Advertisement
Author: નોબત સમાચાર

વીજલાઈનો સામે ખેડૂતોને વળતરના મુદ્દે રાજ્ય સરકારની નવી ઘોષણા... સિક્કાની બન્ને બાજુ

                                                                                                                                                                                                      

ગઈકાલે રાજ્ય સરકારે ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનો માટે ઉપયોગમાં લેવાતી જમીનનું વળતર માર્કેટ રેન્ટ મુજબ આપવાની જાહેરાત કરી, તેને એકંદરે આવકાર મળ્યો અને અંતે સરકારે ખેડૂતોની સંગઠનશક્તિ સામે ઝુકવું પડ્યું હોવાના પ્રત્યાઘાતો પડ્યા. બીજી તરફ વળતરના દરો ગ્રામ્ય, શહેરો અને મહાનગરોના વિસ્તારો માટે અલગ અલગ ટકાવારી પ્રમાણે વળતર આપવાની નીતિ સામે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને અન્યાય થનાર હોવાના તીખા પ્રત્યાઘાતો પણ પડ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા વીજ કંપનીઓ તરફી અને ખેડૂત વિરોધી નીતિ અપનાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા હતાં. મોરબીના જેતપુરમાં આ મુદ્દે એક પખવાડિયાથી વધુ સમયથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હતાં, પરંતુ આ મુદ્દો હકીકતે રાજ્યવ્યાપી અસરો પાડી રહી હતી.

આ વિવાદની શરૂઆત આમ તો બે વર્ષ પહેલા થઈ હતી, જ્યારે મોરબીના હળવદ અને આજુબાજુના વીજકંપનીઓને ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઊભા કરવા સામે નજીવા વળતરનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાજુના વિસ્તારોમાં થાંભલા દીઠ એક લાખ રૂપિયાનું વળતર અપાતું હોય અને હળવદની આજુબાજુના વિસ્તારોમાં પ૦ હજાર રૂપિયાનું પ્રતિ પોલ વળતર અપાય, તે ભેદભાવ સામે શરૂ થયેલો વિરોધ વર્ષ ર૦રપ માં વધુ વકર્યો હતો અને આંદોલનના મંડાણ કર્યા હતાં.

તે સમયે દસેક ગામોના ખેડૂતોએ આદરેલું આંદોલન વિસ્તરતુ રહ્યું હતું. વર્ષ ર૦રપ ના જાન્યુઆરીમાં એક જિલ્લા કક્ષાની કમિટી બની હતી. તે સમયે તંત્રે જાહેર કરેલા એક નોટિફિકેશન સામે ખેડૂતોએ સંગઠીત થઈને હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતાં, પરંતુ ત્યાં રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષાની દલીલો કરવામાં આવી હતી અન મેગા પ્રોજેક્ટને લીલીઝંડી મળી ગઈ હતી. તે પછી ખેડૂતોનું આંદોલન વિસ્તરી રહ્યું હતું, અને તેને કિસાન સંગઠનો ઉપરાંત વિપક્ષોનું પણ સમર્થન મળતું રહ્યું હતું. ખેડૂતોની લાગણી અને માંગણી એવી હતી કે રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષાના પ્રોજેક્ટોનો વિરોધ નથી, પરંતુ ખેતરોમાં ઊભા થતા વીજપોલ તથા વીજલાઈનોના કારણે તેઓની આજુબાજુની પ્રભાવિત થતી જમીન તથા પાકપાણીને થતા નુક્સાન સામે જંત્રીથી ડબલ વળતર ઘણું જ ઓછું છે, જેમાં વધારો થવો જોઈએ અન ખેડૂતોને તેમના ખેતરની સુરક્ષા થાય અને બિનજરૂરી કનડગત નહીં થાય, તેવી બાહેંધરી મળવી જોઈએ.

ખેડૂતોએ જૂન-ર૦ર૬ માં આદરેલું આંદોલન વધુને વધુ તીવ્ર બની રહ્યું હતું, અને ભૂખ હડતાલ આદરી હતી, આ આંદોલન સળંગ ૧૪ દિવસ ચાલ્યા પછી અંતે રાજ્ય સરકારે ઝુકવું પડ્યું છે, અને રાજ્ય સરકારના નિર્ણયની કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ખેડૂતોની મહત્તમ માંગણીઓ સ્વીકારી લેવાઈ હોવાની જાહેરાત કરવી પડી છે. આ ઉપવાસ છાવણીની મુલાકાતે વિપક્ષના નેતાઓ ગયા હતાં. આ દરમિયાન કેટલાક ખેડૂતોએ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા મૂંડન કરાવ્યું હતું અને તે પહેલા અમદાવાદમાં વિરોધ પ્રદર્શિત કરવા ટ્રેક્ટર રેલી કાઢી હતી, જેમાં અનેક જિલ્લાઓના ખેડૂતો જોડાયા હતાં. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો તથા ખેડુતોના દિગ્ગજ નેતાઓએ પણ આ મુદ્દે ખેડૂતોના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો યોજ્યા હતાં અને ઠેર ઠેર આવેદનપત્રો અપાયા હતાં.

મીડિયા અહેવાલો મુજબ થતી ચર્ચા અનુસાર રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે જે ખેતરમાંથી વીજલાઈનો જતી હોય, તેનું વળતર તે વિસ્તારની જંત્રીથી ડબલ નહીં, પરંતુ તે વિસ્તારમાં વર્તમાન માર્કેટ રેઈટથી ડબલ આપવામાં આવશે. આ પહેલા ખેડૂતો (જમીન માલિકો) ને તબક્કાવાર પેમેન્ટ અપાતું હતું તેના બદલે હવે વળતરની રકમ એક સાથે એડવાન્સમાં અપાશે, તે ઉપરાંત જરૂર જમીનના માપમાં પણ ખેડૂતોને નુક્સાન ન થાય તેવો અભિગમ અપનાવીને પાયાના વધારાનું એક મીટર ગણતરીમાં લેવાશે. સંબંધિત વિસ્તારની જમીનના માર્કેટ રેન્ટ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટી બનશે. આ કમિટી જે વળતર નક્કી કરશે, તો સિવિલ કોર્ટમાં અપીલ કરવાની નોબત જ નહીં આવે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મિશ્ર પ્રત્યાઘાતો છે. આજથી સરકારની આ ઘોષણાને મોટાભાગે આવકાર મળ્યો છે, સાથે સાથે કેટલોક અસંતોષ હજુ પણ પ્રગટી રહ્યો છે. અમિત ચાવડાએ આ મુદ્દે સરકાર પર પ્રહારો કરીને ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જને યાદ કરીને ભેદભાવભર્યા વલણનો આરોપ લગાવ્યો, તો શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો કડક રીતે અમલ કરાવીને ખેડૂતોને સાચા અર્થમાં મદદરૂપ થવાની વાત કરી હોવાના અહેવાલો વહેતા થયા. ઈશુદાન ગઢવીએ પણ ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો હતો. કિસાન કોંગ્રેસના અધ્યક્ષે આને ખેડૂતોની સંગઠન શક્તિની ફલશ્રૂતિ ગણાવીને ડબલ નહીં, પણ ચારગણું વળતર આપવું જોઈએ તેવા મતલબના ફીડબેક આપ્યા હોવાના અહેવાલો છે. તો કિસાન સંઘર્ષ સમિતિએ આ વીજલાઈનોના કારણે આગ લાગે કે જાનમાલનું નુક્સાન થાય, તેની સામે યોગ્ય માતબર વળતરની માંગણી કરી હોવાના અહેવાલો છે.

કેટલાક નેતાઓએ જમીન સંપાદન અધિનિયમ-ર૦૧૩ નો અમલ કરીને પોલ દીઠ પચાસ હજાર રૂપિયાનું માસિક ભાડુ તથા માર્કેટ રેન્ટથી ચારગણું વળતર ચૂકવાની માંગણી દોહરાવી છે, તો કેટલાક નેતાઓએ સરકારની આ જાહેરાતને એકંદરે સંતોષકારક ગણાવીને કેટલાક સૂચનો પણ કર્યા છે.

જો કે, સરકારનો દાવો એવો છે કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં આ 'ઉદાર' નિર્ણય ખેડૂતો સાથે વ્યાપક વિચાર-વિમર્શ-પરામર્શ કરીને લીધો છે, જેથી અક્ષય ઊર્જા એટલે કે સૂર્યઊર્જા અને પવન ઊર્જાને પણ વેગ મળે અને ખેડૂતોના હિતો પણ જળવાઈ રહે. એકંદરે આ મિશ્ર પ્રતિભાવોનો સારાંશ એટલો નીકળે છે કે આ નિર્ણય પછી ખેડૂતોની મહત્તમ માંગણીઓ સંતોષાઈ હોવા છતાં સરકારે અન્ય કેટલીક માંગણીઓ અંગે સહાનુભૂતિપૂર્વક વિચારવું જોઈએ, અને ખેડૂતોએ પણ આ માટે સરકારને સમય આપવો જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh