Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવો વધ્યા પછી હવે એલપીજી અને પીએનજીમાં પણ ભાવવધારો થવાની સંભાવનાઓ વધી રહી છે, જો કે રાંધણ ગેસના ઘરેલુ ઉપયોગમાં કદાચ બહુ વધારો હાલતુરત નહી થાય, પરંતુ જો પ. એશિયામાં તંગદિલી વધે અને હોર્મુઝ બંધ જ રહે તો તમામ પ્રકારના ઈંધણની તીવ્ર વૈશ્વિક તંગી લાંબાગાળે અણકલ્પ્ય સ્થિતિ પણ ઊભી થઈ શકે છે, અને તેથી જ ચેતતા નર સદા સુખી...
એક ઠંડાપીણાની એડમાં 'જોરોં કા ધક્કા ધીરે સે લગે...' જેવા કાંઈક શબ્દપ્રયોગો કરાયા છે, અને અત્યારે સરકાર કાંઈક એવું જ કરી રહી છે. પેટ્રોલિયમ પદાર્થોના ભાવોમાં ધીમે ધીમે વધારો કરાશે જેથી જનતાને એક સાથે 'જોરોં કા ધક્કા' લાગે નહીં અને ક્રમશઃ ભાવ વધારાની સાથે સાથે પુરવઠો જાળવી રાખવા માટે કરકસર કરવાને જનઆંદોલનનું સ્વરૂપ આપીને એકંદરે ડિમાન્ડમાં ક્રમશઃ ઘટાડો આવે, તેવી રણનીતિ અપનાવાઈ રહી છે.
વડાપ્રધાનની અપીલને માન આપીનેે ઘણી રાજ્ય સરકારોએ કોમન પુલની સિસ્ટમ અપનાવવા તથા પેટ્રોલ-ડીઝલ-સીએનજીના ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરવાની જાહેરાતો કરી છે તથા સુરક્ષા કાફલાઓમાં કાપ મૂક્યો છે. સુપ્રિમ કોર્ટે પણ અનુસંધાન લીધુ છે, તો મિટિંગો, સેમિનારો અને મેળાવડાઓના સ્થાને વર્ચ્યુલ બેઠકો, વેબિનારો તથા ઓનલાઈન ગેધરીંગના કોરાનાકાળના અનુભવોને દોહરાવાઈ રહ્યા છે, અને તે સમયની માગ પણ છે.
સરકાર તરફથી પબ્લિકને કારપુલીંગ કરવા એટલે કે એક જ કારમાં એક દિશામાં જતા પરિવારજનો અવર-જવર કરે અને દ્વિચક્રી તથા ફોરવ્હીલર્સનો ઉપયોગ ઘટાડે તથા સાર્વજનિક વાહનો અને મેટ્રો ટ્રેનનો ઉપયોગ વધારે, સિટી બસોમાં સ્થાનિક પરિવહન કરે તે પ્રકારનો અનુરોધ કરાઈ રહ્યો છે, અને જુદા જુદા પ્લેટફોર્મ પરથી વિવિધ મહાનુભાવો દ્વારા અપીલો કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર સહિતના મહાનગરોમાં ઈલેક્ટ્રીક સિટીબસો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવીને દ્વિચક્રી વાહનો તથા ફોરવ્હીલર્સનો ઉપયોગ ઘટાડવાના શ્રેણીબદ્ધ કદમ ઊઠાવી શકાય તેમ છે. જામનગરમાં ટૂંક સમયમાં રપ નવી ઈલેક્ટ્રીક સિટીબસો ફરતી થશે, તેવી જાહેરાત પણ થઈ છે અને આ બસોનું સંચાલન જનમાર્ગ ફાઉન્ડેશન કરશેે. આ ફાઉન્ડેશનમાં મહાનગરપાલિકા તથા જિલ્લા તંત્રના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. પી.એમ-ઈ બસ પ્રોજેક્ટ હેઠળ મળનારી પ૦ ઈલેક્ટ્રીક બસો નગરમાં દોડતી થશે, તેવી જાહેરાત પણ થઈ છે, ત્યારે સિટીબસો તરફ ટ્રાફિક વળે અને ખાસ કરીને પોતાના દ્વિચક્રી વાહનો જ્યાં ફોરવ્હીલરના વિકલ્પે તમામ લોકો સિટીબસોનો ઉપયોગ કરતા થાય તે માટે પણ ચોક્કસ પોલિસી ઘડવી પડે તેમ છે.
તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સંપન્ન થઈ છે, અને નવા પદાધિકારીઓ સત્તા સંભાળનારા છે, ત્યારે પ્રારંભમાં વર્તમાન ગ્લોબલ ક્રાઈસીસને લક્ષ્યમાં લઈને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા થોડાક મહિનાઓ માટે ફ્રી ઈલેક્ટ્રીક બસ સેવાનો નગરવ્યાપી પ્રયોગ કરવા જેવો છે. તે પછી પણ મહિલાઓ માટે ફ્રી તથા વિદ્યાર્થીઓ-નોકરિયાતો માટે કન્સેસન (નજીવા દરે) સિટીબસ સેવાની ખૂબ જ નિયમિત તથા સુવિધાજનક અને વિશ્વસનિય સેવાઓ અપાય, તો તે બહુહેતુક પૂરવાર થઈ શકે છે.
જામનગર સહિત રાજ્યના મહાનગરોમાં વધુમાં વધુ સુવિધાઓ અને ઝડપી ઈલેક્ટ્રીક સિટીબસો દોડાવીને તેમાં ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, પ્રોફેસરો, નેતાઓ પોતાના વાહનોનો આ વૈશ્વિક કટોકટી ખતમ થાય, ત્યાં સુધી ઉપયોગ મોટા પ્રમાણમાં ઘટાડે અને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો થતો જાય, તેવી પ્રેરણા આપતા સ્વૈચ્છિક અભિયાનો આદરવા જેવા છે.
જામનગરમાં હાલમાં જે સિટીબસ સેવા ખોડંગાતી ખોડંગાતી ચાલે છે, તેની પાછળ પૂર્વ શાસકોની ઈચ્છાશક્તિનો અભાવ જણાતો હતો, હવે જ્યારે આયોજનપૂર્વક સિટીબસ સેવાનો વિસ્તાર કરાઈ રહ્યો હોય તો નવા શાસકો ઈલેક્ટ્રીક સિટીબસો સમગ્ર શહેરને તથા પડોશી ગામોને આવરી લઈને દોડાવે અને લોકલ પરિવહનને મહત્તમ રિસ્પોન્સ મળે, તેવી આશા સામાન્ય જનતાને જાગી છે, ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં કામ-ધંધો-અભ્યાસ-પારિવારિક સામાજિક અને વ્ય્વહારિક કામે પોતાના દ્વિચક્રી વાહનો તથા ફોરવ્હીલર્સનો ઉપયોગ કરતા લોકો પણ આ સિટીબસોમાં જ હાલતુરત પ્રવાસ કરેે અને પેટ્રોલ-ડીઝલની, સીએનજીની બચત થાય, તેવું અભિયાન આદરીને તેની શરૂઆત શાસક પક્ષોના નેતાઓ-કાર્યકરોથી જ થાય, તો તે આવકારદાયક છે. જો એવું થશે તો ડ્રામેબાજી અને દંભ થઈ રહ્યો હોવાના આક્ષેપોનો જવાબ પણ આપી શકાશે, પણ...?!
એવું કહેવાય છે કે જામનગરમાં સિટીબસો ખોટમાં ચાલે છે અને કરાર મુજબ કોન્ટ્રાક્ટરને નિયત કરેલી રકમ દર મહિને ચૂકવાતી જ હશે. હાલમાં તો આમ પણ મોટાભાગે નિષ્ફળ ગયેલી સિટીબસ સેવાની કોન્ટ્રાક્ટ બેઈઝ વ્યવસ્થાના સ્થાને વિસ્તૃત અને ઓર્ગેનાઈઝ્ડ સિટી બસ સેવા ચાલુ થાય, તો તે આવકારદાયક જ રહેશે.
જો કે, સિટીબસોના પ્રારંભે તેના તરફ લોકોને વાળવાનો મોટો પડકાર રહેવાનો છે, કારણ કે શહેરમાં ઓટો રિક્ષાઓ પણ દોડે છે, તેથી તેઓના હિતો જાળવીને ઈલેક્ટ્રીક રિક્ષાઓનું પ્રમાણ વધારવાની પોલિસી પણ અલગથી નક્કી કરવી પડે તેમ છે.
સિટીબસો તરફ લોકોને વાળવા દાયકાઓ પહેલા હતી તેવી સમયબદ્ધ અને નિયમિત સિટીબસ સેવાઓ એસ.ટી. નેટવર્કની જેમ જ શરૂ કરવી પડશે અને તેની નિયમિત સમીક્ષા તથા સ્ટેક હોલ્ડર્સ, પ્રવાસીઓ તથા ખાસ કરીને બુદ્ધિજીવી વર્ગ, ગરીબ-મધ્યમ વર્ગો સહિત નગરજનોના પ્રતિાવો તથા સૂચનો સરળતાથી મેળવીને તેના આધારે સુધારા-વધારા કરતા રહેવા જરૂરી બનવાના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial