Advertisement
Author: નોબત સમાચાર

ગોરડીયા હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્નઃ સાંસદ, ધારાસભ્ય દાતાઓ ઉપસ્થિત

ધ્રોલ તાલુકાના હરીપરમાં દોઢ કરોડના ખર્ચે નવનિર્મિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫:  હરીપર ગામે ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ગોરડીયા હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્નઃ ભક્તિ, શક્તિ અને સેવાનો અદભૂત ત્રિવેણી સંગમ રચાયો હતો. આ કાર્યક્રમમાં ૩૦ હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો. રક્તદાન કેમ્પમાં ૫૦૭ બોટલ રક્ત એકત્ર કરી માનવતા મહેકાવી હતી. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ, સહિત સમાજના ભામાશા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ દાદાના દર્શન કર્યાં હતાં.

ધ્રોલ તાલુકાના હરીપર ગામના પાદરે આવેલું અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું જીવંત કેન્દ્ર એવા શ્રી ગોરડીયા હનુમાનજી મંદિર ખાતે ઇતિહાસનું એક નવું સુવર્ણ પૃષ્ઠ લખાયું છે. અંદાજે ૧.૫૦ કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા ભવ્ય અને કલાત્મક નૂતન મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે યોજાયેલા ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, શિખર પૂજન અને સહ મહારૂદ્ર યજ્ઞનું અત્યંત ભક્તિસભર વાતાવરણમાં નિર્વિઘ્ન સમાપન થયું છે. સંવત ૨૦૮૨ના પોષ સુદ-૧૩ થી ૧૫ દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં ધ્રોલ, મોરબી, જામનગર અને રાજકોટ સહિત વિવિધ જિલ્લાઓમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે હરીપર ગામ જાણે ભક્તિના સાગરમાં હિલોળે ચડ્યું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. મહોત્સવના ત્રણેય દિવસ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ગગનચુંબી મંદિરના શિખર પર જ્યારે ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારે આખું પરિસર 'જય હનુમાન' અને 'સીતારામ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન સહ મહારૂદ્ર યજ્ઞમાં વિદ્વાન ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપવામાં આવી હતી, જેનાથી હરીપરનું વાતાવરણ પવિત્ર બન્યું હતું. આ ભવ્ય પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ઉદ્યોગપતિઓ સહિત સમાજના ભામાશાઓએ ગોરડીયા હનુમાન દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્ય દાતા દિનેશભાઈ દ્વારા શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક કાર્યમાં મુખ્ય દાતા તરીકે મોરબીના રામગઢ ગામના વતની અને હાલ અંકલેશ્વર સ્થિત ઉદ્યોગપતિ જગદીશભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા તથા દિનેશભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રાએ સેવા આપી છે. આ ઉપરાંત ધ્રોલ અને વિદેશ સ્થિત અનેક દાતાઓએ આર્થિક યોગદાન આપ્યું હતું. મહોત્સવ દરમિયાન વ્યવસ્થા અને શિસ્ત અદભૂત જોવા મળી હતી. હરીપર, વાગુદળ અને ખારવા ગામના સેવકોએ ખડેપગે રહીને સેવા આપી હતી અને વિશાળ રસોડેથી ૩૦ હજારથી વધુ લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.

મહોત્સવની વિશેષતા એ રહી કે તે માત્ર ધાર્મિક મર્યાદામાં ધ્રોલના રહેતા સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. હરધ્રોલ માજી સૈનિક સંગઠન અને મંદિર સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૫૦૭ બોટલ રક્ત એકત્રિત કરી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ટીમ બે દિવસ ખડે પગે સેવા આપી હતી.

મંદિરના પૂજારી શ્રી ઈશ્વરલાલ વિઠ્ઠલદાસ અગ્રાવત તથા આશુતોષભાઈ ઠાકર, મહેશભાઈ સોરઠીયા, રામસિંહ જાડેજા, હરગોવિંદભાઈ આડેસરા અને અરવિંદભાઈ હિંસુ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી આ ઉત્સવને સફળ બનાવ્યો હતો. જે ભાવિકો રૂબરૂ આવી શક્યા ન હતા, તેમના માટે સોશિયલ મીડિયા અને કેબલના માધ્યમથી લાઈવ પ્રસારણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh