Advertisement
Author: નોબત સમાચાર

મધ્યપ્રદેશ-છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી બની હિંસકઃ બપોર સુધીમાં ૪૫%થી વધુ મતદાન

છત્તીસગઢમાં બીજા તબક્કા ૭૦ બેઠકો તથા મધ્યપ્રદેશની તમામ ર૩૦ બેઠકો પર થઈ રહ્યું છે વોટીંગઃ ગોળીબાર-પથ્થરમારાની ઘટનાઓ વચ્ચે

નવી દિલ્હી તા. ૧૭ઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી હિંસક બની છે અને કેટલાક સ્થળે ફાયરીંગ, પથ્થરમારો તથા મારામારીની ઘટનાઓ બની છે. બપોર સુધીમાં બન્ને રાજ્યોમાં એવરેજ ૪૫%ની આજુબાજુ મતદાન નોંધાયું છે.

મધ્યપ્રદેશની ર૩૦ બેઠકો અને છત્તીસગઢની ૭૦ બેઠકો માટે આજે મતદાન શરૃ થઈ ગયું છે. મધ્યપ્રદેશના ઈન્દોર, દિમની, ઝાબુઆ અને ભિંડ, જ્યારે છત્તીસગઢના રાયપુરમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હોવાના અહેવાલો મળ્યા છે. મુરૈનાની દિમની બેઠક પર ફાયરીંગ થયું છે. આ બેઠક પર કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર તોમર ચૂંટણી લડી રહ્યા છે.

છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ૭ મી નવેમ્બરે મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં ર હજાર પ૩૩ અને છત્તીસગઢમાં ૯પ૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન માટે સંપૂર્ણ તૈયારીઓ કરાઈ છે. ૬૪ હજાર ૬ર૬ પોલીંગ બુથ પર તમામ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે ત્રણ વાગ્ય સુધી મતદાન થશે. મધ્યપ્રદેશ સહિત પ રાજ્યોના ચુંટણી પરિણામો ત્રીજી ડિસેમબરે આવશે.

મધ્યપ્રદેશના દિમની બેઠક પર ફાયરીંગ થવાની ઘટના સામે આવી છે. મુરેનાની દિમની બેઠક પર કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર તોમર મેદાનમાં છે. અહીં મીરધાન ગામમાં ફાયરીંગ કરાયા પછી ભારે અફરાતફરી સર્જાઈ છે. ઘટનામાં ર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે, જો કે બુથ પર મતદાન ચાલી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં મતદાન શરૃ થયાના થોડા કલાકો પહેલા જ જુદા જુદા વિસ્તારોમાં હંગામાની ઘટનાઓ સામે આવી છે. ચંબલના ભિંડ વિસ્તારની કરૈયા વિધાનસભા બેઠક પરના અપક્ષ ઉમેદવાર ચંદ્ર પ્રકાશ કરેચા લોકોને નાણા વેંચતો ઝડપાયો છે. મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગઈકાલે રાત્રે જોરદાર હંગામો થયો. આ દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર વિક્રાંત ભૂરિયાના વાહન પર પથ્થરમારો કરાયો હતો.

નર્મદાપુરના માખનનગરમાં બીજેપી કાર્યાલયમાં તોડફોડ થઈ હોવાની ઘટના સામે આવી છે.ભાજપે કોંગ્રેસના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે કેટલાક અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે. તોડફોડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કોંગ્રેસ ઉમેદવાર પુષ્પરાજસિંહ પટેલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૃ થઈ ગયું છે, જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે, જો કે નક્સલ પ્રભાવિત બૈહર વિધાનસભા, લાંજી, પરસવારા, બિલિયાના ૪૭ કેન્દ્રો, મંડલા વિધાનસભાના ૮ કેન્દ્રો, ડિંડોરીના ૪૦ કેન્દ્રો પર બપોરે ૩ વાગ્યા સુધી જ મતદાન થશે.

છત્તીસગઢમાં બીજા તબક્કામાં રર જિલ્લાની કુલ ૭૦ વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે ૯પ૮ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૮ર૭ પુરુષ અને ૧૩૦ મહિલા ઉમેદવારો અને થર્ડ જેન્ડરમાં એક ઉમેદવાર મેદાનમાં છે. મતદાનનો સમય બેઠકો પ્રમાણે બદલાશે. બિન્દ્રાવગઢ વિધાનસભા ક્ષેત્રના ૯ મતદાન મથકો પર સવારે સાતથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. ઉપરાંત તમામ વિધાનસભા મતવિસ્તારોના મતદાન કેન્દ્રો પર મતદાનનો સમય સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે.

મધ્યપ્રદેશમાં કુલ મતદાન મથકોની સંખ્યા ૬૪,૬ર૬ છે, તેમાંથી ૧૪,૦૩ર ક્રિટિકલ મતદાન કેન્દ્રો છે. સંવેદનશીલ મતદાન મથકો ૧૩૧૬ છે. પ૧૬૦ કેન્દ્રો પર મહિલા સ્ટાફ તૈનાત છે. કેન્દ્રોમાં ૧૮૩ વિક્લાંગ કર્મચારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે. ચૂંટણી માટે ૮૪૭ ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ, ૯૯૭ સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ૧ એર એમ્બ્યુલન્સ, ર હેલિકોપ્ટર પણ તૈનાત છે. છેલ્લા અહેવાલો મુજબ મધ્યપ્રદેશ અને છત્તીગઢમાં બપોર સુધીમાં એવરેજ ૪પ ટકાથી વધુ મતદાન થયું છે.

એમ.પી.-છત્તીસગઢની ચૂંટણીની સાથે સાથે...

*      છિંદવાડામાં સાંસદ નકુલનાથને બીજેપી કાર્યકર્તાઓએ મતદાન કેન્દ્રમાં જતા અટકાવ્યા હતાં. આ બાબતે હોબાળો થયો હતો. નકુલનાથ મતદાન મથકનું નિરીક્ષણ કરવા આવ્યા હતાં.

*      ઈન્દોરના મહુમાં બીજેપી કાર્યકર બિરબલે કોંગ્રેસના કાર્યકર્તા દયારામ અને તોલારામ પર તલવાર વડે હુમલો કર્યો હતો. બન્નેને માલવા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

*      મધ્યપ્રદેશની ર૩૦ વિધાનસભા બેઠક માટે આ ચૂંટણીમાં ર,પ૩૩ ઉમેદવાર મેદાનમાં છે, જેમનું ભાવિ રાજ્યના પ.૬૦ કરોડ મતદારો નક્કી કરશે. મતદાન સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. પરિણામ ૩ ડિસેમ્બરે આવશે.

*      સીએમ શિવરાજસિંહ તેમની પરંપરાગત્ સીટ બુધનીથી ચૂંટણી લડી રહ્યા છે. કમલનાથ બીજી વખત છિંદવાડા સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

*      આ ચૂંટણીમાં ત્રણ કેન્દ્રિય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પ્રહ્લાદસિંહ પટેલ અને ફગ્ગનસિંહ કુલસ્તે સહિત સાત સાંસદની પ્રતિષ્ઠા પણ દાવ પર છે.

*      બાલાઘાટ, બૈહાર, લાંજી અને પરસવાડાના ત્રણ વિધાનસભા મતવિસ્તારો તેમજ ડિંડોરી-મંડલાના નક્સલ પ્રભાવિત મતદાન મથકોપર બપોરે ૩ વાગ્યા સુધી મતદાન થશે.

*      અપ્રિય પરિસ્થિતિનો સામનો કરવા માટે ગોંદિયામાં દિવસભર એર એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રહેશે. એક હેલિકોપ્ટર બાલાઘાટ અને એક ભોપાલમાં હશે.

*      વૃદ્ધોને લાઈનોમાં ઊભા ન રહેવું પડે એ માટે તેમને પહેલા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. તમામ મતદાન મથકો પર છાંયડો, પીવાના પાણી અને શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh