Advertisement
Author: નોબત સમાચાર

આવ્યો તાજગીસભર શિયાળો નવી ઉર્જાનો સંચાર...

                                                                                                                                                                                                      

શિયાળો... ઋતુઓનું એક અનોખુ પર્વ... જાણે કુદરત આપણા પર મહેરબાન થઈને હવામાં મીઠી તાજગી વિખેરી દે એવું લાગે. શિયાળો એટલે માત્ર તાપમાનનું ઓછું થવંુ એ જ નથી.. પણ એ છે જીવનના દરેક ખૂણામાં એક નવી ઉર્જાનો પ્રવાહ... આ શિયાળો આવે ત્યારે આકાશ સ્વચ્છ હોય, વૃક્ષો જૂના પાંદડા ખેરવીને નવજીવનની શરૂઆત કરે. હવામાં હળવો સુગંધિત ઠંડકભર્યાે સ્પર્શ આવે અને સવારના સૂરજના કિરણો એ રીતે અડકે કે જાણે કોઈ શાંત સંગીત વાગતું હોય. શિયાળાનો અર્થ છે તાજગી-ઉર્જા, ઉલ્લસા, શાંતિ અને વ્યક્તિત્વને નવી દિશામાં લઈ જવાની તક...

કુદરત આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેક વિરામ લેવો, શાંત થવું અને જાતને ફરીથી નવી રીતે જોવી... શિયાળો પણ આ જ કહે છે. વર્ષ આખાની વ્યસ્તતા, દોડધામ, પછી શિયાળો શરીર અને મનને રિચાર્જ કરવા આવતો હોય તેવું લાગે છે, શિયાળાને 'તાજગીની ઋતુ' કહેવું યોગ્ય જ છે. આ ઋતુ આપણને અંદરથી સ્ફૂર્તિ આપે છે. જીવનના હેતુઓ તરફ ફરી જાગૃત કરે છે. શિયાળાની સવાર જેટલી સુંદરતા બીજે ક્યાંય નથી. બારી ખોલતા જ હવાની ઠંડી લહેરમાં અજબ તાજગી હોય છે. દરેક શ્વાસો એવું લાગે કે ફેફસા સુધી શુદ્ધતા ભરાય રહી છે. પવનની સુગંધમાં નવીનતા હોય, ઝાકળનો સ્પર્શ પાંદડા પર મોતી જેવું લાગે. સૂરજનો કણો તડકો હુંફ આપે... આ બધું મળીને સવારને એ રીતે તાજગીભરી બનાવી દે કે દિવસની શરૂઆત જ સકારાત્મકતા સાથે થાય...

આ ઋતુનો પ્રભાવ માત્ર હવામાન પર જ નથી. એ આપણા શરીર અને મન ઉપર પણ પડે છે. શિયાળામાં ભૂખ થોડી વધુ લાગે છે. ઊંઘ વધુ મીઠી બને છે અને ચાલવાની મજા બમણી થઈ જાય છે. જીવનમાં નવી તાજગી, નવી શક્તિ અને નવી ચેતના આવે છે. આખા વર્ષમાં સૌથી શાંત, સૌમ્ય અને મધુર સિઝન એટલે શિયાળો... ખાસ કરીને શિયાળાની સવાર.. ક્યારેક ધુમ્મસથી ભરેલી, ક્યારેક પવનની હળવી સરસરાટથી જીવંત... આ સવારમાં ચાલવું એ માત્ર કસરત નથી, તે એક અનુભવ છે, એક આંતરિક-માનસિક શાંતિ છે.

શિયાળો શરીરને સક્રિય બનાવે છે. શિયાળામાં ચાલવું વધુ સુખદ લાગે છે અને જો આ ચાલ્યા પછી શરીરને મળે હેલ્ધી, પૌષ્ટિક અને તાજુ જ્યુસ... તો આખો દિવસ સ્વસ્થ, સારો અને ઉર્જાભર્યાે બની જાય છે. આ ત્રણનો સંગમ... શિયાળાની સવાર+મોર્નિંગવોક+હેલ્થી જ્યુસ.. જીવનને માત્ર સારી દિશામાં લઈ જતો નથી પરંતુ શરીર.. મન અને વિચારોને નવજીવન આવે છે.

શિયાળાની સવાર માત્ર કાવ્યમય નથી. તે વૈજ્ઞાનિક રીતે શરીર માટે અત્યંત ફાયદાકારક છે. સવારે હવામાં પ્રદૂષણ ઓછું હોય છે, ઓક્સિજન વધારે શુદ્ધ મળે છે અને તાપમાન શરીરને ચેલેન્જ આપીને તેની આંતરિક શક્તિ વધારવાનું કામ કરે છે. શિયાળામાં થોડું વહેલું ઉઠવું શરૂઆતમાં અઘરૂ લાગે, પણ એકવાર નિયમ બની જાય પછી તેનો આનંદ અને ાજગી આખો દિવસ શરીર અનુભવે છે. શિયાળાની મોર્નિંગ વોક શરીર માટે મંત્ર સમાન છે. ડોકટર્સના કહેવા મુજબ શિયાળાની સવારે ચાલવાથી બ્લડપ્રેશર નોર્મલ રહે છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. સાથે સાથે શાંત હવા, પક્ષીઓના ટહુકા, સૂર્યોદયના કોમળ કિરણો આ બધું મળીને મગજને તાજગી આપે છે.

ચાલ્યા પછી શરીરને તરત પોષક તત્ત્વો ઝટપટ મળવા જ જોઈએ અને એ માટે જયુસથી શ્રેષ્ઠ શું હોય શકે? શિયાળામાં વોકીંગ ઝોન પર ચાલવાવાળા હશે. તેટલા જ અને કદાચ તેથી પણ વધારે લોકો જયુસવાળા પાસે હશે અને એટલે જ શિયાળાની સવારમાં જયુસવાળા વોર્કિંગ ઝોનની આસપાસ વધારે જોવા મળે છે. જયુસ શરીરને તરત જ એનર્જી, વિટામિન્સ અને હાઈડ્રેશન આપે છે. ગાજર-બીટ, આદુ, આમળા, તુલસીનો જયુસ, મોસંબી, કીવી, ઓરેન્જ જયુસ, ફ્રુટ જયુસ માટે એક વાત ધ્યાનમાં રાખવી કે જયુસ તાજા ફળથી જ બનાવવો, તેમાં ખાંડ ન નાખવી. જરૂર લાગે તો મધ નાખવું અને જયુસ ગાળ્યા વગર પીવો જેથી ફાઈબર મળે.

સાથે સાથે શિયાળો એટલે સ્વાદની ઋતુ-કેટકેટલી વાનગી.. ગમે તેટલું ખાવ તો પણ વાંધો ન આવે. વડીલો પણ કહે કે શિયાળામાં ખવાય એટલું ખાઈ લો.. એ એનર્જી આખુ વર્ષ સાથ આપશે.. રોટલા-ઓળાથી લઈને મીઠાઈ, મેવા, કાવો, સુપ, કેટકેટલી વાનગી અને બધી જ વાનગી ખવાય.. કોઈ ચિંતા નહી.. વર્ષભરના થાક, પડકારો અને દોડધામ વચ્ચે શિયાળો આપણને એક વિરામ આપે છે. શરીર, મન, ભાવનાઓ અને સપનાઓને ફરીથી ગોઠવવાનો સમય.. શિયાળો આપણને કહે છે કે આજે પોતાને તૈયાર કરો.. જેથી આખું વર્ષ તમે મજબૂતીથી જીવી શકો.. શિયાળો માત્ર ઠંડકનો નહી પરંતુ તાકાત, સ્થિરતા અને નવી શરૂઆતનો સમય છે. આ ઋતુમાં તમે જેટલી શક્તિ સંગ્રહ કરશો એટલો વર્ષભરનો જીવનમાર્ગ હળવો અને શક્તિશાળી બનશે.

આજના ઝડપી જીવનમાં તાણ-ટેન્શન, સ્ટ્રેટસ વધી રહ્યો છે. બહારના જંકફૂડનું ચલણ વધ્યું છે. શારીરિક શ્રમ ઓછો થયો છે.. ત્યારે આ શિયાળો આપણને તક આપે છે કે આ બધામાંથી બહાર આવો અને શિયાળાને અપનાવો.. જેથી માત્ર તંદુરસ્તી નહી, પણ આનંદી, ઉર્જાવાન અને સકારાત્મક વ્યક્તિત્ત્વ વધશે. શિયાળાની સવારથી શરૂ થતી આ શરૂઆત આખુ વર્ષ સ્વસ્થ જીવન તરફ લઈ જઈ શકે છે. શિયાળો આપણા સૌ માટે આરોગ્યનો, ઉત્સાહનો અને નવી શરૂઆતની ઋતુ બની જાય એ આશા સાથે...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh