Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી ડૂબી રહી હોય ત્યારે દુનિયામાં ડંકો વાગે તેનો કોઈ અર્થ ખરો?

ચંદ્રયાન દ્વારા સંદેશો મોકલો કે આકાશમાં ઊડતા 'ભાવો' ધરતી પર પાછા પધારે!

ભારત માટે એ ગૌરવની વાત છે કે લગભગ સવાછસો કરોડના ખર્ચે ચંદ્રયાન-૩ નું સફળ લોન્ચીંગ થઈ ગયું અને ર૩-ર૪ ઓગસ્ટે તેનું દક્ષિણ ચંદ્રની સપાટી પર ઉતરાણ થવાની સંભાવના છે. આ અંતરિક્ષની સિદ્ધિ ભારતને ઘણી જ ઉપયોગી થશે અને અનેક રીતે વિશ્વને પણ કામ આવશે, બસ... ચંદ્રયાન-ર ની જેમ આ યાન પણ છેલ્લી ઘડીએ ભટકી ન જાય, અને કોઈપણ અવરોધ વગર ઉતરાણ કરીને મિશનને સંપૂર્ણ સફળતા મળે, ત્યાં સુધી કાર્યરત રહે, તેવું પ્રાર્થીએ...

આ અંગે લોકો દ્વારા પણ ગૌરવ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, અને ભારતની આ અવકાશી સિદ્ધિઓ માટે વૈજ્ઞાનિકોના પુરુષાર્થને બીરદાવવામાં આવી રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે એવી ટકોર પણ કરવામાં આવી રહી છે કે સરકારે અવકાશી સિદ્ધિઓ મેળવવાની સાથે સાથે જમીની હકીકતોની પરવાહ પણ કરવી જોઈએ.

દેશમાં મેઘપ્રકોપ, લેન્ડ સ્લાઈડ અને પૂરપ્રકોપે તારાજી સર્જી છે, તો હવે મોંઘવારીએ માઝા મૂકી છે, એવા દાવા કરાઈ રહ્યા છે કે, જથ્થાબંધ ભાવાંક ઘટી જતાં મોંઘવારી ઘટી રહી છે, પરંતુ વાસ્તવિક્તા તેનાથી ઉલટી છે. સીંગતેલનો ડબ્બો રૃા. ત્રણ હજારને વટાવી ગયો છે, તો કઠોળ-અનાજ અને હવે તો રસોડાના મસાલા પણ મોંઘાદાટ થઈ ગયા છે. શાકભાજીના ભાવ તો એટલા વધી ગયા છે કે લોકો વ્યંગ્યમાં એવું કહી રહ્યા છે કે 'અંતરિક્ષમાં છોડાયેલા ચંદ્રયાન દ્વારા કાંઈક એવી સિસ્ટમ પણ મોકલો કે આસમાને ઊડી રહેલા ભાવો ધરતી પર પાછા ફરે અને લોકોને મોંઘવારીથી રાહત મળે!'

એવી કોમેન્ટો પણ થઈ રહી છે કે, ધરતી પર પાણીના પૂરને કંટ્રોલ કરી શકાતું નથી, અને ચંદ્ર પર જળનો જથ્થો શોધવા નીકળ્યા છે, કોઈ કહે છે કે દેશની રાજધાની ડૂબી રહી હોય, ત્યારે દુનિયામાં ડંકો વાગે તેનો કોઈ અર્થ ખરો? જો કે, એવી ચોખવટ પણ થઈ રહી છે કે આ વ્યંગ માત્ર પોલિટિશિયનો માટે છે, વૈજ્ઞાનિકો માટે નથી. દેશના વૈજ્ઞાનિકો તો દેશને ગૌરવ અપાવી રહ્યા છે, પણ નેતાઓ...?!

ટૂંકમાં... દેશના વૈજ્ઞાનિકોના પરિશ્રમના કારણે ચંદ્રયાન-૩ સફળ થાય તે સૌ કોઈ ઈચ્છે, પરંતુ તેનો યશ લેવા તલપાપડ રહેતા પોલિટિશિયનો ડૂબતી દિલ્હી, વધતી મોંઘવારી અને બેરોજગારી કે પછી લોકોના રોજીંદા જીવનમાં વધતી જતી સમસ્યાઓને લઈને પોતાની જવાબદારી કેમ સ્વીકારતા હોતા નથી? આ પ્રકારની સમસ્યાઓને લઈને કેટલાક રાજ્યોમાં વિપક્ષની સરકાર હોય ત્યાં વિરોધ કરતા રહેતા નેતાઓ રાષ્ટ્રીયકક્ષાએ કેમ જુદી ડાકલી વગાડતા હોય છે, તેવી જ રીતે રાજ્યમાં સરકાર ધરાવતા પક્ષોના નેતાઓ પણ રાષ્ટ્રીય મુદ્દે વિરોધના ઢોલ પીટતા હોય છે, પરંતુ એ જ પ્રકારની સમસ્યા માટે સ્વશાસિત રાજ્યમાં બહાનાબાજી કેમ કરતા રહે છે? જો કે, યે પબ્લિક હૈ... સબ જાનતી હૈ..

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh