Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં જળસંચયના કામનો કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે પ્રારંભ

બીજેએસના ટ્રસ્ટી શરદભાઈ શેઠના પરિવાર દ્વારા નદી ઊંડી ઉતારાશે

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૧૯: શેઠ પરિવારના સહયોગથી ધ્રોલમાં જળ સંચયના કાર્યનો મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો છે.

જળ એ જીવન છે અને દરેકને ૫ીવા માટે, ખેતી તેમજ પ્રાણીઓને પાણીની જરૂર પડે છે. આબોહવા ઝડપથી બદલાઈ રહી છે. વરસાદ અનિયમિત બની ગયો છે. જિલ્લાના અનેક ગામડાઓમાં પાણીના સંગ્રહ માટે ગામ-તળાવો અને ડેમમાં કાંપ ભરાઈ ગયો હોય પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી છે. દરેક ગામ પાણી માટે સ્વાવલંબી બને તે આ તમામ જળાશયોમાંથી ખોદકામ કરી કાંપ દૂર કરી મહત્તમ વર્ષા જળનું સંચયન કરવું ખૂબ જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાત સરકાર દ્વારા જળસંચય માટે કેચ ધ રેન કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત બીજેએસ જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે ડબાસંગ, આરબલુસ, જાયવા, મોટા વાગુદડ, ચાપાબેરાજા, ઈશ્વરીયા, વરણા, વિભાનીય, ધુન-ધોરાજી જેવા અનેક ગામડાઓમાં તળાવ-ડેમમાંથી માટી કાઢી તેને ઊંડા કરવાના કાર્ય થઈ રહ્યાં છે. ધ્રોલમાં બ્રહ્મનાથ મંદિર પાસેની નદી છીછરી થઈ ગઈ હોવાથી મૂળ ધ્રોલના વતની અને બીજેએસના ટ્રસ્ટી શરદભાઈ શેઠના પરિવાર દ્વારા આ નદી ઊંડી ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેનો રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ વિનોદભાઈ વાઘેલા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ કોટેચા, માર્કેટિંગ યાર્ડના માજી ચેરમેન રસિકભાઈ ભંડેરી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ધ્રોલના સ્થાનિક આગેવાનો અરવિંદભાઈ પરમાર, દકુભાઈ શેઠ અને અનિલભાઈ ભુતનો પણ આ તકે ખૂબ સારો સહયોગ મળ્યો હતો.

આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવેલ કે, શરદભાઈ મનુભાઈ શેઠ પરિવારના પુત્ર ચિ. રચિતના ડો. દેવકી સાથે ર૬-૧-ર૦રપ ના લગ્ન નિમિત્તે આવેલ ખુશી ભેટમાં તેટલી જ રકમ શેઠ પરિવાર દ્વારા ઉમેરવામાં આવી અને તે ધનરાશી જળસંચયના કાર્ય માટે આપી સમાજને અનોખો રાહ ચીંચ્યો છે. લગ્નમાં ખોટા ખર્ચા ઘટાડી બચાવેલ ધન સાર્વજનિક કાર્યમાં વાપરવાનો વિચાર અનુકરણીય છે.

આ તકે શ્રી દશા શ્રીમાળી લાણી સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ વાઘજીયાની, સેક્રેટરી વિજયભાઈ શેઠ અને કારોબારી સભ્યો સમીરભાઈ મહેતા અને રક્ષિત શેઠ ખાસ ઉપસ્થિત રહેલ અને જ્ઞાતિના સભ્ય શરદભાઈ શેઠ અને પરિવારનું બહુમાન કરેલ. જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા તથા સુનીલભાઈ શાહ, જયેશભાઈ મહેતા, પુનિતભાઈ શેઠ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ધ્રોલમાં જળ સંચયરૂપી નિર્મિત થનાર "શેઠ પરિવાર જલ મંદિર" અને તે અન્ય અનેક ગામોમાં બીજેએસ જૈન સંગઠન ફાઉન્ડેશન, જામનગર દ્વારા જળ સંચયના કાર્યોથી નિર્માણ પામતા જલ મંદિરોથી કરોડો લીટર વરસાદી પાણી દરિયામાં વહી જતું અટકશે અને તેનાથી સેંકડો ખેડૂતોને પાક માટે પાણી મળશે. ઉપરાંત અનેક ઢોર, પશુ, પક્ષી અને જીવ-જંતુને પણ પાણી મળી રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh