Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુગલ.. લગ્નને આઠ-દસ મહિના થયા. પત્નીને હંમેશાં ફરિયાદ રહેતી કે તેનો પતિ આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે, તેને સમય નથી આપતો.. તે માનતી કે તેનો પતિ એવો આદર્શ પતિ બને કે તેની બધી ઈચ્છા પૂરી કરે, તેને મહત્તમ સમય આપે.. આ અપેક્ષા પૂરી ન થતાં તે હંમેશાં ગુસ્સામાં રહેતી... તેની ફરિયાદ અને તેના ગુસ્સાથી થાકીને તેની મમ્મીએ તેને સમજાવ્યું કે... 'બેટા.. તું એ ન જો કે એ તારા માટે શું નથી કરતો.. તું એ શોધ કે એ તારા માટે શું કરે છે? સાથે એ પણ વિચારજે કે તું તેની ખુશી માટે શું કરે છે?' પત્નીએ વિચાર કર્યાે તો સમજાયું કે પતિ 'શું નથી કરતો' તેના કરતા 'શું કરે છે' એ લીસ્ટ વધારે લાંબુ છે... અને પછી તેણે ફરિયાદ કરવાનું બંધ કર્યું, પતિની વ્યસ્તતાને સમજીને તેને અનુરૂપ થવાનો પ્રયત્ન કરવા લાગી.. આથી પહેલા જે રોજ સાંજે 'સમય નથી આપતો' એ વાતને લઈને ચડભડ થતી હતી. તેના બદલે બંને એકબીજાને સમજવા લાગ્યા... પતિને પણ થયું કે પત્નીને થોડો સમય તો આપવો જ જોઈએ... અને બંને વધુ નજીક આવ્યા...
લગ્ન.. એ બે વ્યક્તિઓનું બંધન નથી પણ બે મન, બે સંસ્કાર, બે જીવન પ્રવાહનો સંગમ છે. બે વ્યક્તિ એકબીજાને સમજે ત્યારે લગ્નજીવન સ્વર્ગ બની જાય છે. આપણે ઘણીવાર લગ્ન પહેલા એક જ પ્રશ્ન પૂછતા હોઈએ છીએ કે 'મને સમજુ જીવનસાથી મળશે કે નહી?' પણ બહુ ઓછા લોકો પોતાને પૂછે છે કે 'હું સમજુ જીવનસાથી છું?' આ એક વાક્ય સમજુ જીવન સાથી શોધો નહી, સમજુ જીવનસાથી બનો.. એ લગ્નજીવનનું સૌથી ઊંડુ સત્ય કહી જાય છે. 'મને શું મળશે?' એવું પૂછવાને બદલે 'હું શું આપી શકું એવો વિચાર આવે ત્યારે ફરિયાદ જ ન રહે.
સમજદારીનો અર્થ માત્ર શિક્ષણ, હોશિયારી કે પરિપક્વ ઉંમર નથી. સમજદારી એટલે... બીજાની લાગણી સમજી શકવાની ક્ષમતા, પોતાની ભૂલ સ્વીકારી શકવાની હિંમત, જરૂર પડે ત્યારે મૌન રહેવાની કે બોલવાની સમજણ અને ખાસ તો અહંકારને સાઈડમાં રાખવાની તૈયારી... સમજુ જીવનસાથી એટલે એ નહી કે જે દરેક સમયે સાચો જ હોય, પરંતુ એ કે જે સંબંધ સાચવવા તૈયાર હોય, પણ આજના સમયમાં તો લગ્ન પહેલા જ લીસ્ટ તૈયાર થઈ જાય છે.. ઊંચું ભણતર, સારી નોકરી, નરમ દિલ, શાંત સ્વભાવ, સારો દેખાવ, સંસ્કારી, રસોઈ-ઘર સાચવે તેવી, ઘરમાં ભળી જાય તેવી, ગુસ્સા પર સંયમ રાખી શકે, બધા શોખ-ઈચ્છા પૂરી કરે એવા... આવા કેટલાય ગુણ આપણે શોધીએ છીએ, પણ પોતે કેટલા ગુણ ધરાવીએ છીએ એ ક્યારેય ગણતા જ નથી.
..અને લગ્ન પછી સૌથી વધુ ઘટતું હોય તો તે છે સમજણ... કારણ કે લગ્ન પહેલા એકબીજાને પ્રભાવિત કરવા જે જે પ્રયત્ન કર્યા હશે, તે બધા જ લગ્ન પછી સામે આવી જાય છે. લગ્ન પહેલા તું કહે તેમ એમ કહેનારા લગ્ન પછી તું કહે એમ તો નહી જ.. એવું કહે છે ને ત્યારે સમજણ, ખુશી, સુખી દામ્પત્યજીવન ચૂપચાપ ઘરના દરવાજેથી બહાર ચાલી જાય છે. લગ્ન પહેલા એકબીજાને અનુકૂળ થવાની કોશિશ કરનારા લગ્ન પછી એકબીજાને બદલવાનો પ્રયત્ન કરતા હોય છે અને આ વાત જ લગ્નમાં નડે છે. સમજદાર જીવનસાથી બદલાવ નથી લાવતા. તે સ્વીકારવાનો પ્રયત્ન કરે છે તારો સ્વભાવ આવો કેમ છે? કે તને મારી વાત કેમ સમજાતી નથી.. એ કહેવાને બદલે તારો સ્વભાવ સમજવા દે કે મારી વાત સમજવાનો પ્રયત્ન કર.. એવું પણ કહી શકાય.. અથવા જીવનસાથી આપણી વાત ન સાંભળે, ન સમજે ત્યારે તેના મનમાં પણ કંઈક વાત હશે એવું વિચારે એ સમજુ જીવનસાથી... ઘણીવાર સાંભળવાને બદલે સંભળાવી દેવાની આદતથી પણ સંબંધ તૂટે છે... ક્યારેક એવું પણ બને છે કે દેખાદેખીમાં એકબીજા પર ગુસ્સો આવે છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં દરેક લોકો પોતાના ફોટા, વીડિયો, રીલ્સ મૂકે છે.. એ જોઈને ક્યારેય પતિ, પત્ની વચ્ચે મતભેદ થાય છે કે બીજાના જીવનસાથી જેવા નથી.. આવી સરખામણી સંબંધ બગાડે છે. સમજદારી એટલે સરખામણીને બગડે, પોતાના વ્યક્તિને સ્વીકારવાની તૈયારી... જે છે, જેવા છે, તે આપણા જ છે એવી સમજ એ જ સમજદારી...
ક્યારેક ચડસાચડસી કે ઝઘડા પછી બોલવામાં પહેલ કોણ કરે? માફી કોણ માંગે? એ વિચારોમાં જ ઝઘડો-અબોલા લાંબા ચાલે છે. માફી માંગવી એ કમજોરી નથી. ખોટા હોય એ માફી માંગે અથવા માફી માંગીએ એટલે આપણી ભૂલ હતી એ સાબિત થાય એવા વિચાર ખોટા છે. માફી માંગવી એ સંબંધ બચાવવાની સમજદારી છે. સમજુ જીવનસાથી મારી વાત ખોટી હતી એવું કહેવામાં શરમ નથી અનુભવતા.. પણ એક સોરી કહી દેવાથી ઝઘડો પતી જતો હોય તો તે બોલવામાં શરમાતા નથી, પણ સમજણ ધરાવે છે.
જો કે સમજદારી પતિ કે પત્ની એક પક્ષની જવાબદારી નથી. સ્ત્રી માત્ર સહન જ કરે અને પુરૂષ માત્ર કમાય એ જ સમજદારી નથી. સમજદારી એટલે બંને એકબીજાના સપના સાચવે, બંને એકબીજાની વાતનું માન રાખો, ઘર-પરિવાર, બાળકો કે આર્થિક બાબતના નિર્ણયમાં એકબીજાના અભિપ્રાય લે. પોતાની લાગણી છૂપાવે નહી.. અને અન્યની હાજરીમાં એકબીજાનું અપમાન કરે નહી અને કોઈ કરે તો તેને ટોકે... એ સમજદારી છે. લગ્ન બચાવવા કાયદો, સજાજ કે બાળકો નહી પણ બે લોકોની સમજદારી જ જરૂરી છે. ફરિયાદ કરો પણ અવગણના ન કરો, ઝઘડો થાય તે ચાલે પણ અપમાન ન કરો... સમજુ જીવનસાથી જાણે છે કે દરેક દિવસ રોમેન્ટીક નથી હોતો, પણ દરેક દિવસ જવાબદારીનો તો હોય જ છે. સમજુ જીવનસાથી શોધવાથી સંબંધ શરૂ થાય છે, પણ સમજુ જીવનસાથી બનવાથી સંબંધ ટકે છે, પરફેક્ટ જીવનસાથી શોધવામાં આખી જિંદગી વેડફવા કરતા, આપણી ખામી દૂર કરીને સમજુ જીવનસાથી બનવું એ જ શ્રેષ્ઠ છે. લગ્ન એટલે પરફેક્ટ માણસ સાથેનું જીવન નહી પણ ઈમપરફેક્ટ માણસ સાથે પરફેક્ટ સમજણ બનાવવાનું સાહસ છે. પ્રેમ એ માત્ર લાગણી નથી, પણ એક જવાબદારી છે જે દરેકે દરરોજ નિભાવવાની હોય છે.
સમજુ જીવનસાથી શોધો નહી, સમજુ જીવનસાથી બનો... કારણ કે, જ્યારે તમે બદલાશો, ત્યારે સંબંધ આપમેળે બદલાશે....
- દિપા સોની, જામનગર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial