Advertisement
Author: નોબત સમાચાર

ઓવરબ્રિજ પાછળ કરોડોનો ખર્ચ પરંતુ શિક્ષણ-આરોગ્યની મૂળભૂત સુવિધાઓ અંગે દુલક્ષ્ય કેમ?

મુખ્યમંત્રીની જામનગરની મુલાકાત પછી ધારાસભ્ય ઉઠાવ્યા પ્રશ્નો

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૦: ગુજરાતની ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારોના વિકાસ પ્રત્યે ઉદાસીન હોવાનું અને ગ્રામ્ય વિસ્તારોને અન્યાય કરવામાં આવી રહ્યાનો આક્રોશ ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ એક નિવેદનમાં વ્યકત કર્યો છે.

શહેરી ગ્રામ્ય વર્ષની ઉજવણી અંતર્ગત સરકાર દ્વારા આ વર્ષના ગુજરાતના બજેટમાં રૂ. ૩૦ હજાર કરોડ શહેરી વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. જેની સરખામણીએ અડધું ગુજરાત ગામડાઓમાં રહેતું હોવા છતાં ગ્રામ્ય વિકાસ માટે માત્ર ૮ હજાર કરોડ જ વાપરવાનું લક્ષ્યાંક છે. ગામ અને શહેર પાછળ મંજૂર કરાયેલ આંકડો ગામડાને અન્યાય કરવામાં આવ્યો હોવાની ચાડી ખાઈ રહ્યો છે.

જામનગર શહેરની વાત કરીએ તો માત્ર બે ઠેબા ચોકડી અને સમર્પણ ચોકડી નજીકના ઓવરબ્રિજ પાછળ સરકારે ૩૦૦ કરોડ ખર્ચી નાખ્યા છે. બીજી તરફ આખા જામનગર જિલ્લાના ગામડાઓ માટે ગયા વર્ષમાં રોડ રસ્તા સહિતના ૧૬૫ કરોડના કામો થયા છે અને આ ચાલુ નાણાંકિય વર્ષમાં ૧૨૯ કરોડના જ વિકાસ કામોના આયોજન છે. જેમાં પણ રોડ રસ્તાના કામોમાં ઢંગધડા વગરના આયોજનને લઈ માત્ર ૧૦થી ૧૫ દિવસમાં ચોમાસુ શરૂ થતા આ કામગીરી અટકી પડશે. જે સરકારની ગામડાના લોકો વિરોધી નીતિની ઝાંખી કરાવે છે.

માત્ર જામનગર જિલ્લો જ નહીં પરંતુ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગામડાઓની હાલત ખૂબ જ બદતર છે. આધુનિક યુગ અને વિકાસની વાતો વચ્ચે ગામડાના લોકો અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે. શહેરોમાં અઢળક ઓવરબ્રિજ ખડકી દેવાયા છે. જયારે ગામડાઓમાં ડામર અને સીસી રોડના પણ ઠેકાણાં નથી. અસંખ્ય ગામડાઓના રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. બીજી બાજુ પીવાના પાણી અને આરોગ્ય અને શિક્ષણ સહિતના લાભો માત્ર ગણ્યા ગાઠયા ગામડાઓના લોકોને જ મળતા થયા છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ અને રોજગારીએ ગ્રામીણ કક્ષાની સૌથી સળગતી સમસ્યા છે. આધુનિક યુગમાં પણ સરકાર ગ્રામ્ય કક્ષાએ આ પ્રકારની સુવિધા ઉભી ન કરી શકી હોવાથી ન છૂટકે યુવા પેઢી શહેરો તરફ વળી રહી છે.

ગામડાના નવા રસ્તાઓ મંજૂર થયા બાદ અને રીપેરીંગ કામો મંજૂર થયા બાદ પણ સરકારની ત્રુટીઓને લીધે સુવિધા ક્ષણભંગુર સાબિત થઈ છે. શહેરી વિકાસ માટે નાણાંની કોથળી ખુલી મુકી દેતી સરકાર ગ્રામ્ય કક્ષાના લોકોની પણ પીડા પારખી રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય સહિતની સુવિધા ઉભી કરવી જોઈએ. જામનગરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવું કહ્યું હતું કે માત્ર શહેરીજનો નહીં પરંતુ છેવાડાના માનવી સુધી સુખાકારીઓ પહોંચાડવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. જો કે વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. આજે પણ જામનગર જિલ્લાના અનેક ગામડાના લોકો રસ્તાથી માંડી પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યા છે, તેમ અંતમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh