Advertisement
Author: નોબત સમાચાર

અમીછાંટણા... આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ... હાલાકી છતાં હરખ છવાયો...

                                                                                                                                                                                                      

ગઈકાલે રાત્રે જામનગરમાં ગાજવીજ સાથે ઝરમરિયા ઝાપટાં શરૂ થયા અને મેઘાવી માહોલ જામ્યો, અને ઠંડક પ્રસરી તે પછી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી હાલારીઓ વરસાદની ચાતકડોળે રાહ જોઈ રહ્યા હતાં. આ વર્ષે ચોમાસું મોડું થયું અને અલનીનો નામનો અસુર આડો ફરતા તેની ગતિ પણ ધીમી પડી ગઈ. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી ગયો, પરંતુ હાલાર સહિત ચાર-પાંચ જિલ્લાઓમાં નહીંવત્ વરસાદ પડતા ચિંતા પ્રસરી છે, તેવામાં ગઈકાલે થયેલા અમીછાંટણા પછી હાલારીઓના હૈયે નવી આશા જન્મી છે અને ટાઢક પણ વળી છે, પરંતુ ગોરંભાયેલા વાદળછાંયા વાતાવરણ છતાં મેઘો મન મૂકીને વરસી રહ્યો નહીં હોવાથી હાલારના મોટાભાગના વિસ્તારોમાં લોકો ચિંતિત છે, અને દ. ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની જેમ સંતોષકારક વરસાદ પડી જાય, તે માટે પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે. આજે પણ સવારથી વાદળછાંયા વાતાવરણના કારણે છવાયેલા મેઘાવી માહોલે લોકોની આશાને જિવંત રાખી હતી. ગત્ રાત્રે પણ જામનગર સહિત હાલારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં.

જો કે, ગુજરાતના લગભગ સવાબસ્સો તાલુકાઓમાં વરસાદ પડતા રાજ્યમાં હવે સૂકો દૃષ્કાળ તો નહીં પડે, અને હજુ પણ જરૂરી વરસાદ વરસતો રહેશે તો વર્ષ સારૂ જશે, તેવા અનુમાનો થઈ રહ્યા છે.

ગઈકાલે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી કરી દીધી, જેથી કેટલાક સ્થળે જનજીવન ખોરવાયું, પરિવહન અટવાયું અને સડકો પર સરિતાઓ વહેતી થઈ હોવાના અહેવાલો હતાં, તો આજે સવારથી જ થઈ રહેલા રાજ્યવ્યાપી વરસાદના કારણે કેટલાક સ્થળે સમસ્યાઓ સર્જાઈ રહી હોવાના દૃશ્યો ખડા થયા છે, તેમ છતાં લોકો ખુશખૂશાલ છે, કારણ કે વરસાદ ખેંચાયો અને તે પહેલાથી અલનીનોના કારણે આ વર્ષે વરસાદના અભાવે કે અલ્પવૃષ્ટિના કારણે દુષ્કાળ પડશે, તેવી આગાહીઓ તથા અનુમાનો થઈ રહ્યા હતાં.

જામનગરમાં તો ગઈકાલે પણ એક જર્જરિત ઈમારતનો હિસ્સો ભારે વરસાદમાં ધરાશાયી થયો હોવાની ઘટના પછી એવી ટીકા થઈ રહી છે કે નગરના જર્જરિત મકાનોને નોટીસો અપાઈ હોય અને તેનું અનુસરણ કરાયું હોય, તો આવી ઘટનાઓ બનવી જ ન જોઈએ. બીજી તરફ એવી આલોચના પણ થઈ રહી છે કે આ વખતે વરસાદ ખેંચાયો અને ચોમાસું મોડું બેઠું હોવા છતાં હજુ પણ જામ્યુકોની પ્રિ-મોન્સુન કામગીરી પૂરી થઈ ન હોય, તો તે શરમજનક છે.

આ વખતે વરસાદની પેટર્ન એવી જણાય છે કે જ્યાં પડે છે, ત્યાં દે ધનાધન... ભારેથી અતિભારે વરસાદ પડે છે અને કેટલાક વિસ્તારોમાં માત્ર છાંટાછૂટી પડે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો હજુ વરસાદના છાંટા પણ પડ્યા નથી, તેથી આ વર્ષે દુષ્કાળ કે અર્ધઅછત જેવી સ્થિતિ ઊભી નહીં થાય, તો પણ કેટલાક અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિની અસર ધરાવતા વિસ્તારોમાં ખેતી બચાવવા તથા આગામી ઉનાળા સુધી પીવાના પાણીની વિશેષ વ્યવસ્થાઓ કરવી પડશે, જેથી આ વર્ષે નર્મદા ડેમ સહિતના જળાશયોમાં જળસંગ્રહનું જતન કરીને કાળજીપૂર્વક વોટરમેનેજમેન્ટ કરવું જ પડશે.

એક તરફ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ હાલાર-કચ્છ વિગેરે જિલ્લાઓમાં હજુ અમીછાંટણા કે જોરદાર ઝાપટાં જ પડી રહ્યા છે, તેમાં પણ કેટલાક તાલુકાઓ તો કોરા ધાકોડ છે. તેથી વોટર મેનેજમેન્ટની સાથે જરૂર પડ્યે પશુધનને બચાવવા તથા ખેડૂતો-પશુપાલકો-ગોશાળાઓ તથા પાંજરાપોળોને મદદરૂપ થવા માટેના વૈકલ્પિક આયોજનો અત્યારથી જ વિચારીને જરૂરી મંજુરી મેળવી લેવી જોઈએ, જેથી જ્યારે જરૂર પડે ત્યારે તરત જ એક્શન લઈ શકાય અને જનતા-જનાર્દનને મદદ કરી શકાય, જો કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતાની શાસન-પ્રશાસનની માનસિક્તા હોવાથી આ પ્રકારની આશા ઘણી વખત નઠારી પૂરવાર થતી હોય છે, પરંતુ આવતું વર્ષ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી આ વર્ષે તો શાસકો અને રાજનેતાઓ 'જાગૃત' રહેશે, તેવી આશા પણ છે...!

જામનગર સહિત હાલારમાં ઘણાં સ્થળે 'વરસાદના ચાર છાંટ પડ્યા નથી ને લાઈટ ગઈ નથી'નું વ્યંગાત્મક સૂત્ર સાર્થક જ કરવું હોય તેમ ઠેર-ઠેર વીજળીરાણી રિસાયા હતાં અને ક્યાંક લબૂક...ઝબૂક, ક્યાંક કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો, તો ઘણાં સ્થળે લો વોલ્ટેજની સમસ્યા સર્જાઈ છે. આ વર્ષે અસહ્ય ગરમી પડી હોવાથી લોકોએ ગ્રામ્ય વિસ્તારો સહિત એરકન્ડીશન્ડ મશીનો (એ.સી.) ફીટ કરાવવી દીધા અને એક જ ઘરમાં બે-ત્રણ કે તેથી વધુ એ.સી. ફીટ કરાવ્યા અને તેટલી ક્ષમતા માટેનું નિયમાનુસાર અપગ્રેડેશન પોતાના ઘર કે વ્યવસાયના સ્થળોમાં નહીં કરાવતા ઠેર-ઠેર અંધારપટ જેવા દૃશ્યો પણ ઊભા થયા હતાં, તો જ્યાં ભારે વરસાદ થયો છે, તેવા જિલ્લાઓમાં કેટલાક સ્થળે વીજપોલ પડી જતા કે વીજવાયરો ધ્વસ્ત થતા પણ વીજ સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તો કેટલાક સ્થળે સાવચેતી ખાતર કામ ચલાઉ ધોરણે વીજપુરવઠો બંધ કરાયો હશે, જે હોય તે ખરૂ, પરંતુ હવે જુના જમાનાની જેમ કલાકો કે દિવસો સુધી વીજપુરવઠો ખોરવાઈ જાય, તેવું ચાલે તેમ નથી અને ઉહાપોહ મચે તેમ હોવાથી સંબંધિત તંત્રોએ સાવચેતી અને સક્રિયતા રાખવી અનિવાર્ય બની ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh