Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ હેઠળ ત્રણ મહિનામાં રૃપિયા ૧.૧૮ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

જિલ્લાની રર ગૌશાળા-પાંજરાપોળોમાં ૪૩૦૧ પશુઓના નિભાવ માટે સહાય મંજૂરઃ

જામનગર તા. ૨૧ઃ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં ૧.૧૮ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. જિલ્લાની રર ગૌશાળાઓ તથા પાંજરાપોળના ૪,૩૦૧ પશુઓના નિભાવ માટે જિલ્લા કલેક્ટર દ્વારા સહાય મંજૂર કરાઈ છે.

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ અનુસાર ગાય એ માનવજીવન માટે અત્યંત આવશ્યક અને પૂજનીય પ્રાણી છે. હિન્દુ ધર્મના લોકો ગાયમાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ હોવાનું માને છે. આમ પણ ગાયના દૂધ, દહીં, છાશ, માખણ, ઘી સૌથી વધુ પૌષ્ટિક, શ્રેષ્ઠ અને સંપૂર્ણ આહાર પુરવાર થયેલ છે. તદઉપરાંત તેના મળમુત્ર અને છાણ પણ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર હોવાથી ગાયને કામધેનું પણ કહેવાય છે. પ્રાચીન સમયમાં સોનારૃપા સાથે ગાયોનું દાન ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાતું હતું. ઘરમાં ગાયોની સંખ્યા સમૃધ્ધિનું પ્રતીક મનાતી હતી. ઘરમાં પોતીકો કૂવો, આંગણામાં તુલસી અને પીપળાનું વૃક્ષ તથા આંગણે ગાયનું હોવું ઘરની પવિત્રતામાં વૃદ્ધિજનક મનાતું હતું. આમ  ગાય એ પુરાતન કાળથી જ માનવ જીવન સાથે જોડાયેલ અભિન્ન અંગ છે.

વર્તમાન સમયમાં ગુજરાત સરકારે અભિનવ અભિગમ અપનાવી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૃ કરીને સમગ્ર દેશમાં એક નવી પહેલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૃ કરવાની જાહેરાત કરી હતી જેનો શુભારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના શુભ અવસર પર આદ્યશક્તિ ધામ અંબાજીથી કરાવ્યો હતો. આ યોજના હેઠળ, ગાયોની જાળવણી માટે કાર્યરત ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકને પશુ દીઠ પ્રતિ દિન ૩૦ રૃપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. જેનાથી ગૌશાળાઓમાં આરોગ્ય સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. અને ગાયોને અપાતા ખોરાક-પાણી-સારવારનું સુદૃઢ સંચાલન કરીને ગાયોનું સંરક્ષણ અને સં વર્ધન કરી શકાશે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાના સંચાલન માટે સરકાર દ્વારા રૃ. ૫૦૦ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.

આ  યોજના થકી ગુજરાતમાં ગૌવંશના જતન અને સંવર્ધનમાં અનેક ગણો લાભ થયો છે. મુંગા પશુઓ માટે સંવેદના દાખવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે આ યોજનાના ત્વરિત અમલીકરણ થકી સમગ્ર ગુજરાતમાં વધુ અને ત્વરિત લાભ આપી આગવી દિશા કંડારી છે. જ્યારે જામનગરના કલેકટર ડો.સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલે જામનગર જિલ્લાની ગૌશાળા તથા પાંજરાપોળો માટે ત્વરિત સહાય ચુકવી આ યોજનાને વધુ લાભદાયી અને ફળદાયી બનાવી છે.

આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા પશુપાલન અધિકારી ડો.તેજસ શુકલએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત એક હજારથી ઓછું પશુધન ધરાવતી ગૌશાળાઓને સહાય ચુકવવાની દરખાસ્ત જિલ્લા કક્ષાએથી મંજુર કરવામાં આવે છે જ્યારે એક હજારથી ઓછું અને ત્રણ હજારથી વધુ પશુધન ધરાવતી સંસ્થાઓને રાજ્ય સરકાર દ્વારા સહાય મંજુર કરવામાં આવે છે.જે સહાય ગુજરાત ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા ચૂકવવામાં આવે છે. જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયત દ્વારા ૨૨ સંસ્થાના ૪,૩૦૧ પશુઓ માટે દૈનિક રૃપિયા ૩૦ લેખે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસના ૯૨ દિવસના રૃ. ૧,૧૮,૭૦,૭૬૦/- રૃપિયાની રકમ ચૂકવવામાં આવી છે.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળાઓ અને પાંજરાપોળની રખડતી ગાયો અને તેમના વાછરડાંઓની જાળવણી માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજના થકી રસ્તાઓ પર રખડતી ગાયોને રક્ષણ અને સુરક્ષા મળશે અને સાથે સાથે સામાન્ય જનતાને પણ રખડતી ગાયોથી થતા નુકસાનથી બચાવી શકાશે. ગૌ માતા પોષણ યોજના ગુજરાત ૨૦૨૩ નો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને રખડતી ગાયોને અકસ્માત, રોગ અને શારીરિક વેદનાથી બચાવવાનો છે.

આ સહાય માટે અરજી કરવા માટેની લાયકાતમાં જોઇએ તો ગૌશાળા અને પાંજરાપોળ ૩૧/૦૩/૨૦૨૨ પહેલા રજીસ્ટર્ડ થયેલી હોવી જોઈએ.

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાના ફાયદા

ગુજરાત સરકારની આ પહેલથી રખડતી ગાયોને રક્ષણ અને પોષણ મળશે. ગૌમાતા પોષણ યોજના ગુજરાત ૨૦૨૩ દ્વારા ગૌશાળાઓમાં આરોગ્ય સેવાઓનો ઉમેરો કરવામાં આવશે. આ યોજના દ્વારા ગાયો માટેના આશ્રયસ્થાનોમાં ગાયોની જાળવણી અને સંરક્ષણ માટે લોકોને નોકરી પર રાખવામાં આવશે, જેનાથી રોજગારીનું સર્જન થશે. આ ઉપરાંત ગૌશાળાઓમાં ગાયોના ખોરાક માટે યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવશે. જેથી ગાયો સ્વસ્થ રહે અને બીમાર ઓછી થાય. આમ આ યોજના થકી ખરા અર્થમાં ગૌવંશનું ગૌમાતા તરીકેનું સ્થાન સુનીશ્ચિત થઇ શકયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh