Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાવાઝોડા કે અતિવૃષ્ટિની પરિસ્થિતિ દરમ્યાન
જામનગર તા. ૩૧: જામનગર જિલ્લાના પશુપાલકોને ચોમાસા દરમિયાન સંભવિત વાવાઝોડા તેમજ અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુધનના રક્ષણ માટે જરૂરી સાવચેતી રાખવા જામનગર જિલ્લા પશુપાલન શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે.
પશુપાલકોને ઓછામાં ઓછા ૩૨ કલાક ચાલે તેટલો ઘાસચારો અને પીવાના પાણીનો સંગ્રહ સુરક્ષિત જગ્યાએ રાખવા જણાવાયું છે. પશુમાલિકોએ ઘાસચારો ખુલ્લામાં સંગ્રહ કર્યો હોય તો તેને તાત્કાલિક ઢાંકી યોગ્ય જગ્યાએ ખસેડવો. વાવાઝોડા સમયે પશુઓને સાંકળથી બાંધવાના બદલે ખુલ્લા અને સલામત સ્થળે રાખવા તેમજ પશુશાળામાં પાણી ભરાઈ જવાની શક્યતા હોય તો અગાઉથી જ પશુઓને ઊંચાણવાળા સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે.
વાવાઝોડા બાદ ઇજાગ્રસ્ત અથવા બીમાર પશુઓની તાત્કાલિક સારવાર કરાવવા તથા કોઈપણ પ્રકારના રોગના લક્ષણો જણાય તો તરત જ નજીકના પશુચિકિત્સકનો સંપર્ક કરવા તેમજ પશુપાલકોએ પોતાના વિસ્તારના પશુચિકિત્સકોના ફોન નંબરની માહિતી હાથવગી રાખવાની અને જરૂર જણાયે સંપર્ક સાધવાની અપીલ કરવામાં આવી છે.
પશુઓને નદી, તળાવ, જળાશય અથવા પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન રાખવા તેમજ વીજળીના થાંભલા કે નબળા માળખાં પાસે ન બાંધવા સૂચના આપવામાં આવી છે. પશુઓને કાચા/જીર્ણશીર્ણ મકાનોમાં આશ્રય ન આપવો તેમજ વાવાઝોડા દરમિયાન પશુઓને બહાર ચરવા ન લઈ જવા નાયબ પશુપાલન નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.