Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રાધામ દ્વારકાની છેલ્લા બે દાયકામાં કાયાપલટ થઈ ગઈ છે. પ્રવાસન નિગમ, યાત્રાધામ વિકાસબોર્ડ અને રાજ્ય-કેન્દ્ર સરકારો દ્વારા યાત્રાધામ દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર સહિતના હાલારના યાત્રાધામો, પવિત્ર ધામો અને નાના-મોટા તીર્થસ્થળોના વિકાસ, યાત્રિકોની સુવિધાઓ તથા વિવિધ મેગા પ્રોજેક્ટો તથા યોજનાઓ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરાયો છે, જેથી આશા એવી હતી કે યાત્રાધામોની સિકલની સાથે સાથે જવાબદાર શાસકો અને તંત્રોની માનસિક્તા પણ બદલાઈ ગઈ હશે, પરંતુ કમભાગ્યે તેવું કાંઈ થયું હોય તેેમ જણાતું નથી, અને 'હોતી હૈ ચલતી હૈ'ની માનસિક્તા તથા જવાબદારીઓની ફેંકાફેંકી કરવાની સરકારની મનોવૃત્તિ હજુ બદલી જ નથી, પણ યાત્રિકો, પ્રવાસીઓ, મુલાકાતીઓ, દર્શનાર્થીઓની મૂળભૂત વ્યવસ્થાઓ હંમેશાં અવિશ્વસનિય, અણઘડ અને બોદી જ રહેે છે. કેટલાક અપવાદોનેે બાદ કરતા દાયકાઓ જુની રીઢી માનસિક્તાઓ હજુ બદલી જ નથી, જેથી અવારનવાર અનિચ્છિનિય ઘટનાઓ તથા દુર્ઘટનાઓ સર્જાતી રહે છે.
યાત્રાધામ દ્વારકામાં ગોમતી સ્નાન કરતા બે યુવાનો તણાયા અને એક યુવકનો જીવ ગયો, તે ઘટના સ્થાનિક શાસકો, તંત્રો અને અહીં સ્નાનાર્થે તથા દર્શનાર્થે આવતા યાત્રિકો-દર્શનાર્થીઓ માટે પણ આંખ ઉઘાડનારી છે. આ પ્રકારની દુર્ઘટના થયા પછી થોડી-ઘણી સાવચેતીઓ રખાય, વ્યવસ્થાઓ સુધારાય, અને 'જૈસે થે' થઈ જતું હોય છે.આ જ સ્થળે અવારનવાર સ્નાન કરવા જતા ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટના આ પહેલા પણ ઘણી વખત બની હોવા છતાં અહીં રાઉન્ડ ધ ક્લોક રેસક્યુ ટીમ કે તરવૈયાઓની વ્યવસ્થા પણ જો થઈ શકતી ન હોય, તો મોટા મોટા સુશોભિત સંકુલો અને રૂડા-રૂપાળા ઝળહળતા સ્થળો સહિત વિકાસના માચડા ઊભા કરવાનો કોઈ અર્થ ખરો?
યાત્રાધામ દ્વારકામાં ગોમતીજીમાં સ્નાન કરવાનું મહત્ત્વ ગંગા-યમુના-નર્મદા સહિતની પવિત્ર નદીઓમાં સ્નાન જેટલું જ મહત્ત્વપૂર્ણ અને કેટલાક તહેવારો-ધાર્મિક પ્રવૃત્તિઓના સમયે ગોમતી સ્નાનનું વિશેષ મહાત્મય હોવાથી અહીં બારેય માસ મોટી સંખ્યામાં યાત્રિકો સ્નાન માટે આવતા હોય, ત્યારે દરિયા સાથે જોડાયેલા ગોમતીજી અને દરિયાના સંગમ સ્થળ સહિત ગોમતીજીના તમામ ઘાટો તથા સંલગ્ન દરિયા કિનારે યાત્રિકો-સ્નાનાર્થીઓની સુરક્ષા-સલામતિ માટે કાયમી અને રાઉન્ડ ધ ક્લોક સંપૂર્ણ વ્યવસ્થાઓ અનિવાર્ય છે.
ગોમતીજીના કાંઠે સ્નાન કરવા જતા લોકોએ પણ સાવધ રહેવું જોઈએ, કારણ કે અન્ય યાત્રાધામોની એક તરફ જ વહેતી નદીઓ જેવું દ્વારકાની ગોમતી નદીનું વહેણ નથી. અહિં દરિયાની ભરતી અને ઓટ સીધી અસર કરતી હોવાથી અહીં ભલભલા તરવૈયાઓની તણાઈ જવાની પણ સંભાવનાઓ રહેતી હોય છે, તેથી અહીં પવિત્ર સ્નાન શાંતિથી અને સલામત રીતે કરીને નીકળી જવાનું સલામત રહે છે, અને તે દરમિયાન ગોમતી કાંઠાના છીછરા પાણીમાંસ્નાન કરવું વધુ હિતાવહ રહે છે. અહીં લાંબી સાંકળોની વધુ વ્યવસ્થા કરીને ફ્લોટીંગ બાઉન્ડ્રી બાંધવી જરૂરી છે, જેથી ભરતી અને ઓટ વખતે તે સ્થિતિ સ્થાપક બાઉન્ડ્રીને નાની-મોટી કરીને યાત્રિકોની સુરક્ષા અને સલામતિ વધુ સુનિશ્ચિત કરી શકાય.
થોડા વર્ષો પહેલા ગોમતીકાંઠે તથા દરિયાકાંઠે સલામતિ-સુરક્ષા માટે વધુ કાળજી લેવાતી હતી અને ગોમતીઘાટો પાસે લાંબી ફ્લોટીંગ સાંકળો પકડીને સ્નાનની વ્યવસ્થા વધુ વિસ્તારવાની વાતો થઈ હતી, પરંતુ 'માનસિક્તા'ના પ્રભાવ હેઠળ ફરીથી 'જૈસે થે' થઈ ગયું અને બેદરકારી વધી ગઈ હોય તેમ જણાય છે.
ગોમતીકાંઠે સ્નાન પછી મહિલાઓ વસ્ત્ર ચેઈન્જ કરી શકે (કપડા બદલી શકે) તે માટેની સુવિધાઓ વિસ્તારવાની વાતો પણ થઈ હતી, તે ઉપરાંત સેનિટેશન, ઠેર-ઠેર પીવાનું શુદ્ધ પાણી અને માર્ગદર્શન કેન્દ્રોની વાતો થઈ હતી, પરંતુ ઠેર-ઠેર તેવું કાંઈ થયું નહીં અને હવે તો બધું જ મોંઘા ભાવે 'વેંચાતું' લેવું પડે તેવી હાલત થઈ ગઈ હોવાની ફરિયાદો ઊઠતી રહે છે.
આ પહેલા વર્ષ ર૦રપ માં જૂન મહિનામાં પણ સાત લોકો ડૂબ્યા હતાં અને ર૧ મી મે ના દિવસે ત્રણ તીર્થયાત્રીઓ ડૂબવા લાગ્યા હતાં, જેમાંથી કેટલાક કમભાગી યાત્રિકોના મૃત્યુ પણ થયા હતાં, અને તે સમયે પણ અહીં ર૪ કલાક રેસ્ક્યુ ટીમોની માગણી ઊઠી હતી અને જોખમી ઢબે સ્નાન કરવા જતા યાત્રિકોને ચેતવવા અથવા અટકાવવા માત્ર બોર્ડ લગાવીને કે સૂચનાઓ આપવાના બદલે ગોમતીકાંઠે સંભળાય તેવી રીતે પી.એ. (પબ્લિક એડ્રેસ) સિસ્ટમથી સતત સૂચનાઓ પ્રસારિત થતી રહે, ગોમતીજીમાં સાંકળો બિછાવીને બાઉન્ડ્રીમાં જ સાંકળ પકડીને યાત્રિકો સ્નાન કરે, તેવી ફૂલપ્રૂફ વ્યવસ્થા કરવા અને જોખમી સ્નાન અટકાવવા સતત પહેરો ગોઠવવાની જરૂર જણાવાઈ રહી છે.
દ્વારકાની દુર્ઘટનાઓ તથા અન્ય નદી-જળાશયો-તળાવો-સરોવરો-નહેરો કે દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ માટે કોને જવાબદાર ગણવા, તેવો પ્રશ્ન કાયમ ઊઠતો રહે છે. સંબંધિત શાસકો આ માટે બહુ ગંભીર નથી, તંત્રો પરિપત્રો કે ગાઈડલાઈન્સ જાહેર કરીને અને બહુ બહુ તો ચેતવણીના બોર્ડ લગાવીને કે જાહેરનામા પ્રસિદ્ધ કરીને સંતોષ માને છે અને ડૂબનારા લોકો પૈકી મોટાભાગના લોકો પોતે જ પૂરતી કાળજી રાખતા નથી અને ચેતવણીઓને અવગણે છે. ઊંડા પાણીમાં નહાવા જતા અટકાવનાર જવાનો સાથે તકરારો પણ ઘણાં લોકો કરતા જોવા મળે છે. હકીકતે તે યોગ્ય નથી, તો ફરજ પરના જવાનોએ પણ યાત્રિકો-દર્શનાર્થીઓ સાથે સંયમિત અને શિસ્તબદ્ધ રીતે વર્તતા અન્ય સાથીદારોને અનુસરવું જોઈએ. એકંદરે આ સહિયારી જવાબદારીઓ છે, પરંતુ કોઈ પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર જ નથી!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial