Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત એનસીસીના એડિ. ડાયરેકટર જનરલે આઈએનએસ વાલસુરાની લીધી મુલાકાતઃ વાર્તાલાપ

નૌસૈનિક કેમ્પોનું નિરીક્ષણઃ નૌસેના મ્યુઝીયમની મુલાકાતઃ કેડેટ્સને કર્યા પ્રોત્સાહિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: ગુજરાત એનસીસી ડાયરેકટરેટના એડીજી દ્વારા એનસીસી નૌસૈનિક કેમ્પ તથા આઈએનએસ વાલસુરાની મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ ૮ ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા આયોજિત પ્રિ-ઓલઈન્ડિયા નૌસૈનિક કેમ્પ અને કમ્બાઈન્ડ એન્યુલ ટ્રેનિંગ કેમ્પનું પણ નિરીક્ષણ કરી, નેવલ એનસીસી કેડેટ્સ સાથે વાર્તાલાપ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં.

ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ બિમલ મોંગા એસએમ, વીએસએમએ આઇએનએસ વાલસુરાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તેઓ આઈએનએસ વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કમોડોર રાહુલ શર્માને મળ્યા હતા. તેમની સાથે વાર્તાલાપમાં ભારતીય નૌસેનાની આ પ્રતિષ્ઠિત તાલીમી સંસ્થાના સમૃદ્ધ ઇતિહાસ, ગૌરવપૂર્ણ વિરાસત અને કાર્યપ્રણાલીની જાણકારી મેળવી હતી.

ભારતીય નૌસેનાના અત્યાધુનિક સાધનો તથા વ્યવસાયિક ઉત્કૃષ્ટતાના આયામોમાં આ તાલીમી સંસ્થાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ભારતીય નૌસેનાના અધિકારીઓ, નાવિકો તથા અગ્નિવીરોને અહીં અપાતી પ્રખર અને અત્યાધુનિક તાલીમ અંગે પણ તેમને જણાવવામાં આવ્યું હતું. સમુદ્રી સુરક્ષાના મુદ્દે ભારતીય નૌસેનાની પ્રબળ ક્ષમતા તથા વર્ષ ૧૯૪૨ થી ગૌરવપૂર્ણ ઈતિહાસ ધરાવતા આઈએનએસ વાલસુરાની ઉત્તરોત્તર પ્રગતિની સાક્ષી બનેલા વાલસુરાના ''નૌસેના મ્યુઝિયમ''ની પણ તેઓએ મુલાકાત લીધી હતી.

બાદમાં, એઆઈએન એસસી રાષ્ટ્રીય કેમ્પમાં ભાગ લેવા જઈ રહેલા ૩૬ એનસીસી કેડેટ્સની પૂર્વ તૈયારીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા મેજર જનરલ બિમલ મોંગા વોટરમેનશીપ તાલીમકેન્દ્રની મુલાકાતે ગયા હતા. ત્યાં તેઓ સમક્ષ નેવીના એનસીસી કેડેટ્સે સીમાફોર (ફ્લેગ દ્વારા જહાજોમાં સંદેશ આદાન-પ્રદાન), રીગિંગ (જુદા જુદા પ્રકારની ગાંઠ બાંધવાની તાલીમ), બોટનું શઢ ચઢાવવા તથા બોટ પુલિંગની તાલીમની ચર્ચા તથા શીપ મોડેલિંગ (નૌસેનાના જહાજનું લાકડાનું નાનું પાણીમાં તરતું મોડેલ) અંગેનું નિદર્શન કર્યું હતું. તેમણે કેડેટ્સની આકરી તાલીમને બિરદાવી લોનાવાલામાં આયોજિત થનારા નૌસેનાના આગામી રાષ્ટ્રીય કેમ્પમાં પોતાના કૌશલ્યનું સર્વોત્તમ પ્રદર્શન કરી એનસીસી ગુજરાત ડાયરેક્ટરેટને ગૌરવ અપાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ સાથે તેઓએ સશસ્ત્ર સીમા બલના પરિસરમાં ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા આયોજિત દસ દિવસીય વાર્ષિક તાલીમી કેમ્પ સીએટીસીની પણ મુલાકાત લીધી હતી. જેમાં વિવિધ શાળા કોલેજના ૪૦૦ જેટલા કેડેટ્સની રોજિંદી પરેડ તાલીમ, આર્મી, એરફોર્સ તથા નેવી સ્ટેશનની મુલાકાત, સ્ત્રી સશક્તિકરણ-નેતૃત્વ શક્તિના પરિસંવાદ, ફર્સ્ટ એડ અંગેની તાલીમ, ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજોની માહિતી તથા શસ્ત્ર સંચાલન તેમજ ભારતીય નૌસેનામાં કારકિર્દી અંગે અપાતી માહિતી આ તમામ આયામોની કેડેટસ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને એનસીસી તેઓને કઈ રીતે સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને છે તે અંગેની સમજણ આપી હતી. આ મુલાકાત દરમિયાન જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર, બ્રિગેડિયર પી શશીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh