Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદેશની ધરતી પરથી રાહુલે ખોટું શું કહ્યું?ઃ કોંગ્રેસ
નવી દિલ્હી તા. ૧ઃ કોંગી નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં કરેલા કેટલાક નિવેદનો ચર્ચાના ચાકડે ચડ્યા છે, અને ભાજપના નેતાઓ આગબબુલા થઈ રહ્યા છે, તો બીજી તરફ વર્ષ ર૦રર-ર૩ માં ભારતા વધેલા જીડીપી અને મજબૂત થઈ રહેલા અર્થતંત્રના દાવાઓને ટાંકીને મોદી સરકારની વાહવાહી પણ થઈ રહી છે.
ગ્લોબલ ગ્રોથનું ભારત ચાલકબળ બનશે, તેવા મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અને ભારતના વધેલા જીડીપી તથા મજબૂત બની રહેલા અર્થતંત્રના અહેવાલોના પ્રત્યાઘાતો આપતા વિપક્ષના નેતાઓ કહે છે કે, વધતા જીડીપીનો ફાવદો કોને થયો? અમીરો વધુ અમીર બને અને ગરીબો વધુ ગરીબ બને, તેવી સ્થિતિ ઊભી થઈ રહી હોય તો વધતા જીડીપીનો શું ફાયદો? માત્ર ગણતરીના ધનકુબેરોનો ગ્રોથ વધે તેનાથી દેશને શું ફાયદો?
બીજી તરફ રાહુલ ગાંધીએ અમેરિકામાં કરેલા કેટલાક નિવેદનોએ દેશમાં ચર્ચા જગાવી છે. તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૮૦ માં દલિતોની દશા હતી તેવી દશા હાલમાં (યુ.પી.માં) મુસ્લિમોની છે. જો ભગવાન સાથે મુલાકાત થાય તો વડાપ્રધાન મોદી તેમને પણ સમજાવવા લાગે કે બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે?
કોંગ્રેસે આ અંગે ભાજપે કરેલી ટીકાઓનો જવાબ આપતા કહ્યું કે, રાહુલ ગાંધીએ ખોટું શું કહ્યું છે? અત્યારે દેશમાં જે કાંઈ ચાલી રહ્યું છે, તે સમગ્ર વિશ્વ જાણે જ છે. વિદેશની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયને એકઠો કરીને તેના સમક્ષ પોતાની વાહવાહી કરે અને ગમે તે પ્રકારની અન્યની પ્રત્યક્ષ કે પરોક્ષ ટીકા કરે અથવા કોઈને નીચા દેખાડે તેનો વાંધો નહીં, પરંતુ રાહુલ ગાંધી વાસ્તવિક્તા રજૂ કરે તેની સામે ભાજપને કેમ વાંધો પડ છે? કોઈ કરે તે લીલા અને તે જ પ્રવૃત્તિ કોઈ અન્ય કરે તો તેને પાપ કેવી રીતે ગણાવી શકાય?
જો કે, રાહુલ ગાંધીએ વર્ષ ૧૯૮૦ માં દલિતોની દશાની વાત કરીને સેલ્ફ ગોલ કરી લીધો હોવાની ચર્ચા પણ થઈ રહી છે અને તે સમયે ઉત્તરપ્રદેશ તથા કેન્દ્રમાં કોનું શાસન હતું? તેવા તીખા સવાલો પૂછવામાં આવી રહ્યા છે.
વિપક્ષના કેટલાક નેતાઓ રાહુલ ગાંધીની નિખાલસતાને (કટાક્ષમાં?) બીરદાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાહુલ ગાંધી પોતાના જ પક્ષની વાસ્તવિક્તા સ્વીકારતા પણ અચકાય તેવા નથી! અસરૃદ્દીન ઓવૈસીએ તો કોંગ્રેસના શાસનમાં થયેલી કેટલીક ઘટનાઓની યાદી જ રજૂ કરી દીધી છે!
રેસલરોના આંદોલનને લઈને પણ મોદી સરકાર ઘેરાઈ ગઈ છે અને બીજી તરફ કેજરીવાલ એલ.જી.ને દિલ્હીની સત્તા સુપ્રત કરવાના કેન્દ્રના વટહુકમ સામે દેશભરમાં ફરી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીએ અમેરિકામાં બોલાવેલી સટાસટી અને એનડીએના નેતાઓ દ્વારા તેની સામે અપાઈ રહેલા જવાબો તથા અન્ય પ્રત્યાઘાતો જોતા એમ જણાય છે કે, વિપક્ષોની એકજુથતાના પડકાર સામે વર્ષ ર૦ર૪ ની ચૂંટણી જીતવી ભાજપ માટે સરળ નહીં હોય, જો કે આ પડકાર કેટલો મજબૂત હશે તેના પર આધાર છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial