Advertisement
Author: નોબત સમાચાર

દીપોત્સવી પર્વે દ્વારકામાં યાત્રાળુઓનો અવિરત પ્રવાહઃ ભારે ભીડ

દિવાળી, નૂતન વર્ષ, ભાઈબીજથી આજપર્યંત વિવિધ દર્શન, હોટલ, ગેસ્ટહાઉસો આખું અઠવાડિયું હાઉસફૂલઃ દિવાળી વેકેશનનો ધસારો

દ્વારકા તા. ૧૭ઃ દ્વારકા યાત્રાધમમાં દિવાળી પૂર્વેથી જ યાત્રિકોનો ધસારો શરૃ થઈ ગયો હતો, અને દિવાળી પર્વે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રીગોવર્ધનનાથજીનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દ્વારકાધીશ મંદિરના પૂજારી પ્રવિણભાઈ તથા હેમલભાઈ અને દીપકભાઈએ પૂજા-આરતી કરી ભક્તોને દર્શન કરાવ્યા હતાં. દ્વારકાધીશ મંદિર પરિસરમાં ગૌ ભક્તોએ માતાનું પૂજન કરી ગાય માતાને પ્રસાદ અર્પણ કર્યો હતો. દિવાળી પર્વે દ્વારકાધીશને માવા મીઠાઈ અને અન્ય સ્વાદિષ્ટ વાનગીનો અન્નકોટ ધરાવામાં આવ્યો હતો અને મહાઆરતી કરવામાં આવી હતી. મંદિર પરિષદમાં આવેલ બલરામજી ભગવાન દેવકી માતાજી સહિતના દેવ મંદિરોમાં મંદિરના પૂજારી આનંદભાઈ અને વિજયભાઈ દ્વારા અન્નકુટ ઉત્સવના દર્શન કરાવ્યા હતાં.

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિમાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાના દિન તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત્ રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક રીત-રસમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દિપાવલીના દિવસે જગતમંદિરમાં યોજાયેલ હાટડીદર્શન તથા બીજા દિવસે યોજાયેલ અન્નકૂટ ઉત્સવ મનોરથનો ભાવિકોએ લાભ લીધો હતો. દિપાવલી પર્વ નિમિત્તે રાજાધિરાજને અલૌકિક વસ્ત્ર પરિધાન, સુવર્ણ-ચાંદી તથા અન્ય ઉચ્ચ ધાતુઓના અલંકારો તથા ઝવેરાતોનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોને થયો હતો.

દિપાવલી પર્વ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરને વિશેષ લાઈટીંગ ડેકોરેશન-રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હોય, રાત્રિના સમયે જગતમંદિર ત્રિજ્યામાં દસ દસ કિ.મી. સુધી દૂરથી ઝળહળતા જગત મંદિરનો નજારો જોવા મળ્યો હતો. જગતમંદિરમાં આવેલા નાના-મોટા અન્ય મંદિરોમાં પણ વિશેષ શૃંગારને લીધે ભગવાનના દિવ્ય શૃંગારની અલગ અલગ ઝાંખી ભાવિકોને મળી હતી.

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારકામાં હાલમાં ચાલી રહેલા દિવાળીના મીની વેકેશનમાં દિવાળી સુધીના શરૃઆતના દિવસોમાં યાત્રાળુઓના નવા વર્ષથી શરૃ થયેલ ગુજરાતભરના ટુરીસ્ટને લીધે સમગ્ર દ્વારકા નગરીમાં આવેલા હોટલ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ, ભવનો હાઉસફૂલ જોવા મળ્યા હતાં. આગામી સપ્તાહ સુધી હજુ પણ વેકેશનનો સમયગાળો હોય, યાત્રાળુઓ તથા ટુરીસ્ટનો અવિરત પ્રવાહ દ્વારકા તરફ રહેશે તેવું જણાઈ રહ્યું છે. દિપાવલી તહેવારો તેમજ નવાવર્ષના શ્રીજીના વિશેષ શૃંગાર તેમજ ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો ભાવિકો ઉમટી પડ્યા હતાં.

તહેવારોની ઉજવણી તેમજ વેકેશનનો સદુપયોગ કરવા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને બહારના યાત્રિકો મોટી સંખ્યામાં હાલમાં દ્વારકામાં જોવા મળી રહ્યા હોય, જગતમંદિર સંલગ્ન મંદિર ચોક, પૂર્વ દરવાજા-નીલકંઠ ચોક જેવા વિસ્તારો તેમજ ગોમતી ઘાટ, સુદામા સેતુ, રિલાયન્સ માર્ગ, જોધા માણેક રોડ, તીનબત્તી ચોક, ભદ્રકાલી ચોક, જવાહર રોડ જેવા ભરચક્ક વિસ્તારોમાં સવિશેષ ભીડભાડ જોવા મળી હતી. શહેરભરમાં ઠેર ઠેર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. ગામમાં આવેલા રેસ્ટોરાં તથા જમવાની હોટલો, ધાબાઓ વગેરેમાં પણ યાત્રિકોની પુષ્કળ ભીડભાડ જોવા મળી હતી. પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની પણ સમસ્યા જોવા મળી હતી. આગામી સપ્તાહ સુધી યાત્રાધામમમાં વેકેશનને લીધે ભીડભાડ જોવા મળે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.

ચાર ધામોમાં એક ધામ એવા દ્વારકાધામમાં પવિત્ર ગોમતી નદીમાં આજના ભાઈબીજના દિવસે હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાનનો લાભ લીધેલ. લોકવાયકા પ્રમાણે ભાઈબીજના દિને યમુનાજીના ભાઈ એવા યમરાજને યમુનાજીએ ભોજન માટે આમંત્ર્યા હતાં. બહેનનું આમંત્રણ સ્વીકારી યમરાજે ભાઈબીજના શુભ દિને સોનાની દ્વારકામાં આવી તેમના હાથે ભોજન આરોગ્યું હતું, અને આશીર્વાદ આપ્યા હતાં કે જે કોઈ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી દિપદાન કરશે તેમને યમરાજા ક્યારેય પણ નડતરરૃપ થશે નહિં.

ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં સ્નાનનું સવિશેષ મહત્ત્વ હોય હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સાંજે મા ગોમતીની મહાઆરતી પણ કરવામાં આવી હતી. ભાઈબીજના દિવસે જ સાંજે પરંપરાગત રીતે સ્થાનિય મહિલાઓ-કુમારિકાઓ દ્વારા પવિત્ર ગોમતી નદીમાં દિવડાઓના પ્રકાશમાં ગોમતી નદી તથા ઝળહળતા દ્વારકાધીશ મંદિરનો દિવ્ય નજારો ભાવિકોને મળ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh