Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નીતિન નવીનની નવી ટીમમાં રાષ્ટ્રીય દિગ્ગજો
અમદાવાદ તા. ૧૮: ભાજપે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીને ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ના ૩ રાજ્યોના નવા પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે. ગુજરાતના પ્રભારી તરીકે રાજ્યસભા સાંસદ તરુણ ચુગને જવાબદારી સોંપાઈ છે. ઉત્તર પ્રદેશમાં વિનોદ તાવડે પ્રભારી અને જગદીશ પટેલ સહ-પ્રભારી બન્યા છે, જ્યારે પંજાબમાં ડો. સતીશ પુનિયાને કમાન અપાઈ છે.
ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનમાં મોટો ફેરફાર કરવાની સાથે જ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે કમર કસી લીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની આગેવાનીમાં નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં યુવા અને અનુભવી નેતાઓનો સમન્વય જોવા મળી રહૃાો છે. પાર્ટીએ ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત જેવા મહત્ત્વના રાજ્યો માટે નવા પ્રભારીઓની નિમણૂક કરી છે.
ભાજપના મજબૂત ગઢ સમાન ગુજરાત રાજ્યની ચૂંટણીલક્ષી જવાબદારી તરુણ ચુગને સોંપવામાં આવી છે. તરુણ ચુગ રાજ્યસભાના સાંસદ છે અને અગાઉ પણ પાર્ટી સંગઠનમાં ઘણી મહત્ત્વની ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનનું સુકાન તેમના હાથમાં સોંપવું એ પાર્ટીનો મોટો નિર્ણય છે.
પાર્ટીએ રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવ્યા છે. ઉત્તર પ્રદેશ ભાજપ માટે સૌથી મહત્ત્વના રાજ્યોમાંનું એક છે, તેથી આ જવાબદારી અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમની સાથે જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહ-પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
બીજી તરફ, રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભા સાંસદ સતીશ પુનિયાને પંજાબ વિધાનસભા ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પંજાબમાં સંગઠનને મજબૂત કરવાની અને જનાધાર વધારવાની મોટી પડકારજનક જવાબદારી તેમના શિરે રહેશે.
ભાજપ અધ્યક્ષ તરીકે નીતિન નવીનના કાર્યકાળની આ પ્રથમ મોટી રાષ્ટ્રીય ટીમની કવાયત માનવામાં આવે છે. આ નવી ટીમમાં કેટલાક મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપના આ સંગઠનાત્મક ફેરફારો સ્પષ્ટ કરે છે કે પાર્ટી આગામી રાજ્યોની ચૂંટણીઓને લઈને કોઈ કચાશ છોડવા માંગતી નથી. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ આરએસએસ નેતા રામ માધવ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. સંગઠન મહામંત્રી તરીકે બી. એલ. સંતોષને યથાવત રાખવામાં આવ્યા છે. મીડિયાની જવાબદારી અનિલ બલૂની પાસે જ રહેશે, જ્યારે સોશિયલ મીડિયાની કમાન હવે છત્તીસગઢના દીપક મ્હાસ્કેને આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial