Advertisement
Author: નોબત સમાચાર

સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે બજેટસત્રનો થયો પ્રારંભ

મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવાઈઃ નાણામંત્રીના ઈકોનોમિક સર્વે પર સૌની નજર

નવી દિલ્હી તા. ૩૧ઃ સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે આજે બજેટસત્રનો પ્રારંભ થયો છે, જો કે કેન્દ્રય નાણામંત્રીના આર્થિક સર્વે પર સૌ કોઈની નજરો મંડાયેલી છે.

આજથી સંસદનું બજેટ સત્ર શરૃ થઈ ગયું છે. આજે રાષ્ટ્રપતિ મુર્મુ બન્ને ગૃહોની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ સંબોધન કર્યું હતું. જે પછી હવે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ બપોરે આર્થિક સર્વે રજૂ કરી રહ્યા છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો ૧૩ માર્ચથી શરૃ થઈને ૬ એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન ર૭ બેઠકો થશે.

સંસદમાં સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આતંકવાદ પર કઠોર હુમલા સુધી, એલઓસીથી લઈને એલએસી સુધી, કલમ ૩૭૦ હટાવવાથી લઈને ટ્રિપલ તલાક સુધી, મારી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, સંપૂર્ણ પારદર્શિતા સાથે કરોડો લોકોને ર૭ લાખ કરોડ રૃપિયાથી વધુની રકમ આપવામાં આવી છે. વિશ્વ બેંકના એક અહેવાલમાં જણાવાયું છે કે આવી યોજનાઓ અને પ્રણાલીઓથી ભારત કોવિડ દરમિયાન ગરીબી રેખા નીચે આવતા કરોડો લોકોને બચાવવામાં સફળ રહ્યું હતું.

અગાઉ ટેક્સ રિફંડ માટે લાંબી રાહ જોવી પડતી હતી. આજે આઈટીઆર ફાઈલ કર્યાના થોડા દિવસોમાં રિફંડ મળી જાય છે. આજે જીએસટીમાં પારદર્શિતાની સાથે કરદાતાઓની ગરિમા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિના અભિભાષણમાં આત્મનિર્ભર ભારત બનાવવાનું લક્ષ્ય, આઝાદીનો અમૃતકાળ, સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આતંકવાદ સામે કડક કાર્યવાહીના શ્રેણીબદ્ધ પગલાં, ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ, સ્થિર, નિડર અને નિર્ણાયક શાસન, જનધન, વન નેશન-વન રાશન, ડીબીટી, આયુષ્માન યોજના, જન આંષધિકેન્દ્રો, કોરોનાકાળમાં લેવાયેલા વિશેષ કદમ અને અપાયેલી સહાય, ગરીબ કલ્યાણ યોજનાઓ, કિસાન સન્માન નિધિ, વગેરેની વિગતો વિસ્તૃત રીતે અપાઈ હતી.

આ પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ પ્રથમ વખત સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરે તેનું ખૂબ સારી રીતે મંથન કરીને દેશ માટે અમૃત નીકાળીશું. આપણા દેશના બજેટ પર સમગ્ર દુનિયાની નજર છે. આપણું લક્ષ્ય દેશ પહેલા દેશવાસીઓ હોવું જોઈએ. આજે સંસદનું બજેટ સત્ર શરૃ થતા પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું. મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે દેશની અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંદેશ આવ્યો છે. તેમણે કહ્યું કે આજે રાષ્ટ્રપતિનું અભિભાષણ પણ થશે જે દેશ માટે ગૌરવની વાત હશે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષ પૂરી તૈયારીઓ સાથે આવ્યું છે. માટે ગૃહમાં વિવાદ પણ થશે. સંસદમાં વિપક્ષોએ પણ સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh