Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાનમાં સંસદનું વિસર્જન ત્રણ મહિનામાં યોજાઈ શકે છે જનરલ ઈલેક્શન

ઈમરાન જેલમાં છે, ત્યારે અડધી રાતે લેવાયેલો આ નિર્ણય ઘણો જ સૂચક

ઈસ્લામાબાદ તા. ૧૦ઃ પાકિસ્તાનમાં અડધી રાતે સંસદનું વિસર્જન કરાયું છે, તેથી દેશમાં સામાન્ય ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. વડાપ્રધાન શરીફની ભલામણ પછી રાષ્ટ્રપતિએ નેશનલ એસેમ્બલી ભંગ કરી છે. હવે ૩ મહિનામાં ચૂંટણી યોજાશે. ઈમારન ખાન જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે લેવાયેલો આ નિર્ણય ઘણો જ સૂચક છે.

પાકિસ્તાનમાં અડધી રાત્રે સંસદને અચાનક ભંગ કરી દેવામાં આવી છે, તેથી આગામી ત્રણ મહિનામાં ત્યાં ચૂંટણી યોજાઈ શકે છે. આ દરમિયાન એક મોટો સવાલ ઊભો થયો છે કે શું પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે કે નહીં, કારણ કે ૭૦ વર્ષના ઈમરાન ખાન હાલ પાકિસ્તાનની જેલમાં છે. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં તેને ૩ વર્ષની સજા થઈ છે, ત્યારે લેવાયેલો આ નિર્ણય ઘણો જ સૂચક છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ વડાપ્રધાન શાહબાઝ શરીફની સલાહ પર ગઈકાલે મધ્યરાત્રિએ સંસદ ભંગ કરી દીધી હતી. સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીને પાંચ વર્ષનો બંધારણીય કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા જ ભંગ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ શાહબાઝ શરીફ સરકારનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. સંસદના વિસર્જનને લઈને જારી કરાયેલા નોટીફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, બંધારણની કલમ પ૮ હેઠળ નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરવામાં આવ્યું છે. સંસદનો પાંચ વર્ષનો કાર્યકાળ સત્તાવાર રીતે ૧ર ઓગસ્ટે સમાપ્ત થવાનો હતો.

શાહબાઝ શરીફે રાષ્ટ્રપતિ અલ્વીને પત્ર લખીને સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. કલમ પ૮ હેઠળ જો રાષ્ટ્રપતિ સંસદને ભંગ કરવાની વડાપ્રધાનની ભલામણના ૪૮ કલાકની અંદર વિધાનસભાનું વિસર્જન નહીં કરે, તો તે આપોઆપ વિસર્જન થઈ જશે. બંધારણ હેઠળ શાહબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા પાસે કાર્યપાલક વડાપ્રધાનનું નામ નક્કી કરવા માટે ત્રણ દિવસનો સમય છે. જો રખેવાળ વડાપ્રધાન માટેના નામ પર સહમત ન થઈ શકે તો આ મામલો વિધાનસભાના અધ્યક્ષ દ્વારા રચાયેલી સમિતિને મોકલવામાં આવશે. આ સમિતિ ત્રણ દિવસમાં વચગાળાના વડાપ્રધાનના નામ પર મહોર લગાવશે, પરંતુ જો કમિટી પણ નિર્ધારિત સમયમાં નિર્ણય લેવામાં અસમર્થ રહેશે તો વચગાળાના પીએમ માટેના ઉમેદવારોના નામ ચૂંટણી પંચને મોકલવામાં આવશે. ચૂંટણી પંચ બે દિવસમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે.

આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે સંસદના નીચલા ગૃહના વિદાય સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ આજે નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા રાજા રિયાઝને મળશે, જેથી તેઓ રખેવાળ વડાપ્રધાનોના નામ પર ચર્ચા કરશે. શરીફે કહ્યું કે ત્રણ દિવસનો સમય છે, જે દરમિયાન સાથે મળીને ચર્ચા કરવામાં આવશે.

પાકિસ્તાનનું બંધારણ જણાવે છે કે, એસેમ્બલીના વિસર્જન પછી ત્રણ મહિનાની અંદર ચૂંટણીઓ થવી જોઈએ, જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી રખેવાળ સરકાર દેશની બાબતોનું ધ્યાન રાખશે, જો કે કેરટેકર પીએમ કોણ હશે તેનું નામ હજુ નક્કી થયું નથી. નિયમો અનુસાર જ્યાં સુધી ટેરટેકર પીએમની નિમણૂક નહીં થાય ત્યાં સુધી શાહબાઝ શરીફ વડાપ્રધાન રહેશે. આ બીજી વખત છે જ્યારે રાષ્ટ્રપતિ અલ્વીએ નેશનલ એસમ્બલીનું વિસર્જન કર્યું છે. આ પહેલા ગત્ વર્ષે એપ્રિલમાં તેમણે તત્કાલિન વડાપ્રધાન ઈમરાનની ભલામણ પર સંસદ ભંગ પણ કરી દીધી હતી, પરંતુ બાદમાં સુપ્રિમ કોર્ટે તેમના નિર્ણયને પલટી નાખ્યો હતો.

ચૂંટણી પંચે ઈમરાન ખાન પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો છે. તોશાખાન કેસમાં દોષિત જાહેર થયા પછી પાકિસ્તાનના ચૂંટણી પંચે ઈમરાનને પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવ્યો છે. ઈમરાન ખાને તોશાખાનના કેસમાં દોષી ઠેરવવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકાર્યો છે. તેમણે કહ્યું કે, ટ્રાયલ કોર્ટ દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં તેમને દોષિત ઠેરવવાનો ન્યાયાધીશનો પક્ષપાતી નિર્ણય હતો. આ સંપૂર્ણ ન્યાયી અજમાયશના ચહેરા પર થપ્પડ છે, અને તે ન્યાય અને યોગ્ય પ્રક્રિયાની કપટ સમાન છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh