Advertisement
Author: નોબત સમાચાર

વર્ગ-૩ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેકટરશ્રીઓને સોંપાઈ

મહેસુલ વિભાગની જિલ્લા-તાલુકા કચેરીઓમાં

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૩૦: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, સુદૃઢ અને લોકાભિમુખ બનાવવા માટે એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ હસ્તકના ખાતાના વડાઓની કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓની જિલ્લા પૂરતી આંતરિક બદલી કરવાની સત્તાઓ હવે સીધી સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સોંપવામાં આવી છે. જ્યારે, જે તે ખાતાના વડાની બદલીઓ અંગેની મૂળ સત્તા યથાવત રહેશે.

રાજ્યમાં જિલ્લા કક્ષાએ મહેસૂલી તંત્રનું સંપૂર્ણ દેખરેખ અને સંકલન કલેક્ટરશ્રીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ઘણીવાર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં સ્થાનિક કક્ષાએ કર્મચારીઓની બદલી કરવાની પર્યાપ્ત સત્તા ન હોવાથી અરજદારોના કામો લંબાતા હતા. રાજ્ય સરકારશ્રીની પુખ્ત વિચારણાના અંતે હવે કલેક્ટરશ્રીઓને અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં બદલીની સત્તાઓ સોંપતો નિર્ણય કરવામાં આવ્યો છે.

અગાઉ કલેક્ટરશ્રીને નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટીઓની બદલી કરવાની સત્તા હતી. હવે આ નિર્ણયના પરિણામે કલેક્ટરશ્રીઓ મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા તથા તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓ જેવા કે, સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૧, સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૨, સિનિયર સર્વેયર, સર્વેયર અને કારકૂન વગેરેની જિલ્લા પૂરતી બદલી કરી શકશે.

આ બદલીઓ જે તે ખાતાના વડાના મહેકમ પૂરતી જ સીમિત રહેશે. દા.ત. સેટલમેન્ટ કમિશનરશ્રી તાબા હેઠળના સર્વેયરની બદલી તેમની જ કચેરીમાં થશે, નોંધણી સર નિરીક્ષક કે સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં કરી શકાશે નહીં.

કલેક્ટરશ્રી દ્વારા બદલી કરતી વખતે સંબંધિત જિલ્લા કક્ષાના વિભાગીય અધિકારીશ્રી સાથે જરૂરી સંકલન કરવાનું રહેશે, જેથી કચેરીઓની રોજબરોજની કામગીરી ખોરવાય નહીં.

આ બદલીઓ કરતી વખતે સામાન્ય વહીવટ વિભાગ તથા મહેસૂલ વિભાગના પ્રવર્તમાન બદલી નિયમો અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

આ નિર્ણયથી જિલ્લા કક્ષાએ વહીવટી નિર્ણયો ઝડપી બનશે. કોઈ ચોક્કસ કચેરી કે તાલુકામાં અરજીઓનો નિકાલ બાકી હોય કે અચાનક કામનું ભારણ વધે ત્યારે કલેક્ટર તુરંત કર્મચારીઓની આંતરિક બદલી કરીને કામગીરીને વેગ આપી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh