Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ અને પરિણામો આવ્યા પછી હવે પદાધિકારીઓની બદલી થઈ રહી છે અને હાલારની ત્રણ નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં મહત્તમ નગરપાલિકાઓમાં ભાજપનો પરચમ લહેરાયો છે, પરંતુ હાલારની ત્રણ નગરપાલિકામાંથી બે નગરપાલિકામાં કોંગ્રેસ અને એક નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે, જો કે જામનગર મહાનગરપાલિકામાં ફરીથી ભારતીય જનતા પક્ષને જનાદેશ મળ્યો છે, અને તના પદાધિકારીઓની પણ ટૂંક સમયમાં ચૂંટણી (વરણી) થવાની છે.
ગઈકાલેે હાલારની ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરીને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે નિમાયેલા પદાધિકારીઓને બિરદાવાયા અને તેઓનું અદકેરૂ સન્માન કરાયું, તથા કેટલાક અન્ય હોદ્દેદારોની વરણી પણ થઈ.
આ સાથે જ હવે વહીવટદારના શાસનની સમાપ્તિ થશે અને નવી બોડી પદભાર સંભાળી લેશે, અન હવે નગરજનો પણ પોતાની સમસ્યાઓ ઉકેલાય અને અપેક્ષાઓ ઝડપથી સંતોષાય, તેવી અપેક્ષા રાખશે.
હાલારની ત્રણ નગરપાલિકાઓમાંથી બે નગરપાલિકાઓમાં મહિલા પ્રમુખો વરાયા છે, અને એક નગરપાલિકામાં મહિલા ઉપપ્રમુખ વરાયા છે. આમ, ૬ પદાધિકારીઓમાંથી ત્રણ મહિલા પદાધિકારીઓ નિમાયા છે. ગુજરાતમાં પ૦ ટકા મહિલા અનામતના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અડધોઅડધ મહિલા પદાધિકારીઓ પણ સત્તામાં સક્રિય ભાગીદાર હશે અને તેથી મહિલાઓના મુદ્દાઓ તથા ઘરલુ સમસ્યાઓને પ્રાધાન્ય મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓને અનામતનો લાભ મળતા તેેઓ પદાધિકારી તરીકે નિમાય જાય, તે પછી તેઓ ૧૦૦ ટકા સ્વયં સક્રિય રીતે સહભાગી બને તો જ મહિલાઓને અનામત આપવાનો ઉદ્દેશ્ય મૂળભૂત સ્વરૂપે સિદ્ધ થઈ શકે, તેથી મહિલાઓ પોતે જ સક્રિય રીતે સહભાગી બનીને સત્તા અને સંચાલનમાં સક્રિય રહે અને પોતાના પતિ કે અન્ય કોઈપણ પરિવારજનને પોતાના વતી પરોક્ષ રીતે સત્તા ભોગવવાની તકો ન આપે, તે અત્યંત જરૂરી છે, અન્યથા અનામતનો અસલ ઉદ્દેશ્ય જ માર્યો જશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પચાસ ટકા મહિલા અનામત લાગુ થયાને એક દાયકાથી વધુ સમય થયો, પરંતુ હજુ ઘણાં સ્થળે ચૂંટાયેલા કે વરાયેલા મહિલા પદાધિકારીઓની સત્તા પરોક્ષ રીતે તેણીના પતિદેવ કે પછી અન્ય કોઈ પુરુષ પરિવારજન જ ભોગવતા હોય છે, અને તેને સાંકળીને જ થોડા વર્ષો પહેલા કદાચ વડાપ્રધાને એસ.પી. (સરપંચ પતિ) જેવો કટાક્ષ કર્યો હતો. આ સ્થિતિ નિવારવા ચૂંટાયેલા મહિલા પદાધિકારીઓના પરિવારજનોએ જ સ્વયં શિસ્ત જાળવીને મહિલા પદાધિકારીઓને સ્વતંત્ર રીતે તેઓની ફરજો બજાવવા દેવી જોઈએે અને તે માટે સચવયં માર્ગદર્શન અને પ્રેરણા આપીને મજબૂત પીઠબળ પૂરૃં પાડવું જોઈએ. આ માટે રાજકીય પક્ષો તથા સ્થાનિક અગ્રણીઓએ પણ ખુલ્લા દિલે મહિલા પદાધિકારીઓને સપોર્ટ કરવો જોઈએ. માત્ર મહિલા પદાધિકારીઓ જ નહીં, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટાયેલા તમામ મહિલાઓએ પોતે જ સંસ્થાકીય સંચાલન, મિટિંગો તથા સંસ્થાકીય અને સરકારી કામોમાં હાજર રહીને સક્રિય ભૂમિકા અદા કરવાનો આગ્રહ રાખવો જ જોઈએ.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે તાલુકા-જિલ્લા પંચાયતો અને નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં નવા શાસકોએ હવે ચૂંટણી ટાણે કરેલા વાયદાઓ પૂરા કરવાના પ્રયાસો આદરી દેવા પડશે અને લોકોની મૂળભૂત સમસ્યાઓ ઉકેલીને અપેક્ષાઓ પણ સંતોષવી પડશે.
ખંભાળિયામાં સમસ્યાઓના કાયમી ઉકેલ માટે ચોક્કસ રણનીતિ ઘડવી પડશે, અને કેટલીક કાયમી સ્વરૂપની સમસ્યાઓ ઉકેલવા માટે અગ્રતાક્રમે પગલાં લેવા પડશે, તે ઉપરાંત ચૂંટણી પ્રચાર દરમિયાન અપાયેલા વચનો પૂરા કરવાને પ્રાયોરીટિ આપવી પડશે. ખાસ કરીને અવારનવાર ઊઠતી ભ્રષ્ટાચાર તથા નબળી ગુણવત્તાના કામો અંગે ઊઠતી રહેતી ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કરીને જરૂરી 'સાફસુફી' પણ કરવી પડે તેમ છે. નગરની જુની સમસ્યાઓ તથા અણઘડ વિકાસ પ્રક્રિયામાંથી ઉદ્ભવતી નવી નવી સમસ્યાઓ ઉકેલવાને પ્રાયોરીટિ આપવી પડશે.
જામ-રાવલમાં તો પહેલેથી જ અલગ જ પ્રકારનું રાજકારણ ખેલાતું રહ્યું છે. આ વખતે તોતિંગ બહુમતી કોંગ્રેસને મળી હોવા છતાં ત્યાં કોંગ્રેસના નક્કી કરેલા ઉમેદવાર સામે વિદ્રોહ થાય અને કોંગ્રેસે નક્કી કરેલા ઉમેદવાર સામે પ્રમુખપદે ફોર્મ ભરાય, તથા ચૂંટણી કરવી પડે, તે સ્થિતિ રાવલની અલગ જ પ્રકારની સ્થાનિક રાજનીતિની ગવાહી પૂરે છે. જો કે, આ વિદ્રોહ સફળ થયો નહીં અને કોંગ્રેસના જ ઉમેદવાર પ્રમુખપદે બિરાજ્યા, પરંતુ આ પ્રકારની સખળ-ડખળ હજુ પણ ચાલતી જ રહેશે, તેવું લાગે છે. આમ પણ રાવલને નગરપાલિકા મળી, ત્યારથી જ અસ્થિરતા રહી છે અને જેને બહુમતી મળી હોય, તેવા પદાધિકારીઓને અધવચ્ચેથી સત્તા ગુમાવી પડી હોય, તેવી ઘટનાઓ અવારનવાર બની છે. ગત્ ચૂંટણીમાં તો ભાજપ-કોંગ્રેસને હરાવીને સત્તા પર આવેલ એક ગ્રુપ પછીથી ભાજપમાં ભળી ગયું હતું, અને આ વખતે પણ પહેલા કોળિયે માખીની કહેવતની જેમ પ્રારંભે જ બળવો થયો હોય, તો તે ઠીક ગણાય નહીં. નવા શાસકો હવે રાજકીય કાવાદાવાના બદલે સમસ્યાઓ ઉકેલવા અને ભ્રષ્ટાચારથી મુક્ત વહીવટ કરવાને અગ્રતા આપશે, તેવી અપેક્ષા નગરજનોને હશે, અને તેવી જ અપેક્ષા સિક્કા નગરપાલિકાના નવા શાસકો પાસેથી ત્યાંના નગરજનોને રહેશે. લોકોના મન જીતવાની આ સોનેરી તક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial