Advertisement
Author: નોબત સમાચાર

ગામના લગ્નવાચ્છુ યુવાન સાથે લગ્નના નામે કરાઈ છેતરપિંડીઃ સવા બે લાખનો ધૂમ્બો

કહેવાતા લગ્ન પછી ત્રીજા જ દિવસે નવોઢા પલાયન!

જામનગર તા.૧૭: જામનગરના બેડ ગામના એક યુવાનને તેર મહિના પહેલા લગ્ન કરાવી આપવાની લાલચ બતાવી છેતરપિંડી કરાયાની પોલીસમાં અરજી આપવામાં આવી છે. જામનગરની એક મહિલા, બેડના એક શખ્સ તથા નાગપુરની એક અન્ય મહિલાએ નાગપુરની યુવતી સાથે પરણાવી રૃા. સવા બે લાખ મેળવી લેવાયા હતા. લગ્નના ત્રીજા જ દિવસે આ યુવતી ક્યાંક ચાલી ગઈ હતી.

જામનગર તાલુકાના બેડ ગામના લાલજીભાઈ કેશવજીભાઈ સોનગરા નામના તેતાલીસ વર્ષિય સતવારા યુવાને લગ્ન માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમના સમાજમાં એક અન્ય કોઈ સગપણ નહીં થઈ શકતા આ યુવાને બેડના જ વિનોદ અમૃતલાલ સોનગરા સાથે લગ્ન માટે વાતચીત કરી હતી. જેમાં વિનોદભાઈ ઉર્ફે  ભીખાભાઈએ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી રામવાડીમાં રહેતા તારાબાઈ પ્રેમચંદ ધનવાલનો સંપર્ક કરાવ્યો હતો.

આ મહિલાએ પોતાના ધ્યાનમાં મહારાષ્ટ્ર રાજ્યના નાગપુરની એક યુવતી હોવાનું કહ્યા પછી લગ્ન કરાવવા માટે રૃપિયા સવા બે લાખનો ખર્ચ થશે તેમ કહેતા તે રકમ આપવા માટે લાલજીભાઈ સહમત થયા હતા. તે પછી તારાબાઈએ તે યુવતીને જામનગર બોલાવી આપશે તેમ કહ્યું હતું અને થોડા જ દિવસમાં નાગપુરના ઉપલાવાડી વિસ્તારમાં સંજય ગાંધીનગરમાં રહેતી રાણી વિજય ગાયકવાડ નામની મહિલા જામનગર આવી ગઈ છે તેમ લાલજીભાઈને જણાવાતા બેડથી તે લગ્નવાચ્છુ જામનગર આવી પહોંચ્યા હતા. જ્યાં રામવાડીમાં તારાબાઈએ બંનેનો સંપર્ક કરાવ્યા પછી બંનેએ એક બીજાને પસંદ કરતા લગ્નનું નક્કી થયું હતું અને જામનગરમાં રામવાડીમાં તેઓના વર્ષ ૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનાની દસ તારીખે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવાયા હતા અને તા.૧૦ના દિને જ નોટરી સમક્ષ લગ્ન અંગે લખાણ કરાવાયું હતું તેમાં પરિચય આપનાર તરીકે બેડના વિનોદભાઈ તેમજ તારાબાઈ અને નાગપુરની મોનીકા દયારામજી ઈનવાતે હાજર રહી સાક્ષી પુરી હતી તેમજ વાત થયા મુજબ લાલજીભાઈએ રૃા.સવા બે લાખ વિનોદભાઈને આપ્યા હતા.

લગ્ન કર્યા પછી બેડમાં પોતાના ઘેર આ દંપતી પહોંચ્યું હતું જ્યાં તા.૧૩ના દિને વહેલી સવારે રાણી ગાયકવાડ મકાનના નીચેના ભાગે ન્હાવા જવા માટે ગયા પછી લાપતા બની ગઈ હતી. પત્નીની શોધ શરૃ કરી લાલજીભાઈએ જામનગર આવી તારાબાઈ તથા મોનીકાનો સંપર્ક કર્યાે હતો જ્યાં આ વ્યક્તિઓએ તમે પોલીસ ફરિયાદ ન કરતા, રાણી પાછી આવી જશે તેમ કહ્યું હતું પરંતુ લાંબો સમય વિત્યા પછી પણ પત્ની પરત નહીં ફરતા લાલજીભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા તેઓએ સિક્કા પોલીસને આ બાબતની જાણ કરતી અરજી પાઠવી છે. આ યુવાને રાણી સાથે થયેલા લગ્ન અંગેની નોટરી સમક્ષની ડેકલેરેશનની કોપી ઉપરાંત કેટલીક વિગતો પૂરી પાડી છે.

ઉલ્લેખનીય છે કે, જામજોધપુરના બગધરાના યુવાન સાથે રાણી નામની નાગપુરની યુવતીએ લગ્નના નામે છેતરપિંડી કરાયા પછી પોલીસમાં જાણ કરાયા પછી ત્રીજા દિવસે બેડના યુવાને પણ પોતાની સાથે લગ્નના નામે રૃા.સવા બે લાખ પડાવી લેવાયાની રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh