Advertisement
Author: નોબત સમાચાર

સંસ્કારોની સરવાણી, મમતાની મૂર્તિ, પૂ. બા ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ

                                                                                                                                                                                                      

સ્વ. લલિતાબેન રતિલાલ માધવાણી

વૈકુંઠવાસ તા. ૧૩-૦૭-ર૦૦૭

સંસ્કારોની સરવાણી સમા મમતાની મૂર્તિ એવા પૂ. બા વૈકુંઠવાસી થઈ ગયા, તેને બે દાયકા થયા છે, છતાં તેઓની મમતાનો છાંયડો અને સ્નેહભરી હૂંફની અનુભૂતિ અમે આજ પણ કરી રહ્યા છીએ. તેઓ આપણી વચ્ચે હતા, ત્યારે મમતા, પ્રેમ અને હૂંફાળો જે સ્નેહ વરસાવ્યો, તેને ક્યારેય વિસરી શકાય તેમ નથી.

પૂ. બા ની સાદગી, સરળતા અને ગૌરવપ્રદ જીવનશૈલી હંમેશાં પ્રેરણાત્મક રહી હતી. તેઓએ પરિવારને એવા સંસ્કારો આપ્યા, જે આજે પણ અમારૂ પ્રેરક પથદર્શન કરી રહ્યા છે. અમારા પૂ. પિતાશ્રી રતિલાલ માધવાણીના જીવનસંગિનિ તથા પરિવારના મોભી તરીકે તેઓએ હંમેશાં સમર્પિત ભાવથી યોગદાન આપ્યું છે, અને 'નોબત' દૈનિકનું પણ પડકારરૂપ સમયથી લઈને વટવૃક્ષ બન્યું ત્યાં સુધી પરિશ્રમપૂર્વક સિંચન કર્યું છે.

પૂ. બા માં સૌ કોઈને પોતાના પરિવારજન કરી લેવાની અદ્ભુત શક્તિ હતી અને તેઓના માયાળુ સ્વભાવના કારણે તેઓ અમારા બધાનું પ્રેરકબળ બન્યા હતા. તેઓ તે સમયે હતા, એવા જ અત્યારે પણ અમારી સ્મૃતિમાં જીવંત છે અને માતાની ખોટ તો ક્યારેય પૂરાય તેવી હોતી જ નથી. 'માઁ' શબ્દ ઉચારતા જ મમત્વનો ધોધ વહેતો હોય, તેવી લાગણી જન્મે છે. તેઓની કાલ્પનિક સ્મૃતિઓ વાગોળતા અનોખી પ્રેરણા સાથે અદ્ભુત શાંતિની અનુભૂતિ પણ થાય છે.

પૂ. બા નો પ્રસન્નચિત્ત ચહેરો, હંમેશાં સક્રિય રહેતી જીવનશૈલી, સુમધૂરવાણી, સંસ્કાર અને સંસ્કૃતિથી ભરપૂર કાર્યશૈલી અને હેતાળ મિલનસાર સ્વભાવના કારણે તેઓ સૌ કોઈના હૈયે વસી જાય, તેવું વ્યક્તિત્વ હતાં. તેઓ આજે પણ વૈકુંઠમાંથી અમારા બધા પર અમીભર્યા આશીર્વાદ વરસાવી જ રહ્યા છે, અને અમારો પ્રેરણાપથ કંડારી રહ્યા છે.

જ્યારે ૧૩ જુલાઈ-ર૦૦૭ ના પૂ. બા એ વૈકુંઠગમન કર્યું, ત્યારે અમોને બધાને કારમો આઘાત લાગ્યો હતો, પણ કુદરતની ઘટમાળમાં આપણું કાંઈ ચાલતું નથી. પૂ. બા ના સમગ્ર જીવનમાંથી હંમેશાં અમને બધાને પ્રેરણા મળતી રહે, અને તેઓનો દિવ્યાત્મા આપણા બધા પર હંમેશાં અમીભર્યા આશીર્વાદ વરસાવતો રહે, તેવી શ્રીજીને પ્રાર્થના સાથે પૂ. બા ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ...

જામનગર

તા. ૧૪-૦૭-ર૦ર૬

- માધવાણી પરિવાર

- 'નોબત' પરિવાર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh