Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેેપરલીક મુદ્દે દિલ્હીના જંતરમંતરથી શરૂ થયેલું બિનરાજકીય ગણાવાતું આંદોલન હવે સડકથી સંસદ સુધી ગૂંજી રહ્યું છે, અને જામનગર સહિત જિલ્લે જિલ્લે વિપક્ષ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના અહેવાલો આવી રહ્યા છે. બીજી તરફ સુપ્રિમ કોર્ટે તો આ મુદ્દે તત્કાળ સુનાવણી કરવાની અસમર્થતા દર્શાવી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસ તથા કેન્દ્ર સરકારને નોટીસો ફટકારતા મોદી સરકાર હવે સડકો, સંસદ અને કાનૂની ક્ષેત્રે પણ આ મુદ્દે ઘેરાઈ રહેલી જોવા મળી રહી છે.
દિલ્હી હાઈકોર્ટમાં જંતરમંતર પર સરકાર વિરોધી આંદોલન કરી રહેલા વાંગચૂક તથા અન્ય પ્રદર્શનકારીઓને જબરદસ્તીથી હટાવવા તથા આંદોલનકારીઓ પર પોલીસના લાઠીચાર્જને ગેરબંધારણીય ગણાવ્યો અને બંધારણે આપેલા અધિકારો મુજબ વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતાં, ત્યારે પોલીસે બર્બરતા કરી અને અમાનુષી લાઠીચાર્જ કર્યો તે અંગે દલીલો કરી હતી, તો કેન્દ્ર સરકારના આસિસ્ટન્ટ સોલિસિટર જનરલે આ અરજીઓ અદાલતમાં કરીને માત્ર પબ્લિસિટી સ્ટંટ કરવામાં આવી રહ્યો છે, અને અરજદારો પોતે પીડિતો નથી, ઉલટાનો પોલીસ પર પથ્થરમારો થયો હતો અને સંખ્યાબંધ પોલીસકર્મી ઘાયલ થયા હતાં તથા વાહનોમાં તોડફોડ થઈ હતી. હિંસા થતા પોલીસે ના છૂટકે જરૂરી કાર્યવાહી કરવી પડતી હોય છે.
જો કે, અદાલતોએ પોલીસની ભૂમિકા અંગે કેટલાક પ્રશ્નો ઊઠાવ્યા હતાં, અને પૂછ્યું હતું કે જો આંદોલનની મંજુરી લીધી નહોતી અને ગેરકાયદે મંડળી રચી હતી, તો તેને પહોંચી વળવા ચોક્કસ પ્રક્રિયા અનુસરવાના બદલે સીધો બળપ્રયોગ કેમ કર્યો? જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય, ત્યારે દરેક પીડિતોને અલગ-અલગ એફઆઈઆર કરવાનું કેવી રીતે કહી શકાય?
તે પછી અદાલતે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટીસો ફટકારી અને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો, તેથી સરકાર કાનૂની ક્ષેત્રે પણ ઘેરાઈ ગઈ છે. અદાલતે તમામ સીસી ટીવી કૂટેજ, ફોટોગ્રાફ્સ, વીડિયો રેકોર્ડીંગ વગેરે સુરક્ષિત રાખવાનો પણ આદેશ આપતા કાનૂની ક્ષેત્રે પણ આ લડાઈ લાંબી ચાલશે, તેમ જણાય છે.
સંસદમાં પણ બન્ને ગૃહોમાં વિપક્ષો હોબાળો કરતા રહ્યા અને સરકારના મંત્રીઓ હડિયાપટ્ટી કરતા રહ્યા. રાજ્યસભામાં ખડગેએ ચોખ્ખું કહી દીધુ કે પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પછી બીજી વાત... તો લોકસભામાં પણ હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓના મુદ્દે સંસદમાં ચર્ચા કરવામાં સરકારને રસ નથી, બીજી તરફથી સરકાર તરફથી દાવો થતો રહ્યો કે સરકાર તો ચર્ચા માટે તૈયાર છે, પણ વિપક્ષો નવા નવા બહાના કાઢીને સંસદની કાર્યવાહી જ ચાલવા દેતા નથી.
બીજી તરફ અન્ના હજારેએ વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું કે કોઈ એક મંત્રીના રાજીનામાથી સરકાર નબળી નહીં પડી જાય. યુવાવર્ગની ચિંતા દૂર કરવા સરકારને અનુરોધ કરતા અન્ના હજારેના પત્ર પછી સરકારને વધુ ક્ષોભ થવો જોઈએ...
ગઈકાલે સાંજે રાહુલ ગાંધીએ યોજેલી પ્રેસ કોન્ફરન્સ અને તેમાં રજૂ થયેલો સ્લાઈડ-શો, કેન્દ્રિય મંત્રી જે.પી. નડ્ડાએ યોજેલી પ્રેસ-કોન્ફરન્સમાં રજૂ થયેલું પેપરલીકનું ફ્લેશ બેક, સરકાર અને સીજેપી વચ્ચે થયેલી વાતચીત, વાંગચૂકે કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં ભૂખ હડતાલ સમાપ્ત કરવાની શરતી તૈયારી બતાવી હોવાનો દાવો તથા જંતરમંતર પર પુનઃ થયેલું હિંસક છમકલું વગેરે ઘટનાક્રમોને સાંકળતા એવું સમજાય છે કે હવે પેપરલીકનો મુદ્દો અને સીજેપીની ચળવળ બહુર્મુખી બની ગઈ છે, અને વિદ્યાર્થીઓના હિતોમાં સરકારની જીદ અને રાજકીય પક્ષોના હિતોનું મિશ્રણ થતા આ મુદ્દો હવે સંસદમાં પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે, જેથી સરકાર સંસદમાં પણ ઘેરાઈ ગઈ હોય તેમ જણાય છે.
ગઈકાલે જામનગરમાં કોંગ્રેસે મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું અને પૂર્વ સાંસદ સહિતના કોંગી નેતાઓને અટકમાં લેવાયા, તેવી જ રીતે જિલ્લે-જિલ્લે દેશભરમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો થતા રહ્યા, તો ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ પણ રાહુલ ગાંધીએ પી.એમ. હાઉસ સામે કરેલા ધરણાંના વિરોધમાં કોંગ્રેસ કાર્યાલયો સામે દેખાવો કર્યા. આ કારણે ઠેર-ઠેર ઘર્ષણ થયું અને બન્ને તરફના કાર્યકરો વચ્ચે ઘણાં સ્થળે હિંસક અથડામણો થઈ, અને તેને નિયંત્રણમાં લેવામાં સ્થાનિક તંત્રોના નાકે દમ આવી ગયો. આ કારણે સડકો પર પણ રાજ્યોથી રાજધાની સુધી કેન્દ્ર સરકાર માટે પડકારરૂપ પરિસ્થિતિ હતી.
આમ, સડકથી સંસદ, હોસ્પિટલોથી પોલીસ સ્ટેશનો, અદાલતથી સરકારી કાર્યાલયો અને રાજ્યોથી રાજધાની સુધી છાત્ર આંદોલનની ગૂંજ ગઈકાલે એવી ઊઠી હતી કે સડકથી સંસદ સુધી તેના ઘેરા પડઘા પડ્યા હતાં, જે કેન્દ્ર સરકાર સામે જબરો અસંતોષ તથા આક્રોશ દર્શાવે છે. આ ગૂંજ દેશભરમાં પડઘાઈ રહી છે અને રાજ્યોથી દેશની રાજધાની સુધી સરકારને હચમચાવી રહી છે. તેમાં હવે અન્ના હજારેએ પણ ઝંપલાવતા સરકાર ભીંસમાં જણાય છે.
ગત્ રાત્રે પણ જંતરમંતર પર હિંસા થઈ અને પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો પછી એવી આશંકા પણ જાગે છે કે વિદ્યાર્થીઓ સાથે કોઈ અસામાજિક તત્ત્વો તો ભળી ગયા નથી ને? શાંત આંદોલનને તોડી પાડવા કે ડહોળવાનો કિમિયો તો નથી ને? વિવિધ રાજકીય પક્ષોની વિદ્યાર્થી-પાંખો સિવાય અન્ય સામાન્ય વિદ્યાર્થીઓ કેટલા પ્રમાણમાં જંતરમંતર પર જોવા મળે છે? આ આંદોલનના મુદ્દે એવીબીપીનું વલણ કેવું છે? આ બધા સવાલો વચ્ચે આજે સંસદમાં જે કાંઈ બની રહ્યું છે, તે જોતા હવે ઉભય પક્ષો જીદ્ છોડીને સંસદ ચાલવા દેવી જોઈએ, તેવો સામાન્ય જનમત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial