Advertisement
Author: નોબત સમાચાર

પત્રકાર, સાહિત્યકાર અને સાચી સમાજસેવાના ભેખધારી એવા પૂ. રતિલાલભાઈ માધવાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ...

                                                                                                                                                                                                      

 

સ્વ. પૂ. રતિલાલ દેવચંદ માધવાણી

વૈકુંઠવાસ તા. રર-૭-૧૯૮૭

ગુજરાતના સર્વપ્રથમ સાંધ્ય દૈનિક 'નોબત'ના આદ્યસ્થાપક અમારા સૌના પથદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા પૂ. રતિલાલભાઈ માધવાણીની આજે પુણ્યતિથિ છે.

તા. રર જુલાઈ, ૧૯૮૭ ના દિવસે માધવાણી પરિવારને કુઠારાઘાત લાગ્યો હતો, જ્યારે તેઓએ અનંતયાત્રાની વાટ પકડી હતી અને વૈકુંઠગમન કર્યું હતું. એ દિવસે 'નોબત' પરિવાર શોકગ્રસ્ત હતો, તો સમગ્ર હાલારમાં ગમગીની છવાઈ હતી, કારણ કે રતિલાલભાઈએ જન-જનના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.

સ્વ. રતિલાલભાઈ માધવાણી લોકોના હૃદયમાં વસવાટ કરતા હતાં, કારણ કે તેઓએ હંમેશાં સામાન્ય જનતાના અવાજને વાચા આપી હતી અને કોઈપણ ચમરબંધીની શેહ શરમ રાખ્યા વગર તથા પાપી પરિબળો તથા એન્ટી-સોશિયલ એલિમેન્ટ્સથી ડર્યા વગર પત્રકારિત્વ કર્યું હતું. તેઓ એવા નિડર પત્રકાર હતાં, જેઓએ લઘુઅખબારમાં પણ તેજીલી કલમથી ભલભલાના આસનો ડોલાવ્યા હતાં અને દિગ્ગજોને દર્પણ દેખાડ્યું હતું. તેઓ ખૂબ જ સંવેદનશીલ, કોમળ અને લાગણીપ્રધાન હતાં, પરંતુ અન્યાય, અવ્યવસ્થા કે અવળચંડાઈ કરનારાઓ સામે ખૂબ જ કડક અને મજબૂત વલણ ધરાવતા હતાં. તેઓ અવારનવાર ગામડાઓનો પ્રવાસ કરીને લોકોની વેદના સમજીને તેને વાચા આપતા હતાં, તેથી તેઓ હાલારીઓના હૈયે વસેલા હતાં.

તેઓ નિડર પત્રકારની સાથે સાથે સમકાલીન તથા ઐતિહાસિક વિષયોના અભ્યાસુ અને સાચા સાહિત્યકાર પણ હતાં. તેઓની કલમમાં પત્રકારિત્વ તથા સાહિત્યકલાનું મિશ્રણ જોવા મળતું હતું.તેઓના સાહિત્યસર્જનમાંથી માનવતા, ખુમારી અને ન્યાયપ્રિયતાની સાથે સાથે જી.કે. અને ઐતિહાસિક, રાજનૈતિક તથા આર્થિક જ્ઞાનવર્ધન કરતા વિવરણો પણ પ્રગટતા હતાં, અને તેઓના પોતાના અભિપ્રાયોમાંથી પવિત્રતા અને પ્રામાણિક્તા ટપકતી હતી. તેઓએ જામનગરની યશગાથા, મહાગુજરાતની યશગાથા જેવા ગ્રન્થો લખ્યા હતાં, જે આજે લગભગ અપ્રાપ્ય છે. તે ઉપરાંત આઝાદી પહેલાના સમયગાળામાં પણ તેઓએ 'લોહાણા મહાજનો' નામનો ગ્રન્થ લખ્યો હતો, અને 'બંડખોર' નામની નવલકથા પણ લખી હતી. તે ઉપરાંત 'મહાજનો', 'કસુંબીનો રંગ', 'ફટાકડા' વગેરે પુસ્તકો પણ તેઓએ લખ્યા હતાં. તેઓના પુસ્તકો અત્યારે કોઈ જુની લાઈબ્રેરીઓમાં સચવાયેલા હોઈ શકે, પરંતુ તેઓના આ સંભારણા આજે પણ અમોને પ્રેરણા આપી રહ્યા છે.

તેઓ પત્રકારિત્વ, સાહિત્યસર્જન ઉપરાંત સમાજસેવાના પણ ભેખધારી હોવાથી તેેઓમાં કલા, સાહિત્ય અને સેવાનો ત્રિવેણી સંગમ રચાયો હતો, જેને પત્રકારિત્વની રાહે પ્રવાહ મળ્યો હતો, તેમ કહી શકાય.

પૂ. ભાઈ પ્રથમ દૃષ્ટિએ કડક મિજાજી અને મોઢામોઢ સત્ય કહી દેતા હોવાથી કઠોર સ્વભાવના જણાતા, પરંતુ નજીક ગયા પછી તેઓની સંવેદનશીલતા, સ્નેહ, લાગણીશીલતા અને અણીશુદ્ધ માનવતાનો પરિચય થતો. તેઓ દીનદુઃખિયાના બેલી હતાં, તથા કોઈપણ કુદરતી આફતો, યુદ્ધનો સમય, રોગચાળાનો પ્રકોપ કે જનતાની સમસ્યા-પીડિતોની પરેશાની હોય ત્યારે તેઓ હંમેશાં અખબારના માધ્યમથી તથા વ્યક્તિગત રીતે પણ સમાજસેવા, દેશસેવા અને જનસેવાને જ પ્રાધાન્ય આપતા હતાં.

તેઓએ ટાંચા સાધનો, પારિવારિક જવાબદારીઓ અને અનિષ્ટ પરિબળોના પડકારો સામે લડતા હતાં. મજબૂતીથી સિંચેલું 'નોબત' સાંધ્ય અખબાર તરીકે વટવૃક્ષ બન્યું છે. 'નોબત' સાંજની સોબતની ઉક્તિ હવે ડિજિટલ પણ બની ગઈ છે. લોકલથી ગ્લોબલ સુધીના તમામ સમાચારો, ઉપરાંત વિવિધાસભર લેખો, સંગત વિભાગ, ખ્યાતનામ લેખકોના આર્ટિકલ્સ, વિશેષ સાપ્તાહિક-લેખો, ભવિષ્ય, જ્યોતિષ, ચિરવિદાય, રોજ-બ-રોજના ગામડાઓથી લઈને દુનિયાભરના સમાચારો, ભાવપત્રકો, સામાજિક-આર્થિક અને રાજકીય પ્રવાહો, રોજ-બ-રોજની પ્રવૃત્તિઓ તથા ઘટનાક્રમો, ક્રાઈમ અને દૈનિક પંચાંગ સહિતની વિવિધાસભર વાચન સામગ્રી પીરસતું 'નોબત' આ તમામ વિષયોના યૂ-ટ્યુબના માધ્યમથી વીડિયો સમાચાર, વિશેષ ઈન્ટરવ્યૂ, વ્હોટસ એપ ગ્રુપમાં બ્રેકીંગ ન્યૂઝ, તસ્વીરકથાઓ, વેબસાઈટ, ઈ-પેપર તથા સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી સાત-સમંદર પાર પહોંચ્યું છે અને દેશ-વિદેશમાં ગુજરાતીઓનું માનીતુ બન્યું છે, તે મજબૂત બુનિયાદ રાખીને તેનું સિંચન કરાવનારા સ્વ. પૂ. રતિલાલભાઈ માધવાણી તથા તેઓની કંડારેલી કેડીએ ચાલનાર માધવાણી પરિવાર તથા 'નોબત' પરિવારને તથા ત્રણેય પેઢીઓને સાંકળતા 'નોબત' ગ્રુપને આભારી છે.

દાયકાઓ વિતી ગયા, સમય બદલાયો, સદી બદલાઈ ગઈ છતાં વીસમી સદીના એ મહામાનવની પ્રેરણા અને પથદર્શન આજે ર૧ મી સદીમાં પણ ઉપયોગી બની રહ્યું છે, તે અમારા સદ્ભાગ્ય છે.

કુદરની ઘટમાળ અને ઈશ્વરની ઈચ્છા સર્વોપરિ છે, તે સ્વીકારીને આપણે પૂ. રતિલાલભાઈએ 'નોબત' તથા પત્રકારિત્વ, સાહિત્ય સર્જન અને સમાજસેવા માટે જીવન ખપાવ્યું તેમાંથી પ્રેરણા લઈએ અને તેઓની પુણ્યતિથિ નિમિત્તે તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ...

જામનગર,

તા. રર-૭-ર૦ર૬

- માધવાણી પરિવાર

- નોબત પરિવાર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh