Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બૃહદ મુંબઈ સ્ટેટમાંથી ગુજરાત છુટું પડયું અને ભાષા આધારિત રચાયેલા ગુજરાતમાં એક સમયનું સૌરાષ્ટ્ર સ્ટેટ વિલિન થઈ ગયું, જેના કારણે તે પછીથી સૌરાષ્ટ્રને સતત અન્યાય થતો રહ્યો હોવાની ફરિયાદ ઉઠતી રહી છે, અને તેમાંની એક મહત્ત્વપૂર્ણ ફરિયાદ હાઈકોર્ટને સંબંધિત છે., અને રાજકોટમાં હાઈકોર્ટની બેંચ અથવા શાખા શરૂ કરવાની માંગણી સતત થતી રહી છે. આ માંગણીને લઈને ૨૯મી જુલાઈ ૨૦૨૬ના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ મુખ્ય જિલ્લાઓમાં વકીલો અદાલતી કામકાજથી અળગા રહ્યા અને બહિષ્કાર વ્યક્ત કર્યો.
એ સાથે જ ૮૦ તાલુકાઓના ૬૦થી વધુ બાર એસોસિએશનોએ આ માંગણીઓ સાથે જિલ્લા કલેકટરોના માધ્યમથી સરકારને આવેદનપત્રો પાઠવ્યા. આ ચળવળમાં રાજકોટ, કચ્છ, જામનગર, મોરબી, જુનાગઢ, ભાવનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, વગેરે જિલ્લાઓ જોડાયા હતા.
વકીલ મંડળોએ પોતપોતાના જિલ્લાને પડતી અલગ-અલગ સમસ્યાઓ પણ આ આવેદનપત્રમાં આવરી લીધા હતા અને સમાન પ્રકારની સમસ્યાઓની સાથે સૌરાષ્ટ્ર સ્ટેટના સમયગાળાની ન્યાયક્ષેત્ર તથા કાનૂની ક્ષેત્રની સુવિધાઓ અને વિલય થયા પછીની સ્થિતિ વર્ણવીને સૌરાષ્ટ્ર સ્ટેટને બૃહદ મુંબઈમાં અને પછી ગુજરાતમાં વિલિન કરવાના તત્કાલિન ખોટા અને અયોગ્ય નિર્ણયને સુધારવાની જરૂર પણ ભારપૂર્વક આ ચળવળના માધ્યમથી જણાવાઈ રહી છે.
તાજેતરમાં જીએસટીની એક બ્રાન્ચ રાજકોટમાં શરૂ થયા પછી એક તરફ તો તે નિર્ણયને આવકાર અપાઈ રહ્યો છે, તો બીજી તરફ રાજકોટમાં હાઈકોર્ટ અથવા તેની તેની બેન્ચ (બ્રાન્ચ) શરૂ કરવાની માંગણી પણ બળવત્તર બનવા લાગી છે. અત્યારે દેશના છેક છેવાડાના જિલ્લાઓના લોકોને ઉચ્ચ ન્યાય મેળવવા માટે સેંકડો કિલોમીટર દૂરથી અમદાવાદ જવું પડતું હોય, તો તે મુશ્કેલીના નિવારણ માટે રાજકોટને અલાયદી હાઈકોર્ટ અથવા અમદાવાદ હાઈકોર્ટની બ્રાન્ચ કાયમી ધોરણે આપવાની માંગણી હવે તિવ્ર બની રહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ ઘણાં દૂર હોવાથી અમદાવાદની હાઈકોર્ટ સુધી આવવા-જવાના ખર્ચા તથા સમયનો બગાડ વધુ થાય છે, તે ઉપરાંત ન્યાય મળવામાં વિલંબ થવાનું એક વધુ કારણ પણ ઉમેરાય છે. અસીલો-વકીલો-સાક્ષીઓની નિયમિતતા તથા સાતત્યતા પર માઠી અસર પહોંચે છે અને ઘણાં લોકોની આટલી પહોંચ નહીં હોવાથી ન્યાયથી તેઓ વંચિત પણ રહી જાય છે. તેથી ગુજરાત હાઈકોર્ટની એક બ્રાન્ચ કાયમી ધોરણે રાજકોટમાં શરૂ થાય કે અન્ય કેટલાક રાજ્યોની જેમ ગુજરાતમાં એકથી વધુ હાઈકોર્ટની સાંપ્રત સમયની તાકીદની જરૂર લક્ષ્યમાં લઈને રાજકોટને અલાયદી હાઈકોર્ટ આપીને તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના અમદાવાદથી ઘણાં દૂર હોય તેવા જિલ્લાઓને આવરી લેવાની માંગણી વાજબી છે. વિદ્યાર્થીઓ, યુવાઓ, ખેડૂતો, શિક્ષકો પછી હવે વકીલો તથા કાનૂની-ન્યાયક્ષેત્રના લોકો પણ નારાજ થશે તો તેનું રાજકીય નુકસાન પણ થઈ શકે છે, જે સંભાવના ખત્મ કરવા એક પ્રો-પબ્લિક પોલિટિકલ ડિસિશન લેવાનું કદમ શાણપણભર્યું અને દૂરંદેશી વાળુ યોગ્ય પગલું ગણાશે, તે હકીકત છે.
સૌરાષ્ટ્ર સ્વતંત્ર સ્ટેટ હતું ત્યારે વર્ષ ૧૯૪૮ થી ૧૯૫૬ સુધી અલાયદી "સૌરાષ્ટ્ર હાઈકોર્ટ" હતી, અને તેનું મુખ્ય મથક રાજકોટ જ હતું. આઝાદી મળ્યા પછી સૌરાષ્ટ્ર સ્ટેટનું પૂનર્ગઠન થયું આ હાઈકોર્ટ હેઠળ તે સમયના તમામ પાંચ જિલ્લાઓને આવરી લેવાયા હતા, જેમાં રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. તે પછી રાજ્ય જિલ્લાઓના વિભાજનો થતા રહ્યા અને નવા જિલ્લાઓ રચાતા રહ્યા, બીજી તરફ વસ્તી વધારા તથા કામ-ધંધા-રોજગાર માટે અન્ય રાજ્યોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં આવીને ગુજરાતમાં હંગામી વસવાટ કરતા લોકોની જનસંખ્યા પણ વધતી રહી છે, તેના કારણે જ અદાલતોમાં કેસોની સંખ્યા વધતી રહી છે અને અપીલોની સંખ્યા પણ વધી છે, જેથી રાજકોટમાં સૌરાષ્ટ્રની હાઈકોર્ટ સ્થપાય તો તે જનહિતમાં પણ છે અને સાર્વજનિક ન્યાયના હિત માટે પણ મહત્ત્વપૂર્ણ સોપાન પણ ગણાશે.
આઝાદી પછી ભાષા આધારિત રાજ્યોની રચના માટે આંદોલનોનો સીલસીલો આવ્યો હતો, અને વર્ષ ૧૯૫૩માં તેલુગુ ભાષીઓના આંદોલન પછી મદ્રાસ પ્રેસિડેન્સીથી આંધ્રપ્રદેશ અલગ રાજ્ય બન્યું, તે પછી દેશમાં ભાષાના આધારે ૧૪ રાજ્યો અને ૬ કેન્દ્રશાસિત પ્રદેશો રચાયા. તે પછી પણ અલગ રાજ્યોની માંગણી ઉઠતી રહી છે. વર્ષ ૧૯૬૦માં બૃહદ મુંબઈનું વિભાજન થતાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો રચાયા, તો ભૂતકાળનું સૌરાષ્ટ્ર સ્ટેટને બૃહદ મુંબઈમાં સમાવી લેવાયું હતું, તે પણ ગુજરાતમાં આવી ગયું, વર્ષ ૧૯૬૩માં નાગાલેન્ડમાંથી આસામ અલગ થયું, ૧૯૭૨માં મેઘાલય, મણિપુર, ત્રિપુરા જેવા રાજ્યો રચાયા, કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પૂર્ણ કક્ષાના રાજ્યો બન્યા. તે પછી અરૂણાચલપ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો, તે પછી ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા વગેરે કેટલાક રાજ્યો રચાયા, પરંતુ સૌરાષ્ટ્રને રાજ્યનો દરજ્જો ક્યારેય અપાયો નહીં, અને આ દાયાકાઓ જુની માંગણી સત્તાપરિવર્તનો પછી બદલાયેલા શાસકપક્ષો અને પલટાયેલા પોલિટિકલ સિનેરિયો પછી પણ સંતોષાઈ નથી, સૌરાષ્ટ્રવાસીઓની કમનસીબી તથા સૌરાષ્ટ્રની નેતાગીરીની ઈન્ટરપાર્ટી નબળાઈ જ છે, તેમ કહેવું અસ્થાને નથી.
સૌરાષ્ટ્ર રાજય હતું ત્યારે તેનું બજેટ સરપ્લસ રહેતું હતું, તેવું કહેવાય છે, અને સૌરાષ્ટ્રના ગુજરાતમાં વિલીનીકરણ પછી વિકાસના ફળો ઉત્તર-દક્ષિણ ગુજરાત તરફ વધુ પહોંચ્યા અને સૌરાષ્ટ્રને અન્યાય થયો. એક સમયે સતત દુષ્કાળ પડતા હોવાથી સૌરાષ્ટ્રને જ્યારે અધિક હૂંફ અને આર્થિક સહયોગની જરૂર હતી ત્યારે પણ અવગણના કરાઈ હોવાની નારાજગી હંમેશાં સૌરાષ્ટ્રમાં રહી છે. જો કે, સરદાર સરોવર યોજના, સૌની યોજના તથા તળાવો-ચેકડેમોની શ્રૃંખલા વધ્યા પછી સૌરાષ્ટ્રની જળ સમસ્યા હળવી થઈ, પરંતુ સૌરાષ્ટ્ર સ્ટેટ હતું, તે સમયે રાજકોટમાં જે રાજ્યકક્ષાની સુવિધાઓ હતી, તે ઝુંટવાઈ ગઈ અને હાઈકોર્ટ તેમાંની એક મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે.
હવે વકીલોને માત્ર વિપક્ષો જ નહીં, પરંતુ માતબર સંસ્થાઓ, સમાજો તથા વિશેષ હસ્તીઓનું પણ સમર્થન મળવા લાગશે, અને અંદરખાને ભાજપમાં આંતરિક રીતે પણ રાજકોટમાં અલાયદી હાઈકોર્ટ સ્થાપવાની માંગણી વધી રહી છે, ત્યારે સરકારે આ મુદ્દે તત્કાળ નિર્ણય લેવો જોઈએ, કારણ કે પછી ઘણું મોડું થઈ જશે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial