Advertisement
Author: નોબત સમાચાર

ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિ પર સાડત્રીસ હજાર આહિરરાણીના મહારાસનું ભવ્ય આયોજન

આગામી તા. ૨૩,૨૪ ડિસેમ્બરે

દ્વારકા તા. ૧૮ઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિ પર અખિલ ભારતીય આહિર મહિલા મંડળ દ્વારા આગામી તા. ૨૩ અને ૨૪ ડિસેમ્બરે ૩૭ હજાર આહિર રાણીઓના મહારાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આપણાં ધર્મગ્રંથોમાં આલેખાયેલા પ્રસંગ મુજબ બાલાસૂરની પુત્રી અને શ્રીકૃષ્ણના પુત્ર અનિરૃદ્ધના પત્ની ઉષાએ દ્વારકામાં તેમના લગ્ન પછી જે ગરબો રચ્યો હતો, તેની પ્રતિકૃતિ સમાન શ્રીકૃષ્ણના યાદવકુળની આહિર રાણીઓ મહારાસ રમીને ભગવાનશ્રી દ્વારકાધીશજીના ચરણોમાં અર્પણ કરશે.

અખિલ ભારતીય આહિર સમાજ આયોજીત મહિલા મંડળ દ્વારા દ્વારકાના એસીસી સિમેન્ટ ફેક્ટરીના વિશાળ પરિસર (મેદાન)માં આ મહારાસ યોજાશે. જેમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી સાડત્રીસ હજાર આહિર રાણીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ મહારાસના આયોજન અંગે દ્વારકાના આહિર સમાજની વાડીમાં સમગ્ર યાદવ-આહિર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

આ મહારાસના કાર્યક્રમમાં સમગ્ર વિશ્વમાંથી અંદાજે દોઢ લાખ જેટલા યાદવ-આહિર સમાજના લોકો જોડાશે. દ્વારકામાં થનારા આ મહોત્સવ માટે રહેવા, ભોજન, પાર્કીંગ તથા કાર્યક્રમ માટે તડામાર તૈયારી શરૃ કરી દેવામાં આવી છે.

આ મહારાસમાં ભાગ લેનાર તમામ આહિર રાણીઓને અખિલ ભારતીય આહિર સમાજ દ્વારા ગીતાજીનું પુસ્તક સ્મૃતિભેટ તરીકે આપવામાં આવશે.

સનાતન ધર્મના સંસ્કારોને એક તાંતણે બાંધી ધર્મ અને એકતાનો સંદેશો આહિરો નવી પેઢીને આપવાનો શુભ ઉદ્દેશ હોવાનું આહિર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.

કોઈ એકજ સમાજ-જ્ઞાતિના એક સાથે સાડત્રીસ હજાર બહેનો રાસ રમે તે પ્રસંગની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત જાણવા મળતી વિગતો પ્રમાણે તા. ૨૩ ડિસેમ્બરને સાંજથી મોડી રાત્રિ સુધી આહિર સમાજના સુપ્રસિદ્ધ કલાકારોનો લોકડાયરો તેમજ સાંંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે. જ્યારે તા. ૨૪ ડિસેમ્બરે સવારે ૮ વાગ્યાથી મહારાસ શરૃ થશે.

આહિર મહિલાઓમાં ઉત્સાહ

આ ભવ્ય મહારાસમાં ભાગ લેવા તત્પર એવા આહિર સમાજના મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર તથા ગુજરાતના વિવિધ શહેરોમાં નિયત કરેલ ગરબા અને ધૂનની સાઉન્ડ સિસ્ટમ સાથે પરંપરાગત ડ્રેસ પહેરીને રીહર્સલ યોજાઈ રહ્યા છે. આ પ્રેક્ટીસ-રીહર્સલમાં પણ દરેક સ્થળે બેથી ત્રણ હજાર જેટલી આહિર રાણીઓ ભાગ લઈ રહી છે.

દ્વારકામાં યોજાનાર મહારાસમાં તમામ આહિર રાણીઓ તેમના ભાતીગળ પરંપરાગત આહિરના ડ્રેસમાં એક જ સ્ટાઈલથી ગરબે રમતા જોવા મળશે ત્યારે અદ્ભુત ધર્મમય અને ઐતિહાસિક પ્રસંગ નોંધાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh