Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગત મંદિર પર આગામી દસ વર્ષ માટે નૂતન ધ્વજારોહણનું એડવાન્સ બુકીંગ કરાયું

દરરોજ ૬ ધ્વજારોહણમાંથી ચાર ધ્વજાજી માટે એડવાન્સ બુકીંગ પ્રક્રિયા પારદર્શક ડ્રો દ્વારા

દ્વારકા     તા. ર૧ઃ દ્વારકાના જગત મંદિરે દ્વારકાધીશજીના નૂતન ધ્વજાજીનું આગામી ૧૦ વર્ષ માટેનું એડવાન્સ બુકીંગ થયું છે. પારદર્શકતા અને ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને ડ્રોની પ્રક્રિયા થઈ છે. ૧૦ વર્ષની ૧૧૦૦૦/- ધ્વજાજી માટે ર૧૦૦૦/- ફોર્મ સાથે ભક્તોની અરજી આવી હતી.

ભક્તિ ભાવ અને શ્રદ્ધા શક્તિ તથા આરાધના અને મનોકામના સંગમ સમાન દ્વારકાધીશજીના જગત મંદિર પર ધ્વજાજી આરોહણનું જગત મંદિરમાં વિશેષરૃપે સ્થાન છે. જેથી લઈને દેશ-વિદેશના ભાવિકો-ભક્તોને આગામી દશ વર્ષમાં ધ્વજાજીનું તેમની શ્રદ્ધા મુજબનું વર્ષ અને તારીખ, તિથિ પ્રમાણેનું એડવાન્સ બુકીંગ કરી શકે તેવા હેતુસર ધ્વજાજીના બુકીંગની વ્યવસ્થા સંભાળતી અત્રેની ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા બુકીંગની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.

તા. ૧૧-સપ્ટેમ્બરથી તા. ૧૪-સપ્ટેમ્બર સુધી પ્રથમ ચરણમાં ગુગળી સમાજના કાર્યાલયથી ધ્વજાજીના બુકીંગ માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચાર દિવસના ફોર્મના વિતરણની પ્રક્રિયાના અંતે એકવીસ હજાર ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને અગિયાર હજાર ધ્વજાજીના ૧૦ વર્ષના બુકીંગ માટે ફોર્મ સાથે મોટી સંખ્યામાં અરજીઓ આવતા ગુગળી જ્ઞાતિએ ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને ગુગળી જ્ઞાતિના કાર્યાલયમાં સમાજની ૧૧ બાળાઓના હસ્તે ડ્રોની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. જે ખૂબ જ પારદર્શકતા અને ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ હતી. ડ્રોની પ્રક્રિયા જાહેર જનતા અને જ્ઞાતિજનો તથા ગુગળી જ્ઞાતિના વ્યવસ્થાક સમિતિની હાજરીમાં કરવામાં આવી હતી.

જ્ઞાતિના પ્રમુખ પરેશભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ ચૈતન્યભાઈ તથા મહામંત્રી કપીલભાઈ વાયડા અને સહમંત્રી જીતુભાઈ ઠાકરે ધ્વજાજીના બુકીંગની પ્રક્રિયાનું માળખું ગોઠવેલ હતું. જેમાં ગુગળી જ્ઞાતિના અગ્રણી ધારાશાસ્ત્રી પ્રદીપભાઈ ઉપાધ્યાયનો પણ સહયોગ સાંપડેલ હતો.

ભક્તની માંગ મુજબની ડ્રો ની કામગીરી છેલ્લા ૮૦ કલાકથી સંતોષકારક રીતે અવિરત ચાલી રહી છે. બાકીની બે ધ્વજાજી માટે અરજીઓ સ્વીકારી દર મહિને ડ્રો કરાશે.

છઠ્ઠા ધ્વજાજી માટે શંકરાચાર્યજી શ્રી સદાનંદજીએ કરી હતી તરફેણ

તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિએ જગત મંદિરના શિખર ઉપર પાંચના બદલે ભાવિકોની માંગને ધ્યાનમાં રાખીને છઠ્ઠા ધ્વજાજીની શંકરાચાર્ય શ્રી સદાનંદજી મહારાજે તરફેણ કરતા દેવસ્થાન સમિતિની બેઠકમાં છઠ્ઠા ધ્વજાજીના આરોહણનો નિર્ણય લેવાયો હતો.

હાલમાં ૧૦ વર્ષના બુકીંગ કરાયેલ ધ્વજાજીમાં સવારે ત્રણ ધ્વજાજી તથા સાંજના એક ધ્વજાજીનું બુકીંગનો સમાવેશ થયો છે. જ્યારે રોજ સવારે એક અને સાંજે એક ધ્વજાજીનું બુકીંગ ૩૦ દિવસ અગાઉ દર માસે ગુગળી જ્ઞાતિ કાર્યાલયમાં અરજી ફોર્મ સ્વીકારીને ડ્રોની પદ્ધતિ મુજબ બુકીંગ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh