Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં વરસાદના કારણે બજારો-રસ્તાઓ પાણીમાં ગરકાવઃ યુપી-બિહારમાં વરસાદ અને વીજળી પડવાથી ૧૩ ના મૃત્યુ

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદઃ જનજીવનને માઠી અસરઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૦: દેશભરમાં ચોમાસાએ જમાવટ કરી છે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે. દેશના પાટનગર દિલ્હીમાં ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ અને બજારો પાણીમાં ગરકાવ થઈ જવાથી જનજીવનને માઠી અસર પહોંચી છે.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં લોકોને રાહત થઈ છે અને વરસાદે વિરામ લીધો છે.

જ્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી નથી, પણ હવમાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જો કે સરકાર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વરસાદની ઘટ હવે નવ ટકા જેવી થઈ છે.

સુરતમાં પડેલા ભારે વરસાદના કારણે થયેલો મૃત્યુઆંક વધીને ૪૧ નો થયો છે. સુરતમાં રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે, ત્યારે રાજ્ય સરકારે સુરત માટે રૂ।. પ૦૦ કરોડના ખાસ પેકેજની જાહેરાત કરી છે.

ઉત્તરપ્રદેશ અને બિહારમાં ભારે વરસાદ તથા વીજળી ત્રાટકવાના બનાવોમાં અત્યાર સુધીમાં ૧૩ વ્યક્તિના મૃત્યુ થયા છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સ્યાનાચટ્ટી પાસે યમુનોત્રી હાઈવે અને નાલુપાણી પાસે ગંગોત્રી હાઈવે ભૂસ્ખલનને કારણે બંધ છે. યમુનોત્રી માર્ગ બંધ થવાથી લગભગ ૧૦૦૦ યાત્રીઓ ફસાયા છે. ૧૦ જિલ્લાઓમાં વરસાદને કારણે  શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પિથોરાગઢમાં આદિ કૈલાશ માર્ગ પથ્થરો પડવાથી બંધ છે. હરિદ્વારમાં રસ્તાઓ પર ૩-૪ ફૂટ પાણી ભરાઈ ગયું છે.

ઉત્તર પ્રદેશના ૬૯ શહેરોમાં ગુરુવારે વરસાદ થયો. વરસાદની અલગ-અલગ ઘટનાઓમાં ૧૦ લોકોના મરણ થયા હતાં. બુલંદશહેરમાં મસ્જિદની જૂની દીવાલ પડવાથી એક જ પરિવારના બે લોકોના મોત થયા. હરદોઈમાં ૨ બહેનો નદીમાં તણાઈ ગઈ હતી.

રાજસ્થાનના ધોલપુરમાં વરસાદને કારણે મકાન ધરાશાયી થયું અને ૬ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતાં. અજમેરના કિશનગઢમાં પણ કાચું મકાન ધરાશાયી થતાં માતા-પિતા અને બાળક દટાઈ ગયા હતાં. રાજ્યમાં ૬ ટ્રેનો રદ કરવામાં આવી છે. ઘણી ટ્રેનો મોડી પણ છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી નેશનલ હાઈવે પર નાલુપાણી પાસે ભૂસ્ખલન બાદ રસ્તા પરથી કાટમાળ હટાવી દેવામાં આવ્યો છે. આ પછી હાઈવે પર વાહનવ્યવહાર શરુ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ભૂસ્ખલનનો ખતરો વધી ગયો છે. હવામાન વિભાગે જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેના કારણે ભૂસ્ખલન, અચાનક પૂર, વૃક્ષો પડવા અને રસ્તાઓ બંધ થવાનો ખતરો યથાવત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh