Advertisement
Author: નોબત સમાચાર

મોંઘવારી-બેરોજગારી જ મોદી સરકારને ડૂબાડશેઃ અનુગામી માટે પણ પડકાર!

વિપક્ષી મહાગઠબંધનમાં ર૬ નહીં- ર૮ સભ્યો છે!

નવી દિલ્હી તા. ૧૯ઃ ગઈકાલે એનડીએ અને તેની સામે નવા મહાગઠબંધન (ઈન્ડિયા) ના વિજયના દાવાઓ થયા અને વિપક્ષી મહાગઠબંધનમાં ર૬ અને સામા પક્ષ એનડીએની બેઠકમાં ૩૯ રાજકીય પક્ષો હાજર રહ્યા હોવના દાવા થયા. વિપક્ષના ર૬ પક્ષો મજબૂરી માટે ભેગા થયા હોવાનું કહેવાયું તો એનડીએના ૩૯ માં અનેક એવા પક્ષો છે, જેના સિંગલ ડિજિટમાં પણ સાંસદો નથી, તેવી આલોચના થઈ. એનડીએ મજબૂરી નહીં, પણ મજબૂતી માટેનું ગઠબંધન હોવાના દાવા સામે એવા કટાક્ષો પણ થયા કે ભાજપને એનડીએના સાથીદાર પક્ષો ચૂંટણી ટાણે જ કેમ વધુ યાદ આવી જતા હશે?

બીજી તરફ એવી કોમેન્ટો પણ થઈ કે લોકસભાની ચૂંટણી માટે આ વખતે ભાજપના નેતૃત્વમાં એનડીએની હાર નિશ્ચિત જ હતી, ત્યારે મહાગઠબંધન રચાયા પછી હવે રાજ્યવાર આગામી વિધાનસભાઓની ચૂંટણીઓ માટે પણ આ જ પ્રકારે વિપક્ષી મહાગઠબંધન ફાઈટ આપી શકે છે તેવી આશા ઊભી થઈ ગઈ છે.

એ પ્રકારની કોમેન્ટો પણ થઈ રહી છે કે, એનડીએમાં ૩૮ પક્ષો (મળ્યા, અને ભાજપ સહિત ૩૯ પક્ષો થયા) તો સામે પક્ષે પ્રાદેશિક કક્ષાએ સારૃ એવું વર્ચસ્વ ધરાવતા રાજકીય પક્ષો સહિતના ર૬ પક્ષો હોવાનું જાહેર થયું છે, પરંતુ હકીકતે ર૮ સભ્યો વિપક્ષના મહાગઠબંધનમાં છે, તેમ કહી શકાય, કારણ કે મોંઘવારી અને બેરોજગારીના બન્ને મુદ્દાઓ જ શક્તિશાળી રાજકીય પક્ષોની જેમ જ મોદી સરકારને હટાવવા માટે સક્ષમ છે, અને આ બન્ને 'બિનરાજકીય' સભ્યો બાકીના ર૬ પક્ષો માટે 'ટોનિક'નું કામ કરવાના છે.

બિનરાજકીય વિશ્લેષકોના અભિપ્રાયોનું તારણ કાઢીએ તો કહી શકાય કે મોંઘવારીથી સમગ્ર જનતા ત્રસ્ત છે, તો બેરોજગારીના કારણે યુવાવર્ગમાં મોદી સરકારની સામે છૂપો આક્રોશ વ્યાપી રહ્યો છે, જે ચૂંટણી ટાણે ફૂંફાડો મારશે.

આજે ગુજરાતમાં સીંગતેલના વધેલા ભાવોએ કોહરામ મચાવ્યો છે, તો રાષ્ટ્રીય કક્ષાએ ટમેટા સહિતના શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, કઠોળ, મસાલા અને જીવનજરૃરી ચીજવસ્તુઓની કિંમતો પણ અસહ્ય રીતે વધી હોવાથી ગૃહિણીઓ પણ ત્રાહિમામ્ છે.

આજના યુગમાં મોંઘુદાટ શિક્ષણ લઈને જ્યારે માતા-પિતાની તમામ બચત ખતમ કરીને અનૅ/અથવા જમીન-મકાન-ઘરેણાં વેંચીને પરિવારના ત્યાગ થકી ઉચ્ચ ડીગ્રીઓ મેળવ્યા પછી પણ નોકરી કે રોજગાર ન મળે, ત્યારે યુવક-યુવતીઓની દશા માઠી થતી હોય છે.

દેશમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા સૌથી વધુ ઘેરી છે, જ્યારે અલ્પશિક્ષિત કે અશિક્ષિત યુવાવર્ગ માટે પણ બેરોજગારીની સમસ્યા વધી રહી છે, અને તેની આડ અસર સ્વરૃપે ગુનાખોરી પણ વધી રહી છે, ત્યારે જો મોદી સરકાર અતિઆત્મવિશ્વાસમાં રહેશે, તો આ બન્ને મુદ્દાઓ જ ડુબાડશે, તેવા તારણ નીકળી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh