Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદમાં કોંગ્રેસનું ૮૪ મું અધિવેશન શરૃઃ કોંગી દિગ્ગજોનું આગમન

કોંગ્રેસમાં નવસંચારઃ આગામી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાશેઃ સોનિયા, રાહુલ, મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિતઃ પ્રારંભે સીડબલ્યુસીની બેઠક યોજાઈ

અમદાવાદ તા. ૮: (જીતેન્દ્ર ભટ્ટ  દ્વારા) અમદાવાદમાં કોંગ્રેસનું ૮૪મુ અધિવેશ શરૂ થયું છે અને પ્રારંભે સીડબલ્યુસીની બેઠક યોજાઈ રહી છે. દેશભરમાં કોંગ્રેસને બેઠી કરવા ગુજરાતમાં મંથન થઈ રહ્યું છે. સોનિયા-રાહુલ-ખડગે નવસર્જનના મુડમાં છે. કોંગ્રેસના દિગ્ગજો ભાવિ રણનીતિ ઘડશે.

અમદાવાદમાં આજથી કોંગ્રેસનું ૮૪મું અધિવેશ શરૂ થયું છે. તે બે દિવસ (૮ અને ૯ એપ્રિલ) ચાલશે. પાર્ટી ૬ર્વર્ષ પછી ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આ પહેલા ૧૯૬૧માં ભાવનગરમાં આ સંમેલન યોજાયું હતું. આઝાદી પછી ગુજરાતમાં કોંગ્રેસનો આ પહેલો કાર્યક્રમ હતો, અને અમદાવાદમાં બીજો   કાર્યક્રમ છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યે અમદાવાદ પહોંચ્યા. એરઈન્ડિયાની લંડન ફલાઈટમાં બોમ્બ હોવાની અફવાને કારણે બંને નેતાઓ અમદાવાદ પહોંચવામાં અડધો કલાક મોડા પડયા હોવાનું જાણવા મળે છે.

કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક પછી સાંજખે બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. આજે ૮૦ કોંગ્રેસના નેતાઓ બે ચાર્ટર્ડ વિમાનમાં અમદાવાદ પહોંચી રહ્યા છે.

કોંગ્રેસ અધિવેશનની શરૂઆત કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક સાથે શરૂ થયું છે. આ બેઠક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં યોજાઈ રહી છે. જેમાં સીડબલ્યુસી સભ્યો તેમજ કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ, પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો, વિપક્ષના નેતા અને અન્ય વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરાયો છે.

આવતીકાલે ૯ એપ્રિલે મુખ્ય અધિવેશન યોજાશે, જેમાં દેશભરમાંથી ૧,૭૦૦થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટમાં યોજાશે. અહીં એક વીવીઆઈપી ડોમ બનાવવામાં આવ્યો છે. આ અધિવેશનની થીમ ન્યાયપંથઃ સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષતી રાખવામાં આવી છે.

આ અધિવેશ ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે. આ વર્ષે મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ પણ છે. બંને મહાનુભાવોનો જન્મ ગુજરાતમાં થયો હતો, તેથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરી રહી છે.

આજે અને આવતીકાલે એમ બે દિવસ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં યોજાશે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી પણ મહત્ત્વપૂર્ણ બેઠકો કરશે. નોંધનીય છે કે ૬૪ વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહૃાું છે. અધિવેશનમાં કુલ બે હજારથી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે સવારે ૧૧ વાગ્યે બે દિવસીય અધિવેશનની શરુઆત થશે. આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થશે.

કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગ્યે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે. રાષ્ટ્રીય અધિવેશનના ભાગરૂૂપે અમદાવાદમાં જ કોંગ્રેસ પાર્ટી કાર્ય સમિતિ એટલે કે સીડબલ્યુસીની બેઠકમાં સત્તાનું વિકેન્દ્રીકરણ, ગઠબંધન તથા જનસંપર્કના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી એક ઉચ્ચ સક્રિય ભૂમિકા સોંપાઈ શકે છે. આગામી સમયમાં છ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમ રાખીને પ્રિયંકા ગાંધીને પક્ષમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે.

નોંધનીય છે કે હાલમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના મહાસચિવ છે પરંતુ તેમને કોઈ રાજ્ય કે વિભાગની જવાબદારી સોંપાઈ નથી. અગાઉ તેમણે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

આજે રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મલ્લિકા સારાભાઈ સહિતના કલાકારો ગરબા તથા આદિવાસી નૃત્ય સહિતની લોક કળાના કાર્યક્રમ પ્રસ્તુત કરશે. તમામ મહેમાનો માટે ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું છે કે, 'જે રીતે કોંગ્રેસે સ્વતંત્રતા મેળવવા માટે મહેનત કરી હતી, તે જ રીતે ગુજરાતમાં મહેનત કરીશું અને સત્તા હાંસલ કરીશું. અધિવેશનને ન્યાયપથ નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ ન્યાયના માર્ગ પર ચાલશે અને જન સમર્થન મેળવશે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh