Advertisement
Author: નોબત સમાચાર

કૂતરા કરડવાના બનાવોમાં ચોંકાવનારો વધારો છ વર્ષથી ખસીકરણની કામગીરી પણ શિથિલ!

રોજના અંદાજે ચોવીસ નાગરિકોને કરડી રહ્યા છે કૂતરાઃ તંત્રવાહકો ઘોર નિંદ્રામાંઃ

જામનગર તા. ૧૮ઃ જામનગરમાં લાંબા સમયથી પૂર્વવત રહેલા રખડતા ઢોરના ત્રાસ વચ્ચે હવે કૂતરા કરડવાના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે આ ત્રાસમાંથી નગરજનોને મુક્ત કરાવવા માટે હાલમાં જામ્યુકોની કોઈપણ હરકત થતી જોવા મળી રહી નથી. ત્યાં સુધી કે છેલ્લા છ વર્ષથી કૂતરાઓના ખસીકરણની કામગીરી પણ અત્યંત શિથિલ રીતે થઈ રહી હોય, રોજના અંદાજે બે ડઝન નાગરિક કૂતરા કરડવાના ભોગ બની રહ્યા છે.

જામનગરના મોટાભાગના માર્ગો તેમજ શેરી-ગલીઓમાં રખડતા ઢોરનો ત્રાસ લાંબા સમયથી યથાવત રહ્યો છે. ઢોર પકડવાની ગાડીથી માંડી ઢોર પકડવા માટે કર્મચારીઓના સમૂહને નોકરી પર રાખી તેને અઢળક રકમ ચૂકવાતી હોવા છતાં શહેરમાં ચારેકોર રખડતા ઢોર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આ સમસ્યા નિવારવામાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ જઈ રહ્યું છે. જ્યારે જ્યારે રખડતા ઢોરની ઢીંકે કોઈ નાગરિક ચડે અને તે બનાવ અખબારોમાં ચમકે ત્યારે એકાદ દિવસ પૂરતી ઢોર પકડવાની કામગીરી કરી ફરીથી ઘોર (ઢોર) નિદ્રામાં પોઢી જતાં મહાનગરપાલિકાના તંત્રનો પણ કાન પકડવાવાળું હવે કોઈ રહ્યું ન હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

રખડતા ઢોર ઉપરાંત શેરી, ગલીઓમાં દિવસભર અને ખાસ કરીને રાત્રે તમામ માર્ગાે પર અડીંગો જમાવી લેતાં શ્વાન પણ હવે ધીમે ધીમે નાગરિકો માટે માથાના દુખાવારૃપ બની રહ્યા છે. જી.જી. હોસ્પિટલમાં છેલ્લા નવ મહિનામાં અંદાજે સાતેક હજાર લોકોએ કૂતરા કરડવાના ઈન્જેક્શન લેવા પડ્યા છે. તે સર્વેક્ષણ મુજબ રોજના બે ડઝન જેટલા નાગરિકોને કૂતરા બચકા ભરી રહ્યા છે. આ સર્વેક્ષણ માત્ર સરકારી હોસ્પિટલનું છે ત્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ કૂતરા કરડવાના બનાવો નોંધાતા જ હશે, તેની આમાં ગણતરી કરવામાં આવી નથી.

આટલી સંખ્યામાં શ્વાન કરડવાના બનાવો વધ્યા છે તેમ છતાં જામનગર મહાનગર પાલિકાના બહાદુર તંત્ર દ્વારા વર્ષ ૨૦૧૭થી, એટલે કે છેલ્લા છ વર્ષથી કૂતરાઓના ખસીકરણ માટેની કોઈ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે શહેરમાં કૂતરાઓની સંખ્યા વધતી જઈ રહી છે.

મોડીરાત્રે જાહેર માર્ગ પરથી પસાર થતાં વાહનોની પાછળ દોડી કૂતરાઓ આતંક પ્રસરાવી રહ્યા છે તે દરમિયાન બે સપ્તાહ પૂર્વે નગરના વાલકેશ્વરીનગરી વિસ્તારમાં રાત્રિના દોઢેક વાગ્યે પસાર થતાં એક સ્કૂટરચાલક યુવાનની પાછળ કૂતરૃ દોડતા ગભરાયેલા સ્કૂટરચાલકે પોતાનું વાહન ભગાડ્યું હતું અને સ્પીડબ્રેકરમાં કાબુ ગૂમાવતા અકસ્માતનો ભોગ બનેલા આ યુવાને જિંદગી ગુમાવવી પડી હતી. આ બનાવ પછી પણ સાવ રેઢિયાળ બની ગયેલા જામનગર મહાનગર પાલિકાના નિંભર તંત્રની અને તંત્રવાહકોની ઉંઘ ઉડતી નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh