Advertisement
Author: નોબત સમાચાર

પાંચ વર્ષ પહેલાંની બોલાચાલીનો ખાર રાખી ભણગોરમાં યુવાનની ત્રણ શખ્સે કરી હત્યા

મૃતક એક પીએસઆઈના ભાઈ હતા અને એક આરોપી પોલીસમાં જ બજાવે છે ફરજઃ

જામનગર તા. ૨૫ઃ લાલપુરના ભણગોરમાં પાંચ વર્ષ પહેલાં ટેન્કરમાં પાણી ભરવાના મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી ગઈરાત્રે ત્રણ શખ્સે એક યુવાનને ભણગોરમાં પાનની દુકાને આંતરી લઈ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો હતો. મૃત્યુ પામનાર યુવાનના ભાઈ અમદાવાદમાં પીએસઆઈની ફરજ બજાવે છે અને હત્યામાં આરોપી તરીકે જેના નામ ખૂલ્યા છે તેમાંથી એક આરોપી જામજોધપુર પોલીસ મથકમાં કોન્સ્ટેબલની ફરજ બજાવતા હોવાનું ખૂલ્યું છે. પોલીસે ત્રણેય આરોપીના સગડ દબાવ્યા છે અને આરોપીઓ પોલીસની હાથવેતમાં છે.

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં વસવાટ કરતા વિરેન્દ્રસિંહ છોટુભા જાડેજા (ઉ.વ.ર૭) નામના યુવાન સાથે પાંચેક વર્ષ પહેલાં ભણગોરના જ રાજદીપસિંહ જગદીપસિંહ જાડેજા ઉર્ફે પિન્ટુ નામના શખ્સને પાણીના ટેન્કર ભરવા બાબતે બોલાચાલી થઈ હતી. તે બાબતનો ખાર રાખી ગઈરાત્રે ભણગોરમાં ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો.

પાંચેક વર્ષ જૂની અદાવતનો ખાર મનમાં રાખીને બેસેલા રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ તથા તેના સાગરિત જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા અને કુંદનસિંહ રામભા જાડેજાએ ભણગોરમાં આવેલી ગ્રીન પાન નામની દુકાને વિરેન્દ્રસિંહને આંતરી લીધા હતા. આ શખ્સોએ બોલાચાલી કર્યા પછી વિરેન્દ્રસિંહ પર ઢીકાપાટુ વડે હુમલો કરી માર માર્યાે હતો. તે દરમિયાન રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુએ પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી ડોકના ભાગે હુલાવી દેતાં વિરેન્દ્રસિંહ લોહી લુહાણ બની ઢળી પડ્યા હતા.

ત્યારપછી ત્રણેય હુમલાખોર સ્થળ પરથી પોબારા ભણી ગયા હતા. પાનની દુકાને હાજર અન્ય વ્યક્તિઓએ વિરેન્દ્રસિંહના પરિવારને જાણ કરતા તેમના પિતરાઈ ભાઈ પ્રદ્યુમનસિંહ લાલુભા જાડેજા સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા. બનાવની પોલીસને વિગત અપાતા લાલપુર પોલીસ મથકના ઈન્ચાર્જ પીએસઆઈ બી.બી. કોડિયાતર પણ સ્ટાફ સાથે ધસી ગયા હતા.

પોલીસે વિરેન્દ્રસિંહને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી પ્રદ્યુમનસિંહ લાલુભાની ફરિયાદ પરથી ત્રણેય શખ્સ સામે આઈપીસી ૩૦૨, ૧૧૪ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે. ત્રણેય આરોપીઓના પોલીસે સગડ દબાવ્યા છે. જેમાં આરોપીઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક વિરેન્દ્રસિંહ છોટુભા જાડેજા હાલમાં અમદાવાદમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ફરજ બજાવતા મનોહરસિંહ જાડેજાના સગા ભાઈ થતાં હતા. જ્યારે તેઓની હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપી પૈકીના પિન્ટુ ઉર્ફે રાજદીપસિંહ જગદીશસિંહ જાડેજા જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. એક પોલીસકર્મીએ ફોજદારના ભાઈની હત્યા નિપજાવી હોવાના આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh