પુરસોત્તમ માસ વાર્તા
ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભ ઉપર અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત છોડેલ ત્યારે તારાના ગર્ભમાં રહેલા પરિક્ષિતનું રક્ષણ કરેલું એ કાર્ય પૂરું થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ફરી દ્વારકા જવાની તૈયારી કરવા માંડી અને પછી પોતાના રથ ઉપર ચડ્યા અને સારથીએ રથ ચલાવ્યો. એ સમયે ખુદ કુન્તાજી ત્યાં આવ્યા અને રથની સાથે સાથે દોડવા લાગ્યા. આ દૃશ્ય જોઈ ભગવાન શ્રીકૃષ્ણએ સારથીને રથ ઊભો રાખવા આજ્ઞા આપી તેથી સારથીએ રથ ઊભો રાખ્યો.
આમ, જ્યારે રથ ઊભો રહ્યો ત્યારે કુન્તાજી પણ રથ પાસે આવી ઊભા રહ્યા. દોડવાને લીધે તેમનો શ્વાસ ફૂલાયેલો હતો તેથી શ્વાસ લેતા લેતા થોડી વારે બે હાથ જોડી અને તેમને ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ રથ ઉપરથી નીચે ઉતરી અને પોતાના ફઇ કુન્તાજીનો હાથ પકડી લીધો અને પગે ન લાગવા વિનંતી કરી. ફઇબા આ તમે શું કરી રહ્યાં છો? હું તો તમારાથી નાનો છું અને વળી સંબંધમાં પણ હું તમારો ભત્રીજો થાઉ ને? જો તમે આમ પગે લાગો તો જગતની દૃષ્ટિએ પણ શોભાસ્પદ ન લાગે. માટે તમે મહેરબાની કરી અને મને પગે ન લાગો. ત્યારે રડતા રડતા કુન્તાજી બોલી ઊઠ્યા, આજ સુધી મેં તમને મારા ભત્રીજા જ સમજેલા અને તમારી સાથે એ મુજબનો જ વ્યવહાર કરેલો પરંતુ હે પ્રભુ, જયારે આ મહાભારતનું યુદ્ધ થયું ત્યારે જ મને તમારા સાચા સ્વરૂપનું જ્ઞાન થયું.
હે નાથ, તમે તો કોઇના મિત્ર નથી કે પુત્ર નથી, તમે કોઇના પિતા, ભાઈ કે પતિ નથી તમે તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો માટે જ તો મેં તમને પ્રણામ કર્યા અને એમાં મેં કાંઇ પણ ખોટું નથી જ કર્યું. ઉલ્ટુ મારાથી ક્યાંય તમારા પ્રત્યે અજાણતા કંઈ ભૂલચૂક થઇ હોય તો ઉદાર મન રાખી મને ક્ષમા આપજો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ ગંભીર બની ગયા અને પછી કુન્તાજીને પૂછ્યું, એ બધું તો ઠીક પરંતુ ફઇબા તમે આમ સાવ અચાનક મારા રથની પાછળ પાછળ શા માટે દોડવા લાગેલા? તમને મારાથી કોઇ અપેક્ષા છે? શું તમને કોઈ સમસ્યા છે? કુન્તાજી ભગવાન શ્રી કૃષ્ણને સંબોધીને કહે છે, હે જગતનાથ, મારે તમારી પાસે કંઇક માંગવું છે, તમે જો આપતા હોવ તો તમને કહું? શ્રી કૃષ્ણ કહે છે, ફઇબા, તમે આ શું કહો છો. માંગવાનું નહીં તમારે તો આજ્ઞા કરવાની હોય. હું અવશ્ય તમારી આજ્ઞાનું પાલન કરીશ બસ. કુન્તાજી કહે છે કે, પ્રભુ, મારે બીજું કશું જ નથી જોઇતું તમે મને એક વચન આપો. પછી ભલે તમે તમારી દ્વારકા નગરીમાં જાવ. જરૂર કહો, તમે કહો તે આપવા તૈયાર છું.
ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું. હે નાથ, મને કાયમને માટે વિપત્તિ આપો. મને સતત વિપત્તિ મળતી રહે એજ મારી ઇચ્છા છે કુન્તીજી એકી શ્વાસે બોલતા ગયા. ભગવાન શ્રીકૃષ્ણ કુન્તાજીના શબ્દો સાંભળી અને મુંઝવણમાં પડી ગયા. કહેવા લાગ્યા, તમે આ તો વળી શું માંગ્યું, હેં ફઇબા...? માંગવું જ હતું તો સંપત્તિ માંગવી હતી, શાંતિ માંગવી હતી. તમને તો કેટકેટલી વિપત્તિ વળગેલી તેમાંથી તો માંડ મૂક્ત થયા છો હવે તમારે વિપત્તિને શું કરવું છે? પ્રભુ ખરૃં કહ્યું...? અમારા ઉપર જ્યારે જ્યારે વિપત્તિ આવી ત્યારે ત્યારે અમે અંતઃકરણપૂર્વક તમને યાદ કર્યા હતા અને ત્યારે ત્યારે તમારા સતત દર્શન થતાં રહ્યાં અને તમારી કૃપા થતી રહી તમારું સતત સાનિધ્ય અમને પ્રાપ્ત થયું. માટે અમારા માટે તો વિપત્તિ જ સાચી સંપત્તિ સાબિત થઇ છે. માટે જ હું વિપત્તિ માંગુ છું કે, જેથી કરીને કાયમ માટે તમારું સાનિધ્ય રહ્યા જ કરે કુન્તાજીએ કહ્યું. આ સાંભળી અને ભગવાન શ્રીકૃષ્ણજીએ કુન્તાજીને સાંત્વન આપ્યું અને કહ્યું કે, મારી તમારા ઉપર કાયમ કૃપા રહેશે બસ. આમ, કુન્તાજીએ જગતને બતાવ્યું છે કે, ગમે તેવી આપત્તિ આવે પરંતુ તેનાથી જરાય વિચલીત ન થતા પ્રભુ ભક્તિ પ્રત્યે જીવન વાળવું અને તેમની કૃપા પ્રાપ્તિ માટે જ વિપત્તિ આવે છે.
:: આજનું ભજન ::
તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું.
કંઇક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું.
અને દીધેલો કોલ તમે ભૂલી ગયા...૨
જૂઠી માયાને મોહમાં ઘેલા થયા...૨
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું.
તમે....બાળપણને યુવાનીમાં અડધું ગયું ....૨
નહીં ભક્તિના મારગમાં ડગલું ભર્યું...
હવે બાકી છે તેમાં દયો ધ્યાન જીવન થોડું રહ્યું.
તમે...પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં ....૨
લોભ વૈભવને ધનના ધજાશે નહીં ....૨
બનો આજથી પ્રભુના મસ્તાન જીવન થોડું રહ્યું.
તમે ...જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો ....૨
કંઇક ડર તો પ્રભુજીનો દિલમાં ધર...ર
છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું ...
તમે ...બધા આળસમાં દિન આમ વીતી જશે ...૨
નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું.
તમે ...એજ કહેવું આ બાળકનું ઉરમાં ધરો ....૨
ચીત રાખી રણછોડને ભાવે ભજો .....૨
ઝાલો ઝાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું .
તમે ....
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની કથા કરતા નારદજી ક્યારે થાકતા નહીં. તે જયાં જયાં જતાં ત્યાં ત્યાં ભગવાનની લીલાના ગુણગાન ગાતા રહેતા. એકવાર મહર્ષિ નારદજી ફરતાં ફરતાં મદ્રદેશના રાજા બ્રહ્મસેનને ત્યાં પહોંચી ગયા. ત્યાં પણ તેમણે ભગવાન શ્રી કૃષ્ણની કથા-લીલા વર્ણવી. ત્યાં તે રહ્યાં તે દરમ્યાન તેમણે શ્રી કૃષ્ણના ખૂબ જ કથાગાન કર્યા. કૃષ્ણ ભગવાનની કથાઓ અને લીલાઓ સાંભળી અને બ્રહ્મસૅન રાજાની કુંવરી કે જેનું નામ લક્ષ્મણા હતું તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રીતિ જાગી. તેણે મનોમન નક્કી જ કરી લીધું કે જો મને મારા પતિ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાપ્ત થશે તો જ હું પરણીશ. તેણે દરરોજ મનોમન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા માંડી. તેણે પૂજા પાઠ અને વ્રત, જપ, તપ પણ કરવા માંડ્યા, કે જેથી કરીને શ્રી કૃષ્ણ જ પતિ તરીકે પ્રાપ્ત થાય.
આમને આમ તેની ભક્તિ ચાલતી રહી. રાજકુંવરી તો દિવસે દિવસે મોટી થવા લાગી અને તે પરણવા લાયક થઇ ગઇ તેને જોઈ અને તેના પિતા બ્રહ્મસેને લક્ષ્મણાને પરણવા માટે સ્વયંવર રચવાનો વિચાર કર્યો એટલે દૂરદેશાવરના રાજાઓને તે માટે નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યા. તેમાં કૃત્રિમ માછલીને નીચે પાણીમાં તેનું પ્રતિબિંબ જોઇ અને બાણ વડે તેને વિધવાની એવી શરત મૂકવામાં આવેલી છે, જે આ કૃત્રિમ માછલીને બાણ વડે વિધી નાખે તેને રાજકુમારી લક્ષ્મણા રત્નજડિત હાર પહેરાવી અને તેની સાથે લગ્ન કરે. લક્ષ્મણા તો ખૂબ જ સ્વરૂપવાન હતી તેથી આ સ્વયંવરમાં તેને વરવા માટે કેટલાય રાજાઓ આવ્યા હતા. એ સૌ રાજાઓ જાતજાતના શસ્ત્રો અસ્ત્રો ચલાવામાં અને યુધ્ધ વિદ્યાઓમાં નિપૂણ હતા. તે બધા જ રાજાઓનો યોગ્ય આદર સત્કાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે સ્વયંવર શરૂ થયો ત્યારે પણ લક્ષ્મણાના હૃદયમાં તો ભગવાન શ્રી કૃષ્ણ જ રહેલા. એક એક કરતા રાજાઓ આવતા ગયા અને કાંઇકને કાંઇક અવદશા થઇ અને લક્ષ્ય વેદ તો ન કરી શક્યા પરંતુ, સૌની હાંસીના પાત્ર બને તેવી ઘટના ઘટાતી.
આ રાજા મહારાજાઓમાં કર્ણ, શિશુપાલ, દુર્યોધન, ભીમ, જરાસંગ વગેરેનો પણ સમાવેશ થતો હતો. પરંતુ એ બધાને પીછેહઠ કરવી પડી છેલ્લે મહાન ધનુર્ધારી અર્જુન પણ આવ્યા. પરંતુ એ અર્જુન પણ સાવ નિષ્ફળ ગયો. અર્જુન જેવાને નિષ્ફળ પામતો જોઇ અને રાજકુમારીના પિતા રાજા બ્રહ્મસેન સાવ નિરાશા પામ્યા તેમને લાગ્યું કે, હવે મારી પુત્રી લક્ષ્મણાને લાયક કોઇ પતિ નહીં મળે અને એ તો સાવ કુંવારી જ રહી જશે. તેમ વિચાર કરતાં રાજા બ્રહભેન ચિંતામાં પડ્યા. બરાબર એ સમયે જ ભગાવન શ્રી કૃષ્ણ ત્યાં ઉપસ્થિત હતા. પોતાની જગ્યાએથી ઊભા થઈ અને લક્ષ્યવેદની જગ્યાએ પહોંચ્યા અને એક નજર લક્ષ્મણા તરફ નાખી અને મંદ મંદ સ્મિત કર્યું તેથી લક્ષ્મણાને મનો મન થયું કે, જરૂર ભગવાને મારી પ્રાર્થના સાંભળી લાગે છે તેથી આ બધી તેમની જ લીલા છે . તેણે રત્નજડિત હાર પોતાના હાથમાં લઇ લીધું અને નક્કી કરી નાખ્યું કે, હવે મને ભગવાન શ્રી કૃષ્ણને વરવાનો સમય આવી ગયો છે. ભગવાને રમતમાં ધનુષ્ય હાથમાં લઇ તેની પ્રત્યંચા ઉપર બાણ ચડાવી અને ક્ષણવારમાં માછલું વિંધી નાખ્યું. ચારે બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર થયો . રાજકુમારી લક્ષ્મણા રત્નજડિત હારી ભગવાન શ્રી કૃષ્ણને નજીક જઈ તેના ગળામાં પહેરાવી દીધું. દુદુંભી-નગારા વાગવા લાગ્યા, પુષ્પવૃષ્ટિ થઇ. એ દરમ્યાન જે રાજાઓ લક્ષ્યવેદમાં નિષ્ફળ ગયા હતા તેમાંથી કેટલાક ક્રોધે ભરાયા અને ભગવાન શ્રી કૃષ્ણની પાછળ પડ્યા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કવચ ધારણ કરેલું અને લક્ષ્મણને રથમાં બેસાડી હરિફો સાથે યુદ્ધ કર્યું અને બાણાવડી કરી અને તે રથમાં બેઠા એટલે સારથી દારૂકે રથને દ્વારકા તરફ હાંક્યો. દ્વારકામાં સ્વયંવરના સમાચાર ફેલાયા હતા. સર્વે આનંદ હતો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મણાજીનો ભવ્ય સ્વાગત થયું. અને તેમને પણ પ્રેમભક્તિના લીધે પટરાણીનું સન્માન પ્રાપ્ત થયું હતું.
:: આજનું ભજન ::
દિલમાં વિચારી જો જો રે, કોણ છે કોનું...?
અંતેર ઉતારી લેજો રે, કોણ છે કોનું ...?
કોના પિતા, કોના માતા,
કોના ઝુત ને કોના ભ્રાતા,
સહુને આવીને જતા રે, કોણ છે કોનું ...?
મા - બાપ કહે : બેટો મારો,
આકાશનો જેવો તારો.
ખરેખર એ ખરનારો રે, કોણ છે કોનું ...?
પત્ની કહે મને વરિયો
એ તો પ્રેમનો પ્રેમનો દરિયો
દરિયો તો ખારો ભરિયો રે, કોણ છે કોનું ...?
પુનિત લ્યો હાથ સાળા
મૂકી ઘો આ ચેન ચાળા
સાયા સગા બંસીવાળા રે, કોણ છે કોનું ..?
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મહારાષ્ટ્રના સંતોમાં એકનાથજી મહારાજનું નામ આજે પણ ગુંજે છે. એકનાથજી મહારાજ પ્રભુના પરમ ભક્ત હતા. તેમણે ગૃહસ્થાશ્રમમાં રહી અને પ્રભુ ભક્તિ કરેલી. વળી, પ્રભુની કથા-વાર્તા પણ તે કહેતા. તેમને ત્યાં હરિભક્તો અને દીનદુઃખીયાઓની સતત અવર-જવર રહેતી. તેમને પીવા પાણી આપવું, જમાડવા, રસોઇ કરવી, તેમની વ્યવસ્થા સંભાળવી. આ બધું કરવાથી પતિ-પત્ની ખૂબ જ થાકી જતાં. પરંતુ થાય શું? પતિ-પત્નીએ સાથે મળી અને એક મહાન કાર્ય આદરેલું તેથી ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે પોતાના જીવનનું એક લક્ષ્ય નક્કી કરેલું એ તો કોઇપણ હિસાબે પાર પાડવું રહ્યું.
એક દિવસની વાત છે. એક બાર-પંદર વર્ષનો છોકરો એકનાથજી મહારાજ પાસે આવ્યો અને કહે છે કે, "મહારાજ...મહારાજ... મને નોકરીએ રાખશો?" એકનાથજી મહારાજ આ છોકરાને જોઈ અને વિચાર કરે છે કે, "આ બાળક શું કામ કરી શકશે? વળી, તેને પગાર પણ જોઇએ. તેના રૂપિયા ક્યાંથી લાવવા?" એટલે પોતાને મૂંઝવતા પ્રશ્નો એકનાથજી મહારાજએ તે છોકરાને કર્યા. છોકરો કહે છે, " તમે જે કહેશો તે કામ કરી દઇશ મને રસોઇ બનાવતા આવડે છે. તે ઉપરાંત હું સાફ સફાઈ કરી આપીશ. વાસણ સાફ કરી દઇશ. તમે જે કામ બતાવશો તે કામ હું ફટાફટ કરી આપીશ."
એકનાથજી મહારાજ કહે છે, "તારૃં નામ શું છે?" "મારૃં નામ શિખંડીયો છે." તે બાળક જવાબ આપે છે. ફરી એકનાથી મહારાજે પૂછ્યું, " બેટા, તું પગાર શું લઇશ?" ત્યારે તે શિખંડીયો જવાબ આપે છે કે, "મારે પગાર નથી જોઇતો પરંતુ તે કામના બદલામાં મને બે વખતનું જમવાનું આપજો એટલે બસ!" એકનાથજી મહારાજ તો રાજીનારેડ થઇ ગયા. તેમને થયું સારું થયું. કામની જંઝટમાંથી મુક્તિ મળી જેથી કરીને વધુ સારી રીતે પ્રભુભજન પણ થશે અને દીનદુઃખીયાઓની સેવા પણ થશે.
બસ, શિખંડીયાએ તો કામ પોતાના હાથમાં લીધું. તે દરેક કામ ખૂબજ ઝડપથી કરી નાખે છે. સાફ સફાઇ પણ એવી કરે કે, જગ્યાને ચોખ્ખીચટક જોઇ ભલભલા આશ્ચર્યમાં પડી જાય અને દરરોજ શિખંડીયો રસોઇ પણ એવી સુંદર બનાવે છે, ખાનારા આંગળી ચાટી જાય. ખુદ એકનાથજી મહારાજ અને તેમના ધર્મપત્નીને પણ ભોજનમાં અલૌકિક આનંદ આવતો. આમને આમ દિવસો વિતતા જાય છે. લોકોને એકનાથજી મહારાજની જગ્યામાં અલૌકિક આનંદ આવતો અનુભવાય છે. તેની ખૂબ ખૂબ પ્રશંસા પણ ચોતરફ થતી રહે છે. એકવાર મહારાષ્ટ્રથી કેટલાક લોકો ચાલીને દ્વારકાની યાત્રાએ નિકળ્યા. પગે ચાલીને નિકળેલ આ યાત્રાળુઓ દ્વારકા પહોંચ્યા. દ્વારકા પહોંચી અને ભગાવન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા મંદિરમાં ગયા. ત્યારે જ્યાં જુએ છે ત્યાં મંદિરમાં ભગવાન જ નથી. પૂછતા ખબર પડી કે, ભગવાન તો હાલ એકનાથજીને ત્યાં બિરાજે છે. એટલે, ભક્ત યાત્રાળુઓ તો વિચારમાં પડી ગયા કે, "આ શું ?" મહારાષ્ટ્રથી તો અમે પગે ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા અને દ્વારકાધીશ તો અમારે ત્યાંજ બિરાજી રહ્યાં છે. એટલે સૌ સાથે મળી અને ફરી પગે ચાલીને દ્વારકાથી મહારાષ્ટ્રમાં આવ્યા અને જ્યાં એકનાથજી મહારાજની જગ્યામાં આવીને કહે છે, "મહારાજ અમને તમારે ત્યાં બિરાજી રહેલા દ્વારકાધીશના દર્શન કરવા છે. ક્યાં છે પ્રભુ? અમને દર્શન કરાવો." એકનાથજી મહારાજ કહે છે, "મારે ત્યાં દ્વારકાધીશ બિરાજે છે તેવું તમને કહ્યું કોણે ?" યાત્રાળુઓ કહે છે કે, "અમે દ્વારકા ગયા હતા ત્યાંથી જાણવા મળ્યું પ્રભુ છેલ્લા કેટલા સમયથી તમારે ત્યાં બિરાજે છે." એકનાથજી મહારાજને તરત જ વિચાર ઝબક્યો, "જરૂર પહેલો શિખંડીયો સાક્ષાત દ્વારકાધીશ હશે!" તપાસ કરતા જાણવા મળ્યું કે તે કાવડ લઇ અને પાણી ભરવા ગયા છે. એકનાથજી મહારાજે જળાશય પાસે દોટ મૂકી તેની પાછળ પાછળ યાત્રાળુઓ અને ભક્તજનો પણ દોડ્યા. ભગવાન આ બધી વાત જાણી ગયા તેથી કાવડ મૂકી અને અંતર્ધાન થઇ ગયા. તેને જોવા નિકળેલા એકનાથજી મહારાજ અને ભક્તોને ખાલી પાણી ભરેલી કાવડ મળી. એકનાથજી મહારાજની આંખોમાંથી અશ્રુધારા વહી તેમને થયું કે, "ભગવાન પાસે મેં નોકર જેવું કામ કરાવ્યું" અને તે વિલાપ કરવા લાગ્યા. આમ, એકનાથજી મહારાજ અને તેમના ધર્મપત્નીની નિષ્કમ ભક્તિથી આધિન થઇ અને ભગવાને જાતે તેના બધા કામ સંભાળ્યા.
:: આજનું ભજન ::
જનમો જનમ ચરણોની ભક્તિ માંગીએ,
વ્હાલા ! તું તો દિલડાનો દાતાર જો...
કલ્પવૃક્ષ સમ મીઠી તારી છાંયડી,
જેવુ માંગે તેવું તું દેનાર જો...
દર્પણ સમ દિસે છે મૂરતિ તાહારી,
ભાવ પ્રમાણે દર્શનનો દેનાર જો...
કર્મના યોગે જો કોઇ યોનિ સાંપડે,
"પુનિત" રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો...
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એકવાર દુર્વાસામૂનિ પોતાના દસ હજાર શિષ્યોને લઇને દુર્યોધનને ત્યાં ગયા. દુર્યોધને દુર્વાસામુનિનો ભારે ભપકા સાથે યોગ્ય સત્કાર કર્યો અને તેને યોગ્ય આસન પણ આપ્યો. તેમની ખૂબ જ સેવા કરી અને આખો દિવસ ખડે પગે તેમની સેવામાં રહ્યો. આવી સતત સેવા જોઇ અને મહાન એવા દુર્વાસામૂનિ ખૂબ જ પ્રસન્ન થયા. દુર્યોધન પર પ્રસન્ન થયેલા દુર્વાસામૂનિ દુર્યોધનને કહે છે કે, "હે દુર્યોધન તારી આ સેવાથી હું પ્રસન્ન થયો છું એ માટે હું તને એક વરદાન આપવા માંગુ છું. માટે તું વરદાન માંગ."
આ તો હતો દુર્યોધન, તેને કોઇ સારૃં કામ તો મનમાં આવે જ નહીં. તેને થયું કે, કંઇક એવું વરદાન માંગુ કે જેથી પાંડવોને માટે સંકટ ઊભું થાય તેથી દુર્વાસામૂનિને પગે લાગી અને કહે છે, "મહારાજા, આપની જો મારા પર કૃપા જ હોય તો મને એવું વરદાન આપો કે, અહિંથી તમે સીધા પાંડવોને ત્યાં જજો અને તમારી સેવાનો લાભ દ્રૌપદીજીને પણ આપજો." અને ત્યા પણ તમારા આ દસહજાર શિષ્યોને પણ સાથે લઇ જજો. આટલી મારા ઉપર કૃપા કરજો. એટલે સમજી લ્યો કે મને મારું વરદાન મળી ગયું."
આ પ્રમાણે વરદાન માંગી દુર્વાસામૂનિના ક્રોધનો ભોગ પાંડવો બને તે હેતુ સાથે દુર્યોધને કહ્યું ત્યારે દુર્વાસામૂનિ કહે છે, "ભલે ત્યારે, વરદાન આપ્યું." પછી દૂર્યોધનને ત્યાંથી દુર્વાસામૂનિ નિકળી અને પાંડવોને ત્યાં જવા રવાના થયા અને પાંડવોને ત્યાં બરોબર તેવા સમયે પહોંચ્યા કે, પાંચે પાંડવો અને દ્રૌપદીજીએ તો ભોજન કરી લીધું હતું. તેમની પાસે એક અક્ષયપાત્ર હતું. તે અક્ષયપાત્રમાંથી જ્યાં સુધી દ્રૌપદીજી ન જમે ત્યાં સુધી જેટલા લોકો આવે તેટલા લોકો જમી જાય એવું વચન હતું. બાકી તેમની પાસે બીજું કાંઇ ધનધાન્ય તે સમયે ન હતું. દુર્વાસામૂનિ દ્રૌપદીજીને સંબોધીને કહે છે, "બેટા, હું મારા દસ હજાર શિષ્યો સાથે તારે ત્યાં અતિથિ થઇને આવ્યું છું અને અમે સૌ સ્નાન કરીને આવીએ છીએ. પછી ભોજન તમારે ત્યાં લેશું." કહી અને દુર્વાસામૂનિ તો નાહવા રવાના થઇ ગયા. બીજી બાજુ સૌથી વધુ દ્રૌપદીજી ગભરાયાં તેમની આંખોમાં ઝરઝરીયા આવી ગયા. તેમને ખરા હૃદયથી શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ તો સાક્ષાત પરમાત્મા હતા. તે જાણી ગયા કે, દ્રૌપદીજી અને પાંડવો મોટી આફતમાં છે અને દુર્યોધને દુર્વાસામૂનિનો સાપ પાંડવોને લાગે એ માટે આ આયોજન કર્યું છે. એટલે દ્રૌપદીજીએ કરેલા સ્મરણથી ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું, "કેમ દ્રૌપદીજી, તમે આજે ચિંતામાં છો ?"
દ્રૌપદીજીએ સઘળી હકિકત કહી સંભળાવી. એ સાંભળી અને ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીજીને કહ્યું. "તમે જેમાંથી ભોજન લ્યો છો તે અક્ષયપાત્ર લઇ આવોને..." દ્રૌપદીજી અક્ષયપાત્ર લઈ આવ્યા તેમાં બરોબર જોયું તો એક ચોખાનો દાણો જોયો તે લઇ અને ભગવાન શ્રીકૃષ્ણએ તરત જ મોઢામાં મૂકી દીધો અને પછી તરત જ ઓડકાર ખાધો. આ બાજુ નાહી રહેલા દુર્વાસામૂનિ અને તેમના દસ હજાર શિષ્યોના પેટ ભરાઇ ગયા.
આથી દુર્વાસામૂનિ જાણી ગયા કે, જરૂર આ ભગવાન શ્રીકૃષ્ણની લીલા છે અને તે પાંડવો પાસે પહોંચી ગયા છે. માટે હવે ત્યાં જવામાં માલ નથી. એમ પરિસ્થિતિને પામી જઈ અને તે પાંડવોને ત્યાં ન જતાં પોતાના શિષ્યો સાથે બારોબાર પોતાના આશ્રમે જતાં રહ્યાં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, "પાંડવો અને દ્રૌપદીજી, હવે તમે ચિંતા છોડી આરામ કરો. દુર્વાસામૂનિ અને તેમના શિષ્યો તો ક્યારનાય પોતાના આશ્રમે પહોંચી ગયા છે. આમ, કહી પાંડવોની ફરી એકવાર રક્ષા કરી અને ભગવાન શ્રીકૃષ્ણએ ત્યાંથી વિદાય લીધી.
:: આજનું ભજન ::
હરિ મારું મનડું મન મોહનમાં,
મને ગમતું નથી ભુવનમાં.
હરિ મારી પ્રિત પ્રભુ દર્શનમાં,
મને ગમતું નથી ભુવનમાં.
હરવું ફરવું રમવું જમવું
જુગવવારે સંચરવું,
હરિ મને રૂચે નહીં જીવનમાં,
મને ગમતું નથી ભુવનમાં.
સગા સંબંધી સુત વીત નારી
કડવા લાગે સહુ સંસારી,
હાંરે મારું અકળામણ બંધનમાં,
મને ગમતું નથી ભુવનમાં.
નીંદરડીમાં ઝબકી જાગી
ચારે દિશાએ નિરખવા લાગી,
હાંરે નવ દેખું શ્યામ સદનમાં,
મને ગમતું નથી ભુવનમાં.
ભાગ્ય અમારા ક્યારે ઉગડશે ?
ક્યારે મળશે કૃષ્ણ કનૈયા ?
હાંરે એની તાલાવેલી તનમનમાં,
મને ગમતું નથી ભુવનમાં.
"વલ્લભ" ના સ્વામીને મળવા
મને ફરવું વન ઉપવનમાં,
હરે મારું મનડું મન મોહનમાં,
મને ગમતું નથી ભુવનમાં.
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પુષ્ટીમાર્ગના ગુંસાઇજી પાસે એક વેપારી આવતા. તેની શ્રદ્ધા ખૂબ જ સાચી પરંતુ તેનો સ્વભાવ ભારે કંજુસ. તેમની પાસે અનહદ ધન હતું. પરંતુ તે સદમાર્ગે એક પૈસો પણ ખર્ચ કરવા તૈયાર ન હતા. એક દિવસ ગુંસાઇજી કહે છે કે, "જો ભાઇ તારે કાયાનું કલ્યાણ કરવું જ હોય તો તું ઠાકોરજીની સેવા કર." "ઠાકોરજીની સેવા તો કરવા તૈયાર છું. પરંતુ પછી ઠાકોરજી માટે શણગાર લેવા પડે અને તેમને ધરવા માટે દૂધ સામગ્રીના ખર્ચા કરવા પડે અને કોઇપણ પ્રકારનો ખર્ચ કરવો પડે તેવી સેવા કરવાનું મને ન ફાવે." વેપારી શિષ્ય ગુંસાઇજીને કહ્યું. ગુંસાઇજી કહે છે, "જો ભાઇ તારે ઠાકોરજીની સેવા જ કરવી હોય તો તને એક પૈસાનો પણ ખર્ચ ન થાય તેવી સેવા બતાવું. ઠાકોરજીની માનસિક સેવાનો એક એવો પ્રકાર છે કે જેમાં એક પૈસાનો પણ ખર્ચ ન થાય." "એવી સેવા હોય તો તે મને જરૂર બતાવ જો એક પણ પૈસાનો ખર્ચ ન હોય તો એવી સેવા હું જરૂર કરીશ. મને માનસી સેવાનો એ પ્રકાર સમજાવો." કહી અને વેપારી ઉત્સુક્તા સાથે ઠાકોરજીની માનસિક સેવા કરવા તૈયાર થઇ ગયો.
ગુંસાઇજી તે વેપારીને સમજાવતા કહે છે, "તારે દરરોજ વહેલી સવારે ઠાકોરજીને મનોમન જગાડવા પછી મનોમન દૂધમાં ખાંડ, કેસર નાખી અને તે દૂધ ઠાકોરજીને ધરવું. પછી તેમને સ્નાન કરાવવું, પછી તેમને શૃંગાર ધરવાનું, પછી તેને ભોગ ધરવો, આરતી કરવી. બપોરે ફરી રાજભોગ ધરવો, સાંજે ફરી ઠાકોરજીને મેવો ધરવો, તેમની આરતી કરી પછી એમને પોઢાડી દેવાના. બસ આજ નિત્ય કર્મ પ્રમાણે દરરોજ ઠાકોરજીની હૃદયપૂર્વક સેવા કરવી. સેવા કરવાથી મન પવિત્ર થાય છે અને તેથી ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય છે."
આ પ્રમાણે ગુંસાઈજી પાસેથી નિત્યક્રમને સમજી લઇ અને વેપારી તો પોતાને ઘરે ગયો. પછી તેને તો દરરોજ ઠાકોરજીની માનસી સેવા શરૂ કરી દીધી. પાંચ પૈસાનો પણ ખર્ચ ન હતો તેથી તેને માનસિક સેવામાં અલૌકિક આનંદ આવવા લાગ્યો. પછી જ્યારે જયારે ગુંસાઇજી વેપારીને મળતા ત્યારે ત્યારે પૂછતા, "કેમ ભાઇ, ઠાકોરજીની સેવા કેમ ચાલે છે ?" વેપારી કહે છે, "ખરેખર, મહારાજ ઠાકોરજીની સેવામાં મને તો હવે અલૌકિક આનંદ આવતો જાય છે." આમને આમ સેવા કરતા એ વેપારીએ એક દિવસ માનસી સેવા કરતા ઠાકોરજીને જગાડ્યા. પછી તેમને ધરવા માટે દૂધનો વાટકો લીધો અને મનોમન લીધેલા એ દૂધના વાટકામાં ખાંડ પણ નાખી. પરંતુ ઉતાડવમાં થોડી ખાંડવધુ પડી ગઈ હોય તેવું વેપારીને લાગ્યું એટલે તુરંત જ વેપારીનો મુળ કંજુસીયો સ્વભાવ જાગૃત થયો તે પૂજામાં તન્મય થયો હતો. દૂધની વાટકીમાંથી ખાંડ કાઢવા જયાં દૂધમાં હાથ નાખવા જાય છે ત્યાં સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને વેપારીનો હાથ પકડી લીધો.
પ્રભુ કહે છે કે, "અલ્યા તું તો ભારે કંજુસીયો એક તો માનસી સેવામાં ખોટે ખોટું તું દૂધ ધરે છે. એમાં ખોટે ખોટી ખાંડ નાખે છે ને વળી તેમાંથીય ખાંડ પાછી કાઢવાની કરે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણનો સ્પર્શ થતાં તે વેપારીને એક અલૌકિક આનંદનું અનુભવ થયો. પછી તે સાચો વૈષ્ણવ બની પોતાની સંપત્તિનો ઠાકોરજીની સેવામાં ઉપયોગ કરતો રહ્યો. અને જીવનના અંતે તેણે ગૌલોકમાં સ્થાન મેળવ્યું.
:: આજનું ભજન ::
મારો શામળો સાંભળે સહ વાત ને રે,
હું તો ભૂલી ગયો છું મારી જાત ને રે...
કોણ કોનું ? આ ખોટા સંસારમાં રે,
હું તો જીવું છું એના આધારમાં રે...
જેમ થતું હતું હોય એમ ભલે થઇ જતું રે,
જગ આખુ યે છાનું ડુબી જતું રે...
મારું ભજન મને તો બહુ ભાવતું રે,
"પુનીત" શામળીયો કરી લેશે ફાવતું રે...
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એકવાર પાંડવોને વનવાસ ભોગવવાનો વખત આવ્યો. આ સમયે અનેક પ્રકારના કષ્ટોમાંથી પાંડવોને પસાર થવું પડેલું કારણ કે, કાયમ સુખમાં ઉછરેલા અને રાજમહેલમાં રહેનારા આ પાંડવોને કાંટા, હિંસક પશુઓ પથરાયેલી પથારી વગેરેથી યુક્ત રહેવું પડતું. આવી ખરાબ પરિસ્થિતિ વચ્ચે જીવવું દુષ્કર બની જાય તેમ છતાં પણ પાંડવો પોતાની ધર્મપત્ની દ્રૌપદી અને કુન્તા માતા વનમાં દિવસો વ્યતિત કરી રહ્યા હતા. આ સમયે સૌથી વધુ ધીરજ યુધિષ્ઠિરે રાખી હતી. તે સવાર અને સાંજ નિયમિત પરમકૃપાળુ પરમાત્માના ધ્યાનમાં મગ્ન થઇ જતા હતા. તેમને પ્રભુ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. પોતાના પર આવી પડેલા આ મહાકષ્ટને તે કર્મનું ફળ જ માનતા હતા. એકવાર દરરોજની જેમ પૂજા-ધ્યાન પૂર્ણ કરી યુધિષ્ઠિર ઉઠ્યા ત્યારે દ્રૌપદીજી ઊભા હતા. તેમનાથી ન રહેવાયું તે બોલી ઉઠ્યા, "તમે આટલા બધા પૂજા-પાઠ અને ધર્મધ્યાન કરો છો પરંતુ આપણા સંકટો તો દિવસો દિવસ વધતા જ જાય છે. તમે ભગવાનને કહેતા શા માટે નથી? કે આપણા બધા જ સંકટો દૂર થઈ જાય. તમે તો સહનશીલ છો પરંતુ તમારા આ ભાઇઓ વનમાં ઠોકરો ખાઇ ખાઈ કેટલું બધું દુઃખ વેઠી રહ્યાં છે. ક્યારેક પથ્થરની ચટ્ટાન ઉપર સુવું પડે છે તો ક્યારેક કાંટાળા માર્ગ પર ચાલવું પડે છે. ક્યારેક તરસ લાગી હોય તો પાણીના ફાંફા થાય છે તો ક્યારેક ખાવાના સાંસા પડે છે. હું જાણું છું કે જો તમે માત્ર એકવાર ભગવાન પાસે પ્રાર્થના કરશો તો આપણા તમામ દુઃખોને તે દૂર કરી નાખશે."
દ્રૌપદીજીની આ વાત સાંભળીને પ્રથમ તો યુધિષ્ઠિર હસ્યા પછી હળવેકથી કહ્યું, "દ્રૌપદી, પહેલી વાત તો એ કહું જે પ્રભુભક્તિ કરું છું તેનું મુખ્ય કારણ એ છે કે, પ્રભુની ભક્તિ કરવી મને ખૂબ જ ગમે છે. મને તેમાં અત્યંત આનંદ આવે છે. એ નિત્યાનંદની પ્રાપ્તિ માટે પ્રભુભક્તિ કરવી એ અલગ વાત છે. હવે જો આનંદ માટે ભક્તિ કરતો હોઉ અને હું જો ભગવાન પાસે કંઇને કંઇ માંગવા લાગું તો તે મારી પ્રાર્થના સાંભળી અને આપણા કષ્ટ કલેશોને દૂર તો કરી જ દેશે તેવી મને પૂરી શ્રદ્ધા છે પરંતુ દુઃખની વાત એ છે કે આપણે જે કર્મો કર્યા હોય તેના ફળ ભોગવવાથી દૂર ભાગીએ તો એ પણ એક પ્રકાની કાયરતા જ ગણાય ને? વળી આપણે પ્રાર્થના પૂજાના બદલામાં પ્રભુ પાસે કંઇ માંગીએ તો એક પ્રકારનો વ્યાપાર થયો ગણાય. ભગવાન પાસે ક્યારે સોદાબાજી કરવી ન જોઇએ કારણ કે ભક્તિ કરતાં કરતાં આપણે તેની પાસે કંઇક માંગ્યું તો એક વેપાર થયો ગણાય. જેની કોડીની પણ કિંમત નથી રહેતી વળી, હું તો પ્રભુની નિષ્કામ ભક્તિ કરું છું નિષ્કામ ભક્તિમાં જ સાચા આનંદની પ્રાપ્તિ થાય છે. માટે મને હવે ફરી ક્યારે પણ એ વાત ન કરશો કે પ્રભુ પાસેથી ભક્તિના બદલામાં કંઇક માંગો."
આ સાંભળી દ્રૌપદીને સંતોષ થયો અને પોતે જે માંગણી કરેલી તે ભૂલ બદલ તેમણે યુધિષ્ઠિર પાસે ક્ષમા માંગી. ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિર, પાંડવો, કુન્તી માતા અને દ્રૌપદીજીની નિષ્કામ ભક્તિને કારણે મહાભારતના યુદ્ધ સમયે પાંડવોનો સંપૂર્ણ સાથ આપ્યો કારણ કે, તે નિષ્કામ, નિષ્કપટ અને સત્યને વળગી રહેનારા હતા. માટે જ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથના સારથી બન્યા અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને લીધે જ જીતવી અતિ મુશ્કેલ એવી કૌરવોની સેના પર વિજય મેળવ્યો. આમ, નિષ્કામ ભક્તિનું ભગવાન ફળ અવશ્ય આપે છે અને એ જ્યારે આપે છે ત્યારે કોઇ હિસાબ રાખતા નથી.
:: આજનું ભજન ::
જગની સૌ વાતોનો સાર(ર)
મારે એક હરિનું નામ.
મારા જીવનનો આધાર(૨)
મારે એક હરિનું નામ.
બહુ જોયુંને બહુ બહુ જાણ્યું,
અનુભવ્યું, સુષ્ય ઘણું,
અંતે દ્રઢ થયો વિચાર(૨)
મારે એક હરિનું નામ.
સતસંગની બલિહારી છે,
જેમાંથી એ સાંપડ્યું.
મંથન કરતા માખણ સાર(૨)
મારે એક હરિનું નામ.
હૃદય તણા તાળાને માટે,
ચાવી હરિના નામનીસ
ખોલી નાખે દિલના દ્વાર (૨)
મારે એક હરિનું નામ.
હાથીના પગલાંની મધ્યે
સૌ પગલાં સમાય છે,
"પુનિત" કરશે બેડો પાર(૨)
મારે એક હરિનું નામ
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એકવાર ભગવાન શ્રીકૃષ્ણ બેઠા બેઠા શેરડી ખાતા હતા. ત્યારે તેમની પાસે તેમની અષ્ટ પટરાણીઓ પણ બિરાજી રહી હતી તે ઉપરાંત દ્રૌપદીજી પણ ત્યાં હાજર હતા. સૌ વાતોમાં મગ્ન હતા અને આનંદનું વાતાવરણ સર્જાયું હતું. તેમાં અચાનક જ ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં શેરડી છોલતા ચીરો પડી ગયો અને આંગળીમાંથી લોહી નિકળવા લાગ્યું. એકાએક બનાવ બનતા અષ્ટ પટરાણીઓ ગભરાયા અને ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં પાટો બાંધવા માટે લીરો શોધવા દોડા દોડી કરવા લાગ્યો. ત્યાં બેઠેલા દ્રૌપદીજીએ પણ ભગવાનના હાથમાંથી લોહી વહેતા જોયું તેથી તેમને પણ પારાવાર દુઃખ થયું પછી એક પળની પણ ચિંતા કર્યા વગર તેમણે પોતાની નવી નકોરી સાડીના છેડેથી એક લીરો ફાડી અને તેનો પાટો બનાવી અને ભગવાન શ્રીકૃષ્ણને તુરંત જ બાંધી દીધો.
જયારે પટરાણીઓ પાટા લઇને આવી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં પાટો બંધાયેલો જોઇ અને તેઓ આશ્ચર્યમાં પડી ગઇ. પછી સર્વે વિગત જાણી અને સૌને થયું કે, અમે અમારા પત્ની વ્રત ધર્મ બજાવવામાં નિષ્ફળ રહ્યા. હવે ભગવાન શ્રી કૃષ્ણની દ્રૌપદીજીએ કરેલી આ સેવાનો બદલો ભગવાને સતત તેનું રક્ષણ કરી અને વાળ્યો. ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીના ચીર હરણ થયા ત્યારે તેની લાજ રાખી એટલું જ નહી. જ્યારે દુર્વાસામુનીને કૌરવોએ કપટથી પાંડવોને ત્યાં ભોજન માટે મોકલ્યા ત્યારે પણ ભગવાને દ્રૌપદીજીની લાજ રાખી. જ્યારે જ્યારે વિપત્તિ પડી ત્યારે ત્યારે આખરે દ્રૌપદીજી ભગવાન શ્રી કૃષ્ણને ખરા અંતઃકરણપૂર્વક યાદ કરતા અને ભગવાન શ્રીકૃષ્ણ પણ તુરંત જ હાજર થઇ જતા અને પોતાની લીલા વડે પળવારમાં તેઓ પાંડવોના દુઃખને દૂર કરી દેતા.
ભગવાન શ્રીકૃષ્ણની સેવાનું ઉત્તમ ફળ દ્રૌપદીજીએ પ્રાપ્ત કર્યું. ભગવાન ખરેખર ભાવનાના ભૂખ્યા છે તે આ પ્રસંગ પરથી જગતને બતાવ્યું છે એટલું જ નહીં નાની એવી પાટો બાંધવાની સેવાથી પ્રસન્ન થયેલા પ્રભુ દ્રૌપદીજીની સેવાને ક્યારે ભૂલ્યા નથી. ભગવાન શ્રી કૃષ્ણએ જે ફરજો બજાવી છે તેને આજે પણ ભૂલી શકાય તેમ નથી. તેઓ વિદ્યાર્થીકાળમાં પોતાને ગુરૂને ત્યાં ભણતા હતા. સાંદિપની ઋષિ ભગવાન શ્રીકૃષ્ણને ભણાવતા. ખૂબ જ સંતોષી એવા આ ઋષિને ત્યાં ભણતર પૂરું કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ ગુરૂદેવને કહે છે, "ગુરૂદક્ષિણા આપ્યા વિના વિદ્યા ફળે નહીં માટે હે ગુરૂદેવ, તમે કહો તે ગુરૂદક્ષિણામાં આપવા તૈયાર છું." પરંતુ ગુરૂદેવ કંઈ લેવા તૈયાર નથી. ખૂબ રકઝક થઇ પણ અંતે સાંદિપની ઋષિએ કશું જ ન લેવા કહ્યું. ત્યારે શ્રીકૃષ્ણ ગુરૂપત્ની પાસે જઇ કહે છે, "હે ગુરૂમાતા, ગુરૂજી તો ગુરૂદક્ષિણામાં કશું જ લેવા તૈયાર નથી. પરંતુ તમે કંઇક માંગો તમે જે દક્ષિણામાં માંગશો તે આપવા હું તૈયાર છું." ત્યારે ગુરૂમાતા કહે છે, "બેટા, અમે તો સંતોષથી જીવનારા બ્રાહ્મણ છીએ. આમ છતાં પણ તમે કંઇક આપવા જ માંગતા હોવ અને આપી શકવાને શક્તિમાન હો તો હું કુટુંબ સહિત તિર્થક્ષેત્ર સેવા પ્રભાસમાં ગઈ હતી. ત્યાં સાગરમાં મારો પુત્ર ડૂબી ગયો છે તે જો પાછો લાવી આપો તો મારા અંતઃકરણને સંતોષ થશે."
ત્યારે ગુરૂદક્ષિણા ચૂકવવા મક્કમ બનેલા ભગવાન શ્રી કૃષ્ણ ગુરૂમાતાએ કહેલી સેવાનું ફળ આપવા યમરાજ પાસે જઇ અને તેમના પુત્રને લઈ અને પાછા આવી પોતાના ગુરૂ અને ગુરૂમાતાને તેમનો પુત્ર સોંપી અને ગુરૂદક્ષિણા ચૂકવે છે. આમ, ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સેવાનું ફળ આપવા હંમેશા તત્પર રહ્યાં છે. જગતને આનંદ આપનારા ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવા મળે તે પણ માટે સૌભાગ્યની વાત ગણાય.
- દેવેન કે. વ્યાસ
:: આજનું ભજન ::
વારી વારી શ્રી ગીરધરલાલ તમારા લટકાને
હું વારી સુંદર શ્યામ તમારા લટકાને.
લટકે ગીરી ગોવર્ધન તોલ્યો લટકે પર્વત વારી રે,
લટકું જઇ જમુનામાં કીધું, હાલે લટકે નાથ્યોકાલી.
લટકે વનમાં ધેનુ ચરાવી, લટકે વાર્યો વાસ રે,
લકટે દાવાનળને પીધો વહાલે લટકે માર્યો કંસ.
લટકે નરસિંહ રૂપ ધરીને, થંભમાં લીધો વાસરે,
હાથે હરિએ હિરયાકંશ્યને માર્યો, ઉગાર્યો પ્રહલાદ.
લટકે વામન રૂપ ધરીને , ગયા છે બલીને દ્વાર રે,
ત્રણ ડગલામાં પ્રથ્વી લીધી, બલીને ચાંપ્યો પાતાલ.
લટકે રઘુવીર રૂપ ધરીને, તાતની આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણમાં રાખ્યો, વહાલે લટકે સીતા વારી.
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જયારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા હતા ત્યારની આ વાત છે. તેની દ્વારકા નગરીમાં એક પ્રજ્ઞાચક્ષુ (બંધ) પુરૂપ રહેતો હતો. તેને એક પત્ની અને એક પુત્ર હતા. પિતા-પુત્ર ઘેર ઘેર ભીક્ષા માંગી અને જીવન નિર્વાહ ચલાવતા હતા. જે નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ હોય તે નગરીની પ્રજા દયાળુ હોય એ તો સ્વાભાવિક જ છે. આ પ્રજ્ઞાચક્ષુ (બંધ) એવો પુરૂષ ખૂબ જ સંતોષી અને ભલો હતો અને પોતાના કુટુંબ જેટલું મળી રહે એટલે તે વધુ ભીક્ષા માટે પણ ન ફરતો. ગામને છેવાડે એક નાનું ઝુપડું બનાવી અને તેમાં એ કુટુંબ રહેતું હતું. પોતાના જીવનમાં સંતોષ અને આનંદ હતો. કુટુંબના ત્રણેય સભ્યોને કોઇપણ પ્રકારનું દુઃખ જ ન હતું. આવા એ કુટુંબમાં એક દિવસ વિચિત્ર બનાવ બની ગયો. તે પ્રજ્ઞાચક્ષુનો પુત્ર સમુદ્ર કિનારે રમવા ગયો. ત્યાં તે રેતીના ઝુપડાં બનાવતો હતો. ત્યારે ત્યાં એક બીજો છોકરો આવ્યો. તેણે આવીને આ પ્રજ્ઞાચક્ષુના પુત્રએ બનાવેલા ઝુંપડાને ભાંગી ત્યારે વિવેક સાથે પ્રજ્ઞાચક્ષુના છોકરાએ કહ્યું, "ભાઇ, હું માટીના ઝુંપડા બનાવું તેને તું ભાંગી નાખે છે તને આમ કરવું શોભતું નથી." આ સાંભળી અને છંછેડાયેલો તે છોકરો કહેવા લાગ્યો, "તું જ્યાં જ્યાં ઝુંપડા બનાવીશ ત્યાં ત્યાં હું તોડી નાખીશ. કારણ કે ઝુંપડામાં રહેનારા ગરીબોને હું ધિક્કારું છું."
આમ, તેણે ગરીબ છોકરાનો તિરસ્કાર કર્યો. ગરીબાઇને લીધે તિરસ્કૃત થયેલા એવા તે પ્રજ્ઞાચક્ષુના પુત્રને આ વાત સાંભળી અને ક્રોધ તો ચડ્યો તેમ છતાં તેણે મન ઉપર કાબૂ રાખી તે છોકરાને કહ્યું, "જો ભાઇ, કોઇ ગરીબની આ રીતે હાંસી ઉડાવવી એ યોગ્ય નથી. ''ત્યારે પેલો છોકરો તેના વિશે જેમ તેમ બોલવા લાગ્યો, એટલે પ્રજ્ઞાચક્ષુના છોકરાને ખૂબ જ ક્રોધ ચડ્યો અને ક્રોધમાંને ક્રોધમાં તેણે પેલા છોકરાને માર માર્યો. માર મારતા તો મારી ગયા પછી જાણ્યું કે, પોતે કોના છોકરાને માર માર્યો છે ? તે સાંભળી ગભરાઇ અને ત્યાંથી ભાગ્યો અને પોતાના પિતા પાસે ઘેર ઝુંપડીમાં પહોંચી ગયો. પછી પિતાને સઘળી હકિકત કહી સંભળાવી અને કહ્યું કે, "તે છોકરો બીજો કોઇ નહીં પણ આપણા રાજા શ્રી કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન હતો." આ સાંભળી અને પ્રજ્ઞાચક્ષુ અને તેની પત્ની તો ખૂબ જ વિલાપ કરવા લાગ્યા, "બેટા, તે આ શું કર્યું? રાજાના પુત્રને ક્યારે માર મરાય? તે આ મોટી ભૂલ કરી છે.
બેટા ગમે તેમ તોય રાજા એટલે રાજા. તારી આ ભૂલની સજા આપણને સૌને ભોગવવી પડશે. એટલું જ નહીં પોતાના પુત્રને માર ખાધેલો જોઇ અને બળવાન એવા શ્રી કૃષ્ણનો આપણને ઘાસની પેઠે ઉખાડી અને ફેંકી દેશે. બેટા, તને આવી કુબુધ્ધિ કેમ સુઝી ? "
આમ, જયારે પ્રજ્ઞાચક્ષુ અને તેની પત્ની વિલાપ કરી રહ્યાં હતાં ત્યાં તો સાક્ષાત શ્રી કૃષ્ણ તેના પુત્ર અને સૈનિકોને સાથે લઇ પ્રજ્ઞાચક્ષુની ઝુંપડી પાસે આવ્યા. તેમનો કોલાહલ સાંભળી અને પ્રજ્ઞાચક્ષુ, તેનો પુત્ર અને પત્ની ઝુંપડામાંથી બહાર નિકળ્યા અને પ્રજ્ઞાચક્ષુ એવા એ ગરીબ તો થરથર કાંપતા બે હાથ જોડતા મહારાજા શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી, "મહારાજ હું અંધ ગરીબ છું અને મારા પુત્ર એ તમારા પુત્રને માર માર્યો તે જાણી મને ખૂબ જ દુઃખ થયું. તેણે અજાણતા જ આ દોષ કર્યો છે. તો આપ તો વિશાળ હૃદયના છો અને મારા બાળકને અલ્પ બુદ્ધિ જાણી અને આપ ક્ષમા કરો એવી મારી નમ્ર વિનંતી છે.
એ આગળ કંઇ બોલે તે પહેલાં શ્રી કૃષ્ણ બોલ્યા, "હું તમારા ત્રણેયની કર્મ-કથની જાણું છું. માટે જ હું તમારે આંગણે આવું છું. પ્રદ્યુમન આજે નાનો બાળક છે અને તે જો રમતમાં ગરીબ બાળકોના માટીના ઝુંપડા તોડે તો ભવિષ્યમાં તે રાજા થશે ત્યારે જો ગરીબ લોકોની ઉપર પણ આવો જ અત્યાચાર કરે તો? તેથી મેં તેને સત્ય સમજાવ્યું અને તમને તે જ કહેવા આવ્યો છું કે, તમે આ બાબતે કોઇપણ પ્રકારની જરાયે ચિંતા ન કરતા.
આમ કહેતા શ્રીકૃષ્ણએ પોતાની યોગ શક્તિ વડે તે પ્રજ્ઞાચક્ષુની બન્ને આંખો ઉપર હળવેકથી હાથ ફેરવ્યો ત્યારે તરત જ તે પ્રજ્ઞાચક્ષુની આંખોમાં દ્રષ્ટિનો સંચાર થયો અને તે બધું જ જોવા લાગ્યો. સામે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને જોઇ તેને ચરણોમાં પડી જઈ અને તેમને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. ત્યારે ભગવાને તે ગરીબને કહ્યું, આજ દિવસ સુધી તે ખૂબ જ દુઃખ ઉઠાવ્યા છે. હવે આજથી તને કોઇ જાતનું દુઃખ નહીં રહે તેવી વ્યવસ્થા કરું છું કહી ભગવાને તેને ઐશ્વર્ય પણ આપ્યું.
:: આજનું ભજન ::
ધન્ય એકાદશી એકાદશી,
કરીએ તો વ્રજ સુખ પામીએ.
મારે એકાદશીનું વ્રત સારું છે,
એ તો પ્રાણજીવનને પ્યારું છે.
એ તો પ્રભુ પાસે લઇ જનારું છે, ધન્ય...
કોઇ બારેમાસ કરે એકાદશી,
તેના અંતરમાં વશે અવિનાશી.
નહીં કરશે તે જશે હાથ ઘસી, ધન્ય...
મારે ગંગા ઘાટે જાવું છે,
મારે જમુના જળમાં ન્હાવું છે.
મારે ભવસાગર તરી જાવું છે, ધન્ય...
જેણે એકાદશીના વ્રત કીધાં છે,
તેના પાંચ પદારથ સીધ છે.
તેને પ્રભુએ પોતાના કરી લીધા છે, ધન્ય...
અંબરીષે એ વ્રત કીધું છે, દંડ દુર્વાસાએ દીધું છે.
રસ "કલ્યાણ " રાયે પીધું છે, ધન્ય...
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક વખત અર્જુનને લઇ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વીલોક પર ફરવા નિકળ્યા હતા. ફરતા ફરતા તેઓ એક જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યાં રસ્તામાં એક ગાયને જોઇ. એ ગાય પીડાતી હતી અને વિચિત્ર અવાજ કરી રહી હતી. ત્યાં અર્જુનનું મન આ દ્રશ્ય જોઈ અને ખીન્ન થઇ ગયું તેણે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી, "હે પ્રભુ, આ કોઇ રોગથી પીડાઇ રહેલ ગાયને મુક્તિ આપો. તમે આ ગાય ઉપર દયા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, "પૂર્વ જન્મમાં તેણે જે કર્મો કરેલા છે, તેના ફળ તે ભોગવી રહી છે. તેમ છતાં જો તને દયા આવતી હોય તો તું એક કામ કર. તે કોઈ મારું તપ કર્યું હોય તો તેનું ફળ તું આ ગાયને સંકલ્પ કરીને આપ તો તે ગાય જરૂર મુક્તિને પામશે."
આમ, કહેવા પાછળનો ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય અર્જુન સમજી ન શક્યો. અર્જુનને મનમાં અભિમાન હતું કે, મારા જેવા જપ-તપ તો કોઇએ નથી કર્યા. તેથી ભગવાન શ્રી કૃષ્ણ તેનું અભીમાન ઉતારવા માંગતા હતા. તેથી અર્જુને સંકલ્પ કર્યો કે, "જે જપ - તપ મેં કર્યા છે તેનું ફળ આ ગાયને અર્પણ કરું છું." પણ તેના અભિમાનને કારણે ગાયની અવસ્થામાં કંઈ જ ફેર ન પડ્યો એટલે અર્જુન મુંઝાઈ ગયો. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું મારી સાથે ચાલ તારી ઇચ્છા આજે આપણે પૂર્ણ કરશું.
આમ કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાથે લઇ અને પાસેના એક ગામમાં ગયા. ત્યાં એક ઘર પાસે ઊભા રહ્યા. તે ઘરમાં એક મોટી ઉંમરના ડોશીમાં રહેતા હતા. તેની નજર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પર પડી તેથી તેને લાગ્યું કે, કોઇ યાચક આવ્યા લાગે છે. તેથી તેને આપવા માટે ઘરમાંથી કશુક લઇને ડોશીમાં બહાર આવ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, "અમને ભીક્ષામાં કોઇ વસ્તુ નથી જોઇતી પરંતુ જુદા જ પ્રકારની ભીક્ષા અમને જોઇએ છે. તમે આપશો ?" ડોશીમાં કહે છે, "તમને જે જોઇતું હોય તે આપવા માટે હું તૈયાર જ છું. જે વસ્તુ મારી પાસે હશે તે આપવા હું તૈયાર છું."
જુઓ, પાસેના જંગલ વિસ્તારમાં એક બિમાર ગાય પડી છે. તેને મુક્તિ મળે તે માટે તમે તમારા પુણ્યમાંથી ફળ આપો તો તે ગાયની મુક્તિ થઇ જાય અને તેને લીધે પીડામાંથી તેને મુક્તિ મળે. ડોશીમાં કહે છે, "બીજું તો મેં શું તપ કર્યું હોય ? પરંતુ હું સતત ભગવાનનું નામસ્મરણ કરતી રહું છું અને આજ દિવસ સુધી મેં સતત પુરુષોત્તમ માસ નીતિ નિયમ પૂર્વક કર્યા છે. આમ છતાં પણ મારાથી એ વ્રતમાં ભૂલ ચૂક રહી ગઈ હોય છતાં મારું કંઈ પુણ્ય હોય તો તે ગાયને મુક્તિ અપાવવા મદદરૂપ થાય તો તેને તે ફળ આપવા હું તૈયાર છું." પછી ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને તે ડોશીમાં એ ત્રણેય ગયા સીધા ત્યાં જ્યાં ગાય પીડાતી હતી. પછી જમણા હાથમાં પાણી લીધું અને સંકલ્પ કર્યું, મેં આજ દિવસ સુધી અધિકમાસનું વ્રત નિષ્ઠા અને શ્રધ્ધા પૂર્વક કર્યું હોય અને તેનું જો મને કંઇ ફળ પ્રાપ્ત થયું હોય તો તે પુણ્ય ફળમાંથી ફળ અર્પણ કરવાથી આ ગાયને મુક્તિ મળે તો તે માટે હું મારા પુણ્યનું ફળ આપવા અંતઃકરણ પૂર્વક સંકલ્પ કરું છું.
આ સંકલ્પ ચાલી રહ્યો હતો ત્યારે પણ અર્જુન વિચાર કરી રહ્યો હતો કે, મારી ભક્તિ પાસે આ ડોશીમાની ભક્તિ શું વિસાત માં...? પરંતુ ડોશીમાં આ સંકલ્પ પૂર્ણ કર્યો અને ગાય તો સદેહે સ્વર્ગના માર્ગે ઉપડી ગઈ. આ દ્રશ્ય જોઇને આખરે અર્જુનને રહસ્ય સમજાયું. તેનું અભિમાન ઉતરી ગયું અને તરત જ પોતાની ભૂલ સમજાતા તે પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરી અને કહ્યું, "હું સમજી ગયો છું કે, તમે મારું અભિમાન ઉતરવા માટે જ આ લીલા કરી હતી." ત્યારે પોતાના પરમ ભક્તોમાના એક એવા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ ઊભો કરી અને પોતાની છાતી સરસો ચાપી તેના વાસામાં વાત્સલ્ય ભર્યો હાથ ફેરવ્યો અને કહ્યું, " હે પાર્થ, મને મારો ભક્ત અભિમાન કરે તે જરાય ન ગમે. માટે હું મારા ભક્તોનું સૌ પ્રથમતો અભિમાન ઉતારું છું પછી જ મારું શરણ આપું છું.
વળી, જે ભક્ત મારી ભક્તિ કરી તે ભક્તિનું અભિમાન કરે તેની ભક્તિ પણ નિષ્ફળ જાય છે. પછી ભગવાને અને અર્જુને પોતાના અસલી સ્વરૂપે પ્રગટ કરી અને ડોશીમાને દર્શન આપ્યા અને તે ડોશીમાને ગૌલોકમાં પ્રવેશ આપ્યો.
:: આજનું ભજન ::
શ્રીકૃષ્ણ શરણં મમ એ મંત્ર સદાયે તું જપતો જા.
આવ્યો છે તો આ સંસારે સફળ જન્મ તું કરતો જા.
મન વાણી કાયા વશ રાખી (૨)
મમતાનો બોજો દૂરનાખી
ધન દીધું જો ધણીએ તુજને,
પેટ ભૂખ્યાના ભરભરતો જા. આવ્યો છે તો...
આ જગતમાં તું મહાન કહાવે (૨)
આશા કરી કોઇ આંગણે આવે,
દીન દુઃખીયાની વાતો તારા
કર્ણપટે તું ધરતો જા. આવ્યો છે તો...
હું પદની ગ્રંથીને છેદી (૨)
માયાના ઘેરા ગઢ ભેદી ,
પ્રકાશમય શ્રી પ્રભુના પંથે,
હળવે હળવે તું સરતો જા. આવ્યો છે તો...
" ગોવિંદ " ગુરૂના શરણ ગ્રહીલે (૨)
દુ : ખ પડે તો દુઃખ સહી લે,
માન સાગરના મોંઘા મોતી.
હિંસ બનીને ચરતો જા. આવ્યો છે તો...
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મહાભારતના યુદ્ધ સમયની વાત છે. મહાભારતનું યુદ્ધ પુરું થયું ત્યારે પછી ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોની સાથે જ્યાં પાંડવોના તંબુ હતા ત્યાં થોડે દૂર કોઇ કારણોસર ગયા હતા. આ તંબુઓમાં મહાભારતના યુદ્ધ દરમ્યાન પાંડવ પક્ષની રાણીઓ, નારીઓ અને નાના બાળકો રહેતા હતા. કૌરવ પક્ષે રહેલા દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને જાણ થઇ ગઇ કે આજે પાંડવોના તંબુઓમાં સ્ત્રી અને બાળકો સિવાય બીજો કોઇ ત્યાં નથી. તે તેનો લાભ લઇ દ્રૌપદીના પાંચ પુત્રોનું ગળું કાપી તેમની હત્યા કરી નાખી અને પાંડવોના શિબિરમાં આગ લગાડી દીધી.
આ ઘટના બની તે દરમ્યાન વહેલી સવારે ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવો જયારે તે તંબુઓ પાસે પહોંચ્યા અને જુએ છે તો સ્ત્રીઓ હૈયાફાટ રૂદન કરી રહી છે અને દ્રૌપદીજી ભારે આક્રંદ કરી રહ્યાં હતા. અને તેના પાંચ પુત્રોના મસ્તક કપાયેલા ધડ પડ્યા હતા. આ ઘટના જોઇ અને પાંચેય પાડવ ભાઇઓ તો ક્રોધિત થઇ ગયા. ગુસ્સામાંને ગુસ્સામાં અર્જુન દ્રૌપદીજીને કહે છે કે, "તું ધીરજ રાખ, આ દુષ્કૃત્ય કરનારા એ અશ્વત્થામાને તેણે જે નીંદનીય કર્મ કર્યું છે તેનું ફળ અવશ્ય મળશે. તેને ઉચિત છે તે હું આપીશ. હું એનું માથું કાપી અને તારા ચરણોમાં મુકીશ. જેથી તારો શોક દૂર થાય." ત્યારે પછી ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન રથ ઉપર બેસીને સીધા અશ્વસ્થામા પાસે ગયા, ત્યારે ત્યાં અર્જુન અને અશ્વસ્થામાં વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ત્યાં આખરે અર્જુને પોતાની કુનેહ વડે અશ્વત્થામાને કેદ કર્યો પરંતુ તેને મારવાનું અર્જુનને યોગ્ય ન લાગ્યું. કારણ કે ગમે તેમ તોય અશ્વસ્થામાં ગુરૂપુત્રખરો ને. તેથી કેદ કરેલ અશ્વત્થામાને મજબૂત દોરડા વડે બાંધી પોતાના રથમાં નાખી અને તંબુઓ પાસે લાવ્યા અને જયાં દ્રૌપદી બેઠા હતા તે જગ્યાએ ઊભો રાખી દીધો. ત્યાં હાજર રહેલા બધા જ તેના પર બાળ હત્યા કરવા બદલ ફિટકાર વરસાવતા હતા. તેને જોઇને ભીમ પણ ખૂબ જ ગુસ્સે ભરાયો અને દાંત કચકચાવતાં ભીમે ક્રોધમાંને ક્રોધમાં કહ્યું, "આ બાળ હત્યારાને હમણાને હમણાં મારી નાખવો જોઇએ. એક ક્ષણવાર પણ તેને જીવતો રહેવા દેવો જોઇએ નહીં, કારણ કે તેણે હવે તેને જીવતા રહેવાનો અધિકાર ખોઇ નાખ્યો છે."
આ સમયે દ્રૌપદીજીએ ધીરજ ધારણ કરી અને મોક્ષના પાંચ પુત્રોના મૃત શરીર પાસે બેઠી હતી. ત્યારે પોતાના પુત્રોનો હત્યારો સામે કેદ થયેલો ઊભો હતો. તેની નજર નીચી હતી તેને જોઇ અને તેના ઉપર દયા ખાતા ખાતા દ્રૌપદીજી કહે છે, "અરે ! તમે સૌએ સાથે મળી અને આ શું કર્યું ? તમને જે ગુરૂએ અન્ન, શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું તે ગુરૂના પુત્રને આજે તમે કેદ કર્યો. મહેરબાની કરીને તમે અને જલદી છોડી મૂકો. તેનો તો ઠીક પણ તેની માતાનો તમે વિચાર કરો. પુત્રના મૃત્યુથી જે શોક ઉત્પન્ન થાય છે તે શોક કેવો હોય તે મેં અનુભવ્યો છે અને અત્યારે તે અનુભવમાંથી જે હું પસાર થઇ રહી છું. માટે તેમની માતા કૃપીદેવી એ તમારા અને મારા માટે અત્યંત પૂજનીય છે. તેમને પણ મારી જેમ શોક ઉત્પન્ન ન થાય અને રડવું ના પડે તે માટે તત્કાલ છોડી મૂકો."
આમ, દ્રૌપદીજીની સહનશીલતા અને ક્ષમાશીલતા જોઇ અને ત્યાં હાજર રહેલ સૌ કોઇ દંગ રહી ગયા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાને માથે ચડાવી અને અશ્વસ્થાના મસ્તકનો મણી ઝૂંટવી લઈ અને ત્યાંથી જવા દીધો. આવી મહાન આર્યનારીને આજે પણ જગત તેની આ મહાનતા માટે યાદ કરે છે.
:: આજનું ભજન ::
આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે,
ફૂલની ગાદીને ફૂલના તકિયા,
ફૂલના બીદડા બિછાવીએ રે...કાલ...
સોનાના સોંગઠાને રેશમની ચોપાટ,
હિરલાના પાસા ડેલાવીએ રે...કાલ...
સોનાનું પારણું ને રેશમની દોરી,
હરખે શ્રીનાથજીને હલાવીએ રે...કાલ...
વાણીના મેહુલાને આનંદની હેલી,
સુખને સરવડે ભીંજાવીએ રે...કાલ...
"વલ્લભ"ના સ્વામી પ્રભુ રસિક શિરોમણી,
વલી વલી મુખડા નિહાળીએ રે...કાલ...
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

