Advertisement
Author: નોબત સમાચાર

કિરીટભાઈ ગોસ્વામીની રાષ્ટ્રીય કક્ષાના બાલપ્રહરી એવોર્ડ માટે થઈ પસંદગીઃ ગૌરવ

જામનગરના શિક્ષક અને જાણીતા બાળસાહિત્યકાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના શિક્ષક અને જાણીતા બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને રાષ્ટ્રીય કક્ષાનો 'બાલપ્રહરી' એવોર્ડ એનાયત થશે. બાળસાહિત્ય સંસ્થાન, ઉત્તરાખંડ દ્વારા ભારતભરના ૧૦ સાહિત્યકારોમાં ગુજરાતમાંથી કિરીટભાઈની પસંદગી કરાઈ છે. વર્ષ ૨૦૨૩ના હિન્દી બાળગીત સંગ્રહ હાથી રાજા સ્કૂલ ચલે માટે રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાશે.

ગુજરાતી બાળસાહિત્યમાં બાળગીત અને વાર્તાક્ષેત્રે માતબર પ્રદાન કરનાર અને બાળકોમાં 'ટોપીવાળી મા' તેમજ 'આધુનિક ગિજુભાઈ' તરીકે લોકપ્રિય બનેલા જામનગરના શિક્ષક અને સર્જક કિરીટ ગોસ્વામીએ વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં બાળસાહિત્ય સંસ્થાન, ઉત્તરાખંડ અને 'બાલપ્રહરી' સામયિક દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય પુરસ્કારોમાં કિરીટ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે. ભારતભરના વિવિધ રાજ્યોના દસ ઉત્કૃષ્ટ બાળસાહિત્યકારોની યાદીમાં ગુજરાતમાંથી સ્થાન મેળવનાર તેઓ એકમાત્ર સર્જક છે.

કિરીટ ગોસ્વામીને આ પ્રતિષ્ઠિત સન્માન તેમના વર્ષ-૨૦૨૩માં પ્રકાશિત થયેલા હિન્દી બાળગીત સંગ્રહ 'હાથીરાજા સ્કૂલ ચલે'ના વિશેષ પ્રદાન બદલ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પુસ્તકને અગાઉ ગુજરાત રાજ્ય હિન્દી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. આગામી જૂન માસમાં ઉત્તરાખંડના અલ્મોડામાં યોજાનાર 'રાષ્ટ્રીય બાળસાહિત્ય સંગોષ્ઠિ-૨૦૨૬' ના વિશેષ કાર્યક્રમમાં તેમને આ એવોર્ડ એનાયત કરી નવાજવામાં આવશે.

નાની ઉંમરે વર્ષ ૨૦૨૨માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂકેલા કિરીટ ગોસ્વામી માત્ર સર્જન પૂરતા મર્યાદિત નથી. તેમણે ગુજરાતની અંદાજે ૧૦૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં જઈને બાળગીતો અને વાર્તાઓના માધ્યમથી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો સેવાયજ્ઞ આદર્યો છે. જામનગરની મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આ સર્જકની કૃતિઓ આજે ગુજરાત અને મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકોમાં પણ ભણાવવામાં આવે છે.

આધુનિક બાળકોની પસંદ-નાપસંદને પારખનાર આ સર્જકના સાહિત્ય પર અત્યાર સુધીમાં વિવિધ યુનિવર્સિટીઓમાં પાંચ જેટલા શોધ નિબંધો તૈયાર થઈ ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્તરે ચોથી વખત સન્માનિત થઈ રહેલા કિરીટ ગોસ્વામીની આ ઉપલબ્ધિ બદલ જામનગરના શિક્ષણ તથા સાહિત્ય જગતમાં આનંદની લાગણી વ્યાપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh