Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓટોમોબાઈલના ક્ષેત્રે ગઈકાલથી જે ચર્ચા થઈ રહી છે, તેના કારણે વાહનોની સંખ્યામાં વધારો તથા તેમાં પણ ઈલેક્ટ્રીક વાહનોની તરફ લોકોનો વધી રહેલો ઝુકાવ એક તરફ સારા સંકેત છે, નો બીજી તરફ વાહનોની વધી રહેલી સંખ્યાના કારણે તેની ટ્રાફિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગ વ્યવસ્થાઓની ઉણપ તથા તેમાંથી ઊભી થતી કાયદો-વ્યવસ્થાના સંદર્ભે જાહેર સૂલેહ શાંતિની સ્થિતિની ચિંતા પણ ઊભી થઈ રહી છે, અને તેને લઈને સમાજ અને સરકારે જાગૃત રહેવાની જરૂર છે, તેમજ તંત્રોએ પાણીના પૂર પહેલા પાળ બાંધવાની જરૂર છે. જીએસટીમાં ઘટાડો થયા પછી વાહનોનું વેંચાણ વધ્યું હોય અને તેમાં વધુ વેંચાણ ઈલેક્ટ્રીક વાહનોનું થયું હોય તો તે સારી વાત છે, પરંતુ તે પછીની સંભાવનાઓને પણ લક્ષ્યમાં લેવી જ પડે તેમ છે.
ગઈકાલે એવા અહેવાલો આવ્યા કે જુલાઈમાં જ ગુજરાતમાં બે લાખથી વધુ વાહનો વેંચાયા અને તેમાં ખરીદનારાઓનો ઝુંકાવ ઈલેક્ટ્રીક વાહનો તરફ હતો, ત્યારથી તેની ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે, અને તેના સંદર્ભે દેશવ્યાપી આંકડાઓ અને ગ્રાહકોના ઝુકાવની સમીક્ષા પણ થઈ રહી છે.
ફેડરેશન ઓફ ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશન્સના રિપોર્ટને ટાંકીને આવેલા અહેવાલો મુજબ જુલાઈ ર૦ર૬ માં પેસેન્જર વાહનોના વેંચાણમાં લગભગ આઠ ટકા ઈલેક્ટ્રીક કાર હતી અને સવાત્રણ લાખ ઈલેક્ટ્રીક ટેક્સીઓ ફરતી થઈ હતી. લગભગ રપ ટકા સીએનજી અથવા એલપીજીથી ચાલતા વાહનો વેંચાયા હતાં, જ્યારે પેટ્રોલથી ચાલતા વાહનો લગભગ ૪ર ટકા વેંચાયા હતાં. આ આંકડા પેસેન્જર કારના વેંચાણના છે, જે ઈલેક્ટ્રીક અને ગેસ આધારિત વાહનોના વધી રહેલા વેંચાણનો સંકેત આપે છે. બીજી તરફ જુલાઈમાં ડીઝલ આધારિત પેસેન્જર કારનું વેંચાણ માત્ર ૧૮ ટકા જેટલું જ રહ્યું હોવાનું જણાવાયું હતું. આ આંકડાઓ આવી રહેલા બદલાવની અનુભૂતિ કરાવે છે.
જુલાઈ ર૦ર૬ માં ઓટો રિટેઈલનું વેંચાણ ગયા વર્ષની સરખામણીમાં ર૬ ટકા વધીને રપ.૯૧ લાખ યુનિટ હોય, અને તેમાં બે લાખથી વધુ પેસેન્જર વાહનો ગુજરાતમાં વેંચાયા હોય, તો તે ઓટોમોબાઈલ ક્ષેત્રે એક સિદ્ધિ ગણાય, અને તેમાંથી પણ રપ થી ર૬ હજાર ઈલેક્ટ્રીક પેસેન્જર વાહનોનું વેંચાણ થયું હોય, તો તે કેટલાક અંશે પ્રોત્સાહક પણ છે. તેવી જ રીતે દેશમાં રપ થી ર૬ લાખ વાહનોના વેંચાણમાં સવાત્રણ લાખ જેટલા ઈલેક્ટ્રીક વાહનો હોય, તો તે પણ નોંધપાત્ર છે.
આંકડાઓ મુજબ જો એક મહિનામાં બે લાખથી વધુ દ્વિચક્રી વાહનો, ૮૭ હજારથી વધુ ઓટોરિક્ષા (થ્રી વ્હીલર) અને ૩ર હજારથી વધુ ઈલેક્ટ્રીક કાર વેંચાઈ હોય, તો તે કુલ વેંચાણની સરખામણીમાં આશાવાદી પહેલ જરૂર ગણાય, પરંતુ આ જ આંકડા એવું પણ દર્શાવે છે કે ઈલેક્ટ્રીક પેસેન્જર વાહનોના વેંચાણમાં હજુ ઘણાં જ સઘન અને સાર્વત્રિક પ્રયાસો સરકારે કરવા જ પડશે, અને તેમાં જબદરસ્ત જનસહયોગની પણ જરૂર છે.
જુેલાઈ-ર૦ર૬ માં કોમર્શિયલ કાર્ગો-ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સમાં પણ વધારો થયો છે, અને કોમર્શિયલ વાહનોનો જુલાઈ ર૦ર૬ નો આંકડો એક લાખ યુનિટને આંબી રહ્યા છે. જેમાં ૬૧ હજારથી વધુ પીક-અપ વાન અને છોટે હાથી જેવા વ્હીકલ્સ છે, તો ર૮ હજારથી વધુ ટ્રક તથા હેવી વ્હીકલ્સ છે, જેમાં ૧૬ વ્હીલ ધરાવતા વાહનો પણ છે. લગભગ દસ હજાર જેટલા મધ્યમકક્ષાના હેવી વ્હીકલ્સ છે. જુલાઈમાં ૧ લાખ ર૦ હજાર જેટલા ટ્રેક્ટર્સ પણ વેંચાયા છે, તો બાંધકામ ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતા ક્રેન, રોડરોલર, બુલડોઝર, લોડર વિગેરે સાડાપાંચ હજાર જેટલા વાહનો પણ વેંચાયા છે. આ કોમર્શિયલ વાહનોમાં ૭પ ટકાથી વધુ વાહનો ડીઝલથી ચાલતા વાહનો છે, તો સીએનજીથી ચાલતા ૧પ થી ર૦ ટકા વાહનો પણ વેંચાયા છે, જ્યારે કોમર્શિયલ સેગમેન્ટમાં પણ લગભગ સાડાત્રણ હજાર ઈલેક્ટ્રીક વાહનો વેંચાયા છે, જેથી એ પૂરવાર થાય છે કે હેવી ડ્યુટી વ્હીકલ્સમાં ઈલેક્ટ્રીક વાહનોની સ્વીકૃતિ થવા લાગી છે, જેને હવે પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
એક તરફ વૈશ્વિક યુદ્ધગ્રસ્ત સ્થિતિ તથા હોર્મુઝ સંકટના કારણે દેશમાં ઈંધણની બચત કરવા કારપુલીંગ, મેટ્રો ટ્રેન, સિટીબસોનો ઉપયોગ કરવાની અપીલો કરવામાં આવી રહી છે અને ડીઝલ-પેટ્રોલ-ગેસના વાહનોનો ઉપયોગ શક્ય તેટલો ઘટાડવાની સલાહો અપાઈ રહી હોય અને બીજી તરફ પેસેન્જર વાહનોના વેંચાણમાં મહત્તમ પેટ્રોલ તથા ગેસથી ચાલતા વ્હીકલ્સ હોય, તથા કોમર્શિયલ કાર્ગો વ્હીકલ્સમાં સૌથી વધુ ડીઝલ આધારિત વાહનો હોય, ત્યારે આ વિરોધાભાસ નિવારવો અત્યંત જરૂરી છે. તે ઉપરાંત વાહનોની વધતી જતી સંખ્યાને અનુરૂપ મઢાર્ગ્જીાો, પાર્કિંગની વ્યવસ્થાઓ તથા સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારવું પડે તેમ છે.
જો કે, તમામ સેગમેન્ટમાં ઈલેક્ટ્રીક વાહનોનું વેંચાણ શરૂ થયું છે, અને કેટલાક સેગમેન્ટમાં આશાવાદી વધારો ધીમે ધીમે થતો જોવા મળે છે, પરંતુ તેનો સંતોષ માનીને ગૌરવ લેવાના બદલે હકીકતે ઈલે. વાહનોનું વાસ્તવિક વેંચાણ વધે, તેવા નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવા જ જોઈએ, અને ગોબેલ્સ પ્રચાર પદ્ધતિના સ્થાને પારદર્શક રીતે વાસ્તવિક્તા સ્વીકારવી જોઈએ.
એક વાત સારી છે કે સરકારી-અર્ધસરકારી ક્ષેત્રોમાં ધીમે ધીમે ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, જો કે પબ્લિક પરિવહન તથા પબ્લિક સર્વિસિઝ (જાહેર સેવાઓ) માટે વપરાતા સરકારી વાહનોમાં ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ આઈએએસ, જીએએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ જેવી કેડરના ઉચ્ચ અધિકારીઓ શહેરની અંદર જ લોકલ પ્રવાસ માટે પણ પેટ્રોલ કે ડીઝલના વાહનો વાપરતા હોય અને તેના તાબા હેઠળના વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓ-અધિકારીઓ પણ પબ્લિક ઈલે. ટ્રાન્સપોર્ટ કે મટ્રોટ્રેનના સંદર્ભે હજુ પણ પેટ્રોલથી ચાલતા દ્વિચક્રી વાહનો કે ફોર વ્હીલર્સનો ઉપયોગ કરતા હોય અને તેવી જ રીતે પદાધિકારીઓ અને નેતાઓ તથા તેના કાર્યકર્તાઓ પણ સિટીબસો, મેટ્રોટ્રેન કે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવાના બદલે ડીઝલ-પેટ્રોલ-ગેસ આધારિત વાહનો જ વાપરતા હોય તો કહેવું જ પડે ને કે 'ચેરિટી બિગીનીંગ ફ્રોમ ધ હોમ...', સ્વયંથી શરૂઆત કરો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial