Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ભીમ અગિયારસ છે, જેને નિર્જલા એકાદશી પણ કહે છે. આ વખતે અધિક (પરસોત્તમ) મહિનો પ્રથમ જયેષ્ઠ (જેઠ) મહિનામાં હતો, તેથી ભીમ અગિયારસ એક મહિનો મોડી થઈ છે. ભીમ ભૂખ્યો રહી શકતો નહીં અને એકાદશીનું વ્રત કરી શકતો નહીં હોવાથી વ્યાસજીએ જેઠ સુદ-એકાદશીના દિવસે જળ ગ્રહણ કર્યા વગર એકાદશી કરવાથી આખા વર્ષની એકાદશીઓના વ્રતનું ફળ મળશે, તેવી સલાહ આપી હતી. આ નિર્જલા વ્રત ભીમે કર્યું હતું, તેથી આ એકાદશીને ભીમ અગિયારસ અથવા નિર્જલા એકાદશી કહેવાય છે, તેવી કથા છે. ઘણાં લોકો આ એકાદશીને પાંડવ પૂર્ણિમા અથવા પાંડવી પૂનમ પણ કહે છે. આ વ્રત કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે, અને વર્ષની મોટી અગિયારસ અથવા મોક્ષદાયિની એકાદશી પણ કહેવાય છે.
જુના જમાનાથી એેવું કહેવાય છે કે ભીમ અગિયારસથી અષાઢી બીજ વચ્ચે શ્રીકાર વર્ષા થાય છે. ભીમ અગિયારસના દિવસે અમીછાંટણા થાય છે, તેને શુભ માનવામાં આવે છે. અખાત્રીજ પછી ખેડૂતોએ ખરીફ સિઝન માટે કરેલા પરિશ્રમની ફલશ્રૂતિ મેળવવાનો અવસર જેઠ મહિનામાં ભીમ અગિયારસથી શરૂ થાય છે. આ વર્ષે પણ આ પરંપરા જળવાય અને સાર્વત્રિક શ્રીકાર વર્ષા થાય, તવી આશા સ્વાભાવિક રીતે જ સૌ કોઈ રાખે છે.
ગઈકાલે આવેલ ફોરકાસ્ટ મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આગામી ૭ દિવસમાં ભારે પવન અને વરસાદ સાથે વરસાદ થશે. મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને ત્યાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ગઈકાલે જ ર૪ કલાકમાં દસ-બાર ઈંચ વરસાદ થઈ ગયો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ થયા પછી એકાદ-બે અઠવાડિયામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતો હોય છે. આ વખતે ચોમાસું મોડું થતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વિલંબથી આવશે, પરંતુ આ વર્ષે અલનીનોની કેટલીક અસર થશે, તે અંગે મતમતાંરો છે.
એવું કહેવાય છે કે અલનીનોની વિપરીત અસરો શરૂ થઈ ગઈ છે અને તેની માઠી અસરો હાલાર સહિત ગુજરાતના ચાર-પાંચ જિલ્લામાં થઈ શકે છે. તે ઉપરાંત પ્રાચીન વર્ષા વિજ્ઞાન તથા કુદરતી બદલાવ પરથી થતી આગાહીઓ સાથે ટીટોડીએ ખેતરમાં ઈંડા મૂક્યા હોવાના દાવો કરીને નબળા ચોમાસાની આગાહીઓ થઈ રહી છે. આ સંજોગોમાં લોકોને તદ્ન સચોટ અને વાસ્તવિક જાણકારી મળતી રહે અને હકીકતે જો નબળા ચોમાસાની સંભાવનાઓ હોય તો લોકોને તથા ખેડૂતોને સમયોચિત રીતે માહિતગાર કરીને તેને મદદરૂપ થવાનો માસ્ટરપ્લાન પણ અત્યારથી જ વિચારી લેવો જોઈએ. અલનીનોની બહુ અસર ન થાય, અથવા અરબી સમુદ્રમાં પોઝિટિવ ઈન્ડિયન ઓશન ડાયપોલ અલનીનોની વિપરીત અસરોનેે અટકાવી શકે છે અને દુષ્કાળની સંભાવનાઓને પણ મહદ્અંશે ઘટાડી શકે છે, તેથી આજે એકાદશીના પવિત્ર પર્વે એેવું પ્રાર્થીએ કે સારો વરસાદ થાય, અને અલનીનોનો કાળો પડછાયો ન પડે. વર્ષ સારૂ જાય અને ધનધાન્યની ઉણપ રહે નહીં.
આમ છતાં, બદલતા ઋતુચક્ર, સંભાવનાઓ તથા ફોરકાસ્ટને ધ્યાને લઈને આગમચેતી રાખવી જરૂરી છે. જુના જમાનાની જેમ અત્યારે ટાંચા સાધનો તથા ઢીલી સંચાર વ્યવસ્થા નથી. આજના ઈન્ટરનેટ યુગમાં હજારો કિલોમીટર દૂર દરિયામાં થતી ઘટનાઓની રજેરજ માહિતી મોકલી પણ શકાય છે, અને નિહાળી પણ શકાય છે, તેથી મોસમ પર બાજ નજર રાખીને સાયન્ટિસ્ટો, તંત્રો અને સરકાર તમામ જરૂરી આગોતરા કદમ પણ ઊઠાવી શકે છે, અને જરૂર પડ્યે કરકસરના કદમ પણ ઊઠાવી શકે છે. આ માટે પ્રવર્તમાન ઉપલબ્ધ જળરાશિ તથા ભૂગર્ભ સપાટીની સમીક્ષા કરીને અત્યારથી જ કેટલાક અંકુશો મૂકવાનું વિચારી શકાય છે, અને તે દિશામાં કદાચ કેટલાક તંત્રોએ કદમ ઊઠાવવાનું શરૂ પણ કરી દીધું છે.
કેન્દ્ર સરકારે દેશના ૩૧પ થી વધુ સૌથી વધુ એવા જિલ્લાઓ અલગ તારવ્યા છે, તેમાં પણ સિંચાઈની સુવિધાઓ ઘણી જ ઓછી હોય, તેવા જિલ્લાઓને પ્રાયોરિટીમાં રાખ્યા છે. આ જિલ્લાઓમાં પાણીની કરકસર અને બચત માટે જરૂર પડ્યે કડક કદમ ઊઠાવવાની તૈયારી પણ રખાઈ હોવાની પૂરેપૂરી સંભાવના છે.
અલ્પવૃષ્ટિની સ્થિતિમાં દાળ, તેલિબિયાનું અનાજ-કઠોળના વિકલ્પે અથવા મહત્તમ વાવેતર કરવામાં ખેડૂતોને મદદરૂપ થવા, પશુધનને નિભાવવા તથા લોકોને પીવાનું પાણી પૂરૃં પાડવા માટે પ્લાન એ, બી, સી, બનાવીને તેનો અમલ કરાવવાનું માઈક્રો પ્લાનિંગ કરવું પણ આવશ્યક છે. તે ઉપરાંત અનાજ, કઠોળ અને આવશ્યક ચીજવસ્તુઓનો બંફરસ્ટોક તથા ઘાસચારાનો વિપુલ જથ્થો સંગ્રહી રાખવા જેવા કદમ ઊઠાવવા પણ જરૂરી છે. આ તમામ બાબતો કેન્દ્ર સરકારના માસ્ટ પ્લાનમાં હશે જ, તેવી આશા રાખીએ...
ગુજરાતમાં હજુ ચોમાસું પહોંચ્યું નથી અને હાલારમાં ચોમાનું મોડું પડ્યું છે, ત્યારે અલનીનોની આશંકાને લઈને સ્થાનિક તંત્રો પણ એલર્ટ થઈ ગયા છે. જામનગર સહિતના ૧૦ શહેરોમાં આંશિક 'નળબંધી' થઈ રહી છે અને જ્યાં દૈનિક જળવિતરણ થતું હતું, ત્યાં હવે એકાંતરા જળવિતરણ થશે, તેવું જાહેર થયું છે. તે ઉપરાંત કેટલાક નગરો તથા ગ્રામ વિસ્તારોમાં તો ચાર-પાંચ દિવસ કે અઠવાડિયે પાણી પુરવઠો અપાતો હોવાની રાવ પણ ઊઠી રહી છે. જો વરસાદ વધુ ખેંચાય, તો પ્રવર્તમાન નળબંધીમાં વધારો પણ થઈ શકે છે.
જો આગામી સમયને સુરક્ષિત રાખવા માટે વર્તમાનમાં થોડી કરકસર કરવી પડે, કે તકલીફ ભોગવવી પડે, તો નાગરિકોએ સહયોગ પૂરો પાડવો જોઈએ, જે આપણું કર્તવ્ય છે, પરંતુ પીવાના પાણી પર કાપ મૂકવાની સાથે સાથે વિવિધ કામો માટે ભૂગર્ભમાંથી દરરોજ વિપુલ જળરાશિ ખેંચતા લોકો પર 'જળબંધી' કરવી જરૂરી છે. તે પણ ન ભૂલવું જોઈએ. આજે નિર્જલા એકાદશીના દિવસે પ્રભુને પ્રાર્થીએ કે પુષ્કળ વરસાદ વરસાવીને અલનીનોને અટકાવી દ્યે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial