Advertisement
Author: નોબત સમાચાર

ગામ નમૂનાનો દાખલો કાઢી આપવા લાંચ માગનાર તલાટી કમ મંત્રી વતી લાંચ લેનાર વચેટિયો ઝડપાયો

રૃપિયા સવા લાખ સ્વીકારતા જ પ્રગટ થયો એસીબી સ્ટાફઃ રિમાન્ડની તજવીજઃ

જામનગર તા.૨૨: જામકલ્યાણપુર તાલુકાના જામ ખીરસરામાં એક આસામીને પોતાના પિતાના પ્લોટનો દાખલો કઢાવવા માટે રૃપિયા સવા લાખની લાંચ માગનાર મહિલા તલાટી-કમ-મંત્રી સામે દ્વારકા એસીબીમાં ફરિયાદ કર્યા પછી ગઈકાલે ગોઠવાયેલા છટકામાં તલાટી મંત્રી વતી લાંચ સ્વીકારતો વચેટીયો ઝડપાઈ ગયો હતો. એસીબીએ મહિલા તલાટી મંત્રી અને વચેટીયાની ધરપકડ કરી છે. આજે સવારે બંનેના ઘેર ચકાસણી કરાઈ છે. રિમાન્ડની માંગણી સાથે બંને આરોપીને સાંજે અદાલતમાં રજૂ કરાશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ ખીરસરા ગામમાં રહેતા એક આસામીના પિતાનો ખીરસરા ગામમાં જ જમીનનો પ્લોટ આવેલો છે. તે પ્લોટ માટે ગામ નમૂના નં.૨નો દાખલો કઢાવવાનો બાકી હોય તે આસામીએ જામખીરસરા ગામના તલાટી કમ મંત્રી હર્ષાબેન આલાભાઈ કારેણાનો સંપર્ક કર્યાે હતો.

વર્ગ-૩ના કર્મચારી એવા તલાટી મંત્રી હર્ષાબેને તે દાખલો કાઢી આપવાની 'જહેમત' બદલ રૃા.૨ લાખના મહેનતાણાંની માગણી કરી હતી. ડઘાઈ ગયેલા આ આસામીએ આવડી મોટી રકમ નથી તેમ કહેતા રકઝકના અંતે રૃા.સવા લાખ આપ્યા પછી તલાટી મંત્રી હર્ષાબેન કારેણાએ દાખલો કાઢી આપવા નક્કી ર્કું હતું પરંતુ લાંચ નહીં આપવા ઈચ્છતા આસામીએ દેવભૂમિ દ્વારકા એસીબીનો સંપર્ક કર્યાે હતો.

આ આસામીની રજૂઆત સાંભળ્યા પછી એસીબી પીઆઈ આર.એમ. રાઠોડે એસીબીના રાજકોટ એકમના મદદનીશ નિયામક વી.કે. પંડયાના માર્ગદર્શન હેઠળ ગુન્હો નોંધી છટકુ ગોઠવ્યું હતું. છટકાના ભાગરૃપે પાવડરવાળી નોટ આપી ફરિયાદીને સમજણ અપાઈ હતી અને તેના ભાગરૃપે ગઈકાલે ફરિયાદીએ લાંચની રકમ લઈ જવાનું કહેતા તે રકમ જામ ખીરસરા ગામના જયસુખ અરજણભાઈ ઉર્ફે જલા પીપરોતર નામના શખ્સને આપી દેવાની વાત થઈ હતી અને વાત મુજબ પૈસા આપવા ગયેલા ફરિયાદી પાસેથી જામરાવલ ગામમાં ચામુુંડા ઈલેકટ્રીક સામે ગાત્રાળ ઈલેકટ્રીક નામની દુકાનની બહાર ઓટલા પર જયસુખ ઉર્ફે જલા પીપરોતરે તે રકમ સ્વીકારી હતી અને ત્યારે જ એસીબીનો સ્ટાફ પ્રગટ થયો હતો.

સ્થળ પરથી જયસુખની અટકાયત કરી લેવાયા પછી તરત જ તલાટી મંત્રી હર્ષાબેન કારેણાના ઘેર ધસી ગયેલી એસીબી ટૂકડીએ હર્ષાબેનની પણ અટકાયત કરી લીધી હતી. બંને આરોપીને એસીબી કચેરીએ ખસેડી ગુન્હો નોંધાયો હતો. જામ ખીરસરાના તલાટી કમ મંત્રી વતી એક ગ્રામજન રૃપિયા સવા લાખની લાંચ લેતા ઝડપાયાના અહેવાલના પગલે લાંચિયા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ઉપરોક્ત સફળ ટ્રેપની જાણકારી એસીબી નિયામક વી.કે. પંડયાને અપાયા પછી તેઓની સૂચનાથી રાજકોટ એસીબીના પીઆઈ આર.આર. સોલંકીએ તપાસનો દૌર સંભાળ્યો છે. આજે સવારે બંને આરોપીના રહેણાંકના સ્થળોએ ચકાસણી હાથ ધરાઈ હતી. સાંજે બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh