Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ફરીથી ડીઝલ-પેટ્રોલના ભાવોમાં વધારો કરાતા પેટ્રોલ તો લિટરે સો રૂપિયાના ભાવને આંબવા લાગ્યું છે, તો ડીઝલ પણ સદી ફટકારવાની તૈયારીમાં છે. બીજી તરફ દેશભરમાંથી ઈંઘણની તંગીના અહેવાલો આવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ પંપો પર વાહનોની લાંબી-લાંબી લાઈનો લાગી છે, તો વાહનાચાલકો-ખેડૂતોમાં આ કારણે પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોના કારણે તમામ ચીજવસ્તુઓ મોંઘી થતી હોવાથી સામાન્ય જનતામાં પણ નારાજગી ફેલાઈ રહી છે, અને સરકારી ઓઈલ કંપનીઓ સામે સવાલો ઊઠી રહ્યા છે, અને ડિમાન્ડ અને સપ્લાઈનું સમતુલન જાળવવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાની ટીકા થઈ રહી છે.
એક તરફ સરકારી તંત્રો પેટ્રોલ-ડીઝલ-ગેસનો પૂરતો પુરવઠો હોવાના દાવાઓ સાથે 'સબ સલામત'નો ઢોલ પીટી રહ્યા છે, તો બીજી તરફ પંપો પર લાગેલી લાંબી લાંબી લાઈનો કાંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. સરકારી તંત્રો કહે છે કે, અફવાઓ ઊડતા લોકો જરૂર કરતા વધુ ખરીદી કરવા લાગતા કૃત્રિમ તંગી ઊભી થઈ રહી છે, અને તેના કારણે પેટ્રોલ પંપો પર (ખાસ કરીને ડીઝલના વેંચાણમાં) રેશનીંગ પણ થઈ રહ્યું છે, ત્યારે લોકો ટ્રમ્પનો આજનો પુનઃ કરાયેલો એ દાવો ઝડપથી સાચો ઠરે, તેવી પ્રાર્થના કરી રહ્યા છે, જેમાં ટ્રમ્પે કહ્યું છે કે, ટૂંક સમયમાં યુદ્ધ ખતમ થશે, અને ઈંધણના ભાવો ઝડપથી ઘટી જશે.
કતર અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ ઈરાન-અમેરિકા યુદ્ધ ખતમ કરાવવા માટે પહોંચી ગયા હોવાના અહેવાલો પછી વિશ્વભરમાં એવી ચર્ચા થઈ રહી છે કે આ વખતે કદાચ વચગાળાની સમજુતિ થઈ જાય અને યુદ્ધ અટકે તથા હોર્મુઝ સ્ટ્રેટ ખુલી જાય, તો વિશ્વ એક મોટા સંકટ અને ખતરનાક યુદ્ધના ખતરાથી બચી જશે.
એક તરફ પાકિસ્તાન મધ્યસ્થી હોવાનો દાવો કરીને ઈરાન-અમેરિકાને (બન્નેને) છેતરી રહ્યું હોવાની ટીકા થઈ રહી છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં જ મોંઘવારીના માર તથા ઈંધણની તંગીના કારણે ત્યાંની સરકાર સામે ઘરઆંગણે અસંતોષ વધી રહ્યો છે. એવા અહેવાલો છે કે, ભારતની સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીની ઓનલાઈન ફેલાયેલી આગ હવે સીમા પાર પહોંચી છે અને પાકિસ્તાનમાં પણ ત્યાંની સરકારના વિરોધમાં 'કોકરોચ અવામી પાર્ટી'ના ટેગ સાથે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. અહેવાલો મુજબ ભારતની 'કોકરોચ જનતા પાર્ટી'ની જેમ જ 'કોકરોચ અવામી પાર્ટી'ના ફોલોઓર્સ ઝડપથી વધી રહ્યા છે, અને સોશિયલ મીડિયા પર જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. આ કારણે એવો વ્યંગ પણવ થવા લાગ્યો છે કે, જો બાંગલાદેશમાં પણ આ જ પ્રકારની ઝુંબેશ ચાલશે, તો ત્રણેય દેશનું જેન ઝેડ (યુવાવર્ગ) મળીને અખંડ ભારતની દિશામાં ફંટાઈ જશે, તો નવો ઈતિહાસ સર્જાશે. વિશ્વના ઘણાં દેશોમાં જેન ઝેડ આંદોલન સફળ થયા હોવાથી ભારત, પાકિસ્તાન ઉપરાંત અન્ય દેશોમાં પવણ ગરીબી, બેરોજગારી અને મોંઘવારી સામે આ પ્રકારે નવતર, અદ્યતન અને ઈન્ટરનેટ આધારિત યુવા-આંદોલનો-જનચળવળો ફેલાવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
આપણાં દેશમાં પણ બેરોજગારીની સમસ્યા વિકરાળ બની રહી છે. એક તરફ વડાપ્રધાન આજે દેશભરમાં રોજગાર મેળાઓના આયોજનો વચ્ચે પ્રતિકાત્મક નિમણૂકપત્રોનું વિતરણ કરીને રોજગારવર્ધક ઈન્ટરરેક્શન કરી રહ્યા છે, તો બીજી તરફ સીજેઆઈના કોકરોચ અને પરપોટા જેવા શબ્દપ્રયોગો પછી (તેમણે આ અંગે સ્પષ્ટતા કર્યા પછી પણ) બેરોજગારી સામેનો યુવાવર્ગનો આક્રોશ સમી રહ્યો જણાતો નથી, અને હવે આ કોન્સેપ્ટ સીમાપાર પહોંચ્યો છે. આ સ્થિતિમાં દેશવ્યાપી બેરોજગારી અને ડીઝલ-પેટ્રોલના ભાવો વધવાથી આસમાનને સ્પર્શી રહેલી મોંઘવારીમાંથી ઊઠી રહેલો જનાક્રોશ દેશવ્યાપી જન-આંદોલનનું સ્વરૂપ ઝડપથી ધારણ કરી શકે છે.
એવું કહેવાય છે કે, ભારતમાં સીજેપીના એક્સ હેન્ડલ પર પ્રતિબંધ મૂકી દીધો હોવા છતાં અન્ય દેશોમાં હજી પણ સક્રિય છે. એવી પણ ચર્ચા છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અભિયાન માત્ર મજાક-મજાકમાં નહીં, પરંતુ પૂરેપૂરા આયોજન સાથે સમજી-વિચારીને શરૂ થયું છે. હવે અભિજીત દિપકે ભ્રષ્ટાચારીઓ સામે ઝુંબેશની જાહેરાત કરીને લોકોને ભ્રષ્ટાચારના આધાર-પુરાવા મોકલવાની હાકલ કરી છે. સીજેપીએ ભારતીય રાજકારણમાં શિક્ષણ, ઉદ્યોગ, ઊર્જા, રોજગારી તરફ વાળવા, સરકારી સિસ્ટમો દુરસ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું હોવાના પણ અહેવાલો છે, જેમાં નિવૃત્ત થતા સીજેઆઈને નિવૃત્ત થયા પછી કોઈ સરકારી હોદ્દો કે રાજ્યસભાના સભ્ય બનવા પર પ્રતિબંધ, મહિલાઓને સંસદમાં પણ ૩૩ ટકાને બદલે પ૦ ટકા અનામત અને કેન્દ્ર-રાજ્ય સરકારોના મંત્રીમંડળોમાં પણ અડધોઅડધ મહિલાઓનો સમાવેશ, ઉદ્યોગપતિઓના મીડિયા હાઉસીઝ પર પ્રતિબંધ, પક્ષપલટુઓને બે દાયકા સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને (એસઆઈઆર જેવી પ્રક્રિયા અંતર્ગત) યોગ્ય મતદારોના નામ કાપવા બદલ ચૂંટણી કમિશનર સામે કડક પગલાં લઈને તેન યુએપીએ લાગુ કરવા જેવી માંગણીઓ સાથે અભિયાન તરફ અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો છે.
આ અભિયાન જો નિષ્પક્ષ, તદ્ન બિનરાજકીય અને વાસ્તવમાં જનલક્ષી, મોંઘવારી-બેરોજગારી વિરોધી તથા દેશવ્યાપી સમસ્યાઓના નિવારણ માટે જ ચલાવાશે. આ જ રીતે ફોલોઅર્સ વધતા રહેશે, અને આ 'ઓનલાઈન' ચાલી રહેલી ઝુંબેશ હકીકતે રાજકીય પક્ષ તરીકે વિધિવત્ ચૂંટણીના મેદાનમાં ઉતરવાના કેજરીવાલ ફેઈમ અભિયાન બદલે હકીકતે બિનરાજકીય ચળવળ ચલાવશે, તો દેશભરમાં કેેન્દ્ર અને રાજ્ય સરકારો માટે 'વોચ ડોગ'નું કામ કરશે. એટલું જ નહીં, ભ્રષ્ટાચારી અધિકારીઓ, નેતાઓ તથા ટોપ ટુ બોટમ સડેલી સિસ્ટમના નિષેધનું લોકતાંત્રિક જન-આંદોલન બની જશે.
ઘણાં લોકો એવું માને છે કે, આ ઓનલાઈન ચળવળ પાછળ કોઈ ચબરાક પોલિટિકલ માઈન્ડ કામ કરી રહ્યું છે અને દિપકે માત્ર મહોરૂ છે. જે હોય તે ખરૂ, પરંતુ જો આ અભિયાન સડેલી રાજનીતિથી દૂર રહીને એક તટસ્થ એનજીઓ અથવા બિનરાજકીય પાર્ટી બનીને પ્રવર્તમાન પોલિટિકલ સિસ્ટમ સામે સમતોલ લડત આપશે, તો તેને પ્રચંડ જનસમર્થન મળશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial