Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આસામ, પ. બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ. પ. બંગાળ, આસામ અને પુદુચેરીમાં ભાજપ-એનડીએને સ્પષ્ટ જનાદેશ મળ્યો અને કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ ગઠંબધનને પણ સ્પષ્ટ બહુમતી મળી. તમિલનાડુમાં ટીવીકેને બહુમતીમાં દસ બેઠકો ઘટી, જેતે લઈને ત્યાં દ્વિધા ઊભી થઈ છે. કોંગ્રેસે પાંચ બેઠકો સાથે સમર્થન આપ્યા પછી પણ હજુ પાંચ બેઠકો ખૂટતી હતી તેથી ગઈકાલ સુધી સસ્પેન્સ સાથે અનિશ્ચિતતાઓ જોવા મળી રહી હતી. થલપતિ વિજય રાજ્યપાલને મળી આવ્યા પછીનો ઘટનાક્રમ જોતા આજે તમિલનાડુમાં કાંઈક નવા જુની થશે, તેમ જણાય છે.
પ. બંગાળમાં તો ભાજપને તોતિંગ બહુમતી મળી છે અને મતદાન તથા મતગણતરી થઈ ત્યાં સુધી તો ગત્ ચૂંટણીની સરખામણીમાં હિંસક ઘટનાઓ ઓછી થઈ હોવાનો દાવો પણ ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર અને લગભગ નિશ્ચિત મનાતા શુભેન્દુ અધિકારીએ કર્યો હતો, અને ભાજપ વિજય સરઘસો નહીં કાઢે, અને ચૂંટણી પછી હિંસા આચારનાર સામે કડક પગલાં લેવાશે, તેવા દાવાઓ પણ થયા હતાં, જો કે મતગણતરી સંપન્ન થઈ અને મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઈન્કાર કરીને ચૂંટણીપંચ સામે ગંભીર આક્ષેપો કર્યા પછી એક તરફ રાજકીય અનિશ્ચિતતાઓ તથા બંધારણીય સંકટ ઊભું થયું હોવાની વાતો વહેતી થઈ તો બીજી તરફ નવમી મે ના દિવસે નવી સરકારની શપથવિધિ યોજાશે, તેવી જાહેરાત પણ થઈ ગઈ.
અત્યારે પ. બંગાળમાં સ્થિતિ એવી છે કે ત્યાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થવા જઈ રહી હોવાથી ચૂંટણીપંચની ભૂમિકા હવે નવી સરકારની રચના સુધીની જ રહી છે, તો બીજી તરફ મમતા બેનરજીએ રાજીનામું નહીં આપ્યું હોવાથી અભૂતપૂર્વ બંધારણીય અનિશ્ચિતતાઓ પણ ઊભી થઈ હતી.
સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી પૂરી થાય અને પરિણામો આવી જાય, તે પછી મુખ્યમંત્રી રાજ્યપાલને રાજીનામું સુપ્રત કરે અને રાજ્યપાલ નવી સરકારની રચના થાય, ત્યાં સુધી વચગાળાની (રખેવાળ) સરકાર તરીકે સેવા ચાલુ રાખવાની સૂચના આપે છે, અથવા વિનંતી કરે છે. એ કારણે રાજ્ય તદ્ન સરકાર વિહોણું રહેતું નથી, જો કે બંધારણીય જોગવાઈઓ મુજબ રખેવાળ સરકાર કોઈ નીતિવિષયક નિર્ણયો લઈ શકતી હોતી નથી.
આ વખતે પ. બંગાળના કિસ્સામાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે આપેલા આદેશો તથા કેન્દ્રિય સુરક્ષાદળો તથા અધિકારીઓ ઉપરાંત ન્યાયતંત્રની દેખરેખના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારની સત્તાઓ ઘણી જ સીમિત થઈ ગઈ હતી, તેથી ચૂંટણી પછીની સ્થિતિમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી અંગે પણ અભૂતપૂર્વ અનિશ્ચિતતાઓ ઊભી થઈ ગઈ હતી. આ બધા ઘટનાક્રમો વચ્ચે ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી પદના દાવેદાર શુુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ અને તેના જમણા હાથ સમા યુવા સાથી ચંદુનાથ રથ પર અંધાધુંધ ગોળીબાર કરીને તેની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી. તે પછી ગઈ આખી રાત પ. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને દ્વિધા તથા અનિશ્ચિતતાઓ પ્રવર્તતી રહી હતી, અને આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. ટીએમસીએ પણ ચંદ્રનાથની હત્યાની ટીકા કરી છે!
આ પ્રકારની પ. બંગાળની હિંસક રાજકીય સંસ્કૃતિ વખોડવાલાયક છે, અને આઝાદી પછીના બે-ત્રણ દાયકા અવારનવાર રાષ્ટ્રપતિ શાસનો પછી સાડાત્રણ દાયકાના ડાબેરીઓના શાસન દરમિયાન પનપેલી પોલિટિકલ ઈજારાશાહી તથા દોઢ દાયકાના મમતા શાસન દરમિયાન ચૂંટણીઓમાં પણ હિંસા, ધાકધમકી, બળપ્રયોગ તથા ભયના માહોલની અસરો રાતોરાત ખતમ નહીં થાય, તે પણ હકીકત છે અને અન્ય રાજકીય પક્ષોના કેટલાક સ્થાનિક નેતાઓના નિવેદનો અને અભિગમો પણ રાતોરાત બદલાવાના નથી. ટૂંકમાં કોઈ દૂધનું ધોયેલું નથી, તેથી હવે પછીની સરકાર સામે પણ 'સ્વયં સિસ્ત' રાખવા સહિતના મોટા પડકારો રહેવાના છે. ચૂંટણી પછીની હિંસામાં અડધો ડઝન જેટલી હત્યાઓ થઈ છે. સ્વાભાવિક રીતે જ ચંદુનાથ રથની હત્યા માટે ભાજપ ટીએમસીને જવાબદાર ઠેરવે અને ટીએમસી તેનો ઈન્કાર ભલે કરે, પરંતુ પ. બંગાળની હિંસક રાજનૈતિક માનસિક્તાને બદલવા બધા પક્ષોએ ઘણી મહેનત કરવી પડશે, તે પણ હકીકત છે.
પ. બંગાળની આ હિંસક રાજનૈતિક સંસ્કૃતિનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો હોવાના મીડિયા અહેવાલો ચિંતાજનક છે. જૂનાગઢમાં ભાજપના ચૂંટણીપ્રચાર માટે ગયેલી ભાજપની ટીમમાં ગુજરાત પરત આવ્યા પછી વિખવાદ થયો અને જૂનાગઢમાં સંગઠનના એક હોદ્દેદારે તથા એક કાર્યકરે સોશિયલ મીડિયામાં ભાજપના જ ધારાસભ્ય વિષે મેસેજ મૂક્યો અને તે પછી ધારાસભ્ય અને કોર્પોરેટરના ઈશારે બૂકાનીધારીઓએ તેઓ પર હુમલો કર્યો હોવાના અહેવાલો ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે અને પ. બંગાળની હિંસક માનસિક્તા ધરાવતી રાજકીય મનોવૃત્તિ ગુજરાત સુધી પહોંચી હોવાની ટિપ્પણીઓ પણ થવા લાગી છે.
બીજી તરફ તમિલનાડુમાં ડીએમકેએ કોંગ્રેસ પર બેક સ્ટલિંગ (પીઠમાં છરો ભોંકવા) નો આરોપ લગાવ્યો છે, તો બહુમતીથી થોડીક ઓછી બેઠકો મેળવનાર ટીવીકેને સત્તાથી દૂર રાખવા ઘોરવિરોધી પ્રાદેશિક પક્ષો ડીએમકે અને એઆઈએમડીએમકે એક થઈને ગઠબંધન બનાવશે, તેવા અહેવાલો પછી ગઈકાલથી જ સસ્પેન્સ અને અનિશ્ચિતતાઓ જોવા મળી રહી હતી, અને તેમાં આજનું અપડેટ જોતા આ પ્રકારની અભૂતપૂર્વ ઘટનાઓની કલ્પના કદાચ બંધારણના ઘડૈયાઓએ પણ નહીં કરી હોય, તેમ કહી શકાય.
તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીન અને પરાજીત કે વિજયી બનેલા અન્ય મુખ્યમંત્રીઓએ બંધારણીય પરંપરાઓ મુજબ રાજીનામા આપ્યા હોય, અને રાજ્યપાલના આદેશથી નવી સરકારની રચના સુધી રખેવાળ સરકાર ચલાવી રહ્યા હોય, તો રાજીનામું નહીં આપનાર મમતા બેનર્જી કાર્યવાહક મુખ્યમંત્રી ગણાય કે નહીં, તેની ચર્ચાઓ વચ્ચે આજે (૭ મી મે ના) પ. બંગાળની વિધાનસભાનો કાર્યકાળ જ પૂરો થઈ જતા જુની વિધાનસભા જ વિખેરાઈ જશે, અને ચૂંટણીપંચે નવી વિધાનસભાનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધુ હોવા છતાં મમતા બેનર્જીએ સત્તાવાર રીતે ગઈકાલ સુધી રાજીનામું જ નહીં આપતા તેની ટીકા પણ થઈ રહી છે, તો સમાજવાદી પાર્ટી, આપ અને અન્ય કેટલાક પક્ષો તેનું સમર્થન પણ કરી રહ્યા છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો પછી ભાજપ-એનડીએને ભલે ત્રણ રાજ્યોમાં બહુમતી મળી હોય, પરંતુ આ કારણે જ વિપક્ષો ફરીથી એકજુથ થઈ રહ્યા છે અને ફરીથી ઈન્ડિયા ગઠબંધન સક્રિય થવા લાગ્યું છે, તે પણ હકીકત છે, જો કે વિપક્ષો ફરીથી એકજુથ થાય, તો તેનું નેતૃત્વ કોણ કરશે, તથા વર્ષ ર૦ર૭ ની કેટલાક રાજ્યોની ચૂંટણીમાં રણનીતિ કેવી હશે, તેની ચર્ચા પણ થવા લાગી છે. લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે, અને તે માટે ભાજપ-એનડીએ સામે વિપક્ષો એકજુથ થતા હોય, તો તે સમયની માગ પણ છે. આ માટે ગઠબંધનનું નેતૃત્વ કોઈ રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પક્ષના કોઈ કરિશ્માઈ નેતા કરે, તે પણ અત્યંત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial