Advertisement
Author: નોબત સમાચાર

૧૭મી જુલાઈઃ વર્લ્ડ ડે ફોર ઈન્ટરનેશનલ જસ્ટિસ

વૈશ્વિક શાંતિ અને માનવ અધિકારીઓના રક્ષણ માટે દર વર્ષે વૈશ્વિક ઉજવણી

                                                                                                                                                                                                      

દર વર્ષે ૧૭ જુલાઈના વિશ્વમાં 'વર્લ્ડ ડે ફોર ઇન્ટરનેશનલ જસ્ટિસ' એટલે કે વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસ માત્ર એક કાયદાકીય ઔપચારિકતા નથી, પરંતુ વિશ્વના અંતિમ છેડાના માનવી સુધી ન્યાય પહોંચાડવા અને માનવતા વિરૂદ્ધના ગુનાઓ સામે અવાજ ઉઠાવવાનો એક વૈશ્વિક મહાસંકલ્પ છે.

વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને માનવ અધિકારોના રક્ષણ માટે આ દિવસનું મહત્ત્વ અનન્ય છે. ૧૭ જુલાઈના દિવસને જ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો, તેની પાછળ એક મોટી ઐતિહાસિક ઘટના જવાબદાર છે. ૧૭ જુલાઈ, ૧૯૯૮ના વિશ્વના ૧૨૦ દેશોએ એકત્રિત થઈને ઇટાલીમાં 'રોમ સ્ટેચ્યુ' નામની ઐતિહાસિક સંધિ સ્વીકારી હતી.

આ એક એવી આંતરરાષ્ટ્રીય સંધિ હતી જેણે 'ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ' એટલે કે આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલયની સ્થાપનાનો પાયો નાખ્યો. ત્યારબાદ, ૧ જુલાઈ ૨૦૦૨ના આ કોર્ટે સત્તાવાર રીતે નેધરલેન્ડના ધ હેગથી પોતાનું કામ શરૂ કર્યું અને વર્ષ ૨૦૧૦થી દર વર્ષે ૧૭ જુલાઈને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો હતો.

આ વૈશ્વિક દિવસની ઉજવણી પાછળ કેટલાક અત્યંત મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ્યો રહેલા છે, જેમાં યુદ્ધ, હિંસા કે સરમુખત્યારશાહીનો ભોગ બનેલા નિર્દોષ લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યાય અપાવવો અને કોઈપણ શક્તિશાળી વ્યક્તિ, નેતા કે લશ્કરી વડા માનવતા વિરૂદ્ધ ગુનો કરીને કાયદાની પકડમાંથી બચી ન શકે તે સુનિશ્ચિત કરવાનો છે.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ મુખ્યત્વે ચાર પ્રકારના ગંભીર આંતરરાષ્ટ્રીય ગુનાઓ પર ન્યાયિક કાર્યવાહી કરે છે, જેમાં કોઈ ચોક્કસ જ્ઞાતિ કે રાષ્ટ્રીય સમૂહને નષ્ટ કરવાનો પ્રયાસ એટલે કે નરસંહાર, સામાન્ય નાગરિકો પર મોટા પાયે થતા પદ્ધતિસરના હુમલા જેવા માનવતા વિરૂદ્ધના ગુના, યુદ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરીને સામાન્ય નાગરિકો કે હોસ્પિટલો પર હુમલા કરવા જેવા યુદ્ધ અપરાધો અને એક દેશ દ્વારા બીજા સાર્વભૌમ દેશ પર ગેરકાયદેસર સૈન્ય હુમલો કરવા જેવા આક્રમણના ગુનાઓનો સમાવેશ થાય છે.

આજે ૨૧મી સદીમાં પણ જ્યારે આપણે વિશ્વના જુદા જુદા ખૂણે યુદ્ધો, આંતરિક વિદ્રોહ અને માનવ અધિકારોનું ઉલ્લંઘન થતું જોઈએ છીએ, ત્યારે આંતરરાષ્ટ્રીય ન્યાયની જરૂરિયાત બમણી થઈ જાય છે. શક્તિશાળી દેશો કે નેતાઓ પણ કાયદાથી ઉપર નથી, તે સાબિત કરવા માટે એક નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય ન્યાય પ્રણાલી અનિવાર્ય છે. ન્યાય વિના શાંતિ ક્યારેય લાંબો સમય ટકી શકતી નથી.

આ દિવસ આપણને યાદ અપાવે છે કે એક સભ્ય અને સુરક્ષિત સમાજનું નિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે ગુનેગાર ભલે ગમે તેટલો પ્રભાવશાળી હોય, તેને સજા થાય અને પીડિતને ન્યાય મળે. આવો, આ દિવસે આપણે સૌ સાથે મળીને એક એવા વિશ્વની કલ્પનાને સાકાર કરીએ જ્યાં કાયદાનું શાસન હોય, માનવતા સર્વોપરી હોય અને કોઈ પણ નિર્દોષ ન્યાયથી વંચિત ન રહે, કારણ કે જ્યાં સુધી ન્યાય નથી, ત્યાં સુધી સાચી શાંતિ શક્ય નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh