Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉન્નાવ કેસના અ૫રાધીને જેલમાં જ રહેવું પડશેઃ સર્વોચ્ચ અદાલતે ફટકારી નોટીસઃ સીબીઆઈની અપીલ ગ્રાહ્યઃ ચાર અઠવાડિયા પછી સુનાવણી
નવી દિલ્હી તા. ર૯: ઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદીપ સેંગરને ઝટકો લાગ્યો છે, તેને હજૂ જેલમાં જ રહેવું પડશે, કારણ કે હાઈકોર્ટના ચૂકાદા પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે.
ઉત્તરપ્રદેશના ચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રિમકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટે ભાજપના સસ્પેન્ડેડ નેતા કુલદીપ સેંગરને સામૂહિક દુષ્કર્મના કેસમાં જામીનને સીબીઆઈ દ્વારા પડકારવામાં આવ્યા હતાં.
સુપ્રિમકોર્ટે હાલમાં આગામી સુનાવણી સુધી હાઈકોર્ટના ચૂકાદાને સ્ટે આપી દીધો છે અને કુલદીપસિંહ સેંગર હવે જેલમાં જ રહેશે. ચાર અઠવાડિયા બાદ હવે સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુપ્રિમકોર્ટના જ્જોએ કુલદીપસિંહ સેંગર તરફથી હાજર વકીલોને ફિટકાર લગાવતા કહ્યું હતું કે, તમે આડીઅવળી વાતો કરવાની જગ્યાએ સ્ટે પર વાત કરો. અમે જામીન પર સ્ટે આપવા તૈયાર છીએ. તમે જો હાઈકોર્ટના જામીનને ચાલુ રાખવા માંગતા હોવ તો અમને એનું કારણ જણાવો.
સુપ્રિમકોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતા સીબીઆઈના વકીલે આ કેસને ભયાનક ગણાવ્યો હતો. સબીઆઈ તરફથી તુષાર મહેતા દલીલ કરવા કોર્ટમાં હાજર થયા હતાં. તેમણે દલીલ કરી હતી કે, જ્યારે પિડીતા પર આ ભયાનક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે તેની ઉંમર ૧પ વર્ષ જ હતી, એટલે કે આ પોક્સોનો કેસ બને છે. આ એક ગંભીર અપરાધ છે અને તે સાબિત પણ થયો છે, છતાં હાઈકોર્ટે આ મામલે ગંભીરતા ન દાખવતા સેંગરને જામીન પર છોડી મૂક્યો હતો.
ઉન્નાવ દુષ્કર્મ કેસ એ ભારતના સૌથી ચર્ચિત અને હચમચાવી દેનારા ગુન્હાઓમાંથી એક છે. જેમાં સત્તા, રાજકારણ અને અપરાધની મિલીભગતે એક સગીર દીકરીના જીવનને નરક બનાવી દીધું હતું. આ કેસનો મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશનો તત્કાલીન શક્તિશાળી ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર હતો.
આ ઘટના ર૦૧૭ ની છે, જ્યારે ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાની એક ૧૭ વર્ષીય સગીરાએ બાંગરમઉના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેના સાથીઓ પર નોકરી અપાવવાના બહાને સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પિડીતાએ આરોપ મૂક્યો હતો કે, ૪-જૂન-ર૦૧૭ ના જ્યારે તે નોકરી માટે મદદ માંગવા ગઈ ત્યારે સેંગરે તેના ઘરે તેની પર બળાત્કાર કર્યો હતો.
પીડિતા અને તેના પરિવારે જયારે ન્યાય માટે અવાજ ઉઠાવવા પ્રયાસ કર્યો, ત્યારે તેમને સ્થાનિક પોલીસ અને પ્રશાસન તરફથી ભારે દબાણ અને ધમકીઓનો સામનો કરવો પડયો. કેસ દાખલ કરવામાં પણ આનાકાની કરવામાં આવી . મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે એપ્રિલ ૨૦૧૮માં પીડિતાએ લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાન બહાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેના થોડા જ દિવસો બાદ, પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું, જેમના પર સેંગરના ભાઈ દ્વારા ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
જુલાઈ ૨૦૧૯માં પીડિતા, તેના વકીલ અને પરિવારના સભ્યો જ્યારે જેલમાં બંધ તેના કાકાને મળવા જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. આ "અકસ્માત"માં પીડિતાના બે સંબંધીઓના મોત થયા હતા અને પીડિતા તથા તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો અને સુપ્રિમકોર્ટે આ મામલે સખત વલણ અપનાવ્યું. સુપ્રિમકોર્ટે કેસને ઉત્તરપ્રદેશમાંથી દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો અને સીબીઆઈને તપાસ સોંપી.
દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપસિંહ સેંગરને બળાત્કાર કેસમાં દોષિત ઠેરવ્યો અને ડિસેમ્બર ૨૦૧૯માં તેને આજીવન કેદની સજા ફટકારી. આ ઉપરાંત, પીડિતાના પિતાની કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં પણ તેને ૧૦ વર્ષની સજા કરવામાં આવી હતી. આ ચુકાદાને પીડિતાના લાંબા અને પીડાદાયક સંઘર્ષના અંતે મળેલા ન્યાય તરીકે જોવામાં આવ્યો. જો કે, ડિસેમ્બર ૨૦૨૫માં દિલ્હી હાઈકોર્ટે સેંગરને શરતી જામીન આપ્યા હતા. જેનો કોંગ્રેસ સહિત ઘણાં પક્ષોએ વિરોધ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial