Advertisement
Author: નોબત સમાચાર

વર્લ્ડ લાર્જેસ પાર્ટી સામે વધતા પડકારો... સીજેપીનો સળવળાટ, કોંગ્રેસમાં કકળાટ બીજેપીમાં ખટરાગ, તૃણમુલમાં ભાગંભાગ

                                                                                                                                                                                                      

ભારતના રાજકારણમાં કોઈએ ધાર્યો નહીં હોય તેવો બદલાવ જોવા મળી રહ્યો છે, અને તૃણમુલ કોંગ્રેસમાં ભાગંભાગ તથા શિસ્તભંગના પગલાં લેવાયા પછી હવે પ. બંગાળના એ જ તંત્રો હવે તૃણમુલ કોંગ્રેસના નેતૃત્વની સામે કાર્યવાહી કરી રહ્યા છે, જે તંત્રો દોઢ દાયકાથી મમતાદીદીનો પડ્યો બોલ ઝીલતા હતાં. એવું કહેવાય છે કે પક્ષાંતર વિરોધી કાનૂન લાગુ પાડી શકાય નહીં, તેવી રીતે 'નિયમાનુસાર' કેટલાક ધારાસભ્યો તથા સંસદસભ્યોના જુથો પ. બંગાળની વિધાનસભા તથા સંસદમાં પાટલી બદલવાની તૈયારીમાં છે, અને આમ આદમી પાર્ટી રાજ્યસભામાં તૂટી, તેેવી જ રીતે પ. બંગાળમાં પણ 'ખેલા હોને વાલા હૈ...'

કોંગ્રેસે કર્ણાટકનો કકળાટ માંડ માંડ નિપટાવ્યા પછી હવે અન્ય કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક કક્ષાએ ચાલી રહેલી આંતરિક ખેંચતાણ પર અંકુશ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પંજાબના પ્રાદેશિક નેતાઓને દિલ્હીનું તેડું આવ્યા પછી હવે કોંગ્રેસની હાઈકમાન્ડ અન્ય રાજ્યોમાં પણ સંગઠનને પુનઃ ચેતનવંતુ બનાવવાની વ્યૂહરચના ઘડી રહી હોય તેવું લાગે છે. કોંગ્રેસ માટે હવે પછીની ચૂંટણીઓમાં નોંધપાત્ર વિજય મેળવવો જ પડે તેમ છે, કારણ કે સતત ચૂંટણીઓ હાર્યા પછી કોંગ્રેસની સ્થિતિ ધીમે ધીમે પ્રાદેશિક કક્ષાના હારેલા પક્ષો કરતાયે બદતર બની રહી છે, તેથી હવે કોંગ્રેસે કોઈ એવી આક્રમક અને આયોજનબદ્ધ રણનીતિ ઘડી હોવાના સંકેતો મળી રહ્યા છે, જેમાં કોગીજનોમાં નવો જુસ્સો અને ઉત્સાહ વધારી શકાય.

દિલ્હી ગુમાવ્યા પછી હવે આમ આદમી પાર્ટી પણ સંઘર્ષ કરી રહી છે અને પંજાબમાં રાજ્યની સત્તા સંભાળવાની સાથે સાથે દેશવ્યાપી પ્રસાર-પ્રચાર અને વ્યાપ વધારવાના પ્રયાસો કરી રહી છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલાક સ્થળે નોંધપાત્ર સફળતા મળ્યા પછી હવે ગુજરાત વિધાનસભાની વર્ષ ર૦ર૭ ની ચૂંટણીની તૈયારી થઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીને તેનું વેરવિખેર સંગઠન નવેસરથી સમારવું પડે તેમ છે.

ભારતીય જનતા પક્ષના દક્ષિણ ભારતના એક દિગ્ગજ નેતા હવે પોતાની પાર્ટી અથવા નવું સંગઠન ઊભું કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાના અહેવાલો પછી વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપાને દ. ભારતમાં પહેલા કોળિયે માખી આવી હોય, તેવો ઘાટ સર્જાયો છે, તો બીજી તરફ સુપ્રિમ કોર્ટમાં થયેલી એક ટિપ્પણીના શબ્દોને પકડીને વિદેશમાં હાલમાં વસી રહેલા એક યુવાને ઓનલાઈન ઝુંબેશ ચલાવ્યા પછી સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી રચીને શરૂ કરેલું કેમ્પેઈન હવે પોતાને વિશ્વની સૌથ્ી મોટી પાર્ટી ભાજપને પડકાર ફેંકી રહ્યું છે, જેથી ભાજપ સામે પડકાર વધ્યો છે. એવું કહેવાય છે કે જૂનના પહેલા અઠવાડિયામાં જ વંદા પાર્ટીના અધ્યક્ષ અભિજિત ઈયકે ભારતમાં આવશે અને મોદી સરકાર સામે આંદોલનના મંડાણ કરશે. તેમણે દિલ્હીમાં એક વિશાળ આંદોલન કરીને બંધારણીય માર્ગે પેપરલીકના જવાબદાર કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરવાની તૈયારી બતાવીને સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સને આહ્વાન કર્યું હોય, તો તે એક નવો અને અનોખો પડકાર હશે.

ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે ટોપ ટુ બોટમ ખેંચતાણ અને ખટરાગ સામે આવી રહ્યો છે. ક્યાંક ભાજપના સાંસદ જ જિલ્લા કક્ષાના ભાજપના નેતાઓની પોલ ખોલી રહ્યા છે, તો ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અંતરઘાત થયો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બમ્પર વિજય પછી નવા પદાધિકારીઓની નિયુક્તિમાં વાર લાગી, અને તે પછી જે નિર્ણયો લેવાયા, તે પછી હવે એક તરફ નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ વર્ષોથી વફાદારીપૂર્વક એક્ટિવ રહેલા કેટલાક જુના અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ-નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેમ જણાય છે.

દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પક્ષમાં પણ હવે હાઈકમાન્ડ સર્વોપરિ છે, અને આંતરિક લોકતાંત્રિક વ્યવસ્થાઓની સિસ્ટમ હોવા છતાં (ઉપરના આદેશ મુજબ) પાર્ટીના પદાધિકારીઓની બિનહરિફ અથવા સર્વાનુમત્તે થતી વરણીઓ થઈ રહી છે. આ કારણે ધીમે ધીમે વધી રહેલો છૂપો આંતરિક અસંતોષ ક્યારેક સ્પ્રીંગની જેમ ઉછળશે અથવા અચાનક મોટો ધડાકો થશે, કે પછી અસંતોષનો જવાળામૂખી સંગઠનને છીન્ન-ભિન્ન કરી નાંખશે, તેવી માન્યતા ધરાવતા લોકો કહી રહ્યા છે કે, 'જસ્ટ વેઈટ એન્ડ વોચ...'

મોંઘવારી, બેરોજગારી, દાદાગીરી તથા એકતરફી રાજનૈતિક પ્રવાહોની વચ્ચે લોકશાહી રૂદન કરી રહી હોય અને પોલિટિકલ પાર્ટીઓ લોકતાંત્રિક વ્યવસ્થાઓના નામે ડ્રામેબાજી કરી રહી હોય, ત્યારે કોઈપણ નવો શક્તિશાળી વિકલ્પ ઉભરી આવે, તો લોકો તેના તરફ ખેંચાતા હોય છે. કોંગ્રેસના દાયકાઓના શાસન પછી લોકોએ છેલ્લા દસ-બાર વર્ષથી દેશમાં ભારતીય જનતા પક્ષનો ભરોસો કર્યો, પરંતુ દિલ્હીની જનતાએ તે સમયે જ આમ આદમી પાર્ટીનો ભરોસો કર્યો. આમ આદમી પાર્ટીના ઉદય પછી લોકોને પોતાની જ પાર્ટી હોય તેવો અહેસાસ થયો અને આજે યુવાવર્ગ જેવી રીતે કોકરોચ જનતા પાર્ટી તરફ આકર્ષાવા લાગ્યો છે, તેવી જ રીતે વર્ષ ર૦૧પ માં યુવાવર્ગ આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયો હતો. આમ આદમી પાર્ટીનો પંજાબમાં પણ વિજય થયા પછી જે કોઈ ખેલ રચાયા, એ આપણે જોયા જ છે. હવે આમ આદમી પાર્ટી માત્ર પંજાબમાં જ શાસન ધરાવે છે, અને કેટલાક સ્થળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા પછી નવો આશાવાદ જાગ્યો છે, પરંતુ હવે કોકરોચ જનતા પાર્ટીની ઓનલાઈન ઝુંબેશ હવે સૌથી વધુ આમ આદમી પાર્ટીને પ્રભાવિત કરશે, તેવું લાગે છે. આનું કારણ એ છે કે દેશમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જ અન્ના આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીમાં પ્રામાણિક, શુદ્ધ અને પારદર્શક રાજનીતિના સિદ્ધાંતો અપનાવીને જે લોકો પોતાની ઉજ્જવળ કારકિર્દી, પ્રતિષ્ઠિત પદો કે ઉચ્ચ પગારની નોકરીઓ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં, તેઓ હવે ધીમે ધીમે કોકરોચ જનતા પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા હોય તેવું લાગે છે. દસ-બાર વર્ષ પહેલા અનોખા તરવરાટ સાથે જે યુવાવર્ગ આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો, અને અત્યારે થોડો પરિપકવ અને ચાલીસીની ઉંમરે પહોંચ્યો છે, તેવો વર્ગ પણ હવે કદાચ નવા વિકલ્પ તરીકે કોકરોચ જનતા પાર્ટીને નિહાળી રહ્યો હોય તેવું બની શકે છે.

વિશ્લેષકો આ પ્રકારની તમામ અટકળો વચ્ચે જુદા જુદા તારણો કાઢી રહ્યા છે, પરંતુ નવા નવા વિકલ્પો જ્યારે નિષ્ફળ જશે, ત્યારે 'ઓલ્ડ ઈઝ ગોલ્ડ'ની જેમ દેશની જનતાને સાચા સોનાની પરખ થશે, તેવા દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે હવે ૬ઠ્ઠી જૂનની રાહ જોવી રહી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh