજકીય પક્ષોમાં સમરાંગણનો કેન્દ્રવર્તી મુદ્દો બની ગયું છે, જેને ઘણાં લોકો દેશને આઝાદી મળી, ત્યારથી આજ સુધી દેશની રાષ્ટ્રીય કક્ષાની રાજનીતિમાં ગુજરાતની ભૂમિકા તથા યોગદાનની ફલશ્રુતિ ગણાવીને ગુજરાતની ગરિમા ગણાવવાનું ગૌરવ પણ લઈ રહ્યા છે ને ?
હકીકતે અત્યારે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ પર તમામ રાજકીય પક્ષોનું ધ્યાન કેન્દ્રિત થયું છે, અને દેશવ્યાપી ઘટનાક્રમો તથા રાજકીય, સામાજિક અને અન્ય જાહેર-ખાનગી કે પારંપરિક પ્રવૃત્તિઓમાં પણ બિહારની ચૂંટણીનો પ્રભાવ વર્તાઈ રહ્યો હોય તેવું લાગે છે. દેશમાં ચૂંટણી બિહાર વિધાનસભાની થનાર છે, પરંતુ તેના પ્રચંડ પ્રચારનો શોરબકોર આખા દેશમાં સંભળાઈ રહ્યો છે, અને તેમાં પણ વિવિધ પક્ષોે પર "ગુજરાત મોડલ" ના થઈ રહેલા પરસ્પર આક્ષેપો જોતા બિહારની ચૂંટણીમાં વિજય-પરાજયની ચાવી પણ ગુજરાતમાં જ હોવાની વ્યંગવાણી પણ સંભળાઈ રહી છે.
આ નારેબાજી, આક્ષેપો-પ્રતિઆક્ષેપો, દાવાઓ અને વાયદાઓ, સુત્રોચ્ચારો તથા વ્યાપક પ્રચાર-પ્રસાર વચ્ચે જનતાના મૂળભૂત મુદ્દાઓ, જરૂરિયાતો અને સળગતી સમસ્યાઓ તો જાણે વિસરાઈ જ ગઈ છે. પરસ્પર કીચળ ઉછાળીને પોતાના ઝભ્ભા પર ઓછા ડાઘ હોવાની દલીલો કરતા રાજકીયક્ષેત્રના નેતા-પ્રવક્તા તથા પેઈડ પોલિટિકલ પંડિતોના શોર-બકોર વચ્ચે હવે જનતાએ જ નક્કી કરવું પડશે કે કૌન સચ્ચા કૌન જૂઠ્ઠા ?
ડ્રગ્સની હેરાફેરી અને સ્મગલીંગમાં પણ "ગુજરાત મોડલ" ઊભું કરીને ડ્રગ્સ માફિયાઓએ રાજ્યના દરિયાકાંઠાથી લઈને દેશવ્યાપી નેગવર્ક ઊભું કર્યું છે. પોલીસતંત્રના આંકડાઓને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી લગભગ ૧૬ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે...જય જય ગરવી ગુજરાત...મેરા ભારત મહાન !!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મેઘરાજાનો નવો રાઉન્ડ આવ્યો તેથી ખેડૂતોના જીવનમાં જીવ આવ્યો હતો અને જળાશયો ભરાવા લાગતા લોકોને આગામી વર્ષમાં પીવાના પાણીની તકલીફ પણ નહીં પડે, પરંતુ જ્યાં જ્યાં ભારે પૂર અને લેન્ડ સ્લાઈડના કારણે લોકોને નુકસાન થાય, ત્યાં ત્યાં ચિંતાત્મક સ્થિતિ પણ ઊભી થતી હોય છે, જેથી આ મુદ્દે ચર્ચા થાય અને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સરકાર અને સમાજ ઝડપભેર કદમ ઉઠાવે, તેવી ઇચ્છા હંમેશા રહેતી હોય છે. વૈષ્ણોદેવી નજીક લેન્ડ સ્લાઈડથી મચેલી જીવલેણ તબાહીએ દેશવાસીઓને કંપાવી દીધા હતા. અને હવે અસરગ્રસ્તો તથા મૃતકોના પરિવારોને મદદરૂપ થવું એ સૌની ફરજ પણ છે.
ગુજરાતીઓ ઉત્સવપ્રેમી અને પર્યટનપ્રેમી હોય છે અને તહેવારોમાં મોજ-મસ્તી અને પ્રવાસ કરવાના આયોજનો પહેલેથી જ થઈ જતા હોય છે, તેથી જ વરસાદ વરસવા છતાં મેળાઓની લોકોએ મોજ માણી અને હજુ પણ મેળાના મનોરંજનનો માહોલ સમાપ્ત થયો નથી. વરસતા વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે પણ મોજમજા કરીએ તે સારી વાત છે, પરંતુ, જોખમી ઢબે સેલ્ફી લઈએ, વહેતા પાણીના પ્રવાહમાંથી જોખમી રીતે વાહન ચલાવવાનો પ્રયાસ કરીએ કે લેન્ડ સ્લાઈડ થતી હોય કે ભારે-અતિભારે વરસાદ, પૂર કે સુનામિની આગાહી થઈ હોય ત્યાં પ્રવાસ કરવાની કે એડવેન્ચર કરીએ, તે કોઈપણ રીતે ઈચ્છનિય પણ નથી અને યોગ્ય પણ નથી.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘાની મહેર થી લોકોની જીવાદોરી સમા ડેમો છલકાઈ ગયા છે, તો કેટલાક સ્થળે દરવાજા ખોલવા પડયા, તે પછી પૂરની પરિસ્થિતિ પણ ઊભી થઈ ગઈ. ઘણાં સ્થળે વીજપુરવઠો ખોરવાઈ ગયો તો ઘણાં સ્થળે માર્ગો બંધ થઈ જતા લોકો અટવાયા, પરંતુ, એકંદરે શ્રીકાર વરસાદથી લોકો ખુશ છે અને ખેડૂતો ખેતીના કામે લાગી ગયા છે. જો કે, ભારે વરસાદ, પૂર કે નહાવા જતા તણાઈ કે ડૂબી જવાની ગમખ્વાર ઘટનાઓએ કેટલાક સ્થળે આઘાત અને શોકની લાગણી પણ ફેલાવી હતી, અને આવી ઘટનાઓ લોકોને વધુ સતર્ક રહેવા, લાપરવાહ નહીં રહેવા અને કારણ વગરના જોખમ નહીં ખેડવાની શીખ પણ આપે છે.
ચોમાસાના કારણે ઘણાં માર્ગો તદૃન તૂટી-ફૂટી ગયા છે અને ખાડા ખડબાવાળા ધોરીમાર્ગો પર વાહનો ચલાવવા ઘણાં જ મુશ્કેલ બન્યા છે, તેવામાં એક તરફ તો ગણેશોત્સ્વના સંદર્ભે ગણેશજીની પ્રતિમાઓનું પરિવહન અટવાઈ ગયું હતું અથવા તો પ્રતિમાઓમાં ભાંગતૂટ થવાની સંભાવનાઓ ઊભી થઈ હતી, તો બીજી તરફ માર્ગો પરના ખાડાઓમાં પાણી ભરાઈ ગયા પછી ક્યાં ખાડો છે અને ક્યાં રોડ છે, તે નહીં સમજાતા ગંભીર અકસ્માતોની સંભાવનાઓ પણ ઊભી થઈ હતી. ઘણાં સ્થળે નાના-મોટા અકસ્માતો તથા વાહનોની અનિશ્ચિત ગતિવિધિઓના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જવા પામી હતી અને આ તમામ પરિસ્થિતિ માટે માર્ગોની હલકી ગુણવત્તા અને પ્રિ-મોન્સુન કામગીરીઓમાં રખાયેલી બેદરકારી જ જવાબદાર હોવાના પ્રત્યાઘાતો પડઘાયા હતા.
જામનગરના ઘણાં વિસ્તારો એવા છે જ્યાં જુદા જુદા વિકાસકામોના કારણે ખોદકામ થતા રહ્યા અને એક કામ પુરૃં થાય અને તેના ખાડાઓ બૂરીને માંડ જમીન સમથળ થાય કે તેની ઉપર થીગડ થાગડ કરીને રસ્તો ચાલુ થાય, ત્યાં બીજા કામ માટે ફરીથી ખોદકામ શરૂ થઈ જાય. નગરમાં ભૂગર્ભ ગટરના કામો લાંબો સમય ચાલ્યા. કેટલાક વિસ્તારોમાં પાણીની પાઈપલાઈનો માટે ખોદકામ થયા, અને થાય છે. તો મોટા ભાગના વિસ્તારોમાં ગેસની અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનો બીછાવવા માટે ખોદકામો થયા. હજુ આ બધા ખોદકામોની સમથળ થયેલી અથવા ઉબડ-ખાબડ છોડી દેવાયેલી જમીનો પર નવી સડકો બને તે પહેલા જ ચોમાસાના પ્રારંભે નવા ખાડા પડ્યા. આ ખાડાઓ બુરવા માટે અત્યાધુનિક મશીનરીની મદદથી થીગડાં મરાયા, પરંતુ તે પણ તાજેતરના વરસાદમાં ઉખડી ગયા. અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તેમાં નગરના માર્ગો મગરની પીઠ કરતાંએ વધુ ઉબડ-ખાબડ થઈ ગયા છે, અને જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારના પોપડાં ઉખડી રહ્યા હોય, તેવો આભાસ થાય છે. આ ભ્રષ્ટાચારના ઉખડેલા પોપડાંના કારણે માર્ગોની થયેલી દૂર્દશા દૂર કરવા હવે કથિત રીતે નવો ભ્રષ્ટાચાર ન થાય અને ચોમાસા પછી નગરના માર્ગો ગુણવત્તાવાળા થાય, તેવું ફૂલપ્રૂફ આયોજન થવું જરૂરી છે, ટેન્ડર્સ ભરીને જે કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું હોય, તેમાં જો ચોક્કસ કરેલા વર્ષો સુધી નુકસાન થાય તો જે-તે કોન્ટ્રાક્ટર પાસે જ તેનું કામ કરાવવું એવા નિયમના કડક અમલ માટે ઈજારેદારની કેટલીક રકમ ડિપોઝીટ કે સિક્યોરિટી મની તરીકે સરકાર કે મહાપાલિકામાં જમા રહે, એટલું જ નહીં, નબળા કામ માટે દંડ ફટકારાય અને તે તકલાદી કામો મંજુર કરનાર નાના અને મોટા તમામ અધિકારીઓ તથા પદાધિકારીઓને જવાબદાર ગણીને તેની સામે પણ ખાતાકીય પગલાં લેવાય, તેમ જ એક સ્થળે બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર, પેઢી કે કંપનીને અન્ય સ્થળે પણ કોન્ટ્રાક્ટ મળવામાં સરળતા રહે નહીં, તેવી જોગવાઈઓ સરકારે કરવી જોઈએ, પરંતુ ઈચ્છાશક્તિ હોવી જોઈએ ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગણેશોત્સવ ઉજવાયા પછી હવે શ્રાદ્ધના દિવસો આવશે. આપણી સંસ્કૃતિના ઘણાં રીતિ-રિવાજો પરોક્ષ રીતે વૈજ્ઞાનિક ઉદૃેશ્યો સાથે સંકળાયેલા હોય તેવું લાગે. શ્રાવણી અમાસના દિવસે વૃક્ષોને પાણી પીવડાવવાનો રિવાજ જેવી રીતે વૃક્ષો પ્રત્યે પૂજ્યભાવ તથા વૃક્ષોના મહત્ત્વ સાથે વૃક્ષારોપણ અને વૃક્ષ-ઉછેરનો સંદેશ આપે છે, તેવી જ રીતે શ્રાદ્ધ નાખવું એ પંખીપ્રેમ તથા પર્યાવરણીય સમતુલાનો ગુઢાર્થ પણ દર્શાવે જ છે ને ?
દર વર્ષે ૩૦ ઓગષ્ટે આપણાં દેશમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ઉજવાય છે. દેશના આર્થિક વિકાસમાં લઘુ ઉદ્યોગોના યોગદાનને સાંકળતી આ ઉજવણી બહુહેતુક છે. નાના ઉદ્યોગો તથા વ્યવસાયોને પ્રોત્સાહિત કરીને આર્થિક ઉન્નતિ સાથે સાથે રોજગારીની તકો વધારવાનો ઉદૃેશ્ય તથા દેશના વિકાસમાં ઉદ્યોગ-સાહસિકોના યોગદાનને આ ઉજવણી ઉજાગર કરે છે. દેશમાં હસ્તકલાના સંવર્ધન અને સંરક્ષણમાં લઘુ ઉદ્યોગોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાથી તદ્વિષયક એકઝીબિશનો, સેમિનારો, વેબિનારો, વ્યાખ્યાનો, પ્રદર્શનો, પ્રેઝન્ટેશનો તથા પ્રવૃત્તિઓ તથા સોશ્યલ મીડિયા, પ્રેસ-મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા તથા ટ્રેડિશ્નલ મીડિયાના માધ્યમથી વ્યાપક પ્રચાર, પ્રસાર અને પબ્લિક એવરનેશના કાર્યક્રમો યોજાય છે.
હકીકતે ૩૦મી ઓગષ્ટ-૨૦૦૦ ના દિવસે તે સમયના વડાપ્રધાન અટલબિહારીએ લઘુ ઉદ્યોગક્ષેત્રના પ્રોત્સાહન અને વિકાસ માટે એક વ્યાપક નીતિ અને પેકેજ લોન્ચ કર્યા હતા. તે પછીથી દર વર્ષે ૩૦મી ઓગષ્ટે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ઉજવાતો રહ્યો છે.
વર્ષ-૨૦૦૧માં પહેલી વખત ૩૦મી ઓગષ્ટે લઘુ ઉદ્યોગ સંમેલન યોજાયું અને તદ્વિષયક રાષ્ટ્રીય પુરસ્કારો પણ એનાયત કરાયા. આ માટે રાષ્ટ્રીય કક્ષાએ સમારોહ પણ યોજાયો હતો. આ સાથે જ પ્રતિવર્ષ ૩૦મી ઓગષ્ટે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ હતી.
તે પછી ૨૦૦૭માં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે એમએસએમઈ ડિપાર્ટમેન્ટમાં તદ્વિષયક જુદા જુદા વિભાગોનું એકીકરણ કરીને લઘુઉદ્યોગોને વિશેષ પ્રોત્સાહન અપાયુ, એટલુંજ નહીં સુક્ષ્મ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો તથા મધ્યમકક્ષાના ઉદ્યોગો તથા વ્યવસાયોને એક નવી દિશા પણ મળી. એ પછી તબક્કાવાર એમએસએમઈના વિસ્તૃતિકરણ તથા ઝડપી વિકાસ માટે કેટલીક વધુ સરકારી યોજનાઓ બની અને તેમાં પણ સુધારા-વધારા થતા રહ્યા. આજે જામનગર સહિત રાજ્ય અને દેશના ઘણાં શહેરોમાં એમએસએમઈ ધમધમી રહ્યા છે, અને દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહ્યા છે.
એમએસએમઈનો વ્યાપ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધે અને સાર્વત્રિક રોજગારીની તકો વધે તે માટે પ્રયાસો થતા રહ્યા અને સમગ્ર પરિવર્તનો છતાં દરેક રાજ્ય-કેન્દ્ર સરકારોનો એમએસએમઈ પ્રત્યેનો અભિગમ લગભગ યથાવત અને પ્રોત્સાહક રહ્યો, પરંતુ તેમાં વખતોવખત કેટલાક અપવાદો પણ રહ્યા અને પડકારોનો સામનો પણ કરવો પડ્યો.
હવે ટ્રમ્પ ટેરિફનો ટેરર ફેલાયો હોવાથી એક વખત ફરીથી એમએસએમઈના હિતો પર જોખમ ઊભું થયું છે અને આપણાં દેશના ડેરી ઉદ્યોગ, પશુપાલન, કૃષિક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રને ખુલ્લુ મૂકી દેવાનું દબાણ વધી રહ્યું છે, અને તે કારણે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તથા વ્યવસાયો પર અદૃશ્ય ખતરો મંડરાવા લાગ્યો છે.
ટ્રમ્પ ટેરિફના ટેરર સામે આમ તો આખું વિશ્વ ઝઝુમી રહ્યું છે અને વિચિત્ર વાતો અને જાહેરાતો કરતા રહેતા તથા બોલીને વારંવાર ફરી જતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માનસિક સ્વાસ્થ્ય સામે પણ આશંકાઓ ઊઠી રહ્યા છે, પરંતુ ટ્રમ્પ પ્રશાસનના જ કેટલાક નેતાઓ તથા બ્યુરોક્રેટ્સ એવા સંકેતો પણ આપી રહ્યા છે કે ધીમે-ધીમે ભારત-અમેરિકા વચ્ચેની ખટાશ ઓછી થતી જશે અને વિશ્વની સૌથી જુની અને સૌથી મોટી લોકશાહી ધરાવતા અમેરિકા અને ભારત વચ્ચે ફરીથી બધું સમુસુતરૂ થઈ જશે. જો કે, ભારત-અમેરિકા વચ્ચેના વણસેલા સંબંધોના કારણે ચીન સાથેની ભારતની નીકટતા વધી રહી છે, તે પણ હકીકત છે, ઘણાં લોકો એવું માને છે કે ધૂની સ્વભાવ ધરાવતા ટ્રમ્પ કે દગાબાજીનું ડીએનએ ધરાવતા ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ પૈકી કોઈનોય ભરોસો કરવા જેવો નથી !
મોદી સરકાર માટે આ અગ્નિપરીક્ષા છે, ઘણાં વિશ્લેષકો મોદી સરકારની વિદેશનીતિ થાપ ખાઈ ગઈ હોવાનો અભિપ્રાય પણ વ્યકત કરી રહ્યા છેે. ઘણાં લોકો મોદી સરકારની મક્કમતાને વખાણી રહ્યા છે, તો ઘણાં લોકો આને હિસ્ટોરિકલ બ્લન્ડર અથવા ઐતિહાસિક ભૂલ (મૂર્ખામી) પણ ગણાવી રહ્યા છે, જો કે, ભારતની ગરિમા અને સાર્વભોમત્વને દબાવવાના પ્રયાસો સામે નમતું નહીં જોખવામાં દેશ સરકારની પડખે અડીખમ ઊભો હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે.
તાજેતરમાં મોદી સરકારે ટ્રમ્પના ૫૦%ના ટેરિફ સામે ઝુકીને અમેરિકા માટે ભારતના ડેરી ઉદ્યોગ અને એમએસએમ ઈ સહિતના સેક્ટર્સ તથા ખેતીક્ષેત્રને ખુલ્લા મુકવાનો મક્કમતાથી ઈન્કાર કર્યા પછી સવાલ એ પણ ઉઠ્યો છે કે અમેરિકામાં જે ચીજવસ્તુઓની નિકાસ બંધ થશે કે ઘટી જશે, તેની ભરપાઈ કેવી રીતે થશે ?
કેટલીક ચીજવસ્તુઓ રશિયા ખરીદી લેશે, તેવી વાત પણ સામે આવી રહી હતી, પરંતુ સરકારો તો નીતિ નક્કી કરે, પરંતુ વ્યાપાર તો ખાનગી ક્ષેત્રો જ મોટા ભાગે કરતા હોવાથી વ્યાપક ચર્ચા પછી બ્રિટન, જાપાન, દ.કોરિયા સહિતના દેશોની ૪૦ જેટલી મેગા માર્કેટોમાં પ્રવેશવાની તૈયારીઓ અંગે સરકારના વાસ્તવિક પ્રયાસો પર સૌ કોઈની નજર મંડાયેલી છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું પડાણા મોટા ઉદ્યોગ ગૃહો તથા રિફાઈનરીની નજીક આવેલું છે અને અહીંથી વાડીનારની દરિયાઈ પટ્ટી પણ નજીકમાં જ છે. આ ગામેથી જો નશાકારક ચોકલેટોનો જંગી જથ્થો પકડાયો હોય તો તે નશાકારક પદાર્થોના વિવિધ સ્વરૂપે થતા વેપલા અને હેરાફેરીના વ્યાપક નેટવર્કનો સંકેત છે અને ગુજરાતની કડક નશાબંધીને ઠેંગો બતાવવાના વિવિધ કારસાઓનું પ્રતીક છે, જે એક આઈસબર્ગની ટોચ જેવું છે એન આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે સમાજે તથા સ્થાનિકોએ પણ જાગૃત થવું અત્યંત જરૂરી છે.
હમણાંથી મીડિયામાં તથા અખબારોના પાને દેશી-વિદેશી દારૂના ચપલાં, બોટલો કે પેટીઓ પકડાઈ હોવાના અહેવાલો રોજ-બ-રોજ જોવા મળતા હોય છે., અને ઘણાં સ્થળે નશો કરેલી હાલતમાં ફરતા હોય, તેવા લોકો પણ ઝડપાતા હોય છે, અથવા બિન્ધાસ્ત બકવાસ કરતા જોવા મળતા હોય છે. શરાબની આ હેરાફેરી તથા દેશી દારૂનું પ્રોડક્શન જ આપણાં ગુજરાતમાં છુપા શરાબીઓની મોટી સંખ્યાનો પુરાવો છે, કારણ કે માર્કેટમાં મળતું હોય, ત્યાં જ ઘણાં જોખમો ખેડીને ગેરકાનૂની શરાબનો જથ્થો ઠલવાતો હોય ને ?
આ પહેલા પણ આયુર્વેદિક ઔષધિઓ કે સિરપના નામે નશાયુક્ત પદાર્થોના કારનામા થતા રહ્યા છે અને ઠંડા પીણા (કોલ્ડ્રીંક્સ)ના સ્વરૂપમાં નશાકારક પ્રવાહીઓની હેરાફેરી, સંગ્રહ તથા વેચાણ કરતા ગુનાખોરો તથા શંકાસ્પદ નશાકારક પદાર્થો કે પીણાઓનો જથ્થો ઝડપાતો રહ્યો છે. આટલો મોટો જથ્થો ઝડપાતો હોય ત્યારે આઈસબર્ગની જેમ તેની પાછળ કાર્યરત મસમોટા નેટવર્કની સંભાવનાઓ વધી જતી હોય છે. આ પ્રકારના નેટવર્કને ભેદવા તેના શક્તિશાળી મૂળિયા સુધી પહોંચીને તેને કાનૂની કાર્યવાહીની આગમાં બાળવા અત્યંત જરૂરી હોય છે, અને તે માટે સાઠગાંઠ, ભ્રષ્ટાચાર અને મિલીભગત જેવા ચક્રવ્યૂહોને તોડવાની પોલિટિકલ તથા વહીવટી ઈચ્છાશક્તિ હોવી અનિવાર્ય છે.
ક્યાંક નદીના કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો રૂપિયાની કિંમતનો સેંકડો લીટર એવો કાચો આથો પકડાય છે, જેમાંથી દેશી દારૂ બને છે, તો ક્યાંક વાહનોના સ્પેરવ્હીલના ટાયરોમાં ભરીને કે ગૂપ્ત ખાનાઓમાં છુપાવીને હેરાફેરી કરાતો શરાબનો જંગી જથ્થો ઝડપાતો હોય છે. આટલો મોટો જથ્થો પકડાતો હોય, ત્યારે આ શરાબ મોકલનાર, લેનાર કોણ છે અને કેવી રીતે પરિવહન થયું છે, તેની પુછપરછ અને તપાસ પણ થતી જ હશે અને દેશી દારૂના હાટડા કોણ ચલાવે છે, ક્યાં ચલાવે છે અને તેના કસ્ટમર (પીનારા) કેટલા છે અને કયાંથી "મોજ"માં આવી જાય છે, તેની ઊંડી તપાસ પણ થતી જ હશે ને ?
હકીકતે રાજ્યની બહારથી એટલેકે દારૂબંધી નથી, તેવા આજુબાજુના રાજ્યોમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઘુસાડવા માટે પણ જુદી જુદી તરકીબો અજમાવાતી હશે અને ક્યાંક ક્યાંક ભ્રષ્ટ નીતિરીતિ પણ કામ કરી જતી હશે, અન્યથા દારૂબંધી ન હોય, તેવા રાજ્યો કરતા પણ વધુ સાહસિક તથા જોખમી હેરાફેરી થતી જ ન હોત, ખરૃં ને ?
જો કે, રાજ્યને જોડતી સરહદો પરથી પસાર થતા વાહનોનું રેન્ડમ ચેકીંગ થતું રહે છે, સતત પેટ્રોલીંગ ચાલુ હોય છે અને બાતમીદારોનું મજબૂત નેટવર્ક પણ કાર્યરત હોય છે, અને તેથી જ ઠેર-ઠેર જંગી જથ્થામાં નશાકારક દ્રવ્યો મળી આવતા હોય છે. ઝડપાઈ જતા હોય છે, તેમ છતાં ગુજરાતમાં આ બદી સદંતર નાબૂદ કેમ થતી નથી, એ પણ ઓપન સિક્રેટ જ છે ને ?
હાલારના દરિયા કિનારાના નિર્જન વિસ્તારો તથા અંતરિયાળ વિસ્તારોમાં આવેલા કાંઠાળ ગામડાઓ અથવા દુર્ગમ સ્થળોમાંથી ડ્રગ્સનો જંગી જથ્થો મળી આવતો હતો, તે સમયે પણ ગુજરાત નશાનું હબ બની રહ્યું હોવાનું તથા ડ્રગ્સની ઘૂસણખોરીનું પ્રવેશદ્વાર બની રહ્યું હોવાની ટીકા-ટિપ્પણીઓ થઈ હતી. ડ્રગ્સની બંદી તો દારૂની બંદીથી પણ ઘણી જ ભયંકર ગણાય અને નવી પેઢીને નશાના રવાડે ચડાવીને આપણાં દેશને ખોખલો કરવાની પ્રપંચી પડોશી દેશની કારસ્તાની પણ હોઈ શકે. નકલી ચલણી નોટોની હેરાફેરી, સ્મગલીંગ, ડ્રગ્સનું નેટવર્ક અને શરાબ ઉપરાંત જુગારના ગેરકાનૂની માર્ગે ચડનાર પોતાની તથા દેશની પણ બરબાદી નોતરે છે, તે હકીકત જ છે ને ?
હમણાંથી હાલાર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી શંકાસ્પદ બિનવારસી કન્ટેનરો તણાઈને આવતા હોવાની ઘટનાઓ પણ વધી રહી છે. આ કારણે આપણાં દેશની તટીય સુરક્ષા એજન્સીઓની સાથે સાથે ગૂપ્તચર એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. આ કન્ટેનરો સ્વાતંત્ર્ય પર્વ ના સમયગાળામાં જ મળી આવ્યા હોવાથી તંત્રોએ આ અંગે ઊંડી તપાસ પણ આદરી હતી. કોઈ કહે છે કે કોઈ ડૂબેલા વહાણ કે બાજ પરથી આ કન્ટેનરો તણાઈ આવ્યા હશે, તો કોઈ એવું પણ માને છે કે કોઈ ગેરકાનૂની ચીજવસ્તુઓની હેરાફેરી પછી ખાલી થયેલા કન્ટેનરો દૂરના દરિયામાં ફેંકી દેવાયા હોય અને તણાઈને દરિયાકાંઠે આવી ગયા હોય, તેવું બની શકે. કોઈ કહે છે કે આ કન્ટેનરો પાકિસ્તાની દરિયા તરફથી આવ્યા હશે. જે હોય તે ખરૃં, પરંતુ આ મુદ્દો પણ દારૂ કે ડ્રગ્સની સંભવિત હેરાફેરીને પણ સાંકળે જ છે ને ?
ગુજરાતમાં માત્ર દરિયાકાંઠેથી કે પડોશી રાજયોની સરહદેથી જમીનમાર્ગે જ નશાકારક દ્રવ્યોની હેરાફેરી થાય છે, તેવું પણ નથી. હવાઈ માર્ગે પણ ડ્રગ્સની "હિંમતભરી" હેરાફેરી કરવાના પ્રયાસો પણ થતા જ રહે છે. હજુ ગઈકાલે જ અમદાવાદના એરપોર્ટ પરથી લગભગ પાંચેક કરોડની કિંમતનું ડ્રગ્સ (હાઈબ્રીડ ગાંજો) જપ્ત કરાયો હોવાના અહેવાલો આવ્યા હતા. એવું કહેવાય છે કે આ ડ્રગ્સ બેંગકોકથી લવાયું હતું અને આ માટે બેગને એરટાઈટ કરવાનો નુસ્ખો અજમાવાયો હતો. આ હેરાફેરીની ડીલ છેક દુબઈમાં થઈ હોવાનું પણ કહેવાય છે. આમ, ગુજરાતમાં જમીન, દરિયા અને હવાઈ માર્ગે પ્રવેશતા "નશા" ને અટકાવવામાં નહીં આવે તો સમૃદ્ધ ગણાતુ ગુજરાત બરબાદ થઈ જતા વાર નહીં લાગે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના હિમાલયના ક્ષેત્રો પછી હવે જમ્મુ-કશ્મીર પર મેઘો કહેર બનીને વરસી રહ્યો છે અને વાદળો ફાટતા તબાહી મચી છે. વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરી દેવી પડી છે અને ભૂસ્ખલનના કારણે ઘણાં યાત્રાળુઓના જીવ ગયા છે. જ્યારે કેટલાક ઈજાગ્રસ્ત લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલોમાં ખસેડાયા છે. આ કુદરતી કોપના કારણે સંદેશાવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને સંખ્યાબંધ લોકો ઠેર-ઠેર પૂર, કાટમાળ કે દુર્ગમ સ્થળે ફસાયા હોવાના અહેવાલો પછી દેશવ્યાપી હાહાકાર મચી રહ્યો છે.
મેઘાવી માહોલ અને અતિવૃષ્ટિ તથા પૂરના કારણે એક તરફ તારાજીના દૃશ્યો વાયરલ થઈ રહ્યા છે, તો બીજી તરફ એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્રો ઉપરાંત સેનાની મદદ પણ રાહત અને બચાની કામગીરી માટે લેવી પડી રહી છે. હવે જ્યારે ગણેશોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ગણેશજીની પ્રતિમાઓ સ્થાપીને વાજતે-ગાજતે તેઓને આવકાર અપાઈ રહ્યો છે, ત્યારે વિઘ્નહર્તાને આપણે વિકટ સ્થિતિમાંથી બચાવવા અને અસરગ્રસ્તોને સહાયભૂત થવાની પ્રાર્થના કરીએ. ગણેશજીની કૃપા સમગ્ર સૃષ્ટિ પર વરસતી રહે અને પ્રવર્તમાન વિઘ્નો તથા સંકટોમાંથી દુંદાળા દેવ સૌને ઉગારે, તેવી પ્રાર્થના સાથે ગણેશજીને આવકારીએ, અને સર્વમંગલ માંગલ્યની કામના કરીએ.
કેવડા ત્રીજ, ગણેશ ચતૂર્થી અને રખપાંચમના સળંગ ત્રણ વ્રતોનો મહિમા અને સંલગ્ન કથાઓ ભિન્ન-ભિન્ન હોવા છતાં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ ત્રણેય વ્રતોમાં શ્રદ્ધાળુઓ વિશેષ સેવા, પૂજા-અર્ચના અને દાનપુણ્ય કરે છે તથા કેટલીક પરહેજીનું ચૂસ્ત પાલન કરીને વ્રત, કથા-કીર્તન કરે છે. બહેનો આ દરમ્યાન ઘર-પરિવાર, પતિ, સંતાનો અને સૌ કોઈના કલ્યાણ તથા સુખ-શાંતિ-સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. દેશમાં એક તરફ કુદરતી આફતોના કારણે હાહાકાર મચ્યો છે, ત્યારે બીજી તરફ દેશ અને દુનિયાની રાજકીય ઉઠાપટક અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહોના એકશન-રિએક્શનના કારણે ખળભળાટ મચ્યો છે. ખાસ કરીને ટ્રમ્પે ભારત પર વધુ ૨૫ ટકા સાથે ટેરિફ ૫૦ ટકા કર્યો તેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.
ગુજરાતમાં તો ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદીના વાયદાઓ સાથે સત્તારૂઢ થયેલી રાજ્યની ભાજપ સરકાર પર પ્રચંડ પ્રહારો કરીને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ગોપાલ ઈટાલીયાએ વિસાવદરથી રાજ્યમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હોવાના દાવા સાથે યોજેલી સભામાં ઉમટેલી જનમેદની તથા મોટી સંખ્યામાં લોકો આમઆદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાની વાત કરી, તે પછી રાજ્યમાં ભાજપ-કોંગ્રેસના વિકલ્પ તરીકે આમઆદમી પાર્ટીને ગુજરાતની કંટાળેલી જનતા સેવાની તક આપશે ? તેવા વિશલેષણો થવા લાગ્યા છે, અને ગોપાલભાઈએ કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હોવાથી ગુજરાતમાં હવે રાજકીય ક્ષેત્રે ત્રિપાંખીયો જંગ જામશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાતમાં પુનઃ વરસાદ પછી એક તરફ કેટલીક નદીઓમાં પૂર આવતા ખેતીને નુકસાન થયું હોવાના અહેવાલો આવી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યમાં ૯૫ ટકા વાવેતર થઈ ચૂક્યું છે અને આ વખતે મગફળીનું વાવેતર સર્વાધિક થયું હોવાનું કહેવાય છે. આ વર્ષે કઠોળ અને તેલીબીયાંનું વાવેતર થોડું વધ્યું છે અને કપાસનું વાવેતર પણ ૮૦ ટકાથી વધુ થયું હોવાના આંકડા બહાર આવ્યા છે. આ વર્ષે ખેડૂતોએ ફરીથી મગફળી અને કપાસ જેવા રોકડિયા પાકો તરફ ઝોક દર્શાવ્યો છે અને શાકભાજી, ઘાસચારો તથા કેટલાક પરંપરાગત સ્થાનિક પ્રયોગાત્મક વાવેતરો પણ થયા હોવાનું બહાર આવ્યુ છે. આ વર્ષે કેટલાક સ્થળે પૂરપ્રકોપથી અને જલભરાવ થતા ખેતીપાકને માઠી અસર પહોંચી છે, તેવા વિસ્તારોના અપવાદ સિવાય એકંદરે ખેત-ઉત્પાદન સારૃં થશે, તેવી આશા રખાઈ રહી છે.
આ વર્ષે ચોમાસામાં કેટલીક માનવસર્જિત કહી શકાય તેવી દુર્ઘટનાઓ પણ બની છે. દીવાલો ધરાશયી થતા, ગેસ ગળતરથી, કરંટ લાગવાથી કે ડૂબી કે તણાઈ જવાથી મૃત્યુના કિસ્સાઓ વધી રહ્યા છે. જામનગરમાં પણ થોડા દિવસો પહેલા દીવાલ પડવાથી ઘટના જીવલેણ પૂરવાર થઈ હતી.
ખાનગી મકાનો હોય કે સરકારી-અર્ધસરકારી સંકુલો હોય, જર્જરિત ઈમારતો એન બાંધકામો જોખમી સ્તરે પહોંચ્યા હોય, ત્યારે તેનાથી સતર્ક રહેવા અને તેવા જોખમો સામે તકેદારીના પગલા તત્કાળ લેવાની કાળજી હવે સૌ કોઈએ રાખવી જ પડશે. કારણ કે, "હોતી હૈ, ચલતી હૈ" અથવા જેમ ચાલે છે તેમ ચાલવા દેવાની મનોવૃત્તિથી ઘણી વખત પસ્તાવું પડે, તેવી જીવલેણ દુર્ઘટનાઓમાં પરિણમતી હોય છે.
ગઈકાલની મોડી રાત્રે જ મુંબઈના વિરારમાં કરૂણાંતિકા સર્જાઈ છે. એક નાની બાળકીનો ચોથા માળે જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે જ ચાર માળની જર્જરિત એ ઈમારત ધડામ દઈને તૂટી પડતા બૂમાબૂમ થઈ ગઈ હતી. આ જર્જરિત ઈમારતનો એક હિસ્સો તૂટી પડતા કેટલાક રહેવાસીઓના જીવ ગયા હતા, તો કેટલાક લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવા પડ્યા હોવાના અહેવાલોએ હાહાકાર મચાવ્યો છે. આ પ્રકારની દુર્ઘટનાને માનવસર્જીત આફત અથવા માનવીની ઘોર બેદરકારીનું પરિણામ જ ગણી શકાય, આ ઈમારતમાં ડઝનેક પરિવારો વસવાટ કરે છે, જે પૈકી રાહત-બચાવ ટીમોએ ઘણાંને બચાવી લીધા હશે, પરંતુ આ દુર્ઘટના જર્જરિત અને જોખમી સ્થળે રહેતા લોકો માટે લાલબત્તી સમાન છે.
જામનગર સહિત હાલારમાં પણ ઘણાં સ્થળે તદૃન જોખમી અને જર્જરિત થયેલી ઈમારતોમાં જો લોકો રહેતા હોય, તો તેઓએ ચેતી જવાની જરૂર છે. આ પ્રકારની ઈમારતોમાં રહેતા લોકોને મોટા ભાગે મજબૂરીવશ થઈને ત્યાં રહેવું પડતુ હશે, કારણ કે જેઓને નિવાસ કરવા માટે કોઈ વિકલ્પ હોતો નથી અને નવું મકાન ખરીદી શકે, તેવી સ્થિતિ હોતી નથી, તેઓ જાય તો ક્યાં જાય ?
આ પ્રકારની સ્થિતિમાં રહેતા લોકો ગરીબીની રેખા હેઠળ જીવતા હોય તો તેઓને વિવિધ આવાસ યોજનાઓનો યોજનાકીય લાભ અપાવીને તત્કાળ અન્યત્ર ખસેડવા જોઈએ અને યોજનાકીય લાભો મળવાપાત્ર ન હોય, તેવા લોકો માટે સરકારે જ કોઈ નવી યોજના વિચારવી જોઈએ અને ત્યાં સુધી સમાજ અને સેવાભાવી સંસ્થાઓએ સહાયભૂત થવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શ્રાવણીયા મેળાઓની મોજ બધાએ માણી પરંતુ હજુ મેળાઓની મોસમ પૂરી થઈ નથી. સુરેન્દ્રનગર જિલ્લાનો ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો તરણેતરનો મેળો તા. ૨૯ ઓગષ્ટ સુધી ચાલશે, તો તેને સમાંતર સમયગાળામાં જામખંભાળીયાના શક્તિનગર ગ્રામપંચાયત દ્વારા સંચાલિત ચાર દિવસીય શિરેશ્વરનો મેળો પણ મીની તરણેતરના મેળા તરીકે ઓળખાય છે. આપણી બહુવિવિધા સંસ્કૃતિના વારસો જાળવતી તથા ઐતિહાસિક ઘટનાઓને સાંકળતી ઘણી કથાઓ અને માન્યતાઓ આ મેળાઓ સાથે સંકળાયેલી છે.
પાંડવોએ જ્યાં શ્રાદ્ધ કર્મ કર્યું હતું તેવા પીંડારા ગામમાં તો આપણી પરંપરાગત મલ્લકુસ્તી સ્પર્ધાઓ યોજાતી રહે છે, અને તેમાં રાજ્યનો યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ પણ પ્રોત્સાહક બને છે. શ્રાવણી અમાસના દિવસે પીંડતારક અથવા પીંડારામાં દરિયો થોડો ખસી જાય છે. અને ત્યાં લોકમેળો પણ ભરાય છે, અને વિવિધાસભર પ્રવૃત્તિઓમાં ધર્મ, સંસ્કૃતિ,શૌર્ય, ખેલભાવના અને મનોરંજનનો અનોખો સંગમ રચાતો હોય છે. દુર્વાસા ઋષિ સાથે સંકળાયેલા પીંડતારકમાં પુષ્ટિમાર્ગીય બેઠકજી, મહાદેવનું મંદિર અને શ્રાદ્ધ કુંડ આવેલા છે. આ સ્થળ દ્વારકાધીશ મંદિર અને યાત્રાધામ દ્વારકા સાથે પણ સંકળાયેલું છે અને વિવિધ સાંસ્કૃતિક વારસાને જાળવી રહ્યું છે.
આ વખતે મેળાઓમાં ઓપરેશન સિંદૂર અને આત્મનિર્ભર ભારતના સંદેશને સાંકળતી પ્રવૃત્તિઓ તથા ચીજવસ્તુઓએ સૌનું ધ્યાન ખેંચ્યુ હતું, અને તદ્વિષયક સ્પર્ધાઓ, ક્વિઝ વગેરે પણ યોજાયા હતાો. આત્મનિર્ભર ભારત જેવી જ ચળવળ ભૂતકાળમાં આપણાં દેશમાં ગાંધીજીએ વિદેશ (ખાસ કરીને બ્રિટન) માં બનતી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી એટલે કે આપણાં દેશમાં જ ઉગતી, બનતી કે મૂલ્યવર્ધિત કૃષિ-ઉદ્યોગના માધ્યમથી રૂપાંતર પામતી ચીજવસ્તુઓને જ અપનાવવાની દેશવાસીઓને હાકલ કરી હતી. આવું કરવાની પાછળ બહુહેતુક ઉદૃેશ્યો હતા, તે પૈકી એક ઉદૃેશ્ય પ્રબળ દેશપ્રેમ જગાવીને સ્વાતંત્ર્ય ચળવળને વધુ મજબૂત બનાવવાનો પણ હતો.
મેળાઓની મોસમ પછી હવે ગણેશ સ્થાપનાના પડઘમ વાગ્યા છે અને આવતીકાલથી છોટી કાશી તરીકે ઓળખાતું આપણું જામનગર પણ ગણેશમય બની જશે, જામનગરના તંત્ર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલ ધરાવતા રંગોની પ્રતિમાઓને નદી, જળાશયો, તળાવો કે દરિયામાં વિસર્જિત નહીં કરતા તંત્ર દ્વારા નિયત કરેલા (કુંડો) સ્થળોએ જ વિસર્જિત કરવા ફરમાવાયુ છે. તો ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવીને સંલગ્ન વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે માત્ર શહેરી નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ નદી, તળાવ, કૂવા, દરિયો, ઝરણા કે ડેમોમાં ગણપતિ વિસર્જન કરીને કુદરતી જળસ્ત્રોતોને પ્રદુષિત નહીં કરવા અંગે લોકજાગૃતિ ફેલાવાઈ રહી છે, અને હવે લોકોમાં પણ આ અંગે જાગૃતિ વધી રહી છે. આ બધી સાવધાનીઓ આપણે સૌ કોઈના હિત માટે રાખવી જ જોઈએ ને ?
આ વખતે ગણપતિ પંડાલોમાં પણ ઓપરેશન સિંદૂર અને આત્મનિર્ભર ભારત જેવા વિષયોનો પ્રભાવ જોવા મળશે, તો હાઈટેક અને સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ ગણેશોત્સવને સંબંધિત વિવિધ થીમ્સ અને મીમ્સ, તથા કોમેન્ટો પોષ્ટ થાય, તેમ જણાય છે. આ તમામ પ્રવૃત્તિઓ સકારાત્મક સંદેશ તથા સ્નેહ-પ્રેમ અને સૌહાર્દ ફેલાવવાની જ બની રહે, તેની જાગૃતિ પણ આપણે બધાએ રાખવી પડશે.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાને પણ આત્મનિર્ભર ભારતનો સંદેશ વહેતો કર્યો છે, અને આત્મનિર્ભર ભારતના નારા સાથે ગાંધીજી ફેઈમ સ્વદેશી ચળવળની ભાવનાઓ પણ જોડવામાં આવી રહી છે. અને આ બધું ટ્રમ્પ ટેરિફ અને પ્રવર્તમાન અમેરિકન નીતિરીતિ (વાઈડાઈ) ના કારણે જ થઈ રહ્યું છે, તે ઓપન સિક્રેટ છે. જો કે, આ સ્વદેશી ચળવળ પણ શુદ્ધ, રાજનીતિથી પર અને દેશભાવનાથી તરબરતર જ હોવી જોઈએ, તેની ખાસ કાળજી રાખવી પણ જરૂરી છે, જો અમેરિકન ચીજવસ્તુઓ અથવા અમેરિકન કંપનીઓની સહભાગિતાથી બનેલી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા માટે ચીનની તદૃન તકલાદી ચીજવસ્તુઓ, એપ્સ અને ચીની ઈન્વેસ્ટરો માટે આપણાં દેશનું માર્કેટ એકદમ ખૂલ્લું મુકી દઈશું, તો બકરૃં કાઢતા ઊંટડુ ઘૂસી જશે, અને તેનાથી આપણા દેશને ફાયદો નહીં થાય, તેથી શક્ય તેટલા ઉત્પાદનો આપણાં દેશમાં જ થાય અને અન્ય દેશોની ચીજવસ્તુઓ પણ નિર્ભરતા ક્રમશઃ ઘટતી જ રહે, તો જ આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની ચળવળના અસ્સલ ઉદૃેશ્યો સિદ્ધ થશે, અન્યથા આપણે ઘાણીના બળદની જેમ ગોળ ગોળ ફરતા રહીશું અને આપણો લાભ લુચ્ચી શક્તિશાળી વિદેશી સત્તાઓ સતત ઉઠાવતી જ રહેશે. હવે માત્ર નારેબાજી, જુમલેબાજી કે તેજાબી ભાષણોથી કામ નહીં ચાલે, ઈઝરાયલની જનતાની જેમ પ્રત્યેક ભારતીયે "સ્વદેશ" ની વાસ્તવિક ભાવના આત્મસાત કરવી પડશે.
વડાપ્રધાને દિવાળી પહેલા જીએસટી ક્ષેત્રે રિફોર્મ્સના સંકેતો આપ્યા છે, ત્યારે હવે કઈ ચીજવસ્તુઓને લક્ઝરીયસ ગણવી અને કઈ ચીજવસ્તુઓ કે પેઈડ સર્વિસિઝને જીવનજરૂરી ગણવી જોઈએ, તે અંગે એક વિશેષ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. કેટલીક બાંધકામને સંબંધિત ચીજવસ્તુઓ, સેનેટરી આઈટેમ્સ તથા કેટલીક સંચાર અને સંદેશાવ્યવહાર અને ઘર ઉપયોગી સુશોભનની અદ્યતન ચીજવસ્તુઓ તથા સેવાઓને લકઝરિયસ નહીં ગણવાની માંગણી પણ ઉઠી રહી છે, ત્યારે જોઈએ, દિવાળી પહેલા વાસ્તવમાં મોટી રાહત મળે છે કે પછી કોથળામાંથી બિલાડુ નીકળે છે તે...!
શ્રાવણ મહિનો પુરો થયો અને શ્રાવણી અમાસના દિવસે પવિત્ર વૃક્ષોને પાણી રેડીને પિતૃઓનું સ્મરણ કરાયું. હવે ભાદરવા મહિનામાં ગણેશોત્સ્વ અને શ્રાદ્ધની સાથે ભાગવત કથાઓ સહિતના ધાર્મિક પ્રસંગોની ભક્તિગંગા વહેશે. બીજી તરફ દેશ-દુનિયામાં પણ બદલી રહેલા સમીકરણો તથા વૈશ્વિક રાજનીતિમાં આવી રહેલો બદલાવ શતરંજની વ્યૂહાત્મક રમત જેવો બનવા લાગ્યો છે. ભારત, રશિયા અને ચીન તથા અમેરિકા, ઈઝરાયલ અને યુરોપના દેશોની જુગલબંધી દેશ અને દુનિયાની નવી દશા અને દિશા કંડારી રહ્યા હોય તેમ જણાય છે.
બિહારમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી અત્યારે મુખ્ય રાજકીય પક્ષો ત્યાં જઈને ગરજી રહ્યા છે, અને વરસી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થતાં જ નદી-નાળા અને જળાશયો છલકાવા લાગ્યા છે અને અધૂરા જળાશયો પણ થોડા દિવસોમાં ભરાઈ જશે, તેમ જણાય છે.
જામનગરમાં તો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા જ તાજેતરમાં જ તૂટેલા-ફૂટેલા માર્ગોના ખાડાઓમાં જેવા-તેવા મારેલા થીગડાં તો ઉખડી જ ગયા છે, પરંતુ મૂળ રસ્તાઓ પણ વધુ તૂટી ફૂટી જતા આ રજવાડીનગર ફરીથી ખાડાખાડીનગર બની ગયું હોય તેમ જણાય છે.
તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટમાં રાજયમાં ભંગાર રોડ-રસ્તા, નબળી માળખાકીય સુવિધાઓ અને માર્ગ-અકસ્માતોને લઈને સુઓમોટો સુનાવણી થઈ હતી. જેમાં અદાલતે રાજ્ય સરકારને આ સંદર્ભે અત્યાર સુધી કયા-કયા પગલા લેવાયા છે, તેનો પ્રગતિ અહેવાલ રજૂ કરવાનું ફરમાન કર્યું હતું.
એ સુનાવણી દરમ્યાન અદાલતે કરેલી ટિપ્પણીઓ ઘણી જ મહત્ત્વપૂર્ણ હતી. જનસ્વાસ્થ્ય અને લોકોના જીવન સાથે જોડાયેલા આ મુદ્દે તત્કાળ અને પ્રભાવી કામગીરી થવી જરૂરી છે, તેવું અદાલતે ભારપૂર્વક જણાવ્યુ હતું. અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે હવે ટ્રાફિક નિયમન, માર્ગ સલામતિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પ્રશ્નો માત્ર ટેકનિકલ કે વહીવટી પ્રક્રિયાની મર્યાદામાં નહીં રહે, પરંતુ નૈતિકતા અને કાનૂની ધોરણે જવાબદારીનો વિષય બની રહ્યા છે, જે તંત્રો અને સરકારને બંધનકર્તા રહેવાના છે.
રાજ્યના ગૃહવિભાગ હેઠળ કાર્યરત પોલીસદળની સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે ૧૩૦૦થી વધુ નિયમિત ટ્રાફિકકર્મીઓની ભરતી કરવામાં આવશે, તેવી કેફિયત અદાલતમાં રજૂ કરી ત્યારે લોકોને ખબર પડી કે અત્યાર સુધી રાજ્યની ટ્રાફિક નિયમનની વ્યવસ્થાઓમાં કચાશના મૂળમાં ટ્રાફિકતંત્રમાં મોટી સંખ્યામાં ખાલી પડેલી ટ્રાફિકકર્મીઓની જગ્યાઓ છે.
જો કે, અદાલતે સણસણતો સવાલ કર્યો હતો કે વસ્તીના પ્રમાણમાં ટ્રાફિકકર્મીઓની સંખ્યાને અનુરૂપ તથા ભવિષ્યની જરૂરિયાતોને લઈને કોઈ અંદાજ કરાયો છે ખરો ? જેનો જવાબ કદાચ તંત્ર પાસે હતો જ નહીં.
મીડિયામાં થતી આ પ્રકારની ચર્ચા દરમ્યાન પબ્લિક તરફથી પણ કેટલાક સવાલો ઉઠાવાતા હોય છે અને સૂચનો પણ થતા હોય છે, પરંતુ તેની ક્યાંય નોંધ પણ લેવાતી હશે કે કેમ ? તેની કોઈને ખબર નથી.
રાજયની વડી અદાલતે આ મુદ્દે સખ્ત વલણ અપનાવ્યા પછી રાજ્ય સરકાર અને તેના તંત્રો પણ હરકતમાં આવ્યા હોય તેમ જણાય છે. રાજ્યકક્ષાની જિલ્લાના તંત્રો સુધી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુધારણા, રોડ સેફટીની વ્યવસ્થાઓ તથા ગુણવત્તાની ગેરંટી સાથે માર્ગ-અકસ્માતો ઘટાડવાની દિશામાં તંત્રો દોડાદોડી કરી રહ્યા હોય, તો તે અદાલતની કડક સૂચનાઓને આભારી જ ગણાય, કારણ કે અત્યાર સુધી આ તમામ મુદ્ે નિંભર તંત્રો કોઈને ય ગાંઠતા નહોતા અને "હોતી હૈ, ચલતી હૈ" જેવી માનસિકતા જ પનપી રહી હતી.
અદાલતે સરકાર પાસે ભવિષ્યની જરૂરિયાતોને લક્ષ્માં લઈને રોડ સલામતિની દીર્ઘકાલિન યોજનાઓ અંગે પણ રિપોર્ટ માંગ્યો હોય તો તે ન્યાયતંત્રના લોકલક્ષી અભિગમની સાથે સાથે શાસકો અને તંત્રોની અત્યાર સુધીની નિંભર લાપરવાહી પણ ઉજાગર કરે છે.
રાજ્ય સરકાર આ મુદ્દે કોઈ પણ યોજના બનાવે કે પ્રવર્તમાન યોજનાઓમાં સુધારા-વધારા કરે, અને એનો અહેવાલ અદાલતમાં રજૂ કરે ત્યારે એવી જોગવાઈ કરવાનું ન ભૂલે કે ટેન્ડર્સ મંજુર કરાવીને જે સરકારી બાંધકામો કે માર્ગોનું નિર્માણ થાય, તેમાં નિયત સમયમર્યાદામાં નુકસાન થાય, તો તે માટે કોન્ટ્રાકટરોના ખર્ચે તેનું રીપેરીંગ કરવું જ પડે, પરંતુ જેટલું નુકસાન થયું હોય, તેટલી જ રકમનો દંડ થાય અને પબ્લિક સાથે છેતરપિંડી કરવા બદલ ફોજદારી રાહે કેસ નોંધાય અને ન્યાયિક પ્રક્રિયા પછી સજા થાય. આ ઉપરાંત આ પ્રકારના તકલાદી કામો જો એક જ વરસાદમાં ધોવાઈ જાય, તો તેની મંજુરી આપનાર-ચકાસણી કરનાર ચોક્કસ અધિકારીઓ સામે પણ ખાતાકીય ધોરણે શિક્ષાત્મક પગલા લેવાય, તેવી કડક જોગવાઈઓ થવી જોઈએ.
એવું નથી કે માત્ર જામનગરમાં જ થોડા મહિના પહેલા બનેલા માર્ગો કે રીપેરીંગ દરમ્યાન મારેલા થીગડા ધોવાઈ ગયા હોય, પરંતુ સમગ્ર હાલારમાં આવી જ દશા છે, નગરોના મુખ્ય માર્ગો પર ખાડાઓમાં પાણી ભરાઈ જતા જે પ્રકારની અવદશા વાહનચાલકોની થાય છે, તેવી દશા તેના જવાબદારોની પણ થાય અને કડક પગલાં લેવાય, તેવી લોકોની અપેક્ષા છે, પરંતુ મિલીભગત, સાંઠગાંઠ અને ભ્રષ્ટાચારના પ્રભાવને કારણે આ પ્રકારની લોકોની અપેક્ષા સંતોષાય તેમ જણાતુ નથી.
હવે ચોમાસા પછી નગરો-ગામોના આંતરિક માર્ગો, જિલ્લા-રાજ્ય ધોરીમાર્ગો અને નેશનલ હાઈવેમાં નવેસરથી માર્ગોનું નિર્માણ થાય કે નવીનીકરણ થાય, ત્યારે તમામ જદાબદારો સામે અત્યંત કડક પગલા લેવાની જોગવાઈ કરવાનું ભુલાવું ન જોઈએ, ભલે તે માટે એક વધુ નવો કાયદો ઉતાવળે પસાર કરાવી દેવો પડે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પાણીનો અડધો કાચનો ગ્લાસ ભરેલો હોય, ત્યારે ઘણાં લોકોને તે જ ગ્લાસ અડધો ખાલી હોય તેવું લાગે, અને તેઓ પણ સાચા હોય છે. કાચનો અડધો ભરેલો ગ્લાસ હકીકતમાં અડધો ખાલી પણ હોય છે, કારણકે અત્યારે અડધા ભરેલા ગ્લાસને જ્યારે પૂરો ભરવામાં આવે, ત્યારે તેમાં અત્યારે ગ્લાસમાં હોય, તેથી થોડું વધુ પાણી સમાઈ જતુ હોય છે, કારણ કે મોટાભાગે ગ્લાસ નીચેથી સાંકડો અને ઉપરથી પહોળો હોય છે. આવું જ કંઈક હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના કેટલાક અંતિમ ફેસલાઓના અર્થઘટનો કરતી વખતે પણ થતું હોય છે, તાજેતરમાં રખડતા શ્વાનને લગતો સુપ્રિમકોર્ટનો ચૂકાદો કાંઈક એવો જ જણાય છે., જેના વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે.
ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં તથા શહેરોમાં રખડતા શ્વાન કરડવા તથા આક્રમક કૂતરાઓની સમસ્યા તથા નિરૂપદ્રવિ કૂતરાઓની દેખભાળ માટે સમતુલન જાળવવાની રૂઢ વ્યવસ્થાઓ સંસ્થાકીય સહયોગથી તંત્રો કરવા લાગ્યા હોય તો તે સુપ્રિમકોર્ટની ત્રણ જજોની બેન્ચે આપેલા ફાયનલ ચૂકાદાને અનુરૂપ ગણાશે, સુપ્રિમકોર્ટની બે જજોની બેન્ચે આપેલા ફેસલા પર સ્ટે આપીને ત્રણ જજોની બેન્ચે સુનાવણી કર્યા પછી ઘણાં વિશ્લેષકો એવું અર્થઘટન કરી રહ્યા છે કે બે જજોની બેન્ચનો ફેસલો ત્રણ જજોની બેન્ચે પલટાવી નાખ્યો છે અને જીવદયાપ્રેમીઓની તરફેણ કરી છે, જ્યારે ઘણાં લોકો એવું પણ માને છે કે એ જજોની બેન્ચના ફેસલાને પલટાવાયો નથી, પરંતુ તેમા સુધારા-વધારા કરીને બે જજોનો જે નિર્ણય હતો, તે યથાવત રખાયો છે. ત્રણ જજોની બેન્ચે પણ અંતિમ ફેસલાને યથાવત રાખ્યો હોય, તેવા શબ્દપ્રયોગો કર્યા હોવાની દલીલ પણ થઈ રહી છે.
હકીકતે સુપ્રિમકોર્ટે બંને પક્ષકારોને સંતોષ થઈ જાય, આક્રમક અને બીમાર કૂતરાઓથી માનવજીવનને પહોંચતી હાનિના નિવારણના ઉપાયો પણ સૂચવાયા છે અને કૂતરાઓને આશ્રયસ્થાનોમાં રાખવા સામે જીવદયાપ્રેમીઓના વિરોધ અને તેના કારણોને પણ લક્ષ્યમાં લેવામાં આવ્યા છે, સુપ્રિમકોર્ટે કાઢેલો આ મધ્યમમાર્ગીય ફેસલો અડધા ભરેલા કે ખાલી ગ્લાસની ઉક્તિ સાથે સરખાવી શકાય કે કેમ, તે તો આપણે એટલે કે જનતાએ જ નક્કી કરવું પડે તેમ છે.
જામનગરની વાત કરીએ તો જામ્યુકોએ રખડતા કૂતરાઓના ખસીકરણ માટે રૂ. ૪ કરોડથી વધુ રકમનો કોન્ટ્રાક્ટ કોઈ પેઢીને આપ્યો છે, અને તે પેઢીના કર્મચારીઓ દરરોજ ૧૦ જેટલા કૂતરાઓને ખસીકરણ કરીને અને ચાર-પાંચ દિવસ ઓબઝર્વેશન હેઠળ રાખીને જ્યાંથી લાવ્યા હોય, તે જ વિસ્તારમાં છોડી દેતા હોવાનું કહેવાય છે. આ પ્રકારની વ્યવસ્થા છતાં જામનગરમાં નગરજનો રખડતા કૂતરાઓથી ત્રસ્ત હોવાના અહેવાલો પણ અવાર-નવાર ગુંજતા રહેતા હોય છે, જેથી શહેરમાં શ્વાનોની સંખ્યાને અનુરૂપ કૂતરાઓના ખસીકરણ તથા રોગપ્રતિરોધક રસીકરણની પ્રક્રિયા અનેકગણી વધારવી પડે તેમ છે. શહેરમાં દરરોજ ડોગ બાઈટીંગ (કૂતરૂ કરડવા)ના દસ-બાર કેસ નોંધાતા હોય ત્યારે સુપ્રિમકોર્ટે આપેલા તાજા ફેસલા મુજબના પગલા લેવામાં ઝડપ વધારવી અત્યંત જરૂરી હોવાનો જનમત છે. એવું કહેવાય છે કે, આ પેઢી દ્વારા ડઝનેક કર્મચારીઓ આ કામગીરી કરી રહ્યા છે અને દરરોજ ૧૦ ના બદલે ૨૦ કૂતરાઓનું ખસીકરણ કરાશે. આ પેઢી સાથે વેટરનરી સરકારી તંત્રનું સંયોજન કરીને ખસીકરણ અને રસીકરણની પ્રક્રિયા હજુ ઘણી વધુ ઝડપી કરવી જોઈએ, તેવા અભિપ્રાયોને લક્ષ્યમાં લઈને મનપા અને રાજ્ય સરકારે સંકલિત લોજિસ્ટિક સપોર્ટ સાથે ઝડપી પ્રતિક્રિયાની વ્યવસ્થાઓ કરવી જ જોઈએ ને ?
જામનગર મનપા હોય, જિલ્લા તંત્રો હોય કે રાજ્યની કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય, તંત્રોની આ કામગીરીમાં પણ જનતા તથા જીવદયાપ્રેમી સંસ્થાઓનો સક્રિય અને સમાયોજિત સહયોગ અત્યંત જરૂરી ગણાય. જામનગર મનપાના તંત્રે સુપ્રિમકોર્ટની ગાઈડલાઈનને અનુસરીને સ્ટ્રીટ ડોગ્સને પકડી, ખસીકરણ કરીને સ્વસ્થ થયા પછી તે જ વિસ્તારમાં છોડવાનું અભિયાન આદર્યું હોય તો તેમાં જનસહયોગ અને સંસ્થાકીય સહભાગિતાની પણ એટલી જ જરૂર રહે છે તે પણ નક્કર હકીકત છે.
સુપ્રિમકોર્ટે સ્ટ્રીટ ડોગ્ઝને જ્યાં ત્યાં ખોરાક આપવાના બદલે કોઈ ચોકકસ સ્થળ નક્કી કરીને ત્યાં જ ખોરાક-પાણીની વ્યવસ્થા કરવાની જે સૂચનાઓ આપી છે, તેવી વ્યવસ્થા માટે તંત્રો સતર્ક રહે, તો પણ જ્યાં સુધી કૂતરાઓને ખોરાક-પાણી જ્યાં ત્યાં ફેંકવાનું તથા ખાદ્યપદાર્થો-પીણાઓનો કચરો અને એંઠવાડ ગમે ત્યાં ફેંકી દેવાનું બંધ નહીં થાય, ત્યાં સુધી આ સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાવાની જ નથી, અને આટલું ધ્યાન પણ આપણે ન રાખી શકીએ, તો કૂતરા કરડવા કે આડે ઉતરતા થતા અકસ્માતની ફરિયાદો કરતા રહેવાનો કોઈ અર્થ ખરો ?... જરા વિચારીએ...
જાણીતા જીવદયાપ્રેમી મેનકાબેન ગાંધીએ પણ સુપ્રિમકોર્ટના અંતિમ આદેશને યોગ્ય ઠરાવીને કહ્યું છે કે કૂતરાઓ માટે નક્કી કરેલા સ્થાન પર જ ખોરાક-પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, અને જો ત્યાં કૂતરા ખાય નહીં તો ભલે ભૂખ્યા રહે !
ટૂંકમાં આ સમસ્યા માનવી તથા કૂતરાઓ બંને પ્રત્યે માનવતાના ધોરણે અભિગમ દાખવીને સુપ્રિમકોર્ટે સૂચવેલા વચલા માર્ગે ચાલવાથી સમસ્યા પણ ઘટાડી શકાશે અને શ્વાનોની સુરક્ષા અને સ્વાસ્થ્ય પણ જાળવી શકાશે. આ મુદ્દે સોથી વધુ જરૂર તંત્રોની ઈચ્છાશક્તિ સાથેની સક્રિયતા અને વ્યાપક જનસહયોગની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જીએસટીમાં ૧૨ ટકા અને ૨૮ ટકાના સ્લેબ રદ કરીને માત્ર પ ટકા અને ૧૮ ટકાના સ્લેબ રાખવા તથા મોજશોખ-વ્યસનોની લકઝરિયસ ચીજવસ્તુઓ પર ૪૦ ટકા જેટલો જીએસટી રાખવા ગ્રુ૫ ઓફ મિનિસ્ટર્સની ભલામણો પછી હવે આખરી નિર્ણય જીએસટી કાઉન્સીલ લેશે. આ પ્રકારના ફેકટરોના સંકેતો ૧૫મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ભાષણ પછી જ મળવા લાગ્યા હતા. હવે સર્વપક્ષીય જીએસટી કાઉન્સીલના અંતિમ નિર્ણય પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
અત્યારે જીએસટીના જે સ્લેબ છે, તેની વિસંગતતાઓ તથા પ્રક્રિયાત્મક ગુંચવણો હટાવીને સરળ અને વેપારીઓ તથા ગ્રાહકોને રાહત થાય, તે પ્રકારના રિફોર્મ્સની જરૂર જણાવાઈ રહી હતી, કારણ કે હાલમાં જીએસટીમાં કરચોરીના જે પ્રયાસો થાય છે, તેમાં ઘટાડો કરીને આવક વધારવાની દિશામાં કેન્દ્ર-રાજ્ય સરકારો અને જીએસટી કાઉન્સીલનું એ ઉપયોગી તથા અસરકારક કદમ પૂરવાર થશે, આજે દેશમાં કરચોરીના મુદ્દે જીએસટીના દાયરામાં નથી તેવી ચીજવસ્તુઓ, ઈન્કમટેક્સ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સ્થાનિક કરવેરાઓને સાંકળીને વ્યાપક રિફોર્મ્સની જરૂર છે, ત્યારે તેવા મુદ્દાઓ વિધાનસભા અને સંસદ સુધી પડઘાવા જ જોઈએ.
કરચોરી ઉપરાંત ક્રાઈમની દુનિયામાં ઘરફોડ ચોરીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, દેશમાં ચોરી, લૂંટ અને સાયબર ક્રાઈમના આર્થિક ગૂન્હાઓ પર નજર કરીએ તો એવું જણાય છે કે હાયર એજ્યુકેશન મેળવેલો વર્ગ જો આર્થિક ગૂન્હાખોરી અને હાઈટેક ચોરી-છેતરપિંડીના રવાડે ચડ્યો હોય, તો તેની પાછળ શોર્ટકટથી ઝડપભેર અમીર બનવાની ઘેલછા તથા શિક્ષિત બેરોજગારોની સમસ્યા બંને પરિબળો જવાબદાર છે.
આજે દેશમાં ઘરફોડ ચોરી, લૂંટ, હત્યા, મારામારી, લુખ્ખાગીરી, દાદાગીરી, વ્યાજંકવાદ, છેતરપિંડી જેવા ગૂન્હાઓના વધી રહેલા પ્રમાણની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, અને તે પૈકીનું એક કારણ બેરોજગારી પણ છે.
કોંગી નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ફરીથી એક વખત બેરોજગારીનો મુદ્દો જોરશોરથી ઉછાળ્યો છે. બિહારની વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં બેરોજગારી સહિતના જે ૬ મુદ્દા કોંગ્રેસે જોરશોરથી ઉઠાવ્યા છે, તેમાં વોટચોરીનો મુદ્દો મુખ્ય છે. વોટચોરીના મુદ્દે મહારાષ્ટ્રના ડેટાના મુદ્દે રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય ચૂંટણીપંચ સામસામે આવી ગયા હોવાથી આ મુદ્દે હવે બંધારણીય ગૂંચ ઊભી થવાની શક્યતાઓ પણ વધી ગઈ છે.
રાહુલ ગાંધીએ બિહારમાં કાઢેલી વોટ અધિકાર યાત્રામાં કહ્યું કે જે સરકાર વોટચોરીથી બની હોય, તેમના ઈરાદાઓ જનસેવા કરવાના ન હોય. રાહુલે ટ્વીટ કરીને બેરોજગારી અને તેની આડઅસરોથી વધતી ગુનાખોરી તરફ પણ સંકેત કર્યો છે. તે ઉપરાંત પેપરલીક, આર્થિક કૌભાંડો, મોંઘવારી, ટ્રેન-પુલ-માર્ગોની જીવલેણ દૂર્ઘટનાઓ, નોટબંધી, ખેડૂત આંદોલન, કોવિડ મહામારી અને હિંસક તથા આતંકી ઘટનાઓમાં જીવ ગુમાવતા લોકો પ્રત્યે મોદી સરકારની સંવેદનહીનતા સહિતના મુદ્દાઓ ઉઠાવીને બિહારમાં રાહુલ ગાંધી તડાપીટ બોલાવી રહ્યા છે, અને તમતમી ઉઠેલા ભાજપના નેતાઓ-પ્રવક્તાઓ પ્રતિપ્રહારો કરી રહ્યા હોવાથી દેશનો રાજકીય માહોલ પણ ગરમાયો છે.
મીડિયામાં અત્યારે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોની સામે ટ્રમ્પ ટેરિફ પછી ભારત-અમેરિકા વચ્ચે વધેલી ખટાશના કારણે ઊભી થયેલી સ્થિતિનો પડકાર ઊભો થયો છે, તેની ચર્ચા થઈ રહી છે, તથા ટ્રમ્પ હવે સાડાપાંચ કરોડ જેટલા વિઝાધારકોને દેશમાંથી તગેડી મુકવાનો નિર્ણય લઈ શકે છે, તેવી આશંકા જાગ્યા પછી ઘણાં વયોવૃદ્ધ લોકો આફ્રિકામાંથી ઈદી અમીનના શાસન સમયે ભારતીયોના થયેલા સામૂહિક દેશનિકાલને યાદ કરીને વિકટ સ્થિતિની ભયાનકતા વર્ણવી રહ્યા છે. બીજી તરફ વિપક્ષો મોદી સરકારની વિદેશનીતિની ટીકા કરતા કટાક્ષ કરવા લાગ્યા છે કે બધાને વહાલા થવા જતા ઘણી વખત આપણે કોઈના રહેતા નથી. !
એક તરફ પાકિસ્તાન સાથેના તમામ સંબંધો કાપી નાખવાની દિશામાં આગળ વધવુ અને બીજી તરફ એશિયા કપમાં તટસ્થ સ્થળે પાકિસ્તાન સાથે ભારતીય ટીમને રમવાની છૂટ આપવા અંગે પણ સરકાર અને બીસીસીઆઈ પર તડાપીટ બોલી રહી છે.
સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે ઓનલાઈન ગેમીંગના જુગાર પર પ્રતિબંધ અને નિર્દોષ ગેમીંગ અંગે સુધારા-વધારા સૂચવતુ બિલ પસાર થઈ ગયું, તે અંગે મિશ્ર પ્રતિભાવો પડી રહ્યા છે, પરંતુ એકંદરે આ કદમને આવકાર પણ સાંપડી રહ્યો છે.
દેશની રાજનીતિમાં વ્યસ્ત ભાજપના હાઈકમાન્ડનું ધ્યાન ગુજરાત પરથી હટી ગયું હોય તેમ જણાય છે. વિસાવદરમાં આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા પછી ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમઆદમી પાર્ટી તરફ ઢળી રહ્યા હોય તો તે બંને મુખ્ય પક્ષો માટે સારા સંકેત નથી. જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમદાવાદની એક સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારીને કરેલી હત્યાનો કિસ્સો સમાજ, સરકાર અને વાલીઓ માટે લાલબત્તી સમાન છે, અને શાળા સંચાલકો અને સ્કૂલ એડમિનિસ્ટ્રીશનની લાપરવાહી ઉપરાંત આપણા રાજ્યની સમગ્ર એજ્યુકેશન સિસ્ટમ સામે પણ સવાલો ઊભા કરે છે. આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી તથા કોંગ્રેસના પ્રવક્તાએ વ્યક્ત કરેલા પ્રતિભાવોનો સારાંશ પણ એવો નીકળે છે કે આ દુર્ભાગ્યપૂર્ણ અને ધ્રુજાવી દેનારી ઘટના પછી રાજ્યમાં શાળાઓ-કોલેજોના વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંયમ વધે, તથા શિક્ષકો-સંચાલકો જવાબદાર બને તે જરૂરી છે.
એવું કહેવાય છે કે તિક્ષણ હથિયારથી ઘાયલ થયેલા વિદ્યાર્થીને શિક્ષકો અને સિક્યુરિટી ગાર્ડ જોતા રહ્યા, પરંતુ હોસ્પિટલે લઈ જવા કે એમ્બ્યુલન્સ બોલાવવાની તસ્દી લીધી નહીં, પરંતુ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના મિત્રો લોહીલુહાણ વિદ્યાર્થીને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા હતા, અને સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થતા આ ઘટના હત્યામાં પરિણમી હતી. આ પ્રકારની હરકતને શાળાના શિક્ષકો, સુરક્ષાકર્મી અને સંચાલકોની માત્ર બેદરકારી નહીં, પરંતુ ગુન્હાહિત પ્રકારની સંવેદનહીનતા પણ ગણાય.. હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, અને આરોપી વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયા હોવાનું કહેવાય છે, ત્યારે તપાસ પછી આ કેસમાં શાળાના જવાબદારોનેે પણ સહ-આરોપી બનાવાશે, તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે.
જો કેન્દ્રીય કક્ષાની સ્કૂલોના સંચાલકો ગુજરાતના શિક્ષણ વિભાગના અંકુશમાં ન રહેતા હોય અને સ્થાનિક અધિકારીઓને ગાંઠતા ન હોય, તો પણ તે ડબલ-ત્રિપલ એન્જિનની સરકારોનો જ વાંક ગણાય, તેવા પ્રત્યાઘાતો સાથે આ કિસ્સાનો આક્રોશ હવે રાજ્યવ્યાપી બન્યો છે, અને રાજ્યની અન્ય સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારે વિશેષ મિકેનિઝમ ઊભું કરવું જોઈએ, તેવી માંગણી પણ ઉઠવા લાગી છે. આ ઘટના પછી અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ શાળાઓ માટે શિસ્ત સમિતિની રચના સહિતની જે તાકીદની સૂચનાઓ આપી છે, તેનો અભ્યાસ કરીને આ પ્રકારની સૂચનાઓ જરૂરી સુધારા-વધારા સાથે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની તમામ સરકારી-ખાનગી શાળાઓ કોલેજોને અપાય અને યુનિવર્સિટીઓ તથા કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર દેશની સરકારી અને ખાનગી કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓને-ટ્રસ્ટોને પણ અપાય, તે અત્યંત જરૂરી છે.
આજે શાળા-કોલેજો-હોસ્ટેલોમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અને સલામતિનો પ્રશ્ન મારામારી, હત્યા અને તકરારોથી આગળ વધીને જાતિય સતામણી અને દુષ્કર્મો સુધી પહોંચી ગઈ છે. અમદાવાદમાં જ કોઈ મૌલાનાએ તેની પાસે અભ્યાસ કરતા બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હોવાનો કિસ્સો પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે, આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાં આ પહેલા પણ બની છે, અને વિદ્યાર્થી કે વિદ્યાર્થિની સાથે જાતિય સતામણી, દુષ્કર્મ કે અશ્લીલ હરકતો સાથીદાર કે સિનિયર વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસર, ટ્યુશન કલાસના સંચાલક કે સંચાલક મંડળના કોઈ સભ્યે કરી હોય, તેવા ગુન્હાઓ પણ ભૂતકાળમાં દેશમાં નોંધાયા છે. આ પ્રકારની માનસિકતા અને વિકૃતિ ધરાવતા લોકોની ઓળખ સવેળા થઈ જાય, અને કોઈપણ ધમકી કે પરિણામ બગાડવાની ચિમકી આપીને આ પ્રકારની હરકતો અંગે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ચૂપકીદી સેવવાના બદલે તત્કાળ ફરિયાદ કરી શકે, તેવું તટસ્થ અને સરળતાથી ઉપલબ્ધ થાય, તેવું સંવેદનશીલ તંત્ર અથવા મિકેનિઝમ ઊભું થાય, તો જ આ બધું અટકી શકે તેમ જણાય છે.
અત્યારે લગભગ તમામ વયજૂથમાં માનસિક અસમતુલન, વિકૃત માનસિકતા અને તરંગી અથવા ધૂની મનોસ્થિતિ ધરાવતા લોકોની સંખ્યા વધી રહી છે, અને આ પ્રકારના લોકોની સામાન્ય રીતે ઝડપી ઓળખ થઈ ન શકે, ત્યારે અમદાવાદ જેવી ઘટનાઓ સર્જાતી હોય છે. આવી જ માનસિકતા ધરાવતો રાજકોટનો પશુપ્રેમી કહેવાતા કોઈ યુવકે છેક દિલ્હીના મહિલા મુખ્યમંત્રી પર ત્યાં જઈ હૂમલો કરવા જેવી હરકત કરી હોવાનો કિસ્સો તાજો જ છે. આ પ્રકારની માનસિકતા કોઈ અદ્ધમ રોગચાળાની જેમ ફેલાઈ રહી હોય, ત્યારે માનસિક સારવાર, સમયોચિત કાઉન્સીલીંગ અને આ પ્રકારની છુપી બીમારીઓનો વ્યાપ વધતો અટકાવવાની દિશામાં મનોચિકિત્સાના ક્ષેત્રને સાંકળીને પણ કોઈ અદૃશ્ય મિકેનિઝમ ઊભું કરવું જોઈએ, તે પ્રકારના અભિપ્રાયો પણ વિચારવા જેવા છે.
આજના ઈન્ટરનેટ યુગના પ્રભાવથી પણ કેટલીક આડ અસરો ઊભી થઈ રહી હોવાના અભિપ્રાયોમાં પણ તથ્ય જણાય છે. ગુગલ-યુ-ટયુબ પર ૩૪ બાળકોના માતા-પિતાએ કેસ કરતા ભારે દંડ ભર્યા પછી પણ ફરીથી અદાલતના દ્વાર ખખડાવ્યા છે, તે પ્રકારની જ જાગૃતિ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા સંતાનોના વાલીઓએ પણ રાખવી પડે.
બાળકોને રોજીંદી હૂંફ, હાવભાવનું નિરીક્ષણ, શાળાએ જતી-આવતી વખતે તેના રોજીંદા સ્વભાવમાં થતા ફેરફારો, હિચકિચાટ કે મુંઝવણ વિગેરેનું કાયમી ઓબ્ઝર્વેશન કરીને તેઓને જરૂર પડ્યે મિત્રભાવે અને હળવાશથી પુછપરછ કરતા રહીએ, તો ઘણી વખત તેઓને કોઈ દબાવતું હોય, શોષણ કરતું હોય કે જાતિય સતામણી થતી હોય, તો તેની સમયોચિત ખબર પડી જાય, અને મોટો ખતરો ટાળી શકાય. આમ, આ મુદ્દે સૌ કોઈએ જાગૃત થવું પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હાલાર સહિત રાજ્યમાં મેઘરાજાએ રાઉન્ડ લીધો અને વરસાદ લંબાતા પિયત કરવાનું શરૂ કર્યું હતું, તે ખેડૂતોને રાહત થઈ અને ફરીથી વરસાદ થતા જળાશયો ભરાયા અને કેટલાક સ્થળે પુરની સ્થિતિ પણ ઊભી થઈ. ગુજરાતના કેટલાક ભાગોમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. કેટલાક સ્થળે મેઘરાજાની સાથે તોફાની પવન ફૂંકાતા વૃક્ષો અને થાંભલાઓ ધરાશાયી થયા તો કેટલાક સ્થળે વીજપુરવઠો ખોરવાયોઃ ઘણાં સ્થળે જલભરાવ થયો અને મુંબઈમાં તો મેઘમહેરના બદલે મેઘકહેર થતા જાન-માલનું વ્યાપક નુકસાન થયું.
અત્યારે સડકથી સંસદ સુધી ગેમ્બલિંગની ચર્ચા ચાલી રહી છે, અને સંસદમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ અવનવા રાજકીય દાવ ખલાઈ રહ્યા છે.
સાતમ-આઠમના તહેવારો હોય, ત્યારે આપણા રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘરેલુ જુગારનું પ્રમાણ વધી જાય, અને ઘર-પરિવાર-મિત્રો છુટકીયો જુગાર રમે એ ઓપન સિક્રેટ છે. હવે બાવન પત્તાની જુગારની રમતો અને કાર્ડસ પણ બદલાયા છે અને ઘરેલુ તથા પરંપરાગત ઉપરાંત રોજીંદા જુગારના અઠંગ ખેલાડીઓ પર પણ ઈન્ટરનેટ યુગ તથા પ્રવર્તમાન ઓનલાઈન ગેમ્બલિંગની અસરો થવા લાગી હોય, તેમ કેટલાક લોકો હવે જુગારની નવતર અને હાઈટેક ગેમ્બલિંગ તરફ પણ વળવા લાગ્યા હોય, તેવો આભાસ ઊભો થયો હતો.
આપણા દેશમાં ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા રમાડાતા જુગારનું આકર્ષણ ઝડપભેર વધવા લાગ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠકમાં ગઈકાલે ઓનલાઈન ગેમિંગના પ્લેટફોર્મના નિયમન અને અંકુશ માટેના બિલને પણ મંજુરી આપી હોવાના અહેવાલોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.
જો કે, જુગારબંધીના કાયદાઓ અને ઓનલાઈન ગેમિંગને સ્પર્શતા કેટલાક નિયમ કાયદાઓ પહેલેથી અમલમાં છે, પરંતુ ઓનલાઈન ગેમિંગનું સ્વરૂપ ગેમ્બલિંગ અને સટ્ટાબાજી જેવું થવા લાગતા સરકારે કદાચ આ બિલ રજુ કર્યું હશે. એવું કહેવાય છે કે ઓનલાઈન સટ્ટાબેટીંગ સામે આ બિલમાં સખ્ત જોગવાઈઓ કરી છે.
આ મુદ્દો બે-અઢી મહિના પહેલા ચેન્નાઈ (મદ્રાસ) હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો અને જાહેર આરોગ્ય અને જનસુરક્ષા માટે અલાયદો કાનૂન બનાવવાની જરૂર જણાવાઈ હતી.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત પ્રોમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ-૨૦૨૫ના કારણે રૂ. ૨૦ હજાર કરોડથી ૨૫ હજાર કરોડના ટેક્સની આવક ગુમાવવી પડશે, તેવો અંદાજ પણ કાઢવામાં આવી રહ્યો છે. અટકળો મુજબ રિયલ મની ગેમ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાઈ શકે છે. એવું કહેવાય છે કે આ પ્લેટફોર્મ્સ દ્વારા સરકારને ટીડીએસ સાથે જીએસટીની પણ જંગી આવક મળી રહે છે, જે ગુમાવવી પડી શકે છે.
મીડિયાના માધ્યમથી ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ચલાવતી કંપનીઓ પણ તર્કો આપવા લાગી છે. આ દલીલો મુજબ ભારત સરકાર ઓનલાઈન ગેમિંગ સંવર્ધન અને નિયમન વિધેયક-૨૦૨૫ રજૂ કરવા જઈ રહી છે, પરંતુ જો ઓનલાઈન ગેમિંગ સેકટર પર જ સંપૂર્ણ પ્રતિબંધ મુકશે તો સરકારને જંગી ટેક્સ તો ગુમાવવો જ પડશે, પરંતુ લાખો લોકોની રોજગારીસ ઝુંટવાઈ જશે અને સાયબર ક્રાઈમમાં પણ વધારો થશે. જો કે, કોઈપણ ઓનલાઈન ગેમિંગ કંપનીએ સત્તાવાર રીતે વિધિવત આ મુદ્દે કોઈ પ્રતિભાવ આ લખાય છે ત્યાં સુધીમાં આપ્યો હોવાનું જાણવા મળ્યું નથી, પરંતુ મીડિયા-સોશ્યલ મીડિયાના માધ્યમથી બંને તરફની દલીલો આપતા પ્રતિભાવો વ્યક્ત થઈ રહ્યા છે અને ટિપ્પણીઓ તથા કોમેન્ટો થઈ રહી છે. આ મુદ્દો આજે ટોક ઓફ ધ નેશન બન્યો છે.
ગઈકાલે કેબિનેટમાં પસાર કરાયેલું આ બિલ આજે જ સંસદમાં રજૂ થઈ જશે, તેવી સંભાવના જણાવાઈ રહી હતી. ગઈકાલે થઈ રહેલી અટકળો મુજબ આ બિલમાં ઓનલાઈન ગેમિંગ અને તેના સંદર્ભે થતી જાહેરાતો, પ્રચાર-પ્રસાર અને પેઈડ એડવર્ટાઈઝીંગ સહિતના પ્રતિબંધો લાગી શકે છે. આ બંને પ્રકારની પ્રવૃત્તિઓને ગંભીર ગૂન્હાની શ્રેણીમાં મુકવા ઉપરાંત ભારે દંડ અને જેલની સજાની જોગવાઈઓ આ પ્રસ્તાવમાં કરવામાં આવી છે. સુત્રોને ટાંકીને એવા અહેવાલો પણ આવ્યા હતા કે આ બિલમાં ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધો તથા જાહેરખબરો પર નિયંત્રણ નિયમન અને પ્રતિબંધોના કડક અમલ માટે જરૂરી મિકેનિઝમ તથા દેખરેખ સાથે ચોક્કસ તંત્રોની જવાબદારી માટે વિધિવત નિયમનતંત્ર બનાવવાની જોગવાઈ પણ કરાઈ છે.
આ ક્ષેત્રના જાણકારોમાં થતી ચર્ચા મુજબ ઓકટોબર-૨૦૨૩થી સરકારે ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિઓ પર ૨૮% જીએસટી લાદ્યો છે. આ ગેમિંગમાં જીતનાર લોકોએ પણ ૩૦% ટેક્સ વસુલવાનું વર્ષ ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષથી શરૂ થયું હતું.
આ પ્રસ્તાવ મુજબ કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના તાબા હેઠળ એક રેગ્યુલેટરી ઓથોરિટી સ્થપાશે. ઈલેકટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ આ માટે મિકેનિઝમ ડિઝાઈન કરી શકે છે. આ બિલ મુજબ બિનઅધિકૃત રીતે ઓનલાઈન ગેમિંગ બેટિંગ સામે ભારે દંડ ઉપરાંત સાત વર્ષની સજાની જોગવાઈ થશે, જે નવી ભારતીય ન્યાય સંહિતા હેઠળ અમલી બનશે, જેનો અમલ રાજય સરકારોના તંત્રો પર આધારિત રહેશે.
આ બિલ અંગે કેટલાક પ્રત્યાઘાતો એવા પણ આવ્યા છે કે કેન્દ્ર સરકાર ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ અંગેની જવાબદારીથી ભાગી રહી છે. નવા બિલની જોગવાઈઓની અમલની જવાબદારી રાજ્યો પર લાદવામાં આવી રહી છે, જે ખરેખર કેન્દ્ર સરકારની હોવી જોઈએ, વગેરે...
આપણાં દેશમાં કોઈપણ રમત ગમત સ્પર્ધામાં મળતી જીતની આવક પર ૩૦% આવકવેરો લાગુ પડે છે, જેમાં ઓનલાઈન ગેઈમના પ્લેટફોર્મ હેઠળ ઓફર કરવામાં આવતા બોનસ કે રેફરલ પ્રોત્સાહનોનો પણ સમાવેશ કરાયો છે. આ રીતે ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધના કારણે સરકારને ઘણી જંગી આવક ગુમાવવી પડશે, તેવી ચર્ચાઓ વચ્ચે આ બિલ અંગે સંસદ સંકુલમાં જે પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ચર્ચા થઈ રહી છે, તે પણ આપણી સામે જ છે ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જન્માષ્ટમીના તહેવારો ઉમંગભેર ઉજવાયા અને લાખો શ્રદ્ધાળુઓએ યાત્રાધામ દ્વારકામાં દર્શન કર્યા. આ વખતે બેટદ્વારકા પણ યાત્રિકોથી ઉભરાયું તો વરસાદી ઝાપટાઓ વચ્ચે પણ લોકોએ તહેવારોને મન ભરીને માણ્યા. જામનગર સહિત ઠેર-ઠેર નાના-મોટા લોકમેળાઓની મોજ પણ લોકોએ માણી. જામનગરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રાઓ તથા મટકીફોડના કાર્યક્રમોએ પણ રંગ જમાવ્યો હતો.
ધ્રોલના ભૂચર મોરીમાં પણ આ વખતે સ્વાતંત્ર્ય પર્વ, ભૂચર મોરીમાં શિતળા સાતમના દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ અને સાતમ-આઠમના તહેવારોનો ત્રિવેણી સંગમ રચાયો હતો અને ધ્વજવંદન પછી ઘોડાદોડ તથા તલવારબાજી સહિતની સ્પર્ધાઓ સાથે દેશભક્તિ, સંસ્કૃતિ અને શોર્યના ત્રિવિધ કાર્યક્રમો સાથે આન-બાન અને શાનથી તિરંગો લહેરાવાયો હતો. આ ગરિમામય માહોલ કાંઈક અલૌકિક જ જણાયો હતો.
આપણો દેશ વિવિધતામાં એકતા અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને વરેલો છે, અને તમામ તહેવારો મોટાભાગે સાર્વજનિક અને સામૂહિક ઉત્સવો બની જતા હોય છે. આપણો દેશ આખી દૂનિયાની વિવિધ સંસ્કૃતિઓ અને સભ્યતાઓને સમાવીને બેઠો છે અને આપણી ભવ્ય પ્રાચીન વિરાસતને અનુરૂપ ગરિમામય ઢબે માનવતા, સભ્યતા અને સંસ્કારોની ત્રિવેણી સમગ્ર વિશ્વમાં વહાવતો રહ્યો છે.
એક તરફ દેશમાં જન્માષ્ટમીના તહેવારો ઉજવાઈ રહ્યા હતા, ત્યારે વિશ્વમાં અનેક ઘટનાક્રમો એવા સર્જાઈ રહ્યા હતા, જેથી ભારત સહિત વિશ્વના મહત્તમ રાષ્ટ્રોનું ધ્યાન પણ ખેંચાયું હતું અને પ્રભાવિત પણ થયા હતા. ખાસ કરીને ટ્રમ્પ-પુતિનની મુલાકાત અને તેની ફલશ્રુતિની ચર્ચા "ગ્લોબલ ટોક" નો વિષય બની ગઈ હતી.
અમેરિકા-ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદના સંદર્ભે વડાપ્રધાને જયારે ગઈકાલે કેન્દ્ર સરકારની ઈકોનોમિક બોર્ડની મહત્ત્વપૂર્ણ મિટિંગનો નિર્ણય લીધો હોવાના અહેવાલો આવ્યા, ત્યારે જ ભારત સરકાર ટેરિફના મુદ્દે કોઈ મહત્ત્વપૂર્ણ રણનીતિ ઘડવા જઈ રહી હોવાના સંકેતો મળ્યા હતા. આ બેઠક એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ૫૦ ટકા ટેરિફના કારણે ૪૦અબજ અમેરિક ડોલરના મૂલ્યની ભારતીય નિકાસને અસર પહોંચે તેવી સંભાવનાઓ જણાવાઈ રહી હતી.
બીજો ઘટનાક્રમ ચીનના વિદેશમંત્રી વાંગ-ચી ની ભારતની મુલાકાત પછી વડાપ્રધાનનો ચીનનો ગોઠવાઈ રહેલો કાર્યક્રમ છે. આ પ્રવાસ દરમ્યાન ચીન-ભારત વચ્ચે નોંધપાત્ર કરારો થાય છે કે કેમ ? તે જોવાનું પણ ઘણું જ રસપ્રદ રહેશે.
આ તરફ વડાપ્રધાન યુનોની સામાન્ય સભા માટે અમેરિકા જાય, તે સમયે ટ્રમ્પ-મોદીની મુલાકાત દરમ્યાન ભારતને રાહત મળશે, તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી હતી, પરંતુ અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારત-યુએસએ વેપાર કરાર માટે છઠ્ઠા તબક્કાની વાતચીત કરવા ભારત આવવાનું હતું, તે પ્રવાસ જ રદ થઈ જતા ગુંચવણ સર્જાઈ છે, અને અમેરિકા અને ખાસ કરીને વડાપ્રધાનના મિત્ર હોવાનો દાવો કરતા ટ્રમ્પ ટેરિફ મુદ્દે ભારતને કોઈ રાહત આપવાના મૂડમાં જ નહીં હોવાના અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.
આ અંગે એક અભિપ્રાય એવો પણ સામે આવી રહ્યો છે કે પુતિન-ટ્રમ્પની વાટાઘાટો દરમ્યાન પુતિને ભારત સાથેના વ્યાપાર માટેની મુખ્ય શરત રાખી હોવાથી રશિયા-યુક્રેનનો યુદ્ધવિરામ થતાં જ ભારત પરથી વધારાનો તમામ ટેરિફ ઉઠાવી લેવાનું નક્કી થઈ ગયું હોય તો પણ છઠ્ઠા તબક્કાની વાટાઘાટો નિરર્થક બની ગઈ હોય, તેવું પણ બની શકે. જે હોય તે ખરૃં, ટેરિફ સંબંધિત ઘટનાક્રમોના આ ત્રિકોણે એ પૂરવાર કરી દીધું છે કે બધાને વહાલા થવા જવાની લ્હાયમાં કોઈ પોતાનું જ ન રહે, તેની તકેદારી રાખવી પણ અત્યંત જરૂરી છે !!!
હવામાન ખાતાએ ૬ દિવસ માટે વિવિધ આગાહી કરી છે, ત્યારે ગુજરાતમાં શ્રીકાર વરસાદ પડ્યો છે, ત્યાં ત્યાં મોસમ ખીલી ઉઠી છે અને જગતનો તાત ખુશખુશાલ છે, પરંતું જ્યાં હજુ વરસાદની જરૂર છે, ત્યાં ત્યાં આગામી અઠવાડિયા દરમ્યાન શ્રીકાર વરસાદ થઈ જાય તેવું ઈચ્છીએ, અને હવે આગામી ગણેશોત્સવ ઉજવવાની તૈયારીમાં લાગી જઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે રાંધણ છઠ્ઠથી સાતમ-આઠમના પરંપરાગત તહેવારોની શ્રેણી શરૂ થઈ છે, તો બીજી તરફ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ પણ દેશભક્તિના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી થશે. વર્ષ ૧૯૪૭ની ૧૫મી ઓગષ્ટે આપણો દેશ આઝાદ થયો હતો તેથી દર વર્ષે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થતી રહે છે. સ્વાતંત્ર્ય પર્વ અને શિતળા સાતમનો સુભગ સમન્વય થતા આ વર્ષે ઉજવણીનો ઉમંગ બેવડાઈ ગયો છે. જન્માષ્ટમીનું પર્વ ભગવાન દ્વારકાધીશની રાજધાની દ્વારકામાં ધામધૂમથી ઉજવાય છે, અને તેમાં દેશ-વિદેશથી લાઓ શ્રદ્ધાળુઓ ઉમટતા હોવાથી હવે જન્માષ્ટમીનું પર્વ ગ્લોબલ બન્યું છે. જન્માષ્ટમી પર્વે આકાશવાણી, દૂરદર્શન, ખાનગી ન્યૂઝ ચેનલો, અન્ય ચેનલો, દ્વારકાધીશ મંદિરની વેબસાઈટ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી દિવસભરના દર્શન પછી મધ્યરાત્રિના શ્રીકૃષ્ણ પ્રાગટ્યોત્સવના દર્શન સુધી જિવંત પ્રસારણ કરશે, ત્યારે દેશ-દુનિયામાં ભગવાન શ્રીકૃષ્ણનો જય જયકાર થઈ રહ્યો હશે, અને આખી દુનિયા "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી" વગેરે જયઘોષથી ગુંજી ઉઠશે. બીજા દિવસે સવારે દ્વારકાધીશના જગતમંદિર સહિતના મંદિરોમાં પારણાનોમ ઉજવાશે, અને બાલકૃષ્ણલીલાનો પ્રારંભ થશે.
આવતીકાલથી જન્માષ્ટમી પર્વના તહેવારોની શ્રેણી શરૂ થઈ રહી છે, અને ૧૫મી ઓગષ્ટના ધ્વજવંદનના કાર્યક્રમો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, તેમાં સ્પષ્ટપણે દેશ-દુનિયાની પ્રવર્તમાન ઘટનાઓની અસરો પણ વર્તાઈ રહી છે. મોટા ભાગે ઓપરેશન સિંદૂર તથા તેને સંબંધિત શૌર્યગાથાને આ ઉજવણીઓમાં વણી લેવામાં આવી છે, તો પ્રાચીનકાળના પ્રસંગો અને રામાયણ-મહાભારતનો કથાનકોને અર્વાચીન ઢબે કંડારીને પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. આ વખતે ઉજવણીઓ પર કેટલાક રાજકીય ઘટનાક્રમો, આવી રહેલી ચૂંટણીઓ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહોની અસરો વર્તાઈ રહી હોવા છતાં એકંદરે બધા મતભેદો ભૂલીને લોકો અત્યારે રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક તહેવારો સાથે મળીને ઉમંગભેર ઉજવી રહ્યા છે, તે પણ આપણી પૂખ્ત લોકશાહી અને અતૂટ એકતાની ખૂબી અને ખૂબસુરતી જ છે ને!
બંગાળની ખાડીમાં લો પ્રેશર થતા થોડી ચિંતા પણ પ્રગટી છે, પરંતુ હાલારમાં છુટા-છવાયા વરસાદની સંભાવના જણાવાઈ હોવાથી ઉત્સ્વપ્રિય હાલારીઓ વરસતા ઝરમરીયા વરસાદ વચ્ચે પણ મેળાઓની મોજ માણશે, તેમ જણાય છે, તો બીજી તરફ વરસાદને કારણે નુકસાન થાય તેમ હોવાથી આ વર્ષે સિઝનલ ધંધામાં ખોટ જશે, તેવું વિચારીને મુંઝવણમાં મુકાયેલા ધંધાર્થીઓનો વર્ગ પણ મોટો છે, કેટલાક લોકોએ તો જામનગરમાં અદાલતની અટારીએ પહોંચ્યા પછી પ્રદર્શન ગ્રાઉન્ડનો મેળો મોડો શરૂ થતા ખોટ જાય, તેમ હોવાથી આ વર્ષે ધંધો બંધ રાખવા તથા મેળો બંધ રાખવા સુધીની રજૂઆતો કરી દીધી હતી, અને તે પછી જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે ને ?
ગુજરાતમાં એક તરફ તહેવારો અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો માહોલ છે, તો બીજી તરફ આજે દક્ષિણ ગુજરાતની ટ્રાયબલ પટ્ટીમાં ચળવળ સાથે સરકાર વિરોધી પ્રદર્શનોનો માહોલ છે. આદિવાસી વર્ગો પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રાયોજનાનો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે પ્રાયોજના કેન્સલ કરી દીધી હતી, તે અંદર સંસદ સુધી કેવી રીતે પહોંચી ગઈ ? તેવા પ્રશ્ન સાથે કોંગ્રેસના નેતાઓ રાજ્ય સરકાર અને ભાજપ પર તડાપીટ બોલાવી રહ્યા છે.
તહેવારો ટાણે જ બિહારમાં મતદાર યાદી રિવિઝનના મુદ્દે વિપક્ષો હજુ પણ પ્રબળ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. રાજદના નેતાનું નામ બિહારની મતદાર યાદીમાં બે સ્થળે કેવી રીતે હતું ? તેનો જવાબ મળે, ત્યાં નવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, અને આ વિવાદો વચ્ચે સુપ્રિમ કોર્ટે ચૂંટણીપંચની કાર્યવાહીને યથાર્થ ગણાવી દીધી છે, તેથી વિપક્ષોનો વિરોધ ઢીલો થયો નથી અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. દેશભરમાં તહેવારો અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે બિહારની ચૂંટણીઓના પ્રચાર પર પણ આ પ્રાસંગિક ઉજવણીઓ ની અસર વર્તાઈ રહી છે અને લોકતંત્રના ઉત્સવ સમી ચૂંટણીઓના પ્રચાર સાથે સ્વાતંત્ર્ય પર્વ અને જન્માષ્ટમી પર્વનો ત્રિવેણી સંગમ થયો છે.
આજે દુનિયાભરમાં ટ્રમ્પ અને તેના ટેરિફની જ ચર્ચા ચાલી રહી છે. ૧૫મી ઓગષ્ટે જ ટ્રમ્પ અને પુતિનની મૂલાકાત થવાની છે, જે દુનિયાની શાંતિ અને ટ્રમ્પ-પુતિન ઉપરાંત યુક્રેન તથા યુરોપ માટે પણ મહત્ત્વપૂર્ણ છે, અને તેમાંથી વૈશ્વિક શાંતિની બુનિયાદ પણ રચાઈ શકે છે અને ત્રીજા વિશ્વયુદ્ધના મંડાણ પણ થઈ શકે છે.
આ બધા સાંપ્રત પ્રવાહો વચ્ચે આવો, આપણે સ્વાતંત્ર્ય પર્વ, જન્માષ્ટમી પર્વના તહેવારો સાથે મળીને ઉમંગભેર ઉજવીએ. નોબત પરિવાર અને માધવાણી પરિવાર નોબતના તમામ પ્રિય વાચકો, વીડિયો સમાચારના દર્શકો, નોબતના સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના ફોલોઅર્સ, ઈ-પેપરના વાચકો, બ્રેકીંગ ન્યૂઝના ગ્રુપ મેમ્બર્સ, વિજ્ઞાપનદાતાઓ, વિતરકો, પ્રતિનિધિઓ, પત્રકારો, શુભેચ્છકો સહિત સૌ કોઈને સ્વાતંત્ર્ય પર્વ અને જન્માષ્ટમીના આજથી શરૂ થયેલા તહેવારોની શુભેચ્છાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી જન્માષ્ટમીપર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવાનું પ્રકરણ હાઈકોર્ટ સુધી પહોંચ્યું છે. જિલ્લા અદાલતમાં ચાલતી સુનાવણી હાઈકોર્ટના સ્ટેના કારણે અટકયા પછી હાલ તુરત મેળાના આયોજકો (જામ્યુકો)ને રાહત મળી છે, પરંતુ આખું આયોજન સુપેરે સંપન્ન થઈ જાય, તેની તકેદારી હવે આયોજકો અને સંબંધિત તમામ તંત્રોએ રાખવી જ પડશે.
જામનગરમાં તહેવારોના દિવસો દરમ્યાન ટ્રાફિક વધશે, લોકોની ભીડ વધશે અને પ્રવાસી વાહનોની અવર-જવર પણ વધશે, તેથી આ દરમ્યાન રખડતા ઢોર અને ડોગબાઈટ (કૂતરા કરડવાની ઘટનાઓ)ની સમસ્યા સામે પણ તંત્રોએ વિશેષ વ્યવસ્થા કરવી પડશે.
દેશમાં રખડતા આવારા કૂતરાઓનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે તેને લઈને સુપ્રિમ કોર્ટે સ્વયં અનુસંધાન (સુઓ-મોટો) સુનાવણી કરીને ત્યાંના (દિલ્હીના) તંત્રો તથા સ્થાનિક પબ્લિકને આદેશો કરવા પડયા છે. હકીકતે સુપ્રિમ કોર્ટના આ આદેશો દિલ્હી કે સુપ્રિમ કોર્ટના પરિસર પૂરતા મર્યાદિત નહીં, પરંતુ દેશવ્યાપી અમલી બને તે માટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોને પણ લાગુ થવા જોઈએ, અથવા કેન્દ્ર-રાજ્ય સરકારોએ સુપ્રિમ કોર્ટના આ આદેશોને સ્વયંભૂ લાગુ કરી દેવા જોઈએ, કારણ કે આવારા કૂતરાઓની સમસ્યા દેશવ્યાપી છે અને દેશભરમાં ડોગબાઈટની ઘટનાઓ વધી રહી છે.
આપણા દેશમાં માનવી દ્વારા કોઈપણ અબોલા જીવોનું દમન કે શોષણ ન થાય, તે માટે કાયદાઓ પણ છે અને તેના સંદર્ભે માનવતાવાદી સંસ્થાઓ પણ કાર્યરત છે, પરંતુ જો રખડતા ઢોર કે કૂતરા માનવ-જીવન માટે જોખમરૂપ બને, રેબિઝનો શિકાર બનતા હડકાયા કૂતરા કરડવાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધવા લાગે અને દ્વિચક્રી વાહનો પર જતા, પગપાળા જતા લોકો કે ઘરના આંગણે રમતા બાળકોને કૂતરા કરડી જાય, બાળકોના જીવ જોખમમાં મુકાય, ત્યારે તેને એક જીવલેણ સમસ્યા ગણીને તેનો ઉપાય કરવો જ પડે, જે સુપ્રિમ કોર્ટે સૂચવ્યો છે. સુપ્રિમ કોર્ટે આપેલા નિર્ણય સામે રાજકીય દૃષ્ટિએ તો અવાજ ઉઠાવી શકાય નહીં, પરંતુ માનવીય એન્ગલ સાથે કેટલાક લોકોએ જે કાંઈ કહ્યું છે, તે આપણા દેશમાં અભિવ્યક્તિની આઝાદીના ભાગરૂપે કહેવા તેઓ સ્વતંત્ર છે, પરંતુ જનભાવનાઓ એવી છે કે સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય ગુજરાત સરકાર સહિત દેશભરની સરકારોએ પણ અમલી બનાવવો જોઈએ.
સુપ્રિમ કોર્ટે રખડતા શ્વાનના મુદ્દે સુપ્રિમ કોર્ટના પરિસરમાં ખુલ્લામાં વધેલો ખોરાક (એઠવાડ) નહીં ફેંકવા અલાયદો આદેશ કરવો પડ્યો, તે આપણી બધાની ખોટી આદતો કે લાપરવાહી પણ ઉજાગર કરે છે. ખુલ્લામાં એઠવાડ તે અન્ય ખાદ્યચીજો ફેંકવાથી આવારા કૂતરાઓ ત્યાં મંડરાતા રહે છે. સુપ્રિમ કોર્ટે તો કચરા ટોપલી કે કન્ટેનરમાં પણ ખુલ્લો નહીં ફેંકવા તથા ઢાંકણાવાળા કન્ટેનરો વાપરવાનો નિર્દેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટે રખડતા શ્વાનો કરડવાથી હડકવા થવાના કેસો વધી રહ્યા હોવાનું જણાવી માત્ર દિલ્હી એનસીઆરમાં જ ૫૦૦૦ શ્વાનો માટે અલગ આશ્રયસ્થાનો બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેનું સુઓ-મોટો (સ્વયંભૂ અનુસંધાન) લઈને ગુજરાત સરકાર સહિતની સરકારો તથા જામનગર સહિતની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ-પંચાયતોએ પણ યોગ્ય કદમ ઉઠાવવા જોઈએ.
સુપ્રિમ કોર્ટે તો ત્યાં સુધી કહ્યું છે કે રખડતા કૂતરાઓને પકડીને એકત્રિત કરવાની પ્રક્રિયામાં કોઈપણ વ્યક્તિ કે સંગઠન આડે આવે તો તેની જાણ સુપ્રિમ કોર્ટને કરવી. મીડિયા રિપોર્ટ મુજબ બેન્ચે એવી ટિપ્પણી પણ કરી કે તથાકથિત પશુપ્રેમીઓ રેબિઝ (હડકવા) નો શિકાર બનેલા બાળકોનું જીવન પાછું આપી શકશે ?
સુપ્રિમ કોર્ટના આ ફેસલાની ચર્ચા જામનગર, સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં પણ થઈ રહી છે, કારણ કે આપણા વિસ્તારોમાં પણ બાળકોને કરડી ખાતા અને જીવલેણ હૂમલો કરતા આવારા કૂતરાઓની સમસ્યા વધુ ને વધુ વકરી રહી છે અને આવી ઘટનાઓ જ્યારે સોશ્યલ મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી દૃશ્યમાન થાય, ત્યારે અરેેરાટી વ્યાપી જતી હોય છે.
આ સમસ્યા પગપાળા કે દ્વિચક્રી-ત્રિચક્રી વાહનોમાં અવર-જવર કરતા લોકોને જ વધુ કનડગત કરતી હોય છે અને શેરી-મહોલ્લાઓમાં શાળાઓએ જતા વિદ્યાર્થીઓ કે રમતા બાળકો માટે જોખમી બનતી હોવાથી લકઝરીયસ જીવન જીવતા અને એરકન્ડીશન ગાડીમાંથી નીચે પગ પણ નહીં મુકતા ધનાઢયો તથા સુરક્ષાના ઘેરા વચ્ચે ચાલતા વીવીઆઈપી મહાનુભાવોને ગૌણ લાગતી હશે, પરંતુ દેશની બાકીની સવાસો કરોડ જેટલી જનસંખ્યા માટે આ સમસ્યા હવે જીવલેણ બની રહી છે, તેથી રખડતા કૂતરા અને આવારા આખલાઓના નિયંત્રણ માટે હવે મ્યુનિસિપાલટીઓ અને રાજ્ય સરકારો સુપ્રિમ કોર્ટના ઉક્ત આદેશને ઝડપભેર આપણે ત્યાં પણ સ્વયંભૂ અમલમાં મૂકે, તેવી જનભાવનાઓ ઉછળી રહી છે.
સુપ્રિમ કોર્ટ બિહારમાં એસઆઈઆરના મુદ્દે ચૂંટણીપંચની તરફેણમાં સ્પષ્ટ ટિપ્પણીઓ કર્યા પછી હવે તેનું સન્માન કરીને સંસદમાં અન્ય ઘણાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચા થવી જરૂરી છે. અન્યથા અત્યારે મહત્ત્વપૂર્ણ બીલો હોબાળા વચ્ચે બહુમતિથી પાસ થતા રહેશે અને પાછળથી તેના સંદર્ભે વાંધા-વચકા કાઢવાનો કોઈ મતલબ નહીં રહે, તેવી વ્યાપક જનભાવનાઓ પણ આજે ચર્ચામાં ેછે.
સિક્કાની બીજી બાજુની જેમ પશુપ્રેમીઓ તથા જીવદયાપ્રેમીઓની વાત પણ સાંભળવી પડે, તેથી રખડતા કૂતરાઓ અને આવારા આખલાઓને પૂરેપૂરા સન્માન સાથે કાળજીપૂર્વક આશ્રયસ્થાનોમાં ખસેડીને તેની દેખભાળ તથા માનવીય અભિગમની સેવાકીય પ્રક્રિયાઓમાં તેઓને તથા આ પ્રકારની અઘરી માનવતાવાદી પ્રવૃત્તિઓ કરતા સંગઠનોને પણ સાંકળવા જોઈએ અથવા જવાબદારી સુપ્રત કરવી જોઈએ, તેવા મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી તહેવારોના ત્રિવેણી સંગમની ઉજવણી શરૂ થઈ છે અને જામનગરમાં તિરંગા યાત્રા નિકળ્યા પછી આઝાદીના અમૃત મહોત્સવના સંદર્ભે એક તરફ દેશભક્તિનો માહોલ છવાઈ રહ્યો છે, તો બીજી તરફ અદાલતનો સ્ટે ઊઠી જતાં જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાવાનો માર્ગ મોકળો થયો છે. જો કે, હવે લોકમેળાના સંદર્ભે તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે, ટ્રાફિક નિયમન તથા સલામતિ-સુરક્ષા તથા કાયદો-વ્યવસ્થા, જળવાઈ રહે તે માટે આયોજકો અને તંત્રોએ વધુ સતર્ક રહેવું પડશે.
યાત્રાધામ દ્વારકામાં પણ જગતમંદિરને સાંકળતા માર્ગોને વન-વે જાહેર કરાયા અને પાર્કિંગ-નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા, તથા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પરથી ભારે વાહનો લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે, દ્વારકામાં કેટલાય ભીડભાડવાળા રસ્તાઓ પર વાહનોની પ્રવેશબંધી કરાઈ છે. આ પ્રકારના જાહેરનામાઓ હવે જામનગરમાં પણ આજથી પ્રસિદ્ધ થવા લાગશે. ટૂંકમાં આ જાહેરનામાઓનો અમલ કરવાની જવાબદારી પબ્લિકની છે, અને તેનો ભંગ થયે પબ્લિક જવાબદાર ઠરશે, પરંતુ જાહેરનામાનો ચૂસ્ત અમલ કરાવવામાં નિષ્ફળ જનાર તંત્રમાંથી કોઈ જવાબદાર નહીં ગણાય, તેવું અર્થઘટન રાબેતા મુજબ થશે.
જો નિયમ-કાયદો સુધારીને જાહેરનામાઓના અમલની જવાબદારી કોઈ ચોક્કસ અમલદાર અને તેના તંત્ર, આયોજક કે સંચાલક વિગેરેની રહેશે, તેવી ચોખવટ જે-તે જાહેરનામામાં જ થાય, તો કોઈપણ ભાગદોડ, દુર્ઘટના કે અનિચ્છનિય બનાવ બને, તે પછી ચોક્કસ જવાબદારો સામે તત્કાળ પગલાં ભરી શકાય અને પાછળથી જવાબદારીની ફેંકાફેંકી ન થાય. આ પ્રકારનો કોઈ સુધારો કરવાનું વિચારવું જોઈએ. આ કોન્સેટટ તંત્રો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ અન્ય સંસ્થાઓ નહીં વિચારે કે સ્વીકારે, કારણ કે તેમ કરવા જતા તેઓના પગની નીચે રેલો આવે, પરંતુ આ પ્રકારની સુધારણા પબ્લિકના હિતમાં પ્રો-પબ્લિક સરકારે વિચારવી જોઈએ, તેમ નથી લાગતું ?
જામનગર ઉપરાંત ખંભાળીયામાં મીની તરણેતર તરીકે ઓળખાતો રખપાંચમનો મેળો પણ યોજાવાનો છે, પરંતુ રાવલના છેક રાજાશાહીના વખતથી યોજાતા લોકમેળાને ગ્રહણ લાગ્યું હોવાનુું કહેવાય છે. તે ઉપરાંત અન્ય કેટલાક મેળાઓનું આયોજન પણ જામનગરની જેમ અનિશ્ચિત જણાતુ હતું, પરંતુ ધીમે-ધીમે ઘીના ઠામમાં ઘી પડી રહેશે, તેવું લાગે છે.
હકીકતે લાંબો સમય સુધી ઘણી પંચાયત-પાલિકાઓમાં રાજકીય અનિશ્ચિતતા રહી હતી અને વહીવટદારોનું શાસન રહ્યું હતું, અને ચૂંટણીઓ પછી નવા શાસકોને સત્તા મળી છે, પરંતુ શાસક પક્ષની આંતરિક યાદવાસ્થળીના કારણે કેટલાક સ્થળે હજુ પણ ગજગ્રાહ જોવા મળે છે.
રાજ્યમાં અત્યારે ત્રિપલ એન્જિનની સરકાર હોવાનો દાવો કરતા ભારતીય જનતા પક્ષમાં ઠેર-ઠેર જૂથવાદ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાએ પ્રમુખોની નિમણૂકો લટકતી રહી હોવાથી હવે તેની માઠી અસરો ભાજપ શાસિત રાજ્યોના પાર્ટીના સંગઠનો પર પણ પડી રહી છે., ભાજપ શાસિત રાજ્યોમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે અને આંતરિક રીતે ઘુઘવતો અસંતોષ હવે સપાટી પર આવવા લાગ્યો છે.
કોઈક નગરપાલિકાના પ્રમુખ પારિવારિક કારણો જણાવીને રાજીનામું આપે છે, તો કોઈક સ્થળે કોર્પોરેટરો નારાજગી વ્યક્ત કરતા જોવા મળે છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મોટાભાગે ભાજપનું શાસન છે, અને ત્યાં આંતરિક જૂથવાદ તથા પરસ્પર નિવેદનબાજીના કારણે પણ પાર્ટીની છબિ ખરડાઈ રહી હોવાના રિપોર્ટ ઉચ્ચકક્ષા સુધી પહોંચ્યા હોવાનું જણાવાય છે. ભાજપમાં આંતરિક ડખ્ખાની અસરો આગામી ચૂંટણીઓમાં પણ વિપરીત સ્વરૂપે થઈ શકે છે.
કોંગ્રેસમાં પણ શશિ થરૂર એન મનિષ તિવારી પાર્ટીથી નારાજ હોવાના અહેવાલો પછી હવે આનંદ શર્માએ પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલો આવ્યા છે, તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ બદલાયા પછી ગુજરાત કોંગ્રેસમાં નવસંચાર થશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. આ કારણે રાજ્યમાં આમઆદમી પાર્ટી સાથે જોડાણની નવેસરથી વિચારણા થઈ શકે છે. જો કે, મોટા ભાગના વિશ્લેષકો ગુજરાતમાં ત્રીજા પક્ષની સ્વીકૃતિ નકારી રહ્યા છે અને આમઆદમી પાર્ટી માટે પણ સ્વતંત્ર રીતે વ્યૂહાત્મક રીતે ચૂંટણી લડવાની રણનીતિને યોગ્ય ગણાવી રહ્યા છે. એક વર્ગ એવો પણ છે ક જે ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનનો પ્રયોગ સફળ થઈ શકે છે, તેવું માને છે. ઘણાં લોકો એવું પણ માને છે કે બંને મુખ્ય પક્ષોથી નારાજ મતદારો આમઆદમી પાર્ટીને ત્રીજા વિકલ્પ તરીકે સ્વીકારી પણ શકે છે. જે હોય તે ખરૃં, પરંતુ અત્યારે તો ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી વધી રહી હોવાના જે આક્ષેપો થઈ રહ્યા છે, તેને શાસકપક્ષે અવગણવા જેવા નથી અને પાર્ટીને હાનિકર્તા સ્થાપિત હિતોને ઓળખીને અલગ તારવા પડે તેમ છે. તેવી જ રીતે કોંગ્રેસે પણ આંતરિક સર્વેક્ષણ કરીને પાર્ટીમાં રહીને જ કોંગ્રેસને હાનિકર્તા પરિબળોને ઓળખવા પડે તેમ છે. અન્યથા બે બિલાડીની લડાઈ વાળી કહેવત આબેહૂબ લાગુ પડી જશે...
અત્યારે તો આ બધી જ રાજકીય ચહલ પહલ, ટ્રમ્પનો ટેરિફ, મુનિરની અણુ યુદ્ધની ધમકી, અમેરિકાનું બદલેલું વલણ, ચૂંટણીપંચના મુદ્દે ચક્રવ્યૂહ અને પ્રદેશ-રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના પ્રમુખની અદ્ધરતાલ રહેલી નિમણૂકોથી લઈને ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોના આંતરિક જૂથવાદ સહિતના તમામ મુદ્દાઓને અભરાઈએ ચડાવીને આવો, આપણે રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક પર્વો-પરંપરાગત ઉત્સવો અને કાનૂડાના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરીએ, અતે તમામ તહેવારો નિર્વિઘ્ને અને આનંદપૂર્વક ઉજવાય તેવું પ્રાર્થીએ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
'રક્ષાબંધન'નું પર્વ ઉજવાયું અને જન્માષ્ટમીની તૈયારી થવા લાગી. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો અદાલતની અટારીએ પહોંચ્યા પછી ગઈકાલે થનારૂ ઓપનીંગ સ્થગિત થયું અને આજના અદાલતના ચૂકાદા અંગે બે દિવસથી અટકળો થઈ રહી હતી. હકીકતે આ બધા અવરોધો એટલા માટે આવી રહ્યા છે કે આયજકોએ પહેલેથી જ પૂરતી તકેદારી સાથેનું કોઈ પ્લાનીંગ કર્યું નહીં, અને તમામ સ્ટેક હોલ્ડરો તથા સંબંધકર્તા લોકો જ નહીં, પરંતુ જામ્યુકોમાં વિપક્ષના નેતાઓ, જાગૃત નાગરિકો અને ખાસ કરીને જનતાનો અવાજ બનેલા પ્રેસ-મીડિયા અને સંસ્થાકીય પ્રતિનિધિઓને વિશ્વાસમાં લેવાની જરૂર હતી. આ પ્રકારનું ફુલપ્રૂફ આયોજન પહેલેથી જ થયું હોત તો આટલી બધી સ્પષ્ટતાઓ કરવી પડી ન હોત અને નિર્ધારિત કર્યા મુજબ મેળો ખુલ્લો મુકવામાં અવરોધો સર્જાયા ન હોત.
જામનગર સહિત રાજ્યમાં વરસાદ ખેંચાતા જે ચિંતા ઊભી થઈ, તેમાં રાહતરૂપ આગાહીઓ પણ થઈ, પરંતુ દેવભૂમિ ઉત્તરાખંડમાં જે તારાજી સર્જાઈ, તે આપણા બધા માટે બોધરૂપ છે. જો આપણે નદીઓ-ઝરણાઓ કે વોંકળાઓને બુરીને કે કાંઠે અતિક્રમણ કરીને જાયન્ટ બિલ્ડીંગો તથા મજબૂત માળખાઓ ઊભા કરતા રહીશું અને વિકાસના નામે મોટા વિરાટકાય માચડાઓ ખડકતા રહીશું, તો ઉત્તરાખંડના ધરાલીમાં જે થયું છે, તેવી તબાહી ભોગવ્યા આપણે અથવા આપણી પેઢીએ તૈયાર રહેવું પડશે.
પ્રકૃતિનું દોહન કેટલું ભારે પડી શકે છે, તે દુનિયાભરમાં બની રહેલી દુર્ઘટનાઓ તથા કુદરતી આફતો પરથી ફલિત થાય છે. અમેરિકાના લોસ એન્જલન્સમાં કેન્યોન ફાયર નામની આગ ફાટી નીકળતા ચાર-પાંચ એકર જમીનમાં ફેલાયેલા ગાઢ જંગલનો સોથ વળી ગયો હતો. આ આગ કુદરતી રીતે બની છે, પરંતુ તે કુદરતી કારણો આપણી પર્યાવરણ પ્રત્યેની ક્રૂરતા તથા પ્રકૃતિના દોહનના લીધે જ સર્જાય છે. ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જ આપણે એટલે કે માનવીએ પ્રકૃતિ અને પર્યાવરણ સાથે કરેલા ખિલવાડના કારણે જ ઉદ્ભવી રહ્યા છે ને ?
આપણે અવારનવાર પ્રકૃતિ-પર્યાવરણ અને સ્વચ્છતાની વાતો કરતા રહીએ છીએ પરંતુ જ્યારે આપણે પોતાને તેનો અમલ કરવાનો આવે કે આપણા હિતો માટે પ્રકૃતિ અને પર્યાવરણ સાથે ખિલવાડ કરવાની જરૂર પડે, તો આપણે જરાયે અચકાતા નથી અને તે એક કટૂ સત્ય છે, નરી વાસ્તવિકતા છે, અને તે સુધારવી જ પડે તેમ છે. આ પ્રયાસો વ્યક્તિગત કે કોઈ નાના ગ્રુપ દ્વારા સફળ થવાના નથી, પરંતુ સામૂહિક અને વૈશ્વિક વાસ્તવિક ધોરણે જ કરવા પડે તેમ છે. જો કે, વ્યક્તિગત કે નાના-નાના સમૂહોની જાગૃતિપૂર્વકના પ્રયાસો સતત ચાલતા રહેશે, તો જ વૈશ્વિક જાગૃતિ ફેલાશે, તે પણ હકીકત છે.
ચીનમાં પણ ઘણાં વર્ષો પછી દાયકાઓનો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, અને તોફાની વરસાદના કારણે ઉત્તર-પશ્ચિમ ચીનના ગાન્સુ રાજ્યમાં સંખ્યાબંધ લોકો મોતને ભેટ્યા છે. લોન્ઝાઉ શહેર પાસે થયેલા ભૂસ્ખલને પણ જનજિવનને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું હતું. ચીન જેવા વિકસિત દેશને પણ રાહત-બચાવની કાર્યવાહી કરવામાં મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો હોય, તે સ્થિતિ કુદરત સાથે ખિલવાડ કરીને ખડકેલા વિકાસના માચડા તથા પ્રકૃતિનું આડેધડ દોહન કરતા ખોદકામો અને બાંધકામોના કારણે જ સર્જાઈ રહેલી જણાય છે. ત્યાં પણ ચિકનગુનીયા અને ડેન્ગ્યુના હજારો કેસ નોંધાયા છે, જે ત્યાંની પબ્લિક હેલ્થની દૂર્દશા પણ દર્શાવે છે. ચીનમાં પૂખ્ત લોકશાહી નહીં હોવાથી ત્યાંની તબાહીની પૂરેપૂરી વિગતો બહાર આવતી હોતી નથી. પરંતુ સેટેલાઈટ અને ઈન્ટરનેટના યુગમાં હવે બધું છુપાવી પણ શકાતું નથી.
કુદરતી આફતો પણ હવે માનવીએ પ્રકૃતિ સાથે કરેલી છેડછાડના કારણે વધવા લાગી છે અને માર્ગ-આગ કે અન્ય અકસ્માતોમાં પણ દુનિયામાં દરરોજ હજારો લોકોના જીવ જતા હોય છે, છતાં માનવીની આંખ ઉઘડતી જ નથી અને આવું થાય ત્યારે ધરાલીની જેમ પ્રકૃતિ ત્રીજું નેત્ર ખોલે છે.
એક તરફ વિશ્વમાં કુદરતી કહેર છે, અને તબાહી મચી રહી છે, તો બીજી તરફ વિશ્વમાં કેટલીક આશાવાદી અને ઉત્સાહ પ્રેરક ઘટનાક્રમો પણ સર્જાઈ રહ્યા છે, બીજી તરફ ગુજરાતમાં પરંપરાગત ઉત્સવોની શ્રેણી શરૂ થઈ ગઈ છે, અને છેક દેવ-દિવાળી સુધી ઉત્સવો તથા પ્રવાસ-પર્યટનનો માહોલ રહેવાનો છે. જો કે, શ્રાવણીયા જુગાર અને કાયમી ધોરણે ચાલતા ગેરકાયદે કેસિનો અને મોટા મોટા જુગારધામો વચ્ચે બારિક તફાવત છે. શ્રાવણમાં સાતમ-આઠમના પર્વે લોકો માત્ર મનોરંજન માટે ઘર-પરિવાર સાથે જુગાર રમતા હોય, તો તેને પરંપરાગત રિવાજ ગણીને કાયમી તથા મોટા જુગારધામો અને દારૂ-જુગારના અડ્ડાઓ પર ત્રાટકવાનું કાયમી ધોરણે ચાલુ રાખવું જોઈએ, તેવો સામાન્ય જનમત દર વર્ષે સાતમ-આઠમના તહેવારો આવે, ત્યારે વ્યકત થતો હોય છે. જો કે, જુગાર કે દારૂની આદત સારી ચીજ નથી. અને બરબાદીનું માધ્યમ છે, તેના દૃષ્ટાંતો આપણા પ્રાચીન ગ્રંથોમાંથી જ મળી રહે છે. જુગારમાંથી જ આખુ મહાભારત સર્જાયુ હતુ. એવું પણ કહી શકાય કે જુગાર રમતા રમતા રાજપાટ જ નહીં, ઘરની લક્ષ્મીને પણ દાવ લગાવવાનું ભારે પડી શકે છે, તે જ મહાભારતનો સંદેશ છે.
અત્યારે દેશમાં બે પ્રકારના મહાભારત ચાલી રહ્યા છે. એક તરફ તો સશસ્ત્ર યુદ્ધો થઈ રહ્યા છે અને સમી રહ્યા છે, તથા તેને જોડીને ઈન્ટરનેટ યુગનું સાઈબર યુદ્ધ પણ લડાઈ રહ્યું છે, તો બીજી તરફ ટ્રમ્પ ફેઈમ ટેરિફ યુદ્ધે કોહરામ મચાવ્યો છે. હવે આર.આઈ.સી. એટલે કે રશિયા, ઈન્ડિયા અને ચીન મળીને કાંઈ કરે છે કે ટ્રમ્પને ઘરઆંગણે જ ફટકો પડે છે, તે જોવાનું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ છે, અને ભાઈ-બહેનોના પાવન પ્રેમના પ્રતીક સમા આ પ્રસંગે આજે સવારથી જ બહેનો ભાઈઓને રાખડી બાંધી રહી છે, તો ભૂદેવો યજમાનોને રાખડી બાંધીને આશીર્વાદ આપી રહ્યા છે. યજ્ઞોપવિત સંસ્કાર લીધેલા હોય, તે લોકોએ જનોઈ બદલાવીને વિધિવત રીતે પૂજન-અર્ચન અને સૂર્યનમસ્કાર કર્યા છે, તો ધાર્મિક-સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રક્ષાબંધનને ભૂદેવોની દિવાળી પણ કહેવામાં આવે છે.
રક્ષાબંધનના દિવસે ઘણાં મોટા શહેરોમાં ચાલતી સિટીબસોમાં બહેનો માટે પ્રવાસ ફ્રી કરાયો છે, જેથી બહેનો પોતાના ભાઈને ત્યાં સરળતાથી રાખડી બાંધવા જઈ શકે.
આપણા રાજ્યમાં એસ.ટી.ની સેવાઓ હજુ પર્યાપ્ત નથી, અને જામનગર જેવા શહેરમાં હજુ સિટીબસ સેવા પણ ધક્કાગાડીની જેમ ચાલી રહી હોય, ત્યારે કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રી નીતિનભાઈ ગડકરીએ આપણા દેશમાં અતિ આધુનિક ૧૩૫ બેઠકોવાળી બસો શરૂ કરવાની વાત કરી છે. રક્ષાબંધન પર્વની પૂર્વસંધ્યાએ વહેતા થયેલા આ પ્રકારના અહેવાલોએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ બસો સફળ રહી, તો એક તરફ તો રેલવે પરનું ભારણ ઓછું થશે, અને બીજી તરફ ખાનગી વાહનોના બદલે સાર્વજનિક વાહનોમાં આરામદાયક મુસાફરીનો વિકલ્પ બહુ હેતુક પૂરવાર થશે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આમતો સપનાંઓ દેખાડવામાં ભાજપ સરકાર માહીર છે, પરંતુ જ્યારે કાંઈક અલગ જ ઈમેજ અને મિજાજ ધરાવતા નીતિન ગડકરી જો કોઈ દાવો કરતા હોય, તો તે તદ્દન પોકળ હોતો નથી, તેથી આ પ્રકારની બસની ચર્ચા આજે સમગ્ર દેશમાં થઈ રહી છે.
ગડકરીએ કરેલા દાવા મુજબ સૂચિત ૧૩૫ સીટર ફલેશ ચાર્જિંગ બસ મેટ્રો કરતા સસ્તી મુસાફરીનો વિકલ્પ પુરો પાડશે. આ પ્રોજેકટ સૌ પ્રથમ નાગપુરમાંથી શરૂ થશે અને તે પછી દિલ્હી-મુંબઈ સહિતના મેટ્રોપોલિટન શહેરોમાં વિસ્તારાશે. આ બસની ટિકિટ ડીઝલ બસોની સરખામણીમાં ૩૦ટકા ઓછી હશે, પરંતુ તેમાં વિમાન જેવી લકઝરી સુવિધાઓ, ખાણી-પીણીની વ્યવસ્થાઓ પણ હશે. આ બસ સેવા દિલ્હીથી જયપુર, દહેરાદુન, ચેન્નાઈ, બેંગ્લુરૂ સુધીના મોટા શહેરો વચ્ચે શરૂ કરવાનું આયોજન ઘડાયું છે.
આ ઉપરાંત ગડકરીએ જાહેર પરિવહનના ક્ષેત્રે ૩૬૦ રોપ-વે કેબલ કાર બનાવવાના પ્રયાસોનો ઉલ્લેખ કરીને હાઈડ્રોજન ફયુલના ૧૦ પ્રોજેક્ટો અને ૧૦૦ કિલોમીટર પ્રતિદિવસની ગતિથી ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય હોવાનો દાવો કર્યો છે.
જો કે, દાવાઓ, વાયદાઓ અને વાસ્તવિકતા વચ્ચે ઘણું અંતર હોય છે. ગડકરી આ પ્રકારના ડાયનેમિક કદમ ઉઠાવી રહ્યા હોય, તો પણ તેને ઉચ્ચકક્ષાએથી કેટલું પીઠબળ મળે છે અને પબ્લિકનો કેટલો પ્રતિસાદ મળે છે, તેના પર આ નવા પ્રોજેકટોનો આધાર રહેવાનો છે.
મોદી સરકાર "મોટું" જ વિચારે છે, અને લાંબા ગાળાના જાયન્ટ પ્રોજેકટો અમલી બનાવે છે, પરંતુ મૂળભૂત જરૂરિયાતો, લોકોની પ્રાથમિક સુવિધાઓ અને માળખાકીય સગવડો ખાડે જઈ રહી છે, માર્ગોને દર ચોમાસે થીગડાં મારવા પડી રહ્યા છે અને અનેક અભિયાનો છતાં ગંદકી ઘટી રહી નથી, ત્યારે એક મોટા વૈજ્ઞાનિકે મોટી બિલાડી માટે મોટો અને નાની બિલાડી માટે નાનો દરવાજો બનાવ્યો હોવાનું વ્યંગાત્મક દૃષ્ટાંત યાદ આવી જાય છે.
જો સરકાર કે અર્ધસરકારી સંસ્થાઓ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત સ્થાનિક કે દેશવ્યાપી-રાજ્યવ્યાપી પરિવહન સંતોષકારક સેવાઓ આપતી હોત અને રોજીંદી જરૂરિયાતોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી હોત, તો લોકોને ખાનગી પરિવહન વ્યવસ્થાઓ પર વધુ વિશ્વાસ ન હોત. શિક્ષણ, પરિવહન, તબીબી સેવાઓ અને નવા યુગની ઓનલાઈન સેવાઓમાં સરકારી અને તેની સંસ્થાકીય વ્યવસ્થાઓ વામણી પૂરવાર થઈ રહી છે, તે હકીકત છે.
આપણા દેશમાં ૧૩૫ સીટર બસો ચાલુ કરતા પહેલા તે પ્રકારના વાહનો માટે જરૂરી ક્ષમતા ધરાવતા માર્ગો અને અનુસાંગિક વ્યવસ્થાઓ પણ ઊભી કરવી પડે તેમ છે. આપણા દેશમાં તો માર્ગો પર ઢોર કે કૂતરૂ આડુ ઉતરતા લોકોના જીવ જતા હોય, વડોદરા નેશનલ હાઈવે પર ગઈકાલે સર્જાયો હતો, તેવો ૪૫ કિલોમીટર કે તેથી પણ લાંબા ટ્રાફિકજામ કલાકો સુધી સર્જાતા હોય કે પછી જામનગર જેવા શહેરોમાં મીની બસો અને એમ્બ્યુલન્સો પણ ઘણી વખત અટવાઈ જતી હોય, ત્યારે અત્યાધુનિક જાયન્ટ બસોના પરિવહનની વાત જ ગળે ઉતરે તેવી નથી, પરંતુ સપના જોવાની ક્યાં મનાઈ છે ? સપનાઓ સાકાર થાય, તે માટે પ્રયાસો થાય કે ન થાય, અત્યારે તો વ્યાપક પ્રચાર-પ્રસાર અને વાહવાહી થઈ જ જવાની છે ને ? તેવી માનસિકતા નીતિનભાઈમાં પ્રવેશી ન ગઈ હોય તો સારૃં...
આજે રક્ષાબંધનના પર્વથી તહેવારોની શ્રેણી શરૂ થઈ ગઈ છે. શ્રાવણ મહિનાના પ્રારંભથી જ શિવભક્તિના માહોલ પછી હવે જન્માષ્ટમીના તહેવારોની તડામાર તૈયારી થઈ રહી છે. જામનગરમાં શ્રાવણનો મેળો અદાલતની અટારીએ પહોંચ્યા પછી ગઈકાલે દિવસભર ચર્ચામાં રહ્યો હતો,
'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર નોબતના વાચકો, વીડિયો સમાચારના દર્શકો, બ્રેકીંગન્યુઝના ગ્રુપ મેમ્બર્સ, સોશ્યલ મીડિયામાં નોબતના ફોલોઅર્સ, વિતરકો, પ્રતિનિધિઓ, વિજ્ઞાપનદાતાઓ, શુભેચ્છકો, પત્રકારો, નગરજનો સહિત સૌ કોઈને રક્ષાબંધનના પાવનપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવાના મુદ્દે અપીલ થતા જિલ્લા અદાલતમાં લાંબી સુનાવણી થઈ અને ગઈકાલે હંગામી સ્ટે મળ્યો ત્યારથી આજ સવાર સુધી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જનમત અને પ્રેસ-મીડિયા પછી હવે અદાલતની અટારી સુધી પહોંચેલો શ્રાવણી મેળાનો મુદ્દો એટલો તો ચગડોળે ચડયો છે કે લોકોમાં આશંકાઓની આંધી ઉઠી અને અટકળોનું બજાર ગરમ થયા પછી આ અંગે આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે ને !
હવે અદાલતોએ પણ તંત્રોને આયનો દેખાડીને કાન મરડવા પડી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે પણ વિવિધ પ્રજાકીય પ્રશ્ને અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત સરકારનો કાન આમળતી રહે છે, અને કેટલીક સુનાવણી દરમ્યાન આકરી ટિપ્પણીઓ સાથે કેટલાક દિશા-નિર્દેશો પણ આપતી રહે છે. સુપ્રિમકોર્ટ પણ વખત આવ્યે સરકારી તંત્રો, સિસ્ટમ અને મોટા માથાઓને સાંકળીને તીખી ટિપ્પણીઓ કરીને તટસ્થ સખ્તાઈ દર્શાવતી હોય છે, અને જનહિત, બુનિયાદી સમસ્યાઓ તથા સિસ્ટોમેટિક દૂષણો સામે લાલ આંખ પણ કરતી હોય છે. ઘણી વખત આ કારણે સંસદ, વધેયિકા અને ન્યાયતંત્ર વચ્ચે સમન્વય અને સત્તામર્યાદાના સવાલો પણ ઉઠતા હોય છે, પરંતુ ભારતના ન્યાયતંત્રે હંમેશાં લોકલક્ષી, તટસ્થ અને ન્યાયિક વલણ દાખવ્યું હોવાની લોકોમાં વિશ્વસનિયતા ઊભી કરે છે. ભારતનું ન્યાયતંત્ર હાઈકોર્ટના ન્યાયાધિશ કક્ષાની હસ્તીને પણ કસુર થયે બક્ષતું નથી, તેનું તાજુ દૃષ્ટાંત જેના ઘરમાંથી બળેલી ચલણી નોટોનો જંગી જથ્થો મળી આવ્યો હતો, તે જસ્ટિસ વર્માનો કેસ છે. આ કેસમાં સુપ્રિમકોર્ટે રચેલી સમિતિએ જસ્ટિસ વર્માને દોષિત ઠેરવ્યા પછી હવે સંસદમાં મહાભિયોગ પસાર કરવાની જવાબદારી સરકાર અને વિપક્ષો એટલે કે સંસદની છે, પરંતુ ન્યાયતંત્રે પોતાને મળેલો વિશષાધિકાર વાપરીને તટસ્થ તપાસ કરીને બંધારણીય ધોરણે કડક કદમ ઉઠાવ્યા છે, તે ભારતીય ન્યાયતંત્રની ઉચ્ચકક્ષાએ જળવાઈ રહેલી ન્યાયસંગત અને તટસ્થ ન્યાયપ્રણાલિ પુરવાર કરે છે. જો ભૂલ થઈ જાય તો તે સ્વીકારી લેવાની ક્ષમતા પણ ન્યાયતંત્રમાં છે, જે સામાન્ય રીતે રાજકીય પક્ષોમાં હોતી નથી.
વિપક્ષના નેતાઓ અવારનવાર મોદી સરકાર પર એજન્સીઓના દુરૂપયોગના આક્ષેપો કરતા રહે છે અને સી.બી.આઈ., ઈ.ડી., અને આઈ.ટી. જેવી એજન્સીઓ સરકારના ઈશારે માત્ર વિપક્ષના નેતાઓને જ નિશાન બનાવી રહ્યા હોવાના આક્ષેપો થતા રહે છે, અને તપાસ એજન્સીઓ દ્વારા થતી કાર્યવાહીને લઈને ઘણી વખત અદાલતો પણ ટકોર કરતી રહે છે. એવા ઘણાં દૃષ્ટાંતો છે, જેમાં સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવીને એજન્સીઓને પણ તતડાવી હોય.
તાજુ દૃષ્ટાંત વિજય મદનલાલ ચૌધરીના કેસમાં સુનાવણી દરમ્યાન ઈ.ડી. ને લઈને સુપ્રિમકોર્ટે વ્યક્ત કરેલી ચિંતાનું છે. આ સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે ઈ.ડી.ની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે, અને કાનૂની મર્યાદાઓમાં રહીને કામ કરવાની તાકીદ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા હાથ ધરાતા કેસોમાં ગુનો સાબિત થવાનું પ્રમાણ માત્ર ૧૦ટકા જેટલું જ હોવાનું આંકડાઓ સાથે જણાવાયુ હોય, તો ઈ.ડી. જેવી બંધારણીય એજન્સી માટે શરમજનક ગણાય.
સર્વોચ્ચ અદાલતે આ તપાસ એજન્સીની ઈમેજ ખરડાઈ રહી છે, તે અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું પડે, ધૂર્તતા કે ચાલાકી ચાલે નહીં. ઈ.ડી.એ દાખલ કરેલા મનીલોન્ડીંગના માંડ ૧૦ટકા કેસો જ પુરવાર થયા હોય, ત્યારે ઈ.ડી.ને સાક્ષીઓ તથા આધાર-પૂરાવા અને પ્રક્રિયા પર વધુ કામ કરવાની જરૂર છે, અને કાયદાની મર્યાદામાં પરંતુ સચોટ કેસ બનાવવો જોઈએ, જેથી દોષિતો છુટી ન જાય અને નિર્દોષને લાંબો સમય વિના કારણે જેલમાં વિતાવવો ન પડે.
આ કેસમાં ઈ.ડી.એ કરેલી એક દલીલે અદાલતમાં આશ્ચર્ય ઉભું કરી દીધું હતું. ઈ.ડી. તરફથી એેવી દલીલ થઈ કે ધનાઢય આરોપીઓ મોંધી ફી ખર્ચીને મોટા મોટા વકીલો રોકીને બચી જાય છે, ત્યારે અદાલતે ટકોર કરી કે ઈ.ડી. એ કાયદાની મર્યાદામાં રહેવું જોઈએ અને ધૂર્ત જેવું વર્તન કરવું ન જોઈએ.
અદાલતે રાજનેતાઓ દ્વારા થતા આક્ષેપોનો ઉલ્લેખ પણ કર્યો અને સંસદમાં પણ સંસદસભ્ય દ્વારા ઈ.ડી. દ્વારા પાંચ હજાર કેસ થાય, તેના ૧૦ટકાને જ સજા અપાઈ શકે છે, તેવી સંસદમાં થયેલી ચર્ચાનો સંદર્ભ આપ્યો હતો.
સુપ્રિમકોર્ટની બેંચે કરેલી આ ટિપ્પણી પહેલા ગયા મહિને જ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ પણ ઈ.ડી.ની કાર્યપદ્ધતિ સામે સામે સવાલો ઉઠાવ્યા હતા ત્યારે સોલિસિટર જનરલે અદાલતોની આ પ્રકારની ટિપ્પણીઓથી એજન્સીની છબિ ખરડાય છે, અને સ્થાપિત હિતો દ્વારા એજન્સીની સામે જે નેટેટિવ સેટ કરવામાં આવી રહ્યો છે, તેને બળ મળે છે. હવે ફરીથી સર્વોચ્ચ અદાલતે ફરીથી ઈ.ડી. સામે આ પ્રકારની ટકોર કરી હોય, ત્યારે વિપક્ષો દ્વારા ઈ.ડી. સહિતની એજન્સીઓ નો સરકાર દ્વારા દુરૂપયોગ થઈ રહી હોવાની વાતને પણ પુષ્ટિ મળે છે. હવે એજન્સીઓના દુરૂપયોગનો મુદ્દો ફરીથી ટોક ઓફ ધ નેશન બન્યો છે.
હમણાથી "એફિડેવિટ"ની બહુ ચર્ચા છે. અદાલતી કાર્યવાહીમાં કોઈપણ મુદ્દે એફિડેવિટ કરવું એ એક પ્રક્રિયાત્મક સામાન્ય બાબત છે, પરંતુ જામનગરના મેળાના આયોજનની વ્યક્તિગત કે સંસ્થાકિય રીતે સ્પષ્ટ જવાબદારી સ્વીકારતું એફિડેવિટ કરવાની વાત હોય કે પછી રાષ્ટ્રીય ચૂંટણીપંચે મહારાષ્ટ્રમાં થયેલી "મતચોરી"ના સચોટ પ્રેઝન્ટેશન સાથે મીડિયાને આંકડાઓ આપનાર રાહુલ ગાંધીને ચૂંટણીપંચે તેના સમક્ષ એફિડેેવિટ સાથે રજૂઆત નિયમોનુસાર કરવાની વાત કરી હોય, અને આજે તેઓ બેંગલુરૂમાં "મત અધિકારી રેલી" યોજી રહ્યા હોય, આ મુદ્દો ન્યાયતંત્ર, વહીવટીતંત્ર, સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પણ સાંકળતો હોવાથી તેને સામાન્ય પ્રક્રિયા નહીં ગણતા ગંભીર રીતે હેન્ડલ કરવામાં આવે, તે જ જનહિત અને લોકતંત્રના હિતમાં રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર સર્વાધિક ૫૦ટકા ટેરિફ લગાવીને એ સ્પષ્ટ કહી દીધું છે કે હવે અમેરિકા ભારતનું દોસ્ત તો નથી રહ્યું, પરંતુ રશિયા કરતા પણ વધુ અપ્રિય થઈ ગયું છે. એક તરફ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર ટેરિફનો બોમ્બ નહીં, પણ મિસાઈલ છોડી છે, તો બીજી તરફ ખુદ અમેરિકા રશિયા સાથે વેપાર કરે છે, તેથી એ ખુલ્લી દાદાગીરી જ છે કે અમેરિકા ભારત પર ટેરિફ વધારવા માટે રશિયાનું બહાનુ કાઢે છે. હકીકતે તો ભારત પર આટલો બધો ટેરિફ લાદવા પાછળ ભારત અને અમેરિકા વચ્ચે નહીં, પણ નેતૃત્વ વચ્ચેની કોઈ અદૃશ્ય મડાગાંઠ જવાબદાર હોઈ શકે છે, અથવા ટ્રમ્પના કોઈ વ્યક્તિગત હિતો અમેરિકાને ભારતથી દૂર અને પાકિસ્તાનની નજીક ખેંચી જતા હોય, તેવું પણ બની શકે છે. ટૂંકમાં, ટ્રમ્પે એ પુરવાર કરી દીધું છે કે તેેઓ હવે વિશ્વના સૌથી અવિશ્વનિય અને અહંકારી શાસક બની ગયા છે. ટ્રમ્પની તુમાખીનો જવાબ ભારતે ભલે આપ્યો હોય, પરંતુ ટ્રમ્પના ટેરિફનો ૨૭મી ઓગષ્ટથી અમલ થયા પછીના પરિણામો ભારતના એમ.એસ.એમ.ઈ. સહિતના વ્યાપાર ઉદ્યોગને જે માઠી અસરો પહોંચાડશે, તેની રિકવરીનો કોઈ રોડ-મેપ હજુ વિચારાયો હોય તેમ જણાતું નથી. જો કે, આ ટેરિફમાંથી કેટલી ચીજવસ્તુઓને મૂક્તિ આપી છે, અને અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યા પછી આ ટેરિફમાં કેટલો ફેરફાર થાય છે, તે જોવાનું રહે છે, જેથી જસ્ટ વેઈટ એન્ડ વોચ...
ટ્રમ્પની ટેરિફ મિસાઈલ પછી ભારતમાં વિપક્ષો મોદી પર તૂટી પડ્યા છે અને સવાલોની ઝડી વરસાવી દીધી છે, એટલું જ નહીં, વ્યંગાત્મક કોમેન્ટો પણ થઈ રહી છે. હાઉડી મોદી, અબ કી બાર ટ્રમ્પ સરકાર અને ભારતીય અમેરિકનોના ભૂતકાળના સહિયારા કાર્યક્રમોને યાદ કરાવીને મજાક પણ ઉડાળાઈ રહી છે. બીજી તરફ ટ્રમ્પને તો તેની જ પાર્ટીના દિગ્ગજ નેતાઓ સહિતના ગણમાન્ય વરિષ્ઠો ભારત સાથે સંબંધ નહીં બગાડવાની સલાહ આપી રહ્યા છે, અને આખી દુનિયા પર ટેરિફ વધાર્યા પછીની અસરો હેઠળ અમેરિકામાં મોંઘવારી ફાટી નીકળશે, કેટલીક વસ્તુઓની અછત સર્જાશે અને અર્થતંત્ર ખાડે જશે, તેવી ભવિષ્યવાણીઓ પણ થવા લાગી છે. ટ્રમ્પને પણ ટેરિફ અને ટ્રેડનું વળગેલ ભૂત બરબાદ કરી દેશે અને ઘરઆંગણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જશે, તેવા વિશ્લેષણો વૈશ્વિક કક્ષાએ પણ થવા લાગ્યા છે.
આ તરફ અજિત ડોભાલનો રશિયા પ્રવાસ અને પીએમ મોદીનો સૂચિત ચીન પ્રવાસ કંઈક નવાજુની ના એંધાણ દર્શાવે છે અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં સમીકરણો બદલાય, તેવા સંકેતો છે.
રાષ્ટ્રીય રાજનીતિ કરતા યે આંતરરાષ્ટ્રીય રાજકારણ વધુ ગહન, વ્યુહાત્મક અને ખતરનાક પણ હોય છે. ઘણી વખત બહારથી દેખાતું હોય, તેવું હોતું નથી. ટ્રમ્પ ટેરિફની વાતો ઘણાં સમયથી ચાલી રહી છે, અને હવે ટ્રમ્પે ૫૦ટકા ટેરિફ લાદ્યા પછી ભારતે તેેને તર્ક વિહિન ગણાવીને અન્યાયકર્તા ગણાવ્યો છે, અને ભારત પોતે નક્કી કરશે કે કોની સાથે વેપાર કરશે, તથા ૧૪૦ કરોડ લોકોનું હિત જળવાય, તેવા નિર્ણયો લેવાશે, તેવો જવાબ આપ્યો છે, જેની સાથે સાથે એક છુપુ રહસ્ય પણ બહાર આવી ગયું છે, તેની કદાચ બહુ ઓછી નોંધ લેવાઈ છે, અથવા તેના પર કોઈનું બહુ જ ધ્યાન ગયું નથી, પરંતુ તે પોઈન્ટ એવો છે કે, જે પુરવાર કરી દે છે કે ઉપરથી દેખાતું હોય, તેવું જ બધંુ હકીકતમાં હોય, તેવું આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પણ હોતું નથી. ઘણી વખત ગૂપ્ત રણનીતિઓ અલગ પણ હોય છે.
અમેરિકાએ પહેલા જ્યારે રશિયા પાસેથી ક્રૂડ ખરીદતા કે શસ્ત્રોનો વેપાર કરતા દેશોને તદ્દન પ્રારંભમાં ચિમકી આપી હતી કે રશિયા સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધો મૂકાશે; તે સમયે કેટલાક દેશોએ રશિયા સાથેનો વેપાર ઘટાડયો, પરંતુ ભારતે "વટ થી" રશિયા પાસેથી સસ્તામાં ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખ્યું, ત્યારે "વાહવાહી" થઈ હતી અને તે સમયે "શાંતિદૂત" જેવી ઉપમાઓ પણ અપાઈ હતી, પરંતુ હવે ખબર પડી કે એ તો વૈશ્વિક સપ્લાઈ ચેઈન ખોરવાઈ ન જાય, તે માટેની ગૂપ્ત રણનીતિ જ હતી... તે સમયે ભારતે અમેરિકાની મૂક સંમતિ હોવાથી જ રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ હવે સમય બદલાયો છે, અને ટ્રમ્પને એવું લાગે છે કે રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ મેળવીને ભારત મોંઘા ભાવે વેચીને વેપલો કરીને નફો કમાઈ રહ્યું છે, અને તેથી જ ટ્રમ્પે ટેરિફ વધાર્યો હોય તેમ જણાય છે. પરંતુ જે-તે સમયે તો અમેરિકા સામે ભારત ઝુક્યું નહીં અને આંખમાં આંખ પરોવીને વાત કરી હોવાના દાવા થયા હતા.
જે હોય તે ખરૃં, અત્યારે વાસ્તવિકતા એ છે કે ભારત ટોપ-ફાઈવ ઈકોનોમી બન્યું છે, અને ભારતની આર્થિક પ્રગતિની ગતિ જોતા અમેરિકાને અદેખાઈ થઈ હોય કે, અસુરક્ષાની ભાવના ઊભી થઈ હોય, કે પછી ટ્રમ્પ ફેઈમ પાકિસ્તાનની ક્રિપ્ટો કરન્સી કંપનીના હિતો સંકળાયા હોય, તેવું બની શકે. અમેરિકા જેવી મહાસત્તા ભારતને દુશ્મન ગણે તો તે પણ એક સિદ્ધિ જ ગણાય ને ?
જો કે, રાહુલ ગાંધીની થિયરી કાંઈક અલગ જ છે. વિપક્ષના નેતાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત પર ૫૦ટકા ટેરિફ લાદવાનું ટ્રમ્પનું કદમ ઈકોનોમિકલ બ્લેકમેઈલીંગ જ છે. અમેરિકા આ રીતે ભારતને અમેરિકાની શરતો પર ટ્રેડ ડીલ કરવા ધમકાવી રહ્યું છે. ભારતને પોતાના રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને પોલિસી ઘડવાનો અધિકાર છે, જેમાં મહાસત્તા પણ ચંચુપાત કરી શકે નહીં.
રાહુલ ગાંધીએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મૌન રહેવાનો આરોપ લગાવતા કહ્યું છે કે મોદી ટ્રમ્પ સામે ઊભા રહી શકે તેમ નથી, કે જવાબ આપી શકે તેમ નથી, કારણ કે અમેરિકામાં અદાણી સામે તપાસ ચાલી રહી છે, અને તપાસ રશિયા, ભારત અને અદાણી (એએ) સાથે મોદીને સાંકળે છે, તેથી મોદીના હાથ બંધાયેલા છે, વિગેરે...હવે જોઈએ, આના કેવા કેટલા પ્રત્યાઘાતો પડે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે તબાહી મચી ગઈ છે અને ધરાણી ગામનો મોટો હિસ્સો વાદળ ફાટતા આવેલા પૂરમાં તણાઈ ગયો, તે પછી સંખ્યાબંધ લોકોના જીવ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે, તો બીજી તરફ ટ્રમ્પ ટેરરની તનાતની ચાલી રહી છે અને ભારત સાથે સંબંધ બગાડવા સામે ટ્રમ્પને ઘરઆંગણે જ એડવાઈઝ અપાઈ રહી છે. આ બંને મુદ્દા કુદરતી અને કૃત્રિમ રાષ્ટ્રીય કટોકટી જેવા જ ગણાય. હવે ટ્રમ્પને ક્ષોભિલા પડવું પડે તેવા પ્રત્યાઘાતો આપ્યા પછી પૂર્વ અમેરિકન એમ્બેસેડર નિક્કી હેલીને ટ્રમ્પ કેવો પ્રતિભાવ આપે છે, તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે ચૂંટણી પહેલાના મિત્ર અને ચૂંટણી જીત્યા પછી ટ્રમ્પ શાસનનો હિસ્સો બનેલા એલન મસ્કની દશા ટ્રમ્પે કેવી રીતે બગાડી નાખી, તે આપણી સામેજ છે ને ?
ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ ઉપરાંત જો ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી ચાલુ રાખે તો હજુ વધુ ટેરિફ લાદવાની ચિમકી આપ્યા પછી ભારતે ટ્રમ્પને આયનો દેખાડયો અને અમેરિકા પોતે જ રશિયાથી ઓઈલ તો ખરીદે જ છે, પરંતુ અન્ય ક્ષેત્રે પણ જંગી આયાત કરે છે, તેના આંકડાઓ સાથેના અહેવાલો પછી હવે ટ્રમ્પે એવું કહ્યું છે કે તેમનો દેશ રશિયા સાથે આટલો વ્યાપાર કરે છે, તે તેને પોતાને તો ખબર જ નથી !
હવે ટ્રમ્પ આ મુદ્દે તપાસ કરાવવાની વાત કરે છે, જે ગળે ઉતરે તેવી નથી. અમેરિકા જેવી મહાસત્તાના વડાને તેના પ્રતિસ્પર્ધી (હવે પુનઃ દુશ્મન) શક્તિશાળી દેશ સાથે થતા વ્યાપારની ખબર જ ન હોય, તેવું બને જ નહીં, અને તેવું જ હોય તો ટ્રમ્પમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદે રહેવાનું કૌશલ્ય કે સત્તામાં રહેવાનો અધિકાર જ ન હોવો જોઈએ. અમેરિકા માટે પણ ટ્રમ્પ હવે ખતરનાક જ બની રહ્યા હોવાના પ્રત્યાઘાતો ઘરઆંગણે જ પડવા લાગ્યા છે. ગઈકાલથી જ મીડિયામાં નિક્કી હેલી છવાયેલા છે. તેઓ યુનોમાં અમેરિકાના રાજદૂત તરીકે ફરજો બજાવી ચૂક્યા છે અને હાલમાં રિપબ્લિક પાર્ટીના મજબૂત નેતા છે. તેણીએ સોશ્યલ મીડિયા પર એવું લખ્યું છે કે ભારતે રશિયા પાસેથી તેલ ક્રૂડ ન ખરીદવું જોઈએ, પણ અમેરિકાના દુશ્મન દેશ ચીન પણ રશિયા અને ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ખરીદે છે, તેને ૯૦ દિવસની ટેરિફમૂક્તિ આપી છે. ચીનને આવી રાહત ન આપો અને ભારત જેવા મજબૂત દેશ સાથે સંબંધો બગાડવા ન જોઈએ. પોતાની જ રાજકીય પાર્ટીના નેતાની આ સલાહ ટ્રમ્પ માટે ઝટકા સમાન છે.
ગઈકાલે ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને યુક્રેન યુદ્ધને અવગણી રહ્યું છે; તેથી અમેરિકા નોંધપાત્ર રીતે ભારત પર ટેરિફ વધારવા જઈ રહ્યું છે, તે પછી નિક્કી હેલીએ ટ્રમ્પને આપેલી સલાહ અને અમેરિકાનો રશિયા સાથે છેલ્લા પાંચ મહિનામાં ૨૩ ટકાના વધારા સાથે બે અબજ ડોલરથી પણ વધારી દેવાયો હોવાના ભારતે આપેલા જવાબ તથા તે પછી પણ ટ્રમ્પે આ વ્યાપાર અંગે જ અજ્ઞાનતા વ્યક્ત કરી, તે તમામ મુદ્દા અત્યારે ગ્લોબલ ટોકીંગના મુદ્દા છે, જ્યારે બિહારની રાજનીતિના દિલ્હી સુધી પડઘા પડતા પ્રભાવિત થયેલી સંસદની કાર્યવાહી ઠપ્પ થઈ રહી છે, તથા ઉત્તરાખંડમાં વાદળો ફાટતા, નદીઓમાં ભારે પૂર આવતા અને લેન્ડ સ્લાઈડના કારણે સર્જાયેલી તારાજીના અહેવાલો ટોક ઓફ ધ નેશન બન્યા છે. જો કે, પાંચમી ઓગષ્ટે જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના નિધનનો યોગાનુયોગ પણ ચર્ચાઈ રહ્યો છે.
આપણા દેશમાં હવે નદીઓ, પહાડો, ભૂકંપગ્રસ્ત રહેતા વિસ્તારો, દરિયાકિનારાઓ અને રેલવેલાઈનોની તદ્દન નજીક વગર વિચાયુે અને આડેધડ ઊભી થઈ જતી વસાહતો જીવલેણ તબાહીને નોતરે તેવી બની રહી છે, પહેલા દરિયાકાંઠે કે નદીકાંઠે નજીકમાં સામાન્ય સ્થિતિમાં એવા પોર્ટેબલ નાનકડા ઘરો બનાવતા, જે તત્કાળથી ખસેડી શકાય, પરંતુ હવે તો છેક કિનારાઓને અડીને પાક્કા મજબૂત મોટા મોટા મકાનો બનાવી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે માનવજિવન અને અન્ય જીવસૃષ્ટિ પર ખતરો મંડરાતો રહે છે.
ઉત્તરાખંડમાં જે તારાજી સર્જાઈ, તે આખા દેશ માટે બોધપાઠરૂપ છે. પ્રવાસન વિકાસના નામે પહાડો પર ખડકાયેલા વિકાસના માચડા પ્રકૃતિને એવી રીતે અવરોધી રહ્યા છે કે જેથી વિનાશક દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. અડધું ગામ તણાઈ જાય, એ સ્થિતિ જ કેમ ઊભી થઈ ? નદીઓને તદૃન અડીને સિમેન્ટના જંગલો કેવી રીતે ખડકાઈ ગયા ? તેવા સવાલોનો જવાબ કોઈ પાસે નથી. આ પ્રકારના પ્રશ્નો વિપક્ષો ઉઠાવે ત્યારે અત્યારે સત્તામાં હોય તે પક્ષ ભૂતકાળમાં કોણ શાસનમાં હતું ? તેવું જણાવીને જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કરે છે, તો ભૂતકાળમાં સત્તાનો પોતાના સમયગાળામાં થયેલી (ઈરાદાપૂર્વકની) ભૂલો સ્વીકારવા વિપક્ષ તૈયાર હોતો નથી. જવાબદારીની આ ફેંકાફેંકીના પૂર્વ આયોજિત નાટકમાં સામાન્ય જનતા હંમેશા પીસાતી રહે છે, છેતરાતી રહે છે અને સ્વજનોને ગુમાવતી રહે છે. એક તરફ કુદરત કહેર મચાવી રહી છે, તો બીજી તરફ ટ્રમ્પના ટેરિફ ટેરરનો પ્રકોપ છે, ત્યારે આપણે જ નક્કી કરવાનું છે કે કૌન કિતને પાની મેં હૈ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભક્તિ મેળાઓ અને શ્રાવણીયા તહેવારોની મોસમ છે અને તેમાં હવે સાંસ્કૃતિક અને મનોરંજક મેળાઓનો સંગમ થવા જઈ રહ્યો છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્રારંભિક વિરોધ છતાં મહાનગરપાલિકાએ ૧૫ દિવસના મેળાનું આયોજન કર્યું છે, એટલું જ નહીં, હંગામી બસ ડેપોના કારણે અહીં અવ્યવસ્થા કે ટ્રાફિક જામ સર્જાય નહીં, તેની ચિંતા વહીવટીતંત્ર કે મનપાના શાસકો પ્રશાસકોને હોય કે નહીં, પરંતુ કેટલાક હિતચિંતકોને થતી હોવાથી હવે તેના સંદર્ભે "વચલો રસ્તો" કાઢવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ કારણે જ કદાચ જૂની આર.ટી.ઓ. કચેરીને જોડતા બે નવા સી.સી. રોડ એ જ જૂના માર્ગે બનાવાયા હશે, જ્યાં સાતરસ્તાને જોડતો રસ્તો હતો અને પછીથી ફેરફારો થઈ ગયા હતા. આ "વચલા રસ્તા"ને લઈને પણ ચર્ચા થઈ રહી છે. નગરજનોમાંથી એવા પ્રતિભાવો મળે છે કે આગોતરી હરાજી કરીને રૂ. બે કરોડ ભેગા કરી લીધા પછી તંત્રો મેળાના લાભાર્થીઓ અને ત્યાંથી પસાર થતા વટેમાર્ગુઓ (વાહનો સહિત)નો સમન્વય કરીને યોગ્ય વ્યવસ્થાઓ કરે અને લોકેનો ભગવાનના ભરોસે છોડી દેશે તો તેની જવાબદારી આયોજકોની જ રહેશે, કારણ કે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડના મેળાનું આયોજન મહાનગરપાલિકા કરે છે.
પ્રદર્શન ગ્રાઉન્ડની બહારની વ્યવસ્થાઓનો ટોપલો જિલ્લા તંત્ર પર ઢોળી દઈને મહાનગરપાલિકાનું તંત્ર છટકી શકે નહીં, તેવી જ રીતે મહાનગરપાલિકા આયોજિત આ શ્રાવણી મેળાની પ્રદર્શન ગ્રાઉન્ડની આંતરિક વ્યવસ્થાઓની જવાબદારી પણ મનપાના તંત્રની જ રહે છે. જો કે, પ્રદર્શન ગ્રાઉન્ડ અંદર પણ કાયદો-વ્યવસ્થા, વીજ પુરવઠો, આવાગમન, પ્રાથમિક સારવાર અને ફાયર સેફટીની જવાબદારી પણ મનપા અને જિલ્લા તંત્રની સહિયારી રહે છે અને તેથી કોઈપણ ક્ષતિ માટે બંનેને જવાબદાર ગણવા પડે ને ?
એવું નથી કે માત્ર જામનગર મહાનગરપાલિકા કે જિલ્લાનું તંત્ર જ "વચલો રસ્તો" કાઢે છે. હવે તો રાજકીય પક્ષો ઉપરાંત સરકારો પણ "વચલો રસ્તો" કાઢવામાં માહીર બની ગઈ છે. "વચલો રસ્તો" એ એવી કલા છે, જે ઘણી વખત મોટી મોટી સમસ્યાઓ અને મુંઝવણોનો ઉકેલ પણ કરી દેતી હોય છે.
આપણા દેશમાં હજુ પણ સંયુક્ત પરિવારોની પ્રથા જળવાઈ રહી છે. જો કે, આધુનિકરણ અને અદ્યતન ટેકનોલોજીના યુગમાં પરિવારો વિભક્ત થઈ રહ્યા છે અને પ્રવર્તમાન સમયમાં આ પ્રકારની સ્થિતિ સ્વીકારવી પડે તેમ પણ છે, પરંતુ એ કારણે "વચલો રસ્તો" કાઢવાની કલા ઓસરી રહી હોય તેમ જણાય છે. સંયુક્ત પરિવારમાં વડીલો પણા અન્ય પરિવારજનો પોતાના પરિવારના કોઈ પણ સભ્યની મુંઝવણ, ગુંચવણ કે મુસીબત-દ્વિધાને ઉકેલવામાં ત્વરીત મદદરૂપ થતા હતા, પરંતુ વિભક્ત પરિવારોને કારણે યુવા પેઢી અને અનુભવી પેઢી વચ્ચેનું અંતર વધી ગયું છે, જેની સર્વગ્રાહી માઠી અસરો થતી હોય છે, કારણ કે "વચલો રસ્તો" કાઢવાની અનુભવી પેઢીની તરકીબો નવી પેઢીને યોગ્ય સમયે ઉપલબ્ધ હોતી નથી.
અત્યારે તો ધીરજ અને નિષ્ઠાની વાત જ થઈ રહી નથી અને વિવેક તથા સૌજન્યશીલતાનું સ્થાન દેખાડો કરવા, આર્ટિફિશ્યલ પ્રભાવ ઊભો કરવા અને તત્કાળ પરિણામ લાવવાની હોડ લાગી છે, અને તેમાં વચન કે વાયદાનું મૂલ્ય, શબ્દોની કિંમત તથા સંબંધોની સાતત્યતા જળવાતી નથી. હવે વચલો રસ્તો નહીં, પણ ટૂંકો રસ્તો (શોર્ટકટ) વધુ સ્વીકૃત થવા લાગ્યો છે, અને તેથી જ "લોકોનું જે થવું હોય તે થાય, અમે તો અમારૃં ધાર્યું જ કરીશું" તેવી "બહુમતી" આધારિત માનસિકતા પનપી રહી છે. આવું થાય, ત્યારે મનસ્વી ફેસલા લેતા તાનાશાહોની યાદ આવી જાય !
અત્યારે દુનિયામાં વિવિધ સ્વરૂપોના યુદ્ધો ચાલી રહ્યા છે. જમીન, દરિયો અને હવાઈ કે જળમાર્ગે થતા યુદ્ધો ઉપરાંત હવે કોલ્ડ વોર, ટેરિફ વોર, ઈન્ટર્મેશન તથા પબ્લિસિટીનું યુદ્ધ, સાયબર વોર જેવા નવા યુદ્ધો અલગ જ રીતે લડાઈ રહ્યા છે, અને કમનસીબી એ વાતની છે કે વચલો રસ્તો કાઢનારૃં કોઈ નથી. વયોવૃદ્ધ વૈશ્વિક નેતાગીરી પોતાના અનુભવોનો દુરૂપયોગ કરી રહી છે. આજે સંવેદનશીલતા, સૌજન્યતા, માનવતા કે પ્રાથમિકતા જેવું કાંઈ રહ્યું નથી, અને સ્વાર્થ, ટ્રેડ, પ્રોફિટ અને હાયર ઈકોનોમીના શોર્ટકટ્સની દોટ લગાવાઈ રહી છે, એટલું જ નહીં, દુનિયાના દેશો પોતાને શક્તિમાન બતાવવા હવે જૂઠાણાં અને ફરેબનો સહારો પણ લઈ રહ્યા છે. હવે તો ટ્રમ્પ મગજ ફરેલા ધૂની કે તરંગી માનવી જેવા પર્યાય બનવા લાગ્યા છે.
"આઈ લવ પાકિસ્તાન" કહેનાર ટ્રમ્પને પાકિસ્તાને ઈરાન સાથે નવા કરારો કરીને ઝટકો આપ્યો હોય, ટ્રમ્પે ભારતને હજુ વધુ ટેરિફની ધમકી આપી હોય, કે ભારતે અમેરિકાને આયનો દેખાડયો હોય, બિહાર ચૂંટણીપંચ સામે ઉઠાવાતા પ્રશ્નો હોય કે ગુજરાતમાં નેતાગીરી ગોટે ચડી ગઈ હોય, કે પછી મેળાના મુદ્દે મનપા સામે ઉઠેલા સવાલો હોય, આ તમામ મુદ્દે "વચલો રસ્તો" એટલે કે વ્યવહારૂ માર્ગ કાઢવો જ પડે ને ?
હવે શ્રાવણીયા તહેવારો, પ્રવાસીઓની ભીડ, મેળાઓ, દર્શનો અને ટ્રાફિક તથા કાયદો-વ્યવસ્થાના સંદર્ભે વહીવટીતંત્રો અનેક પ્રકારના જાહેરનામા બહાર પાડશે. સામાન્ય જનતા તો ઠીક ઘણાં મોટા માથાઓ પણ આ જાહેરનામાના ચૂસ્ત અમલને લઈને માથુ ખંજવાળતા હોય છે. જરૂર પડે તો સંસદમાં ઠરાવ પસાર કરીને, કાયદો સુધારીને કે બંધારણ સુધારીને પણ પંચાયતથી કેન્દ્ર સરકાર સુધીના તંત્રો, એક્ઝિક્યુટીવ, મેજિસ્ટ્રેટો દ્વારા પ્રસિદ્ધ થતા જાહેરનામાઓમાં જ તે જાહેરનામાના અમલની જવાબદારી કોની રહેશે અને ક્ષતિ થાય તો વ્યક્તિગત અને સામૂહિક બંને રીતે કોન જવાબદાર રહેશે, તેનો ઉલ્લેખ તમામ જાહેરનામામાં જ થાય, તે ઉપરાંત તમામ પ્રકારની મંજૂરીઓ કે હૂકમોમાં પણ થાય, તેનો ઉલ્લેખ કરવો જોઈએ, જેથી પગ તળે રેલો આવે ત્યારે જવાબદારીની ફેંકાફેંકી ન થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગીરના સિંહો ગુજરાતનું ગૌરવ છે અને સિંહગર્જનાની ગુંજ ભલભલાને થથરાવે તેવી હોય છે, પરંતુ જ્યારે સિંહનો મુદ્દો જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવાય, અને તે શાસન-પ્રશાસન માટે પડકારરૂપ બની જાય, ત્યારે તેના પડઘા રાજધાની સુધી પડે એ સ્વાભાવિક છે. અત્યારે ગુજરાતમાં ચાલતી સરકાર ભાજપની ત્રિપલ એન્જિન થિયરીનું એક એવું એન્જિન છે, જેની ઓન-ઓફ અને સિગ્નલ્સની સ્વીચો તો દિલ્હીમાં જ છે, પરંતુ હવે તો અદ્યતન ટેકનોલોજીનો પ્રયોગ કરીને ગિયર પણ ઉચ્ચકક્ષાએથી બદલાતા હોય, તેવી છાપ ઉપસી રહી હોવાનો કટાક્ષ થવા લાગ્યો છે, અને તેના સંદર્ભે ગુજરાતના ત્રણ અધિકારીઓની તાજેતરની અચાનક રાતોરાત થયેલી બદલીઓ અને પોષ્ટીંગને સાંકળવામાં આવે છે. ભૂતકાળમાં કેન્દ્રની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હોવાના આક્ષેપો થતા હતા, ત્યારે હવે રાજ્ય સરકારોની ગાડી પણ રિમોટ કંટ્રોલથી ચાલતી હોવાની ચર્ચા થઈ રહી છે, જેમાં વર્તમાન અને ભૂતકાળના શાસકપક્ષોમાં ગજબની સમાનતા હોવાના તારણો પણ વિશ્લેષકો કાઢી રહ્યા છે. ગુજરાતમાં તો સિંહોના મુદ્દે શાસક પક્ષના જ ધારાસભ્યો ઓપનલી રાજ્ય સરકારને ઘેરી રહ્યા હોય, તેમ સંબંધિત મંત્રીઓને પત્ર લખીને તેને સોશ્યલ મીડિયા તથા મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં જય-વીરૂ નામના લોકપ્રિય સિંહો પર અન્ય સિંહોના હૂમલાઓના કરણે મૃત્યુ થયા હોવાની ઘટના એટલા માટે ચર્ચામાં આવી ગઈ કે આ બંને સિંહો ખૂબજ લોકપ્રિય બન્યા હતા અને એક પછી એક તેના મૃત્યુ પછી ખ્યાતનામ સિંહપ્રેમીઓ તથા કેટલાક મોટા માથાઓએ તેનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ સાસણ-ગીરમાં સિંહો-સિંહણો અને બાળસિંહોના મૃત્યુના અવારનવાર અહેવાલો આવતા હોય છે, ત્યારે એકાદ દિવસ માટે નાનકડા ન્યુઝ બનીને રહી જતા હોય છે. જો કે, હવે ભારતીય જનતા પક્ષના જ ધારાસભ્યોએ આવા મુદ્દાઓ ઉઠાવ્યા હોવાથી તેની ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે.
ગઈકાલથી વાયરલ થઈ રહેલા અહેવાલો મુજબ ભાજપના જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વનમંત્રીને પત્ર લખીને ગીરમાં ઉપરાછાપરી બાળસિંહોના મૃત્યુ અંગે જોરદાર રજૂઆત કરી છે. તેમણે પત્ર દ્વારા સરકારને જણાવ્યું છે કે બાળસિંહોના મૃત્યુ વનતંત્રની લાપરવાહી તથા નિષ્ક્રિયતાના કારણે થયા છે. જો બાળસિંહોના આરોગ્યની સમયોચિત ચકાસણી થતી હોત તો બાળસિંહોના મૃત્યુ અટકાવી શકાયા હોત. તેમણે જંગલમાં સિંહો માટે પીવાના પાણીના પોઈન્ટ વધારવા, અને બાળસિંહોના મૃત્યુના કારણોની ઉંડી તપાસ કરવાની માંગણી પણ ઉઠાવી છે.
એ ઉપરાંત અમરેલીના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ પણ રોષપૂર્ણ ભાષા સાથે સિંહોના સંદર્ભે રજૂઆતો કરી હોવાના અહેવાલો વહેતા થયા છે, તેમણે પણ વનમંત્રીને પત્ર લખીને પૂર્વ ગીર વિસ્તાર તથા પાલીતાણામાં છેલ્લા બે મહિનાથી સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે, તે અંગે સવાલો ઉઠાવ્યા છે અને પુછ્યું છે કે જંગલ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિયમ થતું હોય અને વનકર્મીઓ સક્રિય હોય તો આ રીતે સિંહોના મૃત્યુ થાય જ કેવી રીતે ?
બીજી તરફ લોકોની પ્રાથમિક જરૂરિયાતોના મુદ્દે પણ શાસકપક્ષના ધારાસભ્યો જ સંતુષ્ટ નથી, પરંતુ "શિસ્તબદ્ધતા" નું તાળુ લગાવેલુ હોવાથી તેઓ જાહેરમાં બહુ બોલતા હોતા નથી, અને પાર્ટીના પ્લેટફોર્મ કે સરકારમાં તેનું કોઈ સાંભળતુ હોતુ નથી, તે આ બધું જ ફલસ્ટ્રેશન ઘણી વખત શાસક પક્ષના ધારાસભ્યો પણ તાલુકા-જિલ્લાકક્ષાની મિટિંગોમાં અધિકારીઓ પર ઉતારતા હોય છે. !
જો કે, આંદોલનોમાંથી નેતા બનેલા ભાજપના ધારાસભ્ય લાંબો સમય ચૂપ રહી શક્યા નહીં, તેમણે પોતાના મતક્ષેત્ર અને વતન વિરમગામમાં ગટરનો પ્રશ્ન ઉકેલવા પહેલા તો "શિસ્તબદ્ધ" રીતે રજૂઆતો કરી પરંતુ કોઈ સાંભળતું નહી હોય, તેથી પોતાનો "અસ્સલ" આંદોલનકારી સ્વભાવ દેખાડીને તેમણે આંદોલનની ચિમકી આપી દીધી, તે પછી એવું કહેવાય છે કે ગાંધીનગરથી આદેશો છૂટયા અને તંત્રોમાં હડિયાપટ્ટી પછી કેટલીક બદલીઓ પણ થઈ ગઈ. જે હોય તે ખરૃં, પરંતુ હાર્દિકભાઈનો પણ મોહભંગ થઈ ગયો હોવાથી ચર્ચા હવે મીડિયા અને સોશ્યલ મીડિયામાં થવા લાગી છે.
બીજી દૃષ્ટિએ જોઈએ, તો ભાજપના જ ધારાસભ્યો, સાંસદ કે અન્ય નેતાઓ દ્વારા પ્રગટતો આ આક્રોશ ભાજપમાં ચાલી રહેલી આંતરિક ગડમથલ અને ખેંચતાણ પણ દર્શાવે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બબ્બે વખત બદલી ગયા, પરંતુ કેન્દ્રીય મંત્રી બની ગયા પછી પણ સી.આર.પાટીલને ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે "ઓવરટાઈમ" કરવો પડી રહ્યો છે, જે દર્શાવે છે કે શાસક પક્ષમાં પણ બધું બરાબર નથી !
એક બીજો મુદ્દો આજે ચર્ચાના કેન્દ્રમાં છે. ગુજરાતમાં "નકલી" નો રાફડો ફાટ્યો છે અને આ નકલીઓ સીએમઓ અને પીએમઓ જ નહીં, અદાલતોના ક્ષેત્ર સુધી પગપેસારો કરવા લાગ્યા છે. નકલી ડોકટરો તો શેરીએ અને ગલીએ તથા ગામડે-ગામડે જોવા મળે છે, પરંતુ હવે તો ગેરકાયદે લેબોરેટરીઓ પણ ગુજરાતમાં ધમધમી રહી હોવા છતાં રાજ્ય સરકાર મૌન હોવાની આલોચના થઈ રહી છે. જો બારમું ધોરણ પાસ નકલી પેથોલોજીસ્ટ બનીને હકીકતે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જવાબદારીની ફેંકાફેંકી કરવાના બદલે જવાબદારો સામે કડક પગલા ભરવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
"પોતાને શાધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે તમારી જાતને અન્યોની સેવામાં ખપાવી દ્યો" એ પ્રકારના મહાત્મા ગાંધીના બોધક વાક્ય સાથે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસે ગુજરાત રાજ્યના જેલના આઈ.જી ને રાજ્યની જેલોમાં આશ્રમો જેવું પવિત્ર, સંવેદનશીલ અને મિત્રતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવા હાકલ કરી, તે મુદ્દો માત્ર કાનૂની નહીં, પરંતુ સામાજિક અને માનવતાલક્ષી ક્ષેત્રોમાં પણ પડઘાયો છે. હાઈકોર્ટે રાજ્યના તમામ જેલ સત્તાવાળાઓને મોડેલ જેલ મેન્યૂનું પાલન કરવા, તમામ કેદીઓ સાથે માનવતાપૂર્વક સંવેદનશીલતાથી વર્તવા અને ગુનેગારો તથા કેદીઓનું કાઉન્સીલીંગ કરવાની હાકલ કરવાની સાથે સાથે સરકાર અને તેના તાબાના જેલ પ્રબંધકોને આ લોકોના પૂનર્વસન માટેના જરૂરી પગલા લેવા પણ સૂચવ્યું હતું.
હકીકતે ત્રણ જુદા જુદા કેસોમાં થયેલી તમામ સજા પૂરી કરી લીધા પછી પણ એક કેદીને વધુ બે મહિના જેલમાં વિતાવવા પડ્યા, તે મુદ્દે હાઈકોર્ટ સંબંધિત જેલોના તમામ જેલ અધિકારીઓ તથા ત્યાંના કર્મચારીઓ સાથે આઈ.પી.એસ. અધિકારીને પણ વર્ચ્યુલી હાજર રાખીને હાઈકોર્ટે સમગ્ર જેલ સિસ્ટમને સાંકળીને જેે કાંઈ કહ્યું છે, તે રાજ્યવ્યાપી છે અને શાસન-પ્રશાસન સાથે પરોક્ષ રીતે સરકારને પણ ઝંઝોળે છે. અદાલતે ઓપન ડોર સુનાવણી દરમ્યાન ખચાખચ ભરેલી અદાલતમાં જાહેરમાં જેલ સત્તાવાળાઓની જે ઝાટકણી કાઢી અને આડે હાથ લીધા, તે અદાલતની રાજ્ય સિસ્ટમ પ્રત્યેની નારાજગી દર્શાવે છે., અદાલતે જે કેદીને બે મહિના વધુ જેલમાં રહેવું પડ્યું તેને પચાસ હજાર રૂપિયાના વળતર અપાવીને સંબંધિત જેલની અંદર રહેલા તમામ કેદીઓના સેટ-ઓફ ગાળાની ગણતરી કરવાનો હૂકમ કર્યો હતો.
અદાલતે સજા પૂરી થઈ ગઈ હોય કે જામીન મંજુર કરાયા હોય તેવા કેદીઓ એક મિનિટ માટે પણ જેલમાં ખોટી રીતે-ગેરકાયદે રહેવા ન જોઈએ, તે જોવાની જવાબદારી સ્થાનિક ઉપરાંત ઉચ્ચ સત્તાધીશોની પણ હોવાનું જણાવી જેલ સુપ્રિન્ટેન્ડેન્ટને તો કેદીઓના સેટ-ઓફના સમયગાળાની નવેસરથી ચોક્કસ ગણતરી કરવાનો તથા જેલ રેકોર્ડ અદ્યતન રાખવાનો હૂકમ કર્યો હતો. સંબંધિત જેલ સત્તાવાળાઓએ ગણતરીમાં ભુલ થતા કેદીને બે મહિના વધુ જેલમાં રહેવું પડ્યું તે અંગે કરેલી દલીલોને ફગાવી દેવાની સાથે સાથે ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મનસ્વીતા અને ઉદ્ધતાઈના કારણે કેદીને વધુ સમય સુધી જેલમાં રહેવું પડે તો તે તેમના મૂળભૂત અધિકારોનું હનન છે. બંધારણની કલમ-૫૧ ને ટાંકીને અદાલતે કહ્યું કે જેલમાં હોવા છતાં કેદીઓ તેમના નાગરિકો તરીકેના મૂળભૂત અધિકારો ગુમાવતા નથી.
જેલ કેદીઓને ગુનેગારમાંથી જવાબદાર સજ્જન નાગરિક બનાવવાનું માધ્યમ હોવું જોઈએ, તેના બદલે જેલોમાંથી અવાર-નવાર મળી આવતા મોબાઈલફોન, બીડી-સીગારેટ, તમાકુ તથા અન્ય ગેરકાનૂની કે પ્રતિબંધિત હોય તેવી ચીજ-વસ્તુઓ એવું પ્રતિપાદિત કરે છે કે આ પ્રકારની લાપરવાહ અને ભ્રષ્ટ સિસ્ટમો ધરાવતી જેલો ખુદ જ ગુનાખોરી વિકસાવવાનું માધ્યમ બની રહી છે. રીઢા ગુનેગારો જેલમાં બેઠા-બેઠા પણ તેની ગેન્ગો ચલાવતા હોય, કાવતરા કરી શક્તા હોય કે પછી જેલમાં જ એશોઆરામની તમામ સુવિધાઓ મેળવી શકતા હોય, તો તેનું જવાબદાર કોણ ? આ પ્રકારનો સવાલ રાજ્ય અને કેન્દ્રના ગૃહમંત્રાલયો તથા આ મુદ્દે બહુ અવાજ નહીં ઉઠાવતા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તથા કાનૂનીક્ષેત્રને પણ એટલો જ સ્પર્શે છે, તે ભૂલવું ન જોઈએ.
જેલ-સુધારણા અને પ્રક્રિયાત્મક ફેરફારોની રાજ્યવ્યાપી જરૂર જણાવાઈ રહી છે, ત્યારે ઘણી જેલો એકંદરે માનવીય અભિગમ ધરાવીને શ્રેષ્ઠ કામગીરી પણ કરતી હોય છે. તેથી રાજ્યની જેલોએ તેને અનુસરવું જોઈએ.
તાજેતરમાં વકીલોને જેલમાં કેદીની મુલાકાત અંગેના મુદ્દે જામનગરના બાર-એસોસિએશને કરેલી રજૂઆતોના સંદર્ભે પણ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ અને અન્ય ન્યાયવિંદોની ઉપસ્થિતિમાં યોજાયેલી માસિક મિટિંગમાં ઉભય પક્ષે વિસ્તૃત ચર્ચા-પરામર્શ થયો હતો. જેમાં બાર એસોસિએશનના હોદ્દેદારો, સિનિયર એડવોકેટો, બાર કાઉન્સીલીંગ ઓફ ગુજરાતના સભ્ય, પોલીસ અધિકારીઓ, માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ વચ્ચે તદ્વિષયક રજૂઆતોના સંદર્ભે જેલરે સહયોગની ખાતરી આપી હતી.ી તે સમયે પણ જેલ વ્યવસ્થાપન અને ઉભય પક્ષે સ્વયં શિસ્તની જરૂર જણાવાઈ હતી. કાનૂનના રક્ષકો અને વ્યવસ્થાઓ જાળવતા સરકારી વિભાગોનો તાલમેલ જરૂરી છે, અને સજા પામેલા કેદીઓની માનસિકતામાં જરૂરી બદલાવ લાવીને તેઓને જવાબદાર નાગરિક બનાવવાની જવાબદારી જેલ-વ્યવસ્થાપનની છે, તે વાસ્તવિકતા સ્વીકારીને જેલ-સુધારણાની દિશામાં વાતો કરતા રહેવાને બદલે નકકર કદમ પણ ઉઠાવવા પડે તેમ છે, અને શ્રેષ્ઠ જેલ-વ્યવસ્થાપન સાથે જેલમાં પવિત્ર આશ્રમો જેવું વાતાવરણ ઊભું કરવાની હાઈકોર્ટની ટકોરની કેટલી, કેવી અને કયારે અસરો થાય છે, તે જોવું રહ્યું.
તમામ કેદીઓ સાથે હંમેશાં અપમાનજનક વલણ રાખવું કે તેઓના બિનજરૂરી રીટે ટકા કરવા જેવી સ્વમાનને અસર કરતી પ્રવૃત્તિઓ, જેલની અંદર પણ થતી દાદાગીરી, પરસ્પર પ્રતાડના કે દુર્વ્યવહાર જેવી તમામ હરકતો માનવતા વિરોધી ગણાય અને કેદીઓને કોઈપણ ભેદભાવ વગર જેલમાં રહીને સુધારવાની તકો મળે, તે દિશામાં પ્રયત્નો ત્યારે પજ સફળ થાય, જ્યારે રાજકીય ઈચ્છાશક્તિની સાથે જેલવિભાગ, જેલતંત્ર તથા જેલર અને તેના સ્ટાફનો સુભગ અને શુદ્ધ સમન્વય હોય... ગૃહમંત્રીએ વિચારવા જેવું ખરૃં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે સડક થી સંસદ સુધી સૌથી વધુ ચર્ચા ટ્રમ્પ ટેરિફની જ થઈ રહી છે. ગઈકાલે માલેગાંવ બ્લાસ્ટનો ચુકાદો આવ્યો અને તમામ આરોપીઓ નિર્દોષ છૂટ્યા, તે પછી ભાજપ દ્વારા ભૂતકાળમાં ભગવા આતંકવાદની વાત કરનારાઓ પર પ્રહારો કરાયા, તો અખિલેશ યાદવે એવી આશંકા વ્યક્ત કરી કે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના ચુકાદાનો ગોબેલ્સ પ્રચાર કરીને ટ્રમ્પ ટેરિફ નો મુદ્દો દબાવવાનો કારસો તો રચાયો નથી ને ? ટેરિફના મુદ્દે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું હતું કે "અબ બુરે દિન શુરૂ હો ગયે હૈ"...આવું કદાચ તેમણે ૧૧ વર્ષ પહેલા ગુંજેલા "અચ્છે દિન આને વાલે હૈ" ના નારાઓના સંદર્ભે જ કહ્યું હશે. જો કે, હાલ સુધી ભારત પર ટ્રમ્પ ટેરિફ ૭ ઓગષ્ટ સુધી ટળી ગયો હોવાના અહેવાલો પણ આવ્યા છે. ગઈકાલે વાણિજ્યમંત્રી પિયુશ ગોયલે સંસદમાં કહ્યું હતું કે ભારત-અમેરિકા વચ્ચે ચાર તબક્કાની વાતચીત થઈ ગઈ છે અને હજુ પણ વાટાઘાટો ચાલી રહી છે, તેને સાંકળીને એવો આશાવાદ પણ દર્શાવાઈ રહ્યો છે કે આ અઠવાડિયામાં આ મુદ્દે કોઈ સકારાત્મક ડીલ પણ થઈ શકે છે.
ટ્રમ્પે પાકિસ્તાન પર મહેરબાની વરસાવી છે, તે જોતા એમ પણ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને જુદી જુદી સંસ્થાઓ દ્વારા જે જંગી નાણાકીય સહાય અપાઈ, તે પણ ટ્રમ્પના ઈશારે જ થયું હશે. હવે તેમણે પાકિસ્તાનની સાથે "વ્યાપારિક" ડીલ તથા ઓઈલડીલ કરી છે, તેની પાછળ ટ્રમ્પના કોઈ અંગત હિતો સંકળાયેલા હોવાની વાતો પણ "ક્રિપ્ટો કરન્સી" ક્ષેત્રે કાર્યરત કંપનીને સાંકળીને વહેતી થઈ છે. જો કે, પાકિસ્તાન પરનું ટેરિફ ૧૦ ટકા ઘટાડ્યા પછી પણ ૧૯ ટકા રહ્યું છે, તેનો મતલબ એવો થાય કે ભારત પર જે ટેરિફ જાહેર કર્યું છે, તેના કરતા પણ ૪ ટકા વધુ ટેરિફ તો અમેરિકા પહેલેથી જ પાકિસ્તાન પાસેથી (૨૯ ટકા) વસુલ કરી જ રહ્યું હતું !
ટ્રમ્પે પાકિસ્તાનને ઓઈલડીલ ની લોલીપોપ પકડાવી છે, જેમાં પણ અમેરિકાનો જ ફાયદો છે અને તેલભંડારો નીકળે તો પણ તેનો મહત્તમ લાભ અમેરિકાને જ મળે તેવી ડીલ કરી હશે, પરંતુ આવું કરીને ભારત સરકારને ટ્રમ્પે "ઝટકે પે ઝટકા" લગાવ્યા છે. પાકિસ્તાનમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે, ટ્રમ્પના મૌખિક વાયદાઓ ભરોસાપાત્ર નથી અને અમેરિકા સાથે સંબંધો વધારવા જતા ચીનની મિત્રતા ગુમાવવી પડે નહીં, તે પાકિસ્તાનની શાહબાઝ સરકારે ધ્યાન રાખવું પડે તેમ છે. પાકિસ્તાનમાં મુનિર અને ટ્રમ્પ પોતાના અંગત હિતો માટે ઉંડી રમત રમી રહ્યા છે અને અંગત તથા પારિવારિક હિતો માટે થઈને રાષ્ટ્રીય હિતોનું બલિદાન આપી રહ્યા છે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
ટ્રમ્પ ટેરિફની ભારતીય શેરબજારમાં જેટલી આશંકા હતી તેટલી અસરો ગઈકાલે તો થઈ નહોતી, પરંતુ અમેરિકન ડોલર સામે રૂપિયો તૂટવા લાગ્યો હતો. ગઈકાલે સવારે ડોલરના ભાવ રૂ. ૮૭.૬૯ હતા સાંજ થતા થતા રૂ. ૮૭.૬૦ પર બંધ રહ્યા હતા, તે દરમ્યાન એક તબક્કે રૂ. ૮૭.૭૫ સુધીની નીચલી સપાટીએ પહોંચી ગયા હતા. તજજ્ઞોના જણાવ્યા મુજબ ડોલર સામે રૂપિયો વધુ ૦.૧૮ ટકા તૂટ્યો હતો. રૂપિયાની આ પીછેહઠ ત્રણ વર્ષની સૌથી વધુ હતી અને વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર વધુ મજબૂત થયો હતો. નિષ્ણાતો ટ્રમ્પ ટેરિફ વાસ્તવમાં લાગુ થઈ જાય, તો રૂપિયો વધુ તૂટી શકે છે, અને ડોલર સામે ૯૦ રૂપિયાની નીચી સપાટીએ પહોંચી શકે છે, તેવી સંભાવના પણ દર્શાવી રહ્યા હતા.
જો કે, હવે એક અઠવાડિયાની મુદૃત વધી છે અને તે દરમ્યાન ટ્રેડડીલ થઈ પણ જાય, તેવો આશાવાદ હોવાથી આજે માર્કેટ બંધ થાય, ત્યાં સુધી કેવા કેવા ઉતાર ચઢાવ જોવા મળે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. મોદી સરકાર માટે આ સ્થિતિ સૌથી મોટો પડકાર છે અને સરકારને ઘેરવાનો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો વિપક્ષોને હાથ લાગ્યો છે, ત્યારે સંસદમાં હોબાળો થતો જ રહેવાનો છે તેથી સરકાર બેકફૂટ પર હોય તેવી છાપ ઉપસી રહી છે.
ટ્રમ્પ ટેરિફની અસરો અંગે સામાન્ય જનતાને સીધી ખબર ન પડે, પરંતુ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રોને સીધી અસરો થઈ શકે છે. જો એકાદ અઠવાડિયામાં ટ્રેડડીલ ફાયનલ ન થાય તો ભારતે અમેરિકાના વિકલ્પે અન્ય દેશોમાં નિકાસ વધારવી પડશે અને તે દિશામાં યુએઈ તથા બ્રિટનની જેમ અન્ય દેશો સાથે પણ નવા વ્યાપાર કરારો કરવાની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને રશિયા સાથે જ મૃતપ્રાયઃ (ડેડ) ગણાવ્યુ તેની સાથે ભારતની સરકાર જ નહીં, કોંગ્રેસ સહિતના વિપક્ષના કેટલાક નેતાઓએ પણ અસહમતિ દર્શાવી છે. જો કે, રાહુલ ગાંધીએ ટ્રમ્પના નિવેદનને સમર્થન મળે, તેવું નિવેદન કર્યું છે. ભારતનું અર્થતંત્ર હોય કે રશિયાનું અર્થતંત્ર હોય, તેને મૃત (મરેલુ) કહેવું એ ટ્રમ્પનો ઘમંડ અને અજ્ઞાનતા જ છે, કારણ કે ભારત અને રશિયાની સરખામણીમાં ટ્રમ્પનું ટપોરૃં પાકિસ્તાન તો તદૃન કંગાળ અર્થતંત્ર હોવાથી જ દુનિયાભરમાં કટોરો લઈને ફરે છે, તે પ્રકારના બિનરાજકીય ક્ષેત્રોમાંથી પણ પ્રત્યાઘાતો પડયા છે.
બીજ તરફ ૯૦ જેટલા દેશો પર ટેરિફ વધાર્યા પછી અમેરિકામાં મોંઘવારી ફાટી નીકળશે, અને ત્યાંના વિરાટકાય ઉદ્યોગો તથા વેપારક્ષેત્રને પણ નવા જ પડકારોનો સામનો કરવો પડશે, તેથી નજીકના ભવિષ્યમાં ટ્રમ્પને ઘરઆંગણે પણ વિરોધનો સામનો કરવો પડશે, તેવી આગાહી પણ ઈન્ટરનેશનલ કક્ષાના અર્થશાસ્ત્રીઓ કરી રહ્યા છે.
ભારતમાં ટ્રમ્પ ટેરિફનો મુદ્દો હજુ રાજકીયક્ષેત્રે જ ગુંજે છે, પરંતુ જો ટ્રેડડીલ નહીં થાય અને મોદી સરકારના દાવાઓ મુજબ વૈકલ્પિક માર્કેટ શોધવામાં વાર લગાડશે, તો તેની અસરો સામાન્ય જનતાને પણ થશે. બીજી તરફ ઘણાં લોકો એવું પણ કહે છે કે અમેરિકાએ મુકેલા પ્રતિબંધોની પરવાહ કર્યા વગર ભારતે રશિયા પાસેથી "વટ થી" સસ્તુ ઓઈલ (ક્રુડ) ખરીદ્યું અને યુદ્ધ સામગ્રી ખરીદવાનું પણ ચાલુ રાખ્યું , તેનો બદલો ટ્રમ્પ લઈ રહ્યા છે, અને તે સમયનો "વટ" અત્યારે બૂમરેંગ પૂરવાર થઈ રહ્યો છે.
એક દાયકા પહેલા જ્યારે બે-ત્રણ વર્ષ સુધી "અચ્છે દિન આને વાલે હૈ" નો નારો ગુંજતો હતો, અને આજે અખિલેશ યાદવે આપેલો "બૂરે દિન આ રહેે હૈ...બહુત બૂરે દિન આને વાલે હૈ" જેવા નારાઓ ગુંજ્વા લાગ્યા છે. હવે અમેરિકા-ભારત વચ્ચે નવી ટ્રેડડીલ થાય તો પણ ભારત અને ભારતીયો (વિદેશમાં વસતા દેશવાસીઓ સહિત)નું હિત જળવાઈ રહે અને ઘી ના ઠામમાં ઘી પડી રહે તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અંતે અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડી જ દીધો અને ૨૫% ટેરિફની જાહેરાત કરી દીધી. આ જાહેરાતથી માત્ર રાજકીય જ નહીં, ઔદ્યોગિક, વ્યાપારિક, ટેકનોલોજી, આઈ.ટી. અને વિકાસ તથા આર્થિક ક્ષેત્રો પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ જાહેરાત કરીને જો ટ્રમ્પ ફરી ન જાય અને હજુ પણ ટેરિફ વધારે, ભારે પેનલ્ટી લગાવે, નવા પ્રતિબંધો કરે કે પછી યૂ-ટર્ન લઈ લે, તે પણ જોવું પડશે, કારણ કે નિર્ણયો જાહેર કરીને ફરી જવાની તેઓની આદત જગજાહેર છે. બીજી તરફ આ જાહેરાત પછી વિપક્ષો ગઈકાલે સાંજથી જ મોદી સરકાર પર તૂટી પડ્યા છે, એટલું જ નહીં, ભાજપ અને તેના સાથીદાર પક્ષોના નેતાઓ પણ ગઈકાલે સ્તબ્ધ જણાયા હતા.
વિપક્ષના નેતાઓ મોદી સરકારને ઘેરી રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટ્રમ્પની મિત્રતા પર વ્યંગ વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા મીડિયાના માધ્યમથી એવી આવી હતી કે ભારત સરકાર ભારતના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને સુક્ષ્મ, માધ્યમ, લઘુ ઉદ્યોગો (એમ.એસ.એમ.ઈ.) ના સંવર્ધન અને કલ્યાણની સુરક્ષાને પ્રાયોરિટી આપવાની મક્કમ નીતિ અપનાવી છે, અને રાષ્ટ્રીય હિતો માટે સરકાર તમામ કદમ ઉઠાવશે. સરકારે પોતાના આ અભિગમ અંગે બ્રિટન સાથે તાજેતરમાં જ કરેલા વ્યાપાર, અને આર્થિક સહિતના કરારોનું દૃષ્ટાંત આપતા દાવો કર્યો હતો કે આ માટે ભારત સરકાર આકરા કદમ ઉઠાવશે અને જરૂર પડ્યે વાટાઘાટો કરશે. વિગેરે...
ભારત પર ટેરિફ લગાવ્યા પછી અમેરિકાએ પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કરીને ત્યાં તેલભંડારો વિકસાવવાની જાહેરાત કરી, તે પણ ભારત માટે ઝટકો છે. જો કે, ગઈકાલે સરકાર તરફથી વહેતા કરાયેલા અહેવાલો મુજબનો આ દાવો વિરોધપક્ષોને ગળે ઉતર્યો નહીં. આવતીકાલથી જ આ ટેરિફ લાગુ થઈ જવાની જાહેરાત થયા પછી ગઈકાલથી જ આકરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગી નેતા જયરામ રમેશે કહ્યું કે ટ્રમ્પ અને "હાઉડી મોદી" વચ્ચે આ પહેલા થયેલી પ્રશંસાઓનો કોઈ જ અર્થ રહ્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે નરેન્દ્ર મોદીનું પરોક્ષ અપમાન અને પાકિસ્તાનની તરફેણ કરી હોવા છતાં મોદી એટલા માટે ટ્રમ્પના મધ્યસ્થીના દાવાઓ અંગે ચૂપ રહ્યા હશે કે ટ્રમ્પ ભારતને વિશેષ દરજ્જો આપીને ટેરિફ નહીં લગાવે, પરંતુ તેવું નથી થયું. મોદીએ ઈન્દિરા ગાંધીની પ્રેરણા લઈને રાષ્ટ્રપતિ (ટ્રમ્પ) ની સામે થવું જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે ભાજપ સરકાર અને વડાપ્રધાને રાષ્ટ્રીય હિતો સાથે સમજૂતિ કરી છે, સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદૌરિયાએ અમેરિકાની નિંદા કરી અને પી.એમ.મોદીના ગઈકાલના ભાષણને પણ નિરાશાજનક ગણાવી દીધું, તો ઉદ્ધવ જૂથના સાંસદ (શિવસેના) એ વ્યંગ કર્યો કે અમેરિકા માટે અમેરિકા ફર્સ્ટ છે, અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટેરિફ લાદે છે, છતાં "દોસ્ત" ફર્સ્ટ છે !
આજે સંસદમાં પણ ભારત પર ટેરિફ અને પાક. સાથે ટ્રેડ ડીલના ઘેરા પડઘા પડ્યા છે. અને આને મોદી સરકારની વિદેશનીતિની બદહાલી ગણાવાઈ રહી છે. બીજી તરફ ઉદ્યોગ વ્યાપારક્ષેત્ર તથા અર્થશાસ્ત્રીઓ ટ્રમ્પ ટેરિફના કારણે ભારતને કેટલી વિપરીત અસરો થશે, તેના તારણો કાઢી રહ્યા છે. તટસ્થ તજજ્ઞો અમેરિકાની દગાબાજી અને ટ્રમ્પે દુનિયાના ઘણાં દેશો પર લાદેલા ટેરિફની સરખામણી કરવાની સાથે સાથે ભારતના અર્થતંત્ર પર થનારી માઠી અસરો અંગે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે, અને ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર તથા આયાત-નિકાસના આંકડાઓ ટાંકીને જી.ડી.પી. ને કેટલી અસર થશે તેના અનુમાનો પણ લગાવાઈ રહ્યા છે અને વારંવાર બોલીને વારંવાર ફરી જતા ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધવિરામ કરાવવામાં પોતાને મળેલી નિષ્ફળતાને સાંકળીને પેનલ્ટીની વાતો કરી રહ્યા હોવાથી તેને હવે "મિત્ર" કે "મિત્રદેશ" ગણવામાં શાણપણ નથી, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે. ભારત "બ્રિકસ"નું સભ્ય હોવાનું કારણ પણ બતાવાઈ રહ્યું છે.
ઘણાં લોકો એવું માની રહ્યા છે કે નોબેલ પારિતોષિકના ભૂખ્યા ટ્રમ્પને વૈશ્વિક શાંતિદૂત થવાના અભરખા જાગ્યા હોવાથી કોઈપણ બે દેશ વચ્ચેનું યુદ્ધ કોઈપણ કારણે અટકી જાય તો, પણ તેનો યશ ધરાર લેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ભારત-પાકિસ્તાનનું યુદ્ધવિરામ ટ્રેડની ધમકી આપીને પોતે કરાવ્યું હોવાનો વારંવાર દાવો કરી રહ્યા ેછે, પરંતુ વડાપ્રધાન મોદીએ ક્યારેય તેને પોતે રદીયો આપ્યો નહોતો, તેથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના વિરોધપક્ષના નેતાઓ મોદીના મુખેથી આ સ્પષ્ટતા થાય, તેવું ઈચ્છતા હતા, પરંતુ મોદી મગનું નામ મરી પાડતા નહોતા. અંતે ઓપરેશન સિંદૂરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાને મંગળવારે લોકસભામાં ટ્રમ્પનું નામ લીધા વગર જ ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવ્યું હોવાના દાવાને નકારતા કહ્યું હતું કે વિશ્વના કોઈપણ દેશ કે નેતાના કહેવાથી યુદ્ધવિરામ થયું નથી, અને ટ્રમ્પે બીજા જ દિવસે ૨૫% ટેરિફની ઘોષણા કરી દીધી હતી. જો કે, ગઈકાલે સાંજ સુધી બે માંથી કોઈપણ દેશે આ અંગે સત્તાવાર રીતે કોઈ લેખિત નિવેદન તો આપ્યું નહોતું પરંતુ ટ્રમ્પે પત્રકારો સમક્ષ અને ભારતે મીડિયાના માધ્યમથી જે કાંઈ કહ્યું, તે ગઈકાલે ગ્લોબલ ટોક નો વિષય બન્યો હતો.
એ પછી સરકારે જાહેર કર્યું કે આ મુદ્દે ભારતના હિતો સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા આપતા એમ.એસ.એમ.ઈ., ખેડૂતો, દેશહિતની પ્રાયોરિટી જાળવીને જ ભારત અમેરિકા સાથે દ્વિપક્ષિય કરાર કરશે. સરકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનની નોંધ લીધી છે અને તેના સંભવિત પરિણામોનો અભ્યાસ થઈ રહ્યો છે. ભારત અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી આ મુદ્દે વાટાઘાટો કરી રહ્યા છે અને એક વાજબી, સંતુલિત અને પરસ્પર લાભદાયી દ્વિપક્ષિય વેપાર કરાર સુધી પહોંચી શકાય વગેરે...વગેરે...
અમેરિકાએ ભારત પર ૨૫% ટેરિફ લગાવ્યો અને રશિયા સાથે સંબંધો રાખીને તેની સાથે વ્યાપાર ચાલુ રાખવા બદલ એક ટકો પેનલ્ટી પણ લગાવાઈ છે, અને તેમાં વળી ટ્રમ્પ ભારતને દોસ્ત ગણાવે છે અને "આઈ લવ પાકિસ્તાન" પણ કહે છે, અને તે જ કારણે ઘણાં લોકોને ટ્રમ્પ કુણા પડશે, તેવો આશાવાદ છે., બીજી તરફ ટ્રમ્પના પરિવાર દ્વારા ક્રિપ્ટો કરન્સીનું ગ્લોબલ સેન્ટર પાકિસ્તાનમાં ઊભું કરીને તેમાં મુનિર સહિતના પાકિસ્તાનીઓની ભાગીદારીની સાથે પણ ઘણાં વિશ્લેષકો ટ્રમ્પના ભારત પ્રત્યે બદલાયેલા વલણનું કારણ માની રહ્યા છે, તો ઘણાં લોકો ટ્રમ્પના આ વલણને વર્તમાન સરકરની વિદેશનીતિ તથા કૂટનૈતિક નિષ્ફળતા ગણાવી રહ્યા છે., જેની વૈશ્વિક મીડિયામાં ચર્ચા થઈ રહી છે.
તે પછી ટ્રમ્પના સોશ્યલ મીડિયાના ટ્વિટ પરથી એવું લાગી રહ્યું છે કે ભારત રશિયા પાસેથી યુદ્ધ સામગ્રી, ઉર્જા અને ક્રુડ મોટા પાયે ખરીદે છે, તે ટ્રમ્પને ખટકે છે. એક અભિપ્રાય એવો પણ છે કે મોદીએ અંતે સીઝફાયરમાં દુનિયાના કોઈપણ નેતાની મધ્યસ્થી નહીં હોવાનું જાહેર કર્યું તેનું આ પરિણામ છે. જો કે, ભારત આઝાદ થયું ત્યારથી સોવિયેટ યુનિયન અને રશિયાનું દોસ્ત રહ્યું છે, જ્યારે અમેરિકાને આ મિત્રતા ખટકતી જ રહી છે. એટલું જરૂર કહી શકાય કે આ કદાચ ઉભય "વિશ્વનેતા" બનવાના અભરખાઓનું પણ પરિણામ હોઈ શકે છે, જે હોવું જોઈતું નહોતું...અને તેનું જવાબદાર કોણ ? એ ઓપન સિક્રેટ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નગરથી પાટનગર સુધી શિક્ષણ ક્ષેત્રના મુદૃાઓ આજે ચર્ચામાં છે. ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકો અને રેગ્યુલર શિક્ષકોની ભરતી કર્યા પછી પણ ખાલી રહી ગઈ હતી, અથવા તે પછી ખાલી થઈ ગઈ હોય, તેવી જગ્યાઓ માટે વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોની સેવાઓ લેવાની છૂટ આપતો પરિપત્ર કર્યો હતો, જેની સામે પ્રચંડ વિરોધ ઉઠયો હતો અને શિક્ષકોના સંગઠનો તથા સંઘોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ વિરોધનો વંટોળીયો રાજ્યની રાજધાની સુધી પહોંચ્યો હતો અને શિક્ષણમંત્રી તથા મુખ્યમંત્રી સુધી આ વિરોધ ના પડઘા પડ્યા હતા.તે પછી રાજ્ય સરકારે પરોઠના પગલા ભર્યા અને જોરદાર વિરોધ પછી આ વિવાદાસ્પદ આદેશ રદ થઈ ગયો હતો.
એક તરફ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૭ નવનિયુક્ત શિક્ષકોને ત્યાંના જિલ્લા શિક્ષણાધિકારીએ નવી નિમણૂકના ઓર્ડર એનાયત કર્યા હતા, તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ અને સામાજિક અગ્રણી દ્વારા દ્વારકા જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મોટા પાયે શિક્ષકોની ઘટ હોવાથી વધુ જગ્યાઓ મંજુર કરવા અને પ્રવર્તમાન ખાલી જગ્યાઓ તત્કાલ મંજુર કરવાની પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત થઈ હોવાના અહેવાલો આવ્યા છે. દ્વારકા જિલ્લામાં જ જો એક હજારથી વધુ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોની ઘટ હોય અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ૨૦૦થી વધુ શિક્ષકોની ઘટ હોય તો આખા રાજ્યની સ્થિતિ કેવી હશે ? તેનો અંદાજ લગાડી શકાય છે.
ખુદ સરકારે જ ગયા વર્ષે જુલાઈમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર ભરતી માટેનું જે કેલેન્ડર જાહેર કર્યું હતું, તેમાં ૨૫ હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવાની થતી હતી, મતલબ કે તે સમયે જ આટલી જગ્યાઓ ખાલી હતી. આ કેલેન્ડરનો અમલ કર્યા પછી પણ જેમ જેમ શિક્ષકો નિવૃત્ત થતા જશે, તેમ તેમ નવી ખાલી જગ્યાઓ ઊભી થશે. આ સાયકલ ચાલતી જ રહેવાની હોવાથી જ જ્યારે ભરતી કેલેન્ડરો નક્કી થાય, ત્યારે તેના અમલીકરણની છેલ્લી તારીખ સુધીમાં વયનિવૃત્ત થનારા શિક્ષકોની પણ ગણતરી કરવાનો કોન્સેટટ રજૂ થયો હતો, પરંતુ વચ્ચે વિવાદાસ્પદ નિર્ણયો લઈને તાજેતરમાં ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની સેવાઓ લેવાની છૂટ આપવા સામે વિરોધનો વંટોળીયો ઉઠતા સરકારે ઝુકવું પડ્યું છે, અને હવે ફરીથી ખાલી જગ્યાઓ પર રેગ્યુલર ભરતી કરવાનું દબાણ વધ્યું છે.
આ તો માત્ર દૃષ્ટાંત છે. રાજ્યભરમાંથી આવી જ પ્રકારની પ્રતિક્રિયાઓ તથા રજૂઆતો થતી રહે છે. સરકાર માટે તો શિક્ષણનો વિષય ગૌણ જ હોય તેમ જણાય છે વગરવિચાર્યા નિર્ણયો લઈને તે પાછા ખેંચવા પડી રહ્યા છે કે પછી આ પણ સમય પસાર કરવાનો તથા શક્ય હોય ત્યાં સુધી ભરતીઓની પ્રક્રિયાઓ ઈરાદાપૂર્વક પાછળ ઠેલવાની તરકીબ છે ? તે પણ ચર્ચાનો તથા સંશોધનનો વિષય છે. ખરૃં ને ?
ગુજરાતમાં શાળાપ્રવેશોત્સવ યોજીને આંગણવાડી, ધોરણ ૧ અને ધોરણ ૯માં પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશના કાર્યક્રમો તો દર વર્ષે યોજાય છે, પરંતુ ડેટા કલેકશન પછી પણ આંકડાકીય સમીક્ષા કરીને જરૂરી રેગ્યુલર શિક્ષકોની ભરતી નિયમિત ધોરણે કરવામાં આવતી નથી, એટલું જ દર વર્ષે ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્કૂલની જરૂરિયાતો, સાધન-સામગ્રી અને સુવિધાઓમાં જરૂરી સુધારા-વધારા પણ થતા હોતા નથી. આ કારણે જ એવા સવાલ ઉઠી રહ્યા છે કે શું રાજ્ય સરકાર શિક્ષણના વિષયને મહત્ત્વપૂર્ણ ગણતી નથી ? શું એજ્યુક્ેશન ડિપાર્ટમેન્ટને સરકાર જ ગૌણ ગણે છે કે પછી શિક્ષણ વિભાગનું જ ધરમૂળથી નવીનીકરણ કરવું પડે તેમ છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
જામનગરમાં તો શિક્ષણ ક્ષેત્રે એક અલગ જ પ્રકરણ ગુંજી રહ્યું છે. રાજ્યના નગર પ્રાથમિક શિક્ષક સંઘે આંદોલનની ચિમકી આપી હોવાની ચર્ચા ગઈકાલથી ટોક ઓફ ધ ટાઉન બની છે. આ પ્રકરણના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે અને આ મુદ્દે નગરની રાજનીતિ પણ ગરમાઈ રહી છે.
હકીકતે જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના તાબા હેઠળના તંત્રના આદેશ સામે શિક્ષકોનું સંગઠન મેદાને પડ્યું છે. ગત તા. ૨૬ જુલાઈના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ મુદ્દો ઉપસ્થિત થયા પછી તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા, જે અંગે ગઈકાલે યુનિયનને કોઈ હૈયાધારણા મળી હતી, તેવી વાત પણ સામે આવી રહી છે.
વાસ્તવમાં નગરની શાળા નં. ૨૯ની બે શિક્ષકા બહેનો તથા એક શિક્ષકનું એક વર્ષનું ઈન્ક્રીમેન્ટ રોકવાના તથા સર્વિસ રેકોર્ડમાં વિરૂદ્ધ નોંધ થાય તે પ્રકારના શાસનાધિકારીના ઓર્ડર સામે શિક્ષકોનું યુનિયન મેદાને પડયું છે., અને આ પ્રકારની કડક સજાની ફેરવિચારણા નહીં થાય તો તેના ઘેરા પડઘા પડશે અને યુનિયન દ્વારા આંદોલન કરવામાં આવશે.
આ ઉહાપોહ પછી જામનગરની મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં હલચલ થઈ હતી અને યુનિયનોના હોદ્દેદારો તથા સંબંધિત અધિકારી વચ્ચે કોઈ બેઠક યોજીને વિવાદને સમાવવાનો પ્રયાસ કરાયો, અને યુનિયને આ કડક કદમ અંગે ફેરવિચારણા નહીં થાય તો આંદોલનોનો કાર્યક્રમ જાહેર કરવાની ચિમકી આપી હોવાની વાતો વહેતી થઈ હતી. તે પછી તંત્ર કુણુ પડયુ અને ફેરવિચારણાની તૈયારી બતાવાઈ હોવાના દાવાઓ પણ ચર્ચામાં આવ્યા હતા. આ કારણે આ મુદ્દો ગઈકાલે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો, અને તેના સંદર્ભે આજે જે કાંઈ બની રહ્યું છે તે આપણી સામે જ છે. શિક્ષણ ક્ષેત્રે ઓછામાં ઓછા વિવાદો સર્જાય, અને આ વિવાદોની વિપરીત અસરો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના માનસ પર ન થાય, તેવું ઈચ્છીએ...અંત ભલા તો સબ ભલા...
તાજેતરમાં રાજસ્થાનમાં એક સરકારી સ્કૂલની છત જીવલેણ બની, તેના દેશવ્યાપી પ્રત્યાઘાતો પડયા અને ત્યાનાં મુખ્યમંત્રી ડગમગી રહ્યા છે અને ભાજપ ત્યાંના મુખ્યમંત્રીને ટૂંક સમયમાં બદલવાની વિચારણાચ કરી રહ્યું હોવાના જે અહેવાલો છે, તેમાં રાજ્યની શાળાઓની જર્જરિત સ્થિતિ તથા બનેલી ગમખ્વાર ઘટનાની ભૂમિકા મુખ્ય હોવાનું કહેવાય છે, ત્યારે તેમાંથી બોધપાઠ લઈને ગુજરાતમાં પણ જો આવી રીતે જીવલેણ, જોખમી કે અસુરક્ષિત સ્કૂલો હોય, તો તેનો સર્વે કરાવીને જરૂરી મરામત સમયસર કરાવી લેવી જરૂરી છે, અન્યથા ગંભીરા દુર્ઘટના પછી રાજ્યના પુલોની ગુણવત્તા ચકાસણી કરવા દોડવું પડયું, તેમ ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા નીકળવું પડશે. રાજસ્થાન કરતા ગુજરાતમાં સ્કૂલોની ઈમારતો સારી દેખાતી હોય તો પણ દુર્ગમ ટ્રાયબલ તથા પહાડી વિસ્તારોમાં ઘણી શાળાઓની ઈમારતો નબળી હશે, તેની મરામત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશમાં ચોમાસુ બેસી ગયું અને વિવિધ રાજ્યોમાં મેઘમહેર થઈ. ઘણાં વિસ્તારોમાં આંધી, તોફાન સાથે અતિવૃષ્ટિ થતા મેઘમહેર કહેરમાં પણ બદલાઈ ગઈ છે. બીજી તરફ સંસદના ચોમાસુ સત્રમાં પણ પ્રારંભથી જ ચોમાસાની આંધી-તોફાન અને અતિવૃષ્ટિ જેવા દૃશ્યો ઊભા થયા, અને અંતે સરકારે ઓપરેશન સિંદૂર પર વિસ્તૃૃત ચર્ચાની વિપક્ષોની માંગણી સ્વીકારવી જ પડી. ગઈકાલે મધ્યરાત્રિ વીતી ગયા પછી પણ ચાલુ રહેલી આ ચર્ચા આજે પણ ચલાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ અને આજે રાજ્યસભામાં આ જ મુદ્દે ચર્ચા થયા પછી સરકારના જવાબ પર સૌની નજર રહેવાની છે.
ગઈકાલે લોકસભામાં થયેલી ચર્ચા દરમ્યાન વિપક્ષો દ્વારા સરકાર પર આક્ષેપો વરસાવ્યા અને સરકાર પક્ષ તરફથી તેનો પલટવાર થયો, તે ભારે મેઘગર્જના અને આકાશી વીજળી તથા તોફાની પવન સાથે થતા સુપડાધાર વરસાદ જેવા હતા. સણસણતા સવાલો અને તેના જુસ્સેદાર જવાબો વચ્ચે વચ્ચે થતી તેજાબી ટિપ્પણીઓ વચ્ચે પણ બધા જ પક્ષો ભારતીય સેનાની પ્રશંસા કરી રહ્યા હતા, પહલગામમાં આતંકવાદીઓના કાયરતાપૂર્ણ અને ધર્મ પૂછીને કરાયેલા નિંદનિય હૂમલામાં જીવ ગુમાવનાર પર્યટકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા હતા, એટલું જ નહીં, પડોશી દેશ પાકિસ્તાનના પ્રપંચોને પણ વખોડી રહ્યા હતા, તેમાંથી મતભેદો વચ્ચે પણ દેશભક્તિથી તરબતર એક પ્રકારની એકજૂથતા તથા ભારતીય સંસ્કૃતિની પ્રબળતા દર્શાવી રહ્યા હતા, તે જ ભારતની તાકાત છે.
ગઈકાલે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી, તે દરમ્યાન જ જમ્મુ-કાશ્મીરથી એવા અહેવાલો આવ્યા કે ભારતીય સેનાએ "ઓપરેશન મહાદેવ" માં મોટી સફળતા મેળવી છે અને ત્રણ ખૂંખાર પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ ત્રણ આતંકવાદીઓ પૈકીનો હાશિમ મુસા ઉર્ફે સુલેમાન પહલગામમાં નિર્દોષ પર્યટકોને તેઓના પરિવારજનોની નજર સામે જ ધર્મ પૂછીને બર્બરતાથી હત્યા કરવાના ષડ્યંત્રનો માસ્ટર માઈન્ડ હોવાનું પણ જાહેર કરાયું હતું. જો કે, જે ચાર-પાંચ આતંકવાદીઓએ પહલગામમાં બર્બરતાપૂર્ણ કૃત્ય કર્યુ હતું તેઓની ઓળખ તો થઈ ગઈ છે, પરંતુ તે તમામને મોતને ઘાટ નહીં ઉતારાય, ત્યાં સુધી આ હૂમલામાં જીવ ગુમાવનાર પર્યટકોના પરિવારજનોને ન્યાય મળવાનો નથી અને ભારતીય સેના એ માટે સરહદે પ્રયત્નશીલ જ હશે, પરંતુ આ જ મુદ્દે સંસદમાં જે કાંઈ થઈ રહ્યું છે, તે જોતા મોદી સરકાર સવાલોના ઘેરામાં છે.
ગઈકાલે સંસદમાં જ્યારે ઓપરેશન સિંદૂર અંગે જોરદાર ચર્ચા થઈ રહી હતી ત્યારે સુપ્રિમ કોર્ટમાં પણ કેટલાક મહત્ત્વપૂર્ણ કેસોમાં સુનાવણી દરમ્યાન દલીલો અને અદાલતના સણસણતા સવાલોના કારણે ગરમાગરમ ચર્ચા થઈ રહી હતી.
હકીકતે સંસદમાં જસ્ટિસ વર્મા સામે તેના સળગેલા ઘરમાંથી મળી આવેલી બળી ગયેલી ચલણી નોટોના કેસમાં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને તેમને જજના હોદ્દા પરથી હટાવવા દોઢસો થી વધુ સાંસદોની સહી સાથેનો પ્રસ્તાવ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ રજૂ થયો છે. તેવી જ રીતે રાજ્યસભામાં પણ નિયમાનુસાર ૫૦થી વધુ સાંસદોની સહી સાથે આ પ્રસ્તાવ મુકાયો છે.
આ પ્રક્રિયા અટકાવવા અને મહાભિયોગની ભલામણને રદ કરવાની જસ્ટિસ વર્માની અરજી સામે સર્વોચ્ચ અદાલતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી, અને જસ્ટિસ વર્માના વકીલ કપિલ સિબ્બલને સણસણતા સવાલો કર્યા હતા. અદાલતે પુછયું કે જો તમને સર્વોચ્ચ અદાલતે રચેલી તપાસ સમિતિ સાથે જ વાંધો હતો, તો તમે તેની સમક્ષ શું એવું વિચારીને હાજર થયા હતા કે સમિતિનો ફેંસલો તમારી તરફેણમાં જ હશે ?
વાસ્તવમાં સુપ્રિમ કોર્ટે રચેલી ત્રણ સભ્યોની સમિતિએ તપાસ કરીને આપેલા રિપોર્ટમાં સ્પષ્ટપણે જસ્ટિસ વર્માને દોષિત ઠરાવ્યા હતા અને તે પછી જ સર્વોચ્ચ અદાલતે આ રિપોર્ટ રાષ્ટ્રપતિ અને સરકારને મોકલ્યો હતો, તથા મહાભિયોગની દરખાસ્તો રજૂ થઈ હતી, તેથી હવે જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને મહાભિયોગની દરખાસ્તો સંસદમાં પેન્ડીંગ છે, તેવી સ્થિતિમાં સુપ્રિમ કોર્ટ અંતિમ નિર્ણય શું લેશે, તે સંદર્ભે સૌ કોઈની નજર આ કેસમાં આજની સુનાવણી પર મંડાયેલી હતી.
સુપ્રિમ કોર્ટમાં આજે પણ આ મુદ્દે સુનાવણી ઉપરાંત અન્ય કેટલાક મહત્ત્વપૂર્ણ કેસોની ચાલી રહેલી કાર્યવાહીના કારણે સુપ્રિમ કોર્ટ અને સંસદની ગતિવિધિઓની સીધી અસરો રાજકીય ક્ષેત્રમાં પણ પડી રહી છે.
બીજી તરફ ગઈકાલે બિહારમાં મતદાર યાદીના પુનઃ નિરીક્ષણ કરીને નવી મતદાર યાદીઓ પ્રકાશિત કરતા ચૂંટણીપંચને અટકાવવાના કેસમાં સુપ્રિમ કોર્ટે ચૂંટણીપંચને રાહત આપી દીધા પછી તેના રાજકીય પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે., સુપ્રિમ કોર્ટે અરજદારની આ અરજી ફગાવી દેવાની સાથે સાથે ચૂંટણીપંચને કેટલાક સૂચનો પણ કર્યા છે, અને આજે આ મુદ્દે નવી મુદૃત પડશે, તેવું લાગે છે, પરંતુ આ મહત્ત્વપૂર્ર્ણ મુદ્દો હવે રાષ્ટ્રીય બનવાનો છે અને આ અંગે સુપ્રિમ કોર્ટ જે કાંઈ અંતિમ ચુકાદો આપે, તેના પર જ આ પ્રકારે દેશવ્યાપી મતદારયાદી સુધારણાના ચૂંટણીપંચના માસ્ટર પ્લાનનો આધાર રહેવાનો છે.
આ મુદ્દે કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર જૂથ), શિવસેના (યુટીબી), સમાજવાદી પાર્ટી, જેએમએમ, સીપીઆઈ વગેરે પોલિટિકલ પાર્ટીઓએ સુપ્રિમ કોર્ટમાં ધા નાખી છે. બિહારની ચૂંટણી પહેલા એસઆઈઆર એટલે કે મતદારયાદીની ચકાસણી અને સુધારણાની આ કાર્યવાહીના ટાઈમીંગ સાથે પણ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. કેટલાક વિપક્ષી નેતાઓએ વ્યક્તિગત રીતે પણ આ જ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં અરજીઓ કરી છે, અને તેની વિસ્તૃત સુનાવણીઓ પછી જ સુપ્રિમ કોર્ટનો ફેંસલો આવશે, પરંતુ હાલ સુધી તો ચૂંટણીપંચની આ પ્રક્રિયા યથાવત જ રહેશે, તેવી ચોખવટ થઈ જતા હવે રાજકીય પક્ષો આ મુદ્દે નવેસરથી રણનીતિઓ ઘડી રહેલા હોય તેમ જણાય છે.
હરિદ્વારમાં મનસાદેવીમાં ભાગદોડની ઘટના પછી આજે ૧૮ કાવડિયાઓના મૃત્યુ એક જબરદસ્ત માર્ગ-અકસ્માતમાં થયા હોવાની દુર્ઘટનાએ દેશભરમાં કરૂણાંતિકા સર્જાઈ છે. આ કરૂણ ઘટના પછી શ્રાવણ મહિનામાં દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર, સોમનાથ જેવા યાત્રાસ્થળોમાં આગામી તહેવારોમાં માત્ર મંદિરો કે દર્શનીય સ્થળો જ નહીં, પરંતુ ધોરીમાર્ગો પર પણ ગતિમર્યાદા તથા પદયાત્રીઓ માટે પ્રોટેક્શન મળી રહે, તેવી ચૂસ્ત વ્યવસ્થાઓ વધારવાની જરૂર છે અને જાહેરનામાઓ, હૂકમો, નિયમો, ગાઈડલાઈન્સ તથા સતર્કતા માટે અપાતા જુદા જુદા ક્ષેત્રના વિવિધ એલર્ટ વગેરેનો વાસ્તવમાં પૂરેપૂરો અમલ થાય, તેની તાકેદારી પણ રાખવી જ પડે તેમ છે. આ પડકાર ઝીલવા હવે તંત્રોએ તૈયાર રહેવું પડશે અને આ અંગેની જવાબદારીમાંથી સંબંધિત વિભાગો, આયોજકો કે સરકાર છટકી શકશે નહીં, કારણ કે ન્યાયતંત્ર દ્વારા હવે સુઓમોટો સુનાવણીઓ પણ ગંભીરતાથી થવા લાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એશિયા કપનું શિડ્યુલ જાહેર થયા પછી ૧૫મી સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં ક્રિકેટ મેચ રમાશે, તેવું જાહેર થતા જ દેશભરમાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે અને આ વખતે યજમાની ભારતે કરવાની હતી, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી પછી ભારતે પાકિસ્તાન સાથે તમામ સંબંધો તો સ્થગિત કરી દીધા હોવાથી યુ.એ.ઈ.માં ૯ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી (તટસ્થ સ્થળે) આ ટૂર્નામેન્ટ રમાડાશે, જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ ૧૪મી સપ્ટેમ્બરે યોજાશે, અને આ ગ્રુપમેચ પછી એવી સંભાવનાઓ પણ રહે છે કે સુપર ફોરમાં અને ક્વાલિફાય થાય તો ફાઈનલમાં પણ બંને ટીમો સામે સામે આવી શકે છે. એ.સી.સી. દ્વારા આ ટૂર્નામેન્ટનો વિસ્તૃત શિડ્યુલ જાહેર થયા પછી દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, અને વિપક્ષો આને પૈસાનો ખેલ જણાવી રહ્યા છે, અને દેશ સાથે મોદી સરકાર ખીલવાડ કરી રહી હોવાના તીખા તમતમતા આક્ષેપો થઈ રહ્યા છે, અની બી.સી.સી.આઈ.ને આવું કરતું રોકવાના બદલે ગઈકાલ સુધી સરકાર તદૃન ચૂપ શા માટે હતી ? આજે પણ આ મુદ્દે ગોળ ગોળ વાતો શાસક પક્ષોની નેતાગીરી શા માટે કરી રહ્યી છે ? તેવો સવાલ ઉઠી રહ્યો છે, વિપક્ષો તો ત્યાં સુધી આક્ષેપ કરી રહ્યા છે કે આઈ.સી.સી.ના પ્રમુખપદે કેન્દ્રીય ગૃહમંત્રીના પુત્ર જ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જે એક પ્રકારે દેશવાસીઓ જ નહીં, યુદ્ધોમાં પાકિસ્તાન સામે લડતા લડતા શહીદો થયેલા તથા પહલગામમાં જેની ધર્મ પુછીને પાક પ્રેરિત આતંકવાદીઓએ હત્યા કરી, તે દિવ્યાત્માઓનું પણ અપમાન છે, તેવો પ્રચંડ આક્રોશ પણ વિવિધ રાજકીય પક્ષો જ નહીં, કેટલાક અન્ય ગણમાન્ય લોકો તથ વ્યક્ત કી રહ્યા છે.
ઓપરેશન સિંદૂર પછી વિશ્વના જુદા જુદા દેશોમાં ભારત તરફથી પાકિસ્તાનની અસલિયત દુનિયા સમક્ષ મુકવા ગયેલા સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળો પૈકીના એક ડેલિમેશન માં સામેલ મહારાષ્ટ્રના સાંસદ અને શિવસેના (યુબીટી) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ કહ્યું કે જ્યારે આપણો દેશ કારગીલ વિજય દિવસ ઉજવી રહ્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી હતી, ત્યારે જ પાકિસ્તાનના ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ ઘમંડ સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં રમાનાર ક્રિકેટ મેચની ઘોષણા કરી રહ્યા હતા, જે આપણા શહીદોનું અપમાન છે. ઓપરેશન સિંદૂરનું સત્ય દુનિયા સમક્ષ મુકવા, જ્યારે ડેલિગેશનનો વિશ્વના જુદા જુદા દેશોમાં ગયા, ત્યાં ભારત સરકારના સંદેશ મુજબ ચોખ્ખું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપવનું બંધ નહીં કરે, ત્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે કોઈ વ્યવહાર નહીં રાખે, કે વાટાઘાટો પણ નહીં કરે. હવે જો વાતચીત જ નહીં, ક્રિકેટ રમવા માટે પણ તૈયારી બતાવાઈ રહી હોય, તો તેનો વિરોધ આખો દેશ કરશે, બીજી તરફ એવા પ્રતિભાવો પણ આવ્યા કે પાકિસ્તાન સાથે મેચ નહીં રમવા દેવાની ચર્ચાનું આયોજન કરનાર ભારતીય ન્યુઝ ચેનલો પૈકી કેટલીક ચેનલો વચ્ચેના પણ પાક.ના પ્રતિનિધિઓને ચર્ચામાં સામેલ કરવા ન જોઈએ ?
પ્રિયંકા ચતુર્વેદી જ નહીં, વિપક્ષના અનેક નેતાઓના આક્રોશપૂર્ણ નિવેદનો આવ્યા પછી ટેલિવિઝન ચેનલો પર ચાલતા ડિબેટીંગમાં એન.ડી.એ.ના સાથીદારો સહિત શાસક પક્ષના પ્રવકતાઓ ગેં..ગેં...ફેં...ફેં....કરતા અને ફીફાં ખાંડતા જોવા મળ્યા, કારણ કે આખી દુનિયાની ક્રિકેટ ટૂર્નામેન્ટોનો કંટ્રોલ જેની પાસે હોય છે, તેના અધ્યક્ષ જ કેન્દ્રીય ગૃહમંત્રીના પુત્ર હોય અને ઓપરેશન સિંદૂર હજુ ખતમ ન થયું હોય ત્યારે આ પ્રકારે નફ્ફટ, નમાલા અને નપાવટ પડોશી દગાબાજ દેશની ટીમ સાથે ક્રિકેટ રમવાની ઘોષણા થાય, તે પણ શરમજનક ગણાય, એટલું જ નહીં, આવી ઘોષણા થઈ જ શા માટે ? તેવા સવાલોનો કોઈ જવાબ પણ મળી શક્યો નહોતો.
એવી દલીલ થઈ રહી હતી કે આંતરરાષ્ટ્રીય શિડ્યુલ્સ બે મહિના પહેલા તૈયાર થઈ જતા હોય છે, અને બી.સી.સી.આઈ. સરકારી નથી, તેથી હવે સરકાર કદમ ઉઠાવશે જેથી પાકિસ્તાન સાથે કોઈ પણ મેચ નહીં રમાય, જેની સામે એવો આક્રોષ થઈ રહ્યો હતો કે સરકારે આ શિડ્યુલ જાહેર થાય, ત્યાં સુધી ઈરાદાપૂર્વક રાહ જોઈ, અને જોયું કે, જન-પ્રતિભાવો કેવા પડે છે...જો આટલો પ્રચંડ વિરોધ ન થયો હોત તો "રમત" ચાલુ રાખવી અને હવે "જનભાવનાઓને અનુરૂપ" ગણાવીને મેચ રદ કરવાનો "યશ" પણ લઈ લેવાની ગંદી રાજનીતિ અપનાવાઈ રહી છે., અન્યથા ક્ેન્દ્રીય ગૃહમંત્રીના પુત્ર જ આઈ.સી.સી.ના અધ્યક્ષ હોય અને કેન્દ્ર સરકારને શિડ્યુલ જાહેર ન થઈ જાય, તેવું બને જ નહીં ને ?
આ ટૂર્નામેન્ટ રદ થાય કે ભારત નહીં રમે, તો બહુ બહુ તો જંગી નાણાકીય નુકસાન થાય કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમો મુજબ ભારતને ટૂર્નામેન્ટમાં રમવું જ નહીં પડે અને ભારતની ટીમ પાકિસ્તાન સામે ન રમે, તો ભારતીય ટીમને પોઈન્ટનું નુકસાન થાય, તેનાથી વધુ શું થાય ?, પરંતુ આ પ્રકારનું કદમ પાકિસ્તાન અને વિશ્વને આતંકવાદ વિરોધી કડક સંદેશ આપે, અને ભારતની આતંકવાદ વિરોધી રણનીતિની મક્કમતા પૂરવાર થાય, દેશભરમાંથી એવી જનભાવનાઓ પણ ઉઠી રહી છે કે બી.સી.સી.આઈ. કે આઈ.સી.સી. ભલે નિયમો બતાવે અને સરકાર શાહમૃગીવૃત્તિ અપનાવીને ચૂપ રહે, તો પણ ભારતીય ક્રિકેટ ટીમે અને તમામ ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાન સાથે રમવાની ચોખ્ખી ના પાડીને બહિષ્કાર કરી દેવો જોઈએ.
આજે સંસદમાં ઓપરેશન સિંદૂરને સાંકળીને થનારી ચર્ચામાં પણ આ મુદૃો અગ્રેસર રહેવાનો જ છે અને તેથી જ આજે જે કાંઈ બની રહ્યું છે, તે મોદી સરકારની નીતિ વિષયક આલોચનાઓનું પરિણામ ગણાવાઈ રહ્યું છે, પરંતુ એવું કહી શકાય કે "અગર અંત ભલા તો સબ ભલા..."
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શ્રાવણના પ્રારંભે જ જામનગરમાં એક તરફ તો શિવાલયો ઝળહળ્યા અને બીજી તરફ શ્રાવણ મહિનાના પહેલા દિવસે જ શિવમંદિરના ડિમોલીશનના અહેવાલો અને તે પછી તેની થયેલી ચોખવટની ચર્ચા ચાલી. હકીકતે અન્યત્ર નવું શિવમંદિર તૈયાર કરીને પૂરેપૂરી ધાર્મિક વિધિ કરીને ત્યાં શિવલીંગની પ્રાણપ્રતિષ્ઠા કર્યા પછી જ જૂના મંદિરનું માળખુ હટાવાયુ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી. જો કે, અખબારોમાં તો આ વિગત ટાઈમીંગને લઈને રજૂ થઈ હતી, પરંતુ સંબંધિત ટ્રસ્ટે ચોખવટ કરી દેતા ગેરસમજ ફેલાતી અટકી ગઈ હતી. એવી ચોખવટ પણ થઈ કે આ પ્રકારની પ્રક્રિયા પહેલેથી જ ચાલતી હતી અને યોગાનુયોગ જ શ્રાવણની શરૂઆતનો દિવસ આવી ગયો હતો. બીજી તરફ ઘણાં લોકો શ્રાવણી મેળાને લઈને હાથ ધરાયેલી કાનૂની કાર્યવાહીને આ ઘટના સાથે સાંકળી રહ્યા છે. આ ઘટનાક્રમ એ સૂચવે છે કે જે કાંઈ કરો તે પૂરેપૂરૂં વિચારીને કરો, વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય...
યોગાનુયોગ ભારતની નજીક જ બે દેશો વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલા યુદ્ધનો પ્રારંભ પણ શ્રાવણ મહિનાને સ્પર્શી ગયો છે અને શ્રાવણના પ્રથમ દિવસે જ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે જંગ વધુ તિવ્ર બની ગયો હતો. એ પણ ગજબનો યોગાનુયોગ છે કે શ્રાવણ મહિનામાં આ બંને ટચુકડા દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાનું મુખ્ય કારણ પણ બે શિવમંદિરો જ હોવાનું કહેવાય છે.
થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદના વિવાદમાં બે શિવમંદિરોની જગ્યાની માલિકીની ખેંચતાણ મુખ્ય છે. આ બે શિવમંદિર લગભગ એક હજાર વર્ષ જૂના છે, જેના પર બંને દેશો દાવો કરી રહ્યા છે. આ બંને દેશો પર જયારે બ્રિટીશરો અને ફ્રાન્સના શાસનો હતા, ત્યારે પણ આ વિવાદ ચાલી જ રહ્યો હતો. તવારીખ જણાવે છે કે ભૂતકાળમાં જયારે વર્ષ-૧૯૦૭માં કંબોડિયામાં ફ્રાન્સનું શાસન હતું, ત્યારે જે સીમાંકન થયું અને ૮૧.૭ કિલોમીટર લાંબી સરહદનો મેપ તૈયાર થયો, ત્યારે પ્રીહ વિહિયર કંબોડિયામાં દર્શાવાયું, તેનો થાઈલેન્ડે જબરદસ્ત વિરોધ કર્યો, તેવી જ રીતે તા મુએન થોમ મંદિર તે થાઈલેન્ડમાં દર્શાવાયું, જેના પર કંબોડિયાનો પહેલેથી જ દાવો હતો. તા મુએન થોમ જ્યાં આવેલું છે, ત્યાં સરહદી વિવાદ હોવાથી એ નક્કી થઈ શકતું નથી કે આ મંદિરની જગ્યા ક્યા દેશમાં ગણવી જોઈએ. થાઈલેન્ડ તરફ આવેલું જણાતુ આ મંદિર કંબોડિયામાં ખમેર સામ્રાજ્ય હતું, ત્યારે બન્યું હોવાનો દાવો કંબોડિયા કરી રહ્યું છે. બંને શિવમંદિરો છે, અને તે મંદિરો જ નહીં, પરંતુ મંદિરોના તાબાની જમીન પર પણ બંને દેશો દાવો કરતા રહ્યા છે, પરંતુ હવે શિવમંદિરો તથા તેની જગ્યાને લઈને બંને દેશો વચ્ચે જંગ શરૂ થઈ ગયો છે. આમ પણ થાઈલેન્ડ અને કંબોડિયાનો હિસ્ટ્રી ખમેર સામ્રાજ્ય અને સિયામ સામ્રાજ્ય એટલે કે વર્તમાન વિવાદની જેમ જ સેંકડો વર્ષોથી ચાલી આવતી સભ્યતાઓના ટકરાવ સાથે સંકળાયેલો છે, અને જે સીમાવિવાદ છે, તેમાં ભાવનાત્મક નહીં, પરંતુ આધિપત્ય અને જમીન-સંપત્તિની માલિકીની ખેંચતાણ વધુ હોય તેમ જણાય છે. જે હોય તે ખરૂં, પણ હવે આ યુદ્ધ ચીન વકરાવશે અને વિશ્વસમુદાય અટકાવશે તે તો યુએનએસસીની ઈમરજન્સી બેઠક પછી જ ખબર પડશે. પરંતુ જો કોઈપણ કારણો જ્યારે યુદ્ધવિરામ થશે, ત્યારે નોબેલ પ્રેમી ટ્રમ્પચાચા જરુર દાવો કરશે કે ટ્રેડ અને ટેરિફની ચેતવણી આપીને યુદ્ધ બંધ કરાવ્યું છે, તે પ્રકારન વ્યંગાત્મક કોમેન્ટો અને કાર્ટુનો પણ ટ્રેન્ડ થઈ રહ્યા છે.
ઈરાન-ઈરાક-ઈઝરાયલ-સીરિયા-પેલેન્ટાઈન વગેરે દેશોમાં લાંબા સમયથી યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, કેટલાક યુદ્ધો થોડા મહિનાઓથી માંડ થંભ્યા છે, તો કેટલાક દેશોમાં ગૃહયુદ્ધો પણ ચાલી રહ્યા છે. આ ઘટનાક્રમો વચ્ચે વર્ષોથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે, તેવામાં પુતિન-ઝેલેન્સ્કીની મુલાકાતની સંભાવનાઓ અંગે વૈશ્વિક ચર્ચા થવા લાગી છે, તો બીજી તરફ આ બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન વચ્ચેનો બુનિયાદી વિવાદ ઉકેલ્યા વિના પરસ્પર મુલાકાત યોજાય કે શિખર બેઠક થાય, તેવી સંભાવનાઓ ઘણી જ ઓછી છે, પરંતુ બંને દેશો હવે થોડા ઢીલા તો પડ્યા જ છે., તેથી શ્રાવણ મહિનામાં જ શાંતિસ્થાપન માટેની બુનિયાદ રચાઈ જાય, તેવું ઈચ્છીએ, કારણ કે વિશ્વશાંતિ અને વસુધૈવ કુટુંબકમ્ ને વરેલી આપણી ભારતીય સંસ્કૃતિ માવનસંહાર કે માનવતા વિરોધી હોય તેવા યુદ્ધો, ઘર્ષણો, કે કટ્ટરતાની હંમેશાં વિરોધી રહી છે, રશિયા સામે ચાલાકીપૂર્વક પરોક્ષ યુદ્ધ યુક્રેનના ખભે બંદૂક રાખીને કોણ લડી રહ્યું છે, તે ઓપન સિક્રેટ છે, તદૃુપરાંત હથિયારો-યુદ્ધ સામગ્રીના પ્રોડક્શન અને વેપલા જેવા છુપા સ્થાપિત હિતો પણ વિવિધ દેશો વચ્ચે યુદ્ધો વકરતા હોવાથી બે બિલાડીના વિવાદમાં વાંદરો ફાવી ન જાય, તે પ્રકારની કપટલીલા ભજવાઈ રહી છે.
ઓપરેશન સિંદૂરના વિષય પર સંસદ ખોરવાતી રહ્યા પછી હવે સોમવારથી ચર્ચા શરૂ થતા સંસદની કાર્યવાહી રેગ્યુલર ચાલશે, તેવા આશાવાદ વચ્ચે એક તરફ ભારતમાં રાજનીતિ ઉફાણે આવી છે, અને બિહારથી ચૂંટણી જીતવાના દાવ-પેચ વચ્ચે મતદારયાદી સુધારણાની નવી પદ્ધતિ (કે તરકીબ?) સામે પણ વિપક્ષો મોદી સરકાર સામે પ્રહારો કરી રહ્યા છે, તેવા સમયે માલદીવ્સમાં પણ ભારત અને માલદીવ્સ વચ્ચે કેટલાક કરારો થયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંના સ્વાતંત્ર્ય પર્વમાં મુખ્ય અતિથિ છે, તેની ચર્ચાની સાથે સાથે ભારતે માલદીવ્સને પાંચ હજાર કરોડની લોન સાથે ૭૨ હેવી વ્હીકલ આપવાની પહેલ કરી, તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ભારતની નેબરહૂડ ફર્સ્ટની પરંપરાગત પોલિસી રહી છે, ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બનવાની ઊભી થયેલી પ્રબળ સંભાવનાઓ પર ફરીથી ચીનની ચબરાકભરી ચાલનો ઓછાયો ન પડે, તો સારૂં, તેવા પ્રતિભાવો પણ સામે આવી રહ્યા છે. તે પહેલા બ્રિટન સાથે પણ ફ્રી ટ્રેડ સમજૂતિ થઈ રહી છે, જેના કારણે ટ્રમ્પના ભવા તણાયા હોવાની વાત પણ થવા લાગી છે.
આજે આપણો દેશ કારગીલ વિજય દિવસ પણ ઉજવી રહ્યો છે અને એ યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ભારતીય સેનાને બીરદાવાઈ રહી છે, તે ઉપરાંત વાજપેયી સરકાર તે સમયની રાજનૈતિક એકજૂથતાને પણ યાદ કરવામાં આવી રહી છે. યોગાનુયોગ શ્રાવણ મહિનો, કારગીલ વિજય દિવસની સાથે વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધોને શાંત કરવાના પ્રયાસોનું સંયોજન પણ થયું છે, ત્યારે ભારતના વિવિધ યુદ્ધો તથા સાહસિક સલામતિ માટે વીરગતિ પામનાર તમામ શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ અને યુદ્ધ લડનાર તમામ જાંબાઝોને બિરદાવીએ...સારે જહાં સે અચ્છા, હિન્દુસતાં હમારા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે અને મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય, હર હર ભોલેના ગુંજરવ સાથે શિવભક્તો દ્વારા વ્રત, ઉપવાસ અને અનુષ્ઠાનો શરૂ થઈ ગયા છે. બીજી તરફ શ્રાવણી મેળાઓ, ઉત્સવો, ઉજવણીઓ અને ધાર્મિક-પ્રાકૃતિક પ્રવાસોની તૈયારીઓ પણ થવા લાગી છે.
"સૌરાષ્ટ્ર સોમનાથમ્" એટલે કે પ્રથમ દ્વાદશ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથમાં આજથી દેશ-વિદેશથી દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં ઉમટશે, તેવી જ રીતે દ્વારકાના નાગેશ્વરમાં પણ શિવભક્તોની ભીડ જામશે. નાનામાં નાના ગામડાથી માંડીને મહાનગરો, નગરો, શહેરોમાં તમામ શિવાલયોમાં ભગવાન શંકર, શિવજી અને મહાદેવના જયઘોષ સાથે આજથી આખો મહિનો શિવભક્તો દ્વારા વ્રતો, અનુષ્ઠાનો, ધાર્મિક કાર્યોની સાથે સાંકળીને કેટલાક માનવસેવાના કાર્યો પણ થતા રહેવાના છે.
દેશમાં એક તરફ છેલ્લા પખવાડિયાથી શિવભક્તિનો સંચાર થયો અને મહાદેવના મંદિરો ઉભરાવા લાગ્યા, તો બીજી તરફ કાવડ યાત્રા, અમરનાથ યાત્રા તથા બદ્રી-કેદારજીની યાત્રાના શ્રેણીબદ્ધ આયોજનો સંપન્ન થવા લાગ્યા. ઉત્તર ભારત, રાજસ્થાન સહિત ઘણાં રાજ્યોમાં એક પૂર્ણિમાથી બીજી પૂર્ણિમા વચ્ચે મહિનાની ગણતરી થાય છે, ત્યાં એક પખવાડિયાથી શ્રાવણના ધાર્મિક આયોજનો થઈ રહ્યા છે, જ્યારે ગુજરાત તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગો સહિત દેશમાં ઘણાં સ્થળે આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આપણાં દેશમાં વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ તથા ભિન્ન-ભિન્ન માન્યતાઓ વચ્ચે જે રીતે ધાર્મિક કાર્યક્રમો, આધ્યાત્મિક સંદેશ, ઉત્સવોની ઉજવણી અને પ્રવાસ-પર્યટન-મનોરંજન તથા સામૂહિક રોજગારી ઉપાર્જનનું જે સંયોજન કરવામાં આવે છે, તે ખરેખર અદ્ભુત છે, અને આ આયોજનો બહુહેતુક પુરવાર થાય છે તથા આપણને બધાને પરસ્પર જોડે છે, તે જ આપણી ભારતીય સંસ્કૃતિની ખૂબી છે. ભારતીય સંસ્કૃતિ સર્વ-સમાવેશી અને સર્વજન હિતાય, સર્વજન સુખાય, કામ કરનારી છે., જેથી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અલગ જ ભાત પાડે છે.
સૌરાષ્ટ્રમાં તો લોકમેળાઓ, તહેવારો, ભક્તિમેળાઓ અને ઉત્સવો-ઉજવણીઓનું વિવિધલક્ષી અને વિશેષ મહત્ત્વ છે. અબાલ-વૃદ્ધ-સૌ કોઈ આ મેળાઓ-ઉત્સવો-તહેવારોની રાહ જોઈને આખું વર્ષ વિતાવ્યા પછી પ્રસંગોચિત ઉજવણીઓ કરે છે, અને તેની સાથે વિપુલ રોજગારી, વ્યાપાર અને નાણાકીય ટર્ન-ઓવર જેવા આર્થિક-સામાજિક વિષયો પણ સંકળાયેલા હોય છે. આ કારણે જ ઉત્સવો, મેળાઓ, ધાર્મિક આયોજનોના વ્યવસ્થાપકો તથા તંત્રોની જવાબદારીઓ અને વ્યસ્તતા પણ વધી જતી હોય છે, કારણ કે મનોરંજન તથા દર્શનના ક્ષેત્રે યોજાતા કાર્યક્રમો-સમયપત્રકો અને અનુરૂપ વ્યવસ્થાઓ એવી રીતે કરવી પડતી હોય છે, જેમાં લોકોની સુરક્ષા-સલામતિ અને સુગમતા-સુવિધાઓ પણ જળવાઈ રહે અને લોકો ઉત્સવો-મેળાઓ તથા ઉજવણીઓ મુક્તમને માણી શકે અને પવિત્ર સ્થળોએ દર્શન-પૂજન-અનુષ્ઠાનો વગેરે નિર્વિઘ્ને કરી શકે.
જામનગરમાં તો છેલ્લા કેટલાક દિવસોથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાના આયોજનના વિષય પર જ ચર્ચાઓ થઈ રહી છે. એવું નથી કે જામનગરનો શ્રાવણી મેળો જ ચગડોળે ચડ્યો છે, પરંતુ રાજકોટમાં પણ રાઈડ્સના મુદ્દે ફરીથી મડાગાંઠ સર્જાઈ ગઈ હતી અને મેળાના આયોજકો, મેળામાં વ્યવસાય કરવા માટે ટેન્ડરો ભરવા ઈચ્છતા લોકો અને રાઈડધારકો વચ્ચે છેક રાજ્ય સરકારની કક્ષાએ વાટાઘાટો દરમ્યાન લેવાયેલા નિર્ણયોનો સરકારના જ વિભાગે અમલ નહીં કરતા ફરીથી રાઈડધારકો તથા તંત્ર વચ્ચે ગુંચવણ ઊભી થઈ ગઈ હતી. એવું કહેવાય છે કે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે રાજ્ય સરકાર સાથે થયેલી વાટાઘાટોની તેઓને જાણ જ નહીં હોવાનું જણાવીને રાઈડ્સ-ચગડોળ વિગેરે માટે પૂર્વનિર્ધારિત પ્રક્રિયા જ અપનાવીને પ્રમાણપત્ર મેળવવાનો આગ્રહ રાખતા જે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ હતી, તે કાં તો રાજ્ય સરકારનો તેના જ વિભાગો પર કોઈ અંકુશ નથી અથવા તો રાજ્ય કક્ષાના તંત્રો અને જિલ્લા તંત્રો વચ્ચે કોઈ જ સંકલન નહીં હોવાનું પૂરવાર કરે છે.
બીજી તરફ શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો હોવા છતાં હજુ મેળાઓના ફાઈનલ આયોજનો તથા પ્રક્રિયાઓ જ ગોટાળે ચડી ગયા હોવાથી આ મેળાઓમાં સ્ટોલ રાખવા માટે જેમ તેમ કરીને તથા ઉધાર-ઉછીના લઈને તૈયારી કરનાર નાના નાના ધંધાર્થીઓ ખૂબ જ ચિંતામાં મુકાયા છે. જાહેર સુરક્ષા અને સલામતિ તથા કાયદો-વ્યવસ્થાની જાળવણી સામે લોકોના વ્યક્તિગત અને સામૂહિક હિતોનો ટકરાવ થઈ રહ્યો હોવાનો આભાસ થાય છે, જે શાસન અને પ્રશાસનની લાપરવાહી અને નિષ્ફળતા દર્શાવે છે.
જામનગરનો મેળો તો અદાલતની અટારીએ પહોંચ્યો અને સંબંધિતોને નોટીસો ફટકારાયા પછી હવે જામનગરનો મેળો પણ સ્વયં ચગડોળે ચડયો હોય તેમ જણાય છે. કોંગ્રેસે તો જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીને સેટિંગ કમિટી કહી દીધી અને શ્રાવણી મેળો સુખ, શાંતિ અને સલામતિ સાથે યોજાય, લોકો મૂકતમને મોજ માણી શકે, અને તેના કારણે અન્ય વ્યવસ્થાઓ, ટ્રાફિક કે જનસુવિધાઓ ખોરવાઈ ન જાય, તેવી વ્યવસ્થાની જવાબદારી જામ્યુકોની તથા સ્થાનિક તંત્રોની હોવાથી આ મેળાનું આયોજન ફૂલપ્રૂફ તથા સલામત હશે તથા અન્ય તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહેશે, એટલું જ નહીં, જો તેમાં કોઈ અનિચ્છનિય બનાવ, દુર્ઘટના કે અવ્યવસ્થા સર્જાશે, તો તેની જવાબદારી આયોજકો એટલે કે મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ તથા સંબંધિત સરકારીતંત્રોના ઉચ્ચ અધિકારીઓની રહેશે તેવું એફિડેવીટ કોર્ટમાં રજૂ થાય, તેવી માંગણી યથાર્થ છે કે નહી ? તેવી ચર્ચા પણ થઈ રહી છે.
જો જામ્યુકો અને તંત્રોને પૂરેપૂરો વિશ્વાસ હોય કે તમામ વ્યવસ્થાઓ, લોકોની સુરક્ષા-સલામતિ અને સુવિધાઓ જળવાશે અને કોઈ અવરોધ નહીં આવે, તો આ પ્રકારનું એફિડેવીટ કરવામાં વાંધો શું ?
જો આયોજકો અને જવાબદાર તંત્રો જ કોઈ જવાબદારી લેવા તૈયાર ન થાય, તો આ તમામ જવાબદારીઓ જનતા પર ઢોળી દેવી યથાર્થ છે કે નહીં, તેનો નિર્ણય હવે જરૂર પડ્યે ન્યાયતંત્રે સુઓમોટો સુનાવણી કરીને લેવડાવવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે દિવાસો છે અને આજથી ૧૦૦ દિવસ સુધી વિવિધ અનુષ્ઠાનો તથા તહેવારોની શ્રૃંખલા શરૂ થાય છે. આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થશે અને મહાદેવના મંદિરો હર હર મહાદેવ અને બમ્ બમ્ ભોલે જેવા નાદોથી ગુંજી ઉઠશે. આ વર્ષે જન્માષ્ટમી પર્વ અને સ્વાતંત્ર્ય પર્વનો સુભગ સમન્વય પણ થયો છે. શ્રાવણ મહિનાના સોમવારોના દિવસે યજ્ઞો તથા શિવજીની આરાધનાના વિશેષ કાર્યક્રમો યોજાતા હોય છે. હવે છેક દેવદિવાળી સુધીના ૧૦૦ દિવસો તહેવારોની જે શ્રૃંખલા આવે છે, તેમાં સનાતન સંસ્કૃતિના વિવિધ સ્વરૂપો જોવા મળે છે., રક્ષાબંધન, શિતળા સાતમ, જન્માષ્ટમી, પારણા નોમ ને સાંકળતા ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પૌરાણિક મહાત્મયો પ્રચલીત છે. તે પછી ઘણાં બધા તહેવારો આવે છે, જેમાં મુખ્યત્વે ગણેશોત્સવ, શ્રાદ્ધ, નવરાત્રિ, શરદ પૂર્ણિમા અને દિવાળીના દિપોત્સવી, કાળીચૌદશ, નૂતનવર્ષ, ભાઈબીજ, અને લાભ પાંચમનો સમાવેશ થાય છે. તે પછી તુલસીવિવાહ, અને દેવદિવાળી આવે છે. આ વર્ષે આ ૧૦૦ દિવસ દરમ્યાન આપણા દેશમાં લોકતંત્રના ઉત્સવો સમી કેટલીક ચૂંટણીઓ અને વ્યાપારિક, ઔદ્યોગિક, ડેવલપમેન્ટ, વૈશ્વિક પ્રવાહો, આરોગ્ય, શિક્ષણ અને યુદ્ધો-સંઘર્ષો અને સમાધાનો સહિતના વિવિધ ક્ષેત્રોમાં પણ આગેકૂચ અને નવાજૂની થવાની છે, આ સમયગાળો સાયન્સ, સ્પેસ અને સત્તાપરિવર્તનનોની દૃષ્ટિએ પણ દેશ-દુનિયા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
જામનગરમાં તો પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાનો મુદ્દો ચર્ચાના ચાકડે ચડયો છે.પ્રદર્શન ગ્રાઉન્ડના ત્રીજા ભાગના વિસ્તારમાં હંગામી બસડેપો હોવાથી બાકીના મેદાનમાં મેળો યોજવાનું નક્કી થયું, તે પહેલા અન્ય કેટલાક સ્થળો વૈકલ્પિક દૃષ્ટિએ ચકાસાયા, પરંતુ ત્યાંની જમીન-માટી રાઈડ્સ વગેરે માટે અનુકૂળ નહીં હોય, કે તેની ચકાસણીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય, કે પછી કોઈપણ સંજોગોમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ આ મેળો યોજવાની રહસ્યમય રણનીતિ હોય, જે હોય તે ખરૃં, પરંતુ અંતે ટેન્ડર પણ બહાર પડી ગયા અને સંલગ્ન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ...!
એ પછી આ મુદ્દે જનમત વિરૂદ્ધમાં જવા લાગ્યો અને દ્વારકા અને નાગેશ્વર જેવા યાત્રાધામો તરફ જતા જન્માષ્ટમી પર્વના યાત્રિકો અને શ્રાવણ મહિનાના તહેવારોનો સંગમ થતા એસ.ટી.ડેપો પણ ટૂંકો પડવાનો છે, અને હંગામી બસડેપોમાંથી સ્પેશ્યિલ બસો પણ નીકળવાની હોવાથી મુસાફરોને લેવા-મુકવા આવતા વાહનો તથા સેંકડો બસોની અવર-જવર થવાની છે, તેથી આ સ્થળે શ્રાવણી મેળો યોજવાથી ભાગદોડ કે ટ્રાફિક જામ થઈ જશે, તો જવાબદારી કોની ? તેવા સવાલો ઉઠવા લાગ્યા હતા અને જરૂર પડયે અદાલતના દ્વાર ખખડાવવાની તથ તૈયારી હતી તેમ કહેવાય છે.
એ પછી ગઈકાલે આ સ્થળે મેળો યોજવાથી ઊભી થનારી સંભવિત સમસ્યાઓ નિવારવા કેટલાક વૈકલ્પિક માર્ગોની વિચારણા થઈ હોવાનું બહાર આવ્યું, અને મેળા તથા એસ.ટી.બસોના આવાગમન દરમ્યાન પાર્કિંગની વિવિધ વ્યવસ્થાઓ પણ વિચારવામાં આવી, તેથી સવાલ ઉઠ્યો કે અત્યાર સુધી આ દિશામાં કોઈ વિચાર કેમ ન કર્યો ?
સાત રસ્તાથી પાછલા તળાવના માર્ગે વૈકલ્પિક ચારમાર્ગીય રસ્તે ટ્રાફિક વાળવાના વિકલ્પ તથા કોલેજ-આઈટીઆઈના મેદાનોમાં પાર્કિંગ સહિતના વિકલ્પો વિચારાઈ રહ્યા છે, ત્યારે આ કવાયતમાં એસ.ટી.તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસતંત્ર જ નહીં, પરંતુ વિવિધ લોક-સંગઠનો, યાત્રિક યુનિયનો અને આ વિષયે અવાર-નવાર ચિંતા વ્યકત કરતા રહેતા જાગૃત નાગરિકોનેે પણ સાંકળીને અંતિમ નિર્ણયો લેવાય તે જરૂરી છે. મહાનગરપાલિકાએ એ જ સ્થળે ૧૫ દિવસનો મેળો યોજવાનું અને સ્થળ કે સમયગાળામાં કોઈ જ બાંધછોડ નહીં કરવાનો જોખમી નિર્ણય લઈ લીધો છે, ત્યારે હવે તો મેળાના કારણે ઊભી થનારી સ્થિતિને નિવારવા ના વિકલ્પો જ નક્કી કરવાના છે, ત્યારે સૌને સાથે લઈને મેળાના આયોજકો (મનપા અને જિલ્લાતંત્ર) અંતિમ નિર્ણયો લેશે, તેવી આશા રાખીએ...
આ સમગ્ર આયોજન માટે જવાબદારી તો મહાનગરપાલિકાની જ છે, પરંતુ વ્યવસ્થાઓ તથા સુરક્ષા-સલામતીની દૃષ્ટિએ અન્ય તંત્રોની જવાબદારી પણ રહેવાની જ છે, તેથી જે નિર્ણયો લેવામાં આવે, તે મહત્તમ સંભાવનાઓ વિચારીને જ લેવાય, તે જનહિતમાં તો રહેશે જ, પરંતુ આયોજકોના હિતમાં પણ રહેશે, કારણ કે આટલા બધા ઉહાપોહ પછી પણ જે નિર્ણયો લેવાઈ રહ્યા છે, તે જોતા હવે સમગ્ર આયોજનો સુખ-શાંતિ અને સલામતિ સાથે સંપન્ન થઈ જાય, તેની તમામ જવાબદારીનો બોજો પણ હવે આયોજકો એટલે કે મનપા અને સરકારીતંત્રો પર જ રહેવાનો છે ને ?
જામનગર જ નહીં, આ વર્ષે જ્યાં જ્યાં શ્રાવણી મેળાઓ તથા વિશેષ કાર્યક્રમો યોજાવાના છે, ત્યાં ત્યાં આ જ પ્રકારની ચિંતાજનક સ્થિતિની સંભાવના છે. ચોમાસંુ, વરસાદ પછીની કાદવ-કીચડની શક્યતાઓ, ટ્રાફિક જામ, ભાગદોડ, જાહેર આરોગ્ય તથા અનિયમિત સફાઈ વગેરે સમસ્યાઓનો વિચાર પણ કરવો જ પડે તેમ છે.
આ વર્ષે શિતળાસાતમના દિવસે જ ૧૫મી ઓગષ્ટ હોવાથી તેની ઉજવણીઓનું આયોજન પણ કરવું પડે તેમ છે. પોલીસતંત્ર માટે પણ આ વર્ષે પડકારરૂપ પરિસ્થિતિ જણાય છે, તેથી આ અંગે રાજ્ય સરકારની કક્ષાએથી પણ વિશેષ લક્ષ્ય અપાય તે જરૂરી છે.
યાત્રાધામ દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર અને હર્ષદ માતાજી સહિતના સ્થળોમાં પણ આ વર્ષે કલ્પના પણ નહીં કરી હોય તેવી ભીડ થવાની સંભાવનાઓ હોવાથી ત્યાં તો રાજ્યકક્ષાએ થી જ તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ, પરીક્ષણ અને જરૂરી ફેરફારો પહેલેથી જ થઈ જાય તે જરૂરી છે, કારણ કે પડોશી દેશ દ્વારા પ્રેરિત આતંકવાદ ના ઓછાયો (પડછાયો) પણ અદૃશ્ય રીતે આપણાં દેશમાં હજુ પણ મનપી જ રહ્યો હશે.
આ બધી ચિંતાઓ સામાન્ય જનતાની છે, અને માત્ર તહેવારો-ઉજવણીઓ સહી-સલામત રીતે આનંદપૂર્વક સંપન્ન થઈ જાય, તેવું જ સૌ કોઈ ઈચ્છે છે, તેથી લોકોની ઈચ્છા એવી જણાય છે કે તંત્રો-આયોજકોની મુશ્કેલીઓ સમજી શકાય તેવી હોવા છતાં શક્ય તેટલા એવા રસ્તા કાઢે, જે જન-સામાન્યના હિતમાં હોય, આ આયોજનો દરમ્યાન મનપાને થતી આવક કે અન્ય "સ્થાપિત"હિતોને ગૌણ ગણવા જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
જામનગરમાં જીવંત પશુ જાહેર માર્ગો, શેરી-ગલી-મહોલ્લા, સોસાયટીઓ કે સંકુલોમાં અડીંગા ન જમાવે અને કેટલ પોલિસી મુુજબ પશુપાલનના નિયમોનું ચૂસ્ત પાલન માટે જામ્યુકોની ટીમો ઘેર-ઘેર ફરીને જનજાગૃતિના પ્રયાસો કરી રહી હોય, અને બીજી તરફ જામનગરની આજુબાજુના ગ્રામ્ય અને વાડી વિસ્તારમાંથી મૃત પશુઓના હાડકા અને અવશેષો મળી રહ્યા હોય, અને મરેલા પશુઓના માંસ-ચામડીના ગોરખધંધા થતા હોવાની આશંકા ઉઠી રહી હોય, ત્યારે સંઘ-ભાજપ પ્રેરિત શાસન અને સંવેદનશીલ સુશાસન-પ્રશાસનના થતા દાવાઓ પોકળ લાગે, તે સ્વાભાવિક છે. બીજી તરફ ભગિનિ સંસ્થાઓ દ્વારા જ થતાં રહેતા વિરોધ-પ્રદર્શનો તથા જનભાવનાઓની પણ બહુ અસર ન થતી હોય, ત્યારે એવું કહી શકાય કે ખાવાના (ચાવવાના) દાંત જુદા છે, અને દુનિયાને દેખાડવાના દાંત કદાચ જુદા જુદા જ છે.
ગુજરાતમાં અત્યારે ત્રિપલ એન્જિનનું શાસન છે, અને વિધાનસભા, મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓમાં મહત્તમ શાસન ભારતીય જનતા પક્ષના હાથમાં જ છે. તાજેતરમાં થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાયેલા મહત્તમ સરપંચો પણ ભાજપની વિચારધારા ધરાવતા હોવાનો દાવો કરાયો છે. આ પ્રકારની સ્થિતિમાં ગામડાઓથી ગાંધીનગર સુધી જો લોકોની મૂળભૂત સુવિધાઓ તથા જરૂરિયાતોને લઈને જ જો રજૂઆતોનો રાફડો ફાટતો હોય, આક્ષેપોની આંધી ઉઠતી હોય અને પ્રચંડ પ્રજાક્રોશ પ્રસરી રહ્યો હોય, તો તે નિષ્ફળતા કોની ? તેવો સવાલ ઉઠે અને તે માટે ભારતીય જનતાપક્ષ તથા રાજ્ય સરકારે આત્મમંથન કરવું જોઈએ.
જામનગર સહિત રાજ્યોના આઠ મહાનગરપાલિકાઓને ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાપડની થેલી, વેન્ડીંગ મશીનો અને રિવર્સ વેન્ડીંગ મશીનો દ્વારા પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરવાના સંદર્ભે કરેલા આદેશો ઉપરાંત દ્વારકા-સોમનાથ જેવા પર્યટન સ્થળોમાં નગરપાલિકાઓને પણ આ પ્રકારના મશીનો ભીડભાડવાળા સ્થળોએ સ્થાપિત કરવાનું જે સૂચન કર્યું છે, અને તેના સંદર્ભે સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીનું એફિડેવિટ માંગ્યું છે, તે દર્શાવે છેે કે ગુજરાતમાં પ્રદુષણ અને ગંદકીનું સામ્રાજ્ય કેટલું ફેલાયેલું છે. હાઈકોર્ટે જો આ પ્રકારના મુદ્દે પણ શાસન-પ્રશાસનોને વારંવાર સૂચનાઓ આપવી પડતી હોય તો તે સરકાર તથા રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે શરમજનક જ કહેવાય ને ?
ગુજરાત હાઈકોર્ટે રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરોને સારા શબ્દોમાં ટકોર કરી છે કે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનને માત્ર ફાઈલો-પરિપત્રોમાં મર્યાદિત રાખવાના બદલે હકીકતે તેનો અસરકારક અમલ થવો જોઈએ.
હકીકતે એક એડવોકેટે રાજ્યના મુખ્ય પર્યટન સ્થળો તથા નગરો-મહાનગરોમાં એક જાહેરહિતની અરજી કરી હતી. જેની સુનાવણી દરમ્યાન અદાલતે એમઆરએફનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો અને તેનો ચૂસ્ત અમલ કરવાની અનિવાર્યતા જણાવી હતી. એમઆરએફ એટલે મટીરીયલ રિકવરી ફેસિલિટી, જેમાં મશીનો દ્વારા પ્લાસ્ટિક કચરાને રિસાયકલીંગ કરવાનો પ્લાન...
રાજ્યની વડી અદાલતે તો આ આદેશનો આયોજનપૂર્વક ત્વરીત અને ચૂસ્ત અમલ માટે રાજ્ય મોનીટરીંગ કમિટી, રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરો, નગરપાલિકાઓના ચીફ ઓફિસરો અને પદાધિકારીઓ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અંતર્ગત નોંધાયેલા પ્લાસ્ટિક કચરાની પ્રક્રિયા કરતા યુનિટોને સાંકળીને રાજ્યકક્ષાએ રાજ્યવ્યાપી સંકલન સાથે ગાઈડલાઈન્સ અને ટાઈમલાઈન (સમયમર્યાદા) નક્કી કરવાની સૂચના પણ આપી છે, અને તેનો ભંગ થયેથી પાલિકા-મહાપાલિકાઓના મુખ્ય અધિકારીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ઠરાવવાની ચેતવણી પણ આપી છે. બીજી તરફ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્લાસ્ટિક વેસ્ટનો કારભાર સંભાળતા સેલના ઉચ્ચ અધિકારી દ્વારા પણ અદાલત સમક્ષ એક એફિડેવિટ રજૂ કરીને અમદાવાદ-સુરતમાં કાપડની થેલીના વેન્ડીંગ મશીનોની સ્થાપના તથા પ્લાસ્ટિક બોટલો એકત્રિત કરવાના રિવર્સ વેન્ડીંગ મશીનો મુકવાની શરૂઆત કરી રહ્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ તેમાં જણાવેલી મશીનોની સંખ્યા મેટ્રોપોલિટન શહેરોના વિસ્તારો તથા વસતિની સરખામણીમાં ઉંટના મુખમાં જીરાની જેમ ઘણાં ઓછા છે. આ જાહેર હિતની અરજીની સુનાવણી ૧૨મી સપ્ટેમ્બરે થવાની છે, ત્યાં સુધીમાં રાજ્યની તમામ પાલિકા-મહાપાલિકાઓ (હાલાર સહિત) આ મુદે કેવા અને કેટલા પગલા ક્યારે અને કેવી રીતે ઉઠાવે છે, તે જોવું રહ્યું...
ગુજરાત હાઈકોર્ટે હમણાંથી અપનાવેલા અભિગમ મુજબ આ પ્રકારના વિષયોમાં રાજ્યવ્યાપી જનહિતને ધ્યાનમાં રાખીને અમદાવાદ કે કોઈ ચોક્કસ પાલિકા-મહાપાલિકાને સાંકળીને જાહેરહિતની અરજી થઈ હોય, ત્યારે તેની સુનાવણી તથા આખરી આદેશો કરે ત્યારે તે સંબંધિત શહેર કે વિસ્તાર પૂરતા મર્યાદિત નહીં રાખતા રાજ્યવ્યાપી આદેશો કરે છે, તો તે આવકારદાયક રહે છે.
રાજ્યમાં શહેરો-નગરોમાં અત્યારે જે અસંતોષ છે, તે ધીમે ધીમે જનાક્રોશમાં બદલી રહ્યો છે અને હવે તો રાષ્ટ્રીયકક્ષાએ વિચારધારા ધરાવતા લોકો પણ નગરો-મોટા શહેરો જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક સુવિધાઓને લઈને એટલા બધા નારાજ થવા લાગ્યા છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેઓ 'નોટા'માં મતદાન કરીને આ અસંતોષ સામૂહિક રીતે વ્યક્ત કરશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, જ્યારે ભાજપ-કોંગ્રેસથી કંટાળેલા લોકો આમઆદમી પાર્ટીનો ત્રીજો વિકલ્પ પસંદ કરે, તેવી સંભાવનાઓ પણ વધી રહી છે, તેવામાં "આપ"ના પ્રદેશપ્રમુખ ઈશુદાન ગઢવીએ આગામી મેયર આમઆદમી પાર્ટીના હશે, તેવો કરેલો દાવો આ બન્ને રાષ્ટ્રીય પક્ષોએ હળવાશમાં લેવા જેવો નથી, કારણ કે લોકો પાસે "મત"ની એ તાકાત છે, જેમણે જરૂર પડ્યે ઘણી વખત દેશની મજબૂત સરકારોને પણ ઘેર બેસાડી દીધી હોવાનો ઈતિહાસ છે !
કોંગ્રેસે ફરીથી અમિત ચાવડાને ગુજરાતનું સુકાન સોંપ્યું, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક હજુ સુધી થઈ નથી, અને રાષ્ટ્રીય કક્ષાએ પણ એવું જ છે, ત્યારે ધનખડના રાજીનામા પછી તેના સ્થાને હરિવંશને બેસાડાયા છે, રાજનાથસિંહને આ પદ આપીને બંધારણીય સન્માન સાથે પરોક્ષ રીતે વિદાય કરી દેવાય છે કે પછી કોઈ નવો જ ચહેરો ગોઠવાય છે, તેની રાષ્ટ્રીય કક્ષાની સ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ અધ્યક્ષ નિમાયા પછી જ ગુજરાતનો વારો આવશે, તેથી એવી ટકોર પણ થઈ રહી છે કે "કૂવામાં હોય તો હવેડામાં આવે ને ?"
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે નિડર પત્રકારિત્વ, રજવાડી ઈતિહાસ અને સુગમ સાહિત્યસર્જનના ત્રિવેણીસંગમ સમા અમારા પથદર્શક, પ્રેરણાસ્ત્રોત અને પૂજનીય પિતાશ્રી સ્વ. રતિલાલભાઈ માધવાણીની પુણ્યતિથિ છે.
તેઓએ વર્ષ ૧૯૮૭ની ૨૨ જૂલાઈના દિવસે અંતિમવિદાય લીધી, એ દિવસે અમને વજ્રઘાત થયો હોય, તેવો આંચકો લાગ્યો હતો, અને અમે છત્રછાયા ગુમાવી દીધી હતી. માધવાણી પરિવાર તથા નોબત પરિવારનો આધારસ્તંભ જ જાણે ગુમાવી દીધો હોય, તેવી વેદના અનુભવાઈ હતી.
સેવા, સંઘર્ષ અને સત્યના ત્રિગુણી સંકલ્પો અને નિડર રિપોર્ટીંગ, સ્પષ્ટ અને સચોટ પ્રસ્તૂતિ તથા હાલારના ગામડે-ગામડે જઈને લોકોના અવાજને શાસન-પ્રશાસન અને સર્વોચ્ચ સત્તા સુધી પહોંચાડવાના એ પડકારરૃપ ભગીરથ કાર્યોના પ્રતાપે જ આઝાદીના પહેલા દાયકાથી ટાંચા સાધનો અને અલ્પ સુવિધાઓ સાથે પરિશ્રમના પરસેવાથી સિંચાયેલુ "નોબત" સાંધ્ય દૈનિક આજે ડિજિટલ પાંખે સાત-સમંદર પાર પણ પહોંચ્યુ છે અને ગામડાઓ ગલીઓ તથા શહેરોની શેરીઓ-મહોલ્લાઓમાં મૂળ સ્વરૃપે પણ વધુ ને વધુ પાંગરી રહ્યું છે. તેઓ ખોટું કરનારા માટે અત્યંત કઠોર હતા અને દીન-દુઃખીયા-પીડિતો માટે ખૂબ જ સંવેદનશીલ હતા. ગામડા, ગરીબો અને પીડિતો તેઓના પત્રકારિત્વના કેન્દ્રમાં જ રહેતા હતા, અને તેથી જ દાયકાઓ પહેલાથી તેઓ જન-જનમાં પ્રિય બન્યા હતા.
આજે પણ "નોબત"ની લોકપ્રિયતા અકબંધ છે, અને "નોબત સાંજની સોબત" નું સુત્ર એટલું જ પ્રસ્તુત છે. નવા યુગને અનુરૃપ ઈ-પેપર, બ્રેકીંગ ન્યુઝ, વીડિયો સમાચાર, ફેસબૂક-યુ-ટ્યુબ વેબસાઈટના માધ્યમથી "નોબત" આજે ગ્લોબલ બન્યું છે, તો બીજી તરફ આજે પણ એવા ઘણાં લોકો એવું કહેતા સંભળાય છે કે નોબત ન વાંચ્યુ હોય, ત્યાં સુધી ચેન પડતું નથી. આ પ્રકારની લોકપ્રિયતા તથા પ્રગતિ અમારા પૂ. પિતાશ્રીને જ આભારી છે.
તેઓ સાહિત્યકાર પણ હતા, અને આજે તેઓએ લખેલા પુસ્તકો અને ગ્રંથો દુર્લભ બન્યા છે. જામનગરની યશગાથા અને મહાગુજરાતની યશગાથા જેવા માહિતીપ્રદ ગ્રંથો તે જમાનામાં લખીને પ્રકાશિત કરવા અને તેમાં સચોટ વાસ્તવિકતા લખવી, એ કપરૃં કાર્ય તો રતિલાલભાઈ જ કરી શકે, તેવું તે સમયે પણ ચર્ચાતુ હતું., તેઓ હંમેશા કુદરતી આફતો, યુદ્ધ, ગંભીર અકસ્માતો જેવા સમયે હંમેશાં જરૃરતમંદોની પડખે ઊભા રહેતા હતા અને રક્તદાન કેમ્પ, તથા ખેલકૂદની પ્રવૃત્તિઓને પણ પ્રોસ્તાહિત કરતા રહેતા હતા. જ્ઞાતિઉત્કર્ષ, સમાજસેવા અને માનવસેવા તેઓનો મૂળ મંત્ર હતો. તેઓ અને અમારા પૂ. બા અમારા બધાના પ્રેરકબળ હતા. અખબાર ચલાવતા ચલાવતા અને પરિવારની જવાબદારીઓ સંભાળતા સંભાળતા તેઓએ ઘણો જીવન-સંઘર્ષ કર્યો, પરંતુ તેઓ ક્યારેય અટક્યા નહોતા, થાક્યા નહોતા કે ચમરબંધીઓ સામે પણ ઝુક્યા નહોતા. આજે પણ તેઓ અમારા પ્રત્યેક શ્વાસમાં ધબકે છે. તેઓના ઘડતરના કારણે જ અમે પણ મોટા મોટા પડકારોને પણ પડકારી શકીએ, તેવી ક્ષમતા ધરાવીએ છીએ.
તેઓ દેહસ્વરૃપે દાયકાઓ પહેલાથી વિદાઈ લઈ ગયા, પરંતુ પ્રેરણા, સંસ્કારો અને સદ્ભાવના સ્વરૃપે આજે પણ અમારી વચ્ચે ધબકે છે., તેઓની સ્મૃતિઓ જ અમારી પ્રેરણા અને તાકાત છે. આજે કોટિ-કોટિ વંદન સાથે તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ.
જામનગર
તા. ૨૨-૦૭-૨૦૨૫
- માધવાણી પરિવાર, નોબત પરિવાર
ઘણી વખત અપેક્ષા પણ ન હોય, અને કોઈએ વિચાર્યું પણ ન હોય, તેવું બની જાય, કોઈ અણધાર્યો લાભ થઈ જાય કે ધાર્યું ન હોય તેવું નુકસાન થઈ જાય, ઘણી વખત આપણું ધાર્યું ન થઈ શક્યું હોય તે પછીથી આપોઆપ થઈ જાય કે પછી અપેક્ષિત હોય અને બહુ આશાવાદી હોઈએ ત્યારે જ નિરાશા સાંપડે ત્યારે એવો સવાલ ઉઠે કે "યે કયા હો રહા હૈ ? ઐસા તો સોચા ભી ન થા"...!
જ્યારે આર.એસ.એસ.ની વિચારધારાથી પ્રેરિત કહેવાતા હોય તેવા મહાનુભાવ અને બંધારણીય પદ પર બેઠેલા દેશની અગ્રીમ હરોળના પ્રતિષ્ઠિત નેતા એવું કહે કે લોકશાહી એવી ક્યારેય નથી હોતી, જેમાં એક જ પાર્ટી હંમેશાં સત્તા પર રહે. વિકાસમાં સતત નિરંતરતા હોવી જોઈએ. શાસકો અને વિપક્ષો સચનાત્ત્મક રાજનીતિ કરે. આ પ્રકારનું નિવેદન આવે, ત્યારે સવાલ ઉઠે કે, "યે ક્યા હો રહા હૈ ?"
મહારાષ્ટ્રમાં જયારે ભાજપના નેતા અને મુખ્યમંત્રી જાહેરમાં હળવાશથી ઉદ્ધવ ઠાકરેને "આ બાજુ" એટલે કે એન.ડી.એ.માં આવવાનું આમંત્રણ આપે, તેની પહેલા ઉદ્ધવ-રાજ ઠાકરે નજીક આવી જાય, અને તે પછી આદિત્ય ઠાકરે સાથે દેવેન્દ્ર ફડણવીસની ગૂપ્ત લાંબી મુલાકાતની વાતો ઉડે, ત્યારે કહી શકાય કે, "ઐસા તો સોચા ભી નહીં થા..."
વિધાનસભા ગૃહમાં જ રાજ્યના કોઈ મંત્રી વીડિયો ગેઈમ રમતા હોવાના દૃશ્યો વાયરલ થાય, ત્યારે નાગરિકો વિચારે કે, "ઐસા થો સોચા ભી નહીં થા"
ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધો વણસેલા હોવાથી એક તરફ ગઈકાલે યોજાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સની મેચ રદ થાય, અને બીજી તરફ મોદી સરકારના જ કોઈ મંત્રી લાલઘૂમ થઈને બળાપો કાઢે કે રમત-ગમતમાં રાજકારણની ભેળસેળ ન કરવી જોઈએ. જ્યારે ત્રીજા દેશ (ઈન્ગલેન્ડ) માં આ રમત રમાવાની હોય, ત્યારે વિપક્ષે પણ તેમાં રાજનીતિ ન રમવી જોઈએ. આવું થાય ત્યારે સવાલ ઉઠે કે "યે કયા હો રહા હૈ ?"
કોંગ્રેસમાંથી જે-તે સમયે ધુમધડાકા સાથે ભાજપમાં ગયેલા દિગ્ગજ નેતા વિસાવદરમાં વિધાનસભાની પેટાયૂંટણીમાં તદૃન નિષ્ક્રિય રહે અને ત્યાં આમઆદમી પાર્ટીના ઉમેદવાર જીતી ગયા પછી અચાનક જ સક્રીય થઈને ગામડે-ગામડે ફરવા લાગે, ત્યારે એવો સવાલ ઉઠે કે, "યે કયા હો રહા હૈ ?"
સંસદનું સત્ર શરૂ થવાનું હોય અને તેમાં ઓપરેશન સિંદૂર, બિહારમાં ચૂંટણીપંચની મતદારયાદી સુધારણાની ચર્ચાસ્પદ કાર્યવાહી અને ટ્રમ્પના નવા દાવા મુજબ કોના પાંચ વિમાનો ભારત-પાક. વચ્ચે યુદ્ધ દરમ્યાન તોડી પડાયા, તેની ચર્ચા કરવાનો તથા દરેક મુદ્દે વડાપ્રધાનનો જવાબ માંગવામાં આવનાર હોય, તેવા સમયે જ વડાપ્રધાનના સૂચિત વિદેશ પ્રવાસને લઈને "હમ તો ચલે પરદેશ..." જેવા કટાક્ષો થવા લાગે ત્યારે એવું કહી શકાય કે, "ઐસા તો સોચા ભી નહીં થા..."
રાજ્યની કોઈ ફાયરબ્રિગેડના વાહનમાં નશાની હાલતમાં ડ્રાઈવર બે-ત્રણ લોકોને હડફેટે લઈ લ્યે, અને તેમાં બેઠેલા નવી જ નકરી મળી હોય તેવા ચીફ ઓફિસર પણ કોઈ બિલ્ડરને ત્યાં પાર્ટી માણીને નશાની હાલતમાં પકડાય ત્યારે પણ એવો સવાલ ઉઠે કે "યે ક્યા હો રહા હૈ ?"
એક તરફ ટ્રમ્પ અને નાટો દ્વારા ટેરિફ વધારવાની ધમકી આપીને રશિયા પર યુક્રેન સાથે સમાધાન માટે વાતચિત કરવાનું દબાણ વધારાઈ રહ્યું હોય, અને ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડડીલ અદ્ધર લટકી રહી હોય, ત્યારે જ રશિયાના રાષ્ટ્રપતિના ભારતના પ્રવાસની વાતો થવા લાગે ત્યારે એવો સવાલ ઉઠે કે "યે ક્યા હો રહા હૈ ?"
એક તરફ જ્યારે જામનગરમાં ઠેર-ઠેર ગંદકી, ઉકરડા અને તૂટેલા-ફૂટેલા માર્ગોની ફરિયાદો છેલ્લા પાંચેક વર્ષથી સતત વધી રહી હોય, ત્યારે જામનગરને કોઈપણ એન્ગલથી સફાઈની દૃષ્ટિએ અગ્રીમતા મળે કે રાજકોટ-જામનગરને સાંકળતા ટોલ-વેનો કોઈ એવોર્ડ મળે ત્યારે પણ એવો વિચાર આવી જ જાય ને કે, "ઐસા તો સોચા ભી નહીં થા !"
રાજ્ય સરકારે માર્ગ-મરામત માટે ૧૬૭ કરોડ રૂપિયા જેવી જંગી રકમ ફાળવી હોય, તેમ છતાં લોકો રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે એન.સી.બી.ના આંકડા ટાંકીને ખાડાઓને કારણે મૃત્યુ થવાની સંખ્યામાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે હોવાની ચર્ચા થઈ રહી હોય, અને મળતિયા ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા હોય, ત્યારે સવાલ ઉઠે કે "યે સબ ક્યા હો રહા હૈ ?"
જામ્યુકો વેરા વસુલાત માટે ઝુંબેશો ચલાવીને અને બાકીદારોની મિલકતો જપ્ત કરીને પોતાની સત્તા વાપરી રહી હોય, પરંતુ હજુ પણ શહેરના ઘણાં વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ પૂરેપૂરી મળી રહી નથી અને મોટી મોટી જાહેરાતો છતાં પણ સામાન્ય પ્રારંભિક વરસાદમાં જ ચારણી જેવા થઈ ગયેલા જામનગરના આંતરિક માર્ગોની મરામત હજુ સુધી થઈ શકી નથી, અને તેના જવાબદારો સામે કાર્યવાહી કરવાના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા ન હોય, ત્યારે સવાલ ઉઠે કે, "યે ક્યા હો રહા હૈ ? યે કયું હો રહા હૈ ?"
દસેક વર્ષ પહેલા ગુજરાતના વિકાસ મોડલની પ્રશંસા કરનારા મુંબઈના હાંસિયામાં ધકેલાઈ ગયેલા કટ્ટર કદાવર મરાઠી નેતા અચાનક જ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતીઓના વિરોધી થઈ ગયા હોય અને તેના પર સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ જેવા મૂળ ગુજરાતના રાષ્ટ્રીય મહાપુરૂષોનું ગુજરાતી હોવાને કારણે અપમાન કરવાના આરોપો લાગી રહ્યા હોય, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે, "ઐસા તો સોચા ભી નહીં થા..."
કોંગી નેતા અને એલ.ઓ.પી. રાહુલ ગાંધીએ જ્યારે સી.પી.આઈ.(એમ) ની તુલના આર.એસ.એસ. સાથે કરીને બંનેની વિચારધારા સમાન હોવાની વાત કરતા સી.પી.આઈ. નેતા ડી. રાજાએ આ નિવેદન ભ્રમ ફેલાવતું હોવાનું મંતવ્ય કરતા એવી લાગણી વ્યક્ત કરી હતી કે, "ઐસા તો સોચા ભી નહીં થા !"
અને છેલ્લે, જામનગરના નગરજનોમાંથી મળેલા વિરોધના પ્રતિભાવો, પ્રેસ-મીડિયાના વિશ્લેષણો, સોશ્યલ મીડિયાના માધ્યમથી મળેલા મંતવ્યો, જનમત અને જનભાવનાઓને ધરાર અવગણીને શ્રાવણી મેળાના આયોજન માટે "રહસ્યમય" જીદ સાથે લેવાયેલા નિર્ણયો પછી નગરજનો વિચારી રહ્યા હશે કે "ઐસા તો સોચા ભી નહીં થા...યે સબ ક્યા હો રહા ?"
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં પડેલા ખાડાઓ હવે જીવલેણ બન્યા છે, અને એક યુવાનનો ભોગ લેવાયો હોવાની ચર્ચા પછી રાજ્યવ્યાપી ખાડાઓ બુરવાની ઝુંબેશ સામે પ્રશ્નો ઉઠયા છે, તો બીજી તરફ શ્રાવણી મેળાઓને લગતા નીતિનિયમો હળવા કરાયા હોવાની ચર્ચા દરમ્યાન ધંધાર્થીઓના લાભાર્થે તંત્રો લોકોના જીવ જોખમમાં મુકવાનું કદમ ન ઉઠાવે, તેવી જનલાગણીઓ પણ ઉભરી રહી છે. જો સરકાર કે તેના તંત્રો લોકલાગણીઓને અવગણીને જનસલામતિ સાથે બાંધછોડ કરશે, તો તે પગ પર કૂહાડો મારવા જેવું હશે, તેવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે. બીજી તરફ શ્રાવણી મેળાઓમાંથી અડધા વર્ષની રોજગારી મેળવતા સામાન્ય ધંધાર્થીઓના હિતોને પણ જાળવવા જરૂરી હોવાથી બંને બાજુ સમતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે., અને ધંધાર્થીઓને બિનજરૂરી અડચણોનો સામનો ન કરવો પડે તે રીતે લોકોની સલામતિ તથા જોખમી પ્રવૃત્તિઓ, રાઈડ્સ અને અન્ય સંલગ્ન બાબતોમાં નક્કર નિયમો, નિયંત્રણો કે અંકુશો મુકવા જોઈએ, તેવો જનસામાન્ય નિષ્કર્ષ નીકળે છે. રાઈડ્સ માટે આર.સી.સી. ફાઉન્ડેશન ભલે મરજીયાત કરી દેવાયો હોય, પરંતુ એકંદરે જમીન ચકાસણી પછી રાઈડ્સની મંજુરી માટે નિયમ પ્રમાણપત્ર કે મંજુરી આપનાર અધિકારીઓને સંભવિત દુર્ઘટના માટે જવાબદાર ગણવા જોઈએ, તેવો અભિપ્રાય પણ વ્યક્ત થઈ રહ્યો છે, જે ધ્યાને લેવો જ પડે તેમ છે.
હકીકતે તો કોઈપણ પ્રસંગ, સેમિનાર, સમારોહ, મેળાઓ, મેળાવડાઓ, સામૂહિક પ્રવાસો, ઉજવણીઓ કે કાર્યક્રમો જાહેર સ્થળો કે ખાનગી સ્થળે થતાં હોય, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના હોય, ભીડ થવાની હોય કે કોઈપણ પ્રકારનું નાનું-મોટું ગેધરીંગ, સમૂહભોજન કે ખાણી-પીણી-મનોરંજનની પ્રવૃત્તિઓ યોજાનાર હોય, તેની જવાબદારી પ્રાથમિક રીતે તેના આયોજકોની જ (પૂરેપૂરી) ગણાય, તે માટે એડવાન્સમાં "જવાબદાર" ની નોંધણી થવી જોઈએ., આ રીતે જવાબદાર સંસ્થા, સંગઠન, તંત્ર કે વ્યક્તિગત હોય, તેની સ્પષ્ટ જવાબદારી ચોક્કસ વ્યક્તિઓની ગણાય, તે પ્રકારે રજિસ્ટ્રેશન કરાવીને તેમાં એ પ્રકારની બાહેંધરી પણ લેવાવી જોઈએ કે "આ સંપૂર્ણ કાર્યક્રમ, ઈવેન્ટ કે મેળા-મેળાવડા-સમારંભ વગેરેમાં કોઈપણ રીતે જનસલામતિ કે લોકોની માલ-મિલકતને નુકસાન થાય, તો તેની જવાબદારી અમારી વ્યક્તિગત રહેશે...વગેરે".
બેંગલુરૂમાં આઈ.પી.એલ.માં વિજયની ઉજવણીની જવાબદારીની ફેંકાફેંકી થઈ અને અંતે આર.સી.સી.ની જવાબદારી નક્કી થઈ, તે જોતા ઉપર મુજબની જોગવાઈ પહેલેથી જ થવી જરૂરી છે. તેમજ આ આયોજનોની મંજુરી આપનાર, રાઈડ્સ વગેરેની ચકાસણી કરીને પ્રમાણપત્ર આપનાર અધિકારી, આયોજનો મંજુર કરનાર અધિકારી તથા કાયદો-વ્યવસ્થા જાળવવા અને દુર્ઘટના ટાળવા, લોકોની આવાગમન-ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા, તબીબી સેવાઓ-દુર્ઘટના નિવારણ સેવાઓ અને દુર્ઘટના સમયે રાહત બચાવ માટે પૂરતા પ્રમાણમાં જગ્યા અને ઈમરજન્સી એકઝીટની પણ પર્યાપ્ત વ્યવસ્થા જાળવવાની સરકાર અને તેના તાબાના સંબંધિત તંત્રો, પાલિકા-મહાપાલિકાઓ તથા તેના તંત્રોની પણ એટલી જ રહેવી જોઈએ. ટૂંકમાં આયોજકો જેટલી જ જવાબદારી સંબંધિત જવાબદાર તંત્રો તથા મંજુરીઓ આપનાર અધિકારીઓની પણ વ્યક્તિગત રીતે થવી જોઈએ. જાહેર વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા અને નાગરિકોના હક્કોનું રક્ષણ , જાહેર-આરોગ્ય, સફાઈ અને તબીબી વ્યવસ્થાઓની જવાબદારીમાંથી તંત્રો પણ છટકી શકે નહીં.
આયોજકો તથા તંત્રો જવાબદારીપૂર્વક આયોજનો પાર પાડે અને જાહેર સુરક્ષા-સલામતિ અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તેની એકંદરે જવાબદારી તો શાસન અને પ્રશાસન, એટલે કે સરકારની જ ગણાય. ટૂંકમાં જ્યાં લોકોના જીવનની સલામતિ, સુરક્ષા અને સુવિધાઓ સંકળાયેલી હોય, ત્યાં કોઈ દુર્ઘટના કે અનિચ્છનિય ઘટના બને તો તેના ચોક્કસ જવાબદારોની વ્યાખ્યા પહેલેથી નક્કી હોવી જોઈએ, જેથી જવાબદારીની ફેંકાફેંકી કરવાની મનોવૃત્તિ કામિયાબ જ ન થઈ શકે.
જામનગરમાં અંતે અડધા પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણીઓ મેળો યોજવાનું નક્કી જ થઈ ગયું હોય, તો ન કરે નારાયણ ને કોઈપણ અનિચ્છનિય સ્થિતિ ઊભી થાય, તો તે માટે જવાબદાર કોણ રહેશે, તે અત્યારથી જ નક્કી થઈ જવું જોઈએ, અને તે માટે જામ્યુકો કે જિલ્લા વહીવટી તંત્રના ક્યા ક્યા ચોક્કસ અધિકારીઓ અને પદાધિકારીઓની જવાબદારી રહેશે, તે અત્યારથી જ નક્કી અને જાહેર થઈ જવું જોઈએ, તેમ નથી લાગતું ?
માત્ર જામનગર નહીં, જ્યાં જ્યાં લોકમેળાઓ યોજાવાના છે ઉજવણીઓ થવાની છે અને તહેવારોના મેળાવડા થવાના છે, ત્યાં તમામ સ્થળે જાહેર વ્યવસ્થાઓ માટે તો સરકાર અને તંત્રો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પહેલેથી જ જવાબદાર છે, પરંતુ જ્યારે જવાબદારી નક્કી કરવાની થાય, ત્યારે હોદ્દાની રૂએ કે આયોજક તરીકે અથવા વ્યક્તિગત રીતે કોણ કોણ જવાબદાર રહેશે, તે પહેલેથી નક્કી થવું જોઈએ. અને તે પબ્લિક ડોમેનમાં હોવું જોઈએ.
આપણે બધા એવું જ ઈચ્છીએ કે મેળાઓ સહિતના તમામ પ્રસંગો-તહેવારો-ઉજવણીઓ-કાર્યક્રમો વિનાવિઘ્ને અને આનંદપૂર્વક સંપન્ન થાય, પરંતુ તાજેતરની અને ભૂતકાળની કેટલીક ગમખ્વાર ઘટનાઓને લક્ષ્યમાં લઈને હવે ચોક્કસ જવાબદાર નક્કી કરવાની નક્કર વ્યવસ્થા થવી અત્યંત જરૂરી છે. આશા રાખીએ કે શ્રાવણી મેળો, તહેવારોનો ટ્રાફિક અને કામચલાઉ બસડેપોની વ્યવસ્થાઓ પ્રજાને પરેશાન કર્યા વિના સુચારૂ ઢબે સફળ નિવડે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
"વિકાસ"ના વાયદા હોય કે નેતાઓની "નિમણૂક" હોય, પ્રોજેક્ટોની "ટાઈમલાઈન" હોય કે યોજનાઓનું "પ્લાનીંગ" હોય, શાસન-પ્રશાસન, નેતાગીરી દ્વારા ભાગ્યે જ ટાઈમલાઈન જળવાતી હોય છે, અને ટ્રમ્પની જેમ બોલીને ફરી જતા કે જાહેરાતો કરીને મૌન થઈ જતા પલાયનવાદી નેતાઓ-અધિકારીઓની આપણાં નગર અને નેશનમાં પણ કોઈ કમી નથી, જેના અનેક દૃષ્ટાંતો પૂર્વ નવાનગર સ્ટેટની રાજધાની (જામનગર) થી દેશની રાજધાની દિલ્હી સુધી મળી રહે છે. નગરનો ઓવરબ્રિજ જૂન સુધીમાં બની જશે, તેવો દાવો પોકળ નીકળ્યો, તેવી જ રીતે દેશમાંથી જૂન મહિના સુધીમાં નકલસલવાદ ખતમ થઈ જશે, તેવો રાષ્ટ્રીયકક્ષાનો દાવો પણ હજુ સુધી પૂર્ણપણે યથાર્થ ઠર્યો નથી, અને નકસલી અથડામણો થતી રહે છે. આ પ્રકારના "વાદાઓ" અને દાવાઓના સંદર્ભે એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે જૂન મહિનાની ટાઈમલાઈન જાહેર કરી હતી તે ખરૃં, પરંતુ મહિનાની સાથે સાલ (વર્ષ) ની વાત ક્યાં કરી હતી ? તેથી કદાચ આ દાવાઓ જૂન-૨૦૨૬ના પણ હોઈ શકે !
જો કે, કટાક્ષમાં આ ટકોર કરવા માટે આ પ્રકારની વાતો થતી હશે, પરંતુ હકીકતે તો ચાલુ વર્ષ જ જૂન મહિનાની ટાઈમલાઈન અપાઈ હોય, અને તે મુજબ ન થયુ હોય, તેવા અન્ય ઘણાં દૃષ્ટાંતો પણ નગરથી નેશન સુધી મળી શકે છે.
એવું નથી કે જાહેર કરેલી સમયમર્યાદાનું સરકારી કામોમાં જ પાલન થયું ન હોય, પરંતુ રાજકીય પક્ષોની આંતરિક સિસ્ટમમાં પણ કાંઈક એવું જ હોય છે. કોંગ્રેસે તો વિધાનસભાની પેટાચૂંટણી પછી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધા પછી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે અમિતભાઈ ચાવડા અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે તુષાર ચૌધરીની નિમણૂક કરી દીધી, પરંતુ ભારતીય જનતાપક્ષ તો રાષ્ટ્રીય કક્ષાએ જે.પી.નડ્ડા અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલનો વિકલ્પ હજુ સુધી શોધી શક્યો નથી, તેથી આ બંને નેતાઓ કેન્દ્રીયમંત્રી અને પક્ષના હોદ્દેદાર તરીકે બબ્બે ભૂમિકા નિભાવી રહ્યા છે !
કોંગ્રેસે તો પ્રદેશપ્રમુખ બદલતા પહેલા જિલ્લા-શહેરકક્ષાના પ્રમુખો-હોદ્દેદારોને બદલવાનો કે ફેરફાર કરવાનો ગંજીપો ચીપ્યો અને હવે પ્રદેશ કોંગ્રેસની કક્ષાએ થયેલા આ બદલાવ પછી વિધાનસભાની વર્ષ-૨૦૨૭ની ચૂંટણી અને તે પહેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે તૈયારી શરૂ કરી જ દીધી છે, અને વિસાવદરના વિજય પછી રાજ્યમાં આમઆદમી પાર્ટી પણ જોરમાં છે, ત્યારે આ બેવડા પડકારો ઉપરાંત ભાજપના ઘણાં જિલ્લા સંગઠનો તથા રાજ્યકક્ષાના આંતરિક અસંતોષ જૂથવાદ અને ખેંચતાણના પડકારોને ઝીલી શકે, તેવા માતબર પ્રાદેશિક નેતાની પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરવી પડે તેમ છે.
તાજેતરની પ્લેન દુર્ઘટના, ગંભીરા પુલ દુર્ઘટના તથા પે પહેલા ગોડાઉન અગ્નિકાંડોથી લઈને ટી.આર.પી. ઝોન અગ્નિકાંડો, મનરેગા ફેઈમ ભ્રષ્ટાચારની ફરિયાદો અને ગામડાઓ, નગરો અને મોટા શહેરોની મૂળભૂત સુવિધાઓને સંબંધિત સમસ્યાઓના કારણે ભાજપની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો હોવાથી પ્રદેશ પ્રમુખની સાથે સાથે પ્રદેશ ભાજપના માળખામાં પણ ધરમૂળથી ફેરફાર તથા ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં પણ બદલાવ થશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
રાજ્યમાં રખડતા ઢોર બેફામ બન્યા છે અને વયોવૃદ્ધ લોકોને ટાર્ગેટ બનાવીને કચડીને જીવ લઈ રહ્યા છે, અને આવારા કૂતરા નાના બાળકોને ઢસડીને અને બચકાં ભરીને જીવલેણ બની રહ્યા છે. રાજ્યમાં માત્ર ધોરીમાર્ગ જ નહીં, ગામો-શહેરોના આંતરિક માર્ગો તથા શેરી-ગલીઓ મગરની પીઠ જેવા બની ગયા હોવાની ચોતરફથી રાવ ઉઠી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવું કાંઈ રહ્યું જ નથી અને લોકોની મૂળભૂત જરૂરિયાતોને પણ સંતોષી શકાઈ રહી નથી, ત્યારે મોટા મોટા વિકાસ પ્રોજેકટો તથા વિવિધ કોરિડરો-રિવરફ્રન્ટોની ઝળહળતી ઝાકઝમાળની લોકો પર વિપરીત અસર પણ પડતી હોઈ શકે છે., તેથી ભ્રમમાં રહેવા જેવું નથી. વિરાટ વિકાસની સાથે લોકોની પાયાની જરૂરિયાતો પણ સંતોષવી જ પડે...
કોંગ્રેસમાં તાજેતરના થયેલા ફેરફારોને પણ ઘણાં લોકો નવી બોટલમાં જૂના સરબતની ઉપમા આપી રહ્યા છે, તો કેટલાક લોકો દિવ્યાંગ ઘોડા, લગ્નના ઘોડા, રેસના ઘોડા વગેરે વર્ગીકરણ કરીને કટાક્ષ કરી રહ્યા છે. ઘણાં લોકો કહે છે કે કોંગ્રેસમાં પરિવારવાદ જ પરિણામલક્ષી બની શકતો હોવાથી જે ફેરફારો થયા છે, તે યોગ્ય છે., તુષાર ચૌધરીનું ભાજપ સાથે સેટીંગ હોવાની પણ ચર્ચા છે, ટૂંકમાં ગુજરાતમાં કોંગ્રેસે મૂળિયા ઉંડા ઉતારવા હવે એડીચોટીનું જોર લગાવવું પડે તેમ છે, અને આંતરિક એકજૂથતા, રૂઢ બનાવવી જ પડે તેમ છે.
આમઆદમી પાર્ટીને ત્રીજા વિકલ્પ તરીકે રાજ્યની જનતા સ્વીકારશે કે કેમ ? તેવા સવાલો પહેલા એ પણ વિચારવુ પડે તેમ છે કે આમઆદમી પાર્ટીનું રાજયવ્યાપી સંગઠન મજબૂતીથી વિસ્તારવું પડે તેમ છે, અને માત્ર મિસકોલ અભિયાન નહીં ચાલે, ગામેગામ અને શહેરોની શેરી-ગલીઓ સુધી પાર્ટીના વિસ્તરણ માટે અથાગ મહેનત કરવી પડે તેમ છે, પરંતુ તે માટે પહેલા રાજ્યકક્ષાએ મજબૂત માળખુ જરૂરી છે, આથી આમઆદમી પાર્ટી માટે પણ ગુજરાતમાં એકદમ ત્રીજો વિકલ્પ બનવાનું સપનુ સાકાર કરવું એ એક મોટો પડકાર જ છે ને ?
એક નવી કહેવત છે કે "ટાણે થાય, તે નાણે ન થાય, અને પરાણે તો કાંઈ પણ ન થાય"-તે મુજબ ત્રણેય પાર્ટીઓએ ગુજરાતના લોકોના દિલમાં ટકી રહેવા કે સ્થાન મેળવવા હવે મથવું જ પડશે, કારણ કે હવે જનતા જાગી ગઈ છે...સમજી ગઈ છે...હવે છેતરાય તેમ નથી !
જો વિકાસના કામો સમયસર નહીં થાય, ગુણવત્તાવાળા નહીં થાય, સમસ્યાઓ હલ નહીં થાય, લોકોની મૂળભૂત જરૂરિયાતો નહીં સંતોષાય અને પાયાની સુખ-સુવિધાઓ પ્રાપ્ત નહીં થાય તો તમામ પક્ષો-નેતાઓ અને તંત્રોએ સમજી લેવાની જરૂર છે. સમજદાર કો ઈશારા બહોત...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હાલારમાં હરખની હેલી જોવા મળી રહી છે અને આવી રહેલા તહેવારોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જામનગરમાં શ્રાવણી મેળાનું સ્થળ ચર્ચાના ચકડોળે ચડ્યું છે.
"નોબત" હંમેશાં જનતાની વાચા બન્યું છે, તેથી જન્માષ્ટમી પર્વે જામનગરમાં મેળો આ વર્ષે ક્યાં યોજાશે, તે અંગે જન-જનના અભિપ્રાયો તથા તંત્ર, નેતાઓ તથા સ્ટેક હોલ્ડરોની હિલચાલને સાંકળીને તેનો નિચોડ છેલ્લા એકાદ અઠવાડિયાથી વિશેષ સ્વરૂપે નોબતના માધ્યમથી પ્રસિદ્ધ થતો રહે છે, અને તદ્વિષયક ફિડબેક પણ મળતા રહે છે. જામનગરમાં આ વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં કામચલાઉ બસડેપો હોવાથી મેળો ક્યાં યોજાશે, અને ક્યાં યોજવો જોઈએ તે અંગે ભિન્ન ભિન્ન મંતવ્યો, પ્રક્રિયા અને તંત્રની કામગીરી, નિરીક્ષણો તથા મિટિંગોમાં થતી ચર્ચાના અહેવાલો લગભગ દરરોજ પ્રસ્તુત થતા જ રહે છે, પરંતુ પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવાથી ઊભી થનારી સમસ્યાઓ, વિકલ્પો તથા લોકોના સૂચનોને સાંકળીને "નોબત"માં વિવિધ વિચારો-પ્રતિક્રિયાઓ સહિતના ઉલ્લેખો છેલ્લા અઠવાડિયા દરમ્યાન તંત્રી લેખો, વિશેષ લેખો તથા બોક્સન્યુઝમાં વિશ્લેષણોના સ્વરૂપમાં કરાયા છે, અને તેના કારણે જામ્યુકોના વર્તુળોમાં હલચલ મચી હોવાના સંકેતો પણ મળે છે. આજે પણ શ્રાવણી મેળાના સ્થળનો મુદૃો "ટોક ઓફ ધ ટાઉન" બન્યો છે. જોઈએ, શું થાય છે તે...
અત્યારે મહાનગરપાલિકાના શાસકો પાસે જે સત્તા છે, જે નગરજનો (મતદારો) એ જ તેમને સોંપી છે, તેથી જનમતનો આદર કરવાની શાસકોની ફરજ છે. જ્યારે પ્રેસ-મીડિયાના માધ્યમથી પ્રદર્શન ગ્રાઉન્ડના મેળાના આયોજન અંગે આશંકાઓ વ્યક્ત થઈ રહી હોય અને જનમત વિરૂદ્ધમાં હોય કે વહેંચાયેલો હોય ત્યારે મિટિંગોમાં લેવાયેલા નિર્ણયો કે (ટેન્ડર સહિતની ?) થયેલી પ્રક્રિયાઓ અંગે પૂનર્વિચારણા પણ કરવી જ પડે...
શ્રાવણી મેળા ઉપરાંત નગરમાં ચાલી રહેલા માર્ગ-મરામતના કામોનો વિષય પણ ચર્ચામાં છે. મ્યુનિસિપલ કમિશ્નર અને તેની ટીમ તો ક્યારેક તૂટેલા-ફૂટેલા માર્ગો, ક્યારેક પુલો, ક્યારેક અન્ય વિકાસના કામો તો ક્યારેક ગૌશાળાની મુલાકાત લેતા હોય છે, પરંતુ લોકોએ ઢગલાબંધ મતો આપ્યા છે, તે પદાધિકારીઓ અને કોર્પોરેટરો ભાગ્યે જ મુસીબતના સમયે સમયોચિત જનસંપર્ક કે નિરીક્ષણ કરવા નીકળતા હોવાની જનવ્યથા જોતા જામ્યુકો કોઈ પણ નિર્ણયો, નિરીક્ષણો કે આયોજનો જનમતને અવગણીને કરશે, તો તેના ઘેરા પ્રત્યાઘાતો છેક આગામી ચૂંટણી સુધી પડઘાશે, તે ભુલવુ ન જોઈએ. જો કે, કેટલાક કોર્પોરેટરો જાગૃત છે, તો પદાધિકારીઓ પણ વખતોવખત જનતાની વચ્ચે દેખાય છે. પરંતુ માત્ર ઉજવણીઓ ઉદ્ઘાટનો કે વધામણાઓના કાર્યક્રમને જ પ્રાયોરિટી આપવી અને જનતાની વ્યથા નિવારવા તથા નગરવ્યાપી સમસ્યાઓ ઉકેલવાને ગૌણ ગણવાની માનસિકતા ન રાખવી જોઈએ. આ પ્રકારની માનસિકતાને લોકો ડ્રામેબાજી ગણાવે છે !
જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ટેસ્ટમેચમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ આપેલા અભિનંદન તથા જામનગરને "પેરિસ" બનાવવાના સૂચિત પ્રોજેકટની ચર્ચા સાથે અટકળોનું બજાર ગરમ છે, અને અદાણી ગ્રુપ ક્યા-ક્યા સ્થળોનો કેવી કેવી રીતે વિકાસ કરશે, તેની કલ્પનાઓ પણ થવા લાગી છે. જામસાહેબ બાપુની આ પહેલ પછી હકીકતે જામનગરના કેટલાક વિસ્તારોનો વિકાસ થશે તો જામનગર હવે મહત્ત્વપૂર્ણ ગ્લોબલ મેપમાં સ્થાયી સ્થાન મેળવશે અને સમગ્ર હાલાર પણ વૈશ્વિક વિકાસના નકશામાં વધુ મહત્ત્વનું સ્થાન મેળવશે તેમ જણાય છે. જામનગરમાં પહેલેથી જ ભારતીય સેનાની ત્રણેય પાંખો છે. તે ઉપરાંત આ રજવાડી નગરમાં ઘણાં બધા જોવાલાયક સ્થળો આવેલા છે. મંદિરોની નગરી ગણાતું જામનગર છોટી કાશી પણ કહેવાય છે. બ્રાસપાર્ટ ઉદ્યોગ તથા અન્ય ઔદ્યોગિક સંસ્થાનો તથા વ્યાપારક્ષેત્રે પણ જામનગરનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
સમગ્ર હાલારમાં ઔદ્યોગિક વિકાસ ઉપરાંત પ્રવાસન ઉદ્યોગ પણ વિકસી રહ્યો છે. યાત્રાધામ દ્વારકા કોરિડોરના વિકાસ સાથે રિલાયન્સ, નયારા ઉપરાંત હવે ઓ.એન.જી.સી.ની કોઈ રિફાઈનરીની સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે. ભુજીયો કોઠો, તળાવની પાળ અને રંગમતી રિવરફ્રન્ટ જેવા વિકાસ સંકુલોના નિર્માણ તથા નવનિર્માણના કારણે હાલાર વાયબ્રન્ટ થઈ રહ્યું છે. સુદર્શન બ્રિજ, સૂચિત સુદામાસેતુનું નવીનીકરણ, શિવરાજપુર-ઓખામઢી-હર્ષદના બીચ, બેટ દ્વારકા-નાગેશ્વરથી હર્ષદ સુધીના યાત્રાધામોનો વિકાસ વગેરે થકી હાલાર પણ ગ્લોબલ બની રહ્યું છે.
જો જામનગર સહિત હાલારની આ ગરિમા વધુ ઝળકાવવી હોય, ભવ્ય ઐતિહાસિક અને રજવાડી વારસો જાળવી રાખવો હોય, હાલારના તમામ બંદરોને વધુ ધમધમતા કરવા હોય અને ખાસ કરીને જામનગરને "પેરિસ" બનાવવાના સપનાઓ સાકાર કરવા હોય તો પહેલા તો સિસ્ટમો સુધારવી પડશે, નેતાગીરીએ સિલેકટીવ માનસિકતા બદલવી પડશે અને નગરજનો તથા હાલારની જનતાએ પણ નિયમ-કાયદાને અનુરૂપ રહીને સંગઠીત થવું પડશે...
જામનગરને પેરિસ અને હાલારને હેવન બનાવવા માટે બિનરાજકીય તથા સમર્પિત પ્રયાસો જરૂરી છે, અને તેમાં આપણે શ્રાવણી મેળા યોજવા જેવી બાબતે પણ ગુંચવાયેલા રહીશું, પ્રચંડ જનમતને અવગણીને મનસ્વી વલણ દાખવતા રહીશું અને લોકોએ જ આપેલી સત્તાનો ઉપયોગ જનમતનો અનાદર થાય, તેવી રીતે કરતા રહીશું તો હવેલી લેવા જતાં ગુજરાત ગુમાવવા જેવો ઘાટ સર્જાશે, તે ભૂલવું ન જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કોઈપણ પ્રકારની ચૂંટણીમાં વિજય મળ્યા પછી જન-પ્રતિનિધિ તેના મત વિસ્તારોના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી એક વખત ચૂંટાઈ ગયા પછી ચૂંટણી સમયે ઓછું સમર્થન મળ્યું હોય તેવા વિસ્તારો, વિચારધારાનો મતભેદ ધરાવતા લોકો કે પછી કોઈપણ પ્રકારના મત-મતાંતરોને લક્ષ્યમાં લીધા વગર "જનસેવા" કરવી જોઈએ. અને શાસક પક્ષના નેતાઓએ સમાન ધોરણે વિકાસ અને લોક-કલ્યાણના કાર્યો કરવા જોઈએ, તથા વિપક્ષના નેતાઓએ પણ લોકોની સમસ્યાઓ તથા જરૂરિયાતોને લઈને પોતાના મત વિસ્તારના તમામ લોકો માટે અવાજ ઉઠાવવો જોઈએ, અને ચૂંટણીમાં પ્રતિસ્પર્ધીઓને વધુ મતો આપ્યા હોવાની આશંકા કે પ્રચાર દરમ્યાન પોતાને કે પોતાના પક્ષને ઓછું સમર્થન મળ્યું હોય તેવા વિસ્તારો પ્રત્યે દુર્લક્ષ ન સેવવું જોઈએ.
દેશની આઝાદી મળી ત્યારથી જ આ બંધારણીય વિભાવના રહી છે, છતાં પંચાયત, પાલિકા, મહાપાલિકા, રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષા સુધીના જન-પ્રતિનિધિઓ ચૂંટણી આધારિત રાજનીતિ કરતા રહ્યા છે, અને તેના આધારે વિકાસ અને જન-કલ્યાણના કામો થતા રહ્યા છે, એટલું જ નહીં, વિપક્ષો પણ આ જ રીતે "સિલેકટીવ" એપ્રોચ (વલણ) અપનાવતા રહ્યા છે, જે લોકતાંત્રિક ભાવનાઓ તથા આપણાં દેશની બંધારણીય જોગવાઈઓને અનુરૂપ નથી, આ મુદ્દે રાજકીય પક્ષો આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા રહે છે, પરંતુ આત્મ નિરીક્ષણ કરતા નથી, અથવા જાણી જોઈને પોતાના સમાન પ્રકારના વલણ અંગે ડ્રામેબાજી કરે છે.
તાજેતરમાં પડેલા વરસાદ પછી રાજ્યમાં તૂટી-ફૂટી ગયેલા માર્ગોને તત્કાળ થીગડાં મારવાની જે ઝુંબેશ ચાલી રહી છે, તેમાં પણ વહાલા-દવલાની નીતિ અપનાવાઈ રહી હોવાની રાજ્યના કેટલાક સ્થળે ચર્ચા થવા લાગી છે. બીજી તરફ વિપક્ષો દ્વારા પણ "સિલેકટીવ" વિસ્તારો માટે જ અવાજ ઉઠાવાઈ રહ્યો હોવાની છાપ પણ ઉપસી રહી છે.
મહાનગરપાલિકાઓમાં એક વોર્ડ દીઠ એક થી વધુ કોર્પોરેટરો ચૂંટાયા હોય, તો તે તમામ કોર્પોરેટરોની જવાબદારી આખા વોર્ડ માટેની જ ગણાય., અને કોઈપણ વિકાસ કે લોકકલ્યાણના કામો માટે જો આખા વોર્ડમાં સમાન જરૂરિયાત કે સ્થિતિ હોવા છતાં માત્ર કેટલાક વિસ્તારોમાં જ વધુ ધ્યાન અપાય, અને બીજા વિસ્તારોની અવગણના થાય, ત્યારે એવી આશંકાઓ ઉઠે કે આવું થવા પાછળ ક્યાંક ચૂંટણી સમયે મળેલા મતો કે સમર્થનના માપદંડોને તો ધ્યાને લેવાયા નહીં હોય ને ?
એવી જ રીતે વિપક્ષના નગરસેવકો (કોર્પોરેટરો) જો પોતાના વોર્ડમાં ચારે તરફ માર્ગોની મરામત, ભૂગર્ભ ગટરના કામો કે અન્ય માળખાકીય સુવિધાઓની સમાન જરૂરિયાત હોવા છતાં જો માત્ર કેટલાક વિસ્તારો માટે જ "સિલેકટીવ" અવાજ ઉઠાવે, અને ખૂબજ તત્કાળ જરૂરિયાત હોય તેવા કેટલાક વિસ્તારોનો તેમાં ઉલ્લેખ જ ન કરે, ત્યારે પણ એવી જ આશંકાઓ ઉઠે કે ક્યાંક ચૂંટણી ટાણે પૂરૃં સમર્થન ન મળ્યું હોય, પોતાની વોટબેંક ન ગણાતી હોય કે તે વિસ્તારમાંથી પોતાને ઓછા મત મળ્યા હોવાનો ડંખ રહી ગયો હોય, તેવા માપદંડો તો અપનાવાઈ રહ્યા નથી ને ?
ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓનો પણ ઉભયપક્ષે આ જ પ્રકારના શંકાસ્પદ વલણો જોવા મળતા હોય કે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ વોટબેંક કે વિચારધારા આધારિત ભેદભાવો રખાતા હોય, તો તે બંધારણીય ભાવનાઓને અનુરૂપ તો નથી જ, પરંતુ અમાનવીય અને અનૈતિક પણ ગણાય.
આપણો દેશ વિવિધતામાં એકતા અને વસુધૈવ કુટુંબકમ્ની પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે, જેનો પ્રભાવ આપણા દેશના લિખિત બંધારણ તથા સામાજિક-સાંસ્કૃતિક પરંપરાઓ પર પણ પડયો છે. આ સંજોગોમાં ભેદભાવથી ગ્રાસિત રાજનીતિ, શાસન કે પ્રશાસન વજર્ય ગણાય, પરંતુ આ સિદ્ધાંતો હવે ધીમેધીમે વિસરાઈ રહ્યા હોય અને માત્ર રોકડીયા પાકની જેમ મતો લણવાની લ્હાયમાં ફળદ્રુપ જમીન જેવી આપણી લોકશાહીની વેરાનભૂમિની જેમ દૂર્દશા કરવામાં આવી રહી હોય, તેવો આભાસ ઊભો થાય છે.
એક કેસમાં સુપ્રિમ કોર્ટે પણ ટકોર કરી છે કે જ્ઞાતિ-જાતિના ભેદભાવ યોગ્ય નથી. દેશમાં જ્ઞાતિ-જાતિના નામે થતી રાજનીતિ સામે લાલબત્તી ધરતા સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે આ પ્રકારની રાજનીતિ દેશ માટે ખતરનાક પૂરવાર થઈ શકે છે. એ.આઈ.એમ.આઈ.એમ.નું રજીસ્ટ્રેશન રદ કરવાના કેસની સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી, અને અરજદારની માંગણી ફગાવતા કહ્યું હતું કે કોઈ એક પક્ષ માટે નહીં, સર્વગ્રાહી ટ્રાન્સપરન્ટ પિટિશન હોય, તો વિચારી શકાય, આ સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે અવલોકન કર્યું હતું કે દેશમાં કેટલાક રાજકીય પક્ષો એવા છે કે જેઓ જાતિના નામે રાજનીતિ કરે છે, જે દેશની બંધારણીય વિભાવનાને અનુરૂપ નથી, સુપ્રિમ કોર્ટનું આ અવલોકન દેશની રાજનીતિની વરવી વાસ્તવિકતા છે, અને આ ટકોર દેશના રાજનેતાઓ તથા રાજકીય પક્ષો સામે લાલબત્તી સમાન છે.
મૂળ વાત એ છે કે મતદારો પોતાના જનપ્રતિનિધિને ચૂંટે છે અને તેના આધારે શાસકપક્ષ અને વિપક્ષની ભૂમિકામાં જનસેવકોએ કોઈપણ ભેદભાવ કે પૂર્વગ્રહ રાખ્યા વિના પોતાના સમગ્ર વિસ્તારમાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ માત્ર પોતાના મતક્ષેત્ર નહીં, પરંતુ જનતાના પ્રતિનિધિ ગણાય. પ્રત્યેક કોર્પોરેટર સમગ્ર મહાનગરપાલિકા વિસ્તાર એટલે કે આખા શહેરની જનતાનો અવાજ ઉઠાવી શકે છે. પ્રત્યેક જનસેવકો પોત-પોતાના મતક્ષેત્રનો સામૂહિક રીતે અવાજ ઉઠાવે તેનો પ્રભાવ પણ વજનદાર હોય છે.
કેટલાક નેતાઓ એવા પણ હોય છે, જેઓ વૈચારિક રીતે સમર્પિત મતદારો કે વિસ્તારોના મત પોતાને મળવાના જ છે, તેમ માનીને અન્ય વિસ્તારો પર વધુ ધ્યાન આપે, ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ પોતાના સમર્પિત વિસ્તારોને તદૃન ભૂલી જાય કે અવગણના કરે, તે પણ યોગ્ય નથી. આવું વલણ રાખનાર જન-પ્રતિનિધિઓ ઘણી વખત તરત ફેંકાઈ પણ જતા હોય છે, કારણ કે કાયમ માટેે બધાને મૂર્ખ બનાવી શકાતા હોતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરને "ખાડે ગયેલું શહેર" ગણાવીને કોંગ્રેસે શાસકપક્ષ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું, અને સદ્બુદ્ધિ યજ્ઞ કરીને નગરમાં માર્ગોના કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે "હિસાબ દો, જવાબ દો" કાર્યક્રમ રજૂ કરીને નગરમાં રસ્તાઓ તથા ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારની તપાસ માંગી. બીજી તરફ મ્યુનિસિપલ કમિશ્નરના નેતૃત્વમાં એન્જિનિયરોની ટીમ રાજકોટ તરફ જતા ધોરીમાર્ગમાંથી સાત રસ્તા સુધીના આંતરિક માર્ગોનું નિરીક્ષણ કર્યા પછી "હોટ પેચ" એટલે કે ડામરથી ખાડા પુરવાની ઝુંબેશ શરૂ થવાનું હોવાના સંકેતો મળ્યા. નગરમાં આવેલા નાના-મોટા બે ડઝનથી વધુ પુલ-પુલીયાનું નિરીક્ષણ પણ થયું અને કાલાવડ નાકા બહારનો પુલ તો બંધ જ કરી દેવાયો. નગરમાં એક માતા પોતાના બાળક સાથે મનપાની કુંડીમાં પડી ગઈ, તે ખાડા પાસે મુકાયેલી આડસો કોઈએ ખસેડી નાંખી હોય, તો તેવા લોકોને પણ સદ્બુદ્ધિની જરૂર છે. આ દરમ્યાન કેટલાક કોર્પોરેટરોએ સુત્રોચ્ચાર સાથે મહાનગરપાલિકામાં પહોંચીને પદાધિકારીઓની ઓફિસો બહાર આવેદનપત્રો ચોંટાડી દીધા. આ તમામ ઘટનાક્રમો ગંભીરા દુર્ઘટના પછી રાજકીય પક્ષો જર્જરિત પુલો તથા બિસ્માર થઈ ગયેલા માર્ગોને લઈને જાગૃત થઈ ગયા હોય તેમ જણાય છે. જો કે, જામ્યુકોના સંકુલમાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે થયેલી કથિત જીભાજોડી પણ "ટોક ઓફ ધ ટાઉન" બની છે, અને "હોટ પેચ"ની સાથે "હેટ સ્પીચ"ની ચર્ચા પણ વ્યાપક બની છે.
કોઈ પણ મુદ્દે મતભેદ ઊભા થાય, તે સ્વાભાવિક છે અને વિચારભેદ કે મતભેદ વ્યક્ત થાય તેને પ્રોત્સાહિત કરવા માટે જ લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી હોય છે. આપણાં દેશના બંધારણે પણ અભિવ્યક્તિની આઝાદી દરેક નાગરિકને આપી છે, અને વાણી-સ્વાતંત્ર્ય જ આપણાં દેશના લોકતંત્રને વધુને વધુ મજબૂત બનાવે છે, પરંતુ આ આઝાદી કોઈને ગાલી-ગલોચ કરવાની, કોઈનું સ્વમાન હણવાથી અથવા અપમાન કરવાની કે વ્યક્તિગત, ધર્મ-વર્ગ-રંગ-સમાજ-જ્ઞાતિ કે સમૂહને લઈને મનફાવે તેવા અયોગ્ય, અનૈતિક કે અભદ્ર શબ્દપ્રયોગ કરવાની છૂટ આપતી નથી. આવા શબ્દપ્રયોગ, પોસ્ટર, ચિત્રો, કાર્ટૂન વગેરેને હેટ સ્પીચ કહેવાય છે.
આ જ વાત એક સુનાવણી દરમ્યાન દેશની સર્વોચ્ચ અદાલતે પણ કરી છે, એટલું જ નહીં. સપ્રિમકોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સોશ્યલ મીડિયા દ્વાર થતી "હેટ સ્પીચ" એટલકે કે નફરતભર્યા શબ્દપ્રયોગો, દૃશ્યો કે ચિત્રો-કાર્ટૂનો સાથેની કોમેન્ટો અને પોસ્ટપર સ્વનિયંત્રણ માટે ગાઈડલાઈન્સ ઘડવાના આદેશો પણ આપ્યા છે. આખો કિસ્સો કાર્ટૂનિસ્ટ હેમંત માલવિયને હેટ સ્પીચના મામલે વચગાળાનો આદેશ કે આગોતરા જામીન આપવાના કેસનો છે, જેમાં સુપ્રિમકોર્ટે માલવિયને તત્કાલ રાહત આપી નહીં, પરંતુ આ મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકારોને સોશ્યલ મીડિયાના માધ્યમથી મુકાતી હેટ સ્પીચને નિયંત્રણમાં લેવા ગાઈડલાઈન્સ તૈયાર કરવા સરકારોને આદેશ આપ્યો છે, એટલું જ નહીં, સોશ્યલ મીડિયાના તમામ યુઝર્સને પણ આ પ્રકારની હરકતો કરવા સામે લાલબત્તી ઘરી છે. સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમોનો દુરૂપયોગ થઈ રહ્યો હોવાનો સ્પષ્ટ અભિપ્રાય પણ સુનાવણી દરમ્યાન સ્વીકૃત થયો છે.
સરકારો પણ આ મુદ્દાનો રાજકીય ઉપયોગ કરીને સોશયલ મીડિયા પર અંકુશ રાખવાના બહાને અભિવ્યક્તિની બંધારણીય આઝાદીને નિયંત્રિત કરવાનો પ્રયાસ ન કરી શકે, તેવી જોગવાઈ પણ અદાલતે કરી છે. અદાલતે કહ્યું છે કે સરકાર કે રાજ્યો સોશ્યલ મીડિયાને અંકુશમાં રાખે, તેવું કોઈ ઈચ્છતું નથી કે તેમાં કોઈ હસ્તક્ષેપ કરવા માંગતું નથી, કે સેન્સરશીપ લાદવાની છુટ આપતું નથી, પરંતુ આ વ્યવસ્થા (જનસહયોગથી) લોકોની સ્વયંભૂ સમજ સાથે સ્વયં શિસ્તથી કેળવાવી જોઈએ.
જો કે, સોશ્યલ મીડિયાના માધ્યમથી સમાજમાં ભાગલા પડે, નફરત ફેલાય તેવી સામગ્રીને અલગ તારવીને તેના પર અંકુશ લાદવાની અદાલતે તરફેણ પણ કરી હતી. હેટ સ્પીચ માટે સેન્સરશીપ ન ગણી શકાય તેવી સ્વનિયંત્રિત વ્યવસ્થા ઊભી કરવાની જરૂર જણાવતા સર્વોચ્ચ અદાલતે આવી સ્પીચ અંગે લોકોને પણ આકરો સવાલ પુછ્યો હતો. અદાલતે લોકોને (જનતાને) ઉદૃેશીને પણ એવો સવાલ કર્યો છે કે લોકોને આ પ્રકારની હેટ સ્પીચ ધરાવતી સામગ્રી અનુચિત કે અપ્રિય શા માટે લાગતી નથી ? અદાલતે શાસકીય સેન્સરશીપના સ્થાને સ્વનિયંત્રિત સિસ્ટમની તરફેણ કરી હતી, અને લોકોને આ પ્રકારની અભદ્ર, અયોગ્ય અને ધૃણાસ્પદ સામગ્રી લાઈક, શેર કે ફોરવર્ડ કરવાથી દૂર રહેવું જોઈએ. આ વિષય પર બંને પક્ષકારોના વકીલો પાસેથી સુપ્રિમકોર્ટ સૂચનો માંગ્યા હોવાથી હવે અંતિમ ચુકાદો શું આવે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે, પરંતુ આ મુદ્દે સુપ્રિમકોર્ટ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે હેટ સ્પીચ પર અંકુશ જરૂરી છે, પરંતુ તે ગાઈડલાઈન્સ આધારિત સ્વયંશિસ્તના સ્વરૂપમાં હોવો જોઈએ, અને આ બહાને સરકાર અભિવ્યક્તિની આઝાદીમાં કાપ પણ નહીં મૂકી શકે.
સુપ્રિમકોર્ટે અભદ્ર અને નફરત ફેલાવનારી હેટ સ્પીચ પર જે ટિપ્પણી કરી છે તે માત્ર શબ્દપ્રયોગો નહીં, પરંતુ પોસ્ટર, ચિત્રો, તસ્વીરો, વીડિયો, કાર્ટૂન વિગેરે કૃતિઓને પણ લાગુ પડે છે, તેવું સમજાય છે. હવે આખરી ચૂકાદો જે આવે તે ખરો, પરંતુ એ સ્પષ્ટ છે કે સોશ્યલ મીડિયા સહિત વિવિધ રીતે ફેલાવાતી નફરત અને હેટ સ્પીચને લઈને દેશની સર્વોચ્ચ અદાલત પણ ગંભીર છે, અને આજે પણ એ જ દિશાનિર્દેશો અપેક્ષિત છે.
દેશમાં હેટ સ્પીચ જેટલી જ ચર્ચા નગર અને હાલારમાં "હોટ સ્પીચ"ની થઈ રહી છે, તેમાં પણ તાજેતરમાં બનેલા માર્ગો ધોવાઈ ગયા હોય તો તેના કોન્ટ્રાકટરો તથા તે કાર્યોને મંજૂર કરનાર અધિકારીઓ-પદાધિકારીઓને પણ સખ્ત નશ્યત થવી જોઈએ અને માત્ર નાણાકીય દંડ જ નહીં, પ્રજા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને સરકારી નાણાના દૂરૂપયોગ બદલ ફોજદારી રાહે કડકમાં કડક સજા થવી જોઈએ. ખરૃં ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મમતાની મૂર્તિ, સંસ્કારોની સરવાણી,
સ્નેહનો શિતળ છાંયડો,
માધવાણી પરિવારનો શિતળ છાંયડો વર્ષ-૨૦૦૭ની ૧૩મી જુલાઈના દિવસે ઝુંટવાઈ ગયો, ત્યારે અમે બધા આપની હૂંફ ગુમાવીને સ્તબ્ધ થઈ ગયા હતા. માતાના સ્નેહનું ઝરણું સદૈવ વહેતુ રહે છે. સંસ્કારોની સરવાણી વહાવતી મમતાની મૂર્તિ સમી માં એટલે સાક્ષાત ઈશ્વરનું જિંવંત સ્વરૃપ...
પૂ. બા એ અમારા પિતા સ્વ. રતિલાલ માધવાણીના કદમ સાથે કદમ મિલાવીને નોબત પરિવાર અને માધવાણી પરિવાર પર અપાર મમતા અને સ્નેહ વરસાવ્યા હતા. તેઓ હંમેશાં હસતા મૂખે સૌને આવકારતા હતા, અને સરળ, સાદગીભર્યા જિવનની સાથે હંમેશાં ક્રિયાશીલ રહેતા હતા. તેઓનું સમગ્ર જિવન અમારા માટે પ્રેરણા અને આશીર્વાદરૃપ રહ્યું હતું, અને આજે પણ તેઓ આપણી બધાની વચ્ચે જ હોય તેવી અનુભૂતિ થાય છે.
પૂજ્ય બા...આજે પણ આપની સ્મૃતિ અમોને પ્રેરણા આપે છે અને આપનો સ્નેહાળ હસતો ચહેરો અમને હંમેશાં હસતા રહેવાનું શિખવે છે. આપની સૌ કોઈને મદદરૃપ થવાની ભાવના, મળતાવડો સ્વભાવ અને સૌના મન જીતી લેતી મમતાના કારણે આપ સૌ કોઈને અત્યંત પ્રિય હતા. આપ આજે પણ અમારા સૌના દિલમાં ધબકી રહ્યા છો...
આપ ભલે દેહસ્વરૃપે અમારી વચ્ચે નથી, પરંતુ સ્મૃતિઓ અને હૂંફાળી પ્રેરણાના સ્વરૃપમાં આપ આજે પણ અમારા દિલોદિમાગમાં જિવંત જ છો. આપે અનંત વિદાય લીધી ત્યારે અમોને કારમો આઘાત લાગ્યો હતો, પરંતુ ઈશ્વરની ઘટમાળ સામે આપણું કાંઈ ચાલતુ નથી. આપ આજે પણ વૈકુંઠમાંથી અમારા બધા પર અમિભર્યા આશીર્વાદ વરસાવી જ રહ્યા છો....
પૂજ્ય બા...આપ અમારી ચેતના છો, અમારી પ્રેરણા છો...આપના પથદર્શન પર જ, અમો આજે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છીએ.
શ્રીજી ના ચરણોમાં વંદન સાથે અમો આપને પુષ્પાંજલિ અને સ્મરણાંજલિ સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.
જામનગર
તા. ૧૪-૭-૨૦૨૫
- માધવાણી પરિવાર
- નોબત પરિવાર
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનની ગમખ્વાર દુર્ઘટનાના કારણોની આજે ફરીથી ચર્ચા થઈ રહી છે અને એ.એ.આઈ.બી.ના પ્રાથમિક તપાસ રિપોર્ટનું વિશ્લેષણ થઈ રહ્યું છે, અને ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. એવું કહેવાયું છે કે વિમાનના બંને એન્જિનને ઈંધણ નહીં પહોંચતા બંધ પડી ગયા હતા, જેને ચાલુ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ મુદૃે હવે ટેકનિકલ તપાસ પછી અન્ય એંગલોથી તપાસ ચાલુ રહેશે અને આવુ કેમ થયું ? તેનો જવાબ મેળવવાનો પ્રયાસ થશે તેવા સંકેતો મળી રહ્યા છે. ગઈકાલે આ અંગે ૧૫ પેઈઝનો રજૂ કરેલો રિપોર્ટ ચર્ચામાં છે. નાગરિક ઉડ્ડયન મંત્રીને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ આ દુર્ઘટનાની ઉંડી તપાસ તમામ દૃષ્ટિકોણથી (એંગલથી) કરાશે, જેમાં ષડ્યંત્ર કે તોડફોડની સંભાવનાઓનો પણ સમાવેશ થાય છે, એટલે કે આ વિમાન દુર્ઘટના પાછળ કોઈ કાવતરૃં હોય તેવી શક્યતા ને નકારાઈ નથી. એન્જિન ફેઈલર, ફ્યુઅલ પુરવઠાની સમસ્યા, બીજી કોઈ ટેકનિકલ ખામી, માનવીય ભૂલ તથા તમામ એંગલથી તપાસ કરીને ત્રણ મહિનામાં વિગતવાર રિપોર્ટ આવવાની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે તો તમામ ચર્ચાનો મુદ્દો "રન" માંથી "કટ ઓફ" માં ફ્યુલ કટ ઓફ સ્વીચ કેવી રીતે પહોંચી ગઈ અને પાઈલોટો વચ્ચે થયેલી વાતચીત જ છે, અને તેના પરથી જ આ દુર્ઘટના પાછળ કોઈ કાવતરૃં પણ હોઈ શકે છે, તેવી આશંકાઓ પ્રગટ થઈ છે.
આ પ્રાથમિક રિપોર્ટ મુજબ અત્યારે જે કારણો સામે આવ્યા છે, તેના જુદા-જુદા અર્થઘટનો થઈ રહ્યા છે, અને ફ્યુલ સ્વીચ જો વિમાન જમીન પર હોય, ત્યારે જ ઓન-ઓફ કરાતી હોય, તો તે કોણે કરી ? તેવો સવાલ પણ ઉઠે છે. જે હોય તે ખરૃં, પણ આ બાબતની તલસ્પર્શી અને તમામ એંગલથી તપાસ થાય, અને ફાઈનલ રિપોર્ટ બહાર આવે, તે પછી જ બધી વાતો કલીયર થાય તેમ છે, તેથી ત્રણ મહિના પછી વિગતવાર રિપોર્ટ આવે, તેની રાહ જોવી રહી...
અમદાવાદના પ્લેન ક્રેશની તપાસમાં તો બ્લેકબોક્સ અને અન્ય રેકોર્ડીંગ, જરૃર પડે તો એરપોર્ટ, રન-વે ના સી.સી.ટી.વી. કેમેરા તથા તેમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તેમાં ઉંડુ ઉતરવું પડે તેમ છે, અને તેથી તેમાં ત્રણેક મહિનાનો સમયગાળો જોઈએ, પરંતુ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તો જવાબદારોને છાવરવા ન હોય, તો કારણો અને તારણો સ્પષ્ટ જ છે, આ બ્રિજ જર્જરિત હોવા છતાં કેમ ચાલુ રખાયો અને જાગૃત નાગરિકોએ ઘણાં મહિનાઓ પહેલા રજૂઆતો કરવા છતાં આ બ્રિજની મજબૂતિને કલીનચીટ અપાઈ હોય, તો તેની પાછળના કારણો ક્યા હોઈ શકે, તેની ઉંડી તપાસ પણ કરવી જરૃરી છે, અને ભાંગફોડ કે સ્થાપિત હિતોના કોઈ ષડયંત્રની સંભાવનાઓ પણ ચકાસી લેવી જોઈએ, ખરૃં ને ?
અમદાવાદની પ્લેન દુર્ઘટના પછી સંબંધિત એરલાઈન્સ કે ડ્રીમલાઈનર પ્લેનના ઉત્પાદકો તેનો બચાવ કરે અને દુર્ઘટનાના અર્થઘટનોમાંથી જ પોતાની એઈફ સાઈડ બતાવવાનો પ્રયાસ કરે, તે સમજાય, પરંતુ કોના સંદર્ભે સરકાર, અધિકારીઓ કે કોઈ રાજનેતા અથવા પાર્ટી તેના બચાવ કે વિરોધમાં ઉતરે, તો દાળમાં કાંઈક કાળુ હોવાની આશંકાઓ જાગે, તે પણ હકીકત છે. કોઈ પણ બચાવ અથવા વિરોધ સાથે મજબૂત પ્રમાણો, આધાર કે પુરાવા ન હોય, તો તેનો કોઈ મતલબ પણ નથી.
જો કે, આ દુર્ઘટના થયા પછી અન્ય કંપનીઓના વિમાનોની ચકાસણી કરવાની પ્રક્રિયા પણ વધુ ચૂસ્ત-દૂરસ્ત થઈ ગઈ છે અને ઉડ્ડયન દરમ્યાન પણ જો કોઈ નાની-સરખી ખામી કે શંકા જણાય તો તરત જ તેના પર લક્ષ્ય અપાય છે, અને તે કારણે જ ઈમરજન્સી લેન્ડીંગની ઘટનાઓ પણ વધી રહી છે, જે સારા સંકેત છે, કારણે માનવ જિંદગીથી વિશેષ મૂલ્યવાન કોઈ ચીજ નથી.
એવી જ રીતે ગંભીરા પુલની દુર્ઘટના પછી અન્ય જર્જરિત પુલોની ગણતરી પણ થવા લાગી છે, અને ખંભાળીયાના જર્જરિત બ્રિજ જેવા માત્ર કાગળ પર બંધ કરાયેલા તેમજ અન્ય પ્રતિબંધ મુકવા જેવા પુલોની તસ્વીરો પણ અખબારોના પાને ચમકવા લાગી તથા મીડિયા-સોશ્યલ મીડિયામાં વાયરલ થવા લાગી છે. જો કે, મોરબી ઝુલતા પુલની દુર્ઘટના તથા તે પછીની પુલ દુર્ઘટનાઓમાંથી પણ કોઈ કાયમી બોધપાઠ લેવાયો હોય તેમ લાગતું નથી.
જે બ્રિજ અને માર્ગો સામાન્ય વરસાદમાં પણ તૂટી-ફૂટી જાય તેના જવાબદારો સામે માત્ર ગડકરી ફેઈમ જુસ્સેદાર નિવેદનોથી નહીં ચાલે, પરંતુ વાસ્તવમાં કડક પગલાં લેવાય તે જરૃરી છે. એટલું જ નહીં, જ્યારે કોઈપણ નવા માર્ગ કે પુલનું લોકાર્પણ થાય, ત્યારે તેના ઉદ્ઘાટન પહેલા જ ઉદ્ઘાટન કરનાર મહાનુભાવોએ તેની મજબૂતી, ગુણવત્તા તથા કોન્ટ્રાકટર સાથે થયેલા કરારોની ચકાસણી કરવાનું ફરજીયાત હોવું જોઈએ, જેથી ઉદ્ઘાટન પછીના ગેરંટી પીરિયડમાં જો માર્ગ કે પુલને લઈને કોઈ ફરિયાદ ઊભી થાય કે દુર્ઘટના સંભવ હોય તો સંબંધિત કોન્ટ્રાકટરો, તે કામોને પ્રમાણિત અધિકારીઓ અને તે પુલ કે માર્ગનું ઉદ્ઘાટન કરનાર મહાનુભાવોને પણ સાંકળીને ઉચિત કાર્યવાહી સરકાર, તંત્ર અને પાર્ટીની કક્ષાએથી પણ થઈ શકે.
હવે તંત્રો સાથે સાઠગાંઠ કરીને ભ્રષ્ટાચારને સિસ્ટોમેટિક સ્વરૃપ આપનાર પદાધિકારીઓ તથા નેતાઓને પણ કાનૂની રીતે જવાબદાર ગણવાની ક્રાન્તિકારી પહેલ કરવાની જરૃર છે, અને એ પ્રકારની ત્રેવડ હોય, તેને જ સત્તામાં રહેવાનો અધિકાર છે, તેવો નવો કોન્સેપ્ટ પણ આકાર લેવા લાગ્યો છે, તેથી ભ્રષ્ટ અદૃશ્ય ગેંગોએ પણ હવે ચેતી જવાની જરૃર છે, અન્યથા આપણાં દેશમાં મજબૂતમાં મજબૂત સરકારોને પણ આ જ જનતાએ ઘરભેગી કરી છે, તે ભૂલવા જેવું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ગુરૂપૂર્ણિમાની ધામધૂમ અને પૂજ્યભાવ સાથે ગુરૂપૂજન કરીને ઉજવણી થઈ, તો શાળા-કોલેજોથી લઈને ધર્મસ્થળો, ધાર્મિક સંસ્થાઓ અને યાત્રાધામોમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા. આ દરમ્યાન એક તરફ ભક્તિગંગા ઉભરાવા લાગી હતી, તો બીજી તરફ યાત્રાસ્થળો-યાત્રાધામોમાં પણ માનવ મહેરામણ પૂર્ણિમાની ભરતીની જેમ ઉભરાઈ રહ્યો હતો.
યાત્રાધામ દ્વારકામાં પૂનમ ભરવા માટે નિયમિત ભાવિકો આવે છે, તે ઉપરાંત ગઈકાલે ગુરૂપૂર્ણિમા હોવાથી યાત્રિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડતા ગઈકાલે દ્વારકાના જગતમંદિરની છપ્પન સીડી તરફ જે સ્થિતિ સર્જાઈ હતી, તે દ્વારકા દેવસ્થાન (મંદિર વ્યવસ્થાપન) સમિતિ, વહિવટીતંત્ર, પોલીસતંત્ર અને પૂજારીવર્ગ તથા મંદિરને સંલગ્ન શારદાપીઠ માટે પણ એક પ્રકારે વોર્નિંગ એલાર્મ જેવી ગણાય, કારણ કે આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી તથા શ્રાવણ મહિનામાં યાત્રાધામ દ્વારકા-બેટદ્વારકા-નાગેશ્વરના પ્રવાસે અકલ્પ્ય સંખ્યામાં યાત્રિકો આવવાની સંભાવના છે, અને તમામ ભાવિકો-યાત્રિકો જગતમંદિરમાં દર્શન કરવા તો આવવાના જ છે, તેથી ધક્કા-મુક્કી ટાળવા અને દર્શનાર્થીઓનું સ્વમાન જળવાઈ રહે અને શાંતિથી દર્શન-વ્યવસ્થા સંપન્ન થાય, તેનું સમતુલન જાળવવું અત્યંત પડકારરૂપ બનવાનું છે.
એવું કહેવાય છે કે અષાઢી પૂર્ણિમાના દિવસે જગતમંદિરમાં હૈયે હૈયુ દળાય, તેવી ભીડ હતી. અને થોડા સમય માટે કેટલાક ભાવિકોને ભીડની વચ્ચે મુંઝારો થતો હતો. કૃષ્ણકૃપા કહો કે ભક્તોના નસીબ કહો, પણ જેમ-તેમ કરીને વ્યવસ્થા જળવાઈ અને કોઈ અનિચ્છનિય ઘટના સર્જાઈ નહીં, પરંતુ આમાંથી ધડો લઈને આગામી તહેવારોમાં સંબંધિત તંત્રો તકેદારી રાખશે તેવું ઈચ્છીએ...
આખો શ્રાવણ મહિનો સોમનાથ-નાગેશ્વરના દર્શને આવતા દેશ-દુનિયાના ભાવિકોમાંથી મોટા ભાગના લોકો દ્વારકા તથા બેટ દ્વારકાના દર્શને અવશ્ય જતા હોય છે, પરંતુ આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી ખેડૂતો સહિત સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ છે, તેથી સ્થાનિક ભાવિકોનો ધસારો મંદિરોમાં પણ વધવાનો છે અને મેળાઓમાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડવાના છે, ત્યારે આ વખતે જ્યાં જ્યાં મેળાઓ યોજાય છે, ત્યાં ત્યાં સુરક્ષા અને સલામતિ ઉપરાંત વ્યવસ્થિત દર્શન તથા ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવાની દૃષ્ટિએ પણ વધુ પડકારરૂપ સ્થિતિ ઊભી થઈ શકે છે.
જામનગરમાં ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ પછી પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ મેળો યોજાશે, તેવી જાહેરાત તો થઈ ગઈ, પરંતુ આ વખતે એક તરફ મેળામાં ભીડ વધવાની શક્યતાઓ છે, અને બીજી તરફ અડધુ પ્રદર્શન ગ્રાઉન્ડ જ ઉપલબ્ધ છે, તે ઉપરાંત બાજુમાં જ કામચલાઉ એસ.ટી. ડેપો હોવાથી ટ્રાફિક-નિયમન, વ્યવસ્થાઓ, સુરક્ષા-સલામતિ ઉપરાંત ચોમાસાની ઋતુ હોવાથી ભીડ નિયમન ઉપરાંત આગ-અકસ્માત-પડવા-વાગવા જેવી દુર્ઘટનાઓ અંગે પણ સાવચેત રહેવું પડે તેમ છે.
જામનગરમાં તો આખુ પખવાડીયું શ્રાવણી મેળો પ્રદર્શન ગ્રાઉન્ડના અડધા ટૂકડામાં યોજાનાર હોવાથી ઊભી થનારી સ્થિતિની ધ્રુજાવનારી સ્થિતિનો અંદાજ કરીને તંત્રો તિક્કડમ ન ચલાવે, શાસકો સૂસ્ત ન રહે અને લોકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, તેવી આશા જ રાખવી રહી...
નગરમાં પૂર્ણતાના આરે આવીને લટકેલી તથા અટકેલી ફલાયઓવર બ્રિજની કામગીરી, તેની ગુણવત્તા સામે ઉઠેલા સવાલો અને ખાડાઓમાં ગાયબ થઈ ગયેલા માર્ગો તથા ચોમાસાના કારણે વરસાદ-વાવાઝોડાની સંભાવનાઓ વચ્ચે શ્રાવણ મહિનો તથા અન્ય તહેવારોમાં મુશ્કેલી તો પડવાની જ છે, અને પરિણામલક્ષી પગલાં લેતા પહેલા જ (આદત સે મજબૂર) પ્રચાર-પ્રસિદ્ધિ કરતી સ્થાનિક શાસકો અને તંત્રોની જુગલબંધીના ભરોસે પણ રહેવાય તેમ નથી, ત્યારે ટ્રાફિક અને અન્ય નીતિ-નિયમ-કાયદા-કાનૂનને નેવે મૂકીને તહેવારો ટાણે ઉફાણે આવી જતા તત્ત્વો-પરિબળોને અંકુશમાં રાખવાની તકેદારી પણ "ઉચ્ચ" કક્ષાએથી સાર્વત્રિક રાખવી પડે તેમ છે.
શ્રાવણી મેળાઓ તથા તહેવારોમાં મેળાઓ તથા યાત્રાધામોમાં બેફામ નફાખોરી અને ઉઘાડી લૂંટ ન થાય, અને સ્થાનિક તથા રાજ્યવ્યાપી પરિવહનમાં ટિકિટ-ભાડા, રિક્ષાભાડા અને ભોજન-નિવાસની સવલતો આપતા ક્ષેત્રો પર પહેલેથી જ અંકુશ રહે તે અત્યંત જરૂરી છે.
રેલવે તંત્રે પણ જનરલ બુકીંગ સમયે ટ્રેનની ક્ષમતાને અનુરૂપ જ ટિકિટો આપવી જોઈએ, તેથી પહેલેથી બુકીંગ કરાવ્યું હોય, તેવા પ્રવાસીઓ પોતાની સીટ સુધી સમયસર અને સલામત રીતે સરળતાથી પહોંચી શકે.
રેલેવે તંત્ર દ્વારા લાંબા અંતરની ટ્રેનોમાં ચાલુ ટ્રેને કોઈ પણ મુસાફરની સામાન્ય બીમારીમાં પ્રાથમિક સારવાર થઈ શકે, અને દવાઓ આપી શકાય, તેવી વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે વિચારવું જોઈએ, જેથી રેલવેસ્ટેશનો પર કે નજીકના સ્થળે દવા લેવા જતા મુશ્કેલીમાં મુકાવા, ટ્રેન ચૂકી જવા કે મુસાફરી અડધેથી છોડી દેવા જેવી મજબૂરીમાં મુસાફરોને મુકાવું પડે નહીં. ખાસ કરીને યાત્રાધામો તથા મોટા શહેરોને જોડતી લાંબા અંતરની ટ્રેનોમાં આ પ્રકારની વ્યવસ્થા થવી જરૂરી છે.
દર વર્ષે એસ.ટી. દ્વારા જન્માષ્ટમી પર્વે દ્વારકા અને અન્ય તહેવારો પર પ્રાસંગિક ધોરણે અન્ય સ્થળો માટે પણ વિશેષ બસો દોડાવવામાં આવે છે, તેમાં સુધારો વધારો થવો જરૂરી છે, અને લાંબા અંતરની બસોમાં પણ કોઈ મુસાફરને સામાન્ય તકલીફ થાય, તો બસમાં જ ફર્સ્ટ એઈડ કે સારવાર થઈ શકે, તેવી વ્યવસ્થા થઈ શકે અને કેટલાક વ્યૂહાત્મક સ્થળે બસમથકો પર પણ આ પ્રકારની સુવિધાઓ રાખવી જોઈએ. ખાસ કરીને તહેવારોમાં ભારે ભીડ હોય, ત્યારે તો કેટલીક વિશેષ વ્યવસ્થાઓ ઊભી થવી જ જોઈએ ને ?
આપણે ઈચ્છીએ કે તમામ તહેવારો-મેળાઓ ખૂબ જ આનંદ-ઉલ્લાસપૂર્વક અને નિર્વિઘ્ને સંપન્ન થાય, અને એવું ત્યારે જ થશે, જ્યારે આપણે બધા પહેલેથી જ આ માટે જાગૃત રહીશું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ગુરૂપૂર્ણિમા છે, અને જામનગર-હાલાર સહિતના વિશ્વભરમાં ભારતીયો જ નહીં, અન્ય દેશોના સનાતનીઓ પણ આજે ગુરૂપૂજન કરી રહ્યા છે. જૂના જમાનામાં શિક્ષણ વ્યવસ્થાઓ આપણાં દેશમાં ઋષિ-મૂનિઓ પાસે હતી, જે અત્યારે શાસન હસ્તક છે., પરંતુ જે શિક્ષણ આપે કે સંસ્કારો આપે, તે તમામ ગુરૂજનોનો આજે મહિમાગાન થાય છે.
અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરૂવર્ય વેદવ્યાસજીની જયંતીને ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે, અને આ દિવસે ગુરૂ પ્રત્યે સન્માન-આદર અને જીવન-શિક્ષણ-સંસ્કાર આપવા બદલ આભારદર્શનનો હોવાથી તેનું ભારતીય સંસ્કૃતિમાં અદકેરૃં મહત્ત્વ છે. વેદવ્યાસજીએ અઢાર પુરાણ, શ્રીમદ્ ભાગવત, મહાભારત અને બ્રહ્મસુત્ર સહિતના ગ્રંથોની રચના કરી હતી, જે સનાતન ધર્મની બુનિયાદ છે.
ગુરૂપૂર્ણિમા એટલે ગુરૂ-શિષ્ય પરંપરાનો ઉત્સવ...આ દિવસે શિષ્યો પોતાના ગુરૂજનોના આશીર્વાદ મેળવે છે અને શિક્ષકો, પ્રોફેસરો તથા શિક્ષણ આપનાર મહાપુરૂષોનું બહુમાન કરાય છે; તેવી જ રીતે આધ્યાત્મિક-ધાર્મિક પથદર્શન કરતા ધર્મગુરૂઓનું પૂજન પણ આજના દિવસે થાય છે. એક દૃષ્ટિએ આ દિવસ પ્રાચીનકાળથી લઈને અર્વાચીન કાળના ગુરૂજનોને સમર્પિત છે, અને શિષ્યો તથા શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ તથા અનુયાયીઓ પારંપરિક ગુરૂપૂજન તથા પોતાના પ્રવર્તમાન ગુરૂજનો પ્રત્યે પણ આદર અને આભાર વ્યક્ત કરે છે.
આજે યુગ બદલાયો છે. શિક્ષણ પદ્ધતિ પણ બદલાઈ રહી છે. ગુરૂ-શિષ્ય પરંપરા જળવાઈ પણ રહી છે અને તેમાં આધુનિકતા પણ આવી રહી છે. આજે શાળા-કોલેજના ગુરૂજનો, યોગગુરૂઓ, ડીજિટલ ક્ષેત્રના ગુરૂજનો તથા વિવિધ ક્ષેત્રના તજજ્ઞ ગુુરૂજનોને યાદ કરીને તમામના યોગદાનને બિરદાવવુ જ જોઈએ.
બીજી દૃષ્ટિએ જોઈએ, તો આજે ગુરૂ-શિષ્ય પરંપરા પહેલાની જેમ જળવાઈ રહેલી જણાતી નથી., ધર્મ-સંપ્રદાયો અને આધ્યાત્મિક ક્ષેત્રે તો ગુરૂજનો તથા અનુયાયીઓની પારંપારિક પ્રથાઓ, રિત-રિવાજો તથા આદર-માન સન્માન કાંઈક અંશે જળવાઈ રહ્યા છે, પરંતુ આધુનિક શિક્ષણ પ્રણાલિમાં એ પારસ્પરિક માન-સન્માન-આદર તથા વહાલ-વાત્સલ્ય જળવાઈ રહ્યા છે ખરા ? તે પ્રશ્નનો જવાબ શોધવો પડે તેમ છે અને ચિંતન કરવું પડે તેમ છે.
ઘણી પ્રાચીન પરંપરાઓમાં સુધારણાઓ જરૂરી હતી, જે થઈ રહી છે, તેવી જ રીતે અર્વાચીન પરંપરાઓમાં પણ મૂળભૂત સંસ્કારો અને સંસ્કૃતિ વિસરાવી ન જ જોઈએ, પરંતુ વાસ્તવમાં તેવું બની રહ્યું છે ખરૃં ?
પહેલા ધર્મ, આધ્યત્મ, શિક્ષણ અને સંસ્કારોનું સિંચન ઋષિ-મુનિઓ કરતા, જે આજે ધર્મ-આધ્યાત્મ તથા શિક્ષણ-તાલીમના અલગ-અલગ ક્ષેત્રોમાં વહેંચાઈ ગયા છે, અને જીવનલક્ષી શિક્ષણ હવે કારકીર્દિ અથવા વ્યવસાયલક્ષી બન્યું છે, તેવી ચર્ચાઓમાં પણ વજૂદ છે, યુગ બદલાયો છે, તેની સાથે પરંપરાઓ અને પદ્ધતિઓ પણ બદલી ગઈ છે.
આપણે માતાને જીવનનો સર્વપ્રથમ અને જીવનપર્યંતનો સર્વોચ્ચ ગુરૂ માનીએ છીએ. એમ પણ કહી શકાય કે જન્મ દેનાર માતા-પિતા જીવનના પ્રારંભિક ગુરૂ છે. તે પછી પૂર્વ-પ્રાથમિક થી લઈને ઉચ્ચ-સર્વોચ્ચ કક્ષાઓ સુધીના શિક્ષણ આપનાર તમામ શિક્ષકો, પ્રોફેસરો, ફેકલ્ટીઓ તથા તજજ્ઞોને પણ ગુરૂજનો ગણાવી શકાય. તે ઉપરાંત જે આધ્યાત્મિક ગુરૂ આપણને નૈતિકતા અને સામાજિક મૂલ્યો સમજાવે અને આધ્યાત્મિક શિક્ષણ આપે, અને દીક્ષા આપે તે દીક્ષાગુરૂઓ કહેવાય. તે ઉપરાંત યોગ ગુરૂ, બ્રહ્મોનિષ્ઠ ગુરૂ, તંત્ર-મંત્ર શિખવનાર ગુરૂ, ચંદન ગુરૂ, યોગી ગુરૂ વગેરે ધર્મ-આધ્યાત્મ-વિદ્યાઓ ક્ષેત્રના ગુરૂઓ તથા આધુનિક યુગમાં શિક્ષક, પ્રોફેસર, વિશેષજ્ઞ, માર્ગદર્શક, એડવાઈઝર, એડ ગુરૂ, ડીજિટલ ગુરૂ તથા કલા ગુરૂ જેવા પ્રકારો પણ ગુરૂની શ્રેણીમાં ગણાવાય છે.
આપણાં શાસ્ત્રો મુજબ ચંબક ગુરૂ, ચંદન ગુરૂ, પારસ ગુરૂ અને ભૃંગી ગુરૂ એવા ચાર પ્રકાર ગણાવ્યા છે. તે ઉપરાંત વર્તમાન યુગમાં સંગીત ગુરૂ, નૃત્ય ગુરૂ, આધ્યાત્મ ગુરૂ, ધર્મ ગુરૂ જેવા પ્રકારો પણ આ શ્રેણીમાં ગણાવાય છે. શાળા-કોલેજોમાં શિક્ષણ આપતા અધ્યાપકો, પ્રાધ્યાપકોને સૂચક ગુરૂ, કથાકારો, વ્યાખ્યાનકારોને વાચક ગુરૂ, ધર્મ-આધ્યાત્મનું પ્રાસંગિક જ્ઞાન આપતા વક્તાઓને બોધક ગુરૂ અને કેટલાક નકારાત્મક હેતુઓ માટે તાંત્રિક વિદ્યા શિખવનારને નિષિદ્ધ ગુરૂ કહેવાય છે; નિષિદ્ધ ગુરૂથી અંતર રાખવાની સલાહ પણ અપાતી હોય છે. આપણાં શાસ્ત્રો મુજબ વશિષ્ઠ, વિશ્વામિત્ર, કશ્યપ, અત્રિ,ગૌતમ, મહર્ષિ, જમદગ્નિ અને ભારદ્વાજ ઋષિને સપ્તર્ષિ ગણાવાયા છે. એ ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ રાજગુરૂઓ હોય છે, જે રાજા-રજવાડાઓને પથદર્શન કરતા હતા. લોકતાંત્રિક વ્યવસ્થામાં રાજકીય પાર્ટીઓના સ્થાપકો વગેરેને પણ રાજકીય ગુરૂ ગણવામાં આવે છે.
કેટલાક સંપ્રદાયોમાં ગાદીપ્રથા મૂજબ ગુરૂજનો ગાદી સંભાળે છે, તો જગદ્ગુરૂઓની પરંપરા પણ છે, ગુરૂજનોનો આદર કરવાના આજના દિવસે તમામ પાવન ગુરૂઓને વંદન...
આજનો યુગ પ્રોફેશનાલિઝમ તથા પેકેજીસ આધારિત થઈ ગયો છે, ત્યારે ગુરૂ-શિષ્ય પરંપરા પ્રમાણો અને આયામો પણ બદલી રહ્યા છે અને માન, સન્માન, આદર તથા ગુરૂત્વના માપદંડો પણ બદલાઈ ગયા છે.
ત્યાગની બુનિયાદ પર ગુરૂપરંપરા પ્રસ્થાપિત થઈ હોય, ત્યાં વાદ-વિવાદને જગ્યા જ ન હોય. આજના યુગમાં તો ગુરૂઓ અને શિષ્યોની પરિભાષા જ જાણે બદલી રહી હોય તેવું જણાય છે.
રાજકીય અને વ્યાપાર-ઉદ્યોગ-કોર્પોરેટ ક્ષેત્રે તો એવા ઘણાં દૃષ્ટાંતો મળી આવશે, જેમાં ગુરૂની આંગળી પકડીને આગળ વધેલા શિષ્યો એ જ ગુરૂઓને હાસિયામાં ધકેલી દેતા હોય. આજના યુગમાં ગુરૂત્વ ની ગરિમા જાળવી રાખવાની જવાબદારી ગુરૂજનોની છે, તેવી જ રીતે શિષ્યત્વની ગરિમા તથા પવિત્રતા જાળવી રાખવાની જવાબદારી પણ સૌ કોઈની છે.
આજે ગુરૂપૂર્ણિમાના પાવનપર્વે ગુરૂજનોને વંદન કરીને વિશ્વકલ્યાણ તથા સર્વજન હિતાય, સર્વજન સુખાયની ભાવના વ્યક્ત કરીએ...
ગુરૃઃ બ્રહ્મા, ગુરૃઃ વિષ્ણુ, ગુરૃઃ દેવો મહેશ્વર,
ગુરૃઃ સાક્ષાત્ પર બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વર્ષે ચોતરફ શ્રીકાર વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પૂરથી નુકસાન થતા મેઘરાજાએ મહેર જ કરી છે, તેથી જ જનતા અને જગતનો તાત ખુશ છે. કેટલાક ખેતર-વાડીઓમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયું છે, પરંતુ એકાંદરે અત્યાર સુધી મેઘરાજા મહેરબાન થઈને અમૃતવર્ષા કરી રહ્યા છે, તેમ કહી શકાય.
જામનગર સહિત ગુજરાતના ઘણાં શહેરોમાં ભારે વરસાદના કારણે માર્ગો ધોવાઈ ગયા છે, પરંતુ જામનગરમાં તો આક્રમક વરસાદ થયો જ નથી, ત્યાં માર્ગો તૂટી-ફૂટી ગયા છે, જે નબળી ગુણવત્તા દર્શાવે છે, પરંતુ ચાલાકીપૂર્વક દોષનો ટોપલો મેઘરાજા પર ઢોળવામાં આવ્યો છે, તેથી એવું કહી શકાય કે, "શરમ કરો...શરમ કરો... મેઘ કા નામ બદનામ ના કરો"...
જામનગરમાં કોંગ્રેસ દ્વારા આ હકીકતને ઉજાગર કરવા "ખાડાપૂજન" કરીને વિરોધ વ્યક્ત કરવાની નવતર પદ્ધતિ અપનાવીને જે તસ્વીર પ્રસિદ્ધ કરાવી છે, તે આંબેડકર બ્રિજનું ઈ-લોકાર્પણ મુખ્યયમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ ૨૦૨૨માં જ કર્યું હતું, અને આટલા જ સમયગાળામાં આ બ્રિજની આવી દૂર્દશા થઈ હોય, અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ થતી હોય, તો જામનગરમાં નિર્માણ થઈ રહેલા ફ્લાઈઓવર બ્રિજની ગુણવત્તા કેવી હશે, તે અંગે પણ આશંકાઓ વ્યક્ત થવા લાગી છે. એવું કહેવાય છે કે આ બ્રિજમાંથી પણ થોડા વરસાદમાં જ "ચૂવાક" થવા લાગ્યો છે. જો કે, આંબેડકર બ્રિજનો ખાડો તો કામચલાઉ ધોરણે બુરી દેવાયો છે, પણ થીગડાં ક્યાં સુધી ચાલશે ?
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સાથે જોડતા ગંભીરા બ્રિજની ગંભીર ઘટનાના અહેવાલો પછી સરકાર હચમચી ગઈછે, અને જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
જામનગરનો કોઈ વિસ્તાર ખાડામાર્ગોથી બાકાત નથી. ભૂગર્ભ પાઈપલાઈનના કારણે ખોડીયાર કોલોનીથી એરફોર્સ તરફ જતા માર્ગે મસમોટા ખાડા સર્જાયા છે. બ્રિજ પર બરાબર ઢાળ પર પડેલા મોટા મોટા ખાડાઓ ગમે ત્યારે અકસ્માત નોતરી શકે છે. નગરમાં પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાય, ત્યારે તો રોડ દેખાતો જ નહીં હોવાથી જળમગ્ન મોટા ખાડાઓના કારણે ભયંકર દુર્ઘટનાની સંભાવનાઓ વધી જતી હોય છે. લોકો રજવાડી જામનગરને ખાડાનગર કહીને કટાક્ષ કરતા હોવાથી કેટલાક આદરણીય મહાપુરૂષોનું દિલ દુભાતુ હશે, પણ શું થાય ?
જામનગરમાં હાપા જી.આઈ.ડી.સી. માટે જે નવો ડામર રોડ મંજુર થયો છે, ત્યાં પાકો આરસીસીનો સિમેન્ટ રોડ બનાવવાની માંગણી પણ ઉઠી રહી છે, કારણ કે મસમોટા ટ્રકોને તકલાદી ડામર રોડ ખમી નહીં શકે. એવી જ રીતે સમર્પણ હોસ્પિટલથી બેડીબંદર તરફ જતા રીંગરોડનું વિસ્તૃતિકરણ પણ આરસીસી સિમેન્ટ કોંક્રીટ રોડથી થાય, તે જરૂરી છે, કારણ કે બેડીબંદર તરફ ભારે ભરખમ વજન સાથે લાંબા અને તોતીંગ ટ્રકો તથા ટેન્કરો મોટી સંખ્યામાં દરરોજ પસાર થાય છે.
એક તરફ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સરકાર પર તડાપીટ બોલાવે છે, તો બીજી તરફ ભાજપના જ કોઈ ધારાસભ્યે ભાજપના જ કાર્યકરને તકલાદી માર્ગોના મુદ્દે ઉદ્ધત જવાબ આપ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ તૂટેલા-ફૂટેલા માર્ગો માટે અપનાવેલા અભિગમ મુજબ કોન્ટ્રાકટરોને જ જવાબદાર ગણવાની ચર્ચા હવે બૂમરેંગ પુરવાર થઈ રહી છે. જામનગર સહિત રાજ્યભરના નાના મોટા શહેરોમાં તૂટેલા-ફૂટેલા માર્ગો પર વરાપ નીકળતા જ થીગડા મારવાની તૈયારી થઈ રહી હોવાના સંકેતો પણ તંત્રોની હડિયાપટ્ટી પરથી મળી રહ્યા છે, પરંતુ "અબ પછતાને સે ક્યા ફાયદા... જબ ચિડિયા ચુભ ગઈ ખેત..."
એક તરફ વિપક્ષો દ્વારા સરકારી તૂટેલા-ફૂટેલા રોડની મરામતની માંગણી ઘણાં સમયથી ઉઠી રહી હોવા છતાં રાજ્ય સરકારે યોગ્ય કદમ ઉઠાવ્યા નહીં, અને હવે ગુતવત્તાવિહોણા માટે કોન્ટ્રાક્ટરોને જવાબદાર ગણવાની ઘોષણાઓ કે આદેશો થતા હોય, તો તે જવાબદારીમાંથી છટકવાની એક ચાલાકીભરી ડ્રામેબાજી જ નથી ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
જામનગરમાં તો વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. એક તરફ રક્ષાબંધન, સ્વાતંત્ર્યદિન થી લઈને જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે, તો બીજી તરફ ધીમીધારે વરસેલા વરસાદમાં જ નગરના મોટા ભાગના રોડ તૂટી-ફૂટી ગયા છે, જેની મરામત માટે પણ વરાપ નીકળે તેની લાંબો સમય રાહ જોવી પડે તેમ છે, તેવા સંજોગોમાં શ્રાવણી મેળો કેવી રીતે યોજાશે ? તેવી આશંકાઓમાં પણ વજૂદ છે.
જામનગરમાં તો હજુ ગઈકાલ સુધી શ્રાવણી મેળો ક્યાં યોજાશે ? તે પણ નક્કી થયું નથી. અડધા પ્રદર્શન ગ્રાઉન્ડ અને સામેની એમ.પી.શાહ કોલેજના મેદાનમાં અડધો-અડધો મેળો યોજાવાનો કેટલો વ્યવહારૂ છે, તેની ચર્ચા પણ થઈ રહી છે, કારણ કે અહીં જ એસ.ટી.ડેપો ખસેડાયો છે, અને કેટલીક પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસો પણ એ જ રોડ પરથી ઉપડે છે, અને નીકળે છે. આ બસોની અવર-જવર ઉપરાંત સરકીટ હાઉસ, લાલબંગલો તથા કોર્ટનો પણ આ મુખ્ય માર્ગ છે, બીજી તરફ ફલાયઓવર બ્રિજનું કામ પણ હજુ પૂરૃં નથી થયું, તેથી આ પ્રકારની તમામ સંભાવનાઓ ધ્યાનમાં લેવી જ પડે તેમ છે, તેથી જો કોલેજના એક જ ગ્રાઉન્ડમાં મેળો થઈ શકે, તેવી સંભાવના પણ ચકાસવી જોઈએ.
જો કે, જામનગર સહિતના રાજ્યના મહાનગરો જ નહીં, નાના શહેરોના આંતરિક માર્ગો તથા ગામડાઓને જોડતા એપ્રોચ રોડથી માંડીને સ્ટેટ અને નેશનલ હાઈ-વે પર પણ જ્યાં જ્યાં ભારે વરસાદના કારણે માર્ગો તૂટી ગયા છે, ત્યાં ત્યાં થોડો વરાપ નીકળતા જ કામચલાઉ મરામત કરીને ચોમાસા પછી (કોન્ટ્રાકટરોના ખર્ચે ?) તમામ માર્ગોનું ટકાઉ અને મજબૂત પુનઃનિર્માણ થાય, તે અત્યંત જરૂરી છે... હવે જે માર્ગો અદ્યતન બને, તે એક દાયકાની ગેરેંટીવાળા બને, અને તેની જવાબદારી પણ નક્કી હોય, તે અનિવાર્ય છે.
યાત્રાધામ દ્વારકા હોય કે બેટ દ્વારકા, જળાશયો નજીકના માર્ગો હોય કે મહાકાય કંપનીઓ તથા બંદરોને જોડતા માર્ગો હોય, ઘણાં માર્ગો તદૃન તૂટી-ફૂટી ગયા છે, અને જે માર્ગોનું નિર્માણ તાજેતરમાં જ થયું હોય, અને ટૂંક સમયમાં જ તેની દૂર્દશા થઈ ગઈ હોય તો સંબંધિત કોન્ટ્રાકટરો પાસે તેના ખર્ચે પુનઃનિર્માણ ઉપરાંત ભારે દંડ પણ ફટકારવો જોઈએ, તેમ નથી લાગતું ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જો ગુણવત્તા વગરના કામો માટે વાસ્તવિક જવાબદારો સામે કદમ ઉઠાવવા માંગતા હોય, તો વિધાનસભામાં કાયદો પસાર કરીને ગુણવત્તાવાળા વિકાસકામો માટે કોન્ટ્રાકટરો તથા સંબંધિત અધિકારીઓને પ્રોત્સાહનની સાથે નબળી કામગીરી કરનાર કોન્ટ્રાકટરો અને તે કામો મંજુર કરનાર અધિકારીઓને દંડ અને સજા થાય, અને ફોજદારી રાહે કાર્યવાહી થાય, તેવા પ્રબંધો કરાવે, અન્યથા આવી જાહેરાતોને જનતા માત્ર ડ્રામેબાજી જ ગણશે તે હકીકત છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
આપણાં દેશમાં અદાલતોના માધ્યમથી ન્યાય મેળવવાનો દરેક નાગરિકને બંધારણીય અધિકાર છે અને આરોપીઓને પણ કેટલાક બંધારણીય અધિકારો અપાયા છે, તથા, જ્યાં સુધી આરોપી પર લગાવેલા આરોપો અદાલતની સંપૂર્ણ હિયરીંગ અને ન્યાયિક પ્રક્રિયા પછી પુરવાર ન થઈ જાય, ત્યાં સુધી તેને અપરાધી નહીં, પરંતુ આરોપી કહેવામાં આવે છે., પરંતુ એ જ બંધારણે સામાન્ય ન્યાય તથાા કાયદો-વ્યવસ્થા અને જન-સામાન્યના હિતમાં તથા સાક્ષી-પૂરાવાઓને સુરક્ષિત રાખવા માટે ગૂન્હાના ઈન્વેસ્ટીગેશન તથા ઈન્ક્વાયરી માટે ઈન્વેસ્ટીગેશન એજન્સીઓ, પોલીસતંત્ર તથા ફરિયાદીઓને પણ કેટલાક અધિકારો આપ્યા છે. આ બંને તરફના અધિકારોનું નિયમન, નિયંત્રણ અને સમતુલન ન્યાયતંત્ર કરતું રહ્યું છે, તથા ઘણી વખત કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને ચોક્કસ કેસના સંદર્ભે ન્યાયોચિત નિર્ણય લેવા અંગેનું સમતુલન પણ આપણી હાઈકોર્ટો તથા સર્વોચ્ચ અદાલતો દ્વારા અપનાવાયુ છે.
આપણાં દેશમાં ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ ટકી રહ્યો છે, પરંતુ વિલંબીત પ્રક્યિાઓ, કેસોનો ભરાવો તથા વર્ષોના વર્ષો સુધી ચાલતી સુનાવણીઓના કારણે "તારીખ પે તારીખ" જેવા ડાયલોગો પણ સંભળાતા રહે છે.
બીજી તરફ આઝાદી મળી ત્યારથી આજપર્યંત ગરીબી ઘટી નહીં, અને અમીરો વધુ અમીર થતા રહ્યા છે, તથા દેશની આર્થિક પ્રગતિના લાભો માત્ર અમીરોને મળતા રહે અને ગરીબો ગરીબ જ રહે છે, તે પ્રકારનું કડવું સત્ય નીતિન ગડકરી અનાયાસે બોલી ગયા કે તેની પાછળ કોઈ ચોક્કસ ગૂપ્ત રણનીતિ છે કે પછી આર.એસ.એસ.નો મોદી સરકારને સંદેશ છે, તે પ્રકારની ચર્ચા બે દિવસથી થઈ રહી છે, ત્યારે એવું પણ કહી શકાય કે ગરીબી અને ન્યાયમાં વિલંબ-એ બંને એવી સમસ્યાઓ છે, જેને આઝાદી પછી કોઈપણ સરકાર કે બંધારણીય સંસ્થાઓ હલ કરી શકી નથી.
ગરીબો માટે ન્યાય મોંઘો છે. ન્યાયતંત્રમાં ગરીબ તો ઠીક, કસાબ જેવા આતંકવાદીને પણ બચવાની તક મળી રહે, તે માટે સરકારી વકીલનો પ્રબંધ થઈ શકે તેવી વ્યવસ્થા આપણા બંધારણ હેઠળ છે, અને આ જોગવાઈઓનો લાભ ઘણાં ગરીબોને મળી રહ્યો છે, તેમ છતાં આપણાં દેશમાં ધીમે-ધીમે એવી છાપ પણ ઊભી થવા લાગી છે કે કોર્ટમાં કેસ લડીને જીતવા માટે વકીલોની ફોજ ઊભી કરવા તથા સંલગ્ન ખર્ચાઓ ઉઠાવવાની તાકાત માત્ર ધનાઢયો પાસે જ છે., અને તેથી જ ધનવાન આરોપીઓ તથા ગરીબ આરોપીઓ જેવા વર્ગીકરણો પણ હવે થવા લાગ્યા છે. જો કે, આપણાં દેશના તટસ્થ અને જનલક્ષી ન્યાયતંત્રના કારણે ન્યાય આપવામાં ભેદભાવ રખાતો નથી, પરંતુ અદાલતો સુધીની પહોંચ માટે ગરીબો ધનવાન પક્ષકારોથી પાછળ રહી જતા હોવાની વાસ્તવિકતા પણ હવે ઊભરીને સામે આવી રહી હોય તેમ જણાય છે.
આપણાં દેશમાં ઘણાં એવા કેદીઓ હશે, જેને જામીન નહીં મળતા લાંબો સમય સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં રહેવું પડ્યું હશે. દેશના ચિફ જસ્ટિસ સી.આર.ગવઈએ એક કાર્યક્રમ દરમ્યાન આ મુદ્દે જે કાંઈ કહ્યું છે, તે હકીકતે દેશના ન્યાયતંત્ર અને સામાન્ય જનતા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
વાસ્તવમાં કેરળની હાઈકોર્ટમાં જસ્ટિસ બી.આર.કૃષ્ણ ઐયર મેમોરિયલ લેકચરમાં ચિફ જસ્ટિસ ગવઈએ જસ્ટિસ કૃષ્ણ ઐયરના એ સિદ્ધાંતને યાદ કર્યો હતો, તેઓ માનતા હતા કે અંડર ટ્રાયલ લોકોને લાંબો સમય જેલમાં રાખવા જોઈએ નહીં. તેઓ કહેતા કે જામીન એ અધિકાર છે, જ્યારે જેલ એ અપવાદ છે.
સી.જે.આઈ.એ કહ્યું કે "જસ્ટિસ કૃષ્ણ ઐયરે ઘણી એવી ચીજો બદલી હતી જે પરંપરાઓની જેમ ચાલી આવતી હતી. તેઓએ જામીન મેળવવાનો લોકોનો અધિકાર ગણાવ્યો હતો અને જેલનો વિકલ્પ માત્ર અપવાદરૂપ કિસ્સામાં જ અપનાવાય, તેના પર ભાર મૂક્યો હતો. તેમણે એવી ટકોર પણ કરી કે અદાલતો ભલે આ સિદ્ધાંત ભૂલવા લાગી હોય પરંતુ પ્રબિર પુરકાયસ્થ, કે.કવિતા અને મનિષ સીસોદીયાના કેસોમાં મેં આ સિદ્ધાંત યાદ કરાવ્યો, તેનો મને આનંદ છે. એ કેસની સુનાવણી વખતે પણ જસ્ટિસ કૃષ્ણ ઐયરનો સિદ્ધાંત યાદ કરાવ્યો હતો."
સી.જે.આઈ. ગવઈએ જસ્ટિસ બી.આર.કૃષ્ણ ઐયરે લિંગ અસમાનતા દૂર કરવા લીધેલા પગલાં તથા કેદીઓની સ્થિતિ તથા ગરીબોને સરળતાથી જામીન નહીં મળવા જેવી સમસ્યાઓ માટે અપનાવેલા અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ હંમેશાં એ વાતનું ધ્યાન રાખતા કે લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ન થાય. લોકોેને પૂરતી આઝાદી મળે અને ગરીબો ગરીબીમાંથી બહાર આવીને ગરિમા સાથે જીવન વ્યતિત કરે. તેઓ હંમેશાં કહેતા કે એવા સમાજની રચના થાય, જ્યાં ઉત્પીડનની સમસ્યા જ ન હોય. તેઓ એવા જજ હતા, જેમણે નિયમોની વચ્ચેથી પણ વચલો રસ્તો શોધી કાઢીને ગરીબોને જામીન આપ્યા હતા.
દેશના ચિફ જસ્ટિસે જસ્ટિસ બી.આર.કૃષ્ણ ઐયરે ગરીબીમાંથી ગરીબો બહાર આવે, તે અંગે અપનાવેલા અભિગમની વાત કરી હોય, ત્યારે પ્રવર્તમાન કેન્દ્ર સરકારના જ વરિષ્ઠમંત્રી ગરીબીની સમસ્યા વધી રહી હોવાનો એકરાર કરતા હોય, તે ગજબનો યોગાનુયોગ છે, નહીં ?
હકીકતે નીતિનભાઈ ગડકરીના સત્યવચનો પછી ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયો છે, પણ શું થાય ? સત્યમેવ જયતે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈંગ્લેન્ડના જે મેદાન પર ભારત જ નહીં, એશિયાના કોઈપણ દેશની ટેસ્ટ ક્રિકેટ ટીમે વિજય મેળવ્યો નહોતો, અને આ મેદાનમાં ભારતે અત્યાર સુધી મેચો પૈકી એક જ ડ્રો ગઈ, અને બાકીની તમામ મેચો ભારતીય ટીમ હારી ગઈ હતી. આ મેદાન પર ભારતીય ટીમે ગઈકાલે શાનદાર વિજય મેળવ્યો, અને ૩૩૬ જેટલા જંગી અંતરથી ઈંગ્લેન્ડની ટીમને પરાજય આપ્યો, ખાસ કરીને બંને ઈનિંગમાં શુભમન ગીલે સદીઓ ફટકારી અને પ્રથમ ઈનિંગમાં અઢી સદીથી પણ ઉંચો પહાડ ખડકીને કુલ મળીને ૪૩૦ રન બનાવ્યા, તો બૂમરાહના વિકલ્પે ટીમમાં લેવાયેલ આકાશદીપે ૧૦ વિકેટ લીધી. ટીમ એફર્ટ અને બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગ (કેટલોક અપવાદ બાદ કરતા) તમામ ખેલાડીઓએ કરેલા ઉત્કૃષ્ટ દેખાવના કારણે આ મેદાન પર એક જ ટેસ્ટમાં ૧૦૦૦ થી વધુ રન બનાવવાનો કીર્તિમાન પણ ટીમે સ્થાપિત કર્યો છે, અને શુભમન ગીલે તો અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે., તેથી આ ઐતિહાસિક વિજયને આપનો દેશ બીરદાવી રહ્યો છે, અને આ ટેસ્ટ મેચમાં જામનગરના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પણ પહેલી ઈનિંગમાં ૮૯ રન અને બીજી ઈનિંગમાં ભારતે દાવ ડિકલેર કર્યો ત્યારે અણનમ ૬૯ રનો બનાવ્યા હતા, તો સિરાજે પણ બંને ઈનિંગમા મળીને કુલ ૭ વિકેટ લીધી હતી, આમ, આ વિજયમાં સમગ્ર ટીમનું યોગદાન ગણાય.
ભારતે સમગ્ર ટેસ્ટમેચમાં ઐતિહાસિક વિજય મેળવ્યો, તેની પાછળ બેટધરોના ચોકા-છક્કા, બોલરોની કાતિલ બોલીંગ અને ફિલ્ડીંગમાં વ્યૂહાત્મક બદલાવની સાથે કેટલાક અસાધારણ કેચ લઈને ભારતીય ટીમે એ પૂરવાર કરી દીધું છે કે રોહીત શર્મા, વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓઓ વારસો યુવા ટીમે શાનદાર રીતે નિભાવ્યો છે.
આજે એક તરફ દેશમાં આ ઐતિહાસિક વિજયની જ ચર્ચા સૌથી વધુ થઈ રહી છે, તો બીજી તરફ મેઘાની મહેર તથા કહેર અને આવી રહેલ ચૂંટણીઓને લઈને ગરમાયેલી રાજનીતિ વચ્ચે ગુજરાતમાં આમઆદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ પછી રાજકીય માહોલ ગરમાયો છે, તો દેશના કેટલાક સ્થળે અશાંતિ ઊભી થઈ હોવાના કારણે દેશમાં જાણ કે "કહીં ખુશી કહીં ગૂમ" જેવી સ્થિતિ સર્જવા પામી છે.
ગુજરાતમાં આમઆદમી પાર્ટીના એક ધારાસભ્યની ધરપકડ અને તે પછી તંત્ર સાથે બીજા ધારાસભ્યનો વાદ-વિવાદ જોતા એ પૂરવાર થાય છે કે ગુજરાતમાં આમઆદમી પાર્ટીનો નવો પડકાર ઊભો થઈ ગયો છે. તાજેતરમાં ઈશુદાન ગઢવીના નિવેદનો, મિસ-કોલ દ્વારા ભાજપ ફેઈમ સભ્ય નોંધણી ઝુંબેશ અને ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં ઈન્ડિયા ગઠબંધન તરીકે નહીં, પરંતુ સ્વતંત્ર રીતે ઝંપલાવશે, તેવા સંકેતો અરવિંદ કેજરીવાલે આપ્યા પછી ગુજરાતમાં ત્રિપાંખીયા રસાકસીભર્યા રાજકીય જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે, અને ભારતીય બેટધરોની ફટકાબાજી જેવા આમઆદમી પાર્ટીના નિવેદનો દેશના બંને મુખ્ય રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પડકારોને પડકારી રહ્યા હોય તેમ જણાય છે.
આમ પણ, સત્તા પરિવર્તનનો વાવડો હંમેશાં ગુજરાતમાંથી જ ફૂંકાતો રહ્યો છે, વર્ષ ૧૯૭૫ ની કટોકટી સમયે પણ ગુજરાતમાં જનતા મોરચાની સરકાર હતી, અને કટોકટી પછી ગુજરાતની તર્જ પર જ જયપ્રકાશ નારાયણે ઈંદિરા ગાંધી સામે તમામ વિપક્ષોને અકજૂથ કરીને જનતાપાર્ટીથી મોરારજી દેસાઈની સરકાર રચી હતી. તે પછી વર્ષ ૧૯૯૫ પછી ગુજરાતમાં કેશુબાપાની સરકાર આવ્યા પછી રાજકીય કક્ષાએ એન.ડી.એ.ની વાજપેયી સરકાર રચાઈ હતી. જો કે, તે પછી તમામ સમયે કોંગ્રેસે વાપસી કરી હતી, પરંતુ ફરીથી ગુજરાત મોડલના આધારે જ અત્યારે કેન્દ્રની એન.ડી.એ. ની સરકાર સત્તામાં છે. તે પહેલાં પણ આઝાદી મેળવવા માટે બે સદી જેટલા સંઘર્ષમાં અનેક રાજ્યોમાંથી સ્વાતંત્ર્ય ચળવળનું જુદાજુદા સમયે નેતૃત્વ સંભાળ્યું હતું, પરંતુ જયારે આઝાદી મળી, ત્યારે ગુજરાતના જ ગાંધીજી સર્વસર્વો હતા, પરંતુ સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ક.મા.મુનશી જેવા ગુજરાત નેતૃત્વનો સિંહફાળો રહ્યો હતો. ટૂંકમાં દેશની રાષ્ટ્રીય રાજનીતિ ની દશા અને દિશા બદલવાની બુનિયાદ ગુજરાતમાંથી રચાઈ હોવાના અનેક દૃષ્ટાંતો ઈતિહાસ અને વર્તમાનમાં જોવા મળે છે, ત્યારે ગુજરાતમાં ફરીથી એકવખત ભાજપ અને કોંગ્રેસ સિવાયના ત્રીજા પક્ષનો ઉદય થશે અને તે સત્તા મેળવશે કે પછી ભૂતકાળના દૃષ્ટાંતોની જેમ થોડા સમયના ચળકાટ પછી ત્રીજો પક્ષ ગાયબ થઈ જશે, તે જોવું રહ્યું...
ગુજરાત અને ગુજરાતીઓનો વિરોધ કરતા પરિબળોને પણ ગુજરાતની આ તવારીખ સાવધ કરે છે અને દેશની એકતા, અખંડીતતા અને આપણી સંસ્કૃતિની વસુધૈવ કુટુંબકમની ભાવનાને પ્રજ્વલિત રાખવાની પ્રેરણા આપે છે, કારણ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત... તેવી ખુમારી ગુજરાતના કવિઓની કવિતાઓમાં પણ સંભળાય છે...
કેટલાક કેન્દ્રીયમંત્રીઓ પણ હમણાંથી સેલ્ફ ગોલ કરતા હોય તેમ લાગે છે. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ હિંમતપૂર્વક વાસ્તવિકતા સ્વીકારીને કહ્યું કે ભારતની સમૃદ્ધિ તો વધી રહી છે, પરંતુ ગરીબો ગરીબ જ રહે અને અમીરો વધુ ને વધુ અમીર થતા જાય, તે યોગ્ય નથી. આ વાસ્તવિકતા સ્વીકારતુ તેમનું નિવેદન એન.ડી.એ. સરકાર માટે સેલ્ફ ગોલ જેવું બની ગયું છે., કારણ કે આ જ વાત કોંગી નેતા રાહુલ ગાંધી અવાર-નવાર અલગ શબ્દોમાં કરતા હોય છે...!
તેવી જ રીતે પોરબંદરની ગુંડાગીરી છાપના કારણે વિકાસ પ્રક્રિયા અવરોધાતી હોવાનું કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાનું નિવેદન પણ કાંઈક સેલ્ફ ગોલ જેવું જ છે. અને તેના સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જે પ્રત્યાઘાતો આપ્યા છે, તે પણ આજે ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે.
ક્રિકેટમાં ઐતિહાસિક વિજય મેળવ્યો, તેથી ક્રિકેટરસીયાઓ ખુશખુશાલ છે. અને કેટલાક સ્થળે નુકસાન થવા છતાં સાર્વત્રિક વરસાદની ખુશી પણ લોકોમાં જોવા મળી રહી છે, અને મહોર્રમની શાનદાર ઉજવણી પછી હવે આવી રહેલા રક્ષાબંધન, સ્વાતંત્ર્યદિન અને જન્માષ્ટમી સહિતના શ્રેણીબદ્ધ તહેવારો ઉજવવાની તૈયારી કરીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને ઘણાં લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે ત્યાંની ચારધામ યાત્રા સ્થગિત કરવી પડી હોવાના અહેવાલો છે. ઠેર-ઠેર લેન્ડસ્લાઈડના કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે, ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને માળખાકીય સુવિધાઓ તબાહ થઈ જવાથી હિમાચલપ્રદેશમાં હાહાકાર વ્યાપ્યો છે, ત્યારે ત્યાંના સાંસદ કંગના રનૌત પોતાના મતવિસ્તારમાંથી ગાયબ હોવાની આલોચના ત્યાંના ભાજપના જ કોઈ નેતાએ કરી હોય તો, કહી શકાય કે કાચના ઘરમાં રહેતા લોકોએ બીજાના ઘર પર પથ્થર ફેંકવો ન જોઈએ. જો કે, કંગનાબેને પણ પોતે ટૂંક સમયમાં પોતાના મતવિસ્તારમાં પહોંચી જશે, તેવા અહેવાલો પણ આવ્યા છે, ત્યારે મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વહેતી થયેલી આ વાતોની અસર ક્યાંક ને ક્યાંક પોતાના મતવિસ્તારમાંથી ખરા સમયે ગાયબ રહેતા સાંસદો અને ધારાસભ્યોને પણ થવાની જ છે, કારણ કે આવી વાતો પબ્લિક તરત જ ગ્રહણ કરી લેતી હોય છે, અને પોતાના મતવિસ્તારના જન-પ્રતિનિધિઓ જો લાંબા સમયથી દેખાયા ન હોય, તો સ્થાનિક કક્ષાએ અવાજ પણ ઉઠાવવામાં આવતો હોય છે.
ગુજરાતમાં પણ ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં માઠી અસરો પડી રહી છે અને હજુ પણ અતિભારે વરસાદની આગાહી હોવાથી તંત્રો પણ સાબદાં થઈ ગયા છે. આ વખતે દેશમાં ચોમાસું એકાદ અઠવાડિયુ વહેલું બેસી જતા ચોતરફ વરસાદ પડી રહ્યો છે, અને સૌરાષ્ટ્રમાં તો ૪૦% જેવો વરસાદ વરસી ગયો છે. લગભગ ૬૦% જેવો જળસંગ્રહ થયો છે અને મોટાભાગનું વાવેતર પણ થવા આવ્યું છે, ત્યારે હવે જ્યાં ભારે વરસાદથી તબાહી મચી છે, ત્યાં મેઘરાજા વિરામ લ્યે અને ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ પણ થવા લાગી છે.
જામનગરમાં હજુ તો અતિભારે વરસાદ થયો જ નથી, ત્યાં નગર જળબંબાકાર થઈ ગયું, રંગમતી ડેમના દરવાજા ખોલ્યા પછી કેનાલો દ્વારા લાખોટા તળાવમાં સડસડાટ પાણી પહોંચવાના બદલે ભર ચોમાસે ચાલી રહેલી પ્રિ-મોન્સુનની કામગીરી તથા દીવાલ પડી જવાથી અવરોધ ઊભો થતાં અણધારી મુશ્કેલીઓ સર્જાઈ ગઈ. શહેરના લાલબંગલો સર્કલ, જિલ્લા પંચાયત પાસે તથા ટાઉનહોલ સુધીના માર્ગે તો થોડી વારમાં જાણે સરિતાઓ વહેતી થઈ હોય અને કચેરીઓના મેદાનોમાં સરોવરો ભરાયા હોય, તેવા દૃશ્યો સર્જાયા, જે નગરના શાસકો, તંત્રવાહકો અને જન-પ્રતિનિધિઓ માટે બોધપાઠ લેવા જેવા છે. જલભરાવના કારણો શોધીને હવે તેના કાયમી ઉપાયો કરવાનો સમય આવી ગયો છે, અને કુદરતી જલપ્રવાહોને અટકાવતા હોય તેવા સિમેન્ટના જંગલો હટાવવા તથા જ્યાં સ્કોપ હોય ત્યાં હરિયાળા વૃક્ષોના જંગલો ઊભા કરવાનો સમય આવી ગયો છે. લોકજીવનને ખોરવી નાખતા વિકાસના માચડાઓ અંગે પણ પૂનર્વિચાર કરવો પડે તેમ છે.
હિમાચલપ્રદેશમાં તો તોફાની વરસાદે તબાહી મચાવી અને માર્ગો તૂટી ગયા, પરંતુ જામનગરમાં તો માત્ર પ્રારંભિક વરસાદ થયો ત્યાં જ તંત્રવાહકોના તકલાદી કામોની પોલ ખૂલી ગઈ. જામનગરમાં ઠેર-ઠેર જલભરાવ થતાં તેના દૃશ્યો ટેલિવિઝન ન્યુઝ ચેનલોમાં નિહાળીને જામનગરમાં રહેતા કેટલાક લોકોને તો તેના ચિંતાગ્રસ્ત સગા-સંબંધી-સ્નેહીમિત્રોના ફોન આવવા લાગ્યા હતા અને ક્ષેમકુશળ પુછીને કાંઈ નુકસાન તો થયું નથી ને ? બધા સહી-સલામત છે ને ? તેવા સવાલો વ્હોટ્સએપ ચેટીંગના માધ્યમથી પણ પુછાવા લાગ્યા હતા. જો કે, એકાદ કલાકમાં વરસાદ ધીમો પડી ગયા પછી પાણી ઓસરવા લાગતા ગભરાયેલા નગરજનોને પણ નિરાંત થઈ હતી, અને છેક સુધી સબ સલામતની કેસેટ વગાડતા રહેતા તંત્રોનો શ્વાસ પણ હેઠો બેઠો હશે, કારણ કે જો થોડોક વધારે જોરદાર વરસાદ પડ્યો હોત તો સ્થિતિ વધુ વણસી ગઈ હોત.
આવું જ હાલારના અન્ય નગરોમાં પણ થયુું હતું, જામનગર સહિત હાલારના શહેરોના માર્ગો પ્રારંભિક વરસાદમાં જ તૂટીફૂટી ગયા છે અને રોડ પર ઠેર-ઠેર ભરાયેલા પાણીમાં ક્યાં ખાડો છે અને ક્યાં રોડ છે, તે જ ખબર નહીં પડતી હોવાથી ઘણાં વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
જામનગર સહિત હાલારમાં ઘણાં સ્થળે કલાકો ના કલાકો સુધી વીજપૂરવઠો પણ ખોરવાઈ ગયો હતો અને મોડી રાત્રિ સુધી વીજળી ગૂલ રહેવાથી પણ જનજીવન ખોરવાયું હતું, અને દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.
હજુ તો ચોમાસું બઠું છે, અને રોજ-બ-રોજ ભારે થી અતિભારે વરસાદની આગાહીઓ થઈ રહી છે. કેટલાક લોકો તો ડરામણી ભાષામાં આગાહીની વાતો કરતા હોય છે, ત્યારે આ સ્થિતિને કુદરતનો ખેલ માનીને સ્વીકારી લેવાની શિખામણ પણ અપાતી હોય છે. એવી ચર્ચા પણ થતી હોય છે કે ઠેર-ઠેર જલભરાવ, લેન્ડ સ્લાઈડ, જલપ્રવાહમાં અવરોધ અને ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કુદરતનો કહેર ગણવો કે માનવસર્જીત આફત ગણવી ?
ભારે વરસાદ થાય, નદીઓ બે કાંઠે વહેવા લાગે અને જળાશયો છલકાઈ જાય, આકાશી વીજળી થાય તથા દરિયો તોફાની બને, તે બધી કુદરતી ઘટનાઓ છે, જેના પર આપણો કોઈ અંકુશ નથી, પરંતુ જલભરાવ, જલપ્રવાહમાં અવરોધ અને પ્રકૃતિનું દોહન તથા પ્રકૃતિ સાથે ખિલવાડ કરવાના મૂળ કારણોસર ઊભી થતી આફતોને માનવસર્જીત જ ગણી શકાય. તેમાં પણ પ્રિ-મોન્સુનના નામે ચાલતી બોગસ અને ભ્રષ્ટ રીત-રસમોના પાપે પણ ઘણાં સ્થળે આ પ્રકારની અણધારી મુસીબતો જનતાને પરેશાન કરતી હોય છે, ત્યારે જન-પ્રતિનિધિઓ આફતના સમયે જોવા ન મળે, ત્યારે સવાલો ઊભા થતાં હોય છે. આ માત્ર હિમાચલપ્રદેશ કે કોઈ એકાદ ચોક્કસ જન-પ્રતિનિધિની નહીં, પરંતુ જનતાના દિલને દુભાવતી દેશવ્યાપી "આહ" છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હાલાર અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ગઈકાલે ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન શુભમન ગીલ બર્મિંગહામમાં ચોક્કા-છક્કા સાથે રનોનો વરસાદ વરસાવી રહ્યો હતો. તેમણે ઈંગ્લેન્ડની ધરતી પર બેવડી સદી કરીને એક વ્યક્તિગત રેકોર્ડ પણ સર્જયો હતો. બીજી તરફ તે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રન નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે, અને સુનિલ ગાવસ્કરનો ૨૨૧ રનનો રેકોર્ડ તોડ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી વટાવીને ૨૬૯ રન કરનાર તથા ૨૫૦ થી વધુ રન કરનાર છઠ્ઠો ભારતીય બેટધર પણ બન્યો છે. ક્રિકેટની ચર્ચા વચ્ચે પાકિસ્તાનની ટીમ હોકી રમવા ભારતના પ્રવાસે આવનાર હોવાની સંભાવનાએ એક નવી જ ચર્ચા જગાવી છે.
મેઘરાજાની મહેરથી જગતનો તાત ખુશ છે, અને રાજ્યમાં હરખની હેલી ફેલાવા પામી છે, પરંતુ દેશના કેટલાક વિસ્તારોમાં મેઘો મુસીબત બનીની ત્રાટક્યો છે, અને ભારેપૂર તથા લેન્ડસ્લાઈડના કારણે જાનમાલની હાનિ થઈ રહી છે, ત્યારે એવું કહી શકાય કે સિક્કાની બે બાજુ હોય છે, ક્યાંક કુદરત મહેર કરે છે, તો ક્યાંક અતિવૃષ્ટિ થતા કહેર પણ વર્તાય છે. જામનગરમાં પણ રંગમતી ડેમના પાટીયા ખોલાતા કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે.
જલવર્ષા અને રનવર્ષાના ખુશીવર્ધક સમાચારોની સાથે સાથે મેઘગર્જના તથા વીજળીના ચમકારા સાથે ઘનઘોર માહોલમાં થતા વરસાદને પણ પાછળ છોડી દ્યે તેવા દાવાઓ, આક્ષેપો, પ્રતિઆક્ષેપો અને નિરર્થક બફાટ સહિતના કેટલાક તથ્યપૂર્ણ નિવેદનોનો પણ ગુજરાતમાં જાણે કે વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં મનરેગા કૌભાંડ હવે રાજ્યવ્યાપી બની રહ્યું છે અને જામનગર સહિતના રાજ્યના જિલ્લાઓમાંથી મનરેગાના કામોની પંચવર્ષિય વિજિલન્સ તપાસ બેસાડવાની માંગણી ઉઠી રહી છે, તેવામાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા અને આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની નિવેદનબાજી ગાજવીજ અને તોફાની આંધી સાથેના મેઘપ્રકોપ જેવો જ રાજકીય માહોલ સર્જી રહી છે.
હકીકતમાં ભાજપના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું કે વિપક્ષના નેતાઓ પણ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા છે, અને કૌભાંડ કરનારી એજન્સીની યાદીમાં દરેક પક્ષોના નેતાઓને રૂપિયા અપાયા હોવાનો ઉલ્લેખ તેમણે જોયો હતો.
આમઆદમી પાર્ટીના ધારાસભ્ય અને મનસુખભાઈ વસાવાના ટીકાકાર ચૈતરભાઈ વસાવાએ વ્યંગમાં મનસુખભાઈ વસાવાના વખાણ કરતા કહ્યું છે કે જિલ્લાથી ગાંધીનગર સુધી ધારાસભ્યો અને સાંસદોને પણ હપ્તા પહોંચે છે, ત્યારે મનસુખભાઈ વસાવાએ જે કહ્યું છે, તે સાચી વાત છે. તેઓ પોતાના જ પક્ષોની સરકારના શાસનમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ચૈતરભાઈ વસાવાએ મનસુખભાઈ વસાવાને આ નિવેદન બદલ અભિનંદન પણ આપ્યા છે.
જો કે, તે પછી કૌભાંડ કરનારી એજન્સીને નર્મદા જિલ્લામાં મનુખભાઈ વસાવા જ લાવ્યા હોવાનો આક્ષેપ કરીને પડકાર ફેંક્યો કે જો હિંમત હોય તો મનસુખભાઈ કટકી ખાનારાઓના નામ જાહેર કરે, ચૈતરભાઈ વસાવાએ દાદાનું બુલડોઝર માત્ર નાના લોકો પર જ ફરે છે, અને માલેતુજારો મોજ કરે છે, તથા રાજ્યના ગૃહમંત્રી માત્ર ફાંકા ફોજદારી જ કરે છે, તેવા કડક કટાક્ષો પણ કર્યા છે.
આમ, ભારતીય જનતા પક્ષના જ સાંસદ જ્યારે બધા પક્ષોને હપ્તા મળતા હોવાની વાત કરતા હોય અને ચૈતરભાઈના આક્ષેપોમાં વજુદ હોય તો મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રીને મક્કમતાથી નિર્ણય લઈને મનરેગાના મુદ્દે વહેલાસર રાજવ્યાપી તપાસની ઘોષણા કરી દેવી જોઈએ, કારણ કે જો આ મુદૃો ઉચ્ચ કે સર્વોચ્ચ અદાલતો સુધી પહોંચશે, અને ત્યાંથી આદેશ થયા પછી તપાસ કમિટી નિમવી પડશે, તો તે ઝટકા સમાન હશે, જ્યારે સવેળા સર્વગ્રાહી તપાસની જાહેરાત થશે, તો રાજ્ય સરકાર અને ખુદ મુખ્યમંત્રીની વિશ્વસનિયતાને ડાઘ લાગતો બચી જશે, તેવા અભિપ્રાયોમાં દમ છે.
ભારતીય જનતા પક્ષના કેટલાક નેતાઓ વિપક્ષનું કામ કરે છે. તો કેટલાક વિપક્ષના નેતાઓ ભાજપ સરકારની વાહવાહી કરે છે. તો સુરતમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ ચૂંટણીના ચક્રવ્યૂહને ભૂલીને ચોક્કસ મુદૃે એકજૂથ થઈ જાય, ત્યારે એવું પણ કહી શકાય કે કાં તો લોકતંત્ર પુખ્ત બની ગયું છે, અથવા તો તદૃન સૂસ્ત થઈ ગયું છે, અને સગવડિયું રાજકારણ રમાઈ રહ્યું છે.
ભાજપના ધારાસભ્ય જ જો ભાજપના જ કોર્પોરેટરોનો જૂનાગઢમાં અઠવાડિયામાં ખુલાસો માંગતા હોય અને ભરૂચમાં સાંસદ મનરેગાની ગોબાચારીમાં તમામ પક્ષો (ભાજપ સહિત) ના નેતાઓની સંડોવણી સ્વીકારતા હોય કે અમદાવાદમાં યુવા ભાજપના નેતા ભાજપના જ ધારાસભ્ય પર ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ કરતા હોય, એટલું જ નહીં, ભાજપના કેટલાક નેતાઓ ગૃહમંત્રીના નામનો દુરૂપયોગ કરીને પાર્ટીના પાયાના કાર્યકરોની અવગણના કરતા હોવાના તથા પબ્લિકનો અવાજ દબાવી દેવાના આક્ષેપો કરતા હોય ત્યારે એવું કહી શકાય કે ઘર ફૂટે ઘર જાય...આભ ફાટ્યું હોય ત્યાં થીગડું દેવા ક્યાં જવું ?
જે હોય તે ખરૃં, પરંતુ ગુજરાતમાં આવીને અરવિંદ કેજરીવાલે જે રીતે આગામી વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંક્યું છે, તે જોતા દિલ્હીમાં થયેલા પરાજયનો બદલો લેવા તેઓ ગુજરાતમાં ભાજપની સત્તા ખૂંચવી લેવાની તૈયારી કરી રહ્યા હોય, તેમ જણાય છે. જો કે, અત્યારે તો તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને લલકાર્યા છે, ત્યારે જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા ?
અત્યારે તો મેઘાવી માહોલ અને મોહર્રમની તૈયારીઓ વચ્ચે જામનગરમાં એક જ સવાલ અગ્રીમતાથી પુછાઈ રહ્યો છે કે જામનગરમાં આ વખતે જન્માષ્ટમીનો મેળો ક્યાં, કેવો અને કેટલા દિવસ માટે યોજાશે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત સરકાર આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સમરસતાથી નવા ચૂંટાયેલા હજારો સરપંચોનું સન્માન કરવાની છે, ત્યારે તેમાં ઘણાં સરપંચો હાલારથી પણ જવાના છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પણ હાજર રહેવાના છે, અને તેઓ હાલમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ હોવાથી આ સરકારી કાર્યક્રમને સાંકળીને ભાજપ દ્વારા કોઈ રાજકીય એજન્ડા સેટ કરવામાં આવી રહ્યો છે અને ગ્રામ પંચાયતોની આ ચૂંટણીઓ પછી આવતા વર્ષ સુધીમાં થનારી અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની વ્યૂહાત્મક બુનિયાદ અત્યારથી જ રચાઈ રહી હોવાની વાતો પણ વહેતી થઈ છે. એક બીજી વાત એવી પણ છે કે આ અઠવાડિયાના અંતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કક્ષાએ જે.પી.નડ્ડાના વિકલ્પોની આગામી બે-ત્રણ દિવસમાં જાહેરાત પણ થઈ શકે છે.
બીજી તરફ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ફટાફટ નવી-નવી જાહેરાતો કરી રહી છે, અને ખાસ કરીને મધ્યમવર્ગ તથા નોકરિયાત વર્ગને સંબંધિત લોકલક્ષી નવી યોજનાઓ જાહેર થઈ રહી છે, તે જોતાં રાજ્યમાં રાજકીય સમિકરણોમાં બદલાવ, આમઆદમી પાર્ટીની લોકપ્રિયતા વધવાની સંભાવના તથા કોંગ્રેસમાં થઈ રહેલા સુધારાઓ સામે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપ પાણી પહેલા પાળ બાંધવામાં સરકારને માધ્યમ બનાવી રહી હોય, તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
આજે રાજ્યમાં રાજ્ય સરકારે જાહેર કરેલી નવી યોજનાઓ તથા કરેલી જાહેરાતોમાંથી સ્ટેમ્પ ડ્યુટીની રાહત, બેલિફના ભથ્થામાં વધારો, યાત્રી સહાય યોજના અને બેગલેસ ડે ની સર્વાધિક ચર્ચા થઈ રહી છે.
ભૂતકાળમાં આ કોન્સેન્ટ ઘણી સ્કૂલોમાં સ્થાનિક કક્ષાએ હતો જ, પરંતુ તેને હવે સિસ્ટોમેટિક તથા અદ્યતન સ્વરૂપે લાગુ કરવામાં આવી રહ્યો છે. દાયકાઓ પહેલા પણ શનિવારે અડધો દિવસ માટે શાળાએ જવાનું રહેતું, તે દરમ્યાન બાલસભા, વ્યાયામ અથવા પી.ટી., રમતગમત, અંતાક્ષરી જેવી બુદ્ધિગમ્ય સ્પર્ધાઓ કરવામાં આવતી અને મહિને એકાદ શનિવારે ટૂંકો પગપાળા પ્રવાસ યોજાતો, જેમાં મોટા ભાગે નદીકાંઠો, હરિયાળી, લીલાછમ ખેતરો, નૈસર્ગિક વાતાવરણ હોય તેવા આસ્થાના સ્થળો અને નજીકમાં કોઈ મોટા સંકૂલો કે યાત્રાસ્થળ હોય, તો તેનો સમાવેશ થતો હતો. આ તમામ પ્રવૃત્તિઓ કેટલીક શાળાઓ દ્વારા સ્વૈચ્છિક ઢબે સ્થાનિક કક્ષાએ થતી હતી. તેથી આ "બેગલેસ ડે"નો કોન્સેપ્ટ તરત જ સર્વસ્વીકૃત અને આવકારવાદાયક બન્યો છે.
જો કે, સિક્કાની બીજી બાજુ પણ છે. દાયકાઓ પહેલાં ગામડાઓમાં મોટા મોટા મેદાનો સ્કૂલોની નજીકમાં જ હતા, અને ઘણી શાળાઓ પોતાના મોટા મેદાનો ધરાવતી હતી, જ્યાં આજે શિક્ષણનો વ્યાપ વધવાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ તેમ નવા ઓરડાઓ તથા અન્ય સુવિધાઓ માટે બાંધકામો થઈ ગયા. જમીન માફિયાઓએ પણ ગૌચર સહિતની ઘણી જમીનો દબાવી લીધી, જેથી આઉટડોર ગેઈમ્સ, વ્યાયામ કે ઈત્તર પ્રવૃત્તિઓ યોજવાની જગ્યા જ બચી નહીં હોવાથી બેગલેસ ડે ના દિવસે જે અન્ય પ્રવૃત્તિઓ કરવાનો ઉદૃેશ્ય જાહેર કરાયો છે, તે પૂરેપૂરો સિદ્ધ થાય, તેમ જણાતુ નથી.
એવું કહેવાય છે કે રાજ્યની લગભગ સાતેક હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં તો યોગ્ય મેદાનો જ નથી. જો મેદાનો જ નહીં હોય, તો વ્યાયામ, રમતગમત અને અન્ય આઉટડોર ઈત્તર પ્રવૃત્તિઓ ક્યાં કરાવશે ? અત્યારે તો ઘણાં ગામો પણ એવા છે, જ્યાં રમતગમત તો ઠીક, ગૌચરની ખૂલ્લી જમીન પણ બચી નથી, તેથી બેગલેસ ડે ના દિવસે માત્ર ઈન્ડોર પ્રવૃત્તિઓ જ કરાવવી પડશે, જે બેગલેસ ડે ના મૂળ ઉદૃેશ્યને અનુરૂપ નહીં હોય અને બાળકોનો શારીરિક, માનસિક અને નૈસર્ગિક વિકાસનો કોન્સેપ્ટ તો માત્ર સપનું જ બની જશે, ખરૃં ને ?
ઈન્ડોર પ્રવૃત્તિમાં કલાત્મક કૌશલ્ય વિકસાવવા બાળકોને પેઈન્ટીંગ, ભરત-ગુંથણ, ગીત-સંગીત વગેરે તજજ્ઞ શિક્ષકો પણ હોવા જરૂરી છે. રાજ્યમાં પી.ટી. ટિચર (વ્યાયામ શિક્ષકો), સંગીત શિક્ષક, ચિત્ર શિક્ષક વગેરેની દોઢેક દાયકાથી ભરતી જ ન થઈ હોય, અને આમ પણ હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય, ત્યારે નિષ્ણાત માનવબળ અને જરૂરી સુવિધાઓ તથા મેદાનો વગર બેગલેસ ડે ના દિવસે બાળકો કરશે શું ? તેવો યક્ષપ્રશ્ન આજે ગામેગામ ચર્ચાઈ રહ્યો છે. એવી ચર્ચા થઈ રહી છે કે સરકારે આ બધો વિચાર કરીને તથા લોકોના સૂચનો મેળવીને આવી જાહેરાત કરવી જોઈતી હતી. એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે બેગલેસ ડે ક્યાંક બાળકો માટે "યુઝલેસ ડે" તો નહીં બની જાય ને ? કહેવત છે ને કે વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય...
રાજ્ય સરકારે તગડી ફી લેતા તથા કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરૂદ્ધ જઈને વેકેશનમાં એક પણ કિલોમીટર દોડાવ્યા વિના સ્કૂલબસનું પૂરેપૂરૃં ભાડુ વસુલતી શૈક્ષણિક સંસ્થાઓ તથા ખાનગી વાહન ચાલકો-રિક્ષા ચાલકો પર અંકુશ લગાવવો જોઈએ, અને વિવિધ ચાર્જીસના નામે ઉઘાડી લૂંટ ચલાવતી શાળાઓને ખૂલ્લી છૂટ ન મળવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો પણ વાલીવર્ગમાં પડી રહ્યા છે. આજે ટોક ઓફ સ્ટેટ બનેલો બીજો મુદે સ્કૂલ ઓફ એકસલન્સનો પણ છે. એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે મળતિયાઓ સંચાલિત ખાનગી સ્કૂલોને ફી વધારવા એટલે કે એફ.આર.સી.માંથી મૂક્ત કરી દઈને વાલીઓને લૂંટવાની છૂટ આપવાનું આ ગૂપ્ત સરકારી ષડયંત્ર છે !
લોકોમાં ચર્ચાઓ થાય, લોકોના પ્રતિભાવો આવે, રાજકીય પક્ષો, એન.જી.ઓ. કે જાગૃત નાગરિકોના પ્રત્યાઘાતો સામે આવે કે સ્થાનિક તંત્રો કે ગ્રામ્ય-તાલુકા-જિલ્લાકક્ષાએથી સૂચનો આવે, તો તેનું સંકલન કરીને જરૂરી સુધારા-વધારા કરવા અને આ તમામ ચર્ચાઓ-પ્રત્યાઘાતો પૈકી જરૂર જણાય ત્યાં તૂર્ત જ જરૂરી ખુલાસાઓ કરીને સત્ય હકીકત લોકો સમક્ષ રજૂ કરવાની જવાબદારી પણ સ્થાનિક થી રાજ્યકક્ષા સુધીના શાસકો, તંત્રો તથા પ્રચારતંત્રોની છે, પરંતુ તેવું થતું નથી. રાજ્યકક્ષાનું પ્રચારતંત્ર માત્ર ને માત્ર સરકારની વાહવાહી કરતું રહેશે, આજે જરૂરી સ્પષ્ટતાઓ કે ખુલાસાઓ નહીં કરે અને સરકાર જરૂરી સુધારા-વધારા નહીં કરે, તો ભ્રમ ફેલાતો જ રહેશે, જે રાજ્યમાં સત્તા પરિવર્તન સુધી પહોંચશે, એટલું જ નહીં, કોંગ્રેસ હવે સંપૂર્ણપણે સક્રિય નહીં થાય તો ત્રીજો પક્ષ તૈયાર જ બેઠો છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુલઝાર રચિત અને રાહુલદેવ બર્મન તથા સપન ચક્રવર્તીના સંગીતમય કંઠે ગવાયેલું "ગોલમાલ" ફિલ્મનું ગીત "ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ" ગીત એટલું બધું પ્રચલિત થયું કે તેના પરથી ટેલિવિઝન સિરિયલો બની, આલ્બમ બન્યું, આ ગીતની પંક્તિઓને ટાંકીને કાર્ટુનો રચાયા અને સાહિત્ય સિયાસત અને સાપરાધિક ષડયંત્રો સંદર્ભે પણ આ ગીતનો ભરપૂર ઉપયોગ અને પ્રયોગ થવા લાગ્યો.
આજે પણ ગુજરાતથી ગ્લોબ અને નગરથી નેશન સુધી કેટલીક ગોલમાલની જ વાતો થઈ રહી છે. "ગુજરાતમાં ગોલમાલ"ની શ્રેણીમાં એક નવો એપિસોડ ઉમેરાયો છે., અને પ્રેસ-મીડિયામાં થતી ચર્ચા મુજબ હવે જામનગર જિલ્લામાં મનરેગા યોજનાના કામોમાં સંભવિત ભ્રષ્ટાચારની તપાસ વિજિલન્સ દ્વારા કરાવવાની માંગણી ઉઠી છે.
દાહોદ થી શરૂ કરીને વાયા-જુનાગઢ થઈને ભરૂચ સુધી પહોંચેલી મનરેગાના ભ્રષ્ટાચારની સરવાણી રાજ્યના અન્ય ક્યા ક્યા જિલ્લાઓ સુધી પહોંચી છે, તેની વણમાગ્યે જ તપાસ રાજ્ય સરકારે કરાવી લેવી જોઈએ અને તેમાં જો ભાજપના જ નેતાઓ સંડોવાયા હોય, તો તેને છાવરવાના બદલે તેની સામે કડક પગલા લઈને અને તેઓ કોઈપણ પદ પર હોય તો તેને બરખાસ્ત કરીને દૃષ્ટાંત બેસાડવું જોઈએ, તેવા પ્રતિભાવો પણ પડવા લાગ્યા છે.
જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ-છ વર્ષમાં મનરેગા હેઠળ થયેલા તમામ કામોની વિજિલન્સ તપાસ કરાવીને તેમાં ભ્રષ્ટાચાર થયો હોય તો તેમાં સંડોવાયેલા કોન્ટ્રાકટરો, એજન્સીઓ, સરકારી અધિકારી-કર્મચારીઓ, એડમિનિસ્ટ્રેટરો અને પદાધિકારીઓ સામે કાનૂની રાહે પગલાં લેવાની માંગણી કરતો પત્ર આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે, અને જો આંખ આડા કાન કરીને તપાસ નહીં થાય, તો આંદોલન સહિતના કદમ ઉઠાવવાની સરકારને ચિમકી પણ આપવામાં આવી હોય તો હવે મનરેગા કૌભાંડનો રેલો જામનગર-હાલાર સુધી પહોંચી શકે છે, અને જો સરકાર તરફથી આ મુદ્દે ચુપકીદી સેવવામાં આવે, તો તેના કારણે પ્રવર્તમાન શાસકોની છાપ ખરડાઈ જવાની પૂરેપૂરી સંભાવના પણ રહે છે.
ગુજરાતના ભારતીય જનતાપક્ષના કદાવર નેતા અને રાજ્ય સરકારમાં મંત્રીના દીકરાઓ સામે કાનૂની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ તેને છાવરવા કે બચાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તે પછી જૂનાગઢ તરફના વિપક્ષના એક કદાવર નેતા અને તેના દીકરાની ધરપકડ થયા પછી મનરેગાના કૌભાંડનો રેલો ભરૂચ જિલ્લા સુધી પહોંચ્યો છે, અને તેની સરવાણી અન્ય જિલ્લાઓ તરફ પણ નીકળી શકે છે. આથી, જો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વાસ્તવમાં ટ્રાન્સપરન્ટ રહેવા માંગતી હોય અને આ કૌભાંડમાં ભાજપ કે તેના મળતીયા સંડોવાયેલા નીકળે, તો તેની સામે પણ ન્યાયોચિત કડક પગલાં લેવાની તૈયારી હોય તો હવે મનરેગાના છેલ્લા પાંચ વર્ષના કામોની રાજ્યવ્યાપી અથવા તો જ્યાંથી માંગણી ઉઠે તે જિલ્લામાં વિશ્વસનીય અને ઝડપી તપાસના આદેશો કરી દેવા જોઈએ.
ગુજરાતમાં મનરેગા કૌભાંડની ચર્ચા વચ્ચે ભાજપના ધારાસભ્યના દીકરાને કેન્દ્રીય આવાસ યોજના હેઠળ ગરીબોને મળવાપાત્ર ફલેટ ફાળવી દેવાયો હોવાના અહેવાલો પણ રાજ્યવ્યાપી બની જતા એવો કટાક્ષ પણ થવા લાગ્યો છે કે ગોલમાલ હૈ, ભાઈ, સબ ગોલમાલ હૈ...
રાષ્ટ્રીયકક્ષાથી વિશ્વકક્ષા સુધી પણ અત્યારે ઘણી જ ગોલમાલો ચાલે છે. તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં એકસરખા મતો બે ઉમેદવારોને મળતા સરપંચપદની ચૂંટણી માટે ચિઠ્ઠી નાખવી પડી હતી, તેવું જ અમેરિકાને સેનેટમાં થયું છે. જો કે, ત્યાં ટ્રમ્પના બ્યુટિફૂલ બિલને પાસ કરાવવા માટે શાસક પક્ષ અને વિપક્ષના સરખે સરખા મતો પડતા અધ્યક્ષને કાસ્ટીંગ (નિર્ણાયક) મત આપવાની જોગવાઈ હોવાથી તેમનો મત ટ્રમ્પના પક્ષને મળી જતા બિલ પાસ થઈ ગયું, હવે આ બિલ ત્યાંની સંસદના બીજા ગૃહમાં મુકાશે. આ બિલ પણ "ગોલમાલ હૈ" વાળી પંક્તિમાં ગવાતા "ટેઢી ચાલ" જેવું જ છે, અને "ેગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ" ના આખા ગીતના સારાંશ મુજબ (વ્યાપાર અને) પૈસાને જ કેન્દ્રમાં રાખીને પાસ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીયકક્ષાની વાત કરીએ તો અત્યારે મીડિયા ડિબેટીંગમાં બે શિવકુમારો ચર્ચામાં છે, એક કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર અને બીજા ઈન્ડોનેશિયાના ભારતીય દુતાવાસના ભારતીય સૈન્ય અધિકારી કેપ્ટન શિવકુમાર...
કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં સખળડખળના અહેવાલોને કાઉન્ટર કરવા બેંગ્લુરૂ પહોંચેલા કોંગ્રેસ પાર્ટીના કર્ણાટકના પ્રાભારી સુરજેવાલાએ ગઈકાલે ઉપમુખ્યમંત્રીને હાજર રાખીને પ્રેસ-કોન્ફરન્સ કરી અને કહ્યું કે મુખ્યમંત્રી બદલવાના નથી, અને સિદ્ધારમૈયા જ રહેશે. ડી.કે.શિવકુમારે પણ હકારમાં માથું હલાવ્યું, પરંતુ તેના હાવભાવ અલગ હોવાની વાતો ચાલી, પરંતુ શિવકુમારે અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું, અને બંને નેતાઓએ અસંતુષ્ટ ધારાસભ્યોને મનાવી લીધા હોય તેમ જણાયું. જો કે, કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને તેઓનો અસંતોષ પાર્ટીના પ્લેટફોર્મ પર જ કરવા અને નિવેદનબાજી નહીં કરવા જણાવ્યું હોવાથી એવું કહી શકાય કે આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી...
બીજી તરફ ઓપરેશન સિંદૂરને લઈને ઈન્ડોનેશિયામાં ઈન્ડિયન એમ્બેસીના ડિફેન્સ એટેચી કેપ્ટન શિવકુમારે જકાર્તાની એક યુનિવર્સિટીમાં ઓપરેશન સિંદૂરમાં ભારતે કેટલાક વિમાન રાજકીય નેતૃત્વ દ્વારા અપાયેલી સૂચનાઓના કારણે ગુમાવ્યા હોવાના કરેલા કથીત નિવેદન પછી હોબાળો થતા તેની ચોખવટો કરવી પડી રહી છે, અને શિવકુમારે જુદા સંદર્ભમાં આપેલા નિવેદનને અલગ રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યુ છે. આપણાં દેશની યુદ્ધનીતિ મુજબ યુદ્ધ દરમ્યાન આપણા પક્ષે થતા નુકસાનની વિગતો તત્કાળ જાહેર કરાતી હોતી નથી, કારણ કે તેથી સરહદે લડતા સૈનિકો તથા દેશવાસીઓના જુસ્સા પર અસર પડતી હોય, અને ઓપરેશન સિંદૂર હજુ પૂરૃં થયું નથી, તેવી દલીલ પણ થઈ રહી છે.
આમ, નગરથી નેશન અને ગુજરાતથી ગ્લોબ સુધીના આ ઘટનાક્રમો "ગોલમાલ" ફિલ્મનું એ ગીત યાદ કરાવે છે, જેમાં કહેવાયું છે કે "ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ"...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હમણાંથી રોજે રોજ શાળા પ્રવેશોત્સવના સમાચારો આવી રહ્યા છે અને ગામેગામ પહોંચેલા મંત્રીઓ-સચિવો-સનદી અને પોલીસ અધિકારીઓ તથા પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાતા પ્રવચનો દરમ્યાન સરકારની વાહવાહીની સાથે સાથે કેટલીક નવી નવી વાતો પણ જાણવા મળી રહી છે. ગામેગામ પહોંચેલા તમામ મહાનુભાવો મારફત રાજ્ય સરકાર પ્રત્યેક સરકારી શાળા તથા ગામની સ્થિતિ, જરૂરિયાતો અને લોકપ્રશ્નોની સચોટ માહિતી સાથેના ફિડબેક મેળવીને તેના આધારે જરૂરી સુધારા-વધારા કરાવશે, તો તે પબ્લિકના હિતમાં તો રહેશે જ, પરંતુ તેના કારણે રાજ્ય સરકારની છાપ પણ પબ્લિકમાં સારી પડશે, અને મેલી મથરાવટી ધરાવતા તંત્રોને પણ સુધરવાની તક મળશેે. હકીકતે આ પ્રકારના કાર્યક્રમોનો ઉદૃેશ્ય મર્યાદિત ન રહે અને બહુહેતુક પૂર્વાયોજનાઓ થાય, તે પણ અત્યંત જરૂરી હોય છે.
હાલાર સહિત રાજ્યભરમાં ઘણાં સ્થળે શાળા પ્રવેશોત્સવમાં પહોંચેલા મહાનુભાવો સમક્ષ સ્થાનિક લોકોએ સમસ્યાઓ, માંગણીઓ અને પ્રશ્નોની સામૂહિક રજૂઆતો કરી, તો કેટલાંક સ્થળે તો અન્ય સરકારી સ્કૂલની બદહાલી કે જૌખમી સ્થિતિ નિહાળવાનો આગ્રહ કરાયો હોવાના અહેવાલો ચર્ચાસ્પદ બન્યા. ઘણાં સ્થળોએ સ્કૂલની ખુટતી સુવિધાઓ મહાનુભાવોએ નજરે નીહાળી, તો ઘણાં ગામોને જોડતા માર્ગો, વીજસુવિધા અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે ફરીયાદો સંભળાવી હોવાના અહેવાલો પણ ચર્ચામાં આવ્યા. શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી રથનું ભ્રમણ થતું હોવાનું પણ જાહેર કરાયુ છે, પરંતુ મહાનુભાવોના ભાષણોમાં ઉત્કર્ષની વાત ભાગ્યે જ થતી સંભળાય છે. હકીકતે કન્યા કેળવણી રથોના ભ્રમણ સાથે સાંકળીને જ શાળા પ્રવેશોત્સવનું આયોજન હાલના વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કર્યું હતું, પરંતુ અત્યારે કન્યા કેળવણી રથ કદાચ માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ નથી લાગતું ?
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપના શિક્ષણ મોડલની ટીકા કરતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં સરકાર ગરીબ બાળકોને શિક્ષણનો અધિકાર છીનવી લેવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. તેમણે ભાજપના વિકાસ મોડલ પર પણ પ્રહારો કર્યા છે.
ભાજપનું વિકાસ મોડલ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સહિતના ગરીબોના બાળકો પાસેથી શિક્ષણનો હક્ક આંચકી રહ્યું હોવાનું જણાવી રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે ઉત્તરપ્રદેશમાં પાંચેક હજાર સહિત દેશમાં વર્ષ ૨૦૧૪ પછી એટલે કે મોદી સરકારના શાસનમાં ૮૪ હજારથી વધુ સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. મોટા ભાગની સ્કૂલો ઉત્તરપ્રદેશ, આસામ, અને મધ્યપ્રદેશ જેવી ભાજપ શાસિત સરકારોના શાસનમાં જ બંધ થઈ હોવાનો ગંભીર આરોપ પણ રાહુલ ગાંધીએ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ એવો દાવો પણ કર્યો કે યુ.પી.એ. સરકારે રાઈટ ઓફ એજ્યુકેશન આપીને દરેક બાળકને શાળાએ લાવવાની જોગવાઈ કરી હતી, પરંતુ બંધારણમાં આપેલા શિક્ષણના અધિકાર અને યુ.પી.એ.ના રાઈટ ઓફ ઈન્ફર્મેશન સામે શાળાઓ બંધ કરીને ભાજપ સરકારે પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે.
કેટલાક રિપોર્ટરોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષ ૨૦૧૪-૧૫થી વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન સરકારી શાળાઓની સંખ્યામાં ૮%નો ઘટાડો થયો છે, જ્યારે ખાનગી શાળાઓમાં લગભગ ૧૫% જેટલો વધારો થયો છે, તેવી જ રીતે પછાતવર્ગોના સ્ટુડન્ટ્સની સંખ્યામાં પણ ઘણો જ ઘટાડો થયો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીના અભિપ્રાય મુજબ શિક્ષણનો હક્ક છીનવીને ભાજપ સરકાર ડો. બાબા સાહેબ આંબેડકરે બંધારણ મારફત આપેલા નાગરિક અધિકારોનું હનન કરી રહી છે. શિક્ષણ પદ્ધતિ નબળી પડી રહી છે. ઉત્તરપ્રદેશમાં પચાસ થી ઓછા બાળકો ધરાવતી સ્કૂલોને નજીકની શાળાઓમાં મર્જ કરવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે, તેને ટાંકીને રાહુલ ગાંધીએ કરેલા પ્રહારોથી તમતમી ઉઠેલા ભાજપના નેતાઓ યુ.પી.એ. સરકારના શાસનકાળની સ્થિતિ અને સુવિધાઓ વર્ણવીને વળતો જવાબ આપી રહ્યા છે, પરંતુ ઘણી ખાનગી શાળાઓ દ્વારા થતી ઉઘાડી લૂંટની સામે પ્રચંડ જનાક્રોશ કોંગ્રેસના નિવેદનોને યથાર્થ પૂરવાર કરી રહ્યો છે.
આ તરફ ગુજરાતમાં રાઈટ ઓફ એજ્યુકેશન હેઠળ કરાયેલી પ્રક્રિયાના આંકડાઓમાં સુસંગતતા નહીં હોવાનું બહાર આવ્યા પછી રાજ્યમાં આર.ટી.ઈ.ના અમલીકરણમાં સંભવિત ગરબડ-ગોટાળાની આશંકાઓ વધુ ઘેરી બની છે. તો બીજી તરફ વિપક્ષી નેતાઓએ પણ તડાપીટ બોલાવી છે.
જે ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલ બસની પેઈડ સુવિધા આપે છે, તેના સંદર્ભે પણ ગંભીર ફરિયાદો ઉઠવા લાગી છે. શાળાઓ વેકેશન સહિતનું બસભાડુ એડવાન્સમાં વાલીઓ પાસેથી ઉઘરાવી લીધા પછી સ્કૂલ્ બસોમાં સલામતી, સુવિધાઓ તથા બાળકો અને વાલીઓ સાથે વ્યવહારના મુદ્દે હંમેશાં સવાલો ઉઠતા રહ્યા છે. જામનગરમાં તો ખાલી સ્કૂલ બસનું વ્હીલ જ નીકળી જતાં ખાંગી થઈ ગઈ હોવાના અહેવાલો પછી એવા સવાલો ઉઠયા કે આ દુર્ઘટના હાઈ-વે પર થઈ હોત, અને તેમાં વિદ્યાર્થીઓ બેઠેલા હોત તો શું થાત ?
એક તરફ ગરીબોના બાળકોને આર.ટી.આઈ.નો લાભ સરળતાથી મળતો નહીં હોવાની કાગારોળ થઈ રહી છે, ત્યારે બીજી તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ સુખી-સંપન્ન પરિવારના સભ્ય અને ભાજપના ધારાસભ્યના દીકરાને સરળતાથી મળી ગયો હોવાની ચર્ચા આજે જામનગરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે, અને રાહુલ ગાંધીના સરકાર પરના પ્રહારો ટોક ઓફ ધ નેશન બન્યા છે...મેરા ભારત મહાન...જયજય ગરવી ગુજરાત...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં વર્ષ-૨૦૧૫માં અનામત મુદ્દે પાટીદાર આંદોલન થયું હતું. અને તે સમયની આનંદીબેન પટેલની ભાજપ સરકાર હચમચી ગઈ હતી. એ સમય એવો હતો જ્યારે આ આંદોલને કારણે રાજ્યમાં શાસનવિરોધ લહેર દોડી ગઈ હતી. તે પછી વર્ષ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓ ભાજપે જેમ તેમ કરીને પાતળી બહુમતી થી બચાવી લીધી હતી, પરંતુ તે પહેલા મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. તે સમયે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા, જેઓ આજે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે, અને તેના અનુગામી બનીને મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપનાર વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે રહ્યા નથી, અને અમદાવાદની ગોઝારી પ્લેન દુર્ધટનામાં દિવંગત થઈ ગયા છે.
તે સમયે પાટીદાર આંદોલનના હીરો તરીકે ઉભરી આવેલા યુવાનેતા હાર્દિક પટેલ આજે ભાજપના ધારાસભ્ય છે, તેવી જ રીતે તાજેતરમાં વિસાવદરથી ભાજપ તથા કોંગ્રેસને હરાવીને આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા પણ એ સમયે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા હતા. સરદાર પટેલ ગ્રુપના લાલજીભાઈ પટેલ તથા પાટીદાર અનામત સમિતિના હાર્દિક પટેલના નેતૃત્વમાં આંદોલન ચાલ્યું હતું, જેમાં કે.ડી. શેલડિયાની અખિલ ભારતીય પાટીદાર સેવા સમિતિ, પાટીદાર સંકલન સમિતિ, પાટીદાર આરક્ષણ સમિતિ, સરદાર પટેલ સેવાદળ વગેરે પણ સામેલ રહ્યા હતા, પરંતુ છેલ્લે હાર્દિક પટેલની "૫ાસ" દ્વારા સામૂહિક નેતૃત્વ કરાયું હતું.
તે સમયે રાજ્યવ્યાપી બનેલા પાટીદાર આંદોલનમાં ડિવિઝન તથા જિલ્લાઓમાંથી ઘણાં બધા કન્વીનરો બન્યા હતા., જેમાંથી કેટલાક અત્યારે સક્રિય રાજકારણમાં છે, તો કેટલાક અન્ય સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે, જ્યારે કેટલાક વિસરાઈ ગયા છે.
હવે ફરીથી પાટીદાર યુવાનો એકઠા થઈને નવી જ માંગણીઓ સાથે સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ મુકવાના છે અને પૂર્વ કન્વીનરોની એક મિટિંગ (સંમેલન) પણ વાદ-વિવાદોની વચ્ચે યોજાઈ ગયું તથા આ ચળવળને સામાજિક ગણાવીને સરકાર સમક્ષ કેટલીક સામાજિક સુધારણાઓ સહિતની રજૂઆતો થઈ રહી છે, તે જોતાં કંઈક જવાજૂનીના એંધાણ ઘણાં લોકોને દેખાઈ રહ્યા છે. આ નવેસરથી શરૂ થનારી ચળવળ અંગે ભિન્ન ભિન્ન અટકળો શરૂ થઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પક્ષના રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના અધ્યક્ષોની સાથે સાથે ભાજપ શાસિત રાજ્યોમાં કેટલાક મુખ્યમંત્રીઓ બદલવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે, ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ કે હરિયાણા જેવા રાજ્યો સાથે ગુજરાતનો વારો પણ આવી ન જાય, તેવો કટાક્ષ કરતી કોમેન્ટો પણ થવા લાગી છે, જોઈએ, હવે શું થાય છે તે...
બીજી તરફ આમઆદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા પછી રાજકીય સમીકરણો ગુંચવાયા છે., સામાન્ય રીતે ભાજપ કે કોંગ્રેસમાં વિદ્રોહ થાય ત્યારે ભારતીય જનતાપક્ષના ઈશારે થતું કૃત્ય ઠરાવવામાં આવે છે, પરંતુ અહીં ઉલટી ધારા વહેતી થઈ હોય તેમ ઉમેશ મકવાણાએ જ એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાતનું આમઆદમી પાર્ટીનું આખેઆખુ માળખું ભાજપના ઈશારે ચાલે છે., તેમણે પોતે હજુ પણ આમઆદમી પાર્ટીમાં જ હોવાનો દાવો કરીને કહ્યું છે કે પાર્ટીના પ્રદેશ એકમને પોતે રાષ્ટ્રીય નેતા હોવાથી સસ્પેન્ડ કરવાનો અધિકાર જ નથી. તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપવાનો ઈન્કાર કરીને અરવિંદ કેજરીવાલને મળવાનો સમય માંગ્યો છે, ત્યારે, જોઈએ હવે શું થાય છે તે...
ગુજરાત ભાજપમાં પણ આંતરિક ખેંચતાણ ચાલી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. વિસાવદરમાં નિષ્ફળતા પછી હવે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર ના કોઈ દિગ્ગજ નેતાને જવાબદારી સોંપાય અને કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા મહત્વાકાંક્ષી અસંતુષ્ટ નેતાઓ, ભાજપના જૂના સંનિષ્ઠ એવા નેતાઓ કે જેની સતત અવગણના થઈ રહી હોય તથા એવા અસંતુષ્ટો, જેઓ તાજેતરમાં આમઆદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા, પરંતુ તેઓને મનવાંચ્છિત ફળ (ટિકિટ) મળી ન હોય, તેવા નેતાઓને "સાચવી લેવા" ની કવાયત હાઈકમાન્ડ કક્ષાએથી હાથ ધરાય, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે. ટૂંકમાં પ્રદેશ ભાજપમાં ઉકળતો ચરૂ જોતા મોટા ફેરફારો સાથે નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદેથી નૈતિક કારણોસર શક્તિસિંહ ગોહિલના રાજીનામા પછી હવે આ કાંટાળો તાજ કોને પહેરાવવો તેની મથામણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે કોંગ્રેસની હાઈકમાન્ડે આ અંગે આ વખતે કેટલાક ફિડબેક મેળવ્યા છે. એવી ચર્ચા પણ ચાલે છે કે રાહુલ ગાંધીની વ્યાખ્યા મુજબ દિવ્યાંગ ઘોડાઓ અને લગ્નના ઘોડાઓ તથા યુદ્ધના ઘોડાઓની તારવણી થઈ રહી છે. એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે એમાંથી વધે તેને પ્રદેશ કોંગ્રેસની ઘોડાગાડીમાં જોડી દેજો !
ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ઘમાસાણ મચ્યું છે અને ત્રણેય મુખ્ય પક્ષોના પ્રદેશકક્ષાના એકમોમાં આંતર્યુદ્ધ છેડાયું છે, તેવા સમયે ત્રણેય પક્ષોના અસંતુષ્ટો સાથે મળીને કોઈ નવું જન આંદોલન છેડવાના વ્યૂહો રચાયો નથી ને ? તેવો અણિયાળો સવાલ સ્વયં જવાબ શોધી રહ્યો છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમદાવાદ અને જગન્નાથપુરીમાં ગઈકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ સંપન્ન થઈ ગઈ અને આજે સાંજે દ્વારકાના જગતમંદિરની અંદર અષાઢી બીજની રથયાત્રા પરિક્રમા કરશે. અમદાવાદની રથયાત્રામાં બે-ત્રણ ગજરાજો બેકાબૂ થયા, તે ઘટનાએ આપણને બધાને એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. એ ગજરાજો કદાચ ડી.જે. તથા અન્ય ઘોંઘાટ સહન નહીં થઈ શકતા બેકાબૂ બન્યા હોવાનું તારણ નીકળી રહ્યું હોય તો એમ કરી શકાય કે વાર-તહેવારે ખૂબ જ મોટા અવાજે ડી.જે.વગાડતા લોકોને અંકુશમાં રહેવા ઈશ્વરે સંકેત આપ્યો છે. સંગીત હંમેશા કર્ણપ્રિય હોઈ શકે, કર્ણતોડ (કાન ફાડી નાખે તેવા અવાજ કરતું) હોવું ન જોઈએ, તેવો સંદ્ેશ આ ઘટનામાંથી મળે છે.
જાહેર માર્ગો પર ખૂબ જ મોટા અવાજે ડી.જે. કે અન્ય રીતે ઘોંઘાટ કરવાથી બીમાર વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, તથા બુઝુર્ગોને તો તકલીફ થતી જ હોય છે, પરંતુ નાના-મોટા વાહનોના હોર્ન નહીં સંભળાતા નાના-મોટા અકસ્માતો થવાનો ભય પણ રહેતો હોય છે, અને હાનિકર્તા-અવરોધરૂપ ઘોંઘાટ થતો હોય, ત્યારે તેને કોણ અટકાવે ? આથી આ બદી દૂર કરવા સ્વયં ધનપતિઓ, નેતાગીરી, સંસ્થાઓ તથા ઈવેન્ટ મેનેજરોએ જ આગળ આવવું પડશે.
ડી.જે. ના ઘોંઘાટ કરતા યે વધુ તિવ્રતાથી હમણાંથી રાજકીય ક્ષેત્રે થતા વાદવિવાદોનો ઘોંઘાટ ફેલાઈ રહ્યો છે, અને બંધારણને લઈને ચાલી રહેલી ચર્ચાઓનો ઘોંઘાટ તો ૨૫મી જૂન પછીથી વધુ વ્યાપક બની ગયો છે, અને તેમાંથી ઊભી થતી રસપ્રદ ચર્ચાઓમાંથી રાજકીય ક્ષેત્રે એક નવો જ ઘોંઘાટ વધુ ને વધુ પડઘાઈ રહ્યો છે.
હકીકતે કટોકટીના ૫૦ વર્ષના સંદર્ભે ભારતીય જનતાપક્ષે તા. ૨૫મી જૂનથી ઈંદિરા ગાંધીએ વર્ષ ૧૯૭૫માં લાદેલી કટોકટીનો અધ્યાય ખોલી નાખ્યો છે અને તેના કારણે કટોકટીની કહાનીઓ વર્ણવવામાં આવી રહી છે. કોંગ્રેસે પણ ભાજપના આ અભિયાન સામે બંધારણ બચાવવાની સાંપ્રત સ્થિતિમાં જરૂરિયાત હોવાનું જણાવી પ્રતિપ્રહાર કર્યો છે કે ઈંદિરા ગાંધીએ તો કટોકટી ઉઠાવ્યા પછી ફરીથી જનાદેશ પ્રાપ્ત કરી હતી, અને તે પછી જીવનપર્યત શાસન કર્યું હતું, પરંતુ ભાજપના હાથમાં સત્તાના સુત્રો આવ્યા પછી છેલ્લા ૧૧ વર્ષથી દેશમાં અઘોષિત કટોકટી જ છે ને ?
કટોકટીની કથા-વાર્તાઓ વચ્ચે તાજેતરમાં આર.એસ.એસ. ના મહામંત્રી દત્તાત્રેય હોંસબોલેએ કટોકટી કાળ દરમ્યાન ઈંદિરા ગાંધીની સરકારે બંધારણના આમુખમાં ઉમેરેલા ધર્મનિષ્પેક્ષતા ને સમાજવાદ જેવા શબ્દો હટાવવાની માંગણી કરી અને તેને કેન્દ્રીયમંત્રીઓએ સમર્થન આપતા નિવેદનો કર્યા પછી કોંગ્રેસે ભાજપને આડેહાથ લેતા કહ્યું છે કે આર.એસ.એસ. અને ભાજપનો ગૂપ્ત એજન્ડા હવે ખૂલ્લો પડી ગયો છે. તેઓ બંધારણને ધરમૂળથી બદલીને ગોડસેની વિચારધારા અમલમાં મુકવા માંગે છે, અને તેથી જ ચૂંટણીઓમાં ૪૦૦ ને પારની નારેબાજી કરી હતી, જેને જનતાએ ઠુકરાવી દીધી હતી, વગેરે...વગેરે...
ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાષ્ટ્રીયકક્ષાએ કટોકટીને લઈને તનાતની ચાલી રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં યોજનકીય કૌભાંડોમાં ભારતીય જનતા પક્ષના નેતાઓ પછી હવે કોંગ્રેસના કહેવાતા કેટલાક નેતાઓ પણ સંડોવાઈ રહ્યા હોવાથી અલગ જ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મનરેગા કૌભાંડ રાજ્યવ્યાપી બન્યું છે, અને ઉત્તર ગુજરાતમાં એક વર્તમાન મંત્રીના દીકરાઓ પછી હવે સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસના મોટા નેતા તથા તેના દીકરાની ધરપકડ તથા ભરૂચમાં પણ મનરેગા કૌભાંડને લઈને તપાસ થઈ રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે, તે જોતાં ટૂંક સમયમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ સ્થિતિમાં આમઆદમી પાર્ટી ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસને કૌભાંડીયાઓ સાથે સાંકળીને રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતની જનતા આમઆદમી પાર્ટીને જનાદેશ આપશે, તેવો આશાવાદ સેવી રહી છે. આ કૌભાંડીયો ઘોંઘાટ હવે રાજ્યવ્યાપી બન્યો છે, અને તેનો અવાજ હવે ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચ્યો છે, અને પાંચ દેશોના પ્રવાસે જતા પહેલા ખુદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓનો મુદ્દો વડાપ્રધાન કાર્યાલયના માધ્યમથી આ મુદ્દે હસ્તક્ષેપ કરશે, તેવી અટકળોનું બજાર પણ ગરમ થઈ ગયું છે.
એવું પણ કહેવાય છે કે અમદાવાદની રથયાત્રાના ગજરાજોએ એવો સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં દાયકાઓના ભાજપ-કોંગ્રેસના શાસનોને અપનાવી ચૂકેલી રાજ્યની જનતા હવે બહુજન સમાજવાદી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વ્યાપક જનાદેશ આપવાની છે, અને એ પછી વર્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી બહુજન સમાજવાદી પાર્ટીનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ પણ પડઘાવાનું છે !
જામનગરમાં આ બધા ઘોંઘાટ વચ્ચે પણ એક અલગ જ ચર્ચા થઈ રહી છે. એવા ઉડતા ઉડતા સમાચાર આવ્યા છે કે ભારત સરકારે સાઉદી અરબ તથા ખાડીના દેશો સાથે કરેલી સમજૂતી મુજબ ગુજરાતના દરિયાકાંઠે ઓ.એન.જી.સી. એક જાયન્ટ ગ્રીનફિલ્ડ રિફાઈનરી સ્થાપવાની છે, જે મોટાભાગે જામનગર જિલ્લામાં જ સ્થપાશે. જામનગરમાં રિલાયન્સ અને નયારા પછી જો ઓ.એન.સી.જી. ત્રીજી રિફાઈનરી સ્થાપશે, તો જામનગર જિલ્લો પેટ્રોલિયમ હબ બની જશે. જો કે, ભાવનગર જિલ્લાનો ધારૂકા વિસ્તાર પણ આ માટે વિચારણા હેઠળ છે, પરંતુ મહત્તમ સંભાવના જામનગર (હાલાર) માં આ નવી ગ્રીનફિલ્ડ રિફાઈનરીની જણાવાઈ રહી છે. આ અંગે ઓ.એન.સી.જી. કે સરકાર તરફથી અધિકૃત નિવેદન આવ્યું નથી, પરંતુ આ ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ તો બની જ ગઈ છે. શું આ હાથીકાય (જાયન્ટ) રિફાઈનરીનો સંકેત પણ ઈશ્વરે અષાઢી બીજે આપી દીધો હશે ?
જે હોય તે ખરૃં, પરંતુ હકારાત્મક અભિગમ દાખવીએ, તો ઘોંઘાટના કારણે ભડકેલા ગજરાજોએ જો બહુ નુકસાન પહોંચાડ્યા વિના કોઈ શુભ સંકેતો આપ્યા હોય તો તેને ભગવાન જગન્નાથની કૃપા જ ગણવી પડે. જો કે, ઘોંઘાટીયા પ્રદુષણ સામે તકલાદી તંત્રો કે મત લાલચુ પક્ષો તો દેખાવ ખાતરની કાર્યવાહી જ કરશે, પરંતુ આ મુદ્દે જો લોકો જ સ્વયંશિસ્ત જાળવશે, તો તે વ્યાપક જનહિતમાં ઉમદા અભિગમ જણાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમદાવાદમાં રથયાત્રા દરમ્યાન આજે બે ગજરાજો બેકાબૂ થયા પછી નિયંત્રીત થયા છે. આજે અષાઢી બીજ છે. હિન્દુ ધર્મના ચાર પવિત્ર મહાધામ પૈકીના એક પાવનધામ જગન્નાથપુરી તથા ગુજરાતના અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. આજે ેદેશના અન્ય ઘણાં શહેરો તથા મંદિરો-યાત્રાધામોમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે વિશેષ દર્શન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
અષાઢી બીજ દેશના જુદા-જુદા ભાગોમાં જુદી-જુદી પરંપરાઓ તથા સ્વરૂપો સાથે ઉજવાતી હોય છે. આજે કચ્છી પરંપરા મુજબ નવું વર્ષ ઉજવાય છે. વિક્રમ સંવત ૧૨૩૧માં જામ-રાયઘણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી, તે દિવસે અષાઢી બીજ હતી. વિક્રમ સંવત મુજબ નવું વર્ષ કારતક સુદ એકમના દિવસે મનાવાય છે, પરંતુ કચ્છી પરંપરા મુજબ કચ્છીઓનું નવું વર્ષ અષાઢી બીજ એટલે કે વિક્રમ સંવતના નૂતનવર્ષ કરતા ચારેક મહિના પહેલા આવે છે. એવું કહેવાય છે કે કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથિને સાંકળીને કચ્છી પંચાંગની શરૂઆત કરી હતી અને રાજાશાહીના સમયમાં અષાઢી બીજે નવું પંચાંગ તથા નવા ચલણી સિક્કાઓ બહાર પડતા હતા.
અષાઢી બીજથી ખેડૂતો સામાન્ય રીતે ખરીફ પાક માટેનું ખેતીકામ વેગીલુ બનાવતા હોય છે. અખાત્રીજ થી કરેલી તૈયારીઓ પછી વાવણીલાયક વરસાદ થાય, અને તે પછી નવું કૃષિવર્ષ ઉત્તમ નિવડે, તે માટેની પ્રાર્થનાઓ પણ અષાઢી બીજની ઉજવણી દરમ્યાન થતી હોય છે.
આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબક્મ્ની ભાવના ધરાવે છે અને પ્રાચીનકાળથી વિધિકલ્યાણની પ્રવૃત્તિઓ ભારતવર્ષમાં કરતું રહયું છે. ભારતે ઘણાં વિદેશી આક્રમણો ખમ્યા છે અને કેટલીક વિદેશી સલ્તનતો સેંકડો વર્ષ સુધી ભારત પર શાસન કરી રહી હતી, અને કેટલાક કટ્ટર શાસકોએ આપણી સર્વમાંગલ્ય, માંગલ્યે તથા વસુધૈવ કંુટુંબકમ્ ની સહિષ્ણુ ઉદાર અને સર્વસમાવેશી સંસ્કૃતિનું નિકંદન કાઢવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં ભારતીય સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે અને વિશ્વને સત્ય, અહિંસા અને માનવતા માટે મરી મિટવાની તત્પરતાનો પાઠ શીખવી રહી છે, એટલું જ નહીં અસૂરો અથવા માનવવિરોધી દૂષ્ટોને પૂરેપૂરી તકો આપવા છતાં સુધરે નહીં, તો તેના અંજામ સુધી પહોંચાડવાની તાકાત પણ બતાવી રહી છે.
આપણો પડોશી દેશ પાકિસ્તાન માનવતા વિરોધી છે, તો બીજો પડોશી દેશ સ્વાર્થી, સામ્રાજ્યવાદી તથા વધુ દગાબાજ છે. આ બંને દેશોને ભારતની સહિષ્ણુતા, માનવતા, પ્રગતિ અને એકજૂથતા આંખમાં કણાની જેમ ખટકે છે. આ કારણે ભારતમાંથી જુદો પડેલો દેશ પાકિસ્તાન પોતાની કાયરતા, અને કમજોરીના કારણે ભારત સાથે સીધી લડાઈમાં ક્યારેય જીતે તેમ નહીં હોવાથી આતંકવાદનો સહારો લઈ રહ્યો છે...આતંકવાદની ફેક્ટરી જેવા આ દેશનો સમય-સમય પર ચીન અને અમેરિકા જેવી શક્તિશાળી અને ઘમંડી સત્તાઓ મહોરાની જેમ ઉપયોગ કરીને પોતાને ઉલ્લુ સિદ્ધ કરી રહી છે. આ કારણે પાકિસ્તાનની પ્રજા પાયમાલ થઈ રહી છે અને લોકતાંત્રિક દેશ હોવા છતાં ત્યાં મોટા ભાગે સેનાધ્યક્ષોનું શાસન જ રહ્યું છે. ચૂંટાયેલા વડાપ્રધાનો ત્યાં સેનાની કઠપૂતળી જેવા જ રહ્યા છે, અને ત્યાં રાષ્ટ્રપતિ પદનું કોઈ બહુ મહત્ત્વ રહ્યું નથી. આ માયકાંગલા પડોશી દેશનો ભારતીય પ્રતિનિધિઓ યુનોમાં નકાબ ચીરી નાખ્યા પછી ચીનમાં સર્જાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભારતના રક્ષામંત્રીએ પાકિસ્તાનને રોકડુ પરખાવ્યુ અને સંયુક્ત ઘોષણાપત્રમાં પહલગામ આંતકી હૂમલાનો ઉલ્લેખ નહીં કરાતા તેમાં હસ્તાક્ષર ન કર્યા, તે પછી હવે ભારતની ઓપરેશન સિંદૂર ફેઈમ કાર્યવાહીથી ફફડતું પાકિસ્તાન વૈશ્વિક સંસ્થાઓ પાસે રહેમની ભીખ માંગવા હડિયાપટ્ટી કરવા લાગ્યું છે.
બીજી તરફ ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં સામેલ થયા પછી બે-ત્રણ દિવસમાં જ અમેરિકાએ યુદ્ધ આટોપી લીધું, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જાય, તે માટે બહુ પ્રયત્નો કરવાના બદલે માત્ર પ્રોપાગન્ડા કર્યો, તેની પાછળ ટ્રમ્પના બિઝનેસ માઈન્ડની બૂ આવે છે. હકીકતે હથિયારો તથા યુદ્ધસામગ્રીના અમેરિકન ઉત્પાદકોના હિતાર્થે અમેરિકા પહેલા કોઈપણ મુદ્દે વિવાદગ્રસ્ત બે દેશો વચ્ચે પહેલા યુદ્ધ ભડકાવે છે, અને તે બંને દેશોને અમેરિકા, રશિયા, ફ્રાન્સ જેવા દેશોનેે હથિયાર સામગ્રી યુદ્ધ જહાજો વગેરે વેચે છે ને તેમાંથી મબલખ કમાણી કરે છે. તેથી વિશ્વ સમુદાયમાં એક કોન્સેપ્ટ એવો પણ વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે કે જો દુનિયામાં કાયમી શાંતિ રાખવી હોય તો વિશ્વના તમામ દેશોેએ માત્ર પરમાણુ બોમ્બ જ નહીં, પરંતુ દરેક પ્રકારના હથિયારો, યુદ્ધ સામગ્રી, તથા યુદ્ધ જહાજો-વિમાનોનું ઉત્પાદન જ બંધ કરી દેવું જોઈએ, અને મોજુદ પુરવઠાનો યોગ્ય રીતે નાશ કરી નાખવો જોઈએ. અત્યારે જે સ્થિતિ છે, તે જાળવી રાખીને તમામ પ્રકારના વિવાદાસ્પદ મુદૃાઓ માટે યુદ્ધ નહીં પરંતુ એક વૈશ્વિક પ્લેટફોર્મ કે દ્વિપક્ષીય વાટાઘાટો કરીને ઉકેલવા જોઈએ. જો વિસ્ફોટક યુદ્ધ સામગ્રી, હથિયારો કે સાધનોનું ઉત્પાદન જ નહીં થાય, તો યુદ્ધ જ નહીં થાય, ન રહેગા બાંસ, બજેગી હી નહીં બાંસુરી !!
જો કે, કોન્સેપ્ટ ભલે સ્વીકારવા જેવો લાગતો હોય, પરંતુ તેનો અમલ કરવો અઘરો છે. હથિયારોનું ઉત્પાદન માત્ર દેશો વચ્ચેના યુદ્ધો માટે નહીં, પરંતુ બદમાશો, માફિયાઓ, ગુંડાઓ, ગુનાખોરો, ઉગ્રવાદીઓ તથા ત્રાસવાદીઓ સામે લડવા માટે પણ થતો હોય છે. ખુદ ભગવાનને પણ માનવ અવતાર ધારણ કર્યો, ત્યારે તીર-કામઠાથી લઈને સુદર્શનચક્ર સુધીનો ઉપયોગ કરવો પડયો હતો, તેથી શસ્ત્રોનું ઉત્પાદન સદંતર બંધ થઈ જાય તે સંભવ જણાતું નથી, કારણ કે આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે આ શસ્ત્ર સરંજામ જરૂરી પણ હોય છે, તેથી આ પ્રકારના ઉત્પાદનો તદૃન બંધ કરી દેવાના બદલે તેને અંકુશિત કે નિયંત્રિત કરવા માટે અમેરિકા, રશિયા, ચીન જેવી મહાસત્તાઓ સ્વયંશિસ્ત જાળવવુ જોઈએ, અને તે માટે પોતાના સ્વાર્થે બેવડા ધોરણો અપનાવવાની નીતિ સમાપ્ત થવી જોઈએ.
ઈરાન પર હમાસ, હુથી, હીઝબુલ્લાહ જેવા સંગઠનોને આતંકી ગણાવીને પરમાણુ ઉર્જા ઉત્પાદન પર પ્રતિબંધો લગાવતું અમેરિકા એ ત્રણેય સંગઠનોથી પણ ઘણું જ ખતરનાક જૈસ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુઝાહિદિન જેવા આતંકી સંગઠનોનું પાલન-પોષણ કરતા પાકિસ્તાનને જ્યારે "પ્રિય દેશ" ગણાવીને ટ્રમ્પ તેની પીઠ થાબડે, ત્યારે તેના બેવડા વલણોનો પર્દાફાશ થઈ જાય છે, તેવી જ રીતે ભારતમાં થયેલા પહલગામના આતંકી હૂમલાનો ઉલ્લેખ જ કર્યા વગર પાકિસ્તાનની ટ્રેન પર હૂમલાની ઘટનાનો ઉલ્લેખ સંયુક્ત ઘોષણાપત્રમાં કરવાના ચીન અને પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ પણ થઈ ગયો છે, ત્યારે ભારતે હવે ચારેય મોરચે લડવાની તૈયારી રાખવી પડશે...
આજે ભગવાનને પ્રાર્થના કરીએ એ આસૂરી મનોવૃત્તિ ધરાવતા દેશોના વડાઓને સદ્બુદ્ધિ આપે...
રઘુપતિ રાઘવ રાજા રામ, ...સબકો સન્મતિ દે ભગવાન..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં અમદાવાદની વિમાન દુર્ઘટના પછી શોકનો માહોલ હતો અને દેશ દુનિયામાં યુદ્ધ અને અશાંતિના કારણે વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, તેમાં હવે રાહત થઈ છે. કમનસીબ દુર્ઘટનાના મૃતકોની ઓળખ કરીને સોંપી દેવાયા પછી તેઓની અંતિમક્રિયાઓ થઈ ગઈ છે, અને ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સમી ગયા પછી હવે રશિયા-યુક્રેન યુદ્ધ પણ ખતમ થાય, તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે હવે દુનિયા શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ તરફ આગળ વધી રહી છે, પરંતુ ડોમેસ્ટિક પોલિટિક્સમાં પુનઃ ઉછાળો આવ્યો છે. દેશમાં વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીનો વિજય થતાં થોડા સમય માટે હેડલાઈન્સમાંથી અલિપ્ત થઈ ગયેલા કેજરીવાલ ફરીથી પ્રગટ થઈ ગયા છે અને ભાજપ તથા કોંગ્રેસ પર સહિયારા પ્રહારો કરીને આમઆદમી પાર્ટીને ગુજરાતમાં વિજયનો વિકલ્પ ગણાવવા લાગ્યા છે. એક તરફ બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતમાં પણ આગામી વર્ષે થવાની છે. આમઆદમી પાર્ટી આ બંને ચૂંટણીઓમાં પૂરી તાકાતથી ઝંપલાવવાની હોવાથી ભાજપ અને કોંગ્રેસ તથા અન્ય પ્રાદેશિક પક્ષોએ તે માટે તૈયાર રહેવું પડશે. ચૂંટણીઓના ચક્રવ્યૂહ વચ્ચે એક તરફ રાજકીય માહોલ ગરમાયો છે, તો બીજી તરફ વરસાદ, પૂર, તથા નવી આગાહીઓ વચ્ચે મેઘાવી માહોલ પણ જામ્યો છે. ઠેર-ઠેર જલભરાવ, સડકો પર પાણી, ટ્રાફિકજામ અને વરસાદી મોસમની વિડંબણાઓના સમાચારો ચોતરફથી આવી રહ્યા છે.
આ પ્રકારની પરિસ્થિતિઓ વચ્ચે આ વર્ષે જન્માષ્ટમીના લોકમેળાઓ તથા યાત્રાધામ દ્વારકા તથા બેટદ્વારકામાં જન્માષ્ટમી પર્વે દર્શન માટે ઉમટી પડનારા લાખો ભાવિકોના સંદર્ભે જરૂરી તમામ વ્યવસ્થાઓને લઈને તંત્રોએ અત્યારથી જ તૈયારીઓ કરવા લાગવું પડશે. અત્યાર સુધી તંત્રો વિવિધ પ્રકારની ઘટનાઓના સંદર્ભે તથા ચૂંટણીઓ પછી હવે વરસાદી મોસમના સંદર્ભે વ્યસ્ત રહ્યા છે, અને તેમાંથી ટાઈમ કાઢીને સાતમ-આઠમના મેળાઓ, શ્રાવણી મેળાઓ તથા છેક ભાદરવી પૂર્ણિમા સુધી વિવિધ સ્થળે તબક્કાવાર યોજાતા રહેતા લોકમેળાઓ, ધાર્મિક મેળાવડાઓ અને પ્રવાસ-પર્યટનના સ્થળો પર ઉમટતી ભીડના પૂર્વ-આયોજનો પણ તંત્રોએ કરવા પડશે. અત્યારે અષાઢી બીજની રથયાત્રાઓનો પણ ઠેર-ઠેર થનગનાટ છે.
રાજકોટમાં ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી સદ્ગત વિજયભાઈ રૂપાણીની અનંતયાત્રાનો આઘાત ખમી લઈને લોકો કુદરતની ઘટમાળને અનુરૂપ રોજીંદી જિંદગીમાં આગળ વધી ગયા છે, અને આગામી તહેવારોની તૈયારીમાં લાગી ગયા છે. મોહરમ અને જન્માષ્ટમી સુધીના તહેવારોને સાંકળીને જરૂરી પ્રબંધો કરવા અંગેની મિટિંગોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, અને લોકમેળાઓની તૈયારીઓ પણ થવા લાગી છે.
તાજેતરના ઘટનાક્રમો તથા પ્રવર્તમાન પ્રાકૃતિક અને માજવસર્જીત સંજોગો-ઘટનાઓને ધ્યાને રાખીને આ વખતે તમામ પ્રકારના આયોજનો તથા ભગવાન જગન્નાથજીની ઠેર-ઠેર નીકળનારી રથયાત્રાઓ થી લઈને જન્માષ્ટમી-નવરાત્રિ પર્વ સુધીના તહેવારોની શ્રૃંખલા દરમ્યાન કોઈ પણ પ્રકારની ભાગદોડ કે અનિચ્છનીય ઘટના બને નહીં, તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, તેવા પ્રબંધોની સાથે સાથે ચોમાસાની ગતિવિધિ, આગાહીઓ તથા પૂર-પાણી અને નદી-નાળા-ડેમો છલકાયા પછીની પરિસ્થિતિનું આલંકન કરીને તંત્રો તથા શાસકોએ સંકલન કરવું પડશે.
શરમજનક સ્થિતિ એ ગણાય કે અત્યારે ચોમાસુ બેસી ગયું, વરસાદની આગાહીઓ થવા લાગી, કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડયો, રણજીતસાગર જેવા મોટા ડેમો છલકાવા લાગ્યા, તેવા સમયે પણ ઘણાં તંત્રો તથા પાલિકા-મહાપાલિકાઓમાં હજુ "પ્રિ-મોન્સુન"ની કામગીરી ચાલી રહી છે. અન્ય જિલ્લાઓમાં લોકમેળાઓના આયોજનો સુનિશ્ચિત થયા પછીની વહીવટી અને તાંત્રિક પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે હાલારમાં હજુ ચોમાસા પૂર્વેની કામગીરીઓ પૂરી થઈ રહી નથી, અને જામનગરમાં તો પ્રદર્શન ગ્રાઉન્ડમાં કામચલાઉ એસ.ટી. ડેપો આવ્યા પછી આ વર્ષે અને આવતા વર્ષે શ્રાવણીયો લોકમેળો ક્યાં યોજવો, તેનું સ્થળ પણ નક્કી થઈ શક્યું નથી. આ વર્ષે અદ્યતન ટેકનોલોજી આધારિત ફોરકાસ્ટ મેળવીને વરસાદી ઋતુને અનુરૂપ તમામ આયોજનો થાય, અને અત્યારથી જ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ માટે સંયોજીત, સુદૃઢ અને ફુલપ્રૂફ માસ્ટર પ્લાન અમલી બને, તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
ચોમાસાની ઋતુ હોય, નદી-નાળા, ચેકડેમો-તળાવો-ડેમો છલકાવાના છે, ત્યારે યુ-ટ્યુબ માટે વીડિયો ઉતારવા કે સેલ્ફી લેવા માટેે જીવ-સટોસટની બાજી ખેલતા લોકોને અટકાવવા તંત્રે પણ કડક પ્રબંધો કરવા પડશે, અને એનજીઓઝ, વિવિધ સમાજો, જ્ઞાતિસંગઠનો, અને ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓએ ગામડાઓ અને શહેરોમાં સર્વવ્યાપી અને અસરકારક જન આંદોલન ચલાવવું પડશે, અન્યથા અત્યારે છૂટક-છૂટક સ્થળે બનતી આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાતી જ રહેશે અને લોકોને પોતાના વહાલસોયા સ્વજનો સેલ્ફી કે રીલ પાછળ જીવ ગુમાવ્યા પછી રોતા જ રહેવું પડશે..
આ પ્રકારની અનિચ્છનિય અને આઘાતજનક ઘટનાઓ અટકાવવા પ્રત્યેક પરિવારોએ પણ આગળ આવવું પડશે. જો મોટેરાઓ આ પ્રકારના શોખને ગાંડપણમાં ફેરવવા લાગશે, તો યુવાપેઢીને મોકળું મેદાન મળી જવાનું છે, અને કુમળી પેઢી પણ વગર વિચાર્યે અઘટિત સાહસો કરવા પ્રેરાશે. આથી આવી રહેલા આ મહાભયાનક ખતરાને ટાળવા સૌએ અત્યારથી જ જાગૃત થઈ જવું પડશે.
આ વર્ષે સારો વરસાદ થશે અને વર્ષ સારુ જશે, ખેતી સારી પાકશે અને વિપુલ જળસંગ્રહ થશે, તેવી આગાહીઓ થઈ છે, ત્યારે સૌ કોઈના જીવનમાં આનંદ-મંગલ રહે, તહેવારો ભવ્ય રીતે ઉજવાય, ક્યાંય કોઈ અનિચ્છનિય ઘટના ન બને, લોકો સ્વયં જાગૃત બને અને નવા ચૂંટાયેલા તથા પહેલાના તમામ જનપ્રતિનિધિઓ વાસ્તવમાં લોકસેવામાં લાગી જાય, તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી થયા પછી પરિણામો આવ્યા છે. ગામેગામ વિજયોત્સવો મનાવાઈ રહ્યા છે, અને વિજેતા પેનલો તથા સરપંચો મતદારોનો આભાર માનીને તેમણે કરેલા વાયદાઓ પૂરા કરવાના વચનો આપી રહ્યા છે.
સરપંચો તથા ગ્રામ પંચાયતોના સભ્યોની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી નથી, પરંતુ રાજકીય પક્ષો પોતાની વિચારધારા ધરાવતા સરપંચો અને સભ્યો વધુ ચૂંટાયા હોવાના દાવાઓ કરતા હોય છે, અને તેવું જ કંઈક આ વખતે થઈ રહ્યું છે.
આ પહેલા ઘણી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, અને ઘણાં સરપંચો અને સભ્યો બિનહરીફ પણ થયા છે. હવે જયાં ચૂંટણી થઈ હતી, ત્યાં પરિણામો આવી ગયા પછી ચૂંટણીમાં થયેલી સ્પર્ધા પછી આવેલા જનાદેશને સ્વીકારીને બધાએ ગામના વિકાસ અને લોકકલ્યાણના કામે લાગી જવાનું છે, તથા મતદાન પ્રક્રિયા દરમ્યાન કે તેના સંદર્ભે કોઈ નાની-મોટી રકઝક કે ખેેંચતાણ થઈ હોય તો ભૂલીને સૌ કોઈએ સાથે મળીને ગ્રામસેવા અને જનસેવામાં લાગી જવાનું છે., કારણ કે ચૂંટણી લડવાનો ઉદૃેશ્ય પણ ગ્રામસેવા તથા જનસેવાનો જ હોય છે ને ? હવે, જીતેલા ઉમેદવારોએ પરાજીત ઉમેદવારોને પણ સન્માનપૂર્વક સાથે રાખીને લોકોની સેવા કરવાની છે, એ ભૂલાય નહીં.
ગઈકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ક્રિકેટ ટેસ્ટમેચ સંપન્ન થઈ ગઈ છે, અને ભારતીય ટીમનો પરાજય થયો છે. મોટાભાગના સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં કેટલાક સિનિયર અને કેટલાક નવા ચહેરાઓના સંયોજન છતાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ એકંદરે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને સદીઓની જાણે હોડ લાગી હોય, તેમ બંને ટીમોના ખેલાડીઓએ સેન્ચ્યુરી ફટકારી, તેથી ક્રિકેટ રસીયાઓને ભરપૂર મનોરંજન મળ્યું. ભારતે તેમની ફિલ્ડીંગમાં વિશેષ સુધારા કરવાની જરૂર છે, તથા કેપ્ટનશીપમાં શુભમન ગીલને વધુ અનુભવની જરૂરિયાત હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. આ ક્રિકેટ મેચ પૂરી થયા પછી જે રીતે જીતેલી ટીમે હારેલી ટીમ સાથે સન્માનભર્યો વ્યવહાર કર્યો અને ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને અભિનંદન આપ્યા, તે દૃશ્યો ક્રિક્ેટ રસીયાઓએ જોયા જ હશે.
લગભગ દરેક ક્રિકેટ મેચ પછી આ જ રીતે હારેલી ટીમો તથા જીતેલી ટીમો પરસ્પર આદર બતાવતા હોય છે અને બંને ટીમોના મેદાન પર રહેલા ખેલાડીઓ વ્યક્તિગત રીતે પણ પરસ્પર ભેટી પડતા હોય છે, તેવી જ ખેલદીલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પરિણામો આવ્યા પછી દરેક જીતેલા અને હારેલા ઉમેદવારો પણ બતાવતા હોય જ હોય છે, પરંતુ ઘણી વખત સ્થાનિક ચૂંટણીઓના કારણે વેરઝેર ઊભા થવાની ક્ષુલ્લક ઘટનાઓ પણ બનતથી હોય છે, જો કે, એ પ્રકારની ચૂંટણીના વેરઝેરની માનસિકતા હવે ધીમે-ધીમે ઘણી જ ઘટવા લાગી છે અને ચૂંટણીઓ પછી ગ્રામ વિકાસના કામે તમામ લોકો સાથે મળીને લાગી જતા હોય છે, જે આપણાં દેશની લોકતાંત્રિક સંસ્કૃતિને વધુ ને વધુ સુદૃઢ બનાવે છે. એ ચૂંટાયેલા ઉમેદવારો ગ્રામસેવા તથા પંચાયતોના વહીવટમાં હારેલા ઉમેદવારો સહિત તમામ લોકોને સહભાગી બનાવશે, તેવું ઈચ્છીએ.
આ જ પ્રકારની આશા ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા પછી રાજકીય પક્ષો તથા ઉમેદવારો પાસેથી લોકો રાખે છે. મતદારોએ આપેલો જનાદેશ માથે ચડાવીને હવે આગળ વધવાનું છે.
કડીની બેઠક ભાજપે જીતી, તે અપેક્ષિત હતુ, પરંતુ વિસાવદરની બેઠક પર આમઆદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા, તેથી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા પછી આ બેઠક પર વિપક્ષના ઉમેદવારો જીતતા હતા, પરંતુ ભાજપ પ્રેરિત ઓપરેશન લોટસ અથવા ઓપરેશન કમળ ચલાવીને ચૂંટાયેલા વિપક્ષ ધારાસભ્યોને રાજીનામા અપાવીને ખેલ ખેલ્યો, તે મતદારોને પસંદ નથી આવ્યું, તેવા તારણો વિશ્લેષકો કાઢી રહ્યા છે. જો કે, આ બેઠક પર પેટા ચૂંટણી પ્રચાર સમયે જ આંતરિક ખેંચતાણ તથા ત્રિપાંખીયા જંગને કારણે ભાજપને જનાદેશ મળવાનો નથી, તેવા અંદાજો થવા લાગ્યા હતા, પરંતુ તેનો લાભ "આપ" ને મળ્યો જે કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ઝટકો છે, કારણ કે હવે ગુજરાતમાં સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણીઓમાં મુખ્ય મુકાબલો ભાજપ અને આમઆદમી પાર્ટી વચ્ચે જ થવાનો છે, તેવી ભવિષ્યવાણી અરવિંદ કેજરીવાલે કરી દીધી છે. !
માધવાણી પરિવારના પથદર્શક અને માતૃતુલ્ય સ્વ. ઉર્મિલાબેનની આજે પુણ્યતિથિ છે. 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણીના કદમ સાથે કદમ મેળવીને પ્રેરણાસ્ત્રોત બનનાર સ્વ. ઉર્મિલાબેનની સ્મૃતિઓ કયારેય વિસરી શકાય તેમ નથી.
તેઓ સ્નેહાળ, શાંત અને સહૃદયી સ્વભાવ ધરાવતા હતા. અને સાદગી, સૌમ્યતા અને સરળતા સાથે તેઓએ નવી પેઢીને સારા સંસ્કાર અને સદ્ગુણોનું સિંચન કરીને હંમેશાં પ્રેરક પ્રદર્શન કર્યું હતું. તેઓ હંમેશાં જીવનના ઉતાર-ચઢાવ અને બદલતી રહેતી સ્થિતિ સામે હિંંમતથી લડતા રહ્યા હતા અને પરિવારનો અડીખમ સ્તંભ બની રહ્યા હતા. તેઓએ અનેક પડકારોનો સામનો કર્યો હતો.
માતાનો શિતળ છાંયડો ત્યારે છીનવાઈ ગયો, ત્યારે વર્ષ ૨૦૧૯ની ૨૪મી જૂને તેઓએ અચાનક અંતિમ વિદાઈ લઈ લીધી, ત્યારે આખો પરિવાર તો ખૂબજ દુઃખી થયો હતો, પરંતુ નોબત પરિવાર, માધવાણી પરિવાર તથા આ બંને પરિવાર સાથે સંકળાયેલા તમામ સ્નેહીજનોએ પણ ઉંડો આઘાત અનુભવ્યો હતો. હવે તેઓની મીઠી યાદો અને પ્રેરણાત્મક પળોની સ્મૃતિઓને યાદ કરીને તેઓને સ્મરણાંજલિ અર્પીએ.
ઈશ્વરની ઘટમાળ પાસે આપણું કાંઈ ચાલતુ નથી, અને જન્મ-મૃત્યુ ઈશ્વરને આધીન છે, એ સનાતન સત્ય છે, એ સ્વીકારીને અંતરની ઉર્મીઓ સાથે સ્વ. ઉર્મિલાબેનને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પીએ.
જામનગર તા. ૨૪-૦૬-૨૦૨૫
-માધવાણી પરિવાર
-નોબત પરિવાર
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે ગઈકાલે મતદાન સંપન્ન થયું અને તેની મતગણતરી ૨૫મી જૂને થવાની છે, પરંતુ ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી આજે થઈ છે. તે ઉપરાંત ગુજરાતમાં ઘણાં જિલ્લાઓમાં વરસાદ થયો છે, અને હજૂ પણ વરસાદની જૂદી-જૂદી આગાહીઓ સાથે વિવિધ એલર્ટ અપાઈ રહ્યા છે. આ તમામ પોઝિટિવ ન્યૂઝની વચ્ચે ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવીને ઈરાનના ત્રણ પરમાણૂ મથકો પર હૂમલો કર્યા પછી ઊભી થયેલી સ્થિતિએ વૈશ્વિક ચિંતા ઊભી કરીને નેગેટિવીટી ફેલાવી દીધી છે., તેવા સમયે ભારે વરસાદથી ઘણાં સ્થળે પૂર આવ્યા, તો કેટલાક સ્થળે તણાઈ કે ડૂબી જવાથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હોવાના સમાચારોએ પણ ગ્લાનિ ઉત્પન્ન કરી દીધી છે. ગામડાઓની ગતિવિધિથી લઈને ગ્લોબલ ગોલમાલની અપડેટેડ આંધી વચ્ચે ચૂંટણીઓના ચક્રવ્યૂહની ચર્ચા પણ આજે ગામડાઓના ચોરે અને ગાંધીનગરના ગલિયારાઓમાં થઈ રહી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી જૂદા-જૂદા વિસ્તારોમાં ઝાપટાં થી લઈને ભારે વરસાદ વરસી રહ્યો હતો, અને ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસતા ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો હોવાથી ખેડૂતો વાવણીના કામે લાગી ગયા છે, તો બીજી તરફ કેટલાક જળાશયોમાં નવા નીર આવ્યા, તો કેટલાક ડેમો ઓવરફ્લો થવાના અહેવાલો આવવા લાગ્યા છે, અને રાજ્યમાં અત્યાર સુધીમાં જુદા-જુદા જિલ્લાઓમાં સરેરાશ ૧૪ થી ૨૧% વરસાદ પડી ગયો હોવાથી હવે કિસાનજગત માટે ખરીફ સિઝનની શરૂઆત સારી થઈ છે, તેમ કહી શકાય. જામનગરના રણજીતસાગર અને વાગડીયા ડેમ છલોછલ ભરાઈ ગયા છે, તથા ઓવરફલો થયા છે. હાલાર સહિત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજ્યમાં ૨૦૦થી વધુ ડેમોમાં જળસ્તર વધ્યું છે, તો ૧૫ જેટલા જળાશયો છલોછલ ભરાઈ જતાં હાઈ એલર્ટ પર છે, અને આજે પણ મેઘાડંબર વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, તેથી ઘણાં ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, તો ઘણાં સ્થળે ગમખ્વાર ઘટનાઓ પણ બની છે.
કેટલાંક સ્થળોએ સોશ્યલ મીડિયા માટે વીડિયો ઉતારવા અને સેલ્ફી લેવાની લ્હાયમાં કેટલાક લોકોએ જીવનું જોખમ વ્હોરી લીધું છે, અને યુવાવર્ગ જ નહીં, હવે તો નાના-નાના બાળકોથી લઈને કેટલાક બુઝુર્ગો પણ આ પ્રકારના જોખમો લેવા લાગ્યા હોવાથી હવે આ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, એટલું જ નહીં, આ પ્રકારના જોખમો વ્હોરી લેનાર પર કાનૂની સકંજો વધુ કસાય, અને લોક શિક્ષણ તથા કાયદાનાં ડર હેઠળ આ જીવલેણ શોખ સામે જંગ લડવાનો સમય હવે પાકી ગયો છે, ખરૃં ને ?
ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં એવરેજ ૭૦% થી વધુ મતદાન થયું અને કેટલાક સ્થળોએ તો ઘણું જ જંગી મતદાન થયું, એ મતદારોનો લોકતંત્રમાં વિશ્વાસ દર્શાવે છે, પરંતું ગ્રામ પંચાયતોમાં સ્થાનિક જાગૃતિ વધુ રહેતી હોવાથી આગામી સમયમાં ૯૦ કે ૯૫%થી વધુ મતદાન થાય, તેવા પ્રયાસો જાહેર જીવનમાં પડેલા નેતાઓ, આગેવાનો તથા રાજ્યના ચૂંટણીપંચે પર કરવા જોઈએ.
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં પણ કેટલાક સ્થળે ફેર મતદાન કરાવવું પડી રહ્યું છે, જે વિચારવા જેવો મુદ્દો છે. જો મર્યાદિત મતદાન તથા સીમિત મતક્ષેત્ર માટે પણ કોઈપણ કારણે ફેર મતદાન કરાવવુ પડતું હોય, તો તેના કારણોનું વિશ્લેષણ કરીને જરૂરી સુધારાત્મક કદમ ઉઠાવવા જોઈએ.
હવે મતગણતરી થઈ જાય, તે પછી ઉભયપક્ષે જ નહીં, ગ્રામજનોમાં પણ અત્યારે ચૂંટણી સમયે હતી, તેવી જ જાગૃતિ જળવાઈ રહે, અને જે સરપંચ અને પેનલો ચૂંટાય, તે ચૂંટણીના પરિણામો પછી હવે સૌ સાથે મળીને ગ્રામ વિકાસ અને લોકકલ્યાણના કામો કરતા રહેશે, તેવું ઈચ્છીએ.
આજે ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદરની બેઠકોની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, ત્યારે વિસાવદરમાં આમઆદમી પાર્ટીએ પહેલા બે રાઉન્ડમાં લીડ મેળવી અને તે પછીના રાઉન્ડમાં પાછળ રહી ગઈ હતી, જ્યારે કડીમાં ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ મોટી લીડ મેળવી લીધી હતી. વિધાનસભાની આ પેટા ચૂંટણીના પરિણામો રાજ્યની રાજનીતિ પર વ્યાપક અસર કરશે તેમ જણાય છે.
આજે સવારથી મતગણતરી શરૂ થઈ, ત્યારથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા આગળ હતા, પરંતુ ત્રીજા રાઉન્ડમાં ભાજપના કિરીટ પટેલે લીડ લીધી હતી, પરંતુ બે-ત્રણ રાઉન્ડ પછી રસાકસી વધુ તિવ્ર બની હતી અને ૧૦ રાઉન્ડના અંતે તો ગોપાલ ઈટાલીયાએ ચાર હજારથી વધુ મતોની લીડ મેળવી લીધી હતી, જે ભાજપ માટે ઝટકા સમાન હતું. અહીં કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં હોય તેમ જણાતું નહોતું અને નીતિન રાણપરીયા પહેલેથી જ પાછળ હતા, પરંતુ આમઆદમી પાર્ટીએ પહેલા ૧૦ માંથી ૬ રાઉન્ડમાં સરસાઈ મેળવી હતી, અને તે પછી આમઆદમી પાર્ટીની સરસાઈ વધતી રહી હતી. બીજી તરફ કડીમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો સતત પાછળ રહ્યા હતા અને ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સતત સરસાઈ મેળવતા હતા, તેઓ ૧૦ રાઉન્ડના અંતે પાંચ હજાર જેટલા મતે આગળ હતા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમઆદમી પાર્ટીના જગદીશ ચાવડા સતત પાછળ રહ્યા હતા.
આ પેટા ચૂંટણીનું પોસ્ટમોર્ટમ કરીએ, તો વિસાવદરમાં આ વખતે ભાજપને આંતરિક અસંતોષના કારણે પ્રારંભથી જ ફટકો પડયો હોય તેમ જણાતું હતું. આ પહેલા પણ કેશુબાપા પછી આ બેઠક પર વિપક્ષનું વર્ચસ્વ રહ્યું હતું, પરંતુ ભાજપે વિપક્ષના જીતેલા ઉમેદવારોના રાજીનામા અપાવીને પક્ષપલટાનો જે ખેલ રચ્યો હતો, તેમાં ધાર્યા મુજબની સફળતા મળી હોય તેમ લાગતું નથી.
૧૫-૧૬ રાઉન્ડ ગણાયા પછી વિસાવદરમાં ગોપાલ ઈટાલીયા અને કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની લીડ કપાય તેમ નહીં હોવાથી ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું, અને આ પરિણામો ભાજપ માટે આ વખતે પણ વિસાવદરમાં ઝટકા સમાન અને કડીમાં રાહતરૂપ રહ્યા હોય, ભલે રાજ્ય સરકારની બહુમતિને કોઈ મોટી અસર કરે તેમ નહીં હોવા છતાં આમઆદમી પાર્ટી માટે પ્રોત્સાહક છે, જ્યારે કોંગ્રેસને મનોમંથનનો સમય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. આજે હાલારમાં પણ ગામડાઓ તથા શહેરોમાં વિશ્વ યોગ દિન ના સંખ્યાબંધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આપણે જાણીએ જ છીએ કે આંતરરાષ્ટ્રીય યોગ દિનની વૈશ્વિક ઉજવણી શરૂ કરાવવામાં ભારતનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. જામનગરમાં પણ આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તળાવની પાળ સહિતના ઘણાં સ્થળોએ યોગદિન ઉજવાઈ રહ્યો છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ "યોગા ફોર વન અર્થ...વન હેલ્થ" છે. આ વિષય "એક પૃથ્વી....એક સ્વાસ્થ્ય" ના કોન્સ્ેપ્ટને પ્રોસ્તાહિત કરે છે. સંસાર સ્વસ્થતાથી ચાલે અને ટકાઉ ભવિષ્ય તથા મજબૂત બુનિયાદ સાથે જીવન વાસ્તવમાં સુખી બને તે માટે સમગ્ર વિશ્વ (પૃથ્વી)માં સ્વાસ્થ્યની સુરક્ષા માટે સહિયારા, સતત અને પરિણામલક્ષી પ્રયાસો થતા રહે, તે અત્યંત જરૂરી છે, અને તેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા સહિતની વૈશ્વિક સંસ્થાઓ આજે જે રીતે યોગદિવસ ઉજવી રહી છે, તેમ જ દુનિયાના મહત્તમ દેશોમાં એક સાથે યોગાભ્યાસ થઈ રહ્યો છે, તે ભારત માટે ગૌરવની વાત છે, અને વિશ્વકલ્યાણની દિશામાં આખી દુનિયાનું સહિયારૂ આવકારદાયક કદમ છે.
આ થીમ માત્ર જીવસૃષ્ટિના સ્વાસ્થ્યનો સંદેશ નથી આપતું, પરંતુ આપણે જે ગ્રહ પર રહીએ છીએ, તે પૃથ્વીના સ્વાસ્થ્યનો પણ સંદેશ આપે છે. આપણું સમગ્ર જીવસૃષ્ટિનું અને પૃથ્વીનું સ્વાસ્થ્ય પરસ્પર સંકળાયેલું છે, અને તેની સુરક્ષા માટે હવે માનવીએ (આપણે) જાગવાની જરૂર છે, પરંતુ એ માટે વાસ્તવમાં આપણે જાગૃત છીએ ખરા ?
યોગાભ્યાસ આપણાં શારીરિક, માનસિક અને સામૂહિક સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી છે. વર્ષ ૨૦૧૪માં યુનોએ દર વર્ષે ૨૧ મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની જાહેરાત કરી, ત્યારથી આપણે દર વર્ષે આ ઉજવણી કરતા રહ્યા છીએ, અને હવે દશ વર્ષ થયા હોવાથી એક વૈશ્વિક સર્વે કરવાની જરૂર છે, કે આ ઉજવણીના કારણે માનવજીવન, સ્વાસ્થ્ય અને વૈશ્વિક સુખ-શાંતિમાં કેટલો વધારો થયો છે ?
ભારતમાં આ વર્ષે યોગસંગમ સહિત ૧૦ (દસ) જેટલા મુખ્ય કાર્યક્રમોનું આયોજન કર્યું છે. માનવી, જીવસૃષ્ટિ અને પૃથ્વીના સ્વાસ્થ્યને સાંકળીને વૈશ્વિક જનજાગૃતિ ફેલાવવા તરફ આ એક ઉપયોગી કદમ છે.
યોગાભ્યાસ પછી યોગાને જીવનનો હિસ્સો બનાવવો જરૂરી છે. યોગાની શારીરિક, માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે હવે યોગશિક્ષણનો વ્યાપ વધતા તે આર્થિક ઉપાર્જનનું, રાજગારીનું માધ્યમ પણ બન્યું છે, તે ઉપરાંત આધ્યાત્મિક ઉત્થાન, માનસિક સુદૃઢતા, ભાવનાત્મક લોકકલ્યાણ, પરિણામલક્ષી વિશ્વસનિય ચિકિત્સાના વ્યાપમાં વધારો, સુદૃઢ આત્મબળ ઉપરાંત માનવકલ્યાણ સાથે પર્યાવરણીય સુરક્ષા અને સામાજિક સદ્ભાવ જેવી અનેક ફલશ્રુતિઓનું માધ્યમ પણ બન્યું છે.
આજે યોગ સંગમ, યોગાસનો, યોગાભ્યાસ, યોગબંધન, યોગ પાર્ક, યોગ અનપ્લગ્ડ તથા યોગ-પ્રદર્શનો જેવા વિવિધાસભર કાર્યક્રમો દેશ-દુનિયામાં યોજાઈ રહ્યા છે, ત્યારે આવો, આપણે પણ તેમાં જોડાઈએ, અને યોગા ને રોજીંદી જીવનશૈલીનો હિસ્સો બનાવી લઈએ...
આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી વડનગરમાં થઈ રહી છે. આજે ૧૧મો યોગદિવસ યોગા ફોર વન અર્થ-વન હેલ્થની થીમ હેઠળ ઉજવાઈ રહેલો હોઈ ભૂજંગાસન મુદ્રામાં યોગા કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ સર્જવા જઈ રહ્યો છે.
ગુજરાતમાં ૧૮૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતો, ૨૫૦ થી વધુ તાલુકા પંચાયતો, પાલિકા-મહાનગરપાલિકાઓ, સરકારી વિભાગો, નિગમો-કાર્પોરેશનો, રાજ્યની ૪૫૦૦૦ પ્રાથમિક શાળાઓ, ૧૨૦૦૦ થી વધુ હાઈસ્કૂલો, ૨૫૦૦ થી વધુ કોલેજો, ૨૫૦ થી વધુ આઈટીઆઈ, ૧૫૦૦ જેટલા આરોગ્ય કેન્દ્રો, ૬૫૦૦ જેટલા વેલનેસ સેન્ટર, જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ, પોલીસ મથકો, જેલો, સામાજિક-સેવાભાવી સંસ્થાઓ, અને સરહદો પર સ્થિત સૈન્યમથકો થી માંડીને પહાડો, નદીઓ, ટાપુઓ, સમુદ્ર અને અમૃત સરોવરો સહિત ઠેર-ઠેર સામૂહિક યોગાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે આપણી વૈદિક સંસ્કૃતિની હેલ્થકેર તથા "સર્વમંગલ માંગલ્ય" ની વિભાવનાને ઉજાગર કરે છે.
આપણાં રાજ્ય અને દેશમાં યોગાદિવસની ઉજવણી થાય, તે સ્વાભાવિક છે, પરંતુ આજે આખી દુનિયામાં યોગાભ્યાસ થઈ રહ્યો છે, અને આજના એક દિવસ માટે નહીં, પરંતુ હવે તો વિશ્વના ઘણાં દેશોમાં કાયમી યોગાભ્યાસના વર્ગો તથા કેન્દ્રો પણ ધમધમવા લાગ્યા છે, જે આપણી વસુધૈવ કુટૂંબકમ્ ની સદ્ભાવનાને પણ ઉજાગર કરે છે.
યોગાભ્યાસ અને વ્યાયામ તંદુરસ્તી અને મન-દુરસ્તી માટે અત્યંત ઉપયોગી છે, અને આપણી ખાન-પાનની ગરબડો, અનિયમિત જીવનશૈલી તથા તનાવયુક્ત જિંદગીના કારણે ઉદ્ભવતા અનેક રોગોનો રામબાણ ઈલાજ પણ યોગા, આયુર્વેદ તથા મેડિટેશનના સંયોજનમાંથી મળી રહે છે.
ઘણાં લોકો ખાન-પાન, વ્યસનો તથા અનિયમિત કે અપ્રાકૃતિક જીવનશૈલીને છોડી શકતા નથી. પરંતુ તે દિશામાં પ્રયત્નો કરે છે, તેઓને યોગ, આયુર્વેદ, મેડિટેશન વગેરે ઉપચાર પદ્ધતિઓ તરફ વાળવા જોઈએ, તેવી એડવાઈઝ પણ અપાતી જ હોય છે.
સ્વાસ્થ્યની સારસંભાળ રાખવી અત્યંત જરૂરી છે, અને તેના ઉપાયો કરવાની સાથે-સાથે સંયમ અને નિયમપાલન પણ અત્યંત જરૂરી હોય છે. યોગા-મેડિટેશન-વ્યાયામ વગેરે કર્યા કરીએ, પરંતુ જો ખાન-પાનમાં ધ્યાન ન રાખીએ, કે નિયમ-સંયમ કે નિયમિતતાનું પાલન ન કરીએ, વ્યસનને ન છોડીએ, પુરતી ઊંઘ ન લઈએ કે ભાગદોડ ભરી જિંદગીમાં તન-મન પ્રત્યે ઉદાસિન રહેતા હોઈએ, તો યોગા-વ્યાયામ મેડિટેશન વગેરેનો પૂરેપૂરો ફાયદો થતો હોતો નથી, તેથી આ બધી બાબતોને સમન્વય કરીને આવો, આપણે સાથે મળીને આપણું, વિશ્વનું અને પૃથ્વીનું સ્વાસ્થ્ય વધુ ને વધુ સુદૃઢ બનાવીએ...
નોબત પરિવાર અને માઘવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો સહિત સૌ કોઈને આજે વિશ્વ યોગદિનની શુભેચ્છાઓ પાઠવે છે અને પૃથ્વી, પ્રકૃતિ તથા સમગ્ર જીવસૃષ્ટિના સુદૃઢ સ્વાસ્થ્યની શુભકામનાઓ વ્યક્ત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કમલ હસનની ફિલ્મ "ઠગલાઈફ" ને સુપ્રિમકોર્ટે લીલીઝંડી તો આપી, પરંતુ તેની સાથે સાથે કમલ હસનને કોઈની માફી માંગવાનું દબાણ ન કરી શકાય, તેવું વલણ લઈને કર્ણાટક હાઈકોર્ટના વલણ સામે પણ સવાલો ઊભા કર્યા, તે જોતા અભિવ્યક્તિની આઝાદી અને કલા નિર્દેશનને દાદાગીરી, ધમકીઓ કે લોકલાગણી દુભાવવાના બહાને અટકાવી શકાય નહીં, તેવો દૂરગામી સંદેશ પણ આપી દીધો, એ કારણે આપણા દેશમાં અવાર-નવાર કોઈને કોઈ ફિલ્મ, નાટક કે અન્ય કલાનિદર્શન સામે વિરોધ કરવા માટે હિંસક અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ કે હરકતો થતી રહેતી હોય છે, તેની સામે રક્ષણ મળશે. સિનેમાઘરો કે ફિલ્મ સ્ટુડિયોમાં તોડફોડ કરવી, આગજની કરવી અને કલાકારો કે નિર્માતાઓને ધાક-ધમકી આપીને કાયદો હાથમાં લેવાની અવાર-નવાર થતી હરકતો સામે સુપ્રિમકોર્ટે લાલબત્તી ધરી છે, એટલું જ નહીં કોઈપણ રાજ્યની હાઈકોર્ટ કે રાજ્ય સરકાર પણ આ પ્રકારની હરકતો અટકાવવાના બદલે લોકલાગણીઓને ધ્યાનમાં લઈને કોઈપણ વ્યકિત કે કલાકારને માફી માંગવાની સલાહો આપે, કે પછી નિદર્શન પર પ્રતિબંધો મૂકવાના સરકારી કદમને યથાર્થ ઠરાવાય, તેની સામે પણ સખ્ત નારાજગી દર્શાવી છે અને ઉક્ત મામલામાં કર્ણાટક સરકારનો જવાબ પણ માંગ્યો છે. સુપ્રિમકોર્ટના આ નિર્દેશો દેશવ્યાપી અને દૂરગામી અસરો ઊભી કરવાના છે.
આપણા દેશમાં લોકલાગણીઓનું પણ મહત્ત્વ છે અને કોઈની પણ લાગણી દુભાતી હોય તો તેની સામે કાનૂની ધોરણે પગલાં લેવા જોઈએ, પરંતુ જેને વાંધો હોય, તેવા લોકો ટોળાબંધી કરીને કાયદો હાથમાં લઈ લ્યે, અને કોઈપણ પ્રકારના હૂમલા કે હિંસા કરે, ધાક-ધમકી આપે કે તોડફોડ, આગજની કરે તો, તે અન્ય નાગરિકોના બંધારણીય હક્કોનું હનન ગણાય, અને તે કોઈપણ રીતે સ્વીકૃત નથી, તેવી સુપ્રિમકોર્ટની સ્પષ્ટ ટિપ્પણી કર્ણાટક સરકાર માટે ચાબુક જેવી પૂરવાર થઈ હશે.
આપણો દેશ સહિયારા અસ્તિત્વ અને સમભાવના સંસ્કારો ધરાવતો હોવાથી લોકલાગણીઓ અને બંધારણીય જોગવાઈઓ વચ્ચે સમન્વય અને સમતુલન જાળવવું અત્યંત જરૃરી હોય છે. લોકોની જ સુવિધા માટે થતા વિકાસના કામો માટે બંધારણીય જોગવાઈઓ મુજબ જયારે જ્યારે કોઈની ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવે, ત્યારે ત્યારે જેની જમીન કે ખાનગી મિલકત સંપાદન કરવામાં આવે, તેઓની પ્રવર્તમાન સ્થિતિ, તેઓના બંધારણીય હક્કો અને સંલગ્ન ધારા-ધોરણો તથા નીતિ નિયમોનું પાલન થવું પણ એટલું જ જરૃરી હોય છે. બીજી તરફ જો સરકારી જમીન પર દબાણ થયેલા હોય, તો તેને હટાવવાનો તંત્રોનો અધિકાર વાપરતી વખતે પણ માનવીય અને નૈતિક દૃષ્ટિએ વિચારતું હોય છે. પરંતુ અવાર નવાર નોટીસો અને કાનૂની કાર્યવાહીને પણ દાદ ન દેતા હોય તેવા ચંડોલા તળાવ ફેઈમ જમીન માફિયાઓ કે ડોન-દબંગો સામે અત્યંત કડક કદમ ઉઠાવવા પણ પડતા હોય છે., આમ, સંવેદના, સહાનુભૂતિ, સમતુલન અને સમજદારી સાથે કદમ ઉઠાવવું જોઈએ, જેથી અસલ ઉદૃેશ્ય પણ સિદ્ધ થઈ જાય, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને વિકાસપ્રક્રિયા પણ વિના વિરોધે અથવા વિના અવરોધે ચાલતા રહે...
આવો જ એક અદાલતી ચૂકાદો આજે જામનગરમાં "ટોક ઓફ ધ ટાઉન" બન્યો છે. તાજેતરમાં ડી.પી. કપાતને લઈને થયેલા ડિમોલિશનના મુદૃે હાઈકોર્ટે કરેલો આદેશ આજે જામનગરમાં તો ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટના આ નિર્દેશો રાજવ્યાપી અસરો ઊભી કરનારા છે.
જામનગર મનપાએ પૂરેપૂરી પ્રક્રિયાને અનુસરીને ૧૨ મીટરના ડીપી રોડ કાઢવા ડિમોલિશન કર્યું, પરંતુ હવે હાઈકોર્ટ આ મુદ્દે ૫૩ અસરગ્રસ્ત અરજદારોને જીપીએમસીના કાયદા મુજબ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો આવ્યા પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે જામનગર મનપાને આ વળતર ચૂકવવું મોંઘું પડી જવાનું છે, કારણ કે આ ડિમોલિશનમાં ૩૩૧ બાંધકામો તૂટ્યા હોવાથી હવે જંગી રકમનું વળતર ચૂકવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવું કહેવાય છે કે ૨૦૦ જેટલા અસરગ્રસ્તોએ તો વળતર માટે ગઈકાલ સુધીમાં અરજીઓ પણ કરી દીધી છે.
ગુજરાત હાઈકોર્ટ જીપીએમસી એટલે કે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ એકટની કલમ-૨૧૬ હેઠળ અસરગ્રસ્ત અરજદારોને મળવાપાત્ર વળતર ચૂકવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો પછી અદાલતના આદેશનો વિગતવાર અભ્યાસ ઉભય પક્ષે થઈ રહ્યો હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ એકટ-૧૯૪૯ના એકસઆઈવી ચેપ્ટરમાં કલમ-૨૦૨થી મ્યુનિસિપાલિટી દ્વારા રસ્તાઓના વિકાસ માટે જમીન કે મિલકત સંપાદનની સમગ્ર પ્રક્રિયાઓની જોગવાઈઓ છે.
આ જોગવાઈઓમાં કલમ ૨૧૬ હેઠળ વળતરનો હૂકમ હાઈકોર્ટે કર્યો હોવાથી તેના તરફ સૌનું ધ્યાન ખેંચાયુ છે.
અહીં એક એવું સૂચન પણ થઈ રહ્યું છે કે આ પ્રકારના ડિમોલિશન પહેલા નોટીસો આપવાની શરૃઆત થાય, ત્યારે જ સંબંધિત ખાનગી જગ્યા-મિલકતનું નિયમાનુસાર વળતર આપવાની કામની કાર્યવાહી પણ એડવાન્સમાં થઈ જવી જોઈએ, અને વળતર પણ ડિમોલિશન પહેલા જ અપાઈ જાય, તો પોતાની જમીન-મિલકત વિકાસ કે લોકહિત માટે સરકારની નિયમો મૂજબ સુપ્રત કરતા તેના માલિકો માટે સુગમ રહે અને નિરર્થક વિવાદ પણ ઘટી જાય, વિચારવા જેવું ખરૃં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જૂના જમાનામાં ગામડાઓમાં જાન જતી હતી. એક શણગારેલા ગાડામાં વરરાજો આગળ બેસે, તેની પાછળ લુણગૌરી હોય, અને ગીત ગાતી બહેનો તેની પાછળ બેસે. બીજા જાનૈયાઓ બીજા ગાડાઓમાં બેસે, અને બળદગાડામાં જાન ઉતારે પહોંચે, અને સામૈયા થયા પછી માંડવે જાય, એવા દૃર્શ્યો અત્યારના બુઝુર્ગોએ જોયા જ હશે. હજુ પણ આ પરંપરા કેટલાક વિસ્તારોમાં નિભાવાઈ રહી છે.
ગુજરાતમાં તે સમયે એક કહેવત પ્રચલીત થઈ હતી, જે આજે પણ વ્યંગાત્મક ટકોર કરવા માટે વપરાય છે...તેના સંદર્ભે એક દૃશ્ય વર્ણવવામાં આવે છે. ગાડામાં જતી જાનની પાછળ એક મહિલા દોડી રહી હોય અને તેને પુછતા તે જવાબ આપે કે "જાનમાં કોઈ જાણે નહીં, ને હું વર ની ફોઈ, જાનમાં કોઈ બેસાડે નહીં ને હું દોડી દોડી મૂઈ".
આ કહેવત અત્યારે વૈશ્વિક રાજનીતિમાં આબેહૂબ લાગુ પડે છે., તાજેતરમાં જ જી-૭ ની બેઠક યોજાઈ. આ જી-૭ ની બેઠક મૂળ તો સાત સમૃદ્ધ દેશોનું સંગઠન છે, જે પહેલા ૮ દેશોનું હતું અને તેને જી-૮ કહેવામાં આવતું હતું, પરંતુ રશિયા આક્રમણકારનો આક્ષેપ મૂકીને હટાવી દેવાયા પછી, તે સંગઠન જી-૭ તરીકે ઓળખાય છે. આ સાત દેશોના સમૂહની નિયત સમયાંતરે બેઠક યોજાય, ત્યારે અન્ય દેશોના વડાઓને આમંત્રિત તરીકે બોલાવવામાં આવતા હોય છે. આ વર્ષે આ બેઠક કેનેડામાં યોજાઈ હતી, અને તેમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અધવચ્ચેથી અમેરિકા પરત જવા નીકળી ગયા હતા.
હમણાંથી કેનેડાના પૂર્વ વડાપ્રધાન ટ્રુડોની ભારતવિરોધી નીતિના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હોવાથી જી-૭માં ભારતને આમંત્રણ મળ્યું નહીં.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંગઠનના આમંત્રિત સભ્ય તરીકે ઉપસ્થિત રહેતા હોવા છતાં પ્રારંભમાં યજમાન દેશ કેનેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું નહોતું, તે સમયે "જાનમાં કોઈ જાણે નહીં" વાળી તળપદી કહેવત સુસંગત જણાવાઈ હતી. જો કે, તે પછી વડાપ્રધાનને આમંત્રણ મળ્યું, અને તેઓ આ બેઠકમાં હાજરી આપવા ગયા, ત્યારે તે પહેલા જ ટ્રમ્પ અમેરિકા પાછા ચાલ્યા ગયા, તે સમયે પણ આ જ તળપદી કહેવત બંધબેસતી હોવાની ટિપ્પણીઓ ચર્ચાઈ હતી, અને ટ્રમ્પની પણ ટીકા થઈ હતી.
તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ૩૫ મિનિટની જે વાત થઈ, તેની માહિતી આપણા દેશના વિદેશ સચિવ મિસરીએ આપી, જેમાં એવું કહ્યું છે કે પી.એમ. મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ કહી દીધું કે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ માત્ર પાકિસ્તાનની વિનંતીથી રોકાયું હતું અને તેમાં કોઈની મધ્યસ્થી નથી, કે વ્યાપારની પણ કોઈ વાત થઈ જ નથી, ભારતે ક્યારેય ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારી નથી કે સ્વીકારશે પણ નહીં...ભારત પાકિસ્તાન પ્રેરિત હવે પછીની કોઈપણ આતંકી ઘટનાને યુદ્ધ ગણીને જ વળતો પ્રહાર કરશે, અને ગોળી નો જવાબ ગોળાથી દેશે, વગેરે....વગેરે....
વિદેશ સચિવ મિસરીએ આપેલી આ વિગતોને હજુ ૨૪ કલાક પણ વિત્યા નથી, ત્યાં ટ્રમ્પે ફરીથી એવો દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાન-ભારતનું યુદ્ધ અટકાવ્યું હતું, તેમણે એમ પણ કહ્યું કે "આઈ લવ પાકિસ્તાન".
તેમણે પી.એમ.મોદીને શાનદાર વ્યક્તિ ગણાવીને ડબલ ઢોલકી વગાડી, તેની સાથે સાથે એમ પણ કહ્યું કે અમેરિકા અને ભારત ટૂંક સમયમાં વ્યાપાર સમજૂતિ કરશે. આ પ્રકારે બે દેશોના સર્વોચ્ચ નેતાઓના વિરોધાભાસી નિવેદનો પછી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં સવાલ ઉઠ્યો કે, કૌન સચ્ચા, કૌન જુઠ્ઠા ?
ભારતના વિપક્ષોએ પણ મોટાભાગે સમતુલિત પ્રત્યાઘાતો આપ્યા. એવું કહેવામાં આવ્યું કે, આપણે તો આપણા વિદેશ સચિવની વાત માની ને વડાપ્રધાને ટ્રમ્પને જે કહ્યું હોય, તેને જ સત્ય માનવું જોઈએ, પરંતુ આ ઘટનાક્રમ મોદી સરકારની વિદેશનીતિ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને એકલું-અટુલું પાડીને પાઠ ભણાવવાની રાષ્ટ્રીય પોલિસીની નિષ્ફળતા તો દર્શાવે જ છે ને ? કોઈ બ્યુરોક્રેટ ના બદલે સ્વયં મોદી એ ફરીથી સ્પષ્ટપણે કહેવું જોઈએ કે ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રમ્પની કોઈ ભૂમિકા જ નથી, તેવી એડવાઈઝ પણ અપાઈ રહી છે.
ગઈકાલે ટ્રમ્પે જે ફરીથી કહ્યું તેમાં ભારતના વડાપ્રધાનને આતંકવાદને પોષનારા પાકિસ્તાનના સેનાધ્યક્ષ અસીફ મુનિર સાથે સરખાવ્યા, ત્યારે ઘણાં વિશ્લેષકોને ટ્રમ્પ પરિવારની પાકિસ્તાનમાં ગ્લોબલ ક્રિપ્ટો સેન્ટર તથા અન્ય બિઝનેસની ભાગીદારીની વહેતી થયેલી વાતોમાં પણ તથ્ય જણાયુ, અને તેની સાથે જ ટ્રમ્પ-મુનિરની બંધબારણે ડિનર ડિપ્લોમસી પાછળનું રહસ્ય પણ પ્રકાશમાં આવ્યું હોવાના દાવાઓ થયા. તે પછી આજે આ સંદર્ભે જે અહેવાલો આવી રહ્યા છે, તે પણ ચોંકાવનારા જ ગણાય ને ?
હકીકતે, ભારત-પાકિસ્તાન સહિત યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે યુદ્ધ રોકવાનો દાવો કરતા ટ્રમ્પ વાસ્તવમાં માત્ર નિવેદનબાજી કરતા હોય તેવું લાગે છે અને વિશ્વમાં ચાલતુ એક પણ યુદ્ધ તેઓ અટકાવી શક્યા નથી, તેવો દાવો પણ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો કરી રહ્યા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી બીજી વખત જીત્યા, તે પહેલા તેમણે હુંકાર કર્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ બનશે, તો થોડા જ સમયમાં રશિયા-યુક્રેન યુદ્ધને થંભાવી દેશે. તે પછી તેમણે કરેલા તમામ પ્રયાસો વિફળ રહ્યા....એ જ રીતે વડાપ્રધાન મોદીએ પણ એ યુદ્ધ થંભાવવાના પ્રયાસો કર્યા હતા, જે સફળ રહ્યા નહોતા, પરંતુ ટ્રમ્પ છાતી ઠોકીને જે દાવો કરતા હતા, તે ડંફાસો પૂરવાર થઈ હતી, તેથી હવે ટ્રમ્પના નિવેદનોને કોઈ ગંભીર ગણતુ નથી. ઈઝરાયલ દ્વારા ગાઝાપટ્ટી પર હૂમલાઓ થયા પછી તેમાં હસ્તક્ષેપનો ટ્રમ્પનો પ્રયાસ સફળ રહ્યો નહીં. ઈઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઈરાનને અનેક ધમકીઓ ટ્રમ્પે આપી, પરંતુ ઈરાનના સુપ્રિમ લીડરે આ લખાય છે, ત્યાં સુધી તો મચક આપી જ નથી. વારંવાર બોલીને ફરી જતા, ગોળ-ગોળ વાતો કરતા રહેતા અને ડંફાસો હાંકતા રહેતા નેતાઓની વિશ્વસનિયતા તો રહેતી જ નથી, અને લોકપ્રિયતા પણ ક્રમશઃ ઘટતી જતી હોય છે. ટ્રમ્પ જેવા તમામ નેતાઓ માટે ગુજરાતની તળપદી કહેવત "જાનમાં કોઈ જાણે નહીં, ને હું વરની ફોઈ"...એ આબેહૂબ લાગુ પડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, તે પછી ઘણાં બધા વિમાનોમાં ખામી નીકળી, બીજુ બ્લેકબોકસ મળ્યું, જી-૭ની બેઠકમાંથી ટ્રમ્પ અધવચ્ચેથી પરત ફરતા કંઈક મોટું કદમ ઉઠાવશે, તેવી સંભાવના તથા ગુજરાતમાં વરસી રહેલા વરસાદના અહેવાલો વચ્ચે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની આપણા જનજીવન પર કેવી અસરો પડશે, અને ભારતની રણનીતિ શું હશે, તેની આજે ચર્ચા થઈ રહી છે.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વિસ્તરે, તો ઈરાનનું ન્યુક્લિયર સ્ટેટ બનવાનું સપનું અધુરૂ રહી જાય, કે ઈઝરાયલને પણ મોટું નુકસાન થાય, એ અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ એ કારણે ઈરાનનો ટ્રેડ ભાંગી પડે, નિકાસ અટકી જાય અને સપ્લાઈ ચેન તૂટી જાય, તો ક્રૂડના ભાવ વધે, અને તેના કારણે તમામ પેટ્રોલિયમ પેદાશો મોંંઘી થઈ જાય, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાવેલીંગ મોંઘું થઈ જાય, જેથી વૈશ્વિક કક્ષાએ મોંઘવારી વધે, જેની અસરો આપની ભારતીય માર્કેટ પર પણ થાય અને મોંઘવારી ફાટી નીકળે, તેવા તારણો નીકળી રહ્યા છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વકરે તો વૈશ્વિક રાજકારણના સમીકરણો પણ બદલી જાય અને તેમાં ભારતના સંબંધો ઈઝરાયલ તથા ઈરાન સાથે સારા હોવાથી ભારતની ભૂમિકાને લઈને પણ વિવિધ પ્રકારના અનુમાનો થઈ રહ્યા છે.
આજે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે અને સાંજ સુધીમાં ટ્રમ્પ દ્વારા કોઈ મોટું કદમ ઉઠાવાય તેવા સંકેતોના કારણે આખી દુનિયામાં વિસ્મય સાથે ચિંતા વ્યાપી ગઈ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલે તો તેની પરોક્ષ અસરો ભારત સહિત આખી દુનિયાને થાય તેમ છે.
જો કે, જી-૭ ની બેઠકમાં કેનેડાના નવા વડાપ્રધાનનું વલણ જોતા ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો ફરીથી પૂર્વવત થઈ જાય અને બન્ને દેશોમાં હાઈકમિશ્નરોની કચેરીઓ પુનઃ પહેલાની જેમ જ ધમધમતી થાય, તેવી ઉજળી સંભાવનાઓ સાથે દ્વિપક્ષીય સંબંધો સુધરતા તેની હકારાત્મક અસરો પણ બંને દેશોના પરંપરાગત અને કોમર્શિયલ તથા એજ્યુકેશનલ વ્યવહારો પર પડશે, તે નક્કી જણાય છે. ભારત અને કેનેડાએ બન્ને દેશોમાં પોતપોતાના રાજદૂતોની પુનઃ નિમણૂક કરવાનું જાહેર કરતા ગુજરાત અને પંજાબ જેવા ભારતીય ક્ષેત્રોના લોકોમાં ખુશી વ્યાપી ગઈ હશે, કારણ કે, ભારતના કેટલાક રાજ્યોના લોકો કેનેડામાં વસવાટ કરે છે, જ્યારે ઘણાં વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસાર્થે જતા હોય છે. તે ઉપરાંત ભારત અને કેનેડા વચ્ચે વ્યાપારિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ ઘનિષ્ઠ રહ્યું છે. આ પહેલાના કેનેડાના વડાપ્રધાન વોટબેંકની રાજનીતિના પ્રભાવ હેઠળ ભારત વિરોધી પરિબળોને પ્રોત્સાહિત કરતા હોવાથી ભારત અને કેનેડાના સંબંધો ખૂબજ બગડી ગયા હતા. હવે નવા વડાપ્રધાન માર્ક કાર્નીના બદલેલા વલણો તથા ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો પૂર્વવત કરવાની તત્પરતા જોતા ભારત અને કેનેડા પહેલાની જેમ જ મિત્રદેશો બની જશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
ભારતના વિદેશ સચિવે તો બંને દેશોમાં હાઈકમિશ્નરોની નિયુક્તિ ઉપરાંત ટ્રેડટોક એટલે કે વ્યાપારક્ષેત્રની વાટાઘાટો ફરીથી ઝડપભેર શરૂ કરવાના સંકેતો પણ આપ્યા છે. આ અહેવાલોએ ભારતના ઘણાં રાજયોના લોકોમાં નવી આશાનો સંચાર પણ કર્યો છે.
એ ઉપરાંત કેનેડાથી વહેલા અમેરિકા તરફ નીકળી ગયેલા અમેરિકાના રાપ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચ્યા, તે દરમ્યાન લગભગ ૩૫ મિનિટ સુધી વિસ્તારપૂર્વક જે કાંઈ વાતચીત કરી, તેની વિગતો પણ ભારતના વિદેશ સચિવે આજે જાહેર કરી છે, અને આ ટેલિફોનિક વાતચીત આજે "ટોક ઓફ ધી ગ્લોબ" બની છે.
બંને સર્વોચ્ચ નેતાઓ વચ્ચે ઓપરેશન સિંદૂર અને તે પછીના ઘટનાક્રમો, રશિયા-યુક્રેન યુદ્ધ, ઈઝરાયલ-ઈરાન યુદ્ધ તથા અન્ય ઘણી બધી વાતો થઈ અને કેનેડાથી અમેરિકાની મુલાકાત લેવાના ટ્રમ્પના પ્રસ્તાવ પ્રત્યે અસમર્થતા વ્યક્ત કરી નજીકના ભવિષ્યમાં મૂલાકાત ગોઠવવાની બંને નેતાઓની તૈયારી તથા કવોડની મિટિંગ સંદર્ભે ભારતના પ્રવાસે આવવા ટ્રમ્પને મોદીએ આપેલા આમંત્રણનો સ્વીકાર, વગેરે અંગે વિદેશ સચિવે આપેલી વિગતો પછી આ ટેલિફોનિક ચર્ચા ગ્લોબલ ઈસ્યુ બની રહી છે અને સાંપ્રત વૈશ્વિક તંગદિલી તથા આતંકવાદ સામે સહિયારી લડતના સંદર્ભે તેના વ્યાપક પ્રત્યાઘાતો પણ પડવા લાગ્યા છે. ખાસ કરીને હવે પાકિસ્તાન પ્રત્યેના અમેરિકાના (ટ્રમ્પના) કૂણા વલણમાં કાંઈ ફેર પડશે કે પછી દરરોજ વલણ બદલતા રહેતા ટ્રમ્પ પલટી મારીને બેવડા ધોરણો અપનાવશે, તે જોવું રહ્યું...
એક તરફ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરે છે, તો બીજી તરફ પહેલેથી મીડિયામાં થતી ચર્ચા મુજબ અમેરિકાના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના સૈન્ય વડા આસીફ મુનિર સાથે આજે જ અમેરિકાના રાષ્ટ્રપતિ લંચ કરવાના છે. શું આ અમેરિકાના બેવડા ધોરણો નથી ? જો ટ્રમ્પ કોઈ અન્ય દેશના પોતાને સમકક્ષ એટલે કે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના બદલે ત્યાંના સેનાધ્યક્ષ સાથે પોતાની જ કેબિનેટ કેબિનમાં લંચ કરે, તો તે પાકિસ્તાન માટે ગૌરવ ગણાય કે તે દેશના વડાઓનું અપમાન ગણાય, તે પાકિસ્તાન જાણે, પરંતુ પ્રોટોકોલની દ્રષ્ટિએ ટ્રમ્પ માટે તો યોગ્ય ન જ ગણાય, તેવી ચર્ચા પણ અમેરિકામાં થવા લાગી હતી. જો કે, આ લંચ હકીકતે થશે કે પછી પબ્લિસિટી સ્ટંટ જ છે, તે આજે જ ખબર પડશે.
જો અમેરિકાના રાષ્ટ્રપતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું હોય કે ભારત આતંકવાદ સામે ઝુકશે નહીં, ઓપરેશન સિંદૂર હજુ પૂરૃં થયું નથી, અને હવે આતંકી હૂમલાને ભારત યુદ્ધ ગણીને જ વળતો પ્રહાર કરશે, એટલું જ નહીં ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામમાં કોઈની મધ્યસ્થી નહોતી, તો તે ભારતીય સાર્વભૌમત્વ તથા એક લોકતાંત્રિક દેશની ગરિમા માટે યોગ્ય ગણાય, પરંતુ ભારતના વિદેશ સચિવે કરેલા આ દાવાઓનો જવાબ ટ્રમ્પ પ્રશાસન અને પાકિસ્તાન કેવી રીતે આપે છે તે જોવું રહ્યું...
એક વાત વિચારવા જેવી છે કે ઈરાનના વર્તમાન શાસકોને આતંકવાદના પ્રેરક ગણવતું અમેરિકા પાકિસ્તાનને પંપાળે, તેની પાછળનું રહસ્ય શું છે ? ટ્રમ્પના સગા-સંબંધી કે પરિવારના વ્યાપારિક હિતો કારણભૂત છે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં ગઈકાલે ઝમાઝમ વરસાદ પડ્યો અને બાળકો આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, જેવો કિલ્લોલ કરતા કરતા પહેલા વરસાદમાં પલળવાનો લહાવો લેતા જોવા મળ્યા. પ્રથમ વખત મેઘાના મસ્ત માહોલમાં વરસાદથી પલળવાની મજાની સાથે સાથે મોટેરાઓ પણ ભીની માટીની મીઠી મહેંક માણતા જોવા મળ્યા, જ્યારે જગતનો તાત ધરતીમાંથી અન્ન સ્વરૂપી સોનુ ઉગાડવા વાવણીની તૈયારીમાં લાગી ગયો...ચો તરફ ઠંડક પ્રસરી અને માહોલમાં પ્રસન્નતા વ્યાપી ગઈ.
જો કે, કેટલાક સ્થળે જલભરાવ થયો, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ તો તલગાજરડા જેવા ગામમાં શાળાના બાળકો પૂરના પાણીમાં સપડાઈ જતા તંત્ર દ્વારા ખાસ રેસ્ક્યુ કરાયું, તો કેટલાક સ્થળે પરિવહન ખોરવાયુ અને જનજીવન પર વિપરીત અસર પણ પડી, ઘણાં સ્થળે વિકટ પરિસ્થિતિ પણ સર્જાઈ.
ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેઠું અને આ વરસાદે આહ્લાદક ઠંડક આપી, અબાલવૃદ્ધ, તમામ વયજૂથના તથા તમામ વર્ગના લોકોને આ વરસાદે આનંદિત તો કરી જ દીધાં છે...હવે, આ ઠંડક જળવાઈ રહે અને સંતોષકારક વરસાદ સમયસર પડતો રહે તેવું ઈચ્છીએ.
હવામાન વિભાગે પણ આજથી ત્રણ દિવસ માટે ભારે થી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે., ગઈકાલે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલોએ જન-જનમાં ખુશીની લહેર દોડાવી દીધી છે., જ્યારે આજે પણ ઘણાં વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યવ્યાપી વરસાદ પડ્યો અને કેટલાક સ્થળે તો ૧૦ થી ૧૧ ઈંચ જેવો વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી. જામનગરમાં પણ ગઈકાલે રાત્રે ઝરમરીયો વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી ગઈ હતી. આજે પણ વાદળછાયું વાતાવરણ છે. હાલારમાં ઘણાં સ્થળે મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા બે દિવસમાં શ્રીકાર વરસાદ પડ્યો છે.
ગઈકાલે હાલાર, ઝાલાવાડ, ગીર, સોરઠ, ગોહિલવાડ એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હોવાથી રાજ્યમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો. જો કે, કેટલાક સ્થળે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી, તો કેટલાક શહેરોમાં થોડાક વરસાદમાં પણ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. કેટલાક સ્થળે પૂરમાં ફસાયેલા લોકો તથા પશુઓનું રેસ્ક્યુ પણ કરાયું હતું. તથા કિસાનો માટે અમૃતવર્ષા લઈને આવ્યો છે, અને વરસાદ આવતો હોય તો કેટલીક તકલીફો વેઠવા લોકો તૈયાર હોય છે.
ઘણાં સ્થળે ભારે વરસાદ થતા પરિવહન ખોરવાઈ જતા લોકોને હાલાકી પણ પડી રહી છે. કેટલાક સ્થળે થાંભલા અને વૃક્ષો ધરાશયી થઈ જતા પણ જનજીવન પ્રભાવિત થયું હતું. લોકો આ તમામ મુશ્કેલીઓથી ટેવાઈ ગયેલા છે અને પગાર લઈને પોતાની ફરજો બજાવતા તંત્રો પબ્લિસિટી કરીને તાગડધિન્ના કરી રહ્યા છે. ઘણી નદીઓમાં ભારે પૂર આવતા વિકટ સ્થિતિ પણ ઊભી થઈ ગઈ છે.
જો કે, ૧૨મી જૂને અમદાવાદમાં થયેલી ગમખ્વાર વિમાન દુર્ઘટના અને સ્વ. વિજયભાઈ રૂપાણીના નિધનનો આઘાત ખમી જઈને લોકો મોન્સુન અથવા ચોમાસાના પડઘમ એવા વરસાદને વધાવી રહ્યા છે, અને સદ્ગતની સ્મૃતિઓને સાંકળીને જીવનમાં આગળ વધવાની હિંમત દાખવી રહ્યા છે. કુદરતની ઘટમાળને સ્વીકારીને તથા ફરીથી આવી ગમખ્વાર દુર્ઘટના ન બને તેવી તકેદારીની તરફદારી કરીને લોકો હાવે એ ગોઝારી દુર્ઘટના થવાના સાચા કારણો બહાર આવે, અને સિસ્ટમ ધરમૂળથી સુધરે, તેવું ઈચ્છી રહ્યા છે. બીજી તરફ છેલ્લા બે દિવસમાં એર ઈન્ડિયાની બે-ત્રણ ફ્લાઈટો ટેકનિકલ ખામીના કારણે રદ કે લેઈટ થઈ છે. આજે પણ કોલકાતામાં એવું જ થયું છે.
આ વખતે ચોમાસુ વહેલું બેસી જશે, એવી આગાહીઓ તથા વચ્ચે ચોમાસુ અટવાયુ હોવાના કારણે જે અનિશ્ચિતતાઓ ઊભી થઈ હતી, તે હવે સમાપ્ત થઈ ગઈ છે અને ચારેબાજુથી વરસતા વરસાદના સમાચારો આવી રહ્યા છે., અને કેટલાક સ્થળે ભારે વરસાદના કારણે વિકટ સ્થિતિના અકળાવનારા અહેવાલો પણ આવી રહ્યા છે. હવામાન ખાતાએ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી હોવાની વિધિવત જાહેરાત કર્યા પછી તંત્રો હવે પ્રિ-મોન્સુનની માનસિકતામાંથી બહાર આવીને વાસ્તવિકતાનો સામનો કરે અને ભૂલો સુધારે, તે જરૂરી છે.
નૈઋત્યનું ચોમાસુ આ વખતે વહેલું આવ્યું અને મુંબઈમાં ૨૬મી મે ના આગમન પછી ત્યાં જ અટવાઈ ગયું હતું, પરંતુ હવે ચોમાસાએ ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હવોના અહેવાલો પણ લોકોના દિલોદિમાગ અને તન-મનને ઠંડક પહોંચાડી રહ્યા છે. દક્ષિણ ગુજરાત પર જ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું અને લો-પ્રેશર ના કારણે વરસાદની ગઈકાલની હવામાન ખાતાની આગાહી યથાર્થ ઠરી છે, અને આ સિસ્ટમ હવે પવન અને ગાજવીજ સાથે ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદના સોહામણા સંજોગો સર્જાયા છે.
જામનગરમાં વરસાદનું પાણી લાખોટા તળાવમાં લાવતી કેનાલોની પૂરેપૂરી સફાઈ થઈ નથી, ગઈકાલ સુધી અનેક સ્થળે આ કેનાલોમાં ગંદકી જોવા મળી હોવાની ચર્ચા વચ્ચે સોશ્યલ મીડિયાના માધ્યમથી તમામ વીડિયો વાયરલ કરીને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલવાના અભિયાનની આહટ પણ સંભળાઈ હતી. વોર્ડ નં.૬ તો જાણે અણમાનીતો હોય, તેમ અહીંથી નીકળતી આ કેનાલોની સફાઈ તો ભાગ્યે જ થતી હોય છે, તેમાં પણ વામ્બે આવાસ પાછળ તથા યાદવનગરના વિસ્તારમાં તો પારાવાર ગંદકીનું સામ્રાજ્ય કાયમ માટે જોવા મળતું હોય છે., આ કેનાલો તથા ગટરો તો કચરાના ડમ્પીંગ પોઈન્ટ હોય, તેવા દૃશ્યો કાયમ માટે જોવા મળતા હોય છે. આ વિસ્તારોમાં તો સામા પ્રવાહે ચાલીને લોકોએ મહાનગરપાલિકામાં વિપક્ષને મજબૂત રાખવા માટે મહત્તમ વિપક્ષના કોર્પોરેટોને જનાદેશ આપ્યો હોવા છતાં તેઓ પણ આ વરવી વાસ્તવિકતાના મુદ્દે ચુપકીદી સેવી રહ્યા છે, અને બહુ બહુ તો એકાદ-બે નિવેદનો કે પ્રદર્શનો યોજીને ગૂપચુપ બેસી જાય છે, તે નવાઈની વાત છે. અહીંના મતદારોમાં એવી ચર્ચા થતી રહે છે કે શું શાસકો સાથે "સેટીંગ" કરવા સામા પ્રવાહે ચાલીને વિપક્ષને આપણે "સાહસિક" જનાદેશ આપ્યો હતો ?
માત્ર વોર્ડ નં.૬ જ નહીં, અન્ય વોર્ડ તથા વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે. અત્યારે પણ જો જુદા-જુદા વિસ્તારોમાં ઈજારેદારો મંથર ગતિથી પ્રિ-મોન્સુન કામગીરી કરી રહ્યા હોય તો કહી શકાય કે આગેવાન આંધળો તેનું કટક કૂવામાં !
"ચાર છાંટા પડે ને લાઈટ જાય" તેવી માન્યતા પણ ભાગ્યે જ ખોટી પડતી હોય છે. ગઈકાલે રાત્રે જામનગરમાં ઝરમરીયો વરસાદ શરૂ થતા જ ઘણાં વિસ્તારોમાં વીજપુરવઠો અવારનવાર ખોરવાઈ ગયો હતો. હાલારના બાકીના વિસ્તારોમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો વીજતંત્રની પોલ પણ ખોલે જ છે.
પ્રારંભિક વરસાદમાં જ જલભરાવની સમસ્યા ઊભી થાય, ગંદી ગટરો છલકાઈ જાય, નદી-નાળાં ચેકડેમો છલકાતા કોઈ સ્થળે લોકો ફસાઈ જાય, તો તેના રેસ્ક્યુ માટે કલાકો સુધી રાહ જોવી પડે, તેવી સ્થિતિ ઈચ્છનીય નથી, અને તેના કાયમી ઉકેલો શોધવા પડે. કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે હવે જિલ્લાવાર દેશવ્યાપી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પ્રોજેક્ટ અથવા પ્રબંધો કરવાની જાહેરાત કરી છે, તેથી આવતા ચોમાસા સુધીમાં પ્રિ-મોન્સુન કામગીરીનું સમર્યાદિત, પારદર્શક, અને પ્રામાણિક આયોજન થાય, અને તેમાં થતા કરપ્શન સામે કડક કદમ ઉઠાવાય, તેવું ઈચ્છીએ.!
ચોમાસાના રૂડા આગમનને વધાવીએ, અને મેઘાવી માહોલની મજા માણીએ, તથા પોતપોતાના વિસ્તારોમાં ઊભરાતી ગટરો, ઉકરડાઓવાળી કેનાલો, ગંદો જલભરાવ કે સ્વાસ્થ્યને હાનિકર્તા ગંદકી દેખાય, તો તેના વીડિયો ઉતારીને સોશ્યલ મીડિયાનો સદ્બુદ્ધિથી સદુપયોગ કરીએ...વેલકમ...મેઘરાજા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દિગ્ગજ નેતા દિવંગત વિજયભાઈ રૂપાણીની આજે રાજકોટમાં અતિમક્રિયા થનાર છે, ત્યારે આજે રાજ્યમાં, રાજકીય શોક જાહેર કરાયો છે., તે પછી રાજકોટ અને ગાંધીનગરમાં પ્રાર્થનાસભાઓ યોજાનાર છે, અને આ ગોઝારી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ યાત્રીઓ તથા સ્થાનિકોને શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે.
આ વિમાન દુર્ઘટના પછી એક તરફ તો એક રહસ્યમય સવાલો ઊઠી રહ્યા છે અને વિશ્વવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો બીજી તરફ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે, એક રાજનેતાએ તો વિમાન, રેલવે-પુલ અને રેલવે દુર્ઘટનાઓને સાંકળીને ત્યાં સુધી કહી દીધું કે ભાજપના રાજમાં કોઈપણ પ્રકારનો પ્રવાસ સલામત રહ્યો નથી. આ પ્રકારના આક્ષેપોના જવાબમાં ભૂતકાળની સરકારોમાં થયેલા અકસ્માતો અને અન્ય દુર્ઘટનાઓ યાદ કરાવાઈ રહી છે, તો વિમાનમાં પોર્ટુગલ, કેનેડા અને બ્રિટનના યાત્રિકો પણ સવાર હોવાથી વિદેશની ટીમો પણ ઈન્વેસ્ટીગેશનમાં જોડાઈ હોવાનું જાણવા મળ્યું. હવે બ્લેકબોક્સ તથા અન્ય રેકોર્ડીંગ પરથી અંતિમ તારણો પરથી દુર્ઘટના થવાના સાચા કારણો બહાર ન આવે, ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોવી રહી...
અમદાવાદની વિમાન દુર્ઘટના પછી પણ હેલિકોપ્ટર ક્રેશ, ક્યાંક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંંગ તો ક્યાંક ટેકનિકલ કારણોસર ફ્લાઈટ મોડી થવાની ઘટનાઓ તથા દુર્ઘટનાઓ બનતી રહી છે, તો બીજી તરફ દુનિયામાં અશાંતિ, આક્રમણો અને વિદ્રોહની ઘટનાઓ વચ્ચે ભૂકંપ, અતિવૃષ્ટિ, આકાશીય વીજળી અને પુલ ધરાશાયી થવા અને ગમખ્વાર અકસ્માતોના કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે., કોરોનાનો વધી રહેલો વ્યાપ પણ હવે ધીમે-ધીમે ચિંતાજનક બની રહ્યો છે, તો તકરારમાં કોઈ જવાન પોતાના સિનિયર સાથીદારને જ ગોળીઓથી વિંધી નાંખે, તેવી ઘટનાઓ પણ વિચલિત કરી રહી છે. નાઈઝીરીયામાં તો ૧૦૦ લોકોને જીવતા સળગાવી દેવાયા છે...શું આ પ્રલય કે કયામતની આહટ છે ?
એ ઉપરાંત ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી વિશ્વની શાંતિ ફરી એક વખત જોખમમાં મુકાઈ ગઈ છે, અને રશિયા-યુક્રેન યુદ્ધ તથા નવા યુદ્ધો શરૂ થઈ જતા ક્યાંક વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ તો ધકેલાઈ રહ્યું નથી ને ? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે.
પડોશી દેશ પાકિસ્તાનમાં પણ બ્લુચ વિદ્રોહીઓ પાકિસ્તાનની સેનાનો ખુરદો બોલાવી રહ્યો છે, અને સિંધ તથા પીઓકેમાં થતો સળવળાટ જોતા એમ લાગે છે કે પોતાની પ્રજાને ભૂખે મારીને આતંકવાદીઓને પોષણ આપતા આ પ્રપંચી દેશના પાપનો ઘડો ભરાઈ ગયો છે, અને ગમે ત્યારે આંતરિક વિદ્રોહથી જ તૂટી પડશે, આ એક દેશ એવો છે કે, જે દુનિયાભરના આતંકવાદીઓનું કાં તો જન્મસ્થળ છે, અથવા તો આશ્રયસ્થાન છે. આ દેશ એટલો પરાવલંબી છે કે તેને હંમેશા વૈશ્વિક સંસ્થાઓ પર આધાર રાખવો પડે છે. આ દેશ હંમેશા ચીન, અમેરિકા અને કેટલાક ખાડીના દેશોનું પ્યાદુ બનતો રહ્યો છે, અને ત્યાંની સેના, જાસૂસી સંસ્થા તથા રાજનેતાઓ ત્યાંની પ્રજાને ભરમાવીને છેતરતા રહ્યા છે, અને ત્યાંના યુવાવર્ગને વૈજ્ઞાનિક કે બ્યુરોક્રેટ બનાવવાના બદલે આઈએસઆઈ અને આતંકી સંગઠનોના ઈશારે જેહાદી આતંકવાદી બનાવવાના ત્યાંની સેનાના કાવતરાઓમાં સામેલ થતા રહ્યા છે.
પાકિસ્તાનની સેના પણ હવે બિઝનેસમેન ગ્રુપ જેવી બની ગઈ છે, અને ત્યાંની સેનાના મોટા-મોટા અધિકારીઓ મોટા-મોટા વ્યાપાર-ઉદ્યોગો ધરાવતા હોવાનું કહેવાય છે, ત્યારે ભારત સાથે જ આઝાદ થયેલા પાકિસ્તાનની બરબાદી હવે નક્કી છે અને પોતાના જ ભાર થી આ દેશ વેરવિખેર થઈ જશે, તેવા સંકેતો પણ વર્તાઈ રહ્યા છે. ભારતે હવે પડોશી દેશોમાં બેલેન્સ બનાવવું પડશે, કારણ કે એક કહેવત છે ને કે, પહેલો સગો પડોશી...
જો કે, પડોશી વાયડો હોય તો તેને પહેલા સમજાવવો પડે, અને પછી જરૂર પડ્યે પાઠ ભણાવવો પડે, પરંતુ એકાદ-બે પડોશી સાથે સંબંધો સારા ન હોય, ત્યારે આજુ બાજુના અન્ય પડોશીઓ, મહોલ્લા કે સોસાયટીના લોકો સાથે સંબંધો વધુ શુદૃઢ બનાવવા પડે...એક બીજી કહેવત પણ છે કે તમે આખી દુનિયાને એક સાથે ખુશ રાખી શકતા નથી, કે એક સાથે આખી દુનિયાને હરાવી પણ શકતા નથી.
અત્યારે વૈશ્વિક રાજનીતિ જાણે ટ્રમ્પની આજુબાજુ ઘુમી રહી હોય, તેમ અમેરિકાની રણનીતિ જેમ બદલે, તેમ વૈશ્વિક રિ-એકશન આવી રહ્યું છે. ટ્રમ્પના મનઘડંત નિર્ણયોથી ત્યાંની પ્રજા પણ પરેશાન છે. અમેરિકામાં પણ અત્યારે ગૃહયુદ્ધ ફાટી નીકળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેટલાક રાજ્યોમાં ટ્રમ્પ વિરોધી પ્રદર્શનો થઈ રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળે તો લોકો સડક પર ઊતરી પડ્યા છે, અને ત્યાંની સ્ટેટ ગવર્નમેન્ટ અથવા શહેરોના મેયર પણ ટ્રમ્પની નીતિઓ સાથે સહમત નથી, તેથી ત્યાંનું ફેડરલ સ્ટ્રક્ચર પણ જોખમમાં જણાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવવાના દાવા કરતા ટ્રમ્પ ઈરાનને પરમાણુશક્તિ બનતુ અટકાવવા ઈઝરાયલ મારફત હૂમલા કરાવીને અને તેને ખૂલ્લેઆમ પ્રોત્સાહિત કરીને બેવડા ધોરણો અપનાવી રહ્યા છે., બીજી તરફ ચીન જૈવિક ઝેરી શસ્ત્રો દ્વારા દુશ્મન દેશોની ખેતી અને જિંદગીઓ બરબાદ કરવાની ફિરાકમાં છે, અને ચો તરફ હાહાકાર મચ્યો છે; શું આ પ્રલયનો પ્રારંભ છે ? તેવા સવાલો નો જવાબ કોઈ પાસે નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બળબળતી ગરમી અને અકળાવી રહેલા બફારા વચ્ચે અત્યારે સૌના મનમાં એવો જ પ્રશ્ન છે કે હવે વરસાદ ક્યારે પડશે ? ચોમાસું કયારે બેસશે ? અસહ્ય ગરમીમાંથી છૂટકારો ક્યારે મળશે ?
બીજી તરફ ખેડૂતો પણ વાવણીની પૂરેપૂરી તૈયારી કરીને બેઠા છે અને વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, પહેલા ચોમાસું વહેલું બેસી જશે, તેવી આગાહીઓ થયા પછી અધવચ્ચે અટવાયેલા ચોમાસાની ખબરો આવી, અને હવે ફરીથી નવી આગાહીઓ થઈ છે. બે દિવસ પહેલાની અંબાલાલ પટેલની આગાહી મુજબ તો આજ થી આવતીકાલ સુધીમાં ગુજરાતના ઘણાં ભાગોમાં વરસાદ પડવાનું શરૂ થઈ શકે છે અને તા. ૧૮ થી ૨૪ જૂન સુધીમાં રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના પણ તેમણે દર્શાવી છે.
હવામાન ખાતું તો ૨૪ કલાકમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છાંટા કે ઝાપટાં પડે, તેવા અનુમાનો કરે છે, અને ખાનગી હવામાન નિષ્ણાતોની આગાહીઓ જોતાં હવે થોડા દિવસોમાં વરસાદ પડશે, તેવું લાગે છે, જો કે, પ્રારંભમાં માત્ર છાંટાછુટી થાય અને માત્ર મિલિમિટરના માપમાં એક ઈંચથી પણ ઓછો વરસાદ થાય તો બફારો વધી પણ શકે છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું ૨૦મી જૂનથી બેસતું હોય છે, તેથી એ જ કુદરતી ક્રમ આ વર્ષે ચોમાસું જાળવશે કે, બે-ચાર દિવસ વહેલું આગમન થાય છે, તે જોવું રહ્યું...
અત્યારે તો અમદાવાદની વિમાન દુર્ઘટના અને ઈઝરાયલ ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળે, તેવા સંજોગોની ચો તરફ ચર્ચા થઈ રહી છે, પરંતુ તેથી સાથે-સાથે ખેડૂતવર્ગ અને ભયંકર ગરમીથી ત્રસ્ત લોકો વરસાદની સંભાવના તથા ચોમાસાની વર્તમાન સ્થિતિની ચિંતા કરતા પણ જોવા મળી રહ્યા છે, અને તેના સંદર્ભે કેટલીક આશંકાઓ પણ અત્યારથી જ વ્યક્ત થવા લાગી છે.
અત્યારે તો વરસાદની આગાહીઓ અને આશાવાદના અહેવાલો આવશે, પરંતુ જેવો થોડોક વરસાદ પડશે, ત્યાં જામનગર સહિતના શહેરોમાં ઠેર-ઠેર જલભરાવ તથા ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક માર્ગો પરથી અવર-જવરમાં અવરોધ થવાના અહેવાલો પણ આવવા લાગશે. લોકોને ગાઈડલાઈન્સ આપીને તંત્રો ઊંચા હાથ કરી લેતા જોવા મળશે, તો નગરજનોને વરસાદી પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા નહીં ખોલવાની સલાહ આપ્યા પછી જ્યાં જલભરાવ થયો હોય, ત્યાં બે ત્રણ દિવસમાં ગંદા ખાબોચીયા કે લઘુસરોવરો જેવી સ્થિતિ ઊભી થાય, ત્યાં સુધી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ નહીં થાય, અને તે પછી નાછૂટકે લોકો જો ગટરના ઢાંકણા ખોલશે, તો વરસાદી પાણી સાથે માટી, કચરો અને ઝાડની તૂટેલી ડાળીઓના ડાળખા પણ જતા રહેશે, અને તે પછી ગટરો ઊભરાવા કે જામ થઈ જવા ની સમસ્યાઓ વધી જશે. જો આ તમામ રોજીંદી સમસ્યાઓ ઊભી જ ન થાય, તે માટે સ્વયં નગરજનો તથા ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનોએ અત્યારથી જ તંત્રો અને પોત-પોતાના વિસ્તારના જન-પ્રતિનિધિઓને સતર્ક રાખવા પડશે અને અત્યારે "સબ સલામત" નો ઢોલ પીટતા અધિકારીઓ અને નેતાઓને થોડોક વરસાદ પડતા જ વિકટ સ્થિતિ ઊભી થઈ જાય તો ત્યાં લઈ જઈને વાસ્તવિકતા બતાવવાની તૈયારી પણ સ્વયં જનતાએ જ રાખવી પડશે, ખરૃં ને ?
આ પ્રકારની વેદના એટલા માટે વ્યક્ત થઈ રહી છે કે આ પ્રકારની સ્થિતિ દર વર્ષે ઊભી થતી હોવા છતાં તંત્રો જુની ફાઈલો જોઈને માત્ર પેપરવર્ક કરતા હોય છે, જ્યારે નેતાઓ મોટા મોટા દાવાઓ તથા તંત્રોએ શીખવેલા નિવેદનો કરતા હોય છે, પરંતુ જમીન પરની સ્થિતિ દર વર્ષની જેમ એવી ને એવી જ રહેતી હોય છે.
હવે સોશ્યલ મીડિયાનો યુગ છે, ત્યારે લોકો જ્યાં જ્યાં જલભરાવ થાય, વિકટ સ્થિતિ ઊભી થાય કે ઘરોમાં પાણી ઘૂસી જાય, ત્યારે તેના વીડિયો ઉતારીને વાયરલ કરવા લાગતા હોય છે, અને તેની પૂરેપૂરી ખરાઈ કરીને કે સ્થળ મુલાકાત લઈને પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાવાળા પણ તે સ્થિતિને પ્રકાશિત અને પ્રસારિત કરતા હોય છે, જેથી હવે તંત્રો તથા નેતાઓની પોલ ઝડપથી ખુલી જવાના સંજોગો વધી ગયા છે, અને એકંદરે આ જનજાગૃતિની અસરો જનમત પર પડીને છેક કોઈપણ પ્રકારની ચૂંટણીઓના મતદાન સુધી પહોંચતી હોય છે, તે પણ ભુલવું ન જોઈએ. સમજદાર કો ઈશારા બહોત...
જામનગરમાં ઘણાં એવા સ્થળો છે, જ્યાં દર વર્ષે ચોમાસામાં જલભરાવ રહેતો હોવા છતાં તંત્રો તેનો કોઈ કાયમી ઉપાય લાવી શકયા નથી.
તે ઉપરાંત આ વર્ષે દબાણ હટાવ ઝુંબેશો ચાલી, તેના નહીં હટાવાયેલા કાટમાળ કે ધૂળ-માટીના ઢગલાથી વધારાના જલભરાવની સંભાવનાઓ પણ વધી ગઈ છે.
આ વર્ષે જામનગરના બસપોર્ટનું કામ ચાલી રહ્યું હોવાથી બસડેપો કામચલાઉ ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ખસેડાયેલો છે, જ્યાં પૂરતી વ્યવસ્થાના અભાવે મુસાફરોને પલળવું ન પડે, તે માટે વધારાના શેડ (છાપરા), ઊભા કરવા જરૂરી છે, તેમજ ગ્રાઉન્ડમાં ડામર પેચવર્ક કરવું જરૂરી છે, તે ઉપરાંત સામાન્ય રીતે પણ પ્રદર્શન ગ્રાઉન્ડની આજુબાજુ ચોમાસામાં જલભરાવ અને કાદવ-કીચડ થતો હોય છે, જેનું અત્યારથી જ અનુમાન તથા સર્વે કરીને જરૂરી કદમ ઉઠાવવા પડે તેમ છે. જામનગરમાં ચાલી રહેલા ફ્લાયઓવર બ્રિજનું કામ જૂનમાં પુરૃં થઈ જશે, તેવા દાવા સાચા પડે તેમ જણાતુ નથી, તેથી સંભવિત અન્ય અધુરા કામો તથા દર વર્ષે થતા જલભરાવની હિસ્ટ્રીને અનુરૂપ આગોતરા પગલાં અત્યારથી જ અપનાવવા પડે તેમ છેઃ ખંભાળીયામાં પણ વૈકલ્પિક માર્ગો સૂચવ્યા વિના હાલાકીની સંભાવના જણાવાઈ રહી છે, ત્યારે તંત્રો અને જનપ્રતિનિધિઓ "સબ સલામત" નો ઢંઢેરો પીટવાના બદલે જરૂરી કદમ ઉઠાવશે તેવી આશા આપણે રાખીએ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરના બક્ષી પરિવાર ના દીકરી જમાઈ અને રાજકોટમાં રહેતા પૂર્વ મુખ્યમંત્રી સહિત વિમાનમાં સવાર ૨૪૧ લોકો ઉપરાંત પ્લેન ક્રેશ થયું, તેની આજુબાજુના પચાસ થી વધુ રહીશોને ભરખી જતી ગોઝારી દુર્ઘટનાથી ગઈકાલે બપોરે અરેરાટી સાથે દેશ-દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અને ૨૪૨માંથી બચી ગયેલા એક મૂસાફરને નિહાળીને એ સુત્ર યાદ આવી ગયું કે રામ રાખે તેને કોણ ચાખે અથવા જાકો રાખે સાઈયાં...માર શકે ના કોઈ...
રંગુનમાં જન્મેલા, રાજકોટમાં રહીને રાજ્યની રાજધાની ગાંધીનગર સહિત દેશભરમાં સેવારત રહેલા અને અમદાવાદના આકાશમાંથી જે સ્વર્ગે સિધાવ્યા, તેવા મૃદુભાષી રાજનેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ અંતિમયાત્રા બની ગઈ, તેથી રાજકોટ અને ચણાકા સહિત સૌરાષ્ટ્રમાં ગમગીની છવાઈ ગઈ, તેવી જ રીતે જામનગરથી અમદાવાદ થઈને લંડન જવા રવાના થયેલા નેહલબેન અને શૈલેષભાઈ પરમારના નિધનથી જામનગરમાં પણ શોકનો માહોલ છે. ઈશ્વરને પ્રાર્થીએ કે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોના આત્માને ઈશ્વર ચિર શાંતિ બક્ષે અને તેઓના પરિવારજનોને આ કઠુરાઘાત સહન કરવાની શક્તિ અર્પે...
આ વિમાન દુર્ઘટનામાં જુદા-જુદા ક્ષેત્રોના દિગ્ગજો અને કેટલાક અગ્રગણ્ય નાગરિકોના સ્વજનોની આ આખરી યાત્રાની વિવિધ ખબરો આવી રહી છે અને આટલી ભીષણ આગ લાગી હોવા છતાં તત્કાળ કુદકો મારનાર એક વ્યક્તિ બચી ગઈ, તેની પણ અલગથી ચમત્કારિક એંગલ તથા સાયન્ટિફિક સ્થિતિ વર્ણવતી ચર્ચાઓ થઈ રહી છે, તો બીજી તરફ એર ઈન્ડિયાના સંચાલક ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયા સહાય ઉપરાંત અન્ય મદદની જાહેરાત કરી છે. આ દુર્ઘટનાથી શેર બજારમાં કડાકો બોલ્યો, તેના અહેવાલો વચ્ચે આ વિમાન ટેક-ઓફ થતાં જ ક્રેશ થયું જ કેવી રીતે ?... તેવા પ્રશ્નો સાથે તેના કારણો અને અનુમાનિત તારણોની ચર્ચા પણ ગઈકાલથી જ થઈ રહી હતી, પરંતુ અસલ કારણો તો મળી આવેલા બ્લેકબોક્સને તપાસ્યા પછી જ બહાર આવશે...
એર ઈન્ડિયાનું બોઈંગ એ-૧-૧૭૧ આ વિમાન એ હકીકતમાં ૧૨ વર્ષ જુની એવી ફ્લાઈટ હતી, જેને ડબલ એન્જિનવાળી ખૂબ જ સુરક્ષીત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે એર ઈન્ડિયાના ફ્લાઈટો આ પહેલા પણ અવાર-નવાર એટલા માટે કેન્સલ કે રિશિડ્યુલ કરવી પડતી હતી કે તેમાં છેલ્લી ઘડીએ ખામી હોવાનું માલુમ પડતું હતું, તેમાં પણ બોઈંગ કંપનીના ડ્રીમલાઈનર વિમાનોમાં ખામીઓ દેખાયા પછી પણ ધ્યાન અપાતું નહીં હોવાની વાતો પણ થવા લાગી છે. જો કે, આ બધી અટકળો અને અનુભવીઓ કે તદ્વિષયક તજજ્ઞોના તારણોનો જવાબ તો બ્લેકબોક્સના તથ્થો મળ્યા પછી જ સામે આવશે, જેનો ઈન્તેજાર કરવો રહ્યો...
એર ઈન્ડિયા પાસે જૂના બોઈંગ વિમાનોનો મોટો કાફલો હોવા છતાં ટાટા ગ્રુપે વધુ સેંકડો વિમાનોનો ઓર્ડર આપ્યો છે, તેવા રિપોર્ટ ને સાંકળીને હવે આ સોદાઓ રદ થશે કે પછી ખામીરહિત અને વધુ સુરક્ષીત વિમાનો તથા એરબસના નિર્માણ માટે કડક શરતો રખાશે, તે અંગે હવે એર ઈન્ડિયાના મેનેજમેન્ટે નવેેસરથી વિચારવું પડશે, તેમ જણાય છે.
આ દુર્ઘટના પછી દેશ-દુનિયાના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું હતું તો અમિતભાઈ શાહે આ વિમાનમાં ઈંધણના જંગી જથ્થાનો આ દુર્ઘટના પછી પોતાની અમદાવાદની મુલાકાત દરમ્યાન ઉલ્લેખ કર્યો, તેને સાંકળીને એવી ચર્ચા પણ થવા લાગી છે કે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનની એરસ્પેસ ભારત માટે બંધ હોવાથી ઘણાં વિમાનોને ફરીને જવું પડે, અને તેથી વધુ ઈંધણ ભરવું પડે છે, તે પણ આ પ્રકારની દુર્ઘટનાનું કારણ બની રહ્યું છે, વગેરે...
બોઈંગ એ-૧-૧૭૧ની આ દુર્ઘટના પછી ઘણાં લોકો જામનગરથી જુદા જુદા સ્થળે જવા માટે ઉપડતી ફ્લાઈટોમાં કઈ કઈ ઉડાનો માટે બોઈંગ વિમાનોનો ઉપયોગ થાય છે, તેનું સંશોધન પણ કરવા લાગ્યા છે અને તેથી કદાચ બોઈંગનો ઉપયોગ થતો હોય, તેવી ફ્લાઈટોથી મુસાફરો અંતર રાખશે અને તેમાં જવાનુ ટાળશે, તેવી વાતો પણ વહેતી થઈ હતી., જ્યારે મોટા ભાગના લોકો બોઈંગ એ-૧-૧૭૧ની દુર્ઘટનાની તપાસ પછી તેના તથ્યાત્મક કારણો ઝડપથી બહાર આવી જાય, તેવું ઈચ્છી રહ્યા છે.
ગઈકાલે પ્લેન ક્રેશ થતા અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના કેટલાક તબીબો સહિત જે સ્થાનિક લોકોના મૃત્યુ થયા છે, તેઓને પણ પૂરતી મદદ, નાણાકીય સહાય તથા હોસ્ટેલના પુનઃનિર્માણ કે રિનોવેશન જેવી ખાતરીઓ કંપની તરફથી આપાઈ રહી છે, પરંતુ જે જિંદગીઓ ગઈ, તેની ખોટ કેમ પૂરાશે ? તેનો જવાબ કોઈ પાસે નથી. જો ખામી ભરેલા વિમાનો પેસેન્જર સેવાઓ માટે લાપરવાહી પૂર્વક કે આંખ આડા કાન કરીને ચલાવતા હોય, તો તેના માટે સંચાલક કંપની, તેના તંત્રો ઉપરાંત કેન્દ્રના નાગરિક અને ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત કાર્યરત સંબંધિત તંત્રો પણ એટલા જ જવાબદાર ગણાય ને ?
જો એક મહિના પહેલા પણ આ વિમાનમાં ક્ષતિ ઊભી થતાં ઉડાન ભરી શકાઈ નહી હોવાની ખબરો સાચી હોય અને છેલ્લા બે દિવસથી આ જ વિમાન અમદાવાદના એરપોર્ટ પર રિપેર થવા માટે પડ્યુ હતુ, તેવા અહેવાલોમાં તથ્ય હોય, તો આ પ્રકારની તમામ ઘટનાઓને સાંકળીને ઊંડી તપાસ થવી જ જોઈએ, કારણ કે જો તેવું જ લોલંલોલ ચલાવાયુ હોય, તો તે ગંભીર લાપરવાહી જ નહીં, પણ ગૂન્હાહિત કૃત્ય પણ ગણાય... જો કે, હવે તો બ્લેકબોક્સ વગેરેની તપાસ થયા પછી સાચા કારણો જાહેર થાય, તેની રાહ જ જોવી રહી...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક અને શૈક્ષણિક ડીલ થઈ હોવાના અહેવાલો, પ્રત્યાઘાતો તથા અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંનેને સમાન કેટેગરીમાં મૂક્યા પછી અમેરિકાની બદલતી ચાલ અને ભારતની વર્તમાન વિદેશનીતિને લઈને ગ્લોબલ ડિબેટીંગ થઈ રહ્યું છે.
બીજી તરફ પાકિસ્તાન સૈન્યના વિવાદાસ્પદ વડા અને ભારતમાં આતંકીઓને મોકલવાના કાવતરા ઓ ના માસ્ટર માઈન્ડ જેવા મુનિરને અમેરિકામાં સત્તાવાર રીતે આમંત્રણ આપીને બોલાવાયા હોવાથી આ પ્રકારની ગતિવિધિ મોદી સરકાર માટે રણનૈતિક અને રાજનૈતિક પડકાર સમી ગણાવાઈ રહી છે. અમેરિકન સૈન્યના વડા માઈકલ કુરિલ્લાએ તો પાકિસ્તાનને અમેરિકાનું "અસાધારણ ભાગીદાર" ગણાવીને જે નિવેદન આપ્યું છે, તે ભારતીય નીતિનિર્ધારકો અને રક્ષાવિભાગ માટે આંચકા સમાન છે, અને અમેરિકા સાથેના રક્ષાસંબંધો અંગે પૂનર્વિચારણા તથા મનોમંથન કરવાની જરૂર જણાવે છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ સંભાળતા જનરલ માઈકલ કુરિલ્લાના આ કથિત નિવેદનને લઈને ભારતમાં વિપક્ષે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે.
પાકિસ્તાન કેવી રીતે આતંકી અડ્ડાઓ ચલાવી રહ્યું છે, અને ભારતને ઓપરેશન સિંદૂર ચલાવવાની ફરજ કેમ પડી, તે અંગે ભારતે વિદેશમાં સર્વપક્ષિય ડેલિગેશનો મોકલ્યા અને પાકિસ્તાનનો નકાબ ચિર્યો, એ ખરૃં, પરંતુ તેની કોઈ જ અસર ટ્રમ્પ પ્રશાસન પર પડી નથી, પરંતુ ઉલટાના પાકિસ્તાનના સેનાધ્યક્ષને અમેરિકામાં આમંત્રણ આપવાની સાથે-સાથે પાકિસ્તાનને પણ અમેરિકાનું પરમ મિત્ર ગણાવાઈ રહ્યું હોય, અને ચીન સાથે પણ અમેરિકા ભારતની સરખામણીમાં વધુ ઉદાર થઈ રહ્યું હોય અને ટેરિફના મુદ્દે ડીલ કરી રહ્યું હોય, તો ભારતે પણ અમેરિકા સાથેના સંબંધો અંગે પૂનર્વિચારણા કરવી જોઈએ, એટલું જ નહીં, અમેરિકાને કાઉન્ટર કરવા રશિયા અને તેના સાથીદાર દેશો સાથે ઘનિષ્ટતા વધારવી જોઈએ, તેવા સૂચનો થવા લાગ્યા છે, જે મોદી સરકારે ગંભીરતાથી વિચારવા જેવા છે, પણ...!?
જનરલ માઈકલ કુરિલ્લાએ યુએસ હાઉસ આર્મ્ડ સર્વિસ કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપ્યું તેમાં તેમણે કહ્યું કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધોથી સકારાત્મકતા પર વિચાર કરવો પડશે. તેમણે આઈએસઆઈએસ (ખુરાસાન) ના ડઝનેક આતંકીઓને ઠાર કર્યા અને ૨૬ ઓગષ્ટ-૨૦૨૧ના કાબુલના એરપોર્ટ પર થયેલા પ્રચંડ વિસ્ફોટના એક આતંકી જાફરને ઝડપી લેવાયો, તથા આઈએસઆઈએસ ખુરાસાન ના પાંચ કમાન્ડરને ઝડપવામાં આવ્યા, તેમાં પાકિસ્તાનની સેનાએ મદદ કરી હતી અને તેમાં અસીમ મુનિરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, તેમ જણાવી કુરિલ્લાએ ત્યાં સુધી કહી દીધું કે પાકિસ્તાન આતંકવાદ વિરોધી લડાઈ લડી રહ્યું છે !!
અમેરિકાને નુકસાન પહોંચાડ્યું હોય તેવા બે-ચાર આતંકવાદીઓને પાકિસ્તાનની સેનાની મદદથી ઝડપી લવાય કે ઠાર કરાય, તો તેને અમેરિકા આવકારે અને અમેરિકાને નુકસાન કરતા આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનોને ટેરેરિસ્ટ ગણે, જ્યારે પાકિસ્તાનની જ સેના પાસે તાલીમ મેળવીને દાયકાઓથી ભારતમાં અસંખ્ય ઘાતકી હૂમલા કરતા રહેલા સેંકડો-હજારો આતંકવાદીઓ પ્રત્યે આંખ આડા કાન કરે કે, આ પ્રકારના હૂમલાઓને જ ભારત-પાકિસ્તાન વચ્ચેનો માત્ર આંતરિક વિખવાદ ગણાવે, તે અમેરિકાની વિદેશનીતિ તથા રક્ષાનીતિના ડબલ સ્ટાન્ડર્ડ દર્શાવે છે, અને આતંકવાદને પણ ગુડ ટેરેરિઝમ અને બેડ ટેરેરિઝમમાં વહેંચે છે.
જો ચીનની સાથે દોસ્તી કરીને અમેરિકા તેના વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ બિછાવવાનું હોય, અને ભારતીય ઈલિગલ ઈમિગ્રેન્ટોને હાથકડી પહેરાવીને અને ઊંધા સુવડાવીને અપમાન કરતું હોય, તો તેને ટ્રમ્પ-મોદીની દોસ્તીની ફલશ્રૂતિ ગણવી કે હિસ્ટોરિકલ બ્લન્ડર ગણવું, તે સમજાતું નથી, એ જ ટ્રમ્પ ભારત-પાક. વચ્ચે ઓપરેશન સિંદૂરના મીની યુદ્ધ દરમ્યાન ભારત અને પાકિસ્તાનની પહેલાં જ સોશ્યલ મીડિયા દ્વારા સંઘર્ષ વિરામની જાહેરાત કરે, એ જરા વિચિત્ર નથી લાગતું ? શું આ પી.એમ. મોદી, જયશંકર, રાજનાથસિંહની ત્રિપુટીની ડિપ્લોમેટિક વ્યૂહરચના અથવા રણનીતિ સામે પ્રશ્ન ચિન્હ ઊભા કરે તેવો મુદ્દો નથી ?
આ મુદ્દે ભારતમાં રાજકીય ક્ષેત્રે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે અને મીડિયાના માધ્યમથી પ્રત્યાઘાતો પણ આવવા લાગ્યા છે. કોંગ્રેસે આને મોદી સરકારની ડિપ્લોમેટિક વિફળતા ગણાવી છે, અને આ અંગે મોદી સરકાર હવે શું કરશે ? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. અહેવાલો મુજબ કોંગ્રેસના જયરામ રમેશે સણસણતો પ્રશ્ન કર્યો છે કે આ મામલે મોદી સરકારનું શું કહેવું છે ? આગામી ૧૪મી જૂનથી પાકિસ્તાની સૈન્યના વડા અસીમ મુનિર અમેરિકાના સૈન્ય દ્વારા મળેલા આમંત્રણ પર વોશિંગ્ટન જવાના છે, જે ભારત સરકાર માટે બીજો ડિપ્લોમેટિક ઝટકો હશે.
જોઈએ, હવે કેન્દ્ર સરકાર કે ભારતીય સેના તરફથી આ મુદ્દે કોઈ નિવેદન આવે છે કે નહીં તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વાતાવરણની ગરમી સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી ગરમી ભાળી ગઈ છે. તેમાં વળી એક વિદેશની ખ્યાતિપ્રાપ્ત ન્યુઝ ચેનલ દ્વારા મહાકૂંભની ટ્રેજેડીમાં થયેલા મૃત્યુના આંકડાના તફાવતના પ્રસારિત થયેલા અહેવાલોને ટાંકીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ સામે ત્યાંના પૂર્વમંત્રી અખિલેશ યાદવે મોરચો ખોલ્યો, તથા બિહારમાં આવી રહેલ વિધાનસભાની ચૂંટણીઓ અને મહારાષ્ટ્રમાં રાજકીય ઉઠાપટકના સંકેતોના કારણે રાજકીય ગરમી પણ વધી રહી છે. આ તમામ પ્રકારની ગરમીઓ પછી હવે વરસાદ ક્યારે થશે, કેવો થશે અને ચોમાસુ ક્યાં પહોચ્યું તેની અટકળો થઈ રહી છે. બીજી તરફ ગુજરાતમાં પણ વિધાનસભાની બે ખાલી બેઠકો પર થનારી પેટા ચૂંટણીના પ્રચારમાં થઈ રહેલા આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલું નિવેદન આજે ટોક ઓફ ધ સ્ટેટ બન્યું છે.
ફિલ્મો અને ટેલિવિઝનની સિરિયલોમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ જે પાત્ર ભજવતા હોય છે, તેના આધારે તેની ઈમેજ બંધાઈ જતી હોય છે, પરંતુ ઘણી વખત ફિલ્મો-સિરિયલોની અસલ જિંદગી કંઈક અલગ જ હોય છે. પ્રાણ અને અમરીશપુરી જેવા ઘણાં કલાકારો વધારે પડતી વિલનની ભૂમિકા નિભાવતા હતા, પરંતુ તેઓની અસલ જિંદગીમાં તેઓ ઘણાં જ સૌજન્યશીલ અને સંસ્કારી હોવાની ચર્ચા થતી રહેતી હોય છે, અને આ પ્રકારના સંખ્યાબંધ અન્ય દૃષ્ટાંતો પણ છે. આ તફાવતની ચર્ચા જ્યારે પ્રેસ મીડિયા કે ટેલિવિઝન ડિબેટીંગમાં થતી હોય છે, ત્યારે તેનો ઉલ્લેખ કરતી વખતે એવા શબ્દપ્રયોગો થતા હોય છે કે, "તેની રિલ્સ ઈમેજ અને રિયલ લાઈફમાં ઘણો જ તફાવત છે..."
આ જ શબ્દ પ્રયોગો તાજેતરમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યા છે, તેઓ એ આ શબ્દ પ્રયોગો રાજ્ય સરકારના તંત્રોને ટપારવા માટે કર્યા હોય તેમ લાગે છે. તેમણે કહ્યું કે "હું પણ રિલ્સ જોઉં છું. ઘણી રિલ્સ નેગેટિવ હોય તો તેના વ્યુઅર્સ પણ વધુ હોય છે અને કોમેન્ટો કરનારા પણ વધુ મળે છે, જયારે રિલ્સ પોઝિટિવ હોય તો તેને જોનારા પણ ઓછા હોય અને કોમેન્ટો પણ ઓછી થાય !
મુખ્યમંત્રીની આ ટકોર વહીવટીતંત્ર તથા રાજય સરકારના પ્રચારતંત્રો તરફ અંગૂલી નિર્દેશ કરતી હોય તેમ જણાય છે. તેમણે દ્રષ્ટાંત પણ આપ્યું કે જો કોઈ સ્કૂલમાં પોપડા ઉખડેલા હોય કે છત તૂટેલી હશે, તો તેને વધુ પબ્લિસિટી મળશે !
હકીકતે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની આચા સંહિતાના કારણે આ વર્ષે શાળા પ્રવેશોત્સવ પાછળ ઠેલાયો છે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ હવે ૨૬ થી ૨૮મી જૂન સુધી યોજાવાનો છે. આ શાળા પ્રવેશોત્સવમાં રાજ્યનું આખુ વહિવટીતંત્ર જોતરાઈ જવાનું છે. આ પ્રવેશોત્સવમાં સચિવાલયની એરકન્ડિશન્ડ ચેમ્બરો છોડીને તથા જિલ્લા કક્ષાએ પણ વાતાનુકુલિત કચેરીઓ તથા કારમાં ફરીને જનસેવા કરતી ઉચ્ચ અધિકારીઓને જોડાવુ પડતુ હોય છે. આ ઉભદા અભિગમને લઈને કેટલાાક ઉચ્ચ અધિકારીઓ આ કોન્સેટર અમલમાં મુકનાર પૂર્વ મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાનને યાદ પણ કરતા હશે !
મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવમાં જનારા તમામ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અને આઈએફએસ તથા જીપીએસ અધિકારીઓને ભારપૂર્વક સૂચના આપી હતી કે તેઓ જ્યારે ગામડે જાય ત્યારે ત્યાંની તમામ સ્થિતિનું નિરીક્ષણ અને સમીક્ષા કરે, શાળા પ્રવેશોત્સવમાં માત્ર બાળકોને પ્રવેશ, અભ્યાસકીટનું વિતરણ, અન્ય સરકારી યોજનાઓના લાભોનું વિતરણ, ભાષણબાજી અને વૃક્ષારોપણ કરીને પરત આવવાના બદલે "ઉપયોગી થઈ શકે તેવા ફિડબેક" લાવવાની મુખ્યમંત્રીની આ સૂચનાને "રિયલ અને રિલ્સ" સાથે સાંકળીએ, તો એવું પણ કહી શકાય કે શાળાની છત નબળી હોય, શૌચાલયો ઠીક ન હોય, પીવાના પાણીની તકલીફ હોય કે પછી જે તે ગામ સમસ્તની જે કોઈ સમસ્યાઓ, કે જરૂરિયાતો કે માંગણીઓ હોય તો તેનો પણ ફિડબેક રિપોર્ટ ગામવાર અને વિસ્તૃત પણે ડાયરેક્ટ રાજ્ય સરકાર સમક્ષ તત્કાળ રજૂ કરો તેવી ટકોર મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને કરી હતી, એટલું જ નહીં, "કહીં પે નિગાહે કહીં પે નિશાના" ની જેમ સૂચનાઓ માત્ર ઉચ્ચ અધિકારીઓને જ નહીં પરંતુ શાળા પ્રવેશોત્સવમાં જોડાતા તમામ મંત્રી, હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો તથા જિલ્લા કક્ષાના પદાધિકારીઓ, ભાજપના હોદ્દેદારો તથા ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓને પણ મુખ્યમંત્રીએ પરોક્ષ રીતે આપી દીધી છે !
મુખ્યમંત્રીની આ ટકોરમાં એવું પણ પ્રતિત થાય છે કે ગ્રામ્ય કક્ષાની લોકોની તકલીફો, જરૂરિયાતો, માંગણીઓ, સમસ્યાઓ અને શાળાઓની સુવિધાઓ શિક્ષણની ગુણવત્તા વગેરેના સાચા અહેવાલો કદાચ રાજ્ય સરકાર સુધી પૂરેપૂરા પહોંચતા જ નહીં હોય !
કદાચ એકાદ દાયકા પહેલા સુધી રાજ્ય સરકારમાં એક ફિડબેક સિસ્ટમ હતી, જે હવે નિષ્ક્રિય થઈ ગઈ છે. તમામ તંત્રો પાસેથી સરકાર ફિડબેક મંગાવતી હતી, ને તાલુકા-જિલ્લા કક્ષાના પદાધિકારીઓ પાસેથી પણ સરકારી યોજનાઓ, અમલીકરણ, ખૂટતી સુવિધાઓ અને જનસામાન્યની અપેક્ષાઓ ઉપરાંત જાગૃત નાગરિકોના સૂચનો પણ મુખ્યમંત્રીનું કાર્યાલય મેળવતું હતું. રાજ્યના માહિતીખાતામાં તો એક આખી "ફિડબેક સિસ્ટમ" કાર્યરત હતી, અત્યારે કાર્યરત હોય તો પણ કોઈને ખબર નથી, અને તેનો ઉપયોગ કરવાની ઈચ્છાશક્તિ ન હોય, તેવું બની શકે, પરંતુ એ ફિડબેક ચેનલ રાજ્ય સરકારના પ્રત્યેક વિભાગોને અત્યારે મુખ્યમંત્રી જે ઈચ્છે છે, તે પ્રકારના ફિડબેક રિપોર્ટ મોકલતી હતી, અને સંબંધિત વિભાગો પાસેથી તેના જવાબો માંગીને નિવરાણ પણ કરાતું હતું. આ સિસ્ટમ બે દાયકા પહેલાથી વર્ષ ૨૦૧૫ના સમયગાળામાં સક્રિય અને ઉપયોગી હતી. તેવી જ રીતે વર્તમાન સમયમાં નવા આયામો ઉમેરીને પોલિટિકલ ફિડબેકની સાથે-સાથે સિસ્ટોમેટિક ફિડબેકનું મિકેનિઝમ ઊભું કરી શકાય તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓની ચહલ-પહલ વચ્ચે જામનગર શહેરમાં બે ઈગ્લીશ મીડિયમ સ્કૂલ શરૂ થવા જઈ રહી હોવાના અહેવાલો સ્થાનિક કક્ષાએ ચર્ચાના કેન્દ્રમાં છે, એવું જાહેર થયું છે કે ટૂંક સમયમાં જામનગર મહાનગરપાલિકાના નગર શિક્ષણ સમિતિ કોર્પોરેટ ક્ષેત્રની કંપની સાથે સંકલન કરીને ઈગ્લીશ મીડિયમની બે સ્કૂલો શરૂ થશે, જેમાં અદ્યતન સાધન-સુવિધાઓ સાથે અંગ્રેજી માધ્યમમાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અપાશે.
આ સ્કૂલોમાં પ્રિ-પાયમરી તથા પ્રારંભિક પ્રાયમરી કક્ષાનું બાલવાટિકાથી ધોરણ-૨ સુધીનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં આપવાનું શરૂ કરાશે. લગભગ સાડાચાર કરોડના ખર્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની બે સ્કૂલોને અદ્યતન બનાવવામાં આવી છે, જેમાં દિગ્જામ સર્કલ પાસેની શાળા નં. ૩૧ અને એસ.ટી. રોડ પર આવેલી દેવરાજ દેપાળ શાળા નં. ૫૩નો સમાવેશ થાય છે. આ બંને રનીંગ સ્કૂલ્સનું રિનોવેશન તથા અપગ્રેડેશન (આધુનિકરણ) કરીને સ્માર્ટ સ્કૂલ્સ બનાવાઈ છે. ખાનગી કંપની તથા મહાનગરપાલિકાના ફંડમાંથી આ શાળાઓનું સંચાલન થશે. આ સ્માર્ટશાળામાં આધુનિક સાધન-સામગ્રી, કોમ્પ્યુટર લેબ, ખેલ-કૂદના સાધનો, સાયન્સ એન્ડ ટેકનોલોજીના સાધનો સહિતના વર્ગખંડો તથા મીની થિયેટર વગેરે ઈન્ટરનેટ યુગને અનુરૂપ અદ્યતન સુવિધાઓ આ સ્માર્ટ સ્કૂલમાં ઊભી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્કૂલોનું સંચાલન નયારા જેવી કંપનીને સોંપાયુ હોવાથી બાળકોને કોર્પોરેટ એજ્યુકેશન સિસ્ટમથી શિક્ષણ મળી રહેશે. આ માટે એડમિશન પ્રક્રિયા અને જરૂર પડ્યે લક્કી ડ્રો યોજીને બાળકોને પ્રવેશ અપાશે, તેવું જાહેર થયા પછી આ નૂતન અભિગમ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
આ અંગેના પ્રતિભાવોમાં મુખ્યત્વે આવકાર મળી રહ્યો છે, સાથે સાથે કેટલાક સૂચનો પણ થઈ રહ્યા છે. સંપૂર્ણ અંગ્રેજી માધ્યમમાં ભલે શિક્ષણ અપાય પરંતુ બાળકો માતૃભાષા ગુજરાતી ભૂલી ન જાય અને રાષ્ટ્રભાષા હિન્દીથી પણ પરિચિત રહે, તેવી રીતે આ અંગ્રેજી માધ્યમની શિક્ષણ સિસ્ટમ વિકસાવવી જોઈએ. આ પ્રયોગ સફળ થાય તો આ પદ્ધતિથી અનુભવો, સુધારા-વધારા કરીને વધુ સ્માર્ટ સ્કૂલો શરૂ થાય, અને પ્રતિવર્ષ એક-એક વર્ગનો વધારો થતો જાય, તેમ તેમ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ-૫ અને ધોરણ-૮ સુધી અંગ્રેજી માધ્યમની આ જ સ્કૂલો વિસ્તરે, તેવો તબક્કાવાર પ્રોગ્રેસ પ્રોજેક્ટ અત્યારથી જ વિચારાયો હશે, તેવા ફિડબેક પણ ચર્ચાઈ રહ્યા છે.
અત્યારના ઈન્ટરનેટ યુગમાં ઈન્ટરનેશનલ કક્ષાની પ્રચલિત અંગ્રેજી ભાષામાં કૌશલ્ય વધે એ અત્યંત જરૂરી છે, અને તેની સાથે-સાથે જાપાન, રશિયા અને ચીન જેવા વિકસિત દેશોની જેમ માતૃભાષાઓ તથા રાષ્ટ્રભાષાનું જ્ઞાન પણ જળવાઈ રહે અને આંતરિક વ્યવહારો માટે તેનો જ મહત્તમ ઉપયોગ થતો રહે, તેવું સંયોજન થવું જોઈએ, તેવો જનસામાન્ય અભિપ્રાય જોવા મળી રહ્યો છે.
એક વર્ગ એવો પણ છે કે તેઓને જયાં સુધી પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા જ ખામી ભરી જણાય છે. કેટલાક નગરજનો એવો વ્યંગ પણ કરી રહ્યા છે કે પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની અન્ય તમામ સ્કૂલોની ખૂટતી કડીઓ પૂરી કરીને તેને તો વ્યવસ્થિત કરો,...!
જો કે, સ્માર્ટ સ્કૂલોનો આ અભિગમ એક નાનકડી પહેલ જ છે, અને આ પ્રયોગની સફળતાના આધારે સ્માર્ટ સ્કૂલોની ઈંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી અંગ્રેજી માધ્યમમાં હાઈસ્કૂલનું શિક્ષણ મેળવવાની કોઈ ચોક્કસ વ્યવસ્થા રાજ્ય સરકારની કક્ષાએ પણ વિચારાઈ જ હશે, અને અત્યારે બાલવાટિકાથી ધોરણ-૨ સુધીની સ્કૂલો શરૂ થઈ, તેના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જાય, તેમ તેમ આ જ પ્રકારની શાાળાઓને અપગ્રેડ કરીને હાયર પ્રાયમરી સુધીનું શિક્ષણ મનપા દ્વારા મળે, અને તે પછી હાઈસ્કૂલના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પણ વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણની વ્યવસ્થા રાજય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા થાય, તેવો માસ્ટર પ્લાન અથવા રોડ-મેપ ઘડાયો જ હશે, તેવી આશા પણ વાલીઓ રાખી રહ્યા હશે, આ માટે નયારા જેવી ખાનગી કંપનીઓના સીઆર ફંડ ઉપરાંત સોશ્યલ સર્વિસીઝ અંતર્ગત મોર્ડન એજ્યુકેશન સિસ્ટમની સેવાઓ પણ વિસ્તરતી રહે, તે દિશામાં પણ વિચારાયુ જ હશે, તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે વિસ્તૃત અને વિગતવાર જાણકારી પણ ટૂંક સમયમાં સંબંધિત તંત્રો પબ્લિકને આપશે, તેવી જનધારણા છે.
આ પ્રકારની ચર્ચાઓ એટલા માટે શરૂ થઈ છે કે ઘણી વખત આરંભે શૂરાની જેમ કેટલીક યોજનાઓ પાછળથી અદ્ધરમાં લટકી પડતી હોય છે અને અંગ્રેજીને ગુલામીની ભાષા માનનારા એક વર્ગને પણ તદ્દન અવગણી શકાય તેમ નથી, અને તેથી જ માતૃભાષા અને રાષ્ટ્રભાષાના સંયોજન સાથે આ પ્રિ-પ્રાયમરી અને પાયાના ઈંગ્લીશ મીડિયમ શિક્ષણના સૂચનો થયા હશે, અને તેવી જ સિસ્ટમ પણ અપનાવાશે. હવે જોઈએ, આ પ્રયોગ સફળ થયા પછી નગરમાં તેનો કેટલો વ્યાપ વધે છે, અને બાકીની તમામ સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા અને સુવિધાઓ અદ્યતન બને છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક તરફ કોંગી નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર અને તેના સંઘર્ષ-વિરામ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સાંકળતા નિવેદનમાં "નરેન્દર...સરેન્ડર" જેવા શબ્દો પ્રયોગ કરીને જે વ્યંગ કર્યો હતો, અને તેના સંદર્ભે ભાજપ તથા એનડીએના નેતાઓ દ્વારા જે તીખા-તમતમતા નિવેદનો આવ્યા, તેની ચર્ચા હજુ ઠંડી પડી નથી, ત્યાં છેલ્લા બે દિવસથી ભારતીય ચૂંટણીપંચને સાંકળીને રાહુલ ગાંધીએ લખેલા લેખને લઈને દેશભરમાં વાદ-વિવાદનો વંટોળીયો ઉઠ્યો છે અને ચૂંટણીપંચની શંકાસ્પદ ભૂમિકા તથા ભૂતકાળમાં મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદાન પછી અલગ-અલગ ડેટા અપાયા હોવાની બાબતે શાસકપક્ષો તથા વિપક્ષો વચ્ચે બરાબરની શાબ્દિક લડાઈ શરૂ થઈ ગઈ છે.
તાજેતરમાં ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચના આક્ષેપોને ચૂંટણીપંચે પણ પરોક્ષ રીતે નકાર્યા પછી રાહુલ ગાંધીએ એક લેખ લખીને ચૂંટણીપંચને કેટલાક પ્રશ્નો પૂૂછયા, અને પુરાવા માંગ્યા, તેના જવાબમાં ચૂંટણીપંચે પણ રાહુલ ગાંધીને મીડિયાના માધ્યમથી વારંવાર ચૂંટણીપંચ નિરાધાર આક્ષેપો કરવાના બદલે ચૂંટણીપંચને વિધિવત પત્ર લખીને રજૂઆત કરવાનું કહેતા મામલો વધુ ગરમાયો છે અને અત્યારે આખી પોલિટિકલ જમાત ચૂંટણીપંચની તરફેણ તથા વિરોધમાં વહેંચાઈ ગઈ હોય, તેમ જણાય છે જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે છુપાવવાથી વિશ્વસનિયતા નહીં વધે, સત્ય બોલવાથી જ વધશે. વિગેરે...
ચૂંટણીપંચના વર્તુળો એવો દાવો કરી રહ્યા છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી આ જ પ્રકારના સવાલ કોંગ્રેસે ઉઠાવ્યા હતા, જેના વિસ્તૃત અને આધારભૂત જવાબો ચૂંટણીપંચે ૨૪મી ડિસેમ્બર ૨૦૨૪ના દિવસે કોંગ્રેસને આપી દેવામાં આવ્યા છે. ચૂંટણીપંચના અધિકારીને ટાંકીને મીડિયાના માધ્યમથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમામ જવાબો આપી દીધા પછી પણ એ જ નિરાધાર પ્રશ્નોના જવાબ માંગવા ચૂંટણીપંચ સાથે પત્રવ્યવહાર કરવાના બદલે મીડિયા સમક્ષ જઈ રહ્યા છે અને લેખ લખી રહ્યા છે, તે યોગ્ય નથી. ચૂંટણીપંચે રાજકીય ૫ક્ષોને વાતચીત માટે બોલાવ્યા તેમાંથી પાંચ પક્ષોએ વાતચિત કરી અને કોંગ્રેસે ૧૫મી મે ની પ્રસ્તાવિત બેઠક રદ કરી દીધી, તેથી ચૂંટણીપંચ સાથે પત્રવ્યવહાર કરવાથી તેઓ કેમ દૂર ભાગી રહ્યા છે ?
હકીકતે બિહારની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાહુલ ગાંધીએ પહેલા તો "બિહારમેં ભી મહારાષ્ટ્ર વાલા ખેલા હોને વાલા હૈ" જેવું નિવેદન કર્યું છે પછી સોશ્યલ મીડિયાના માધ્યમથી ચૂંટણીપંચને મહારાષ્ટ્ર સહિત તાજેતરમાં થયેલી રાજ્યો અને લોકસભાની ચૂંટણીના ડિજિટલ મતદાર યાદી જાહેર કરવા અને મતદાન કેન્દ્રો પરથી સાંજના પાંચ વાગ્યા પછી થયેલા મતદાનના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની ચૂંટણીપંચ સમક્ષ માંગણી કરી તે પછી વાદ-વિવાદ શરૂ થઈ ગયો છે, અને ભારતીય જનતાપક્ષને પણ પ્રશ્નો પુછવામાં આવી રહ્યા છેઃ એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે ભાજપબ્રિગેડ ચૂંટણીપંચના બચાવમાં આટલી બધી આક્રમકતાથી કેમ તૂટી પડી છે ? આખી દાળ જ કાળી છે ?
ચૂંટણીપંચનું કહેવાનું એવું છે કે નિરાધાર આક્ષેપોના વિસ્તૃત જવાબો અપાયા પછી પણ જો ચૂંટણીપંચની છબિ ખરડવાનો પ્રયાસ થતો રહેતો રાત-દિવસ મહેનત કરીને પડકારરૂપ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરતા ચૂંટણીકર્મીઓનું મનોબળ તૂટે છે, તો રાહુલ ગાંધીએ કથિત અનિયમિતતા વર્ણવી તેના પુરાવા છુપાવી દેવાયાનો આક્ષેપ કર્યો, કેટલાક વિશ્લેષકોએ સવાલ ઉઠાવ્યો કે જો ચૂંટણીપંચને છુપાવવા જેવું કંઈ જ નથી, તો રાહુલ ગાંધીએ જે માંગણીઓ કરી છે, તે સંતોષે, ચૂંટણીપંચ કહે છે કે તેઓ મીડિયા રિપોર્ટીંગના આધારે કાર્યવાહી ન કરી શકે, પરંતુ આ અંગે પહેલા કોંગ્રેસની રજૂઆતનો જવાબ અપાઈ જ ગયો છે, અને હજુ પણ રાહુલ ગાંધી ચૂંટણીપંચને લેખિત રજૂઆત કરી શકે છે. અન્ય કેટલાક વિશ્લેષકો કહે છે કે મહારાષ્ટ્રની ચૂંટણી યોજાઈ ગઈ, તેની સામે સવાલો ઉઠાવ્યા હતા, તેના ચૂંટણીપંચે ડિસેમ્બરમાં જવાબો અપાઈ ગયા, તે પછી તો અડધું વર્ષ વીતી ગયું છે, અને હવે ચૂંટણીપંચ સમક્ષ વૈધાનિક રીતે માંગણી કરવાના બદલે મીડિયા માધ્યમથી બન્ને તરફથી જે વાદ-વિવાદ થઈ રહ્યો છે, તે બિહારની ચૂંટણી માટે ફાયદો ઉઠાવવા માટે જ છે.
રાહુલ ગાંધી પરોક્ષ રીતે એવું કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં જે રીતે ગરબડ ગોટાળા કરીને એનડીએનું સ્થાનિક ગઠબંધન જીત્યું, તેવી જ રીતે બિહારમાં થઈ શકે છે, અને તેવું નહીં થાય, તો ભાજપ અને એનડીએનો પરાજય નિશ્ચિત છે. બીજી તરફ જયાં-જયાં વિપક્ષો ચૂંટણી જીતીને સત્તામાં આવે છે, ત્યાં જે ચૂંટણીપંચે ચૂંટણી કરાવી હોય, તેે જ ચૂંટણીપંચ પર જે રાજ્યોમાં વિપક્ષો હારી જાય, ત્યાં આક્ષેપો લગાવવાની રાજનીતિને ઘણાં લોકો અયોગ્ય ગણાવે છે., ત્યારે રાહુલ ગાંધી કહે છે કે જયાં ભાજપ હારવાનું હોય, ત્યાં આ પ્રકારના ગોટાળા થાય છે. હવે જનતાએ નક્કી કરવાનું રહે છે કે કૌન સચ્ચા...કૌન જૂઠા !હમણાંથી એનડીએ સામે પડકારો વધી રહ્યા છે. બરાબર ચૂંટણી ટાણે પલટી મારી જતા નિતીશકુમારનો કોઈ ભરોસો થાય તેમ નહીં હોવા છતાં ભાજપે ત્યાં ગણતરીપૂર્વકની ચાલ ચાલીને ચિરાગ પાસવાનને ઊભા કર્યા છે, પરંતુ હવે ચિરાગે પણ બિહારમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાનો સંકેત આપીને ભાજપને ભીંસમાં લીધો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થઈ જાય, તેવા સંકેતો છે, અને શરદ પવાર સાથે અજય પવારની નજદીકી વધી રહી છે, તેથી ફડણવીસ સરકાર પર પણ તલવાર લટકી રહી છે, દક્ષિણ ભારતમાં પણ ભાજપના પ્રયત્નો એળે જઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, ત્યારે જો બિહારની ચૂંટણીમાં પછડાટ ખાવી પડે, કે બરાબર ચૂંટણી ટાણે પલટી મારવાના વ્યસની થઈ ગયેલા નિતીશકુમાર નવાજૂની કરે કે પછી ચિરાગ પાસવાન વિદ્રોહ કરે તો બિહારની ચૂંટણીની સાથે સાથે કેન્દ્રની એનડીએ સરકારના પાયા પણ હચમચવા લાગે તેવા સંજોગો ઊભા થઈ રહ્યા છે, ત્યારે થોભો અને રાહ જૂઓ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ઈદ-ઉલ-અઝહા, ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશીનો ત્રિવેણી સંગમ છે, અને તેની સાથે-સાથે નગરમાં સેવા અને સુવિધાઓને સાંકળતા સમારોહો અને કાર્યક્રમોનું પણ અદ્ભુત સંયોજન થયું છે, નગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું છે અને તેઓ જનસુવિધાઓ તથા વિકાસના કામોના સામૂહિક લોકાર્પણો અને ખાતમુહૂર્તના કાર્યક્રમો સંપન્ન કરીને હવે જિલ્લાના વહીવટીતંત્ર તથા પદાધિકારીઓ સાથે બેઠકો યોજી રહ્યાં છે, ત્યારે નગરના આગેવાનો તથા શહેર-જિલ્લાના હોદ્દેદારો તથા ઉચ્ચ અધિકારીઓ શહેર અને જિલ્લાનું ફૂલગુલાબી ચિત્ર રજૂ કરવાની સાથે-સાથે શહેર અને જિલ્લાના લાંબા સમયથી અણઉકેલ પ્રશ્નો, સાંપ્રત અને શાશ્વત બની ચૂકેલી સમસ્યાઓ તથા વિવિધ લોકમાંગણીઓ પણ રજૂ કરીને તથા ચર્ચા-પરામર્શ કરીને શક્ય તેટલા વધુ સ્પોટ ડિસિશન એટલે કે સ્થળ પર નિર્ણયો લેવડાવશે, તેવી આશા રાખીએ.
જામનગરની ગઈકાલે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પણ મુલાકાત લીધી અને ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં હાજરી આપી, ત્યારે તેઓની સમક્ષ પણ કેટલાક વ્યાપાર-ઉદ્યોગ અને બંદરોને લગતા પ્રશ્નો અનૌપચારિક રીતે રજૂ થયા હશે, અને તે પછી તેમણે બંદરોના વિકાસ તથા વ્યાપાર-ઉદ્યોગને સંબંધિત પ્રતિભાવો વ્યક્ત કર્યા, તે જોતા નગરજનો અને વ્યાપાર જગતને નવો આશાવાદ જન્મ્યો હશે.
આજે ઈદ-ઉલ-અઝહા નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસના તહેવારોનો ત્રિવેણી સર્જાયો છે, ત્યારે આ ત્રણે તહેવારોનું મહાત્મ્ય સમજાવાઈ રહ્યું છે, અને કેટલાક સ્થળોએ કોમી એખલાસના ભાવુક દૃશ્યો ખડા થઈ રહ્યાં છે, તો પરસ્પર સદ્ભાવ અને સન્માનને સંબંધિત સંદેશાઓ પણ અપાઈ રહ્યાં છે.
મીડિયાના અહેવાલો મુજબ આજે ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડાએ ડો. ઉમર અહેમદ ઈલ્યાસીએ જે માર્મિક અને પ્રેરક સંદેશ આપ્યો છે, તે સાંપ્રત સ્થિતિમાં ઘણો જ પ્રસ્તૂત અને સુસંગત છે. આ તહેવારને સમર્પણ, આજ્ઞાપાલન અને ત્યાગનો તહેવાર ગણાવીને તેઓએ વિવિધ ધર્મોના સામૂહિક સહવાસનો ઉલ્લેખ કરીને એકબીજાનું સન્માન કરવા અંગે જે વિશ્વવ્યાપી સંદેશ આપ્યો, તે બધાએ સાંભળવા અને અનુસરવા જેવો છે.
એવી જ રીતે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશીનું પણ વિશેષ મહત્ત્વ છે. ભીમ અગિયારસ આવે, એટલે ખેડૂતો ખેતીકામ માટે સુસજ્જ થઈ જાય. આ દિવસે લોકો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું પૂજન કરે છે. ભીમ અગિયારસને નિર્જળા એકાદશી પણ કહે છે. ભીમ અગિયારસ તથા નિર્જળા એકાદશીના અલગ-અલગ મહાત્મય પણ ચર્ચાતા હોય છે અને તેના સંદર્ભે વિવિધ ઘણી કથાઓ પણ પ્રચલીત છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણે પોતે પાંડવોને જેઠ સુદ અગિયારસના વ્રતનું મહાત્મય સમજાવ્યુ હતું. બીજી પ્રચલિત કથા વેદવ્યાસ સાથે સંકળાયેલા છે. એવી કથા છે કે, ભીમના પેટમાં પ્રજ્જવલિત રહેતો વૃક નામનો અગ્નિ એટલોે તીવ્ર હતો કે, ભીમ ભૂખ્યો રહી શકતો નહીં હોવાથી દરેક અગિયારસનું વ્રત કરી શકતો નહોતો, તેથી શ્રીકૃષ્ણે વર્ષમાં એક જ અગિયારસ (જેઠ સુદ) કરવાનું કહ્યું હતું, તેથી ૫ાંડવ-ભીમ અગિયારસ કહેવાય છે, તેવી જ રીતે નિર્જળા એકાદશીની વાર્તા સાથે વ્રત કરવાનું મહાત્મય પણ પ્રચલિત છે.
ટૂંકમાં જેઠ સુદ અગિયારસના દિવસે મનાવાતી ભીમ અગિયારસના અને નિર્જળા એકાદશી એક જ સિક્કાની બે બાજુની જેમ પરસ્પર સંકળાયેલી છે.
જામનગરમાં આ ત્રિવેણી સંગમ સેવા-સુવિધાઓની સરવાણી સાથે સંયોજન થયું હોય તેમ આજે કરોડો રૂપિયાના વિકાસકામો તથા સુવિધાઓના લોકાર્પણો અને ખાતમુહૂર્તો થયા છે, હવે જેનું ખાતમુહૂર્ત થયું છે, તે બન્ને રેલવે ઓવરબ્રિજ ઝડપથી બની જાય અને નગરનો ફલાયઓવર બ્રિજ પણ નિર્ધારીત સમયમાં સંપન્ન થઈ જાય, અને ઉતાવળમાં કામ નબળું ન રહી જાય તેવું ઈચ્છિએ, અને તેનું લોકાર્પણ કરવા પણ રાજય કે કેન્દ્રના કોઈ મહાનુભાવોની 'તારીખ' સમયોચિત રીતે મળી જાય, તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરની મુલાકાતે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી રહ્યા છે, તેથી ભાજપ દ્વારા તો આગતા-સ્વાગતાની જોરશોરથી તૈયારી થાય, તે સ્વાભાવિક છે, અને તેઓ મનપા, શિક્ષણ વિભાગ, આઈ.સી.ડી.એસ., એસ.ટી. વગેરે જે-જે વિભાગો-કચેરીઓ હેઠળ આવતા વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણો કરવાના છે, તેના અધિકારી-પદાધિકારીઓ પણ હડિયાપટ્ટી કરે, તેમાં કાંઈ નવું નથી. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કોઈ પક્ષ-પાર્ટી કે સંસ્થાના જ હોતા નથી, પરંતુ આખા રાજ્યની જનતાના મુખ્યમંત્રી હોય છે, અને તેથી જ જામનગરના નગરજનો પણ મુખ્યમંત્રીશ્રીને આવકારવા તલપાપડ છે.
આવતીકાલે જામનગરને ૩૦ જેટલા વિકાસના કામો મળવાના છે, જેમાંથી અઢીસો કરોડ રૃપિયાથી વધુના કામો તો માત્ર જામનગર મહાનગરપાલિકાના છે. જ્યારે પોણા બે કરોડના કામોનું ખાતમુહૂર્ત મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોેલેજની સુવિધાઓ માટે થવાનું છે., તે ઉપરાંત બે સામૂહિક આરોગ્યકેન્દ્રની સેવાઓ નગરજનોને મળવાની શરૃ થશે. તે ઉપરાંત બે વધુ ઓવરબ્રિજ પણ બનવાના છે.
જ્યારે મહાનુભાવો પધારે, ત્યારે તેઓનું સ્વાગત મહેકતા ફૂલોના બૂકે અને ફૂલહારથી કરવામાં આવતુ હોય છે અને સુશોભનમાં ફૂલદાનીઓ ગોઠવવામાં આવતી હોય છે. જામનગરની જનતાએ મુખ્યમંત્રીશ્રીના આગમન સમયે ફૂલદાનીઓની સાથે-સાથે જાણે વેલકમ "સવાલદાની" તૈયાર કરી હોય, તેમ કેટલીક સાંપ્રત અને શાશ્વત સમસ્યાઓને લઈને કેટલાક આશાવાદી સવાલો પણ નગરજનોના મનમાં સળવળી રહ્યા છે.
જામનગરમાં હમણાથી દબાણ હટાવ ઝુંબેશો ચાલી રહી છે અને રિવરફ્રન્ટ, પહોળા માર્ગો તથા સંકલન સુવિધાઓ અને વિકાસ યોજનાઓ માટે જગ્યા ખાલી કરાવાઈ, ત્યારે ખબર પડી કે કેવડી મોટી જમીનો પર દબાણો ખડકાઈ ગયા હતા...આ દબાણો ખડકાવા દેવા બદલ કોઈની જવાબદારી નક્કી થઈ શકે ખરી ? આ દબાણો તો હટાવ્યા, પરંતુ હજુ પણ નગરમાં મસમોટા દબાણો છે ખરા ? જો હજુ અન્ય દબાણો હોય, તો તેને હટાવવાની કોઈ યોજના વિચારાઈ રહી છે ખરી ?
જામનગરમાં વિકટોરીયા પુલથી સાતરસ્તા થઈને જે ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઈ રહ્યો છે, તે જૂન મહિનામાં સંપન્ન થઈ જશે, તેવો દાવો કરાયો હતો, પરંતુ હવે જ્યારે વિવિધ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તો માટે મુખ્યમંત્રીનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે, અને હજુ ફ્લાયઓવર બ્રિજનું કામ સંપન્ન થયું નથી, તેથી નગરજનોના મનમાં સવાલ ઊઠી રહ્યો છે, કે જૂન મહિનામાં ફ્લાયઓવર બ્રિજ સંપન્ન થવાનો દાવો જુઠ્ઠો પડવાનો છે, કે જુલાઈમાં તેનું લોકાર્પણ કરવા કોઈ રાષ્ટ્રીય કક્ષાના નેતા આવવાના છે ?
જામનગરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારણ છેલ્લા કેટલાક સમયથી કેટલાક કડક કદમ ઉઠાવાઈ રહ્યા છે, પરંતુ તે હજુ પર્યાપ્ત જણાતા નથી. નગરમાં ઠેકઠેકાણે ઘાસ વેચાતુ અને ગમે ત્યાં લોકો ઘાસ નાખતા હોવાથી ઠેર-ઠેર ગાયોના ટોળાં એકઠા થતા હતા, તેમાં થોડો અંકુશ આવ્યો છે, પરંતુ હજુ સમગ્ર શહેરમાંથી આ સમસ્યા નિવારી શકાઈ નથી તે ઉપરાંત શહેરમાં આવારા કૂતરાઓનો ત્રાસ પણ વધી રહ્યો છે. જો કે, આ સમસ્યા નિવારવા માટે રખડુ શ્વાનોના ખસીકરણની દિશામાં તંત્રો આગળ વધ્યા છે, પરંતુ તેનાથી આ સમસ્યા ત્વરીત નાબૂદ થવાની નથી. તે ઉપરાંત જયાંથી ફ્લાયઓવર બ્રિજ પસાર થતો નથી, તેવા કેટલાક સર્કલો તથા માર્ગો પર પણ ચોક્કસ સમય માટે ટ્રાફિકજામની રોજીંદી સમસ્યા છે. આ તમામ શાશ્વત સમસ્યા નિવારવા પણ મુખ્યમંત્રીશ્રી મનપાને "માર્ગદર્શન" આપશે તેવી આશા નગરજનો રાખી રહ્યા છે.
અત્યારે પ્રિ-મોન્સૂન કામગીરી ચાલી રહી છે, અને એકાદ પખવાડિયામાં વરસાદી મોસમ શરૃ થઈ જવાની છે, ત્યારે નગરની ભૂગર્ભગટરો તથા પાણીની નહેરો તેમજ વરસાદી પાણીના નિકાલના તમામ સ્થળોની સફાઈ કરીને અને અવરોધો હટાવીને જલપ્રવાહના માર્ગો ખુલ્લા રહે, તે સુનિશ્ચત કરવું જરૃરી છે.
જો કે, કેટલીક સમસ્યાઓ મહાનગરપાલિકા સ્તરની છે, જ્યારે કેટલીક સમસ્યાઓ જિલ્લા કે રાજ્ય કક્ષાની છે, પરંતુ જ્યારે નગરથી નેશન સુધી ત્રિપલ એન્જિનની સરકાર છે, ત્યારે મુખ્યમંત્રીનું આગમન થાય, ત્યારે તમામ નેતાઓ, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ એકત્રિત થાય, ત્યારે નગરની નવી અને જુની, સાંપ્રત અને શાશ્વત સમસ્યાઓનો પરામર્શ કરીને જો "સ્પોટ ડિસિશન" એટલે કે સ્થળ પર જ નિર્ણયો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લેવાઈ જાય, તેવી નગરજનોની અપેક્ષા છે, જોઈએ, મુખ્યમંત્રીશ્રી તેમના નૂતન અભિગમ જામનગરમાં અજમાવે છે કે નહીં તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
આઈ.પી.એલ.માં ૧૮ વર્ષે આર.સી.બી. ચેમ્પિયન બની અને તેની ઉજવણી દેશભરમાં થઈ, પરંતુ બેંગલુરૂમાં આ ઉજવણી કલંકિત બની ગઈ અને નાસભાગમાં કેટલીક જિંદગીઓ છીનવાઈ ગઈ, તેથી એ રોમાંચક આનંદની પળો અચાનક રૂદન અને આક્રોશમાં પલટાઈ ગઈ, ત્યારે ચારે તરફથી એક જ સવાલ પુછાઈ રહ્યો હતો કે આનું જવાબદાર કોણ ? બી.સી.સી.આઈ., સરકાર કે આયોજકો ?
ઘટનાક્રમ થોડા જ સમયમાં બી.સી.સી.આઈ., આઈ.પી.એલ. ના આયોજક કર્ણાટક સરકારે પણ હાથ ઊંચા કરી દીધા અને જે પોલિટિકલ બ્લેઈમ ગેઈમ શરૂ થઈ ગઈ, તેથી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોની વેદનામાં વધારો કર્યો અને તેથી ઘાવ પર નિમક ભભરાવવા જેવી હરકતો જવાબદાર મોટા માથાંઓ કરી બેઠા.
આક્ષેપો-પ્રત્યાક્ષેપો વચ્ચે દેશ-દુનિયામાં ભાગદોડ મચતા થયેલા સામૂહિક મૃત્યુની ગમખ્વાર અને બિહામણી યાદ તાજી થઈ ગઈ. આ વર્ષે જ જાન્યુઆરીમાં પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ થતા ૩૦ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું હતું. વર્ષ ૨૦૨૪ના જુલાઈમાં હાથરસના એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડ થતા ૧૦૭ જેટલા ભાવિકોના જીવ ગયા હતા. મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના પ્રસંગે એક યજ્ઞના આયોજન સમયે એક પ્રાચીન કૂવાની છત તુટી જતા ૩૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ ૨૦૨૨માં કસાના વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ થતા ૧૨ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા. તે પહેલાં પણ ઘણી આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાઈ હતી, જેમાં મુખ્યત્વે વર્ષ ૨૦૧૫માં આંધ્રપ્રદેશના રાજમુંદરીમાં ગોદાવરી તટે થયેલી ભાગદોડમાં ૨૭ લોકોના મૃત્યુ તથા વર્ષ ૨૦૧૪માં પટણાના ગાંધીમેદાનમાં દશેરા પ્રસંગે થયેલી ભાગદોડમાં ૩૨ લોકોના મૃત્યુ થયા હતા. તે ઉપરાંત પ્રયાગરાજના મહાકુંભના સમયગાળામાં જ દિલ્હીના રેલવેસ્ટેશને થયેલી ભાગદોડમાં ૧૮ લોકોના જીવ ગયા હતા. એ જ રીતે ક્યારેક સેલિબ્રિટીઝના કાર્યક્રમમાં, કયારેક ધાર્મિક-સામાજિક પ્રસંગે તો ક્યારેક કોઈ ઉજવણી દરમ્યાન થતી ભાગદોડમાં થયેલી ખુવારીની યાદી ઘણી લાંબી છે.
એવું નથી કે ભારતમાં જ ભાગદોડની જીવલેણ ઘટનાઓ બને છે, પરંતું ભારતમાં થતી આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પછી પણ કોઈ કાંઈ શીખ્યું નથી. ઈન્ડોનેશિયામાં વર્ષ ૨૦૨૨માં ફૂટબોલ સ્ટેડિયમમાં ભાગદોડ થતા સવાસો લોકો માર્યા ગયા હતા., જ્યારે દ. કોરિયામાં તે જ વર્ષે સિયોલમાં હૈલોવીન સમારોહમાં નાસભાગ થવાથી દોઢસોથી વધુ લોકોના જીવ ગયા હતા. બ્રિટેનના હિલ્સબેરો સ્ટેડિયમમાં પણ વર્ષ ૧૯૮૯માં થયેલી ભાગદોડમાં ૯૬ લોકોના મૃત્યુ થયા હતા. આમ, રમતગમત સાથે સંકળાયેલ ભાગદોડથી થતા મૃત્યુની પણ ઘણી ઘટનાઓ ઈતિહાસમાં નોંધાયેલી છે.
સાઉદી અરેબીયાના હજયાત્રીઓની સંખ્યા વધી જતા ભાગદોડમાં ઘણાં લોકોના મૃત્યુ થયા હોય, તેવી પણ ઘણી ઘટનાઓ નોંધાઈ છેઃ એ જ રીતે વિશ્વના જુદા-જુદા દેશોમાં બનેલી ભાગદોડની ઘટનાઓના કારણો અને પરિબળો અલગ-અલગ હોઈ શકે છે. ક્યાંક ધાર્મિક-સામાજિક કાર્યક્રમોમાં ઝડપથી દર્શન-પૂજા કરવા કે ક્યાંક મનોરંજન, ખેલજગતના કાર્યક્રમોમાં, ક્યાંક ભરતી મેળાઓમાં તો ક્યાંક કુદરતી કે કૃત્રિમ આફતો કે ભય ફેલાતા ભાગદોડની સ્થિતિ સર્જાતી હોય છે, જેના મૂળમાં મોટેભાગે ભાવનાત્મક માનસિકતા જ રહેલી હોય છે.
આ પ્રકારની પ્રત્યેક ઘટના પછી સિયાસત શરૂ થઈ જતી હોય છે અને રાજકીય પક્ષો આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરવા લાગે છે, જેથી આ મુદ્દો રાજકીય બની જતા સંવેદનાઓ તથા અસરગ્રસ્તોનો વિડંબણાઓ ગૌણ બની જાય છે. સરકારો તપાસ સમિતિઓ નિમે છે, સહાયની જાહેરાત કરે છે, દુઃખ વ્યક્ત કરતા નિવેદનો આવે છે, અને થોડા સમય પછી બધું ભુલાઈ જતું હોય છે. આ પ્રકારની ભૂતકાળમાં બનેલી ઘટનાઓ પછીની તપાસોમાં કેટલા દોષિત ઠર્યા, અને કોને-કેટલી સજા કે દંડ થયો, તે ભાગ્યે જ બહાર આવતું હોય છે.
આ પ્રકારની ઘટનાઓ પછી સિયાસત નહીં, પણ શાણપણની જરૂર હોય છે અને આ પ્રકારના કોઈ પણ કાર્યક્રમો, મેળાવડાઓ, ભરતીમેળાઓ, ઉજવણીઓ, દર્શન, મનોરંજન કે કોઈપણ ભીડભાડ થાય, તેવા સ્થળે જતા લોકોએ પણ સ્વયંશિસ્ત, ધીરજ અને શાણપણ દાખવવું અત્યંત જરૂરી હોય છે. ભાવનાઓ, ઉન્માદ, ઉત્સાહ, ભય કે આશંકાઓ અતિરેક ઘણી વખત જીવલેણ બને છે અથવા ગંભીર પરિણામો લાવે છે.
આ પ્રકારની દુર્ઘટનાઓ પછી જયારે જયારે રાજકીય નિવેદનબાજી થાય છે, ત્યારે ત્યારે નેતાઓ એ ભૂલી જાય છે કે તેઓના નિવેદનો જે તે દુર્ઘટનાના પીડિતો અને મૃતકોના પરિવારો માટે કષ્ટદાયી બનતા હોય છે અને તેઓની વેદનામાં વધારો કરતા હોય છે. સામાન્ય રીતે આ પ્રકારની દુર્ઘટના પછી જવાબદાર સરકારો તરફથી કે શાસકપક્ષો તરફથી ભૂતકાળમાં તેના પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોના શાસનમાં મચેલી ભાગદોડ અને તેમાં થયેલી ખાનાખરાબીની વિગતો આપીને લૂલો બચાવ કરાતો હોય છે, પરંતુ અગાઉ થયેલી ઘટનાના કારણે હાલ ની દુર્ઘટનાને જસ્ટીફાઈ કરી શકાતી નથી અને ભૂતકાળની એ ભાગદોડમાંથી પોલિટિક્સ લોબી કાંઈ શીખી જ નથી, તેમ પણ પુરવાર થાય છે. બેંગલોરની આ ઘટના સમયે તો આર.સી.બી. ક્રિકેટ ટીમ, તેના ફ્રેન્ચાઈસીઝ અને રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પણ પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોવાથી દુર્ઘટનાની ગંભીરતા વધુ વધી જાય છે., તેથી હવે "જાગ્યા ત્યાંથી સવાર" માનીને અને જવાબદારો સામે હકીકતમાં કડક પગલાં ભરીને પછી પણ આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા રાષ્ટ્રીય જન જાગૃતિના પ્રયાસો કરવા જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આઈ.પી.એલ.-૨૦૨૫ ટૂર્નામેન્ટમાં બેંગ્લોરની ટીમ વિજેતા બની અને પંજાબની ટીમ માત્ર છ રને હારી ગઈ, તેની સાથે જ આર.સી.બી.ને ૧૮ વર્ષે પ્રથમ વખત આ સિદ્ધિ હાંસલ થઈ, તેની ચર્ચા વચ્ચે આ વર્ષે પણ ચોમાસંુ અધવચ્ચે અટવાઈ પડ્યું, તેના કારણો અને તારણો ચર્ચાઈ રહ્યા છે. કેરળમાં ચોમાસંુ વહેલું પહોંચ્યુ અને બીજી તરફ પૂર્વોત્તરના રાજ્યોમાં ૨૪ કલાકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ રહી છે, અને ગુજરાતમાં પણ હળવા વરસાદનો વર્તારો છે, પરંતુ રાજ્યમાં વિધિવત્ રીતે ચોમાસંુ ક્યારે બેસશે, તે અંગે અલગ-અલગ મંતવ્યો વ્યક્ત થઈ રહ્યા છે.
દેશના પૂર્વોત્તર રાજ્યોમાં તો ઘણા સ્થળે આસમાનમાંથી આફત વરસી હોય, તેમ ભારે વરસાદ અને પૂરના કારણે સરહદી સુરક્ષા માટે તૈનાત સૈન્યના ત્રણ જવાનો શહીદ થયા અને બીજા કેટલાક ગૂમ થયા છે, તેવા અહેવાલો પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન આકાશી વીજળીના પ્રકોપની તિવ્રતા દર્શાવે છે. સિક્કિમમાં ફસાયેલા એક હજાર જેટલા પર્યટકોને બચાવવા તો સેનાની મદદ લેવી પડી રહી છે, તો મીઝોરમમાં થતા લેન્ડ સ્લાઈડે જનજીવન વેરવિખેર કરી નાખ્યું છે. આસામમાં પણ વરસાદી આફતે ડઝનેક લોકોનો ભોગ લીધો હોવાના અહેવાલો છે, તો ભારત-ચીન સરહદે આવેલા અરૂણાચલપ્રદેશમાં તો રેસ્ક્યુ ઓપરેશન માટે ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરોની મદદ લેવી પડી રહી છે, જે દર્શાવે છે કે પ્રકૃતિના પ્રકોપ સામે માનવી કેટલો વામણો છે.
દેશમાં એક તરફ વરસાદના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, તો બીજી તરફ ભારે વરસાદ તથા ભૂસ્ખલન અને ભારે પૂર તબાહી મચાવી રહ્યા છે. આ કુદરતી અનિશ્ચિતતાઓ વચ્ચે કોરોનાનું સંક્રમણ એક વખત ફરીથી વધવા લાગતા લોકોમાં ધીમે-ધીમે ગભરાટ ફેલાવા લાગ્યો છે, તો પ્રારંભમાં બહુ ગંભીર નહીં જણાતા આરોગ્ય અને તબીબી ક્ષેત્રના સરકારીતંત્રો પણ હડિયાપટ્ટી કરવા લાગ્યા છે.
જો કે, ગુજરાત સહિત દેશમાં હાલમાં કોરોનાના જે કેસ નોંધાઈ રહ્યા છે, તે પૈકી મોટા ભાગના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર અપાઈ રહી છે, અને અત્યંત જરૂરી જણાય તેવા દર્દીઓને જ હોસ્પિટલમાં તૈયાર કરાયેલા અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. એ ઉપરાંત દર્દીઓ ઝડપભેર સારવાર મેળવીને કોરોનામૂક્ત પણ થઈ રહ્યા છે. તેમ છતાં લોકોને પૂરેપૂરી સાવચેતી રાખવા, વારંવાર હાથ ધોવા અને હવે તો સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની સલાહ પણ અપાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગભરાવાની જરૂર નથી, પણ સતર્ક તો રહેવું જ પડે તેમ છે !
કોરોનાનો કહેર વધી રહ્યો છે. અને બીજી તરફ વરસાદની આગાહીઓ પણ હતી. તેથી આઈ.પી.એલ.ની ફાયનલમાં વરસાદનું વિઘ્ન નડશે, અથવા કોરોનાની કોઈ કડક ગાઈડલાઈન્સ આવશે, તો શું થશે ? તેવી એકાદ અઠવાડિયાથી જે ચિન્તાઓ અને આશંકાઓ વ્યક્ત થઈ રહી હતી, તેનો અંત આવ્યો અને દેશભક્તિના ગીતના રંગારંગ કાર્યક્રમ પછી ફાયનલ પણ રમાઈ ગઈ અને આર.સી.બી.નું સપનું સિદ્ધ થઈ ગયું, જ્યારે પંજાબ કિંગ્સનું સપનું રોળાઈ ગયું.
ઓપરેશન સિંદૂરના કારણે અત્યારે દેશમાં દેશભક્તિનો માહોલ છવાયો છે અને બી.સી.સી.આઈ.એ પણ દેશની રક્ષા માટે ઘરબાર છોડીને સરહદે તૈનાત જવાનો, તેના પરિવારો અને દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે તૈનાત તમામ સુરક્ષાદળોના જવાનો તથા શહીદો અને તેના પરિવારજનોને ગીત-સંગીત અને શબ્દોના માધ્યમથી જે રીતે ગરિમામય શ્રદ્ધાંજલિ આપી, તેના કારણે અમદાવાદમાં આ વર્ષે રમાયેલી આઈ.પી.એલ.ની ફાયનલ મેચ પણ યાદગાર બની ગઈ છે. જે લોકોને ક્રિકેટમાં રસ ન હોય, કે બહુ વ્યસ્ત રહેતા હોય તેવા લોકોએ પણ ગઈકાલની આઈ.પી.એલ. ફાયનલનું જીવંત પ્રસારણ નિહાળ્યું. તે આપણા દેશની જનતામાં ધબકતી અને પનપતી દેશદાઝ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરે છે.
આઈ.પી.એલ.ની સિઝન પૂરી થઈ ગઈ અને મજા માણી લીધી, હવે આવી રહેલા ચોમાસા તથા વકરી રહેલા કોરોનાને લક્ષ્યમાં લઈને માત્ર તંત્રોએ જ નહીં, લોકોએ પણ સતર્ક થઈ જવાની જરૂર છે. જો હજુ વધુ સંક્રમણ ફેલાય, તો એવા સરકારી કાર્યક્રમોને ટાળવાની જરૂર છે, જેમાં વધુ લોકો એકત્રિત થતા હોય. ખાસ કરીને જે વિસ્તારોમાં સંક્રમણ વધુ ફેલાય, ત્યાં તો રેલીઓ, સભાઓ, યાત્રાઓ, પ્રદર્શનો અને કાર્યક્રમો ટાળવા જ જોઈએ. જો રાજનેતાઓ અન સરકારીતંત્રો જ કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં જનમેદની એકઠી કરતા રહેશે, તો સામાન્ય જનતાને ગાઈડ લાઈન્સ આપવાનો મતલબ જ નહીં રહે. જો કે, હજુ આપણે ત્યાં કોરોનાનો પ્રકોપ એટલો બધો ગંભીર બની રહ્યો નથી, પરંતુ વિકટ પરિસ્થિતિને ટાળવા વહેલાસર જાગી જવું પણ જરૂરી હોય છે.
જામનગરમાં તો ડેન્ટલ કોલેજના ચાર સ્ટુડન્ટ્સને એક સાથે કોરોના થતા તેઓની સારવાર કરાઈ અને આઈસોલેટ કરાયા, અને નગરમાં ગઈકાલ સુધીમાં વીસથી વધુ લોકો કોરોનાની ઝપટે ચડ્યા, તે અહેવાલો પછી તંત્રે ડોર-ટુ-ડોર સર્વેક્ષણ કરવાની જરૂર પણ જણાવાઈ રહી છે, કારણ કે આ વખતે કોરોના જેવા લક્ષણો દેખાવા છતાં ઘણાં લોકો તેનો લેબ ટેસ્ટ કરાવી રહ્યા નહીં હોય અને તે કારણે સંક્રમણ ગૂપચૂપ ફેલાઈ રહ્યું હશે. કમ-સે-કમ મેડિકલ ટીમો તથા કોરોનાકાળની જેમ ધન્વન્તરિ રથો સતત મોકલીને કોરોનાના શંકાસ્પદ કેસો શોધવામાં આવશે, તો આ ધીમી ગતિએ ગૂપચૂપ ફેલાતું સંક્રમણ વધુ પ્રસરતુ અટકાવી શકાશે, તેવા અભિપ્રાયોને અવગણવા જેવા નથી.
આગામી વરસાદની સિઝન અને કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને માત્ર વીડિયો કોન્ફરન્સો, મિટિંગો અને સમીક્ષાઓ કરીને જ નહીં ચાલે, પરંતુ જરૂરી કાર્યવાહી અને પ્રક્રિયા થતી જમીન પર પણ દેખાવી જોઈએ. વાતોના વડા કરવા કે લોકોને માત્ર સલાહો કે માર્ગદર્શિકા આપતા રહેવાના બદલે તંત્રોએ નક્કર કામ પણ કરવું પડશે. મુખ્યમંત્રી કે કોઈ વી.આઈ.પી. આવવાના હોય, તેની વ્યવસ્થાઓમાં વ્યસ્ત તંત્રોએ પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને પણ પ્રાયોરિટી નક્કી કરવી જોઈએ. અને જરૂર પડ્યે મોટા મેળાવડા કે જનમેદનીઓના આયોજનો ટાળવા જોઈએ, તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ભારતીય શેરબજારમાં પ્રારંભિક પીછેહઠ પછી પણ ડોલર સામે રૂપિયો મજબૂત જણાયો અને સોનાના ભાવોમાં તેજીના કારણે સ્થાનિક અને વૈશ્વિક આશાવાદ જાગ્યો હતો અને વૈશ્વિક અનિશ્ચતતાઓ વચ્ચે પણ ભારતીય રિઝર્વબેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો થવાના સંકેતોના કારણે હકારાત્મક સંભાવનાઓની અપેક્ષાઓ જાગી હતી. બીજી તરફ ટ્રમ્પ ટેરિફ તથા ચીન દ્વારા કેટલીક વસ્તુઓની નિકાસબંધીના કારણે વૈશ્વિક માર્કેટની અનિશ્ચતતાઓની અસરો પણ સ્થાનિક માર્કેટો તથા આર્થિક પ્રવાહો પર પડી રહી છે. આ ઉતાર-ચઢાવની પરિસ્થિતિ વચ્ચે ભારતીય ઈકોનોમિની પ્રગતિ અને સિક્કાની બીજી બાજુની ચર્ચાના સંદર્ભે એક આંતરરાષ્ટ્રીયકક્ષાનો રિપોર્ટ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
એક તરફ કેન્દ્ર સરકારે ખાદ્યતેલો પરની આયાત ડ્યુટીમાં ૧૦%નો ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યા પછી દસ-પંદર દિવસમાં ખાદ્યતેલોના રિટેલ ભાવોમાં પાંચ-સાત ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે, જ્યારે યુક્રેને રિશયા પર કરેલા તાજા ભયાનક ડ્રોન હૂમલા પછી વકરેલી સ્થિતિમાં ક્રુડના ભાવો ઉંચકાશે, તેવી સંભાવનાની અસરો ઈંધણના ભાવો પર પડશે, જેની વ્યાપક અસરો અન્ય ચીજવસ્તુઓની કિંમતો પર પણ થશે, તેવી આશંકાઓ ઊભી થઈ રહી છે.
ભારત વિશ્વની ચોથી ઈકોનોમી બની હોવાનું ગૌરવ લેવાયા પછી જાપાન સાથે લગભગ સમકક્ષ અર્થવ્યવસ્થાની ચર્ચા વૈશ્વિક કક્ષાએ થઈ રહી છે, ત્યારે ભારતની ઈકોનોમિક પ્રોસેસ તથા ઝળહળતી સફળતાના દાવાઓના સિક્કાની બીજી બાજુ પણ એક વૈશ્વિક રિપોર્ટને ટાંકીને વર્ણવાઈ રહી છે.
જો કે, એ રિપોર્ટ ક્લાઈમેટ ચેઈન્જ, ગ્લોબલ વોર્મિંગ તથા તેની વિશ્વના જનજીવન પર થતી અસરોને સાંકળતા સર્વેક્ષણોના તારણો પર આધારિત છે, પરંતુ તે રિપોર્ટ ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપી પ્રગતિની સિક્કાની બીજી બાજુ પણ ઉજાગર કરે છે.
મીડિયા અહેવાલો મુજબ ડિસેમ્બર ૨૦૨૪ થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી યેલ-સીવોટર દ્વારા ક્લાઈમેટ ચેઈન્જ એટલે કે આબોહવા પરિવર્તનની અસરો હેઠળ ઊભી થતી દુષ્કાળ, અછત-અર્ધઅછત જેવી પરિસ્થિતિના કારણે ખોરાકની સ્કેરસિટી તથા ભૂખમરામાં થતો વધારો માપવા અન તેની ગંભીરતા દર્શાવવા આ સર્વે કરાવ્યો અને તેનો રિપોર્ટ જાહેર કર્યો હોવાના અભિપ્રાયો વચ્ચે આ રિપોર્ટ આજે ભારતના સંદર્ભમાં ચર્ચા, સંશોધન અને વિશ્લેષણનો વિષય બની ગયો છે.
આ રિપોર્ટ મુજબ વર્ષ-૨૦૨૪નું વર્ષ ભારત માટે ગરમ રહ્યું હતું અને તાપમાન સામાન્ય કરતા ૦.૬૫% વધુ રહ્યું હતું, જેનો સામનો ૭૧% ભારતીયોએ કર્યો હતો. આ રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ખોરાકની અછત અને દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો ભારતીયોને પણ કરવો પડ્યો હતો અને ૩૮% જેટલા ભારતીયો ભૂખમરાનો ભોગ બન્યા હતા.
આ રિપોર્ટને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેઈન્જની માઠી અસરો માત્ર ખોરાક પર જ નહીં, સાર્વત્રિક રહી હતી. ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતની પોણા ભાગની વસતિ એટલે કે લગભગ ૧૦૦ કરોડ લોકો શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પોષક આહારની અછતથી પીડાઈ રહ્યા છે. જે પૈકી ૮૦ કરોડ લોકોને સરકાર દ્વારા નિયમિત રાશન અપાઈ રહ્યું છે. ખેતીવાડીમાં જંતુપ્રકોપ તથા ખેતીપાકોમાં રોગોનો સીધો પ્રભાવ ૬૦% વસતિ પર પડ્યો હતો, જેની માઠી અસરો વધુ વ્યાપક બની હતી. તાપમાન વધતા ગરમીના પ્રકોપનો ભોગ ૭૧% ભારતીયો થયા હતા. વીજળીના ધાંધીયાથી ૫૯% લોકો પરેશાન થયા હતા. પ્રદૂષિત પાણીન પરેશાની ૫૩% ભારતીયોએ ભોગવી હતી. વાયુ પ્રદૂષણનો ભોગ ૫૨% ભારતીયો બન્યા હતા.
બીજી તરફ વર્લ્ડ બેંકને ટાંકીને થઈ રહેલી ચર્ચા મુજબ ભારતે વર્ષ ૨૦૨૩ સુધીમાં અત્યંત ગરીબીમાં ૩.૪% નો ઘટાડો કર્યો હતો, જ્યારે આ તાજા ચર્ચાસ્પદ સર્વેક્ષણ મુજબ ભારતમાં ભૂખમરાની સ્થિતિ સર્જાવા ઉપરાંત ખેતીવાડીમાં જંતુઓના આક્રમણ તથા કૃષિ પાકના રોગોથી બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું હતું. જે લોકો ગરીબીની રેખાથી થોડા ઉપર આવ્યા છે, તેઓને પણ હજુ પૂરતું (પેટભર) ભોજન નહીં મળતું હોવાથી ૮૦ કરોડ લોકોને નિઃશુલ્ક રાશન આપવું પડી રહ્યું છે, જે સ્થિતિની વિષમતા અને ગંભીરતા દર્શાવે છે.
જો કે, ભારતમાં ક્લાઈમેટ ચેઈન્જનો અલગ સરકારી વિભાગ હોવા છતાં હજુ ૩૦%થી વધુ ભારતીયો આ અંગે કાંઈપણ જાણતા નથી., પરંતુ કાર્બન ઉત્સર્જનમાં ભારત સરકારની પોલિસીને અડધાથી વધુ ભારતીયો સમર્થન આપે છે.
પર્યાવરણ ક્ષેત્રે દેશમાં જાગૃતિ વધી રહી છે અને ૯૩% લોકો પર્યાવરણ બચાવવા માટે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ અને પર્યાવરણને અનુકૂળ પ્રતિમાઓનું નિર્માણ અને વિસર્જન, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જેવા પગલાંઓને સમર્થન આપે છે, તે ઉપરાંત ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા, પાણીનો બગાડ અટકાવવા, ઊર્જાબચત તથા બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ વધારવા જેવા તમામ કદમને મોટા ભાગના ભારતીયો સમર્થન આપે છે. વર્ષ ૨૦૧૫ના પેરિસ એન્જીમેન્ટને પણ ૭૦%થી વધુ ભારતીયોનું સમર્થન છે.
જરૂર છે આ પ્રકારના સર્વેક્ષણો દરમ્યાન આપેલા સમર્થનને વળગી રહીને આપણા પરિવાર, સમાજ તથા રહેણાંક-વ્યવસાય કે અન્ય પ્રવૃત્તિઓના સ્થળે તેનો ચૂસ્ત અમલ કરવાનો !
ભારત ભલે હજુ ત્રીજી અર્થવ્યવસ્થા બની જાય, અને આપણે તેનું ગૌરવ પણ લઈએ, પરંતુ ગરીબી અને ભૂખમરાનું અસ્તિત્વ રહે, ત્યાં સુધી એ સિદ્ધિ અધુરી જ ગણાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશના સી.ડી.એસ. જનલર ચૌહાણે ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતની કયાં ભૂલ થઈ, કયાં સુધારો કર્યો અને કેટલું નુકસાન થયું, તે અંગે વિદેશની ધરતી પરથી કરેલા એક નિવેદનના કારણે દેશભરમાં વિવાદનો વંટોળીયો ઊભો થયો છે અને આ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તે અંગે સવાલો પૂછ્યા, તો ભાજપના તમતમી ઉઠેલા નેતાઓએ ખડગે સામે નિવેદનબાજી શરૂ કરી અને તેની સામે કોંગ્રેસના નેતાઓની ફોજ પણ મેદાનમાં આવી, અને અત્યારે દેશમાં આ મુદ્દે થઈ રહેલી ગરમાગરમ ચર્ચાએ દેશ-વિદેશમાં ભારે ચર્ચા જગાવી છે.
એક તરફ ભારતના વિપક્ષી નેતાઓ તથા શાસકપક્ષના નેતાઓ વિવિધ દેશોમાં ફરી ફરીને પાકિસ્તાનનો નકાબ ચીરીને વાસ્તવિકતા વર્ણવી રહ્યા છે તો, બીજી તરફ એક વખત ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાનને વ્યાપાર (ટ્રેડ)ની ચિમકી આપીને પોતે યુદ્ધ અટકાવી દીધું હોવાની વાત કરી છે, તેથી દેશમાં ભ્રમ, ગેરસમજ અને ગુંચવણભર્યો માહોલ ઊભો થઈ રહ્યો છે, ત્યારે સરકાર હજુ ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી, તેથી અધવચ્ચેથી કેટલીક સિક્રેટ માહિતી સાર્વજનિક ન કરી શકાય, તેથી સંસદના વિશેષ સત્રની જરૂર નથી, તેવું જણાવી રહી છે ત્યારે વિપક્ષના કેટલાક નેતાઓ કહે છે કે એવું હોય તો વિપક્ષો સાથે બંધ બારણે બેઠક યોજીને વાસ્તવિક વિગતો પૂરી પાડીને સરકાર સ્થિતિ સ્પષ્ટ કરે એ જરૂરી છે, કારણ કે જો દેશમાં જ અવિશ્વાસ અને અનિશ્ચિતતાનો માહોલ ઊભો થશે, તો દુશ્મન (પાકિસ્તાન)નો મુકાબલો કરવો અઘરો પડશે, અને દેશની જનતામાં પણ ખોટો સંદેશ જશે, જે દેશની એકતા, અખંડિતતા અને સૌહાર્દ માટે ઠીક નહીં ગણાય.
એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે દેશની પોલિટિકલ નેતાગીરી અને ભારતીય સેના વચ્ચે બધું બરાબર જણાતું નથી. થોડા સમય પહેલા એરચીફે દેશના સંરક્ષણ સોદાઓમાં સમયબદ્ધતા જળવાતી નથી, તેવી વાત કરી, તો દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્વારા જો એવું સ્વીકારાયું હોય કે ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતને પણ નુકસાન થયું હતું, જ્યારે કેન્દ્ર સરકાર કે સંરક્ષણ મંત્રાલય તરફથી આ પ્રકારની કંઈ જ વાત થઈ નથી, પૃષ્ટિ પણ થતી નથી, તેથી લોકોને એવું લાગે છે કે કાંઈક તો રંધાઈ રહ્યું છે. બીજી તરફ સરકારની ચૂપકીદી વચ્ચે ભાજપના પ્રવક્તાઓ સવાલો ઉઠાવનારને સામે જ સવાલોની ઝડી વરસાવીને તેઓને રાષ્ટ્રવિરોધી ઠરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે.
આ તમામ ઘટનાક્રમોના કારણે દેશમાં જે આશંકાઓ, અવિશ્વાસ તથા ગુંચવણ ઊભી થઈ રહી છે, તે કોઈ પણ રીતે દેશ હિતમાં નથી. માત્ર વિદેશ મંત્રાલયના પ્રવક્તાઓ અને સેનાના પ્રવકતાઓ દ્વારા યોજાતી પ્રેસકોન્ફરન્સમાં રજૂ થતી વિગતો પછી પણ સરકારકક્ષાએ જે સવાલો ઉઠતા હોય, તેનું સમાધાન કરવા કમ-સે-કમ કેન્દ્ર સરકારે તત્કાળ સર્વપક્ષીય બેઠક યોજીને પબ્લિક (જાહેર) નહીં કરવાની શરતે વાસ્તવિકતાઓ રજૂ કરીને વિપક્ષોને પણ વિશ્વાસમાં લેવા જોઈએ, તેવો તટસ્થ અભિપ્રાય પણ વિદેશનીતિના જાણકારો તથા યુદ્ધક્ષેત્રના તજજ્ઞો દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે, જે કેન્દ્ર સરકારે લક્ષ્યમાં લેવો જ જોઈએ.
કોઈ પણ પ્રકારનું યુદ્ધ થાય, તો તેમાં બન્ને પક્ષે થોડા-ઘણાં અંશે પક્ષે ખુવારી તો થતી જ હોય છે અને દુશ્મનને તબાહ કરી દીધા પછી તેની વિગતોની સાથે આપણે ભલે થોડી નુકસાની થઈ હોય તો તે પણ વર્ણવવી જોઈએ, તેવા મંતવ્યો આવી રહ્યા છે.
કારગીલ યુદ્ધમાં બન્ને પક્ષે થયેલી ખુવારી તથા થયેલ કાર્યવાહી અંગે એક સમિતિ વાજપેયી સરકારે રચી હતી, તેવી જ કોઈ સમિતિ મોદી સરકાર દ્વારા રચાય અને તમામ વાસ્તવિક જાણકારીઓ એકઠી કરીને પારદર્શક રીતે જાહેર થાય, તેવી માગણી પણ ઊભી થવા લાગી છે. જો કે, કારગીલ યુદ્ધ પૂરૃં થઈ ગયું અને યુદ્ધવિરામ થઈ ગયું તે પછી તે સમિતિની રચના થઈ હતી અને લગભગ પાંચેક મહિના પછી તેનો રિપોર્ટ રજૂ થયો હતો, જયારે ઓપરેશન સિંદૂર હજુ પૂરૃં થયું નથી, તે પછી જ આ પ્રકારની સમિતિ રચી શકાય, તે પણ હકીકત છે.
ઓપરેશન સિંદૂર ચાલુ હોય અને હાલ તુરંત કોઈ સમિતિ રચવી કે પછી સંસદનું વિશેષ સત્ર બોલાવવું યોગ્ય નહીં ગણાય, તેવી દલીલ સામે સર્વપક્ષીય બેઠક બોલાવીને અને કેટલીક ગુપ્ત બાબતો તેના ધ્યાને મૂકીને વિપક્ષોને પણ સરકાર વિશ્વાસમાં લ્યે અને એકજૂથતા તથા મક્કમતાનો દુશ્મન દેશને સંદેશ મળે, તે અભિપ્રાયને સર્વાધિક સમર્થન મળી રહ્યું છે.
દુશ્મનને કયારેય અન્ડરએસ્ટિમેટ ન ગણવો જોઈએ એટલે કે નબળો ન ગણવો જોઈએ, તેવી જે માન્યતા છે, તેને સમર્થન મળે, તેમ યુક્રેને રશિયાના એરસ્પેસ પર હૂમલો કરીને ૪૦ જેટલા યુદ્ધવિમાનોને તબાહ કર્યા હોય, ત્યારે ભારતે પણ પાકિસ્તાનને અન્ડરએસ્ટિમેટ ન કરવું જોઈએ અને જે કદમ ઉઠાવાય, તે પૂરેપૂરી કાળજી અને ગણતરીઓ પૂર્વક જ ઉઠાવવું જોઈએ તેવો લોકમત પણ ઘડાઈ રહ્યો છે, અને પાક. જેવા દુશ્મનના મુદ્દે રાજકીય એકજૂથતા વધુ મજબૂત થવી જોઈએ, અને તે માટે કેન્દ્ર સરકારે પહેલ કરવી જોઈએ તેવી જનભાવનાઓ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આઈ.પી.એલ.માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામે ગઈકાલે ગુજરાત ટાઈટન્સનો જે પરાજય થયો, તેમાં ગુજરાતની ટીમની નબળી ફિલ્ડીંગ, ઉતાવળીયા નિર્ણયો અને ખુદ કેપ્ટનની બેટિંગમાં ખરા સમયે જ વિફળતા જેવા કારણો જવાબદાર છે. કાંઈક એવું જ આપણા દેશના અર્થતંત્રને લઈને પણ ચર્ચાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા ભારત વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની ગઈ હોવાનું ધૂમ-ધડાકા સાથે જાહેર કરવામાં આવ્યું હતું, અને હવે દેશ ત્રીજી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો હોવાની ગણતરીઓ પણ મંડાવા લાગી હતી, ત્યાં એન.એસ.ઓ. દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નો અકંદરે જી.ડી.પી. છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો રહ્યો હોવાનું જાહેર કરાતા મોટા મોટા દાવાઓની હવા નીકળી ગઈ હોવાની ટીકા-ટીપ્પણીઓ પણ થવા લાગી છે, અને આ મુદ્દો પકડીને વિપક્ષના નેતાઓ મોદી સરકાર પર તૂટી પડ્યા છે, જ્યારે અર્થશાસ્ત્રીઓમાં પણ એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જાપાનથી થોડુંક આગળ નીકળતા જ ભારતે ભલે વિશ્વની ચોથા ક્રમની અર્થવ્યવસ્થાની સિદ્ધિ મેળવી લીધી હોય, પરંતુ કદાચ તેની જાહેરાત કરવામાં ઉતાવળ થઈ ગઈ હોય, તેમ જણાય છે.
એન.એસ.ઓ. એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના વર્ષ ૨૦૨૪-૨૫ના આંકડાઓ મુજબ વર્ષ ૨૦૨૪-૨૫ના ચાર ક્વાર્ટર્સ (ત્રિમાસિક સમયગાળાઓ) નો સરેરાશ જી.ડી.પી. ૬.૫% રહ્યો છે. જો કે, વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ ક્વાર્ટરમાં જી.ડી.પી. ગ્રોથ ૭.૪% રહ્યો હોવાથી હવે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં શું થાય છે, તેના આધારે જ અર્થતંત્રની ગતિ અને પ્રગતિ નક્કી થઈ શકશે.
ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટર્સમાં જી.ડી.પી. ગ્રોથ ૬ થી ૬.૫%ની વચ્ચે રહ્યો, પરંતુ અંતિમ ક્વાર્ટરમાં ૭.૪% રહ્યો, જે વર્ષ ૨૦૨૩-૨૪ના સમાન (અંતિમ) ક્વાર્ટરમાં ૮.૪% રહ્યો હતો. આ તફાવત પણ વાતોના વડા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર દર્શાવે છે.
જો કે, વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ ક્વાર્ટરમાં વિવિધ સેક્ટરોમાં નવો આશાવાદ પણ ઊભો થયો છે. બાંધકામ સેક્ટરમાં આ ક્વાર્ટરમાં ૧૧%ની નજીક જી.ડી.પી. ગ્રોથ રહ્યો, પરંતુ, મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં ૫%એ પણ પહોંચ્યો નહીં. તે ઉપરાંત કૃષિક્ષેત્રે ૫.૪%, ફાયનાન્સિયલ, રિયલ એસ્ટેટના ક્ષેત્રે લગભગ ૮% અને ડિફેન્સ સેક્ટરમાં ૯%ની નજીકનો ગ્રોથ જોતા વર્ષ ૨૦૨૫-૨૬માં કેટલાક સેક્ટરોમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે, જ્યારે કેટલાક સેકટરમાં આશાવાદી સંકેતો જણાય છે.
દેશ અને દુનિયાના અર્થતંત્રોને કોરોનાની મહામારીએ વેરવિખેર કરી નાખ્યા હતા, અને તે સમયે ભારતીય જી.ડી.પી. પણ પછડાયો હતો, પરંતુ વર્ષ ૨૦૨૧માં રિકવરી સાથે ૯.૭% જી.ડી.પી. નોધાયો હતો. જો કે, વૈશ્વિક અર્થતંત્રોમાં જેમ જેમ રિકવરી આવતી ગઈ, તેમ તેમ આભાસી ઉછાળો સમવા લાગ્યો હતો. વર્ષ ૨૦૨૨માં ભારતનો જી.ડી.પી. ગ્રોથ ૭% તથા વર્ષ ૨૦૨૩માં ૮%થી વધુ રહ્યો હતો, પરંતુ હવે વર્ષ ૨૦૨૪માં ૬.૫% જ નોંધાયો છે, જેના કારણોનું વિશ્લેષણ થઈ રહ્યું છે, અને ભારતીય અર્થતંત્ર આજની તારીખે વિશ્વના ચોથા ક્રમે છે કે પુનઃ પાંચમા ક્રમે ધકેલાયું છે, તેના વાદ-વિવાદ વચ્ચે આ મુદ્દે કેન્દ્રસરકારના જ એન.સી.ઓ.ના આંકડાઓને ટાંકીને જે ચર્ચા થઈ રહી છે, અને તેથી જે કન્ફ્યુઝન ઊભું થયું છે, તેનો જવાબ કદાચ કેન્દ્રીય નાણામંત્રાલય કે ખુદ નાણામંત્રી આપશે, તેવા સંકેતો પણ મળી આવ્યા છે. જો આ મુદ્દે સરકાર ચૂપકીદી સેવશે તો કાંઈક તો કાચુ કપાઈ ગયું છે, તેવી આશંકા વધુ દૃઢ બનશે. આ મુદ્દે કેટલાક અર્થશાસ્ત્રીઓ પણ સવાલો ઊભા કરી રહ્યા છે.
એવું માની લઈએ કે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા ભારત બની જ ગયું છે, તો પણ તેનો ફાયદો દેશની સામાન્ય જનતાને કેટલો થયો ? શું ઈકોનોમીની આ સફળતાથી ગરીબ-મધ્યમવર્ગને સીધો કે આડકતરો કોઈ ફાયદો થાય છે કે પછી અમીરો વધુ અમીર બની રહ્યા છે ? વિકસતિ અર્થવ્યવસ્થાનો મહત્તમ ફાયદો ધનિકો ઉઠાવી રહ્યા છે, તે પ્રકારના સવાલો ટીવી ડિબેટીંગ (ચર્ચા) દરમ્યાન પણ ઉઠી રહ્યા છે, ત્યારે આ મુદ્ે કેન્દ્રસરકારની ચૂપકીદી રાજકીય રીતે પણ ભવિષ્યમાં એન.ડી.એ. ને ભારે પડી શકે છે.
એક અભિપ્રાય એવો પણ છે કે અર્થવ્યવસ્થાના આધારે નહીં, પરંતુ દેશના નાગરિકોની સરેરાશ માથાદીઠ આવક અને દેશની સામૂહિક આવકની કેટલી હિસ્સેદારી ગરીબો-મધ્યમવર્ગની હોય છે, અને કેટલી હિસ્સેદારી ધનિક વર્ગની હોય છે, તેના આધારે દેશની આર્થિક સદ્ધરતા તથા સામૂહિક સુખાકારી માપવી જોઈએ. કેટલાક વિશ્લેષકોના દાવા મુજબ દેશની આર્થિક પ્રગતિ અને એકંદરે કમાણી (આવક) નો ૭૦% હિસ્સો ધનિકો, કોર્પોરેટ સેક્ટર્સ અને જાયન્ટ કંપનીઓ લઈ જાય છે.
બીજી તરફ એવી દલીલ પણ થઈ રહી છે કે ઔદ્યોગિક, વ્યાવસાયિક અને પેઈડ સેવાઓ સહિતના તમામ સેકટર્સમાં થતી પ્રગતિના કારણે જ રોજગારવૃદ્ધિ, વ્યાપારવૃદ્ધિ, અને વિકાસ-લોકકલ્યાણના કામોને ગતિ મળતી હોય છે, જે જન-સામાન્યના જીવનધોરણને ઊંચુ લાવવાની સાથેસાથે સામૂહિક સદ્ધરતામાં પણ વૃદ્ધિ કરે છે.
ઈકોનોમિસ્ટો અને પોલિટિશિયનોની ભાષામાં સામાન્ય જનતાને બહુ સમજ પડતી હોતી નથી, પરંતુ એટલું જરૂર કરી શકાય કે દેશનું અર્થતંત્ર વિકસે અને દેશ મજબૂત હોય, તો જ દુનિયા પણ સન્માન આપતી હોય છે, અન્યથા પાકિસ્તાન ના પી.એમ.ની જેમ વિદેશમાં પગરખા ઉતારીને પોતાના "સમકક્ષ" ને મળવાની નોબત પણ આવતી હોય છે. જો કે, અર્થતંત્રનો મહત્તમ વિકાસ જો ધનિકોને જ ફાયદો કરાવે, અને ગરીબ-મધ્યમવર્ગ જયાં હોય ત્યાં ને ત્યાં જ રહે, તો તેવી પ્રગતિ શું કામની ? જોઈએ...હવે કેન્દ્રસરકાર આ મુદ્ે શું કહે છે અથવા શું કરે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હાલાસ સહિત ગુજરાતમાં એક તરફ ગ્રામપંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે, તો બીજી તરફ કડી અને વિસાવદરમાં હાલ તુરંત ગ્રામપંચાયતની ચૂંટણીઓ નહીં થાય, કારણ કે ત્યાં વિધાનસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર હોવાથી સ્ટાફ તેમાં રોકાયેલો હોવાનું કહેવામાં આવ્યું છે. આ સમાચાર આવ્યા પછી એવો વ્યંગ પણ થવા લાગ્યો કે જો માત્ર બે વિધાનસભાની પેટા ચૂંટણીઓની સાથે-સાથે તે વિસ્તારની ગ્રામપંચાયતની ચૂંટણીઓ યોજવાની વ્યવસ્થા ન ગોઠવી શકાતી હોય, ત્યાં "વન નેશન, વન ઈલેકશન"ના અભિગમ હેઠળ દેશની લોકસભા સાથે તમામ વિધાનસભાઓની ચૂંટણી યોજવાનું કેમ ગોઠવાય ?
જો કે, ગ્રામપંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી થાય અને વિધાનસભાની ચૂંટણીઓ ઈવીએમથી થતી હોવાથી તથા આ ચૂંટણીઓનું આયોજન રાજયનું ચૂંટણીપંચ દ્વારા થતું હોવાથી આવું થયું હશે, પરંતુ વિધાનસભાની પેટાચૂંટણી યોજતા, કેન્દ્રીય ચૂંટણીતંત્રો અને રાજયના ચૂંટણીપંચ વચ્ચેના સંકલન અંગે પણ સ્વાભાવિક રીતે જ સવાલો ઉઠે છે.
જામનગર જિલ્લામાં ૨૬૬ ગ્રામપંચાયતોમાં જનરલ અને ૬૧ ગ્રામપંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે, અને તેની તૈયારીમાં તંત્ર લાગી ગયું છે. તેવી જ રીતે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગ્રામપંચાયતની ચૂંટણીઓ તથા બે વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીના માહોલ વચ્ચે ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતો તથા ખેતી સાથે સંકળાયેલા મતદારોને મતદાન કેન્દ્રો સુધી લાવવાનો પડકાર ઉમેદવારોને રહેશે, જ્યારે વરસાદી માહોલમાં વધુમાં વધુ મતદાન કરાવવાનો પડકાર તંત્રો માટે તથા રાજ્ય ચૂંટણીપંચ માટે પણ રહેવાનો જ છે. જો કે, વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી ને પણ આ જ પડકારોનો સામનો કરવો પડી શકે છે.
ચૂંટણીતંત્રોએ ચોમાસાને ધ્યાને લઈને કેટલીક વિશેષ વ્યવસ્થાઓ પણ કરવી પડે તેમ છે. મતદાનના દિવસે જ વરસાદ ચાલુ હોય તો પણ મતદાનમાં વિક્ષેપ ન પડે, વીજપુરવઠો ખોરવાય, તેવા સંજોગોમાં અંધારિયા ખંડોમાં મતદાનબૂથ હોય તો ત્યાં પ્રકાશની વ્યવસ્થા કરવી, જ્યાં મતદાન કેન્દ્રો ઊભા કરાય છે ત્યાંની છતમાં ચુવાક થતો હોય કે એવી સ્કૂલો, કે જ્યાં વરસાદ પડતા જ કાદવ-કીચડનું સામ્રાજ્ય પ્રસરી જતું હોય, તેનો સર્વે કરીને જરૂરી વ્યવસ્થાઓ કરવી પડે તેમ છે, અને ખાસ કરીને મતદારોની લાઈનો લાગે, તે સમયે જ વરસાદ પડતો હોય, તો તેની સામે રક્ષણ મળી શકે, તેવી વ્યવસ્થા પણ પહેલેથી જ વિચારી લેવી પડે.
જો કે, સ્થાનિક ચૂંટણીઓમાં ઉમેદવારો પણ જાગૃત હોય છે અને મતદારો પણ વરસતા વરસાદમાં છત્રી લઈને મતદાન કરવા પહોંચતા હોય, પરંતુ બે વિધાનસભાની પેટાચૂંટણી થવાની છે, ત્યાં જેવી વ્યવસ્થા થાય, તેવી વ્યવસ્થાઓ ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં પણ કરવી જ જોઈએ, કારણ કે કોઈ ચૂંટણી નાની કે મોટી હોતી નથી, અને દરેક ચૂંટણી માટે એ જ મતદારો એટલી જ સંખ્યામાં મતદાન કરતા હોય છે, તેથી આ તમામ પરિબળો તથા પડકારો અંગે તંત્રોએ પહેલેથી સર્વે કરાવીને જરૂરી વ્યવસ્થાઓ કરવી પડે તેમ છે, અને આ અંગે તંત્રોએ વિચાર્યું જ હશે, તેવી આશા રાખીએ.
ગ્રામપંચાયતની ચૂંટણીઓનું આ બાબતે મહત્ત્વ એટલા માટે વધી ગયું છે, કે આ ગ્રામપંચાયતોને કોઈ કારણે અઢી વર્ષ પછી જનપ્રતિનિધિત્વ મળવા જઈ રહ્યું છે. બીજી તરફ સરકાર ગામડાઓના ગુજરાતનું શહેરીકરણ કરવા લાગી હોય, તેવો આભાસ પણ લોકોને થઈ રહ્યો હોય તેમ જણાય છે. પહેલાં એવું કહેવાતું હતું કે, ગામડાઓમાં જ શહેરો જેવી સુવિધાઓ વધારીને લોકોને ગામડાંઓ છોડીને શહેરો તરફ દોટ લગાવતા અટકાવવાનો સરકારનો અભિગમ છે, પરંતુ હવે એવું કહેવામાં આવે છે કે શહેરીકરણ વધી રહ્યું છે, અને નાના-મોટા તમામ શહેરો ચોતરફ વિસ્તરી રહ્યા છે, ત્યારે શહેરોના મુક્ત વિકાસ તથા લોકસુવિધાઓનો વ્યાપ વધારવાની પણ જરૂર છે. તેથી હવે સરકારનો શહેરીકરણને પ્રોત્સાહન આપવાનો અભિગમ હોય તેમ જણાય છે. શહેરો અને ગામડાઓતો સમાન ધોરણે વિકાસ થાય, અને ગામડાઓને ભાંગતા અટકાવાય, તેવા ઉદ્દેશ્યો પણ એ માત્ર વાતો-દાવાઓમાં જ રહી ગયા હોય તેમ જણાય છે. આ મુદ્દો ગ્રામ પંચાયતોમાં પ્રચારનો વિષય બની શકે છે. એવો સંશય પણ ઊભો થઈ રહ્યો છે કે અર્બન વોટબેન્કને સાચવવા ગામડાઓનો ભોગ તો લેવાઈ રહ્યો નથી ને ?
એ પણ હકીકત છે કે બાપ-દાદાનું ગામ, ખેતીવાડી અને ગ્રામ્યકક્ષાના વ્યવસાયો છોડીને રાજીખુશી માટે તો ગામડાના બધા લોકો શહેરો તરફ દોડતા નથી, પરંતુ સંતાનોના અભ્યાસ, લગ્ન અને શિક્ષિત યુવાવર્ગની રોજગારી ઉપરાંત કેટલાક ગામડાઓમાં વકરેલી ગુંડાગીરી તથા અસામાજિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધવા જેવા કારણોસર પણ લોકો ગામડાઓમાંથી શહેરોમાં વસવાટ કરવા પ્રેરાતા હોય છે, અને રિયલ એસ્ટેટ, ઈન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન, ટ્રાવેલ્સ તથા નાના-મધ્યમ ઉદ્યોગોમાં જોડાવા કે સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવવા પણ ગામડાઓના લોકો શહેરોમાં વસવા લાગ્યા છે. આથી તમામ પાસાઓને ધ્યાને રાખીને સમતુલન બેસાડવાની જવાબદારી તો સરકારની જ ગણાય...પણ...?!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં ગામડાઓ હોય કે શહેરો હોય, ગંદકી, રખડુ ઢોર, આવારા કૂતરા અને સેનિટેશનની સમસ્યા એક સરખી જ રહે છે. જામનગર સહિત રાજ્યના શહેરોમાં ઘણાં સ્વચ્છતા અભિયાનો યોજાયા, પરંતુ ગંદકી અને ફૂટપાથ તથા ટ્રાફિકને અવરોધતા હરતા-ફરતા દબાણોની સમસ્યા એવી ને એવી જ રહી છે, હવે જ્યારે ફ્લાય ઓવરબ્રિજની નીચે પબ્લિક પાર્કીંગનો પ્લાન ઘડાઈ રહ્યો છે, ત્યારે તેની સાથે-સાથે પબ્લિક સેનિટેશન (જાહેર શૌચાલયો) ની ખૂટતી વ્યવસ્થાઓ ઊભી કરવી જરૂરી છે, અને વર્તમાન ગંદી-ગોબરી અને સુગ ચડે તેવી વ્યવસ્થાઓની ધરમૂળથી સુધારણા કરવી પણ જરૂરી છે.
તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને સાંકળીને હાલાર સહિત રાજ્યમાં સફાઈ અભિયાનો યોજાયા. દ્વારકા બીચ પર યોજાયેલા સફાઈ અભિયાનમાં તો અધધધ...૬૦૦૦ કિલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત થયો અને તેનો અલગ રીતે નિકાલ કરવાનું આયોજન કરવાના અહેવાલો આવ્યા. અહીં સવાલ એ પણ ઊઠે છે કે શું કચરો નાખવા માટે બીચ પર ઠેર-ઠેર લીલા અને સુકા કચરા માટે અલગ-અલગ કચરાપેટીઓ (ડસ્ટબિન્સ) પૂરતા પ્રમાણમાં મુકવામા આવી હતી ખરી ? શું કચરો ડસ્ટબિનમાં જ નાખવા યાત્રિકોને સતત સૂચના અપાતી રહે તેવી કોઈ વ્યવસ્થા થઈ હતી ખરી ? દરિયાકાંઠે પર્યાવરણને નુકસાનરૂપ થાય, તે પ્રકારની બેદરકારી સામે કડવી દવા આપવી પડે અને દંડ ફટકારવાની તથા વસુલવાની વ્યવસ્થા કરવી પડે, તેવું કોઈ મિકેનિઝમ સ્થાનિક તંત્રો પાસે છે ખરૃં ?
દ્વારકામાં તો ગોમતીજી અને દરિયાના સતત ભરતી-ઓટ ધરાવતા પાણીમાં સ્નાન કરતા લોકો તણાઈ જાય કે ડૂબવા લાગે, ત્યારે તેને બચાવવા અદ્યતન બોટ તથા તરવૈયાઓની ત્રણ શીપમાં ટીમ સાથે રાઉન્ડ ધ ક્લોક વ્યવસ્થા ઊભી કરવાની જરૂર ઘણાં સમયથી જણાઈ રહી છે, પરંતુ માત્ર વોર્નિંગનું બોર્ડ મૂકીને તથા જરૂર પડે ત્યારે હડીયાપટ્ટી કરાવીને કામ ચલાવાઈ રહ્યું છે. વિકાસ સંકુલો પાછળ કરોડો રૂપિયા ખર્ચતી સરકાર અને તેના તાબાના તંત્રોએ માનવજિંદગીઓ બચાવવા માટે પણ કાયમી મિકેનિઝમ ઊભુ કરવું જ જોઈએ. આ પ્રકારની માનવજિંદગીઓ બચાવવાની વ્યવસ્થા પણ જ્યાં થતી ન હોય, ત્યાંથી હજારો કિલો કચરો દરિયાકાઠે કે નદીકાંઠેથી ભેગો થઈ જાય, તો તેમાં નવાઈ પામવા જેવું નહીં, પરંતુ પીડાદાયક છે. આ પીડા શાસન પ્રશાસન સમજશે અને લોકો પણ પ્લાસ્ટિકનો કચરો હોય કે બીજો કરચો હોય, તે ડસ્ટબિનમાં જ નાખવાની ટેવ રાખે, તે પણ અત્યંત જરૂરી છે.
આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં પણ ગંદકી અને સ્વ્ચ્છતા તથા માળખાકિય સુવિધાઓ, હેલ્થ ઉપરાંત સ્થાનિક માર્ગો અને વીજ-નિયમિતતા જેવા મુદ્દા પ્રચારના કેન્દ્રમાં રહેવાના છે. ગઈકાલે રાજ્યના ચૂંટણીપંચે રાજયની ૮૩૨૬ ગ્રામપંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેતા ગ્રામ્ય વિસ્તારો માટે આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. આ ચૂંટણીઓ માટે ૨૨મી જૂને બેલેટપેપર્સથી મતદાન થશે અને ૨૫મી જૂને પરિણામો આવી જશે. લગભગ અઢી વર્ષથી આ ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી અને વહીવટદારોનું શાસન હતું. જો કે, ૮૩૨૬ ગ્રામપંચાયતો પૈકી ૪૬૮૮ પંચાયતોમાં પેટા ચૂંટણી છે, જયારે અન્ય ગામોમાં જનરલ ઈલેકશન છે.
ગઈકાલે ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થઈ અને આચારસંહિતા લાગુ થઈ, ત્યારથી જ આગામી પૂર્વનિર્ધારિત શાળા પ્રવેશોત્સવને આચારસંહિતા લાગુ પડે છે કે નહીં, તેની ચર્ચા થવા લાગી હતી. શાળા પ્રવેશોત્સવમાં ગામડાઓમાં મંત્રી-મહોદયો, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ, તાલુકા-જિલ્લાપંચાયતોના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેતા હોય છે. અને વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા અભ્યાસ કીટ ઉપરાંત સરકાર તરફથી પણ સ્કોલરશીપ સહિતની યોજનાના લાભો અપાતા હોય છે. આથી શાળા પ્રવેશોત્સવ અંગે સરકાર આજે શું નિર્ણય કરે છે, તેના પર સૌની મીટ મંડાયેલી જ હતી.
ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં રાજકીય પ્રત્યક્ષ રીતે ભાગ લેતા હોતા નથી અને સ્થાનિક સેવાનિષ્ઠ લોકો પેનલ બનાવતા હોય છે, તથા સરપંચની ચૂંટણી પણ લોકો દ્વારા થતી હોય છે, અને ઘણી ગ્રામપંચાયતો બિનહરિફ થતા "અમરસ" પણ જાહેર થતી હોય છે. જો કે, હવે ગ્રામપંચાયતની ચૂંટણીઓ રાજ્ય-કેન્દ્રના શાસકપક્ષ તથા વિપક્ષના પ્રભાવવાળી પેનલો ઊભી કરીને પરોક્ષ રીતે રાજકીય પક્ષો ઘુસી જતા હોય છે, પરંતુ કેટલાક ગામોમાં ત્રીજી તટસ્થ પેનલ પણ ઊભી થતા ત્રિપાંખિયો કે બહુપાંખિયો જંગ ખેલાતો હોય છે. જોઈએ, શું થાય છે તે ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વરસાદના આગમન, આગાહીઓ અને તોફાની પવનોના સુસવાટાઓ વચ્ચે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, અને વર્ષ ૨૦૧૯-૨૦માં આ મહામારીની શરૂઆત પછી કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, અને તે પછી લોકડાઉન, ઉભરાતી હોસ્પિટલો, ઓક્સિજનની તંગીથી તરફડતા દર્દીઓ અને ટપોટપ થતાં મૃત્યુની બિહામણી યાદ તાજી થવા લાગી છે. આ પહેલા અચાનક લોકડાઉન લાગ્યું હતું, તે સમયે ઊભા થયેલા ભયના માહોલને યાદ કરીનેે આજે પણ લોકો ગભરાટ અનુભવી રહ્યા છે. તે સમયે પણ વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓના પ્રચાર પ્રસાર તથા મેળાવડાઓનો ધમધમાટ અને તે પછી અમેરિકામાં યોજાયેલા "હાઉડી મોદી"ના કાર્યક્રમને સાંકળીને ડોનાલ્ડ ટ્રમ્પ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચર્ચાઓ થતી હતી, જે અત્યારે અન્ય સ્વરૂપમાં થાય છે.
અત્યારે માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે. આ વખતે નવા લક્ષણોવાળો વાયરસ, તંત્રોની સજ્જતા, નવી વેક્સિનની ઉપલબ્ધિ, ઓક્સિજનની ઉપલબ્ધિ, હોસ્પિટલોની વ્યવસ્થાઓ, કેટલાક સ્થળે જીવલેણ બનતી બીમારી અને રોજ-બરોજના આંકડાઓને સાંકળીને જિલ્લાઓથી દેશની રાજધાની સુધી થઈ રહેલી ચર્ચાઓ-મિટિંગો તથા કોરોના વોરિયર્સની તૈયારીઓ જોતા એવું જણાય છે કે એક વખત ફરીથી ચોમાસું અને કોરોનાના પડકારને એક સાથે ઝીલવા આપણે બધાએ તૈયાર રહેવું પડશે.
એશિયાની સાઉથ કન્ટ્રીઝમાં કોરોનાના કેસો વધવા લાગ્યા છે, અને ભારતમાં તો એક અઠવાડીયામાં જ કોરોનાના કેસો એક હજારના આંકડાને ઓળંગીને ઝડપભેર વધવા લાગ્યા છે, તે ચિંતાજનક ગણાય.
અમેરિકાના સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન ડિપાર્ટમેન્ટના આંકડાઓ મુજબ અમેરિકામાં દર અઠવાડીયે પોણા ચારસો જેટલા લોકોનો ભોગ કોરોના લઈ રહ્યો છે, તો વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ મુજબ દુનિયામાં કોરોનાથી થયેલા મૃત્યુનો નવો આંકડો ત્રણ હજારને આંબવા જઈ રહ્યો છે.
એક તરફ કોરોના ને લઈને નવી માર્ગદર્શિકા તૈયાર થઈ રહી હશે, તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કોરોનાની બીમારી હવે સિઝનલ ફલૂ જેવી હોવાથી ગભરાવાની જરૂર નહીં હોવાનું નિવેદન આપ્યા પછી તેના મિશ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે, અને તેણીએ જ વિક ઈમ્યુનિટી ધરાવતા લોકોને સતર્ક રહેવા ચેતવ્યા અને આગમચેતી ખાતર દિલ્હીની તમામ હોસ્પિટલો પણ એલર્ટ હોવાનો દાવો પણ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીની જેમ જ અન્ય કેટલાક નેતાઓના કોરોનાની બીમારી ને લઈને જે અભિપ્રાયો સામે આવી રહ્યા છે, તેનું તારણ એવું નીકળે કે આપણા દેશમાં હજુ કોરોનાએ વર્ષ ૨૦૧૯-૨૦-૨૧ જેવું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું નથી, તેમ છતાં જે રીતે કોરોનાનો વ્યાપ દેશ અને દુનિયામાં વધી રહ્યો છે, તે જોતા માત્ર તંત્રો જ નહીં, કોરોના વોરિયર્સ, સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સ્વયં પણ સતર્ક રહેવું જોઈએ અને જરૂરી પ્રબંધો કરવા જોઈએ.
ગલકાલ સુધીમાં જામનગરમાં પણ દસ જેટલા કેસો નોંધાયા પછી તંત્ર દોડતું થયું છે અને દર્દીઓની હિસ્ટ્રી મેળવવા ઉપરાંત દર્દીઓના વિસ્તારોમાં જરૂરી આગમચેતીના કદમ ઉઠાવાઈ રહ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. જિલ્લા કલેકટરે પણ આ અંગે એક વિશેષ બેઠક બોલાવીને અને સ્થિતિની સમીક્ષા કરીને સંબંધિત તંત્રોને જરૂરી સૂચનાઓ આપી છે.
ગુજરાતમાં પણ ત્રિપલ ડિઝિટમાં કોરોનાનો આંકડો પહોંચ્યા પછી દર્દીઓની વધી રહેલી સંખ્યા જોતા રાજ્યનું આરોગ્યતંત્ર કામે લાગ્યું છે, અને આરોગ્યમંત્રીએ પણ રાજ્યમાં કોરોના વિષયક આગમચેતીના કદમ ઉઠાવવા અંગેની આગમચેતીની પ્રક્રિયા હાથ ધરી હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રી પણ કોરોનાનો વ્યાપ વધવા લાગતા તેના તરફ લક્ષ્ય આપવા લાગ્યા હશે, અને વડાપ્રધાન તો બે દિવસનો ગુજરાત પ્રવાસ સંપન્ન થયા પછી તેઓ હવે કોરોના અને ચોમાસાને લઈને રાજ્યના સંબંધિત તંત્રોને સુસજ્જ રાખવા વધુ ધ્યાન આપી શકશે, તેવો કટાક્ષ પણ થઈ રહ્યો છે.
વડાપ્રધાનનો પ્રવાસ હોય અને જાહેરસભાઓ યોજાવાની હોય ત્યારે સેંકડો એસ.ટી. બસો બે-ત્રણ દિવસ માટે સરકાર એસ.ટી. નિગમ પાસેથી ભાડેથી લઈ લેતી હશે, પરંતુ એ કારણે એસ.ટી.ના રોજીંદા સંખ્યાબંધ રૂટ રદ્દ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોને તાલુકા-જિલ્લા સાથે અથવા મોટા કેન્દ્રો સાથે જોડતી બસો રદ્દ થઈ જતા ખેડૂતો, મિહલાઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ, શ્રમિકો અને નોકરિયાતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મોટા શહેરોને તો લાંબા અંતરના પ્રવાસ માટે રેલવેનો વિકલ્પ તથા અદ્યતન ખાનગી ટ્રાવેલ્સનો વિકલ્પ પણ મળી રહે છે, પરંતુ ગામડાના લોકોને તો ભગવાન ભરોસે જ રહેવું પડે છે. જેથી સરકારે પી.એમ. પ્રોગ્રામ જેવા મેગા કાર્યક્રમો માટે પણ કોઈ "માતબર કોન્ટ્રાક્ટ્સ" રાખવો જોઈએ, તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કોઈ પણ મંદિર ભલે ગમે તેટલું ભવ્ય હોય, પ્રાચીન કે અર્વાચીન હોય, અદ્યતન ઢબે બંધાયેલું હોય કે વિશાળ હોય, પરંતુ તેમાં જયાં સુધી પ્રતિમા ન હોય, ત્યાં સુધી તેનું ધાર્મિક, આધ્યાત્મિક કે ભાવનાત્મક મહત્વ હોતું નથી. ગુજરાતમાં આરોગ્ય અને તબીબી સેવાઓની કાંઈક એવી જ દશા છે. રાજયમાં રસરકાર સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા પંચાયતો દ્વારા સરકારની ગ્રાન્ટથી સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ગ્રામ્ય કક્ષાએ હેલ્થ સેન્ટરો, કેટલાક સ્થળે સરકારી દવાખાનાઓ, શહેરોમાં સરકાર સંચાલિત હોસ્પિટલો તથા પાલિકા કે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આરોગ્ય સેવાઓ તથા અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત છે. જિલ્લા કક્ષાએ તથા મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલો, મહિલા હોસ્પિટલો ઉપરાંત કેન્સર, ટી.બી., પ્રસુતિગૃહો વગેરે તબીબી સારવારની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે, શહેરોમાં સરકારી જનરલ હોસ્પિટલો અથવા રેફરલ હોસ્પિટલોમાં તબીબી સારવાર, લેબોરેટરી, નિદાન માટે ઓ.પી.ડી., જરૂરી દવાઓ તથા જૂદાજૂદા મહત્વપૂર્ણ રિપોર્ટ કરાવવા માટેના મશીનો તથા સાધનસામગ્રી વગેરે સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ઘણી વખત સી.એચ.સી. અને પી.એચ.સી.માં એક પણ તબીબ હોતા નથી અને એક જ મેડિકલ ઓફિસર પાસે બે-ત્રણ કે ચાર-ચાર આરોગ્યકેન્દ્રોનો ચાર્જ હોય છે, તો સરકારી રેફરલ હોસ્પિટલો, જનરલ હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલોમાં પણ નિષ્ણાત તબીબોની ઘટ હોવાથી અદ્યતન સાધનો હોવા છતાં તેનો સદુપયોગ થઈ શકતો હોતો નથી. એવી જ રીતે ટેકનિકલ, ક્લેરિકલ, નર્સીંગ અને પેરા-મેડીકલ સ્ટાફની ઘટ ના કારણે દર્દીઓની યોગ્ય સારવાર કે નિદાન થઈ શકતા હોતા નથી.
જામનગરમાં અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત છે, અને તાજેતરમાં જ ત્રણેક નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રોના સંકુલોનું નિર્માણ થયું છે. આ યુ.એચ.સી. અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પૈકી જે સંપૂર્ણપણે સેવારત છે, તેમાં પણ નિષ્ણાત તબીબો, લેબટેકનીશિયનો, નર્સીંગ સ્ટાફ તથા અન્ય સ્ટાફ ઉપરાંત સાધન-સામગ્રીની ઉણપ તથા સંકલનના અભાવે દર્દીઓને તફલીફો ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. જ્યારે નવનિર્મિત સી.એચ.સી.માં તો અદ્યતન સંકુલ તથા કેટલાક સાધનો અને સુવિધાઓ હોવા છતાં હજુ પુરેપુરી આરોગ્ય અને તબીબી સેવાઓ ઉપલબ્ધ થતી ન હોવાની ફરિયાદો ઉઠતી હોય તો આ કેેન્દ્રો મૂર્તિ વગરના મંદિર જેવા જ ગણાય ને ? ભાજપ સરકાર હોસ્પિટલોને આરોગ્ય મંદિરો ગણાવે છે, અને સ્કૂલોને વિદ્યામંદિરો અથવા સરસ્વતી મંદિરો ગણાવે છે, ત્યારે તેમાં પૂરતો સ્ટાફ, સુવિધાઓ, સેવાઓ અને સૌજન્યતા સાથે સારવાર અને શિક્ષણની પૂરતી વ્યવસ્થા પણ થવી જ જોઈએ ને ?
આ સ્થિતિ માત્ર જામનગરની નથી, જામનગરનું તો માત્ર દૃષ્ટાંત જ આપ્યુ છે, અને નગરમાં જી.જી. હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટરોમાં હજુ પણ દર્દીઓ મોટા ભાગે કાંઈક ઠીક-ઠીક સારવાર અને આરોગ્ય સેવાઓ મળી રહે છે, પરંતુ હાલારના કેટલાક અર્બન હેલ્થ સેન્ટરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ હેલ્થ સેન્ટરોમાંતો આરોગ્ય અને તબીબી સેવાઓ એટલી બધી કથળી ગઈ છે કે ન પૂછો વાત..
ગઈકાલે જ સમાચાર સંભળાયા કે ખંભાળીયાની જનરલ સરકારી હોસ્પિટલમાં મહત્વના લેબ રિ૫ોર્ટ માટે બબ્બે દિવસસુધી ટોકન અપાતા નહીં હોવાથી દર્દીઓ હેરાન-પરેશાન થાય છે, અને ખાસ કરીને પ્રસુતાઓ વધુ મુશ્કેલીમાં મુકાઈ જતી હોય છે. સ્થાનિક વસ્તી ઉપરાંત રોજીંદા પ્રવાસીઓની સંખ્યા મુજબની તબીબી સુવિધાઓ યાત્રાધામ દ્વારકા અને બેટદ્વારકામાં પણ ક્યાં ઉપલબ્ધ છે ? આવું બખડજંતર ચાલતું હોવા છતાં શ્રેષ્ઠ આરોગ્ય અને તબીબી સેવાઓ ઉપલબ્ધ હોવાના દાવાઓ ભલે થતા હોય પરંતુ યે પબ્લિક હૈ...યે સબ જાનતી હૈ...!
મૂર્તિ વિનાના મંદિર જેવા જ જળ વિહોણા જળાશયો ગણાય. તળાવ હોય કે સરોવર, નદી હોય કે નાળુ, ચેકડેમ હોય કે મોટો ડેમ, કુવો હોય કે બોર, તેમાં જળ હોય તો જ તેનું મહત્વ ગણાય. ઊનાળામાં સૂકાઈ જતી નદીઓ, ખાબોચીયા જેવા બની જતા તળાવો, જળવિહોણા ચેકડેમો અને મોટા ડેમોમાં તો ફરીથી જ્યારે વરસાદ આવે, ત્યારે પાણી ભરાઈ જાય, પરંતુ તંત્રોના પાપે ત્રણ-ચાર વર્ષથી તોડી પડાયેલા સાની ડેમના પૂનઃનિર્માણની મંથર ગતિના કારણે આ વર્ષે પણ સાની ડેમ ભરાશે નહીં, અને માત્ર કેટલાક ફૂટ સુધી પાણી ભરાતા ડેમનું માત્ર તળીયું જ ભીંજાશે, તેવા અહેવાલો આવ્યા પછી સ્વાભાવિક રીતે જ દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળીયા, ભાણવડ તાલુકાઓને સ્પર્શતા અન્ય જળાશયો તરફ પણ લોકોનું ધ્યાન ખેંચાયું છે.
સાની ડેમ તો દ્વારકા અને કલ્યાણપુર તાલુકાઓના લોકો માટે જીવાદોરી સમાન છે, અને અહીંથી બન્ને તાલુકાઓના ગામો તથા નગરોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાતું હતું, તે ઉપરાંત સાની ડેમની આજુબાજુના ચારેય તાલુકાઓને આ ડેમનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ થતો હતો, તથા ખેડૂતોને સિંચાઈનો બારેય મહિના લાભ મળતો હતો, તે સુવિધાઓ ઝુંટવાઈ ગઈ છે.
પીવાના પાણી માટે તો આ જ નેટવર્કનો ઉપયોગ કરીને નર્મદાના નીર પહોંચાડવાનો વિકલ્પ મળે છે, પરંતુ ખેડૂતોની સિંચાઈની સુવિધા ઝુંટવાઈ જતા તેઓને મોટો આર્થિક ફટકો પણ પડે છે, તે ઉપરાંત પશુપાલનના સેક્ટરને તો ઘણો જ ઝટકો લાગી રહ્યો છે.
સાની ડેમના તકલાદી નિર્માણના કારણે કદાચ ગેઈટમાં લીકેજ થતું હતું, અને તેની મરામત છતાં દર વર્ષે ફરિયાદ યથાવત રહેતી તેથી આ ડેમના પૂનઃનિર્માણનું કામ હાથ ધરાયું અને તેને વર્ષો વિતી ગયા છતાં આ કામ પુરૃં જતું જ નથી. ખંભાળીયા અને દ્વારકાના ધારાસભ્યો ઘણાજ જાગૃત છે, અને મુળુભાઈ તો કેબિનેટ મંત્રી છે, તે ઉપરાંત સાની ડેમની સ્થિતિથી સાંસદ પૂનમબેન માડમ પણ પુરેપુરા વાકેફ છે, એટલુંજ નહીં સાની ડેમનો કમાન્ડ એરિયા રાજકીય રીતે ભાજપનો ગઢ ગણાય છે, તેથી લોકો હવે પબુભા સહિતના તમામ જનપ્રતિનિધિઓ હસ્તક્ષેપ કરીને સાની ડેમનું કામ ઝડપથી પુરૃં કરાવે તેમ ઈચ્છે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત ૪.૧૮૭ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વનું ચોથા ક્રમનું અર્થતંત્ર બન્યું છે, અને ૪.૧૮૬ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે જાપાન પાંચમા ક્રમે ધકેલાઈ ગયું છે, અને આઈ.એમ.એફ.ના નવા અંદાજો મુજબ વર્ષ ૨૦૨૬ સુધીમાં જર્મનીને પાછળ રાખીને ભારત વિશ્વની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બની જશે, તેવા ગઈકાલે જાહેર થયેલા આંકડાઓની ચર્ચા આજે વૈશ્વિક ચર્ચાનો વિષય બન્યા છે, અને આ મુદ્દે રાષ્ટ્રીય કક્ષાએ પણ વિવિધ પ્રત્યાઘાતો અને પ્રતિભાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે નીતિપંચના સી.ઈ.ઓ. બી.વી.આર. સુબ્રમણ્યમે આપેલા આ નિવેદનને એક તરફ તો ગૌરવપૂર્ણ ગણાવીને પ્રશંસનિય રીતે બીરદાવાઈ રહ્યું છે, તો બીજી તરફ સિક્કાની બીજી બાજુ પણ રજુ થઈ રહી છે.
એવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે કે દેશના અર્થતંત્રનો વિકાસ ત્યારે જ ફળિભૂત થયેલો ગણાય, જ્યારે તેનાં ફળો ગરીબ અને સામાન્ય નાગરિકો સુધી વધુ ને વધુ પહોંચે. ધનવાનો વધુ અમીર થતા જાય, અને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા બિઝનેસ-વ્યાપારમાં થતી વૃદ્ધિનો મહત્તમ લાભ મુઠ્ઠીભર લોકો સુધી જ પહોંચે, તો આંકડાકીય રીતે જણાતો વિકાસ કે અર્થતંત્રની મજબૂતિને બહુ આર્થિક નિવડે નહીં. વિકાસના માચડા ખડકવાથી ભૂખ્યાજનોની ભૂખ સંતોષાતી નથી, પરંતુ રોજગારવૃદ્ધિ, મોંઘવારીમાં ઘટાડો તથા સુગમ અને સુલભ રીતે યોજનાકીય લાભોની ઉપ્લબ્ધિ થાય, અને લોકોને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય, ગુણવત્તાસભર નિઃશુલ્ક શિક્ષણ તથા ગ્રામ્ય અને કૃષિવિકાસનો વ્યાપ વધે, તો વધતા જી.ડી.પી. કે મજબૂત અર્થતંત્ર સાર્થક નિવડે. આ પ્રકારના પ્રત્યાઘાતો પણ ધ્યાને લેવા પડે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે, અને જામનગર સહિત રાજ્યના ઘણાં જિલ્લાઓને વિવિધ વિકાસના કામોના લોકાર્પણો-ખાતમુહૂર્ત તથા જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે ઓપરેશન સિંદૂરને સાંકળીને જે મહિમાગાન થઈ રહ્યું છે, તે જોતાં એવું જણાય છે કે ગમે તેટલા મત-મંતવ્યો હોય, પરંતુ જ્યારે આખો દેશ એકજૂથ થઈ જાય, ત્યારે દુશ્મનોની મેલી મુરાદોને જડબાતોડ જવાબ મળી જતો હોય છે. અત્યારે વિશ્વના જુદા-જુદા દેશોમાં ભારતીય પ્રતિનિધિમંડળો જે રીતે પાકિસ્તાનનો નકાબ ચીરી નાખે તેવા નિવેદનો સાથે, આતંકીસ્તાન વિરૂદ્ધ વૈશ્વિક જનમત ઊભો કરી રહ્યા છે, અને શાસકપક્ષ અને વિપક્ષના નેતાઓ જે એકજૂથતા દેખાડી રહ્યા છે, તે જોતાં એવું અવશ્ય કહી શકાય કે, ભારતીય લોકતંત્ર હવે પરિપક્વ થઈ ગયું છે અને લોકતાંત્રિક વ્યવસ્થાના મૂળિયા ઘણાં ઊંડા પહોંચી ગયા છે. વિશ્વને એકજૂથ ભારતનો આતંકવાદ વિરોધી આ સંદેશ આપણાં દેશની સેનાઓના સામર્થ્ય તથા પોલિટિકલ યુનિટીને પણ પ્રતિપાદિત કરે છે.
ભારતીય પ્રતિનિધિમંડળે અમેરિકાની ધરતી પરથી પાકિસ્તાનની સરકાર અને આતંકવાદીઓની માનવતાવિરોધી અવિરત ચાલતી પ્રવૃત્તિઓની પોલ ખોલી અને ઈસ્લામ ધર્મના પ્રભુત્વવાળા દેશોના શાસકો દ્વારા આતંકવાદની આલોચના કરવામાં આવી, તે જોતાં ભારતના વિપક્ષોએ સરકારની પડખે ઊભા રહીને વિશ્વને જે એકજૂથતાનો સંદેશ આપ્યો છે, તેનો ઘણો જ પ્રભાવ વૈશ્વિક સમીકરણો તથા સંદર્ભો પર પડવાનો છે.
ભારતીય પ્રતિનિધિમંડળોએ એક અવાજે જે રીતે ભારતનો પક્ષ રાખ્યો છે અને દુનિયામાં ફેલાયેલા આતંકવાદના મૂળિયા પાકિસ્તાનમાં જ નીકળે છે, અને આતંકવાદીઓના જનાજાને પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ લપેટીને અથવા પાક. સેનાના અધિકારીઓ-જવાનો દ્વારા સલામી અપાઈ તેના ઉલ્લેખ સાથે પાકિસ્તાનની સરકાર જ આતંકવાદ ફેલાવી રહી હોવાની વાસ્તવિકતા ઉજાગર કરી છે, તે જોતાં પાકિસ્તાન માટે હવે કદાચ વૈશ્વિક સહાય મેળવવી અઘરી પડશે. આઈ.એમ.એફ.ના ફંડીંગ સંદર્ભે ગ્રે લિસ્ટ કે બ્લેક લિસ્ટમાં મુકવાની ભારતની રણનીતિને પણ આ વૈશ્વિક જનમત ઊભો થયા પછી વેગ મળશે, તેમ જણાય છે.
બીજી તરફ ભારતનું અર્થતંત્ર ટોપ ફાઈવમાં આવ્યા પછી એ ત્રીજા સ્થાન તરફ ગતિશીલ હોવાના અહેવાલોના મિશ્ર પ્રતિભાવો પડી રહ્યા છે. શાસક ગઠબંધન દ્વારા આ સિદ્ધિની વ્યાપક પબ્લિસિટી થાય, એ સ્વાભાવિક છે, પરંતુ ઈકોનોમિ ક્ષેત્રના નિષ્ણાતો અને તટસ્થ વિશ્લેષકો કેવા તારણો કાઢે છે, તે વધુ મહત્ત્વપૂર્ણ છે.
કોંગ્રેસે કહ્યું છે કે ભારતમાં નેટ એફ.ડી.આઈ.માં થઈ રહેલો ઘટાડો ભારતીય અર્થતંત્રની અનિશ્ચિતતા દર્શાવે છે અને ઈન્વેસ્ટરોની ઘટી રહેલી વિશ્વસનિયતા ચિંતાજનક છે. વિદેશી રોકાણકારોમાં ઘટાડો થયો છે અને સ્થાનિક રોકાણકારો પણ દેશમાં જ રોકાણ કરવાના બદલે વિદેશ તરફ મીટ માંડી રહ્યા હોય તેમ જણાય છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે તો એવો દાવો કર્યો છે ભારતના નેટ એફ.ડી.આઈ. એટલે કે પ્રત્યક્ષ ચોખ્ખુુ વિદેશી મૂડીરોકાણ ૯૬% ઘટી ગયું છે.
ઓપરેશન સિંદૂરની સફળતા હોય કે ભારતીય અર્થતંત્રની પ્રગતિ હોય, દેશ માટે ગૌરવપ્રદ છે, દેશવાસીઓ તેને આવકારી પણ રહ્યા છે, પરંતુ ભારતીય સેના, દેશના ઉદ્યમીઓ તથા પરસેવો પાડીને કામ કરતા શ્રમિકોથી માંડીને સાહસિક ઉદ્યમો કરતા તમામ લોકો તથા ઈન્વેસ્ટરોની આ સહિયારી સિદ્ધિઓનો કોઈ પણ રીતે રાજકીય લાભ લેવાનો ઉભયપક્ષે પ્રયાસ થાય, તો તે નિંદનિય જ ગણાય ને !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશમાં કોરોનાનો વ્યાપ ફરીથી વધી રહ્યો છે અને અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૧ કેસ નોંધાયા છે, અને ગઈકાલે કોરોનાના નવા પડકારનો સામનો કરવા તંત્રોમાં દોડધામ જોવા મળી હતી. કારણ કે મે મહિનામાં એકલા અમદાવાદમાં જ કુલ ૩૧ કેસ નોંધાયા, તેમાંથી મહત્તમ કેસ એકટિવ છે, મોટા ભાગના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયા છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના રાજકોટ સહિતના બે-ત્રણ જિલ્લામાં પણ કોરોનાએ દેખા દેતા રાજ્યભરના ઓરોગ્યતંત્રો તથા સરકારી હોસ્પિટલો આરોગ્યકેન્દ્રોને સતર્ક કરાયા છે. લોકોને ગભરાય નહીં, પરંતુ સતર્ક રહે, તે પ્રકારની અડવાઈઝરી પણ આપવામાં આવી રહી છે. જામનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વધુ કેસો નોંધાયા હોવાના અહેવાલો પછી તંત્રો અને સરકાર વધુુ સતર્કતા દાખવશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
દેશની રાજધાની દિલ્હીમાં પણ કોવિડ-૧૯ના ૨૩ કેસની પુષ્ટિ થયા પછી તા. ૨૨મી મે થી જ નવા પડકારનો સામનો કરવાની તૈયારી થવા લાગી હતી., અને હોસ્પિટલોને એલર્ટ કરાઈ હતી, તથા દિલ્હીવાસીઓ માટે ગાઈડલાઈન્સ તથા હોસ્પિટલો તથા આરોગ્યકેન્દ્રો માટે એડવાઈઝરી પણ જાહેર કરી દીધી હતી.
દિલ્હી સરકારની આ એડવાઈઝરીને અનુસરીને કેટલાક અન્ય રાજ્યો પણ નવી એડવાઈઝરી જાહેર કરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા પણ હવે લોકો માટે નવી ગાઈડલાઈન્સ તથા સરકારી-ખાનગી હોસ્પિટલો તથા આરોગ્યકેન્દ્રો, લેબોરેટરીઝને એલર્ટ કરવાની સાથે-સાથે નવી અડવાઈઝરી પણ તબક્કાવાર જાહેર કરી શકે છે.
દિલ્હી સરકારની એડવાઈઝરીમાં કોરોના વોરિયર્સની ટીમોની પુનઃરચના કરવા અને આરોગ્યકર્મચારીઓને ફરીથી ટ્રેનિંગ આપવાની મહત્ત્વપૂર્ણ સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત હોસ્પિટલોમાં જરૂરી બેડ અને આઈસોેલેશન વોર્ડ, ઓક્સિજનનો અંદાજીત અને પર્યાપ્ત પુરવઠો, જરૂરી દવાઓ એન્ટિબાયોટિક્સ અને સંલગ્ન દવાઓની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા જણાવાયું છે. હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ, બાય-એપ, પીએસએ, ઓક્સિજન કોસન્ટ્રેટર તથા કોરોનાના ટેસ્ટીંગ માટેની કીટ્સ વગેરેની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા, લેબોરેટરીઝને અદ્યતન અને સુસજ્જ રાખવા તથા વેક્સિનની ઉપલબ્ધિ અંગે અપાયેલી સૂચનાઓ તથા એડવાઈઝ વગેરે જોતાં જરૂર પડ્યે વેક્સિનેશન ઝુંબેશનો રાઉન્ડ ફરીથી શરૂ થાય, તેવા પણ સંકેતો નોંધપાત્ર છે.
ગુજરાતમાં જામનગર સહિત સાત જિલ્લાઓમાં જેએન-૧ વેરિયેન્ટના નવા કેસો જોવા મળ્યા પછી તંત્રો તો સાબદા થઈ જ ગયા છે, સાથે-સાથે લોકોને પણ જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે, તે માટે વધુ સચોટ, સમયબદ્ધ અને નિયમિત વિશ્વસનિય વ્યવસ્થા ઝડપભેર થાય, તે પણ અત્યંત જરૂરી છે. બિનજરૂરી ગભરાટ પણ ન ફેલાય, અને બાળકો, સગર્ભા અને બીમાર રહેતા વડીલો સહિતના ચોક્કસ વયજૂથ કે સિમ્ટમ્સની સ્થિતિ મુજબ લોકો સતર્ક રહે અને ગાફેલ પણ ન રહે, તે માટે હવે કોરોનાકાળ અન્વયે જે રીતે દૈનિક એડવાઈઝરી તથા ઈન્ફોર્મેશન અપાતી હતી, તેવી વ્યવસ્થાઓ અને કેસો વધવા લાગે, તો વિશેષ કંટ્રોલરૂમ પણ હવે શરૂ કરી જ દેવા જોઈએ.
કોવિડ-૧૯નો પુનઃપ્રસાર વધવા લાગતા હવે લોકો પણ વિવિધ સવાલો ઉઠાવવા લાગ્યા છે, જેનો સંતોષજનક જવાબ મળી રહે, તેવું જિલ્લાવાર મિકેનિઝમ તત્કાળ કાર્યરત થઈ જવું જોઈએ. લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું માસ્ક પહેરવું જરૂરી છે ? ભીડભાડવાળા વિસ્તારોમાં જવાથી બચવું જોઈએ ? બહારગામ કે ઘરે પહોંચીએ ત્યારે હાથ ધોવાની ટેવ તો કોરોનાકાળથી લોકોને પડી જ ગઈ છે, પરંતુ સોશ્યલ ડિસ્ટન્સની જરૂર અત્યારે ખરી ? શું ફરીથી વેક્સિનેશનના બે-ત્રણ રાઉન્ડ આવશે ? શંકાસ્પદ કેસ જણાય, તેને હોમ આઈસોલેશનમાં રખાશે કે હોસ્પિટલમાં દાખલ કરી દેવાશે, વગેરે સંખ્યાબંધ સવાલો ઉઠી રહ્યા છે, જેના અધિકૃત, વિશ્વસનિય અને કોન્સ્ટન્ટ જવાબો મળી રહે તે જરૂરી છે.
જો કે અત્યારે તબીબીક્ષેત્રના નિષ્ણાતો અને પ્રેસ-મીડિયા-સોશ્યલમીડિયાના માધ્યમથી લોકોને ગભરાયા વગર કઈ-કઈ સાવચેતીઓ રાખવી જોઈએ, તેનું છુટુછવાયું માર્ગદર્શન મળી રહ્યું છે, અને કેટલાક જિલ્લાઓમાં અકાદ-બે પ્રેસનોટ્સ કે સોશ્યલમીડિયાના માધ્યમથી પણ લોકોને સતર્ક રહેવા જણાવાઈ રહ્યું છે, પરંતુ અફવાઓ ફેલાતી અટકાવવા, પબ્લિક પેનિક અટકાવવા અને શંકા જણાય ત્યારે જરા પણ ગાફેલ નહીં રહેવા લોકોને રોજીંદુ માર્ગદર્શન મળી રહે, તેવું મિકેનિઝમ ઊભું થવું જરૂરી છે
એક તરફ કોરોનાનો ફરીથી ફેલાવો થઈ રહ્યો હોય અને બીજી તરફ વાવાઝોડા સાથે વરસાદની આગાહીઓ થઈ રહી હોય, ત્યારે આ બેવડા પડકારનો સામનો કરવા તંત્રોએ પણ તૈયાર રહેવું પડશે. હવે હોતી હૈ, ચલતી હૈ, જેવી માનસિકતા જરાયે ચાલે તેમ નથી અને લોકોએ પણ શાણપણ અને સમજદારી દાખવવી પડે તેમ છે. કોરોનાકાળમાં સતર્ક રહેતા હતા તેવી જ રીતે થોડા-ઘણાં પણ સિમ્ટમ્સ (લક્ષણો) જણાય કે તેવી શક્યતા જણાય, તો પણ તરતજ તબીબ માર્ગદર્શન મેળવીને જરૂર પડ્યે ટેસ્ટીંગ કરાવી લેવું જોઈએ.
સરકારે ખાસ એ વાત સ્પષ્ટ કરવી પડે તેમ છે. જો કોરોનાના કેસો વધવા લાગે તો ભાડભીડ થાય, તેવા મોટા કાર્યક્રમો, પ્રસંગો કે મેળાવડાઓ પર નિયંત્રણ, નિયમન કે પ્રતિબંધ લગાવવાની વિચારણા જો સરકારી તંત્રો કરી રહ્યા હોય તો તેની જાણ પણ લોકોને સમયસર કરી દેવી જોઈએ, જેથી લોકો બિનજરૂરી કે પાછળ ઠેલી શકાય તેમ હોય, તેવા કાર્યક્રમો હાલ તુરંત મોકુફ રાખીને તેનું પુનઃઆયોજન વિચારી શકે, અને અનિવાર્ય હોય તેવા પ્રસંગોમાં જરૂરી સાવચેતીઓ રાખી શકે.
જો કોરોનાનો વ્યાપ વધે તો, રાજકીય પક્ષોએ પણ રોડ-શો, જાહેરસભાઓ કે રેલીઓ યોજવાના કાર્યક્રમો પર સ્વયંભૂ અંકુશ લગાવવો જોઈએ તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કોઈપણ પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું હોય, આંદોલનો હિંસક બને કે કોમી-તોફાનો કે જૂથ અથડામણો થતી હોય, હવામાનની આગાહીઓ હોય, કુદરતી આફતોની સંભાવનાઓ હોય, રોગચાળા ફાટી નીકળ્યો હોય કે પછી તેવી સંભાવનાઓ ઊભી થઈ હોય, ત્યારે તંત્રો અને સરકારી ખાનગી તદ્વિષયક સંસ્થાઓ પ્રેસ-મીડિયા તથા જરૂર પડયે પી.એ.(પબ્લિક એનાઉન્સીંગ સિસ્ટમ દ્વારા લોકોને ચેતવણી અપાતી હોય છે, જરૂરી માહિતી અને માર્ગદર્શન આપતી હોય છે તથા જરૂર પડ્યે વિશેષ પ્રેસ-કોન્ફરન્સો કે વીડિયો કોન્ફરન્સો યોજીને પણ જરૂરી ગાઈડન્સ સાથે વોર્નિંગ, ગાઈડન્સ અને ઈન્ફોર્મેશન અપાતી હોય છે, આપણાં દેશમાં અભિવ્યક્તિની આઝાદી છે અને વિવિધ ક્ષેત્રોના અનુભવી અને તજજ્ઞોનું માર્ગદર્શન તથા અભિપ્રાયો પણ ઉપયોગી બનતા હોવાથી પ્રેસ-મીડિયા કે સોશ્યલ મીડિયાના માધ્યમથી વિવિધ અભિપ્રાયો, આગાહીઓ અને ચેતવણીઓ પણ તેઓ આપતા હોય છે, અને લોકો તેમાં વિશ્વાસ ધરાવતા હોય છે તથા તેઓ દ્વારા અપાતી સૂચનાઓ, માહિતી અને માર્ગદર્શન મુજબનું અનુસરણ પણ કરતા હોય છે.
જો કે ઘણી વખત કેટલાક અનુમાનો, માહિતી, આગાહીઓ, ખબર કે માર્ગદર્શન આપતી વખતે ઉપયોગમાં લેવાતી શબ્દાવલી, બહુઅર્થી વાક્યો, માહિતી કે ખબરને રાયનો પર્વત બનાવીને (ખાસ કરીને સોશ્યલ મીડિયાના નવા માધ્યમથી) એવી રીતે રજૂ કરવામાં આવતી હોય છે કે લોકોમાં ગેરસમજ ઊભી થાય, અર્થનો અનર્થ સમજાય કે બિનજરૂરી ગભરાટ ફેલાય જાય. આ પ્રકારની પ્રસ્તૂતિ જાણતા-અજાણતા ઘણી વખત સેવાના બદલે કુુ-સેવા બની જતી હોય છે અને તેની આપણે બધાએ આ મુદ્દે સતર્ક રહેવાની જરૂર હોય છે, અને કેટલાક સંવેદનશીલ કે આફતોના સમયમાં માત્ર ઓથેન્ટિક અને વિશ્વસનિય તંત્રો કે આવામો ને જ અનુસરવું જોઈએ.
તંત્રોએ પણ કોઈજ પ્રકારની જાહેર ચેતવણીઓ, ગાઈડલાઈન્સ કે પૂર્વ-તૈયારીઓની માહિતી લોકો સુધી પહોંચાડતી વખતે ખૂબજ સવાધાની રાખવી જોઈએ, કારણ કે પબ્લિક એ સમયગાળામાં અધિકૃત અહેવાલો કે સૂચનાઓ ને જ પ્રાધાન્ય આપતી હોય છે. ખાસ કરીને કોઈ પણ ગાઈડલાઈન્સ, ચેતવણીઓ કે સૂચનાઓ જે તે વિષયની જૂની ફાઈલો કોમ્પ્યુટરમાં ખોલીને અને તેમાંથી નકલમાં જરૂરી કટ-પેસ્ટ કરીને પ્રસ્તૂત કરી દેવાની જૂની અને અયોગ્ય માનસિકતાથી બચવું જોઈએ. તે ઉપરાંત હિસ્ટ્રી, આંકડાઓ કે અન્ટ ડેટા પ્રસ્તૂત કરતી વખતે તો વિશેષ સાવધાની રાખવી જરૂરી હોય છે, તેની સાવચેતી તંત્રો રાખે, તે માટે સંબંધિત શાસન-પ્રશાસન તથા નેતાઓએ પણ કાળજી રાખવી જોઈએ.
આ પ્રકારની ચેતવણીઓ, ગાઈડલાઈન્સ કે આગાહીઓની ભાષા પણ લોકો ભડકી જાય, કે ગભરાટ ફેલાય તેવી ન હોવી જોઈએ, "ભૂક્કા કાઢી નાખશે", "તબાહી મચાવી દેશે","વિનાશ વેરશે","તારાજી સર્જાશે", જેવા શબ્દો આગમચેતીના સમયે ન વપરાય, તો તે જનહિતમાં રહે, ખરૃં ને ?
હમણાંથી કોરોનાના કેસો ગુજરાત અને દેશ સહિત દુનિયામાં ફરીથી નોંધાવા લાગ્યા છે, અને તેની આગમચેતી માટે તંત્રોએ કદમ ઉઠાવ્યા છે, અને લોકોને પણ સતર્ક કરાયા છે, તથા ગાઈડલાઈન્સ અપાઈ રહી છે, પણ અત્યંત જરૂરી, યોગ્ય અને આવકાર દાયક છે, પરંતુ તેમાં આખેઆખી હોસ્પિટલ કોરોના માટેની અલાયદી વ્યવસ્થાઓમાં તબદીલ થઈ ગઈ હોવાનો ભ્રમ ઊભો થાય, તેવા અહેવાલો કે આંકડાઓ રજૂ કરવાથી બચવું જોઈએ, તેમ નથી લાગતું ?
હમણાંથી હવામાન ખાતાએ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પૂર્વાનુમાનો પબ્લિક સમક્ષ રજૂ કરવાની પદ્ધતિ પણ બદલી છે અને સમયબદ્ધતા તથા સચોટતામાં પણ સુધારો કર્યો છે, જેની નાંેંધ લેવી જ પડે. એક સમયે હવામાન ખાતાની આગાહી એવી આવતી કે તેમાં બધું જ ગોળ-ગોળ સમજાતું અને શબ્દાવલી પણ એવી હતી કે ક્યાં, ક્યારે, કેટલો વરસાદ પડશે કે નહીં પડે તેની સમજ જ કોઈને પડતી નહોતી. દૃષ્ટાંત તરીકે "છૂટો છવાયો, ભારે થી અતિ ભારે, વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડશે", તેવા વાક્યોમાં કોઈ સચોટતા રહેતી નહોતી. હવે કમ-સે-કમ કયા વિસ્તારોમાં કઈ તારીખે કેવો અને કેટલો વરસાદ પડવાની સંભાવના છે, તે તો આઈએમડી એટલેકે ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવાય છે, જુદા-જુદા રંગના એલર્ટ અપાય છે અને જો વાતાવરણ પલટાય તો કેટલીક વખત કરેલી આગાહીઓમાં સુધારા-વધારા કરાય છે, પાછી ખેંચી લેવાય છે, અથવા નવેસરથી રજૂ થાય છે, તે પ્રકારના સુધારા થયા છે, અને ઉપયોગી તથા વિશ્વનિય પણ બન્યા છે.
હવે હવામાન ખાતુ માત્ર વરસાદની નહીં પરંતુ ઠંડી, ગરમી, વરસાદ સહિત ત્રણેય ઋતુની આગાહી હાઈ-ટેક સિસ્ટમથી પણ પ્રસ્તૂત કરી રહ્યું છે.
જો કે, આમ છતાં હવામાન ખાતાની વર્તમાન કાર્ય-પદ્ધતિ, પ્રસ્તૂતિ અને સમયબદ્ધતાઓ લઈને હજુ પણ ઘણાં સુધારા-વધારાની જરૂર જણાય છે, અને વ્યાપકતા-સચોટતા તથા પ્રાદેશિક ભાષામાં પ્રસ્તૂતિકરણની જરૂર સહિતના થતા સૂચનો પણ ધ્યાને લેવા જરૂરી છે.
કોઈપણ વિષયે તંત્રો દ્વારા કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ તે પરોક્ષ રીતે ચાંપલુસી, વાહવાહી કે આત્મશ્લાધા ન બની જાય, અને નક્કર હકીકતો જ લોકો સમક્ષ રજૂ થાય, તે માટે "આપણે બધા એ" આત્મમંથન કરવું પણ જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
"ગોલમાલ"ને સાંકળીને ફિલ્મો પણ બની છે અને ટી.વી. સિરીયલો પણ બની છે, તથા ઘણી જ પ્રચલીત થઈ છે. તેમાં પણ "ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ" જેવી ફિલ્મી પંક્તિઓ સૌથી વધુ પ્રચલીત છે અને ગરબડ ગોટાળા થતા હોય, ખોટું થતું હોય કે પછી રાજરમતો રમાતી હોય, તમામ ક્ષેત્રોમાં "ગોલમાલ હૈ" વાળુ ગીત આબેહુબ લાગુ પડે છે. અત્યારે દેશ-દુનિયામાં "ગોલમાલ" અત્ર-તત્ર-સર્વત્ર વધી રહી છે, અને ગોલમાલ હવે ગ્લોબલ બની ગઈ છે, ત્યારે એવું કહી શકાય કે હળહળતા કળીયુગે પણ કદાચ "ગોલમાલ"ને જ પોતાનું અમોઘ અને અજેય શસ્ત્ર માની લીધું હશે !
કોઈ ફરિયાદ નોંધાય અને તપાસ શરૂ થાય ત્યારથી જ "ગોલમાલ" શરૂ થઈ જતી હોય છે, અને ઘણી વખત તો હેરાન નહીં કરવા કે લોક-અપમાં નહીં રાખવા માટે લાંચ લેવાની શરૂઆત થતી હોય છે અને આ સીલસીલો લાંબા સમય સુધી ચાલતો રહેતો હોય છે. જામનગરમાં એ.સી.બી.ની ટ્રેપ સફળ થઈ અને બે પોલીસકર્મી રંગેહાથ ઝડપાયા હોવાના અહેવાલો આવ્યા., તે પછી લાંચ-રૂશ્વત અને ભ્રષ્ટાચારની વિવિધ તરકીબો, જુદાજુદા સ્વરૂપો અને વ્યાપકતા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને આ ઓપન સિક્રેટ અંગે ઘણાં લોકો "ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ...!"
અત્યારે ભ્રષ્ટાચારની બોલબાલા એટલી વ્યાપક છે કે ગામડાથી ગ્લોબ અને નગરથી નેશન સુધીના લગભગ તમામ ક્ષેત્રોમાં આ ઉધઈ ફેલાય ગઈ છે, અને ઘણાં મોટા માથાઓ આ ઉધઈના પહેરેદાર હોય છે. ગુજરાતમાં મનરેગાના કોભાંડમાં પકડાયેલા બે મંત્રીપુત્રોનો બચાવ કરતા તેના પિતા જ્યારે એવો બચાવ કરે કે તેમના ૫ુત્રો પાસે માત્ર સપ્લાઈ એજન્સી છે, અને તેઓ નિર્દોષ છે, તથા તેઓ પોતે સચિવાલયમાંથી એટલા માટે ગાયબ હતા કે તેઓ વડાપ્રધાનના કાર્યક્રમ માટે જનમેદની એકઠી કરવાના આયોજનોમાં વ્યસ્ત હતા, ત્યારે પણ જરૂર એવા પ્રતિઘાતો પડે કે ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ...
દેશની જનતાને હવે સરકાર શાસન-પ્રશાસન પર બહુ જ ભરોસો રહ્યો નથી, પરંતુ ન્યાયતંત્ર માટે પણ લોકોની આ વિશ્વનિયતા ટકાવી રાખવાની જવાબદારી છે. થોડા મહિના પહેલાં દિલ્હી હાઈકોર્ટના એક જજનું ઘર સળગી ગયા પછી ત્યાંથી અડધી સળગેલી ચલણી નોટો સહિત જંગી રોકડ રકમ મળી હતી. આ પછી સુપ્રિમ કોર્ટે સંબંધિત જજની અન્યત્ર બદલી કરીને ત્રણ સભ્યોની તપાસ સમિતિ નિમી હતી. આ સમિતિએ સંબંધિત જજનો જવાબ લીધો અને તપાસ પૂરી કરીની તેનો રિપોર્ટ સુપ્રિમકોર્ટને સોંપ્યો, અને એવું કહેવાય છે કે આ રિપોર્ટ સુપ્રિમકોર્ર્ટં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સોંપ્યો છે. આ રિપોર્ટ મળ્યા પછી હવે તે સાર્વજનિક (જાહેર) થાય છે કે કેમ? રિપોર્ટમાં શું છે? રિપોર્ટમાં સંબંધિત જજ દોષિત હશે, તો તેની સામે કેવા કાનૂની કદમ ઉઠાવાશે? જો તેઓ નિર્દોષ ઠરશે, તો તે જંગી રોકડ રકમ કોની હતી, અને ત્યાં કેવી રીતે પહોંચી હતી? તે તમામ પ્રશ્નોનો જવાબ નહીં મળે ત્યાં સુધી લોકો કહેતા જ રહેવાના છે કે "ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ...!"
અત્યારે ઠેર-ઠેર દબાણ હટાવ ઝુંબેશો ચાલી રહી છે, અને તેના સંદર્ભે થતી ચર્ચાના તારણો એવા નીકળી રહ્યા છે કે આટલી વિશાળ જમીનો પર હજારો ગેરકાયદે બાંધકામો થઈ ગયા, દાયકાઓથી લોકો તેમાં રહેતા હતા, તે સમયે તંત્રો-શાસન-પ્રશાસનો શું કરી રહ્યા હતા?
અમદાવાદના ચંડોલા તળાવના દબાણ કૌભાંડે તો દાયકાઓથી ચાલી રહેલી ગોલમાલ અને તેની સાથે તંત્રો અને નેતાઓની સર્વપક્ષીય સાંઠગાંઠને પણ ખૂલ્લી પાડી દીધી છે. આટલા દાયકાઓ સુધી ઘણાં અધિકારીઓ બદલ્યા, શાસકો બદલ્યા, સરકારો બદલી છતાં દબાણો "અટલ" રહ્યા, તેનું કારણ શું? આ પ્રકારના દબાણો શરૂ થયા તે પછી પણ ગુજરાતમાંતો મોટેભાગે ભાજપની જ સરકાર સત્તામાં રહી હતી, તેમ છતાં આ ગેરકાનૂની પ્રવૃત્તિ પનપતી રહી હતી, અને સ્થાનિક નેતાઓ તથા જનપ્રતિનિધિઓ પણ રહસ્યમય ચુપકીદી સેવી રહ્યા હતા, તેથી એવું કહી શકાય કે "ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ...!"
પહલગામ આતંકી હૂમલા પછીના ઓપરેશન સિંદૂરનો આડ ફાયદો એ થયો કે દેશમાં ગેરકાયદે રહેતા અને ગુનાખોરી આચરતા બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી તો થઈ, પરંતુ સાથે-સાથે દાયકાઓથી સરકારી જમીન કે પંચાયત પાલિકા - મહાપાલિકાઓની જમીનો દબાવીને બેઠેલા લલા બિહારી જેવા ભૂમાફિયાઓ પર પણ અંકુશ આવ્યો અને કેટલી ગોલમાલ ચાલતી હતી તે પણ બહાર આવી ગયું. ઓપરેશન સિંદૂર કેન્દ્ર સરકાર માટે પણ 'મોકડ્રીલ' જેવું પુરવાર થયું છે. જો યુદ્ધ થાય તો કેટલા દેશો ભારતની પડખે ઊભશે અને કેટલા દેશો ડબલ ઢોલકી વગાડશે, તેમજ કેટલા દેશો દુશ્મન દેશની પડખે ઊભા રહેશે, તે પણ પરખાઈ ગયું છે, બીજી તરફ ટ્રમ્પે જે રીતે દ.આફ્રિકાના પ્રમુખ રામાફોસા સાથે રકઝક કરીને પણ ટ્રમ્પના મગનજની ગોલમાલ જ દર્શાવે છે ને?
પાકિસ્તાને વાપરેલા ચીની શસ્ત્રો, તૂર્કીયેના ડ્રોન અને ચાઈનીઝ મિસાઈલોનો ભાંડો પણ ફૂટી ગયો અને હવે તેનો માર ચીનના રક્ષા ઉત્પાદનો કરતી કંપનીઓને પાડવાનો જ છે. ચીનના તકલાદી સાધનો જે રીતે નિષ્ફળ ગયા, તે સાબિત કરે છે કે ચીનની ચીજો પણ ગોલમાલ જ ગોલમાલ છે...
હજુ થોડા દિવસો પહેલા પાકિસ્તાન સાથે દુશ્મનાવટ જેવો વ્યવહાર હતો, તેવામાં અચાનક જ અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર પણ ચીન-પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આર્થિક કોરિડોર માટે સહમત થઈ ગઈ, તે આપણા દેશ માટે મોટો ઝટકો છે, પરંતુ તેની બહુમત થશે નહીં, કારણ કે વૈશ્વિક રાજકરણ તથા આપણી વિદેશનીતિમાં પણ કયાંકને કયાંક ગોલમાલ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પાકિસ્તાન ગજબનો દેશ છે, સામાન્ય રીતે પરાજીત કે પીછેહઠ પછી જવાબદારોને સજા થાય કે રિવર્ઝન અપાય, પરંતુ ભારતે નવ આતંકી ઠેકાણાઓને ૧૦૦ આતંકી આકાઓ સાથે રાતોરાત ફુંકીમાર્યા અને તેની સામે પાકિસ્તાને દુઃસાહસ કરતા જ ભારતે પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી દીધી, તેમ છતાં પાકિસ્તાન સરકારે પાકિસ્તાનના પરાજીત સેનાધ્યક્ષ મુનીરને પ્રમોશન આપ્યું અને ફિલ્ડ માર્શલ બનાવાયા, તેની વૈશ્વિક ચર્ચા થઈ રહી છે. ભૂતકાળમાં તો અયુબખાને તખ્તા-પલટ કર્યા પછી પોતાને જ પ્રમોશન આપી દીધું હતું, પરંતુ જનરલ આસિમ મુનીરને તો પાકિસ્તાન સરકારની કેબિનેટે જ મંજુરી આપીને ફિલ્ડ માર્શલનું પ્રમોશન આપી દીધા પછી એવો કટાક્ષ થઈ રહ્યો છે કે જનરલ આસિમ મુનીર તો ફિલ્ડ માર્શલ નહીં પણ "ફેઈલ્ડ માર્શલ" જ છે. જો કે, શાહબાઝ સરકાર સેનાની કઠપૂતળી જ છે. પાકિસ્તાન આઝાદ થયા પછી જનરલ મુનીર બીજા ફિલ્ડ માર્શલ બન્યા છે, તેથી એવા અનુમાનો પણ થવા લાગ્યા છે કે હવે શાહબાઝ સરકાર સ્ટેપ ડાઉન કરશે કે પછી ફિલ્ડ માર્શલ બનેલા આસિમ મુનીર તખ્તા-પલટ કરીને સત્તા સંભાળી લેશે. કારણ કે, જનરલ મુશર્રફે પણ "સંજોગો" સુધારવાના નામે જ નવાઝ શરીફને હટાવીને સત્તા સંભાળી હતી.
એવું પણ કહેવાય છે કે મુનીરે પોતે જ આ પ્રસ્તાવ મૂક્યો, અને શાહબાઝ પાસે મંજુર કરાવ્યો છે. ઘણાં લોકો ભારત સામે પરાજયને છાવરવા અને પાકિસ્તાની સૈન્યનું મનોબળ વધારવા આ કદમ ઉઠાવ્યું હોવાનું પણ માને છે. આ અહેવાલો આવ્યા, ત્યારે પહેલાં તો આ સમાચારની ખરાઈ કરવાની મથામણ ચાલવા લાગી હતી, કારણકે ઓપરેશન સિંદૂર પછીના ભારત-પાક. યુદ્ધ સમયે એવી વાતો ઉડાડવામાં આવી હતી કે મુનીરની ધરપકડ થઈ ગઈ છે અને તેના સ્થાને જનરલ મિરઝાને સેનાધ્યક્ષ બનાવાયા છે, જે વાત તે પછી અફવા નીકળી હતી. વાસ્તવમાં જનરલ મુનીર તે સમયે કોઈ બંકરમાં છુપાઈ ગયા હોવાની વાતો પણ વહેતી થઈ હતી. જે હોય તે ંખરૃં, પરંતુ મુનીરના પ્રમોશને અનેક સવાલો અને આશંકાઓ તો ઊભી કરી જ દીધી છે.
ભારતના સાંસદોની ટીમો વિશ્વ સમુદાય સમક્ષ પાકિસ્તાનના પ્રપંચને ખુલ્લો પાડવા જનાર છે, અને એક ટીમ તો આજે રવાના થઈ છે, તેથી એક તરફ તો પાકિસ્તાને બિલાવલ ભુટ્ટોને વિશ્વના કેટલાક દેશોમાં મોકલી રહ્યા હોવાની વાતો વહેતી થઈ હતી, તો બીજી તરફ મુનીરને પ્રમોશન આપીને દુનિયા સમક્ષ પાકિસ્તાનનો વિજય થયો હોવાના જુઠ્ઠાણા ફેલાવીને પોતાના જ દેશની જનતાને ભ્રમમાં રાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. ભૂંડી રીતે હાર્યા પછી અને નીચી મૂંડી કરીને યુદ્ધવિરામની કાકલૂદી કર્યા પછી પણ પ્રપંચી પાકિસ્તાન ઉજવણીઓ કરી રહ્યું છે, તેથી વિશ્વભરમાં આશ્ચર્ય ફેલાયું છે!
પાકિસ્તાનમાં શાહબાઝ સરકારના આ કદમની ચર્ચા થઈ રહી છે, તો ભારતમાં ભારતીય સેનાની વાહવાહીની સાથેસાથે કેન્દ્રીય રાજકીય નેતૃત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ખડગેએ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન વિદેશોમાં ફરતા રહે છે અને તેના કાર્યકાળમાં દસેક વખત તેઓ અમેરિકાના પ્રવાસે ગયા હતા, તેમ છતાં (ચીન અને તુર્કીયેની જેમ) ભારતની પડખે મજબૂતીથી કોઈ દેશ ઊભો રહ્યો નહીં, જે મોદી સરકારની વિદેશનીતિની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કટાક્ષ પણ કર્યો કે શું મોદી વિદેશની યાત્રાએ માત્ર ફોટા પડાવવા જાય છે ? બીજી તરફ રાહુલ ગાંધીએ પણ ઓપરેશન સિંદૂરના સંદર્ભે મોદી સરકારને કેટલાક સવાલો પૂછ્યા છે, તો કોંગ્રેસના નેતા શશિ થરૂરનું નામ નહીં આપ્યું હોવા છતાં તને કોંગ્રેસ પ્રતિનિધિ તરીકે વિદેશ જનારા ડેલિગેશનમાં સમાવાયા તેની આલોચના થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે વિદેશ જનારા ડેલિગેશનને વરઘોડાના જાનૈયા ગણાવ્યા, તો એન.સી.પી. નેતા શરદ પવારે તેને સ્થાનિક રાજકરણની દેશના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ભેળસેળ નહીં કરવાની સલાહ આપી.
ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ ભલે પાકિસ્તાનને બે-ત્રણ દિવસમાં ધૂળ ચટાડી દીધી હોય, પરંતુ પાકિસ્તાનની સેનાને રગદોળીને પી.ઓ.કે. પાછું લેવાની સ્થિતિમાં હોવા છતાં સરકારે સંઘર્ષવિરામ સ્વીકારી લીધું, તેથી દેશવાસીઓની જનભાવનાઓ સંતોષાઈ નહોતી, અને હવે એલ.ઓ.સી. પરથી ક્રમશઃ સૈન્ય હટાવવાની વાતો વહેતી થતા લોકોમાં નિરાશા ફેલાઈ રહી છે અને જો આ પ્રકારના અહેવાલોમાં તથ્ય હોય તો શાહબાઝ સરકાર અને આપણી સરકારમાં ફેર શું? તેવા નિરાશાવાદી સવાલો પણ ઉઠી રહ્યા છે. જો કે, બીજી તરફ એલ.ઓ.સી. કે આંતરરાષ્ટ્રીય સરહદેથી સુરક્ષાદળો ઘટાડવાના અહેવાલો પાકિસ્તાનથી આવ્યા હતા અને આજે સવાર સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એક તરફ ઓપરેશન સિંદૂર યથાવત છે, માત્ર સંઘર્ષ વિરામ થયો છે, યુદ્ધવિરામ થયું નથી. કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી નથી અને ભારતીય સેનાની ત્રણેય પાંખો કોઈ પણ પડકારને પહોંચી વળવા તથા આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવા હજુ પણ સજ્જ છે, તેવા દાવાઓ થઈ રહ્યા હોય, અને બીજી તરફ એલ.ઓ.સી. પરથી સૈન્ય હટાવવા કે ઘટાડવાની વાતો થતી હોય, તે વાત દેશભરના ભારતીયોને જ હજમ થાય તેવી પણ નથી.
એક એવી વાત પણ સામે આવી છે, જે કોઈપણ સાર્વભૌમ દેશ માટે શરમજનક ગણાય. પાકિસ્તાનથી જ વહેતા થયેલા અહેવાલો મુજબ આઈ.એમ.એફ.ની ટીમ ઈસ્લામાબાદમાં છે, અને પાકિસ્તનની સરકારે તેનું વાર્ષિક બજેટ પણ આ ટીમની સલાહ મુજબ બનાવવામાં આવી રહ્યું છે. આ વખતે ૧૧ નવી શરતો સાથે આઈ.એમ.એફ. દ્વારા મુકાયેલી શરતો ઉપરાંત હવે જો પાકિસ્તાનનું બજેટ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થા એટલે કે બાહ્ય સંસ્થા સૂચવે, તે મુજબ કરવાની પાક.ની મજબુરી છે. ભારત સાથે સંઘર્ષ વધે, તો એક અબજ ડોલર કે તેનો મહત્તમ હિસ્સો ગુમાવવાની નોબત આવે તેમ હોવાથી પાકિસ્તાન હવે કોઈ આ સાર્વભૌમ દેશ નહીં, પરંતુ માત્ર ચીનની કઠપૂતળી અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કઠપૂતળી જેવું જ રહી ગયું હોવાની થઈ રહેલી આલોચના જોતા સવાલો ઉઠે છે કે ઓપરેશન સિંદૂરની અધવચ્ચે પહોંચેલી સ્થિતિમાં અત્યારે કૌન જીતા કૌન હારા ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આઝાદી પછી તો એક યુગ એવો હતો કે રેલવેનો ગંભીર અકસ્માત થાય, તો પણ તેની નૈતિક જવાબદારી સ્વીકારીને રેલવેમંત્રી રાજીનામું આપી દેતા હતા, દેશને આઝાદી મળી, ત્યારે દેશના તમામ નેતાઓ જેનો પડ્યો બોલ ઝીલતા હતા, તે ગાંધીજીએ પોતે તો સરકાર કે કોંગ્રેસનો કોઈ હોદ્દો સ્વીકાર્યો નહીં એટલે કે સત્તાસુખ માણ્યું નહીં, પરંતુ કોંગ્રેસનું વિસર્જન કરીને જનાદેશ મેળવવાની સલાહ આપી હતી. તેવી જ રીતે દેશના મજબૂત, લોખંડી મહિલા ગણાતા ઈન્દિરા ગાંધી સામે ચળવળ આદરીને અને તે સમયના વિપક્ષોને એકજૂથ કરીને જનતાપાર્ટીના માધ્યમથી પ્રચંડ જનાદેશ મળ્યા પછી પણ જયપ્રકાશ નારાયણે પોતે સત્તાસુખ ભોગવ્યું નહીં, કે કોઈ હોદ્દો ગ્રહણ કર્યો નહીં. છેલ્લે લોકપાલના મુદ્દે ઈન્ડિયા અગેઈન કરપ્શનનું આંદોલન કરનાર અન્ના હજારે તો પોલિટિકલ પાર્ટી રચવાના જ વિરોધી હતા, અને તેથી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની રચના કરી, ત્યારથી જ તેઓ વિખૂટા પડીને નિષ્ક્રીય થઈ ગયા હતા, પરંતુ સરકાર, પાર્ટીમાં કોઈ હોદ્દો મેળવ્યો નહીં, અને કેજરીવાલને પણ રાજનીતિમાં પડીને રાજકીય પક્ષ નહીં રચવાની સલાહ આપી હતી.
અત્યારે તો રાજકારણમાં પ્રવેશીને પોલિટિકલ સેલ્ટર મેળવવું, પોતાના કામધંધા ઉદ્યોગને ફાયદો કરાવવો, પોતાના પરિવારજનો કે સગા-સંબંધીઓને રાજકીય હોદ્દાઓ અપાવવા, કે પછી મોટા-મોટા કોન્ટ્રાકટ અપાવવા જેવા સ્વાર્થી ઉદ્દેશ્યો સિદ્ધ કરવાની મનોવૃત્તિ વધવા લાગી છે, અને શુદ્ધ જનસેવા, દેશસેવા કે માનવસેવાના ઉમદા ઉદ્દેશ્યો હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે.
થોડા દાયકાઓ પહેલાના સમયગાળા સુધી રાજનેતાઓના પરિવારમાંથી કોઈ સભ્ય કાંઈક ખોટું કે ગેરકાનૂની કામ કરે, તો પણ નેતા શરમ અનુભવીને કાં તો પોતે જ કોઈ હોદ્દા પર હોય તો રાજીનામું આપી દેતા, અથવા પોતાનો પરિવારજન કે સગા-સંબંધી પણ દોષીત હોય તો તેની સામે કાનૂની રાહે તપાસ કે કાર્યવાહી પોતે જ પહેલ કરતા અથવા આવી કાનૂની કાર્યવાહીને અટકાવતા નહીં.
જો કે, હવે પણ યુગ બદલી ગયો છે, ચો-તરફ ભ્રષ્ટાચારની બોલબાલા છે, રાજકીય પક્ષો અને નેતાઓ ભોટાભાગે નૈતિક મૂલ્યો ભૂલી ગયા છે અને ભ્રષ્ટાચારીઓને રાજકીય પીઠબળ હોવાથી તેઓ બેફામ બની રહ્યા છે અને તેના બાય-પ્રોડક્ટ્સના સ્વરૂપે કેટલાક નેતાઓના સંતાનો, સગા-સંબંધી અને સમર્થકો દાદાગીરી, ગુંડાગીરી અને ગુનાખોરીમાં લિપ્ત થઈ રહ્યા છેે. ઘણી વખત તો તેઓ પાતાના માતા-પિતા અને પરિવારની આબરૂ ધૂળધાણીમાં મળી જાય, તેવા કૃત્યો પણ કરી નાખતા હોય છે, કેટલાક કિસ્સાઓમાં અણિશુદ્ધ પ્રામાણિક હોવાની છાપ ધરાવતા નેતાઓએ તો પોતાના સંતાનો કાબૂમાં નહીં હોવાનું જાહેર કરવું પડતું હોય છે, તો ઘણી વખત હોદ્દા પર બિરાજતા નેતાઓ જ પોતાના સગા-સંબંધી, સ્નેહી, મિત્રો કે સંતાનોના માધ્યમથી ગેરકાનૂની કૃત્યો કરાવતા હોય છે, અથવા તેઓને છાવરતા હોય છે.
હમણાંથી રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના એમ.ઓ.એસ. એટલે કે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બે દીકરા ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે, રૂ. ૭૧ કરોડના મનરેગા કૌભાંડમાં તેઓ સંડોવાયેલા હોવાથી તેમની ધરપકડ થયા પછી ગઈ કાલે બચુભાઈ તેના મંત્રાલય કે કોઈ જાહેર કાર્યક્રમોમાં દેખાયા નહીં હોવાથી આજે કંઈક નવા-જૂની થશે તેવી અટકળો પણ ગઈકાલથી થઈ રહી હતી.
રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બન્ને પુત્રોની ધરપકડ થઈ, અને તેની સાથે જે તે સમયના બે અધિકારીઓની પણ ધરપકડ થઈ છે અને આજે તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા થઈ ત્યાં સુધી તેમના પિતાની ચુપકીદીને લઈને ચર્ચાઓ થઈ રહી છે, અને દીકરાઓના કૌભાંડમાં પિતા પણ સંડોવાયેલા નથી ને ? મંત્રીપદની સત્તાના પ્રભાવ હેઠળ પિતા દીકરાઓને બચાવવાના પ્રયાસ તો કરી રહ્યા નથી ને ? તેવા પ્રશ્નો પછી ગઈકાલે તો ખુદ બચુભાઈ ખાબડ પણ મનરેગા કૌભાંડમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે સંડોવાયેલા હોવાની ગુપપુસ સાથે આક્ષેપો પણ થવા લાગ્યા હતા.
હકીકતે દુનિયાની સૌથી મોટી પોલિટિકલં પાર્ટી હોવાનો દાવો કરતા ભારતીય જનતા પક્ષે પાર્ટીની અંદર સાફસૂફી કરીને વધી રહેલો સડો દૂર કરવાની જરૂર છે. ગામડાથી મોટા શહેરો સુધી અને તાલુકાથી રાજ્યકક્ષા સુધી કયાંક ને કયાંક ભાજપના નાના-મોટા નેતાઓ ગુનાખોરીમાં ગળાડૂબ હોવાના અહેવાલો જોતા દાયકાઓથી સત્તારૂઢ હોવાથી પાર્ટીમાં ટોપ ટુ બોટમ સાફસૂફીની જરૂર જો પક્ષના અંતરંગ વર્તુળોને જ જણાઈ રહી હોય તો પાટીલથી નડ્ડા સુધીના સર્વોચ્ચ નેતાઓએ આ કડવી વાસ્તવિકતાને અવગણવા જેવી નથી, પણ કદાચ વોટબેંક કે અન્ય મજબૂરી નડતી હશે તેવા અનુમાનો પણ થતા હોય છે કે વાવમાં હોય, તેનું જ પાણી હવેળામાં આવે ને ?
આજે જ એવા અહેવાલો આવ્યા છે કે સુરતના એક યુવા ભાજપ નેતા અને તેના મિત્ર પર ગેંગરેપનો આક્ષેપ થયા પછી સોશ્યલમીડિયામાં એ યુવાનેતાના ભાજપની સર્વોચ્ચ નેતાગીરી સાથેની તસ્વીરો વાયરલ થઈ છે. જો કે, ભાજપે આ યુવાનેતાની પાર્ટીમાંથી હકાલપટ્ટીના અહેવાલો પણ આવ્યા છે, પરંતુ તે તો ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળુ મારવા જેવું જ ગણાય ને ?
ગુજરાતમાં જ નહીં, રાજયકક્ષાએ તથા વિવિધ રાજ્યોમાં પણ ભાજપના કેટલાક નેતાઓ પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી રહ્યા છેઃ સોફિયા કૂરેશી અંગે શરમજનક નિવેદન કર્યા પછી હોબાળો થતા મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહને સુપ્રિમકોર્ટે તતડાવી નાખ્યા, તે તાજો દાખલો છે. બીજી તરફ ઓપરેશન સિંદૂરની સફળતા અને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનો નકાબ ચીરવાના ઉદ્ેશ્યોથી મોકલાતા પ્રતિનિધિમંડળોને લઈને પણ રાજનીતિ રમાઈ રહી છે, તે યોગ્ય નથી. રાજનેતાઓ અને પાર્ટીઓએ ઉંડા આત્મમંથનની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઉનાળાની અંગ દઝાડતી ગરમી અને ધોમધખતા તડકા વચ્ચે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વરસાદ અને તોફાની પવનની આગાહીઓ થઈ રહી છે. આગામી આખુ અઠવાડીયુ વરસાદ પડશે અને ૨૨ તથા ૨૩મી મે ના ભારે વરસાદ પડશે, તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. આ કારણે જયાં જયાં વરસાદ વહેલો પડશે, ત્યાં ત્યાં પ્રિ-મોન્સુન કામગીરીને પણ માઠી અસર થશે, પરંતુ તે અંગે તંત્રને બહુ ચિન્તા-ફિકર હોય તેમ જણાતું નથી.
રાષ્ટ્રીય કક્ષાએ પણ આજે કેટલાક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી થઈ છે, અને કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમીની સંભાવના જણાવાઈ રહી છે, આ બળબળતા ઊનાળા વચ્ચે ભયંકર જીવલેણ આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, તો બીજી તરફ વીજપુરવઠાની માંગ પણ વધી રહી છે, આમ ઋતુચક્રની બદલતી તાસીરના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી તરફ ભારત-પાક. વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ તથા પુનઃ સરહદી સંઘર્ષની પ્રબળ સંભાવનાઓ વચ્ચે ચીન, તુર્કીયે અને બાંગ્લાદેશ જેવા પાકિસ્તાન પ્રેમી દેશો સામે ભારત સરકાર દ્વારા ઉઠાવાઈ રહેલા ડિપ્લોમેટિક એક્સન્સ ઉપરાંત લોકો તથા બિઝનેસ-એજ્યુકેશન-ટુરિઝમ સહીતનાં ક્ષેત્રો સાથે સંકળાયેલી સંસ્થાઓ, એસોસિએશનો, યુનિવર્સિટીઓ તથા સામાન્ય જનતા પણ આ ત્રણેય દેશોનો વ્યાપક બહિષ્કાર કરવાની ચળવળો પણ શરૂ થઈ ગઈ છે.
આ પ્રકારની ચળવળો આ પહેલા પણ ચીન સામે થઈ હતી, પરંતુ તે ખોખલી નિવડી અને ચીનનો બહિષ્કાર માત્ર ચીન સાથે સરહદી સંઘર્ષ હતો, ત્યાં સુધી જ થોડો -ઘણો સફળ રહ્યો હતો, પરંતુ તે પછી સરકાર દ્વારા એ સ્થિતિમાં ઉઠાવેલા કદમની સાતત્યતા ભૂલી ગઈ અને જનતા પણ ભૂલી ગઈ હતી. આ વખતે શરૂ થયેલો બહિષ્કાર હવે આતંકવાદ ખતમ ન થાય, પાકિસ્તાન પરાસ્ત ન થાય, પી.ઓ.કે. પાછું ન મળે અને ચીનની શાન પણ ઠેકાણે ન આવે ત્યાં સુધી ચાલતો જ રહે, તો જ આ પ્રકારની ચળવળો યથાર્થ ઠરે, અન્યથા જોસેફ ફેઈમ પ્રોપાગન્ડા જ પુરવાર થશે. હવે તુર્કીયે સાથે સંકળાયેલા કેટલાક ગુજરાત સહિત પ્રોજેકટો તથા કરારો પણ રદ્દ કરવા જ પડે ને ?
આપણા દેશમાં પણ ઘણાં ગદ્દારો મોજુદ છે, જેને ભારતીય સેનાના વિજયી પરાક્રમો કે પાકિસ્તાનની ઓપરેશન સિંદૂરમાં થયેલી બરબાદીમાં મજા નથી આવતી, પરંતુ દેશવિરોધી પ્રચાર અને પ્રવૃત્તિઓ વધુ પસંદ આવે છે. કેટલાક ગદ્દારો તો પકડાયા પણ છે, તાજેતરમાં જ ઝડપાયેલી પાક.ની જાસુસી સંસ્થા આઈ.એસ.આઈ.ની જાસુસ ગણાતી જયોતિ મલ્હોત્રા તથા શાહજાદ નામનો શખ્સ તેનું તાજુું દૃષ્ટાંત છે. જો કે, આ બન્નેની તપાસ ચાલી રહી છે, અને અદાલતે જયોતિ મલ્હોત્રાને રિમાન્ડ આપ્યા પછી પોલીસ પુછપરછ કરી રહી છે, તેથી આ કિસ્સો અત્યારે અન્ડર ઈન્વેસ્ટીગેશન ગણાય.
પોલીસ તપાસ પૂરી થયા પછી જો આક્ષેપો સાચા પુરવાર થશે, તો આ બન્ને શંકાસ્પદોને કાયદો તો અદાલતી કાર્યવાહી કર્યા પછી સજા કરશે જ, પરંતુ આ પ્યાદાઓની પાછળ રહેલા સીમાપારના કાવતરાખોરો નાબૂદ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાનના જાસૂસો, પાક પ્રેરિત આતંકવાદીઓ તથા સ્લીપર સેલ્સના સ્વરૂપમાં આપણા જ દેશમાં રહીને દુશ્મનને મદદ કરતા ગદ્દારો ગાંડા બાવળની જેમ વધતા જ રહેવાના છે, તેથી ઓપરેશન સિંંદૂર હેઠળ સીમાપાર આક્રમણ કરીને આતંકી પર પ્રહાર કરવા અને તેને પ્રેરણા અને ખુલ્લેઆમ સમર્થન આપતી પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવાની જરૂર છે, અને તેમાં અમેરિકા કે કોઈપણ ત્રીજા દેશનો હસ્તક્ષેપ હવે દેશની જનતા પણ સ્વીકારે તેમ નથી.
દુનિયામાં શાંતિ ફેલાવવાની ડંફાસો મારતા ટ્રમ્પ રશિયા-યુક્રેન વચ્ચે સમાધાન કરાવવાના ફાંકા મારતા હતા પરંતુ, પુતિને ભાવ આપ્યો નહીં, અને યુક્રેન પર નવેસરથી હૂમલો કરી દીધો. અમેરિકાનું પાક્કું દોસ્ત ગણાતુ ઈઝરાયેલ ગાઝાપટ્ટી પર સતત હૂમલા કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ગમે ત્યારે સંગ્રામ શરૂ થઈ શકે તેવી સ્થિતિ છે, તેથી એક તરફ તો વિશ્વયુદ્ધ થઈ જાય, તેવી ભયંકર અને ડરામણી સ્થિતિ ઊભી થઈ રહી છે, તો બીજી તરફ "ટ્રેડ ટ્રેડ" કરતા ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફવોરના કારણે વૈશ્વિક માર્કેટ તથા અનેક દેશોમાં અર્થતંત્ર (અમેરિકા અને ચીન સહિતના) પણ ડગમગવા લાગ્યા છે, તેથી આખું વિશ્વ બરબાદી તરફ ઢસડાઈ રહ્યું હોય તેમ જણાય છે.
આપણો દેશ આતંકવાદ સામે એકજૂથ છે, અને પાકિસ્તાનને પછાડીને હવે પી.ઓ.કે. પાછું લેવું જોઈએ તથા પાકિસ્તાનથી આઝાદ થવા ઈચ્છતા બલુચિસ્તાન ઉપરાંત બાલ્ટિસ્તાન અને ગિલગીટ સહિતનાં પ્રદેશોને મદદ કરીને પાકિસ્તાનના પાંચ ટૂકડા કરી નાખવા જોઈએ, તેવી જનભાવનાઓ ઉછળી રહી છે, તો બીજી તરફ ઓપરેશન સિંંદૂરના પ્રથમ તબક્કાની સફળતા પછી તેનો યશ લેવાની હોડ લાગી છે. આપણા દેશની ગરિમા ઝળહળતી રહે, તે માટે અત્યારે શાસકપક્ષ અને વિપક્ષોની સાત ટીમો વિદેશ જઈ રહી છે તે સારી વાત છે પરંતુ તેમાં પણ આંતરિક રાજનીતિના ખેલ ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. બીજી તરફ પાકિસ્તાનના પી.એમ. શાહબાઝ અને તેની સરકાર પણ જાણે ભારતની નકલ કરતી હોય તેમ વિશ્વ સમુદાય સમક્ષ જવાની છે.
આપણા દેશમાંથી વિદેશી જાસૂસો પકડાતા હોય, આઈ.એસ.આઈ.ના આતંકીઓ દબોચાતા હોય અને હૈદ્રાબાદમાં આતંકી હૂમલા કરવાના કાવતરાખોરો ઝડપાતા હોય, તો તે એક તરફ તો આપણી ચૂસ્ત-દૂરસ્ત સુરક્ષા વ્યવસ્થાને પુરવાર કરે છે, તો બીજી તરફ એવો સંકેત પણ આપે છે કે આપણે જરા પણ ગાફેલ રાખવું પોસાય તેમ નથી, કારણ કે દેશમાં જ પાકિસ્તાન પ્રેમીઓ તથા ચીનના ચાહકો પણ ઓછા નથી !
કેન્દ્ર સરકારે પણ એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે અત્યારે આખો દેશ એકજૂથ થયો છે તે રાજકીય રીતે શાસકપક્ષ કે ગઠબંધનના સમર્થનમાં છે, પછી અત્યારે આખો દેશ આતંકવાદ અને દુશ્મન દેશો સાથે એકજૂથ થયો છે, અને તે માટે સરકાર દ્વારા લેવાતા નિર્ણયો અને ભારતની બહાદૂર સેનાની પાસે અડીખમ ઊભો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતની ઘણી તળપદી કહેવતો ખૂબજ થોડા શબ્દોમાં ઘણું બધું કહી દેતી હોય છે, અને કેટલીક કહેવતો તો ફિલોસોફી, ગહન ચિંતન અને અનુભૂતિના સંગમમાંથી પ્રગટી હોય તેવું લાગે, તો કેટલીક કહેવતો શાનમાં સમજાવી દેવાની તાકાત પણ ધરાવતી હોય છે. ગુજરાતી સાહિત્યમાં જ નહીં, પરંતુ હિસ્ટ્રી, મેથ્સ, બિઝનેસ અને પોલિટિકસ સહીતનાં વિષયોમાં પણ ઘણી વખત ગુજરાતી કહેવતો આબેહૂબ બંધબેસતી થઈ જતી હોય છે.
પહલગામ આતંકી હૂમલો, ભારતનું સફળ ઓપરેશન સિંંદૂર અને તે દરમિયાન પાકિસ્તાને હૂમલો કરવાનો માત્ર પ્રયાસ જ કર્યો ત્યાંજ તેમને ભારતે દેખાડેલી સૈન્ય તાકાતની ફેઈક ન્યુઝ અને ડોકટર્ડ કે ચોરી કરેલી તસ્વીરો અને ભળતા વીડિયો મૂકીને પાક મીડિયા અને સોશ્યલ મીડિયા દ્વારા ભ્રામક ખબરો ફેલાવીને પોતાની પીઠ થાબડી રહ્યું હતું, જેની પાકિસ્તાનમાં જ હાંસી ઉડી રહી હતી, તો બીજી તરફ ઈન્ટરનેશનલ મીડિયાના કેટલાક ભારત વિરોધી પરિબળોએ ફેલાવેલી જૂઠી ખબરોની માયાજાળ પણ પ્રાયોજિત ઢબે પાકિસ્તાને ભારતને જબ્બર નુકસાન પહોંંચાડયું હોવાનો ભ્રમ ફેલાવી રહી હતી, અને પાકિસ્તાનમાં તો વિજયોત્સવ ઉજવાઈ રહ્યા હતા.
તે પછી તટસ્થ ઈન્ટરનેશનલ મીડિયાએ વાસ્તવિકતા પ્રગટ કરવા માટે સંશોધનો કર્યા અને ભારતીય સેના તથા વિદેશ મંત્રાલયે તબક્કાવાર પ્રેસ-કોન્ફરન્સો યોજીને ફોટો, વીડિયો અને સંલગ્ન પુરાવા સાથે હકીકતો રજૂ કરી, તે પછી સેટેલાઈટ આધારિત અસ્સલ અને સચોટ તસ્વીરોએ પાકિસ્તાનની પોલ ખોલી નાખી અને પાકિસ્તાન માત્ર ત્રણેક દિવસોમાં જ બરબાદ થઈ ગયું હોવાનું પુરવાર થયા પછી હવે પાકિસ્તાનના પી.એમ. શાહબાઝ શરીફ હવે ક્રમશઃ ધીમે ધીમે એ હકીકત સ્વીકારતા થયા છે કે આ મીનીયુદ્ધે જ પાકિસ્તાનના મહત્વપૂર્ણ સ્થળોના ભૂક્કા બોલાવી જ દીધા હતા, અને મહત્ત્વપૂર્ણ એરબેઝનો ખુરદો બોલી ગયો હતો.
આજે સવારથી એવા અહેવાલો આવી રહ્યા છે કે શાહબાઝે તેમના મહત્ત્વના એરબેઝ સહિત થયેલા જંગી નુકસાનની વાત સ્વીકારી છે, તે પહેલા ગઈકાલે તેમણે ભારત સાથે શાંતિવાર્તા કરવાની તૈયારી પણ બતાવી હતી, પરંતુ ભારતના વિદેશમંત્રીએ સ્પષ્ટ જવાબ આપી દીધો હતો કે હવે માત્ર પી.ઓ.કે. ખાલી કરવા અને પાકિસ્તાનમાંથી આતંકવાદ નાબૂદ કરવા સિવાય કોઈ વાત નહીં થાય!
પાકિસ્તાનના સિંધના મુખ્યમંત્રી અને ત્યંના વાયુદળના પૂર્વ એરમાર્શલે પણ ભારતે એવોકસ સિસ્ટમ ઉડાડી દીધી હોવાની વાત કરી હતી, અને હવે શાહબાઝે વાસ્તવિકતા સ્વીકારવાનું શરૂ કર્યું, તેથી એવું કહી શકાય કે વાર્યા ન વરે, તે હાર્યા વરે, એટલે કે ઘણું બધું સમજાવવા છતાં અકડાઈ ચાલુ રાખે, તેને પછડાટ પડે કે ઘોર પરાજય થાય ત્યારે જ તેને ભાન થાય.
જો કે, પાકિસ્તાન સુધરે તેમ નથી. વાર્યા વરે અને હારે તો પણ ન વરે, તો તેનું નિકંદન નીકળી જવાનું નક્કી હોય છે, તેથી એવું પણ કરી શકાય કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ....
ભારતના બ્રહ્મોસે પાકિસ્તાનને તબાહ કરી દીધું અને ચીનની તકલાદી એર ડિફેન્સ સિસ્ટમો ફેઈલ ગઈ, ચીન અને તુર્કિયેના ડ્રોનનો તો કચ્ચરઘાણ જ નીકળી ગયો અને ચીનની મિસાઈલની હવા નીકળી ગઈ, તે પછી ચીનનો ડિફેન્સ માર્કેટમાં પણ જબરો ફટકો પડવાનો છે. અને યુદ્ધ સામગ્રી જ નહીં પરંતુ અન્ય ચીજવસ્તુઓનો વેપલો પણ વિખેરાઈ જવાનો છે. હવે ભારતીય સેનાએ નવું નોટમ જાહેર કર્યું છે, મિસાઈલના નવા પરીક્ષણો થઈ રહ્યા છે, યુદ્ધ સામગ્રીના નવા સોદાઓ થઈ રહ્યા છે, ડિફેન્સ બજેટ વધારાયુ છે, ભારતીય સેનાને વળતો પ્રહાર કરવાની ખૂલ્લી છૂટ અપાઈ છે અને દેશના રક્ષામંત્રીએ ભુજમાંથી "પિક્ચર તો અભી બાકી હૈ" જેવો રણટંકાર કર્યો છે, તેથી પાક. પી.એમ. શાહબાઝની હેંકડી નીકળી ગઈ હશે, અને હવે શાંતિ સ્થાપવાની ડાહી ડાહી વાતો કરવા લાગ્યા હશે.
એવું કહેવાય છે કે ભારતના પ્રચંડ પ્રહાર અને પછીની વર્તમાન રણનીતિથી ફફડી ઉઠેલી પાકિસ્તાની સેનાએ તેનું રાષ્ટ્રીય હેડક્વાર્ટર્સ અન્યત્ર ખસેડવાનું નક્કી કર્યું છે. સિંધુ સમજૂતિના સંદર્ભે પરમાણુ બોમ્બની ધમકી આપતા રહેતા પાકિસ્તાની નેતાઓની બોબડી બંધ થઈ ગઈ છે, અને હવે શાંતિનો રાગ આલાપવા લાગ્યા છે, જ્યારે ભારતે વિપક્ષી સાંસદો સહિતના સાત પ્રતિનિધિમંડળની રચના કરી છે અને તેને વિદેશોમાં મોકલીને વિશ્વસમુદાય સમક્ષ પાકિસ્તાનના આતંકી ચહેરાને બે-નકાબ કરવા, આઈ.એમ.એફ. દ્વારા મંજુર થયેલ ફંડ અટકાવવાનું દબાણ લાવવા અને યુ.એન.એસ.સી.માં ટી.આર.એફ.ને આતંકી સંગઠન ઘોષિત કરવાની સાથે સાથે ભારતના અપરાધી આતંકીઓને પરત સોંપવાનની પાકિસ્તાનને ફરજ પાડવા સહિતના બહુ આયામી અને ચોતરફી વ્યુ હાત્મક કદમ ઉઠાવ્યા છે. ભારતે પહલગામ હૂમલા પછી પાકિસ્તાન પર રહેલા પ્રતિબંધો એકાદ અપવાદ સિવાય યથાવત રાખ્યા છે અને યુદ્ધવિરામ નહીં પણ સંઘર્ષ વિરામ છે, તથા પાક. પ્રેરિત આતંકી હૂમલાને યુદ્ધનો પ્રયાસ ગણવા તથા પાકિસ્તાન અને આતંકવાદીઓને એકસરખા ગણીને ટ્રીટ કરવા, તેની સાથે જેવા સાથે તેવાનો વ્યવહાર કરવા તથા આતંકીઓ પર સતત પ્રહાર કરવાની નીતિ અપનાવવા પાકિસ્તન ફફડી રહ્યું છે.
જો કે ભારતીય સેનાએ કરેલા આ પરાક્રમો અને રાજકીય ઈચ્છાશક્તિ કે ડિફેન્સ-ફોરેન મિનિસ્ટ્રીની નિર્ણયશક્તિની વાહવાહી થાય, ત્યાં સુધી બરાબર છે પરંતુ આ અધૂરી સફળતાના મહિમાગાનની આડમાં કે આક્ષેપો-પ્રતિઆક્ષેપો, તરફેણ અને વિરોધના પ્રદર્શનો કરીને રાજકીય લાભ અથવા ચૂંટણીલક્ષી ફાયદો મેળવવાના પ્રયાસો થાય, તો તે માત્ર નિંદનિય જ નહીં, પરંતુ પોતાના પરિવારોને છોડીને તથા સાથે કફન બાંધીને દેશની રક્ષા કરતા જવાનોનું પણ અપમાન જ ગણાય ને ?
પહલગામ હૂમલા પછી ઓપરેશન સિંદૂરના પ્રથમ તબક્કાની સફળતા સુધી ભારતે જે એકજૂથતા દેખાડી હતી, તે પણ આ પ્રારંભિક વિજય માટે યશભાગી છે, તે ભૂલવું ન જોઈએ...હજુ પણ ટ્રેલર પછીનો વિરામ છે, અને પિક્ચર હજુ બાકી છે, તેવા થયેલા દાવાઓ પણ કસોટીની એરણે ચડવાના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજકોટમાં સામાન્ય વરસાદ થતા જ ત્યાંની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ અને ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ, એટલું જ નહીં, કેટલાક વસાહતી વિસ્તારો જળબંબાકાર થઈ ગયા અને લોકોના ઘરોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા, તે પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અને વિવિધ સરકારી વિભાગો તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા હાલારના નગરો-ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી વ્યવસ્થિત, ગુણવત્તાસભર અને યોગ્ય રીતે થઈ રહી છે કે કેમ ? તેવા સવાલો ઉઠે એ સ્વાભાવિક છે.
અત્યારે જામનગરમાં વિકાસના કામોની જાણે આંધી આવી હોય તેમ ફ્લાય ઓવરબ્રીજ અને તેના સંલગ્ન કામો, ભૂગર્ભ ગટરના તથા પાણીપૂરવઠાના કામો અને કેટલાક સ્થળે માર્ગ-મરામત તથા અન્ય કામો ચાલી રહ્યા હોવાથી અવાર-નવાર જાહેરનામાઓ પ્રસિદ્ધ કરીને કેટલાક માર્ગો બંધ કરીને તેના વૈકલ્પિક માર્ગો સૂચવાઈ રહ્યા છે, તો કેટલાક માર્ગો ડાયવર્ટ કરાઈ રહ્યા છે અથવા અડધા બંધ કરીને કામ ચલાવાઈ રહ્યું છે. આ કાર્યોની સાથે સાથે ચાલતી પ્રિ-મોન્સુન કામગીરીઓ કેટલી વ્યવસ્થિત થાય છે અને કયાં લાપરવાહી રખાઈ રહી છે, તેના પર ઉચ્ચ અધિકારોઓ અને જવાબદાર નેતાગીરી ઉપરાંત હવે જાગૃત નાગરિકો પણ નજર રાખી રહ્યા છે અને લોલંલોલ કે ગરબડ જણાય, ત્યાં વીડિયો ઉતારીને કે ફોટા પાડીને તેને ઉજાગર કરવાની પ્રવૃત્તિ પણ વિકસી રહી છે, તેથી ઈજારદારો તથા તંત્રોએ પણ વધુ જાગૃત રહેવું પડી રહ્યું હોય તેમ જણાય છે. જો કે, આ પ્રકારની પ્રવૃત્તિ વિશુદ્ધ ઢબે અને તદૃન લોકલક્ષી માનસિકતા સાથે જ થવી તત્યંત જરૂરી છે અને કદાચ તેવું જ થઈ રહ્યું છે. તંત્રો પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી તથા પુરાવા સાથે થતી નક્કર રજૂઆતો પરત્વે તત્કાલ લક્ષ્ય આપીને જે ગરબડ થતી હોય કે કચાશ રહી જતી હોય તો તે અટકાવે અને મૂળમાંથી જ સુધારે તેવું મેકેનિઝમ વધુ વ્યાપક અને ઝડપી બનાવે તે અનિવાર્ય છે.
વિકાસના માચડા ઊભા કરી દેવામાં આવે, પરંતુ તે પૂરેપૂરા ઉપયોગી ન બને, તો જંગી ખર્ચાઓનો કોઈ અર્થ નથી. દૃષ્ટાંત તરીકે જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીમાં નગરમાં નવા બનેલા ત્રણ સી.એચ.સી. ના ઓપરેશન મેન્ટેનન્સના કામોની દરખાસ્તો પેન્ડીંગ રાખીને કેટલીક અનિવાર્ય પૂર્તતાઓ કરવામાં આવી રહી હોવાની ચર્ચા થઈ હતી, અને નવા બનેલા ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પૈકી માત્ર બેડીબંદર રીંગ રોડ પર અધકચરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અપૂરતી સાધન-સામગ્રી સાથે એક સી.એચ.સી. ચાલુ થયું હોવથી તમામ સી.એચ.સી. તબીબો તથા કાયમી અથવા વીઝીટીંગ નિષ્ણાંત તબીબો (સ્પેશ્યાલિસ્ટો), જરૂરી દવાઓ તથા પૂર્ણ કક્ષાના ઓ.ટી. સહિતની વ્યાવસ્થાઓ સાથે તત્કાલ કામ કરતા થઈ જાય, તેવી અપેક્ષા નગરજનો રાખી રહ્યા છે, અને આ અત્યંત જરૂરી સેવાઓમાં થઈ રહેલા અસહ્ય વિલંબનો ખુલાસો પણ થવો જોઈએ, તેવી ગુપસુપ થવા લાગી છે.
સમર્પણ હોસ્પિટલથી દિગ્જામ મીલ થઈને બેડીબંદર તરફ જતા રીંગરોડ અને બેડીબંદરને ગાંધીનગર રેલવેસ્ટેશનને જોડતા રીંગરોડના નવીનીકરણ, વિસ્તૃતિકરણ અને આધુનિકરણની વાતો થતી રહે છે અને મહાનગરપાલિકાની ચંૂટણીઓ સમયે વાયદાઓ થતા રહે છે, પરંતુ આ કામ પૂરું થતું જ નથી, અને પ્રોસિઝર તથા પૂર્તતાના નામે વિલંબ થતો જ રહે છે. આ અંગે જે -તે વિસ્તારોના કોર્પોરેટરો પણ ભેદી ચૂપકીદી સેવી રહ્યા હોય તેમ જણાય છે.
નગરમાં નવા-નવા "ડ્રીમ પ્રોજેકટો" ના પ્લાન બને, ટ્રાફિક સમસ્યા નિવારવાના હેતુથી નિર્માણાધિન ફ્લાય ઓવરબ્રીજનું ચોમાસા પહેલા લોકાર્પણ થઈ જાય કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના જંગી કામો થતા રહે, તે આવકારદાયક છે, પરંતુ લોકોની મૂળભૂત જરૂરિયાતોના કામો ખોરંભે ન પડે અને ધીમી ગતિએ ચાલતા જનજરૂરી વિકાસકામો ગુણવત્તાસભર બને અને તત્કાળ સંપન્ન થાય તે પણ જરૂરી છે...સામર્થ્યવાનોના સપનાઓની જેમ જ સામાન્ય લોકોની પ્રાથમિક સુવિધાઓનું પણ ચિંંતન થાય, તો જ પ્રજાલક્ષી સુશાસનના દાવાઓ સાચા પડે,....સમજદાર કો ઈશારા બહોત....?
સમર્પણ હોસ્પિટલ પાસે અત્યારે જાણે પરિવહનનું જંકશન રચાયુ હોય તેમ ત્યાંથી ખંભાળીયા, પોરબંદર, દ્વારકા, ઓખા, બેટદ્વારકા, રાવલ, ભાણવડ, લાલપુર તરફ જતા સેંંકડો પેસેન્જરો અને માલવાહક વાહનો પસાર થાય છે, અને આ એક રિકવેસ્ટ બસ સ્ટોપ હોવાથી અહીંથી એસ.ટી., ટ્રાવેલ્સ અને ખાનગી વાહનો પેસેન્જરોને ચડાવવા-ઉતારવા માટે થોભે છે, પરંતુ ત્યાં સેનિટેશનની કોઈ જ વ્યવસ્થા નહીં હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાય છે અને જાહેરમાં પાસવોટર કરવા મજબુર બને છે, એટલું જ નહીં મહિલાઓ તો ક્ષોભજનક સ્થિતિ અનુભવે છે, તેથી ત્યાં સેનિટેશનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવી જરૂરી છે, પરંતુ એરકન્ડીશન ગાડીઓમાંથી સ્વાર્થ વગર નીચે પગ નહીં મુકતા સંબંધિત હોદ્દેદારો કે ઉચ્ચ અધિકારીઓને લોકોની આ મૂળભૂત સમસ્યા કદાચ દેખાતી જ નહીં હોય ને...?
લોકોમાં તો એવી ચર્ચા હતી કે સમર્પણ સર્કલને સુવિધાસંપન્ન કરવા અને ડેવલપ કરવા માટે રિલાયન્સ કંપનીએ તૈયારી બતાવી છે અને મનપાની મંજુરીથી તેનો જયારે વિકલ્પ થશે, ત્યારે માત્ર સેનિટેશન જ નહીં સર્કલની ચો-તરફ છાપરાઓ-બેન્ચો-પંખા-પીવાનું પાણી તથા સેનિટેશન-શૌચાલયોની વ્યવસ્થા સાથેના બસસ્ટેન્ડ, ફુવારો, રિક્ષાસ્ટેન્ડ, એ.ટી.એમ. ફર્સ્ટએઈડની સુવિધા તથા શોપીંગ કોમ્પ્લેકસ, સાથેનું સંકુલ ઊભું થશે, પરંતુ હવે જ્યારે રિલાયન્સના સહયોગથી ટાઉનહોલ સર્કલના વિકાસની જાહેરાત થઈ ગઈ છે, તેથી સમર્પણ સર્કલના વિકાસની વાતો કાં તો હવામાં ઉડી ગઈ હશે, અથવા તો નયારા જેવી અન્ય ખાનગી કંપનીઓ, રાજ્યસરકાર અને કેન્દ્રસરકારના સંકલનથી સમર્પણ સર્કલનો વિકાસ થશે, એવી આશાવાદી ચર્ચા પણ થવા લાગી છે. બીજી તરફ લોકોમાં એવી ચર્ચા પણ છે કે કેન્દ્રસરકારની નવી નીતિઓની અસર કદાચ નગર સુધી પહોંચી ગઈ છે. એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે કરોડોના પબ્લિક મનીથી રિપેર કરાયેલા મ્યુનિ. ટાઉનહોલનું ખાનગીકરણ તો થવાનું નથી ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે કોઈ શ્રમિક કે સામાન્ય વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં અચાનક કરોડો રૂપિયા જમા થઈ ગયા, તો કેટલીક વખત તદ્ન ગરીબ વ્યક્તિને મોટી રકમની વસુલાત કે ટેકસ બાકી હોવાની નોટીસ મળે, તો ક્યારેક દસ્તાવેજી ઓનલાઈન કાર્યવાહી દરમિયાન ગરબડ થઈ જવાના કિસ્સા પણ નોંંધાતા હોય છે, તેનું કારણ અદ્યતન ટેકનોલોજી તથા ઈન્ટરનેટ આધારિત ડિજિટલ, કોમ્પ્યુટરાઈઝ અને ઓનલાઈન સિસ્ટમોમાં થતી ગરબડ હોય છે.
ઝડપી, ચોક્કસ અને પારદર્શક પ્રક્રિયાઓ માટે ડિજિટલ અને ઈન્ટરનેટ આધારિત કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ ઘણીજ ઉપયોગી છે, પરંતુ આ જ સિસ્ટમો જયારે બગડી જાય, ખોટવાઈ જાય કે "ડાઉન" થઈ જાય ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓનો ભોગ તંત્ર તથા સામાન્ય લોકો બને છે, તેથી આ પ્રકારની ખામીઓ ઊભી જ ન થાય, તેવી ફૂલપ્રૂફ અદ્યતન સુધારણાઓ ન થાય, ત્યાં સુધી સામાન્ય લોકોને સંબંધિત, ધન-સંપત્તિ કે બેન્કીંગ સેવાઓને લગતી સેવાઓ માટે જયારે ડિજિટલ, ઈન્ટરનેટ અને સર્વર આધારિત સિસ્ટમો બગડી જાય, ત્યારે મેન્યુલ સિસ્ટમોની વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ જિવંત (યથાવત) રાખવી જોઈએ, તેવી એડવાઈઝ અપાતી રહેતી હોય છે, પણ....?
ઘણી વખત સર્વર ડાઉન થઈ જતા કલાકો સુધી લાઈનોમાં ઊભેલા અરજદારોના મહત્વના કામો અટકી પડતા હોય છે, તે ઘણી વખત સર્વર ડાઉનની બહાનાબાજી હેઠળ કામચોરી, લાપરવાહી કે ટેબલ નીચેથી વ્યવહારો કરવાની માનસિકતા પણ પનપતી હોય છે. જો સર્વર ડાઉન થાય તેવા સંજોગોમાં કોઈ એવો વિકલ્પ રાખવામાં આવે, કે શક્ય હોય તો અરજદારનું કામ મેન્યુલી કરી આપવામાં આવે, અથવા તો અરજદારે ફરીથી ધક્કો ન થાય, અને તેનું કામ તે પછી તંત્ર દ્વારા જ થઈ જાય, અથવા અરજદાર સાથે સેલફોન-ઈન્ટરનેટના માધ્યમથી ઘરબેઠાં પેન્ડીંગ કામ થઈ જાય, તેવો કોઈ વિકલ્પ વિચારવો જોઈએ. જો કે, બધા કિસ્સામાં તેવું ન થઈ શકે, પરંતુ કેટલાક રોજીંદા ટેકનિકલ અને નાના-મોટા સુધારા-વધારા કે ટેકસ પેમેન્ટ, રજીસ્ટ્રેશન અને પ્રક્રિયાત્મક કામો માટે આવું કોઈ ઓપ્શન તો વિચારવું જ જોઈએ.
એક તાજુ દૃષ્ટાંત જોઈએ, તો આર.ટી.ઓ. દ્વારા રાજ્યમાં નવ હજારથી વધુ વાહનોને માત્ર ત્રણ દિવસોમાં રૂ.૧.૯૪ કરોડ કરતા વધુ રકમનાં ઈ-ચલણ ઈસ્યુ થયા અને તેમાં અડધો અડધ ઈ-ચલણ ખોટી રીતે ઈસ્યુ થઈ જતા રાજ્યની તમામ આર.ટી.ઓ. કચેરીને તપાસના આદેશ આપવાના અહેવાલો વહેતા થયા છે.
એવું કહેવાય છે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા તાજેતરમાં નિયમ-કાયદાઓનાં મોનીટરીંગ તથા ટેક્સિસને લગતી જોગવાઈઓનો ચૂસ્ત અમલ થાય, તે માટે રાજ્યના ટોલનાકાઓ પર ઈ-ડિટેક્શન પ્રોજેકટ હેઠળ ઈ-ચલણ મોકલવાની સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે, આ સિસ્ટમમાં ક્ષતિ ના કારણે ત્રણ દિવસમાં નવ હજાર કરતા વધુ વાહનોને રૂ. બે હજારના ઈ-ચલણ ઈસ્યૂ થઈ ગયા છે. તા. ૧૫ થી ૧૭ એપ્રિલ વચ્ચે ઈસ્યૂ થયેલા આ ઈ-ચલણો "સિસ્ટમની દગાબાજી"ના કારણે અપાયા અને તેમાં અડધો અડધ ઈ-ચલણો ખોટી રીતે અપાયા હોવાથી તપાસ શરૂ થઈ હોવાના અહેવાલો પછી પ્રત્યેક ડિજિટલ અથવા ઈન્ટરનેટ આધારિત ઓનલાઈન સેવાઓને વધુ ફુલપ્રૂફ બનાવવા અને સિસ્ટમ પર આધારિત રહેવાના બદલે ઈ-ચલણોથી પણ એક વખત મેન્યુલ કે સિસ્ટોમિક કે મેન્યુલ પુનઃચકાસણી થઈ જાય, તે અત્યંત જરૂરી હોવાના જન-પ્રતિભાવો પણ વ્યકત થવા લાગ્યા છે.
જે વાહનચાલકો કે વાહનધારકો પાસે તમામ જરૂરી ડોક્યુમેન્ટ હોય, તેમ છતાં તેને ઈ-ચલણ મળે, ત્યારે તેને કેટલી તફલીફ પડતી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી, પરંતુ નિંંભર તંત્રો પાસેથી સંવેદનશીલતાની અપેક્ષા રાખવી નકામી છે. કેટલાક વાહનધારકો એટલા પ્રામાણિક હોય છે કે તેઓ ઈ-ચલણ મળતા જ ચુકવણી કરી દેતા હોય છે, જ્યારે કેટલાક વાહનધારકો સિસ્ટમના જાણકાર નહીં હોવાથી કે અલ્પજ્ઞાનના કારણે પણ તરત પેમેન્ટ કરી દેતા હોય છે, અને તેના દ્વારા ભરપાઈ થયેલા વધારના નાણા સરભર થાય છે કે કેમ, તેની તેઓને ખબર હોતી નથી કે તંત્રને પડી હોતી નથી. જો કે, આ પ્રકારના ગરબડ ગોટાળા અંગે અહેવાલો વહેતા થયા પછી પણ મૌન રહેલા રાજ્યકક્ષાના સંબંધિત તંત્રોએ આ અંગે સ્પષ્ટતા પણ કરવી જોઈએ, અને હવે પછી આ જ ક્ષતિ ફરીથી દહોરાવાય નહીં, તેની કાળજી પણ લેવી જોઈએ, શું રાજ્યનો માર્ગં વાહનવ્યવહાર વિભાગ આ પ્રકારની ગેરંટી આપી શકશે ખરૃં ?
ટૂંકમાં ઈ-સેવાઓમાં થતી ગરબડો જોતા તંત્રોએ માત્ર ને માત્ર ઈ-સિસ્ટમો પર આધારિત રહેવાના બદલે ઈ-સેવાઓમાં પણ ખામી ઉત્પન્ન થાય, સર્વરો ડાઉન થાય કે પછી વીજ પૂરવઠો કે સંચાર વ્યવસ્થા ખોરવાઈ જાય, તેવા સંજોગોમાં જેમાં શક્ય હોય તેવી જનલક્ષી સેવાઓ માટે મેન્યુલ સિસ્ટમનો વિકલ્પ ખુલ્લો રાખવો જોઈએ.
બેન્કીંગ સિસ્ટમમાં ઘણી બેન્કો આ પ્રકારનો મેન્યુલ વિકલ્પ રાખે છે, અને "સિસ્ટમ" કોઈ પ્રક્રિયામાં જયારે આગળ વધવા ન દ્યે કે પછી ખામી સર્જાય, તો પહેલાની જેમ મેન્યુલ પ્રક્રિયાનો વિકલ્પ વાપરીને કસ્ટમરનું કામ કરી આપતી હોય છે, ત્યારે માત્ર બેન્કીંગ સિસ્ટમ જ નહીં, પરંતુ તમામ ઈ-સેવાઓમાં મેન્યુલ સિસ્ટમનો વિકલ્પ રાખવો જોઈએ, કારણકે મશીનો કે સિસ્ટમ ક્યારેય "પ્રેક્ટિકલ" બની શકતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતના સૌથી પહેલા ગુજરાતી સાંધ્ય દૈનિક "નોબત" ના ગરિમામય ૬૮ વર્ષ ૫ૂરા થયા અને આજે ૬૯માં વર્ષમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. અમારા પથદર્શક અને "નોબત"ના આદ્યસ્થાપક સ્વ. રતિલાલભાઈ માધવાણીએ જીવનભર પડકારો, પરિશ્રમ અને પ્રામાણિકતાથી સિંચેલું આ વટવૃક્ષ હવે ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વવ્યાપી બની રહ્યું છે, અને તેઓની ત્રીજી પેઢી પણ "નોબત"ને અત્યાધુનિક તથા ગ્લોબલ બનાવવા માટે જે સહિયારો પુરૃષાર્થ કરી રહી છે, તે પૂ. બા અને પૂ. રતિલાલભાઈ માધવાણીના આશીર્વાદની સાથે સાથે સમગ્ર હાલાર અને હવે સાત સમંદર પાર વિશ્વના જુદા જુદા દેશોમાં ઈન્ટરનેટ આધારિત "નોબત"ની વિવિધ આવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ વાચકો, દર્શકો, ફોલોઅર્સ અને શુભેચ્છકોના આશીર્વાદથી સફળ થઈ શક્યો છે, અને આ સાંધ્ય અખબાર હવે ઈ-પેપર, વીડિયો સમાચાર, બ્રેકીંગ ન્યુઝ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ, ટેલિગ્રામ, વેબસાઈટ સહિતના માધ્યમો દ્વારા પણ ઉપલબ્ધ થયું છે, અને પ્રિન્ટેડ અખબાર તથા ઈન્ટરનેટના માધ્યમથી વંચાતુ, સંભળાતુ અને પળે-પળની ખબરોથી સતત સંકળાતુ "નોબત" હવે લોકોના જીવનનું અભિન્ન પાસું બની ગયું છે.
"નોબત"ની અદ્યતન આવૃત્તિ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વધેલી પ્રવૃત્તિઓ છતાં અમે અમારી મૂળભૂત સેવાઓ તથા અભિગમો યથાવત રાખ્યા છે. જામનગર અને હાલારની જનતાનાં અવાજને વાચા આપવા ઉપરાંત કુદરતી આફતો, યુદ્ધ જેવી પરિસ્થિતિ કે અસાધારણ સંજોગોમાં જનસેવાની સંગાથે ઊભું રહેતું આ અખબાર લોકોના હૃદયમાં વસી ગયું છે, તે નક્કર હકીકત છે.
"નોબત"ના તંત્રીલેખો જન-જન અને જન પ્રતિનિધિઓથી લઈને વિદ્યાનગૃહો સુધી પડઘાય છે, અને શાસન-પ્રશાસન તથા વિપક્ષોને પણ જરૃર પડ્યે ઢંઢોળે છે. તો વિવિધ સમસ્યાઓ અને જનફરિયાદોને તસ્વીરી અહેવાલો, આર્ટિકલ્સ અને ન્યુઝસ્ટોરીઓના સ્વરૃપમાં પણ પ્રકાશિત કરવામાં આવે છે. તે ઉપરાંત "નોબત"નો સંગત વિભાગ પણ અનેક પ્રકારની વિવિધાસભર આર્ટિકલ્સ, અભ્યાસલેખો, ઈન્ફોર્મેટીવ અને ંફિલોસોફિકલ સહિતની વૈવિદ્યપૂર્ણ વાચન સામગ્રી પીરસે છે. "નોબત"ના મન હોય તો માળવે જવાય, સંવેદના, એન્જિયોગ્રાફી, મિલનની મસ્તી, કટાક્ષકણિકા, ચૂડીચાંદલો, માર્કેટ સ્કેન, દૈનિક-સાપ્તાહિક ભવિષ્ય, ગોલીબારના લેખો, સાહિત્યગાથાઓ, વિશેષ દિવસોને સાંકળતા પ્રાસંગિક લેખો અને કાવ્યો, સોના-ચાંદીના ભાવો, શેરબજાર, પંચાંગ, શુભવિવાહ, ચિરવિદાય અને સોશ્યલ રિસર્ચ ઘણાં જ લોકપ્રિય થયા છે, અને તે અંગે વાચકોના સંખ્યાબંધ પ્રતિભાવો પણ સાંપડે છે, જેથી અમારી છાતી ગજ ગજ ફૂલે છે.
"નોબત"ની વાર્ષિક લવાજમ યોજનાઓ પણ ઘણી જ આકર્ષક બની છે, તો બ્રેકીંગ ન્યુઝની અવિરત સેવાઓ પણ ગ્રુપ મેમ્બરોનો વ્યાપ વધારી રહી છે. "નોબત"ના યુ-ટ્યુબ દ્વારા પ્રસારિત થતા દૈનિક સ્થાનિક સમાચારની તો લોકો રાહ જોઈને બેઠા હોય છે, અને તસ્વીરકથાઓ દ્વારા હાલારમાં યોજાયેલા તમામ પ્રકારના કાર્યક્રમો, ધાર્મિક પ્રસંગો, ઉપરાંત જનપ્રશ્નોને સંબંધિત ફોટોસ્ટોરીઓ પણ ઘણી જ લોકપ્રિય બની છે.
આજના આ ગરિમામય દિવસે "નોબત" પરિવાર અને માધવાણી પરિવાર નોબતના માનવંતા ગ્રાહકો, વાચકો, વિજ્ઞાપન દાતાઓ, સ્પોન્સર્સ, દર્શકો, ફોલોઅર્સ, બ્રેકીંગન્યુઝના ગ્રુપ મેમ્બર્સ, પત્રકારો, પ્રતિનિધિઓ, વિતરકો સહિત સમગ્ર હાલાર અને દેશ-વિદેશમાં ફેલાયેલા શુભેચ્છકો તથા સહયોગીઓને હૃદયપૂર્વક સાભાર, શુભકામના પાઠવે છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ થયો, અને ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે બન્ને દેશોના ડીઆરએનઓ વચ્ચે સંઘર્ષ વિરામ જાળવી રાખવાની હજુ સમજૂતિ થઈ જ હતી, ત્યાં ગઈકાલે રાત્રે સાંબા અને જલંધરમાં ફરીથી ડ્રોન દેખાયા, જેને ભારતની ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા. પંજાબના હોશિયારપુરમાં પણ ધમાકા જેવા અવાજો સંભળાયા પછી ફરીથી બ્લેકઆઉટની ફરજ પડી અને હજુ ગઈકાલે જ એરસ્પેસ ખોલીને હવાઈ સેવાઓ પૂર્વવત કરાઈ હોવાની જાહેરાત કરાઈ હતી, તે પૈકીની કેટલીક સેવાઓ આજ પૂરતી રદ્દ કરાઈ હોવાના અહેવાલો પણ આવ્યા. આથી પાકિસ્તાન ક્યારેય નહીં સુધરે અને કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી... તેવી કોમેન્ટો પણ થવા લાગી. જો કે, તે પછી ફરીથી કોઈ ડ્રોન્સ દેખાયા નહીં, પરંતુ પાકિસ્તાને પુરવાર કરી દીધું કે હમ નહીં સુધરેંગે...
ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન થાય તે પહેલા જ ફરીથી ટ્રમ્પે એવું નિવેદન કર્યુ, જેથી તેની હાંસી પણ ઉડી અને ભારતે તેનો રદિયો પણ આપ્યો, ટ્રમ્પે કહ્યું કે, તેમણે ભારત અને પાકિસ્તાન સાથે વ્યાપાર બંધ કરી દેવાની ચિમકી આપીને યુદ્ધ વિરામ કરાવ્યું છે, જેનું મોદીએ સંબોધનમાં આડકતરો જવાબ આપ્યો હોવાનો દાવો થયો, અને ટ્રમ્પની હાંસી પણ ઉડી. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સંબોધનમાં ક્યાંય ટ્રમ્પનું નામ લીધુ નહીં, તેની પણ અલગથી ચર્ચા થઈ રહી છે, પરંતુ તેઓએ ટેરર, ટ્રેડ અને ટોક એક સાથે નહીં ચાલે, પાણી અને લોહી એક સાથે નહીં વહે અને હવે પાકિસ્તાન સાથે પીઓકે પરત લેવા તથા આતંકવાદને સમાપ્ત કરવા સિવાયના કોઈ મુદ્દે વાત નહીં થાય, તેમ જણાવીને ઓપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું અને ભારત ગમે ત્યારે સ્થગિત થયેલી સૈન્ય કાર્યવાહી ફરીથી શરૂ કરી શકે છે, તથા ભારત - પાકિસ્તાનની દરેક હરકત પર નજર રાખશે, તેવી સ્પષ્ટ વાત કરી, તે પછી કોઈનું નામ લીધા વિના ઘર આંગણેથી વિશ્વ સમુદાય સુધીના તમામ પ્રશ્નોના જવાબ આપી દીધા હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યાં છે.
જો કે, પાકિસ્તાનના સાંસદે ભારતના પી.એમ. નરેન્દ્ર મોદીના ભાષણને માત્ર પોતાની શાખ બચાવવાનો પ્રયાસ ગણાવીને ભારત બરબાદ થઈ ગયું હોવાની શેખી મારી અને બીજી તરફ સાંજે થયેલી સમજૂતિનો રાત્રે જ ભંગ કરાયો તે જોતા પાકિસ્તાની ક્યારેય સુધરે તેમ લાગતું નથી.
હજુ તો ઓપરેશન સિંદૂર ખતમ થયું નથી, ભારતીય સેનાની ત્રણેય પાંખો પાકિસ્તાનની હરકતો પર નજર રાખીને બેઠી છે અને સિઝફાયરનો ભંગ કરવાની હરકતો સંપૂર્ણપણે બંધ થઈ નથી, ત્યાં જ એક તરફ યુદ્ધવિરામ (સંઘર્ષ વિરામ) નો લિંબડજશ ખાટવાના ટ્રમ્પ ફેઈમ પ્રયાસો ઘર આંગણે પણ શરૂ થઈ ગયા છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી પણ કેટલાક સવાલોના સ્પષ્ટ જવાબો મળ્યા નહીં હોવાની ચર્ચા થઈ રહી છે. દેશની સુરક્ષા, યુદ્ધ જેવી સ્થિતિ અને આતંકવાદ જેવા વિષયોને સાંકળીને રાજકીય લાભો લેવાના પ્રયાસો થતા હોય, અને ચૂંટણીઓ કે પરિણામો સાથે સાંકળીને કોમેન્ટો પોસ્ટ કરાતી હોય અને પછીથી ડિલીટ કરી દેવાતી હોય, તો કહી શકાય કે "હમ નહીં સુધરેંગે..."
ગઈકાલે ફરીથી સરહદે ડ્રોન દેખાયા પછી પ્રપંચી અને દગાબાજ પાકિસ્તાનનો ભરોસો થઈ શકે તેમ નથી, અને એટલે જ આજે જામનગર સહિત કેટલાક સરહદી શહેરોમાંથી ઉડનારી ફલાઈટો અટકાવી દેવામાં આવી હશે. પાકિસ્તાન સાચી-ખોટી સમજૂતીઓ કરે, અને થોડા જ કલાકોમાં તેનો ભંગ કરે, અને ભારત તેનો "જડબાતોડ" જવાબ આપ્યા જ રાખે, તેવું ક્યાં સુધી ચાલશે...? આ કાયમી પળોજણનો હવે કાયમી ઈલાજ કરવો જ પડે તેમ છે, અને હવે પછી જો ગયા સપ્તાહ જેવી તક મળે, તો ચૂકવા જેવી નથી, અન્યથા કેન્દ્ર સરકાર સામે પણ લોકોનો આક્રોશ વધી જશે અને વિશ્વસનિયતા ઘટી જશે, તે નક્કી છે. પીઓકે પાછું ક્યારે લેશો અને આતંકવાદ હકીકતે ખતમ થશે ખરૂ...?, તેવા જનપ્રશ્નોના જવાબો તો હવે આપવા જ પડે તેમ છે, અને તે માટે આખો દેશ સરકાર અને સેનાની પડખે અડીખમ ઊભો જ છે.
યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ, ત્યારે પાકિસ્તાન સાથે જળસીમાથી જોડાયેલા હાલારે પણ સુરક્ષા એજન્સીઓ અને તંત્રને સ્વયંભૂ અને અડીખમ સહયોગ પૂરો પાડ્યો છે. ઠેરઠેર અંધારપટ, પોતાના કામ-ધંધા બાદ રાખીને તથા સામાજિક, ધાર્મિક, પારિવારિક પ્રસંગો, પ્રવાસ-પર્યટન તથા મહત્ત્વના કામોના ભોગે પણ તંત્રની સૂચનાઓ ઉપરાંત સ્વયંભૂ સ્વયંશિસ્ત અને સંખ્યાબંધ બ્લડ ડોનેશન કેમ્પો યોજીને જંગી સંખ્યામાં રક્તદાન કરીને હાલારની જનતાએ દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો જે પરિચય આપ્યો છે, તે ગૌરવપ્રદ અને પ્રશંસનિય છે...
તમામ પ્રકારની તકેદારીઓ તથા સ્વયંભૂ બ્લેકઆઉટની સાથેસાથે લોકોને મદદરૂપ થવાની પ્રવૃત્તિઓમાં તમામ સમાજો, વર્ગો અને અબાલવૃદ્ધ સૌ કોઈએ આપેલો જિવંત સહયોગ અવિસ્મરણીય રહેવાનો છે, અને તે જ આપણા દેશની તાકાત છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમિતાભ બચ્ચનની એક હિન્દી ફિલ્મનું એક કોમેડી ટાઈપનું ગીત ઘણું જ પ્રચલીત છે, જેની પ્રથમ પંક્તિ છે "મેરે અંગને મેં તૂમ્હારા ક્યા કામ હૈ...?"
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ થયુ, અને ઓપરેશન સફળ થયુ હોવાના દાવાઓ થયા, તે પહેલા જ અમેરિકાના ધૂની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે "એક્સ" પર પોસ્ટ મૂકીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી હતી, અને અમેરિકાએ આ સંઘર્ષ વિરામ માટે પ્રયાસો કર્યા હતા, તેઓ દાવો પણ ટ્રમ્પે કર્યો હતો. આ પ્રકારે ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા દેશના હસ્તક્ષેપ સામે ભારતમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, અને વિપક્ષો લાલઘૂમ છે. જેના સંદર્ભે ટ્રમ્પને ઉદ્દેશીને કટાક્ષમાં કહેવાય રહ્યું છે કે, "હમારે અંગને મેં તૂમ્હારા ક્યા કામ હૈ...?
બીજી તરફ આ વખતે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની બહાદૂર અને સક્ષમ સેનાએ પાકિસ્તાનમાં જઈને નવ આતંકી કેમ્પો ઉડાવી દીધા અને તે પછી પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલથી કરેલા તમામ હૂમલાઓ નિષ્ફળ બનાવીને તેના મર્યાદિત જવાબમાં પાકિસ્તાનના ચાર મહત્ત્વપૂર્ણ એરબેઝ, રડાર અને સંલગ્ન સૈન્ય ઠેકાણાઓનો કચ્ચરઘાણ વાળી દીધો છે. તેની વાહવાહી પણ થઈ રહી છે.
આ વખતે તો ભારત એવી સ્થિતિમાં હતું કે, પૂર્ણકક્ષાનું યુદ્ધ થાય, તો પાકિસ્તાનના ટૂકડે-ટૂકડા થઈ જાય તેમ હતાં, કારણ કે બ્લુચિસ્તાનના સ્વાતંત્ર્ય માટે લડતી બલૂચી વિદ્રોહી સેના પણ પાકિસ્તાની સેના પર આક્રમણો કરી રહી હતી અને ભારતીય સેનાની ત્રણેય પાંખોએ પાકિસ્તાનને ઘેરી પણ લીધુ હતું, આવી મજબૂત સ્થિતિમાં ભારતે સંઘર્ષ વિરામ કર્યો, તેવી પ્રબળ દેશદાઝ ધરાવતા દેશપ્રેમીઓ, ઘણાં પૂર્વ સૈનિકો તથા ખુદ શાસકપક્ષના સમર્થકો સહિત દેશવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને આ રીતે અચાનક સંઘર્ષ વિરામ કરવાના બદલે પ્રપંચી પડોશીઓને પછાડીને એલઓસી પરત લઈ લેવાની સુવર્ણ તક ગુમાવી હોવાનો વસવસો પણ પડઘાઈ રહ્યો છે.
મુખ્યત્વે, વિપક્ષના નેતાઓ સંઘર્ષ વિરામની જાહેરાતો ટ્રમ્પે કરી હોવાથી આગબબૂલા થયા છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે જો ત્રીજો પક્ષે મધ્યસ્થી કરી ન હોય અને ટ્રમ્પે કરેલી જાહેરાત યથાર્થ ન હોય, તો ખુદ વડાપ્રધાન તેની સ્પષ્ટતા કેમ કરતા નથી...? તેવા સવાલો ઉઠ્યા છે.
બીજી તરફ ગઈકાલે સેનાની ત્રણેય પાંખોના ડીજીએમઓએ એક વિસ્તૃત પત્રકાર પરિષદ યોજીને ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના નેસ્ત નાબુદ કરેલા કેમ્પો, હણેલા આતંકવાદીઓ અને તે પછી પાકિસ્તાને કરેલા નિષ્ફળ હૂમલા પછી પાકિસ્તાનમાં ઘૂસીને તેના કેટલાક એરબેઝ અને સૈન્ય ઠેકાણાંઓને બરબાદ કર્યા તેનું પ્રેઝન્ટેશન કરીને પુરાવા સાથે માહિતી આપી, તે પછી દેશભરમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવાઈ રહ્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત જ છે, તેવું જાહેર કર્યા પછી એવી અટકળો પણ થઈ રહી છે કે, હવે પાકિસ્તાનના નવ મુખ્ય આતંકી ઠેકાણા નાબુદ કર્યા પછી બાકીના ૧ર આતંકી ઠેકાણાંનો પણ યોગ્ય સમયે ખુરદો બોલવવાની યોજના વિચારાઈ હશે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર યથાવત રાખ્યું હોવાથી દુભાયેલી જનભાવનાઓમાં થોડો આશાનો સંચાર પણ થતો જણાયો હતો. બીજી તરફ ભારત સરકારે પહેલેથી જ એવું જાહેર કર્યુ હતું કે, હવે ભારત કોઈપણ પાક પ્રેરીત આતંકી હૂમલો થશે તો તેને "એક્ટ ઓફ વોર" ગણીને વળતો પ્રહાર કરાશે અને સંઘર્ષ વિરામ પછી પણ ભારત સરકારે સિંધૂ જળ સંધિ રદ્દ કરવા સહિતના પાકિસ્તાન પર લગાવેલા તમામ પ્રતિબંધો યથાવત રાખ્યા હોવાથી પણ આ સંઘર્ષ વિરામ પણ ભારતીય સેનાની લાંબી વ્યૂહરચનાનો એક ભાગ જ હશે, તેમ માનવામાં આવી રહ્યું છે. હવે બધાની નજર ભારત - પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચેની વાટાઘાટો પર મંડાયેલી છે.
એટલું સારૂ છે કે, ભારતે ચોખ્ખુ કહી દીધુ છે કે, હવે ભારત-પાક. વચ્ચે માત્રને માત્ર પીઓકે પાછું આપવાની અને ભારતના અપરાધી આતંકીઓને પરત સોંપવાની જ વાત થશે, તે સિવાયની કોઈ વાતચીત પાકિસ્તાનની સાથે નહીં જ થાય. એક એવી વાત પણ સામે આવી છે કે, પછડાયેલા હતાશ પાકિસ્તાનની બેજવાબદાર સરકાર અને સેનાએ પરમાણુ બોમ્બ ફેંકવાની તૈયારી કરી હોવાથી લાખો લોકોના જીવ બચાવવા અને બન્ને તરફ આ બરબાદી અટકાવવા હાલ તુરંત આ અણગમતો નિર્ણય લેવાયો છે, પરંતુ હવે પાકિસ્તાની કે તેના પાલતુ આતંકવાદીઓની નાની સરખી હરકત પણ પાકિસ્તાનની બરબાદી નોતરશે, એટલું જ નહીં, હવે ભારત - પાકિસ્તાનને પીઓકે પરત સોંપવા અને ભારતના અપરાધી આતંકવાદીઓ ભારતને સોંપી દેવાની જોરશોરથી માંગણી ઉઠાવીને કાશ્મીરના યુદ્ધનું સ્વરૂપ જ ફેરવી નાંખશે, જે હોય તે ખરૂ, પરંતુ ભારત સરકારે ત્રીજા પક્ષની મધ્યસ્થી અને ટ્રમ્પના દાવાઓનો નિષેધ કરતી જાહેરાત વિશ્વસનિય રીતે કરવી જ જોઈએ, કારણ કે, ભારત સરકાર અને વડાપ્રધાન પ્રત્યેની દેશની જનતાની વિશ્વસનિયતા સંકળાયેલી છે.
હવે ખડગે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પત્રો લખીને આ મુદ્દે ચર્ચાની કરેલી માંગણીઓ, સંસદના વિશેષ સત્રની માંગણી તથા ખાસ કરીને ટ્રમ્પના દાવાઓ અને ત્રીજા દેશના હસ્તક્ષેપના મુદ્દે સ્વયં વડાપ્રધાન દ્વારા ચોખવટ વિગેરેની ચર્ચા વચ્ચે વિપક્ષના દિગ્ગજ નેતા, ધારાશાસ્ત્રી અને પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદે ટીવી ઈન્ટરવ્યૂમાં જે વાતો કહી છે તે "ટોક ઓફ ધ નેશન" બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે પણ પાકિસ્તાને યુદ્ધ વિરામ ભંગ કરીને ભારતીય સરહદે 'એલઓસી' પર ફાયરીંગ ચાલુ રાખ્યું અને નિર્દોષ નાગરિકોની વસાહતોને ટાર્ગેટ બનાવી, અને ભારતે તેનો યોગ્ય જવાબ આપ્યો, તે ઉપરાંત બારામુલાથી સરક્રીક-કચ્છ સુધીની સરહદો પરથી પાકિસ્તાને ડ્રોન એટેક કર્યો. તેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો, તો પછી મોડી રાત્રે પણ આ નાપાક હરકતો ચાલી રહી હતી, તે દરમિયાન ભારતની ચિંતાને અવગણીને આઈએમએફ દ્વારા પાકિસ્તાનને કરોડો ડોલરનું ફંડ મંજૂર કરાયા હોવાના અહેવાલો પણ આવ્યા, જેથી ભારતના પાકિસ્તાનને ગ્રે લિસ્ટ આપવા બ્લેક લિસ્ટમાં મૂકવાના પ્રયાસો વિફળ થયા હતાં, અને ભારતે જોરદાર વિરોધ પણ નોંધાવ્યો છે, તો બીજી તરફ વિશ્વ બેંકે સિંધૂ સમજુતિ મુદ્દે કોઈ હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરીને પાકિસ્તાનને જબરદસ્ત ઝટકો આપ્યો હતો, એટલું જ નહી, અમેરિકાએ પણ ભારતને શસ્ત્રો હેઠા મૂકવાનું દબાણ ન કરી શકાય, અને ભારત અને પાકિસ્તાનની વર્તમાન તંગદીલી વચ્ચે અમેરીકા હસ્તક્ષેપ નહીં કરે, તેવું કહીને પાકિસ્તાનને ઝટકો આપ્યો હતો. જો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદીલી ઝડપથી ઘટી જાય અને યુદ્ધ જેવી સ્થિતિ વધુ ન વકરે, તેવું ઈચ્છનીય હોવાનું નિવેદન આપ્યા પછી પણ પાકિસ્તાને ડ્રોન એટેક ચાલુ રાખ્યો, તેથી ઓપરેશન સિંદૂર હવે પૂર્ણકક્ષાના યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું હોવાનુ પ્રતિત થઈ રહ્યું છે.
આજે વહેલી સવારે સવા ત્રણેક વાગ્યાના સુમારે પાકિસ્તાની સેનાએ નિવેદન આપ્યુ કે ભારતે પાકિસ્તાનના ત્રણ સૈન્ય એરબેઈઝ પર બેલાસ્ટિક મિસાઈલ્સથી હૂમલો કર્યો છે, તે પછી તેના સંદર્ભે ભારતીય સેના અને વિદેશ મંત્રાલય તરફથી સવારે દસેક વાગ્યે જે પ્રેસ મિટિંગ થયું, તે પછીની સ્થિતિ આપણી સામે છે.
પાકિસ્તાને તેનું એરબેઈઝ ગઈકાલે રાત સુધી બંધ કર્યુ નહોતુ અને ફલાઈટો ચાલુ રાખી હતી, જેથી નાગરિક વિમાનોની આડમાં ભારત પર ડ્રોન એટેક થઈ શકે, અને ભૂલેચૂકેથી ભારતીય ડ્રોન કે મિસાઈલ પાકિસ્તાની એરપોર્ટ પરથી ઉડેલા કોઈ નાગરિક વિમાનને લાગી જાય, તો ભારત સામે કાગારોળ કરીને વિશ્વ સમુદાયને ગેરમાર્ગે દોરી શકાય, તેવી રણનીતિ રહી હતી.
આમ પોતાના જ નિર્દોષ નાગરિકો તથા ફલાઈટોમાં પ્રવાસ કરતા સંભવિત પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકીને આવી કાયરતાપૂર્ણ રણનીતિ પાકિસ્તાને અપનાવી, તેની દુનિયાભરમાં ટીકા થઈ રહી હતી.
આજે પરોઢના ચારેક વાગ્યાથી પાકિસ્તાને બપોર સુધી એરસ્પેસ બંધ કરીને તમામ ફલાઈટો રદ્દ કરવાની જે જાહેરાત કરવી પડી, તેની પાછળ પણ તેની ચાલાકીના દુષપરિણામો જ કારણભૂત છે. ભારતના નિર્દોષ નાગરિકો પર યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળા ફેંકવા અને ગોળીબાર કરવો, તૂર્કીયેના તકલાદી ડ્રોનની વર્ષા કરીને પોતાની પ્રજાને પણ ગૂમરાહ કરીને પોતાની પીઠ થાબડવી અને પોતાના જ નિર્દોષ નાગરિકો તથા પ્રવાસીઓની આડમાં (તેઓનો જીવ જોખમમાં મૂકીને) ભારતના હૂમલાઓ ખાળવા તથા ડ્રોનવર્ષા જેવી હરકતો કરવી, એવી કાયરતાપૂર્ણ, અમાનવીય અને અનૈતિક હરકતોથી પાકિસ્તાની સેના અને સરકાર વિશ્વ સમક્ષ વામણાં પૂરવાર થયા છે.
ભારતીય સેનાએ જમ્મુ નજીક આતંકવાદીઓના અડ્ડા સાથેનું ડ્રોન છોડવાનું લોન્ચ પેડ ધ્વસ્ત કરીને આજે ઝબરો ઝટકો આપ્યો છે, પરંતુ હજુ સુધી ભારતે યુદ્ધ જાહેર કર્યુ નથી અને માત્ર આતંકવાદીઓ તથા તેના મદદગારોને ટાર્ગેટ કરીને ઓપરેશન સિંદૂરને લાંબાગાળા માટે યથાવત રાખવાનું જાહેર કરીને જવાબદારીપૂર્વક પાકિસ્તાનની હરકતોનો સંયમિત પરંતુ મક્કમ જવાબ આપવાની રણનીતિ અપનાવાઈ રહી છે. પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી જે મેરેથોન બેઠકો યોજાઈ રહી છે, દેશવ્યાપી મોકડ્રીલ યોજીને નાગરિકોને યુદ્ધના સમય માટે પ્રશિક્ષિત કરાઈ રહ્યાં છે, અને આવશ્યક ચીજવસ્તુઓ, રોજિંદી સેવાઓ અને લોજિસ્ટિક સપોર્ટના સાધનોની સમીક્ષા થઈ રહી છે, તે જોતા આ ઓપરેશન હવે પૂર્ણ કક્ષાના યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યાં છે.
ભારતે પણ જામનગર સહિતના દેશના ર૮ એરપોર્ટ ૧પમી મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે, અને રોજેરોજ ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ તથા કેન્દ્રીય મંત્રીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો તથા પૂર્વ સૈન્ય ઉચ્ચ અધિકારીઓ સાથેની વડાપ્રધાન સાથે યોજાતી મેરેથોન બેઠકો તથા બીજી હરોળની સપોર્ટીંગ સેનાની મદદ લેવાની અપાયેલી છૂટ વિગેરે જોતા ઓપરેશન સિંદૂર લાંબુ ચાલશે અને જો પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ રહેશે, તો પૂર્ણ કક્ષાનું પરિણામલક્ષી યુદ્ધ કરીને આઝાદીકાળથી ભારતના જમ્મુ-કાશ્મીરમાં ઘૂસેલી પાકિસ્તાની સેનાને તેના મૂળ સ્થાને ખસેડવાનું ભારતનું મૂળ લક્ષ્ય સિદ્ધ કરવાના પ્રયાસો પણ થઈ શકે છે, તેમાં સંદેહને કોઈ સ્થાન નથી.
દેશભરમાં યુદ્ધની સ્થિતિને લઈને જે તૈયારીઓ થઈ રહી છે અને તંત્રોને સાબદા કરાઈ રહ્યાં છે, તે જોતા હવે આર-યા-પાર ની લડાઈ થવા જઈ રહી હોય, તેવી મજબૂત સંભાવનાઓ હવે ટૂંક સમયમાં વાસ્તવિકતામાં બદલાઈ જશે તેમ જણાય છે. હાલારમાં પણ યુદ્ધની સ્થિતિને લઈને તમામ તંત્રો સાબદા છે.. કંટ્રોલરૃમો ખૂલ્યા છે અને સરકારી હોસ્પિટલો, જરૃરી પડે તો આશ્રયસ્થાનો, અંધારપટ અને લોજિસ્ટિક સપોર્ટ તથા આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા સહિતની સમીક્ષાઓ જોતા એવું કહી શકાય કે "હવે પાર્થને કહો ચઢાવે બાણ... હવે તો યુદ્ધ એ જ કલ્યાણ...."
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પહલગામ હૂમલાનો બદલો લેવા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ નવ આંતકી ઠેકાણા ધ્વસ્ત કર્યા પછી ગઈરાત્રે ઓપરેશન સિંદૂર પાર્ટ-ર હેઠળ વધુ આતંકી સ્થળોના ખાત્મા ઉપરાંત પાકિસ્તાને અસંખ્ય ડ્રોન દ્વારા કરેલા હૂમલાને નિષ્ફળ બનાવીને જે પ્રચંડ પ્રહારો કર્યા અને પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી, ઈસ્લામાબાદ, કરાંચી સહિતના મોટા શહેરોમાં ડ્રોન-મિસાઈલો દ્વારા જે આક્રમણ કર્યુ, તે પછી એક જ રાતમાં પાકિસ્તાનમાં તબાહી મચી ગઈ હતી, અને રાતોરાત ત્યાંના સેનાના વડા બદલાઈ ગયા હતાં, એટલું જ નહીં, ભારતીય સેનાની આર્મી, વાયુદળ અને નૌકાદળે જે રીતે વ્યૂહાત્મક ઢબે પાકિસ્તાનની તમામ ડિફેન્સ સિસ્ટમો, ઉડતું રડાર અને બંદર તથા સ્ટેડિયમ વિગેરેને ફૂંકી માર્યા પછી કેટલાક આતંકી આકાઓને મોત પ્રત્યક્ષ દેખાવા લાગ્યુ હશે. પાકિસ્તાને કલ્પના પણ નહીં કરી હોય, તેવા પ્રચંડ પ્રહાર પછી આજે પણ એલઓસી પર ગોળીબાર, સીમાપારથી ઘૂસણખોરી અને ડ્રોન હૂમલાના પ્રયાસો જોતા એમ જણાય છે કે, ઓપરેશન સિંદૂર હવે પાકિસ્તાનની પોતાની અવળચંડાઈના કારણે પૂર્ણ કક્ષાના યુદ્ધમાં ફેરવાઈ જશે.
યે તો અભી ટ્રેલર હૈ... પિક્ચર તો અભી બાકી હૈ...
ગઈરાત્રે પાકિસ્તાને ગુજરાતથી જમ્મુ-કાશ્મીર યુદ્ધની સરહદો સુધી પહેલા જે ડ્રોન-મિસાઈલ હૂમલાના પ્રયાસો કર્યા તે તો ભારતની ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવી દીધા હતાં, પરંતુ તે પછી ભારતે કરેલા પ્રતિપ્રહારો દરમિયાન પાકિસ્તાનમાં ભારે તબાહી મચી ગઈ હતી, અને પાકિસ્તાને તેના ત્રણ-ચાર યુદ્ધ વિમાનો તથા મિસાઈલો પણ ગુમાવ્યા હતાં, એટલું જ નહીં, ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા થયેલા પ્રચંડ અને અનઅપેક્ષિત પ્રહારોથી પાકિસ્તાનમાં ભારે ફફડાટ ફેલાયો હતો. પાકિસ્તાનના નિષ્ફળ ડ્રોનના હૂમલાથી તો ભારતમાં કોઈ નુકસાન થયું નહીં, પરંતુ તેના જવાબમાં ગઈકાલે રાત્રે થોડા કલાકોમાં જ ભારતે પાકિસ્તાનના અનેક શહેરોમાં તબાહી મચાવી દીધી હતી.
કરાંચી બંદર તો ખંઢેર જ થઈ ગયું હતું. પાકિસ્તાનના તમામ મોટા શહેરોની ડિફેન્સ સિસ્ટમો નાશ પામી. પાકિસ્તાનમાં સંખ્યાબંધ વ્યૂહાત્મક સ્થળોને ભારતીય સેનાએ કાટમાળમાં ફેરવી નાંખ્યા. પાક.ના વડાપ્રધાન શાહબાજના નિવાસસ્થાનથી તદ્દન નજીક ભારતીય સેનાની મિસાઈલો ખાબકી અને એક જ રાતમાં પ્રચંચી પાકિસ્તાન ત્રાહિમામ...ત્રાહિમામ... પોકારવા લાગ્યુ હતું. અડધી રાત પછી તબાહ થયેલા પાકિસ્તાને વિશ્વ સમુદાય સમક્ષ કાકલૂદીઓ કરવી પડી હતી, જે ભારતીય સેનાની તાકાત દર્શાવે છે.
ગઈરાત્રે પાકિસ્તાન પર એક તરફ ભારતીય સેના ચોતરફથી ત્રાટકી રહી હતી, તો બીજી તરફ બ્લુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ દ્વારા પણ પાકિસ્તાનના વ્યૂહાત્મક સ્થળોમાં વિસ્ફોટો કરાયા અને પાકિસ્તાનનો ધ્વજ હટાવીને તેમનો (બ્લુચિસ્તાનનો) ધ્વજ લહેરાવી દેવાયો, તો ઈમરાનખાનના સમર્થકો પણ સડકો પર ઉતરી જતા પાક.માં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આથી પાકિસ્તાનમાં આખી રાત ગભરાટ ફેલાયો અને નાસભાગ પણ મચી હતી. રાવલપિંડીનું સ્ટેડિયમ, કરાંચી બંદર અને અનેક વ્યૂહાત્મક સ્થળો પર પણ ભારતીય સેના ત્રાટકતા તબાહી અને બરબાદીના દૃશ્યો સર્જાયા હતાં, અને રાતોરાત પાકિસ્તાનના સૈન્ય વડા મુનિરને હટાવીને તેના સ્થાને મિરઝાને પાકિસ્તાની સેનાની કમાન્ડ સોંપાઈ હતી. તે પછી તખ્તાપલટની સંભાવનાઓ પણ ઊભી થઈ ગઈ હતી. કાયર અને નફફટ પાકિસ્તાની શાસકો દ્વારા લૂલો બચાવ અને આક્ષેપો થતા રહ્યાં અને બીજી તરફ ભારતના વિદેશમંત્રી વિશ્વ સમુદાય સાથે સતત સંપર્કોમાં રહ્યા અને વાસ્તવિક સ્થિતિ વર્ણવતા રહ્યાં હતાં. તો વિપક્ષના ટોચના નેતાઓ સરકારની પડખે અડીખમ ઊભા રહ્યાં...
એક તરફ ભારતે વળતો હૂમલો કર્યો, તેમાં પણ પાકિસ્તાનના નિર્દોષ નાગરિકો અને ત્યાંના વસાહતી વિસ્તારોને નુકસાન ન થાય, તેનો ખ્યાલ રાખ્યો, તો બીજી તરફ પ્રપંચી જૂઠ્ઠા અને કાયર પાકિસ્તાની શાસકો તથા ત્યાંની નપાવટ સેનાએ એલઓસી પર રહેતા ભારતીય નિર્દોષ લોકો પર આર્ટીલરી એટેક ચાલુ રાખીને તથા ક્રૂરતા, માનવતા અને સમજદારીને નેવે મૂકીને યુદ્ધના મૂળભૂત કેટલાક સિદ્ધાંતો અને નિયમોનો પણ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુદ્ધમાં બધું જ યોગ્ય હોવાના ગાણા ગાઈને પાકિસ્તાની પબ્લિકને ભરમાવવા ખોટા અને ખોખલા દાવા થયા અને સવાર થતા સુધીમાં તો નક્કર વાસ્તવિકતાઓ સામે આવી ગઈ હતી. આ અંગે આજે જે સીલસીલાબંધ વાસ્તવિક વિગતો રજૂ થઈ, તે પછી પાકિસ્તાનની પોકળતા અને જૂઠ્ઠાણાઓનો પર્દાફાશ થઈ ગયો છે. કુદરતી આફતો સમયે ભારતે જેને જીવતદાન આપ્યુ હતું. તે દગાબાજ તૂર્કીયે સિવાયના વિશ્વ સમુદાયે ગઈકાલે પાકિસ્તાનની તરફેણ કરવાના બદલે તેને દર્પણ દેખાડ્યુ હતું, તે પણ નોંધનીય છે.
આજે પણ પાકિસ્તાન એલઓસી પર ગોળીબાર ઉપરાંત ડ્રોન દ્વારા હૂમલા કરી રહ્યું છે અને તેના તમામ હૂમલા નિષ્ફળ થઈ રહ્યાં છે. તેથી હવે આરપારની લડાઈ નિશ્ચિત છે, ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી, તેની ખેલજગત પર પણ વિપરીત અસર પડી છે. ભારતમાં આઈપીએલની ધર્મશાળામાં રમાઈ રહેલી ચાલુ ક્રિકેટ મેચ અડધેથી પડતી મૂકાઈ ગઈ, તો પાકિસ્તાનની પીએસએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ હવે યુએઈમાં રમાશે, તે જોતા ભારત-પાકિસ્તાનની આ તંગદિલી એકાદ-બે દિવસમાં ખતમ થવાની નથી, તેવું જણાઈ રહ્યું છે. બીજી તરફ એક જ રાતમાં પાકિસ્તાન પાયમાલ થઈ ગયું હોવાથી એકાદ અઠવાડિયામાં જ પાકિસ્તાન વેરવિખેર થઈ જશે, તેમ જણાય છે. જામનગર સહિત હાલાર પણ એલર્ટ છે. ગઈકાલે રાત્રે અંધારપટ સહિતની સાવચેતીઓ રખાઈ હતી અને અંધારપટનો લાભ ગુનેગારો, ચોર કે તસ્કરો ન લઈ જાય, તે માટે પણ તંત્રએ વિશેષ તકેદારીઓ લીધી હોવાના તથા કંટ્રોલ શરૃ કર્યાના અહેવાલો જોતા હવે ઓપરેશન સિંદૂર-૧,ર,૩ પછી પણ તંગદિલી પૂર્ણ કક્ષાના યુદ્ધ તરફ ધકેલાઈ રહી હોય તેમ જણાય છે...પણ ભારતનો વિજય નક્કી છે... મેરા ભારત મહાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગાંડાબાવળને ગમે તેટલી વખત હટાવો, તે નેસ્તનાબૂદ થતા નથી, એને તે જ જમીનમાં વધુ ને વધુ ફેલાતા જતા હોય છે. ગાંડાબાવળ ખારી-ઉજ્જડ જમીનમાં પણ ઝડપભેર ઉછરે છે અને તેને કાઢી નાખ્યા પછી પણ ત્યાં ને ત્યાં ફરીથી ફેલાતા હોવાથી તેને અટકાવવા મૂળીયા સહિત સળગાવીને ત્યાંની જમીનને પણ ખોદીને ખેડવી પડે, અને નવસાધ્ય કરવી પડે, તેવું કહેવાય છે. કાંઈક એવું જ આતંકવાદીઓનું છે. આતંકવાદ એટલા માટે ખતમ થતો નથી, કે તે કોઈ એક જ વ્યકિત, સંગઠન કે સંસ્થા પર અવલંબિત નથી, પરંતુ એક માનવતા વિરોધી, ઘાતકી અને વિદ્વંશક આસૂરી વિચારધારા છે, જેમાં માનવધર્મ, માનવતા કે સંવેદનશીલતા દયા-માયા કે વિવેક હોતા જ નથી; આ વિચારધારાને માત્ર આતંકીઓ, તેના ઠેકાણાંઓ કે તેના ફન્ફાસ્ટ્રકચર પર પ્રહાર કરીને અટકાવી શકાતી નથી, પરંતુ તેના મૂળને જ ખતમ કરવા પડે અને ગાંડાબાવળની જેમ મૂળમાંથી ઉખેડીને, સળગાવી નાખીને તથા ત્યાંની જમીનને ઉંડે સુધી ખોદી નાખીને જ અટકાવી શકાય, તેવું મંતવ્ય યથાર્થ જણાય છે. જો કે, આ ઘાતકી વિચારધારા સદંતર નેસ્તનાબૂદ તો સરળતાથી થાય તેવું જણાતુ નથી, પરંતુ તેને અટકાવી જરૂર શકાય છે, તેવો અભિપ્રાય પણ સાંપ્રત સંજોગોમાં યોગ્ય જણાય છે.
ભારત સામે વર્ષ ૧૮૪૭ સહિત ચાર મોટા યુદ્ધમાં ભૂંડી રીતે હાર્યા પછી પાકિસ્તાને ભારતને નબળુ પાડવાના જુદા જુદા નુસ્ખા સફળતાપૂર્વક અજમાવ્યા, અને ભારતમાં દાણચોરી, ડ્રગ્સ અને નકલી ચલણી નોટોના માધ્યમથી અંતે ભારત આઝાદ થયું ત્યારથી જ મોટા વિકાસ પ્રોજેકટોનો વિરોધ, ભાષાવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ અને અલગતાવાદ જેવા ઝેરીલા માધ્યમથી ભારતની અસ્મિતા, એક જૂથતા અને વિકાસયાત્રાને અટકાવવાના પ્રયાસો સતત કર્યા, કાશ્મીર મુદ્દે કાગારોળ કરીને તથા ભારતમાં દેશવ્યાપી આતંકવાદી હૂમલાઓ કરીને દેશને ખોખલો કરવાના પ્રયાસો થયા. કારગીલમાં ઘુસણખોરી કરી ભારત વિરોધી ચીનની ગોદમાં બેસીને ભારતને ઘેરવાના પ્રયાસો કર્યા, પરંતુ પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ) ગુમાવવુ પડયું. અને વારંવાર સૈન્ય સાશનના કારણે પાકિસ્તાન હંમેશાં નબળુ પડતુ રહ્યું અને ભારત આગળ વધતુ રહ્યું છે.
પાકિસ્તાને દાયકાઓથી પોતાને ત્યાં આતંકીઓ તૈયાર કરીને ભારતમાં આતંકી હૂમલાઓ કરાવવાની નીતિ અપનાવી છે, અને પાકિસ્તાની ચળવળને પણ પાકિસ્તાને જ હવા આપી હતી, પોતાની પ્રજાને પ્રચંડ મોંઘવારી, ગરીબી અને ગુનાખોરીમાં ધકેલીને કંગાળ થયેલું પાકિસ્તાન વિશ્વબેંક અને આઈ.એફ.એમ. જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના આધારે મળતા વિવિધ ફંડ તથા ચીન જેવા દેશો તરફથી મળતી (ઊંચા વ્યાજની) લોન પર નિર્ભર છે અને ભીખનો કટોરો લઈને દુનિયામાં ફરે છે, તેમ છતાં દુનિયાભરના આતંકવાદીનું આશ્રયસ્થાન બન્યુ છે, તેની પાછળનું રહસ્ય થોડા સમય પહેલા ત્યાંના જ એક મંત્રીએ ખોલી નાખ્યું છે, હકીકતમાં ભૂતકાળમાં યુરોપ અને અમેરિકા ખંડના શક્તિશાળી દેશોના ઈશારે તેનુ પ્યાદુ બનીને દાયકાઓથી આતંકવાદની ખેતી પોતાની જમીન પર કરવા દીધી, તેથી હવે આતંકવાદીઓ જ ત્યાંની સેના, આઈ.એસ.આઈ. અને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ત્યાંની લોકતાંત્રીક સરકારોની તાકાત બની ગયા છે. વિધિમાં થતી મોટા ભાગની આતંકી પ્રવૃત્તિઓના મૂળ પાકિસ્તાનમાં જ નીકળે છે અને ઓસામા બિન લાદેન, દાઉદ ઈબ્રાહીમ, મસુદ અઝહર, હાફિઝ સઈદ, હેડલી અને ઝકીઉર રહેમાન લખવી જેવા આંતરરાષ્ટ્રીય તથા ભારતિવરોધી આતંકવાદી-ગુનેગારો તથા માફિયાઓને પાકિસ્તાને જ આશ્રય આપ્યો છે, તે આખી દૂનિયા જાણ છે.
ભારત વિરોધી યુદ્ધોમાં હારેલું પાકિસ્તાન જો કંગાળ થયા પછી પણ ભારત સામે આતંકવાદનું જ હથિયાર ઉગામતું રહે અને આતંકવાદના માધ્યમથી જ ભારત સાથે પરોક્ષ યુદ્ધ કાયમી ધોરણે ચાલુ રાખવાની પોલિસી પાકિસ્તાને અખત્યાર કરી લીધી હોય, અને આ પોલિસી ત્યાંની બદલતી રહેતી લોકતાંત્રિક સરકારો તથા માર્શલ લો દરમિયાન (મોટા ભાગે) પાકિસ્તાન પર શાસન કરનારા ત્યાંના સેનાધ્યક્ષો-તાનાશાહીએ પણ યથાવત રાખી હોય, તો પાકિસ્તાન અને તેના દ્વારા પોષણ પામેલા આતંકવાદ વિરૂદ્ધ ભારતે પણ કોઈ કાયમી નક્કર પોલિસી અખત્યાર કરવાની જરૂર છે. ભારતે અત્યાર સુધી ઘણો જ સંયમ દાખવ્યો છે, પરંતુ હવે માત્ર મોટો હૂમલો થાય, તે પછી જ સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, કે બોર્ડર પર "જડબાતોડ" જવાબ આપવાના બદલે કાયમી ધોરણે તાજેતરની સ્ટ્રાઈકની જેમ પાક.માં ધમધમતા આતંકવાદી ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરતા રહેવાની પરમેનેન્ટ નેશનલ અને ઈન્ટરનેશનલ પોલિસી અમલી બનાવવી જોઈએ.
ભારતે પહલગામનો બદલો આક્રમક સ્ટ્રાઈક કરીને લીધો, તેને "ઓપરેશન સિંદૂર" નામ આપ્યું છે, તેમાં રો એ કુલ ૨૧ આતંકી ઠેકાણાઓ ચિન્હીત કર્યા હતા. તેમાંથી મુખ્ય ૯ ઠેકાણાઓ પર સ્ટ્રાઈક થઈ છે. તેથી હવે ઓપરેશન સિંદૂર-૨ અને ઓપરેશન સિંદૂર-૩ પણ થઈ શકે છે, તેવી સંભાવનાઓને નકારી શકાય તેમ નથી. એવું પણ ચર્ચાય છે કે પાકિસ્તાનને પણ ઓપરેશન સિંદૂર હેઠળ હજી વધુ કાર્યવાહી થશે, તેવું લાગતું હોવાથી એલ.ઓ.સી. પર સતત યુદ્વવિરામનો ભંગ કરી રહ્યું છે.
આતંકવાદીઓને પહલગામમાં લોકોને ધર્મ પૂછી પૂછીને નિર્દોષોનો સંહાર કર્યો અને હવે એલ.ઓ.સી. પર પાકિસ્તાન દ્વારા ભારતીય બોર્ડર પર રહેતા નિર્દોષ ભારતીય નાગરિકો પર ગોળીબાર કરી રહ્યું છે, તે પણ એક પ્રકારનો "સત્તાવાર" આતંકવાદ જ ગણાય ને ?
ભારતે હવે આતંકવાદ વિરોધી કાયમી પોલિસી ઘડીને પાકિસ્તાન કે વિદેશની ધરતી પર રહીને આતંકવાદીઓને મદદ કરતા તથા ભારતમાં રહીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થતાં, ફંડીંગ કરતા અને છાવરતા તેમજ દેશમાં રહીને આતંકવાદીઓને મદદ કરતા, છાવરતા કે પ્રોત્સાહિત કરતા તમામ નફ્ફટો સામે કાયમી ધોરણે કડકમાં કડક પ્રહારો કરવાની જરૂર છે. એટલુંજ નહી, પાકિસ્તાનની આતંક સમર્થક નીતિ ન બદલે ત્યાં સુધી તેની સાથે અત્યારે કાપી નાખેલા તમામ સંબંધો નહીં બદલવા તથા પાણી રોકવા સહિતના ડિપ્લો મેટિક કદમ પણ સતત ઉઠાવતા જ રહેવા જોઈએ.
ગઈ કાલથી એવી ચર્ચા હતી કે હવે ઓપરેશન-૨ લોન્ચ થશે, પરંતુ આજે સવારે લાહોરમાં મિસાઈલથી હૂમલો થયો હોવાના અહેવાલો પછી સવારથી જ એવું પૂછવામાં આવી રહ્યું છે કે શું આ હૂમલો હાફિઝ સઈદ સહિતના ભારતના દુશ્મનોને ટારગેટ કરીને ભારતે કરાવ્યો હતો કે બીજું કાંઈ ? ત્રણ ધમાકા થયા પછી એવો સવાલ પણ ઉઠી રહ્યો છે શું ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે ? શું આ ધમાકા પાકિસ્તાનની કોઈ ચાલ છે...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પહલગામ હૂમલાના પખવાડિયામાં જ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પી.ઓ.કે.માં પરગેટેડ એર સ્ટ્રાઈક કરીને ડ્રોન-મિસાઈલ દ્વારા નવ આતંકી ઠેકાણા ધ્વસ્ત કરી દીધા અને સંખ્યાબંધ આતંકી અસૂરો હણાયા હોવાના અહેવાલો આજે વહેલી સવારે જ આવવા લાગ્યા હતા અને તે પછી ભારતીય સેનાએ પ્રેસ-કોન્ફરન્સ કરી, તે પછી આજે પાકિસ્તાનમાં જે ફફડાટ વ્યાપ્યો છે, તે આપણી સામે જ છે. આ એરસ્ટ્રાઈક આપણા એરસ્પેસમાંથી જ રાફેલ સહિત અત્યાધુનિક વિમાનો દ્વારા થઈ હોવાથી તેને યુદ્ધની વ્યાખ્યા આપી શકાય તેમ નહીં હોવાથી પાકિસ્તાન ગુંચવણમાં મુકાયુ હશે, બીજી તરફ રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ સહિતના વિપક્ષના નેતાઓએ પણ ભારતીય સેનાની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. જે નોંધનીય છે. "ઓપરેશન સિંદૂર" હેઠળ પાકિસ્તાનના આતંકીઓ તો ચૂર-ચૂર થઈ જ ગયા, પરંતુ શાહબાઝ સરકાર પણ ફફડી ઉઠી હોવાના અહેવાલો આવ્યા અને ભારતીય સેનાના ભૂમિદળ અને વાયુદળના આ સંયુકત ઓપરેશન પછી મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને સાથે સાથે ઓપરેશન સિંદૂર પછી હવે શું ? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. એક તરફ આજે સાયરન વગાડીને ભારતીય નાગરિકોને યુદ્ધની સ્થિતિ માટે પ્રશિક્ષણ આપવાના આયોજનો થયા છે, તો બીજી તરફ ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સંયુક્ત રીતે આ વખતે વળતો પ્રહાર પાક સ્થિત આતંકીઓને ટારગેટ કરીને કર્યો છે, તથા પાક સેનાના કોઈ સૈન્ય ઠેકાણાઓને કોઈ નુકસાન પહોંચાડ્યુ નથી, તેવા દાવાઓ પણ થયા છે. આ વખતે પી.ઓ.કે. ઉપરાંત પાકિસ્તાનના પંજાબ સહીતના આતંકી સંગઠનોના હેડક્વાર્ટર્સ પણ તબાહ કરી દીધાં હોવાના સવારે અહેવાલો આવ્યા પછી પાકિસ્તાનના સંભવિત પ્રત્યાઘાતોની ચર્ચા પણ થવા લાગી હતી.
આ વખતે જનભાવનાઓ તો એવી હતી કે ભારતીય સેના આ વખતે એવો પ્રચંડ પ્રહાર કરશે, કે પી.ઓ.કે.માં ભારતીય સેનાનો પરચમ લહેરાશે અને પાકિસ્તાનના ત્રણ-ચાર ટુકડા થશે, ભારતીય સેનાએ પી.ઓ.કે. અને પાકિસ્તાનમાં વધુ વ્યાપક અને આક્રમક પ્રહારો કરીને ભલે આતંકીઓના ઠેકાણા પર હૂમલો કરીને બદલો લીધો, તેનાથી જનભાવનાઓ સંતોષાઈ નથી, તેવી ચર્ચા વચ્ચે ભારતીય સૈન્ય કાર્યવાહીને એક સ્ટ્રેટેજિક અને વૈશ્વિક કાયદા-કાનૂનો-નિયમોને અનુસરીને થયેલો આ હૂમલો તો માત્ર ટ્રેલર જ છે, પિકચર હજી બાકી છે, તેવો દાવો પણ કેટલાંક વિશ્લેષકો કરી રહ્યા છે.
પાક. તરફથી જે પ્રતિભાવો મળી રહ્યા છે અને એલ.ઓ.સી. પર આજે સવારથી જ ફરીથી થઈ રહેલો યુદ્ધ વિરામ ભંગ અને ભારતીય સેના દ્વારા તેના જડબાતોડ જવાબના અહેવાલો જોતાં એવું પણ જણાય છે કે પાકિસ્તાન પણ પ્રતિપ્રહાર કરશે, અને તે પછી ભારત તેનો જે જવાબ આપશે, તે કદાચ જનભાવનાઓને અનુરૂપ અને મૂળ પાકિસ્તાનને સબક મળે તેવો હશે, અને તે સમયે પી.ઓ.કે. વાળી કાર્યવાહી થઈ શકે છે, તેવા વિશ્લેષણો પણ થઈ રહ્યા છે.
ઈન્ટરનેશનલ મીડિયામાં આ અંગે મિશ્ર પ્રતિભાવો પડી રહ્યા છે, અને ભારતે કરેલી કાર્યવાહીને એક જવાબદાર દેશ તરીકે કરેલી કાર્યવાહી ગણાવાઈ રહી છે, તો બીજી તરફ પાકિસ્તાનમાંથી "ભારતે યુદ્ધ થોપ્યું છે" તેવું રોદણું રોવાનું શરૂ કર્યુ છે તે જોતા પણ ઓપરેશન સિંદૂર અંતિમ નથી, અને હવે પાકિસ્તાનના વળતા કદમ પર આવવાની સ્થિતિનો આધાર રહેવાનો છે એવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે. એવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે કે પાકિસ્તાનમાં "માર્શલ લો" લાગુ કરીને ત્યાંની સેના શાહબાઝ સરકારનો તખ્તાપલટ કરી નાંખે, અથવા પછી સરકારના નિયંત્રણમાં રહીને જ (શાહબાઝના ખભે બંદુક રાખીને) પાક. સેનાના વડા મુનિર ભારત પર વળતા પ્રહારનો પ્રયાસ પણ કરી શકે છે.
આ ઓપરેશન ખત્મ થઈ ગયું છે કે ભારતની કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ છે, તેવું એટલા માટે લાગતું નથી કે એક તરફ તો પાકિસ્તાન હવે વળતો કોઈ ને કોઈ જવાબ તો આપશે જ, તે ઉપરાંત જામનગર, ભૂજ, અમૃતસર, શ્રીનગર સહિતની નાગરિક હવાઈ સેવાઓ (ફલાઈટો) રદ થઈ અને કેટલીક ફલાઈટોને અન્યત્ર વાળવામાં આવી, અને પૂર્વઘોષિત ડિફેન્સ ડ્રીલ વગેરેની તૈયારીઓ જોતાં હજુ પણ આ સંધર્ષ ચાલુ રહેશે તેમ જણાય છે. ભારતે ડિફેન્સ ડ્રીલની દેશવ્યાપી તૈયારીઓ કરીને પાક.ને ભ્રમમાં રાખીને હૂમલો કર્યો છે, અને પાકિસ્તાનને અણુબોમ્બની ધમકીઓ આપી હતી અને જે ડંફાઓ હાંકી હતી, તે જોતા પાકિસ્તાન હજુ પણ ભારતની વિરૂદ્ધમાં કોઈ ને કોઈ હરકત કરશે, અને તે પછી ભારતીય સેના તેને ભરી પીશે, તેવો આશાવાદ પણ વ્યકત થઈ રહ્યો છે. ભારતે માત્ર પાક.ના આતંકીઓ ઠેકાણાઓ પર પ્રથમ હૂમલો કર્યો હોવાથી અત્યારે તો ચીન પણ તેની તરફેણમાં કોઈ સૈન્ય મદદ કરી શકે તેમ નથી, તેથી આ એક સૈન્ય સ્ટ્રેટેજી પણ હોઈ શકે છે. ભારતે તો આતંકી ઠેકાણાઓ પર હૂમલા કર્યા, પરંતુ પાકિસ્તાન વળતો કોઈ પણ હૂમલો કરે તો તે યુદ્ધનો પ્રયાસ ગણાશે. જોઈએ હવે શું થાય છે? તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર - હાલાર સહિત ગુજરાતમાં માવઠાએ લોકોની મજા તો બગાડી જ નાખી છે, સાથે-સાથે જાન-માલનું મોટું નુકસાન પણ થયું છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જની ચર્ચા એક વખત ફરીથી શરૂ થઈ ગઈ છે. રાજ્યના ૧૪૦ થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે. તેફાની પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે વારસાદ અને કરા પડતાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા, તો ઘણાંને નાની-મોટી ઈજા થઈ. આકાશી વીજળી પણ પડી અને વીજ પુરવઠો ખોરવાઈ જતા જનજીવન ખોરવાયું.
કેટલાક સ્થળે તો લગ્નના માંડવા પણ ઉડ્યા અને કેટલાક ખુલ્લાં મેદાનમાં યોજાનાર કાર્યક્રમો જ વેરવીખેર થઈ ગયા હોવાથી કુદરત પાસે માનવી કેટલો લાચાર છે તેની પ્રતીતિ પણ થઈ. આઈ.પી.એલ. ની મેચને પણ વરસાદે ધોઈ નાખી અને હૈદરાબાદની ટીમ હોમપીચ પરથી જ એવી સ્થિતિમાં મુકાઈ ગઈ, જ્યાંથી તેમનું છેક સુધી સ્પર્ધામાં ટકી રહેવું લગભગ અસંભવ બન્યુ છે.
ગઈકાલ રાતથી જ જામનગર સિહત સૌરાષ્ટ્રમાં માહોલ બદલાયો અને કમોસમી વરસાદ થયો, તે પછી આ માવઠું ખેડૂતો તથા ખેતીને તો નુકસાન કરશે જ, પરંતુ રોજીંદા વ્યવહારો તથા નિર્ધારિત પ્રસંગો - કાર્યક્રમોને પણ જે માઠી અસર પહોંચી રહી છે, તે આપણી સામે જ છે.
આ માવઠાથી થયેલ નુકશાન પછી સરકાર તેના અસરગ્રસ્તોની પડખે ઊભી રહે અને સહાય કે સર્વે માટે તિવ્ર માંગણીઓ ઉઠે, તેની રાહ ન જુએ, તથા કોરા વાયદાઓના બદલે લોકોને વાસ્તવમાં મદદરૂપ થાય, તેવી આશા રાખીએ.
કુદરતી માહોલ તો બદલાયો જ છે, પરંતુ રાષ્ટ્રીય માહોલ પણ બદલાઈ રહ્યો છે. પહલગામ હુમલાને પખવાડીયું થવા આવ્યું, પરંતુ દેેશની જનતાને જે રીતે વળતા પ્રવાહની ખાતરીઓ અપાઈ, તેવું કદમ ક્યારે ઉઠાવશો, તેવા અહેવાલો વચ્ચે આવતીકાલે કેટલાક રાજ્યોમાં કુલ મળીને ૨૪૦ જેટલાં સ્થળે "અંધારપટ" ની મોકડ્રીલ તથા વડાપ્રધાનની રાષ્ટ્રપતિ સાથેની આજની સંભવિત મુલાકાતના અહેવાલો જોતાં હવે એકાદ બે દિવસમાં કોઈ નિર્ણાયક મોટું કદમ ઉઠાવાશે, તેવી આશા લોકોને બંધાણી છે.
માવઠા પછી થોડી ઠંડકની અનુભૂતિ થઈ અને બળબળતી ગરમીમાં થોડી રાહત પણ મળી, પરંતુ ધગધગતી ધરતી વરસાદી પાણી પી ગઈ અને વરાળ ઉત્પન્ન થતાં આજે ગરમી સાથે બફારાનો જે વરતારો થયો છે, તે જોતાં એવું કહી શકાય કે આ ઠંડક "દઝાડનારી" છે અને ક્ષણિક ઠંડક પછીની વિકરાળ સમસ્યાઓનો સામનો પણ આપણે જ કરવાનો છે ને...?
આતંકવાદ સામે આક્રમક પ્રહાર કરવામાં થતી ઢીલને પણ ઘણાં લોકો યુદ્ધ પહેલાની શાંતિ ગણાવી રહ્યા છે, તો ઘણાં લોકો સમગ્ર ઘટનાક્રમ તથા મેરેથોન બેઠકોના દોરને માઈક્રોપ્લાનીંગના એંધાણ ગણાવી રહ્યા છે. કેટલાક લોકો કહેતા હતા કે પાકિસ્તાનનું પાણી રોકવાની પોકળ જાહેરાતો જ થઈ રહી છે, તો બીજી તરફ ચિનાબ નદીનું પાણી બે સ્થળે રોકી લેવાતા પાકિસ્તાનમાં ચીનાબ નદી સુકાવા લાગી હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે.
ઘણાં લોકો તુર્કીયેને મુશ્કેલીના સમયે ભારતે મદદ કરી હોવા છતાં પ્રવર્તમાન સંજોગોમાં પાકિસ્તાનમાં યુદ્ધજહાજ મોકલીને દુશ્મન દેશને મદદરૂપ થવાથી તુર્કીયેની હરકતને ઘણાં લોકો કેન્દ્ર સરકારની વિદેશનીતિને નિષ્ફળ ગણાવી રહ્યાં છે, અને ટ્રમ્પ ફેઈમ જેવા સાથે તેવાની રણનીતિ (કેટલીક બાબતોમાં) અપનાવવાની જરૂર પણ જણાવી રહ્યાં છે, પરંતુ આ લોકોનું સાંભળે છે કોણ...?
જો કે, રશિયાએ જૂની દોસ્તી નિભાવીને ભારતની પડખે ઊભી રહેવાની જાહેરાત કર્યા પછી ચીને પણ પાકિસ્તાનને ખૂલ્લો ટેકો આપવાની વાત વધુ ભારપૂર્વક દોહરાવી છે, ત્યારે ભારત-પાક. તંગદીલીના મુદ્દે પણ વિશ્વના દેશો બે જૂથમાં વહેંચાવા લાગ્યા છે, જેથી આંતરરાષ્ટ્રીય પ્રવાહો વિચિત્ર રીતે બદલાવા લાગ્યા છે, અને નવા સમીકરણો રચાવા લાગ્યા છે, ત્યારે ભારતમાં પણ તમામ રાજકીય પક્ષોને પાકિસ્તાનની સાથે જે પગલા લેવાય, તેમાં સરકારની પડખે રહેવાની જાહેરાત કરી છે, અને સરકારે સેનાને ખૂલ્લી છૂટ આપી હોવાની બે દિવસ પહેલા જે ઘોષણા કરી, તે પછીની મેરેથોન મિટિંગો જોતા પાકિસ્તાનમાં પણ ફફડાટ ફેલાયો છે, જે ઘણો જ સૂચક છે.
સૌથી વધુ અટકળો ભારત-પાક. પર કઈ પદ્ધતિ પ્રહાર કરશે, તે અંગે થઈ રહી છે. ભારતમાં એવી જનભાવનાઓ છે કે પાકિસ્તાનને આ વખતે એવો સબક શિખવવો જોઈએ કે તેની કમ્મર જ તૂટી જાય, લોકો હવે પીઓકેને પાકિસ્તાનના કબજામાંથી છોડાવીને ત્યાં ભારતનું શાસન સ્થપાય જાય અને પાકિસ્તાનના ત્રણ-ચાર ટૂકડા થઈ જાય તેવા પ્રચંડ પ્રહારની અપેક્ષા રાખી રહ્યાં છે, વર્ષ-૧૯૭૧ માં તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ પૂરેપૂરી તૈયારીઓ માટે જે રીતે પૂરતો સમય ભારતીય સેનાને આપ્યો હતો, તેવી જ રીતે અત્યારે પણ ભારતીય સેના ફૂલપ્રૂલ પ્લાન બનાવી રહી હોવાનો અંદાજ પણ લગાવાઈ રહ્યો છે, તો બીજી તરફ પૂર્ણ કક્ષાનું યુદ્ધ કરવાના બદલે પાણી રોકવા, વૈશ્વિક મદદો મળતી અટકાવવા અને પાકિસ્તાનને દુનિયામાં એકલુ અટુલુ પાડી દેવાના ડિપ્લોમેટિક પગલાઓને પણ ઘણાં લોકો યથાર્થ ગણાવે છે.
એવું અનુમાન છે કે, પાકિસ્તાનને પાણી મળતુુ અટકાવીને તથા આર્થિક મદદો કે વૈશ્વિક રણનૈતિક સમર્થન અટકાવીને પહેલા પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દેવુ અને તેનાથી વિચલિત થઈને પાકિસ્તાન કોઈપણ ભૂલ કરે કે હૂમલા કરે તો વ્યાપકપણે તૂટી પડવાની કોઈ ઉંડી રણનીતિ ઘડાઈ હોવી જોઈએ. જે હોય તે ખરૃં, પરંતુ હવે નિર્ણાયક પ્રહાર નહીં થાય તો પાકિસ્તાન વિરૂદ્ધ જનભાવનાઓ કઈ તરફ વળી શકે છે, તે જણાવવાની જરૂર નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે હાયર સેકન્ડરીના ધેરણ ૧૨નું વિજ્ઞાનપ્રવાહ અને સામાન્યપ્રવાહ ઉપરાંત ગુજકેટના પરિણામો જાહેર થયા અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ - પરિવારજનોની સવારથી જ ઊભી થયેલી કુતૂહલતા બપોર થતાં થતાં ભવિષ્યના આયોજન, ચિંતા અથવા દ્વિધામાં પલટાઈ ગઈ અને સ્વાભાવિક રીતે જ "કહીં ખુશી કહીં ગમ" નો માહોલ સર્જાયો છે, અને ઉત્કૃષ્ટ પરિણામો મેળવનાર વિદ્યાર્થીઓ તથા તેના પરિવારજનોમાં ઉમંગ ઉછળી રહ્યો છે. બીજી તરફ ધાર્યુ પરિણામ ન આવ્યુ હોય તે ઉત્તીર્ણ ન થયા હોય તેવા વિદ્યાર્થીઓએ પણ હતાશ થવાની જરૂર નથી, તેવું કાઉન્સીલીંગ કરીને તેઓને હવે પછીના વિકલ્પો સમજાવાઈ રહ્યા છે. ઓછી ટકાવારી આવી હોય, તેવા વિદ્યાર્થીઓ માટે પણ ઉજ્જવળ ભવિષ્ય તથા કારકિર્દી ઘડવાના ઉપલબ્ધ સંખ્યાબંધ વિકલ્પોની સમજ પણ અપાઈ રહી છે, ત્યારે એવું કહી શકાય કે પરિણામો પછીનો આ સમય વિદ્યાર્થીઓ માટે એક નવો પડકાર પણ છે અને એક ઉજ્જવળ અવસર પણ છે.
પરીક્ષા હોય કે પોલિટિકસ, બન્નેમાં પડકારો પણ હોય છે અને તેમાં જ સફળતાઓ પણ સમાયેલી હોય છે. જેવી રીતે એકાદ વખત ચૂંટણી હારી ગયા પછી હતાશ થઈને મેદાન છોડીને ભાગવાના બદલે પોલિટિકસને મોટા ભાગે ૫ુનઃ પ્રયાસો કરતા રહે છે તેવી જ રીતે જીવનના કોઈપણ ક્ષેત્રમાં એકાદ-બે વખત નિષ્ફળતા સામે હારી જવાના બદલે વધુ મક્કમતાથી આગળ વધવાના પરિણામો પણ મોટા ભાગે ઉત્તમ અને આશાવાદી જ રહેતા હોય છે. માત્ર રાજકીય ક્ષેત્ર જ નહીં, વ્યાપાર, ઉદ્યોગ, અને વ્યવસાયો તથા ઉચ્ચ કારકિર્દીના ક્ષેત્રે પણ એવા અનેક ઉદાહરણો મળી આવશે, જેમાં નિષ્ફળતાઓની જ નિસરણી બનાવીને લોકોએ ઝળહળતી સિદ્ધિઓ અને સર્વોચ્ચ સફળતાઓ હાંસલ કરી હોય.....
આપણાં દેશમાં પણ વિવિધ ક્ષેત્રે અનોખી ઉપલબ્ધિઓ ઉપલબ્ધ કરતાં પહેલાં અનેક પડકારોનો સામનો વૈજ્ઞાનિકો, સંશોધકો, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટો, પોલિટિશ્યન્સ, બિઝનેસમેન અને બ્યુરોક્રેટ્સ વગેરે એ કર્યો હતો તે પણ હકીકત જ છે ને ?
આપણા દેશમાં અંતરિક્ષ વિજ્ઞાનના પ્રારંભે આપણા સાયન્ટિસ્ટો અને સંલગ્ન વૈધાનિક સંસ્થાઓએ પણ ઘણો જ પડકારોનો સામનો કર્યો હતો. એક સમય એવો હતો, જયારે લગભગ ૬ દાયકાઓ પહેલા વર્ષ ૧૯૬૦ ના દાયકામાં ઈસરોએ પહેલું રોકેટ થુમ્બાથી લોન્ચ કર્યુ હતું, તેને સાયકલ અને બળદગાડામાં લોન્ચીંગના સ્થળ સુધી પહોંચાડ્યુ હતું. ભારતે જ્યારે વર્ષ ૧૯૬૩ માં પ્રથમ રોકેટ લોન્ચ કર્યુ ત્યારે ઘણાં મર્યાદિત સાધનો હતા, ફંડની લિમિટ હતી અને, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સંસાધનો પણ ઘણાં જ ઓછાં હતા, તેમ છતાં આપણા સ્પેસ સાયન્ટિસ્ટો હિંમત હાર્યા નહોતા અને જે સુવિધાઓ ઉપલબ્ધ હતી તેનો પરિશ્રમપૂર્વક ઉપયોગ કરીને અવકાશી સિદ્ધિઓની બુનિયાદ રચી હતી. એ જ દેશ આજે અંતરિક્ષમાં ડોગ ફાઈટીંગ જેવી અંતરિક્ષની અત્યાધુનિક સફળતાઓ મેળવી રહ્યો છે. આપણો દેશ ભારત અત્યારે ચંદ્ર, મંગળ અને સૂર્યનો અભ્યાસ કરવા સુધીના મિશન્સ તો ચલાવી જ રહ્યો છે પરંતુ દુનિયાભરના ઉપગ્રહોને ઈસરોના માધ્યમથી અંતરિક્ષમાં સ્થાપવામાં આવી રહ્યા છે. આમ, શૂન્યમાંથી સર્જન કરીને સર્વોચ્ચ સફળતાઓની સોનેરી સિદ્ધિઓ મેળવનાર વિક્રમ સારાભાઈ થી લઈને આજ સુધીના તમામ અંતરિક્ષ વૈજ્ઞાનિકોના જીવનમાંથી પ્રેરણા મેળવીને અને નિષ્ફળતાને જ સફળતાનું પગથિયું બનાવતા રહીને આગળ વધતા રહેવું જોઈએ.
આપણી અંતરિક્ષની સફળતાઓને આજે વિશ્વની મહાસત્તાઓ પણ સલામ કરે છે અને આખી દુનિયામાં ઈસરોનો દબદબો છે, એટલું જ નહીં, હવે ઈસરો જેવી ભગિનિ સ્પેસ ક્ષેત્રની સંસ્થાઓ જેની ઝળહળતી સિદ્ધિના કારણે આપણો દેશ સ્પેસ સમ્રાટ ગણાઈ રહ્યો છે અને નાસા જેવી ઈન્ટરનેશનલ કક્ષાની સ્પેસ સંસ્થાઓની હરોળમાં આપણા દેશની સ્પેસ ઉપલબ્ધિઓ ગણાવાઈ રહી છે, તેની પાછળ અનેક વખતનાં પડકારો, પ્રારંભિક નિષ્ફળતાઓ તથા હાર્યા વગર ફરી ફરીને પ્રયાસો કરતા રહેવાની તત્પરતા અને તાકાત છુપાયેલી છે, જે આજે અનુતીર્ણ થયેલ કે થોડા ઓછા પર્સેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓએ પણ લક્ષ્યમાં લેવું જ જોઈએ.
ઈસરોએ મંગળયાન સફળતાપૂર્વક પ્રથમ પ્રયત્ને જ લોન્ચ કર્યુ. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારા પ્રથમ દેશ તરીકે ભારતનું નામ સુવર્ણ અક્ષરે નોંધાયુ અને હવે સૂર્યના અધ્યયન માટે ગગનયાન તથા શુક્ર ગ્રહ પર ઉતરાણ કરવાનાં મહત્વકાંક્ષી અભિયાનો શરૂ થવા જઈ રહ્યા છે, જે સૂચવે છે કે અનેક નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી હોય છે. અંતરિક્ષની સિદ્ધિઓમાં ગુજરાતીઓનો પણ બુનિયાદી સિંહફાળો છે. અંતરિક્ષ વિજ્ઞાનના ભારતના જનક વિક્રમ સારાભાઈથી લઈને તાજેતરમાં સ્પેસ સ્ટેશનમાં ઘણાં મહિનાઓ વિતાવીને ધરતી પર પરત ફરેલી સુનિતા વિલિયમ્સ સુધીના ભારતીઓએ ગ્લોબલ સિદ્ધિઓ મેળવીને ભારતમાતાનું નામ રોશન કર્યુ છે, તેમાંથી પ્રેરણા લઈને આજના પરિણામો પછી સફળ-અસફળ રહેલા અને ઉચ્ચ પર્સેન્ટાઈલ મેળવેલા તમામ વિદ્યાર્થીઓએ હવે પછીની કારિકર્દી ઘડવા આગળ વધી જવું જોઈએ, ખરું ને ?
તાજા અહેવાલો મુજબ ભારતે સ્પેડેક્ષ મિશન અંતર્ગત પૃથ્વીથી લગભગ ૫૦૦ કિલોમીટર દૂર ભ્રમણ કરી રહેલા "ચેંઝર" અને "ટાઈગર" ઉપગ્રહો વચ્ચે આકાશમાં જ દાવપેચ કરાવીને અત્યાધુનિક સ્પેસ ટેકનોલોજીની ભારતની સિદ્ધિઓ તથા શક્તિઓનો પરિચય આપ્યો છે. આ બન્ને ઉપગ્રહો અંતરિક્ષમાં પ્રતિ કલાક ૨૮હજારથી વધુ કિલોમીટરની ગતિએ ઉડી રહ્યા છે. થોડો સમય પહેલા અમેરિકાએ ચીનના ઉપગ્રહો વચ્ચે અવકાશમાં ડોગ ફાઈટ અંગે ચિંતા વ્યકત કરી હતી, ત્યારે ભારતની આ સિદ્ધિથી અમેરિકાને પણ કહીં ખુશી કહીં ગમની અનુભૂતિ એક સાથે થઈ હશે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જર્મનીના તાનાશાહ હિટલરનો જમણો હાથ ગણાતા જોસેફ ગોબેલ્સ તેની અનોખી પ્રચાર પદ્ધતિ માટે જાણીતા હતાં અને પ્રોપાગન્ડાના માહિર હતા. તેથી જ આજે જ્યારે કોઈપણ પ્રકારનો પ્રચાર જોસેફ ગોબેલ્સની સ્ટાઈલથી કરવામાં આવે છે, ત્યારે તેને "ગોબેલ્સ" પ્રોપાગન્ડાથી (વ્યંગમાં) ઓળખવામાં આવે છે.
કોઈપણ સાચી-ખોટી બાબત જો વારંવાર ચર્ચામાં આવે, કહેવાતી રહે કે પ્રચારિત, પ્રસારિત કે પ્રકાશિત થતી રહે, તો તે લોકોના દિમાગમાં ઠસી જાય છે અને જો તે વાત ખોટી હોય, તો પણ તે સાચી લાગવા માંડે છે, અને આ સિદ્ધાંતનો જ ઉપયોગ પ્રવર્તમાન સમયમાં પણ વ્યાપકપણે અને આયોજનબદ્ધ રીતે થઈ રહ્યો હોય તેમ નથી લાગતું...?
દૃષ્ટાંત તરીકે શાસક પક્ષના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે નેતા કોઈ લોકલક્ષી રજૂઆત કરે, ત્યારે પ્રસિદ્ધિ થાય, તે પછી તેની મિટિંગ કે કેબિનેટમાં ચર્ચા થાય ત્યારે તેા વિવરણો પ્રેસ-મીડિયા અને હવે તો સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પરથી પણ વહેતા થાય, અને તેવી જ રીતે એ જ બાબતે મંજૂરી મળે, પછી વિકાસનું કામ હોય તો તેનું સ્થળ નિરીક્ષણ કરવા જાય, તેની પબ્લિસિટી થાય, તે પછી તેનું ખાતમુહૂર્ત કે ભૂમિપૂજન થાય, તે પછી કામ ચાલતું હોય તે દરમિયાન નેતાઓ, અધિકારીઓ તેનું નિરીક્ષણ કરવા જાય અને છેલ્લે લોકાર્પણ થાય, ત્યાં સુધીમાં આ એકના એક મુદ્દાની પબ્લિસિટી પંદર-વીસ વખત વ્યાપકપણે થઈ ગઈ હોય.... આને કહેવાય ગોબેલ્સ પ્રચાર.
વિકાસના કામો જ નહીં, વહીવટીતંત્રોની મિટિંગો, ફરિયાદ નિવારણ કાર્યક્રમો, વિવિધ પ્રકારના કેમ્પો, તંત્રોની રોજિંદી કામગીરી તથા ફરજમાં આવતી કામગીરીની પણ મોટી સિદ્ધિઓ મેળવી લીધી હોય, તેવી રીતે થતી પ્રસિદ્ધિ અને રાજ્ય, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોય, તો તેનો "આભાર" માનતા નિવેદનોની ભરમારની પબ્લિસિટી જથ્થાબંધ ધોરણે થવા લાગે અને આ માટે પ્રિન્ટ મીડિયા, ન્યુઝ ચેનલો તથા સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થાય, ત્યારે એવું લાગે કે આ તો જોસેફ ગોબેલ્સને પણ ટપી જાય, તેવી પબ્લિસિટી સ્કીલ ડેવલપ થઈ છે...!!
ગુજરાતની પારદર્શક સરકારના ગૃહવિભાગે તાજેતરમાં "તેરા તૂજ કો અર્પણ" કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં કોઈ નાની-મોટી ચીજવસ્તુ તંત્ર કે અદાલતના ચોપડે નોંધાઈ ન હોય, તેવા અપવાદો સિવાય મોટાભાગે જેમાં ચીજવસ્તુ ગૂમ થવાની કે ચોરાઈ જવાની ફરિયાદ નોંધાય, તપાસ થાય, અદાલતી આદેશ થાય, કે કાનૂની રીતે સંપૂર્ણ લાંબી પ્રક્રિયા પછી પહેલાની જેમ જ પાછી સોંપવાની થાય, ત્યારે તે મેળવવા માટે પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજાય તેની પણ રાહ જોવી પડતી હોય તો તે પણ એક પ્રકારનો સરકારી પ્રોપાગન્ડા જ કહેવાય ને...?
હા, એવો અભિપ્રાય દાખવવામાં આવે કે જેની ખોવાયેલી, ચોરાયેલી કે ગંભીર પ્રકારના ક્રાઈમના ગૂન્હા સાથે સંકળાયેલી કે મહત્ત્વની ન જણાતી હોય, તેવી ચીજવસ્તુઓ જો સક્ષમ અધિકારી કે ન્યાયતંત્રમાં પ્રારંભિક સુનાવણી દરમિયાન જ અદાલતના આદેશથી જો ટૂંક સમયમાં જ સંબંધિત વ્યક્તિને સોંપી દેવામાં આવે, અને તેના માટે આ પ્રકારના પચીસ-પચાસ કેસની સુનાવણીઓ ભેગી થવાની રાહ જોવામાં ન આવે, તો આ પ્રકારના કાર્યક્રમો સાર્થક ઠરે, પરંતુ તે માટે "રિફોર્મ્સ" ની પણ જરૂર પડે, ખેર, આ કાનૂની પ્રક્રિયાઓ છે અને તેમાં નિયમ-કાયદાઓનું પાલન તો કરવું જ પડે, પરંતુ જો તેમામં જોસેફ ગોબેલ્સ સ્ટાઈલથી નિરર્થક પ્રોપાગન્ડાની નીતિરીતિ કેન્દ્ર કે રાજ્ય સરકારો અપનાવતી હોય તો તે યોગ્ય નથી, તેવી જનમાનસમાં પડી રહેલી છાપ અંગે પણ વિચારવું પડે તેમ છે. આપણે ગરવા ગુજરાતની ગરિમા તો જાળવવી જ જોઈએ...?
કોઈપણ મોટી દૂર્ઘટના બને, તેમાં મૃત્યુ થાય અને તેમાં જો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે રાજ્ય-કેન્દ્ર કક્ષાની તત્કાળ રાહત નિધિઓમાંથી રોકડ સહાય આપી શકાય તેમ હોય, તો તેની જાહેરાતો તો તરત જ થઈ જાય છે. ઘણી વખત પિડીતોને આવાસ, બાળકોના શિક્ષણ કે ગંભીર ઈજાગ્રસ્તોને જીવનભર સારવારની વ્યવસ્થા જેવા વાયદાઓ પણ કરી દેવાતા હોય છે, પરંતુ તે પછી તેનો અમલ યોગ્ય રીતે થતો હોતો નથી, જેના સંખ્યાબંધ દૃષ્ટાંતો દેશભરમાં ઠેરઠેર મળી આવે છે. આ પ્રકારની જ્યારે જાહેરાતો થાય અને વાયદાઓ થાય, ત્યારે તો તેનો "ગોબેલ્સ" પ્રચાર થતો જ હોય છે, પરંતુ તે પછી તેનો અમલ કેટલો થાય છે, તેનું સંશોધન કરવામાં કદાચ લોકતંત્રનો ચોથો સ્તંભ પણ કાચો પડી રહ્યો હોય તેમ નથી લાગતું...?
તાજેતરનું દૃષ્ટાંત જોઈએ તો વડોદરામાં મુખ્યમંત્રીના એક કાર્યક્રમ દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધન વચ્ચે જ બે મહિલાઓ ઊભી થઈને કાંઈક રજૂઆતો કરવા લાગી, તેને મુખ્યમુત્રીએ "એજન્ડા" ગણાવ્યો અને તંત્ર દ્વારા બહાર મોકલી દીધી અને પછીથી સાંભળી, તે ઘટનાક્રમ સૌ કોઈ જાણે જ છે. આ ઘટનામાં પણ હરણી બોટકાંડમાં જીવ ગુમાવનાર બાળકોના પરિવારની વ્યથા જ પડઘાઈ હતી, અને તે દુર્ઘટના વખતે "ગોબેલ્સ" પ્રચાર કરીને જ વાયદા કરાયા, તેનો અમલ થયો નહીં હોવાની ફરિયાદ પડઘાતી હોય તેમ જણાતું હતું. હવે તેઓને "સંવેદનશીલ" સરકાર શું કરે છે, તે જોવું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત-પાકિસ્તાનની સરહદે અને કુદરતી વાતાવરણમાં પ્રચંડ ગરમી વચ્ચે હવે માવઠાની આગાહીઓ થઈ રહી છે, ત્યારે એવો સવાલ ઉઠી રહ્યો છે કે, ધગધગતી ગરમી હવે માવઠામાં પરિણમશે, તેવી જ રીતે પહલગામ પછી પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરવાની વાતો હવાઈ તો નહીં જાય ને...? મોદી સરકાર કોથળામાંથી બિલાડુ તો નહીં કાઢે ને...? તેવું થાય તો દેશવાસીઓનો વિશ્વાસ તૂટી જશે, જે બુમરેંગ પુરવાર થશે, તે તો રણનીતિકારો જાણતા હશે ને...?
સંજય રાઉત કહે છે કે, સેનાને ખૂલ્લી છૂટ આપવાની વાતો કરીને મોદી સરકાર છટકી જવા માંગે છે, કારણ કે, જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારતીય સેનાને તો પહેલેથી જ છૂટ મળી છે ને...?
કુદરતી ગરમી, વધતુ તાપમાન અને યુદ્ધના ભણકારાની ગરમી નગરથી નેશન સુધી વ્યાપેલી છે, તેવામાં જામનગરની મહાનગરપાલિકાનો માહોલ પણ ગઈકાલે ગરમાગરમ રહ્યો હતો અને ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે ઈજારો આપવાના મુદ્દે શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે જામી પડી હતી.
સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નરે કચરા કલેકશનનો ઈજારો અઢી વર્ષના બદલે દસ વર્ષ માટે આપવાની દરખાસ્ત કરતા જ વિપક્ષના કોર્પોરેટરો અને નેતાઓએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને દેખાવો યોજી ધરણાં કર્યા હતા, તેમ મનપાનું તાપમાન પણ કુદરતી ગરમીની સાથે જાહેર હરિફાઈ કરવા લાગ્યું હતું. વિપક્ષોએ કોને કચરા શેઠનું બિરૂદ આપ્યુ અને સ્ટેન્ડીંગ કમિટીને "સેટિંગ" કંપની તરીકે વર્ણવીને વ્યંગ કર્યો, તે આપણી સામે જ છે ને...?
આ મુદ્દો જામનગરમાં ગઈકાલે "ટોક ઓફ ધ ટાઉન" તો બન્યો જ હતો, પરંતુ મનરેગા, કિસાન કાયદા અને રાષ્ટ્રીય કક્ષાએ નીતિ આધારિત વસતિ ગણત્રીની જેમ જામનગર મનપાના શાસકોએ પણ રોલબેક (પીછેહઠ) કરીને ૯૦૦ કરોડ રૂપિયામાં દસ વર્ષ માટે ઈજારો આપી દેવાની દરખાસ્ત પેન્ડીંગ રાખવી પડી હતી.
અહીં સમજવા જેવી વાત એ પણ છે કે, આ દરખાસ્ત હજુ રદ્દ નથી, પરંતુ "પેન્ડીગ" છે, તેથી તે પુનઃ પ્રસ્તૂત થાય કે વર્ષો ઘટાડવા સહિતા કેટલાક સુધારા કરીને નવેસરથી રજૂ થશે, તેવી પ્રબળ સંભાવનાઓ તો રહેવાની જ છે.
આ પ્રબળ સંભાવના એટલા માટે છે કે, સ્ટેન્ડીંગ કમિટીએ જ આ મુદ્દો સમિતિએ કાઢેલી "કવેરી" સંતોષાઈ નહીં હોવાથી પેન્ડીંગ રખાઈ હોવાનું જણાવીને વિપક્ષને તો ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાની આદત પડી ગઈ છે, તેવો પરોક્ષ પ્રતિપ્રહાર કર્યો છે.
સ્ટેન્ડીંગ કમિટીએ ગઈકાલે લગભગ સાડાચાર કરોડના ખર્ચઓને બહાલી આપી, તેમાં કેટલાક ઈન્ફ્રાસ્ટ્રકચરના જનઉપયોગી કામો થયા છે, જ્યારે ટ્રીગાર્ડની ખરીદી જેવા કેટલાક ખર્ચાઓના સંદર્ભે ચર્ચાઓ પણ થઈ રહી છે. એવું કહી શકાય કે અત્યારે ૯૦૦ કરોડની કચરા દરખાસ્ત ભલે અભેરાઈએ ચડી ગઈ હોય, પરંતુ સર્વવ્યાપી અને સર્વપક્ષિય "સેટિંગ" કરીને આ જ દરખાસ્ત (બે-ત્રણ ટૂકડામાં) ચોક્કસ ઈજારેદાર માટે મંજૂર થાય છે કે નહીં, તેના પર નગરના બિનપક્ષીય જાગૃત નાગરિકોએ નજર રાખવી પડશે, તેવો વ્યંગ થાય, તેમાં દમ છે.
રાજકોટ મનપાએ પણ ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે ૧૧૦૦ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હોય તો એવું કહી શકાય કે આ પ્રકારની કોન્ટ્રાક્ટ પદ્ધતિ કદાચ રાજ્યકક્ષાએ જ નક્કી થઈ હોય અને જામ્યુકોના શાસકો-તંત્રોએ તો માત્ર અનુસરણ જ કરવાનું હશે... એવી અટકળો પણ થઈ રહી છે કે, જામ્યુકોના શાસકો કે તંત્રોએ જામનગર ડોર-ટુ-ડોર કચરા કલેકશનના કોન્ટ્રાક્ટ માટે કદાચ આરએમસી પાસેથી લેશન લીધું હશે...!
જો કે, રાજકોટમાં ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટેના કોન્ટ્રાક્ટમાં જે કડક નિયમો અને આકરી શરતો રાખવામાં આવી છે, તેવી જ શરતો તથા નિયમોનો સમાવેશ જામનગર મહાનરગપાલિકા તથા ઈજારેદાર વચ્ચે થતા કરારમાં સમાવેશ કરાવવો જોઈએ, અને જો સમાવેશ કરાયો જ હોય, તો તે છૂપાવવાના બદલે આરએમસીની જેમ પબ્લિક ડોમેનમાં મૂકીને તેનો હકીકતે ચૂસ્ત અમલ થાય અને કોઈની લાજ ન કાઢવી પડે, તેવી વાસ્તવિક પારદર્શકતા દાખવવી જોઈએ.
કચરો કલેકશન કરતી ગાડીઓમાંથી રોડ પર કચરો વેરાય તો પેન્ટલ્ટી, કચરા વાહનોની આજુબાજુ કોથળામાં ટિંગાળવાની મનાઈ, મનફાવે તેવી રીતે કચરાવાહનોનું સ્ટોપેજ, ગૃહિણીઓ તથા નાગરિકો પોતાનો કચરો ઠાલવી શકે, ત્યાં સુધી કચરાવાહન ફરજીયાતપણે થોભે તેવી વ્યવસ્થા પહેલેથી વિસ્તારવાર ટાઈમ-ટેબલ, કચરાવાહન દ્વારા નિયત ગીતો વગાડવાની સાથે-સાથે વ્હીસલ વગાડવાની વ્યવસ્થા અને સાંકડી ગલીઓમાંથી કચરા કલેકશન માટે વ્હીલબરો દ્વારા કચરો ગલીના નાકે ઊભતી કચરાવાહન સુધી પહોંચાડવાની વ્યવસ્થા થવી જોઈએ.
આ ઉપરાંત આરએમસીએ વહેલી સવારથી બપોર સુધી રહેણાંક વિસ્તારો, બપોરના સમયે બજારો તથા વ્યાપાર-ઉદ્યોગના વિસ્તારો અને રાત્રિના સમયે હોટલો, રેસ્ટોરન્ટોનો કચરો એકત્રિત કરવાની જે વ્યવસ્થા કરી છે, તેને જામનગરની સ્થિતિને અનુરૂપ કેટલા પ્રમાણમાં લાગુ કરી શકાય તેમ છે, તેનો અભ્યાસ કરીને અમલ કરવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી અને યુદ્ધના ભણકારા વચ્ચે ગઈકાલે જ્યારે મેરેથોન બેઠકોનો દોર ચાલી રહ્યો હતો અને સુપર કેબિનેટમાં મોદી સરકારે પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરવાની યોજનાને આખરી મંજુરી આપી હોવાના અહેવાલો આવી જ રહ્યાં હતાં, ત્યારે જ મોદી સરકાર તરફથી એક એવો ધડાકો કરાયો કે થોડા સમય સુધી તો આ અહેવાલો પર વિશ્વાસ આવતો નહોતો, પરંતુ સાંજે થતા થતા તો આ મુદ્દો સ્થાનિક રાજનીતિનો કેન્દ્રવર્તી ચર્ચાનો વિષય બની ગયો હતો અને મોદી સરકાર અંતે રાહુલ ગાંધી સામે ઝુકી ગઈ હોવાનો દાવો કોંગ્રેસ તરફથી થવા લાગ્યો હતો.
ગઈકાલે મોદી સરકારે જ્યારે એવી જાહેરાત કરી કે દેશમાં જાતિ આધારિત જનગણના થશે ત્યારે પ્રારંભમાં તો રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ હતી, પરંતુ તે પછી કોંગ્રેસના પવન ખેડાએ મોદી સરકારની આ જાહેરાતને 'હેડલાઈન્સ મેનેજમેન્ટ' ગણાવીને આશંકાઓ વ્યક્ત કરી, તો વિપક્ષના કેટલાક નેતાઓ સહિતના તદ્વિષયક અગ્રગણ્ય નાગરિકોએ તો પહલગામમાં નિર્દોષ લોકોની કત્લેઆમ થઈ, તેમાં મોદી સરકારની ઘોર નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવાની તરકીબ ગણાવી હતી.
આ પહેલા ભાજપના નેતાઓ રાહુલ ગાંધી તથા વિપક્ષો દ્વારા થતી જાતિ જનગણનાની માંગણીને સમાજમાં ભાગલા પડાવવાનો પ્રયાસ ગણાવીને તેનો રાજકીય લાભ લેવા અને વોટબેંક ઊભી કરવાની રણનીતિ ગણાવતા હતા, તેથી એવા કટાક્ષો પણ થવા જ લાગ્યા હતાં કે, હવે શું મોદી સરકાર જાતિ જનગણના કરાવીને પોતાની વોટબેંક ઊભી કરવા માટે સમાજમાં ભાગલા પડાવવા જઈ રહી છે...?
રાહુલ ગાંધીએ એક પીઢ રાજનેતાની જેમ પ્રત્યાઘાતો આપતા કહ્યું કે, અમે જાતિ જનગણના કરાવીને પ૦ ટકા આરક્ષણની મર્યાદા હટાવીને ઝંપીશુ, તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, બિહાર અને તેલંગણામાં થયેલી જાતિ જનગણના અનુભવે એ સમજાયું છે કે, જાતિ આધારીત વસ્તી ગણતરી કરતા પહેલા કોઈ ચોક્કસ ડિઝાઈન (પદ્ધતિ) નક્કી કરવી પડશે. મોદી સરકારના આ નિર્ણયને સમર્થન આપતા તેમણે કહ્યું કે, મોદી સરકાર હવે નીતિ આધારિત વસ્તી ગણતરીની તારીખ જણાવે.
બીજી તરફ સરકારની આ જાહેરાત પછી તેને ઈન્ડિયા ગઠબંધનની જીત ગણાવીને વિપક્ષોમાં આ જાહેરાતનો જશ લેવાની હોડ લાગી ગઈ, પરંતુ ઘણાં વર્ષોથી રાહુલ ગાંધી આ માંગણી ઉઠાવી રહ્યાં હોવાથી કોંગ્રેસની વાત મોદી સરકારે માનવી પડી છે, અને આ જાહેરાત પાછળ કોંગ્રેસના હાથમાંથી આગામી ચૂંટણીઓમાં પ્રચારનો મુખ્ય મુદ્દો છીનવી લેવાનો પ્રયાસ પણ ગણાવી રહ્યો છે.
એવું પણ કહેવાય છે કે, મોદી સરકાર પર એનડીએના જ સાથીદાર પક્ષોનું પણ જાતિ આધારિત જનગણના કરાવવાનું દબાણ હતુ, અને એનડીએના સાથીદાર લગભગ તમામ પક્ષો (ભાજપ સિવાય) જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની તરફેણમાં હતાં, તેથી મોદી સરકારે આંતરિક દબાણ હેઠળ પરોઠના પગલાં ભરવા પડ્યા છે...!!
આ જાહેરાત પછી લાલુ યાદવ, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિતના વિપક્ષી નેતાઓએ ત્વરીત પ્રતિભાવો આપીને મોદી સરકારની આ પીછેહઠને "સમાજવાદીઓ તથા લાલુ યાદવ" ની જીત ગણાવી હતી... તો બીજી તરફ બિહારના એનડીએના જેડીયુ સહિતના સાથીદાર પક્ષો તથા ચિરાગ પાસવાન દ્વારા અપાયેલા પ્રતિભાવો એ તરફ સંકેત કરે છે કે, મોદી સરકારે આ નિર્ણય બિહારની ચૂંટણીઓમાં ઘોર પરાજય થતો અટકાવવા માટે લીધો હોવો જોઈએ.
જે હોય તે ખરૃં.... પરંતુ અત્યારે તો ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે મોદી સરકારની આ જાહેરાત પછી પહલગામમાં સુરક્ષા વ્યવસ્થાની પોલંપોલની તપાસની માંગણી, મોંઘવારી, બેરોજગારી તથા વકફ વિવાદને પાછળ ધકેલી દીધા જ છે, તે હકીકત છે.
આજે ગુજરાત રાજ્ય સ્થાપના દિને નોબત પરિવાર અને માધવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો તથા નોબતના ઈ-પેપર, ડિજિટલ માધ્યમો, બ્રેકીંગ ન્યુઝ સર્વિસ, વીડિયો સમાચાર તથા સોશ્યલ મીડિયાના માધ્યમો સાથે સંકળાયેલા ફોલોઅર્સ, શુભેચ્છકો, વિજ્ઞાપનકારો, પત્રકારો, પ્રતિનિધિઓ, વિતરકો સહિત ગુજરાત તથા દેશ-વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવે છે... જય-જય ગરવી ગુજરાત.....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમદાવાદમાં ચંડોળા તળાવ પાસેની વિશાળ ગેરકાયદે વસાહતો અને ઝુંપડપટ્ટીઓ પર ગઈકાલે બુલડોઝર ફર્યુ, તે પછી એવા સવાલો ઉઠ્યા હતાં કે આટલા દાયકાઓથી અહીં સરકારી જમીનો પર જંગી બાંધકામો તથા મોટી ઝુંપડપટ્ટી ઊભી થઈ ગઈ, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા તંત્ર કે ધારાસભ્યો, સ્થાનિક કોર્પોરેટરોએ કેમ આંખ આડા કાન કર્યા હતાં...? અહીં બાંગ્લાદેશી ઘૂસણખોરો મોટી સંખ્યામાં રહેતા હોવા છતાં પોલીસતંત્ર કે વહીવટી તંત્રના સ્થાનિક અમલદારોનું ધ્યાન જ નહીં ગયું હોય...?, અહીં દારૂના અડ્ડા કે ગેરકાનૂની પ્રવૃત્તિ ફાલીફૂલી હોય તો રાજ્યની રાજધાની અમદાવાદથી નજીક જ હોવા છતાં ગૃહવિભાગ કે તેના તાબાની કચેરીઓએ કોઈ નક્કર કામગીરી આ પહેલા કેમ નહીં કરી હોય...?
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો અમદાવાદના મ્યુનિ. કોર્પોરેશન તથા શહેરની રાજનીતિ સાથે પણ પહેલેથી જ સંકળાયેલા હોવા છતાં તેઓએ મુખ્યમંત્રી પદની બીજી ટર્મ સુધી ગેરકાનૂની અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે કડક કદમ લેવા માટે વાર કેમ લગાડી...? શું સ્થાનિક રાજકીય પક્ષો અને નેતાઓ આ મુદ્દે "એકમત" હતા, વોટબેંકની રાજનીતિ હતી કે પછી હપ્તાખોરી, ગેરરીતિ અને સંકલિત ભ્રષ્ટાચારનું પરિણામ હતું...?
ખેર, દેર આયે દૂરસ્ત આયે, પરંતુ ભારત-પાક. તંગદિલી વચ્ચે પાકિસ્તાન અને બાંગ્લાદેશના ગેરકાયદે રહેતા લોકોને હાંકી કાઢવાની પ્રક્રિયાની સાથે આ મેગા ડિમોલીશન થયા પછી એ જ સ્થળે ફરીથી કોઈ બીજા લલ્લુઓ આવીને ગેરકાયદે વસાહતો ઊભી ન કરે તેનું ધ્યાન રાખવું પડશે, એટલું જ નહીં, અમદાવાદના અન્ય વિસ્તારો તથા રાજ્યના તમામ નાના-મોટા શહેરો તથા ધોરીમાર્ગોની આજુબાજુ થયેલા ગેરકાયદે બાંધકામો, વસાહતો અને વિશાળ ગેરકાયદે ઝુંપડપટ્ટીઓ સામે પણ આ જ પ્રકારના મેગા ડિમોલિશન ઓપરેશનો કોઈપણ ભેદભાવ કે રાજકીય નફા-નુકસાનના ગણિત માંડ્યા વિના ચલાવવા જોઈએ, તેવો લોકમત ઘડાઈ રહ્યો છે, તે પણ રાજ્ય સરકારે સમજવું પડે તેમ છે.
ખાસ કરીને રાજ્યના ઘણાં એવા વિસ્તારો છે, જ્યાં રેલવેની જમીનો પર લાંબા સમયથી તદ્દન ગેરકાયદે ઝુંપડપટ્ટીઓ અને વસાહતો સ્થાપિત થઈ ગઈ છે, પરંતુ રેલવે તંત્રને તેની પડી નથી, તેથી ચંડોળા જેવી જ ગેરકાનૂની વસાહતો તથા ઝુંપડપટ્ટીઓ ઊભી થઈ ગઈ છે, અને ત્યાં ઘણાં સ્થળોએ દારૂના અડ્ડા, જુગારધામો, કૂટ્ટણખાના અને અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિઓ ધમધમી રહી હોય તે સંભવ છે, (અને ઓપન સિક્રેટ છે), તેથી હવે રાજ્ય સરકારે કોઈપણ ભેદભાવ કે ગણિતો, સમીકરણોને બાજુ પર રાખીને તદ્દન સમાન અને તટસ્થ ધોરણે રેલવે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જમીનો પર ખડકાઈ ગયેલા ગેરકાનૂની બાંધકામો, લેન્ડગ્રેબીંગ કારસ્તાનો તથા ગેરકાનૂની પ્રવૃત્તિઓથી ધમધમતા હોય તેવા તમામ સ્લમ વિસ્તારોમાં તમામ કાનૂની પ્રક્રિયા સંપન્ન કરીને તથા નોટીસો વગેરે આપ્યા પછી શક્ય તેટલી ઝડપે ઓપરેશન ડિમોલીશનની કાર્યવાહી તબક્કાવાર હાથ ધરવી જોઈએ, તેમ નથી લાગતું...?
જામનગર સહિત હાલારમાં પણ ઘણાં એવા સ્લમ વિસ્તારો છે, જે કોઈપણ પ્રકારની મંજૂરીઓ વગર સરકારી કે રેલવેની જમીનો પર વસાહતો ખડકાઈ ગઈ છે, અને કેટલાક સ્થળોએ તો તેના વિકલ્પે સરકારી આવાસો બાંધી આપ્યા હોવા છતાં તે સ્લમ વિસ્તારો ખાલી થતા નથી. જો તેની સામે આંખઆડા કાન કરવાનું યથાવત રહેશે તો ચંડોળા વિસ્તારનું મેગા ડિમોલીશન પણ કોઈ ચોક્કસ રાજકીય ગણતરી હેઠળ થયું હોવાના આક્ષેપો થવા લાગશે.
રેલવેની ખાલી પડેલી જમીનો હોય, અને તેને ફ્લાયઓવર બ્રીજનો સ્લોપ બનાવવા માટે જરૂર હોય તો અત્યારે ત્રિપલ એન્જિનની સરકાર ધારે તો રાતોરાત મંજૂરી આપી શકે તેમ છે, તેથી નગરજનોનો આશાવાદ નિરર્થક તો નથી જ ને...?
જામનગરની વાત હોય કે, ખંભાળીયાની, કે રાજ્યના કોઈપણ સ્થળે, જ્યાં-જ્યાં રેલવેની જમીનો કે સરકારી જમીનો પર ગેરકાનૂની પ્રવૃત્તિઓથી ધમધમતી હોય, ગેરકાયદે વસાહતો હોય તો ત્યાં પણ "ચંડોળા" ફેઈમ મેગા ડિમોલીશન થવું જ જોઈએ ને...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી અને સૂર્યપ્રકોપના ગરમાગરમ માહોલ વચ્ચે રાજસ્થાનની રણભૂમિ નજીક રન ભૂમિ બનેલા સવાઈ માનસિંઘ સ્ટેડિયમમાં પણ રોમાંચ અને ઉત્તેજનાની ગરમાહટ છવાઈ ગઈ હતી. ખાસ કરીને ૧૪ વર્ષના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ દિગ્ગજ બોલરોને ઝુડી નાખ્યા અને માત્ર ૩પ રનમાં સદી ફટકારીને ગુજરાત ટાઈટન્સ પાસેથી મેચ આંચકી લીધી અને રાજસ્થાન રોયલ્સે ભવ્ય વિજય મેળવ્યો, તેમાંથી ટીમ ઈન્ડિયાને એક નવી ઉગતી પ્રતિભા સાંપડી છે, તે પણ એક ઉપલબ્ધિ જ છે ને...?
સૂર્યપ્રકોપ વચ્ચે સૂર્યવંશીની ઉર્જાવાન ઈનિંગના કારણે ગુજરાત ટાઈટન્સે ર૦ ઓવરમાં ખડકેલા ૨૧૦ રનના જંગી જુમલાને તદ્દન સરળ બનાવી દીધો, તેમાં જયસ્વાલની ઈનિંગની પણ નોંધપાત્ર ભૂમિકા રહી હતી. ટૂંકમાં ગઈકાલે સવાઈ માનસિંઘ સ્ટેડિયમમાં ઉત્તેજનાની ગરમી પછી થયેલ રનવર્ષાએ પ્રેક્ષકો અને દર્શકોના દિલ જીતી લીધા હતાં.
ગઈકાલે સૂર્યવંશીના ચોકા-છક્કાની જેમ જ તાપમાનનો પારો પણ "હાઈ" રહ્યો હતો અને ગુજરાતના ઘણાં રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું હતું. રાજકોટમાં તો ૪૬.ર ડિગ્રી તાપમાન સાથે ૪૮ વર્ષની રેકોર્ડબ્રેક ગરમી પડી હતી. જામનગરમાં પણ ગઈકાલે સરેરાશ ૩પ ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં મહત્તમ ૪૪ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જામનગરમાં આજે સવારે ર૮ થી ૩૦ ડિગ્રીની આસપાસ રહેલું તાપમાન બપોર સુધીમાં ૩૭ ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે.
જામનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં પ્રચંડ ગરમી સાથે લૂ વાતી હોવાથી બપોરના સમયે કરફયૂ જેવું વાતાવરણ ઊભું થાય છે અને સવાર-સાંજ ધમધમતા રહેતા માર્ગો અને ટ્રાફિક જામ થઈ જાય, તેટલું પરિવહન ધરાવતા સર્કલો સૂમસામ થઈ જાય છે. તેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે નાનુ-મોટું યુદ્ધ છેડાશે, અથવા ભારત અચાનક જ પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરશે, તેવી સંભાવનાઓ પાકિસ્તાનના જ નેતાઓ અને મંત્રીઓ દર્શાવી રહ્યાં હોવાથી ભારત-પાક. સરહદે પણ માહોલ ગરમાયો છે તથા સૈન્યો શસ્ત્ર-સરંજામ અને યુદ્ધ - વાહનો સાથે એલઓસીની આજુબાજુ સજ્જ થઈ રહ્યા હોય તેવા અહેવાલો તથા વીડિયો વહેતા થતા સરહદે ગરમી વધી રહી છે, તો બીજી તરફ ગઈ મોટી રાત્રે વાયુસેનાના વિમાનોની ઘરેરાટી સંભળાયા પછી તથા દરિયામાં પણ નૌકાદળના યુદ્ધ જહાજોની ચહલપહલ વધ્યા પછી પ્રિ-વોર (યુદ્ધ પહેલાની સ્થિતિ) મૂવમેન્ટ કાંઈ નવાજુની ટૂંક સમયમાં થશે, તેવા સંકેતો આપે છે.
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં પણ રાજ્યની સૌથી મોટી ગણાવાતી દબાણ હટાવ ઝુંબેશે ગરમી જન્માવી છે. આ વિસ્તારોમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને તો હટાવાયા, પરંતુ ત્યાં બનેલા અસામાજિક તત્ત્વોનો અડ્ડો પણ હટાવાઈ રહ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે, વર્ષ-૧૯૭૦ થી ૧૯૮૦ થી સરકારી જમીન પર વિશાળ ગેરકાયદે બાંધકામો ખડકાયા છે, અને ખોટા દસ્તાવેજોના આધારે અહીં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ તથા અસામાજિક તત્ત્વોની વસાહતો ઊભી થઈ હતી, તેને હટાવાઈ રહી હોવાના દાવા વચ્ચે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની તે મુલાકાત ઘણુંઘણું કહી જાય છે.
ગુજરાત સરકારનું આ કદમ અમદાવાદવાસીઓને તો ગમ્યુ જ હશે, પરંતુ આ રીતે રાજ્યના અન્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણો કરીને બેઠેલા અસામાજિક તત્ત્વોમાં પણ ફફડાટ ફેલાયો હશે. આજે દાદાનું બુલડોઝર ભલે ચૂસ્ત બંદોબસ્ત સાથે ત્રાટક્યું હોય, પરંતુ આટલી વિશાળ જમીન પર ઊભા થઈ ગયેલા સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામો સામે આટલા દાયકાઓથી કેમ પગલા ન લેવાયા, અને અઢી-ત્રણ દાયકાથી શાસનમાં હતી, તે ભાજપ સરકારે પણ અત્યાર સુધી કેમ આંખ આડા કાન કર્યા...? તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.
લલ્લુ અથવા લાલા બિહારીએ ચંડોળમાં મોટો ગેરકાયદે બંગલો બાંધ્યો હતો અને બાંગ્લાદેશીઓને ગેરકાયદે પ્રવેશ અપાવીને અહીં ઝુંપડપટ્ટીમાં વસાવીને અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા પણ અહીં થતા હતાં, તેવું કહેવાય છે.
આજ સુધી સાડાપાંચ દાયકામાં ઘણી સરકારો બદલાઈ, પરંતુ આ ગેરકાનૂની સામ્રાજ્ય વિસ્તરી જ રહ્યું હતું, તે જ આપણાં રાજ્યમાં શાસન કરી ગયેલા શાસકોથી લઈને આજ સુધીની સરકારોના સુશાસન (કુશાસન) અને (અ) પારદર્શક "વહીવટ" નો પ્રત્યક્ષ પુરાવો છે,
અમદાવાદના અતિક્રમણ પર આ સૌથી મોટું આક્રમણ છે. ચંડોળા તળાવ વિસ્તારમાં સરકારી જમીનો પર ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો બની ચૂકેલી ઝુંપડપટ્ટીઓને આજે હટાવાઈ રહી છે, અને ૧૯૭૦-૮૦ ના દાયકા પછી વર્ષ-ર૦૦૦ માં રાહત શિબિર બની અને સને-ર૦૧૧ સુધીમાં આ મામલો અદાલતની અટારીએ પહોંચ્યો હતો, પરંતુ વર્ષ-ર૦૧૧ પછી અહીં અબજોની સરકારી જમીન પર જાયન્ટ એન્ક્રોચમેન્ટ (જંગી દબાણો) થયા હોય તો તે સમયથી લઈને આજ સુધીના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો તથા રાજ્ય-કેન્દ્ર કક્ષા સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ જવાબદાર ઠેરવવા જ જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પહલગામ આતંકી હૂમલો થયા પછી એક તરફ તો આખો દેશ એકજૂથ થઈ ગયો, સરકારની તરત જ ભૂલો કાઢવાના બદલે વિપક્ષોએ સરકાર દ્વારા પાકિસ્તાન સામે લેવાઈ રહેલા પગલાઓને સમર્થન આપ્યુ, અને અનેક મસ્જિદોમાં આતંકવાદી કૃત્યને વખોડવાની સાથેસાથે ભારતીય મુસ્લિમ બિરાદરોએ પાકિસ્તાન વિરોધી નારેબાજી કરી અને આતંકીઓની તસ્વીરોને પગ તળે કચડીને પ્રચંડ વિરોધ પ્રદર્શિત કર્યો, તો બીજી તરફ કેટલાક બટકબોલા નેતાઓએ મનફાવે તેવા ઉટપટાંગ નિવેદનો કરીને માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો, કેટલાક નેતાઓએ હિન્દુ-મુસ્લિમ વિવાદ વકરાવવાનો પાકિસ્તાનનો બચાવ કરતા હોય તેવા નિવેદનો કર્યા. એક તરફ મોદી સરકારના ઘોર વિરોધી અને સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ આતંકીઓના નાપાક અને નિંદનીય કૃત્યને ખૂબ જ કડક ભાષામાં વિરોધ કરીને નમાઝ વખતે હાથોમાં કાળી પટ્ટી બંધાવી અને બાંધી, તો બીજી તરફ કેટલાક નેતાઓએ પહલગામમાં આતંકવાદીઓએ જે રીતે ધર્મ પૂછીને હત્યાઓ કરી, તેવી જ રીતે દુકાનોમાંથી ખરીદી કરતા પહેલા તે દુકાનદારનો ધર્મ પૂછવાની વાહિયાત સલાહો આપી. મહારાષ્ટ્રમાં તો ભાજપના જ એક દિગ્ગજ નેતાએ કરેલુ આ પ્રકારનું ભાષણ એટલુ ચર્ચાસ્પદ બન્યુ છે કે, જેને લઈને ભાજપની નેતાગીરીને પણ ભોંઠપ અનુભવવી પડી હશે. ઘણાં લોકો એવી આશંકા પણ વ્યક્ત કરી રહ્યાં છે કે, આ પ્રકારના નિવેદનો કોઈ "ગોડફાધરો" ના ઈશારે જ અપાતા હશે, અન્યથા કોઈપણ વિવાદાસ્પદ નિવેદન પછી સંબંધિત રાજકીય પક્ષે તે નેતાની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જે થતી નથી, પરંતુ તે નિવેદનો સાથે પાર્ટી સહમત નથી, તેવું નિવેદન કરીને થાબડભાણાં કરવામાં આવે છે. આ પ્રકારના બોલકા નેતાઓની બોબડી બંધ રહે તો સારૂ...
પહલગામમાં આતંકી હૂમલો થયો, તે પછી ત્યાંની સુરક્ષા વ્યવસ્થાઓ તથા ત્યાં ચાલતા લોલંલોલની પોલ ખૂલી ગઈ, અને ત્યાંના તંત્રો તથા સરકાર સામે સવાલો ઉઠવા લાગ્યા. કોંગ્રેસ સહિતના કેટલાક વિપક્ષોએ મૂળભૂત સવાલો પૂછ્યા અને આ ઘોર બેદરકારીની જવાબદારી નક્કી કરવાની માંગણી ઉઠવા લાગી, તો તે સવાલોના જવાબો આપવાના બદલે શાસક પક્ષના કેટલાક નેતાઓ પણ ઉટપટાંગ નિવેદનો કરવા લાગ્યા, પરંતુ એ સમજી લેવાની જરૂર છે કે, સિસ્ટમ, સરકાર કે તંત્રો વિરૂદ્ધ બોલે તેઓ નહીં, પણ દેશ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ કરતા હોય, તેને જ ગદ્દાર કહી શકાય... લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી હોય છે.
જો કે, ગઈકાલે યુટયુબર મહિલા નેહાસિંહ રાઠોડ સામે નોંધાયેલી એફઆઈઆર પછી તેની સામે ગંભીર આક્ષેપો થતા નવો જ વિવાદ શરૂ થયો છે.
આપણા દેશના બંધારણમાં જ નહીં, પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ માનવતા, સહ્ય્દયતા, નૈતિકતા અને વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના ધબકે છે. આ દેશમાં નરફત કે ભેદભાવને પહેલેથી જ કોઈ સ્થાન નથી, ત્યારે જો આપણે પણ માથા ફરેલા આતંકવાદીઓ જેવો જ વ્યવહાર કરવા લાગશું, તો આપણામાં અને એ આતંકવાદીઓ વચ્ચે ક્યો તફાવત રહેશે...?
લોકતંત્રમાં બધાને બોલવાની સ્વતંત્રતા હોય છે, પરંતુ તેમાં પણ મર્યાદાઓ રાખવી જરૂરત છે. એવા નિવેદનો તો ન જ થવા જોઈએ, જેથી વૈમનસ્ય વધે, હિંસા ભડકે કે વર્ગવિગ્રહ જેવી સ્થિતિ ઊભી થઈ જાય. આ કાળજી ઉભયપક્ષે રાખવી જ જોઈએ, અન્યથા મોટા અનર્થો સર્જાઈ શકે છે.
નેહા રાઠોડ મુદ્દે વિવાદ જાગ્યા પછી એવો અભિપ્રાય પણ વ્યક્ત થઈ રહ્યો છે કે, સરકાર સામે સવાલો ઉઠાવવાને દેશદ્રોહ કેવી રીતે ગણી શકાય...?
પાકિસ્તાની નેતાઓ તથા શાહબાઝ સરકારના મંત્રીઓ દ્વારા પણ ભારતને અણુબોમ્બની ધકમી આપવામાં આવી રહી છે અને ચીન-રશિયા પાસે પહલગામ હૂમલાની તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી છે, જેને ચીનનું પણ સમર્થન મળ્યું છે. પાક.સરકાર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાચું બોલે છે કે ખોટું તેની આંતરરાષ્ટ્રીય કક્ષાની ટીમ બનાવીને તટસ્થ તપાસ કરાવવી જોઈએ. આ પ્રકારની માંગણી કરવાની સાથેસાથે ચીન અને રશિયાનું નામ પાકિસ્તાને સૂચવ્યું હોવાથી અમેરિકાના ભવા પણ ઊંચા થયા છે, તો બીજી તરફ ભારતના ટ્રેડ યુનિયનોએ પાકિસ્તાન સાથે તમામ પ્રકારનો વ્યાપાર બંધ કરી દેતા પાકિસ્તાનને અબજો રૂપિયાનો ફટકો પડવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે. સિંધુ સમજૂતિ રદ્દ કરવાની ભારતે કરેલી જાહેરાત પછી પણ પાકિસ્તાનમાં ડર ફેલાયો છે, તો ભારત યુદ્ધ શરૂ કરે તે પહેલા પાકિસ્તાનની સેનાના જવાનો મોટી સંખ્યામાં રાજીનામા સોંપીને સેના છોડી રહ્યાં હોવાના પણ અહેવાલો આવ્યા છે, અને જેલમ નદીમાં પૂર આવતા મુઝફફરબાદમાં સર્જાયેલી સ્થિતિ માટે પાકિસ્તાનએ ભારતને જવાબદાર ગણાવ્યું છે.
જો કે, ભારત કોઈ મોટું કદમ ઉઠાવશે, તેવી ગઈકાલે દિવસભર અટકળો ચાલી અને દેશ અને દુનિયામાં ભારત સરકાર હવે શું કરશે તેવો સવાલ ઉઠતો રહ્યો હતો.
પશ્ચિમ બંગાળની પોલંપોલ અંગે કેન્દ્ર સરકારની મુખ્ય જવાબદારી ગણાય, અને સ્થાનિક તંત્રો પણ જવાબદાર છે તેથી ભારતમાં પહલગામમાં સુરક્ષા વ્યવસ્થાની ખામી અંગે મોદી સરકાર અને ઓમર અબ્દુલ્લાની રાજ્ય સરકાર પર પસ્તાળ પડતી રહી અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બોલાવાયેલા વિશેષ સત્રમાં પણ તેના પડઘા પડશે, તે પહેલેથી નક્કી જ હતું. જમ્મુકાશ્મીર સરકારના સ્થાનિક તંત્રો પણ પહલગામ મુદ્દે સવાલોના ઘેરામાં છે.
ટૂંકમાં પહલગામની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો પૂછવામાં આવે કે, કેન્દ્ર અને કાશ્મીરની સરકારોની સુરક્ષા નીતિ કે કેન્દ્રની વિદેશનીતિની ટીકા કરવામાં આવે, તે આપણાં લોકતાંત્રિક દેશમાં નાગરિકો અને પ્રેસ મીડિયા તથા રાજકીય પક્ષોનો અધિકાર છે, અને દેશના વિરોધમાં કે પાકિસ્તાનની તરફેણમાં કે દેશવિરોધી નિવેદનો આપનારા સિવાયના પ્રશ્નોને 'ગદ્દારી" કેવી રીતે ગણાવી શકાય...? તેવા કટાક્ષો પણ અસ્થાને નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર જેવા શહેરોમાં નો-હોકીંગ, નો-પાર્કિંગ, વનવે જેવા પ્રતિબંધો હોય કે દ્વારકાની ગોમતી નદીના દરિયા સાથે થતા સંગમ સ્થળની આજુબાજુ ઉંડા પાણીમાં ન્હાવા પર પ્રતિબંધ હોય, કે પછી હિમાલય, જમ્મુ-કાશ્મીરના કેટલાક જોખમી સ્થળો પર કેટલીક ઋતુમાં હરવા-ફરવા જવા પરના પ્રતિબંધો હોય, નિયમ-કાનૂન-પ્રતિબંધની કડક અમલવારી, સુરક્ષા, સલામતી અને જરૂર પડ્યે રાહત-બચાવ-પ્રતિકાર કરવાની વ્યવસ્થાઓ જ ન હોવી અથવા બોદી કે અપૂરતી વ્યવસ્થાઓ હોવી અને કડક અમલવારી નહીં થવી, એ આપણાં દેશમાં સામાન્ય બાબત ગણાય છે, એટલું જ નહીં કુદરતી રીતે જોખમી, આતંક પ્રભાવિત કે નકસલ પ્રભાવિત વિસ્તારોમાં જનસુરક્ષા માટે લાદવામાં આવતા કેટલાક પ્રતિબંધોમાં ભ્રષ્ટ તંત્રો અને કેટલાક લાલચુ ધંધાર્થીઓ દ્વારા થતો ખિલવાડ ઘણી વખત જીવલેણ અને ગમખ્વાર બનતો હોય છે, તેનું દૃષ્ટાંત તો પહલગામની આતંકી અને ઘાતકી ઘટનાએ આપી જ દીધું છે ને...?
દ્વારકાનું જગત મંદિર આમ તો કાયમી ધોરણે સઘન સુરક્ષાના ઘેરામાં જ રાખવામાં આવે છે, પરંતુ પહલગામ હૂમલા પછી ત્યાં હાઈએલર્ટ જાહેર કરીને મંદિરની સુરક્ષા વધારવા ઉપરાંત દરિયાઈ પેટ્રોલીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે, અને તંત્રોને યાત્રિકો-ભાવિકો પણ સહયોગ આપી રહ્યાં છે. આ જ પ્રકારની સતર્કતા અને સહયોગ ગોમતીજી કે દરિયાના ઉંડા પાણીમાં ન્હાવા નહીં જવા માટે પણ દાખવવામાં આવે તો ડૂબી જવાથી યાત્રિકોની જિંદગી ગુમાવવાની ગમખ્વાર ઘટનાઓ ઘટાડી શકાય. અહીં માત્ર "મનાઈ છે" ના બોર્ડ લગાવીને છૂટી જતા તંત્રો આ સ્થળે સાવચેતી અને રેસ્ક્યૂ બોટ સાથેની ટીમો કાયમી ધોરણે રાખે, તેવી માંગણી પણ અવાર-નવાર ઉઠતી હોય છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેમ સ્થાનિક તંત્રો, નેતાઓ કે અધિકારીઓ આ મુદ્દે હાલમાં સળવળતા જ નથી...!!
એવું કહેવાય છે કે, પહલગામમાં જ્યાં આતંકી હૂમલો થયો, તે સ્થળ તો અમરનાથ યાત્રા સમયે જૂન મહિનામાં જ ખૂલે છે, તો પછી આ સ્થળ આટલું વહેલું કેવી રીતે અને કોની મંજૂરીથી ખૂલી ગયું...? તેવો સવાલ ઉઠી રહ્યો છે, અને સ્થાનિક તંત્રો, ટૂર-ઓપરેટરો કે લાલચુ સંલગ્ન વ્યવસાયિકોએ જો સરકારની જાણ બહાર આ સ્થળ ખોલાવ્યું હોય તો તે તમામ જવાબદારોના આ કૃત્ય અથવા લાપરવાહીને પણ ગંભીર ગણીને અથવા આતંકવાદીઓને મદદ કરવાના આક્ષેપો મૂકીને કડકમાં કડક નશ્યત થવી જ જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં જો સરકારના નાકની નીચે જ આ પ્રકારની લોલંલોલ ચાલી હોય તો એ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને જવાબદાર ગણીને તેમનું રાજીનામું માંગવામાં આવી રહ્યું હોય અને જમ્મુ-કાશ્મીરની ઓમર અબ્દુલ્લાની સરકારના તાબા હેઠળના સ્થાનિક સંલગ્ન તંત્રો સામે પણ આંગળી ચિંધવામાં આવી રહી હોય, ત્યારે આ ગંભીર પ્રકારની ક્ષતીઓની માત્ર કબૂલાત કરી લેવાથી જ નહીં ચાલે, પરંતુ નૈતિક જવાબદારી સ્વીકારવાની પણ તૈયારી રાખવી જ પડે ને...?
અત્યારે આ સંવેદનશીલ મુદ્દે વિપક્ષોએ પ્રારંભમાં રાજનીતિ કરવાથી અંતર જાળવ્યું, તે આવકારદાયક છે, અને સર્વપક્ષીય બેઠક અને તે પછી વિપક્ષોએ ઉઠાવેલા પ્રશ્નો તથા કોંગ્રેસે પૂછેલા ૬ સવાલોના જવાબો આપીને સરકારે પણ વિશ્વસનિયતા અને રાષ્ટ્રીય એકજૂથતાનું પ્રમાણ આપવું જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.
આપણા દેશમાં "લાપરવાહી" અને "મિલિભગત" રાષ્ટ્રવ્યાપી છે. જામનગરમાં "નો હોકીંગ ઝોન" ના કડક અમલ માટે ધરણા અને વિરોધ પ્રદર્શનો કરવા પડે, અને બર્ધનચોકમાં વારંવાર ચેકીંગ છતાં ફરીથી "જૈસે થે" ની સ્થિતિ ઊભી થઈ જતી હોય, તો તેમાં કોઈને કોઈ "ગોડફાધર" ના આશીર્વાદ હોય કે "મજબુત હપ્તા સિસ્ટમ" ના પ્રભાવથી ચેકીંગની આગોતરી જાણ થઈ જતી હોય તેવું બની શકે, તેવી આશંકાઓ પણ હવે ઉઠવા લાગી છે, ત્યારે આ આશંકાઓ સંબંધિત તંત્રો અને મનપાના વિભાગો માટે પણ કલંકરૂપ જ ગણાય છે...?
બીજી તરફ ફૂટપાથો પર પોતાની વેંચાણ કરવાની સામગ્રી, જાહેરાતના બોર્ડ કે ફર્નિચર વિગેરે ગોઠવીને વેપારીઓ વિગેરે દ્વારા થતુ દબાણ પણ રેંકડી, પથારાવાળાના દબાણો જેટલું જ ટ્રાફિક અને જનસુવિધા માટે અવરોધક છે, તે પણ સમજવું પડશે.
જામનગરના ઘણાં જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ બને તેવી રીતે તોતીંગ વાહનો કલાકો સુધી પાર્ક કરવાની સમસ્યા સામે પણ કોઈ અકળ કારણોસર આંખ આડા કાન કરવામાં આવે છે.. નગરમાં ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે ફરતી ગાડીઓ પૈકીના કેટલાક વાહનોમાંથી રોડ પર ઢોળાતો જતો કચરો અથવા ગંદકી, પાણીના ટેન્કરોના લીકેજ થતા રહેતા નળ, માટી-મોરમ વિગરે બાંધકામ સામગ્રી લઈને જતા વાહનોમાંથી રોડ પર પડતા જતા માટી-મોરમ, કાંકરી વિગેરેના કારણે ઊભા થતા જોખમો સામે પણ આપણે તદ્દન બેદરકાર જ રહીએ છીએ, અને નગરના કેટલાક માર્ગો પર તોતીંગ વાહનોના લાંબા સમય સુધી થતા ખડકલા પણ જનસુવિધા માટે અવરોધક છે, પણ કોઈ કાંઈ બોલતું નથી, અને કોઈ કાંઈ કરતુંય નથી...!!
એક કહેવતને થોડી મોડીફાય કરીએ તો કહી શકાય કે 'દરકાર હટી તો દુર્ઘટના ઘટી' ની નગરથી નેશન સુધી અને જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ પ્રદેશો સુધી આ જ પ્રકારની "સમાન" માનસિકતા રહેતી હોય, તો તેના મૂળમાંથી જ સુધારો થવો જોઈએ, અને તેના માટે કોઈ મહાન, અહિંસક પરંતુ પરિણામલક્ષી જનક્રાન્તિની રાહ જોવી પડશે, તેવું લાગે છે.
આજે ફરીથી પાકિસ્તાન તરફથી બોર્ડર પર ફાયરીંગ થયુ. યુએનએસસીએ પણ પહલગામ હૂમલાને વખોડ્યો. ઘણાં દેશોએ ભારત પ્રત્યે સમર્થન જાહેર કર્યુ, તેથી અત્યારે પીઓકે પાછુ મેળવવાનો મોકો છે, તેવા અભિપ્રાયો પણ આવી રહ્યાં છે, અને પહલગામની ઘટના માટે કારણભૂત ગંભીર ક્ષતિઓ, લોલંલોલ અને લાપરવાહીને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છો ત્યારે હવે મોદી સરકાર આ સવાલોના શું જવાબો આપે છે, અને પાકિસ્તાનને કલ્પના ન હોય તેવો પાઠ ક્યારે ભણાવે છે, તે જોવું રહ્યું...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બાબા વેંગાએ સિરિયાના પતન પછી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ જશે, તેવી આગાહી કરી હતી, તેવી જ રીતે નાસ્ત્રેદમસથી લઈને અત્યાર સુધીના ઘણાં ભવિષ્યકારોએ ત્રીજા વિશ્વયુદ્ધની આગાહીઓ કરી છે, અને તેના માટે ભિન્ન-ભિન્ન કારણો આપવામાં આવે છે, અને તેમાં એક કારણ સમાન રહે છે અને તે છે પાણી...
લગભગ તમામ આગાહીકારો અથવા ભવિષ્યવેતાઓ એવું સમાન રીતે માને છે કે, ભવિષ્યમાં શુદ્ધ પાણીની તંગી વધી જશે અને તેને લઈને લોકો વચ્ચે જ નહીં, દુનિયાના કેટલાક દેશો વચ્ચે પણ યુદ્ધો થશે.
ત્રીજા વિશ્વયુદ્ધ માટે મહાસત્તાઓ અથવા શક્તિશાળી દેશો વચ્ચે વર્ચસ્વ અને પ્રતિષ્ઠાનો જંગ, સીમાવિવાદો, દરિયાઈ સીમાઓના વિવાદો, આતંકવાદ અને આર્થિક આધિપત્ય જેવા કારણો વર્ણવાઈ રહ્યાં છે, અને મોટાભાગની ભવિષ્યવાણીઓમાં પાણીના કારણે થનારા યુદ્ધો વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે, અને હવે તે ભવિષ્યવાણીઓ કદાચ સાચી પડી જાય, તેવા સંજોગો પણ ઊભા થવા લાગ્યા છે.
પહલગામ હૂમલા પછી ભારતે સિંધુ જળ સમજૂતિ પાકિસ્તાન આતંકવાદને સીમાપારથી ભારતમાં વકરાવવાનું બંધ ન કરે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાની જે જાહેરાત કરી છે, અને ગઈકાલે મળેલી સર્વપક્ષિય બેઠકમાં તમામ રાજકીય પક્ષોએ ભારત સરકાર પહલગામ હૂમલા પછી તેના પ્રતિકારમાં આતંકવાદ સામે જે કદમ ઉઠાવે, તેના સમર્થનમાં હોવાની જાહેરાત કરી છે, તે પછી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે, અને પાકિસ્તાનની ખેતી, સિંચાઈ, વીજ ઉત્પાદન તથા પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓને કેટલી છીન્ન-ભિન્ન થઈ શકે છે, તેના અંદાજો મૂકાવા લાગ્યા છે.
જો ભારત ક્રમશઃ સિંધુ જળ સમજૂતિને રદ્દ કરવાની પ્રક્રિયા શરૂ કરે, તો તેને પાકિસ્તાન હળવાશથી લેશે નહીં અને ભારતે પાક. વિરોધી કદમો ઉઠાવ્યા પછી પાકિસ્તાને પણ કેટલીક જાહેરાતો કરી છે અને યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે, તે જોતા તો એવું લાગે છે કે, જળસંધિનો મુદ્દો જ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધારવાની બુનિયાદ બની શકે છે, અને તે પછી લિમિટેડ વોર કે પૂર્ણાકક્ષાના યુદ્ધ માટેના અન્ય કારણોનું સંયોજન થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.
સાથેસાથે ભારત પીઓકે પાછું મેળવવા માટે પણ પ્રયાસ કરી શકે છે, અને તેમ થાય તો ચીનનો કોરિડોર પ્રોજેક્ટ વધુ ઘોચમાં પડે તેમ હોવાથી ચીન જે ખૂલ્લેઆમ પાકિસ્તાનની તરફેણ કરે, તો ભારતના મિત્ર દેશો તથા ચીન વિરોધી દેશો ભારતની તરફેણમાં આવી શકે છે. આતંકવાદના મુદ્દે પણ વિશ્વની મોટાભાગની શક્તિશાળી સત્તાઓ ભારતની તરફેણમાં છે, તેવામાં ચીન બ્રહ્મપુત્રાનું પાણી અટકાવવાની મેલી મુરાદને આગળ વધારીને નદીઓના જળનો જ હથિયાર તરીકે પણ ઉપયોગ કરી શકે છે...
ટ્રમ્પ ટેરિફ વોર અને વિશ્વમાં ચાલી રહેલા નાના-મોટા યુદ્ધોમાં જો ભારતીય ઉપખંડમાં પણ વિવિધ કારણોસર યુદ્ધની સ્થિતિ ઊભી થાય, અને વૈશ્વિક સમીકરણોમાં ઉલટફેર થાય તો દુનિયા વિશ્વયુદ્ધ તરફ ઝડપથી ઢસેડાઈ શકે છે.
નદીઓ તથા સરોવરોના વિવાદો માત્ર ભારતીય ઉપખંડમાં નથી, પણ દુનિયાભરમાં છે. તે ઉપરાંત અખૂટ ખારૂ પાણી ધરાવતો અખૂટ દરિયાઈ સંપદા અને ઋતુચક્રનું કેન્દ્ર એવો દરિયો પણ હમાણાંથી વિશ્વના જુદા-જુદા દેશોના યુદ્ધનું જળમેદાન બની રહ્યો છે, એવામાં દરિયાઈ સરહદો, જળમાર્ગો અને દરિયાઈ સંપત્તિ પણ વિશ્વના જુદા-જુદા દેશોને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
હમણાંથી યુવાનવયે હ્ય્દયરોગથી મૃત્યુના કિસ્સા વધી રહ્યાં છે, તેથી હ્ય્દયરોગને લઈને જનજાગૃતિ ફેલાવાઈ રહી છે, અને કાર્ડિયાક એટેક અથવા હાર્ટ એટેક આવતા પહેલા કેટલાક લક્ષણો (સિમ્ટમ્સ) અથવા સંકેતો મળતા હોય છે, તે અંગે ઝીણવટભર્યુ માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે. હ્ય્દયરોગ થતો અટકાવવા અને એટેક આવે ત્યારે તેને બચાવવાના ઉપાયો પણ સમજાવાઈ રહ્યાં છે, એટલું જ નહીં, જેને હાર્ટ એટેક આવ્યો હોય, તેને બચાવવા માટે સીપીઆરની તાલીમ પણ અ૫ાતી હોય છે.
એક વ્યક્તિનો જીવ બચી જાય, તે માટે સંકેતો કે લક્ષણોના આધારે આપણે સાવચેતીના આટલા બધા કદમ ઉઠાવતા હોઈએ, ત્યારે સામૂહિક સુરક્ષા કે સંખ્યાબંધ લોકોની જિંદગી જોખમમાં હોવાના સંકેતો મળે, ત્યારે તો ખૂબ જ ઝડપી અને શ્રેણીબદ્ધ બચાવ અને સુરક્ષાના કદમ તો ઉઠાવવા જ જોઈએ ને...?
પહલગામમાં થયેલા આતંકી હૂમલા પછી આખો દેશ એક જૂથ થઈને દેશના દુશ્મનોના દાંત ખાટા કરવા સરકાર ક્યારે, કેવા અને ક્યા માધ્યમોથી વળતો પ્રહાર થશે, તેની રાહ જોઈ રહ્યો છે અને આ વખતે તો પ્રપંચી પાકિસ્તાનને ઘણું જ મોંઘુ પડે, તેવું કોઈ કદમ સરકાર ઉઠાવશે, તેવી અટકળો પણ થઈ રહી છે, અને તેની સાથેસાથે અતિશય આત્મવિશ્વાસ કે ગાફેલ રહેવું પણ પાલવે તેમ નથી તે પણ હકીકત જ છે ને...?
પાકિસ્તાનના આર્મીચીફે થોડા દિવસો પહેલા કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ છે, અને તેના માટે તેમનો દેશ કાંઈપણ કરી શકે છે, તેવા મતલબનું કોઈ નિવેદન કે ભાષણ કર્યું હતું અને તે પછી ભારતની ગુપ્તચાર એજન્સીઓએ પણ તાજેતરમાં જ એવી વોર્નિંગ આપી હોવાના અહેવાલો વહેતા થયા છે કે, જેની નોંધ ગંભીરતાથી લેવી જ પડે તેમ હતી. મીડિયા ડિસ્કશન મુજબ કેન્દ્રીય એજન્સીઓએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે આ ઉનાળામાં જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત પરિબળો કાંઈક નવાજુની કરી શકે છે. ગુપ્તચાર એજન્સીઓએ એવી ચેતવણી આપી હતી કે, "પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં ઉનાળો ગરમ કરવા માટે તૈયાર છે, હવે એ ચેતવણી ખરી ઠરી છે અને પાક. સૈન્યના જનરલ મુનિરના વાંધાજનક અને ઉશ્કેરણીજનક ભાષણ પછી થયેલો આતંકી હૂમલો ઘણુ બધું કહી જાય છે.
આ આતંકી હૂમલો માત્ર ઉશ્કેરણી કે ગૂમરાહ થયેલા યુવકોનું જઘન્ય કૃત્ય જ નથી, પરંતુ ઘણાં જ પ્લાનીંગ સાથે ભારત પર બહુહેતુક પ્રહાર કરવાનું ષડયંત્ર છે. આ આતંકી હૂમલામાં આતંકીઓને પીઠબળ પૂરૃં પાડનાર પાક.ની સેના તથા આઈએસઆઈના ઘણાં મિલન ઈરાદાઓ હોવા જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં ટુરિઝમ વધ્યુ અને ત્યાંના તમામ લોકોને શાંતિ તથા વિકાસ ગમવા લાગ્યો, તેવા સંજોગોમાં ટુરિઝમ ડેવલપમેન્ટ પર પ્રહાર કરીને તથા પર્યટકોમાં ખોફ ફેલાવીને ભારતને આર્થિક નુકસાન પહોંચાડવા તથા જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ છીન્ન-ભીન્ન કરવાનું આ ઉંડુ કાવતરૂ હોવું જોઈએ, ખરૃં ને...?
ભારતમાં મુસ્લિમો સલામત નથી, તેવો "હાઉ" ફેલાવીને દેશમાં હિન્દુ-મુસ્લિમ દંગાઓ - કોમી તોફાનો કરાવવા અને ગૃહયુદ્ધની સ્થિતિ ઊભી કરવાનું આ ષડયંત્ર હોઈ શકે છે, પરંતુ ભારતમાં દેશભરના મુસ્લિમો તથા રાજકીય પક્ષોએ જે રીતે પહલગામના આતંકી હૂમલાને વખોડવાની સાથેસાથે જે રીતે પાકિસ્તાનને આડે હાથ લીધુ છે, તે જોતા "નાપાક" ષડયંત્રકારોને એ જવાબ તો મળી જ ગયો હશે કે ઘર આંગણે ગમે તેટલા મતભેદો હોય, પરંતુ જ્યારે દેશની સુરક્ષાની વાત આવે, ત્યારે ભારત એક અને અતૂટ છે. ભારતના સાર્વભૌમત્વ, ગૌરવ કે સ્થિરતાને હાનિ પહોંચાડવી એટલી સરળ નથી...! મીડિયા અને અખબારોમાં છેલ્લા દસ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલી આતંકી ઘટનાઓનું વર્ણન આવી રહ્યું છે તે શું સૂચવે છે...?
આમ છતાં, આપણે હવે વધુ સાવધ અને સજ્જ પણ રહેવું પડશે. જમ્મુ-કાશ્મીરની હોટેલોની એપ્રિલના પહેલા અઠવાડિયામાં રેકી થઈ હોય, પાક. સેનાના વડાએ ભારત વિરોધી તેજાબી ભાષણ આપ્યુ હોય, ગુપ્તચર એજન્સીઓએ પણ પાકિસ્તાન ઉનાળો ગરમ કરવાની તૈયારીમાં હોવાના ઈનપુટ આપ્યા હોય, ત્યારે આ સંકેતો (સિમ્ટમ્સ) મોટી આતંકી ઘટનાની તૈયારીની હતા, તે હકીકત ગંભીરતાથી લેવાની જરૂર હતી અને જમ્મુ-કાશ્મીરના તમામ પર્યટન સ્થળોનો વધુ સઘન સુરક્ષાનું કવચ આપવાની જરૂર હતી. ખેર, હવે જાગ્યા ત્યારથી સવાર...
બીજી તરફ ગુપ્તચર એજન્સીઓ પણ કેટલાક મુદ્દે અંધારામાં રહી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે, જેવી રીતે કોઈ સ્થળે બોમ્બ હોવાની સાચી-ખોટી ધમકી મળે ત્યારે તે કોઈપણ માધ્યમથી અપાઈ હોય, તો પણ તેની ગંભીરતાથી તપાસ કરીને તત્કાળ એકશન લેવાતા હોય છે, તેટલું જ નહીં, પરંતુ તેનાથી પણ વધુ સતર્કતા ગુપ્તચર સંસ્થાની ચેતવણીઓ કે પડોશી દેશમાં થતી શંકાસપદ હિલચાલ પછી રાખવી જ જોઈએ, તેટલો નક્કર બોધપાઠ તો પહલગામના આતંકી હૂમલાએ આપણને સૌને આપ્યો જ છે... નજર હટી, તો દુર્ઘટના ઘટી...!
પહેલી પ્રતિક્રિયામાં જ ભારતે અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવા, સિંધુ જળ કરાર પર રોક, પાકિસ્તાનીઓના વીઝા રદ્દ, ભારતમાં પાકિસ્તાનનું ઉચ્ચાયુક્ત બંધ અને ઉચ્ચાયુક્તોની સંખ્યા ઘટાડવાના નિર્ણયો પછી પાકિસ્તાનમાં હલચલ વધી છે, જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઘણાં વર્ષો પછી જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર નિર્મમ અને અમાનવીય હૂમલો કરીને એક વખત ફરીથી પોત પ્રકાશ્યુ છે. આ હૂમલાના કારણે વિશ્વભરમાં ભારતમાં થયેલા આ આતંકી હૂમલાના ઘણાં જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને સુરક્ષા વ્યવસ્થાઓ અને ગુપ્તચર તંત્રો સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે.
આ આતંકી હૂમલાની તત્કાળ તપાસ એનઆઈએની ટીમે શરૃ કરી, ગઈ રાત્રે જ દેશના ગૃહમંત્રી અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દોડી ગયા, અને રાત્રે જ મેરેથોન બેઠકો શરૃ કરી હતી, અને આ કાયરતાપૂર્ણ હૂમલાના દોષિતોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં તો નહીં જ આવે, પરંતુ તેના સીમાપારના માસ્ટર માઈન્ડ કે પડોશી દેશની સંડોવણી પુરવાર થયે આ નિર્દોષ લોકોના હત્યાકાંડનો બદલો લેવામાં આવશે, તેવો રણટંકાર પણ ગત્ રાત્રે જ સંભળાવા લાગ્યો હતો.
આ હૂમલા પછી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને રાજયપાલ સહિતના નેતાઓએ તો સામૂહિક સ્વરે આ હૂમલાને વખોડી જ કાઢ્યો હતો, તે ઉપરાંત આ હૂમલા પછી તરત જ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કેજરીવાલ, ગુલામનબી આઝાદ, ઈલ્તિની મૂફતી, અસદુદ્દીન ઓવૈસી, એસ. જયશંકર તથા શાસક અને વિપક્ષના તમામ નેતાઓએ એક સૂરે આ હૂમલાને વખોડ્યો અને આ હૂમલા સામે આખો દેશ એક જૂથ છે, તેવો જે મક્કમ રણકાર કર્યો, તે આપણા દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓની ખૂબી પણ છે અને ખૂબસુરતી પણ છે.
જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ રહી હતી, અને દેશ-વિદેશથી પ્રવાસીઓ નિડરતાથી પુથ્વી પરના સ્વર્ગસમા જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવા લાગ્યા હતાં, ત્યારે જ થયેલા આ હૂમલાએ એ પણ પુરવાર કર્યુ છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદ નેસ્તનાબુદ થયો નથી અને પાકિસ્તાન સ્થિત ભારતના દુશ્મનોના ષડયંત્રો હજુ પણ એટલા જ સક્રિય છે, અને આપણે હજુ પણ અતિ આત્મવિશ્વાસમાં રહેવા જેવું નથી.
જમ્મુ-કાશ્મીરના સ્થાનિકો આ હૂમલા સામે આક્રોશમાં હશે, કારણ કે જ્યારે અમરનાથ યાત્રા શરૃ થવાની હતી, તેવા સમયે જ આ આતંકી હૂમલાએ ત્યાંના સ્થાનિક લોકોની રોજગારી પર પણ પ્રહાર કર્યો છે. બીજી તરફ આતંકવાદીઓના મદદગારો (સ્લીપર સેલ્સ) હજુ પણ જમ્મુ-કાશ્મીરમાં જ મોજુદ છે, અને સીમાપારથી આવતા આતંકીઓ તથા શસ્ત્રસરંજામને લોજિસ્ટિક સપોર્ટ પણ મળી જ રહ્યો છે. આ કારણે માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરની રાજય સરકારે પણ વધુ સતર્ક થવાની જરૃર છે, અને આ આતંકી પ્રવૃત્તિઓ પુનઃ પહેલાની જેમ સર્વવ્યાપી ન બની જાય, તેની તકેદારી પણ રાખવી જ પડશે.
આ આતંકી હૂમલાના કારણે વિદેશપ્રવાસ અધૂરો છોડીને પરત સ્વદેશ આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે મેરેથોન બેઠકો બોલાવવાનું શરૃ કર્યુ છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર આ કાયરતાપૂર્ણ હૂમલો કરનારા દોષિતોની સાથેસાથે સીમાપારથી હૂમલાઓ કરાવતા આતંકી સંગઠનોની ઓળખ કરીને પડોશી દેશની આઈએસઆઈ જેવી જાસૂસી સંસ્થા અને સૈન્યના ભારત વિરોધી પરિબળો સામે પણ નક્કર કદમ ઉઠાવશે અને આપણા દેશમાં આતંકી હૂમલો કરીને સંખ્યાબંધ નિર્દોષોનો જીવ લેનાર તથા તેને મદદ કરનાર સ્થાનિક સ્લીપર સેલ્સને ઝડપી લેશે તેવી આશા દેશવાસીઓ સેવી રહ્યાં છે.
અમેરિકા-રશિયા-યુએઈ-ઈરાનથી માંડીને બ્રિટન, ફ્રાન્સ, જાપાન સહિતના દેશોમાંથી આ આતંકી હૂમલા સામે જે આક્રોશ પડઘાયો અને દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષોએ ભારતની પડખે હોવાની જાહેરાતો કરી, તે જોતા આ હૂમલા પછી હવે વૈશ્વિક કક્ષાએ પણ ભારત પર થતા સીમાપારના આતંકવાદના કારણે પાકિસ્તાન પર તડાપીટ બોલવાની છે, તે નક્કી છે.
વિપક્ષોએ એકજૂથ થઈને જે રીતે આ આતંકી હૂમલાને વખોડ્યો છે, તે જોતા આ મુદ્દો રાજકીય રૃપ ધારણ નહીં કરે, પરંતુ દેશવાસીઓના પ્રત્યાઘાતોનું તારણ એવું પણ નીકળે છે કે, આતંકવાદને નેસ્તનાબુદ કરવાના માત્ર પોકળ દાવાઓ હવે નહીં જ ચાલે, હવે સીમાપારના આતંકવાદને અટકાવવા નિર્ણાયક અને સાહસિક કદમ ઉઠાવવાનો સમય પાકી ગયો છે. આ આતંકી હૂમલા પછી હવે ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક અથવા પીઓકે પાછું મેળવવા માટે નિર્ણયાક "સૈન્ય કદમ" ઉઠાવાશે એવી અટકળો પણ થવા લાગી છે, જ્યારે પીઓકેની સાથેસાથે પાકિસ્તાનથી છૂટા પડવા માંગતા બ્લુચિસ્તાન અને સિંધ જેવા પ્રદેશોને પણ ભારતનો રણનૈતિક કે કૂટનૈતિક ટેકો મળશે, તેવો આશાવાદ પણ જાગ્યો છે. આ માટે પહેલા બાંગ્લાદેશનો ઈશ્યૂ પણ ઉકેલવો પડે તેમ છે. આતંકી હૂમલામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા પર્યટકોના પરિવારોને ઈશ્વર હિંમત આપે, તેવી પ્રાર્થના સાથે દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં કાંઈક નવું થવાનું છે અને ભાજપ, આમઆદમી પાર્ટી તથા કોંગ્રેસમાં આંતરિક હિલચાલ તેજ બની છે, તેવી ચર્ચા વચ્ચે રાષ્ટ્રીય કક્ષાએ દૂબે એ દબદબો વધારવા દમદાર નિવેદનો કર્યા હોવાના દિગ્વિજયસિંહના આક્ષેપો પછી સંસદ, સરકાર અને સુપ્રિમકોર્ટની સત્તાઓનો મુદ્દો પણ આજે "ટોક ઓફ ધી નેશન" બન્યો છે.
ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક અને દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ પ્રમુખની નિમણૂક તા. ર૦-એપ્રિલ પછી ગમે ત્યારે થઈ શકે છે, તેવી અટકળો પહેલેથી જ થઈ રહી હતી, અને આ નિમણૂકોને પછી ગુજરાતમાં પ્રદેશ ભાજપની ટીમ અને રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના તમામ હોદ્દેદારોમાં મોટા પાયે ફેરબદલ થશે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ બન્ને મુખ્ય હોદ્દાઓ માટે દાવેદારોના નામોને લઈને પણ અટકળોનું બજાર ગરમ હતું.
બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની બે ખાલી બેઠકોની પેટાચૂંટણી જાહેર થયા પછી આમઆદમી પાર્ટીમાં હલચલ તેજ બની હતી અને હવે આમઆદમી પાર્ટી પણ અત્યારથી જ ગુજરાતમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવા માટે બેઠકવાર પ્રભારીઓ નક્કી કરી રહી હોવાના અહેવાલો છે.
બીજી તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજયા પછી ગુજરાતમાં કોંગ્રેસ પણ વર્ષ-ર૦ર૭ ની વિધાનસભાની ચૂંટણીના સેમિફાયનલની જેમ ગણીને ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણી પૂરી તાકાતથી લડશે, તેવા સંકેતો મળી રહ્યાં છે, ત્યારે વર્ષ-ર૦ર૭ ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થાય કે, બહુપાંખિયો જંગ ખેલાય, તો કોને ફાયદો થાય...? તેના ગણિત પણ અત્યારથી જ મંડાઈ રહ્યાં છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ કરેલા કેટલાક નિવેદનોને લઈને એનડીએના નેતાઓ ઉકળી ઉઠ્યા છે, અને આકરા પ્રત્યાઘાતો આપી રહ્યાં છે.
ભારતના ચૂંટણીપંચ પર થયેલા આક્ષેપો અને ચૂંટણીપંચની વિશ્વસનિયતા તથા તટસ્થતા સામે ઉઠાવેલા સવાલોને લઈને પ્રમોદ તિવારી કહે છે કે, રાહુલ ગાંધીએ રજૂ કરેલા તથ્યોને ગંભીરતાથી લઈને ચૂંટણીપંચે વલણ બદલવું જોઈએ...?
એનડીએના નેતાઓ કહે છે કે, વિદેશની ધરતી પર જઈને ભારતીય બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાના બદલે રાહુલ ગાંધીએ કાંઈ વાંધો કે ફરિયાદ હોય તો દેશની સુપ્રિમ કોર્ટમાં જવું જોઈએ. બીજી તરફ મુર્શીદાબાદ કેસ અને પશ્ચિમ બંગાળના મુદ્દે થતી સુનાવણી દરમિયાન ખુદ સુપ્રિમકોર્ટે કટાક્ષ કર્યો છે કે, અમારા પર સંવૈધાનિક મર્યાદાઓ ઓળંગી જવાની આક્ષેપબાજી થઈ રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપવાનો આદેશ કેવી રીતે આપી શકીએ...?
મૂળ વિવાદ નિશિકાંત દુબેએ તાજેતરના સુપ્રિમકોર્ટમાં વકફ બિલના મુદ્દે થયેલી સુનાવણી પછી સુપ્રિમકોર્ટ પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા પછી ઊભો થયો હતો, અને ભાજપના આ બોલ સાંસદના નિવેદન સાથે ભાજપ સહમત નથી, અને તે તેના અંગત નિવેદનો છે, તેવી ચોખવટ ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કરવી પડી હતી. તે પછી કોંગી નેતા દિગ્વિજયસિંહે નિશિકાંત દૂબે (મોદીની ગુડબૂકમાં આવીને) મંત્રી બનવા માંગતા હોવાનું નિવેદન કર્યુ હતું. તે પછી સંસદ, સરકાર અને સુપ્રિમકોર્ટની સત્તાઓ અંગેની ચર્ચા ટોક ઓફ ધી નેશન બની ગઈ હતી.
સંસદ સર્વોપરિ કે સુપ્રિમકોર્ટ...? એવો સવાલ આ પહેલા ભૂતકાળમાં પણ ઘણી વખત અને લાંબાગાળા માટે ચર્ચાયો હતો. ખાસ કરીને અલ્હાબાદ હાઈકોર્ટના એક ચૂકાદા પછીનો ઘટનાક્રમ, કટોકટીકાળ અને તે પછી મોરારજી દેસાઈના શાસન સમયે શાહ કમિશનની નિમણૂક, તે પછી શાહબાનું કેસમાં સંસદ અને સુપ્રિમકોર્ટનો ઘટનાક્રમ, અયોધ્યા કેસ, તાજેતરના ઈલેકશન બોન્ડનો કેસ અને હવે રાજયપાલ-રાષ્ટ્રપતિની સત્તામર્યાદાઓ અંગે સુપ્રિમકોર્ટના આદેશો તથા સંસદે પસાર કરેલા અને રાષ્ટ્રપતિએ મંજૂર કરેલા વકફ બિલને લઈને એ જ સવાલ ફરીથી ઉઠવા લાગ્યો છે કે આપણા દેશના બંધારણ મુજબ સંસદે ઘડેલા કાયદાને ધરમૂળથી રદ્દ કરવાની સત્તા સુપ્રિમકોર્ટ પાસે છે ખરી...?
આ બંધારણીય પ્રશ્ને બંધારણીય નિષ્ણાતોના અભિપ્રાયો વહેંચાયેલા છે. કેટલાક તદ્વિષયક તજજ્ઞો અને વિખ્યાત ધારાશાસ્ત્રીઓ તો વિવિધ રાજકીય વિચારધારા કે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે, તેથી તેઓના અભિપ્રાયો તો રાજકીય દૃષ્ટિકોણ મુજબના જ હોય, અને સ્વાભાવિક છે, પરંતુ બિનરાજકીય નિષ્ણાતો, રાજકીય ક્ષેત્રના તજજ્ઞો, મીડિયામેનો અને બંધારણીય - કાનૂની નિષ્ણાતોના અભિપ્રાયો પણ આ મુદ્દે વહેંચાયેલા છે, તેથી હવે સુપ્રિમકોર્ટમાં હવે પછી થનારી સુનાવણીઓ પછી જ આ મુદ્દે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
સુપ્રિમકોર્ટને બંધારણે ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોના રક્ષણની જવાબદારી સોંપી છે, તેવી જ રીતે ન્યાયતંત્ર, ધારાગૃહો એટલે કે સંસદ તેના હેઠળ સરકાર તથા વિપક્ષો અને વહીવટીતંત્રની વચ્ચે સુદૃઢ સંકલન રહે અને લોકશાહીના આ ત્રણેય ઘટકો એકબીજાના કાર્યક્ષેત્ર કે સત્તાઓ પર અતિક્રમણ ન કરે, એકબીજાના નિર્ણયોનું સન્માન કરે અને વિવાદાસ્પદ કે મતમતાંતર ધરાવતા મુદ્દાઓ ઘર્ષણમાં ઉતરીને નહીં, પણ પરસ્પર મંત્રણા કરીને કે મર્યાદામાં રહીને ઉકેલે તેવી વિભાવના પણ બંધારણ નિર્માતાઓની રહી હતી. જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
'ગાડીવાલા આયા, ઘર સે કચરા નિકાલ' જેવા સંગીતમય ગીતવાદન સાથે દરરોજ જુદા જુદા સમયે જામનગરમાં ડોર-ટુ-ડોર એકત્રિત કરતી કચરાની ગાડીઓ છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં પહોંચી નહીં હોવાના અહેવાલો પછી ગઈકાલે સાંજથી આ વ્યવસ્થા પૂર્વવત થઈ હોવાના પ્રતિભાવો પણ સાંપડ્યા હતાં અને ગૃહિણીઓએ એકત્રિત કરેલા કચરાનો નિકાલ થયો હતો. આ અનિયમિતતાનું કારણ જે હોય તે ખરૂ, પરંતુ હાપા પાસે જામનગર મહાનગરપાલિકાની કચરાનું વહન કરતી આઠ જેટલી ગાડીઓ સળગી ગઈ હોવાના અહેવાલો 'ટોક ઓફ ધ ટાઉન' બન્યા હતાં અને હાલાર સહિત રાજ્ય અને દેશમાં વિવિધ સ્થળે બનેલી આગ-અકસ્માતની દુર્ઘટનાઓને સાંકળીને ફાયર સેફેટીનો મુદ્દો પણ ફરીથી રાજ્યવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
સામાન્યરીતે ઉનાળામાં આગની દુર્ઘટનાઓ વધી જતી હોય છે અને જંગલોમાં આગ લાગતી હોય, તેવી જ રીતે કચરાના ઢગલા કે ઘાસના સંગ્રહસ્થાનો પણ સળગી ઊઠતા હોય છે. તે ઉપરાંત વીજ ઉપકરણો પર દબાણ વધી જતા શોટસરકીટની દુર્ઘટનાઓ પણ વધી જતી હોય છે.
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જ ગુજરાત સહિત દેશમાં કેટલીક આગની દુર્ઘટનાઓ ગમખ્વાર બની હતી અને મોટું નુક્સાન પણ નોંધાયું હતું. રહેણાંક વિસ્તારો ઉપરાંત ગોડાઉનો અને વ્યાપાર-ઉદ્યોગના સ્થળો તેમજ સંલગ્ન વાહનોમાં પણ આગ લાગી જતા સંબંધિત વિસ્તારોમાં અફરાતફરી મચી જતી હોય છે. ઘણાં એપાર્ટમેન્ટના ઉપરના હાઈરાઈઝ ફ્લેટોમાં આગ લાગે ત્યારે તેને બુઝાવવી ઘણી જ અઘરી પડતી હોય છે. તેવી જ રીતે સાંકડી ગલીઓ ધરાવતા ગીચ વિસ્તારો અને ઝુંપડપટ્ટીઓમાં આગ લાગે ત્યારે તેને બુઝાવવી અઘરી પડતી હોય છે.
તક્ષશીલા અને ટીઆરપી ગેઈમ ઝોન જેવી ગુજરાતની ગમખ્વાર દુર્ઘટનાઓને ભ્રષ્ટ તથા લાપરવાહ તંત્રો, મિલિભગત ધરાવતા નેતાઓ અને સ્થાનિક જાગૃતિના અભાવના કારણે થતા મોટા અગ્નિકાંડો, મગફળીના ગોડાઉનોના આગ કૌભાંડો તથા ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થાઓના અભાવે સર્જાતા અગ્નિકાંડોને લઈને પણ કોઈ ચોક્કસ નીતિ-નિયમો તથા જનજાગૃતિની જરૂર છે, તેમ નથી લાગતું?
મીડિયા અહેવાલો મુજબ ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિએ આગની દુર્ઘટનાઓ રોકવા અંગે કોઈ નક્કર પોલિસી હોવાની જરૂર જણાવી છે. આ સમિતિએ 'ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ રેગ્યુલેશન'ના અમલ અંગે ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી અને રાજ્યમાં બનતી આગની દુર્ઘટનાઓના મૂળમાં જઈને પ્રિવેન્ટીવ અને અવેરનેશના કદમ ઊઠાવવાનો મુદ્દો પણ ગંભીરતાપૂર્વક ચર્ચાયો હતો.
આ બેઠકમાં ઉપયોગી સૂચનો પણ થયા હતાં અને 'વન સ્ટેટ, વન ફાયર સર્વિસ'ની વ્યવસ્થા કરીને અગ્નિકાંડો અને આગ-અકસ્માતોમાં થતી જાનહાનિ અટકાવવાનું સૂચન પણ પ્રસ્તુત થયું હતું.
આ બેઠકમાં મહાનગરો જ નહીં, પણ નાના શહેરોની નગરપાલિકાઓમાં પણ ફાયરબ્રિગેડની વ્યવસ્થાઓ વધુ સુદૃઢ અને વ્યાપક બનાવવાની જરૂર જણાવાઈ હતી. વધતી જતી વસતિ વિસ્તરી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રક્રિયાના કારણે જોખમો પણ વધી રહેલા હોવાથી હવે ફાયરસેફ્ટીની જુની-પુરાણી સિસ્ટમ ચાલે તેમ નથી, અને નાના શહેરો સુધી અગ્નિશામક વ્યવસ્થાઓ ઊભી કરીને અને તેનું સતત નિરીક્ષણ તથા પરીક્ષણ કરીને સજ્જ રાખવા પર ભાર મૂકાયો, તેની નોંધ સરકારે તથા સંબંધિત તંત્રોએ પણ લેવી જ પડે તેમ છે. અગ્નિશમન માટે બહુમાળી બિલ્ડીંગો તથા સોસાયટીઓમાં રિઝર્વ જળસંગ્રહ કાયમી ધોરણે ઉપલબ્ધ રહે તે માટે પાણીની અલાયદી મોટી ટાંકીઓ બનાવીને તેમાં નિયમિત પાણી ભરેલુ રાખવાનું સૂચન પણ નોંધનિય છે અને તેની નોંધ તો રિયલ એસ્ટેટ, બિલ્ડર્સ, ડેવલપર્સ અને સ્થાનિક તંત્રો-મંજુરી આપતા સત્તાધીશોએ પણ લેવી જ જોઈએ.
રાજ્યવ્યાપી એક ફાયરસેફ્ટી પોલિસી ઘડીને તેમાં મેટ્રોપોલિટન મેગા સિટીઝ, મધ્યમ કક્ષાના મોટા શહેરો, નાના શહેરો, મોટા ગામો, નાના ગામડાઓ તથા ઝુંપડપટ્ટી વિસ્તારોનું વર્ગિકરણ સામેલ રાખવું જોઈએ અને તે માટે રાજ્યવ્યાપી સર્વે કરાવવું જોઈએ. તે ઉપરાંત એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ્સ, જુના મકાનો, નવા બાંધકામો, ગીચ વિસ્તારો, કોમર્શિયલ વિસ્તારો, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો, શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંકુલો ધરાવતા વિસ્તારો, માર્ગો-ધોરીમાર્ગો તથા વિસ્ફોટક કે જવલનશીલ પદાર્થોનું વહન કે સંગ્રહ થતું હોય તેવા સ્થળો, વગેરેનો પ્રતિવર્ષ સર્વે કરીને તે મુજબની ફાયર સેફ્ટીની એડવાન્સ વ્યવસ્થાઓ તથા આગ લાગ્યા પછી ત્વરીત ત્યાં પહોંચીને અગ્નિશમન-આગ બુઝાવવાની અલગ-અલગ સિસ્ટમો ગોઠવીને તેને અપગ્રેડ કરતા રહેવું જોઈએ.
ખૂબ જ ગીચ વિસ્તારો, સાંકડી ગલીઓ કે અટપટા માર્ગો ધરાવતી વસાહતોમાં આગ લાગે તો ત્યાં મોટી અગ્નિશામક ગાડીઓ પહોંચી જ ન શકે તેમ હોય, ત્યારે વૈકલ્પિક કેવી કેવી વ્યવસ્થાઓ થઈ શકે અને આ પ્રકારના સ્થળો માટે વધુ ક્ષમતા, અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ઉપકરણો સાથે લાંબી પાઈપોની વ્યવસ્થા વિગેરે સૂચનો પણ થઈ રહ્યા છે. તે ઉપરાંત સાંકડા, ગીચ અને અટપટા કે દુર્ગમ વિસ્તારો, પહાડી વિસ્તારો અને વનિકરણ કરાયેલા વિસ્તારો, વિવિધ મોટા ગોડાઉનો, બંદરોના ગોડાઉનો વગેરેની નજીક જ મોટી ભૂગર્ભ કે જમીન પરની ટાંકીઓમાં આગ ઠારવા માટે કેટલોક જળરાશિ સંગ્રહીત કરીને રાખવામાં આવે, તો આગ લાગતા જ તરત જ તેને ઠારી નાખીને મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય, ખાસ કરીને ગીચ અને સાંકડા રસ્તાવાળા વિસ્તારો માટે તો કોઈ નક્કર પોલિસી તો ઘડાવી જ દોઈએ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં કોંગ્રેસે અધિવેશન યોજીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે એડીચોટીનું જોર લગાવીને મોદી-શાહના ગૃહરાજ્યમાંથી જ મક્કમ લડત આપવાની નીતિ અખત્યાર કરી છે, તેવા સમયે જ વિધાનસભાની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી આવી રહી છે. આ પેટા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી - ત્રણેય માટે લીટમસ ટેસ્ટ પુરવાર થનાર છે, કારણ કે, વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ થશે એ સુનિશ્ચિત થઈ ગયું છે.
રાષ્ટ્રીયકક્ષાએ ઈન્ડિયા ગઠબંધનમાં સાથે હોવા છતાં આમઆદમી પાર્ટીએ કોંગ્રેસને વિશ્વાસમાં લીધા વિના જ વિસાવદરમાંથી ગોપાલ ઈટાલિયાને ટિકિટ ફાળવી દેતા કોંગ્રેસ માટે અન્ય વિકલ્પ જ નહોતો, એટલું જ નહીં, હરિયાણામાં પણ આમઆદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવીને ભાજપને જીતાડવાનો માર્ગ સરળ કરી દીધો હતો, તેથી આમઆદમી પાર્ટી સાથે રાજયમાં ગઠબંધન નહીં, પણ કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાની રણનીતિ કોંગ્રેસે અખત્યાર કરી હોય, તેમ જણાય છે.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પછી વિસાવદરની બેઠક પર વિપક્ષનું વર્ચસ્વ રહ્યું અને કેશુભાઈનો પુત્ર પણ સફળ થયો નહીં. વર્ષ-ર૦રર ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ વિસાવદરની બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના હર્ષદ રિબડીયા અને કોંગ્રેસના કરસનભાઈ વડોદરીયાને હરાવીને આમઆદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીતી ગયા હતાં. પરંતુ પછી તેમણે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધુ હતું, અને વિસાવદરની બેઠક ખાલી પડી હતી.
બીજી તરફ હર્ષદ રિબડિયાએ ભૂપત ભાયાણીએ ઈલેકશન ફોર્મમાં કેટલીક હકીકતો ખોટી બતાવી હોવાના આક્ષેપ સાથે પીટીશન દાખલ કરી દેતા સબ જ્યુડિસ કેસ હોવાથી આ બેઠક પર ચૂંટણી યોજાઈ નહોતી, પરંતુ પાછળથી રિબડિયાએ પીટીશન પાછી ખેંચી લેતા હવે વિસાવદર બેઠકની પેટાચૂંટણી થવાની છે, જ્યારે કડીમાં ત્યાંના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનુું નિધન થવાથી પેટા ચૂંટણી યોજાવાની છે.
રાજકીય વિશ્લેષકો વિસાવદરની પેટા ચૂંટણી અંગે હજુ પણ કોઈ સ્પષ્ટ તારણ પર આવી શક્યા નથી. આપઆદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા સામે કોંગ્રેસ જો પરેશ ધાનાણી જેવા કોઈપણ દિગ્ગજ પાટીદાર ઉમેદવાર મેદાનમાં ઉતારે તો કોંગ્રેસ માટે સંજોગો ઉજળા છે, અને ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ વચ્ચે મતો વહેંચાઈ જાય તો ઈટાલીયાનો માર્ગ સરળ થઈ જાય, તેવા તારણો નીકળી રહ્યા છે.
આ પેટા ચૂંટણીઓનું પરિણામ જે આવે તે ખરૃં, પરંતુ વિસાવદરની બેઠક પર તો હાઈ પ્રોફાઈલ જંગ થવાનો જ છે, કારણ કે રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાંથી શરૂ કરાયેલા નવતર પ્રયોગ પછી કોંગ્રેસ માટે આ પેટાચૂંટણી પ્રતિષ્ઠાની લડાઈ છે અને કોઈપણ કચાશ પાલવે તેમ નથી. ગુજરાતમાં અધિવેશન યોજ્યા પછી ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો તથા નવા-જુના નેતાઓમાં જે જુસ્સાનો સંચાર થયો હતો, જે જાળવી રાખવો પણ જરૂરી છે. જો આ બન્ને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીતી શકે, તો વર્ષ-ર૦ર૭ ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કમબેક કરી પણ શકે.
એક એવી વાત પણ થઈ રહી છે કે ગોપાલ ઈટાલિયાનો વિસાવદર બેઠક પર હોલ્ટ સારો છે. આ મતવિસ્તારમાં ગોપાલ ઈટાલિયાએ આમઆદમી પાર્ટી માટે ઘણું ખેડાણ કર્યુ છે, અને તેની લોકપ્રિયતા પણ કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર મનાય છે. આ કારણે જ તેમનો ગઠબંધન નહીં પણ "જનબંધન" નો કોન્સેપ્ટ રજૂ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાની ચર્ચા છે.
ગઠબંધન ભલે ન થયું, પરંતુ વિસાવદર વિસ્તાર પૂરતુ "જનબંધન" કરીને ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને જનતાનો વિજય સુનિશ્ચિત કરે, તેવી આ "વિડીયો ગુગલી" પણ ચર્ચાનો વિષય બની છે.
આ પહેલા કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય, તેવી શક્યતાઓ હતી ત્યારે તેની ટીકા પણ થઈ હતી અને કોંગ્રેસ તથા 'આપ' ના નેતાઓએ લાંબા સયમ સુધી મગનું નામ મરી પાડયુ નહોતું, પરંતુ 'આપ' દ્વારા એક તરફી રીતે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરીને ભાજપને હરાવવા કોંગ્રેસ સમર્થન આપશે, તેવી આશા રાખી હશે અથવા એકલા હાથે લડી લેવાની રણનીતિ અપનાવી હશે, પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના પ્રવક્તાઓ વિપક્ષના ગઠબંધનને ઠગબંધન કહેતા હોવાથી ગઠબંધન અને ઠગબંધન વચ્ચે ઈટાલિયાએ જનબંધનનો પાસો ફેંક્યો છે, ત્યારે હવે ત્રિપાંખિયો જંગ ઘણો જ રસપ્રદ બનશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતીમાં એક તળપદી કહેવત છે કે, ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ...
આ કહેવત એક લોકવાર્તા પરથી પડી છે. એ વાર્તા તો લાંબી છે, પરંતુ સંક્ષિપ્તમાં વર્ણવીએ તો એક ગામના પાદરે ભેંસ વેચાવા આવી. દુઝણી ભેંસ વેંચાતી લેવા એક દંપતીએ વિચાર્યુ અને પતિ-પત્ની વચ્ચે ચર્ચા થઈ - ભેંસ દૂધ આપશે, તેમાંથી માખણ, ઘી અને છાશ બનશે. ઘરવપરાશ ઉપરાંતના દૂધ-ઘી વેંચાશે, જેમાંથી આવક વધશે, અને છાશ નજીકના સગા-સંબંધીઓને નિઃશુલ્ક સેવાભાવનાથી આપવાની વાત પણ થઈ...
આજે તો પીવાનું શુદ્ધ પાણી પણ મફત નથી મળતું, પરંતુ થોડા દાયકાઓ પહેલાના સમયગાળા સુધી ગામડાઓમાં દહીં વલોવીને માખણ કાઢયા પછી છાશ પોતાના ઘર માટે ઉપયોગી હોય તેટલી રાખીને બાકીની નજીકના સગા-સંબંધીકે ગરીબોને નિઃશુલ્ક આપી દેવામાં આવતી હતી. કદાચ કેટલાક ગામડાઓમાં આજે પણ આ પરંપરા નિભાવાઈ રહી હશે.
આ કહાનીમાંથી ઉક્ત કહેવત પ્રગટી છે. ભેંસ ભાગોળે છે, છાશ છાગોળે, એટલે કે, હજુ વલોણુ ચલાવવાની કલ્પના જ કરી છે, ત્યાં છાશ કોને-કોને નિઃશુલ્ક આપવી, તે મુદ્દે દંપતી વચ્ચે તકરાર થાય છે. આ તકરાર ઠંડી પાડવા પડોશી વડીલો આવે છે અને તકરાર સાંભળીને કહે છે કે, પહેલા ભેંસ ખરીદવાની જોગવાઈઓ તો કરો.... ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ... જેવું કાલ્પનિક અને અણધાર્યુ અને અણધડ વર્તન કેમ કરો છો...?
આજે નગરથી નેશન સુધી અને ગામડાથી ગ્લોબ સુધી આ પ્રકારની ઘણી ઘટનાઓ ચર્ચાસ્પદ બનતી હોય છે. કેટલાક વિકાસ પ્રોજેક્ટોને લઈને પણ કાંઈક એવું જ બનતું હોય છે.
જામનગરની વાત કરીએ તો જામનગરથી રંગમતી નદી ઉંડી-પહોળી કરવાનું કામ શરૂ થયું છે, અને તેથી નદીની જળસંગ્રહ ક્ષમતા પણ વધશે અને ભૂગર્ભ જળ સ્થિતિ સુધરશે, ગેરકાયદે બાંધકામો થતા અટકશે અને નદી લુપ્ત થતી અટકશે, એ તમામ પ્રકારના દાવાઓ ગળે ઉતરે તેવા છે. આ સ્થળની મુલાકાતે પણ (અલગ-અલગ સમયે) જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ ગયા અને તેની વ્યાપક પ્રસિદ્ધિ પણ થઈ, તે આપણી સામે જ છે.
રંગમતી નદીને પહોળી અને ઉંડી ઉતારવાનું કામ રીવરફ્રન્ટના રૂ. પ૦૦ કરોડના સુચિત પ્રોજેક્ટના ભાગરૂપે થઈ રહ્યું હોવાનું જાહેર કરાયુ અને અત્યારનું ચાલી રહેલું કામ રંગમતી રીવરફ્રન્ટના મેગા પ્રોજેક્ટનો જ ભાગ હોય છે, તેવો આભાસ ઊભો થયો (અથવા કરાયો).
તે પછી હવે એવા અહેવાલો પણ આવ્યા કે, રંગમતી નદીને ઉંડી ઉતારવાનું તથા પહોળી કરવાનું કામ તો સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ થઈ રહ્યું છે. આ કામને જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીએ મંજૂર કર્યુ છે, જ્યારે રીવરફ્રન્ટના પ૦૦ કરોડના કામનો તો મનપાના ગયા વર્ષના બજેટમાં સમાવેશ કરાયા પછી વર્ષ-ર૦રપ-ર૬ ના બજેટમાં સુધારા-વધારા સાથે સમાવવાની દરખાસ્ત સરકારને કરવામાં આવી છે, અને સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે...!
અહીંથી કન્ફયુઝન ઊભું થયું છે. શું રંગમતી નદીને ઉંડી ઉતારવાનું વર્તમાન કામ રીવરફ્રન્ટ રૂ. પ૦૦ કરોડના પ્રોજેક્ટમાં સામેલ નથી...? જો તેવું જ હોય તો આ કામને રીવરફ્રન્ટના પ્રોજેક્ટનો ભાગ (પ્રથમ તબક્કો) ગણાવીને "ભેંસ ભાગોળે ને...છાશ છાગોળે..." ની કહેવતની જેમ મિથ્યા પ્રચાર શા માટે કરાયો...?
હવે એવો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો હોય કે, સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ રંગમતી નદીને ઉંડી ઉતારવાનું કામ રંગમતી રીવરફ્રન્ટના મેગા પ્રોજેક્ટને "પુરક" તો બનવાનું જ છે ને...? જો રંગમતી નદીનું વર્તમાન કામ સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ બનતું હોય, તો તેનો ૧રપ કરોડનો ખર્ચ પ૦૦ કરોડ રૂપિયાના સુચિત અને સરકાર સમક્ષ પેન્ડીંગ રીવરફ્રન્ટ પ્રોજેક્ટનો ભાગ કેવી રીતે ગણાય...? શું જુદી-જુદી યોજનાઓ હેઠળ થનારા કામોના સમૂહને (મોદી સરકારની સ્ટાઈલમાં) મેગા પ્રોજેક્ટનું નામ આપીને હજુ સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી નથી, છતાં તેનો પ્રોપાગન્ડા ચલાવાઈ રહ્યો છે...? ટૂંકમાં આ કન્ફયુઝન ઊભું કરવા અને "ભેંસ ભાગોળે, છાશ છાગોળે" જેવું હાસ્યાસ્પદ આભાસી ચિત્ર ઊભું કરવા પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે, તેની ચર્ચા આજે નગરજનોમાં થઈ રહી છે, અને "ટોક ઓફ ધ ટાઉન" બની છે.
રંગમતી નદી ઉંડી ઉતારીને પહોળી થાય કે રીવરફ્રન્ટનો મેગા પ્રોજેક્ટ આવે, તે નગરજનો માટે તો આવકારદાયક જ ગણાય અને તેનાથી આજુબાજુના ખેડૂતો - રહેવાસીઓને સીધો ફાયદો પણ થશે, પરંતુ "પાર્ટ ઓફ ધી પ્રોજેક્ટ" અને બીજી કોઈ યોજનામાંથી "પુરક" કામ થઈ રહ્યું હોવા વચ્ચે જે "કન્ફયુઝન" ઉભુ થયુ છે, અને તેની પાછળ નાઝી પ્રચાર પદ્ધતિના જોસેફ ગોબેલ્સ જેવું કોઈ ભેજું તો કામ કરી રહ્યું નથી ને...? તેવા કટાક્ષો પણ સંભળાઈ રહ્યાં છે.
"ભેંસ ભાગોળેને છાશ છાગોળે" જેવા કેટલાક અન્ય નેશનલ, ઈન્ટરનેશનલ દૃષ્ટાંતો પણ ચર્ચામાં છે. જેમાં પાકિસ્તાની સેનાના પ્રમુખનું શેખચલ્લીના વિચારો જેવું નિવેદન, ભાજપના રાષ્ટ્રીય તથા પ્રદેશ પ્રમુખની નિમણૂકોને લઈને વહેતી કરાયેલી અટકળો, વકફના મુદ્દે સુપ્રિમકોર્ટના વચગાળાના નિર્ણયને બન્ને તરફના પક્ષકારો દ્વારા પોતાનો "વિજય" ગણાવતા થયેલા દાવા, બિહારની ચૂંટણીમાં વિજયના અત્યારથી જ એનડીએ - યુપીએના દાવા અને ચીન સાથે વ્યાપરસંધીનો ટ્રમ્પનો આશાવાદ વગેરેનો સમાવેશ કરી શકાય.
નગરચર્ચા દરમિયાન કેટલાક લોકો જોસેફ ગ્લોબેલ્સને યાદ કરીને તથા દેશની કેન્દ્ર-રાજ્ય સરકારોની પ્રવર્તમાન "પીઆર" સિસ્ટમ તથા પ્રચાર પદ્ધતિને સાંકળીને રમુજી વ્યંગ પણ કરી રહ્યાં છે. જોઈએ, હવે કેવા-કેવા ખૂલાસા થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે રાજકોટમાં એક સિટી બસે જે કરૂણાંતિકા સર્જી અને ચાર-ચાર જિંદગીઓનો ભોગ લીધો અને બીજા પાંચ લોકોને ઈજા પહોંચી, તે પછી મનપાના તંત્રમાં ચાલતું લોલંલોલ પણ બહાર આવ્યુ અને બસચાલક તથા ઈજારેદારની ઘોર લાપરવાહી પણ ચર્ચાના ચાકડે ચડી છે. આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોમાં એક તો મહાનગરપાલિકાના જ કર્મચારી હોવાનું કહેવાય છે, એવી વાતો પણ વહેતી થઈ કે સિટી બસ માટે ડ્રાઈવરો ૫ૂરા પાડનાર ઈજારેદાર ભાજપ સાથે સંકળાયેલા છે, જેના સંદર્ભે એવી ચોખવટ પણ થઈ કે કથિત ઈજારેદાર હાલમાં ભાજપના હોદ્દેદાર નથી. જે હોય તે ખરૃં, પરંતુ આ ગમખ્વાર અકસ્માતમાં માત્ર વાહનચાલક જ નહીં, પરંતુ લોલંલોલ ચલાવી લેનારા મનપાના જવાબદાર અધિકારીઓ, ઈજારેદાર તથા બસમાં કોઈ ખામી હોય તો બસો પૂરી પાડનાર તથા તેની ટેકિનકલ તપાસણી કરનાર ઓથોરિટી સહિત તમામ લોકોને અપરાધ મનુષ્યવધમાં મદદગારીની કલમો લગાડીને કાનૂની કાર્યવાહી થવી જોઈએ, તેવી ઉઠી રહેલી જનભાવનાઓને પણ રાજકોટના મેયર, મ્યુનિ., કમિશ્નર અને રાજય સરકારે પણ ધ્યાને લેવી જ પડશે, એટલું જ નહીં, ગતિમર્યાદા બાંધવા ઉપરાંત સિટીબસો તથા બીઆરટીએસના ડ્રાઈવરોને સમયાંતરે નિયમિત તાલીમ અને ઈલેક્ટ્રિક બસોની ટેકનોલોજીને અનુરૂપ અપડેટડ પ્રશિક્ષણ પણ અપાતુ રહે તેવી વ્યવસ્થા ત્યાંની મનપાએ જ નહીં, સિટી બસોનું સંચાલન કરતી અન્ય મહાનગરપાલિકાઓ તથા સંસ્થાઓએ અને ઈજારેદારોએ પણ કરવી જોઈએ. આ ઉપરાંત રાજયભરમાં એસ.ટી. બસોનું સંચાલન કરતા ગુજરાત રાજય માર્ગ વાહન-વ્યવહાર કોર્પોરેશને પણ આ દુર્ઘટનામાંથી ધડો લઈને ડ્રાઈવરોનો સમયાંતરે અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ તાલીમ તથા સ્વાસ્થ્ય ચકાસણી અને તેઓને કોઈ વ્યસનો હોય તો તેમાંથી મુક્ત કરવાના ઉપાયો સહિતની વ્યવસ્થાઓ તત્કાળ ઊભી કરવી જોઈએ.
રાજકોટની દુર્ઘટનામાં જવાબદાર ખાનગી એજન્સીને માત્ર બે-અઢી હજારનો દંડ કરાયો હોવાના અહેવાલો પછી જનાક્રોશ વધુ તીવ્ર બન્યો છે.
આ દુર્ઘટનામાંથી સૌથી વધુ બોધપાઠ ખાનગી ટ્રાવેલ્સની બસો તથા વાહનોના માલિકો, સંચાલકો અને તેને સંબંધિત સરકારી તંત્રોએ લેવો પડે તેમ છે. ખાનગી બસોમાં પણ સંખ્યાબંધ જિદંગીઓ જેના હાથમાં હોય છે, તેવા ડ્રાઈવરોના પાકા લાયસન્સ, સ્વાસ્થ્ય, વ્યસનો તથા મર્યાદીત કલાકો માટે ડ્રાઈવીંગ ઉપરાંત બસો-વાહનોની ગતિ મર્યાદા બાંધવાની જરૂર છે, તેમાં પણ પબ્લિકની વચ્ચે, શહેરોના આંતરિક માર્ગો પર, ભીડ કે પશુઓ, રાહદારીઓ, પદયાત્રીઓની વચ્ચેથી વાહનો ચલાવવા માટે વિશેષ તાલીમ અને પ્રશિક્ષણ જરૂરી છે. ધોરીમાર્ગો, એકસ્પ્રેસ-વે અને શહેરો કે વસતિ વચ્ચેથી વાહનો ચલાવતી વખતે ભિન્ન-ભિન્ન પ્રકારની સાવધાનીઓ રાખવી પડે, તે તફાવત પણ તમામ વાહન ચાલકોએ સમજવો પડે તેમ છે.
જામનગરમાં પણ તાજેતરમાં એક સિટીબસ અને એક ખાનગી બસ વચ્ચે "ગૌરવપથ" તરીકે ઓળખાતા માર્ગ પર અને મહાનગરપાલિકાની નજીકમાં જ અકસ્માત સર્જાયો હતો, જેના દૃશ્યો અને તસ્વીરો સ્થાનિક અખબારો તથા ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પ્રકાશિત અને પ્રસારિત થઈ હતી. એ અકસ્માતમાં વાંક કોનો હતો એ તપાસનો વિષય ભલે ગણાતો હોય, પરંતુ શહેરમાં કેટલીક ખાનગી કંપનીઓના વાહનો માતેલા સાંઢની જેમ રફ ડ્રાઈવીંગ તથા આડેધડ પાર્કીંગ અને મનફાવે તેવી રીતે પોતાના મુસાફરોને ચડાવતા-ઉતારતા હોય, તો તેની સામે પણ કડક કદમ ઉઠાવવા ઉપરાંત જે-તે બસ સંચાલકોએ ડ્રાઈવરોને પ્રશિક્ષણ આપવું જોઈએ તેવા લોકોના પ્રતિભાવોમાં પણ દમ છે, તેમ નથી લાગતું...?
અમરેલીમાં પણ એસ.ટી. બસો અકસ્માત સર્જાયો, તે જોતા માત્ર રાજકોટ કે જામનગર નહીં, આ સમસ્યા આખા રાજ્યની તથા રાષ્ટ્રવ્યાપી છે, તેથી એસ.ટી. તંત્રે પણ ડ્રાઈવરોના મુદ્દે વધુ સાવચેત રહેવું જરૂરી જણાય છે.
અકસ્માતો બધી વખતે ડ્રાઈવરોની ભૂલ હોય તેવું નથી, ઓવરટાઈમ ડ્રાઈવીંગ, વાહનોમાં ખામીઓ ચલાવી લેવાની વાહન-માલિકોની માનસિકતા, વાહનોની નિયમિત મરામત અને ચકાસણીનો અભાવ તથા ઠેરઠેર થતા ટ્રાફિક જામ વચ્ચે ટાઈમીંગ જાળવવાના દબાણ જેવા ઘણાં કારણો પણ જવાબદાર હોય છે. માત્ર કાર, ટ્રક કે બસો જ નહીં, પરંતુ દ્વિ-ચક્રી અને ત્રિ-ચક્રી વાહનો પણ ઘણી વખત અકસ્માતોનો ભોગ બનતા હોય છે, તે ગંભીર અકસ્માતોનું કારણ બનતા હોય છે, તે જોતા વધી રહેલી વાહનોની સંખ્યા અને તેની સાથે સંકળાયેલી વ્યવસ્થાઓને લક્ષ્યમાં લઈને 'સિસ્ટમ' ની સાથે-સાથે લોકોની માનસિકતામાં પણ ધરમૂળથી ફેરફારો થવા જરૂરી છે. આ સમગ્ર સિસ્ટમની ઝીણામાં ઝીણી ક્ષતિઓનું સંશોધન કરીને સાર્વત્રિક અને સર્વવ્યાપી સુધારણા થવી જરૂરી છે.
તાજેતરમાં જ માત્ર હાલારમાં જ કેટલા બધા વાહન-અકસ્માતો થયા છે અને તેનાથી જાનમાલનું કેટલું નુકસાન થયું છે, તેના પર સંશોધન કરવામાં આવે, તો ચોંકાવનારી સંખ્યા અને આંકડા બહાર આવશે. ટૂંકમાં વાહનોની ટેકનિકલ તપાસણી નિયમિત થવી જોઈએ. ડ્રાઈવરો પૂરેપૂરા તાલીમબદ્ધ અને લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, જરૂરી ગતિમર્યાદાનું ચૂસ્ત પાલન થવું જોઈએ અને વાહન કે ડ્રાઈવરો પાસેથી અસહ્ય બની જાય, તેટલું ઓવરટાઈમ કામ ન કરાવવું જોઈએ, આ અંગે લોકો સ્વયં પણ જાગૃત રહે તે જરૂરી છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધોમધખતા તાપ સાથે જ્યારે બળબળતો ઉનાળો શરૂ થયો છે, ત્યારે આજે એક ઠંડક પહોંચાડનારી ખબર ટોક ઓફ ધી નેશન બની છે. ભારતીય હવામાનખાતાએ આગાહી કરી છે કે આગામી ચોમાસુ સારૃં હશે. અલનીનોની અસર નહીં થાય અને દેશમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડી શકેે છે.
જો કે, હવામાનખાતાએ ચોમાસા પહેલાના હવે પછીના બે મહિના સુધી તીવ્ર ગરમીની ચેતવણી પણ આપી છે. આ કારણે વીજ પુરવઠા પર દબાણ આવી શકે છે, અને પીવાના પાણીની તંગી પડવાની પણ શક્યતાઓ છે.
હવામાનખાતાએ ભીષણ ગરમી વચ્ચે ૧૮મી એપ્રિલથી ઉત્તરપૂર્વીય રાજ્યો, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની તથા વરસાદની આગાહી કરી છે, તાજેતરમાં આકાશી વીજળીના કારણે થયેલા સંખ્યાબંધ મૃત્યુના કારણે આ નવી આગાહી ૫છી લોકોમાં ગભરાટ હોવાની સાથેસાથે તંત્રો પણ બદલાતા હવામાનને લઈને સતર્ક થઈ રહ્યાં હોવાનો દાવો થઈ રહ્યો છે.
જો કે, હવામાનખાતાએ દેશના કેટલાક રાજ્યોમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની આગાહી પણ કરી છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદોમાં જ આઈએમડીના વડાએ કેટલાક રાજયોમાં ભયંકર ગરમી અને લૂ લાગવાની સંભાવના પણ વ્યક્ત કરી અને કેટલાક વિસ્તારોમાં તો દુષ્કાળ જેવી સ્થિતિની ભીતિ પણ દર્શાવી, તે જોતા એકંદરે દેશમાં આગામી ચોમાસામાં "કહી ખુશી, કહીં ગમ" જેવી સ્થિતિ સર્જાશે, તેમ કહી શકાય.
અત્યારે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ગરમીનું તીવ્ર મોજુ ફેલાયું છે. ગઈકાલે રાજયના ૬ સ્થળો પર મહત્તમ તાપમાન ૪ર ડીગ્રીને પાર કરી ગયું હતું અને અમદાવાદ, ડીસા, ગાંધીનગર તથા રાજકોટ, કંડલામાં ૪૪ ડીગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. એવું કહેવાય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતા બે-ત્રણ દિવસમાં તાપમાન થોડું ઘટશે.
અહેવાલો મુજબ ગુજરાતના ર૦૦ થી વધુ જળાશયોમાં ૧૪ હજાર મિલિયન ઘનમીટરથી વધુ જથ્થો સંગ્રહાયો હોય, ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નિવારવા ૬ર જળાશયોનું પાણી રિઝર્વ રાખવામાં આવ્યું છે. બંધ પડેલા હેન્ડપંપો સક્રિય કરવામાં આવી રહ્યાં છે. ખંભાળીયા સહિત રાજ્યમાં કેટલાક ચેકડેમો નવા બની રહ્યાં છે, જ્યારે કેટલાક રીપેર કરવામાં આવી રહ્યાં છે. જરૂર પડ્યે સરદાર સરોવર યોજના અને સૌની યોજના હેઠળ વિવિધ હેતુઓ માટે પાણી પુરવઠાનો વિકલ્પ પણ છે, તેથી ગુજરાતમાં ઉનાળામાં મોટાભાગે પાણીની તંગી નહીં સર્જાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદો પણ અત્યારથી જ ઉઠવા લાગી છે, તો કેટલાક સ્થળોએ પાણીની પાઈપલાઈનો લીકેજ થઈ જતા મહામુલા પાણીની બરબાદી થઈ હોવાના અહેવાલો તંત્રોની લાપરવાહીની ગવાહી પૂરી રહ્યાં છે, હાલાર સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ પીવાના પાણીની પાઈપલાઈનો બીછાવવા કે મરામત કરવાના કામો થઈ રહ્યાં છે અને જામનગર સહિતના કેટલાક શહેરોમાં નવા વિસ્તરેલા સોસાયટી વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા થઈ છે, તે ખરૃં, પરંતુ જ્યાં જ્યાં "નલ સે જલ" યોજના હેઠળ પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે, ત્યાં ત્યાં આગામી ભીષણ ગરમી સાથેના ઉનાળામાં જળ વિતરણ નિયમિત જળવાઈ રહે તેવી અપેક્ષા પણ લોકો રાખી રહ્યાં છે.
રાજ્યની કેબિનેટમાં પણ ઉનાળામાં પીવાના પાણીની સ્થિતિ અંગે ચર્ચા થઈ અને લોકોને પીવાનું પાણી નિયમિત મળતું રહે, તે માટે મુખ્યમંત્રીએ તંત્રોને તાકીદ કરી હોવાના અહેવાલો આવ્યા, પરંતુ જેમ-જેમ ઉનાળો વકરતો જાય છે, તેમતેમ માનવી અને પશુઓ માટે પીવાનું પાણી, વાપરવાનું પાણી, વીજ પુરવઠો અને ઘાસચારાનો પુરવઠો જાળવી રાખવાનો પડકાર પણ વધી રહ્યો છે, તેથી તંત્રો માત્ર વાતોના વડા ન કરે અને વાસ્તવિક સ્થિતિની નક્કર હકીકતો પહેલાથી જ મેળવીને (ચૂંટણીની જેમ) માઈક્રો પ્લાનીંગ કરે, તે અત્યંત જરૂરી છે. લોકોએ પણ સમયોચિત રજૂઆતો કરીને અત્યારથી જ તંત્રોને ઢંઢોળવા જોઈએ, ખરૃં ને...?
આજે પણ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડી રહ્યાં હોવાના અહેવાલો છે અને ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, તે જોતા જો ચોમાસા પહેલા કમોસમી વરસાદ થાય, તો તે નુકસાનકારક નિવડી શકે, તેથી દેશની સાર્વત્રિક આગાહીની સાથે-સાથે સ્થાનિક હવામાન તથા આગાહીઓનો પણ રોજિંદો અભ્યાસ કરીને જ ખેતી સહિતના આયોજનો કરવા જોઈએ, અને જ્યાં ઓછા વરસાદની સંભાવના જણાય ત્યાં સ્થાનિક તંત્રોએ આગોતરા કદમ ઉઠાવવા જોઈએ.
જામનગરમાં રંગમતી નદી ઉંડી ઉતારવાનું કામ શરૂ કરાયું છે, તેથી આગામી ચોમાસા પહેલા નદી જેટલી ઉંડી ઉતરશે, તેટલી જળસંગ્રહ ક્ષમતા વધશે...
એવા આશાવાદ સાથે જામનગરમાં ફલાયઓવર બ્રીજનું કામ પણ ચોમાસા પહેલા સંપન્ન થઈ જશે, તેવો દાવો થઈ રહ્યો છે. અત્યારે ફલાયઓવર બ્રીજના કામના કારણે નગરના કેટલાક માર્ગો બંધ છે, અને ટ્રાફિક જામના વરવા દૃશ્યો સર્જાઈ રહ્યાં છે, ત્યારે સવાલ એ ઉઠે કે, જો ફલાયઓવર બ્રીજનું કામ ચોમાસા પહેલા પૂરૂ ન થયું, કે કમ ભાગ્યે તે પહેલા જ કમોસમી વરસાદ થાય, તો તો જામનગર આખુ જ "જામ" થઈ જાય ને...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ અઢી વર્ષ જેટલી વાર છે, પરંતુ કોંગ્રેસે અત્યારથી જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી હોય તેમ જણાય છે. ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય સંમેલન યોજ્યા પછી પ્રદેશ કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે અને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મળતા દિશા નિર્દેશો મુજબ સંગઠનમાં ફેરફારોની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગઈ હોય, તેમ જણાય છે.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના બીજા રાઉન્ડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મૂળમાંથી જ ફેરફાર કરવાનો કોઈ પાઈલોટ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતમાંથી શરૂ થશે અને અરવલ્લી જિલ્લામાં આ સૂચિત પ્રોજેક્ટ સફળ થાય, તો આખા રાજ્યમાં તેને લાગુ કરવાનું કોંગ્રેસ હાઈકમાન્ડનું પ્લાનીંગ હોવાની ચર્ચા ગઈકાલથી જ પ્રેસ મીડિયામાં થઈ રહી છે.
એવું કહેવાય છે કે, ગુજરાતમાં ચૂંટણીની ટિકિટો આપવાની સત્તા પ્રદેશકક્ષાની નેતાગીરીના બદલે જિલ્લા કોંગ્રેસને સોંપવાની રણનીતિ કોંગ્રેસ અપનાવશે, અથવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વિશ્વાસમાં લઈને જ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ટિકિટો ફાળવાય, તેવું માળખું રચાશે.
ટૂંકમાં કોંગ્રેસ સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને આંતરિક જૂથવાદ અને ખેંચતાણની પ્રદેશકક્ષાની જૂની સમસ્યાને ખતમ કરવા માંગે છે અને આ રીતે કોંગ્રેસની કાયાપલટ કરીને વર્ષ-ર૦ર૭ માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પડકારવાની તૈયારી થઈ રડી હોય, તેવું ચિત્ર ઉપસે છે.
આ તમામ કવાયત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં પોતાના સંબોધન દરમિયાન ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી એ ચેલેન્જના સંદર્ભે થઈ રહી હોય તેમ જણાય છે, જેમાં રાહુલ ગાંધીએ વર્ષ-ર૦ર૭ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવીને રાજ્યમાં કોંગ્રેસનું શાસન સ્થાપવાનો પડકાર ફેંક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હોમ સ્ટેટમાં જ ભાજપને પડકારીને કોંગ્રેસમાં દેશવ્યાપી જુસ્સો વધારવાની રણનીતિ હેઠળ કોંગ્રેસ હવે મહત્તમ લક્ષ્ય ગુજરાત પર જ કેન્દ્રીત કરશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે, ત્યારે ભારતીય જનતા પક્ષે પણ હવે ઓવર કોન્ફિડન્સમાં રહેવાના બદલે પાર્ટીમાં ઘૂસી ગયેલા જૂથવાદ અને આંતરિક અસંતોષ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે, અને ટોપ-ટુ-બોટમ વ્યાપેલા કથિત ભ્રષ્ટાચારને કંટ્રોલમાં લેવો પડશે, તેવું તટસ્થ વિશ્લેષકો માને છે.
લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતાપક્ષમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યા પછી તેનું ગ્રુપ હવે કોંગ્રેસ તરફ ઝૂકશે કે આમઆદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે, તેવી અટકળો વચ્ચે એવું કહેવાય છે કે, મહેશભાઈ વસાવા તેના પિતા છોટુભાઈ વસાવા સાથે મળીને ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી) ને વધુ મજબૂત બનાવશે. આમઆદમી પાર્ટી વિસાવદર વિધાનસભાની પેટાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટોને આમઆદમી પાર્ટીમાં ખેંચીને બુનિયાદ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે, તેવી પણ ચર્ચા છે, ત્યારે રાહુલ ગાંધીનો આ પ્રવાસ ઘણો જ મહત્ત્વપૂર્ણ બનવાનો છે.
ગુજરાતમાં ડ્રગ્સની બદીનો મુદ્દો કોંગ્રેસ જોરશોરથી ઉઠાવશે અને રાહુલ ગાંધી પણ આ મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ લઈ જશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ સણસણતા આક્ષેપો કરતા કહ્યું છે કે, ગુજરાતમાં છાશવારે પકડાતા ડ્રગ્સના જથ્થાનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકારનો ગૃહ વિભાગ ભલે પોતાની પીઠ થાબડે કે વાહવાહી મેળવે, પરંતુ હકીકત એ છે કે ડ્રગ્સ પકડાય ત્યારે માત્ર નાની-નાની માછલીઓ જ પકડાય છે, અને મોટા મગરમચ્છો પકડાતા નથી, તેથી જ ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો ફાલ્યોફૂલ્યો છે. સીબીઆઈ-ઈડી જેવી રાષ્ટ્રીય એજન્સીઓનો રાજકીય રીતે દુરઉપયોગ કરવાના બદલે જો સરકારે ડીઆઈઆર, નાર્કોટિક્સ જેવી સંસ્થાઓનો સરકારે યોગ્ય ઉપયોગ કર્યો હોત તો યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સનું ગુજરાત એ.પી. સેન્ટર બન્યુ જ ન હોત. વાસ્તવમાં તો સરકાર ડ્રગ્સના નેટવર્કને ભેદવામાં જ નિષ્ફળ ગઈ છે.
પોરબંદર પાસે પકડાયેલા અબજો રૂપિયાની કિંમતના ત્રણ ક્વિન્ટલ જેટલા ડ્રગ્સને લઈને કોંગ્રેસે ટીકા કરી, તેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતની પોલીસે કેન્દ્રીય સંકલન સાથે ઘણાં દિવસો સુધી સતત મહેનત કરીને પાકિસ્તાન પ્રેરિત ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કર્યો છે અને અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે, તેની શાબાશી આપવાના બદલે તેની ટીકા કરતા કોંગ્રેસવાળા શું ડ્રગ્સ પકડવા ગયા હતાં...? આ પ્રશ્નનો જવાબ આપતા કોંગ્રેસના પ્રવક્તા વળતો પ્રહાર કરી રહ્યાં છે અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે સવાલ એ ઉઠે છે કે, આટલું મોટું જોખમ વેઠીને ગુજરાત તરફ આટલો મોટો ડ્રગ્સનો જથ્થો મોકલાતો હોય, તો તે ક્યાંક તો વપરાતો હશે ને...? કેરિયરોને પકડ્યા પછી જો તેનો ભારતમાં વેપલો કરતા પરિબળો ન પકડાય, તો તે નિષ્ફળતા જ ગણાય ને...?
હકીકતે ગુજરાતમાં ફેલાતી જતી ડ્રગ્સની આ સંભવિત જીવલેણ બદી સામે સમાજે પણ જાગવાની જરૂર છે, અને યુવા પેઢીને આ ખતરનાક આદતથી બચાવવા જાગૃતિની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં ગરમી વધી રહી છે, અને તાપમાનનો પારો દિન-પ્રતિદિન ઉંચકાઈ રહ્યો છે, ત્યારે સ્વાભાવિક રીતે જ વીજ વપરાશ વધવાનો છે. આ કારણે વીજ વપરાશ નિયમન તથા કરકસરપૂર્વક ઉપયોગ કરવાની ઝુંબેશ આદરવાની જરૂર છે, અને તેની શરૂઆત સરકારી કચેરીઓ, નેતાઓ, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, જનપ્રતિનિધિઓની ચેમ્બર્સ, બેંકો, શાળા-મહાશાળાઓ અને એવા તમામ જાહેર સ્થળોથી કરવી જોઈએ, જ્યાં રાત-દિવસ સામૂહિક રીતે વીજ ઉપકરણો વપરાતા હોય.
કોઈપણ વ્યક્તિ હાજર નહીં હોવા છતાં એ.સી., લાઈટ ચાલુ રહેવા કે પંખા ફરતા રહેવા, સેનિટેશન સંકૂલો તથા લોબીઓમાં વિનાકારણ લાઈટો ચાલુ રહેવી, કેટલાક સ્થળોએ સવારે મોડે સુધી સ્ટ્રીટલાઈટો બંધ નહીં થવી અને કોઈ જોતું ન હોય તો પણ ચોવીસેય કલાક ટેલિવિઝન ચાલુ રહેવું, વિગેરે નાની-નાની જણાતી આપણી ભૂલોના કારણે એકંદરે ઘણી જ મોટી માત્રામાં વીજળી વપરાય જતી હોય છે, અને વીજળીની તંગી ઊભી થવાની સંભાવનાઓ વધી જવાની સાથે-સાથે વીજલાઈનો, ડી.પી. ટ્રાન્સમીશન ઉપકરણો તથા વિદ્યુત સપ્લાઈ સ્ટેશનો પર બોજ વધી જતા મેગા ફોલ્ટ સર્જાતા હોય છે, અને આ બધાનો ભોગ છેવટે તો પબ્લિકે જ બનવું પડતું હોય છે ને...?
હજુ ઉનાળાનો પ્રારંભ થયો ત્યાં જ વીજળીના ધાંધિયાની ફરિયાદો વિવિધ ગ્રામ્ય વિસ્તારો તથા શહેરોમાંથી પણ ઉઠવા લાગી છે, ત્યારે આખો ઉનાળો કેવો જશે અને અસહ્ય ગરમી વચ્ચે વીજ ઉપકરણોની પણ મર્યાદા હોવાથી કોણ જાણે કેવી સ્થિતિ સર્જાશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ પ્રકારની સંભાવનાઓ વચ્ચે "સબ સલામત" ની રેકર્ડ વગાડતા તંત્રો અને અતિ આત્મવિશ્વાસ કે દુર્લક્ષ્યતાની માનસિકતામાં રહેતા શાસકોએ પણ અત્યારથી જ જાગી જવાની જરૂર છે, અન્યથા ભરઉનાળે જો ભયંકર વીજ તંગી કે નબળી વીજ લાઈનો કે પૂરતી ક્ષમતા વિનાના વીજ ઉપરકરણોના કારણે લાંબો વીજ વિક્ષેપ સર્જાશે, ત્યારે સ્થિતિને નિયંત્રણમાં લેવાનું મુશ્કેલ બની જશે, આવુ બધું થશે, તો લોકોની નારાજગી ક્યાં સુધી પડઘાશે, તે સરકાર અને શાસકપક્ષે વિચારવું જ પડે ને...?
ગુજરાતમા ઋતુગત ગરમીની સાથેસાથે રાજકીય ક્ષેત્રે પણ ગરમી વધી રહી હોય તેમ જણાય છે. ગુજરાતમાં કાંઈક "મોટું" થવાનું છે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનનું ગુજરાતમાં આયોજન થયા પછી પાર્ટીમાં સંચાર થયો છે, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફારો થાશે, તેવા અહેવાલો વચ્ચે આમઆદમી પાર્ટી પણ વિસાવદર વિધાનસભા બેઠકના દરવાજેથી ગુજરાતની રાજનીતિમાં જબરદસ્ત કમ બેક કરવાની તૈયારી કરી રહી હોય તેમ જણાય છે, તો બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપમાં પણ હલચલ મચી છે, અને પ્રદેશ પ્રમુખ કોણ થશે...? તેની ચર્ચા ફરીથી ટોક ઓફ ધ સ્ટેટ બની ગઈ છે.
કોઈ કહે છે કે, ગુજરાતમાં પ્રદેશ ભાજપના પ્રમુખ ઓબીસીમાંથી હશે, તો કોઈ કહે છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પછી હવે ઉત્તર ગુજરાતનો વારો છે. કોઈ કહે છે કે, શાહ-નડ્ડાના કોઈ વિશ્વાસુને ચાન્સ મળશે તો કોઈ કહે છે કે, પી.એમ. મોદીના કોઈ નજદીકી વફાદર નેતાને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવાશે. આ વખતે હાલારના કોઈ નેતાને પણ પ્રદેશ પ્રમુખ બનવાની તક મળી શકે છે, તેવી ગપસપ વચ્ચે એક વખત ફરીથી જામનગર સાથે સંકળાયેલા ભીખુભાઈ દલસાણીયાનું નામ ચર્ચામાં છે. દાયકાઓથી ગુજરાત ભાજપ સાથે સંકળાયેલા અને પ્રદેશ ભાજપનું સંગઠન મજબૂત બનાવ્યા પછી બિહારમાં સંગઠન મંત્રી તરીકે સાયલન્ટલી કામ કર્યા પછી ગુજરાત ભાજપનું સુકાન તેમને સોંપાય, તેવી સંભાવનાઓ પણ ચર્ચાઈ રહી છે. જો કે, ભાજપ આશ્ચર્યજનક જાહેરાતો માટે જાણીતો હોવાથી કોઈક નવું જ નામ જાહેર થઈ શકે છે.
કેટલાક વ્યંગકારો એવો કટાક્ષ પણ કરી રહ્યાં છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ બન્ને કેન્દ્રીય મંત્રી છે, અને બબ્બે પદો પર બિરાજમાન છે, છતાં ભાજપમાં એક વ્યક્તિ એક પદનો દાવો થતો રહે છે. આ બન્ને મહાનુભાવો મંત્રી બન્યા પછી હજુ સુધી તેના રાજકીય પદો માટે પસંદગી ન થઈ શકતી હોય તો પાર્ટી વિથ ડિફરન્સ કેમ કહેવાય...?
આજે બંધારણના ઘડવૈયા અને આઝાદીના લડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જ્યંતી નિમિત્તે તેઓને ભાવભરી સ્મરણાંજલિ અર્પીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવાયો અને શેરબજારો ધરાશાયી થયા, ચીન સિવાયના દેશો પર આ ટેરિફ ત્રણ મહિના માટે મોકૂફ રખાયો, તો શેરબજારો ઉછળ્યા, અમેરિકા-ચીન વચ્ચે ટેરિફવોર ફાટી નીકળ્યું, વગેરેની દુનિયાભરમાં ખૂબ જ ચર્ચા થઈ, અને હવે અમેરિકાથી જ ઉદ્ભવેલી એક બીજી ચર્ચાએ માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારતમાં ખાસ ચર્ચા જગાવી છે અને આજે આ નવી ચર્ચાએ આપણા દેશમાં અન્ય તમામ મુદ્દાઓને પાછળ છોડી દીધા છે.
ટેરિફ વોરની ચર્ચાના કેન્દ્રમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતાં, અને આ નવી ચર્ચાના કેન્દ્રમાં અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગાબાર્ડ છે, જેઓ ભારતીય મૂળના છે.
બન્યું એવું કે ટેરિફ વોર, યુદ્ધો અને અન્ય એજન્ડા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અધ્યક્ષસ્થાને અમેરિકન સરકારની એક કેબિનેટ મિટિંગ યોજાઈ હતી, અને તેમાં તુલસી ગાબાર્ડે એક એવો મુદ્દો ઉછાળી દીધો, જેના પડઘા અમેરિકા કરતા પણ ભારતમાં વધુ પડ્યા અને ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે છેલ્લા અઢી દાયકાથી ચાલતો રહેલો વિવાદ ફરી એક વખત સપાટી પર આવી ગયો છે.
તુલસી ગાબાર્ડે એ મિટિંગમાં એવો દાવો કર્યો કે ઈવીએસ હેક થઈ શકે છે. અમેરિકામાં મશીનથી થતા મતદાનની સિસ્ટમને ઈવીએસ કહે છે, અને આ સિસ્ટમ ઓનલાઈન વોટીંગ સાથે પણ સંકળાયેલી છે. અમેરિકામાં ઈવીએસથી પણ મતદાન થાય છે, અને તે હેક થઈ શકે છે, તેવો દાવો તુલસી ગાબાર્ડે કર્યો હતો, અને આખા અમેરિકામાં બેલેટ પેપરથી જ મતદાન થાય તેવી તર્કબદ્ધ દલીલો કરીને ત્યાંની ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમમાં ખામી હોવાના કેટલાક દૃષ્ટાંતો પણ આધારો સાથે રજૂ કર્યા હોવનું કહેવાય છે.
આ પહેલા પણ અમેરિકામાં ઈવીએસ સામે સવાલો ઊઠતા રહ્યા છે, પરંતુ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પને જંગી બહુમતી મળી હોવા છતાં તુલસી ગાબાર્ડે આ પ્રકારનો દાવો કર્યો, તેને અમેરિકાની લોકતાંત્રિક સ્વતંત્રતાનું દૃષ્ટાંત ગણવું કે આંતરિક મતભેદો ગણવા, તેવા સવાલો પણ ઊઠ્યા હતાં, અને તેનો જવાબ પણ આવ્યો હતો. હકીકતે ટ્રમ્પે વર્ષ ર૦ર૦ ની ચૂંટણી દરમિયાન પૂર્વ સાયબર સિક્યોરિટી ક્રિસ ક્રેબ્સને જવાબદાર ગણીને તપાસ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ (કાનૂન મંત્રાલય) ને આદેશો આપ્યા, તેના બીજા જ દિવસે આ કેબિનેટ યોજાઈ હતી અને ગત્ ચૂંટણીના સંદર્ભે ગાબાર્ડે આ પ્રકારનો દાવો મજબૂતીથી રજૂ કર્યો હતો, તેવું મનાય છે. ગાબાર્ડે ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ લાંબા સમયથી હેકર્સના નિશાન પર રહી હોવાનું જણાવી તેના પૂરાવા હોવાનો દાવો કર્યો હતો, અને આખા અમેરિકામાં બેલેટ પેપરથી જ મતદાન ફરજિયાત કરવાની માંગણી ઊઠાવી હતી.
ભારતમાં વિપક્ષોએ આ મુદ્દાને હાથોહાથ ઉપાડી લીધો છે, અને ભારતમાં પણ ઈવીએમ સાથે ચેડા થતા હોવાથી બેલેટ પેપરથી મતદાન કરવાની માંગણી જોરશોરથી ઊઠવા પામી છે. પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી ભારતમાં પણ ઈવીએમ હેક થઈ શકે કે તેની સાથે ચેડા થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હોવાથી બેલેટ પેપરથી મતદાન ફરજિયાત કરવાની જરૃર હોવાના અભિપ્રાયો વ્યક્ત થવા લાગ્યા છે, અને તેની તરફેણ તથા વિરોધમાં કોમેન્ટો થવા લાગી છે.
જો કે, ભારતીય ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ (ઈવીએસ) અને ભારતના ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ) વચ્ચેનો તફાવત વર્ણવતા જણાવ્યું છે કે, કેટલાક દેશોમાં જે ઈવીએસ (ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ) થી મતદાન થાય છે, તે વિવિધ સિસ્ટમ, મશીન, પ્રોસેસના સંયોજન સાથે ઈન્ટરનેટ સહિતના વિવિધ ખાનગી નેટવર્કસ સાથે જોડાયેલી હોય છે, જ્યારે ભારતમાં ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ નહીં, પણ ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનનો જ ઉપયોગ થાય છે, જે કોઈપણ નેટવર્ક સાથે જોડાયેલું હોતું નથી અને બેટરીથી ચાલતું માત્ર સાદા કેલ્યુલેટર જેવું એવું ફૂલપ્રૂફ મશીન છે, જેને હેક કરવું સંભવ જ નથી!
મોકપોલ, સંપૂર્ણ ચકાસણી અને દેશની સર્વોચ્ચ અદાલતે કાયદાકીય તપાસ કરાવી, તેમાં પણ યોગ્ય ઠરેલા ઈવીએમ (મશીન) ને અમેરિકા સહિતના કેટલાક દેશોમાં વપરાતી ઈવીએસ (સિસ્ટમ) સાથે સરખાવવી યોગ્ય નથી.
બીજી તરફ ઈવીએમનો મુદ્દો ભારતમાં ફરીથી સળવળ્યો છે અને હજુ તુલસી ગાબાર્ડના આ અભિપ્રાયના અહેવાલો તાજા જ છે, તેથી આ ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ જેમ જેમ કેટલાક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ નજીક આવશે, તેમ તેમ આ મુદે ભારતમાં ફરી એક વખત ચૂંટણીપ્રચારનો મુખ્ય મુદ્દો બની જશે, તેવા સંકેતો અત્યારથી જ મળી રહ્યા છે.
કેટલાક લોકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે જે દેશમાં નકલી જજ, નકલી સરકારી વકીલ, નકલી કચેરીઓ, નકલી શાળાઓ, નકલી અધિકારીઓ, નકલી ટોલનાકા અને ટપાલવેનોની ભરમાર હોય, તે દેશમાં કાંઈ પણ બની શકે છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે તુલસી ગાબાર્ડની જેમ કોઈ નક્કર આધાર-પુરાવા હોય તો સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂ કરવા જોઈએ ને?
જે હોય તે ખરૃં, પરંતુ એક વખત ફરીથી ઈવીએમમાં ગરબડનો મુદ્દો આપણા દેશમાં મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને તે ઈવીએમથી ચૂંટાયેલી મોદી સરકાર અને તમામ રાજ્ય સરકારોના જનપ્રતિનિધિત્વ સામે પ્રશ્નચિન્હો ઊભા કરશે, તે પણ હકીકત જ છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે "કોરોના" મહામારીની ભયાનકતા અનુભવી છે. એ મહામારીમાં વાયરસ ઝડપથી ફેલાતો હતો, સ્વરૃપો બદલતો હતો અને તેનું નિદાન થઈ શકતું હતું, પણ સારવાર ઉપલબ્ધ નહોતી. તે પછી વેક્સિન શોધાઈ અને રોગચાળો નિયંત્રણમાં આવ્યો. આ રોગચાળાના લક્ષણો અનુભવી શકાતા હતાં અને તેના આધારે લેબ ચકાસણી કરીને નિદાન થઈ શકતું હતું.
હવે "હેલ્થ ઓફ ધ નેશન-ર૦રપ" નો એક તાજો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં લોકોને "સાયલન્ટ" બીમારી સામે વોર્નિંગ આપવામાં આવી છે. આ "સાયલન્ટ" બીમારીઓમાં લક્ષણો દેખાતા નથી અને સામાન્ય જિંદગીમાં કોઈ અવરોધ પણ ઊભો થતો નથી, પરંતુ આ બીમારી ગુપચુપ શરીરમાં પ્રવેશીને પોતાનો પ્રભાવ વધારતી જાય છે, જેને સર્વેક્ષણ કરનારા ગ્રુપ ઓફ હોસ્પિટલના તબીબો "સાયલન્ટ એપેડેમિક" તરીકે ઓળખાવી રહ્યાં છે. આ શાંત બીમારીઓની અસરો ઘણી જ ખતરનાક અને જોખમી છે, અને ઝડપથી પ્રસરી રહેલા આ "સાયલન્ટ એપેડેમિક" સામે ઝડપથી ઝઝુમવું અત્યંત જરૃરી ગણાવાયું છે.
આ રિપોર્ટ મુજબ ભારતમાં હાઈ બી.પી., ડાયાબિટીસ, ફેટી લીવર જેવી બીમારીઓથી પીડાતા ઘણાં લોકોને ખબર જ હોતી નથી કે તેઓના શરીરમાં આ બીમારીઓ પનપી રહી છે અને ધીમેધીમે ગંભીર બની રહી છે.
આ રિપોર્ટ મુજબ ભારતમાં પ્રિ-હેલ્થકેરથી લોકો ટેવાયેલા નથી અને બીમારી થાય અને લક્ષણો દેખાય, તે પછી જ સારવાર લેવા જતા હોય છે, તેથી લક્ષણો વિનાની આ બીમારીઓ ક્રમશઃ ગંભીર સ્વરૃપ ધારણ કરવા લાગે છે.
આ રિપોર્ટમાં કેટલાક ચિંતાજનક આંકડાઓ જાહેર થયા છે, તે મુજબ કોલેજોમાં પ્રત્યેક ત્રણ વિદ્યાર્થી દીઠ એક વિદ્યાર્થી મેદસ્વીતા અથવા જાડાપણાની બીમારીથી પીડાય છે. મોનોપોઝ પછી ૪૦% મહિલાઓમાં ડાયાબિટીસ અને ફેટી લીવરની સમસ્યા વધીને ૭૦% થઈ ગઈ છે. ૧૯% વિદ્યાર્થીઓમાં બ્લડપ્રેસર જણાયું હતું. કુલ ૪૭ હજાર લોકોના સર્વે દરમિયાન ચેકઅપ પછી ૬% લોકો ડિપ્રેશનના શિકાર પણ જણાયા હતાં.
આ સર્વેક્ષણ અંગે એપોલો હોસ્પિટસના તબીબોનો અભિપ્રાય એવો છે કે, લોકોને બીમાર થયા પછી સારવાર લેવાની માનસિકતામાંથી બહાર લાવીને "સાઈલન્ટ એપેડેમિક" સામે જાગૃત કરીને લક્ષણો ન દેખાતા હોય, તો પણ સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવા તથા નાની-મોટી તકલીફો કે શરીરના કોઈપણ ભાગમાં સોજા ચડે કે નાદુરસ્તી જેવું લાગે, તો તરત જ નિદાન કરાવવા પ્રશિક્ષિત કરવા જોઈએ.
જો આ રીતે બીમારીઓને થતી જ અટકાવી શકાય કે ઉગતી જ ડામી શકાય, તો હોસ્પિટલોમાં ઉભરાતા દર્દીઓની સંખ્યા ક્રમશઃ ઘટે, હેલ્થ સિક્યોરિટી વધતા સારવારનું ખર્ચ ઘટે અને આર્થિક રીતે ઘણા લોકોને એકંદરે ફાયદો થાય તેમ છે.
આ રિપોર્ટ અને તેના સંદર્ભે આવતા અભિપ્રાયો અને સૂચનો યથાર્થ છે, પરંતુ આ મોંઘવારીમાં ઉચ્ચ-મધ્યમવર્ગને પણ ઘરખર્ચના બે છેડા માંડ ભેગા થતા હોય, ત્યાં પ્રિ-મેડિકલ ચેકઅપ કે પ્રિ-હેલ્થ કેરના ખર્ચા ગરીબ-મધ્યમવર્ગ ક્યાંથી કરી શકે...? તેવો સવાલ ઉઠે તે પણ સ્વાભાવિક છે. તેથી સમાજના સમૃદ્ધ લોકો દાનવીરો, સેવાભાવી સંસ્થાઓ અને સમદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓ દ્વારા છેક છેવાડાના વિસ્તારો સુધી અવારનવાર નિઃશુલક જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પો યોજાય અને તેમાં સ્થાનિક સરકારી હોસ્પિટલો જ નહીં, પણ ગ્રુપ ઓફ એપોલો હોસ્પિટલ્સ, એઈમ્સ અને ટ્રસ્ટો, સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલના નિષ્ણાત તબીબો, અદ્યતન લેબોરેટરી અને સાધન સામગ્રી તથા લેબ ટેકિનશિયનોની સુવિધા સાથે સેવાઓ આપે, તે અત્યંત જરૃરી છે. કેન્દ્ર અને રાજ્યોના આરોગ્ય કેન્દ્રો, દવાખાના, હોસ્પિટલોની તો આ પ્રાથમિક જવાબદારી જ ગણાય ને...?
એક અન્ય અહેવાલ મુજબ ગુજરાતમાં ૧૦ લાખ જેટલા લોકો પાર્કિન્સન્સથી પીડાય છે. પાર્કિન્સન્સ એટલે ધ્રુજતા અંગો સાથેનો લકવા...
પહેલા આફટર ફીફટી એટલે કે પ૦ કે ૬૦ વર્ષની ઉંમરે આ રોગ દેખા દેતો હતો, પરંતુ હવે તો યુવાવયે પણ આ બીમારી થવા લાગી છે, એટલું જ નહીં, આ રોગ મહિલાઓમાં પણ વધી રહ્યો છે. આ બીમારી માટે સ્ટ્રેસ (તણાવ), બદલતી જીવનશૈલી, જંકફૂડ, વાયુપ્રકોપ વિગેરેને જવાબદાર ગણવામાં આવે છે. સાદો પાર્કિન્સન્સ અને પાર્કિન્સન્સ પ્લસ, એમ બે પ્રકારના પૈકી પાર્કિન્સન્સ પ્લસ રોગ અસાધ્ય ગણાય છે, જ્યારે સાદા પાર્કિન્સન્સમાં દવાઓથી થોડી રાહત મળી શકે છે. આ કારણે આ રોગ થતો જ અટકાવવા માટે પણ વ્યાપક જનજાગૃતિ, યોગ્ય જીવનશૈલી અને હેલ્થ ચેકઅપ તથા યોગ્ય સારવાર જરૃરી બની જાય છે.
સાયલન્ટ એપેડેમિક અને પાર્કિન્સન્સ જેવી જ બીમારીઓ અત્યારે આપણાં સમાજમાં પણ પ્રવેશીની ફાલીફૂલી રહી છે, કિશોરવયે આત્મહત્યાના કિસ્સા પાછળ મોટાભાગે બાળકોને શિશુવયેથી જ મોબાઈલ સેલફોન કે વીડિયો ગેઈમની આદત લાગી જાય, તેની આડઅસરો જવાબદાર ગણાય છે, તેવી જ રીતે કોલેજકાળમાં ડ્રગ્સ એડિક્ટ બની જતો યુવા વર્ગ ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ જાય છે. અલ્પશિક્ષિત યુવા વર્ગમાં પણ નશાખોરી અને માનસિક વિકૃતિઓ વધી રહી છે, સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ નેગેટિવ અને વિકૃત સામગ્રીના કારણે બાળકો વિચિત્ર હરકતો કરે છે, અને યુવાવયે માતા-પિતા, પરિવારના અંકુશમાં જ રહેતા નથી. સમાજમાં વધી રહેલા આ "સોશ્યલ સાયલન્ટ એપેડેમિક" સામે પણ સૌએ જાગવું પડશે, અન્યથા નવી પેઢી બરબાદીની ખાઈમાં ધકેલાઈ જશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડે વર્ષ-ર૦રપ-ર૬ નું વાર્ષિક શાળાકીય કેલેન્ડર જાહેર કર્યુ છે, જેમાં ઉનાળુ વેકેશન, દિવાળી વેકેશન તથા અન્ય જાહેર રજાઓ સહિત ૮૦ જાહેર રજાઓનો સમાવેશ કરાયો છે. તે ઉપરાંત બાર મહિનાના પ૦ ની આસપાસ રવિવાર આવે, અન્ય છૂટક રજાઓ અપાય, કુદરતી આફતો કે આકસ્મિક સંજોગો અથવા ઋતુગત કારણોથી રજાઓ અપાય અને દર શનિવારે મોટાભાગે અડધા દિવસનું શિક્ષણ હોય, તેની ગણત્રી કરીએ તો આખા વર્ષમાં બસો-સવાબસ્સો દિવસનું જ શિક્ષણ બાકી રહે.
આ કેલેન્ડર તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું છે, એટલે કે ધોરણ ૯ થી ૧ર સુધીનું જ છે. પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તો જાહેર રજાઓ, રવિવારો અને ઈત્તર કારણોસર પડતી રજાઓ ઉપરાંત સ્થાનિક રજાઓ, પ્રાસંગિક રજાઓ કે સારા-માઠા પ્રસંગે અપાતી રજાઓનો હિસાબ કરવામાં આવે તો એવું કહી શકાય કે વર્ષમાં અડધું વર્ષ જ શાળાઓ ચાલુ રહે અને અડધોઅડધ વેકેશનો, જુદા-જુદા પ્રકારની રજાઓ અને સ્થાનિક - પ્રાસંગિક રજાઓ તથા સરકારી મેળાવડાઓમાં જ વીતી જતું હોય છે.
આ કારણે બાળકોના શિક્ષણ પર, તો અસર પડે જ છે, પરંતુ માતા-પિતા પરિવારના ગજવા પર પણ કાતર ફરતી હોય છે.
બન્ને વેકેશનો અને રજાના દિવસોમાં શાળાકીય પ્રવૃત્તિઓ બંધ રહે, તો પણ ખાનગી શાળાઓ દ્વારા જુદી-જુદી પ્રકારના ચાર્જીસ વિગેરે લગાડીને પૂરેપૂરી તોતીંગ ફી વસુલ કરી લેવામાં આવે છે. ફી નિર્ધારણ થયા પછી પણ કોઈને કોઈ બહાને બાળકો પાસેથી તોતીંગ ફી મેળવતી શાળાઓ નિર્દ્યપણે માતા-પિતા, વાલીઓને પઠાણી ઉઘરાણીઓ કરીને પજવતી હોય છે. જે શાળાઓ સ્કૂલ બસો કે વાહતુક સુવિધાઓ આપે છે, તે સ્કૂલો જ વેકેશન સહિતનું બસભાડું એડવાન્સમાં વસુલતી હોવાથી જે ગરીબ-મધ્યમવર્ગીય માતા-પિતા, વાલીઓ રિક્ષા, રિક્ષા છકડા, ઈક્કોવેન જેવા અન્ય વાહનોમાં પોતાની રીતે બાળકોને શાળાએ મોકલતા હોય છે. તેઓ પાસેથી ખાનગી વાહનોવાળા પણ વેકેશન સહિતનું તોતીંગ વાહનભાડું વસુલતા હોય છે. આ ઉઘાડી લૂંટ સામે વિપક્ષી નેતાગણ દ્વારા ઘણી વખત અવાજ ઉઠાવાતો હોય છે, પરંતુ એ વિરોધ પણ માત્ર "પ્રાસંગિક" હોય, તેમ એકાદ વિરોધ પ્રદર્શન કે આવેદનપત્ર આપવા સુધી જ મર્યાદિત રહેતો હોય છે, અને પછી રહસ્યમય રીતે સમી જતો હોય છે.
શાસકપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિતના નેતાઓ પણ આ મુદ્દે જુદા-જુદા સ્તરે રજૂઆતો તો કરતા હોય છે, પરંતુ આ મુદ્દાઓના ઉકેલ સુધી પહોંચવાનો જુસ્સો હોતો નથી અને ઘણી વખત આ બધી જ કવાયત દેખાવ ખાતર જ થતી હોય તેમ જણાય છે.
જ્યારે આ મુદ્દે મીડિયામાં ચર્ચા થાય છે, ત્યારે એવા તારણો પણ નીકળતા હોય છે કે, કેટલાક વિપક્ષના નેતાઓ સહિત શાસકપક્ષના નેતાગણના નજીકના વર્તુળો, સગા-સંબંધી કે મળતીયાઓ જ ગુજરાતમાં ઘણી ખાનગી સ્કૂલોની સંચાલક બોડી સાથે સંકળાયેલા હોવાથી કદાચ તેની "શરમ" (કે બીજુ કાંઈક) લાગવાથી આ ઉઘાડી લૂંટ સામે આંખ આડા કાન કરાતા હશે.
રાજ્યના ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો એવી અપેક્ષા તો રાખી જ શકે ને કે કમ-સે-કમ વેકેશનના સમયગાળાની કોઈપણ ફી, વાહન ભાડું કે ચાર્જીસ વિદ્યાર્થીઓ, વાલીઓ પાસેથી વસુલવામાં આવે નહીં. જો સ્કૂલો જ વેકેશનના નાણા વસુલતી હોય તો ખાનગી વાહનધારકો ક્યાંથી છોડે...?
સરકારે તથા નેતાગણે આ મુદ્દે માનવતાલક્ષી અભિગમ દાખવીને વેકેશનમાં લેવાતા મનસ્વી ચાર્જીસ અને વાહન ભાડું, ટ્રાન્સપોર્ટેશન કે બસભાડું વિગેરે જે વાહતૂક વ્યવસ્થાઓ અપાતી જ ન હોય, અને વેકેશનમાં બંધ જ રહેતી હોય, તેવા ચાર્જીસ લેવાતા બંધ થાય તે માટે ખાનગી શાળાઓના સંચાલકોને સમજાવવા જોઈએ અને ન માને તો તે માટે આદેશો આપવા જોઈએ, કારણ કે, જે સેવાઓ બંધ જ હોય, તેનું ભાડું કે ચાર્જ લેવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની પણ વિરૂદ્ધમાં છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, વેકેશન તથા જાહેર રજાઓ વિગેરેમાં વિદ્યાર્થીઓ, બાળકોએ પ્રવાસ જ કર્યો નહીં હોવા છતાં તેનું ભાડું લેવાના સ્વરૂપે થતી કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધનો આ મનસ્વી અને ઉઘાડી લૂંટ સામે કોઈએ અદાલતના દ્વાર કેમ ખખડાવ્યા નહીં હોય...? આરટીઆઈ એક્વિવીસ્ટો, સમાજના જાગૃત નાગરિકો અને શિક્ષણ ક્ષેત્રની સંસ્થાઓ (એનજીઓ), વિદ્યાર્થીઓ સંગઠનો પણ આ મુદ્દે "કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધમાં જઈને થતી વસુલાત સામે અદાલતના દ્વાર ખખડાવી શકે છે. વિપક્ષના કોર્પોરેટરો પાલિકા - મહાપાલિકાઓ અને ધારાસભ્યો વિધાનસભાગૃહમાં પણ આ મુદ્દે અવાજ ઉઠાવી શકે છે, અને ગુજરાતમાં વિપક્ષના અલ્પ સાંસદો હોવાથી જરૂર પડ્યે શાસકપક્ષના સાંસદોએ પણ આ મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોરીને તથા પાર્ટીની કક્ષાએ પણ આ ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો સહિતના વિદ્યાર્થીઓ, વાલીઓને સ્પર્શતા મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ ને...?
ખુદ સરકાર પણ કોન્ટ્રાક્ટ બેઈઝ પર જે સેવાઓ મેળવે છે, તેનું ચૂકવણું થયેલા કામ આધારિત જ કરે છે ને...? વચ્ચે અપાતી રજાઓનો ચાર્જ કે ઉધડુ વાહન ભાડું પૂરેપૂરૃં ચૂકવાય એ સમજાય, પણ સળંગ બબ્બે વેેકેશન કે અઠવાડિય, પંદર દિવસ માટે શાળાઓ જ બંધ રહે, છતાં વાહન ભાડા વસુલવા એ ખૂલ્લો અન્યાય જ છે, અને આ મુદ્દે અદાલતોમાં પણ સુઓમોટો સુનાવણી થાય તે પણ ઈચ્છનિય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજ્યના પાણી પુરવઠા મંત્રીનો દાવો છે કે, આ ઉનળાામાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે. રાજ્યના ર૦૦ થી વધુ જળાશયોમાં પ૭% થી વધારે જળસંગ્રહ છે અને આ વર્ષે સાર્વત્રિક પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી જમીનની સપાટી ઉપર અને ભૂગર્ભ જળની સ્થિતિ પણ એકંદરે જળવાઈ રહી છે, તેથી ઉનાળામાં ગુજરાતની જનતાને પીવાના પાણી માટે તકલીફ નહીં પડે.
બીજી તરફ રાજકોટમાં લદાયેલા પાણીકાપના કારણે મહિલાઓએ થાળી વગાડીને તથા માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યા પછી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને વિપક્ષના અન્ય સ્થાનિક વર્તુળો કહે છે કે, સરકારના દાવાઓની પોલ ખૂલી ગઈ છે અને અત્યારથી જ પાણીકાપ લાદવાની નોબત આવી છે, ત્યારે ઉનાળામાં શું થશે...? તેના જવાબમાં ભાજપના વર્તુળો કહે છે કે, આ પાણીકાપ પાણીની તંગીના કારણે નહીં, પરંતુ પ્રિ-મોન્સુનની કામગીરીને લઈને ચાલી રહેલી મરામતના કારણે લગાવાયો છે, તો લોકો કહે છે કે, આ તો બધી બહાના બાજી છે.
રાજકોટની જેમ જ સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાંથી પીવાના પાણીની વકરી રહેલી સ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યાં છે. બીજી તરફ વીજ પુરવઠાના ધાંધિયા પણ અત્યારથી જ ચાલુ થઈ ગયા છે, અને નોટીસ આપ્યા વિનાનો વીજકાપ અવાર-નવાર લગાવાઈ રહ્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો વીજળીરાણી ક્યારે રિસાઈ જાય અને કેટલા કલાકો સુધી રાહ જોવી પડશે, તે નક્કી જ નથી રહેતું, તેથી વીજ પુરવઠાને લઈને પણ અત્યારથી જ વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. એક તરફ ગરમી વધી રહી હોવાથી પંખા, કૂલર, એરકન્ડિશન્ડ મશીનો, રેફ્રિજરેટરો વિગેરે ઉપકરણોનો ઉપયોગ વધી રહ્યો હોવાથી વીજળીની માંગ ક્રમશઃ દરરોજ વધી રહી છે, ત્યારે બીજી તરફ વીજ કંપનીઓ પણ પ્રિ-મોન્સુન કામગીરી, ફોલ્ટ તથા મરામતના બહાને અવારનવાર સપ્લાઈ બંધ કરતી હોવાથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણાં વિસ્તારોમાં લોકોની રોજિંદી જિંદગી પર અસર પડી રહી છે, અને વીજ આધારિત કામધંધાને પણ માઠી અસર પડી રહી છે.
અહેવાલો મુજબ ગત્ નાણાકીય વર્ષ દરમિયાન વીજ પુરવઠાને લગતી પપ હજાર કમ્પ્લેઈન નોંધાઈ હતી. વીજ કંપનીઓએ જંગી ખર્ચ કરીને વીજ વાયરો બદલ્યા, ઉપકરણો બદલ્યા, સાધન-સામગ્રીનું અપગ્રેડેશન કર્યુ, તે પછી પણ જો એક વર્ષમાં (ચોપડે નોંધાયેલી) પપ હજાર ફરિયાદો આવતી હોય, તો આ આધુનિકરણ શું કામનું...? તેવો સવાલ તો ઉઠે જ ને...?
ગ્રામ્ય વિસ્તારો તથા નાના નગરોમાં તો નાના-મોટા ફોલ્ટ કે થાંભલેથી લૂસ કોન્ટેક્ટ જેવી ફરિયાદો ચોપડે નોંધાતી જ હોતી નથી અને સ્થાનિક હેલ્પરો કે ખાનગી ઈલેક્ટ્રિશ્યનો રીપેર કરી નાંખતા હોય છે, તેથી વીજ સપ્લાઈ તથા ફોલ્ટ નિવારણ વ્યવસ્થાઓ નાનામાં નાના ગામડા સુધી વધુ મજબૂત અને નિયમિત કરવાની જરૂર છે, કારણ કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આધુનિક ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ ઉપકરણોનો ઉપયોગ અનેકગણો વધી રહ્યો હોવાથી નિયમિત - અવિરત વીજ પુરવઠાની ડિમાન્ડ પણ સ્વાભાવિક રીતે જ વધી રહી છે.
જામનગરની મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ તાજેતરની મિટિંગમાં રંગમતી નદીને ઉંડી ઉતારીને તેમાં જળસંગ્રહ ક્ષમતા વધારવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને વિવિધ વિસ્તારોમાં પાણીપુરવઠાની પાઈપ લાઈનોના ખર્ચની દરખાસ્તો પણ મંજૂર થઈ, તેમ છતાં આ વર્ષે ઉનાળામાં નગરને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે, તેવા આશ્વાસનો કેટલા સાચા પડે છે, તે જોવું રહ્યું.
હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં જ દેશના નવ રાજ્યોમાં તો હીટવેવ અને ગરમ પવન ફૂંકાવાની તાજી આગાહી હવામાન ખાતાએ કરી છે, અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ થતો હોવાથી ગુજરાતને પણ એલર્ટ કરાયું છે, ત્યારે હવે તંત્રોએ પીવાનું પાણી અને વીજ પુરવઠા ઉપરાંત હવે આરોગ્ય અને તબીબી ક્ષેત્રે પણ સજ્જ રહેવું પડશે, અને ઋતુજન્ય રોગચાળો, સનસ્ટોક તથા બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીથી જાહેર આરોગ્ય પર ખતરો ઊભો ન થઈ જાય, તે માટે જાગૃત રહેવું પડશે. હવે આ માટે ચેકીંગ કરતા તગડા પગાર મેળવતા સંબંધિત તંત્રો 'સિમ્બોલિક' ચેકીંગ કરવાથી આગળ વધીને ગ્રામ્ય વિસ્તારો સહિત "સાર્વત્રિક" ચેકીંગ કરે, તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દુનિયાભરના શેરબજારો કડડભૂસ... કરતા ફસડાઈ પડ્યા અને હાહાકાર મચી ગયો. નગરથી નેશન સુધી અને ગામડાઓથી ગ્લોબ સુધી કોણે કેટલા ગુમાવ્યા...? તેની જ ચર્ચા થતી રહી અને ટ્રમ્પના ટેરિફ એટેકને જવાબદાર ગણાવાતો રહ્યો. હજુ શેરબજારની કળ ઉતરી નહોતી, ત્યાં જ દેશવાસીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો.
ગઈકાલે એલપીજી ગેસના ભાવોમાં વધારો ઝીંકી દેવાયો. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જ જાહેરાત કરી કે ગઈકાલથી સબસીડીવાળા અને સબસીડી વગરના તમામ ગેસ સિલિન્ડર દીઠ પચાસ રૂપિયાનો વધારો લાગુ કરી દેવાયો છે. આ જાહેરાતો ઘરખર્ચના બે છેડા માંડ પૂરા કરી રહેલી મહિલાઓ (ગૃહિણીઓ) ને પણ ઝટકો આપ્યો અને મોંઘવારીના મારથી પિડીત પુરૂષવર્ગમાં પણ નારાજગી ફેલાવા લાગી.
રાજયભરમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મિલ્લાકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, મોદી સરકારે લોકોના ઝખમ પર મીંઠુ ભભરાવવાનું કામ કર્યુ છે. ખડગેએ ખૂબ જ આક્રમક ભાષામાં "એક્સ" પર પોષ્ટ કરીને લખ્યું કે, ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ૪૧ ટકા જેટલો ભાવ ઘટાડો થયો, તેનો લાભ જનતાને આપવાના બદલે લૂંટારી સરકારે એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ બે રૂપિયા વધારી દીધી છે. ખડગેએ આ પોષ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને જે લખ્યુ, તે ગઈકાલે દિવસભર ચર્ચામાં રહ્યું. શેરબજારમાં રોકાણકારોને ૧૯ લાખ કરોડનું જંગી નુકસાન થયું, તેના માટે પણ મોદી સરકારની કુંભકરણી જેવી ઊંઘ (લાપરવાહી) ને જવાબદાર ગણાવીને ખડગેએ લખ્યું કે, મોદી સરકારે એલપીજીના ભાવો વધારીને ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યુ છે. તેમણે ઉજ્જવલાની ગરીબ મહિલાઓની બચત પર તરાપ મારવાનો આક્ષેપ કરીને કહ્યું કે, લૂંટ અને જબરદસ્તી વસુલી એ મોદી સરકારના જાણે પર્યાય બની ગયા છે.
બીજી તરફ ભૂતકાળમાં એલપીજી ગેસમાં ભાવો વધ્યા, તેવા સમયે યુપીએ સરકારના સમયગાળાનો વડાપ્રધાન મોદીનો જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાના અહેવાલોમાં જે કાંઈ કહેવાય રહ્યું છે, તેને સાંકળીને કોંગ્રેેસ પાર્ટી આને મોદી સરકારના બેવડા ધોરણો ગણાવીને જનતા પર મોંઘવારીનો બેવડો બોજ ઝીંકવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ઘરેલું ગેસ સિલિન્ડર પર પચાસ રૂપિયાનો બોજો નખાતા ગરીબ અને મધ્યમવર્ગની ગૃહિણીઓના બજેટ તો ખોરવાઈ જ જશે, સાથેસાથે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અપેક્ષાકૃત ઘટાડો નહીં થતા દેશની જનતા છેતરાઈ હોવાની અનુભૂતિ કરી રહી હશે.
કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો, પરંતુ તેનો બોજ ઓઈલ કંપનીઓ પર લાદ્યો (નાંખ્યો) છે, જેથી પેટ્રોલ-ડીઝલની રિટેઈલ પ્રાઈઝમાં કોઈ વધારો નહીં થાય, પરંતુ કંપનીઓને તેની અસર થશે.
સરકારે લીટરદીઠ એક્સાઈઝ ડ્યૂટી બે રૂપિયા વધારી છે, જે કદમ ઓએમસીને ગેસ સેગમેન્ટમાં થયેલા રૂ. ૪૩૦૦૦ કરોડનું વળતર મળી રહે, તેવા હેતુથી ઉઠાવાયુ હોવાનું કહેવાય છે. જો કે, અંતે તો આ વિષચક્રનો અંત પબ્લિક મનીમાંથી થતી ચૂકવાણીઓ દ્વારા જ આવશે ને...?
ટૂંકમાં ક્રૂડમાં ભાવ ઘટાડાનો ફાયદો દેશવાસીઓને થવાનો નથી. વૈશ્વિક ક્રૂડના ભાવો ઘટતા લોકોને એવી આશા હતી કે, પેટ્રોલ-ડીઝલના ભાવો પણ ઘટશે અને તેના કારણે તમામ વીજ વસ્તુઓ તથા પેઈડ સેવાઓની મોંઘવારીમાં પણ રાહત થશે, પરંતુ આ આશા ઠગારી નિવડી છે અને વિપક્ષો કેન્દ્રના બેવડા ધોરણોની આલોચના કરી રહ્યાં છે, તો બેરોજગારી અને મોંઘવારીના બેવડા મારમાં પીસાતી જનતા ગેસના ભાવોમાં ઘટાડા માટે આગામી ચૂંટણીઓની રાહ જોઈ રહી છે, જોઈએ, સરકાર કૃપાળુ બને છે કે નહીં...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર સહિત ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, અને આ વર્ષે ગરમી નવા રેકોર્ડસ સ્થાપશે, તેવા અનુમાનો વચ્ચે ભારતીય હવામાન વિભાગે અલનીનોની સંભાવનાઓને નકારી દેતા ચોમાસા વિષે ઊભી થઈ રહેલી આશંકાઓ ઓછી થઈ છે. જો કે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચોમાસુ કેવું રહેશે, તેની સચોટ આગાહી કરવા માટે એપ્રિલ એન્ડીંગ સુધી રાહ જોવી પડશે. એપ્રિલથી જૂન સુધી પ્રચંડ ગરમી (હીટવેવ) ની આગાહી થઈ છે, અને પૂર્વ ભારતમાં ૧૦ દિવસ સુધી ગરમીના મોજા ઉછળવાની સંભાવના જણાવાઈ છે.
તો આજે ભારતીય શેરબજાર સહિત વૈશ્વિક બજારો કડડભૂસ થઈ ગઈ હોવાથી ગભરાટ ફેલાયો છે.
એક તરફ બળબળતા બપોર અને ધોમધખતા તાપ સાથે ઉનાળાનો પ્રકોપ જનજીવનને પ્રભાવિત કરી રહ્યો છે, તો બીજી તરફ ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જની અસરોના કારણે સમગ્ર વિશ્વમાં ઋતુચક્ર બદલાઈ રહ્યું છે, જેની સીધી કે આડકતરી અસરો અર્થતંત્રો અને વૈશ્વિક પરિવહન, જનજીવન અને સરકારો પર પણ પડી રહી છે. ગઈકાલે રામનવમી ઉજવાઈ, અને આજે તેના પારણાં થઈ રહ્યાં છે, ત્યારે ભગવાન શ્રીરામની કૃપા સૌ પર વરસે તેવું પ્રાર્થીએ...
કુદરતી ગરમીની સાથે-સાથે વિશ્વભરમાં ટ્રમ્પ ટેરિફ યુદ્ધો અશાંતિ, વિદ્રોહ અને અનિશ્ચિતતાઓના કારણે વૈશ્વિક અને ઘરઆંગણાની રાજનૈતિક તથા કૂટનૈતિક ગતિવિધિઓને પણ માઠી અસરો થઈ રહી છે.
અત્યારે દેશભરમાં વકફ બિલના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે, તેની સામે તરફેણમાં પણ નિવેદનો આવી રહ્યા, આ બધી ગતિવિધિઓની વચ્ચે સંસદે - રાજયસભાએ પાસ કર્યા પછી વકફ સુધારા વિધેયક પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સહી થતા જ તે હવે "કાયદો" બની ગયું છે.
નવું વકફ શંસોધન બિલ "ઉમ્મીદ" ના નામે ઓળખાશે, જેનું ફૂલ ફોર્મ "યુનાઈટેડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી અને ડેવલપમેન્ટ" રખાયું છે. આ બિલ અંગે સરકારનો દાવો એવો છે કે, વકફના વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને વ્યાપકતાનો સમાવેશ થયો છે. જે ગરીબ મુસ્લિમો પોતાના અધિકારોથી વંચિત રહેતા હતા, તેઓને તેઓનો હક્ક મળશે.
દેશમાં મુસ્લિમોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ કદમ છે. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે, મહિલાઓને પણ વકફની મિલકતો પર સમાન અધિકારો છે. આ કાયદો લૈંગિક સમાનતાને પ્રોત્સાહિત કરવા અને મુસ્લિમ મહિલાઓને સશક્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, વિગેરે...
જો કે, વિરોધપક્ષો આ મુદ્દે એકજૂથ થઈ ગયા છે, અને આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને તેને સુપ્રિમકોર્ટમાં પડકારવાનું જાહેર કર્યુ છે. આ કાયદાના વિરોધમાં દેશવ્યાપી દેેખાવો તો થઈ રહ્યાં છે, પરંતુ સુપ્રિમકોર્ટમાં આ કાયદાના વિરોધમાં ચાર જેટલી અરજીઓ પણ દાખલ થઈ ગઈ હોવાના અહેવાલો છે, આ કારણે હવે આ મુદ્દે કાનૂની જંગ લડાશે, તે નક્કી છે.
વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે સુપ્રિમકોર્ટમાં દાખલ થયેલી અરજીઓમાં મુખ્યત્વે આ કાયદાને ગેરબંધારણીય કરાવવાની માંગણી કરવામાં આવી છે, અને અરજીમાં તર્ક અપાયો છે કે, આ કાયદો વકફ પ્રોપર્ટી અને તેમના મેનેજમેન્ટ પર મનસ્વી નિયંત્રણો લાદે છે, જેથી મુસ્લિમ સમુદાયની ધાર્મિક સ્વાયતતાને નુકસાન પહોંચે છે. સરકારનું કહેવું છે કે, આ નવો કાયદો કોઈપણ રીતે મુસ્લિમ સમુદાયના ધાર્મિક માળખાને અસરકર્તા નથી, પરંતુ પારદર્શિતા, જવાબદારી અને ચોકસાઈ માટેની એડમિનિસ્ટ્રેટિવ જોગવાઈઓ જ કરે છે. હવે આ મુદ્દો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે, ત્યારે તેમાં તબક્કાવાર સુનાવણીઓ થશે, તે દરમિયાન હજુ વધુ તાર્કિક અને કાનૂની મુદ્દાઓ ઉદ્ભવશે.
વકફ સુધારા બિલનો મુદ્દો હવે માત્ર સામુદાયિક કે કાનૂની નથી રહ્યો, પરંતુ શુદ્ધ રાજનૈતિક મુદ્દો બની ગયો છે, અને ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ભાજપના મુસ્લિમ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હોવાના અહેવાલો પણ છે.
ભારતીય જનતા પક્ષને એક તરફ સમગ્ર દેશમાં વકફ બિલના કારણે થોડા-ઘણાં અંશે પણ આંતરિક અજંપો વર્તાઈ રહ્યો હશે, ત્યાં તામિલનાડુમાં ત્યાંના પ્રદેશ ભાજપ પ્રમુખના રાજીનામાનું પ્રકરણ તામિલનાડુમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એવું કહેવાય છે કે, તામિલનાડુ વિધાનસભાની આગામી ચૂંટણીમાં એઆઈએડીએમકે સાથે ગઠબંધન માટે તામિલનાડૂના વર્તમાન પ્રદેશ પ્રમુખનો ભોગ લેવાયો છે, જે હોય તે ખરૃં, પણ ભાજપ, નિતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડૂ માટે કપરાં ચઢાણ તો છે જે...
ગ્લોબલ વોર્મિંગ, ટેરિફ ટેસ્ટ, ટ્રેડવોર, ગૃહયુદ્ધો, યુદ્ધો અને રાજકીય ગરમીના આ માહોલમાં સાઉદી અરેબિયાએ વધારો કર્યો છે, ત્યાંના વિદેશ મંત્રાલયે ભારત અને પાકિસ્તાન સહિતના ૧૪ દેશો માટે વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો છે...!
જો કે, બિઝનેસ, ઉમરાહ એન ફેમિલી વિઝા પર મૂકાયેલો આ પ્રતિબંધ ૧પમી જૂન અથવા જૂનના ત્રીજા સપ્તાહ સુધી જ ચાલુ રહેશે, અને ઉમરાહ વિઝા ધરાવતા લોકોને થોડી છૂટછાટ પણ અપાઈ છે, પરંતુ આ પ્રતિબંધ હજ્જયાત્રામાં થતી ગેરકાનૂની ઘૂસણખોરી અટકાવવા લેવાયો હોવાનું કહેવાય છે, એવું કહેવાય છે ક,ે અન્ય વિઝા) પર પ્રવેશ મેળવીને અયોગ્ય રીતે હજયાત્રા કરવાની આ પ્રવૃત્તિના કારણે હજયાત્રા માટે જરૂરી પ્રબંધો કરવામાં મુશ્કેલી પડતી હતી, જેથી ભીડ વધતી હતી તથા હજયાત્રીઓની સુરક્ષા અને સલામતીને લઈને સમસ્યાઓ ઊભી થતી હતી. આ કારણે આ પ્રકારનો હંગામી પ્રતિબંધ લગાવાયો છે. ભાગદોડ કે અવ્યવસ્થાઓ સર્જાતી અટકાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાની જાહેરાત ત્યાંની સરકારે કર્યા પછી આશંકાઓ અને અટકળોનો દોર ખતમ થયો છે.
અત્યારે મોદી-૦૩ ને નવ મહિના થયા તેમ છતાં કેન્દ્રીય મંત્રી બનેલા જે.પી. નડ્ડાના સ્થાને ભાજપ હજુ સુધી નવા અધ્યક્ષ જાહેર કરી શક્યું નથી, અને એવું જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના કિસ્સામાં થયું છે. બીજી તરફ કર્ણાટક કોંગ્રેસમાં પણ સિધ્ધાર મૈયા અને ડી. શિવકુમારનો ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ બધી ગરમીઓની વચ્ચે લોકોને ઠંડક મળે, કાંઈક રાહત થાય, તે માટે ભગવાન શ્રી રામને પ્રાર્થીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઉનાળોઆવ્યો અને ક્રમશઃ તાપમાન વધી રહ્યું છે, આગઝરતી ગરમીની આગાહીઓ થઈ રહી છે અને બપોરના સમયે સૂર્યપ્રકોપના કારણે લોકો બહાર નીકળતા નથી અને રહેણાંક વિસ્તારોમાં તો કુદરતી કરફ્યૂ જેવું વાતાવરણ સર્જાઈ જ જાય છે, પરંતુ બજારો પણ સુમસામ થઈ જાય છે. ગઈકાલે જામનગરનું તાપમાન ૪૦ ડીગ્રી નજીક પહોંચતા પ્રચંડ ગરમીથી નગરજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતાં. કેટલાક શહેરોમાં તો તાપમાન ૪૩-૪૪ ડીગ્રીથી પણ વધી જતા જનજીવન પ્રભાવિત થયું હતું.
રાજ્યમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ઘણાં શહેરોમાં ૪૦ થી ૪પ ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. અસહ્ય ગરમીના કારણે ધંધા-વ્યવસાય ઉપર પણ માઠી અસર પહોંચી રહી છે અને રોજેરોજનું કમાઈને ગુજરાન ચલાવનારા અત્યંત ગરીબ પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, એપ્રિલમાં આટલી ભયંકર ગરમી પડી રહી છે, ત્યારે મે મહિના અને જૂનમાં ચોમાસાના પ્રથમ વરસાદ થતા સુધી શું થશે, તેનું આકલન કરીને સંબંધિત તંત્રો અત્યારથી જ તૈયારી નહીં કરે, તો આ ઉનાળામાં જિંદગી જીવવી મુશ્કેલ બની જશે.
તંત્રોએ અત્યારથી જ ધોમધખતો ઉનાળો, સંભવિત માવઠું અને ઋતુચક્રમાં થતા ફેરફારોને લક્ષ્યમાં રાખીને જરૂરી પ્રબંધો વિચારી લેવા પડશે, અને જરૂરી પ્રક્રિયા, દરખાસ્તો, મંજૂરીઓ, એસ્ટીમેટ, કાર્યયોજના અને વૈકલ્પિક વ્યવસ્થાઓ સહિતનો રોડમેપ તૈયાર કરી લેવો પડશે, અન્યથા આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવા જેવો ઘાટ સર્જાશે.
ગયા વર્ષે જ્યારે ગરમીનો પ્રચંડ પ્રકોપ હતો, ત્યારે પંખા, એ.સી., કૂલર, ફ્રીઝ અને બરફનું ઉત્પાદન કરતા સાધનોના ઉપયોગમાં અનેકગણો વધારો થયો હતો, અને તેના કારણે લોડ વધી જતા ઘણાં વિસ્તારોમાં વીજ ઉપકરણોને નુકસાન થયું હતું, તો લો વોલ્ટેજની સમસ્યાના કારણે પણ ઠંડક આપતા સાધનો ચાલી શક્યા નહોતા. વોલ્ટેજની વધઘટના કારણે ઘણાં સ્થળે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેથી ઘરેલુ વ્યવસ્થાઓ પણ વેરવિખેર થઈ જતી હતી. વીજતંત્રોએ આ વર્ષે ગયા વર્ષનો અનુભવ અને ચાલુ વર્ષે અંદાજીત ડિમાન્ડને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો જાળવી રાખવાની કવાયત કરી લેવી પડશે અને જ્યાં જરૂર હોય ત્યાં વીજ લાઈનો તથા તેને સંલગ્ન ઉપકરણોની ક્ષમતા વધારી લેવી પડશે.
જામનગર સહિતના શહેરોની વસ્તી વધી છે. વેકેશનનો માહોલ છે. વીજ ઉપકરણોની જરૂરિયાતો પણ વધી રહી છે. અત્યારે ઘેરઘેર એરકન્ડીશન્ડ મશીનો, વોશીંગ મશીનો, ઘરઘંટી, ટેલિવિઝન, વીજ આધારિત ચુલાઓ, ઈલેક્ટ્રિક મોટરો, એરકૂલરો, રેફ્રીજરેટરો અને ઈ-વાહનોની સુવિધાઓ ઉપલબ્ધ બની છે, અને હવે મધ્યમવર્ગીય પરિવારો તથા અપર-પૂઅર વર્ગોના પરિવારો પણ આ પ્રકારના વીજ આધારિત ઉપકરણો તથા સેવાઓ મેળવવા લાગ્યા છે, ત્યારે જરૂર પહેલા ડોર-ટુ-ડોર સર્વે કરીને પણ શહેરમાં અંદાજીત કેટલાક ઉપકરણો છે, તેના અંદાજ આધારિત વીજક્ષમતા વધારવાની કવાયત અત્યારથી જ કરી લેવી જોઈએ, જેથી ભર ઉનાળે ધોમધખતી ગરમીમાં પીસાતી જનતાને થોડી રાહત આપી શકાય.
જામનગર મહાનગરપાલિકાના તંત્રો દ્વારા ઘેર-ઘેર નળ દ્વારા અપાતો પાણી પુરવઠો ઉપરની ટાંકીમાં પહોંચાડવા ભૂગર્ભ ટાંકીઓમાં દેડકો મોટર કે ઈલેક્ટ્રિક મોટરો પણ વાપરવામાં આવે છે, અને તેનો અંદાજ ભાગ્યે જ ગણતરીમાં લેવાતો હોય, તે ઉપરાંત વીજ આધારિત વ્યવસાયો, ઔદ્યોગિક-વ્યાપારિક જરૂરિયાતો અને કોમ્પ્યુટર્સ, વાયફાય અને મોબાઈલ સેલફોન આધારિત પ્રવૃત્તિઓ માટે પણ વીજ પુરવઠાની જરૂર તો પડવાની જ છે ને...?
ટૂંકમાં વીજતંત્રોએ માઈક્રો પ્લાનીંગ પણ કરવું જોઈએ અને અત્યારથી વિસ્તારવાઈઝ અંદાજો કાઢીને તે મુજબ વીજલાઈનો તથા સંલગ્ન સાધનોનું અપગ્રેડેશન કરી લેવું જોઈએ.
વીજ તંત્રોની જેમ જ પાણી પુરવઠાના વિભાગ તથા પાલિકા-મહાપાલિકા, પંચાયતોના વોટરવર્કસ તંત્રોએ પણ ઉનાળામાં માનવી અને પશુઓ માટે જરૂરી પાણી પુરવઠાનો અંદાજ કાઢીને આગામી બે-અઢી મહિના સુધી એટલે કે જુલાઈ મહિના સુધીનું માઈક્રો પ્લાનીંગ કરી લેવું જોઈએ. તે ઉપરાંત જે વિસ્તારોમાં હજુ પણ ટેન્કરો ચાલી રહ્યાં છે, ત્યારે ટેન્કરોના ફેરા કે સંખ્યા વધારીને લોકોને કમસેકમ પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે, તેવી વ્યવસ્થાઓ તંત્રોએ અત્યારથી જ કરી લેવી જોઈએ, ખરૃં ને...?
ઉનાળામાં વીજ વપરાશ વધવાની સાથેસાથે આગ અકસ્માત જેવી ઘટનાઓમાં પણ વધારો થતો હોય છે, જેથી ઉનાળાના પ્રારંભે જ ફાયરસેફટી સહિતની વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવે તે જરૂરી છે. ઉનાળામાં ઘણી બધી સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ પાણીના પરબ, છાશ વિતરણ તથા શિતળ છાંયડાની વ્યવસ્થાઓ થતી હોય છે, અને ઘરવિહોણાં રખડતા-ભટકતા લોકો માટે શેલ્ટર હોમ પણ ઊભા કરાતા હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓનું સંકલન કરીને જરૂરિયાત મુજબના તમામ સ્થળોએ સમાન ધોરણે પૂરતા પ્રમાણમાં આ નિઃશુલ્ક સેવાઓ મળી શકે તેવું સંકલિત આયોજન થાય તે ઈચ્છનિય રહેશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદીને પગ પર કૂહાડો માર્યો હોય, તેવી સ્થિતિનું નિર્માણ થવા લાગ્યું છે. શેરબજારો ડગમગવા લાગ્યા છે, અને ડોલરને પણ ફટકો પડવા લાગ્યો છે. વ્યાપારમાં "જેવા સાથે તેવા" નો અભિગમ ચાલે નહીં, કારણ કે, વિવિધ દેશોમાં માંગ, પુરવઠાની ઉપલબ્ધિ અને ઈન્ફ્રાસ્ટ્રકચર તથા પરસ્પર દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય કરારો, સમજૂતિઓ અને ખાસ કરીને વિવિધ દેશો સાથેના દ્વિપક્ષીય રાજનૈતિક તથા કૂટનૈતિક સંબંધો અને ટ્રેડ અને ટ્રાન્સપોર્ટેશન તથા ટ્રાન્ઝેકશન જેવા તમામ પરિબળો પર વ્યાપારિક ગતિવિધિઓનો આધાર રહેતો હોય છે, અને તેમાં ઋતુચક્ર, કુદરતી આફતો અને વૈશ્વિક શાંતિ-અશાંતિ-યુદ્ધો વગેરેની અસર પણ થતી હોય છે. આ કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પને કદાચ ઘર આંગણે જ ઝટકાઓ લાગે અને આંતરિક અવરોધો ઊભા થાય, તો તેમાં નવાઈ નહીં લાગે.
વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ, શેરબજારો, વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રો અને બેન્કીગ ક્ષેત્રોના તજજ્ઞો, વિશ્લેષકો અને બ્યુરોક્રેટ્સના અભિપ્રાયોનું તારણ એવું નીકળે છ કે, ટ્રમ્પનો ટેરિફ ટેરર અમેરિકાને તો ડુબાડશે જ, પરંતુ આખી દુનિયાને પણ માઠી અસરો પહોંચાડશે. કેટલાક જાણકારો માને છે કે, ટેરિફ નીતિ પછી ભારત-અમેરિકાના સંબંધો બગડશે.
અમેરિકાના મશહૂર અર્થશાસ્ત્રી ડેવિડ રોઝનબર્ગ તર્કબદ્ધ પ્રત્યાઘાતો આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ટ્રમ્પની ટેરિફ પોલિસીથી અમેરિકા મંદીના વમળમાં ફસાઈ શકે છે, અને અર્થતંત્રને ફટકો પડી શકે છે. રોઝનબર્ગે તો ત્યાં સુધી કહ્યું છે કે, ટ્રમ્પની આ પોલિસી માત્ર અમેરિકા જ નહીં, આખી દુનિયાને મહામંદીમાં ધકેલી શકે છે અને આ વૈશ્વિક મંદીની અસરો ઘણી જ ગંભીર હશે.
ટ્રમ્પના કદમની બોમ્બ, ટેરર કે એટેક જેવા ભારેખમ શબ્દપ્રયોગ કરીને જે આલોચના થઈ રહી છે, તેમાંથી વૈશ્વિક પ્રત્યાઘાતોની આક્રોશિત જનભાવનાઓ પ્રગટે છે, અને વિવિધ ક્ષેત્રોમાંથી પણ તીવ્ર નારાજગી સાથેના ઘરઆંગણે ચર્ચાઈ રહેલા પ્રત્યાઘાતો પછી ટ્રમ્પ કદાચ થોડા નરમ પડશે, તેવા સંકેતો પણ મળી રહ્યાં છે.
જો કે, ભારતને લાગે-વળગે છે ત્યાં સુધી ભારત પર ર૭ ટકા જેવો ટેરિફ લગાવ્યા પછી પણ એટલો મોટો ફટકો નહીં લાગે, જેટલા નુકસાનની કલ્પના કરવામાં આવે છે, તેવું ભારતીય રિઝર્વબેંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજન સહિતના કેટલાક ફાયનાન્સ એન્ડ બેંન્કીગ સેક્ટરના નિષ્ણાતોનું મંતવ્ય છે.
રઘુરામ રાજને ટ્રમ્પના ટેરિફ એટેકને સેલ્ફ ગોલ ગણાવ્યો છે, જેને ગુજરાતી કહેવત મુજબ પોતાના જ પગ પર કૂહાડો મારવા જેવું કદમ ગણાવી શકાય.
જો કે, ટ્રમ્પે ટેરિફ લગાવ્યા પછી અમેરિકન કસ્ટમર્સને વિપરીત અસરો થતા ડિમાન્ડ ઘટશે અને ટ્રમ્પે ૬૦ દેશો પર નોંધેલા ટેરિફની નેગેટિવ અને પોઝિટિવ અસરોનો સરવાળો-બાદબાકી કરતા એકંદરે ભારતને ઓછી વિપરીત અસર થશે, તેવું રઘુરામ રાજન માને છે.
ભારતની અમેરિકામાં નિકાસ ઓછી થતી હોવાથી આખી ઈન્ડિયન માર્કેટ કે ઈકોનોમીને સીધી અને ગંભીર અસરો થવાની સંભાવના ઓછી છે. અમેરિકાએ ટેરિફ વધારતા ચીન જેવા દેશને પણ ભારતની જરૂરિયાતો મુજબની નવી વ્યાપાર નીતિ અપનાવશે, જેનો ફાયદો પણ ભારતને થઈ શકે છે.
રઘુરામ રાજન માને છે કે, જ્યારે આખી દુનિયા "નેશન ફર્સ્ટ" ની નીતિ અપનાવીને પોતાને "સુરક્ષિત" રાખવાને અગ્રીમતા આપતી હોય, ત્યારે ભારતે પણ ચાલાકીપૂર્વક કામ કરવું જોઈએ. ભારતે યુરોપ, આફ્રિકા અને ચીન સાથે વ્યાપારિક સંબંધો વિકસાવવા ઉપરાંત ચીન સાથે સાવધાનીપૂર્વક અને સમોવડિયા થઈને નવી ફૂડપોલિસી અખત્યાર કરવી જોઈએ.
રઘુરામ રાજન એવું પણ માને છે કે, ભારતે આડોશ-પાડોશના દેશો સાથે સહયોગ વધારીને સંબંધો મજબૂત બનાવવાની જરૂર છે. પડોશી દેશો સાથેના રાજદ્વારી સંબંધો અને મતભેદોની વિપરીત અસરો વ્યાપાર અને આર્થિક વ્યવહાર પર પડવી ન જોઈએ. ચીને તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં પ૪% ટેરિફનો મુદ્દો લઈ જવાનું મન બનાવ્યું છે, તેવા અહેવાલો પછી વૈશ્વિક ટ્રેડ વોર અને સંભવિત મંદીની સંભાવનાઓ વચ્ચે ભારતે "નેશન ફર્સ્ટ" ની નીતિ મુજબ નવા સમીકરણો રચવા પડશે. આ ઉપરાંત ભારતીય મૂળના અમેરિકન સાંસદોના પ્રત્યાઘાતો પણ નોંધનીય છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને તો ટ્રમ્પ પર દગાબાજીનો આરોપ લગાવતા કહ્યું કે, આ કોઈ મિત્ર જેવો વ્યવહાર નથી. ઓસ્ટ્રેલિયાના એકાદ-બે ટાપુ પર તો માનવ વસ્તી જ નથી, ત્યાં લગાવાયેલા રેસિપ્રોેકલ ટેરિફની હાંસી પણ ઉડાવાઈ રહી છે.
ભારતમાં ટ્રમ્પની ટેરિફ નીતિની મિશ્ર અસરો થશે, અને કેટલાક સેક્ટર્સને લાભ પણ થશે, તેવા અભિપ્રાયો અને તેના સંદર્ભે થઈ રહેલી ચર્ચા મુજબ ભારતના જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની પોલિસીથી ગંભીર ફટકો પડવાની સંભાવનાઓ જણાવાઈ રહી છેે, કારણ કે, ભારતમાંથી જ્વેલરી, હીરા, રત્નો, ફાર્મા પ્રોડક્ટસ, ટેલિકોમ્યુનિકેશનના ઉપકરણો, પેટ્રો પ્રોડક્ટસ, ગારમેન્ટસ વિગેરેની નિકાસ થાય છે. બીજી તરફ અમેરિકાએ બીજા દેશો પર લગાવેલા ભારે ટેરિફથી ટેક્સટાઈલ્સ સેક્ટરને ફાયદો થઈ શકશે. જ્યારે કેટલાક સેક્ટરોમાં ટેરિફ નહીં લગાડાતા રાહત પણ થઈ છે. જોઈએ, હવે તબક્કાવાર ટ્રમ્પ ટેરિફના અમલીકરણ પછી શું થાય છે તે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે જામનગર નજીક જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થવાના સમાચારોએ ચિંતા જગાવી હતી, તે પણ દેશવાસીઓ મીઠી ઊંઘ માણી રહ્યાં હશે ત્યારે જાણે કે, ત્રિપલ ધમાકા થયા હોય, તેવી હલચલ દેશ અને દુનિયામાં અનુભવાઈ હતી. દેશમાં જે લોકો સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ નિહાળી રહ્યાં હતાં. તેઓએ ગઈકાલની લગભગ ૧૩ કલાકની લાંબી ચર્ચા પછી લોકસભામાં વકફનું બિલ બહુમતીથી પસાર થયું, તે પછી મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ચર્ચા નિહાળી હશે, તે પછી અમેરિકામાં ટ્રમ્પે ટેરિફ એટેકની જાહેરાત કરી ત્યારે દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો.
ભારતમાં મધ્યરાત્રિ વીતી ગઈ હતી, તેવા સમયે ટ્રમ્પે ભારત પર ૨૬ ટકા સહિત વિવિધ દેશો પર જંગી રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી હતી.
ગઈકાલે મધ્યરાત્રિ પછી બહુમતીથી વકફનું બિલ પસાર તો થયું, પરંતુ તે પહેલા થયેલી લાંબી ચર્ચામાં લગભગ તમામ રાષ્ટ્રીય પક્ષો તથા અપક્ષ સાંસદોએ પણ મન મૂકીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં અને તીખાતમતમતા ભાષણો કર્યા હતાં. વિરોધપક્ષોએ એકજૂથ થઈને મોદી સરકાર પર તડાપીટ બોલાવી હતી અને વકફ બિલ પાછળ સરકારની ગુપ્ત નીતિ-રીતિઓ અંગે આશંકાઓ વ્યક્ત કરી હતી. કેટલાક સાંસદોએ સરકાર બંધારણ પર આક્રમણ કરી રહી હોવાના આક્ષેપો લગાવ્યા હતાં. તો સરકાર તરફથી એનડીએના સાંસદોએ પણ તેટલી જ કડક અને આક્રમક ભાષાના જવાબો આપીને આક્ષેપો ફગાવ્યા હતાં.
લાંબી ચર્ચાના અંતે પાક્કી બહુમતી સાથે વકફ બિલ પસાર થઈ ગયું અને સરકારને વિપક્ષો કરતા પ૩ મતો વધુ મળ્યા, તેથી મોદી સરકાર તથા એનડીએ મજબૂત દેખાયા અને આજે બપોરે આ બિલ રાજ્યસભામાં રજૂ થયા પછી તેના પર લાંબી ચર્ચા થશે અને જો રાજ્યસભા પણ આ બિલ પાસ કરી દેશે, તો તે પછી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે કાયદો બની જશે. જો કે, તે પછી પણ વિરોધપક્ષો દ્વારા આ બિલનો વિરોધ થતો રહેશે અને કદાચ આ મુદ્દો અદાલતની અટારીએ પહોંચે, તો પણ નવાઈ જેવું નહીં હોય, કારણ કે, કેટલાક નેતાઓએ આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે, એવું કહેવાય છે કે, વિપક્ષના એક સાંસદે તો બિલને ત્યાં જ ફાડ્યું, તેમાંથી નવો વિવાદ ઊભો થયો છે.
ગઈકાલે મધ્યરાત્રિ પછી લગભગ બે વાગ્યાની આસપાસ આ બિલ લોકસભામાં પાસ થયું હતું, જેથી આપણાં દેશને અડધી રાત્રે આઝાદી મળી, ત્યારથી લઈને જીએસટીની મંજુરી સુધીના મહત્ત્વના નિર્ણયો સંસદમાં મધ્યરાત્રિ કે મોડી રાત્રે લેવાયા હોવાની ચર્ચા પણ થવા લાગી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમી નવેમ્બર-ર૦૧૬ ની રાત્રે આઠ વાગ્યે નોટબંધીની જાહેરાતનો અમલ પણ તે દિવસે મધ્યરાત્રિથી જ શરૂ થયો હતો ને...?
હજુ તો વકફ બિલ પાસ થયા પછી લોકસભામાં મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસનના મુદ્દે ચર્ચા શરૂ જ થઈ હતી, ત્યાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરનું બ્યુગલ ફૂંક્યુ હતું અને તેનું જીવંત પ્રસારણ વિશ્વભરના ટેલિવિઝન નેટવર્ક તથા રેડિયો બ્રોડકાસ્ટીંગ વિગેરે માધ્યમો દ્વારા થવા લાગ્યું હતું. તેમાં સૌથી પહેલા તેમણે ઓટોમોબાઈલ્સ સેક્ટર માટે રપ% ટેરિફની જનરલ જાહેરાત કરી હતી અને પછી ક્રમશઃ રેસિપ્રોકલ ટેક્સની ઘોષણા કરી હતી. જ્યારે ટ્રમ્પ આ ટેરિફવોરની જાહેરાત કરી રહ્યાં હતા, ત્યારે જ દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો હતો. ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "મિત્રો" ગણાવ્યા, અને હળવેકથી ભારત પર ર૬% ટેરિફ પણ લગાવી દીધો, તે પછી આજે આવી રહેલા પ્રતિભાવોમાં "મોદી-ટ્રમ્પની વ્યક્તિગત દોસ્તી દેશને શું કામની...?" તેવા સવાલો સાથે મોદી સરકારની વિદેશનીતિ તથા અનિર્ણાયક અથવા કન્ફ્યુઝડ પોલિસીની આલોચના પણ થવા લાગી છે, અને હવે બિમ્સ્ટેકમાં પી.એમ. મોદીના વલણ પણ સૌની નજર રહેવાની છે.
ભારત પર ર૬% ટેરિફ લગાવવા છતાં ટ્રમ્પે ભારત સાથે જાણે મિત્રતા નિભાવી હોય તેવા સ્વરમાં કહ્યું કે, ભારત-અમેરિકા પર બાવન ટકા ટેરિફ લગાવે છે, પંરતુ અમે (અમેરિકા) ભારત પર અડધો જ ટેરિફ લગાવ્યો છે...!
જો કે, ટ્રમ્પે પાંચ-સાત અપવાદો સિવાય દુનિયાના અનેક દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવ્યો છે અને રેસિપ્રોકલ ટેરિફ ટેરરની હકીકતમાં જાહેરાત કરીને તેના અમલની તારીખો પણ જાહેર કરી દીધી છે.
ભારત પર ર૬% ટેરિફ અને ઓટોમોબાઈલ પર રપ% ટેરિફના એટેકથી ભારતમાં તો હલચલ મચી જ છે, પરંતુ દુનિયાભરના બજારોમાં આજે જે હડકંપ મચ્યો છે, તે આપણી સામે જ છે. દુનિયાભરના શેરમાર્કેટમાં પણ અફરાતફરી મચી ગઈ છે, અને ભારતનું શેરબજાર પણ પછડાયું છે... ભારત સરકારે તો આ માટે ખાસ કંટ્રોલરૂમ પણ ઊભો કરી દીધો છે...!
ગઈકાલે મધ્યરાત્રિ પછી સંસદમાં વકફ બિલ પાસ થયું અને મણીપુરનું રાષ્ટ્રપતિ શાસન પણ ગુંજ્યું, અને તેની સાથે-સાથે ટ્રમ્પનો ટેરિફ એટેક થયો, તે ત્રિપલ ધમાકાઓના તીવ્ર આફટરશોક્સ આજે પણ આવી રહ્યાં છે., અને ટ્રેડવોર અને જમીન યુદ્ધોમાં અટવાયેલી દુનિયાના તમામ સમીકરણો હવે ધરમૂળથી બદલાઈ જશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
એક રસપ્રદ ઘટના એ પણ બની હતી કે, ટ્રમ્પની સામે ડેમોક્રેટ સાંસદ કોરી બુકરે ત્યાંની સેનેટમાં સોમ-મંગળવારે નોનસ્ટોપ રપ કલાક અને પાંચ મિનિટ સુધી ભાષણ કરીને ટ્રમ્પના મનસ્વી અને આડેધડ નિર્ણયોથી તેમનો દેશ - (અમેરિકા) સંકટમાં હોવાનો આક્ષેપ કર્યો હતો, અને તે પછી ટ્રમ્પે ગઈકાલે ત્યાંના સમય મુજબ સાંજે સાડાચાર વાગ્યે ટેરિફવોરનું બ્યુગલ ફેંકતું આક્રમક ભાષણ કર્યુ હતું. ઘણાં વૈશ્વિક વિશ્લેષકો આ બન્ને ઘટનાક્રમોને જોડીને એવો કટાક્ષ કરી રહ્યાં છે કે, આ એક યોગાનું યોગ હતો, કે પછી પૂર્વ નિર્ધારીત પબ્લિસિટી સ્ટંટ હતો...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં અગ્નિકાંડો અંગેનો વિસ્તૃત વિવરણો લખવામાં આવે, તો કદાચ મહાભારત જેવડો ગ્રંથ રચાઈ જાય. આ માનવસર્જિત અગ્નિકાંડો સંખ્યાબંધ નિર્દોષ લોકોના જીવ લઈ લેતા હોય છે, અને અવારનવાર અગ્નિકાંડો સર્જાતા હોવા છતાં શાસન-પ્રશાસનની ઊંઘ ઉડતી હોય તેમ લાગતું નથી. આ પ્રકારના અવારનવાર સર્જાતા અગ્નિકાંડોનું જવાબદાર કોણ...? તેવો સવાલ આજે ફરીથી ગુંજી રહ્યો છે, અને અગ્નિકાંડ સર્જાય, તે સ્થળના સંચાલકો, માલિકો કે આયોજકો પર કેસ નોંધીને તત્કાળ તપાસના નાટકો થાય અને વર્ષો સુધી કેસ ચાલ્યા કરે, અને મોટાભાગે જામીન પર છૂટી જતા આરોપીઓ મસ્તીમાં મહાલ્યા કરે, તે નક્કર હકીકત જ છે ને...?
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક તદ્દન ગેરકાયદે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા ર૧ જેટલા ગરીબ શ્રમિકોના મૃત્યુ થઈ ગયા અને તેના મધ્યપ્રદેશમાં રહેતા પરિવારો બરબાદ થઈ ગયા, તેની જવાબદારી શું માત્ર તે ફેક્ટરીના માલિકની જ ગણાય...? આવડી મોટી ફેક્ટરી ધમધમતી હોય, તે શું કોઈ ઉચ્ચ અધિકારી, સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ કે અન્ય જનપ્રતિનિધિઓની નજરે જ નહીં ચડી હોય...? સંબંધિત કરપ્ટેડ તંત્રોએ કદાચ તોડબાજી કરી હોય કે હપ્તા ઉઘરાવ્યા હોય, પરંતુ ત્યાંની સ્થાનિક નેતાગીરીએ પણ આંખ આડા કાન કર્યા હોય...? તેવો અણીયારો સવાલ ઉઠી રહ્યો છે, અને તેનો જવાબ કોઈ પાસે નથી.
દુર્ઘટના થઈ ગયા પછી દુઃખ વ્યક્ત થાય, આશ્વાસનો અપાય, સહાયની જાહેરાતો થાય અને તપાસના નાટકો થાય, પરંતુ જેના જીવ ગયા અને જે ગરીબ શ્રમિકોના પરિવારોએ સ્વજન ગુમાવ્યા, તે કમભાગી મૃતકો થોડા પાછા આવવાના છે...?
વડાપ્રધાન, મુખ્યમંત્રી, લોકસભામાં વિપક્ષના નેતા અને કેન્દ્રીય મંત્રીઓ તથા સાંસદો, રાજ્યના મંત્રીઓ તથા અન્ય નેતાઓએ ડીસાની દુર્ઘટના પછી સંવેદના પાઠવી અને દુઃખ વ્યક્ત કર્યુ, રાજય સરકારે એસઆઈટીની રચના કરી, પરંતુ અત્યારસુધી આ ગેરકાયદે ફેક્ટરી ધમધમી રહી હતી ત્યારે સ્થાનિક નેતાગીરી ક્યાં ગઈ હતી...? તે સવાલ તો રાજકીય પક્ષો સામે પણ ઊભો થવો જ જોઈએને...?
એવું કહેવાય છે કે, અને ફેક્ટરીમાં ફટાકડાના ઉત્પાદન માટે કોઈ મંજૂરી જ લેવામાં આવી નહોતી, અને માત્ર ફટાકડાના સંગ્રહ માટે પરવાનગી લઈને ત્યાં ફટાકડા બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગેરકાનૂની દારૂગોળાનો ઉપયોગ કરીને જોખમી ઢબે ફટાકડા બનાવાઈ રહ્યાં હતાં, તેથી આ કેસ કોઈ લાપરવાહી કે માત્ર નિયમભંગ કે પ્રક્રિયાનો નથી, પરંતુ આ સ્થળે કામ કરતા તથા આજુબાજુ વસવાટ કરતા અને અહીંથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મૂકીને ઝડપથી નાણા કમાઈ લેવાનું ઘાતકી કાવતરૂ જ હતું, જે પૂર્વ આયોજીત રીતે સમજી, વિચારીને આચરાયુ હતું, તેથી આને દુર્ઘટના નહી, પરંતુ સામૂહિક હત્યાકાંડ અને પૂર્વ આયોજીત ષડયંત્ર ગણીને કેસ ચલાવવો જોઈએ, તેવો જનાક્રોશ ઉઠતો હોય તો તે અસ્થાને નથી...
ગુજરાતમાં સુરતના તક્ષશીલાથી લઈને રાજકોટના તાજેતરના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સુધીની ભયંકર આગ દુર્ઘટનાઓ, ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉન સળગાવવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ પછી પણ સરકારી તંત્રો, સરકાર કે નેતાઓ જાગ્યા નથી. એમ કહેવાના બદલે એમ કહેવું જોઈએ કે આ તમામ અગ્નિકાંડોમાં થયેલા મૃત્યુ અને નુકસાનોના પાપના ભાગીદાર છે. આને શાસન-પ્રશાસનની ગુનાહિત બેદરકારી જ ગણવી જોઈએ.
ડીસાની દુર્ઘટના પછી રાતોરાત ફેક્ટરીના માલિક પિતા-પુત્રની ધરપકડ થઈ ગઈ અને એસઆઈટી રચાઈ ગઈ, પરંતુ સો મણનો સવાલ એ છે કે, આ દોષિતોને સજા ક્યારે થશે...? વર્ષોના વર્ષો સુધી કેસ ચાલશે, અને સજા થશે, તો પણ મૃતકોના જીવ થોડા પાછા આવવાના છે...?
આ અગ્નિકાંડને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના વિપક્ષના નેતાઓએ સવાલો ઉઠાવ્યા, અને શાસકપક્ષના નેતાઓએ દુઃખ વ્યક્ત કરીને સરકારી સહાયની જાહેરાતો સાથે દોષિતોને કડક સજા થશે, તેવા નિવદનો કર્યા, પરંતુ આજ સુધી આ ગેરકાનૂની ફેક્ટરી ધમધમી રહી હતી, તેની સામે સ્થાનિક રાજનેતાઓ, જનપ્રતિનિધિઓ કે અન્ય અગ્રણીઓએ સવાલ ઉઠાવ્યો હતો ખરો...? તેની પણ તપાસ થવી જોઈએ, અને માત્ર ફેક્ટરીના માલિકો જ નહીં, પરંતુ લોલંલોલ ચલાવી લેનારા (ફેક્ટરીના પ્રારંભથી અત્યાર સુધીના) જવાબદાર અધિકારીઓ સામે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ, અને સ્થાનિક નેતાગીરી તથા ચૂંટાયેલા વિવિધ સ્તરના જનપ્રતિનિધિઓનો ખૂલાસો પણ સંબંધિત રાજકીય પક્ષોએ પૂછવો જોઈએ. આ ફેક્ટરી જે વિસ્તારમાં ધમધમી રહી હતી, તે વિસ્તારના ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓ અને મુખ્ય રાજકીય પક્ષોના જે-તે વિસ્તારના હોદ્દેદારોને હટાવવા સુધીની કાર્યવાહી થવી જોઈએ. જો આવું થશે, તો જ આ પ્રકારના ગોરખધંધા અને ગેરકાનૂની ઘાતક પ્રવૃત્તિઓ અટકશે.
આજે પણ રાજકોટ સહિતના કેટલાક સ્થળોએ નાની-મોટી આગની ઘટનાઓ બની હોવાના અહેવાલો છે. અકસ્માતે આગ લાગવાની ઘટનાઓ ઘટાડવા માટે વ્યાપક જનજાગૃતિની પણ જરૂર છે, જો જનતા નહીં જાગે, તો તંત્રો અને ભ્રષ્ટ પરિબળોની સાઠગાંઠ આવી રીતે જ ચાલતી રહેવાની છે, તેથી જાગો...ગુજરાતીઓ... જાગો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દેશભરમાં એક ખબર આગની જેમ ફેલાવા લાગી અને એવા અનુમાનો થવા લાગ્યા કે આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજકીય ક્ષેત્રે મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુરમાં આર.એસ.એસ.ની લીધેલ મુલાકાતને લઈને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા સંજય રાઉતે આપેલા નિવેદને ગઈકાલે સમગ્ર દેશમાં અને વિશ્વમાં પણ ખળભળાટ મચાવી દીધો હતો.
અહેવાલો મુજબ સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસના હેડક્વાર્ટરમાં જઈને આગામી સપ્ટેમ્બરથી પોતે (નરેન્દ્ર મોદી) વડાપ્રધાન પદેથી રિટાયર થઈ રહ્યાં હોવાની રજૂઆત કરી દીધી છે.
રાઉતના કહેવા મુજબ સપ્ટેમ્બર-ર૦રપ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉંમર ૭પ વર્ષની થઈ જશે, અને તે પછી તેઓ પાર્ટીએ નક્કી કરેલી ઉંમર મર્યાદા મુજબ જ "નિવૃત્ત" થઈ જશે. તેમણે કહ્યું કે, ૧૧ વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘના હેડક્વાર્ટરમાં ગયા ત્યારે તેઓની નિવૃત્તિની ઈચ્છા જાહેર કરી હોય શકે છે.
સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાન કોણ બનશે, તે અંગેની ચર્ચા કરી હોવાના મીડિયાના અહેવાલો પછી દેશભરમાં અટકળો અને અફવાઓનું બજાર ધગધગી રહ્યું હતું અને એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. લોકો ત્યાં સુધી કહેવા લાગ્યા હતાં કે, સપ્ટેમ્બર-ર૦રપ સુધીમાં નરેન્દ્ર મોદી પોતાના જ કાર્યકાળમાં સમાન સિવિલ કોડ અને પીઓકે પાછું મેળવવા માટેના સામૂહિક કદમ ઉઠાવી શકે છે. એનડીએમાં આંતરીક વિરોધ છતાં વકફ બીલને લઈને મોદીની મક્કમતાને પણ આ જ અટકળો સાથે સાંકળવામાં આવી રહી છે.
લોકો એવી અટકળો પણ કરી રહ્યાં છે કે, જો બોલકા નેતા સંજય રાઉતની વાતમાં દમ હોય તો મોદીની ગેરહાજરીમાં એનડીએની સરકાર ચલાવવી લોઢાના ચણા ચાવવા જેવી હશે અને એનડીએ વિખેરાઈ જાય, તો ઈન્ડિયા ગઠબંધનમાં પણ ઘણાં મુરતિયા (અને મહિલા નેતાઓ પણ) વડાપ્રધાન પદે બેસવા થનગની રહ્યાં છે, ત્યારે કદાચ સપ્ટેમ્બર-ર૦રપ માં દેશમાં મોટી રાજકીય ઉથલપાથલ પણ થઈ શકે છે અને પ્રવાહી સ્થિતિમાં લોકસભાની મધ્યાવધી ચૂંટણીઓ પણ કરવી પડે તેવા સંજોગોનું નિર્માણ થઈ શકે છે.
સંજય રાઉતના નિવેદનની હાંસી ઉડાવતા પણ કેટલાક કટાક્ષો થઈ રહ્યાં છે. ઘણાં લોકો એવું માને છે કે, સંજય રાઉત "એપ્રિલ ફૂલ" ની માનસિકતામાં ૩૧-માર્ચે જ પહેલી એપ્રિલ સમજીને આ નિવેદન કરી બેઠા હોય તેવું લાગે છે...!
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સંજય રાઉતના એ નિવેદનને ફગાવી દેતા તત્કાળ પ્રતિભાવ આપ્યો અને કહ્યું કે, નરેન્દ્ર મોદી વર્ષ-ર૦ર૯ સુધી વડાપ્રધાન રહેવાના જ છે. ફડણવીસે કહ્યું કે, બાપની હાજરીમાં જ તેના ઉત્તરાધિકારીની ચર્ચા કરવાની આપણી સંસ્કૃતિ જ નથી...!!
અટકળોની આંધી વચ્ચે આજે થઈ રહેલા નિવેદનો પણ ચર્ચામાં છે, ભારતીય બંધારણમાં લોકસભાના સભ્ય થવા માટે રપ વર્ષ અને રાજ્યસભાના સભ્ય થવા માટે ૩૦ વર્ષની લઘુત્તમ ઉંમર નિર્ધારીત છે, પરંતુ મહત્તમ ઉંમરની કોઈ મર્યાદા નથી. જેથી વડાપ્રધાને પદે મોદી ૭પ વર્ષની ઉંમર પછી પણ રહી શકે છે. ભારતીય જનતાપક્ષના મુરલી મનોહર જોશી, એલ.કે. અડવાણી સહિતના નેતાઓને ૭પ વર્ષની વયમર્યાદાના સંદર્ભે માર્ગદર્શક મંડળમાં સમાવાય તેવું નરેન્દ્ર મોદી સાથે નહીં થાય, અને ભાજપમાં ૭પ વર્ષની વયમર્યાદાનો કોઈ જડ નિયમ છે જ નહીં, તેવા દાવાઓ થઈ રહ્યાં છે, અને ભાજપના દિગ્ગજો આ બધી અટકળોને હવાહવાઈ ગણાવી રહ્યાં છે, ત્યારે જોઈએ, આગે-આગે હોતા હૈ ક્યા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ભારત સહિત વિશ્વમાં ઈદ-એ-મિલાદ એટલે કે, રમઝાન ઈદની ઉજવણી થઈ રહી છે, અને દેશભરમાં અને વિશ્વના અન્ય દેશોમાં વસતા ભાવિકો દ્વારા ચૈત્રી નવરાત્રિની ઉજવણી પણ થઈ રહી છે. આ તહેવારો સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપ અને સૌજન્યનો સંદેશ આપે છે, અને વિશ્વભરમાં આ તહેવારો એખલાસ, એકતા અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ બન્ને તહેવારોનો સુભગ સમન્વય દેશ-દુનિયા માટે પ્રવર્તમાન સંજોગોમાં સમજદારી, શાંતિ અને સૂલેહનો સંદેશ પણ આપે છે.
ગઈકાલથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે અને માતૃભક્તો વ્રતો, અનુષ્ઠાનો, પૂજન-અર્ચન અને સેવાકાર્યો, દાન-૫ુણ્ય સાથે નવરાત્રિ ઉજવી રહ્યાં છે. આ નવરાત્રિનું સમાપન રામનવમીના દિવસે થશે. કેટલાક લોકોના અભિપ્રાય મુજબ આ વર્ષે આઠ દિવસ સુધી ચૈત્રી નવરાત્રિ ઉજવાશે, અને સાતમી એપ્રિલ સુધી ચાલશે. આ શક્તિ ઉપાસનાનો તહેવાર છે. જે ભાવિકો વિવિધ રીતે ઉજવે છે.
આજે ભારત સહિત વિશ્વમાં ઉજવાઈ રહેલી રમઝાન ઈદને મીઠી ઈદ પણ કહે છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો સુંદર વસ્ત્રો પરિધાન કરીને એકબીજાને ભેટીને શુભકામનાઓ આપે છે અને સેવ ઈ અને મીઠાઈઓ ખવડાવે છે. દિવાળીના પર્વની જેમ જ આ તહેવાર પણ પરસ્પર કોમી એખલાસ અને સહિયારી સંસ્કૃતિનો ઘાતક છે અને અન્ય ધર્મ-સંપ્રદાયના લોકો પણ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવે છે, અને પરસ્પર સ્નેહ પ્રગટ કરે છે. ચૈત્રી નવરાત્રિ અને ઈદનો આ સુભગ સમન્વય સમગ્ર સૃષ્ટિ માટે સુખ, શાંતિ, સંપ, સમૃદ્ધિ અને સૌજન્યનો સંદેશ આપે છે. આપણા દેશમાં પ્રત્યેક ધાર્મિક તહેવારો પણ પરસ્પર આદર, સન્માન અને એખલાસ સાથે ઉજવાય છે, જેમાં કેટલાક પરિબળો ખલેલ પહોંચાડવાના પ્રયાસો પણ કરતા હોય છે, પરંતુ તેવા પરિબળોની અવગણના કરવી જોઈએ અને તેઓને બહુ મહત્ત્વ ન આપવું જોઈએ.
જો કે, આપણા દેશમાં કેટલાક સ્થળે વિશેષ બંદોબસ્તો કરવા પડી રહ્યા છે, અને તોફાની તત્ત્વોની સામે કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્રો દોડધામ કરી રહ્યા છે, દેશની શાંતિ જોખમાવવા પ્રયાસો કરતા પરિબળોનો કોઈ ધર્મ હોતો નથી અને તેવા પરિબળોને સખ્તાઈથી દૂર કરવા જોઈએ, પછી તે કોઈ પણ ધર્મ-સંપ્રદાય, વર્ગના હોય તો પણ તેને છોડવા ન જોઈએ. આ પ્રકારની માંગણીઓ પણ થતી રહે છે, દાવાઓ પણ થતા રહે છે, તેમ છતાં દેશના કેટલાક વિસ્તારોમાં વિશેષ પ્રબંધો કરવા પડતા હોય તો તે શું સૂચવે છે...?... સૌ કોઈ માટે આ મુદ્દો આત્મમંથન કરવાની જરૂર નથી લાગતી...?
આજે મહારાષ્ટ્રના રાજનેતા રાજ ઠાકરે અને ગુજરાતના કદાવર નેતા નીતિનભાઈ પટેલે કરેલા નિવેદનોએ જે ખળભળાટ મચ્યો છે, તે શું સૂચવે છે...? જરા વિચારો...
એક તરફ સંસદમાં વકફનું બીલ રજૂ કરવાની વાતો ચાલે છે, તો બીજી તરફ ચંદ્રબાબુ નાયડુ અને નિતીશકુમાર વકફ બીલ સાથે સહમત નહીં હોવાની વાતો થઈ રહી છે. નિતીશકુમાર હવે એનડીએ નહીં છોડે, તેવો દાવો કરી રહ્યાં હોવા છતાં કોઈને તેના પર વિશ્વાસ નથી, તેથી મોદી સરકાર જેડીયુ અને ટીડીપીની કાંખ ઘોડીઓ પર હોવાથી ગમે ત્યારે ગબડી શકે છે, તેવા અનુમાનો પણ થઈ રહ્યાં છે, બીજી તરફ બિહારની ચૂંટણીઓમાં બન્ને તરફથી ફાયદો મેળવવા માટે વકફનું બીલ લટકતું રાખવાની ગુપ્ત રણનીતિ હોવાનું પણ કહેવાય છે.
બીજી તરફ ટ્રમ્પે ઈરાન પર પરમાણું કરાર કરવાનું દબાણ ઊભું કરવા બોમ્બમારો કરવાની આપેલી ધમકી અને રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા અને સ્વાસ્થ્ય વિષે વિવિધ અહેવાલોના સ્વરૂપમાં થઈ રહેલા ધમાકાઓ વચ્ચે વૈશ્વિક શાંતિ પણ જોખમાઈ રહી છે, ત્યારે ચૈત્રી નવરાત્રિ અને ઈદ જેવા તહેવારોમાંથી નીકળતો શાંતિ, સંપ અને સૌજન્યનો સંદેશ વિશ્વસ્તરે ફેલાય અને વિશ્વ સંઘર્ષો, યુદ્ધો અને વિવાદોમાંથી બહાર આવીને સુખ, સારા સ્વાસ્થ્ય અને શાંતિના માર્ગે આગળ વધે તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણા દેશને અડધી રાતે આઝાદી મળી હતી તે પછી પણ કેટલાક મહત્ત્વના નિર્ણયો અડધી રાતે લેવાતા રહ્યા છે, તો કેટલાક નિર્ણયો અડધી રાતથી લાગુ કરાતા હોય છે.
ગત્ મધરાતથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર કોર્પોરેશને બસભાડામાં ૧૦ ટકા સુધીનો વધારો ઝીંકી દેતા રાજ્યના લાખો મુસાફરોને ઝટકો લાગ્યો છે અને એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંઘવારીના માર વચ્ચે પિસાઈ રહેલા સામાન્ય લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
એસ.ટી.ના ભાડા વધતા જ હવે ખાનગી ટ્રાવેલ્સમાં પણ બસભાડા કદાચ વધી જશે. એટલું જ નહીં, ટેક્સી સેવા પણ મોંઘી થઈ શકે છે, જેથી કાયમી ભરચક્ક રહેતી ટ્રેનોમાં પણ ભીડ વધશે, જેના કારણે એક નવી જ સમસ્યા ઊભી થઈ જશે. એવું કહેવાય છે કે ૪૮ કિલોમીટર સુધીની મુસાફરી પર એક રૂપિયાથી ચાર રૂપિયા સુધીનું ભાડું વધી જશે. ભલે આ આંકડો સામાન્ય લાગતો હોય, પરંતુ કામધંધા માટે દરરોજ મુસાફરી કરતા લોકો, ખેતી માટે ચીજવસ્તુઓ ખરીદવા કે અન્ય કામે મુસાફરી કરતા નાના ખેડૂતો, પારિવારિક, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કે વ્યવહારિક કામો માટે એસ.ટી.ની મુસાફરી કરતા મુસાફરોને ૪૮ કિ.મી. કે તેથી વધુ મુસાફરી કરે તેના પર વધુ બસભાડું ચૂકવવું પડશે, તેથી ગરીબ-નિમ્ન મધ્યમ વર્ગિય પરિવારોના બે છેડા ભેગા કરવામાં વધુ મુશ્કેલી પડશે, તે નક્કી છે.
જો કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘણાં લાંબા સમયગાળા પછી ગુજરાતના એસ.ટી. કોર્પોરેશને બસભાડા વધાર્યા છે. એવો દાવો પણ કરાયો છે કે નિમયાનુસાર ૬૮ ટકા બસભાડા વધારવાનો પ્રસ્તાવ હતો, પરંતુ ગરીબ-નાના વર્ગોને ધ્યાને રાખીને જ સરકારે માત્ર ૧૦ ટકા બસભાડું વધાર્યું છે, જે મનફાવે તેવા ભાડા લેતી કેટલીક પ્રાઈવેટ બસ સર્વિસો કરતા ઘણું ઓછું છે!!
જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા વધારાયેલા આ બસભાડાને લઈને રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને પ્રેસ-મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
આંકડાઓ મુજબ જો દરરોજ ર૭ લાખથી વધુ મુસાફરો એસ.ટી. બસોમાં મુસાફરી કરતા હોય તો આજથી મીનીમમ ર૭ લાખથી ૧૦૮ લાખ રૂપિયા કે તેથી વધુ રકમની એસ.ટી.ની આવક વધી જશે અને સામાન્ય મુસાફરોના ગજવામાંથી આ જંગી રકમ ખંખેરાઈ જશે, તેવો અંદાજ લગાડી શકાય. આ અંદાજીત આંકડો છે, પરંતુ મુસાફરોની સંખ્યા અને મુસાફરોનું અંતર વધે, તેમ આ રકમ વધતી જશે. એટલે કે રાજ્યની ભાજપ સરકારે આજથી રાજ્યની જનતા પર કરોડો રૂપિયાનો વધારાનો બોજો ઝીંકી દીધો છે.
આ આંકડો તો માત્ર એસ.ટી.નો છે, પરંતુ એસ.ટી. પછી પ્રાઈવેટ ટ્રાવેલ્સવાળા પણ જો બસભાડા વધારશે, તો પબ્લિક પર વધુ બોજ પડે. ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા કેટલાક લોકો એવું પણ માને છે કે, એસ.ટી.ના બસભાડામાં વધારો થતા પ્રાઈવેટ બસો તરફ મુસાફરોનો ધસારો વધારવાની તક ઝડપવા જેવી છે!!
દરરોજ ૮૩૦૦ થી વધુ એસ.ટી. બસો દરરોજ ૪ર હજારથી વધુ ટ્રીપ (ફેરા) કરીને ૩પ લાખ કિલોમીટર જેટલા અંતર કાપતી હોય, તો તેની પાછળ થતા ખર્ચના હિસાબે ગણતરી કરીને જ બસોના ભાડામાં વધારો કરવો પડ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે, અને એસ.ટી. દ્વારા વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, અન્ય માસિક યોજનાઓ વગેરેમાં કન્સેશન અને કેટલાક કિસ્સાઓમાં દિવ્યાંગોના એક સાથીદારને પણ નિઃશુલ્ક કે અડધી ટિકિટે મુસાફરીનો લાભ અપાય છે, તે ઉપરાંત પણ પત્રકારો, ધારાસભ્ય વગેરેને નિઃશુલ્ક કે અડધી ટિકિટ લઈને મુસાફરી કરવાના લાભો અપાતા હોય તો તેની અસરોના પરિણામે આ ભાડા વધારો નાછૂટકે અને લઘુતમ પ્રમાણમાં કરાયો હશે, તેવી દલીલ થઈ રહી હોય, ત્યારે કન્ફ્યૂઝન ઊભું થાય, તે પણ સ્વાભાવિક જ છે, પરંતુ સામાન્ય મુસાફરો પર આ વધારો ઝીંકવાના બદલે લક્ઝરિયસ સેવાઓ તથા અન્ય ક્ષેત્રે આવક વધારવાના પ્રયાસો જીએસઆરટીસીએ કરવા જોઈતા હતા, તેવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.
બસના ભાડામાં વર્ષો પછી વધારો થાય, તે સમજાય, પરંતુ તે મુજબ એસ.ટી. બસોની સુવિધાઓ, સ્વચ્છતા, વિવેકી સર્વિસ અને જરૂર મુજબના સુધારા-વધારા પણ થવા જરૂરી છે. તે ઉપરાંત હવે ટિકિટના દર પાંચ રૂપિયાના ગુણાંકમાં રાઉન્ડ ફીગરમાં અને મુસાફરોને ફાયદો થાય, તેવી રીતે નક્કી કરવા જોઈએ, જેથી છૂટા રૂપિયાની રોજીંદી રકઝક દૂર થાય અને મુસાફરોને એક, બે કે ત્રણ રૂપિયા જતા કરવા પડે, તેવી સ્થિતિને ટાળી શકાય. મોંઘવારીનો આ માર ખમી રહેલી જનતાનો અવાજ મક્કમતાથી કોઈ ઊઠાવશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં ફ્લાય ઓવર બ્રીજ બની રહ્યો છે, તેવી જ રીતે ઓવરબ્રીજ બની રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સંખ્યાબંધ વિકાસના કામો ચાલી રહ્યા છે, અને જુદા જુદા સ્થળે ગેરકાયદે દબાણો હટાવાઈ રહ્યા છે. કેટલાક સ્થળે નોટીસ આપ્યા વિના જ નાની-મોટી પાડતોડ શરૂ થતા જામનગરની જેમ પબ્લિકને તકલીફ પડ્યા પછી જાહેરનામું બહાર પાડવાની નોબત પણ આવી શકે છે.
ગુજરાતમાં થઈ રહેલા અર્બન ડેવલપમેન્ટની ચર્ચા ગલી-મહોલ્લાથી લઈને વિધાનસભામાં ગલિયારાઓ સુધી થઈ રહી છે, અને ચોતરફ નિર્માણાધિન શહેરી વિકાસના કામોની વાહવાહી પણ મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને સાંકળીને કરવામાં આવી રહી છે.
સિક્કાની બીજી બાજુની જેમ રાજ્ય સરકારનું અર્બન ડેવલપમેન્ટ ડિર્પાર્ટમેન્ટ ભ્રષ્ટાચારની દિશામાં પણ ગતિની હરણફાળ ભરી રહેલું હોય, તેવા અહેવાલો વહેતા થયા પછી તેના પ્રત્યાઘાતો રાજ્યની તથા દેશની રાજધાની સુધી પડઘાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયામાં થઈ રહેલી ચર્ચાઓ તથા કોમેન્ટો મુજબ વર્ષ ર૦ર૩ માં રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ હતી. તકેદારી પંચના આંકડાઓને ટાંકીને થઈ રહેલી ચર્ચા મુજબ એક જ વર્ષમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ સાથે ભ્રષ્ટાચારની ર૧૭૦ ફરિયાદો નોંધાઈ હતી.
આ અહેવાલ મુજબ ભ્રષ્ટાચારની ફરિયાદોમાં એ વર્ષમાં બીજા ક્રમે મહેસુલ વિભાગ અને ત્રીજા ક્રમે પંચાયત અને ગૃહનિર્માણ વિભાગ ૧૮૦૦ થી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો સાથે રહ્યું હતું.
વર્ષ ર૦ર૩ માં આશ્ચર્યજનક રીતે ગૃહવિભાગમાં ૧ર૪૧ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ હતી, તે પછી શિક્ષણ વિભાગ રહ્યો હતો. આ આંકડાઓ મુજબ પાણી, વીજળી, પરિવહન અને પ્રદૂષણ નિયંત્રણ વગેરે બોર્ડ-નિગમો-કોર્પોરેશનોમાં પણ ભ્રષ્ટાચારની નોંધપાત્ર ફરિયાદો નોંધાઈ હતી. આ આંકડાઓમાં બીજી નવાઈ પમાડે તેવી વાત એ છે કે એસીબી દ્વારા એ વર્ષમાં નોંધાયેલા કેસોમાં વર્ગ-૧ અને વર્ગ-૪ ના અધિકારીઓ-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના કેસો ડબલ ડિજિટમાં પણ નથી, જ્યારે વર્ગ-૩ ના ૧૦૦ થી વધુ અને વર્ગ-ર ના ર૯ તથા વચેટિયાઓ સામે સૌથી વધુ ૧૩ર જેટલા કેસો નોંધાયા છે!!!
આ તો માત્ર નોંધાયેલા એક જ વર્ષના આંકડા છે. કેટલાક કેસો નોંધાયા જ નહીં હોય, કેટલાક કેસોમાં વિલંબ થયો હતો, તો સંખ્યાબંધ 'સહમત પીડિતોએ' ફરિયાદ જ નહીં નોંધાવી હોય, તેથી જ એવું કહેવાય છે કે લાંચ લેનાર જેટલો દોષિત ગણાય, તેટલો જ દોષિત લાંચ આપનાર પણ ગણાય? લાંચ આપનારા બધા લોકો ફરિયાદ નોંધાવતા હોતા નથી, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?
એવા અહેવાલો છે કે રીપેરીંગ માટે રંગમતી ડેમના દરવાજા ખોલવાના કારણે લાખોટું તળાવ પાણીથી ભરાઈ જશે, પરંતુ લાખોટા તળાવને જોડતી કેનાલ જ ઔદ્યોગિક ગંદકીના પ્રદૂષિત પાણીથી ભરેલી પડેલી હોવાથી તેની સફાઈ બે દિવસમાં કેવી રીતે થશે, તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ પણ ઊઠે છે કે જો કેનાલમાં પ્રદૂષિત પાણી હકીકતે કોઈ છોડી રહ્યું હોય તો તેનું જવાબદાર કોણ? આ પણ શહેરી વિકાસની પ્રક્રિયામાં ખદબદતા ગંધાતા ભ્રષ્ટાચારનો પ્રત્યક્ષ પુરાવો જ છે ને? એવો સવાલ ઊઠાવાઈ રહ્યો છે કે, પ્રદૂષિત પાણીવાળી કેનાલમાંથી પસાર થઈને રંગમતી ડેમનું પાણી તળાવમાં આવશે, તો તળાવની જીવસૃષ્ટિ મરી જશે. તે ઉપરાંત તળાવની ફરતે આવેલા શહેરના બોર-ડંકી દ્વારા આ પાણી લોકો પીવા લાગશે, તો તેઓનું આરોગ્ય પણ જોખમાશે. જો હકીકતે આવી જ સ્થિતિ ઊભી થઈ હોય તો તે લાપરવાહી નહીં, પરંતુ અર્બન કરપ્શનનું જ દૃષ્ટાંત ગણાવું પડે.
જામનગરમાં કચરાની ગાડીઓ દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન તથા તેના ઈજારા અંગે પણ શંકાસ્પદ હિલચાલની ચર્ચા થઈ રહી છે. હવે અઢી-અઢી વર્ષ હોદ્દાઓ બદલાતા હોય અને પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય, ત્યારે કોઈપણ પ્રકારનો ઈજારો એક દાયકા માટે આપવાની પેરવી થતી હોય તો તે શું સૂચવે છે?... જરા વિચારો...
એક કવિએ અલંકૃત ભાષામાં અને શબ્દોમાં લખેલી કવિતામાં લખ્યું છે કે, જ્યારે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ત્યારે ભસ્મકણી પણ બચશે નહીં, મતલબ કે જ્યારે ભૂખથી પીડાતા લોકોનો વિદ્રોહ થશે, ત્યારે તેના ગંભીર પરિણામો આવશે, જો કે અત્યારે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બધાએ એકસંપ થઈને રાતોરાત પોતાના પગાર-ભથ્થા વધારી દીધા છે, અને પોતાનો જઠરાગ્નિ તૃપ્ત કરી લીધો છે. પરંતુ નાના નોકરિયાતો-કર્મચારીઓને નાની-નાની માંગણી કરવી પડી રહી છે, ત્યારે કહી શકાય કે હમામ મેં સબ નંગે હૈ... યે દેશ કા ક્યા હોગા...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં વીઆઈપી કે રાષ્ટ્રીય કક્ષાના વીવીઆઈપી આવે, ત્યારે એરપોર્ટ અથવા એરફોર્સમાં તેઓનું વિમાન કે હેલિકોપ્ટર ઉતરાણ કરે, અને તે પછી કાર્યક્રમના સ્થળે જાય, સરકીટ હાઉસમાં જાય છે. આ સમયે એરપોર્ટ કે એરફોર્સથી લાલબંગલા સુધીના માર્ગો તથા જે-તે મહાનુભાવોના કાર્યક્રમના સ્થળ સુધીના માર્ગો તદ્દન સાફ-સુથરા થઈ જાય, દવા છંટકાવ થઈ જાય, રખડતા ઢોર, અને આવારા શ્વાન હટી જાય અને જ્યાં પોલ ખુલી જાય, તેવા આજુબાજુના સ્થળો છુપાવવા બન્ને સાઈડમાં કામચલાઉ પાર્ટીશન ઊભા કરીને પડદા લાગી જાય, તે જામનગરની જનતાએ અવાર-નવાર જોયું જ હશે. ઘણી વખત ગવર્નર કે નેવીના સર્વોચ્ચ સત્તાધીશો આવે અને આઈએઅએસ વાલસુરા તરફ જાય, ત્યારે એરપોર્ટ કે એરફોર્સ ચોકડીથી દિગ્જામ મીલ, બેડીબંદરવાળા રોડ ઉપર પણ આવું જ "કામચલાઉ" પરિવર્તન થતુ જોવા મળે.
આ સ્થાનિક તંત્રો અને નેતાઓની તરકીબ માત્ર જામનગરમાં જ અજમાવાતી હોય તેવું નથી, પરંતુ અન્ય શહેરોમાં પણ આવું જ હંગામી અથવા પ્રાસંગિક પરિવર્તન થતું હોય છે, અને ત્યાંના નગરજનો પણ આવા "દુર્લભ" બદલાવ હંગામી ધોરણે થતો જૂએ ત્યારે બોલી ઉઠતા હશે કે, "આજે કોઈક (વીઆઈપી કે વીવીઆઈપી) આવવાનું લાગે છે...!!!
એવું નથી કે આ પ્રકારની ચબરાકીભર્યા "ટેમ્પરરી એકસન્સ" થી આગંતૂક મહાનુભાવ - વીઆઈપી કે વીવીઆઈપીથી અજાણ હોય છે અથવા માહિતગાર હોતા નથી. આ પ્રકારની "તડામાર તૈયારીઓ" ની તેઓને પણ પૂરેપૂરી ખબર જ હોય છે, પરંતુ સ્વાભાવિક રીતે તેઓની પણ આ પ્રકારની ડ્રામેબાજીમાં મૂક સંમતિ જ હોય છે.
જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ અને મોરબીની મુલાકાતો દરમિયાન સ્થાનિક તંત્રો અને નેતાગીરીને કરેલી "ટકોર" પછી એ પુરવાર થઈ ગયું છે કે, સરકાર અને મહેમાન (વીઆઈપી કે વીવીઆઈપી) ને એ ખબર જ હોય છે કે તેઓની મુલાકાત સમયે જ આવી ચોક્કસાઈ રખાતી હોય છે, પરંતુ તેમાંથી જ કેટલાક સવાલો પણ ઉઠે છે, કેટલાક પોથીના પંડિતો સવાલો ઉઠાવવા સામે પણ સવાલો ઉઠાવતા હોય છે, પરંતુ જો સવાલો જ નહીં ઉઠે તો જવાબો પણ નહીં મળે, રાઈટ...?
મુખ્યમંત્રીએ ભલે જાહેર કાર્યક્રમોમાં ટકોરો કરી હોય કે "નેતાઓ આવે ત્યારે જ સફાઈ કરવાના બદલે કાયમી ધોરણે સફાઈ કરજો", પરંતુ "શેઠની શિખામણ ઝાપા સુધી" ની કહેવતની જેમ સ્થાનિક નેતાઓ અને તંત્રો બીજા જ દિવસે આ ટકોર ભૂલી ગયા હશે અથવા હળવી મજાક કે ઝુમલો ગણીને અવગણી રહ્યાં હશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઝીણી નજરવાળા છે અને કાર્યક્રમમાં કોઈ સ્થાનિક નેતાની અવગણના થઈ હોય કે આંતરિક ખેંચતાણના કારણે કોઈ મહત્ત્વના લોકલ નેતાને યોગ્ય સ્થાન ન અપાયું હોય, ત્યારે મુખ્યમંત્રી નામ જોગ ઉલ્લેખ કરે છે અથવા "ક્યાંય દેખાતા કેમ નથી...?" તેવી ટકોર કરીને પાર્ટીના સ્થાનિક નેતૃત્વને પણ ઢંઢોળતા હોય છે.
જો કે, નિયમિત સ્વચ્છતા, સુશોભન, સારા માર્ગો અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિઓ કાયમી ધોરણે થતી રહે, તે માટે માત્ર આ પ્રકારની "ટકોર" કામ નહીં લાગે, બલ્કે ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે "ટકોરા" પણ મારવા પડશે... તંત્રો અને નેતાઓને સુધારવા "ટકોરા" કેવી રીતે મારવા, તે તો ભૂપેન્દ્રભાઈએ તેઓના રાષ્ટ્રીય નેતૃત્વ પાસેથી શિખી જ લીધુ હશેને...?
હમણાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શ્રેણીબદ્ધ આકરા કદમની આખી દુનિયામાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો ઉકેલવા તો ભારત સરકારે એક આખું પ્રતિનિધિમંડળ પણ મોકલવું પડ્યું, પરંતુ ભારત પાસેથી "પ્રેરણા" મેળવીને ટ્રમ્પે અમેરિકામાં પણ વિદેશી મહેમાન (વીવીઆઈપી) ના આગમન સમયે આજુબાજુની ઝુંપડપટ્ટી કે અયોગ્ય દૃશ્યો દેખાય ન જાય તે માટે પાર્ટીશન ઊભા કરાવ્યા હોવાના અહેવાલો આવ્યા હતાં.... જો આ પ્રકારની "પ્રેરણા" ટ્રમ્પે ભારતીય નેતાગીરી કે તંત્રો પાસેથી મેળવી હોય તો તે "ગૌરવપ્રદ" ન ગણાય...?.... વિચારો...
ગુજરતના શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે વીવીઆઈપી કે વીઆઈપીની મુલાકાતો સમય આ પ્રકારનો "ઢાંકપિછોડો" થતો હોય અને તે અંગે જો ત્રિપલ એન્જિનની સરકાર અને શાસક પક્ષની ત્રિસ્તરિય નેતાગીરી પણ માહિતગાર જ હોય, તો સવાલ એ પણ ઉઠે છે કે, આ પ્રકારનો "ઢાંક પિછોડો" કરવાનો અર્થ શું...? આવો "દેખાડો" શા માટે કરાતો હશે...?
તેનો જવાબ એ હોય શકે કે આ પ્રકારના પૂર્વ આયોજીત પ્રબંધો "કેમેરા" ની આંખોથી બચવા માટે કરાતા હશે. પ્રેસ મીડિયા જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના એક્ટિવ પબ્લિક "રિપોર્ટરો" ના હાથવગા મોબાઈલ સેલફોનના કેમેરાઓમાં "અનિચ્છનિય" દૃશ્યો ઝડપાઈ જાય, તેની તકેદારી રખાતી હોય, તેવું બની શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એવા અહેવાલો આવ્યા છે કે પહેલી મે થી કેટલીક બેન્કીંગ સેવાઓના ચાર્જીસ વધી જશે. આરબીઆઈની મંજુરીથી એટીએમ ઈન્ટરચેઈન્જના ચાર્જમાં વધારો લાગુ થઈ જશે. એટલે કે પોતાનું જે બેંકમાં ખાતું હોય, તે સિવાયની અન્ય બેંકના એટીએમમાંથી નાણા ઉપાડવાનો ચાર્જ વધી જશે. રિઝર્વ બેંકે આ નિર્ણય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રસ્તાવ પર લીધો છે. વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરોને ટાંકીને એવું જણાવાઈ રહ્યું છે કે વધી રહેલા ખર્ચને કારણે આ વધારો કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત પોતાની જ બેંકના એ.ટી.એમ.માંથી પણ નિર્ધારિત કરાયેલી મર્યાદાથી વધુ વખત ટ્રાન્ઝેક્શન કરવા માટેનો ચાર્જ પણ વધી જશે.
ઘણી નાની નાની બેંકો પાસે ખૂબ જ ઓછા એટીએમ છે. એટલું જ નહીં, તમામ બેંકોના એટીએમ તમામ સ્થળે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોવાથી કસ્ટમરોએ (જનતાએ) ફરજિયાત અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરવો પડી રહ્યો હોવાથી નારાજગી વધી રહી છે.
જો કે, બેન્કીંગ ક્ષેત્રના વર્તુળોનો દાવો એવો છે કે ઈન્ટર ચાર્જીસ વધવાથી લોકો પોતાની જ બેંકના ખાતા સાથે જોડીને ડિજિટલ પેમેન્ટ વધારશે અને રોકડ કાઢવાની માનસિક્તામાંથી બહાર આવીને યુપીઆઈ અને મોબાઈલ બેન્કીંગનો વધુને વધુ ઉપયોગ કરતા થશે.
અહેવાલો મુજબ ગ્રાહકોએ બેલેન્સ ચેક કરવું હોય, તો હવે સાત રૂપિયાનો (હિડન?) ચાર્જ કપાઈ જશે, જ્યારે એટીએમની નિર્ધારીત મર્યાદાથી વધુ થતા રોકડ ટ્રાન્ઝેક્શન (ઉપાડ) પર હવે ૧૯ રૂપિયા જેવો ચાર્જ કપાઈ જશે, એટલે કે ગ્રાહકોની એકાઉન્ટમાંથી ડાયરેક્ટ આ ચાર્જીસ કપાતા રહેશે, જેની લોકોને ખબર પણ નહીં પડે!
આ પ્રકારે ચાર્જીસ વધારીને ડિજિટલ ઈન્ડિયા માટે પ્રેરક ગણાવાઈ રહ્યા છે, તેની સાથે કેટલા લોકો સંમત હશે?... જરા વિચારો...
અત્યારે પ્રાઈવેટ સેક્ટર જ નહીં, પરંતુ પબ્લિક સેક્ટરમાં એક જ પ્રકારની 'મોડસ ઓપરેન્ડી' ચાલી રહી છે. પહેલા લોકોને કોઈ વસ્તુની ટેવ પાડવી અને પછી તેમાં ચાર્જીસ, કરવેરા કે કમિશન વગેરે વધારીને લોકોના ખિસ્સા ખંખેરવાની આ મોડસ ઓપરેન્ડી ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની માનસિક્તા જ દર્શાવે છે ને?
કેટલીક નોનબેન્કીંગ ગતિવિધિઓમાં પણ ચાલાકીભરી તરકીબો અપનાવાઈ રહી છે. લોકોના ખિસ્સા ખંખેરવાની આ તરકીબો હળવેકથી ખિસ્સુ કાપી લેતા પોકેટમાર જેવી હોય છે, જેની સામાન્ય રીતે લોકોને તરત જ ખબર પણ પડતી હોતી નથી!
દૃષ્ટાંત તરીકે કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલો પહેલા મોબાઈલ ફોનમાં કેટલીક એપ્સ દ્વારા ફ્રીમાં બતાવીને લોકોને ટેવ પાડવામાં આવે છે, અને તે પછી તેમાં નજીવો ચાજ લાગુ કરી દેવાય છે, તે પછી તેમાં ક્રમશઃ વધારો થતો રહે છે. હમણાંથી સંચાર અને મનોરંજન ક્ષેત્રની પ્રતિસ્પર્ધક કંપનીઓએ હાથ મિલાવ્યા, જોડાણ કર્યું કે પછી મર્જર કર્યું અને તે પછી ઈજારાશાહી સ્થાપિત કરીને સ્પોર્ટસ, મનોરંજન અને બિઝનેસ ક્ષેત્રે ચાર્જીસ (ભાવ) વધારી દીધા, તે ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની મનોવૃત્તિ જ ગણાય ને?
જો કે, આ પ્રકારની રણનીતિ અથવા લૂંટનીતિને 'બિઝનેસ પોલિસી'નું નામ આપીને તેનું પૂર્ણ આયોજિત મહિમામંડન પણ થાય છે અને આ લૂંટનીતિનું જસ્ટીફિકેશન પણ થાય છે. પહેલા લોકોને 'વ્યસની' બનાવો અને પછી તેને લૂંટો, તેવી આ બિઝનેસ પોલિસી જો હવે પ્રાઈવેટ સેક્ટરથી આગળ વધીને કોર્પોરેટ સેક્ટર, કો-ઓપરેટિવ સેક્ટર અને પબ્લિક સેક્ટર સુધી પહોંચવા લાગી હોય તો કહી શકાય કે પોતાના જ પગાર-ભથ્થા રાતોરાત વધારી દેતા દેશના રાજનેતાઓ અને જનપ્રતિનિધિઓના દિલમાં સામાન્ય જનતાની કાંઈ પડી જ નથી...
પહેલા કાળા નાણા નાથવાની વાતો કરીને ડિજિટલ વ્યવહારો માટે છેક ગરીબ-મધ્યમ વર્ગિય લોકોને પ્રોત્સાહિત કરવા અને તે પછી જનતાની સુવિધાઓ વધારવાના નામે નવા નવા ચાર્જ લગાડવા, તે ક્રમશઃ વધારવા અને હવે લોકોના પોતાના જ નાણા ઉપાડવા કે મોકલવા માટે તોતિંગ ચાર્જ લગાડવાની આ પોલિસી માત્ર બેન્કીંગ સિસ્ટમમાં જ નહીં, પણ અન્ય ઘણાં પબ્લિક સેક્ટર્સમાં પણ જોવા મળે છે, તેથી એવું કહી શકાય કે 'દયાહીન થયો છે નૃપ... નહિં તો ન બને આવું...!!'?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ફોટો
સ્વ. શેખર રતિલાલ માધવાણી
વૈકુંઠવાસઃ તા. રપ-૦૩-૧૯૯૬
'નોબત'ના આદ્યસ્થાપક અને અમારા બધાના પ્રેરણાસ્ત્રોત સ્વ. રતિલાલ માધવાણીએ કંડારેલી કેડીએ અમારી સાથે ચાલીને સ્નેહ, સમર્પણ અને સૌજન્યતા સંગમથી સૌ કોઈના હૃદયે વસી જનાર સ્વ. શેખર માધવાણી જ્યારે અનંતયાત્રાએ નીકળી ગયા, તે દિવસ અમારા બધા પર વજ્રઘાત સમો હતો, અને અણધારી વિદાયે અમને બધાને હતપ્રભ કરી દીધા હતાં.
સ્વજન વિદાય લઈ લ્યે છે, પરંતુ સ્મૃતિઓ કાયમ જળવાઈ રહેતી હોય છે. આજે 'નોબત'ના ખૂણે ખૂણે સ્વ. શેખરભાઈની સ્મૃતિઓ સચવાયેલી છે.પડકારરૂપ પરિસ્થિતિને પણ પડકારીને પ્રગતિ કરવાની તાકાત તેઓ ધરાવતા હતાં, અને માત્ર પરિવાર કે અખબારના સહયોગીઓ જ નહીં, પરંતુ નગર અને હાલારમાં તેઓ ઘણાં જ લોકપ્રિય હતાં અને તેઓનું વર્તુળ સમગ્ર હાલાર ઉપરાંત દેશ-વિદેશ સુધી ફેલાયેલું હતું, તેઓ કર્મના સિદ્ધાંતને માનતા હતાં અને સ્પષ્ટવક્તા પણ હતાં. કર્મ માટે કઠોર અને સેવાકાર્યો માટે સદેવ મૃદુ રહેનાર શેખરભાઈએ જ્યારે અચાનક દુનિયા છોડી દીધી, ત્યારે તેઓની સાથે સંકળાયેલા લોકો ઊંડા આઘાતમાં સરી પડ્યા હતાં, અને તે ગોઝારો દિવસ આજે પણ અંતરમાં ઉથલપાથલ મચાવે છે.
સ્વ. શેખરભાઈ સેવાકાર્યોને પણ સમર્પિત હતાં અને માધવાણી પરિવારની સાથે તેઓ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત દેશ માટે પણ જ્યારે જરૂર પડી ત્યારે સેવકાર્યોમાં અગ્રેસર રહેતા હતાં.
જેનો જન્મ થાય, તેની વિદાય પણ નિશ્ચિત જ હોય છે, અને જન્મ-મૃત્યુ ઈશ્વરને આધિન રહે છે. એવું કહેવાય છે કે, સારા માણસોની ઈશ્વરને પણ જરૂર પડતી હશે, અને તેથી જ યુવાવયે શેખરભાઈ જેવા સજ્જનોને ભગવાન પોતાની પાસે બોલાવી લેતા હશે.
આજે આપણાં સૌના હૃદયે વસેલા સ્વ. શેખરની પુણ્યતિથિ નિમિત્તે તેઓના સત્કાર્યોને યાદ કરીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ...
જામનગર
તા. રપ-૦૩-ર૦રપ
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર
ગાંધીજીએ ગ્રામ સ્વરાજની કલ્પના કરી હતી અને ગામના લોકો પોતાના વિકાસનું આયોજન પોતે જ કરી શકે, તે માટે ગ્રામ પંચાયતોને જરૂરી ફંડ, સત્તાઓ અને જવાબદારીઓ સાથે સુપ્રત કરવામાં ગુજરાતે અગ્રીમ ભૂમિકા અદા કરી હતી અને રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થા સફળતાપૂર્વક કામ રહી છે, એટલું જ નહીં, ગુજરાતે જ સમગ્ર દેશને પંચાયતી રાજનો રાહ ચિંધ્યો હતો.
તાજેતરમાં કેન્દ્ર સરકારનો રિપોર્ટ ચર્ચામાં આવ્યો છે. પંચાયતીરાજ અંગેના કેન્દ્ર સરકારના ડિવોલ્યુશન ઈન્ડેક્ષ-ર૦ર૪ ના રિપોર્ટને ટાંકીને આવેલા અહેવાલો મુજબ દેશને પંચાયતીરાજના પાઠ શિખવાડનાર ગુજરાત પોતે જ અત્યારે પરોઠના પગલા ભરી રહેલું જણાય છે. આ રિપોર્ટ મુજબ અત્યારે પંચાયતીરાજની શ્રેષ્ઠ કામગીરી કર્ણાટકમાં થઈ રહી છે, અને તેનો સ્કોર ૭ર.ર છે. કર્ણાટકનું પંચાયતીરાજ વ્યવસ્થાપન અત્યારે દેશમાં ટોપ પર છે, જ્યારે ગુજરાત ટોપ-ફાઈવમાં પણ નથી...!
ગુજરાત ટોપ-ફાઈવમાં તો નથી જ, પરંતુ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો સ્કોર સાથે ગુજરાતની પંચાયતીરાજ વ્યવસ્થાઓ ગોથાં ખાઈ રહી છે, અથવા ગોટે ચડી ગઈ હોય તેમ જણાય છે.
પ્રેસ-મીડિયામાં ડિવોલ્યુશન ઈન્ડેક્ષ-ર૦ર૪ ની ચાલી રહેલી ચર્ચાના પડઘા ગુજરાતની રાજધાની સુધી પહોંચ્યા છે, અને મુદ્દો ઉઠાવીને હવે વિપક્ષો પંચાયતીરાજ વ્યવસ્થાને લઈને સરકારને ઘેરશે, તેવા સંકેતો મળી રહ્યાં છે.
જો કે, ગુજરાત આ ઈન્ડેક્ષના ટોપટેનમાં તો છે જ, અને કેટલાક માપદંડોમાં અગ્રેસર હોવાના દાવાઓ પણ થઈ રહ્યાં છે. બીજી તરફ આ ઈન્ડેક્ષ પંચાયતીરાજ વ્યવસ્થાઓની સમગ્ર કામગીરીને પ્રતિબિંબિત કરી રહ્યો નહીં હોવાની ચર્ચા પણ થઈ રહી છે, તેથી સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, કૌન સચા, કૌન જૂઠ્ઠા...?
પંચાયતીરાજ ક્ષેત્રના વિદ્વાનો તથા પોલિટિકલ પંડિતોના તારણો એવા છે કે, પંચાયતીરાજના ક્ષેત્રે ગુજરાતની પીછેહઠમાં મહિલા હોદ્દેદારોના પતિદેવો, ભાઈકો કે અન્ય પ્રભાવશાળી પરિવારજનનો હસ્તક્ષેપ, ગ્રામ્યકક્ષાના કર્મચારીઓ જ નહી, પરંતુ પદાધિકારીઓ સુધી પહોંચેલો ભ્રષ્ટ સડો અને સ્થાનિક સ્થાપિત હિતો તથા મતબેંકની રાજનીતિના કારણે ગાંધીજીના ગુજરાતમાંથી પંચાયતીરાજની સ્થિતિ ધીરે-ધીરે કથળી રહેલી જણાય છે.
અત્યારે ત્રીપલ એન્જિનની સરકારના ફાયદાઓ વર્ણવાઈ રહ્યાં છે, અને પંચાયતો, પાલિકા, મહાપાલિકાઓ, રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની કક્ષા સુધી ત્રિસ્તરીય ભાજપના શાસનના કારણે લોકોને થતા ફાયદાઓ વર્ણવાઈ રહ્યાં છે, તેવા સમયે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે ઓળખાતુ "ત્રીજુ એન્જિન" ઢીલું પડીને ઢસેડાઈ રહ્યું હોવાનો આભાસ થાય છે.
આ ઈન્ડેક્ષના ગુજરાતનો સ્કોર પ૮.૩ પોઈન્ટ છે, જ્યારે ઉત્તરપ્રદેશનો ૬૦.૧, મહારાષ્ટ્રને ૬૧.૪, તામિલનાડુનો ૬૮.૪, કેરળનો ૭૦.૬ અને કર્ણાટકનો ૭ર.ર છે. આમ, ગુજરાતમાં ત્રીજુ એન્જિન રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછો સ્કોર મેળવીને ગરિમા ગુમાવી રહ્યું હોય તેમ નથી લાગતું...?
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નાણાકીય સ્વાયતતાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી. નાણાકીય સ્વાયતતા (ઓટોનોમી) માં તો ગુજરાત છેલ્લી હરોળમાં જણાવાયું છે. સ્ટેટ ફાયનાન્સ કમિશન દ્વારા ફાળવણીના ક્ષેત્રે ગુજરાતનો સ્કોર પ૦.૩ છે, જે ઘણો નબળો ગણાય.
આ રીપોર્ટને લઈને કોંગ્રેસે પણ કેટલીક ટીપ્પણીઓ કરી છે. આ અહેવાલોમાં કરાયેલો ઉલ્લેખ મુજબ પૂરતી આરોગ્ય સેવાઓ નથી. આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં ગુજરાત અન્ય કેટલાક રાજ્યોની સરખામણી પાછળ છે, સરકારી શાળાઓમાં બેઝીક વ્યવસ્થાઓનો અભાવ છે, સ્કૂલોના ઈન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષકોની સંસ્થાના સંદર્ભમાં ગુજરાત કર્ણાટક અને મહારાષ્ટ્રની પણ બરાબર નથી. ગુજરાતમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. ગુજરાતની સરખામણીમાં તેલંગણા અને રાજસ્થાનની રોજગાર સર્જન યોજનાઓ વધુ અસરકારક છે. આ તમામ ઉલ્લેખો કેન્દ્ર સરકારના જ કોઈ રિપોર્ટને ટાંકીને આવી રહ્યાં છે, ત્યારે તેને નકારવાનો તો પ્રશ્ન જ ઉઠતો નથી, પરંતુ તેને ડસ્ટબીનમાં ફેંકવાના બદલે ગુજરાત સરકારે સ્પષ્ટતાઓ સાથે આ ક્ષતિઓ નિવારવાની દિશામાં આગળ વધવું જોઈએ.
આ રિપોર્ટ વર્ષ-ર૦ર૪ નો છે, તે સમયગાળામાં ગુજરાતમાં સાતેક હજાર ગ્રામપંચાયતોની બે વર્ષ સુધી ચૂંટણી ન યોજાઈ, અને વહીવટદારોનો "વહીવટ" રહ્યો હોવાના કારણો તથા તારણો પણ ચર્ચાઈ રહ્યાં છે.
ટૂંકમાં, જો આ રિપોર્ટને ગંભીરતાથી વિચારીને ગુજરાત સરકાર યોગ્ય કદમ સમયસર નહીં ઉઠાવે તો ગુજરાત ટોપ-ટેનમાંથી પણ બહાર ફેંકાઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારતમાં આંતરિક મતભેદો ગમે તેટલા હોય, પરંતુ જ્યારે રાષ્ટ્રીયતા અને દેશની સુરક્ષાની વાત આવે, ત્યારે આપણા દેશના રાજકીય પક્ષો તથા વિવિધ વિચારધારાઓ એકજુથ જઈ જતી હતી અને યુદ્ધના સમયમાં તો કેટલાક અપવાદોને બાદ કરતા આખો દેશ એકી અવાજે દુશ્મનોને પડકારતો હતો. આપણા દેશની વિવિધતામાં એક્તા અને નેશન ફર્સ્ટની ખૂબીએ જ આપણાં દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કર્યું છે, અને સત્તા પરિવર્તનો થવા છતાં મૂળભૂત વિદેશનીતિ મોટાભાગે યથાવત્ જ રહેતી આવી છે.
જો કે, પ્રવર્તમાન સમયગાળામાં વૈશ્વિક સમિકરણો બદલી રહ્યા હોય તેવું લાગે છે. વિશ્વના બે-ત્રણ પ્રખંડોમાં ચાલી રહેલા યુદ્ધોને સાંકળીને શક્તિશાળી દેશો શતરંજની ખતરનાક અને વ્યૂહાત્મક ચાલ ચાલી રહ્યા છે. એક તરફ તો રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાનું બીડું ઝડપીને અને રશિયાની તરફેણ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિએે ઝેલેન્સ્કીને જાહેરમાં ખખડાવી નાંખ્યા અને તે પછી યુક્રેને મૂકેલા પ્રસ્તાવ મુજબ રશિયાએ 'શરતી' યુદ્ધવિરામની વાતો કરીને અમેરિકાને જ ટીંગાળી દીધું, આ બધી ચાલાકીભરી ચાલબાજીઓએ વિશ્વની રાજનીતિને ગુંચવણભરી સ્થિતિમાં મૂકી દીધી છે, જો કે રશિયા દ્વારા એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. તાજેતરમાં જ ટ્રમ્પે આ મુદ્દે પુનઃ પ્રયાસો શરૂ કર્યા અને મંગળવારથી જે પ્રયાસો થઈ રહ્યા છે, તે આપણી સામે જ છે. જોઈએ હવે શું થાય છે તે...
ભારત એક તરફ તો સામ્રાજ્યવાદી ચીન સામે પહેલેથી જ ઝઝુમી રહ્યું હતું અને તે પછી પાકિસ્તાનના આતંકવાદની સામે પણ અવિરત સંઘર્ષ કરી રહ્યું હતું, તેમાં હવે પડોશી મિત્ર દેશ બાંગલાદેશ શેખ હસીનાને શરણ આપવાના કારણે દુશ્મનાવટ તરફ આગળ વધી રહ્યો છે, અને પાકિસ્તાન અને ચીન સાથે મળીને ત્યાંની કામચલાઉ સરકાર પણ ભારત વિરોધી નીતિ-રીતિ અપનાવી રહી છે.
બીજી તરફ હવે રેસિપ્રોકલ ટેરિફ અને ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સની હકાલપટ્ટીની ટ્રમ્પનીતિના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં પણ પહેલા જેવી મધૂરતા રહી નથી. ટ્રમ્પ-મોદીની વ્યક્તિગત મિત્રતાની દ્વિપક્ષિય સંબંધો તથા 'નેશન ફર્સ્ટ'ની બન્ને દેશોની નક્કર નવી નીતિ પર કોઈ હકારાત્મક અસરો પડશે, તેવી આશા રાખવી નકામી છે.
અક્સાઈ ચીન અને તાઈવાન સંદર્ભે અપનાવેલી નીતિ તથા મહાસાગરોમાં દાદાગીરીની રણનીતિના કારણે ચીન લુચ્ચુ અને સામ્રાજ્યવાદી છે, તે તો ઓપન ગ્લોબલ સિક્રેટ છે, અને હવે ચીને નાના-નાના દેશોને મોટી લોન આપીને આર્થિક સામ્રાજ્યવાદની પોલિસી પણ અખત્યાર કરી છે, ત્યારે ચીનની ચબરાકીઓ સામે પણ ભારતને સતત ઝઝુમવું પડી રહ્યું છે.
રશિયાએ યુક્રેનના તો કેટલાક વિસ્તારો દબાવી જ લીધા છે, અને હવે જ્યોર્જિયાને હડપ કરવાનો ઈરાદો ધરાવે છે, જ્યારે તિબેટ, હોંગકોંગ, દક્ષિણ ચીન સમુદ્ર, તાઈવાન, કેટલાક ટાપુઓ તથા ભારતના અરૂણાચલ પ્રદેશ સહિતના ભાગોમાં ચીની સામ્રાજ્ય સ્થાપવાના મનસુબા શી જીનપીંગ ધરાવે છે, તે હવે છૂપુ રહ્યું નથી.
વિશ્વની સૌથી જુની લોકશાહી ધરાવતા અમેરિકાની ટ્રમ્પનીતિ પણ હવે સામ્રાજ્યવાદી બનવા લાગી હોય, તેમ જણાય છે. અમેરિકાએ પનામા નહેર કબજે કરવાની મનસા તો પહેલેથી જ જાહેર કરી દીધી છે, અને કેનેડાને તો ટ્રમ્પે અમેરિકાનું પ૧ મું સ્ટેટ જ ગણાવી દીધું છે. અમેરિકાએ ગાઝાને હસ્તગત કરવાની ઈચ્છા પણ સરાજાહેર કરી દીધી છે. ગ્રીનલેન્ડને કબજે કરવાની નીતિ પણ ટ્રમ્પે જાહેર કરી દીધી છે. આ કારણે અમેરિકા પણ હવે સામ્રાજ્યવાદી મહાસત્તા બનવા લાગ્યું છે.
ટૂંકમાં, ભારત સામ્રાજ્યવાદી રાષ્ટ્રો, તથા આતંકવાદી રાષ્ટ્રો વચ્ચે જાણે કે પીસાઈ રહ્યું છે. ભારત સરકાર બિનજુથવાદી આંતરાષ્ટ્રીય રણનીતિ તો પહેલેથી જ ધરાવે છે, પરંતુ હવે ટ્રમ્પે મિત્ર દેશો અને દુનિયાની પરવાહ કર્યા વિના 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ, રેસિપ્રોકલ ટેરિફ નીતિ તથા અમેરિકાના ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સની હકાલપટ્ટીની સાથે સાથે અમેરિકાના નાગરિકત્વના અધિકારો પણ સીમિત કરી નાંખ્યા છે. ભારતે અમેરિકાના દબાણમાં આવ્યા વગર કોવિડ પછી રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદ્યુ હતું, તેનો બદલો લેવા ટ્રમ્પ હવે ઉંદરની જેમ ભારતને ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની નીતિ ધરાવતા હોય, તેવી આશંકા જાગે છે. ટ્રમ્પે પર્યાવરણ સમતુલાની પેરિસ સમજુતિને ફગાવી દીધી છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ અમાન્ય ઠરાવી દીધી છે, અને કવાડ, બ્રિક્સ જેવા ગ્રુપોને નબળા પાડીને પોતાનું વર્ચસ્વ સ્થાપવાની જે કુટનીતિ (કટૂનીતિ) અપનાવી છે, તે ભારત માટે પણ હાનિકર્તા જ છે ને?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે તાજેતરમાં થયેલા કરારોના કારણે વ્યાપારવૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાઓમાં સહયોગ, ડેરી ક્ષેત્રખાદ્યાન્ન ક્ષેત્ર અને સ્પેસ સેક્ટરમાં પણ સહયોગની નવી દિશાઓ ખુલશે. એ ઉપરાંત ટુરીઝમ એજ્યુકેશન અને કનેક્ટિવિટીના ક્ષેત્રે પણ બન્ને દેશો આગળ વધશે, તેવો જે દાવો કરાયો છે, તેની પણ ચર્ચા થઈ રહી છે.
કેટલાક લોકો ભારતની વિદેશનીતિને યોગ્ય જણાવે છે, તો ઘણાં લોકો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ભારતની વિદેશનીતિ ભટકી ગઈ છે અને કક્કાવારીના 'અંગ કોઈનો નહીં'ની જેમ ભારત ચારેય બાજુથી લટકી તો નહીં જાય ને? જો કે, આશંકાઓની આંધી વચ્ચે પણ આશાઓ પ્રગટી રહી હોય તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત વિધાનસભામાં એજ્યુકેશનના વિષય પર ચર્ચા થાય કે રાજ્ય અથવા રાષ્ટ્રીય કક્ષાના પ્લેટફોર્મ્સ પર ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ, સિસ્ટમ અને ભરતીપ્રક્રિયાની ચર્ચા થાય, ત્યારે સરકાર તરફથી વિવિધ પ્રકારના મોટા મોટા દાવાઓ થતા હોય છે, તો વિપક્ષો રાજ્યમાં પેપરલીક, કાર્યપદ્ધતિ તથા મોંઘા ખાનગી શિક્ષણ જેવા મુદ્દાઓ જોરશોરથી ઊઠાવતા હોય છે. આ બધા દાવા-પ્રતિદાવાઓ વચ્ચે ભરતી કેલેન્ડર તથા રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની ચિંતાજનક સ્થિતિ અંગે વિવિધ ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
એવા અહેવાલો પણ આવ્યા હતાં કે રાજ્ય સરકારે દસ વર્ષ આયોજનમાં કેટલીક ભૂલો કરી છે, અને ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને આચાર્યો જ ભૂલાઈ ગયા છે!
રાજ્ય સરકારના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટની ગયા વર્ષે મળેલી બેઠકમાં ૧૦ વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરાયું હતું. સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, આચાર્યો, ડીઈઓ, ટીપીઓની ભરતી માટે દસવર્ષિય આયોજન કરાયું છે. આ ઉપરાંત એજ્યુકેશન બોર્ડ, સરકારી કચેરીઓ, ટેકનિકલ એજ્યુકેશન સહિતના શિક્ષણ સાથે સંકળાયેલા વિભાગોમાં ભરતી માટે પણ દસ વર્ષિય આયોજન કરાયું છે. આ દસ વર્ષિય આયોજનમાં રાજ્ય સરકારે ગ્રાન્ટેડ સ્કૂલો-કોલેજો માટે કોઈ આયોજન જ નહીં કરાયું હોવાની રાવ શાળા સંચાલક મંડળે ચીફ સેક્રેટરીને કર્યા પછી આ મુદ્દે રાજ્યવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે. એવી રજૂઆત થઈ છે કે વર્ષ ર૦ર૩ સુધીના શિક્ષણ ક્ષેત્રના ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટ-ઈન-એઈડ શાળા-મહાશાળાઓનો ઉલ્લેખ જ નથી. વર્ષ ર૦ર૩ થી લાગુ કરાયેલા આ કેલેન્ડરમાં આગામી તા. ૧૦ વર્ષ દરમિયાન ખાલી પડનારી જગ્યાઓ પર ભરતી કરવા માટે જે સમયબદ્ધ આયોજન ઘડાયું છે, તેમાં ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં ખાલી પડનારી શિક્ષકો-આચાર્યોની જગ્યાઓ પર ભરતીનો ઉલ્લેખ જ નથી, તે ઉપરાંત છેલ્લા પંદરેક વર્ષોથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં પટાવાળાઓ તથા ક્લાર્કની ભરતી પણ થઈ નથી, તેથી શિક્ષણ ખાડે નહીં જાય?તેવા સવાલો ઊઠી રહ્યા છે.
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અને શૈક્ષણિક સુવિધાઓ અંગે પ્રેસ-મીડિયા જ નહીં, વિલેજથી વિધાનસભા અને સડકોથી શહેરો સુધી ચર્ચા થતી રહી છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતી કેલેન્ડર અંગે હવે સરકાર ગમે તેવી ચોખવટો કરે કે ફીફાં ખાંડે, પણ 'અબ પછતાને સે ક્યા ફાયદા, જબ ચુડિયા ચુભ ગઈ ખેત...'
તાજેતરમાં એવા અહેવાલો પણ આવ્યા હતાં કે દેશના રાજ્યોમાં હાયર એજ્યુકેશનના ક્ષેત્રે ગુજરાતનો ક્રમ ૧૮ મો છે. એક સેન્ટ્રલ રિપોર્ટ મુજબ ધોરણ ૧ર પછીના ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત છેલ્લેથી ૬ઠ્ઠા ક્રમે છે. રાજ્યમાં ધોરણ-૧ર ઉત્તીર્ણ કર્યા પછી ચોથા ભાગના વિદ્યાર્થીઓ પણ આગળ વધતા નથી.
જો ગુજરાતમાં ૧૮ વર્ષથી ર૩ વર્ષના વયજુથના ધોરણ ૧ર ઉત્તીર્ણ કરેલા ૭૬ ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ જ છોડી દેતા હોય, તો તેને એજ્યુકેશનમાં હરણફાળ ભરેલી કહેવાય કે પીછેહઠ કરી ગણાય, તે રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણમંત્રીને પૂછવું જોઈએ. જો આ રિપોર્ટને ધ્યાને લેવામાં આવે તો રાજ્યના યુવાવર્ગમાં ઉચ્ચ શિક્ષણ પ્રત્યે અણગમો છે, કે પરંપરાગત વ્યવસાયો કે બેરોજગારીની સ્થિતિમાં યુવાધન જાય છે, તેનું સંશોધન કરવું જ જોઈએ. હાયર એજ્યુકેશનની રાષ્ટ્રીય સરેરાશ ર૮.૪ ટકા છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો ર૪ ટકાનો છે, તેનો મલતબ એવો થાય કે ગુજરાતમાં હાયર એજ્યુકેશનનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે.
હાયર એજ્યુકેશનના ટોપટેનમાં દિલ્હી, તામિલનાડુ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર છે, જ્યારે લાસ્ટ ટેનમાં પંજાબ, પ. બંગાળ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓડિસા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને આસામ છે. હરિયાણા, મધયપ્રદેશમાં ર૮ થી ૩પ ટકા વચ્ચે ઉચ્ચ શિક્ષણનો દર છે. દિલ્હીમાં સૌથી વધુ ૪૯ ટકા હાયર એજ્યુકેશનનો દર છે, જ્યારે સૌથી ઓછો હાયર એજ્યુકેશન દર માત્ર ૧૬.૯ ટકા જેવો આસામનો જણાવાયો છે. આ આંકડા ઓલ ઈન્ડિયા હાયર એજ્યુકેશનના છેલ્લા સરવેના આધારે બહાર આવ્યા છે.
જો કે, કેન્દ્ર સરકારના ક્યા તાજા રિપોર્ટના આધારે આ આંકડાની ચર્ચા થઈ રહી છે, તે સ્પષ્ટ થયું નથી, પરંતુ જો દેશમાં એક પણ રાજ્યમાં ધોરણ-૧ર પછી હાયર એજ્યુકેશનનો આંકડો પ૦ ટકા સુધી પણ પહોંચતો ન હોય, તો તે દેશની શિક્ષણ નીતિ તથા સિસ્ટમ સામે પ્રશ્નચિન્હ જરૂર ખડુ કરે છે. આ પ્રકારના પ્રશ્ન ચિન્હો સામે કેટલાક 'વિદ્વાનો'ને વાંધો હોવાથી આ પ્રકારના પ્રશ્નો દબાઈ જતા હોય છે, અને સરવાળે શિક્ષણનું ફૂલગુલાબી ચિત્ર રજૂ કરીને વાહવાહી લૂંટનારા પબ્લિક અને પ્રાઈવેટ પરિબળોને મોકળું મેદાન મળી જતું હોય છે. આવું ક્યાં સુધી ચાલશે, તે પણ એક સો મણનો સવાલ જ છે ને???
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ મનાવાઈ રહ્યો છે, અને વિશ્વ ચકલી દિનની ઉજવણી પણ થઈ રહી છે. આજે આ બન્ને ઉજવણીઓના સમયે એ નક્કર હકીકત છે કે આ બન્ને વિષયો આજની તારીખે ઘણાં જ સાંપ્રત છે. આજે વિશ્વમાંથી પ્રસન્નતા ઘટી રહી છે અને ચકલીઓ પણ ધીમે ધીમે લૂપ્ત થતી જાય છે. આ કારણે આજના બન્ને વિષયોને લઈને વાસ્તવમાં વૈશ્વિક ચિંતા અને ચિંતન જરૂરી છે.
આજની આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસની ઉજવણી ત્યારે જ સાર્થક થાય, જ્યારે વિશ્વમાં શાંતિ હોય, વિશ્વના દેશો વચ્ચેના સંબંધો સારા હોય, દુનિયાની સમસ્યાઓ ઘટી રહી હોય અને સુખ, તંદુરસ્તી અને સમૃદ્ધિ વધી રહી હોય, ગરીબી ઘટી રહી હોય અને ભેદભાવો ખતમ થઈ રહ્યા હોય, ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંત મુજબ હકીકતે આખી દુનિયામાં 'વસુધૈવ કેટુંબકમ્'ની વિભાવના વધુ ને વધુ દૃઢ બની રહી હોય, વિશ્વને ડરાવતા પરિબળો ખતમ થઈ રહ્યા હોય, આતંકવાદ, નક્શલવાદ અને કટ્ટરતામાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો હોય, અને હકીકતે માનવતાની જ્યોત ઝળહળતી રહેતી હોય.
આજે દુનિયા આખી આંતરવિગ્રહમાં સપડાયેલી છે. ઈઝરાયલે ફરીથી ગાઝાપટ્ટી પર હુમલાઓ શરૂ કર્યા પછી ત્યાં સ્થપાયેલી શાંતિ છેતરામણી પૂરવાર થઈ રહી છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધના અંતની વાટાઘાટો વચ્ચે જ અમેરિકાના હુથીઓ પર હુમલાના કારણે ઈરાનની ભમ્મરો ઊંચાનીચી થવા લાગી છે. અમેરિકા-ચીનની ખેંચતાણ આજે યુરોપિય દેશોના અમેરિકા સાથેના સંબંધોમાં આવી રહેલી ખટાશના કારણે વિશ્વમાં તંગદિલી વધી રહી છે. કેટલાક દેશોમાં આંતરવિગ્રહની સ્થિતિ છે. પડોશી દેશ પાકિસ્તાનમાં બલુચ વિદ્રોહીઓ પાકિસ્તાનથી સ્વતંત્ર થવા માંગે છે, તેથી ટ્રેનનું અપહરણ કરવા જેવી ઘટનાઓ બની રહી છે, તો બાંગલાદેશમાં ભારે અરાજક્તા અને અસ્થિરતા ફેલાઈ રહી છે, જો કે પુતિને ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીતમાં એક મહિનાના યુદ્ધ વિરામ (આંશિક) ની જાહેરાત કરતા થોડી રાહત થઈ છે.
આપણા દેશની વાત કરીએ તો નાગપુરમાં હિંસક તોફાનો થયા, મણિપુરના મુદ્દે ફરી એક વખત સંસદમાં ગોકીરૃં થયું, લાંબા સમયે દેશના કોઈ રાજ્યમાં કર્ફયુ લદાયો, દક્ષિણ ભારતના રાજ્યોમાંથી ભાષા વિવાદ વકરી રહ્યો છે, અને વિવિધ રાજ્યોમાં અનેક પ્રકારના આંદોલનો અને ચળવળો ચાલી રહી છે, તેથી આપણા દેશમાં પણ ખૂબ જ અશાંતિ ફેલાઈ જાય, તેવા ઘટનાક્રમોની બુનિયાદ રચાઈ રહી છે. એક તરફ દેશમાં રાજકીય ક્ષેત્રે વિચારધારાઓનો ટકરાવ સર્જાઈ રહ્યો છે અને વૈશ્વિક ક્ષેત્રે પણ નવા સમિકરણો સર્જાઈ રહ્યા છે, અને તેની અસરો આપણા દેશના જનજીવન, અર્થતંત્ર અને આંતરિક શાંતિ પર પણ પડી રહી છે.
આ સંજોગોમાં જ્યારે દેશ-દુનિયામાં સંઘર્ષ, હિંસા, તંગદિલી અને તકરારોનો માહોલ હોય, ત્યારે જો આંતરરાષ્ટ્રીય શાંતિના ગંભીરતાપૂર્વક વાસ્તવિક પ્રયાસો થાય, તો જ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસની ઉજવણીનો કાંઈક અર્થે સરી શકે, અન્યથા આ પ્રકારની ઉજવણીઓ દર વર્ષે થતી જ રહેશે અને પ્રસન્નતા તો ચકલીઓની જેમ લૂપ્ત જ થતી રહેશે, તે નક્કી છે.
આજે વિશ્વમાંથી પ્રસન્નતા ઘટી રહી છે, તેવી જ રીતે ચકલીઓ પણ લૂપ્ત થતી જાય છે. વિશ્વમાં પ્રસન્નતા વધારવા માટે જેવી રીતે આજે આપણે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ ઉજવીએ છીએ, તેવી જ રીતે આજે વિશ્વ ચકલી દિવસ ઉજવીને ચકલીઓની સુરક્ષા તથા વૃદ્ધિ માટે પણ પ્રયાસો કરવા જ જોઈએ ને?
દર વર્ષે ર૦ મી માર્ચે ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસની ઉજવણી થાય છે, તેવી જ રીતે દર વર્ષે વર્લ્ડ સ્પેરો ડે અથવા વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે, તેથી એક યોગાનુયોગ સુભગ સમન્વય સર્જાયો છે, અને આ ઉજવણી પછી વિશ્વમાં ચકલીઓનો કલરવ ફરીથી ભૂતકાળની જેમ ગુંજવા લાગે અનેે આખી દુનિયામાંથી અશાંતિ અને સંઘર્ષ ખતમ થઈ જાય અને સર્વત્ર પ્રસન્નતા છવાઈ જાય, તેવું ઈચ્છીએ...
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ર૦૧ર માં ર૦ મી માર્ચને આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ જાહેર કરાયો,તે પછી દર વર્ષે હેપીનેસ સર્વે થાય છે, અને વિશ્વભરમાં ખુશી ફેલાવવાની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. આપણે હકીકતમાં આખી દુનિયાને પ્રસન્ન કરવી હોય તો પહેલા આપણે સ્વયં પ્રસન્ન રહેવું પડશે, અને આપણા સમાજ અને દેશને પણ ખુશહાલ રાખવા પડશે.
એવી જ રીતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી વર્ષ ર૦૧૦ થી શરૂ થઈ હતી. ભારતીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવર દ્વારા સ્થાપિત નેચરફોર એવર સોસયટી દ્વારા ચકલીની સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવાની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. તે ઉપરાંત ફ્રાન્સની ઈકો-સિસ એક્સન ફાઉન્ડેશન દ્વારા પણ ચકલીઓના સંરક્ષણની પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. ચકલીઓના મીઠા કલરવ સાથે વૈશ્વિક પ્રસન્નતાનું આપણું સ્વપ્ન સાકાર થઈ જાય, તેવું પણ ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે કોઈ ડાઈનીંગ હોલ કે રેસ્ટોરન્ટમાં અલ્પાહાર કે ભોજન કરવા જઈએ, ત્યારે ત્યાંનું ફૂડ કેવું છે, તે તો પરખીયે જ છીએ, સાથે સાથે ત્યાંની સર્વિસ કેવી છે, તેની નોંધ પણ લઈએ છીએ. ઘણી વખત ઉત્તમ ગુણવત્તાવાળું ફૂડ હોય, પણ સર્વિસ સારી ન હોય, તો આપણે ત્યાં ફરીથી જતા પહેલા વિચારીએ છીએ અને મોટાભાગે તેને અવગણીએ છીએ. એટલું જ નહીં, આપણા સ્નેહી, મિત્રો, પરિવારજનોને પણ ત્યાંની બોગસ સર્વિસ અંગે ચેતવી દેતા હોઈએ છીએ.
આવું જ કાંઈક કસ્ટમર કેરની વ્યવસ્થાઓ દરમિયાન થતી ફરિયાદોમાં પણ સંભળાતું હોય છે. કેટલાક ક્ષેત્રોના સેવા વ્યવસ્થાઓમાં ગ્રાહકોને સંતોષ આપવા અને તેઓની ફરિયાદો સાંભળીને તેનો ઉકેલ લાવવા માટે કંપનીઓ તથા પેઢીઓ દ્વારા કસ્ટમર કેરની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. આ પ્રકારની વ્યવસ્થાઓ દરમિયાન કસ્ટમર કેરના ઓપરેટરો સમક્ષ રજૂ થતી મોટાભાગની ફરિયાદો સર્વિસ યોગ્ય નહીં હોવાની જ હશે, કારણ કે સર્વિસમાં લોલંલોલની બીમારી હવે માત્ર સરકારી ક્ષેત્રોમાં જ રહી નથી, પ્રાઈવેટ સેક્ટરમાં પણ પ્રવેશી ગઈ છે. આ જ કારણે કદાચ ખ્યાતનામ કંપનીઓના ફૂડ કે કોલ્ડ્રીંક્સ, પેક્ડ ખાદ્યચીજો વગેરેમાંથી કીડા, ફૂગ કે કચરો નીકળ્યો હોવાની ફરિયાદો અવારનવાર સંભળાતી હોય છે, અને વ્યાપક પ્રસિદ્ધિ પણ મેળવાતી હોય છે.
આ તો થઈ ખાનગી ક્ષેત્રની સેવાઓ તથા સર્વિસ સેક્ટરની વાત, પરંતુ પબ્લિક સેક્ટરમાં પણ આ જ રીતે લોલંલોલ અને પોલંમોલ ચાલતી હોય છે, અને તેના કારણે સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા થતા જંગી ખર્ચાઓ પર પાણી ફરી વળતું હોય છે.
આપણે આવકવેરો, જીએસટી, વેટ વગેરે કરવેરાઓ ભરીએ છીએ, તેવી જ રીતે ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓને પણ ઘરવેરો, પાણીવેરો, ભૂગર્ભ ગટર ચાર્જ, મિલકત વેરો, સફાઈ વેરો, લાઈટ વેરો વગેરે અનેક પ્રકારના કરવેરા પણ ભરીએ છીએ, અને તેની સાથે જે સેવાઓ માટે કરવેરાઓ લેવામાં આવે છે, તેવી સેવાઓ તથા સુવિધાઓ હકીકતમાં આપણને મળે છે ખરી?... જરા વિચારો...
જામનગરનું જ દૃષ્ટાંત લઈએ, તો નગરમાં પબ્લિક સર્વિસીઝ એટલે કે જાહેર સેવાઓ કેટલી સંતોષકારક છે, તે આપણે જાણીએ જ છીએ. ભૂગર્ભ ગટરના નેટવર્ક છતાં ઘણાં વિસ્તારોમાંથી હજુ પણ ફરિયાદો સંભળાતી રહે છે. સફાઈ વેરો લેવા છતાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળતા હોય છે. તાજેતરમાં મચ્છરનો ઉપદ્રવ અસહ્યપણે વધ્યો હોવા છતાં તેને અટકાવવાના પૂરતા કદમ ઊઠાવાઈ રહ્યા નથી. પીવાનું પાણી એકાંતરા નળ દ્વારા આવે છે, પરંતુ હજુ પણ કેટલાક સ્થળે પાણીની બૂમ ઊઠતી સંભળાતી હોય છે. નગરના મુખ્ય માર્ગો હોય, શેરી-ગલી-મહોલ્લાઓ હોય કે સોસાયટીઓ હોય, આંતરિક માર્ગો હોય કે રીંગરોડ હોય, ઠેર-ઠેર ખાડા, ચીરોડા, ઉબડખાબડ સડકો, અચાનક પડતા ભૂવા (મોટા ખાડા) વગેરેની તસ્વીરો પણ ઘણી વખત અખબારોના પાને ચમકતી હોય છે અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી પણ નગરની દુર્દશાના દૃશ્યો પ્રસારિત પણ થતા હોય છે.
એવું પણ નથી કે મહાનગરપાલિકા દ્વારા જન-ઉપયોગી કોઈ કામ થતા જ નથી, પરંતુ ફ્લાયઓવર બ્રીજ, ટાઉનહોલનું આધુનિકરણ, ડિવાઈડરોનું રંગરોગાન, નવા ટાઉનહોલ કે અદ્યતન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ઊભા કરીને નગરજનોની મૂળભૂત જરૂરિયાતો અને સુવિધાઓમાં ખામીઓ અને સેવાઓમાં લોલંલોલ અને પોલંપોલ પ્રત્યે આંખ આડા કાન કરવાની માનસિક્તા યોગ્ય નથી.
નગરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે વાહનો તો નિયમિત રીતે દોડાવાય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં, અને ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં કચરાની ગાડીઓ ગૃહિણીઓ ઘરની બહાર આવીને કચરો નાંખી શકે, તેટલી પણ થોભતી નહીં હોવાની ફરિયાદો ઊઠતી હોય છે, અને કેટલીક કચરાગાડીઓ ઝડપથી આંટો મારીને પછી કોઈને કોઈ સ્થળે આરામ ફરમાવતી પણ જોવા મળતી હોય છે. લોકો અવારનવાર ફરિયાદ કરતા હોવા છતાં કેટલીક સેવાઓ સુધરતી નથી. કચરાની ગાડીઓ જ ગંધાતા કોથળાઓમાંથી રોડ પર કચરો વેરતી જાય, તો તેને સ્વચ્છતા અભિયાનની મશ્કરી જ ગણવી પડે ને?
આ તો ફક્ત કચરા કલેક્શનની જ વાત થઈ, પરંતુ મહાનગરપાલિકાની અન્ય સેવાઓમાં પણ કેટલું લોલંલોલ ચાલે છે અને નગરજનોને સરકારી કામો માટે કેટલી પરેશાનીઓ થઈ રહી છે, તેનો તટસ્થ સર્વે કરવામાં આવે, તો વરવી વાસ્તવિક્તા પ્રગટ થઈ શકે તેમ છે.
શાસકો-અધિકારીઓ દ્વારા આયોજનો થાય, સરકાર ફંડ ફાળવે, સેવાઓનો વ્યાપ વધારવા અને સુધારવાના પ્રયાસો થાય, તેમ છતાં જો પરિણામો ન આવતા હોય તો ક્યાં કચાશ છે, ક્યાં ઉણપ છે અને ક્યાં 'ચુવાક' છે, તેનું સંશોધન કરવું પડે તેમ છે. એક વખત આયોજન થયા પછી તેમાં 'કાપકૂપ' કેમ કરવી પડે? તેવા સવાલોના જવાબ પણ બધાને ખબર હોવા છતાં કોઈને મળી રહ્યા નથી!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશ-દુનિયામાં વિવિધ પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે અને હિંસક ઘટનાઓ, હિંસક હુમલાઓ તથા હિંસક અફવાઓનો જાણે ત્રિકોણિયો સમાગમ રચાયો છે. અમેરિકાએ હુથી આતંકવાદીઓ પર હુમલો કર્યો, ઈઝરાયેલે ફરીથી ગાઝામાં આક્રમણ કર્યું અને પાકિસ્તાનમાં બળવાખોરોના ત્યાંની સેના પર હુમલાઓના કારણે અઢી હજાર જેટલા પાક. સૈનિકોએ સેનાની નોકરી છોડી દીધી હોવાના અહેવાલો રક્તરંજીત સંઘર્ષની વાસ્તવિક્તા દર્શાવે છે, તો મહારાષ્ટ્રના નાગપુરમાં જે હિંસક ઘટનાઓ બની, આગજની થઈ, પથ્થરમારો થયો અને રાતભર જુથ અથડામણો ચાલી, તેથી આપણા દેશમાં પણ હિંસાનો પંજો પડ્યો, તેની પાછળ ઉશ્કેરણીજનક અફવાઓ વધુ જવાબદાર હોવાનું કહેવાય છે.
બીજી તરફ ગુજરાત સહિત દેશમાં વિવિધ પ્રકારની ચળવળો ચાલી રહી છે, તો ક્યાંક વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે અને એલ્ટિમેટમ પણ અપાઈ રહ્યા છે. આગામી તા. ર૪-રપ માર્ચે ગુજરાતમાં બેંક ક્ષેત્રની હડતાલનું એલાન અપાયું છે, તો હાલાર સહિત રાજ્યભરમાં આરોગ્ય કર્મીઓનું આંદોલન શરૂ થયું છે. દેશની રાજધાની સહિત દેશભરમાં વકફ બિલનો વિરોધ થઈ રહ્યો છે, અને સંસદમાં પણ આ મુદ્દે વોકઆઉટ થઈ રહ્યો છે અને ધરણાં કરાયા છે. બિહારમાં ચૂંટણીલક્ષી રાજકીય વ્યૂહરચનાઓ ગોઠવાઈ રહી છે, તો દક્ષિણ ભારતના રાજ્યો ભાષા વિવાદમાં અટવાયા છે. તમિલનાડુના મુખ્યમંત્રી હિન્દીવિરોધી નિવેદનો કરીને અને 'રૂપિયા'નું ચિન્હ બદલાવીને દેશની સંઘભાવનાથી અલગ વલણ અપનાવી રહ્યા છે, તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હિન્દીને દેશની રાજધાની સાથેની સંપર્કભાષા ગણાવી રહ્યા છે. તેલંગણાના મુખ્યમંત્રીએ સુપ્રિમ કોર્ટે સૂચવેલી પ૦ ટકાની અનામતની મર્યાદાને ઓળંગીને ઓબીસીને ૪ર ટકા સાથે ૬૦ ટકાથી વધુ અનામતનું એલાન કર્યું છે. આ બધા ઘટનાક્રમો એકંદરે રાજકીય લાભ મેળવવા માટે જ પ્લાન્ટ કરાઈ રહ્યા હોય, તેવું લાગે છે ને?
છેલ્લા દસેક વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાઓના જ નેગેટીવ અને પોઝિટિવ અહેવાલો અગ્રીમતાથી છપાતા હતાં, ચર્ચાતા હતાં, અને પ્રકાશિત અને પ્રસારિત થતા હતાં, પરંતુ હમણાથી તેમાં થોડો બદલાવ આવ્યો હોય તેમ જણાય છે. હવે વિદેશમંત્રી એસ. જયશંકર, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના કેટલાક કેન્દ્રિય મંત્રીઓના દેશ-વિદેશના પ્રવાસો તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહના દેશના વિવિધ રાજ્યોમાં થતા પ્રવાસ-કાર્યક્રમોની પણ બહોળી પ્રસિદ્ધિ થઈ રહી છે, તે ઘણો જ સાંકેતિક બદલાવ હોવાની ચર્ચા પણ રાજકીય ગલિયારાઓમાં થઈ રહી છે.
તાજેતરની જ વાત કરીએ તો ટેરિફ મુદ્દે કેન્દ્રિય મંત્રીઓને અમેરિકા તરફ દોડાવાયા હતાં અને હાલમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અમેરિકાના ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગાબાર્ડ સાથે કરેલી મુલાકાતની ડિટેઈલ પબ્લિસિટી થઈ રહી છે, તે ઉપરાંત ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તુલસી ગાબાર્ડ વચ્ચેની ઉચ્ચ સ્તરિય બેઠકની પણ ખાસ્સી ચર્ચા થઈ રહી છે.
વડાપ્રધાને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મંચ પરથી કરેલા હકારાત્મક નિવેદનો પછી ચીન ગદ્ગદ થઈ ગયું છે અને ચીન તરફથી પણ પોઝિટિવ પ્રત્યાઘાતો આવ્યા છે, તો બીજી તરફ મોદી સરકારે અમેરિકાને ખુશ કરવા લોકોને ચીનના ઉત્પાદનોના બદલે અમેરિકન ચીજવસ્તુઓ વધુ પસંદ કરવાની હિમાયત કરી હોવાના અહેવાલો વહેતા થતા કન્ફ્યુઝન પણ ઊભું થયું છે. હકીકતે અત્યારે આંતરરાષ્ટ્રીય નીતિ પણ એવી છે કે પરંપરાગત દુશ્મનો ગળે મળી રહ્યા છે, અને મિત્રદેશોની પીઠમાં ખંજર ભોંકવામાં આવી રહ્યું છે, ત્યારે નીતિગત બેલેન્સ જાળવવા જતા ઘણી વખત છોકરમત જેવી હરકતો પણ કરવી પડતી હશે ને?
આપણે બધા ભૂતકાળના નોસ્ટ્રેડોમસની આગાહીઓથી પરિચિત છીએ, પરંતુ હમણાંથી બ્રિટનના ભવિષ્યવેતા કેગ હેમિલ્ટન પાર્કરની કેટલીક આગાહીઓ સાચી પડ્યા પછી લોકો તેને નવા નોસ્ટ્રેડોમસ ગણાવી રહ્યા છે. તેમની કોવિડ, દરિયાઈ અકસ્માત, બ્રિટનના મહારાણી એલિઝાબેથના નિધન સહિતની કરેલી આગાહીઓ સાચી પડી અને છેલ્લે અમેરિકામાં ચૂંટણીઓ દરમિયાન ટ્રમ્પ પર હુમલાની ભવિષ્યવાણી સાચી પડ્યા પછી હવે વર્ષ ર૦રપ ના અંત સુધીમાં ત્રીજુ વિશ્વયુદ્ધ થવાની ભવિષ્યવાણી કરી છે. બલ્ગેરિયાના એક અન્ય ભવિષ્યવેતા બાબા વેંગાચે પણ આ જ પ્રકારની ભવિષ્યવાણી કરી હતી અને ૧૬ મી સદીમાં થઈ ગયેલા નેસ્ટ્રેડોમસે પણ વર્ષ ર૦ર૦ થી આંતરરાષ્ટ્રીય રાજનીતિ ચકરાવે ચડશે ને વર્ષ ર૦રપ ના અંત સુધીમાં વિશ્વયુદ્ધનો સંકેત આપ્યો હતો, તેમ કહેવાય છે, જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ

